Opinion Magazine
Number of visits: 9457409
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકાયની નારાયણ દેસાઈ : શતાબ્દી વર્ષ–પ્રવેશે

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|15 December 2023

પ્રમુખીય

પ્રકાશ ન. શાહ

બસ, હવે થોડા દિવસ – અને નારાયણ દેસાઈ(૨૪-૧૨-૧૯૨૪ − ૧૫-૩-૨૦૧૫)ના શતાબ્દી વર્ષમાં પ્રવેશીશું. હમણાં મેં એમના જન્મદિવસની જિકર કરી, પણ પિતા મહાદેવ દેસાઈની વિશ્વવિશ્રુત ડાયરીમાં એનો ઉલ્લેખ સરખો નથી; કેમ કે એ તો ગાંધીચર્યા અંગેની હતી.

પિતાની ડાયરીમાં પોતાની જન્મનોંધ નથી એનું વેર પુત્ર નારાયણે અનોખી રીતે લીધું, જીવનચરિત્રના લેખનમાં આપણે ત્યાં એક પ્રતિમાન રૂપ ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ લખીને. નારાયણભાઈને દર્શક એવૉર્ડ અપાયો ત્યારે એ હાજર રહી શકે તેમ નહોતા એટલે એમના વતી (પુત્ર નચિકેતાના સંકોચવશ) પ્રતિભાવ વાંચવાનું મારે હિસ્સે આવ્યું હતું. પિતૃચરિત્રમાં પોતે નીવડી આવ્યા એનો યશ નારાયણભાઈએ આ પ્રતિભાવમાં મૈથિલીશરણ ગુપ્તને ટાંકીને ખુદ પિતાને જ આપ્યો અને એક રીતે પેલું વત્સલ વેરવર્તુળ જાણે પૂરું થયું :

राम तुम्हारा चरित स्वयं ही काव्य है,
कोई कवि बन जाय सहज संभाव्य है ।

૧૯૯૨-૯૩ની વાત આ તો છે. વચલાં વર્ષોમાં પ્રવૃત્તિલક્ષી લેખન, જેમાં પદયાત્રાની વાસરીથી માંડી ચેક ને બાંગ્લા પ્રજાઓની લોકલડતનુંયે આલેખન હોય, ચાલતું રહ્યું હશે એની વચ્ચે ૧૯૬૭માં ‘સંત સેવતાં સુકૃત વાધે’ એ ગાંધી આસપાસનાં સંસ્મરણોનું પુસ્તક આવ્યું તે સાથે સાહિત્યમાં એમનો સિક્કો પડવા લાગ્યો. પ્રકાશક મિત્ર ભાઈદાસ પરીખે સ્વામીદાદાને એના ફરમા મોકલ્યા હશે તે એમણે ‘એક જ બેઠકે વાંચી કાઢ્યા. સાવ પી જ ગયો. આખી ચોપડી એક ઊર્મિલ કાવ્ય સમી છે. ક્યાંક તો જાણે ટેનસિનનું ‘ઇન મેમોરિયમ’ ગદ્યમાં વાંચતા હોઈએ …’ અને વાતનો બંધ વાળતાં ઉમેર્યું : ‘… મન કૂદકો મારીને ઝડપી લે એવી ચોપડી વર્ષો કે દાયકાઓ પછી મેં વાંચી હોય તો તે આ. It is a remarkable performance. A rare piece of literry art in biographical writing, besides its historical value.’

સ્વામી આનંદે ઐતિહાસિક મૂલ્ય ધરાવતા ચરિત્રલેખનની જે સાહિત્યકળાની વાત કરી છે એનુ અનુત્તમ ઉદાહરણ અલબત્ત આકર ગાંધીચરિત્ર (‘મારું જીવન એ જ મારી વાણી’) : ઑક્ટોબર ૧૯૯૯થી જાન્યુઆરી ૨૦૦૩ સુધીની એટલે કે ત્રણ વરસ અને ચાર મહિનાની એકાસને ચાલેલી આ લેખનતપસ્યા એક જુદો જ ઇતિહાસ છે. હમણાં એની તપસીલમાં નહીં જાઉં.

માત્ર, એટલું સંભારું, સાભિપ્રાય સંભારું કે બૃહદ્દ ચરિત્ર, કહો કે મહાકાવ્યોપમ ફલક પરનું કામ પાર પાડ્યા પછી આ હાડના શિક્ષકને એમ થયું કે નહીં વાંચી શકનારાઓ અને વાંચવાનો સમય નહીં કાઢી શકનારાઓ ગાંધીને જાણશે કેવી રીતે. આયુષ્યના અવશેષે, લગભગ એંશીમે, ખરું જોતાં અવશેષે નહીં પણ ચરમોત્કર્ષે, આ સંદર્ભમાં એમણે પરંપરાગત કથા-માધ્યમને નિયોજવાનું વિચાર્યું. લેખાયનના એક દોર પછી આમ એમનું લોકાયન શરૂ થયું.

નારાયણ દેસાઈ

આ દોર ચાલુ હતો અને ૨૦૦૭માં એમને ૨૦૦૪નો મૂર્તિદેવી એવૉર્ડ આવી મળ્યો. વીસે વરસે આ એવૉર્ડ ગુજરાતમાં આવ્યો હતો. ૧૯૮૭માં દર્શકની મનહર ને મનભર નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ પોંખાઈ હતી, અને હવે ‘મારું જીવન એ જ મારી વાણી.’ એક જો સ્વરાજસંગ્રામના ગાંધીયુગને વિશ્વસંદર્ભમાં જીવતો કરતી નવલકથા હતી, તો બીજી ખુદ ગાંધીની મહાકથા.

આ નિમિત્તે હું સામયિક નોંધ લખતો હોઈશ અને લંડનથી ‘ઓપિનિયન’–ખ્યાત વિપુલ કલ્યાણીનો ગુજરાતઆંગણે સમાનધર્મા સ્નેહીમિત્રો જોગ પત્ર આવી મળ્યો. એમણે ‘વિનમ્ર અરજ’ ગુજારી હતી કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે નારાયણ દેસાઈ હોવા જોઈએ. મિત્ર વિપુલ કલ્યાણીએ આ પત્રમાં ડૉ. ધીરુભાઈ ઠાકરને સાભિપ્રાય ટાંક્યા હતા : ‘નારાયણ દેસાઈ ઘણું છે. પણ એ સર્વથી અધિક, વિશ્વવિભૂતિ ગાંધીના ભવ્યોજ્જવલ જીવનને અક્ષરબદ્ધ કરીને ગુજરાતી સાહિત્યમાં તેની ચિરપ્રતિષ્ઠા કરનાર સમર્થ ચરિત્રકાર પણ છે. તેમની એ અક્ષરસેવા ગાંધીની સાથે ચિરસ્મરણીય બની છે.’ અને ‘ચાર ભાગમાં વિસ્તરેલું ‘મારું જીવન એ જ મારી વાણી’ ગુજરાતી ચરિત્રસાહિત્યની જ નહીં પરંતુ સમગ્ર અર્વાચીન ગુજરાતી સાહિત્યની અને સંસ્કારજીવનની મહત્ત્વની ઘટના ગણાવી જોઈએ.’

મૂર્તિદેવી એવૉર્ડ નિમિત્તે નોંધ લખતાં આ યોગ આવી મળ્યો એવો ઝડપ્યો – પ્રમુખપદ માટે એમના નામને બિનસંસ્થાકીય છેડેથી મેં પ્રગટ સમર્થન આપ્યું; કેમ કે એમની જે અભિનવ ઓળખ – એક લોકાયની તરીકેની સ્તો, એનું મને અદકું આકર્ષણ હતું. પછી તો, સંસ્થાકીય છેડેથી મિત્રો બંધારણીય પ્રક્રિયા મુજબ આગળ વધ્યા. આવે અવસરે રઘુવીરભાઈની સહજ મધ્યસ્થીથી સુવાણ પણ હોય જ. બીજાં પણ નામો હતાં,પણ એ સન્માન્ય સુહૃદોએ ઉમેદવારીપત્રમાં નામ મૂકવાની સંમતિ નહીં આપીને નારાયણભાઈ સારુ ગરવી ભૂમિકા સરજી. નજીકનાં વર્ષોની છતાં કદાચ યાદ નયે રહી હોય એવી આ તવારીખમાં જવાનું કારણ એટલું જ કે એક પ્રજાકીય સંસ્થા ક્યાં ક્યાંથી કેવી રીતે બળ મેળવે છે એવી, જે પ્રિયેષુ સૌભાગ્યફલા હિ ચારુતા, એનાં લોકશાહી ઓસાણ આપણને રહે.

નારાયણ દેસાઈનું પ્રમુખીય અભિભાષણ (ડિસેમ્બર ૨૦૦૭, ગાંધીનગર), શું કહેવું એને વિશે. એમાંથી કંઈક ટાંકું, એ પૂર્વે પ્રથમ પરિષદ પ્રમુખ ગોમાત્રિ સાંભરે છે :

‘બન્ધુજનો, આ યુગ, રાજકીય સાંસ્કારિક અને અન્ય વિષયના સમાજોનો છે. કોઈ સ્થાને કાઁગ્રેસો તો કોઈ સ્થાને કૉન્ફરન્સો, કોઈ સ્થાને ક્લબ નામે તો કોઈ સ્થાને એસોસિયશન નામે, સમાજો આ દેશમાં તેમ અન્ય દેશોમાં ભરાય છે, જ્યાં સર્વ પાસ આવા સતારના રણકારા સંભળાય છે, ત્યાં આપણા એકતારાનો ધ્વનિ પણ તેમાં ભળે અને સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં કાંઈક વૃદ્ધિ કરે, તો તે ચિત્ર દેખીતું સુન્દર જ છે … આ સૃષ્ટિમાત્રનો જડ-ચેતન-વ્યાપી એક નિયમ છે અને તે નિયમનું નામ Rhythmic Law – તાલબન્ધ અથવા અનુપ્રાસયોજના આપીએ તો સમજાય એવું છે. આપણી સાહિત્ય પરિષદ, આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યમાં આવા તાલબન્ધ નિયમના બળથી ઊભી થઈ છે…

‘… આવા તાલબન્ધ એક પાસથી દૃષ્ટિગોચર થાય છે, તો બીજી પાસથી તાલભંગનાં કઠોર ચિત્ર પણ દૃષ્ટિગોચર થયા વિના રહેતાં નથી … ધીમે ધીમે તાલભંગમાં પણ તાલબન્ધની જ સાંકળો દેખું છું … દાંડિયા રમનારા એકબીજાના દાંડિયા વડે ઝાપટે છે, તે જ રીતે તાલભંગવાળાના પ્રહારથી ઝપટાતા તાલબન્ધમાં અને તાલબન્ધને પ્રેરતા તાલભંગમાં હું કોઈ મહત્તર તાલબન્ધ દેખું છું …’

નારાયણ દેસાઈનું પ્રમુખીય અભિભાષણ તાલબન્ધની ખોજમાં, કહો કે Rhythmic Lawની મથામણમાં, સતારના રણકારા ને એકતારાના ધ્વનિ ભળી સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં શોધનપૂર્વકના સાતત્યથી વૃદ્ધિ કરવાની દિશામાં હતું. દર્શકે હૈદરાબાદ અભિભાષણમાં જેમ ખંડમાંથી અખંડ ભણી જવાનો મુદ્દો કીધો હતો, ના.દે.એ તેમ ગિરા ગુર્જરીને વિશ્વગુર્જરી બનાવવાની હોંશ પ્રગટ કરી હતી. ‘મારું જીવન એ જ મારી વાણી’ની તપસ્યા એકાસને માંડી ત્યારે એમણે ‘ગિરાગુર્જરીના સાદે’ તેમ કર્યાનું કહ્યું હતું. પરિષદની વ્યાસપીઠ, રિપીટ, પરિષદની વ્યાસપીઠ પરથી એક પૂર્વપ્રમુખ ગાંધીના અનુત્તમ અનાવિલ ચરિત્રકારને વિશ્વગુર્જરીથી ઓછું તો કશું ખપે જ શાનું.

આ સંદર્ભમાં એમણે વ્યક્ત કરેલા વિચારોનો એક દીર્ઘ અંશ અહીં ઉતારું છું :

વિશ્વની ક્ષિતિજો માપનાર સાહિત્ય કેવું હોય ? એ એવું હોય કે જેની આડે કોઈ વંડી કે વાડ ન આવતી હોય. જે સાહિત્ય જાતિના, સંપ્રદાયના, ધર્મના, રંગના, લિંગના, સ્વાર્થના કે રાષ્ટ્રના ભેદોને ભૂંસી શકે તે ભાષા વિશ્વની ભાષા બને. આપણે શું આ સંમેલનમાં ગુજરાતી ભાષાને વિશ્વગુર્જરી બનાવવાનો સંકલ્પ કરી શકીએ? વિશ્વસાહિત્યકારનું સાહિત્ય વિશ્વના બરનું હોવું જોઈએ અને એને માટેની મુખ્ય શરત એ છે કે સાહિત્યકારનું વ્યક્તિત્વ એ બરનું હોવું જોઈએ. આપણે ત્યાંની ભાષાઓમાં વ્યાસ, વાલ્મીકિ, કબીર, તુલસી, જ્ઞાનેશ્વર, ચૈતન્ય વગેરે એવા વ્યક્તિત્વવાળા થઈ ગયા કે જેમનું વાઙ્ મય જાગતિક સ્તરનું હતું. સાહિત્યકાર કરતાં એનું સાહિત્ય ઊંચું હોઈ શકે કે નહીં એ વિવાદમાં પડ્યા વિના અને સાહિત્ય અને સાહિત્યકારના ચારિત્ર્યને કશો સંબંધ હોય કે નહીં એ પ્રશ્ન તમારા નિર્ણય ૫૨ છોડી, હું અહીં મારો એ વિશ્વાસ વ્યક્ત કરવા માગું છું કે આપણે જો ગુજરાતી સાહિત્યને વિશ્વસ્તરનું બનાવવું હશે, અને બનાવવું છે – તો આપણે આપણાં વ્યક્તિત્વ પણ વિશ્વસ્તરનાં કરવાં પડશે, આપણા સંકુચિત વાડા તોડવા પડશે. તેમ કરવામાં આપણી અસ્મિતા ઘટવાની નથી; બલકે તે વધુ ઊંચી ઊઠશે. 

“આપણને એકબીજાંથી અલગ રાખનારી વાડો ગમે તેટલી સગવડવાળી હોય, ગમે તેટલી લોભામણી હોય, પણ તે આપણને સીમિત અને સંકુચિત જ રાખે છે. વાડો તોડવાનું કામ આપણને ક્રાંતિકારી લાગી શકે. આ ક્રાંતિ એવી છે કે જેની શરૂઆત આપણી જાતથી જ થાય છે અને આગળ જતાં એ વર્તુળ વધતું જશે. આપણે જાણ્યે – અજાણ્યે આપણી આસપાસ કૂંડાળાં બનાવતાં હોઈએ છીએ. એ કુંડાળું પોતાના અહંકારનું હોઈ શકે, બીજા વિષે દ્વેષ કે ઈર્ષાનું હોઈ શકે, પ્રતિસ્પર્ધાનું હોઈ શકે અને એનાં ક્ષેત્રો ચંદ્રક કે પુરસ્કાર, સમ્માન કે બહુમાન, પદ કે પદાધિકાર, સમિતિઓ કે સવલતો ને સગવડો હોઈ શકે. જે સાહિત્યકાર, કર્મચારી કે હોદ્દેદાર આવાં સંકીર્ણ કૂંડાળાંમાં ફસાયેલો રહેશે તે ગમે તેટલી નામના સાથે પણ કૂપમંડૂક જ રહેશે. એને પૃથ્વીની ક્ષિતિજ સૂઝશે જ નહીં. ગાંધી આપણને કહી ગયા છે કે સત્યને પ્રેમ સિવાય બીજી કોઈ રીતે પહોંચવું અશક્ય છે. પ્રેમ પૂરેપૂરો ત્યારે જ વ્યક્ત થઈ શકે જ્યારે માણસ પોતાની જાતને શૂન્યવત્ બનાવી દે. આ પહેલું સોપાન.

“પરિષદનું પરિસર, (વિનોબાની ભાષા વાપરી કહું તો) ‘પ્રેમક્ષેત્ર’, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સુધી વિસ્તરેલું હોવું જોઈએ. સંચારનાં માધ્યમો જ્યારે આટલાં વિપુલ અને સુલભ બન્યાં છે ત્યારે પરિષદ અમદાવાદની કે વડોદરાની, ગુજરાતની કે મુંબઈની એવા પ્રશ્ન જ ન ઊઠવા જોઈએ. આવા પ્રશ્નો ઊઠે છે એનો અર્થ જ એ થાય છે કે આપણું સામૂહિક વ્યક્તિત્વ એટલું ઊણું પડે છે, આપણે સૌએ બાંયો ખોલવી પડશે. કૂંડાળામાં જે જ્યાં ઊભું હોય ત્યાંથી એને તોડવું પડશે અને ગૂંચો ઉકેલવી પડશે.

“આદિવાસી સાહિત્ય અને બિનઆદિવાસી સાહિત્ય, દલિત સાહિત્ય કે બિનદલિત સાહિત્ય, મુસ્લિમ સાહિત્ય – બિનમુસ્લિમ સાહિત્ય – આ અને આવાં વિશેષણો જે બધાંનું વિશેષ્ય, ‘સાહિત્ય’ છે, તેને સંકુચિત કરે છે, સીમિત કરે છે. એ તમામ સીમાઓથી મુક્ત થઈ અને તમામનો ઉમળકાભેર સમાવેશ કરી આપણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ અને સમર્થ બનાવવું છે. વિશ્વસ્તર પર જવા માટેનું એ બીજું સોપાન હશે.

“ત્રીજું સોપાન આપણું ઓશિયાળાપણું કાઢવાનું છે – ખાસ કરીને શાસન પ્રત્યેનું ઓશિયાળાપણું. શાસન આપણને આર્થિક મદદ આપતું હોય, માન-મરતબા કે પુરસ્કારો આપતું હોય તો એની ગરજે આપે. તેથી આપણે આપણી સ્વતંત્રતા ગીરવી મૂકી ન શકીએ. શાસનની દેખીતી ભૂલો કે ઇરાદાપૂર્વક શાસને ભરેલાં ખોટાં પગલાં અંગે આંખ આડા કાન કરવા, ચૂપ થઈને બેઠાં રહેવું કે એ પોતાનો વિષય નથી એમ માનીને મૌન જાળવવું એ બધું ઓશિયાળાપણામાં આવી જાય. ઓશિયાળી વ્યક્તિ પોતે તો પોતાનું સમ્માન ગુમાવે જ છે પણ જેની તે ઓશિયાળી બને છે તેને પણ નૈતિક રીતે નીચે લાવે છે. બીજાને હીન દેખાડનાર અથવા બીજા પ્રત્યે તુચ્છકારભર્યો વ્યવહાર ક૨ના૨ પોતે કદી નૈતિક રીતે ચડિયાતો સિદ્ધ થતો નથી, હેઠે જ પડે છે. એક દાખલો લઈએ. સાહિત્ય, કળા કે સંસ્કૃતિને લગતી સંસ્થાઓમાં તે-તે વિષયના કળાકારો જ ચૂંટાઈને જાય એ સર્વથા ઇષ્ટ છે. આપણે ત્યાં એને સારુ ઉમાશંકર અને દર્શક જેવાઓએ જહેમત પણ ઉઠાવી છે. જો કોઈ પણ શાસન આમ પ્રતિનિધિઓની સંસ્થાને પોતાના નીમેલા પ્રતિનિધિઓથી જ ભરવા માગે અથવા બીજી રીતે દખલગીરી કરે અને એ અંગે આ સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ચૂપ બેઠા રહે તો એને ઓશિયાળાપણું કે લાચારી કહેવાય. આવી લાચારીને ફગાવી દેતાં આપણે શીખીશું તો જ ગુજરાતી સાહિત્યકારનું ખમીર પ્રગટશે. અને વિશ્વગુર્જરી બનાવનાર સાહિત્યકાર ખમીરવંતો તો હોવો જ જોઈએ ને?

“આ અંગે મારી એક ચિંતા વ્યક્ત ક૨વા ઇચ્છું છું. ગુજરાતીના ‘શિષ્ટ’ સાહિત્યનો વ્યાપ હજી ઘણા મર્યાદિત વર્ગ સુધી જ પહોંચવા પામ્યો છે. આપણી કવિતા, આપણી વાર્તા, આપણી નવલકથાનું વિષયવસ્તુ મુખ્યત્વે શહેરો કે કસબાઓના મધ્યમ વર્ગના માનસથી કેટલું આગળ વધ્યું છે ? આપણી પહોંચ હજી ગામડાં સુધી ય માંડ ગઈ છે. આદિવાસી, દલિત, મુસ્લિમ સમાજનું જીવન આપણા સાહિત્યનું ક્ષેત્ર ભાગ્યે જ બનવા પામ્યું છે. નારીના પ્રશ્નો – મધ્યમ વર્ગની નારીના પ્રશ્નો સુધ્ધાં – આપણે નારીવાદી લેખિકાઓ કે કવયિત્રીઓ પૂરતા મર્યાદિત નથી રાખ્યા ? મારા આ વિધાનમાં થોડા જનરલાઈઝેશન – નો અંશ છે, એ હું સ્વીકાર કરું છું. એટલે કે આ બાબત કેટલાક અપવાદ છે, એમ આપણે દેખાડી શકીએ એમ છીએ. પણ આ અપવાદો જ શું સામાન્ય પ્રવર્તતી પરિસ્થિતિના દ્યોતક નથી ? બીજી રીતે જોઈએ તો આપણું આજનું સાહિત્ય આપણા આજના વેવિખેર થતા સમાજના દર્પણ સમું જણાય છે. એમાં અમદાવાદ શહેરના અન્ય ભાગોથી જુહાપુરા અલગ દેખાય છે, દલિતોનું દરદ એમને મુખે જ બોલે છે; અને આદિવાસી સાહિત્ય તો જાણે કે આપણી પૂર્વપટ્ટીની ટેકરીઓની પછવાડે જ લપાઈ રહ્યું હોય એમ નથી લાગતું ? કોઈક કહેશે કે આમાં એ વર્ગોની પણ નબળાઈ છે, જે વર્ગો પૂરતું માથું નથી ઊંચકતા. પરંતુ આ દલીલ તો પેલા સામ્રાજ્યવાદીઓ જેવી લાગે છે કે જે કહેતા રહેતા કે અમે તો સ્વતંત્રતા આપવા રાજી છીએ, સંસ્થાનોની વસ્તી જ એને સારુ લાયક નથી બની.

“જે પોતાને સાહિત્યકાર માને છે તેની જવાબદારી સમાજનાં અંગેઅંગ સહિત પોતાની હૃદયભાવના જોડવાની છે. ગુજરાતી સાહિત્યકારની કલમે સમગ્ર ગુજરાતનાં હર્ષશોક, વેદના-આનંદ, આશા-આશંકા, મનોકામના ને મનોરથો મુખર થવાં જોઈએ. પાંચ કરોડ જનતા વતી બોલવાની જવાબદારી ગાંધીનગરમાં વિરાજમાન કોઈ એક વ્યક્તિની નહીં, પણ ગિરાગુર્જરીના સૌ સેવકોની હોવી જોઈએ. એમ ન થાય ત્યાં સુધી ગુજરાતી સાહિત્ય ગમે તેટલો ગર્વ ભલે લે, ગૌરવ લઈ શકે નહીં.

“ગુજરાતી સાહિત્યનું ગજું આપણે વિશ્વસાહિત્ય સુધી લઈ જવું છે. એનું એક પગલું આપણા વ્યક્તિત્વને તપાસી, કઠોર આત્મપરીક્ષણ કરી, એને સ્વચ્છ, ઉદાર અને ઉદાત્ત બનાવી આખા ગુજરાતી સમાજની ઊર્મિઓને અભિવ્યક્તિ આપતું કરવું એ છે.

“આપણે આપણી ભાષા અને સાહિત્યનું સ્તર ઊંચું લાવવું હશે તો ગુજરાતની પ્રજાના ગંભીર પ્રશ્નો અંગે આપણી નિસબત કેળવવી પડશે. જે પ્રજાનાં સુખદુઃખનો ભાગીદાર થાય એ જ પ્રજાનો સાહિત્યકાર બને. જે પ્રજાનાં પાપ-પુણ્યને પોતાનાં ગણે એનામાં જ પોતાના સાહિત્યને પુણ્યશાળી બનાવવાનું સામર્થ્ય આવી શકે. આ પ્રસંગે હું મારી વ્યક્તિગત નિસબતની વાત કહેવા ઇચ્છું છું. એને વ્યક્તિગત એટલા સારુ કહું છું કે બીજા એના ભાગીદાર ન હોય તો હું તેને આપણી નિસબત કહી ન શકું. જો કે હું ઇચ્છું ખરો કે આપણા સૌની, ગુજરાતના સૌ વિચારવંતોની તે નિસબત બને. મને સન ૨૦૦૨માં જે કાંઈ બન્યું એ મહાપાતક લાગે છે, આમ કહેતાં મારું હૃદય આજે પણ ચિરાય છે. હૃદય એટલા સારુ ચિરાય છે કે એ મહાપાતકમાં મારો પણ ભાગ છે એમ મને લાગ્યા કરે છે, સમાજનો કોઈ પણ માણસ સમાજમાં એક જગાએ પણ માણસાઈને હેઠે ઉતારે એવું કૃત્ય કરે તો જે પોતાને એ સમાજનો નાગરિક માનતો હોય તે પણ એ કૃત્ય સારુ અમુક અંશે જવાબદાર બને છે. ભરેલા સરોવ૨નું પાણી કોઈ પણ જગાએ ખાલી થાય તો તેથી આખા સરોવરના પાણીની સપાટી નીચી જાય, તેમ સમાજમાં ક્યાં ય પણ પાપ થાય તો તેનાથી આખા સમાજનું નૈતિક સ્તર એટલું નીચે જાય છે. હું મારી જાતને ૨૦૦૨ના મહાપાતકનો એ અર્થમાં ભાગીદાર ગણું છું. ૨૦૦૨ના મહાપાતકમાં જે લોકો રેલગાડીમાં બળી મર્યાં, તે તથા બીજા જે મૃત્યુ પામ્યાં, જે આગમાં હોમાયાં, જેમનાં ઘર બળ્યાં, જેમનાં માસૂમ બાળકોને રહેંસી નાખવામાં આવ્યાં, જેમની દીકરીઓને આગમાં ફેંકવામાં આવી, એમને સારુ કોઈ પણ સહ્રદયને દુ:ખ થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ ઘટનાના વધુ ઊંડાણમાં જઈએ તો આ ઘટનાના શિકાર બનનારાંઓ સારુ જેમ રડવું આવે એમ છે, તેમ એના શિકારી સારુ પણ રડવું આવે એમ છે. જે બળી મૂઆ કે બીજી રીતે કતલ થયાં તે તો ગયાં તે ગયાં. પણ જેણે હિંસા આચરી અને જેમણે એ હિંસા આચરવા દીધી એનો અંતરાત્મા તો આજ લગી ડંખતો હશે. એણે એને અંગે માફી નહીં માગી હોય તો પણ એના અંતરને કોઈક ખૂણે એના પાપનો ડંખ તો હશે. એના હૈયાની હોળી પેલી એક દિવસની હોળી કરતાં ઓછી નહીં હોય. હું કબૂલ કરું છું કે આ મારી શ્રદ્ધાનો વિષય છે. બાહ્ય ઘટનાઓ એને કોઈ વાર ખળભળાવી શકે છે, કોઈ વા૨ હચમચાવી શકે છે, પણ એને ઉખાડી નથી શકતી.

“આપણે એ પણ સમજવું જોઈએ કે પાપ એ મારકાપ, હત્યા, બાળઝાળ, બળાત્કાર જેવાં કર્મોથી થાય છે. પણ એ કૃતિને ટેકો આપવા સારુ જ્યારે એનું તત્ત્વજ્ઞાન બને છે ત્યારે તે પાપ બેવડાય છે. વેર વાળવું સ્વાભાવિક માનવામાં આવે છે ત્યારે વળી એ પાપ ત્રણગણું થઈ જાય છે. અને જે શરમજનક ઘટના છે તેનો જ્યારે ગર્વ લેવામાં આવે છે ત્યારે તે પાપ ચોગણું થાય છે.

“આવા ઘોર પાપમાંથી આપણે સાવ તાજેત૨ના ઇતિહાસમાંથી પણ પસાર થયાં છીએ. સમાજના પાપને હું જેટલે અંશે મારું માની શકું છું તેટલે અંશે આ પાપનો હું મને પોતાને પણ ભાગીદાર માનું છું અને એમાંથી મુક્ત થવાના મારાથી બનતા પ્રયાસો મેં કર્યાં છે. 

“આ વર્ષના પાછલા ભાગમાં એક સામાજિક પાપ બંગાળના નંદિગ્રામમાં થયું ત્યારે ત્યાંના સાહિત્યકારોએ તરત એનો વિરોધ કર્યો – કેટલાકે સ૨કારી માનચાંદ પાછાં આપીને એ વિરોધને વધુ મુખર કર્યો. ગુજરાતમાં ઘટેલી દુર્ઘટના નંદિગ્રામના ગોળીબારથી સેંકડોગણી વધારે અમાનવીય હતી. તે વખતે આપણું પણ હૈયું હચમચ્યું હતું એવું આશ્વાસન આપણે પોતાની જાતને એ ઘટના પછી લાંબે ગાળે ‘ભાવભૂમિ’ પ્રકાશિત કરીને આપી શકીએ ખરા ? ગુર્જરગિરાની ગરિમા વધારવી હોય તો એના સારસ્વતોએ આત્મસંતોષ કે આત્મવંચનાને ખંખેરી નાખીને પોતે કેટલાં પાણીમાં છે તે તપાસવું પડશે. જે સત્ય ખાતર કાંઈક ખોવા તૈયાર હશે તેનામાં જ ખમીર દેખાશે.

“મલયાલમ સાહિત્યનું વેચાણ આજે કદાચ આખા દેશના પ્રાદેશિક સાહિત્ય કરતાં વધારે હશે, એનું એકમાત્ર કારણ એ નથી કે કેરળમાં બીજા પ્રદેશો કરતાં સાક્ષરતા વધારે છે. એનું એક મોટું કારણ એ પણ છે કે ત્યાં છેલ્લા બેત્રણ દસકાથી સાહિત્યકારો સામાજિક પ્રશ્નો સાથે શ્વસે છે. સાહિત્ય જ્યારે સામાજિક સમસ્યાઓની સાચી અભિવ્યક્તિ કરતું થાય છે ત્યારે જ તે સમૃદ્ધ ને ઉદાત્ત બને છે અને પોતાના સમયનો પડકાર ઝીલવાને કાબેલ બને છે. સમાજના પ્રશ્નો સાહિત્યને જીવંત બનાવે છે અને સમાજાભિમુખ સાહિત્ય સમાજને ટટ્ટાર બનાવે છે.

“આપણે આત્મશક્તિનું ભાન કેળવવું પડશે. આપણે એવું વિચારીએ છીએ ખરા કે શાસન કરતાં સાહિત્ય વધુ શાશ્વત છે ? શેક્સપીઅરે પોતાનું પ્રથમ અગત્યનું કાવ્ય ‘વીનસ એન્ડ એડોનિસ’ સાઉથમટનના જે અર્લને અર્પણ કર્યું હતું તેને આજે કોણ યાદ કરે છે ? રાજા ભોજ કરતાં કાલિદાસની ખ્યાતિ વધુ ચિરંજીવ છે. અકબર બાદશાહ કરતાં તુલસીદાસ આજે ઘણા વધારે મોટા સમુદાયના હૈયામાં વસે છે. સાહિત્યનું ગૌરવ સાહિત્યની ગુણવત્તાથી વધે છે. તત્કાલીન શાસન દ્વારા એને અપાયેલ સમ્માનથી નહીં, એટલું જો સાહિત્યકાર સમજી જશે તો એ સાહિત્યની સાચી સેવામાં મન પરોવશે અને ઘણા ક્ષુદ્ર રાગદ્વેષોથી બચી જશે.

“સમાજના સળગતા પ્રશ્નોમાં જ્યારે સાહિત્યકાર રસ લેવા માંડશે ત્યારે એ કાંઈ જરૂરી નથી કે એ જાતે કર્મશીલ બને. વિક્ટર હ્યુગો કે ગોર્કીના સાહિત્યે અનેક કર્મશીલોની ગરજ સારી હતી. કર્મશીલનું જોમ જેટલું સાહિત્યકારની કૃતિઓમાં દેખાશે એટલી એની કૃતિઓ તેજસ્વી બનશે અને સાહિત્યકારની સંવેદનશીલતા અને લાલિત્ય જેટલાં કર્મશીલમાં આવશે તેટલી એના કર્મમાં સુસંસ્કારિતા આવશે. કર્મશીલ અને સાહિત્યકાર વચ્ચે પારસ્પરિકતાને અભાવે ઘણી વાર સાહિત્ય નિસ્તેજ અને કર્મશીલતા સંસ્કારિતામાં ઊણી ઊતરતી દેખાય છે. આખી પ્રજાની વેદના જ્યારે આપણા સાહિત્યમાં સ્થાન પામે છે ત્યારે એ સાહિત્ય ધરતી પર નક્કર પગલાં માંડતું છતાં ઊંચે આકાશમાં મસ્તક રાખી દૂરદૂરની ક્ષિતિજો ભાળતું જણાય છે.”

મારો કાર્યકાળ, સહજક્રમે સંકેલાવામાં છે ત્યારે પૂર્વપ્રમુખ ના.દે.ના શતાબ્દીપ્રવેશને સંભારી આ થોડીએક હૃદયવાર્તા સતત ચાલતી પ્રક્રિયામાં સંબલરૂપે.

પ્રગટ : “પરબ”, ડિસેમ્બર 2023; પૃ.
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

ગુમરાહ : ખૂબસૂરત મોડ પર છોડવામાં આવેલી એક કહાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 December 2023

રાજ ગોસ્વામી

1954માં, બિમલ રોયે શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પરથી બનાવેલી “બિરાજ બહુ” ફિલ્મમાં કામિની કૌશલે એક એવી સ્ત્રીની ભૂમિકા કરી હતી જે અનેક સંકટો વચ્ચે પણ પરિવારને અખંડ રાખવા પ્રયાસ કરે છે. એવું જ કંઇક કામિનીના અંગત જીવનમાં પણ બન્યું હતું. તેની મોટી બહેન ઉષાનું એક કાર અકસ્માતમાં અવસાન થયું, ત્યારે તેની બે અનાથ દીકરીઓનાં લાલનપાલન માટે થઈને કામિનીએ ઉષાના પતિ બી.એસ. સૂદ સાથે લગ્ન કરી લીધાં હતાં.

ઉમા કશ્યપ હજુ કોલેજમાંથી બહાર જ આવી હતી અને ચેતન આનંદની “નીચા નગર”(1946)માં કામિની કૌશલ તરીકે પદાર્પણ કર્યું હતું (ફિલ્મમાં ચેતન આનંદનાં પત્ની ઉમા આનંદ પણ હતાં એટલે ઉમાનું નામ કામિની કરી દેવામાં આવ્યું હતું), ત્યારે જ મોટી બહેન સાથે દુર્ઘટના ઘટી હતી.

જીજાજીમાંથી પતિ બનેલા બી.એસ. સૂદ (જે બોમ્બે પોર્ટ ટ્રસ્ટમાં મુખ્ય ઈજનેર હતા) જાણતા હતા કે કામિનીએ પ્રેમ નહીં પણ ફરજ માટે આ લગ્ન કર્યા હતાં એટલે તેમણે તેને તેની ફિલ્મ કારકિર્દીમાં આગળ વધવા તમામ ટેકો આપ્યો હતો.

કામિનીએ આ નિર્ણય અંગે એક વાર કહ્યું હતું, “હું મારી બહેનને ખૂબ જ પ્રેમ કરતી હતી. મને ડર હતો કે મારી ભત્રીજીઓ, જે લગભગ બે અને ત્રણ વર્ષની હતી, માતા વિના એકલી પડી જશે. મેં કોઈ બલિદાન નહોતું આપ્યું. તે એક આદર્શ ઉકેલ હતો. મને એટલો જ ડર હતો કે શું હું જવાબદારી નિભાવી શકીશ કે નહીં. મારા પતિ એક નમ્ર અને શિષ્ટ વ્યક્તિ હતા.”

કામિનીની ફિલ્મી સફર સફળ હતી એટલું જ નહીં, દિલીપ કુમારને કામિનીથી પ્રેમ પણ થઇ ગયો. કામિનીએ બહેનના પરિવારની ફરજના ભાગ રૂપે એ પ્રેમને જતો કર્યો. એક ઇન્ટરવ્યૂમાં તે કહે છે, “’બિરાજ બહુ”માં ભૂમિકા ભજવતી વખતે હું ઘણી વખત રડી પડી હતી. મારા પાત્રમાં પ્રામાણિકતાની ભાવના હતી. તેને વિશ્વાસ હતો કે તેનો પતિ (અભિ ભટ્ટાચાર્ય) તેને બેવફા ગણીને ત્યજી નહીં દે”.

દિલીપ કુમારે બન્ની રુબેનના જીવનચરિત્ર “દિલીપ કુમાર-સ્ટાર લિજેન્ડ ઓફ ઇન્ડિયન સિનેમામાં પોતાના પ્રથમ પ્રેમભંગને યાદ કરતાં કહ્યું હતું કે, “તે (કામિની) એકમાત્ર એવી વ્યક્તિ હતી જેની સાથે મેં સંપૂર્ણ આત્મીયતા અનુભવી હતી. મને લાગે છે કે દરેક વ્યક્તિ માત્ર એક જ વાર પ્રેમમાં પડે છે.”

કામિની કૌશલના અંગત અને વ્યવસાયિક જીવનની આ વિડંબના પર, 1963માં બી.આર. ચોપરાએ “ગુમરાહ” ફિલ્મનું નિર્માણ કર્યું હતું. તમને તેનું એ ગીત અને દૃશ્ય યાદ છે? એમાં, અશોક કુમાર ઘરમાં એક પાર્ટી વેળા સુનીલ દત્તને ગીત ગાવાની ફર્માઈશ કરે છે. ઘરમાં માલા સિંહા પણ છે, જે વર્તમાનમાં અશોકની પત્ની છે, પણ ભૂતકાળમાં સુનીલની પ્રેમિકા હતી. સુનીલ પિયાનો પર એક ગીત ગાય છે, જે આજે 30 વર્ષ પછી પણ અનેક યુવા જિંદગીઓમાં હૃદયભંગના “રાષ્ટ્રગીત” જેવું છે :

ચલો એક બાર ફિર સે, 

અજનબી બન જાયેં હમ દોનો.

“ગુમરાહ” ફિલ્મની ખૂબસૂરતી જ એ હતી કે, પ્રણય ત્રિકોણનો ચવાયેલો વિષય હોવા છતાં, ચોપરા સાહેબે બેવફાઈનો ભોગ બનેલા પતિ, બેવફાઈ કરનાર પત્ની અને કમનસીબ પ્રેમી માટે દર્શકોના દિલમાં સહાનુભૂતિ ખીલવી દીધી હતી. સાહિર લુધિયાનવીના હૃદયસ્પર્શી શબ્દો, રવિની અવિસ્મરણીય ધૂન અને મહેન્દ્ર કપૂરના ઉદાસ અવાજે આ ગીતને જ નહીં, ફિલ્મની પૂરી વાર્તાને એક મર્મસ્પર્શી ઊંચાઈ બક્ષી દીધી હતી.

1963નું વર્ષ હિન્દી ફિલ્મોની નાયિકાઓ માટે મહત્ત્વપૂર્ણ વર્ષ માનવામાં આવે છે. એ વર્ષે ત્રણ મોટી નાયિકા પ્રધાન ફિલ્મો આવી હતી –  “બંદિની”, “યે રાસ્તે હૈ પ્યાર કે” અને “ગુમરાહ”- જેમાં મહિલા કેન્દ્રમાં હતી, અને જે સ્ત્રીઓ માટે નિર્ધારિત પરંપરાગત માર્ગથી ફંટાઈ જતી હતી.

“ગુમરાહ” એ સમયની એક સાહસિક અને બિનપરંપરાગત ફિલ્મ હતી. એક પરિણીત નાયિકા તેના ભૂતકાળને ભૂલવા અસમર્થ છે અને જ્યારે તેના પ્રેમીનું તેના જીવનમાં ફરીથી આગમન થાય છે, ત્યારે તે પતિથી છુપાવીને તેને મળવાનું શરૂ કરે છે.

મીના (માલા સિંહા) અને કમલા (નિરુપા રોય) બંને બહેનો છે. કમલાનાં લગ્ન મુંબઈના વકીલ અશોક (અશોક કુમાર) સાથે થયેલાં છે અને મીના નૈનીતાલમાં એક ગાયક કલાકાર રાજેન્દ્ર (સુનીલ દત્ત) સાથે લગ્ન થવાનાં સપનાં જુવે છે.

કમલા બંનેનાં લગ્ન કરાવવાની ફિરાકમાં છે અને ત્યાં જ અકસ્માતે અવસાન પામે છે. બહેનનાં બાળકોનું ભવિષ્ય બગડશે એવા ડરથી મીના તેના પ્રેમનું બલિદાન આપે છે અને જીજાજી સાથે લગ્ન કરીને મુંબઈ જતી રહે છે.

વર્ષો પછી રાજેન્દ્ર મીનાની તલાશમાં મુંબઈ પહોંચે છે અને ફરીથી પરણિત પ્રેમિકાના જીવનમાં પ્રવેશે છે. બંને ખાનગીમાં મળવાનું શરૂ કરે છે. દરમિયાનમાં, લીલા (શશીકલા) નામની એક મહિલા પોતે અશોકની પત્ની છે તેવો દાવો કરીને મીનાનો પીછો કરીને તેને પકડી પાડે છે અને બ્લેકમેલ કરે છે.

મીનાને જ્યારે ખબર પડે છે કે તે અશોકની પત્ની નથી, ત્યારે તે તેનું ખૂન કરવા પ્રયાસ કરે છે, પણ છેલ્લી પળે અશોક મીનાને રોકી દે છે અને ઘટસ્ફોટ કરે છે કે લીલા તેની સેક્રેટરી છે અને તેણે જ તેની પાસે મીનાની જાસૂસી કરાવી હતી. ઉદારતા કહો કે નારાજગી, અશોક મીનાને કહે છે કે તે રાજેન્દ્ર સાથે જઈ શકે છે.

અહીં સુધી તો ફિલ્મ અસાધારણ રીતે “બોલ્ડ” કહેવાય તેવી છે, પરંતુ તે વખતના સમાજને જોતાં ફિલ્મનો અંત લોકો માટે એવી રીતે સ્વીકાર્ય હોવો જોઈએ, જેમાં લગ્નની પવિત્રતા બરકરાર રહે, અને તેના માટે હૃદયના બદલે કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડે (જેવું કામિની કૌશલે કર્યું હતું).

એટલે, ચોપરા સાહેબે મીનાને લાગણીઓમાં “ગેરમાર્ગે” દોરવાયેલી બતાવીને કર્તવ્યનિષ્ઠ પત્ની અને માતાની ભૂમિકામાં પાછી ફરતી બતાવી હતી. ફિલ્મના અંતે, જયારે મીના તેના દરવાજે આવેલા રાજેન્દ્રને એમ કહે છે કે, “યહાં કોઈ મીના નહીં રહેતી હૈ, એ મિસિસ અશોક કા ઘર હૈ,” ત્યારે સિનેમા હોલમાં દર્શકોએ તાળીઓ પાડીને તેને વધાવી લીધી હતી.

“ગુમરાહ” અત્યંત સફળ સાબિત થઇ તેનું એક કારણ તેનો આ અંત પણ હતો. વર્ષો પછી, મહેશ ભટ્ટે એકટર પરવીન બાબી સાથેના તેમના પ્રેમ સંબંધ પર “અર્થ” નામની ક્રાંતિકારી ફિલ્મ બનાવી, ત્યારે તેમની નાયિકા પૂજા (શબાના આઝમી), તેના પતિને તેની બેવફાઈ બદલ માફ કરીને પાછી લગ્ન જીવનનો દૌર સંભાળી લેવાને બદલે, પતિનું ઘર અને લગ્ન બંને ત્યજીને પોતાની આઝાદીને પસંદ કરે છે.

“ગુમરાહ”માં અશોક કુમાર, સુનીલ દત્ત ને માલા સિંહા ત્રણેનો અભિનય સક્ષમ હતો, પણ એમાં મેદાન મારી ગઈ હતી માલા સિંહા, જેને મોટા ભાગે રોતલ અને બિચારી સ્ત્રીઓની જ ભૂમિકાઓ આવી હતી. “ગુમરાહ”માં પહેલીવાર તેને એક એવી સ્ત્રીની ભૂમિકા કરવા મળી હતી જે કર્તવ્યનિષ્ઠ અને પ્રેમનિષ્ઠ બંને છે અને એ જ તેની અગ્નિપરીક્ષા સાબિત થઇ હતી.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 13 ડિસેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

क्या विधानसभा चुनाव, लोकसभा चुनाव का सेमीफाइनल हैं?

राम पुनियानी|Opinion - Opinion|15 December 2023

राम पुनियानी

हाल में संपन्न राजस्थान, मध्यप्रदेश, छत्तीसगढ़, तेलंगाना और मिज़ोरम के विधानसभा चुनावों में कई कारणों से पूरे देश की भारी दिलचस्पी थी. भाजपा पिछले दस सालों से केंद्र में सत्ता में है और उसने जो नीतियाँ लागू की हैं, उनका देश पर भयावह प्रभाव पड़ा है. चाहे वह नोटबंदी हो, जीएसटी हो या रातोंरात लागू किया गया कोरोना लॉकडाउन – सबसे आम जनता की खासी फजीहत हुई. देश में सरकारें और ज्यादा तानाशाह होती जा रही हैं और व्यक्तिगत स्वतंत्रताओं पर तरह-तरह की रोकें लगाई जा रही हैं. हंगर इंडेक्स में देश की गिरती हुई स्थिति और लोगों की बढ़ती परेशानियाँ बहुत कुछ बता रही हैं. भाजपा सरकार ने संविधान के अनुच्छेद 370 को कश्मीर से हटा दिया है. हमें बताया गया था कि इससे अतिवाद कम होगा. मगर ऐसा कुछ हुआ नहीं. देश भर में मुस्लिम अल्पसंख्यकों पर हमले जारी हैं और अलग-अलग स्थानों पर ईसाईयों के खिलाफ भी हिंसा हो रही है. इस पृष्ठभूमि में विपक्षी पार्टियों ने इंडिया गठबंधन का गठन किया. ऐसा कहा जा रहा था कि यह गठबंधन हमारे संविधान में निहित ‘आईडिया ऑफ़ इंडिया’ को संरक्षित रखने का प्रयास करेगा. सन 2024 के लोकसभा चुनाव के सिलसिले में इस गठबंधन से बहुत उम्मीदें थीं.

मगर ऐसा लगता है कि विधानसभा चुनावों के नतीजों ने इन उम्मीदों पर पानी फेर दिया है. कांग्रेस के राज्य-स्तरीय नेतृत्वों ने मनमानी करते हुए गठबंधन के अन्य दलों की उपेक्षा की. इससे दूसरी पार्टियाँ काफी नाराज़ हो गईं और गठबंधन के और मज़बूत होने की राह बाधित हो गयी. कांग्रेस केवल तेलंगाना में जीत हासिल कर सकी और हिंदी पट्टी के तीन राज्यों में उसे हार का सामना करना पड़ा. ये नतीजे चौंकाने वाले हैं क्योंकि अधिकांश एग्जिट पोल्स ने भविष्यवाणी की थी कि इन राज्यों में कांग्रेस का प्रदर्शन कहीं बेहतर रहेगा. इसलिए, कांग्रेस की हार एक पहेली बन गयी है.

यह सही है कि यदि कांग्रेस का अन्य राष्ट्रीय एवं छोटे दलों के साथ गठबंधन होता तो उसका प्रदर्शन बेहतर होता. फिर भी, इन राज्यों में उसकी हार का तर्कसंगत स्पष्टीकरण नहीं दिया जा सकता. लोकसभा चुनाव के लिए अपनी रणनीति बनाते समय इस पहलू पर इंडिया गठबंधन के सदस्यों को ध्यान देना होगा.

इन परिणामों का एक पक्ष यह भी है कि अधिकांश दक्षिण भारत भाजपा मुक्त हो गया है. कुछ टिप्पणीकारों का तर्क है कि भाजपा की हिन्दू राष्ट्रवादी राजनीति के प्रति समर्थन मुख्यतः हिन्दी-भाषी राज्यों या काऊ बेल्ट तक सीमित है. कांग्रेस और अन्य दलों को इस बात तथ्य की ओर भी ध्यान देना चाहिए कि उसके तमाम दावों के बावजूद भाजपा की स्थिति बहुत मजबूत नहीं है. यदि हम इन पांच राज्यों में डाले गए कुल वोटों की बात करें तो कांग्रेस को 4.92 करोड़ वोट मिले हैं जबकि भाजपा को 4.81 करोड वोट ही हासिल हुए हैं. इसके अलावा मिजोरम,जहां अभी तक एनडीए गठबंधन की सरकार थी, भी उसके हाथ से निकल गया है.

कांग्रेस पार्टी के कार्यकर्ताओं का मनोबल टूटने के बारे में भी कयास लगाए जा रहे हैं. यह कार्यकर्ताओं की त्वरित प्रतिक्रिया हो सकती है. लेकिन समय बीतने के साथ पार्टी कार्यकता, तेलंगाना की जीत और प्रतिद्वंद्वी भाजपा की तुलना में अच्छे खासे अधिक वोट हासिल करने को लेकर दुबारा जोश में आ सकते हैं. समय के साथ निराशा का भाव समाप्त हो जाएगा क्योंकि नेतृत्व स्थिति का सामना करने का हर संभव प्रयास कर रहा है. ‘भारत जोड़ो यात्रा’ इस दिशा में एक बड़ा कदम थी. पर्दे के पीछे कई कांग्रेस कार्यकर्ताओं द्वारा किए जा रहे कार्यों और जोश पुनर्जीवित होने से पार्टी के उत्साह पर सकारात्मक प्रभाव पड़ने की आशा की जा सकती है.

महत्वपूर्ण बिंदु यह है कि क्या वे सभी दल, जो इंडिया गठबंधन में शामिल थे, एक बार फिर गठबंधन के प्रति प्रतिबद्धता व्यक्त करेंगे? चुनाव के नतीजों से इंडिया गठबंधन को धक्का लगा है. इन तीन बड़े राज्यों में कांग्रेस की हार से कांग्रेस नेतृत्व चिंतन करेगा और उन गलतियों को सुधारने का प्रयास करेगा जिनके चलते गठबंधन के अन्य सदस्य नाराज हैं. विपक्षी दल यह अच्छी तरह जानते हैं कि वे अलग-अलग रहकर भाजपा की विशालकाय चुनावी मशीनरी का मुकाबला नहीं कर सकते. भाजपा के पास मानव संसाधन और धन प्रचुर मात्रा में हैं और उसमें दादागिरी करने की भी बहुत क्षमता है. मीडिया भी केन्द्र में सत्तारूढ़ पार्टी के चरणों में नतमस्तक है.

विपक्षी दलों को यह एहसास भी है कि भाजपा अकेली नहीं है. उसे आरएसएस के प्रचारकों और स्वयंसेवकों की पूरी सहायता उपलब्ध है. वे यह भी जानते हैं कि आरएसएस के सहयोगी संगठन वीएचपी, एबीव्हीपी, बजरंग दल, वनवासी कल्याण आश्रम और उससे जुड़ी अन्य संस्थाएं हर चुनाव में भाजपा की जीत सुनिश्चित करने में कोई कसर नहीं छोड़ते. चुनावी बांडों से प्राप्त अकूत धन, हिन्दू राष्ट्रवादी विचारधारा को एनआरआई का समर्थन और बड़े उद्योग समूह, जिन्हें भाजपा बहुत तरह की छूटें दे रही हैं, सब भाजपा के मददगार हैं. इस तथ्य से भी वे अवगत हैं.

विपक्षी दलों को यह अहसास भी है कि भाजपा देश को हिन्दू राष्ट्र बनाने की ओर ले जाना चाहती है. वह खुलकर और दबे-छुपे ढंग से भारतीय संविधान के मूल्यों को कमजोर कर रही है. ईडी, आयकर विभाग व सीबीआई का विपक्षी पार्टियों के नेताओं को प्रताड़ित करने में जिस तरह दुरुपयोग किया जा रहा है, वह भी इन पार्टियों को एक साथ लाने में मददगार होगा. हाँ, सभी को कुछ खोने और कुछ पाने के लिए तैयार रहना होगा. कांग्रेस का शीर्ष नेतृत्व, विशेषकर राहुल गाँधी और मल्लिकार्जुन खडगे, मिलकर चुनाव लड़ने के लिए ज़रूरी त्याग करने के लिए तैयार हैं. विधानसभा चुनावों में वे भले ही राज्य स्तरीय नेतृत्व को सभी पार्टियों के साथ सहयोग करने के लिए राजी न कर पाए हों लेकिन लोकसभा चुनाव में ऐसा नहीं होगा. राहुल गाँधी ने कहा है कि विपक्ष को एक रखने के लिए कांग्रेस कोई भी त्याग करने के लिए तैयार है. उन्होंने बिलकुल ठीक कहा है कि आने वाला आम चुनाव केवल चुनाव न होकर वैचारिक युद्ध होगा.

अभी ऐसा लग सकता है कि विभिन्न विपक्षी दल अलग-अलग दिशा में भाग रहे हैं. मगर सम्भावना यही है कि लोकसभा चुनाव की औपचारिक घोषणा से पहले ही इंडिया गठबंधन की मज़बूत बना लिया जायेगा और वह भाजपा-आरएसएस की विघटनकारी राजनीति से मुकाबला करने में सक्षम हो जायेगा. बहुसंख्यकवादी राजनीति द्वारा जिस ढंग की नफरत फैलाई जा रही है वह प्रजातंत्र को लम्बे समय तक जीवित नहीं रहने देगी. विपक्ष को यह समझना चाहिए कि शैक्षणिक संस्थाओं सहित राज्य तंत्र की विभिन्न संस्थाओं में हिन्दू राष्ट्रवादियों की घुसपैठ गंभीर चिंता का विषय है.

इन सारे मुद्दों पर विचार कर विपक्ष एक होगा, हम यह मान सकते हैं. और अगर वह एक हो गया तो चुनाव जीतना उसके लिए बहुत मुश्किल नहीं होगा. चुनाव में विजय, देश को हिन्दू राष्ट्रवादी एजेंडा के चंगुल से निकलने की दिशा में पहला कदम होगा.

12/12/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनलहार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

...102030...728729730731...740750760...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved