Opinion Magazine
Number of visits: 9741785
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજ્સ્થાનની ભૂમિ પરની આ નાનકડી કાલ્પનિક પ્રેમ કથા

વસુધા ઈનામદાર|Opinion - Short Stories|3 June 2024

વૈશાખ મહિનાનો ધોમ ધખતો તાપ ! રાજા અને રાણીના મહેલમાં પણ જાણે લૂના વાયરા વાવા લાગ્યા. એ બળબળતી બપોરે રાજાને કેમે કરી ચેન નહોતું પડતું. એ તો રાજા ! તાપે ધખ ધખતી બપોર એમણે ઘોડે સવારોને હુકમ કર્યો, ચાલો, વનમાં જઈએ કોઈ ઝરણાં કે તળાવે ! પવનની લહેરખીમાં આનંદ પ્રમોદ કરીએ, રાજા તો ઉપડ્યા. રાણીવાસમાં ગરમીમાં અકળાતાં રાજાની વ્હાલી રાણી કરુણાવતીએ જ્યારે જાણ્યું કે રાજા રસાલા સાથે આ ધોમ ધખતાં તાપમાં વનમાં તળાવે જાય છે. તેણે સંદેશો મોકલ્યો, ‘મહારાજને હું વિનંતી કરું છું કે આ ઉનાળાની બપોરે તમો મહેલમાંથી બહાર ના જાવ, ને જો જવું જ હોય તો મારો ઘોડો પણ તૈયાર રાખો ને હું પણ તમારી સાથે આવીશ.’

રાજા અને સેનાપતિની વિનંતીને ગણકાર્યા વિના રાણીએ પણ જીદ કરી. રાણીની જીદ આગળ રાજાએ નમતું મૂકયું. રાજા-રાણીની સવારીની આગળ જાણીતા સેનાપતિ અને એમનો કાફલો ચાલે.

જોત જોતામાં તો રાજાના કાફલાએ વન છોડ્યું. વનમાંના બે ઝરણાં અને સરસ મજાનું તળાવ પણ પસાર કર્યું. સુકાઈ ગયેલાં ઝરણાં ને તળાવનાં ઊંડાં ઉતરેલાં પાણી જોઇ, સેનાપતિ રાજાને રોકવા લાગ્યા, ‘મહારાજ વન પસાર થઇ ગયું છે. જુઓ તળાવનાં ને ઝરણાંનાં પાણી શોષાઈ ગયાં છે. આ મૂંગાં પશુ પંખીઓએ પાણી વગર ટળવળીને પ્રાણ ત્યજ્યા છે.

ટેકરીને પેલે પાર તો બોડિયો ડુંગર ને પછી આવશે સૂકું ભઠ રણ ! ચાલો મહારાજ હુકમ કરો પાછાં વળીએ, રાજા હસીને બોલ્યા, ‘સેનાપતિ, તમે થાક્યા હો તો પાછા વળો, અમે હવે શિકારની શોધમાં છીએ,’ ‘પણ મહારાજ, હવે તો આ રણ દેખાય’, થોડી થોડી વારે રાજાને સેનાપતિ વિનવે. ‘મહારાજ, આ ઊંટની પણ ચામડી બળે એટલી ગરમી છે. મેં મારા સૈનિકોને આગળ મોકલ્યા છે. એમાંથી લૂ લાગવાથી બે જણ પાછા વળ્યાં છે.’

રાજા હસ્યા, ‘ને કહ્યું તમે પાછા વળો, સાથે રાણીબાને લેતા જાવ.’

‘મારા સ્વામી, તમે પાછા વળો તો હું પાછી વળું !’ રાણીબાનો ઘોડો રાજાના ઘોડાના લગોલગ ચાલવા લાગ્યો. રાજાની સાથે રાણી પણ જાય છે, રાજા રાણીને કહે છે, ‘આટલે સુધી આવ્યો છું શિકાર તો કરવાનો જ !’

રાજાએ એમની તેજ ઘોડીને લાત મારી, તે પવન વેગે જાણે ઉડી. રાણીએ પણ એના તેજી ઘોડાને ઈશારો કર્યો. લાંબી મજલ પછી બંને જણ એક સૂકા ઝાંખરા આગળ આવી ઊભા રહ્યાં. રાણીની નજીક જઈ રાજાએ કહ્યું, ‘જુઓ પેલા હરણાંની જોડી ! એક તીરે બે શિકાર થાય એમ બંને જણ લગોલગ ઊભા છે.’

રાજાએ બાણ કાઢ્યું ને રાણીએ મંદ હાસ્ય કરી રાજાને આડા હાથ કરી રોક્યા. ને તે બોલ્યાં, ‘મહારાજ આ તો ભર રણમાં રમણેચઢેલી તમારા ને મારા જેવી જુગલ જોડી. એમને છૂટાં ના પડાય!’

‘તો ભલે, તમે કહો છો તો તમ કાજે ચાલો જીવતાં પકડી લાવું ?’

રાજાએ બાણ ભાથામાં મૂક્યું ને રાણીનો હાથ પકડી હરણાંની જોડી આગળ આવ્યાં; પણ એ શું થયું ? એ નજીક પહોંચે તે પહેલા તો બંનેના પ્રાણ પંખીડા ઉડી ગયા. રાણી હબકાઈને રાજાને વળગી અને એણે રાજાને કહ્યું,

‘ખડો ન દીસે પારધી, લાગ્યો ન દીસે બાણ,

તુજને પૂછ્યું કંથ, કેવી રીતે છાંડ્યાં પ્રાણ ?’

રાજાએ બાજુમાં નાનકડું ખાબોચિયું જોઈ, ને વિચારીને કહ્યું, ‘રાણી જુવો ખોબા જેટલું પાણી, ફક્ત એકની તરસ છીપાય.’ ને પછી તો, રણને આંસુ આવી જાય એવા સાદે રાણા બોલ્યા,

    ‘જળ થોડો ઓર નેહ ઘણો,

       યહી ઈશ્ક કા પ્રમાણ !

તું પી, તું પી, એહ કરત,

દોનોને, ઇસ બિધ છાંડયો પ્રાણ’

(શાહબુદ્દીન રાઠોડ  કહે છે, ‘એવો હોય તો પ્રેમ બાકી બધો વ્હેમ !’)

આ લોક દોહો સાંભળીને આજ કાલ ભારતમાં આગ ઓકતી ગરમી વિશે જાણીને મેં રચેલી એક કાલ્પનિક રાજસ્થાનની ભૂમિ પરની નાનકડી પ્રેમ કથા !!
૨૧-૫-૨૦૨૪; બોસ્ટન, અમેરિકા
 e.mail : mdinamdar@hotmail.com

Loading

પડે છે ત્યારે સઘળું પડે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 June 2024

રવીન્દ્ર પારેખ

રાજકોટનાં ગેઇમ ઝોન પર રાખ વળી ગઈ, પછી પણ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે. સરકાર તો થોડાક લાખની ખેરાત કરીને કે આશ્વાસનનાં શબ્દો બોલીને કામે લાગી ગઈ છે. ભા.જ.પ. જીતે તો ગુજરાતમાં ક્યાં ય વિજય સરઘસ નહીં કાઢે એવું જાહેર થયું છે, એ પરથી લાગે છે કે રાજકોટની જ્વાળાઓથી આખું ગુજરાત દાઝ્યું છે. ગુજરાતમાં રાજનેતાઓની, તંત્રોની અને અધિકારીઓની ગુનાહિત બેદરકારીથી છ વર્ષમાં 228 મોત થયાં છે. ગેઇમ ઝોન સાથે સંકળાયેલાઓની જ વાત કરીએ તો જે પ્રકારનો આર્થિક વ્યભિચાર બહાર આવ્યો છે તે જાણે નિર્દોષોનાં કોલસા પાડવાનું કાવતરું જ લાગે છે. એ ટાઉન પ્લાનિંગ ઓફિસર હોય કે સાંસદ કે પોલીસ, નર્યો ભ્રષ્ટાચાર કરીને અમર્યાદ સંપત્તિ ભેગી કરનારા ગુનેગારો છે. પગાર હોય એના કરતાં અનેક ગણી સંપત્તિ ધરાવતાં હોય તો એ બધું હરામનું ભેગું થયું છે, એમાં શંકા નથી. ફાયર NOC મેળવવા સિત્તેર હજાર ચૂકવાયાનો ખુલાસો ખુદ સાંસદ કરે તો થાય કે બધાં જ પાપ આ એક ગેમ ઝોનમાં જ થયાં છે? વારુ, રાજકોટમાં 2019થી કેટલાક વેપારીઓએ ફાયર NOC માટે અરજી કરી છે, પણ તેમને તે મળ્યું નથી ને હવે ફાયર NOCની ઉઘરાણી નીકળી છે ને બધું ધડાધડ સીલ થઈ રહ્યું છે, તેમાં ઘણાંનો મરો થઈ રહ્યો છે. લાગે છે એવું કે જેમણે પૈસા દબાવ્યા તેમનું કામ થયું છે ને બાકીના ટલ્લે ચડ્યાં છે. પૈસાની આ ભૂખ નથી, હવસ છે. આમ તો એ જ પૈસા એમને બચાવે ને કોઈ નિર્દોષને ફસાવે એમ બને, પણ એવું આખું ગુજરાત ઈચ્છે છે કે આમાં જે જવાબદાર છે તે ધુમાડાયા વગર ન રહે.

ક્યાંક કૈંક સારું પણ હશે, પણ અત્યારે તો ગુજરાત અનેક પ્રકારના ભ્રષ્ટાચારોથી ખદખદી રહ્યું છે. એક ફોટો એવો જોવામાં આવ્યો, જેમાં સ્કૂલનાં બાળકો સ્કૂલવાનમાં સી.એન.જી.ના બાટલા પર બેઠાં છે. આ રીતે રોજ સવા લાખ બાળકો સી.એન.જી.ના બાટલા પર બેસી સ્કૂલે જાય છે. એના પર પણ રોક લાગવી જોઈએ, પણ કોઈ દુર્ઘટના નહીં ઘટે ત્યાં સુધી ફેર નહીં પડે. આવું વર્ષોથી સહજ રીતે ચાલે છે, પણ રાજકોટમાં ગેમ ઝોનની રાખ પડી તો સત્તાધીશો, નીતિનિયમો, કાયદાઓ લોકોને બતાવવા મેદાને પડ્યા. આ રાંડ્યા પછીનું ડહાપણ છે તે નિયમો કે કાયદા પળાવનાર ને પાળનાર જાણે છે. એ પહેલાં થયું હોત તો આટલો ભડકો જ થયો ન હોત. ગેમ ઝોનમાં 3,000 લિટર જ્વલનશીલ પ્રવાહી જોખમી છે એવું કોઈ મૂર્ખ પણ જાણે છે, એક્ઝિટ ને એન્ટ્રી એક જ હોય તો કે કામચલાઉ બાંધકામ હોય તો તે જોખમી બને … આ બધાં જાણતાં હોય છે, પણ માલિકો કે સંચાલકો ખર્ચ ન કરવામાં અને લોકોને લૂંટવામાં માનતા હોય છે, એટલે આખું કોળું દાળમાં જાય છે.

કોઈ દુર્ઘટના ઘટે છે કે તંત્રો કામચલાઉ ધોરણે દરમાંથી બહાર નીકળી આવે છે. એ ન્યાયે હવે ઠેર ઠેર બધું સીલ કરવાનો સિલસિલો ચાલુ થયો છે. દુકાનો, મકાનો, થિયેટરો, શોપિંગ મોલ, ઓફિસો બધા પર ફાયર સેફટીને મામલે પસ્તાળ પડી છે. સુરતમાં હજારેક બિલ્ડિંગો સીલ કરવામાં આવી છે. 100થી વધુ હોસ્પિટલો, 200 જેટલાં શૈક્ષણિક સંકુલો સહિત લગભગ સાડી પાંચસો બિલ્ડિંગો પાસે BU જ નથી. 175થી વધુ બિલ્ડિંગો પાસે NOC જ નથી. આમને આમ ચાલશે તો આખું શહેર સીલ થાય એમ બને. ઘણાંના ધંધા ઠપ થયા છે. સંસ્થાઓ નવરી પડી ગઈ છે. જો કે, એમાં પક્ષપાત પણ થાય છે. પાલમાં એક ફૂડ કોર્ટને સીલ તો માર્યું, પણ તે ભા.જ.પ.નું હતું એટલે ત્રીજે જ દિવસે ફરી ધમધમતું થઈ ગયું. ટ્યૂશન ક્લાસમાં આગ લાગે તો તે બંધ કરાવી દેવાય. બોટ ડૂબે તો બોટ પર તવાઈ આવે, ગેઇમ ઝોન સળગે તો તે BU, NOC પર મંડી પડાય એ બરાબર છે? આફત આગોતરી વરદી નોંધાવીને આવે છે? આગ લાગે, તો બીજી કોઈ આફત ત્રાટકે જ નહીં, એવું ક્યાં ય લખેલું છે? એટલે એક ઘટના બને, પછી એ જ તરત બનવાની હોય તેમ, જે રીતે શહેરોને બાનમાં લેવાય છે, તે વાજબી નથી. આદર્શ સ્થિતિ તો એ હોય કે કોઈ પણ આફત માટે તંત્ર અગાઉથી જ સજ્જ હોય, પણ તે સજ્જ તો કોઈ આફત પછી જ થાય છે. દુ:ખદ એ છે કે સરકાર ફરી આવું નહીં થાય એવા વાયદા કરે છે, પણ તેને યાદ રહેતા નથી. સુરતમાં તક્ષશિલા ટ્યૂશન ક્લાસની આગની ઘટના પછી આગથી કોઈ નહીં મરે એવી વાત સરકારે કરેલી, પણ ગેઇમ ઝોનની ઘટના બની જ ! આવી ઘટનાનાં બે પરિણામો આવે છે – તંત્રોની ભ્રષ્ટતા અને નિર્દોષનાં મૃત્યુ !

વારુ, લોકો પાસે જે અપેક્ષાઓ રખાય છે એવી અપેક્ષાઓ તંત્રો પોતાને પક્ષે પૂરી કરે છે? બધી સરકારી કચેરીઓમાં BU, NOC છે? કેટલાં ગેરકાયદે બાંધકામો શહેરમાં છે તે કોર્પોરેશનને ખબર નથી? પોલીસને ખબર છે ક્યાં ગોરખધંધા ચાલે છે ને કોની રહેમ નજરથી ચાલે છે? આ ચાલતું નથી, ચાલવા દેવાય છે. આ તપાસ, રેડ, સીલિંગ ન થવું જોઈએ એમ કહેવાનું નથી, પણ થવું જોઈએ ત્યારે નથી થતું, રડવાનું એનું છે. લોકો સ્વાર્થી છે, બેદરકાર છે, તકવાદી છે એ ખરું, પણ તંત્રો પણ કૈં દૂધે ધોયેલાં નથી. લોકો પર પસ્તાળ પાડતાં તંત્રો પોતે કેટલાં બેદરકાર છે એનો એક નમૂનો જોઈએ.

કોઈ પૂછે કે ગટરનું ઢાંકણું કેટલામાં પડે તો તેનો જવાબ વધારેમાં વધારે થોડા હજાર સુધી જાય, પણ ગટરમાં પડેલું ઢાંકણું દોઢ કરોડનું પડે એમ કોઈ કહે તો તમ્મર આવેને? પણ, આ સાચું છે. ગટરમાં પડેલું ઢાંકણું કાઢવાનાં વડોદરા મહાનગરપાલિકાને એક બે લાખ નહીં, પણ દોઢ કરોડ થયા. બન્યું એવું કે વાઘોડિયા રોડ પર ડ્રેનેજ ચોકઅપની ઢગલો ફરિયાદો આવતાં વડોદરા કોર્પોરેશન તપાસમાં લાગ્યું તો તેનો છેડો 2006 સુધી લંબાયો. અઢાર વર્ષ પહેલાં રોડ બનાવવાની કામગીરી દરમિયાન ઢાંકણું મેઇન હોલમાં પડી ગયેલું. થોડા દિવસ પર જ ખબર પડી કે 2006માં ઢાંકણું ગટરમાં પડી ગયેલું તેથી લાઇન ચોકઅપ થઈ છે. કામગીરી શરૂ થઈ. રોડ ખોદાયો. ડ્રેનેજ ચેમ્બરમાંથી ઢાંકણું મળ્યું. ઢાંકણું કાઢતાં 20 ફૂટ સુધી ભરાયેલું ચેમ્બર 2 કલાકમાં ખાલી થઈ ગયું. ગટર લાઇનમાં ઢાંકણું પડ્યું છે, એની રજૂઆત તે વખતે કોઈકે વોર્ડ કચેરીને કરી હતી, પણ અધિકારીઓએ ધ્યાન ન આપ્યું. છેલ્લાં એક વર્ષથી ડ્રેનેજ લાઇનમાંથી પાણીને, પંપ મારફતે વરસાદી ગટરમાં ઠાલવવામાં આવતું હતું ને તેને માટે પંપ અને જનરેટર 24 કલાક કામે લગાડાયાં હતાં. એ બધાંનો ખર્ચ ફક્ત દોઢ કરોડ થયો. કેટલાક સરકારી લલ્લુઓ તો એમ પણ દાખલો ગણશે કે 216 મહિનાને હિસાબે દોઢ કરોડ તો બહુ મામૂલી રકમ ગણાય. એ લલ્લુઓ એમ નહીં વિચારે કે જે કામ થોડા કલાકોમાં થઈ શકતું હતું, તે કરતાં 18 વર્ષ થયાં હતાં.

આ તો તંત્રોનું ઉદાહરણ થયું, પ્રજા તરીકે આપણે ય કૈં ઓછી માયા નથી. રાજ્યમાં ડ્રગ્સ પકડાયાના સમાચાર છાશવારે છપાતા રહે છે ને ગૃહ મંત્રી તંત્રની બહાદુરીથી છાતી ફુલાવતાં ફરે છે, પણ એ નથી જોતાં કે ડ્રગ્સ ગલીઓમાં પહોંચ્યું છે. આ ડ્રગ્સ કોણ પહોંચાડે છે? એ તો લોકો જ છેને જે બાળકો-યુવાનોનું ભવિષ્ય નરક કરી રહ્યા છે. કાલના જ સમાચાર છે કે બેંગકોકથી સુરત કુરિયરમાં LSD ડ્રગ્સ મંગાવવાના રેકેટનો પર્દાફાશ થયો. SOGએ કેટલીક સોસાયટીઓમાં દરોડા પાડ્યા તો ઘરોમાંથી 42 લાખનું LSD ડ્રગ્સ અને 65 હજારનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયાં. આ વાત સુરતની જ નથી, અમદાવાદમાં પણ વિદેશથી રમકડાંની આડમાં 1.16 કરોડનો ગાંજો પકડાયો છે. વિદેશથી 18 પાર્સલ ફોરેન પોસ્ટ ઓફિસમાં આવ્યાં હતાં ને એ મંગાવનારા શ્રીમંત પરિવારના યુવક-યુવતીઓ છે. ગયા શનિવારે અમદાવાદના શીલજ બ્રિજ પાસેથી કારમાં એક યુવક દારૂની 595 બોટલો અને બિયરનાં 144 ટીન સાથે પકડાયો. આમાં મહિલાઓ ય પાછળ નથી. એર ઇન્ડિયાની એક એર હૉસ્ટેસ પ્રાઇવેટ પાર્ટમાં કિલો સોનું છુપાવીને લાવતાં ઝડપાઇ છે. દારૂ મોંઘો પડે છે એટલે નશા માટે સુરતના કેટલાક નબીરાઓ કફ સિરપની આખી બોટલ ગટગટાવી જાય છે. કફ સિરપનો ઉપાડ એટલો વધ્યો છે કે 100 રૂપિયાની બોટલ 200 રૂપિયામાં વેચાય છે.

તો, આ પણ એક બાજુ છે, જેમાં તંત્રો નહીં, પ્રજા સંડોવાયેલી છે. એમ લાગે છે કે બાળકો અને યુવાનો ટાર્ગેટ કરવામાં આવે છે. ગેમ ઝોન અકસ્માતોથી, ડ્રગ્સ-ગાંજાથી, શરાબ કે શરાબના વિકલ્પથી યુવા શક્તિને ખતમ કરવાનું કોઈ રેકેટ ચાલતું હોય એવો વહેમ પડે છે. આ અકસ્માત જ હોય તો તે બાળકો કે યુવાનો સાથે જ કેમ થાય છે તે વિચારવાનું રહે. એ સાથે જ પૈસાની લાલચે રાજનેતાઓ, અધિકારીઓ અને તંત્રો સાગમટે કોઈ પણ પાપ કરવામાં જરા ય અચકાતા નથી, કરુણતા એ છે કે આવું પાપ કરનારાઓને ખાસ કૈં થતું નથી, જે રાખ પડે છે તે તો નિર્દોષોની !

ખરેખર, પડે છે ત્યારે સઘળું પડે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 જૂન 2024

Loading

રાજકોટમાં બાળકોનાં મા-બાપાઓએ ‘એ.વી.યુ.ટી.’નો માર્ગ અપનાવવો જોઇએ

રમેશ ઓઝા|Opinion - Opinion|2 June 2024

રમેશ ઓઝા

આજે સુરેન્દ્ર પ્રતાપ સિંહની યાદ આવે છે. સુરેન્દ્ર પ્રતાપ સિંહ (એસ.પી.) હિન્દી ભાષાના એક મોટા ગજાના પત્રકાર હતા. હિન્દી ભાષાના અત્યાર સુધીના દસ શ્રેષ્ઠ પત્રકારોમાં તેઓ અચૂક સ્થાન પામે એટલા મોટા પત્રકાર. મને યાદ છે કે ૧૯૯૦-૯૧નાં વરસોમાં તેઓ ‘નવભારત ટાઈમ્સ’ના તંત્રી હતા અને મેનેજમેન્ટ સાથે એડિટોરિયલ પોલીસી બાબતે મતભેદ થતાં તેમણે રાજીનામું આપી દીધું હતું અને તેમની સાથે બીજા અનેક પત્રકારોએ રાજીનામાં આપી દીધાં હતાં. તેમના નામની એક પત્રકારત્વકીય સ્કૂલ હતી અને અનેક લોકો તેમને ગુરુ માનતા હતા. તેમની સ્કૂલના પત્રકારોમાંથી કેટલાકને હું સામે પ્રવાહે તરતા જોઉં છું અને એકાદ-બે એવા પણ છે જે આજકાલ જે ગોદી મીડિયા તરીકે ઓળખાય છે એના માટે કામ કરે છે. દરેકની કરોડરજ્જુ એક સરખી નથી હોતી.

‘નવભારત ટાઈમ્સ’માંથી છૂટા થયા પછી એસ.પી. ‘ઇન્ડિયા ટુડે’ જુથમાં જોડાયા હતા અને તેમણે ‘આજ તક’ નામની ચેનલ શરૂ કરી હતી. “તો યે થીં ખબર આજ તક, ઇંતજાર કીજિએ કલ તક” એ તેમનું છેલ્લું વાક્ય લોકજીભે બેસી ગયું હતું. તેમણે ‘આજ તક’ દ્વારા હિન્દી ટી.વી. પત્રકારત્વનો માર્ગ તેમણે કંડારી આપ્યો હતો, પરંતુ એ માર્ગે તેઓ પોતે લાંબી મુસાફરી કરી શક્યા નહોતા.

આજે તેમની યાદ આવે છે એક દુર્ઘટનાને કારણે. ૧૩મી જૂન ૧૯૯૭ના દિવસે દિલ્હીમાં ઉપહાર સિનેમામાં આગ લાગી હતી જેમાં ૫૯ જીવનો ભોગ લેવાયો હતો. જીવ ગુમાવવા માટે કોઈ કારણ નહોતું, કોઈ ગુનો નહોતો, સાવ નિર્દોષ હતા એ બધા દર્શકો અને ઊલટું ઉપહાર સિનેમા ગૃહમાં ચાલી રહેલી ‘બોર્ડર’ નામની ફિલ્મ જોઇને તેઓ પોતાના દેશપ્રેમની સાહેદી પૂરાવતા હતા. એ દિવસની રાતનું ‘આજ તક’નું ન્યુઝ બુલેટિન મારી આંખ સામે તરે છે. સુરેન્દ્ર પ્રતાપ સિંહ વિહવળ હતા, દુઃખી હતા અને કેમેરાની સામે ભાવુક બની ગયા હતા. તેમણે કટ લીધા વિના પત્રકારની અંદર રહેલા માણસને કેમેરા સામે પ્રગટ થવા દીધો હતો. એ ઘટનાએ તેમણે એટલી હદે અસ્વસ્થ કરી મૂક્યા હતા, કેમેરા સામે તેઓ રડી પડ્યા હતા. એ પછી એક દિવસ તેમને હાર્ટએટેક આવ્યો અને ૨૭મી જૂને તેઓ ગુજરી ગયા.

આજે રાજકોટની દુર્ઘટનાને અખબારો, ટી.વી. ચેનલો જે રીતે હાથ ધરી રહ્યા છે એ જોઇને માથું શરમથી ઝૂકી જાય છે. એક દાયકામાં સંવેદનશીલતાનો જાણે કે દુકાળ પડ્યો છે. કેટલાક પત્રકારો રાજકોટની દુર્ઘટનાને માટે જવાબદાર લોકોનો અને ખાસ તો પ્રશાસનનો બચાવ કરી રહ્યા છે. મોરબીની દુર્ઘટના વખતે પણ આવું જ જોવા મળ્યું હતું. ઘડિયાળ બનાવતી કંપનીને પુલ બાંધવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેમાં તેની કોઈ એક્સપર્ટીઝ નહોતી. પણ શો ફરક પડે છે? થોડા દિવસ પહેલા પૂનામાં એક બિલ્ડરના તરુણ પુત્રે વહેલી સવારે બેફામ ગાડી ચલાવીને એક યુવક અને યુવતીના પ્રાણ લીધા હતા. તેની સામે કોઈ કેસ દાખલ કરવામાં નહોતો આવ્યો અને બિલ્ડરના વંઠેલ પુત્રને બચાવવા સવારના છ વાગે શિવસેના(શિંદે જૂથ)નો ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો ને એ યુવકને છોડાવીને લઈ ગયો હતો. પોલીસે ત્રણસો શબ્દોમાં એક નિબંધ લખાવીને એ છોકરાને જવા દીધો હતો.

અહીં સુરેન્દ્ર પ્રતાપ સિંહને યાદ કરવા પાછળ એક બીજું કારણ પણ છે. તેમના દિલને હચમચાવી મૂકનારા રિપોર્ટીંગ તેમ જ ફોલોઅપના કારણે દિલ્હીના મૃતકોના પરિવારના લોકોને બળ મળ્યું હતું. તેમણે લડી લેવા કમર કસી હતી. કોઈ પણ ભોગે અને પૂંઠ પકડીને ન્યાય મેળવવા માટે તેમણે એક મંચની રચના કરી હતી અને સતત દસ વરસ લડીને તેમણે ન્યાય મેળવ્યો હતો. તેમની અથાક મહેનત પછી ઉપહાર સિનેમા ગૃહના માલિકોને બે વરસની જેલની સજા થઈ હતી અને મૃતકોના પરિવારને ૨૫ કરોડ રૂપિયા વળતર તરીકે આપવા પડ્યા હતા. કેસ સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો પણ લડનારા લોકો ન્યાય મેળવીને રહ્યા હતા. એ મંચનું નામ હતું ‘એસોસિએશન ઓફ ધ વિકટીમ્સ ઓફ ઉપહાર ટ્રેજેડી’ (AVUT). તેમનાં પ્રયત્નોનાં કારણે તેમને માત્ર ગુનેગારોને જેલ અને વળતરરૂપી ન્યાય નહોતો મળ્યો, પણ દિલ્હી વહીવટીતંત્ર પાસે જ્યાં લોકો જમા થતા હોય એવી જગ્યાએ ફાયર સેફટી માટે નિર્દેશો તૈયાર કરાવ્યા હતા અને તેનું પાલન થાય એ રીતની જોગવાઈ કરાવી હતી. જ્યારે પૈસાભૂખ્યા વેપારીઓ અને પ્રશાસન વચ્ચે સાંઠગાંઠ રચાય અને પ્રશાસન તેમ જ પત્રકારો નીંભર બની જાય ત્યારે નાગરિક સમાજે આગળ આવવું જોઈએ અને ન્યાયની લડત હાથમાં લઈ લેવી જોઈએ. એ લડત થકવી દેનારી હોય છે, અક્ષરસઃ નીચોવી દેનારી હોય છે, પણ એક દિવસ ન્યાય જરૂર મળતો હોય છે. એ.વી.યુ.ટી.ના પ્રયત્નોનો આ ધડો છે.

રાજકોટમાં બાળકોનાં મા-બાપાઓએ દિલ્હીનો એ.વી.યુ.ટી.નો માર્ગ અપનાવવો જોઈએ. ખુશીની વાત એ છે કે ઉપહાર સિનેમામાં માર્યા ગયેલા લોકો માટે લડનારા સગાંસંબંધીઓ ન્યાય મેળવ્યા પછી ચૂપ નથી બેઠા, પણ આવી માનવસર્જિત દુર્ઘટનાઓનો ભોગ બનેલા લોકોને ન્યાય માટેની લડતમાં માર્ગદર્શન કરવાનું કામ પણ કરે છે. ગૂગલ પર સર્ચ કરશો તો એ.વી.યુ.ટી.નું નામ સરનામું અને ટેલિફોન નંબર મળી રહેશે. આ દેશમાં માત્ર ઊહાપોહ કરવાથી ન્યાય નથી મળતો, ન્યાય માટે લડત આપવી પડે છે. ગુનેગારોએ બચવા માટે પોલીસ અને જજોને પણ ખરીદ્યા હતા. એક સમયે તો લડનારાઓને એવું પણ લાગવા માંડ્યું હતું કે કશું જ હાથ નથી આવવાનું, પણ તેઓ નિરાશ નહોતા થયા. આમાં રાજકોટની દુર્ઘટના તો દિલ્હીની ઘટના કરતાં પણ કંપાવનારી છે. માટે લડી લેવું એ જ માર્ગ છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 02 જૂન 2024

Loading

...102030...715716717718...730740750...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved