Opinion Magazine
Number of visits: 9665761
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ વ્યંગ નથી. કાકલુદી છે. પ્રાર્થના છે. કહો હિંદુ રાષ્ટ્ર કેવું હશે?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 May 2024

રમેશ ઓઝા

ગમે એટલી તાકાત એકઠી કરી હોય, ગમે એટલી રાજકીય લડાઈને અસમાન અને એકતરફી કરી હોય, ગમે એટલા રાજકીય દુ:શ્મનને નિરસ્ત કર્યા હોય; વિજય ત્યાં સુધી મળતો નથી જ્યાં સુધી સામાજિક પંક્તિઓમાં છેલ્લી પંક્તિઓના લોકો સાથ ન આપે. ગાંધીજીનું ભારતમાં આગમન થયું એ પહેલાં અંગ્રેજોની તાકાત બેશુમાર હતી. શું નહોતું તેમની પાસે! શાસકીય સંસ્થાઓ તેમની પાસે અને તેમના કબજામાં હતી, કાયદાઓ તેમની તરફેણમાં હતા, અંગ્રેજી મીડિયા તેમની સાથે હતા, ભારતીયોની બનેલી પોલીસ તેમની પાસે હતી, ભારતની ૪૦ ટકા ભૂમિ પર રાજ કરનારા રાજવીઓ તેમના ગુલામ હતા અને રાજકીય જાગૃતિ તેમ જ પરિવર્તનને રોકવામાં અંગ્રેજો કરતાં પણ વધારે આતુર હતા વગેરે બધું જ હતું. આ બાજુ ભારતનું રાજકીય નેતૃત્વ એવા લોકોના હાથમાં હતું જેમનો છેલ્લી પંક્તિઓના લોકો સાથે કોઈ સંબંધ જ નહોતો. ‘સર’નો તાજ ધરાવનારા દીવાન બહાદુરો તેમ જ રાય બહાદુરો અને ધીકતી પ્રેક્ટીસ ધરાવનારા સફળ વકીલો દેશનું નેતૃત્વ કરતા હતા. તેમની પાસે સમય નહોતો, લોકોની ભાષા તેઓ બોલતા નહોતા, અદના આદમી માટે એવી કોઈ હમદર્દી પણ નહોતી અને જો હમદર્દી હતી તો તેમની પીડાના સ્વરૂપની કોઈ સમજ નહોતી. આ સિવાય તેમનાં હિતો હતાં અને એ હિતો ન જોખમાય તેની ચિંતા કરતા હતા.

ગાંધીજીએ સ્થિતિ બદલી નાખી. તમારું ધ્યેય, તમારું સપનું, તમારાં અરમાન, તમારી કલ્પના જ્યાં સુધી છેલ્લી પંક્તિઓના લોકો ન અપનાવે અને એ કલ્પનામાં ભાગીદાર ન બને ત્યાં સુધી તમે સફળ ન નીવડી શકો અને જો એમાં સફળ નીવડ્યા તો પછી દુ:શ્મનની તાકાત ગમે એટલી પ્રચંડ હોય એ ઓછી પડે. ગાંધીજીએ આ વાત સમજાવી અને માત્ર ભારતની પ્રજાને નહીં, વિશ્વભરની ગુલામ પ્રજાને આ વાત શીખવી. ગાંધીજીના સત્યાગ્રહ સામે અંગ્રેજોની તાકાત ઓછી પડવા લાગી કારણ કે આઝાદ ભારતનાં સપનાંમાં ભાગીદારો વધી ગયા અને ભાગીદારી છેવાડાના માણસ સુધી પહોંચી ગઈ. સ્ત્રીઓ રસોડામાંથી બહાર આવી અને ખેડૂતો ખેતરમાંથી બહાર આવ્યા. અંગ્રેજોને સમજાઈ ગયું કે ભારતમાં આઝાદીનાં સપનાએ રાષ્ટ્રીય સ્વરૂપ પકડી લીધું છે એટલે હવે અંગ્રેજી રાજ ટકાવી રાખવું હોય તો બે જ વિકલ્પ બચે છે; એક તો ભારતની પ્રજાને સમજાવવામાં આવે કે આઝાદીમાં કોઈ લાભ નથી. સામાન્ય પ્રજાના હિતની એક વળતી કલ્પના (કાઉન્ટર નેરેટિવ) વિકસાવવામાં આવે અને લોકો સુધી પહોંચાડવામાં આવે અને એ જો શક્ય ન હોય તો બર્બરતાપૂર્વક પ્રજાને કચડી નાખવામાં આવે. પહેલો વિકલ્પ શક્ય નહોતો અને બીજો વિકલ્પ શક્ય તો હતો પણ બ્રિટિશ રાજને મોંઘો પડે એમ હતો. છેવટે અંગ્રેજોએ ભારતમાંથી ઉચાળા ભરવાનો નિર્ણય લીધો હતો.

જો કે ભારતની તમામ પ્રજાને આઝાદીનાં સપનામાં ભાગીદાર બનાવવામાં ગાંધીજીને સંપૂર્ણ સફળતા મળી હતી એમ ન કહી શકાય. આઝાદ ભારત કેવું હશે અને તેમાં અમે ક્યાં હોઈશું એ પહેલાં કહો. મુસલમાનોએ આ સવાલ કર્યો હતો, દલિતોએ આ સવાલ કર્યો હતો, બહુજન સમાજે આ સવાલ કર્યો હતો, દક્ષિણની દ્રવીડી અસ્મિતાવાદીઓએ આ સવાલ કર્યો હતો, મજૂરોએ આ સવાલ કર્યો હતો, રાજવીઓએ આ સવાલ કર્યો હતો એમ સવાલોની ઝડી વરસી હતી અને ગાંધીજીએ દિવસરાત ખુલાસાઓ કરવા પડતા હતા. ગાંધીજી જેવા વિરાટ નેતા માટે પણ રસ્તો આસાન નહોતો. જો કે એમાં એક વાત સારી હતી કે એવા સવાલો કરનારા જે તે સમાજના કે વર્ગના નેતાઓ હતા અને એ નેતાઓની પાછળ તેમની પ્રજા નહોતી. એ વર્ગ અને સમાજની પ્રજા મહદ્ અંશે ગાંધીજીની સાથે હતી.

આઝાદીનાં આંદોલનની આટલી લાંબી પૃષ્ઠભૂમિ આપવા પાછળ પાછળનું કારણ એ કે જો હિન્દુત્વવાદીઓ અત્યાર સુધી જે સર્વસ્વીકાર્ય લાગતું હતું તે ભારતીય રાષ્ટ્રની જગ્યાએ હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા માગતા હોય તો તેમણે પણ ગાંધીજીની માફક તેમની કલ્પનાને છેવાડાની પંક્તિઓમાં જે લોકો છે તેમના સુધી આ વાત પહોંચાડવી પડે. તેમને હિંદુ રાષ્ટ્રના સપનામાં ભાગીદાર બનાવવા પડે. આ કેવળ મુસલમાનોનો ડર બતાવીને કે બદનામ કરીને નહીં થાય. ગાંધીજીએ અંગ્રેજોનો ડર નહોતો બતાવ્યો. ગાંધીજીએ અંગ્રેજોની દિવસરાત નિંદા નહોતી કરી. એવી જરૂર જ નહોતી. “આઝાદી”, “સ્વતંત્રતા”, “સ્વ-રાજ”, “ઇન્કલાબ”ની તેમણે અને બીજા ભારતીય નેતાઓએ રાખેલી કલ્પના જ એટલી રોમાંચક હતી કે લોકોને ઉત્તેજિત કરવા માટે એ પૂરતી હતી. ગાંધીજીએ તો માત્ર એ કલ્પનાને છેવાડાના લોકો સુધી પહોંચાડી અને તેમાં તેમને ભાગીદાર બનાવ્યા હતા. જે લોકો સપનાંનાં ભારતમાં અમે ક્યાં હોઈશું એવો સવાલ પૂછતા હતા તેમને સંતોષ થાય એવા ખુલાસા આપવામાં આવતા હતા. એ પછી પણ બધાને સંતોષ થતો જ હતો એવું નથી.

ટૂંકમાં કોઈ પ્રજાને નિશાન બનાવવાથી, તેમને દિવસરાત ગાળો દેવાથી, તેમનો ડર બતાવતા રહેવાથી અને હિંદુ રાષ્ટ્રમાં અમે ક્યાં હોઈશું એવા પ્રશ્નોથી ભાગવાથી હિંદુ રાષ્ટ્ર સાકાર થવાનું નથી. હા, હિંદુઓ રાજ કરે અને હિંદુઓ માથાભારે થઈને ફરે એ જ જો તેમની કલ્પનાનું હિંદુ રાષ્ટ્ર હોય તો જૂદી વાત છે. પણ એ તો તેમનો સ્વાર્થ થયો, તેઓ હિંદુઓને ડરાવીને અને મુસલમાનોની નિંદા કરીને સત્તા ભોગવશે, તેમાં અદના હિંદુને શું મળવાનું છે?

માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તેની શતાબ્દી ટાણે સવાલ પૂછવો જોઈએ કે અમે ભારતીય રાષ્ટ્રને તિલાંજલિ આપવા તૈયાર છીએ, પણ એ પહેલાં હિંદુ રાષ્ટ્રની કલ્પના સ્પષ્ટ કરો. સો વરસ થવા આવ્યાં હજુ સુધી તમે બ્લેક એન્ડ વ્હાઉટમાં તમારી હિંદુ રાષ્ટ્રની કલ્પના લોકોની સમક્ષ રજૂ કરી નથી. કોઈ વાંધો નહીં હવે કરો. ડર અને નિંદા સિવાય એમાં કોઈક રચનાત્મક તત્ત્વો પણ હશે જ. બની શકે કે અમે તેને માથે લઈને નાચીએ, ગરીબ હિન્દુનાં ઝૂંપડાં સુધી પહોંચાડીએ, આખા દેશને ભગવો કરી નાખીએ પણ કહો તો ખરા કે આપણું હિંદુ રાષ્ટ્ર કેવું હશે? ભારતીય રાષ્ટ્રની કલ્પના તો ઊઘાડી હતી અને તેને લોકોની સહભાગીદારીમાં ક્રમશઃ વિકસાવવામાં આવી હતી. હિંદુ રાષ્ટ્રની કલ્પના પણ ઊઘાડી કરો અને આપણે લોકોની ભાગીદારી સાથે હજુ વધુ તેને વિકસિત કરીશું. અરે, હિંદુ રાષ્ટ્રને એવો નિખાર આપશું કે જગત જોતું રહશે. માત્ર હિંદુઓ જ આ કરી શકે એમ કહીને જગત આભું બની જાય! બતાવો આપણું હિંદુ રાષ્ટ્ર કેવું હશે!

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 12 મે 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—247

દીપક મહેતા|Opinion - Opinion|11 May 2024

પોર્ટુગીઝોએ બાંધેલો કિલ્લો જીત્યા પછી અંગ્રેજોએ કેમ તોડી પાડ્યો?   

‘જે પોષતું એ મારતું,

એવો દીસે ક્રમ કુદરતી.’

કવિ કલાપીના આ શબ્દો મુંબઈ જેવા શહેરને અને તેના કિલ્લાઓને પણ લાગુ પડે છે. એક જમાનો હતો જ્યારે મુંબઈમાં બે-ચાર નહિ, અગિયાર કિલ્લા હતા. પણ કવિ કલાપીના આ શબ્દો બરાબર બંધબેસતા થાય તે તો ડુંગરી કે ડોંગરીના કિલ્લાને. આપણો ડુંગર મરાઠીમાં બની જાય ડોંગર. અને આપણી ડુંગરી બની જાય ડોંગરી. ગુજરાતીમાં તેને ટેકરી પણ કહી શકાય. આજે હવે ડોંગરી નામનો કિલ્લો રહ્યો નથી. એ કિલ્લો જેના પર બંધાયેલો તે ડોંગરી પણ રહી નથી. અને છતાં આજે પણ એ વિસ્તાર ડોંગરીના નામે ઓળખાય છે.

પણ ડોંગરીનો કિલ્લો તોડ્યો કોણે? શા માટે? વાત જરા લાંબી અને અટપટી છે. પણ રસ પડે તેવી છે. ડોંગરીનો કિલ્લો કંપની સરકારની આપકમાઈનો નહોતો. એ બાંધ્યો હતો પોર્ટુગીઝોએ, ઈ.સ. ૧૫૯૬માં. કોણ જાણે કેમ, પણ પોર્ટુગીઝોના મનમાં મુંબઈનું મહત્ત્વ ઝાઝું વસ્યું જ નહોતું. પણ મુંબઈની આસપાસની જગ્યાઓનું રક્ષણ કરવાનું કામ તેમને વધુ મહત્ત્વનું લાગેલું. એટલે તેમણે વાંદરા, ડોંગરી, અને મઢ (વરસોવા) ખાતે કિલ્લા ઊભા કર્યા. આ ત્રણે કિલ્લા દરિયા કિનારે આવેલા હતા. એટલે તેમાંથી દરિયા પર અને જમીન પર, એમ બંને બાજુ સતત નજર રાખી શકાતી.

જ્યાં સુધી મુંબઈનો કોટ કહેતાં ફોર્ટ બંધાયો નહોતો ત્યાં સુધી તો આ ડોંગરીનો કિલ્લો અંગ્રેજોનો પણ માનીતો હતો. પણ પછી ડોંગરી બની માથાનો દુખાવો. કારણ? ડોંગરીનો કિલ્લો અને ફોર્ટ કહેતાં કોટ, બંને એકદમ સીધી લીટીમાં. અને એ વખતે અંગ્રેજ સરકારને બીક માત્ર દરિયાઈ હુમલાની જ નહોતી, જમીન માર્ગે થતા હુમલાની પણ હતી. હવે જો મુંબઈના કોટ સુધી પહોંચતાં પહેલાં આ ડોંગરીનો કિલ્લો દુ:શ્મનના હાથમાં આવી ગયો તો? તો ત્યાંથી એ તોપ ફોડવા લાગે તો એના ગોળા સીધા પહોંચે ફોર્ટ કહેતાં કોટ, અને બધું જોતજોતામાં ખેદાનમેદાન થઈ જાય : બજાર ગેટ, ચર્ચ ગેટ, એપોલો ગેટ, અને તેમને જોડતી દીવાલો, કશું બચવા ન પામે!

ડોંગરીનાં કિલ્લાનો બચી ગયેલો અવશેષ

ગ્રેટ બ્રિટનથી આવતા લશ્કરી અમલદારોએ વારંવાર આ બાબત તરફ કંપનીના સાહેબોનું ધ્યાન દોર્યું. શરૂઆતમાં તો બડેખાંઓને વાતની ગંભીરતા સમજાઈ નહિ હોય. એટલે રસ્તાને બદલે તુક્કા. પહેલાં કહે : એક કામ કરો. ડોંગરીના કિલ્લામાં અને એ બાંધ્યો છે એ ડોંગરી પર ઠેર ઠેર સુરંગ પાથરી દો. દુ:શ્મન પગ મૂકતાંવેંત હતો ન હતો થઈ જશે. જવાબ : પણ સાહેબ! આ ડોંગરી પર માત્ર કિલ્લો જ નથી, લોકો પણ રહે છે. વળી આસપાસના લોકો પોતાનાં ઢોર ચરાવવા આ ડોંગરી પર લાવે છે. આપણે સુરંગ બિછાવશું તો સૌથી પહેલાં તો અહીંના લોકો અને તેમનાં ઢોરઢાંખરનું આવી બનશે. વળી કંપની સરકારનું રાજ અમ્મર તપે. પણ સુરંગો કાંઈ અમરપટ્ટો લખાવીને આવતી નથી. એટલે થોડે થોડે વખતે આપણે સુરંગો બદલતા રહેવું પડશે. એનો ખરચ …

એ વખતના લંડનના સાહેબો એક શબ્દથી બહુ ગભરાતા : ‘ખરચ.’ એટલે તરત માની ગયા મુંબઈવાળાની વાત. પણ સાથોસાથ મનમાં ગાંઠ પણ વાળી : હવે સલાહ-સૂચન નહિ, મુંબઈવાળાને તો હુકમ જ કરવો પડશે. પણ હુકમ શું કરવો? એક ફળદ્રૂપ ભેજાને મહાન વિચાર આવ્યો. આ મુંબઈવાળા જ્યારે જુઓ ત્યારે નવાં નવાં સરકારી મકાનો બાંધતા રહે છે અને તેને માટે ફદિયાં માગ્યા કરે છે. અને મકાનો બાંધવામાં સૌથી મોટો ખરચ છે પથરાનો. એ પાછા લાવવાના કુરલાથી કે છેક પોરબંદરથી. લાવવાનો ખરચ એ પાછો સોના ઉપર ઘડામણ. એટલે મુંબઈ મોકલ્યો હુકમ : જોઈએ તેટલા મજૂરો રોકો, કિલ્લો પાડો, ટેકરી ઢાળો અને વાપરો એ પથરા નવાં મકાનો બાંધવામાં, અને પથરા વધે તો વેચો પણ ખરા.

ડોંગરીની મસ્જિદ

રુક્કો પહોંચ્યો મુંબઈમાં ગોરા લશ્કરના વડાને. વાંચ્યા પછી તેને ખબર ન પડે કે હસવું કે રડવું? પણ આ કાંઈ સૂચન નહોતું, હુકમ હતો. અને ‘વસંતવિજય’ નામના ખંડકાવ્યમાં કવિ કાન્તે કહ્યું છે તેમ : ‘નહિ રાજાજીનો હુકમ પણ પાછો કદિ ફરે.’ હવે કરવું શું? મુંબઈના લશ્કરનો વડો લંડનમાં બેઠેલા ઉપરીઓની એક નબળાઈ બરાબર જાણતો હતો. પૈસા ખરચવાની વાત આવે એટલે તેમને ટાઢિયો તાવ ચડી જાય. હુકમનો અનાદર કર્યો પણ ન ગણાય અને તેની અમલબજાવણી પણ ન કરવી પડે એવો રસ્તો શોધ્યો. જવાબ લખ્યો : ડોંગરીના કિલ્લાને અને એ ટેકરીને ડાઈનેમાઇટથી ઉડાવી દેવાને બદલે મજૂરો પાસે ખોદાવવાના આપના હુકમની અમલબજાવણી કરતાં પહેલાં હું આપ સૌનું ધ્યાન એક બાબત તરફ દોરવાની રજા લઉં છું. રોજના બે હજાર મજૂરો વરસનો એકેએક દિવસ કામ કરે તો પણ આ કિલ્લા અને ટેકરીને નેસ્તનાબૂદ કરતાં પંદર વરસ લાગશે. ટેકરીના પથારા વપરાય કે વેચાય નહિ ત્યાં સુધી તેમને સંઘરવા પાછળ મોટો ખરચ થશે. આ બાબતોનો વિચાર કરીને આપ છેવટનો હુકમ આપશો પછી તરત અમે કામ શરૂ કરશું.

આ જાણીને લંડનવાળાએ તરત ગુલાંટ મારી : ના, ના. હમણાં કશું કરશો નહિ. અમને નવેસરથી વિચાર કરવા દો. થોડા દિવસ વિચાર કર્યો. પછી હુકમ મોકલ્યો : ડોંગરીનો કિલ્લો તોડી પાડવાનું અને એ ટેકરીને સમથળ કરવાનું અમે નક્કી કર્યું છે. આ કામ માટે ડાઈનેમાઇટનો ઉપયોગ કરવો અથવા ઓછામાં ઓછા ખર્ચે કામ થઈ શકે તેવો રસ્તો લેવો. પણ પછી એ જ રુક્કામાં ઉમેર્યું : લેફ્ટન્નટ કર્નલ આર્કિબાલ્ડ કેમ્પબેલ(૧૭૩૯-૧૭૯૧)ની હોશિયારી વિષે અમે ઘણું સાંભળ્યું છે. એટલે અમે તેમની નિમણૂક બંગાળના ચીફ એન્જિનિયર તરીકે કરી છે. તેમને સીધા કલકત્તા મોકલવાને બદલે પહેલાં થેમ્સ નામના જહાજ દ્વારા અમે મુંબઈ મોકલશું. લશ્કરના સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તેઓ મુંબઈના કિલ્લાઓની મુલાકાત લેશે અને ડોંગરીના કિલ્લાને ઉડાવી દેવાથી ફાયદો થશે કે તેને વધુ મજબૂત કરવાથી ફાયદો થશે તે અંગે તેઓ પોતાનો અભિપ્રાય આપશે. તેમનો અભિપ્રાય અમને મળે અને અમે તેના પર વિચાર કરીએ ત્યાં સુધી ડોંગરી અંગે તમારે કશાં પગલાં લેવાં નહિ. બનવા જોગ છે કે આ રુક્કામાં અગાઉ અમે જે નિર્ણય જણાવ્યો છે તેના કરતાં તેમનો અભિપ્રાય જૂદો હોય. જો એમ થાય તો છેવટનો નિર્ણય અમે લઈને તમને જણાવશું.

(સર કેમ્પબેલ ૧૭૭૪થી ૧૭૯૧ સુધી બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય હતા. રોયલ મિલિટરી એકેડમીની પરીક્ષામાં પાસ થયા પછી રોયલ એન્જનીયાર્સમાં જોડાયા. ૧૭૬૮માં તેમની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બંગાળ ઈલાકાના ચીફ એન્જિનીયર તરીકે થઈ. અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે ગ્રેટ બ્રિટનની ૭૧મી રેજિમેન્ટના વડા તરીકે યુદ્ધમાં ભાગ લીધો, પણ અમેરિકનોને હાથે પકડાયા અને ૧૭૭૮ સુધી જેલમાં રહ્યા. છૂટ્યા પછી ફરી લડાઈમાં જોડાયા. યુદ્ધ પૂરું થયા પછી તેમને થોડો વખત જ્યોર્જિયા રાજ્યના હંગામી ગવર્નર તરીકે અને પછી જમૈકાના ગવર્નર તરીકે પણ કામ કર્યું. મૈસૂરના યુદ્ધ પછી ત્યાંની સ્થિતિને થાળે પાડવા માટે કોઈ બાહોશ સેનાપતિની જરૂર હતી. ત્યારે કેમ્પ્બેલની નિમણૂંક મદ્રાસના ગવર્નર અને કમાન્ડર ઇન ચીફ તરીકે કરવામાં આવી. પણ નબળી તબિયતને કારણે ૧૭૮૯ના ફેબ્રુઆરીમાં તેમને સ્વદેશ પાછા જવું પડ્યું. ૧૭૯૧ના માર્ચની ૩૧મી તારીખે અવસાન થયા પછી તેમને વેસ્ટમિન્સ્ટર્સ એબીમાં દફનાવવામાં આવ્યા.)

સર આર્કિબાલ્ડ કેમ્પબેલ

થોડા વખત પછી કેમ્પબેલ મુંબઈ આવ્યા. બધા જ કિલ્લાઓની મુલાકાત લઈને અભ્યાસ કર્યો અને સુધારાવધારા સૂચવ્યા. પછી સવાલ હાથમાં લીધો ડોંગરીનો. તેમને લાગ્યું કે આ કિલ્લાને અને ડોંગરીની ટેકરીને જમીનદોસ્ત કરવા કરતાં કિલ્લાને વધુ મજબૂત બનાવવાથી વધુ લાભ થશે. પણ માણસ હતો ચાલક. લંડનમાં બેઠેલા ઉપરીઓએ જે નક્કી કર્યું હતું તેના કરતાં જૂદું સૂચન કરવું હોય તો તેમને ગળે ઊતરી જાય એ રીતે કરવું એટલું સમજતો હતો. એટલે તેણે અહેવાલમાં લખ્યું : ડોંગરીને તોડી પાડવાની દરખાસ્તનો મેં પૂરેપૂરો અભ્યાસ કર્યો છે. એમ કરવા માટે ૫,૨૬૨,૪૯૦ ઘન ફૂટ જેટલા ખડક તોડીને દૂર કરવા પડશે. આવા કામ માટે આજે  મુંબઈમાં એક ઘન ફૂટ દીઠ પા રૂપિયો એટલે કે ચાર આના મજૂરી અપાય છે. એ દરે કિલ્લો અને ડોંગરી તોડવાનો કુલ ખરચ ૧,૬૪,૪૫૨ પાઉન્ડ જેટલો આવશે.

બીજું, એ વાત તો જગજાહેર છે કે જ્યારે કોઈ પણ દુ:શ્મન આક્રમણ કરે ત્યારે કિલ્લાની સરખામણીમાં સમથળ જગ્યા જીતવાનું તેને માટે ઘણું વધારે સહેલું હોય છે. કિલ્લા બાંધવા પાછળનો આશય જ દુ:શ્મનનું કામ બને તેટલું અઘરું બનાવવાનો હોય છે. બીજી બાજુ, અત્યારે ડોંગરીનો કિલ્લો તો છે જ. તેને સમોનમો કરીને વધુ મજબૂત બનાવવાનો ખરચ પ્રમાણમાં ઓછો આવશે અને દુ:શ્મનને ખાળવા માટે કિલ્લો વધુ ઉપયોગી સાબિત થશે. આમ કરવા પાછળ ૯૦ હજાર પાઉન્ડ જેટલો ખરચ થવાનો અંદાજ છે. આમ, ઓછા ખર્ચે મુંબઈને વધુ સલામત કરી શકાય તેમ છે. હવે સવાલ બાકી રહે છે તે આ : ન કરે નારાયણ અને ડોંગરીનો કિલ્લો દુ:શ્મનના હાથમાં જાય અને તે આ કિલ્લાની તોપો મુંબઈના કિલ્લા પર તાકે તો જે જોખમ ઊભું થાય તેનું શું? આનો જવાબ આ રીતે આપી શકાય : ડોંગરીના કિલ્લા પર અત્યારે ૩૦ તોપ છે, મુંબઈના કિલ્લા પર લગભગ ૩૦૦ તોપ છે. પરમકૃપાળુ પરમાત્મા એવો દિવસ ક્યારે ય ન બતાવે એમ ઈચ્છીએ પણ ધારો કે ડોંગરીનો કિલ્લો જીત્યા પછી દુ:શ્મન તેની તોપો વડે મુંબઈના કોટ પર ગોલંદાજી કરે તો ૩૦ તોપનો જવાબ આપવા માટે સામે ૩૦૦ તોપ ઊભી છે. વળી દુ:શ્મનને ડોંગરીના કિલ્લામાંથી ખદેડવા માટે ડોંગરી અને ફોર્ટ વચ્ચેની કોઈ યોગ્ય જગ્યાએ ૧૨ તોપ ગોઠવી શકાય. તેમાંની છ સતત ડોંગરી તરફ જ તાકેલી રહે. અને બીજી છ ડોંગરી જવાના રસ્તા તરફ. એટલે અમારી દૃષ્ટિએ ડોંગરીનો કિલ્લો મુંબઈ માટે જોખમી પુરવાર થઈ શકે એવી શક્યતા લગભગ નથી. મારી વાત મેં આપની સામે રજૂ કરી છે. હવે છેવટનો નિર્ણય તો આપના હાથમાં છે.

લંડનમાં બેઠેલા સાહેબોએ અગાઉથી કાંડાં કાપી આપેલાં એટલે હવે કેમ્પબેલની વાત સ્વીકારવી પડે તેમ હતું. પણ તેમણે હજી થોડું ઝીણું કાંત્યું. કહ્યું કે ડોંગરીના કિલ્લામાં સુધારાવધારા કરીને તેને વધુ મજબૂત બનાવતાં કેટલો ખરચ આવે તેનો અંદાજ જણાવો. જવાબ મળ્યો : ૧,૧૮,૫૦૦ પાઉન્ડ.

આ બધું બન્યું ઈ.સ. ૧૭૬૮માં. અને બીજે જ વરસે એકાએક વાજું સાવ બદલાઈ ગયું. કેમ? શાથી? એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 11 મે 2024)

Loading

સીબીઆઈની તપાસમાં ન  ઢંગ છે, ન ધડો : એણે નકરી વેઠ ઉતારી છે વેઠ,  સાહેબો !

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 May 2024

અમિત જેઠવાની હત્યા

જ્યારે રાજપુરુષોના હૃદયમાં ‘ધર્મ’ વસતો મટી જાય છે ત્યારે કોઈ બંધારણ લોકશાહીને કે દેશને બચાવી શકતું નથી

પ્રકાશ ન. શાહ

ઇસુ પૂર્વે 800-500ના અરસામાં માંડુક્ય ઉપનિષદમાં કહેવાયું છે કે સત્યમેવ જયતે. ભારતના રાષ્ટ્રીય પ્રતીક સાથે એક સૂત્ર રૂપે એ સોહે છે. આ કેસ (ગીર અભયારણ્ય પંથકમાં ગેરકાયદે ખનન સામે અવાજ ઉઠાવનાર આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાનો કેસ) ‘સત્યમેવ જયતે’ના સૂત્રથી બિલકુલ વિપરીત યાદી અને સાહેદી રૂપ છે … અને હત્યારાએ હાઇકોર્ટની સામે આવેલ સત્યમેવ સંકુલ પર જ આ હત્યા માટે પસંદગી ઉતારી એ પણ કંઈક હેરતઅંગેજ લાગતી સૂચક બીના છે.

પહેલી જ કાચી મિનિટથી તપાસ આખી દેખાતે છતે બંધ આંખની રીતે હાથ ધરાયેલી જાય એ માટે સઘળા પ્રયાસો થયા છે, અને આ હીન કૃત્યના કરવૈયાઓ એમાં સફળ રહ્યા છે.

હાઇકોર્ટે સી.બી.આઈ.માં ભરોસો મૂક્યો હતો. પણ સી.બી.આઈ.ની તપાસકારવાઈ ઢંગધડા વગરની નકરી વેઠઉતાર રહી છે.

અમિત જેઠવા

અમે જોયું છે કે બધા જ તપાસ અફસરો શુદ્ધ ધોરણોના પાલનમાં નાકામિયાબ રહ્યા છે. વિદ્વાન પબ્લિક પ્રોસીક્યુટર પણ એમના કર્તવ્યપાલનમાં નિષ્ફળ ગયા છે. જે સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ ગયા એમની ઊલટતપાસ નકરી ઔપચારિકતા જેવી વરતાય છે. જેમાં પુષ્ટિમૂલ્ય હોય એવા પુરાવા સારું કોઈ પુરુષાર્થ થયો જણાતો નથી. સઘળા સાક્ષીઓને પોલીસ તરફથી સુરક્ષાની આસાએશ હતી, પણ એ બધા ફરી ગયા અને એમણે કેસને લગભગ ખાઈમાં પડવા દીધો.

કાવતરું સિદ્ધ કરવા માટે કેવળ એક જ પુરાવો, હત્યા જેવા ગંભીર ગુનામાં સજા ફરમાવવા સારુ પૂરતો લેખાતો નથી. ગુનો પાર પાડનાર બીજાઓની સંડોવણી કે ભૂમિકા પુરવાર ન થાય ત્યાં ‘સ્ટેન્ડએલોન એવિડન્સ’ ટકતો નથી.

સી.બી.આઈ. ઑફિસર મૂકેશ શર્મા જ્યાં કથિત કાવતરું ઘડાયું હતું તે જગ્યા, હરમદિયા ફાર્મ પર રૂબરૂ મુલાકાત લેવાનું જ ભૂલી ગયા તે ગળે ઊતરે એવી બાબત નથી. વળી આ ફાર્મ દિનુ સોલંકીનું છે કે કેમ તે માહિતી અંકે કરવા સારુયે એમણે તસદી લીધી નથી. આંખે ઊડીને બાઝે એવી વાત તો એ છે કે માર્યા ગયેલના મોબાઈલમાં કોલ રેકોર્ડઝ સુલભ હોવા છતાં કોઈ ડેટા કાલવ્યો નથી.

તપાસ અધિકારીઓએ ગોળ કાણામાં ચોરસ ખીલા બેસાડવાની કોશિશ કરી છે અને લગારે ટેકા વગરના દાવા આગળ કર્યા છે. સાફ જણાય છે કે, જાણીબૂઝીને છીંડાં ને છટકબારી રખાયાં છે જેથી કાવતરાખોરી નક્કી કરવા બાબતે ઊલટસૂલટ થઈ શકે.

અમે દોહરાવવા માંગીએ છીએ કે આરંભથી જ આ આખી તપાસ પૂર્વગ્રહદૂષિત ને કેવળ વેઠ ઉતારવા જેવી બની રહી છે.

જ્યાં સુધી ટ્રાયલ કોર્ટનો સવાલ છે, એમણે કાનૂની જોગવાઈઓ અને પ્રણાલિકાની તમા વગર પુરાવાની તપાસ કરી છે. ખરું જોતાં ટ્રાયલ કોર્ટની અનિવાર્ય ફરજ હતી કે પોતાના તરંગબુટ્ટા પ્રમાણે ચાલવાને બદલે કાયદાપોથી મુજબ ચાલે. પણ તેણે જે રાહ લીધો તેને પરિણામે આરોપીને થયેલી સજા રદ્દ કરવી પડી છે.

કાનૂનવિશારદ નાની પાલખીવાલાએ કહ્યું છે કે, આપણી લોકશાહી તેમ જ દેશની એકતા ને અખંડિતતા એવી એક પાયાની પ્રતીતિ પર જ ટકી શકે કે બંધારણીય કાનૂનિયત કરતાં બંધારણીય નૈતિકતા કમ જરૂરી નથી. ‘ધર્મ’ રાજપુરુષોના હૃદયમાં નિવસે છે. જ્યારે રાજપુરુષોના હૃદયમાં એ શ્વસતો મટી જાય ત્યારે કોઈ બંધારણ, કોઈ કાયદો કે ન તો કોઈ સુધારો બચાવી શકે છે.

(અમિત જેઠવા હત્યા કેસમાં ભા.જ.પ. પૂર્વસાંસદ દિનુ સોલંકી સહિતના આરોપીઓને ‘નિર્દોષ’ છોડી મૂકતાં હાઇકોર્ટે જે કહ્યું એનો સાર, કશી ટીકાટિપ્પણી વિના)

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 09 મે 2024

Loading

...102030...705706707708...720730740...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved