Opinion Magazine
Number of visits: 9665451
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક સવાલ

વસુધા ઇનામદાર|Opinion - Opinion, Opinion - Short Stories|17 April 2024

આજ સવારથી જ અંબા ખુશ મિજાજમાં હતી. આજે નવરાત્રીની છેલ્લી રાત હતી. અંબાજી આવીને પોતાના નામને સાર્થક કરતી હોય તેમ અંબા ગરબે ઘૂમતી હતી. એને શોધતી એની મા આવી, પણ અંબાના નામે બૂમો પાડવાનો કોઈ અર્થ ન હતો ! ઝબકારા મારતી લાઈટો અને કાનના પડદા ફાડી નાંખે એવા નવરાત્રીના ગરબે ઘૂમનારાની વચ્ચે અંબાને શોધવા માટે, ગરબા પૂરા થવાની રાહ જોવા સિવાય બીજો ઉપાય જ નહોતો !

જ્યારે અંબા એની માને મળી, ત્યારે રાતના બે વાગ્યા હતા. બંને જણાં એકબીજાના હાથ પકડીને મંદિરના પરિસરમાંથી બહાર નીકળ્યાં. અંબાના પિતા એમની રાહ જોતા જાગતા હતા. પત્નીને અને દીકરીને જોતાં જ થોડી નારાજગીથી બોલ્યા, ‘અરે તમે લોકો આટલા મોડા કેમ આવ્યા? હું પણ ભજન મંડળીમાં ભજનો ગાઈને સત્સંગ કરીને વહેલો આવી ગયો, કાલે સવારે તો આપણે પાંચ વાગ્યાની ટ્રેન પકડીને માલપુર જવાનું છે ને તમે ……. ત્યાં પણ 12:00 વાગ્યાથી મેળો ભરાશે અને જો આ બધો સામાન ભજિયાં તળવાની કડાઈથી માંડીને આ ગોટા બનાવવાનો બધો સામાન મેં અહીંયા તૈયાર કરી રાખ્યો છે .ચાલો હવે જલદી સૂઈ જાવ !’

આમ અંબાનો પરિવાર જ્યાં જાય ત્યાં થોડા સમય માટે વસવાટ ઊભો કરી દેતો. મેળામાં થોડું ફરસાણ વેચી પેટિયું રળી ખાતાં ! એ જ એમનું હરતું ફરતું ઘર !

આસપાસનાં ગામોમાં થતા દરેક મેળામાં તેઓ જતાં, ક્યારેક ફરસાણ તો ક્યારેક રમકડાં કે ફુગ્ગા વેચી ગુજરાન ચલાવતાં. આઠદસ વર્ષની દીકરી ક્યારેક પૂછતી, ’બાપા આપણું ઘર ક્યાં ? ‘તે બળપૂર્વક હસીને કહેતા, ‘તું જ્યાં કહે ત્યાં; ‘પત્ની સજળ નેત્રે એ બંને સામે જોઈ રહેતી !

આજે અહીંથી જવાનું હતું. અંબા બાપાને પૂછતી હતી, ‘બાપા, આપણે ક્યાં જવાના અને કેમ ત્યાં જવાના? ત્યાં તમે શું કરશો ? એવા અનેક પ્રશ્નોના જવાબ આપતા થાકેલા પિતાએ કહ્યું, “અંબા, સવારે વહેલા ઊઠવાનું છે, હવે સૂઈ જા.” પણ અંબાએ કહ્યું  , ‘કે બાપા, મને ઊંઘ નથી આવતી, મને એક સવાલ સૂવા નથી દેતો. આપણે રોજે મજૂરી કરીએ તો પણ તો ખાવા અનાજ નથી, ને રહેવા માટે ઘર નથી ! મારી પાસે રમકડાં તો ક્યાંથી હોય !”

“આપણે મેળામાં કેટલું બધું કામ કરીએ છીએ, જેમતેમ કરીને પેટ ભરીએ છીએ, પણ આ મેળામાં ગાડી લઈને આવનારા પાસે તો બધું જ હશે ને? પોતાનું ઘર હશે, એ બધાં સરસ કપડાં પહેરીને આવે છે. એમની પાસે સરસ મજાનું ખાવાનું હશે, ઘણાં બધાં રમકડાં હશે, તેઓ સરસ મજાની મોટી મોટર ગાડીમાં બેસીને આવે છે, તો પછી બાપા, આ લોકો માતાજી પાસે શું માંગતા હશે?”

પિતા નિરુત્તર હતા. પિતાને સંજોગવસાત્‌ પોતાનું શિક્ષણ અધવચ્યે છોડવું પડ્યું, એનું દુ:ખ આટલાં વર્ષ પછી પણ ભૂલાયું નહોતું .પિતાને કહેવાનું મન થતું કે, બેટા આ લોકો બધા સુખની શોધમાં નીકળ્યા છે, આમ જોવા જઈએ તો સુખ સાપેક્ષ છે તેમ જ એ માનવ સ્વભાવની ઝંખના છે. પૈસાવાળાં બધા સુખી જ હોય એમ નથી, પણ ખરું સુખ શામાં છે તેની તેમને કદાચ ખબર નથી હોતી. એમની સુખની ટ્રેનમાં અપેક્ષાની સાંકળ ખૂબ લાંબી હોય છે, એટલે તેઓ સંતોષના સ્ટેશન સુધી પહોંચતા જ નથી ! એમના જીવનની ટ્રેનમાં સંતોષ નામનું સ્ટેશન જ્યારે આવે ત્યારે તેઓ કદાચ સાચા સુખને પામે એવું મને લાગે છે!

અંબા પોતાના સવાલનો જવાબ સાંભળતાં પહેલાં જ મનમાં ચાલતા સવાલને ઓઢીને સૂઇ ગઇ !

૪-૪-૨૦૨૪, સડબરી, બોસ્ટન
e.mail : mdinamdar@hotmail.com

Loading

રામાયણનાં પાત્રોની લીલાભૂમિ : વાયનાડ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 April 2024

વાયનાડ પાસે આદિ–પરંપરામાં એકાધિક રામકથા છે!

રામાયણના પ્રસંગો જ્યાં બન્યા એવાં અનેક સ્થળો વાયનાડ પાસે છે. આદિયા રામાયણ  રામાયણનાં દરેક પાત્રને વનવાસી રૂપે જુએ છે

એક લટાર, રામકથાઓની વૈવિધ્યભરી અપરૂપ સૃષ્ટિમાં. મળો આદિવાસી સમુદાયે, સીતાની સગર્ભાવસ્થામાં દાયિત્વ નક્કી કરવા સારુ જનસંસદમાં વૃક્ષે બંધાયેલ રામ–લક્ષ્મણને

પ્રકાશ ન. શાહ

અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં આજથી એક નવી શરૂઆત થશે : રામ લલ્લાના ભાલે સૂર્યતિલક થશે. ગુજરાતને ગાંધીનગર પડખે કોબાના જૈન તીર્થને પ્રતાપે આવા દેખંત કરિશ્માતી સૂર્યતિલકની નવાઈ નથી. પણ આજકાલ ઈનથિંગ સ્વાભાવિક જ અયોધ્યાનું રામ મંદિર છે. 

આ ક્ષણે જો કે અયોધ્યામાં નહીં અટવાતે હું સૂર્યતિલકના ઉજાસમાં દક્ષિણ દેશના ટેકરિયાળ ને વળી વનોએ આચ્છાદિત વાયનાડ પંથકની મુલાકાતના મિજાજમાં છું. પણ આ ક્ષણે મારું જે વાયનાડ તે તો રામાયણનાં પાત્રોની લીલાભૂમિ છે.

આપણા એટલે કે દેશના પરંપરાગત સામાજિક અગ્રવર્ગના એક નોંધપાત્ર હિસ્સાને સારુ રામાયણ કહેતાં સામે આવતા ગ્રંથ સ્વાભાવિક જ વાલ્મીકિ રામાયણ અને તુલસીકૃત રામચરિત માનસ છે.

જે બધાં સંશોધન થયાં છે એમાં સામે આવેલી એક વિગત એ પણ છે કે વાલ્મીકિ થકી જે એક શ્લોકબંધ ને સુશ્લિષ્ટ સ્વરૂપમાં આપણો રામાયણ સાથે મોંમેળો થયો તે પૂર્વે એકાધિક રામકથાઓ મૌખિક પરંપરામાં રમતી થઈ ચૂકેલી હતી – અને તે કંઈ તંતોતંત વાલ્મીકિય રામકથા મુજબ નયે હોય.

પણ રહો, તમે યાદ આપો એ પહેલાં મારે વાયનાડ પુગી જવું જોઈએ! આદિવાસી વસ્તીએ ઉભરાતા વાયનાડ પાસે આદિ-પરંપરામાં એકાધિક રામકથા છે, અને રામાયણના પ્રસંગો જ્યાં બન્યા કહેવાય છે એવાં એકાધિક સ્થળો પણ આ પંથક કને છે. ત્યાં વાલ્મીકિનું સ્થાનક પણ છે, અને ત્યાં સીતાએ આશ્રય લીધાની સાહેદી પણ મૌખિક પરંપરાએ મજબૂત છે.

સીતા રામને કોફી આપે કે હનુમાન લંકાદહન વાસ્તે કેરોસીનનો બંદોબસ્ત કરે એની આ આદિ-કથાનકોના હાલના રૂપમાં નવાઈ નથી. આ તો માનો કે ચાલુ સમય મુજબના ઈમ્પ્રોવાઈઝેશનની લહાણ હોય, પણ વાયનાડમાં એ નદી પણ છે જેની નજીક લંકા હતી. આદિ-પરંપરા માંહેલા ચેટ્ટી રામાયણ મુજબ વાયનાડ એ જ પંચવટીનો વિસ્તાર છે, નહીં કે નાશિક પાસે.

હમણાં લંકા સંદર્ભે નદીનો ઉલ્લેખ કર્યો એ આપણી ચાલુ સમજ પ્રમાણેના દરિયાનો અવેજ તો ક્યાંથી હોય? પણ સુપ્રતિષ્ઠ પુરાતત્ત્વવિદ્ હસમુખ સાંકળિયાના અધીન મતે લંકા મધ્ય પ્રદેશમાં હતી, જ્યાં દરિયો નથી. ભાઈકાકાને પણ ઇતિહાસ-સંશોધનમાં ઊંડો રસ હતો અને એમણે પણ પોતાના અભ્યાસ મુજબ લંકાને મધ્ય પ્રદેશમાં દર્શાવેલ છે. 

સંસ્કૃત ભાષાની રીતે જો કે આની એક સાદી સમજૂત એ હોઈ શકે કે સમુદ્રના અર્થોમાં સરોવર ને નદીનો પણ સમાવેશ થાય છે. (આ લખતાં સાંભર્યું કે ફારસીમાંથી ઉર્દૂમાં આવેલ ‘દર્યા’નો અર્થ નદી પણ થાય છે, અને દરિયો પણ.)

ફરી પાછા વાયનાડ જઈએ તો આ આદિવાસી વિસ્તારમાં (જેમ કર્ણાટકના ‘કોડાગુ’માં) રામાયણના કથાનકમાં સીતા વનવાસી છે, અને બીજાં પણ કેટલાંક પાત્ર : આ બધાં હાંસિયાજીવી, કહો કે છેવાડાનાં લોકોનાં સુખ-દુ:ખ ને રીતરિવાજને વાચા આપે છે. એક તબક્કે તો સગર્ભા સીતા પરત્વે જવાબદારી નક્કી કરવા સારુ સ્થાનિકો રામ-લક્ષ્મણને વૃક્ષે બાંધી સવાલજવાબ ને તપાસનો દોર ચલાવે છે. વાયનાડમાં લોકપરંપરા પ્રમાણે એ પાપનાશિની નદી પણ છે જ્યાં દશરથના અંતિમ સંસ્કાર થયા હતા. 

આપણે ત્યાં ગુજરાતમાં એમ તો ભીલી રામાયણ છે જ ને. આ ક્ષેત્રે સંશોધન એ ભગવાનદાસનું જીવનકાર્ય રહ્યું છે. એ વિગતવિશદ ફોડ પાડે તો, બને કે, વાલ્મીકિ ને તુલસીદાસ કરતાં કંઈક જુદું જ ઊપસી આવે – કમ સે કમ, ડ્રામાનંદ ઉર્ફે રામાનંદ સાગરના તો ફુરચેફુરચા ઊડી જાય!

ગમે તેમ પણ ફાધર બુલ્કેના અભ્યાસ પ્રમાણે ખરું જોતાં ઘણાં વધારે છતાં કમ સે કમ ત્રણસો રામાયણ તો છે જ. બેલ્જિયમથી ભારત આવી સ્થાયી થયેલા જેસુઈટ પાદરી કામિલ બુલ્કેનો અંગ્રેજી-હિંદી કોશ આખા હિંદીભાષી વિસ્તારમાં સર્વાધિક સ્વીકૃત ને પ્રચિલત છે, પણ એથીયે નમૂનેદાર તો એમનું તુલસી રામાયણ પરનું કામ છે. 

દૂર દેશથી મિશનવશ અહીં આવ્યા અને અહીંના જ થઈને રહી ગયા. કલકત્તા યુનિવર્સિટીમાંથી એમણે સંસ્કૃતમાં એમ.એ. કર્યું અને અલાહાબાદથી હિંદીમાં ડોક્ટરેટ મેળવી. વિષય હતો ‘રામકથા કા વિકાસ.’ એમના પટ્ટશિષ્યવત્ રાજ સાહે સુદૂર શિકાગો યુનિવર્સિટીમાં હિંદીનો ઈલાકો સાહ્યો અને ગુરુ બુલ્કે વિશે માનસભાષામાં કહ્યું : 

घोर बिदेस से मुनि एक आवा, सीया-राम का तत्त्व पढावा। 

तुलसी देह से, तुलसी आंगन, बैठ़े वहाँ प्रभु पान करावा।। 

કેટલાં બધાં રામાયણ છે, એની આપણે વાત કરતા હતા. મધ્ય પ્રદેશના કથિત અસ્પૃશ્ય સમુદાયનુંયે એક આગવું રામાયણ છે. કેરળના મુસ્લિમ સમુદાયનું વળી કાપિલા રામાયણ છે. ઈન્ડોનેશિયા, મલેશિયા વગેરેનાં પોતપોતાનાં રામાયણ છે. 

આપણે ત્યાં બૌદ્ધ પરંપરામાં જે દસરથ જાતક છે, પાલીમાં, તે મુજબ રાજધાની અયોધ્યા નહીં પણ વારાણસી છે. એ.કે. રામાનુજનના અભ્યાસનિબંધમાં આ બધી વિગતો આવી. સ્નાતક કક્ષાએ એક વ્યાપક અભિગમપૂર્વક સમજની કેળવણીની એ ઉત્તમ તક હતી. પણ ચોક્કસ પરિબળના ઉદય સાથે ‘અમારી આસ્થા’ના નામે દિલ્હી યુનિવર્સિટીને એ અભ્યાસક્રમમાંથી પડતો મૂકવાની ફરજ પડી.

ખરું જોતાં જો રામ મંદિરના નિર્માણ પછી નવી શરૂઆતની વાત હોય તો એમાં હર મુદ્દે સ્ટીમ રોલરી બુલડોઝરી વલણથી પરહેજ કરવી રહે છે. વિવિધ રામકથામાં થયેલ નિરૂપણા, સમાજના વિવિધ સ્તરે અને તિહાસના અલગ અલગ તબક્કે એમાં થતું રહેલ શોધન-વર્ધન આપણા વિકાસનું સંબલ છે … કાશ, સૂર્યકિરણના ઉજાસમાં આ બધું દેખાતું રહે!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 ઍપ્રિલ 2024

Loading

દવાની ‘આડઅસર’ : સુપ્રીમ કોર્ટે બાબા રામદેવનો ઈલાજ કરી નાખ્યો

Opinion - Opinion|16 April 2024

રાજ ગોસ્વામી

બાબા રામદેવ સુપ્રીમ કોર્ટમાં બરાબર ભરાયા છે. દેશમાં જ્યારે કોરોનાનો હાહાકાર ચાલતો હતો ત્યારે, બાબાએ તેમની ‘કોરોનિલ’ નામની આયુર્વેદિક દવાનો પ્રચાર કરવા માટે થઈને, એલોપથિને ‘બેવકૂફ અને દેવાળું ફૂંકેલું વિજ્ઞાન’ ગણાવ્યું હતું અને એવો પણ દાવો કર્યો હતો કે કોરોનાથી થયેલાં મોત માટે એલોપથિ જવાબદાર છે. આ મામલે, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતું અને એ કેસ બાબતે બતાવેલી અડિયલબાજીમાં બાબા ફસાઈ ગયા છે.

તાજા સમાચાર એ છે કે રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમ.ડી. બાલકૃષ્ણએ લોકોને ગેરમાર્ગે દોરતી એ જાહેરખબર બદલ માંગેલી બિનશરતી માફીને સ્વીકારવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે અને સજા ભોગવવા માટે તેમને તૈયાર રહેવા કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી 16 એપ્રિલે છે.

કોર્ટે આ અંગે ઉત્તરાખંડ સરકારને પણ લબડધક્કે લેતાં ચેતવણી આપી હતી કે કેન્દ્રએ 2020માં આ મામલો ઉત્તરાખંડ સરકારને સોંપ્યો હતો. પણ તે નિષ્ક્રિય રહી હતી. હવે તે અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે અધિકારીઓને પૂછ્યું કે તમે અત્યાર સુધી કેસ કેમ દાખલ કર્યો નથી? અમે એવું કેમ ના માનીએ કે આમાં તમે પણ મળેલા છો? આ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ.

 જસ્ટિસ કોહલીએ પૂછ્યું હતું “ડ્રગ અધિકારી અને લાઇસન્સિંગ અધિકારીનું કામ શું છે? તમારા અધિકારીઓએ કંઈ કર્યું નથી.” જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું હતું, “અધિકારીઓ માટે ‘બોનાફાઇડ” શબ્દના ઉપયોગ સામે અમારો સખત વાંધો છે. અમે તેને હળવાશથી નહીં લઈએ. અમે ફુરચા ઉડાવી દઈશું.”

આ કેસમાં શું થયું છે તે થોડું સમજવા જેવું છે. પતંજલિએ કરેલા ભ્રામક પ્રચારના કારણે લોકો કોરોનાની રસી મુકાવા માટે અચકાયા હતા તેવા દાવા સાથે 2022માં સુપ્રીમ કોર્ટમાં ગયેલા આઈ.એમ.એ.ની અરજી પર, 21 નવેમ્બર 2023ના રોજ પહેલી સુનાવણી થઇ હતી. તે વખતે, જસ્ટિસ અમાનુલ્લાએ મૌખિક રીતે પતંજલિને તેમનાં ઉત્પાદનો રોગોને સંપૂર્ણપણે મટાડી શકે છે તેવા દાવા કરવા સામે ચેતવણી આપી હતી. આ ઉપરાંત, તેમણે દરેક ઉત્પાદન પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની પણ ધમકી આપી હતી. પતંજલિ તરફથી વરિષ્ઠ વકીલ સાજન પૂવય્યાએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન નહીં કરે.

તે વખતે, બાબા રામદેવે પત્રકારો સમક્ષ શેખી મારી હતી કે અમે કશું ખોટું નથી કર્યું અને ખોટું સાબિત થાય તો 1000 કરોડ રૂપિયાનો દંડ ફટકારજો, અમે મોતની સજા માટે પણ તૈયાર છીએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે ડોકટરોનું એક જૂથ આયુર્વેદની વિરુદ્ધમાં કામ કરી રહ્યું છે. 

15 જાન્યુઆરી, 2024ના રોજ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રાચુડ અને જસ્ટિસ અમાનુલ્લાહને એક નનામો પત્ર મળ્યો. તેમાં વિગતે એવી માહિતી હતી કે પતંજલિની ભ્રામક જાહેરખબરોનું પ્રકાશન જારી છે.

પતંજલિએ ચેન્નાઈના એક અખબારમાં પ્રથમ પાનાની જાહેરાત પ્રકાશિત કરી હતી જેમાં બ્લડ પ્રેશર, સંધિવા, ડાયાબિટીસ, અસ્થમા, યકૃતની નિષ્ફળતા, કિડનીની નિષ્ફળતા અને કેન્સર અને હૃદયની સમસ્યાઓને દૂર કરવાનો દાવો કરવામાં આવ્યો હતો.

પત્રની નોંધ લઈને, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાની ખંડપીઠે 27 ફેબ્રુઆરીએ રામદેવ અને તેમના એમ.ડી. આચાર્ય બાલકૃષ્ણને કોર્ટના અવમાનની નોટિસ ફટકારી.

તે અંગે સરકારનો પણ જવાબ માંગતાં કોર્ટે કહ્યું હતું કે, “આખા દેશને ચક્કરમાં નાખી દીધો છે. ડ્રગ્સ કાનૂન જ્યારે કહેતો હોય કે આ પ્રતિબંધિત છે ત્યારે તમે બે વર્ષ સુધી રાહ જોતા રહ્યા?” તે પછી કોર્ટે આગામી આદેશો સુધી પતંજલિ ઔષધીય ઉત્પાદનોની અન્ય કોઈપણ જાહેરાત અથવા બ્રાન્ડિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો.

જેવું ભ્રામક જાહેર ખબરો રોકવાના આદેશમાં કર્યું હતું, તેવું જ અવમાનનામાં કર્યું. રામદેવ અને બાલાકૃષ્ણએ તે નોટિસનો કોઈ જવાબ ના આપ્યો. એટલે કોર્ટ વધુ ભડકી અને માર્ચ મહિનામાં બંનેને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું હતું. 

પતંજલિના એમ.ડી.એ ત્યારે સોગંદનામું દાખલ કરીને બચાવ કર્યો હતો જાહેરાતોમાં માત્ર સામાન્ય નિવેદનો હતાં પરંતુ તેમાં અજાણતાં વાંધાજનક વાક્યો સામેલ થઇ ગયાં હતા. એમ.ડી.એ અન્ય વિભાગ પર દોષ ઢોળતાં કહ્યું હતું, “જાહેરાતો પ્રમાણિક હતી અને અને પતંજલિના મીડિયા વિભાગના કર્મચારીઓને કોર્ટના નવેમ્બરના આદેશની જાણ નહોતી.”

રામદેવ અને બાલકૃષ્ણ કોર્ટમાં આવવાનું ટાળતા રહ્યા હતા અને ન છુટકે છેક છેલ્લી તારીખે હાજર થયા હતા. કોર્ટે બાલકૃષ્ણના સોગંદનામા અંગે પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે આ ખાલી દેખાડો છે. કોર્ટે કહ્યું હતું કે બંને સોગંદનામા રેકોર્ડ પર મુકવાની જરૂર હતી.

કોર્ટે બાબાને ફટકાર લગાવતાં કહ્યું હતું, “તમે દેશની સેવા કરવાનું બહાનું ના બનાવો. કોર્ટના આદેશને ગંભીરતાથી લો. તમે ગમે તેટલા મોટા હો, કાયદો તમારાથી ઉપર છે અને કાયદાની મહિમા સૌથી ઉપર છે.” આ અંગે રામદેવના વકીલે કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય. અમે ભૂલ માટે માફી માંગીએ છીએ. તે જ સમયે રામદેવે સુપ્રીમ કોર્ટમાં હાથ જોડીને માફી માંગી હતી. કોર્ટે તેનો અસ્વીકાર કર્યો છે અને વધુ કરાવાઈનો સંકેત આપ્યો છે.

તે વખતે કોર્ટમાં હાજર, ઉત્તરાખંડ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના સંયુક્ત નિર્દેશક ડો. મિથિલેશ કુમારે બે હાથ જોડીને દયાની ભીખ માંગતાં કહ્યું હતું કે, “હું તો જૂન 2023માં આવ્યો હતો … આ બધું મારા પહેલાં થયું હતું,” ત્યારે કોર્ટે કહ્યું હતું, “અબ ઘર પે ટાઇમ બિતાઈએ.”

ભારતના ડ્રગ કાયદા હેઠળ, ઉત્તરાખંડ પાસે પતંજલિ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર છે કારણ કે કંપનીના ઉત્પાદન એકમો ત્યાં સ્થિત છે.

કુન્નુરના રહેવાસી ડૉ. બાબુ કે.વી. છેલ્લાં પાંચ વર્ષથી પતંજલિ અને આવી અન્ય કંપનીઓની કામગીરી અને પ્રમોશન પર સતત સંશોધન કરી રહ્યા છે અને પત્રવ્યવહાર, આર.ટી.આઇ. અને દસ્તાવેજો દ્વારા તેમણે એકત્રિત કરેલી માહિતીએ પતંજલિ સામે આઇ.એમ.એ.ના કેસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

2022માં, પતંજલિએ જાહેરાત કરવાનું શરૂ કર્યું કે ટાઇપ ટુ ડાયાબિટીસ ધરાવતાં બાળકો ઇન્સ્યુલિન છોડીને તેમની દવા લઇ શકે છે અને સાજા થઈ શકે છે. ડો. બાબુએ કહ્યું હતું, “આ જાહેર આરોગ્ય માટેની એક મોટી તબાહી હતી.”

ડો. બાબુએ કહ્યું હતું કે “લોકોને વૈજ્ઞાનિક પુરાવા વિના સારવાર બંધ કરવા માટે અને તેમની દવાઓ આજમાવવા માટે ભરમાવા એ તેમના જીવન સાથે રમવા સમાન છે. આ બંધ થવું જોઈએ.”

પતંજલિ સામે અવમાનનાનો કેસના સૂચિતાર્થો ઘણા છે. ખાસ તો તેમાં સાર્વજનિક સ્વાસ્થ્યનો મુદ્દો સામેલ છે. ભારત જેવા દેશમાં જ્યાં લાખો લોકો અભણ અને ગરીબ છે તે જાત-ભાતની દવાઓ, નુસખાઓથી આસાનીથી ભ્રમિત થઇ જાય છે. ભારતમાં ભ્રામક જાહેરખબરોનો પ્રભાવ વ્યાપક છે, જે ગ્રાહકોની શું ખરીદવું તેની પસંદને જ પ્રભાવિત કરે છે એટલું જ નહીં તેમના સ્વાસ્થ્યને પણ અસર કરે છે.

પતંજલિનાં ઉત્પાદનો તો પાછલાં કેટલાં ય વર્ષોથી વૈકલ્પિક દવા તરીકે વેચાઈ રહ્યાં છે, જે વાસ્તવમાં પોષક તત્ત્વો છે અને શરીરને પોષણ આપે છે, પણ તે કોરોના જેવી ઘાતક બીમારીને ઠીક કરી દે છે તેવો દાવો જોખમી છે. 

આ કેસ એવી કંપનીઓ માટે એક ચેતવણી સમાન છે કે જે કોઈ નિયમ કે કાનૂનનું પાલન કર્યા વિના, લોકોને ભ્રમિત કરીને નફો રળે છે. કોર્ટે એવું કહ્યું પણ છે કે, “અમે દેશને સંદેશો આપવા માંગીએ છીએ. આ કોઈ એક કંપનીની વાત નથી. આ કાનૂનના ઉલ્લંઘનનો મામલો છે.”

ભારતમાં કોરોનાના ચેપનો પ્રથમ કેસ નોંધાયો તેના ત્રણ મહિના પછી, પતંજલિ કંપનીએ બાબા રામદેવના હસ્તે કેન્દ્રના બે પ્રધાનોની ઉપસ્થિતિમાં કોરોનિલ ટેબ્લેટ લોન્ચ કરી. તે વખતે રામદેવે દાવો કર્યો હતો કે કોરોનિલ કોવિડ-19 માટેનો “પહેલો પુરાવા આધારિત ઉપચાર” છે.

તે પછી મુંબઈના એક ડોક્ટર અને આઈ.એ.એમ.ના મહા મંત્રી જયેશ લેલેએ આર.ટી.આઈ. કરીને આયુષ્ય મંત્રાલયને પૂછ્યું હતું કે મંત્રાલયે આ દવામાં સહયોગ આપ્યો છે અને શું વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકાનું એમાં પાલન થયું છે? મંત્રાલયે કહ્યું હતું કે એવી કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને કોરોનિલને ‘ઈમ્યુનિટી બુસ્ટર’ તરીકે માન્યતા આપવામાં આવી છે. 

તે પછી લેલે અને આઈ.એમ.એ. પતંજલિના દાવાઓનું પગેરું દાબવાનું શરૂ કર્યું હતું અને અંતે તે મામલાને સુપ્રીમ કોર્ટમાં લઇ ગયા હતા.  

અંતે, જે ઈલાજ સરકારે કરવાનું હતો તે કામ સુપ્રીમ કોર્ટે કર્યું છે.

લાસ્ટ લાઈન:

“સાર્વજનિક સ્વાસ્થ્યની ચિંતા કરવી એ રાજનેતાની પ્રથમ ફરજ છે.”

– બેન્જામિન ડિઝરાયલી

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 14 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...728729730731...740750760...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved