Opinion Magazine
Number of visits: 9665751
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિપુલભાઈને પાઠવેલ બાપુનો ઉત્તર

આશા બૂચ|Ami Ek Jajabar, Gandhiana|12 May 2024

આશા બૂચ

કોઈ દિવસ ન કરી હોય એવી હિંમત કરી છે. ગંભીર લેખને બદલે થોડી રમૂજ ઉમેરી. ગાંધીજી રમૂજ વિનાની કોઈ વાત સ્વીકારત? 

શબ્દોની પસંદગી અને વાક્યની લંબાઇમાં મેં ખૂબ ધ્યાન આપ્યું. હમણાં નારાયણભાઈ દેસાઈનું ‘મારું જીવન એ જ મારી વાણી’ વાંચું છું, તેના પરથી ગાંધીજીએ આવો જવાબ આપ્યો હોત, એમ ધારીને લખ્યું છે.

• 

થોડા સમય પહેલાં, વિપુલભાઈ કલ્યાણીએ ગાંધીજીને એક પત્ર લખ્યો. “પ્રબુદ્ધ જીવન”ના 07 ઑક્ટોબર 2023ના અંકમાં, એ પ્રકાશિત થયો. તેમણે મને વાંચવા મોકલ્યો. બે-ત્રણ વાર વાંચ્યો, પછી થયું લાવ, બાપુ વતી જવાબ આપવાની હું ધૃષ્ટતા કરું. એમાં વિપુલભાઈની વાત બરાબર હું સમજી છું, એ ચકાસી શકીશ, અને ખાસ કરીને ગાંધીજીના વિચારો કેટલી હદે સમજી શકી છું, એની કસોટી પણ થશે. 

આમ તો સ્વર્ગસ્થ હોય તેની સાથે વાત કેમ થાય? પણ જો પત્ર લખી શકાય તો કદાચ તેઓ ઉત્તર પણ આપતા હશે? આમ તો ગાંધીજીએ કહેલું જ ને કે “મારા વિચારો પર શ્રદ્ધા રાખનાર ભલે હું એકલો રહું, પણ જો તેના પર મારી શ્રદ્ધા અડગ હશે તો હું કબરમાં પણ જીવતો રહીશ અને કબરમાંથી પણ બોલીશ.” કદાચ આજની વિષમ પરિસ્થતિમાંથી ઉગરવા એક પણ માર્ગ ન જડતો હોવાથી ગાંધીજીના એ વચન પરના વિશ્વાસથી પ્રેરાઈને જ વિપુલભાઈએ આ પત્ર લખ્યો હશે. 

આ રહ્યો બાપુનો વિપુલભાઈને પાઠવેલ ઉત્તર ! 

— આશા બૂચ

••••••••••

ચિ. ભાઈ વિપુલ,

તારો પત્ર મળ્યો.

એમાં ચારેક મુદ્દાઓ ખરેખર વિચાર માગી લે તેવા જણાય છે.

પહેલો મુદ્દો એ કે આબોહવામાં થતા ફેરફારો અને તેને કારણે માણસ જાત જ માત્ર નહીં પણ આખી સૃષ્ટિ વિનાશના આરે આવી ઊભી છે અને એ હવે ભય નથી પણ હકીકત છે એ સાચી વાત છે. કુદરતે માનવીની જરૂરિયાતો માટે પૂરતી સામગ્રી આપી છે પણ તેના લોભને પહોંચી વળે તેટલા સંસાધનો નથી, એમ મેં કહેલું તે વીસમી સદીમાં. તમે રહ્યા 21મી સદીમાં જીવતા લોકો. મને પૂછો, કે સો એક વરસ પહેલાં એકવીસમી સદીના અઢી દાયકા વીત્યે દુનિયાની આવી હાલત થશે, એની મને કેવી રીતે જાણ હતી? તો હું તો એટલું કહું કે ભાઈ, મને માનવ જીવનને ખંડમાં નહીં, એક આખા એકમ તરીકે જોવાની આદત; અને તેમાં પણ આજનો વિચાર કરીને સંતોષ ન માનું. વળી આજની આપણી જીવન રીતિની દાયકાઓ, કહોને કે સૈકાઓ પછી તમામ જીવસૃષ્ટિ પર શું અસર થશે એ વિચારવાની ટેવ એટલે મેં એમ કહેલું. હવે, તેને અનુસરવાનું તમ સહુ ઉપર છોડીને હું તો મુક્ત થઈ ગયો!

આશ્રમમાં હતો ત્યારે બાબલો (સ્વ. નારાયણભાઈ દેસાઈ) નાનો હતો, પણ ત્યાં રહીને ઘણી સાચી બાબતો શીખ્યો, જે તમ સહુ સુધી પહોંચાડી. મારા વતી તેનો વાંસો થાબડજો! (કાશ, એ શક્ય હોત!). ભાઈ વિપુલ, બીજા જીવ-જંતુ અને પ્રાણીઓના જીવન નજર નાખીશ તો જોવા મળશે કે એ બધા પોતાના પેટનો ખાડો પૂરવા શિકાર જરૂર કરશે, પણ પોતાના એકને માટે અને જરૂર પૂરતું જ મારણ કરશે, પેટ ભરાઈ જાય તો અધૂરું ભાણું છોડી દેશે. અરે, બાળક માને ધાવતું હોય એ પણ પેટ ભરાય એટલે મોં ફેરવી લે છે. જ્યારે એક માણસ જ એવો છે, જે જરૂરિયાત ખાતર નહીં, પણ ‘ઈચ્છા’, ‘લાલસા’ અને ‘લોભ’ ખાતર વધુને વધુ વસ્તુઓ પેદા કરે, બનાવે, વેચે, સંગ્રહ કરે. એમ કરવા જતાં જંગલો કપાય, ખનીજ સંપત્તિ લૂંટાય, ધરતીના રસકસ ચૂસાય તો એનું રૂંવાડું ય નથી ફરકતું. એટલે જ તો હવે ધરતી મા કહે છે, હવે મારું દોહન બંધ કરો, મારું ધાવણ સુકાય છે. આપણે કાન ખુલ્લા રાખીને સાંભળવું રહ્યું.

બીજો મુદ્દો તમે એકાદશ વ્રતનો ઉઠાવ્યો. માત્ર હિન્દુ ધર્મના જ નહીં પણ દુનિયાના તમામ મુખ્ય ધર્મોના ગ્રંથોમાં સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અને અસંગ્રહ એ પાંચ વ્રત પાળવાં એવો બોધ આપવામાં આવ્યો છે અને મોટા ભાગના ધર્મપ્રવર્તકોએ તેને સમર્થન આપીને મહદ્દ અંશે પાલન કર્યું છે, એટલે એની સમજ મને નાનપણથી હોય તેમાં નવાઈ શી? અને હા, મારા પિતા અને જેના પર હું ધણીપણું કરવા માગતો હતો એ કસ્તૂરબા પાસેથી હું અહિંસાના પાઠો બહુ નાની વયે શીખ્યો એ મેં જાહેરમાં કબુલ્યું પણ છે. એ શીખ્યા પછી મેં તેનું ચુસ્તપણે પાલન કર્યું કે નહીં એ તમે બધા નક્કી કરો! રહી વાત બાકીના છ વ્રતોની. જેમ જેમ હું માત્ર મારા જ નહીં પણ કોમના હિત માટેના કાર્યોમાં વિસ્તરતો ગયો તેમ તેમ એ લક્ષ્યો સુધી પહોંચવા શરીરશ્રમ, અસ્વાદ, નિર્ભયતા, સર્વધર્મ સમાનત્વ, સ્વદેશી અને સ્પર્શભાવના જેવા વ્રતો ઉમેરવાં આવશ્યક લાગ્યા. આજે તમારી સદીના લોકોને પણ વિચાર કરતાં એ વ્રતો એટલાં જ ઉપયોગી અથવા કદાચ જરૂરી પણ લાગશે એમાં મને જરા ય શંકા નથી.

જુઓ ભાઈ, મારા જીવનકાળ દરમિયાન કેટલાંક દમનકારી કૃત્યો થયાં તેનો સાક્ષી હું થયો, તેમ તમારા યુગમાં પણ બનવાનું જ. દરેક ન્યાયપ્રિય વ્યક્તિએ એટલી સમજ અને હામ કેળવવાની જરૂર છે કે કોઈ પણ કાયદો, નિયમ કે રિવાજ જો બહોળી પ્રજાના હિતમાં ન હોય તો તેનો સવિનય અને અહિંસક પ્રતિકાર કરવો એ માત્ર આપણો અધિકાર જ નહીં, નાગરિક તરીકે ફરજ પણ બની રહે. પછી ભલે એ વિદેશી શાસનકર્તા હોય કે પોતાના જ દેશની સરકાર હોય, રૂઢિ અને રિવાજો લાદનાર પારકો સમાજ હોય કે પોતાનો, અન્યાય સામે માથું ન ઊંચકીએ તો તેના આચરણમાં કેટલેક અંશે ભાગીદાર ન ગણાઈએ શું?

તમે ‘હિંદસ્વરાજ’માં લખેલી વાત સુપેરે સમજ્યા તે સારું છે. એમાં ઉલ્લેખ કર્યો એ સમસ્યાઓ જો હજી ય તમને સતાવતી હોય તો તેમાં ચીંધેલા ઉપાયો અજમાવી જોજો. વેપાર અને ઉદ્યોગો થકી મૂડી ઊભી થાય એ વ્યાપારી કુશળતા અને ઉદ્યમી હોવાનું પરિણામ છે, તેમાં બુરાઈ નથી, પણ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે તેમ ‘ઈદમ ન મમ’ આ મારા એકલાના ભોગવટા માટે નથી એમ સમજીને તમે એના માત્ર નિધિ રક્ષક છો એટલે ‘તેન ત્યક્તેન ભુંજીથા’ સૂત્રનું પાલન કરીને સમાજના તમારા ભાંડરડાં માટે એનો ઉપયોગ કરો એટલે હાંઉ. ‘બજાર વાદ’ શબ્દ મારા માટે નવો છે. સદીઓથી દેશ દેશાવર ખેડીને વેપાર થતો આવ્યો જ છે, પણ પશ્ચિમના મૂડીવાદ અને જથ્થાબંધ ઉત્પાદનનો રાક્ષસ ભારત જેવા દેશને એટલો ભુખાળવો બનાવી દીધો છે કે એને પગલે ચાલો છો એટલે આઝાદી ટાણે 35 કરોડ જનસંખ્યા હતી તે તમારા કહેવા મુજબ વધીને 1.24 કરોડ થઈ ગઈ છે એને ખાલી પેટ ભરવા પણ બીજી સાત ધરતી જોઈશે તેનો વિચાર કાં ન કરવો? ‘હિન્દ સ્વરાજ’માં લખેલી વાતોની પુષ્ટિ મને તો ત્યારે થયેલી, જો 21મી સદીમાં એ પુરવાર કરતી ન લાગે તો જરૂર તેને એક બાજુ મૂકી દેજો, પણ ઉપભોક્તા વાદના દુષ્ટ, વિનાશક પરિણામો ટાળવા બીજો વધુ અસરકારક મારગ શોધજો, ન લાધે તો મારી વાત ધ્યાનમાં લેજો.

ભાઈ વિપુલ, તમારી ત્રીજી વાત છે, આપણા પૂર્વસૂરિઓએ આપેલી શીખને સમજીને તેનો અમલ કરવાની. મને ઘર આંગણે મારા વડીલો પાસેથી, મારા પિતાજી પાસે આવનારા જ્ઞાનીઓના સત્સંગથી, ‘સત્યવાદી હરિશ્ચંદ્ર’ જેવા નાટકો જોવાથી અને લિયો ટોલ્સટોય અને જ્હોન રસ્કિન જેવા વિચારકોનાં પુસ્તકો વાંચવાથી જે કંઈ સત્ય લાધ્યું એને જીવનભર વળગી રહ્યો. મેં હંમેશાં કહ્યું છે, હું જે કંઈ કરું તે હરકોઈ કરી શકે, કેમ કે હું એક સાધારણ માનવી છું. મારા નામે કોઈ ‘વાદ’ ચાલુ થશે તો મારા કર્યા કારવ્યા ધૂળમાં મળી જશે. એટલે મને એક ‘મહાત્મા’ ગણવાને બદલે મેં જે કંઈ સારાં કામ કર્યાં છે તેને યથાશક્તિ અમલમાં મૂકતા રહો તો તમ સહુને મારા જેવું જ સત્ય લાધશે.

હવે વાત તારા ચોથા મુદ્દાની. તમે જેને ‘બાપુનું તાવીજ’ ગણાવો છો એ વિચારે મારા જીવનની વિષમ પરિસ્થિતિમાં પણ ‘મારે શું કરવું?’ એવી મૂંઝવણ થતી ત્યારે મારે માટે ધોરી માર્ગ મોકળો કરી આપેલો. તમે દેશના વડા પ્રધાન હો, વકીલ હો, ખેડૂત હો કે પોલીસ અમલદાર હો; જો આ મંત્ર નજર સામે રાખો તો તમારું અને જેને માટે કામ કરો છો એ બંનેનું કલ્યાણ થવાનું. નહીં તો દેશનો વડા પ્રધાન આપખુદ બનશે, વકીલ પોતાને મળતા વળતરના બદલામાં નિર્દોષને અન્યાય કરી બેસશે, ખેડૂત જગતનો તાત બનવાને બદલે ધનવાન બનવાના લોભમાં ધરતીનો રસકસ ચૂસવાના પાપમાં ભાગીદાર બનશે અને પોલીસ અમલદાર આમ પ્રજાને સલામત રાખતો સંત્રી બનવાને બદલે પોતે જ એક રૂશ્વત ખોર બદમાશ બની જશે.

ભાઈ, તારો પત્ર લાંબો છે કેમ કે તમારી સમસ્યાઓનો અંત નથી, તમારી વ્યથા ઘણી ઊંડી છે, તો મારો પ્રત્યુત્તર પણ જરૂર કરતાં વધુ વિસ્તાર વાળો થયો, જે મારી પ્રકૃતિથી વિરુદ્ધ છે. બધા પત્રોનો જવાબ આપવાની મારી આદત. હવે તું ટૂંકા પત્રો લખજે અને હું બે લીટીના મંત્ર આપીશ.

મહાત્મા ખરોને?

બાપુના આશિષ 

e.mail : 71abuch@gmail.com

Loading

“If On a Winter’s Night a Traveler” વિશે — 7

સુમન શાહ|Opinion - Literature|12 May 2024

નિવેદન – સુ૦

આ નવલના ત્રણ વાચક છે : 

૧ : કાલ્વિનોની આ નવલકથા વાંચનારા આપણે સૌ – હું, અમે, તું, તમે, તે, તેઓ. 

૨ : બીજો વાચક છે, ‘તમે’- you. કથકે એને સ્પષ્ટપણે સમ્બોધ્યો છે, બોલાવ્યો છે, કથામાં બેસાડ્યો છે. ક્રમે ક્રમે એ બીજાં બધાં પાત્રો જેવું એક પાત્ર બની ગયો છે – વિચારે છે, બોલે છે, વર્તે છે, અનુભવે છે, વગેરે. 

૩ : ત્રીજો વાચક છે, કથકે જેને ‘અન્ય વાચક’ કહ્યો છે – other reader. એ છે, લુદ્મિલા. 

— કથા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ‘તમે’ અને લુદ્મિલાનો એકબીજાં સાથેનો વાચકસમ્બન્ધ, માનવીય સમ્બન્ધ અને પ્રેમસમ્બન્ધ પણ વિકસતો રહે છે. છેલ્લે બન્ને પરણી જાય છે.  

— આ ત્રણેય વાચકોનું એક પ્રકારના સર્વસામાન્ય વાચક-રૂપમાં નિસ્યન્દન થઈ જાય છે – ડિસ્ટિલેશન. 

= પરિણામ શું? એ કે પુસ્તકવાચનને વિશેની સભાનતા કે જાગૃતિ વિકસે. સરવાળે, વાચનનો સર્જન કે લેખન જેટલો જ મહિમા થાય. 

= એટલું જ નહીં, વાચક, વાચન, કથાસાહિત્ય માગે એ વાચનરીતિ, સાહિત્યકલાનો રાજ્ય સમાજ સભ્યતા કે સંસ્કૃતિ સાથેનો પરોક્ષ અનુબન્ધ, વગરે સમ્પ્રત્યયોનું જ્ઞાન જનમે; એ દિશાની સમજદારીનો વિકાસ થાય. 

= ઉપરાન્ત, અધ્યાપક અને અધ્યેતા બન્નેમાં, કથાસાહિત્યનું અધ્યાપન અને અધ્યયન કેમ કરવું જોઈએ એ વિશેની સૂઝબૂઝ આવે. સાહિત્યનું પ્રાગટ્ય-સ્થાન જો પ્રકાશનસંસ્થા છે તો એના ઉછેરનું સ્થાન યુનિવર્સિટી છે. 

પ્રકરણ -7 : (સાર-સંક્ષેપ)

લુદ્મિલા તમને (you) મળવાની છે પણ એને મૉડું થઈ રહ્યું છે. એટલે, એની રાહ જોવામાં તમારાથી આગળ વંચાતું નથી. એટલામાં, કાફેનો એક નોકર આવી તમને જણાવે છે કે તમારા માટે ફોન આવ્યો છે. લાઈન પર લુદ્મિલા હતી. એ તમને એના ઘરે આવવાનું નિમન્ત્રણ આપે છે, જો કે પોતે હજી ઘરે પ્હૉંચી નથી.

તમે લુદ્મિલાના ઘરે જાઓ છો, પૂછી પણ લો છો કે એ એકલી રહે છે કે કેમ, જો કે ઝાઝી પડપૂછ નથી કરતા. કેટલીક તમારી વધુ વીગતો આપવાના આશયથી કથક કથાને અટકાવે છે. અત્યાર સુધીમાં કથકે વાચક વિશે બહુ ઓછી વીગતો આપી છે, હા, એ ખરું કે એણે એટલું જણાવ્યું છે કે વાચક પુરુષ છે. એથી (નવલના) પુરુષ વાચકો એની સાથે તાદાત્મ્ય અનુભવી શકે છે. એણે પહેલેથી જાણી જોઈને વાચકને you કહ્યો છે, નામ પણ નથી જણાવ્યું, પણ એથી કરીને લુદ્મિલાનું પાત્ર નક્કર અનુભવાય છે; વળી, લુદ્મિલાને નામ પણ છે, ઉપરાન્ત એને થર્ડ પર્સનમાં રાખી છે. 

થોડા સમય માટે, કથક પરિપ્રક્ષ્ય બદલે છે – લુદ્મિલાને ‘તમે’ – you કહે છે અને તમને થર્ડ પર્સનમાં ‘વાચક’ રૂપે નિરૂપે છે. લુદ્મિલાના ઘરમાં પુસ્તકોને આગવા સ્થાને સુચારુ રીતે રાખવામાં આવ્યાં છે. એથી એમ સૂચવાય છે કે એણે બહારની દુનિયાને દૂર રાખી છે. એનું રસોડું જોતાં લાગે કે એ નિયમિત રાંધે છે અને એના સ્વાદ સુરુચિપૂર્ણ છે. 

લુદ્મિલાના ઘરની આસપાસ વાચક કેવી રીતે જોઈ રહ્યો છે એ વસ્તુ કથક થર્ડ પર્સનમાં વર્ણવે છે. લુદ્મિલાનું રાચરચીલું સૂચક છે, એને વિશે ઘણું સૂચવાય છે. તેમછતાં, એનું ઘર એના વ્યક્તિત્વનાં ઘણાં પાસાં સંતાડી રહ્યું છે. એનાં પુસ્તકો એમ સૂચવતાં જણાય છે કે લુદ્મિલા એક-ની-એક વસ્તુ વારંવાર વાંચનારા વાચકોમાંની નથી.

કથક હવે પોતાનો મૂળ પરિપ્રેક્ષ્ય અપનાવે છે. એટલે, જ્યારે એ ‘તમે’ – you – કહે છે ત્યારે એ વાચકને સમ્બોધે છે, લુદ્મિલાને નહીં. તમે જાણ્યું એ ફરીથી જાણો કે લુદ્મિલા પાસે ઘણાં પુસ્તકો છે. પરન્તુ વાચન એક વ્યક્તિનો વિષય છે, અને તેથી એમ સૂચવાય છે કે લુદ્મિલાના જીવનમાં એકે ય પુરુષ પ્રવેશ્યો નથી. 

બારણું ખોલવાને, તમે એક ચાવી ફરતી સાંભળો છો અને જુઓ છો કે લુદ્મિલા નથી પણ કો’ક બીજો છે. સ્પષ્ટ એમ થાય છે કે એ ઇર્નેરિયો છે. ઇર્નેરિયો કહે છે કે લુદ્મિલા ભલે નથી પણ પોતે એક પુસ્તક લેવા આવ્યો છે. પુસ્તક એને વાંચવું નથી પણ પોતાના આર્ટ પ્રૉજેક્ટ માટે વાપરવું છે. તમે જોતા રહી જાઓ છો કે લુદ્મિલાની શેલ્ફમાંથી પુસ્તક એ કેટલી આસાનીથી લઈ પાડે છે. બાકી સમજો, શેલ્ફ તો એક દીવાલ છે, આક્રમણખોરો પ્રવેશી શકે જ નહીં.

તમને અચરજ થાય છે કે ઇર્નેરિયો (જે કદી વાંચતો જ નથી) અને કયાં લુદ્મિલા (પાક્કી વાચક) ! “In the network of lines”-ને ઇર્નેરિયો પોતાના પ્રોજેક્ટ માટે લઈ જવા માગે છે પણ તમે નથી ઇચ્છતા કે લઈ જાય, એટલે, તમે એને “In the network of lines”-ના જેવું દેખાતું એક બીજું પુસ્તક પકડાવો છો. જો કે તમને સમજાય છે કે એ પુસ્તક તો “In a network of lines that enlace”-ને મળતું આવે છે, એટલું જ નહીં, એ તો સિલાસ ફ્લૅનરીએ લખ્યું છે. ઇર્નેરિયો ખુલાસો કરે છે કે તમે આપેલું પુસ્તક લુદ્મિલાનું નથી. 

ઇર્નેરિયો તમને (You) એક નાના સ્ટોરેજ રૂમમાં લઈ જાય છે, ત્યાં ટેબલ પર એક ટાઈપરાઈટર છે. તમે જુઓ છો કે ટાઇપરાઇટર પર એક કાગળ છે, જે પર વંચાય છે – ‘ટ્રાન્સલેશન બાય એર્મિસ મારન’. પાછું તમને થાય છે કે મારનના પત્રોમાં છે એ સ્ત્રીઓ હમેશાં તમને લુદ્મિલાની યાદ આપે છે. તમે ઇર્નેરિયોને પૂછો છો – અહીં મારન રહેતો’તો? ઇર્નેરિયો કહે છે – મારનને જવું પડે એમ હતું; એ હતો એટલો સમય લુદ્મિલા બેચેન રહેતી’તી ને કશુંય વાંચી શકેલી નહીં. મારનની એક રીત એવી છે જેથી ખરી વસ્તુઓ પણ ખોટી લાગે.

બરાબર એ જ વખતે લુદ્મિલા ઘરમાં પ્રવેશે છે. ઇર્નેરિયોને જોઈને ખુશ થાય છે. એ પછી, તમે લોકો ચા-પાણી કરતાં હોવ છો એ દરમ્યાન, ઇર્નેરિયો અદૃશ્ય થઈ જાય છે. લુદ્મિલા જણાવે છે કે કશું કહ્યા વિના નીકળી જવાની ટેવ છે એને. લુદ્મિલાને તમે એના મુલાકાતીઓના બારામાં પૂછો છો ત્યારે, એ તમને સામું પૂછે છે – આર્યુ જૅલસ? તમે કહો છો – જૅલસ થવાનો મને શો હક્ક છે! એટલે, લુદ્મિલા તમને એવા ભાવિ સંજોગની કલ્પના કરવા કહે છે, જેમાં તમને જૅલસ થવાનો હક્ક સાંપડ્યો હોય.  

કથક હવે ‘તમે’ -you-ને બહુવચનમાં પ્રયોજે છે, કેમ કે એ ‘તમને’ -you-ને અને ‘અન્ય વાચક’-ને (લુદ્મિલાને) સમ્બોધવા માગે છે; એટલા માટે કે વાચક અને અન્ય વાચક પથારીમાં ભેગાં સૂતાં છે – ‘બે મસ્તકવાળી એક વ્યક્તિ’-ની અવસ્થામાં. પરન્તુ કથકના ધ્યાનમાં આવે છે કે, વ્યાકરણ અનુસાર, બન્ને વાચકને બહુવચનમાં ‘તમે’ કહેવા કરતાં, દરેક વાચકને એકવચનમાં રાખીને વાત કરવી યોગ્ય ગણાય. પથારીમાં ‘વાચક’ અને ‘અન્ય વાચક’ એકબીજાંનાં શરીરને ‘વાંચે’ છે. 

હવે કથક વાચકને પાછો ‘તમે’ -you- કહે છે. તમે વાંચતા હતા એ પુસ્તકની લુદ્મિલાને તમે વાત કરો છો, લુદ્મિલાને એ પુસ્તક તરત વાંચવું હોય છે, એટલે તમે પથારીમાંથી ઊઠીને પુસ્તક લેવા જાઓ છો, પણ નથી મળતું – કેમ કે પોતાના આર્ટ પ્રોજેક્ટ માટે ઇર્નેરિયો લઈ ગયેલો. છતાં, એ પુસ્તકની એક બીજી નકલ લઈને તમે લુદ્મિલા પાસે પ્હૉંચો છો. લુદ્મિલા કહે છે, એ નકલ તો એને સિલાસ ફ્લૅનરીએ સ્વયં આપેલી છે. 

પણ વાત એમ બને છે કે તમે લાવ્યા એ પુસ્તક તમારી અપેક્ષા અનુસારનું ન્હૉતું. લુદ્મિલા ખુલાસો કરે છે કે એર્મિસ મારન હમેશાં એની જોડે જુક્તિઓ કરે છે, ખાસ તો, વસ્તુઓને ખોટી પાડે; ખાસ તો એ કારણે કે એની અને લુદ્મિલા વચ્ચે કોઈ હરીફ આવે, એનો એને ડર છે : વાચનને વિશેની લગન. તમારા હાથમાં છે એ પુસ્તકને તમે ધ્યાનથી જોશો તો સમજાશે કે એ “In a network of lines that enlace” તો નથી જ, બલકે એ “In a network of lines that intersect” નામનું એક બીજું જ પુસ્તક છે.

કથકને એમ થાય છે કે વ્યાવસાયિક નિર્ણયો કરવામાં પોતાને અરીસા મદદ કરી શકે. એટલે એ કૉલિડોસ્કોપ પ્રયોજે છે. પરિણામે, કથકને પોતાની વિચારણાને મદદ કરે એવા વિધ વિધના અરીસા દેખાય છે અને સરવાળે એને ફાયદાકારક વ્યવસાય જડી આવે છે; એટલે અનેક સોદા કરે છે, બરાબરનો સંડોવાય છે, અને હરીફોથી ગભરાય છે પણ ખરો. 

પોતાનું અપહરણ થઇ જશે એ બીક ટાળવાને, અપહરણકારો ગેરરસ્તે દોરવાય એવી એક યુક્તિ કરે છે. પોતાની કાર જેવાં જ પાંચ મર્સિડિઝ વાહનો પોતાની વિલાના એકદમ સુરક્ષિત દરવાજા આગળ રાખે છે, જેથી પોતે ક્યાં છે એની અપહરણકારોને ખબર ન પડે. એને એ ડર પણ છે કે એની પત્ની એલ્ફ્રીડા જેવા લોકો ડીવૉર્સી લોર્ના સાથેના એના લગ્નેતર સમ્બન્ધો વિશે જાણી જશે તો? એટલે, વિચારે છે કે જાતને બચાવવા પૂરતો ઉપાય કરવો જોઈશે. અને, એટલે જ, અપહરણનું નાટક કરેલું – જેથી લોકો આઘા રહે.

કથક અપહરણનું નાટક તો ચલાવે છે પણ પાછો અપહરણકારો માટે ઇન્સ્યૉરન્સ કમ્પનીઓ ઊભી કરે છે. પેલાઓ જેવા ક્લેઇમ મૂકે, પકડાઈ જાય. પણ એક દિવસ, નાટક દરમ્યાન, ઊંધું બને છે : કથક પોતાના ઘરના મિરરરૂમમાં પોતાને ભાળે છે અને સ્તબ્ધ રહી જાય છે. એને થાય છે, પોતાનું અપહરણ પોતે જ કર્યું ! મિરરરૂમની વચ્ચે લોર્ના છે, કોઈએ બાંધી દીધી છે. 

મિરરરૂમમાં એલ્ફ્રીડા આવે છે અને કહે છે કે સ્વબચાવ માટે એણે કથકનું અપહરણ કર્યું છે. પણ એલ્ફ્રીડા પૂછે છે કે મિરરરૂમમાંથી બહાર કેવી રીતે આવું, પણ એ અંગે કથકને કશી ય ખબર નથી. એને સમજાતું નથી કે પોતે શું છે અને પોતાનું પ્રતિબિમ્બ શું છે.

તારણ :

૧ :

જોઈ શકાશે કે કથામાં પાત્રો અને તેમની સ્થિતિ-પરિસ્થિતિનાં નિરૂપણ વધી રહ્યાં છે, ઘટનાઓ વિકસી રહી છે, કલ્પી શકાય છે કે સમગ્ર કથા તો કેટલી રસપ્રદ હશે.

૨ :

વાચકને ‘તમે’ -you- એમ સૅકન્ડ પર્સનમાં સમ્બોધવાથી પ્રશ્ન એ ઊભો થાય કે એ પુરુષ છે કે સ્ત્રી; ઉપરાન્ત, ‘તમે’ એકવચનમાં છે કે બહુ વચનમાં. આ પ્રકરણમાં એનો ખુલાસો મળે છે. 

૩ :

એટલું જ નહીં, કથકને એટલે કે કાલ્વિનોને, સૅકન્ડ પર્સનને ફર્સ્ટમાં ને વળી સૅકન્ડમાં જવાની જરૂર વરતાતી હોય છે, અને એવા વારાફેરા અહીં થયા છે.

એ તમામ સંદર્ભોમાં આ મહત્ત્વનું પ્રકરણ છે. 

= = =

(05/11/24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વડાપ્રધાનની નવી સોગઠીઃ  ચૂંટણી પ્રચારમાં અંબાણી-અદાણીને ખેંચી લાવીને કોને ગુંચવવાનો ઇરાદો?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 May 2024

ઉદ્યોગપતિઓ અંબાણી અને અદાણી ભારતના વિકાસની નક્કર ઓળખ છે અને તેમની સાથે છેડો ફાડવાનું જરા ય પોસાય એમ નથી

ચિરંતના ભટ્ટ

છેલ્લા કેટલાક દિવસોમાં ચૂંટણી પ્રચારમાં બીજા બધાં કરતાં સૌથી વધારે ચર્ચા થઇ હોય તો એ છે મૂકેશ અંબાણી અને ગૌતમ અદાણીનાં નામોની. વડા પ્રધાને તેલંગાણાની પ્રચાર રેલીમાં કોણ જાણે કયા મિજાજમાં બોલવાનું નક્કી કર્યું હશે? જે બે ઉદ્યોગપતિઓની સાથે હંમેશાં સારાસારી રાખવાની સાવચેતી રખાઇ છે, એમને કાઁગ્રેસ વિરોધી ભાષણમાં ઘસડી લાવ્યા અને કહ્યું કે, ‘ચૂંટણી જાહેર થયા પછી કાઁગ્રેસના શહેઝાદા(રાહુલ ગાંધી)એ અંબાણી અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે? શા માટે? હું કાઁગ્રેસના શહેઝાદાને પૂછવા માગું છું કે તેમણે અદાણી અને અંબાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે? કોથળા ભરીને કાળું નાણું ભેગું કર્યું છે? કાઁગ્રેસ પાર્ટીને તે ઉદ્યોગપતિઓ પાસેથી ચૂંટણી માટે કેટલા પૈસા મળ્યા છે?’ ભા.જ.પા. સરકાર, ખાસ કરીને મોદીના નેતૃત્વ હેઠળની સરકાર કેન્દ્રમાં આવી એ પછી આ બન્ને ઉદ્યોગપતિઓને કાયમ ટેકો મળ્યો હોવાના દાવા વિરોધપક્ષે એકથી વધુ વખત કર્યા છે – એ હદે કે એવી ટિપ્પણી સુદ્ધાં કરવામાં આવી છે કે મોદીએ તો આ બન્ને જણને દેશ વેચી માર્યો છે. આ વાતમાં કેટલો દમ છે એની વાત આગળ જતાં કરીએ, પણ ગયા અઠવાડિયે મોદી જે પણ બોલ્યા એ પછી રાહુલ ગાંધીએ પ્રતિભાવ આપ્યો. રાહુલ ગાંધીએ એમ કહી પાડ્યું કે આ બોલ્યા પછી તમે ગભરાઇ ગયા હશો કારણ કે પહેલીવાર તમે અદાણી-અંબાણી વિશે પહેલીવાર જાહેરમાં બોલ્યો. તમે એમ પણ કહ્યું કે તેઓ ટેમ્પોમાં પૈસા આપે છે, શું આ તમારો અંગત અનુભવ છે? સી.બી.આઇ. અને EDને તેમની પાસે મોકલાવો અને તપાસ કરાવો, વગેરે.

હવે સૌથી પહેલાં તો નરેન્દ્ર મોદીના એ દાવાનું ખંડન કરવું પડે જેમાં તે બોલે છે કે ચૂંટણી જાહેર થયા પછી કાઁગ્રેસ અને રાહુલ ગાંધીએ અંબાણી-અદાણીનું નામ લેવાનું બંધ કરી દીધું છે. હજી 24મી એપ્રિલે જ કાઁગ્રેસના મલ્લિકાર્જુન ખરગે બોલ્યા હતા કે આ દેશમાં બે ખરીદનારા છે અને બે વેચનારા છે. ખરીદનારા મોદી અને શાહ છે તો વેચનારા અદાણી અને અંબણી છે. વળી 12 એપ્રિલે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં જે એ પહેલાં પણ બોલી ચૂક્યા છે એ વાત મૂકી હતી કે નરેન્દ્ર મોદી અને અદાણી નીતિને કારણે બે ભારત બન્યા છે, એક ગરીબોનું ભારત અને બીજું કરોડપતિઓનું ભારત. ભારત જોડો યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધીએ એવી ટિપ્પણીઓ કરી હતી કે મોદીના રાજમાં ધનિકો વધારે ધનિક બને છે વગેરે. હવે આ તો ચૂંટણી પ્રચારના પરફોર્મન્સ છે અને આ આરોપ-પ્રત્યારોપ તો પ્રચારમાં થવાના જ છે. અહીં વિચારવું એમ જોઇએ કે દેશના જ નહીં પણ એશિયાના બે મોટા બિલિયોનર્સને વિશ્વના સૌથી મોટા લોકતંત્રના ચૂંટણી પ્રચારમાં જે રીતે વારંવાર ખેંચી લવાય છે એ કેટલું યોગ્ય છે? અંબાણી કે અદાણી બેમાંથી એકેય આ અંગે પોતાના પ્રતિભાવ આપવા નવરા નથી અને આપવાના પણ નથી. મૂકેશ અંબાણીના સામ્રાજ્યની વાત કરીએ તો વાસ્તવિકતા એ છે કે કોઇપણ સરકાર આવે એમને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરતા આવડે છે. નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા ત્યારે પણ મૂકેશ અંબાણી પોતે તો દેશના ઉદ્યોગ જગતનું મોટું માથું હતા જ કારણ કે એ શરૂઆત તો છેક 70ના દાયકામાં ધીરુભાઇ અંબાણીના સમયથી થઇ ગઇ હતી. આ કહેવાનો અર્થ એમ નથી કે મૂકેશ અંબાણી, જેમના ઉદ્યોગનો વિસ્તાર બધે જ છે તેમને સરકારી સહકારની જરૂર ન હોય પણ જેટલો ફાંકો આ રાજકારણીઓ બતાડે છે, એટલી તો મૂકેશ અંબાણીને તેમના નામની હેડકી સુધ્ધાં નહીં આવતી હોય. સરકાર સહુલિયત કરી જ આપતી હોય છે જેથી કામ બરાબર થઇ શકે પણ છતાં પણ કોને કોની કેટલી ગરજ હોઇ શકે છે એ સમજવા માટે આપણે થોથાં ઉથલાવીને શાસ્ત્રી થવાની જરૂર નથી. ગૌતમ અદાણીનું કદ મોટું હતું પણ જે હદે તે છેલ્લાં દસ વર્ષમાં પોતાના ઉદ્યોગનો વિકાસ કરી શક્યા છે એટલું બધું પહેલાં નહોતું પણ એ તો કહેવું પડે કે ટેકો મળે તેનો પૂરા જોશથી ઉપયોગ કરીને પોતાનું કદ આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તારીને મજબૂત કરવામાં તો અદાણીએ પણ ભારે મહેનત કરી છે. વળી અંબાણી અને અદાણીની છાપ દેશભરમાં એક કરતાં વધુ ક્ષેત્રમાં છે. ટેલિકોમ, એનર્જી, રિટલ્ટી, એરપોર્ટ્સ, ડિજિટલ કનેક્ટિવિટી, કલ્ચરલ સંસ્થાન, મીડિયા – આ તો બસ તેમની પહોંચની બહુ નાની ઝલક છે બાકી અંબાણી અને અદાણીનો વિસ્તાર કેટલો છે એ જોવા બેસીશું ત્યાં સુધીમાં નવી સરકાર આવી જશે.

અંબાણી અને અદાણીના વિકાસની વાત થાય ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમને અમેરિકાના જ્હોન ડી રોકફેલર સાથે સરખાવાય છે. 19મી સદીમાં રોકફેલર યુ.એસ.એ.ના સૌથી પહેલાં અબજોપતિ બન્યા અને એ ત્રણ દાયકામાં અમેરિકામાં માળખાંકીય સુવિધાઓથી માંડીને નવા કારખાનાઓ વગેરે સડસડાટ બન્યું અને સાથે ફ્રિક, એસ્ટર, કાર્નેગી અને વેન્ડરબિલ્ટ જેવા ઉદ્યોગપતિઓની પકડ મજબૂત બની. અત્યારે ભારત પણ કંઇક એવા જ તબક્કામાં છે અને વિકાસશીલ રાષ્ટ્રો જ્યારે ઝડપી વિકાસના તબક્કામાંથી પસાર થતા હોય ત્યારે ટોચના માણસો પાસે વધતું ધન, આર્થિક અસમાનતા સાથે રાજકાણીઓ – ઉદ્યોગપતિઓ વચ્ચેની સાંઠગાંઠને કારણે પેદા થતો મૂડીવાદ સપાટી પર આવે જ છે અને ભારત અત્યારે એવા જ તબક્કામાં છે.

લોકોને મોદી સરકારની આ બે ઉદ્યોગકારો સાથેની સાંઠગાંઠ અંગે સવાલ થાય તે સ્વાભાવિક છે કારણ કે છેલ્લા દાયકામાં આ બન્નેનો વિકાસ રોકેટ વેગે થયો છે. અદાણી સામે તો શોર્ટ સેલ હિંન્ડબર્ગનો રિસર્ચનો રિપોર્ટ પણ આવ્યો હતો, પણ એમાં કોઇ નોંધપાત્ર કાર્યવાહી ન થઇ. વળી અદાણી જૂથ વિશે સવાલ કરનારા તૃણમૂલ કાઁગ્રેસનાં મહુઆ મોઇત્રા સંસદની બહાર છે તો રાહુલ ગાંધીએ પણ દાવો કર્યો હતો કે અદાણી જૂથ વિશે તેમણે ટિપ્પણી કરી હોવાથી તેમને પણ થોડો સમય માટે સંસદની બહાર કરાયા અને તેમની પર બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો.

હવે મોદીએ ભાષણમાં જે કહ્યું એનું કારણ એ નથી કે એમને અદાણી-અંબાણી સાથે કંઇ વાંકું પડ્યું હશે. મૂળે ધાર્યા કરતાં મતદાન ધીમું, ઓછું થયું હોવાથી તેમણે પોતાના પ્રચારની રીતમાં ફેરફાર કર્યા. મતદાનના પહેલા તબક્કા પહેલાં આર્થિક વિકાસની વાતો થઇ અને હવે વિરોધીઓને મુસલમાન તરફી બતાડીને અને કાળું નાણું વાપરનારાનું લેબલ આપીને પ્રચાર કરવાની શરૂઆત કરાઇ. ભા.જ.પા.નું રાજકારણ ‘વાર્તા રે વાર્તા’ પર ઘડાયેલું છે ખાસ કરીને 2014 પછી. એક ‘નેરેટિવ’ ન ચાલે એટલે બીજું ‘નેરેટિવ’ આપવું પડશે, એવું આ સરકાર બહુ સારી પેઠે જાણે છે. રાહુલ ગાંધીના મતદારો ગુંચવાય એ માટે મોદીએ નવો રસ્તો લીધો અને લોકોને કંઇ બીજા રવાડે ચઢાવી દીધાં. આવું બધું કરવામાં આપણા વડા પ્રધાન આમેય માહેર છે.

બાય ધી વેઃ

એક જાણીતું વાક્ય છે કે જ્યારે તમે કોઇને તમારી વાત મનાવી ન શકો ત્યારે તેમને ગુંચવી નાખો (When you can’t convince them, confuse them). લોકો તથ્યો ભૂલે અને વાર્તામાં લપેટાઇ જાય એ પ્રમાણે પ્રચાર કરવામાં ભા..જપા. નિષ્ણાત છે. મોદીને સારી પેઠે ખબર છે કે અંબાણી અને હવે તો અદાણી પણ (આ બીજા મામલે સરકારની મહેર વધારે છે જ એ તો કહેવું જ પડે. 2014માં તો પ્રચાર માટે મોદીએ અદાણીના ખાનગી એરક્રાફ્ટનો ઉપયોગ પણ કર્યો હતો.) ભારતના વિકાસની નક્કર ઓળખ છે અને એમની સાથે છેડો ફાડવાનું જરા ય પોસાય એમ નથી. સત્તા પર મોદી હશે કે નહીં હોય પણ અંબાણી અને અદાણી તો પોતાના સામ્રાજ્યના શહેનશાહ રહેવાના જ છે. તેમની સફળતા મતદાન પર આધારિત નથી. વળી મોદીની ટિપ્પણી રાજકીય માહોલની ગરમા-ગરમીમાં કરાઇ છે, એવું બન્ને ઉદ્યોગપતિઓ પણ સારી પેઠે સમજતા જ હોય એટલે એ પણ આ દેકારાને ગંભીરતાથી લેવાના નથી. જો કે ભારતને મજબૂત બનાવવા માટે માત્ર બે ઉદ્યોગપતિઓથી નહીં ચાલે એ પણ એટલી જ સાચી વાત છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 મે 2024

Loading

...102030...704705706707...710720730...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved