Opinion Magazine
Number of visits: 9665752
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા છે, રાજકીય પક્ષો માટે નથી!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 May 2024

ચંદુ મહેરિયા

ચૂંટણીઓ લોકતંત્રને ટકાવવા અને દ્રઢાવવાનું મહત્ત્વનું ઓજાર છે. પણ આજકાલ ચૂંટણીઓ અતિ મોંઘી અને ખર્ચાળ બની ગઈ છે. તેમાં અધધધ રૂપિયો ખર્ચાય છે. ચૂંટણીઓ લોકશાહીનું લોકપર્વ મટીને નાણાંની રેલમછેલ કરતી ઘટના (કે દુર્ઘટના) બની ગઈ છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના અનુમાન પ્રમાણે હાલની લોકસભા ચૂંટણીમાં ૧.૩૫ લાખ કરોડથી વધુ ખર્ચ થશે. જે અમેરિકી રાષ્ટ્રપતિની ગત ચૂંટણી કરતાં વધુ છે. તો આ ખર્ચ પાકિસ્તાનના વાર્ષિક બજેટનો ૧/૩ કરતાં વધુ ભાગ છે.

ભારતનો પ્રત્યેક નાગરિક પછી તે અમીર હોય કે ગરીબ ચૂંટણી લડી લોકોનો ચૂંટાયેલો પ્રતિનિધિ બની શકે તે માટે ચૂંટણી લડતા ઉમેદવારો માટે ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી એકલા ધનપતિઓ ધનબળના જોરે ચૂંટાઈ ન જાય. પણ વાસ્તવમાં ઉમેદવારો માટેની ચૂંટણી ખર્ચની સીમા એક પાખંડ લાગે છે. સીધા કે આડા માર્ગે કાળાં નાણાંના બળે આર્થિક સામર્થ્ય ધરાવતા ઉમેદવારોનું ચૂંટાવાનું પ્રમાણ વધ્યું છે. હજુ દાયકા પૂર્વે ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ૫૮ ટકા કરોડપતિ ઉમેદવારો ચૂંટાયા હતા  દસ વરસ પછીની ૨૦૧૯ની ચૂંટણીમાં તેમાં ત્રીસ ટકાનો વધારો થયો હતો અને ૨૦૧૯થી ૨૦૨૪ની લોકસભામાં ૮૮ ટકા કરોડપતિ સાંસદો હતા.

સરકાર, રાજકીય પક્ષો અને ઉમેદવારો એમ ત્રણ લોકો ચૂંટણીમાં નાણાં ખર્ચે  છે. તેમાં સરકારી ખર્ચ તો કુલ ખર્ચમાં પંદર ટકા જ છે. ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નિર્ધારિત કરી છે. રાજકીય પક્ષો માટે ખર્ચની મર્યાદા હોતી નથી, એટલે રાજકીય પક્ષો બેફામ નાણું વાપરે છે. ઉમેદવારો હાથીના ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોય છે, તેમ સરકારી ચોપડે જુદો ખર્ચ બતાવે છે પણ વાસ્તવમાં તો અનેક ઘણા રૂપિયા વાપરે છે. ઈલેકશન વોચ અને એસોસિયેસન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનું ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના વિજેતા ૫૧૪ સભ્યોના ઈલેકશન કમિશન સમક્ષ રજૂ થયેલા ખર્ચના આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે ૫૩ સાંસદોએ નિર્ધારિત રૂ. ૭૦ લાખ કરતાં અડધા જ ખર્ચમાં ચૂંટણી લડી હતી ! માત્ર બે જ સાંસદોએ રૂ.૭૦ લાખથી વધુ ખર્ચ કર્યો હતો. ૫૧૪ સાંસદોએ નિર્ધારિત રકમના સરેરાશ ૭૩ ટકા રકમ જ ખર્ચી હતી.. ભા.જ.પ.ના ૨૯૧ સાંસદોએ સરેરાશ રૂ. ૫૧.૩૧ લાખ અને કાઁગ્રેસના ૫૧ સાંસદોએ સરેરાશ રૂ. ૫૧.૭૨ લાખ જ ખર્ચ કર્યો હતો. આ હકીકતો પરથી ખર્ચની મર્યાદા, તેના નિરીક્ષણ માટેનું તંત્ર અને ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા ખર્ચના પત્રકો લોકોની આંખોમાં ધૂળ નાંખવા બરાબર લાગે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ જ્યારે ચૂંટણી માટે તેમની પાસે નાણાં નથી, એટલે લોકસભા ચૂંટણી લડવાની પક્ષની ઓફર સ્વીકારી શકી નથી એમ કહે છે ત્યારે તેઓ સ્વીકારે છે કે ઉમેદવાર પંચને બતાવે છે તે ખર્ચ સાચો નથી હોતો.નાણાં મંત્રી બે કરોડ રૂપિયાના આસામી હોવાનું પી.એમ.ઓ.ની સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યું હોય અને પચાસેક લાખનો જ ખર્ચ સાંસદ દીઠ થતો હોય તો નિર્મલાજીની નાણાંને અભાવે ટિકિટ નકાર્યાની વાત માની શકાતી નથી.

૧૯૫૧-૫૨માં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારના ખર્ચની સીમા પચીસ હજાર રૂપિયા  હતી. આજે આઝાદીના અમૃત કાળમાં ૨૦૨૪માં તે વધીને રૂ. પંચાણું લાખ થઈ છે. ચૂંટણી પંચ ખર્ચની સ્વીકાર્ય રકમ નક્કી કરે છે તેમાં વિસ્તાર પ્રમાણે ચૂંટણી અધિકારી ફેરફાર કરી શકે છે. ઝંડાથી ડંડા, ચાથી ચવાણુ, મંડપથી માચીસ અને હેલિકોપ્ટરથી હવન માટેની રકમ ઠરાવે છે. ઈલેકશન કમિશને એક બાય દોઢના કપડાંના ઝંડાની સ્વીકાર્ય કિંમત ૭ રૂ, ત્રણ ફૂટના ડંડાના ૧૫ રૂ., ગળાના ખેસના ૭ રૂ., એક હજાર મલ્ટિકલર પત્રિકાના રૂ. ૪૫૦૦, ફૂલહારના રૂ. ૧૨, અડધા કપ ચાના રૂ. ૧૦, કોફીના રૂ. ૨૦, હવન માટે પંડિતની દક્ષિણાના રૂ. ૧,૨૦૦ અને નાડાછડીના રૂ. ૪ નક્કી કર્યા છે. મતવિસ્તાર દીઠ અલગ સ્વીકાર્ય કિંમત પ્રમાણે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્રે અડધા કપ ચા કે કોફીના રૂ. ૬, મિષ્ટાન વગરની ગુજરાતી થાળીના રૂ. ૯૦ અને ૧૦૦ ગ્રામ ભજિયાં કે દાળવડાંના રૂ. ૩૦ ઠરાવ્યા છે, એ જાણીને નવાઈ લાગે છે. કદાચ સબસિડાઈઝ રેટવાળી સંસદની કેન્ટિનનું તો આ ભાવપત્રક  નથી ને ? એવો પ્રશ્ન મતદારોને થાય છે.

ઈલેકશન કમિશન ચૂંટણી ખર્ચ પર નજર રાખવા માટે ભારતીય રેવન્યૂ સર્વિસના અધિકારીઓની ખર્ચ નિરીક્ષકો તરીકે નિમણૂક કરે છે. તેઓ ઉમેદવારના ચૂંટણી પ્રચાર અને અન્યમાં વપરાયેલાં નાણાંનો હિસાબ રાખવા વીડિયોગ્રાફી પણ કરે છે. તમામ ઉમેદવારોએ ચૂંટણી પરિણામના ૩૦ દિવસમાં જિલ્લા ચૂંટણી અધિકારીને ખર્ચની વિગતો આપવાની હોય છે. જે ઉમેદવારો ખર્ચની વિગતો આપતા નથી તેને પંચ ત્રણ વરસ માટે ઉમેદવારી માટે અયોગ્ય ઠેરવે છે. જો મર્યાદાથી વધુ ખર્ચ કર્યો હોય તો પણ સજા થઈ શકે છે. જો કોઈ નાગરિકને લાગે કે ઉમેદવારે ખર્ચેલાં નાણાં કરતાં ઓછો ખર્ચ દર્શાવ્યો છે તો તે આધાર-પુરાવા સાથે ઈલેકશન પિટીશન કરી શકે છે. ગાંધીનગર મહાનગરપાલિકાના બી.જે.પી.ના વર્તમાન એકતાળીસ નગર સેવકોએ એક સરખો રૂ. ૧,૩૩,૩૮૦ ખર્ચ દર્શાવ્યો હતો. જે પહેલી નજરે જ શંકાસ્પદ લાગતાં તેમની સામે ફરિયાદ થઈ છે. ૨૦૦૯ની ચૂંટણીમાં  મહારાષ્ટ્રમાં કાઁગ્રેસના ઉમેદવાર અશોક ચવાણ સામે અખબારમાં આપેલી ચૂંટણીની જાહેરાતનો ખર્ચ ઓછો બતાવવા બદલ ફરિયાદ થયેલી છે. આ બંને અને એવી બીજી ચૂંટણી ખર્ચની ફરિયાદોનો ભાગ્યે જ સમયસર નિવેડો આવે છે.

ચૂંટણી પંચને બેનામી કે બેહિસાબી રોકડ અને બીજી વસ્તુઓ જપ્ત કરવાનો અધિકાર છે. જેથી ચૂંટણીમાં ગેરકાયદે થતા ખર્ચાઓ રોકી શકાય. ૨૦૧૯ની સમગ્ર ચૂંટણી કરતાં ૨૦૨૪માં પહેલા તબક્કાના મતદાન પૂર્વેના એકાદ માસમાં જ પંચે રૂ. ૪,૬૫૦ કરોડની જપ્તી કરી છે. ભારતની ચૂંટણીઓ પર બેનામી અને કાળાં નાણાંનો કેટલો પ્રભાવ છે તેનું આ ધ્યોતક છે. રૂ. ૪,૬૫૦માં સૌથી વધુ રૂ. ૧,૧૪૩ કરોડની કિંમતની મફત વહેંચણીની વસ્તુઓ પકડાઈ છે. તે સાબિત કરે છે કે ઉમેદવારોની સાથે મતદારો પણ ભ્રષ્ટ છે કે તેમને ભ્રષ્ટ કરવામાં આવે છે. નવેમ્બર ૨૦૨૨માં તેલંગાણાના મુનુગોડે મતવિસ્તારની પેટાચૂંટણીમાં રૂ.૬૨૭ કરોડ ખર્ચાયા હોવાની ફરિયાદ ફોરમ ફોર ગુડ ગવર્નન્સે કરી છે. આ ચૂંટણીમાં ઉમેદવારે મતદારોને ૧૦૦ ગ્રામ સોનું આપ્યાની પણ ફરિયાદ થઈ હતી.

રાજકીય પક્ષોના ખર્ચની કોઈ મહત્તમ મર્યાદા નક્કી ના થઈ હોવાથી તેના ખર્ચ પર કોઈ નિયંત્રણ નથી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે રૂ. ૧,૨૬૪ કરોડ અને કાઁગ્રેસે રૂ. ૮૨૦ કરોડ ખર્ચ્યા હોવાનું ઈલેકશન કમિશન સમક્ષ સબમિટ કરેલ હિસાબોમાં જણાવ્યું હતું. સૌ જાણે છે કે વાસ્તવિક ખર્ચ તેના કરતાં અનેક ગણો થયો હશે. પરંતુ પોલિટિકલ પાર્ટીઝના ખર્ચની અસલિયત જાણી શકાતી નથી અને જે જાણીએ છીએ તે પણ અધધધ છે. રાજકીય પક્ષોના ખર્ચ પર નિયંત્રણના મુદ્દે તમામ રાજકીય પક્ષો એક્સંપ થઈને નકાર ભણે છે. રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને રાજકીય પક્ષોની ગાંધી –વૈધ્યનું સહિયારુંની નીતિને કારણે ચૂંટણીઓમાં થયા અનિયંત્રિત ખર્ચનો આજે તો કોઈ ઉકેલ જણાતો નથી.

e.mail : maheriyachandu@gmail.com

Loading

યુવામતદાર નોંધણીમાં ઉદાસીન, ચાલુ મતદાર મતદાનમાં ઉદાસીન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 May 2024

એક યક્ષ પ્રશ્ન

હવે કેટલાંકમાં કંગના રણાવત પેઠે સ્વાતંત્ર્ય સંવતનો નિરીહ ઉત્સાહ ટક્યો નથી તો કેટલાયે નવતરુણો વાસ્તવચિત્ર જોતાં લોકશાહી પ્રક્રિયામાં વિધિવત જોડાવાથી વિમુખતા અનુભવે છે. ‘મધર ઑફ ડેમોક્રસી’ની ગોદમાં એમને સારુ જાણે જગ્યા જ નથી.

પ્રકાશ ન. શાહ

બે દોરમાં થઈને લોકસભાની 190 બેઠકો સારુ મતદાન થઈ ગયું છે. ચૂંટણીપંચ તરફથી આંકડા ધીમે ધીમે હપતાવાર મળ્યા એ સાચું, પણ અંતિમ આંકડા પ્રમાણે પણ 2019 કરતાં મતદાનની ટકાવારીમાં કંઈક ઘટાડો જરૂર થયો છે. એથી પણ વધુ ગંભીર વિગતમુદ્દો તો કદાચ એ છે કે જે નવતરુણો મતાધિકારને પાત્ર છે તે પૈકી ઘણા ઓછા લોકોએ મતાધિકાર સારુ રજિસ્ટર થવાની જરૂર જોઈ છે.

આ ઉદાસીનતાને કેવી રીતે ઘટાવશું ? જેમણે 2014 અને 2019માં ઉત્સાહથી મત આપ્યા એમના એક હિસ્સાએ 2024માં કેમ નિરુત્સાહ દાખવ્યો હશે, આ સવાલના જે બે વૈકલ્પિક જવાબ જડે છે તે મોદી ભા.જ.પ.ને કેન્દ્રમાં રાખીને આપણી સામે આવે છે. એક જવાબ એ છે કે જેમણે બદલાવ માટે લાગટ બે વાર મોદી ભા.જ.પ.ની સાથે રહેવાપણું જોયું – કંગના રણાવતના નિરીહ ઉત્સાહથી 2014ને સ્વાતંત્ર્ય સંવત તરીકે વધાવવાપણું જોયું – એમના પૈકી કેટલાક ટકાને હવે ત્રીજી વાર આ હઇસોજંબે અગર તો પરિવર્તન યજ્ઞમાં જોડાવાપણું અનુભવાતું નથી. બીજો જે જવાબ જડે છે તે એ કે લગભગ બધાં જ પ્રચારતંત્ર પરના એકાધિપત્ય વાટે મોદી ભા.જ.પે. જમાવેલી હવાને કારણે સ્વાભાવિક જ જેમને પરિણામ પૂર્વનિશ્ચિત જણાય છે એમને પોતાનો એક મત પડ્યો તો પણ શું અને ન પડ્યો તો પણ શું એવું થાય છે. તેઓ મોદી ભા.જ.પ. તરફે હોઈ શકે, પણ પરિણામ સારુ એ હદે આશ્વસ્ત હોય કે મતદાનની તસ્દી લેવાની જરૂર નયે જણાતી હોય.

આ બંને જવાબનાં પોતપોતાનાં લૉજિક છે, અને ચોક્કસ બેઠક પણ હોઈ શકે છે. પરંતુ નિર્ભ્રાન્તિવશ અગર આશ્વસ્તિવશ, એમ કોઈ પણ ભૂમિકાએ સુસ્ત રહેવાનું વલણ પથ્ય જણાતું નથી. કારણ, મોદી ભા.જ.પ.નાં સઘળાં બિનલોકશાહી વલણો સામે શીર્ષ સત્તાસ્થાનેથી મોટે અવાજે લેવાતી ઉચ્ચ ભૂમિકા આપણે ‘મધર ઑફ ડેમોક્રસી’ છીએ એ તરજ પર સતત સંભળાય છે. વિશ્વના માતૃલોકતંત્રમાં સત્તાપક્ષના મતદારનું કોઈ પણ છેડેથી ઉદાસીન હોવું એ ઇષ્ટ નથી તે નથી.

હવે પ્રશ્ન રહ્યો નવયુવા મતદારોનો. તેઓ શા સારુ વિધિવત્ મતદાર નોંધણીથી વિમુખ રહે છે ? વીર નર્મદે ફરિયાદ કરેલી કે આપણે ગુજરાતીઓ રાજકારણની વાતમાં લગારે મોં ઘાલતા નથી, એટલી એક સાદી જ વાત એની પૂંઠે ન હોઈ શકે. કારણ, તે પછી તો દેશસમસ્તે એક પ્રજા તરીકે જે રીતે વ્યાપક સહભાગિતાપૂર્વકનો સ્વાતંત્ર્યસંગ્રામ ખેડ્યો એ એક પ્રતિમાન રૂપ ઇતિહાસવિગત છે. આજકાલ ક્રાન્તિકારીઓને જરી વિશેષ રીતે આગળ કરવાની – અને એ માનપત્ર તો છે જ અને રહેશે – હિલચાલ વૈકલ્પિક વિમર્શરૂપે અને ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટી જેને પ્રતિનિધિત કરે છે તે લોકચળવળના કંઈક અવમૂલ્યનરૂપે ચલાવાય છે તે ભલે ચાલતી, પણ સ્વરાજલડતની વ્યાપક સહભાગિતાએ લોકશાહી સારુ ભૂમિકા સરજી તે ઇતિહાસવસ્તુ હતી, છે અને રહેશે.

વ્યાપક સહભાગિતાના આ અભિગમપૂર્વક સ્તો રાજીવ ગાંધીએ તરુણ વય મતાધિકારની પ્રતિષ્ઠા અઢાર વરસના આગ્રહ સાથે કરે. 2019 સુધી તો માનો કે એવા અઢાર વરસના મતદારો આવ્યા જેમને સારુ આગલાં સિત્તેર વરસ કશું નહોતાં. હવે મોદી વરસોમાં જેઓ આઠમેથી અઢારમે પહોંચ્યા એમણે જે કંઈ જોયું, ખાસ તો ભેંકાર બેરોજગારી, એ પછી ‘કોઈ સાગર દિલ બહલાતા નહીં’ એવી મનઃસ્થિતિમાં હશે ? ન જાને. 4 જૂનના ચિત્ર પછી વધુ વિગતે વિચારવું રહેશે, એ સાચું, પણ અત્યારે ભલે પ્રાથમિક રૂપે ય જે સમજાય છે તે પ્રમાણે ચિંતાને સારુ કારણ જરૂર છે. એક નોંધપાત્ર પ્રજાવર્ગ, એમાં પણ ઉભરીને આવતા તરુણોનો નોંધપાત્ર હિસ્સો લોકશાહી પરંપરા અને પ્રક્રિયાઓથી પરહેજ કરવા ભણી વળે તો એ આપણા લોકતંત્રને કાં તો થોડાંક લોકોની બપૌતી એવી ક્રિપ્ટોક્રસીમાં ફેરવી નાખે કે પછી વાસ્તવિક લોકશાહીને લંગડાતી ને લકવાયેલી બનાવી મેલે. મોહનિદ્રા સારુ નહીં પણ પ્રેરણાની તાજગી વાસ્તે એક નવ્ય કથાનકની કદાચ તાકીદ છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 01 મે 2024

Loading

સલામત રહીએ આપણે બધાં.

પલ્લવી ત્રિવેદી [અનુવાદ : નંદિતા મુનિ]|Poetry|30 April 2024

આજે પલ્લવી ત્રિવેદીના એક કાવ્યનો અનુવાદ. અઠંગ પ્રકૃતિપ્રેમી કવિને તમે અહીં પણ વાંચી શકશો : kuchehsaas.blogspot.com 

•

કીડી અનાજ ભેગું કરે છે

ઊંટ પાણી સંઘરે છે 

પાઈ પાઈ કરીને ગૃહિણી ભેગા કરે છે સિક્કા 

અને પ્રેમિકાઓ એકઠો કરે છે 

પ્રેમીની આંખોમાંથી ઝરતો સ્નેહ, પોતાના કઠિન સમય માટે.

પૃથ્વી યુક્તિઓ કરે છે થોડીક લીલપ બચાવી રાખવાની

આકાશ થીગડું દેવાની કારીગરી શીખે છે

એના પહેરણના એક મોટા કાણાને રફૂ કરવા માટે

સૌથી ખરાબ દિવસો માટે હું પણ

એક લાલ ડબ્બીમાં એકઠી કર્યે રાખું છું

થોડીક વસ્તુઓ

જેમ કે પક્ષીના ગાનનો કલરવ, સપ્તરંગી હાસ્ય બાળકોનું ,

કોમળ સ્પર્શ ખિસકોલીના પંજાનો, ઘેરી ઉદાસીભરી સંધ્યાઓ

કોઇ થાબડતું હોય એવું સંગીત

કલેજું ચીરી નાખતા વ્યાકુળ પોકાર

અને યાદો, એ લોકોની.

જેમની પાસેથી ક્ષમા અને પ્રેમ મળ્યા, 

બિનશરતી.

ખરાબ સમયની વ્યાખ્યાઓ તો ઢગલાબંધ છે

દરેકનો ખરાબ સમય બેહદ પોતીકો હોય છે.

જ્યારે પણ મારી અંદરની માનવતાને શ્વાસ ભરાવા લાગે છે

ત્યારે શરૂઆત થાય છે મારા ખરાબ સમયની.

બહુ ઉમદા હવાઈ છત્રી છે મારી લાલ ડબ્બી

કાયમ અણીના સમયે ખૂલી જ જાય છે

ને એવી રીતે દર વખતે હું બચી જાઉં છું

ને આ પૃથ્વી પણ. 

ડબ્બીઓ આવી ભરેલી રહે,

સલામત રહીએ આપણે બધાં.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...715716717718...730740750...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved