Opinion Magazine
Number of visits: 9457398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુસ્લિમો માટે દેશનો માહોલ કેટલો બદલાયો છે?

કિરણ કાપુરે|Opinion - Opinion|22 December 2023

‘બિંઇગ મુસ્લિમ ઇન હિંદુ ઇન્ડિયા’ નામનું પુસ્તક હાલ ચર્ચામાં છે અને તે પુસ્તકના લેખક છે ઝિયા ઉસ સલામ. આ પુસ્તકમાં છેલ્લાં વર્ષોમાં ભારતીય મુસ્લિમોની બદલાયેલી સ્થિતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હિંદુ અને મુસ્લિમનો વિવાદ આપણા દેશનો સળગતો પ્રશ્ન છે; અને તેના વિશે સતત અભ્યાસ થતો રહે છે. આ અભ્યાસમાં ઝિયા ઉસ સલામનું પુસ્તક અગત્યનું છે કારણ કે તેમણે છેલ્લા દાયકામાં મુસ્લિમોની સ્થિતિને ભારતમાં વધુ કથળતી જોઈ છે. અને એટલે જ તેમના પુસ્તકનું નામે ય એ સ્થિતિ દર્શાવતું રાખ્યું છે : ‘બિંઇગ મુસ્લિમ ઇન હિંદુ ઇન્ડિયા’. લેખક ઝિયા ઉસ સલામ પુસ્તકમાં નોંધે છે કે, “જમણેરી રાજકીય નેતાઓ નવા ભારતમાં શહેરો અને નગરોનાં નામ બદલી રહ્યા છે, પરંતુ તેઓ ભાગ્યે જ અંગ્રેજકાળના નામ બદલે છે. બલકે તેઓ મુસ્લિમ નામોને ભૂંસે છે અને એ રીતે તેઓ દેશના વિવિધભર્યા ઇતિહાસમાંથી મુસ્લિમ યોગદાનને નાબૂદ કરી રહ્યા છે. અંગ્રેજ કાળથી નહીં, પણ સવિશેષ મુસ્લિમ કાળના શાસકોથી તેઓ અસહજતા અનુભવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2014માં જ્યારે પદભાર સંભાળ્યો ત્યારે તેઓ હજાર વર્ષની ગુલામી વિશે બોલ્યા હતા. મારા મતે તેમણે સલ્તનત, મુઘલ અને બ્રિટિશ કાળની ગણતરી માંડીને આ કહ્યું હતું. સમાજ-ભાષાના નિષ્ણાત રિઝવાન અહમદ મુજબ ‘વર્ષ 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશ બારસો વર્ષની ગુલામી માનસિકતાથી મુશ્કેલીમાં મૂકાયું છે. તેમનો અર્થ સ્પષ્ટ હતો બસોએક વર્ષનો અંગ્રેજ કાળ અને મધ્યયુગનો મુસ્લિમ કાળ.’”

આગળ ઝિયા ઉસ સલામ લખે છે : “મોદી માટે બ્રિટિશર્સ અને મુસ્લિમો બંને વિદેશી શાસકો છે. એ જ પ્રમાણે સાવરકર અને ગોલવલકર પિતૃભૂમિ અને પુણ્યભૂમિના વિચારનો ઉલ્લેખ કરતા હતા. 2014 પછી આપણે જ આપણા વૈવિધ્ય અને અન્ય સમુદાયોના યોગદાનને મિટાવી રહ્યા છીએ, જ્યાં એકસમયે બધા જ ધર્મ-સંપ્રદાય સુમેળથી વસતા હતા. એપ્રિલ-2023માં ‘હિંદુ’ અખબારમાં લખાયું હતું કે, ‘કેટલાંક શહેરો તે રાજા અથવા સુલતાનોનાં નામ સાથે જોડાયેલાં છે. આમાંથી કેટલાંકનાં નામો બદલાઈ ચૂક્યાં છે. કેટલાંક નામો બદલાયાં છે માત્ર તે નામો ઉર્દૂમાં હતા માત્ર તે કારણે. આ વક્રોક્તિ છે કે ઉર્દૂ ભાષાનો ઉદ્ભવ ભારતમાં જ થયો છે અને તેને ઝાઝો સમય નથી થયો. ઉર્દૂને કોઈ વિશેષ આસ્થા ધરાવનારા લોકો સાથે જોડવામાં નથી આવતી.’ ‘હિંદુ’ અખબારમાં ફૈઝાબાદનું ઉદાહરણ આપતાં લખ્યું છે કે આ શહેર નવાબ સાદત અલી ખાન દ્વારા 18મી સદીમાં નિર્માણ પામ્યું હતું. આ શહેર પૂર્વ અને મધ્ય અવધના વેપારી માર્ગમાં સ્થિત હતું. અહીંયા વેપારીઓ અને લોકો ખૂબ નફો રળતા અને તેથી તેથી આ જગ્યા માટે ‘ફૈઝ’ શબ્દ ઉપયોગમાં લેવાયો છે, જેનો અર્થ થાય છે ‘સફળ’ અથવા ‘વિજેતા.’”

આ પુસ્તકમાં આપણી માન્યતાઓ તૂટે તેવાં કેટલાંક ઉદાહરણ છે અને તે સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે. જેમ કે, ‘હિંદુ’ અખબારના હવાલેથી પુસ્તકમાં ઝિયા ઉસ સલામ લખે છે : “સદીઓ વીત્યે પણ ક્યારે ય અલ્લાહબાદ અથવા ઔરંગાબાદને લઈને કોઈ પ્રશ્ન ન ઉઠ્યો. અલીગઢ અને ઓસ્માનાબાદને લઈને પણ નહીં. સામાન્ય લોકોને હજુ આ નામોથી કોઈ પરહેજ નથી. તમે અલ્લાહબાદ જશો તો હજુ એ શહેરને લોકો અલ્લાહબાદ તરીકે જ સંબોધે છે. સત્તામાં છે તેઓ આમાં અપવાદ છે, જે બધું જ પોતાનાં ચશ્માંથી જુએ છે. હવે એ વાત મહત્ત્વની નથી રહી કે આ શહેરનું નિર્માણ સુલતાને કર્યું હતું અને તેણે જ આ શહેરને મોંગલના હૂમલાથી સુરક્ષિત રાખ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે દેશના અતિવ્યસ્ત રેલવે સ્ટેશન મુઘલ સરાઈનું નામ પંડિત દિનદયાલ ઉપાધ્યાય કર્યું છે. પંડિત દિનદયાલ ઉપાધ્યાય 1968માં શંકાસ્પદ રીતે કાશ્મીરમાં મૃત્યુ પામ્યા હતા. મુઘલ સરાઈ પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું પણ જન્મસ્થળ છે. 1992માં પણ ભા.જ.પ. દ્વારા મુઘલ સરાઈ નામ બદલાવનો પ્રયાસ થયો હતો, પરંતુ બાબરી મસ્જિદને તોડ્યા બાદ થયેલા રમખાણોમાં તે શક્ય ન બન્યું. જો કે હવે યોગી આદિત્યનાથ પર એવો કોઈ બોજો નથી. વિધાનસભામાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને જંગી બહુમતિ મળી છે.”

યોગી આદિત્યનાથના શાસનમાં ઉત્તર પ્રદેશમાં નામ બદલવાની પ્રક્રિયા જોરશોરથી થઈ અને તે વિશે ઝિયા રસપ્રદ વાત ટાંકે છે : “આદિત્યનાથે તે પછી અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનો ઉત્સાહ દાખવ્યો. અલ્લાહબાદ નામને ‘અલ્લાહના ઘર’ તરીકે અનુવાદ કરી શકાય. આ સ્થળ યમુના અને પૌરાણિક સરસ્વતી નદીનું સંગમ સ્થળ છે. જો કે ઐતિહાસિક દસ્તાવેજ જોતા આ શહેરનું નામ બદલાવના તર્ક પર પ્રશ્ન થાય છે. મુઘલ શાસક અકબર આ શહેરને ‘ઇલ્લાહ-બાદ’ અથવા ‘ઇલ્લાહી-બાસ’એ એમ નામ આપ્યું હતું. ‘ઇલ્લાહ’નો સર્વસામાન્ય અર્થ ઇશ્વર થતો હતો અને ‘ઇલ્લાહ બાસ’નો અર્થ ‘અલ્લાહનું ઘર’ એમ થાય છે. અકબરે આ સ્થળને હિંદુઓનું સ્થાનક ગણાવ્યું છે. તે વખતના ઇતિહાસકાર બૌદોની મુજબ અકબરને હિંદુઓના આ પવિત્ર સ્થળ વિશે જણાવવામાં આવ્યું હતું, જ્યાં નદીઓનો સંગમ થતો હતો અને લોકો અહીંયા મૃત્યુ ઇચ્છતા હતા. એ સ્થળનું મહત્ત્વ જોતા અકબરે તેને ‘ઇલ્લાહ-બાસ’ એવું નામ આપ્યું હતું. આ રીતે એક મુસ્લિમ શાસકે હિંદુઓની લાગણીને અનુસાર તે જગ્યાને નામ આપ્યું હતું. અને તેમણે જૂનું પ્રયાગ નામ બાજુએ રાખ્યું હતું. … મુઘલ કાળમાં પ્રયાગ અને અલ્લાહબાદ બંને નામ ચલણી હતા. પરંતુ આ નવા ભારતમાં અલ્લાહબાદ ભૂંસાઈ રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, ડિસેમ્બર 2021માં જાણીતા ઉર્દૂ કવિ સૈયદ અકબર હુસૈન જેઓ ‘અકબર અલ્લાહબાદી’ તરીકે ઓળખ પામ્યા છે. તેમણે પોતાનું નામ બદલીને ‘અકબર પ્રયાગરાજ’ કરી દીધું છે. તેમનું આ નામ અત્યારે ઉત્તર પ્રદેશ સરકારના ‘હાયર એજ્યુકેશન સર્વિસ કમિશન’ની વેબસાઇટ પર જોવા મળે છે.

માન્યતા દૃઢ થઈ જાય પરંતુ જ્યારે તે અંગેનું સત્ય આપણી સમક્ષ આવે ત્યારે તે રુચતું નથી. ‘બિંઇગ મુસ્લિમ ઇન હિંદુ ઇન્ડિયા’ પુસ્તકમાં આવી અનેક વાતો ઝિયા ઉસ સલામે ટાંકી છે. તેમના પુસ્તકનાં કેટલાંક પ્રકરણના નામ વાંચીને ખ્યાલ આવે કે તેમણે વર્તમાન મુસ્લિમોની સ્થિતિને કેવી રીતે બયાન કરી છે. પ્રકરણોના નામ આ પ્રમાણે છે : ‘ધ ડિસેપિઅરિંગ મુસ્લિમ’, ‘ધ મિસિંગ મુસ્લિમ વોટર’, ‘રિકન્સ્ટિટ્યૂટીંગ કન્સ્ટિટ્યૂઅન્સીસ’. લેખક ઝિયાની બધી વાત સાથે સંમત ન થઈ શકાય, પરંતુ તેમણે મૂકેલાં કેટલાંક તથ્યોને જરૂરથી વાંચવા જોઈએ. જેમ કે, તેઓ પ્રસ્તાવનામાં લખે છે : “દેશની સૌથી મોટો રાજકીય પક્ષ ‘ભારતીય જનતા પાર્ટી’ ઝડપથી મુસ્લિમોને એક ખૂણામાં ધકેલી રહ્યા છે. 2014માં ભા.જ.પ. દ્વારા 482 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા, પરંતુ ભા.જ.પ.માંથી માત્ર સાત મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી. અને તેમાંથી સાત ટિકિટ માત્ર જમ્મુ કાશ્મીરમાં આપવામાં આવી હતી, બાકીની ચાર પૂરા દેશમાં. આઝાદી પછી એવું પ્રથમ વખત થયું છે કે શાસક પક્ષમાં ચૂંટાયેલો એક પણ મુસ્લિમ સાંસદ ન હોય. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી લોકસભામાં એક પણ મુસ્લિમ પ્રતિનિધિ નથી. જુલાઈ 2022નું ચિત્ર એવું છે કે ભારત સરકારમાં એવું પ્રથમ વખત બન્યું કે એક પણ મુસ્લિમ મંત્રી ન હોય.”

અહીં તેઓ એમ પણ લખે છે “અનેક સંઘર્ષ છતાં મુસ્લિમોએ હિંદુસ્તાનની ભૂમિને પોતાનું ઘર બનાવ્યું અને તે ખુશીથી તેઓ અહીં વસ્યા છે. અહીંના અનેક સ્થાનિક રાજાઓ સાથે લડ્યાં, કેટલાંક સાથે તેમણે સંધિ કરી. સ્થાનિકો સાથે લગ્ન સંબંધોથી જોડાયા, તેમની સાથે રહ્યાં અને અહીંની સંસ્કૃતિ અપનાવીને તેને ઇસ્લામિક મૂલ્યો સાથે જોડી. આ પરિણામે વિશ્વમાં ઇસ્લામ બહુલક ક્ષેત્રોમાં આજે ય ‘ભારતીય મુસ્લિમો’ જુદા તરી આવે છે. અને તેથી ભારતનો મુસ્લિમ અરબ વિશ્વ કરતાં ભાષા, રીતભાત, પરિધાન અને ઇસ્લામ ધર્મ અંગેના તેમના અર્થઘટનથી પણ વેગળા છે.”

ઘણી ધારણાઓને ધ્વસ્ત કરતું આ પુસ્તક ઇસ્લામનાં મૂળિયાં આપણા દેશમાં કેટલાં ઊંડા છે અને મુસ્લિમો ભારત સાથે કેટલાં હળીમળી ચૂક્યાં છે તે દર્શાવે છે, અને એટલે જ ‘અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી’ના સ્થાપક સૈયદ અહમદ ખાનની વાત આ પુસ્તકમાં ટાંકવામાં આવી છે તે વાતનો ઇનકાર કોઈ દેશવાસી કરી શકશે નહીં કે, હિંદુ અને મુસ્લિમ હિંદુસ્તાનની બે આંખો છે. સૈયદ અહમદ ખાનની વાતને ગાંધીજીએ પણ ટાંકી છે અને આજીવન માની છે.

e.mail : kirankapure@gmail.com 

Loading

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અડવાણી-જોશી અનિવાર્ય છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 December 2023

રવીન્દ્ર પારેખ

1 એપ્રિલ, 2014નો ‘આપ કી અદાલત’નો વીડિયો જોવાનું થયું, જેમાં પ્રશ્નોના ઉત્તરમાં તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી એક પ્રશ્નના જવાબમાં આવું કહેતા જોવા મળ્યા :

‘ઇસ નરેન્દ્ર કો બનાને કા કામ અડવાણીજીને કિયા હૈ … નરેન્દ્ર કા ગુજરાત કે વિકાસ કે લિયે પલ પલ માર્ગદર્શન કિસને કિયા હે, તો અડવાણીજીને કિયા હૈ. ગુજરાત કે હમારે સાંસદ હૈ. ગુજરાત કી વિકાસ યાત્રા કૈસે ચલે, હર પલ હમે ઉંગલી પકડ કે ચલાયા હૈ. જિસ વ્યક્તિને નરેન્દ્ર કો ઇતના ચલાયા હૈ, વહ વ્યક્તિ દેસ કો કિતના બઢીયા ચલા સકતે હૈ? ઇસ કે લિયે કોઈ સબૂત કી જરૂરત નહીં હૈ, સબ સે બડા સબૂત મૈં હૂં ઉનકે લિયે.’

નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના પ્રધાન મંત્રી પદના ઉમેદવાર બનશે કે કેમ એવા પ્રશ્નના જવાબમાં એમણે આમ કહ્યું, ‘ભારતીય જનતા પાર્ટી કે પ્રધાન મંત્રી કે ઉમેદવાર શ્રીમાન લાલકૃષ્ણ અડવાણીજી હૈ ઔર હમ સબ પૂરી તાકત સે અડવાણીજી કો પ્રધાન મંત્રી બનાને કે લિયે ખપે હુએ હૈં.’

એ જુદી વાત છે કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી બન્યા ને અડવાણી પછી રાજકારણમાં બહુ દેખાયા નહીં, પણ મોદી પોતે અડવાણીનું મહત્ત્વ ત્યારે પણ પ્રમાણતા હતા અને આજે પણ પ્રમાણે છે, એટલે જ એમની છેલ્લી વર્ષગાંઠ પર વડા પ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમને શુભેચ્છાઓ આપવા તેમના ઘરે ગયા હતા.

આ વિષય અત્યારે કાઢવાનું કારણ એ છે કે આવતી 22 જાન્યુઆરી, 2024ને રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી મુરલી મનોહર જોશીને આમંત્રણ આપવામાં વિવાદ થયો. આમ તો નવા સંસદ ભવનનાં શિલાન્યાસ વખતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ આમંત્રણ આપવાનું યાદ રખાયું ન હતું, એટલે ક્યારે કોને ભૂલી જવાનું છે તે બરાબર યાદ રખાતું હોય છે, પણ અડવાણી અને જોશીને આમંત્રણ આપવામાં રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે વધુ પડતા આત્મવિશ્વાસને કારણે ભાંગરો વાટ્યો. તેમણે કહ્યું કે અડવાણીજીનું હોવું અનિવાર્ય છે અને અમે એ પણ કહીશું કે તેઓ મહેરબાની કરીને ન આવે. ડો. જોશી સાથે ચંપત રાયે ફોન પર વાત કરતાં કહ્યું કે તમે ન આવશો ને એ જીદ કરતા રહ્યા કે હું તો આવીશ. અડવાણી 96 વર્ષના છે અને જોશી 90ના થવાના. જોશીએ તો ઘૂંટણો બદલાવ્યા છે, એટલે એમની ઉંમરને કારણે 78 વર્ષનાં જનરલ સેક્રેટરીએ ઠંડીમાં તકલીફ ન લેવાનું કહ્યું હોય તે સમજી શકાય એવું છે. આ બંને સાથે ચંપત રાયના સંબંધો ના કહેવાનો અધિકાર ધરાવતા હોય, તેથી તેમણે ‘આવું’ આમંત્રણ આપ્યું હોય એ શક્ય છે, પણ મીડિયામાં એની અસરો કેવી પડશે એનો ખ્યાલ એમણે રાખવો જોઈતો હતો. એમાં કોઈ શંકા નથી કે ચંપત રાયે અડવાણી અને જોશીની તબિયતને લીધે જ ન આવવાનું કહ્યું હશે, પણ તેમના ટોનમાં નમ્રતા અને વિવેકનાં દર્શન ન થયાં, બલકે આધિકારિક તોછડાઈ વધુ જણાઈ. પ્રેસને સંબોધતાં પણ તેમણે એમ કહ્યું કે તમારામાંના ઘણા અડવાણીને જાણતા નહીં હોય, એમ બને, પણ વાત એટલી જ ન હતી, પોતે જાણે છે એવો ભાવ પણ એમાં અછતો રહ્યો ન હતો. અડવાણી કે જોશીને ન આવવાનું ફોન પર કહીને ચંપત રાય અટકી ગયા હોત તો આ મુદ્દે ચર્ચા વધી ન હોત, પણ તેમણે વધુ પડતી સ્પષ્ટતા સાથે પ્રેસને કહ્યું. જનરલ સેક્રેટરી તરીકે કે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે માત્ર આમંત્રણ આપીને તેમણે વિવેક જાળવી લેવાનો હતો. એવું તો હતું નહીં કે તબિયત સારી ન હોય તો પણ અડવાણી-જોશી આવવાની હઠે ચડે. બંને એટલી પાકટ ઉંમરનાં છે કે કયાં જવું અથવા ન જવું તે નક્કી કરવા તેમને કોઇની સલાહની જરૂર ન પડે. એ એટલા નાદાન નથી કે એમના જવા-આવવાનો નિર્ણય ચંપત રાયે કરવો પડે. એ ખરું કે એમનાં મનમાં કશું નહીં હોય, પણ એમના કહેવાની રીતે ઘણાંને દુભવ્યાં હોય એમ બને. ચંપત રાય, અડવાણી અને જોશીને ન જાણતા હોય એવું તો ન જ હોય, પણ એટલું નક્કી કે અડવાણી અને જોશી ન હોત તો રામ મંદિરનું અસ્તિત્વ હોવા વિષે ભારોભાર શંકા જ હોત !

પરિસ્થિતિ કોઈ પણ હોય, પણ જેમણે રામ મંદિર માટે જાત ખર્ચી નાખી હોય, તેમને રામલલ્લાનાં દર્શન કરતાં, 22 મી જાન્યુઆરી, 2024નું આમંત્રણ આપ્યાં પછી, અયોધ્યા આવતાં, મજાકમાં પણ રોકી ન શકાય. વળી હજારેક વર્ષે આવો ભવ્ય મહોત્સવ આવતો હોય, સાતેક હજાર વી.વી.આઇ.પી.ને આમંત્રણ અપાયું હોય ને એમાં 91 વર્ષનાં પૂર્વ પ્રધાન મંત્રી દેવેગૌડા, 88 વર્ષનાં દલાઇ લામા, 81 વર્ષનાં અમિતાભ બચ્ચન ને બીજી અનેક સેલિબ્રિટિઝને આમંત્રણો હોય, એમાં પણ ઘણાં 80ની ઉપરનાં હોય ને કોઇને ન આવવાનું કહેવાયું ન હોય, તો આ બેને જ ન આવવાનું મોં ફોડીને કહેવાનું વિચિત્ર તો લાગે જ છે. સંજોગોવશાત કોઈ ન આવે એ વાત જુદી છે, પણ ન આવવાનું આ બે પાયાના પથ્થરોને જ ભાન કરાવવું યોગ્ય નથી. વારુ, અયોધ્યાથી ચંપત રાયે નન્નો ભણ્યો ને બીજી બાજુએ વી.એચ.પી. નેતાઓ અડવાણીને ઘરે જઈને આમંત્રણ આપી આવ્યા ને એના ફોટા પણ રિલીઝ કરી દેવાયા. અડવાણી-જોશીએ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાની હર સંભવ કોશિશ કરશે એવું આશ્વાસન પણ આપ્યું.

અયોધ્યામાં મંદિર બનાવીશું એવા નારા જેમણે દેશમાં વહેતા કર્યા ને તેને માટે 1990માં સોમનાથથી અયોધ્યા સુધીની રથ યાત્રા કાઢી, એવા બે રથચક્રો અડવાણી-જોશીને ન આવવાનું કહેવાની તો કલ્પના ય ન આવે. ન જ આવવી જોઈએ. ગમ્મત તો એ છે કે વિપક્ષના એક પણ સભ્યને આનું આમંત્રણ નથી. તે એટલે કે એ વિપક્ષ છે. કેમ, વિપક્ષમાં કોઈ હિન્દુ નથી? એમાંનું કોઈ રામ ભક્ત નથી, એવું? આ ઉપેક્ષા અસહ્ય છે.

આ એ જ અડવાણી, જોશી, અશોક સિંઘલ, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, કલ્યાણ સિંહ વગેરે છે, જેમણે 6 ડિસેમ્બર, 1992ને રોજ બાબરી ધ્વંસનાં સાક્ષી બનવાનું સ્વીકાર્યું. અડવાણી-જોશી પર તો બાબરી તોડવાનાં ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ મૂકીને, ત્રણેક દાયકા સુધી ફોજદારી કેસ પણ ચલાવવામાં આવ્યો. રામ મંદિર આંદોલનનું નેતૃત્વ આ સૌએ કર્યું છે. એમાંના ઘણાંને આમંત્રણો છે, પણ, 30 ઓકટોબર, 1990ને રોજ અયોધ્યામાં કારસેવા કરવા ગયેલા કારસેવકોમાંથી 5નાં ગોળીબારમાં મૃત્યુ થયેલાં. એમનાં કુટુંબીજનો બદથી બદતર હાલતમાં અત્યારે જીવે છે, એ તો રામભક્તો હતાને? એમને આ પ્રસંગે યાદ કરવાની જરૂર નથી લાગતી? 2002માં સાબરમતી એક્સપ્રેસના S6 ડબ્બાને આગ લગાવીને, કારસેવા કરીને આયોધ્યાથી પરત આવી રહેલા યાત્રીઓને નિશાન બનાવીને 58 લોકોનાં કોલસા પાડી દેવાયા. રામ મંદિર દર્શનનો એમના કુટુંબી જનોનો હક માન્ય ખરો કે કેમ? એમને પણ આમંત્રિત કરવા જોઈએ, એવું નહીં?

ટૂંકમાં, આ માત્ર અયોધ્યાની જ નહીં, દેશ આખાની ઐતિહાસિક-ધાર્મિક ઘટના છે. યૌવનનો મહત્ત્વનો કાળ રામે વનવિહારમાં-પ્રકૃતિ વચ્ચે ગાળ્યો છે ને સાચું તો એ છે કે સત્તા લાલસા આ ચારે ભાઈઓમાં હતી જ નહીં, એટલે તો રામની પાદુકાએ 14 વર્ષ રાજ કર્યું. જગતના કોઈ ઇતિહાસમાં આવું થયું નથી. શાસન માટે લોહી રેડાયું છે. ભાઈઓ ગાદી માટે લડ્યા છે. દીકરાએ સત્તા માટે બાપની હત્યા કરી છે, જ્યારે રામ પોતાના કોઈ વાંક વગર વનમાં રહ્યા છે. હવે આવા રામ વનમાં રહે, તો મનમાં રહે તેની નવાઈ નથી. પિતાને ત્રણ રાણીઓ હતી, પણ વનમાં મોકલેલી સીતાની અવેજીમાં એ બીજી પત્ની કરતા નથી ને યજ્ઞમાં સીતાની મૂર્તિથી ચલાવે છે. લોકશાહીમાં લોક મહત્ત્વનો છે એટલે બધું જાણવા છતાં, નિર્દોષ સીતાને રાજા રામ ફરી વનમાં મોકલે છે. પતિને કારણે એક વાર નહીં, બબ્બે વાર સીતા વનવાસ વેઠે છે. આમ તો તે મહારાણી હતી, છતાં અયોધ્યામાં સીતા ઓછામાં ઓછું રહી છે. આજના અયોધ્યામાં એ રહેશે કે પછી ધરતીમાં જ સમાશે તે ખબર નથી. જેમ અડવાણી-જોશીનું અયોધ્યાનું નિશ્ચિત નથી, એમ જ સીતાનું ય હોય તો નવાઈ નહીં. જોઈએ, શું થાય છે તે –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 ડિસેમ્બર 2023

Loading

મિલકતના માલિકોની કોઈ નૈતિક જવાબદારી ખરી કે નહિ?

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|21 December 2023

નીતિ અને અર્થશાસ્ત્ર ભાગ – ૪

મૂડીવાદી વ્યવસ્થામાં નૈતિક રીતે ડંખતો જોડો ખાનગી મિલકત છે એ લગભગ ૪૦૦ વર્ષ અગાઉ જ્હોન લોક પારખી ગયા હતા. મધ્ય યુગમાં એવો સિદ્ધાંત હતો કે સંપત્તિનો વાજબી ઉપયોગ થવો જ જોઇએ. જ્હોન લોક દ્વારા તેમના Two Treatises of Government પુસ્તકમાં એમ કહેવામાં આવ્યું કે દરેક વ્યક્તિને પોતાના શ્રમથી મિલકત પ્રાપ્ત કરવાનો કુદરતી અધિકાર છે એટલે કે તેનો પોતાના શ્રમ દ્વારા પૃથ્વી પર તેને જે કંઈ મળે તે મેળવવાનો હક છે.

હવે સવાલ એ છે કે મોટા ભાગની જમીનના માલિક બહુ ઓછા લોકો છે એ બાબત સાથે આનો મેળ કેવી રીતે ખાય? જ્હોન લોક દ્વારા એવી દલીલ કરવામાં આવી કે વધુ સારા પ્રયાસો કરનારને વધુ મિલકત મળે તો તેને લાયક છે, એટલે કે મિલકતની અસમાન વહેંચણી હોઈ શકે. પછી ઘણે મોડેથી ઉપયોગિતાવાદીઓએ એવી દલીલ કરી કે અસમાનતાથી તો ઉત્પાદકતા વધે છે. અમેરિકામાં રોનાલ્ડ રીગન અને બ્રિટનમાં માર્ગરેટ થેચરના પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રની કેન્દ્રીય માન્યતા આ જ હતી. 

જ્હોન લોક દ્વારા મિલકતની ન્યાયી માલિકી વિશેના જૂના ખ્યાલો સાથે જીવંત સંબંધ પણ રાખવામાં આવ્યો. તેમણે એવી દલીલ કરી કે જેઓ પોતાની મૂડી કે જમીન નકામી પડી રહેવા દે છે તેમની પાસેથી તે લઈ લેવી જોઈએ કારણ કે “કશું બગડે અથવા નાશ પામે તે માટે ઈશ્વરે માણસ માટે કશું સર્જ્યું નથી.”

મિલકતની માલિકી છે તે સાર્વજનિક ભલા માટે ટ્રસ્ટ તરીકેની છે. સારા જમીનદારો સારા સંચાલકો હતા. એટલે ખાનગી માલિકી જો સાર્વજનિક ભલા માટે પ્રયોજાય તો, તેનાથી પોતાના શ્રમથી મિલકત મેળવવાના લોકોના કુદરતી અધિકારનો ભંગ થતો નથી. 

ઔદ્યોગિક યુગમાં કામદારોએ મિલકતની માલિકીની જેમ જ કામના અધિકારનો પણ દાવો કર્યો. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં પૂર્ણ રોજગારીની ધારણા કરીને એ દાવાને ફેંકી દેવામાં આવ્યો. તેમાં એમ કહેવામાં આવ્યું કે જેઓ કામ ઈચ્છે છે તેમને પૂરતા પ્રમાણમાં લવચીક શ્રમ બજારમાં કામ મળી જ રહેશે. આરામ કરવા માટે જ બેકાર રહેવાનું પસંદ કરવામાં આવે છે એમ તેમાં ધારી લેવામાં આવ્યું, એટલે પછી એવી વ્યક્તિને આવકનો કોઈ અધિકાર રહેતો નથી. 

કામદારોએ તેમના શ્રમથી જે અધિશેષ જન્મે છે તેમાંથી પણ હિસ્સો મેળવવા દાવો નોંધાવ્યો. કાર્લ માર્ક્સ એમ કહે છે કે મૂડીવાદમાં એ શક્ય જ નથી. એ.સી. પીગૂ (૧૮૭૭-૧૯૫૯) જેવા અર્થશાસ્ત્રીઓએ આવકની પુનઃ વહેંચણી માટે વૈજ્ઞાનિક કેસ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. જે માણસ પાસે પૈસા છે તેની પાસેના પૈસાનો સીમાંત તુષ્ટિગુણ ઘટતો જાય છે એમ કહીને પિગૂએ ધનવાનોના પૈસા ગરીબોને આપવાની તરફેણ કરી. પછી આ પ્રયાસ પર પાણી ફરી વળ્યાં કારણ કે લાયોનેલ રોબિન્સ દ્વારા ૧૯૩૮માં એમ કહેવામાં આવ્યું કે સંતોષની તીવ્રતા માપવાનું અશક્ય છે. પછી એ સ્વીકૃત સિદ્ધાંત બની ગયો કે જુદી જુદી વ્યક્તિઓના તુષ્ટિગુણની સરખામણી કરીને સામાજિક કલ્યાણનું વિધેય તારવી શકાય જ નહિ.

કેટલાક અર્થશાસ્ત્રીઓએ એમ ભારપૂર્વક કહ્યું કે સામાજિક કલ્યાણનું વિધેય ગેરહાજર હોય એટલે એનો અર્થ એવો નથી થતો કે સંપત્તિની પુનઃ વહેંચણીનું ધ્યેય ત્યજી દેવામાં આવ્યું છે. એનો અર્થ તો માત્ર એટલો જ થાય છે કે મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં વિતરણના ન્યાયનો પ્રશ્ન છોડી દેવામાં આવ્યો છે. તેને બદલે એવી સાબિતીઓ પણ આપવામાં આવી કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનનાં તમામ સાધનોને તેમના સીમાંત ઉત્પાદન જેટલું વળતર મળે જ છે. તેને પરિણામે સંપત્તિના વિતરણને રાજકીય નહિ તો આર્થિક એજન્ડામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યું. 

હકીકતમાં, વીસમી સદીના મોટા ભાગના સમયમાં વિતરણનો સવાલ રાજકીય એજન્ડામાં પ્રભાવક રહ્યો. સામાજિક લોકશાહીમાં માનનારાઓ દ્વારા એવી દલીલ કરવામાં આવી કે નાગરિકત્વને લીધે રાજ્યની એ જવાબદારી ઊભી થાય છે કે તે લોકશાહી અર્થપૂર્ણ રીતે કાર્યરત બને તે માટે લોકોની ભૌતિક સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં સમાનતા આવે તેમ કરે. આજે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અને નિરાશાવાદી સમાજશાસ્ત્રીઓ કલ્યાણ રાજ્યના ખ્યાલ ઉપર સમાન રીતે હુમલા કરે છે. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ માને કે કલ્યાણ રાજ્ય મનુષ્યની કામ કરવાની વૃત્તિ ઓછી કરી નાખે છે અને નિરાશાવાદી સમાજશાસ્ત્રીઓ એમ માને છે કે તે સમાજનું નૈતિક અધ:પતન આણે છે. 

હાલ મિલકતના અધિકારના ન્યાય વિશે અર્થશાસ્ત્રીઓ કરતાં દાર્શનિકો વધુ ચર્ચા કરે છે. અમેરિકન દાર્શનિક જ્હોન રોલ્સ (૧૯૨૧-૨૦૦૨) દ્વારા  અસમાનતાનો સિદ્ધાંત અપાયો. બ્રિટિશ દાર્શનિક જ્હોન લોક દ્વારા એમ કહેવાયું હતું કે ખાનગી મિલકતની માલિકીનું નૈતિક વાજબીપણું હોવું જોઈએ. જ્હોન લોક જ્યારે એમ કહે છે કે જેમની પાસે બહુ ઓછી મિલકત છે તેમની સ્થિતિ સુધરવી જોઈએ ત્યારે તેઓ જ્હોન લોકોની જ વાતમાં સુધારો કરે છે એમ કહેવાય. 

મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રની બહાર મિલકતની માલિકીની નૈતિક જવાબદારીના પ્રશ્નમાં ફરી એક વાર રસ જાગ્યો છે. 

શેર હોલ્ડરોના શેરનું મૂલ્ય મહત્તમ કરવાની કંપનીઓની કાનૂની જવાબદારી છે તે ઉપરાંત શું તેમની કોઈ નૈતિક જવાબદારી હોય ખરી? કંપનીઓની સામાજિક જવાબદારી (CSR) અને હિતધારક મૂડીવાદ(stakeholder capitalism)ના ખ્યાલો આવી જ ચર્ચાનું ફળ છે. જો કે, CSR એ મોટે ભાગે મોટો ધંધાકીય પ્રચાર બની ગયો છે. 

એમ અનેક અભ્યાસો દર્શાવે છે કે જે કંપનીઓ માત્ર તેમના માલિકો અને વરિષ્ઠ મેનેજરોનું જ હિત જુએ છે તેમના કરતાં કામદારો, પુરવઠાકારો અને નજીકના રહીશો પ્રત્યે વધુ જવાબદારીઓ અદા કરનારી કંપનીઓ વધુ નફો રળી લે છે. પરંતુ મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં મિલકતના માલિકો તો મિલકતના કારભારી છે એવા ખ્યાલનો પડઘો મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં ભાગ્યે જ પડ્યો. એનું કારણ એ છે કે મિલકતના અધિકારો વિશેના સંકુચિત ખ્યાલને તે પડકારે છે. એટલું જ નહિ, તે જમીન, મૂડી અને શ્રમનાં બજારો એકદમ ન્યાયી છે અથવા તો તેમને ન્યાયી બનાવી શકાય તેમ છે એવા દિમાગમાં ઘૂસી ગયેલા ખ્યાલને પણ પડકારે છે; કારણ કે એ ખ્યાલ તો એમ સમજે છે કે તમામ ઉત્પાદકોને એટલું જ વળતર મળે છે કે જે ગ્રાહકો માટે યોગ્ય છે. 

નૈતિકતાની ચર્ચા ફક્ત એકપક્ષી રહી નથી. કાનૂની રીતે અમલમાં મૂકી શકાય તેવા સુસ્પષ્ટ મિલકતના અધિકારો માટે કાર્યક્ષમતાની દલીલ કરવામાં આવે જ છે. વળી, જાહેર લાભ માટે મિલકતનો ઉપયોગ થવો જોઈએ એવો આગ્રહ ખાનગી મિલકતના પ્રશિષ્ટ ઉદારમતવાદી બચાવને ઓછો આંકે છે, કારણ કે તે એમ કહે છે કે તેનાથી તો રાજ્ય સ્વચ્છંદી રીતે ખાનગી મિલકત પચાવી પાડે છે. એવી એક ઉદારમતવાદી દલીલ પણ કરવામાં આવે છે કે કામદારો અને માલિકો વચ્ચે જે સ્વૈચ્છિક કરારો થતા હોય તેમાં રાજ્યે વચ્ચે પડવું જોઇએ નહિ. અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓએ આ દલીલોને અવગણવી જોઇએ નહિ. તેમણે તો તેમની વિશ્લેષણની પસંદગીઓ નૈતિક અને રાજકીય છે કે નહિ તે પ્રત્યે સભાન રહેવું જોઈએ એટલું જ. 

(ક્રમશ:)
સ્રોત: 
લેખકનું પુસ્તક: What is Wrong with Economics?
પ્રકરણ: Ethics and Economics.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...720721722723...730740750...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved