Opinion Magazine
Number of visits: 9741667
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પોતાને બદલો, ભવિષ્ય આપમેળે બદલાશે : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

સોનલ પરીખ|Opinion - Cartoon, Opinion - Opinion|7 June 2024

પ્રજા તરીકે આપણામાં વિદેશી ચીજોનો આંધળો મોહ છે. આપણે ધનને જ સફળતાની પારાશીશી સમજીએ છીએ. સરકારની ટીકાઓ કરીએ છીએ પણ પોતે કાયદો, સ્વચ્છતા, મૂલ્યો પાળતાં નથી. ભ્રષ્ટ સિસ્ટમનો ભ્રષ્ટ હિસ્સો બની રહીએ છીએ. નાગરિક તરીકે પોતાના કન્ટ્રીબ્યૂશનનો વિચાર કરતા નથી. યુવાનો, અલગ રીતે વિચારો. કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો, પોતાનો રસ્તો પોતે બનાવો અને જે અસંભવ છે તેને સંભવ કરી બતાવો.

                                                                                                                                               — ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ એટલે આપણા એકમાત્ર વિજ્ઞાની રાષ્ટ્રપતિ. વિજ્ઞાની અને એન્જિનિયર હોવા સાથે તેઓ ઉમદા અને નિષ્ઠાવાન વ્યક્તિ હતા. ડૉ અબ્દુલ કલામે ચાર દાયકા વિજ્ઞાનપ્રશાસક તરીકે વિતાવ્યા હતા. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ડી.આર.ડી.ઓ.) ને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કામ કર્યું હતું અને 2002થી 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.

ડૉ અબ્દુલ કલામનો જન્મ તામિલનાડુના રામેશ્વરમમાં. જૈનુલાબુદ્દીન નામના બોટમાલિક અને તેમની પત્ની આશિયમ્માનાં પાંચ બાળકોમાં તેઓ સૌથી નાના. તેમના પૂર્વજો શ્રીમંત વેપારીઓ હતા, પણ 20મી સદીની શરૂઆતમાં પરિવારે તેની મોટા ભાગની સંપત્તિ ગુમાવી દીધી હતી. પિતાને ટેકો કરવા અબ્દુલ કલામ શાળામાં હતા ત્યારે અખબારો વહેંચતા. વિદ્યાર્થી તરીકે તેઓ તેજસ્વી, જ્ઞાનપિપાસુ અને હંમેશાં નવી વસ્તુઓ શીખવા માટે ઉત્સુક હતા.

મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ત્યારે તેમનું સ્વપ્ન ફાઈટર પાઈલટ બનવાનું હતું, પણ નિયતિ તેમને વિજ્ઞાની તરીકે ડી.આર.ડી.ઓ.માં લઈ ગઈ. તેઓ ત્યાંના એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટમાં હતા. તેમનો પ્રથમ પ્રોજેક્ટ ભારતીય સેના માટે એક નાનું હેલિકોપ્ટર ડિઝાઇન કરવાનો હતો. અહીં તેમને જાણીતા અવકાશવિજ્ઞાની વિક્રમ સારાભાઈ સાથે કામ કરવાની તક પણ મળી. જો કે, કલામ ડી.આર.ડી.ઓ.માં તેમની કારકિર્દીથી બહુ સંતુષ્ટ ન હતા.

1969માં તેમને ભારતના પ્રથમ સેટેલાઇટ લોન્ચ વ્હીકલના પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે ઈસરોમાં મોકલાયા. 1965માં એક વિસ્તૃત રોકેટ પ્રોજેક્ટ પર તેમણે સ્વતંત્ર રીતે કામ કરવાનું શરૂ કર્યું હતું તેને 1969માં વિસ્તરણ માટે સરકારની મંજૂરી મળી.

આગામી વર્ષોમાં તેમણે પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ એસ.એલ.વી. 3 પ્રોજેક્ટ્સ વિકસાવ્યા. 1970ના દાયકામાં તેમણે સફળ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પ્રોગ્રામની ટૅક્નૉલૉજીથી બેલિસ્ટિક મિસાઈલના વિકાસ પર પણ કામ કર્યું. પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ વેલિયન્ટનું નિર્દેશન કર્યું, જેનો હેતુ ટૂંકી અંતરની સપાટીથી છૂટતી મિસાઈલ બનાવવાનો હતો. આ પ્રોજેક્ટ્સ સંપૂર્ણ સફળતા હાંસલ કર્યા વિના 1980માં બંધ થઈ ગયા છતાં, કલામને વૈજ્ઞાનિક સમુદાય તરફથી ખૂબ આદર અને પ્રશંસા પ્રાપ્ત થઈ.

ત્યાર પછી તેઓ વડા પ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિયુક્ત થયા. તેમણે પોખરણ-2 પરમાણુ પરીક્ષણોમાં મુખ્ય ભૂમિકા ભજવી. રાષ્ટ્રપતિ તરીકે તેમને શાસક ભારતીય જનતા પક્ષ અને વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ બંનેનું સમર્થન હતું. દેશના નાગરિકો તેમને ચાહતા અને આદર આપતા. તેઓ પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે જાણીતા થયા. એક ટર્મ સેવા આપ્યા પછી તેઓ ઓફિસ છોડી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી તિરુવનંતપુરમના ચાન્સેલર અને અન્ના યુનિવર્સિટીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગના પ્રોફેસર બન્યા. સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ શિલોંગ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઈન્દોરમાં વિઝિટીંગ પ્રોફેસર પણ બન્યા અને ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, હૈદરાબાદમાં ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી શીખવતા હતા.

અબ્દુલ કલામ એક જાણીતા લેખક પણ હતા જેમણે ઇન્ડિયા 2020 : અ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ (1998), વિંગ્સ ઓફ ફાયર : એન ઓટોબાયોગ્રાફી (1999), ઈગ્નાઈટેડ માઇન્ડ્સ : અનલીશિંગ ધ પાવર ઈન ઇન્ડિયા (1999), એ મેનિફેસ્ટો ફોર ચેન્જ : એ સિક્વલ ટુ ઇન્ડિયા 2020 (2014), ટ્રાન્સેન્ડન્સ : માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિઅન્સ વિથ પ્રમુખસ્વામી (2015) જેવાં પુસ્તકો લખ્યા છે જે તેમની બુદ્ધિપ્રતિભા અને વિજ્ઞાન-અધ્યાત્મના સુંદર સંયોજનવાળી માનસિકતાને છતાં કરે છે.

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને ભારત સરકાર તરફથી પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારતરત્ન સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ વોન બ્રૌન એવોર્ડના પ્રાપ્તકર્તા પણ હતા. તેમના મૃત્યુ બાદ, તમિલનાડુ રાજ્ય સરકારે તેમના જન્મદિવસ 15 ઓક્ટોબરને “યુવા પુનરુજ્જીવન દિવસ” તરીકે ઘોષિત કર્યો.

અબ્દુલ કલામ અપરિણીત હતા. મોટાં ભાઈ-બહેનો સાથે તેમના ગાઢ સંબંધો હતા. તેઓ સરળ અને સાદા હતા. તેમની અંગત સંપત્તિ ન જેવી હતી. જીવનના અંતિમ દિવસ સુધી તેઓ સક્રિય રહ્યા. 27 જુલાઈ 2015ના રોજ તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ શિલોંગમાં પ્રવચન આપતાં કાર્ડિયાક અરેસ્ટથી તેમનું મૃત્યુ થયું. તેમના અંતિમ સંસ્કાર તેમના વતન રામેશ્વરમ્‌માં કરવામાં આવ્યા હતા.

ડૉ. કલામે ઉત્તમ વ્યાખ્યાનો આપ્યાં છે. તેઓ યુવાનોને કહેતા, ‘ભારતનો સમાજ વૈવિધ્યપૂર્ણ છે. આ વૈવિધ્યને આદરથી જોવું એ પહેલી વાત છે. ભારતના 3,000 વર્ષના ઇતિહાસમાં શકો-હૂણો અને સિકંદરથી માંડી ગ્રીક, તુર્ક, મોગલ, બ્રિટિશ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ, ડચ બધાએ ભારત પર આક્રમણ કર્યું છે, વિનાશ વેર્યો છે અને લૂંટો ચલાવી છે, પણ ભારત જ્યારે સક્ષમ સ્થિતિમાં હતું ત્યારે પણ તેણે કોઈ પર આક્રમણ કર્યું નથી, કેમ કે ભારતની સંસ્કૃતિ અભિજાત અને સ્વતંત્રતાનો આદર કરનારી છે. આ સંસ્કૃતિની ગરિમા જાળવીને આપણે રાષ્ટ્રની તાકાત વધારવાની છે.’

વ્યાખ્યાનોમાં તેઓ કહેતા, ‘ભારત માટે મેં ત્રણ સ્વપ્ન જોયાં છે. મારું પહેલું સ્વપ્ન સ્વતંત્રતાનું છે. જે સ્વતંત્ર નથી તેનું કોઈ માનસન્માન નથી. બીજું સ્વપ્ન વિકાસનું છે. ભારત ત્રીજા વિશ્વનું રાષ્ટ્ર છે. આપણે વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. અને ત્રીજું સ્વપ્ન વિશ્વમાં ભારતનું સ્થાન બનાવવાનું છે. આપણે વિરાટ માનવબળ ધરાવીએ છીએ, વિશ્વની સૌથી મોટી લોકશાહી છીએ, જી.ડી.પી. સંદર્ભે વિશ્વના પહેલા પાંચ રાષ્ટ્રોમાં છીએ. વિશ્વમાં આપણી ગણતરી થાય છે. પણ આપણો આત્મવિશ્વાસ અચૂડચૂ છે. તાકાત જ તાકાતને આદર આપે છે. મિલિટરીની જ નહીં, આર્થિક વિકાસની તાકાતની પણ એટલી જ જરૂર છે. એવું નથી કે ભારતે આર્થિક વિકાસ અંગે કશું સાબિત કર્યું નથી. ભારત દૂધ ઉત્પાદનમાં પહેલું છે, રિમોટ સેન્સિંગ સેટેલાઈટ્સમાં પહેલું છે અને ઘઉં-ચોખા ઉત્પાદનમાં બીજું છે – આવું ઘણું છે જે આપણે જાણવું જોઈએ, પણ આપણા અખબારો આતંક, યુદ્ધ અકસ્માતો અને ગુનાઓને વધારે મહત્ત્વ આપે છે અને પહેલે પાને એના સમાચાર છાપે છે. સારા સમાચાર અંદરના પાનાઓ પર હોય છે. આવું કેમ? આમાં પરિવર્તન લાવવાની જરૂર નથી? વળી પ્રજા તરીકે આપણામાં વિદેશી ચીજોનો આંધળો મોહ છે. આપણે ધનને જ સફળતાની પારાશીશી સમજીએ છીએ. સરકારની ટીકાઓ કરીએ છીએ પણ પોતે કાયદો, સ્વચ્છતા, મૂલ્યો પાળતાં નથી. ભ્રષ્ટ સિસ્ટમનો ભ્રષ્ટ હિસ્સો બની રહીએ છીએ. નાગરિક તરીકે પોતાના કન્ટ્રીબ્યૂશનનો વિચાર કરતા નથી. કમાવું છે? – ચાલો અમેરિકા. ત્યાંનું માળખું પડી ભાંગ્યું? – નાસો ઈંગ્લૅન્ડ. ત્યાં બેકારી વધી? – ભાગો ગલ્ફમાં. ત્યાં સલામતી નથી? – જાઓ ઑસ્ટ્રેલિયા. ત્યાં બૉમ્બ ફૂટ્યા? – તો ફરી પાછા ભારતમાં ને પછી સરકારને ભાંડો. આવું કરવાથી પોતે નીચા ઊતરીએ છીએ અને દેશને પોલો કરીએ છીએ. આજે દેશને જરૂર છે એવા યુવાનોની જે તેના પાયાને મજબૂત કરે ને તેના પર વિકાસની બુલંદ ઈમારત ખડી કરે.’

તેમની આ વાત ખાસ યાદ રાખવા જેવી છે, ‘યુવાનો, અલગ રીતે વિચારો. કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો, પોતાનો રસ્તો પોતે બનાવો અને જે અસંભવ છે તેને સંભવ કરી બતાવો.’

તેમનું સ્વપ્ન એ આપણા સૌનું સ્વપ્ન છે કે ગામ અને શહેર વચ્ચેની ભેદરેખા પાતળી હશે, ઊર્જા અને પાણીના સ્રોતો પર સૌનો સમાન અધિકાર હશે, ઉદ્યોગો અને સેવાક્ષેત્રો સંવાદિતાથી કામ કરતા હશે અને ગરીબી-શોષણ-નિરક્ષરતા નહીં હોય. પણ સ્વ્પ્નને સાકાર કરવા પહેલા જાગવું પડે છે ને પછી ઝૂઝવું પડે છે. ઝૂઝવાનો પણ એક આનંદ હોય છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 ઑક્ટોબર  2023

Loading

સ્વચ્છ રાજનીતિની હિમાયત કરનાર જયપ્રકાશ નારાયણ

સોનલ પરીખ|Gandhiana, Opinion - Opinion|6 June 2024

કહતે હૈં જિસકો જયપ્રકાશ જો નહીં મરણ સે ડરતા હૈ

જ્વાલા કો બુઝતે દેખ કુંડ મેં સ્વયં જો કૂદ પડતા હૈ

હાં, જયપ્રકાશ હૈ નામ સમય કી કરવટ કા, અંગડાઈ કા

ભૂચાલ, બવંડર કે ખ્વાબોં સે ભરી હુઈ તરુણાઈ કા …

                                                            — રામધારીસિંહ ‘દિનકર’

પટણાનું ઐતિહાસિક ગાંધી મેદાન 5 જૂન 1974નો દિવસ કદી નહીં ભૂલે. તે દિવસે લોકનાયક જયપ્રકાશ નારાયણે ‘સંપૂર્ણ ક્રાંતિ’ની ગર્જના કરતાં કહ્યું હતું, ‘આજે સર્વત્ર દેખાતાં ભ્રષ્ટાચાર, બેકારી અને શિક્ષણતંત્રની ખામી એ સિસ્ટમની ઉપજ છે અને એટલે સિસ્ટમ વડે દૂર કરવાનું શક્ય નથી. એ દૂર કરવા માટે સંપૂર્ણ નવી વ્યવસ્થા જોઈશે અને એ સંપૂર્ણ ક્રાંતિ વડે જ આવશે.’ 11 ઑક્ટોબરે એમનો જન્મદિન છે અને 8 ઑકટોબરે પુણ્યતિથિ, આદરણીય જે.પી.ને શ્રદ્ધાસુમન અર્પીએ.

જયપ્રકાશ નારાયણ અગ્રણી સ્વતંત્રતા સેનાની, વરિષ્ઠ સમાજવાદી નેતા તથા સંપૂર્ણ ક્રાંતિને વરેલા સન્નિષ્ઠ સર્વોદય કાર્યકર હતા. મધ્યમવર્ગી કાયસ્થ કુટુંબમાં જન્મેલા જયપ્રકાશે કૉલેજ છોડી અસહકારની લડતમાં ઝુકાવ્યું. આંદોલન ઓસરતાં 1922માં અમેરિકા ભણવા ગયા. ઓહાયો ને વિસ્કૉન્સિન યુનિવર્સિટીઓમાં વિજ્ઞાન તથા સમાજવિજ્ઞાનના અભ્યાસ દરમ્યાન તેઓ માર્ક્સવાદથી પ્રભાવિત થયા.

1929માં જયપ્રકાશ ભારત આવ્યા ત્યારે દેશ નવી લડતને માટે તૈયાર થવામાં હતો. જયપ્રકાશ ફરી કૉંગ્રેસ સાથે જોડાયા અને કૉંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુના નિમંત્રણથી મજૂરવિભાગની જવાબદારી સંભાળી. 1932ની લડત વખતે થોડા મહિના કૉંગ્રેસના કાર્યકારી મહા મંત્રી તરીકે ભૂગર્ભ મોરચો સાચવ્યો, પછી પકડાઈને નાસિક જેલમાં ગયા. ત્યાં એમની સાથે અચ્યુત પટવર્ધન, મીનુ મસાણી, અશોક મહેતા, મોહનલાલ દાંતવાલા વગેરે હતા. ત્યાં થયેલી ચર્ચાઓની ફલશ્રુતિ રૂપે સમાજવાદી પક્ષ રચાયો, જેના સ્થાપક-મહામંત્રી જયપ્રકાશ હતા. આ જવાબદારી અંગે લાંબા પ્રવાસો વચ્ચે એમનું ‘વ્હાય સોશલિઝમ’ લખાયું, જેનાથી ભારતને માર્ક્સવાદનો પ્રથમ પ્રભાવક પરિચય મળ્યો.

‘હિન્દ છોડો’ દરમ્યાન તેમને મુંબઈની આર્થર રોડ જેલ, દિલ્હીની કેમ્પ જેલ અને પછી હજારીબાગ સેન્ટ્રલ જેલમાં રખાયા. 1942ના નવેમ્બરમાં જયપ્રકાશ હજારીબાગ સેન્ટ્રલ જેલની 5.2 મી. ઊંચી દીવાલ ઠેકીને ભાગ્યા (આ જેલનું નામ હવે લોકનાયક જયપ્રકાશ નારાયણ સેન્ટ્રલ જેલ છે) અને રાષ્ટ્રીય સ્તરે ભૂગર્ભ પ્રવૃત્તિઓનું સંકલન, નેપાળમાં રામ મનોહર લોહિયા વગેરે સાથે મળીને આઝાદ દસ્તાનું ગઠન અને ક્રાંતિકારી સાથીઓને ‘માસ વર્ક’નો મહિમા સમજાવતી પત્રમાળાથી દંતકથારૂપ વ્યક્તિત્વ બની રહ્યા.

આઝાદી બાદ કોઈ પણ રાજકીય હોદ્દો ન સ્વીકારવાના નિર્ણય સાથે તેઓ વિનોબાના ભૂદાન-ગ્રામદાન આંદોલનમાં જોડાયા અને લોકશિક્ષણલક્ષી સહચિંતનની નવી જ પરિપાટી ઊભી કરી. બોધગયાના સર્વોદય આંદોલનમાં એમણે જીવનદાન જાહેર કર્યું. બિહારના ગયા જિલ્લામાં સોખોદેવરા આશ્રમની સ્થાપના કરી.

આ વર્ષોમાં એમણે લોકોની સીધી હિસ્સેદારીવાળી શાસનવ્યવસ્થા અને પક્ષમુક્ત લોકશાહીના ખયાલો વિકસાવ્યા. સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની સમસ્યાઓમાં પહેલ કરવાનું સતત ચાલુ જ હતું. તિબેટની સ્વાયત્તતા માટે આંતરરાષ્ટ્રીય પરિષદ, પાકિસ્તાન સાથે સારા સંબંધો બાંધવાના હેતુથી સ્થાપેલું ‘પાકિસ્તાન રિકન્સિલિયેશન ગ્રૂપ’, નાગાલૅન્ડ પીસ મિશન, જેને માટે તેમને મૅગ્સેસે ઍવૉર્ડ મળેલો, બિહારના નકસલવાદીઓનાં હૃદયપરિવર્તનનો પ્રયાસ, બાંગ્લાદેશની આઝાદી માટે વિશ્વમતની જાગૃતિ, મધ્ય પ્રદેશના ચંબલખીણના ડાકુઓનું આત્મસમર્પણ તેનાં થોડાંક ઉદાહરણ છે.

1973ના અંતે તેમણે ‘યૂથ ફૉર ડેમૉક્રસી’ની જાહેર અપીલ કરી. ગુજરાત અને બિહારના વિદ્યાર્થીઓએ એમના નેતૃત્વ સાથે નવનિર્માણ આંદોલન કરી ભારતીય રાજનીતિને એક નવા શિખરે પહોંચાડી. બિહાર આંદોલને સંપૂર્ણ ક્રાંતિનું સ્વરૂપ પકડ્યું.

દરમ્યાન ગુજરાતમાં કૉંગ્રેસવિરોધી ચૂંટણીચુકાદો આવ્યો અને અલાહાબાદ હાઈકોર્ટે વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને ચૂંટણીમાં ગેરરીતિ માટે દોષી ઠરાવ્યાં. જૂન 1975માં ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી જયપ્રકાશ નારાયણ ને મોરારજી દેસાઈ સહિત અનેકને જેલભેગા કર્યા. 1977માં કટોકટી હળવી થતાં લોકોએ અભૂતપૂર્વ ચૂંટણીચુકાદો આપી જયપ્રકાશની પ્રેરણાથી રચાયેલા જનતા પક્ષને સત્તારૂઢ કર્યો. જો કે આંતરિક સંઘર્ષથી અંતે આ પક્ષ તૂટ્યો.

જયપ્રકાશના જીવનમાં સતત સંઘર્ષ રહ્યો, પણ દરેક તબક્કા દરમિયાન જયપ્રકાશનું વૈચારિક વ્યક્તિત્વ વધુ ને વધુ ઊઘડતું આવ્યું. રાષ્ટ્રીય સ્વાતંત્ર્યમાં આર્થિક-સામાજિક સ્વાતંત્ર્ય સામેલ કરવાની એમની કોશિશ ને ખ્વાહિશ, ઔદ્યોગિક પશ્ચિમથી વિપરીત ભારત-એશિયામાં ક્રાંતિના વાહક તરીકે ખેડૂત ને ખેતમજૂરની વિશેષ ભૂમિકાનો નિર્દેશ, રાજ્ય નાગરિકને પોતાની નાગચૂડમાં લઈ રહ્યું હોય ત્યારે શાસનવિષયક પુનર્વિચારણા જેવી બાબતો એમને રાષ્ટ્રવાદ ને સમાજવાદ અંગેની ચાલુ સમજના દાયરાથી અલગ સાબિત કરે છે.

એકાંગી પરિવર્તન નહિ પણ સર્વાંગી પરિવર્તન; આ પરિવર્તનમાં રાજ્ય અવરોધક હોય તો તેનો પ્રતિકાર અને ન્યાય, સ્વાતંત્ર્ય, સમતાનાં મૂલ્યોને અનુલક્ષીને જાતે સુધરવાની ને પછી સમાજ અને જગતને સુધારવાની પ્રક્રિયા સતત ચાલુ હોય એવો સંપૂર્ણ ક્રાંતિ-અભિગમ આપવા બદલ જયપ્રકાશ હંમેશાં યાદ રહેશે. જનતા પક્ષ સાથે અભિન્ન હતા ત્યારે પણ એમણે છાત્રયુવા સંઘર્ષવાહિની અને લોકસમિતિ જેવાં તટસ્થ સંગઠનો સ્થાપ્યાં ને વિકસાવ્યાં. કહેત કે જોડતોડની રાજનીતિને બદલે સંપૂર્ણ ક્રાંતિનાં મૂલ્યોને વરેલો રાજકીય પક્ષ જ પરિવર્તન કરી શકે અને શાસન કે સમાજની મદદની આશાએ બેસી ન રહેતાં દબાયેલા વર્ગો સંગઠિત થાય ને પહેલ કરે.

1920માં જયપ્રકાશ નારાયણનાં લગ્ન પ્રભાવતી દેવી સાથે થયાં હતાં. બંને આડંબર વગરનું સાદગીપૂર્ણ જીવન જીવતાં. પ્રભાવતી દેવીએ જયપ્રકાશજીને જાણ કર્યા વિના જીવનભર બ્રહ્મચર્યવ્રત પાળવાનો નિર્ણય લીધો હતો. વિદેશથી પાછા ફરેલા જયપ્રકાશે પત્નીના આ નિર્ણયને સ્વીકારી અસાધારણ ઔદાર્ય દાખવેલું.

‘વ્હાય સોશ્યાલિઝમ’, ‘ફ્રૉમ સોશ્યાલિઝમ ટુ સર્વોદય’, ‘અ પ્લી ફૉર રિકન્સ્ટ્રક્શન ઑફ ધ ઇન્ડિયન પૉલિટી’, ‘સ્વરાજ ફૉર ધ પીપલ’, ‘ફેસ ટુ ફેસ’ જેવા ગ્રંથોમાં એમની વિચારસૃષ્ટિ ખૂલી છે. બ્રહ્માનંદસંપાદિત ‘ટૉવર્ડઝ ટોટલ રેવલ્યૂશન’ના 4 ખંડો અને નારાયણ દેસાઈ-કાન્તિ શાહ દ્વારા સંપાદિત ‘જયપ્રકાશ’ એ જયપ્રકાશ નારાયણને સમજવા માટે ઉપયોગી પુસ્તકો છે. 1942ના વીરનાયક અને 1974થી 77ના લોકનાયક જયપ્રકાશ નારાયણની ભારતના જાહેર જીવનમાં વિશિષ્ટ મુદ્રા છે. સમાજવાદથી સર્વોદય લગીની એમની વિચારયાત્રા અને એની પરાકાષ્ઠારૂપ સંપૂર્ણ ક્રાંતિ લાંબો વખત યાદ રહેશે.

જયપ્રકાશ પર ગાંધીજીને ઘણો પ્રેમ હતો. રામગઢ કૉંગ્રેસ વખતે જયપ્રકાશે સ્વાતંત્ર્યનો અર્થ સ્ફુટ કરતો એક ઠરાવ તૈયાર કર્યો હતો. કૉંગ્રેસમાં એ આવી શક્યો નહીં, પણ ગાંધીજીએ તેને ‘હરિજન’માં છાપ્યો. એમણે એક વાર લખેલું, ‘જયપ્રકાશ સમાજવાદી તત્ત્વજ્ઞાનનું દરેકેદરેક પાસું જાણે છે.’ પંડિત નહેરુ તેમને ઉમદા અને ચારિત્ર્યસંપન્ન દેશસેવક ગણાવતા.

ઇન્દિરા ગાંધી અને જયપ્રકાશ વચ્ચે કાકા-ભત્રીજીનો સંબંધ હતો. પ્રભાવતી અને કમલા નહેરુ વચ્ચે ગાઢ મૈત્રી હતી. ‘મેરી પ્રિય ઇંદુ’ એવા સંબોધનથી ઇન્દિરા ગાંધીને સુંદર પત્રો લખનાર જયપ્રકાશે જેલમાંથી લખેલા પત્રમાં ‘માય ડિયર પ્રાઈમમિનિસ્ટર’ એવું સંબોધન કરેલું. 25 જૂન 1975ના દિવસે જયપ્રકાશની ધરપકડ થઈ. પોલિસ સ્ટેશને એમને પૂછવામાં આવ્યું, ‘કોઈ સંદેશો?’ જયપ્રકાશ બોલ્યા, ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ.’ પણ ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી હાર્યા ત્યારે જયપ્રકાશે કહેલું, ‘હજુ તેનું રાજકીય જીવન પૂરું નથી થયું.’ જયપ્રકાશની અંતિમ બીમારી વખતે ઇન્દિરા ગાંધી એમની ખબર કાઢવા ગયાં હતાં. વિવેચકોએ આ મુલાકાતને રાજકારણનો એક ભાગ ગણાવી હતી.

અંતે યાદ કરીએ રામધારીસિંહ ‘દિનકર’ના શબ્દો : ‘કહતે હૈં જિસકો જયપ્રકાશ જો નહીં મરણ સે ડરતા હૈ, જ્વાલા કો બુઝતે દેખ કુંડ મેં સ્વયં જો કૂદ પડતા હૈ; હાં, જયપ્રકાશ હૈ નામ સમય કી કરવટ કા, અંગડાઈ કા; ભૂચાલ, બવંડર કે ખ્વાબોં સે ભરી હુઈ તરુણાઈ કા …’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 08 ઑક્ટોબર  2023

Loading

અટપટું ચટપટું 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 June 2024

કાવ્યકૂકીઝ 

0

‘આ વખતે વધુ વરસાદ થશે.’

‘તેથી ઇકોનોમીને વેગ મળશે.’

‘તે તો ખબર નહીં, પણ તેલની ખપત વધશે.’

‘તે કેવી રીતે?’

‘બહાર જવાશે નહીં ને ભજિયાં ઘરમાં થશે.’

‘કજિયા પણ !’

0

‘સાહેબ, વૈશાખી પવનમાં થોડાં ઝાડ પડી ગયાં.’

‘બુલેટ ટ્રેન માટે કાપ્યાં,એટલે પવનને જોર ચડ્યું લાગે છે.’

0

‘સાહેબ, મેં બધા ગેઇમ ઝોન બંધ કરાવી દીધા’

‘ડોબા, એ શરૂ જ કરાવવાના ન હતા.’

‘કેમ?’

‘એ ગેઇમ ઝોન નહીં, શેઇમ ઝોન હતા.’

0

‘સાહેબ, તમે શોક વ્યક્ત કર્યો, આર્થિક સહાય આપી, હવે ખમ્મા કરો.’

‘કેમ?’

‘બીજે હોડી ડૂબે, આગ લાગે તેને માટે કૈં રાખવાનું કે નહીં?’

0

‘તમે વર્ષોથી માર્કેટો ચલાવો છો તે ફાયર NOC છે?’

‘એ વળી શું?’

0

‘તમારી પાસે ફાયર NOC છે?’

‘ના, લાયર NOC છે.’

0

‘કોઈ ગધેડો ઘોડા પર બેસતો જોયો છે?’

‘હા, પરણવા જાય ત્યારે.’

0

‘તમે એ.ટી.એમ.થી પૈસા કેમ નથી ઉપાડતા?

‘એ.ટી.એમ.માં બેલન્સ વગર પણ પૈસા મળે?’

0

‘ડિયર, તમને મારે માટે શું પાળવાનું ગમે?’

‘બે મિનિટનું મૌન.’

0

‘પ્રિયે, કેરીની જેમ મારે માટે તું બીજું શું પકવશે?’

‘વીમાની પોલિસી.’

0

‘ફાયર સેફટીનાં સાધનો ન હોય એવી સંસ્થાઓ સીલ કરો.’

‘એમાં તો આખું શહેર સીલ થઈ જશે, સાહેબ.’

0

‘તમે આગથી બચવા શું કરશો?’

‘અમે બધા હવે છાતી પર અગ્નિશમન યંત્ર બાંધવાના છીએ.’

0

‘આતંકવાદનું દેશી નામ?’

‘ભ્રષ્ટાચાર.’

0

ઊંચે ‘ઊડતાં વિમાનમાં બોમ્બ મળે તો શું કરો?’

‘ઉપરથી જ ઉપર જાઉં, બીજું શું?’

0

‘કોઈ હોસ્પિટલ દર્દી વગરની હોય?’

‘નવી નવીમાં કોઈ ન આવે એમ બને.’

‘હોસ્પિટલ જૂની હોય તો?’

‘તો એનું નામ ‘શ્રદ્ધાંજલિ’ હોઇ શકે.’

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...712713714715...720730740...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved