Opinion Magazine
Number of visits: 9665471
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મંજુમ્મેલ બોયઝ : મૃત્યુને સજીવન કરતી કથા!

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 May 2024

રવીન્દ્ર પારેખ

મંજુમ્મેલ કસબાનું એક અગિયારેક યુવાનોનું ગ્રૂપ છે. પાણીમાં ધુબાકા મારીને મોટા થયા છે ને હવે મસ્તીથી જીવે છે. કોઈનાં લગ્નમાં ટોળે વળીને નાચે છે, ઝઘડે છે, રસ્સી ખેંચમાં શક્તિ પ્રદર્શન કરે છે ને જ્યાં હોય ત્યાં સાથે રહે છે. વેકેશન મૂડમાં આ મિત્રો ગોવા જવાનો પ્લાન કરે છે, પણ પૈસા ટૂંકા છે, એટલે નજીકમાં, કોડાઈકેનાલ જવાનું નક્કી કરે છે. એક દુકાનમાં બધા નાસ્તો કરે છે, તો વૃદ્ધ દુકાનદાર, પાછા આવીને અહીં જ જમવાનો વાયદો લે છે. વાદળિયું પહાડી સૌંદર્ય માણતાં સૌ રિસ્ટ્રિકટેડ એરિયા સુધી આવે છે. અહીંથી આગળ જવાની મનાઈ છે, પણ મિત્રો એમ ગાંઠે? આમ સાહસી નથી, પણ કૂતુહલવશ ‘ગુના’ નામની ગુફામાં જવાનું નક્કી કરે છે. આ ડરામણી ને અજાણી જગ્યાએ સુભાષ જ એક વાર આવ્યો છે. બે ટેકરીઓની ધારથી કપાયેલા આકાશની પટ્ટી જેટલી ખુલ્લી જગ્યા વર્તાય એમ સૌ ઊંડે ઊતરતા જાય છે. ડર રોકે છે ને કુતૂહલ આગળ ધકેલે છે. સુભાષ આ જગ્યાની માહિતી આપે છે ને એકદમ તેનો અવાજ બંધ થઈ જાય છે …

આજુબાજુના મિત્રો અવાજ બંધ થઈ જતાં ‘સુભાષ’, ‘સુભાષ’ની બૂમો પાડે છે, પણ કોઈ જવાબ નથી મળતો. સુભાષને સૌ મજાક ન કરવાનું કહે છે, પણ તે સામે આવતો નથી. સૌ ચિંતામાં પડે છે. બધા આજુબાજુ જોઈ વળે છે, પણ સુભાષ જડતો નથી, ત્યાં એક ખાડા જેવું દેખાય છે ને સૌને લાગે છે કે તે ખાડામાં ઊતરી ગયો છે. ખાડામાં પથ્થર પડે છે, પણ નીચે પડવાનો અવાજ બહુ મોડો આવે છે, એ પરથી ખ્યાલ આવે છે કે ખાડાની ઊંડાઈ અગાધ છે. ઉપરથી બૂમ પડતી રહે છે, પણ જવાબ આવતો નથી. કેટલાક મિત્રો પેલા દુકાનદાર પાસે પહોંચે છે ને મદદ માંગે છે. દુકાનદાર હકીકત જાણે છે, તો ઠપકારે છે કે ખાડા સુધી જવાની જરૂર જ શી હતી? એ ખાડો કેટલો ઊંડો છે, એની ખબર પણ છે? છતાં તે ખાડા સુધી આવે છે. તે આવ્યો તો છે, પણ જાણે છે કે કોઈ કૈં કરી શકે એમ નથી.

દુકાનદારની દીકરી આ લોકોને પોલીસ પાસે જવાનું કહે છે. પોલીસ મિત્રોની વાત માનતી નથી ને નશામાં સૌ આવ્યા છે એમ માનીને ફટકારે છે. પોલીસ જ માહિતી આપે છે કે એ ખાડો ‘ડેવિલ્સ કિચન’ તરીકે જાણીતો છે. ત્યાં જવાની કોઈને છૂટ નથી. જે એ ખાડામાં ગયું છે, તે ફરી ઉપર આવ્યું નથી. એક સેન્ટ્રલ મિનિસ્ટરનો દીકરો એમાં ઊતરી ગયો હતો ને એને શોધવા 15 લાખનું ઈનામ જાહેર કર્યું હતું, પણ એ ઇનામની લાલચે પણ, કોઇની ઊંડે ઊતરવાની હિંમત થઈ ન હતી. કોડાઈકેનાલની જેટલી ઊંચાઈ છે, એથી વધુ તો એ ખાડાની 900 ફૂટ જેટલી ઊંડાઈ છે. અત્યાર સુધીમાં 16 જણાં એ ખાડામાં ઊતરી ગયાં હતાં, પણ કોઈ પાછું આવ્યું ન હતું.

ખાડા પાસે બૂમ મારી રહેલા મિત્રોને જવાબ મળતો નથી, પણ એક સામટાં ઘણાં બધાં ચામાચીડિયાં ઉપર ઊછળી આવે છે ને ફડ ફડ કરતાં ઊડી જાય છે. વરસાદ શરૂ થાય છે ને એટલો પડે છે કે પર્વતો પરથી નીચે વહી આવતું કાદવિયું પાણી ખાડામાં ધસમસી જઈ રહ્યું છે, એ જોતાં, આગળ પોતે સૂઈ જઈને, લાકડાં મૂકીને પાણી રોકવાનો કેટલાક મિત્રો એટલે પ્રયત્ન કરે છે કે પાણી નીચે પડેલા સુભાષ સુધી ન પહોંચે, પણ એમાં તો એ જ ખાડામાં લપસી જવાનું જોખમ ઊભું થાય છે. સુભાષની ભાળ મેળવવા બધી જ કોશિશો મિત્રો કરે છે, ત્યાં ઉપરથી પડતી બૂમના જવાબમાં ઝીણી બૂમ ઊંડેથી ઉપર આવે છે ને મિત્રોને ધરપત થાય છે કે સુભાષ જીવે છે. હવે સવાલ એ છે કે એને બચાવવો કેવી રીતે?

પોલીસ પણ બધી આડાઈ સાથે મદદે આવે છે. તેને એવું છે કે એકાદ આંટો મારીને પાછા આવી જવું, પણ ખાડા પાસેથી પોલીસને, ચોકીએ પહોંચાડવા કોઈ તૈયાર નથી. એણે પરાણે ત્યાં રોકાવું પડે છે, પછી તો બીજા અધિકારીઓ અને રેસ્ક્યૂ ટીમ પણ આવે છે. રેસ્ક્યૂ કરનારો અધિકારી ટ્રેઇન્ડ છે, પણ આટલે ઊંડે ઊતરીને બચાવવા જતાં જીવ ખોવાનું પણ થાય, એટલે એ તૈયાર થતો નથી, કોઈની હિંમત નથી, ત્યાં જીવનું જોખમ લેવા એ કુટ્ટન તૈયાર થાય છે, જે એને પૈસાની ફિકર ન કરવાનું કહીને અહીં લાવ્યો હતો. સુભાષની મા પણ તેને મોકલવા બહુ રાજી ન હતી, પણ કુટ્ટન સાથે છે એવું લાગતાં તે મોકલે છે.

પોલીસને પણ એનું આશ્ચર્ય જ છે કે ટ્રેઇન્ડ સ્ટાફ રિસ્ક લેવા તૈયાર નથી, તો આ કેવી રીતે તૈયાર થયો? તે તૈયાર થાય છે, કારણ કે આ જ સુભાષે, પોતે નાનો હતો ત્યારે તેને ડૂબતો બચાવ્યો હતો. પોલીસ અને એનો મિત્ર કુટ્ટનને ચેતવે છે, તો એ મિત્રને સામે પૂછે છે કે હું તૈયાર ન થયો હોત તો તું તૈયાર ન થયો હોત? પેલો કહે છે કે થયો જ હોત ! વાત જોખમની છે તે કરતાં પણ, મિત્ર જીવે છે તો એને કોઈ પણ ભોગે બચાવવાની છે. કૈં ન કરવા કરતાં કૈં કરી છૂટવામાં જીવી જવાની શક્યતા વધારે હોય તો એ પ્રયત્ન કરવો જ, એ ન્યાયે કુટ્ટન, સુભાષને બચાવવા તૈયાર થાય છે. એને હવે જીવવું ને મરવું લગોલગ છે.

છેવટે દોરડું બાંધીને તેને, સુભાષને બચાવવા ઊંડે ઉતારાય છે. મિત્રો દોરડું છોડતાં જાય છે ને કુટ્ટન નીચે ઊતરતો જાય છે. હેડલાઇટનાં અજવાળામાં જેટલું ને જેવું દેખાય છે એમાં સુભાષની શોધ ચાલે છે. ક્યારેક તો કૈં ભળાતું-સંભળાતું નથી. ફરતેના ખરબચડા પથ્થરો વચ્ચેથી તે નીચે ઊતરતો જાય છે ને ઉપરથી દોરડું છોડાતું જાય છે. એમ કરતાં કરતાં લગભગ 120 ફૂટનું દોરડું પૂરું થઈ જાય છે, પણ સુભાષ સુધી પહોંચાતું નથી. ઉપરથી કહેવાયું કે દોરડું ખૂટી પડ્યું છે, તો નીચેથી અવાજ આવ્યો કે બીજું દોરડું જોડો. મિત્ર માટેની ઘેલછાની હદે આવી લાગણી અદ્વિતીય છે. દોરડું જોડાયું ને થોડું વધુ ઊંડે જતાં કાળા કચરામાં ફેંકાયેલો લોહીલુહાણ સુભાષ દેખાય છે. જેમ આવડ્યું એમ દોરડા વડે સુભાષને બાંધીને કુટ્ટને દોરડું ઉપર ખેંચવા કહ્યું. વચમાં દોરડું ફસાયું ને હાલત એવી થઈ કે ઉપર ખેંચો તો પણ દોરડું ઉપર આવે નહીં, પણ પછી ઢીલ છોડીને દોરડું ઉપર ખેંચાયું ને સુભાષ ઉપર આવ્યો. સુભાષની હાલત એટલી નાજુક હતી કે મીડિયાને ખાળીને, તેને જેમ તેમ હોસ્પિટલ ભેગો કરાયો. સારવાર દરમિયાન સુભાષની મા કુટ્ટનને એ વાતે તિરસ્કારે છે કે સુભાષની આ હાલત તેને લીધે થઈ છે, પણ પછી ખબર પડે છે કે કુટ્ટનને લીધે જ સુભાષ નવજીવન પામ્યો છે, તો તેના પસ્તાવાનો પાર નથી રહેતો. તે બે હાથ જોડતી કુટ્ટન પાસે આવે છે ને આંસુ થઈ ઊઠે છે ….

આ ઘટના બની 2006માં. કુટ્ટનને સુભાષનો જીવ બચાવવા બદલ જીવન રક્ષક એવોર્ડ પણ સરકારે આપ્યો. જો કે, જે સાહસ એણે કરેલું એની સામે આ એવોર્ડ બહુ નાનો હતો. આ ઘટના પરથી ચિદમ્બરમે મલયાલમ ફિલ્મ લખી અને તેનું દિગ્દર્શન પણ કર્યું. એ હિન્દીમાં ડબ થઈ ને ઓ.ટી.ટી. પર ‘મંજુમ્મેલ બોયસ’ નામે 5 મે એ રિલીઝ થઈ. 20 કરોડના બજેટવાળી આ ફિલ્મે મલયાલમ ફિલ્મના બધા રેકોર્ડ્સ તોડ્યા છે. બીજી ભાષાઓમાં આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તો એક ઉત્તમ ફિલ્મ તરીકેના ઘણાં માન-સન્માન તેને મળે એમ બને. આ ફિલ્મ વિષે આપણે ત્યાં બહુ જાણકારી નથી, પણ એ અચૂક જોવા જેવી ફિલ્મ છે.

એમાં કોઈ હિરોઈન નથી કે કોઈ હીરો નથી ને છે તે બધા જ હીરો છે. કોઈએ એક્ટિંગ કરી નથી. બધા જ નાનામાં નાની ભૂમિકા પણ મન મૂકીને જીવ્યા છે. એમાં પણ કુટ્ટન તરીકે સૌબિન વિશેષ ઉલ્લેખનીય. પર્વતીય સહજ સૌંદર્યને કેમેરાએ કુશળતાથી ઝીલ્યું છે, તે સાથે જ પ્રકૃતિનાં રૌદ્ર રૂપનો અનુભવ પણ પ્રેક્ષકોને ડગલે ને પગલે કરાવ્યો છે. શયજુ ખાલીદની ફોટોગ્રાફી પ્રકૃતિ દૃશ્યોમાં તો ખીલે જ છે, પણ ઊંડાઈનાં ખડકાળ દૃશ્યો કેવી રીતે ઝડપ્યાં હશે એનું આશ્ચર્ય પણ જન્માવે છે. એવું જ સુધી શ્યામનાં સંગીતનું પણ ખરું. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ભય, ઉત્તેજના અને કરુણને અસરકારક રીતે પ્રગટ કરે છે. સાથે જ, તંત્રોની રોગિષ્ટ ઉદાસીનતા પણ બહુ માર્મિક રીતે ફિલ્મમાં દર્શાવાઈ છે. સુભાષ જેમ તેમ બચીને ઉપર આવ્યો છે તો તેનું શું કરવું, તેના જવાબમાં પોલીસ કહે છે કે તેને પોલીસ સ્ટેશને લઈ જઈને ફોર્માલિટીઝ પૂરી કરીએ. જરૂર હોસ્પિટલે લઈ જવાની હોય ત્યારે પણ, પોલીસ ફોર્માલિટીઝનું જ વિચારે એવી જડતા અત્ર તત્ર સર્વત્ર છે.

શરૂઆતનો ગ્રામીણ પરિવેશ વાર્તા બાંધવામાં થોડો સમય લે છે, પણ પછી જે ગતિ પકડાય છે તે ધબકારા વધારનારી અને થડકો ચુકાવનારી છે. કેટલાંક દૃશ્યો અત્યંત હૃદયસ્પર્શી છે. એક તરફ સુભાષ છેડો ન જડે એવા ખાડામાં ધકેલાઇ ગયો છે ને બીજી તરફ વરસાદ છતની જેમ તોળાઈ રહ્યો છે, એવામાં વરસાદનું પહેલું ટીપું કુટ્ટનની પાંપણ નીચે પડતું બતાવાયું છે, જે સૂચવે છે કે આવનારો સમય આંખોનો વરસાદ લઈને પણ આવી રહ્યો છે. બીજા એક દૃશ્યમાં સુભાષ એ ખાડામાંથી બચીને આવ્યો છે, જ્યાંથી કોઈ આવ્યું નથી. એ દેવત્વ પામીને આવ્યો છે, એવું લાગતાં વૃદ્ધા તેનો ચરણ સ્પર્શ કરે છે.

આમ તો કુટ્ટનને નીચે ઊતરતો બતાવીને સુભાષને ઉપર આવતો બતાવી શકાયો હોત, પણ એવું એટલે થયું નથી, કારણ, આવું 2006માં ખરેખર બન્યું હતું. એ અનુભવ કરાવવા મહત્ત્વનું એ હતું કે કેટલી તકલીફ વચ્ચે ને કેટલી મહેનતે ને કેટલા લાંબા સમય પછી સુભાષને બચાવાયો હતો, એ પથરાળ રૂક્ષતાનો અપૂર્વ અનુભવ પ્રેક્ષકોને આપવો હતો ને એ આ ફિલ્મે આપ્યો, એને માટે લેખક અને દિગ્દર્શકને આપીએ એટલાં અભિનંદનો ઓછાં છે. આ કદાચ અવિસ્મરણીય ફિલ્મ નથી, પણ તે જરા ય ભૂલાય એવી પણ નથી …. 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 મે 2024

Loading

મે દિન પૂછે છે : કામદારોની હાલત બહેતર કે બદતર ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 May 2024

ચંદુ મહેરિયા

દુનિયાભરના મહેનતકશો તેમના સંઘર્ષની સ્મૃતિ તાજી કરતો અને નવા સંઘર્ષની તૈયારી કરતો મે દિન ઉજવે છે. ઈન્ટર નેશનલ લેબર ડે, મજૂર દિન, શ્રમિક દિન, કામદાર દિવસ કે વર્કર ડે જેવા નામે ઓળખાતો આ દિવસ શ્રમિકોનાં બલિદાન અને યોગદાનનાં સ્મરણોનો દિવસ છે. કામદારોના સન્માન સાથે તેમના અધિકારો માટે અવાજ ઉઠાવવાનો આ દિવસ છે. કામદારોમાં ટ્રેડ યુનિયન પરંપરા અને આંદોલનોને કારણે વિકસેલી વર્ગ ચેતનાને દૃઢાવવાના સંકલ્પનો આ દિવસ છે. મજદૂરોના અધિકારો માટેની જાગૃતિનો આ દિવસ છે. વિશ્વના કરોડો કામદારોના મહેનત, દૃઢ નિશ્ચય અને ઉજળી આવતીકાલના સપનાં સજાવવાનો આ દિવસ છે. યોગ્ય અને સમાન વેતન (ગાંધીજીના શબ્દોમાં જીવન યોગ્ય દરમાયો), કામની સલામત સ્થિતિ, કામના કલાકો જેવી અનેક માંગ અને હક માટે અદાલતો અને સરકારો સામે  લડવા, સમાજમાં કામદારોની સ્થિતિ મજબૂત કરવાનો તેમ જ ‘દુનિયા કે મજદૂર એક હો’નો નારો બુલંદ કરવાનો પણ આ દિવસ છે.

કામદારોનાં લોહી પરસેવાની કોઈ પણ દેશના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા છે. પરંતુ ખુદ કામદારોની હાલત દયનીય છે. અમેરિકા જેવા મૂડીવાદી દેશ પાસે જે સમૃદ્ધિ, સત્તા અને શક્તિ છે તેના પાયામાં મજૂરોનો પસીનો છે. ઔદ્યોગિક ક્રાંતિએ દુનિયામાં ઘણાં પરિવર્તનો આણ્યાં છે, પરંતુ તે કામદારોના શોષણ પર વિસ્તરી હતી તે ભૂલાઈ ગયું છે. લોઢા સાથે બાથો ભરતા શ્રમિકોને આંતેડા ઘોઘરે આવે ત્યાં સુધી મજૂરી કરવી પડતી હતી. તેમના કામના કલાકો નિશ્ચિત નહોતા. પંદરથી અઢાર કલાક સુધી કામ કરતા મજૂરોએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. અમેરિકા અને કેનેડાના કામદારોએ પહેલી મે ૧૮૮૬ના રોજ કામના મહત્તમ આઠ  જ કલાકની માંગણી માટે હડતાળ પાડી હતી. આ હડતાળ લોહિયાળ બનતાં, કામદારો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો. ગોળીબારમાં કામદારો મરાયા ને ઘણાં ઘવાયા હતા. તેના ત્રણ વરસ પછી ૧૮૮૯માં પેરિસમાં મળેલી ઈન્ટરનેશનલ સોશ્યાલિસ્ટ કોન્ફરન્સમાં અમેરિકાના કામદારોની પહેલી મેની હડતાળની યાદમાં દર વરસે પહેલી મેનો દિવસ વિશ્વ મજૂર દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું. આજે તો એ ઘટનાને ૧૩૫ વરસ થયા, પરંતુ હજુ કામદારોનું શોષણ અને તેની વિરુદ્ધના આંદોલનો ચાલે છે એટલે લગભગ આખી દુનિયામાં કામદાર દિવસ મનાવાય છે.

ભારતમાં ૧૯૨૩માં પહેલવહેલો મજૂર દિન ચેન્નઈમાં ઉજવાયો હતો. તેને પણ હવે સો વરસ વીતી ગયાં છે .જો કે હજુ દેશના મહેનતકશોની હાલત તો બદતર જ છે. ભારત સરકારના શ્રમ મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં ૪૮ કરોડ શ્રમિકો હોવાનો અંદાજ છે. તે પૈકીના મોટા ભાગના (૯૦ ટકા) અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. કૃષિમાં  ૪૨ ટકા, સેવા ક્ષેત્રમાં ૩૨ ટકા અને ઉદ્યોગોમાં ૨૬ ટકા કામદારો કામ કરે છે. વિશ્વના જે દસ દેશોના કામદારો સૌથી વધુ કલાક કામ કરે છે તેમાં ભારત સાતમા ક્રમે છે. ભારતીય શ્રમિક અઠવાડિયે ૪૭.૭ કલાક કામ કરે છે.

કામદાર કલ્યાણના કાયદા આઝાદી પછી તરત જ ઘડાયા હતા અને કામદાર સંગઠનો તો આઝાદી પૂર્વે જ રચાયા હતા. પરંતુ કામદારોનું શોષણ સંપૂર્ણ અટક્યું નથી. કામનું યોગ્ય વેતન અને કામના કલાકોની બાબતમાં આજે પણ શોષણ થાય છે. લધુતમ વેતનના કાયદા છતાં આજે ય ભારતીય શ્રમિક મહિને સરેરાશ રૂ. ૧૦,૦૦૦ જ કમાય છે. જે લઘુતમ વેતનથી ઓછા છે. કેન્દ્રીય કર્મચારીઓ માટેના સાતમા વેતન આયોગે ૨૦૧૬માં કર્મચારીઓનું લઘુતમ વેતન રૂ. ૧૮,૦૦૦ નક્કી કર્યું હતું પરંતુ અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેનાથી અડધું ય મળતું નથી. હવે તો સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્ર વગેરેમાં રોજમદારો અને કોન્ટ્રાકટ મજૂરોની પ્રથા ચાલે છે જેમાં તેમનું મોટા પાયે શોષણ થાય છે.

ભારતમાં નિયમિત વેતન મેળવતા કામદારો તો ૨૩ ટકા જ છે. કુલ કામદારોના ચોથા ભાગના રોજમદારો છે. ૭૧ ટકા કામદારોને તેમના કામ કે નોકરીનો કોઈ લેખિત ઓર્ડર આપવામાં આવ્યો નથી. ૫૪ ટકાને સવેતન અઠવાડિક રજા મળતી નથી. કુલ કામદારોના ૫૭ ટકા ગ્રામીણ વિસ્તારોમાં છે. બાળ મજૂરી અને વેઠિયા મજૂરી નાબૂદ થવાના અણસાર વર્તાતા નથી. જ્ઞાતિગત વ્યવસાયોની પરંપરા મટવાની જણાતી નથી. સ્ત્રી-પુરુષને સમાન કામનું સમાન વેતન મળતું નથી. કામનાં સ્થળ સલામત નથી. વ્યવસાયિક જોખમ અને અસલામત કામના લીધે રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય છે અને મજૂરો મરે છે. દેશમાં ઔદ્યોગિક શાંતિના છદ્માવરણ તળે કામદારોનું શોષણ દટાયેલું રહે છે.

સ્થળાંતર એ ભારતીય કામદારની જાણે કે નિયતિ છે. સ્થળાંતરિત કે પ્રવાસી મજૂરોની હાલત કેવી બદતર છે તેનો પરિચય દેશ અને દુનિયાને કોરોના મહામારીના લોકડાઉનના ગાળામાં થયો હતો. ભારતમાં મજૂરોની સ્થિતિ બહેતર થઈ રહ્યાના જે નગારા પિટાતા હતા તેની વાસ્તવિકતાનો પરચો આપણને  કોરોના કાળમાં થઈ ચૂક્યો છે. એટલે શ્રમ કાયદાઓને સાંકળતી ચાર શ્રમ સંહિતાઓથી કામદારોનું દળદર ફિટવાનું નથી.

૧૯૯૧થી અમલી નવી અર્થનીતિએ પણ કામદારોની સ્થિતિને બદતર બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. વિદેશી મૂડીરોકાણને આકર્ષવા ઔધોગિક શાંતિ જરૂરી હોવાના જાપ જપતાં દેશના કામદાર આંદોલનોનો કાંકરો કાઢી નાંખવામાં આવ્યો છે. લેબર કાયદા અને કામદાર યુનિયનોને તેમાં મુખ્ય અંતરાય માની તેને અપ્રસ્તુત કરવાના ખેલ ખેલાયા છે. ભારતના જાહેર ક્ષેત્રના ગુણગાન ગાનારા તેનું સર્જન ખરેખર તો ખાનગી ક્ષેત્રને સહાયરૂપ થવાના આશયથી થયું હતું તે સત્ય છૂપાવી રાખે છે. ખાનગી ઉદ્યોગોને આયાત કરવી પડે તેવા યંત્રોનું અને બીજું ઉત્પાદન જાહેર ક્ષેત્રે કરીને ખરેખર તો ખાનગી ક્ષેત્રને સરકારી મદદ આપી છે. નવી અર્થનીતિ અને ઉદારીકરણે કામદારોનું અહિત કરનારા નિર્ણયો લઈને સમાજવાદી શ્રમ કાયદા ધરાવતા દેશને મૂડીવાદી બનાવી દીધો છે.  ૨૦૦૦થી ૨૦૧૮ દરમિયાન ભારતના ઉદ્યોગપતિઓનો નફાનો ભાગ ૧૭ ટકાથી વધીને ૪૮ ટકે પહોંચ્યો હતો પણ મજૂરીનો હિસ્સો ૩૩ ટકેથી ઘટીને ૧૭ ટકા થઈ ગયો હતો. આવી બદતર હાલતમાં મજૂર આંદોલનો અને તેની તીવ્રતા ઘટ્યાં છે.  હડતાળઓમાં  વેડફાયેલા માનવદિવસો અને માલિક-મજૂર વિવાદના કેસોમાં ઘટાડો તેનું પ્રમાણ છે.

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસે ભલે ‘હમ એક હૈ’ના નારા બોલાવાય પણ કામદારોની જ્ઞાતિ સભાનતા વર્ગચેતના આણી શકતી નથી. દેશમાં ૭૦,૦૦૦ મજૂર મંડળોનું હોવું કે રાજકીય પક્ષો અને વિચારધારા સાથે જોડાયેલા દસ મોટા કેન્દ્રીય મજૂર સંગઠનોનું હોવું કામદાર એકતા દર્શાવતા નથી. જે અમેરિકાના શિકોગાના મજૂરોની હડતાળની યાદમાં અને અમેરિકી શ્રમિકોની સામાજિક આર્થિક ઉપલબ્ધિઓની યાદમાં દુનિયાભરમાં પહેલી મેના રોજ મજદૂર દિન મનાવાય છે તે અમેરિકામાં કામદાર દિન દર વરસના સપ્ટેમ્બર મહિનાના પહેલા સોમવારે મનાવાય છે! ભારતમાં ડાબેરી મજૂર સંગઠનો પહેલી મેના મજૂર દિનની ઉજવણી કરે છે, પરંતુ જમણેરી મજૂર સંગઠનોની માંગ ૧૭મી સપ્ટેમ્બરની વિશ્વકર્મા જયંતીએ કામદાર દિનની છે! જમણેરી મજૂર સગઠનો કામદારોને ઔદ્યોગિક પરિવાર લેખે અને ડાબેરીઓ વર્ગશત્રુતાના પાઠ પઢાવે તેની વચ્ચે ભારતીય કામદારે તેની બદતર હાલતને બહેતર બનાવવાની છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

સંઘ સો વર્ષનો થઈ રહ્યો છે ત્યારે ચરિત્ર સામે મોટું સંકટ

રમેશ ઓઝા|Opinion - Opinion|9 May 2024

રમેશ ઓઝા

એમ કહેવાય છે કે આ વખતની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉદાસીન છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં સંઘના સ્વયંસેવકો જે ઉત્સાહથી ભા.જ.પ. માટે પ્રચાર કરતા હતા તે અત્યારે કરતા નથી. આમ કહેવાય છે એટલા માટે કે સંઘનો સંસાર અને વ્યવહાર કર્ણોપકર્ણ ચાલે છે. સંઘનો જિલ્લા પ્રચારક શાખાસંચાલકને કાનમાં જે કરવાનું હોય એ કહી જાય જે શાખાસંચાલક બીજા દિવસે ચુનંદા સ્વયંસેવકોને કાનમાં કહે. વોટ્સેપ પણ કરવાનો નહીં. આદેશ હંમેશાં મૌખિક જ અને એ પણ કાનમાં જ આપવાનો. આને કારણે તમે ખાતરીપૂર્વક કાંઈ જ ન કહી શકો એટલે એમ કહેવાય છે એમ કહેવું પડે. પણ જે કહેવાય છે એને માટે કારણો પણ છે, એટલે જે કહેવાય છે એ સમજી શકાય એમ છે. આવતા દશેરાના દિવસે સંઘ સોમાં વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે તેની સામે પ્રતિષ્ઠાનું સંકટ પેદા થયું છે. એ કારણો તપાસીએ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક “સંઘ” છે અને તેનું મુદ્રવાક્ય છે; “સંઘ શક્તિ કલૌયુગે.” મૂળ શ્લોકમાં કહેવાયું છે કે સતયુગમાં જ્ઞાનની શક્તિ પ્રભાવી હતી, ત્રેતાયુગમાં મંત્રશક્તિ પ્રભાવી હતી, દ્વાપરયુગમાં યુદ્ધશક્તિ પ્રભાવી હતી અને કલિયુગમાં સંઘશક્તિ પ્રભાવી હશે. અત્યારે કલિયુગ ચાલી રહ્યો છે એટલે તેની બતાવવામાં આવેલી શક્તિ સંઘ છે અર્થાત્ સંગઠિત થવામાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં “સંઘ” શબ્દ અમસ્તો નથી.

હવે એ તો દેખીતી વાત છે કે જ્યાં સંઘ હોય ત્યાં કોઈ એક વ્યક્તિનું પ્રભુત્વ ન હોય. સંઘ આમ કહેતો પણ આવ્યો છે અને તેને માટે ગર્વ પણ અનુભવતો આવ્યો છે. અમારે ત્યાં વ્યક્તિવાદ નથી તો પરિવાર તો બહુ દૂરની વાત છે એમ સંઘના નેતાઓ અને જનસંઘ/ભા.જ.પ.ના નેતાઓ પણ કહેતા આવ્યા છે. સંઘની રચના પીરામીડ જેવી છે જેમાં સૌથી નીચે શાખા છે અને સૌથી ઉપર અખિલ ભારતીય પ્રતિનિધિ સભા છે. સંઘમાં સીધું લોકતંત્ર નથી, પણ તેનો એવો દાવો છે કે છેક નીચેથી ભાવના અને અભિપ્રાયો જુદા જુદા સ્તરના પ્રચારકો દ્વારા ઉપર તેમના પ્રતિનિધિ સુધી પહોંચતા હોય છે. ઉપર પ્રતિનિધિઓ જે નિર્ણય લે એ નીચે સુધી પહોંચતો હોય છે. નીચેથી ઉપર સુધીનો પ્રવાસ ભાવના અને અભિપ્રાયનો હોય છે અને ઉપરથી નીચેનો પ્રવાસ આદેશનો હોય છે. આને કહેવાય સંઘ. લોકતાંત્રિક સંગઠન અને સંઘમાં આ ફરક છે. સંઘમાં શિસ્ત હોય છે, પણ કોઈ સર્વોપરી નથી હોતું. સ્વયંસેવકોના પ્રતિનિધિઓ દ્વારા સામૂહિક નિર્ણય લેવાય છે, પછી તેનું સ્વરૂપ ભલે આદેશ જેવું લાગતું હોય. ટૂંકમાં સંઘમાં સામૂહિકતા છે અને માટે તે સંઘ છે.

સંઘની શાખા-પ્રશાખાઓ પણ છે. કેટલી છે? આભના તારાની માફક ગણી ગણાય નહીં એટલી. એ શાખા-પ્રશાખાઓ સ્વતંત્ર રીતે પણ સંઘનો હિસ્સો બનીને કામ કરે છે. આ શાખા-પ્રશાખાઓમાં એક શાખા ભારતીય જનતા પક્ષ છે. ભારતીય જનતા પક્ષ પણ સંઘનો હિસ્સો બનીને કામ કરે એવી અપેક્ષા રાખવામાં આવી છે અને એવી રીતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પક્ષમાં દરેક સ્તરે ભા.જ.પ.નો સંગઠન મંત્રી હંમેશાં સંઘનો જ હોય. જ્યારે સંઘ પાસે તેના પોતાના રાજકીય નેતાઓ નહોતા અને શ્યામા પ્રસાદ મુખર્જીથી લઈને બલરાજ મધોક સુધીના હિન્દુત્વવાદી પણ સંઘના ન હોય એવા અધ્યક્ષોને ઉછીના લાવવામાં આવતા હતા ત્યારે પક્ષ પર સાચો કબજો સંઘના સંગઠન મંત્રીઓ જ બનતા હતા. દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ અને લાલકૃષ્ણ અડવાણી અક્ષરસઃ સંગઠન મંત્રીઓ તરીકે પક્ષ પર કબજો ધરાવતા હતા. બહારના અધ્યક્ષો તો નામના હતા. સમય જતાં સંઘમાંથી નીકળેલા નેતાઓ રાજકીય રીતે પરિપક્વ બની ગયા, ચૂંટણીઓમાં ચૂંટાવા લાગ્યા, પક્ષના અધ્યક્ષ બનવા લાગ્યા અને તેમની પોતાની પ્રતિષ્ઠા પણ બનવા લાગી, પરંતુ પેલી સંગઠન મંત્રી સંઘનો જ હોય એવી પરિપાટી કાયમ રહી હતી. આમ તો એ બધા સંઘના જ હતા, પણ ભા.જ.પ.ના થયેલા હતા એટલે પિતૃસંઘના પ્રતિનિધિને સંગઠન મંત્રી બનાવવામાં આવતા હતા.

શા માટે? કારણ કે ભા.જ.પ. રાજકીય પક્ષ છે અને રાજકીય પક્ષને સત્તા સાથે સંબંધ છે અને સત્તાનો સ્વભાવ વધુને વધુ સત્તા મેળવવાનો અને બને ત્યાં સુધી સત્તા નહીં છોડવાનો હોય છે. આ સ્વભાવ છે અને સંઘનો સ્વયંસેવક પણ અંતે માણસ છે. ૨૦૦૫માં લાલકૃષ્ણ અડવાણીએ વડા પ્રધાન બનવા માટે અટલ બિહારી વાજપેયી કરતાં પણ સવાયા ઉદારમતવાદી બનવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પાકિસ્તાનમાં પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી ઝીણાની મઝાર પર જઇને ઝીણા સેક્યુલર હોવાનું સર્ટીફીકેટ આપી દીધું હતું. મઝાર પર જવું અને ઝીણાને સેક્યુલર હોવાનું પ્રમાણપત્ર આપવું એ સંઘ માટે કુફ્ર પ્રવૃત્તિ હતી. આને માટે અડવાણીને દંડવામાં આવ્યા હતા અને તેમને ભા.જ.પ.ના અધ્યક્ષપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. અક્ષરસઃ રાજીનામું સંઘે માગી લીધું હતું. સત્તા મેનકાથી ઓછી લોભાવનારી નથી હોતી. ભલભલાનો સંયમ છૂટી જાય. માટે સંઘ ભા.જ.પ.ને (કે બીજા કોઈ પણ સંગઠનને) પોતાની ભ્રમણકક્ષામાંથી બહાર જવા દેતો નથી અને તે બહાર ન જાય એવી તેણે વ્યવસ્થા કરી છે.

હવે આમાં જો કોઈ સર્વોચ્ચ નેતા પેદા થાય અને તે સંઘની વ્યવસ્થાને તોડે તો શું થાય! માત્ર સંઘની વ્યવસ્થાની ઉપેક્ષા ન કરે, સંઘના નેતાઓની પણ ઉપેક્ષા કરે, સંઘને સૂર્યમાંથી ગ્રહ પણ નહીં, ઉપ-ગ્રહમાં ફેરવે તો શું થાય? નરેન્દ્ર મોદી અને અમિત શાહે સંઘના દ્વિતીય હરોળના નેતાઓને એવી જગ્યાઓમાં ગોઠવી દીધા છે જ્યાં તેઓ વિશેષાધિકાર ભોગવતા થઈ ગયા છે. તેમને પ્રોટોકોલ મુજબ મફત વિમાન પ્રવાસ કરવા મળે, એરપોર્ટ પર લાઉન્જ વાપરવા મળે, લાલ દીવાની ગાડી મળે, સર્કીટ હાઉસમાં જગ્યા મળે, આવાગમન વખતે કોઈ તેમનું સ્વાગત કરે, ચાર-પાંચ સિક્યોરીટી ગાર્ડઝ હોય વગેરે વગેરે. એમાં રાજાપાઠનો એક અનોખો ગળચટો અનુભવ થતો હોય છે. સત્તાના ઝેરથી ભા.જ.પ.ના નેતાઓ ન અભડાય એ સારુ સંઘે ઝેરનું વારણ કરનારી એક વ્યવસ્થા કરી હતી, પણ અત્યારે સાવ ઊંધુ થઈ રહ્યું છે. સંઘના દ્વિતીય હરોળના નેતાઓને સત્તાનો નશો કરાવવામાં આવી રહ્યો છે.

સંઘ સો વરસનો થઈ રહ્યો છે ત્યારે સંઘ સામે તેનાં પ્રતિષ્ઠિત (અને દુ:શ્મનો દ્વારા પણ સરાહનીય) ચરિત્રની સામે મોટું સંકટ પેદા થયું છે. આના વિષે ભલે ઊઘાડી ચર્ચા ન થતી હોય, પણ ચિંતાનો વિષય તો છે જ. સત્તા ઝેર છે અને સત્તાની રમતમાં પડેલા તેનાથી બચતા નથી એમ મહાભારતકાળથી કહેવામાં આવી રહ્યું છે એ ખોટું નથી. હજુ બે દાયકા પહેલાં સંઘે લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાને, કે જેમણે આખી જિંદગી જનસંઘ/ભા.જ.પ.નું પોષણ કર્યું હતું અને એક મોટા પક્ષ તરીકે સ્થાપ્યો તેને હોદ્દા પરથી ઉતારી દીધા હતા. પણ અત્યારે? પૂછે છે કોણ? દસ વરસમાં માત્ર એક વાર નરેન્દ્ર મોદી સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને મળ્યા છે. નરેન્દ્ર મોદી સંઘના એજન્ડાને ભલે લાગુ કરતા હોય, પણ નરેન્દ્ર મોદી સંઘના પ્રસિદ્ધ ચરિત્રથી વિમુખ થઈ રહ્યા છે અને એ રીતે સંઘને નુકસાન પહોંચાડી રહ્યા છે. સંઘ પરિવારમાં માત્ર એક જ સૂર્ય છે અને તેની ફરતે સંઘે પ્રદક્ષિણા કરવી પડે એ કેટલું વસમું પડતું હશે એની કલ્પના તમે કરી શકો છો.

માટે શક્ય છે કે સંઘ ઉદાસીન હોય અને કાનમાં કશીક વાત વહેતી થઈ પણ હોય.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09 મે 2024

Loading

...102030...707708709710...720730740...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved