Opinion Magazine
Number of visits: 9457471
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસાઈ ન હોય તે જ શાળા સંચાલક થઈ શકે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 December 2023

રવીન્દ્ર પારેખ

લાગે છે તો એવું જ ! માણસાઈ માણસમાં જ હોય છે, પણ કમનસબી એ છે કે એ માણસમાં જ નથી હોતી. સરકારે મોટા પાયે શિક્ષણનો ઉદ્યોગ શરૂ કર્યો છે. એને માટે તે ભારે ઉદ્યમ અને ઉપદ્રવ કરે છે. રોજ જ તેને તુક્કાઓ આવે છે ને મુક્કાઓ વિદ્યાર્થીઓને, વાલીઓને, શિક્ષકોને પડે છે. સરકારી સ્કૂલોનો ખર્ચ ન પરવડે એટલી સરકાર ગરીબ થઈ ગઈ છે. એ બોજ ખાનગી સ્કૂલોને લાઇસન્સ આપીને સરકાર ઘટાડવા માંગે છે. ખાનગી સ્કૂલો એ.સી. કારખાનાની જેમ ચાલે છે. એમાં તમામ સ્તરે શોષણ, શાળા સંચાલકોનું લક્ષ્ય હોય છે. સંચાલક માનવતાવાદી હોય કે માણસાઈથી ફાટફાટ થતો હોય તો તે સ્કૂલ સંચાલક તરીકે નિષ્ફળ જાય. એ નિષ્ફળ જાય તો વાલીઓ પાસે વધારાના પૈસા છે તે ફી ઉપરાંત બીજે નાંખશે ક્યાં? શિક્ષકોના ઓછા પગારનું અને બાળકોની મોંઘી ફીનું ધોરણ તો જળવાવું જોઈએને ! એ કોણ જાળવે? એનો જવાબ છે – શાળા સંચાલકો. એટલે જ શાળા સંચાલકો નિષ્ઠુર, નફ્ફટ ને નફાખોર હોય છે. એ છે તો ખાનગી સ્કૂલોનો ધંધો ચાલે છે. ચા કરતાં કીટલી ગરમ – એ ન્યાયે આ સંચાલકો મોટે ભાગે ઉધ્ધતાઈ અને શાહી ફરમાનોથી વગર શિયાળે પણ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને થરથરતા રાખે છે. કેટલાક તો સરકારી પરિપત્રોને પણ ઘોળીને પી જાય છે. એમનો દબદબો તુમાખીમાંથી વિકસે છે. કેટલાક સંચાલકો સારા પણ હશે, પણ મોટેભાગના તો નફાખોર વેપારીઓ જ છે.

ગયા જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં એટલી ઠંડી પડેલી કે 131 લોકોનાં હાર્ટ એટેકથી મૃત્યુ થયેલાં. ગુજરાતમાં પણ ઠંડીએ કેર વર્તાવેલો. રાજકોટમાં આઠમાંની એક વિદ્યાર્થિની વર્ગખંડમાં એકાએક ઢળી પડેલી અને દસેક મિનિટમાં જ મૃત્યુ પામેલી. એ જ રીતે વલસાડની કોલેજનો એક વિદ્યાર્થી કોલેજ પરિસરમાં ચાલતા ચાલતા ઢળી પડેલો ને હોસ્પિટલ પહોંચે તે પહેલાં મૃત્યુ પામેલો. હવે તો હાર્ટ એટેકથી મરવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો છે. રોજ હાર્ટ એટેકથી બે પાંચ મૃત્યુ થવાનું સામાન્ય થઈ પડ્યું છે, પણ અહીં જે વિદ્યાર્થીઓના દાખલા આપ્યા છે તેમાં ઠંડીએ વધારે ભાગ ભજવેલો તે નોંધવું ઘટે. ડૉક્ટરોનું પણ માનવું છે કે ઠંડી તીવ્ર હોય તો કાર્ડિયાક એરેસ્ટનું જોખમ વધી જતું હોય છે. આવી સ્થિતિમાં બાળકોને સ્કૂલનું સ્વેટર પૂરતું નથી થતું. ઠંડીથી પૂરતું રક્ષણ ન થતું હોઈ, વાલીઓ પોતાનાં બાળકોને વધારાનું સ્વેટર કે જેકેટ પહેરાવીને મોકલે છે, પણ સ્કૂલોને તે જોઈને વધારે ટાઢ ચડે છે ને સ્કૂલનાં જ સ્વેટરનો આગ્રહ જડભરતની જેમ રાખે છે. રાજકોટ અને સુરત જિલ્લાના શિક્ષણાધિકારીએ પરિપત્રો બહાર પાડયા કે સ્કૂલે નક્કી કરેલા સ્વેટરનો આગ્રહ જતો કરવો અને કોઈ પણ ગરમ વસ્ત્રોમાં વિદ્યાર્થીઓ આવે તો તેમને વર્ગમાં બેસવા દેવા. ઠંડીને કારણે જ કેટલીક સ્કૂલોનો સવારના સાતનો સમય બદલીને આઠનો કરાયેલો.

આ વખતે અગમચેતી વાપરીને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ 7 ડિસેમ્બર, 2023ને રોજ એવી તાકીદ કરી કે સ્કૂલે આવતાં બાળકોને ચોક્કસ પ્રકારનાં સ્વેટર કે ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકાશે નહીં. જો કોઈ સ્કૂલ એવી ફરજ પાડશે તો તેની સામે પગલાં ભરવામાં આવશે. આ વાત કરતી વખતે શિક્ષણ મંત્રીને એ ખબર છે કે કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને નક્કી કરેલી દુકાનેથી સ્વેટર કે ગરમ કપડાં ખરીદવાની ફરજ પાડતી હોય છે. એ અંગેની ઘણી ફરિયાદો મળવાને કારણે ખુદ શિક્ષણ મંત્રીએ આવી તાકીદ કરવી પડી છે. એ જ તારીખે રાજકોટ DEOએ બહાર પાડેલા પરિપત્રમાં પણ એ જ મુદ્દે એવી સ્પષ્ટતા કરી છે કે ઠંડીમાં સ્કૂલે આવતાં બાળકોને, તેઓ ઈચ્છે તેવાં ગરમ સ્વેટર કે જેકેટ પહેરવાની છૂટ આપવી.

આમ છતાં કેટલીક સ્કૂલોની જડતા એવી ચરમસીમાએ હોય છે કે તે વિદ્યાર્થીઓની જિંદગીને ભોગે પણ અવ્યવહારુ નિયમોને જીવની જેમ વળગી રહે છે. બને કે કેટલીક સ્કૂલોને પરિપત્રો ન મળ્યા હોય ને નિયમ પાલનનો આગ્રહ છૂટતો ન હોય, પણ આવો પરિપત્ર તો અગાઉ જાન્યુઆરીમાં પણ થઈ ચૂક્યો છે ને એ સામાન્ય સમજનો પ્રશ્ન છે કે તે કોઈ પણ ઠંડીની ઋતુમાં લાગુ પડે, પણ અહીં નિયમ કરતાં પણ નફાના દાખલા વધારે ગણાતા હોય છે. વિદ્યાર્થીઓ સ્કૂલે નક્કી કરેલું સ્વેટર પહેરવાને બદલે પોતે ખરીદેલું સ્વેટર પહેરે તો સ્કૂલોને મળતું કમિશન ઘટે. આ ધંધો ચાલતો હોય ત્યાં સ્વેટર પણ કેવી ક્વોલિટીનાં હોય તે સમજી શકાય એવું છે. પણ ક્વોલિટી સાચવવા જાવ તો કમિશન ઘટે ને એવી ખોટ ખાવા કેટલી ય સ્કૂલો તૈયાર હોતી નથી. હવે કોઈ એવું કહે કે અમે કમિશન ખાતાં નથી, તો એને કરમુક્ત મનોરંજન સમજીને ભૂલી જવાનું રહે. જેને નફાનો સવાલ નથી, તે તો જડ આગ્રહો પણ ન રાખે ને વ્યવહારુ નિર્ણય લેવામાં વિલંબ ન જ કરે.

બીજી તરફ આચાર્યો ને શિક્ષકો તેમને અનુકૂળ સ્વેટર, શાલ કે જેકેટ પહેરીને સ્કૂલે જઈ શકે છે. તેમને કોઈ બંધન નથી, પણ વિદ્યાર્થીઓએ તો ગણવેશના ભાગ જેવું પાતળું સ્વેટર જ પહેરવાનું રહે છે. આ કોઈ રીતે યોગ્ય નથી. ઠંડી શિક્ષકોને વધારે લાગે ને વિદ્યાર્થીઓને ઓછી લાગે એવું ન હોય તો, કોઈ પણ બ્રાન્ડનું સ્વેટર કે જેકેટ પહેરતાં વિદ્યાર્થીઓને રોકી શકાય નહીં. વાલીઓ આનો વિરોધ એટલે પણ કરતાં નથી કે કેટલીક સ્કૂલો એવા વિદ્યાર્થીઓને દાઢમાં રાખે ને ઠંડી પછી પણ એમને ધ્રુજાવતી રહે.

7મી તારીખે અનુકૂળ સ્વેટર પહેરવાની છૂટ આપતો પરિપત્ર બહાર પડે છે ને 14મી ડિસેમ્બરે વલસાડની શેઠ આર.જે.જે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 7 વર્ષની એક વિદ્યાર્થિનીને તેની ટીચર ઠંડીમાં સ્કૂલને માન્ય  નહીં, તેવું પહેરેલું જેકેટ કઢાવે છે ને ચાલુ પંખા નીચે બેસવાનું થતાં બાળકીને શરદી થઇ જાય છે. રાજ્ય સરકારે સ્કૂલોનું સ્વેટર પહેરવું ફરજિયાત નથી એવો પરિપત્ર કર્યો, છતાં કેટલીક સ્કૂલો પરિપત્રોને નથી જ ગાંઠતી. બુધવારે શેઠ સ્કૂલની બાળકી, સ્કૂલનું સ્વેટર ભીનું થઈ જવાથી જેકેટ પહેરીને આવી. એ અંગેની બાળકીની માતાએ સ્ટાફ રૂમમાં જાણ પણ કરી હતી, છતાં ટીચરે જેકેટ કઢાવ્યું. વાલીએ એ અંગેની લેખિત ફરિયાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરી છે. શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. હકીકતો તો તપાસ પછી બહાર આવશે. આવશે?

દિવાળી પહેલાં શેઠ સ્કૂલે નેવી બ્લૂ કલરનું સ્વેટર નક્કી કર્યું હતું. મોટાભાગના વાલીઓએ એ પ્રમાણે સ્વેટર ખરીદી પણ લીધાં હતાં. કોઈ પણ કલરનું સ્વેટર પહેરી શકાય એવો પરિપત્ર તો પછી થયો. જો કે, પરિપત્ર 7મીએ બહાર પડ્યો ને ઘટના 14મીએ બની, એટલે સ્કૂલો એવી દલીલ કરે કે પરિપત્રની ખબર ન હતી, તો એ માની શકાય એવું નથી. કોણ જાણે કેમ, પણ આચાર્યાને આ ઘટનાની જાણ નથી. એમનું કહેવું છે કે આવી કોઈ ફરિયાદ તેમની પાસે આવી નથી. એમનું તો ત્યાં સુધી કહેવું છે કે સ્વેટર કઢાવ્યાની ઘટના એમની સ્કૂલમાં બની જ નથી. એમના જ કહેવા મુજબ પરિપત્રની જાણ શિક્ષકો અને વાલીઓને કરવામાં આવી છે. જો શિક્ષકો આ વાત જાણતા હોય તો 7 વર્ષની છોકરીને ઠંડીમાં પંખા નીચે બેસવું પડ્યું એને માટે સંબંધિત ક્લાસ ટીચર જવાબદાર છે, કારણ પરિપત્રની જાણ હોવા છતાં બાળકીને ઠંડીમાં જેકેટ વગર બેસાડવામાં આવી. બહુ તો બાળકીને કે વાલીને ચેતવી શકાયાં હોત કે હવે પછી આવું ચાલશે નહીં, પણ તેમ ન કરતાં ક્લાસ ટીચરે ઠંડીમાં જેકેટ કઢાવ્યું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ મામલે પગલાં ભરવાં જોઈએ.

આવી આ એક જ સ્કૂલ છે, એવું નથી. વલસાડ ઉપરાંત વાપી, પારડીની ઘણી સ્કૂલોમાં પણ આવું જક્કી વલણ અપનાવવામાં આવે છે. આમ તો સ્કૂલનું જ સ્વેટર પહેરાવવાનો આગ્રહ રખાય છે, છતાં એ સ્વેટરમાં કોઈને વધુ ઠંડી લાગતી હોય તો થર્મલ પહેરવાનું કહેવાય છે. એટલે સ્કૂલનાં સ્વેટર પર થર્મલનો ખર્ચો વધારામાં ! કોઈ પણ સ્વેટર કે જેકેટ પહેરવાની છૂટ સરકારે આપી હોય તો સ્કૂલો આવા વાહિયાત આગ્રહો રાખી જ કઈ રીતે શકે? વર્ષમાં બબ્બે વખત કોઈ પણ સ્વેટર કે જેકેટ પહેરવાના પરિપત્રો બહાર પડતાં હોય ને સ્કૂલો તેની ઐસી તૈસી કરીને પોતાનું સ્વેટર પહેરાવવાની હઠ છોડે જ નહીં, એમાં માણસાઈના અભાવનો અને નફાખોર માનસિક્તાનો જ પડઘો પડે છે.

એ અત્યંત દુ:ખદ છે કે જ્યાં સૌથી વધુ માનવતા અને સંવેદનશીલતાની અપેક્ષા છે, એ સ્કૂલો આટલી ક્રૂર, નિષ્ઠુર અને સંવેદનહીન હોય છે. ઠંડીના દિવસોમાં થોડી ઉદારતા દાખવવાનું સ્કૂલોને કેમ પરવડતું નહીં હોય તે સમજાતું નથી. ઘણા બધા મુદ્દે ચોક્કસ જણાતા શિક્ષકો ઘણીવાર આખું કોળું દાળમાં જતું જોઈ રહે છે. તેમને ત્યારે કોઈ નીતિ, નિયમો યાદ આવતાં નથી તે દુ:ખદ છે ને તેથી ય વધારે દુ:ખદ તો શિક્ષણ જેટલા જ સંચાલકો, શિક્ષકો અવ્યવહારુ અને અમાનવીય થયા છે તે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ડિસેમ્બર 2023

Loading

મુસ્લિમોએ જિહાદ અને સત્યાગ્રહ વચ્ચે તુલના કરવી જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|17 December 2023

રમેશ ઓઝા

જાણીતા રાજકીય સમીક્ષક અને અર્થશાસ્ત્રી સ્વામીનાથન અંકેસરિયા ઐયરે તેમની ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માંની કોલમમાં લખ્યું હતું કે જો પેલેસ્ટેનીઓએ હિંસાની જગ્યાએ સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હોત તો તેમને તેમની હકની લડાઇમાં સફળતા મળી હોત .. તેમની આ વાત વિચારણીય છે. 

અહિંસા ગાંધીજીની જીવનનિષ્ઠા હતી. ગાંધીજીની હયાતીમાં જ કેટલાક લોકોને સમજાઈ ગયું હતું કે અહિંસા ગાંધીજી માટે ભલે જીવનનિષ્ઠા હોય; શાંતિપૂર્વકનો સંઘર્ષ, પ્રતિકાર અને અસહકાર તો અકસીર છે. એ પણ ગાંધીજીના કહેવાથી સમજાઈ ગયું હતું એવું નહોતું. લોકમાન્ય તિલકે અને લાલા લજપતરાયે તો ગાંધીજીના અહિંસાના આગ્રહ સામે પ્રતિવાદ કર્યો હતો અને કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં ભલે અહિંસક લડત સફળ નીવડી હોય, ભારતમાં એ શક્ય નથી. એ તો  ભારત આવ્યા પછી ચંપારણમાં કરેલા સત્યાગ્રહનાં પરિણામ જોઈને દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. જેનો સૂરજ આથમતો નહોતો એવાં બ્રિટિશ સામ્રાજ્યને અહિંસા અથવા શાંતિમય સંઘર્ષ દ્વારા ઝૂકાવી શકાય છે એનો ભારતનાં નેતાઓને અને દુનિયાને પરિચય થવા લાગ્યો હતો. દુનિયા કુતૂહલપૂર્વક ગાંધીજીને જોતી થઈ હતી.

વાત એમ છે કે હિંસા કરાવામાં રાજ્ય જેટલી શક્તિ ધરાવે છે એટલી શક્તિ પ્રજા સંગઠિતપણે પણ ધરાવતી નથી. અસંતુલિત મુકાબલો છે. એટલે રાજ્ય ગમે એટલો અન્યાય કરે, ગમે એટલો જુલમ કરે, ગમે એટલી મનમાની કરે, પ્રજાને એ સહન કરવા સિવાય રસ્તો નહોતો. લોકો સારા શાસકો માટે પ્રાર્થના કરે એ સિવાય કોઈ વિકલ્પ નહોતો. એટલે તો ભારતમાં જ્યાં જ્યાં રિયાસતોનો અંત આવતો હોય અને અંગ્રેજી રાજ્ય લાગુ થતું હતું ત્યારે લોકો તેનું સ્વાગત કરતા હતા. લોકોને એમ લાગતું હતું કે અંગ્રેજોનું રાજ્ય ન્યાયી છે અને ત્યાં કાયદો અને વ્યવસ્થા જળવાય છે. દલપતરામનું હરખ હવે તું હિન્દુસ્તાન નામની કવિતા તો જાણીતી છે.

ટૂંકમાં હિંસાના માર્ગે કયારે ય પ્રજા રાજ્ય સામે ટકી ન શકે. લોકો રહેમદિલી અને ન્યાય માટે આજીજી કરતા હતા. ગાંધીજી ભારત આવ્યા એ પહેલાં કાઁગ્રેસનાં નેતાઓ પણ માગણીઓનાં ઠરાવો કરતા હતા અને ક્યારેક પ્રતિનિધિમંડળને મોકલતા હતા. આ સિવાય બીજું શું કરવું એ કોઇને સૂઝતું નહોતું. દેખીતો અન્યાય થઈ રહ્યો છે પરંતુ તેનો અંત કઈ રીતે લાવવો? પ્રજા શું કરી શકે? હિંસક માર્ગે રાજ્ય સામે ટકી રહેવું અસંભવ છે. રાજ્ય અનેકગણી સંહારક શક્તિ ધરાવે છે.

આનો ઉપાય ગાંધીજીએ શોધી કાઢ્યો અને એ વિશ્વમાન્ય બનવા લાગ્યો. શક્ય હોય તો સંગઠિતપણે અને નહીં તો એકલા અન્યાય સામે અવાજ ઉઠાવવાનો, સાતત્યપૂર્વક સંઘર્ષ કરવાનો, રાજ્ય જુલમ કરે તો સહન કરી લેવાનો, હજુ વધુ જુલમ કરે તો હજુ વધુ સહન કરી લેવાનો, જેટલો જુલમ કરે એટલો સહન કરી લેવાનો અને એક દિવસ જુલમ કરનારાને જ શરમ આવવા લાગશે. અન્ય લોકો, અન્ય દેશો અને પ્રતિષ્ઠિત નાગરિકો જુલમ સહન કરનારાની વહારે ધાશે. જગતમાં બદનામી થશે અને સૌથી મોટી વાત એ કે જુલમ કરનાર રાજ્યને છે.

અહિંસક માર્ગે ભારતને આઝાદી મળી એ પછી જગતમાં ન જાણે કંઈ કેટલા ય લોકોએ અહિંસક અથવા શાંતિપૂર્વકના સંઘર્ષનો માર્ગ અપનાવ્યો. માર્ટીન લ્યુથર કિંગ, નેલસન મંડેલા, લેચ વાલેસા વગેરેએ ગાંધીનો માર્ગ અપનાવીને પોતપોતાના દેશોમાં સફળતા મેળવી હતી. જગત આખામાં કોઈ પણ દિવસે ઓછામાં ઓછાં દસ વીસ જગ્યાએ સત્યાગ્રહ ચાલતા જ હોય છે.

તો પછી પેલેસ્ટાઈનના લોકોએ ઈઝરાયેલ સામે સત્યાગ્રહનો માર્ગ કેમ નહીં અપનાવ્યો? તેમની નજર સામે જગતમાં સત્યાગ્રહો થઈ રહ્યા છે અને મોટાભાગના લોકોને સફળતા મળી રહી છે અને એ છતાં તેમણે અહિંસક સત્યાગ્રહનો માર્ગ નહીં અપનાવ્યો એનું શું કારણ? એનાં બે કારણ છે એક તો જિહાદ અને બીજું આગળ આ કોલમમાં મેં લખ્યું હતું એમ ઉમ્મા એટલે કે વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ તેમ જ વૈશ્વિક મુસ્લિમ સારોકાર. શરિયા મુજબ જિહાદ એટલે કે ધર્મયુદ્ધમાં જે મૃત્યુ પામે છે તે સીધો જન્નતનો અધિકારી બને છે. આને કારણે સફળતા કરતાં મરી ફીટવાની તમન્ના પ્રબળ બનવા લાગી. તેઓ હિંસક હુમલાઓ કરીને જરૂર પડ્યે જન્નતનશીન થતા હતા, એ રીતે લડવૈયાઓને ગુમાવતા હતા અને ઇઝરાયેલને તેમને ત્રાસવાદી તરીકે ઓળખાવવાનો મોકો મળી ગયો. માત્ર ઇઝરાયેલ નહીં, જગત આખું તેમને ત્રાસવાદી તરીકે ઓળખાવે છે. છેવટે ઇઝરાયેલની સંહારક શક્તિ સામે તેઓ ટકી નથી શકતા. આ બાજુ મુસ્લિમ વૈશ્વિક બંધુત્વ અને મુસ્લિમ વૈશ્વિક સરોકાર કોઈ કામમાં નથી આવતા. સત્ય પેલેસ્ટાઈનના લોકોના પક્ષે હોવા છતાં તેઓ ઇઝરાયેલની સંહારક શક્તિ સામે પરાજિત થાય છે. માટે સ્વામીનાથન અંકલેસરિયા ઐયરે લખ્યું હતું કે જો પેલેસ્ટિનિયનોએ અહિંસક લડતનો માર્ગ અપનાવ્યો હોત તો તેમને સફળતા અવશ્ય મળી હોત અને તેઓ ત્રાસવાદી તરીકે ન ઓળખાતા હોત.

આજે જગતમાં ભાગ્યે જ કોઈ દેશ કે દેશની પ્રજા હશે જેણે ક્યારેકને ક્યારેક રાજ્ય સામે સત્યાગ્રહનો માર્ગ નહીં અપનાવ્યો હોય. આમાં અપવાદ છે મુસ્લિમ દેશો. હું ખોટો હોઈ શકું, પણ કોઈ મુસ્લિમ બહુમતી દેશમાં મુસ્લિમોએ સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હોય એવું મારા જોવામાં નથી આવ્યું.

મુસ્લિમોએ જિહાદ અને સત્યાગ્રહ વચ્ચે તુલના કરવી જોઈએ. ખુલ્લી આંખે અસરકારકતા તપાસવી જોઈએ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 17 ડિસેમ્બર 2023

Loading

હીરો મોંઘો અને પાણી સસ્તું કેમ?

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|17 December 2023

નીતિ અને અર્થશાસ્ત્ર : ભાગ – ૨

અર્થશાસ્ત્રમાં મૂલ્યનો સિદ્ધાંત (Theory of Value) પ્રયોગમૂલક અને નૈતિક એમ બંનેનો સંયુક્ત વંશવેલો ધરાવે છે. એક તરફ એ વસ્તુઓની જે કિંમત હોય છે તે કેમ હોય છે તે સમજાવે છે; તો બીજી તરફ, તે વસ્તુઓની કિંમત કેટલી હોવી જોઈએ તે પણ સમજાવે છે. આ કિંમત જ ઉત્પાદકોના પ્રયાસોને અને ગ્રાહકોની જરૂરિયાતને ન્યાય આપે છે. એ એકબીજાનું શોષણ કરતાં લોકોને રોકવા માટે ઘડવામાં આવેલા નૈતિક કાયદા ઉપર આધારિત છે. ન્યાયી (just) કિંમતનો સિદ્ધાંત છેક એરિસ્ટોટલ સુધી જાય છે. મધ્ય યુગીન વિદ્વાનોએ તેની વિસ્તૃત સમજૂતી પણ આપી છે. તેમના આ વિચારનો પાયો દૈવી કે કુદરતી કાનૂનમાં છે એમ કહેવાયું છે. ન્યાયી કિંમત એ વાજબી સોદાનું માપ છે. 

આધુનિક આર્થિક વિચારધારા અગાઉ ન્યાયી કિંમતને અછડતી રીતે પરંપરાગત કિંમત તરીકે જોવામાં આવતી હતી. આખો સમાજ જેને વાજબી સોદા તરીકે જોતો હતો તેનો સંદર્ભ પરંપરાગત કિંમત તરીકે જ હાથવગો હતો. જો કે, ૧૬મી અને ૧૭મી સદીમાં જે ભયંકર ફુગાવો થયો અને વૈશ્વિક સ્તરે જે વ્યાપાર વધ્યો, તેની સાથે જ બજાર કિંમત એ પરંપરાગત કિંમતથી વેગળી થઈ ગઈ. તેને પરિણામે એમ કહી શકાય કે નૈતિક અર્થતંત્ર ધંધાકીય અર્થતંત્રની તુલનાએ સંકોચાતું ગયું. 

મૂલ્યનો શ્રમ સિદ્ધાંત એ ન્યાયી કિંમતના સિદ્ધાંતનું વ્યવહારુ સ્વરૂપ હતું. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ એટલે કે એડમ સ્મિથ અને તેમના અનુયાયીઓ તથા ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રીઓએ ઉત્પાદક અને અનુત્પાદક શ્રમ એમ બે શ્રમ અલગ કરી નાખ્યા. મૂલ્યના શ્રમ સિદ્ધાંતનો ઈરાદો એ હતો કે કિંમતના એ ભાગને અલગ ગણવો કે જે મૂલ્યનો ભાગ નથી, પણ જે ખરેખર તો ભાડું છે. આર્થિક ભાડું એવી કિંમત છે કે જેનો વાસ્તવિક ખર્ચ સાથે કશો સંબંધ નથી, તે તો જમીન અને નાણાંના માલિકોને તદ્દન મફતમાં મળે છે. પ્રશિષ્ટ મધ્ય યુગીન અન્યાયી કિંમત એટલે વ્યાજખોરી, લોન ઉપર લેવામાં આવતું વ્યાજ. એ અન્યાયી કે ગેરવાજબી કેવી રીતે? 

વ્યાજ નાણાંમાંથી નાણું જન્માવે છે માટે એ અન્યાયી છે. તમારે જેનો સહેજે ઉપયોગ નથી એવું નાણું ધિરાણમાં આપો તો તેમાં કશો ખર્ચ થતો નથી અને તેથી તમને એમાંથી કશું મળે એનો તમને અધિકાર નથી. 

એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડો, બંનેએ એ સ્વીકાર્યું હતું કે લાંબા ગાળાની કે સામાન્ય કિંમત શ્રમના પ્રયાસોથી સમજી શકાય છે, બજાર ભાવથી નહિ. તેનું કારણ એ છે કે બજારના ભાવ તો બદલાયા જ કરે છે. તેમણે શ્રમના પ્રયાસોની કિંમત એટલે કુદરતી કિંમત અને બજાર કિંમત વચ્ચે ભેદ પાડ્યો હતો. એડમ સ્મિથે હીરા અને પાણી વચ્ચેનો વિખ્યાત કોયડો રજૂ કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે જિંદગી માટે હીરા તદ્દન નકામા છે અને પાણી જિંદગી માટે ખૂબ જ ઉપયોગી છે છતાં હીરા કેમ મોંઘા છે અને પાણી કેમ સસ્તું છે? એડમ સ્મિથ દ્વારા તેનો જવાબ એમ અપાયો હતો કે, “હીરા ખાણમાંથી બહાર કાઢવાનું બહુ મુશ્કેલ અને ખર્ચાળ છે.” તેના પરથી તેઓ એવા તારણ પર આવ્યા હતા કે “માણસ જે મહેનત કરીને મુશ્કેલ ચીજ મેળવવા માગે છે તેની કિંમત વધારે હોય છે.”

એડમ સ્મિથને અનુસરતાં મૂલ્યનો શ્રમ સિદ્ધાંત જટિલ બની ગયો. શું મૂડીપતિનો શ્રમ પણ વળતરને લાયક છે? ડેવિડ રિકાર્ડો કહે છે કે મૂડી એ સંઘરેલો શ્રમ છે. એમ કહીને તેમણે મૂલ્યના શ્રમ સિદ્ધાંતમાં મૂડીપતિનું વળતર દાખલ કરી દીધું. મૂડીપતિની કરકસર અથવા બચતને પરિણામે જ મૂડી અસ્તિત્વમાં આવે છે. મૂડીપતિની બચત જ શ્રમિકોની પીડાદાયક મહેનતને મૂલ્ય અર્પે છે.

રિકાર્ડોના કિસ્સામાં મૂલ્યનો શ્રમ સિદ્ધાંત એ ઉત્પાદનના ખર્ચનો સિદ્ધાંત બની ગયો. તેનું એક મૂળ મધ્ય યુગના ન્યાયી કિંમતના વિચારમાં પડેલું છે. પરંતુ તેનો ઈરાદો સ્વહિતને કોઈક નૈતિક મહત્તા આપવાનો હતો, સ્વાર્થમાં મૂલ્યનું આરોપણ કરવામાં આવ્યું – ભાવિ વપરાશ માટે વર્તમાન વપરાશનું બલિદાન. આમ, નફાને એ બલિદાન માટેના ન્યાયી પારિતોષિક તરીકે જોઈ શકાય. બહુ મોડેથી પછી નફો એ જોખમ ઉઠાવવાનું કે સાહસ કરવાનું વળતર છે એવો વિચાર ઉદ્ભવ્યો. 

કાર્લ માર્ક્સનું કામ જુદું હતું. તેમણે મૂલ્યના શ્રમ સિદ્ધાંતને સ્વીકાર્યો. તેમનો ઈરાદો મૂડીવાદી વર્ગના નફાને વાજબી ઠેરવવાનો નહોતો, પણ મૂલ્યના સમીકરણમાંથી મૂડીવાદી વર્ગને દૂર કરવાનો હતો. મૂડીવાદી નાણાંની વપરાશ કરતો નથી તેને તેના નફા સાથે કશી લેવાદેવા નથી; પણ તે શ્રમ કરતો નથી તેની સાથે નફાને સંબંધ છે. નફો કામદાર જે અધિશેષ મૂલ્ય પેદા કરે છે તે મૂડીવાદી લઈ લે છે તે છે. દા. ત. કામદાર આઠ કલાક કામ કરે છે પણ તેને પાંચ કલાકના શ્રમનું જ વળતર આપવામાં આવે છે. આ બે વચ્ચેનો તફાવત એટલે મૂડીપતિનું ભાડું, તેણે મહેનત નહિ કરીને મેળવેલી આવક. માર્ક્સવાદીઓ તેને શ્રમનું શોષણ કહે છે. 

આ શોષણ શક્ય બને છે કારણ કે મૂડીવાદી મશિનોનો માલિક હોય છે. તેથી શ્રમિક પાસે તેનો શ્રમ વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આમ, એક વિશિષ્ટ અન્યાયી સોદાબાજી થાય છે: કામદારે તેને મૂડીવાદી જે વેતન આપે તે સ્વીકારી લેવું પડે છે, ભૂખમરો પણ વેઠવો પડે.

(ક્રમશ:)
સ્રોત: લેખકનું પુસ્તક : ‘What is Wrong with Economics?’
પ્રકરણ: ‘Ethics and Economics’.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...725726727728...740750760...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved