Opinion Magazine
Number of visits: 9457450
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ત્રણ રચના

સાહિલ|Opinion - Opinion|4 January 2024

૧.

ગઝલ

જે ક્ષણે મેં શબ્દનું પૂજન કર્યું

લાગે છે ઈશ્વરનું આરાધન કર્યું

જીવવા જ્યારે મળી સુખની ઘડી

હાથ જોડી આભને વંદન કર્યું

હર ગઝલ સર્જન પછી લાગે મને

મેં અખિલ બ્રહ્માંડને ચુંબન કર્યુ

સાતે સાગર સુખથી છલકાતાં મળ્યાં

જો મિલનની પળનું અવલોકન કર્યું

આંગણે ઈશ્વરના લઈ આવ્યાં સગડ

પ્રીતનુ સાહિલ જો સંશોધન કર્યું

——————-

૨.

છું  હવાનો અંશ મારું કોઈ ઠેકાણું નથી

કઇ દિશામાં તો ય મારું હોવું વરતાણું નથી

જો છલોછલ થાય તો એ દેવતાઈ જાણવું

જે ભરાઈ જાય એ માણસનું તરભાણું નથી

જોતજોતાંમાં છલોછલ જામ ખાલી થઈ ગયો

ટીપું યે પીધું નથી ટીપું યે ઢોળાણું નથી

આપેલું પાછું લઈ લેતાં ન શરમાયા પ્રભુ

જિંદગી પણ શું તમે આપેલ નજરાણું નથી

છે જગતના સર્વ જીવો એક મત આ વાત પર

શ્વાસ કરતાં કર્ણ પ્રિય બીજું કોઈ ગાણું નથી

ખુદ પ્રભુ જેવો પ્રભુ પણ ક્યાં હજી સર્જી શક્યો

એક એવી રાત કે જે રાતનું વ્હાણું નથી

એ તો સાહિલ ઠારે છે જઠરાગ્નિને બે ઘડી

જે જમાડે છે જગત એ ભાવતું ભાણું નથી

————-

૩.

જે ગુન્હો કર્યો નથી એ ગુન્હાની પણ મને કારમી સજા મળી

છે અલગ એ વાત કે એ સજામાં પણ મને મનભરી મજા મળી

અવદશાનાં કારણો શોધવાના યત્ન સહુ એમ ધૂળમાં મળ્યા 

જેમજિન્દગી મળી કિન્તુ જીવવાની ના એક પણ  વજા મળી

વેદના નદી મહીં મોકળાશથી કદી મન તરી શક્યું નથી

આમ ભીના શ્વાસને ઉમ્રભર વ્યથાના ઘર બાજુ આવ જા મળી

આભ આંબતા અહીં સેંકડો મકાન છે તોય શું નવાઈ છે

આભ ચુમતી મને એક પણ મકાન પર ના કોઈ ધજા મળી

કઇ દ્વિધામાં આયખું રામ જાણે રાત દિ ડૂમતું જ જાય છે

એ ત્રિભેટે ઊભો છું જ્યાં ન તો જીવન મળ્યું ના મને કજા મળી

લુપ્ત થઇ જવાનું જાણે છતાં સમુદ્રને ભેટવાને દોડતી

ટીપું જળને ઝંખતા રણ પ્રદેશને કહો ક્યારે શૈલજા મળી

કેટલા જનભથી સાહિલ તમારા દ્વાર પર મૌન ઓઢીઊભો છે

પણ તમારી મ્હેફિલે આવકાર ના મળ્યો એમ ના રજા મળી

નીસા ૩/૧૫, દયાનંદ નગર, રાજકોટ – ૩૬૦ ૦૦૨
e.mail : sahilrjt1946@gmail.com

Loading

બહુ મોડું થઈ ગયું

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|4 January 2024

તારા અને બીરુ બેઉ નાનપણનાં ભેરુ. સાથે રમતાં, સાથે નિશાળે જતાં અને સાથે ભાથાંની પોટલી છોડીને ખાતાં. એકબીજાને ન જુએ તો બાવરાં થઈ જતાં. ગામ આખાને ખબર હતી કે, આ બંને વહેલાં-મોડાં એક થવાનાં જ છે. અંતે આ પ્રેમી હૈયાં એક થયાં પણ ખરાં !

નવા પરણેલાં પ્રેમીજનો અને બેઉના પરિવાર – સૌ ખુશ હતાં. રાવલપિંડી નજીકના ગામમાં રહેતાં તારા અને બીરુને સ્વર્ગ જાણે હાથવેંતમાં લાગતું હતું. લગ્નને હજી તો માંડ છ મહિના થયા ત્યાં દુનિયાથી બેખબર આ યુવાન દિલો પર વજ્રાઘાત થયો. ખબર આવ્યા કે, હિંદુસ્તાન-પાકિસ્તાન અલગ થયાં છે. ગામનાં ગામ ખાલી થવા લાગ્યાં. લોકો ઉચાળા ભરીને ભાગવા લાગ્યાં. બીરુનાં મા-બાપ ઘર છોડીને ક્યાં ય જવા તૈયાર નહોતાં. એમણે બીરુને કહ્યું, ‘અમારી જિંદગીનાં કેટલાંક વરસ બચ્યાં છે, હવે અમારે આ ભૂમિ છોડીને નથી જવું.’

તારા અને બીરુએ કેટલું સમજાવ્યાં, હાથ જોડ્યાં પણ એ બંને ન જ માન્યાં. હા, એમણે પોતાનાં દીકરા-વહુને પ્રેમથી આઝાદ કરી દીધાં.

‘તમારી સામે આખી જિંદગી પડી છે. અમારી ઘરડાં-બુઢાંની ચિંતા કર્યા વગર તમે સહી-સલામત હિંદુસ્તાન પહોંચી જાવ. સદા સુખી રહો.’

હૈયે હૈયું દળાય એવી ભીડમાં તારા અને બીરુને ટ્રેનના ડબ્બાના ખૂણામાં માંડ પગ ટેકવવા જેટલી જગ્યા મળી. ઘરેથી લીધેલી બાચકી છાતીએ વળગાડીને બંને નિ:સહાયપણે ચારે તરફ ચાલી રહેલું હિંસાનું તાંડવ જોઈ રહ્યાં હતાં. ભૂખ તો ક્યાં ય ભુલાઈ ગઈ હતી પણ તારા તરસથી આકુળ-વ્યાકુળ થતી હતી. ભયંકર બફારો, ગરમી અને દસ-બાર કલાકથી પાણીનું ટીપું ય નહોતું મળ્યું. બીરુ આશ્વાસન આપતો હતો, ‘હવે કોઈ ઈસ્ટેસન આવશે ને ગાડી ઊભી રેશેને, તો દોડીને તારે વાસ્તે પાણી લઈ આવીશ. જરા ધીરજ રાખ, ને લાવ, મને પવાલું આપી રાખ.’

ધક્કા-મુક્કીમાં પ્યાલામાંથી અડધું પાણી તો છલકાઈને ઢોળાઈ ગયું હતું પણ બીરુને થયું કે, વાંધો નહીં, આટલાં પાણીથી તારાનું ગળું તો જરાક ભીનું થશે ને? પણ ક્યાં હતી તારા? અહીં જ તો બેસાડીને ગયો હતો! આ જ ડબ્બો હતો. આજુબાજુ માણસો પણ એ જ હતા.

‘ભાઈસા’બ અહીંયા મારી ઘરવાળી બેઠી’તી એને જોઈ? માંજરી આંખો છે, ગોરો વાન છે…’

‘એને કોઈ ઉપાડી તો નથી ગયું ને? તમને ખબર છે?’

પણ સૌને પોતપોતાનો જીવ બચાવવાની ફિકર હતી ત્યાં તારાની ખબર વળી કોણ રાખે? તારા, તારા બૂમો પાડતાં બીરુનું ગળું સુકાઈ ગયું. હિંદુસ્તાનના કોઈ સ્ટેશને ઊતર્યો ત્યારે એ અર્ધપાગલ જેવો થઈ ગયો હતો. હવે તો જો કે, એ વાતને ય વર્ષો થઈ ગયાં હતાં.

એ જ્યાં પહોંચ્યો હતો એ ગામ ભલે નાનકડું હતું પણ ગામલોકો પ્રેમાળ હતા. બીરુને સૌએ અપનાવી લીધો હતો. એ લોકોનું નાનું-મોટું કામ કરી આપતો એના બદલામાં એને બે ટંક ખાવાનું મળી રહેતું. જે કોઈ મળે એની પાસે હજી ય બીરુ એકનું એક રટણ કરતો, ‘મારી તારાને ક્યાં ય જોઈ? એ આવેને, તો એને જવા નહીં દેતા. એને બહુ તરસ લાગી હશે. હું એને માટે પાણી લઈ આવું.’

ભગત, ભુવા કે જ્યોતિષ પાસે જઈને એ એક જ સવાલ પૂછતો, ‘મારી તારા ક્યાં મળશે? ક્યારે મળશે?’

કોઈ કહેતું, તું પાણી લેવા ગયો હતો ને, ત્યારે ટ્રેનમાંથી કોઈ એને ઉપાડી ગયું, કોઈ વળી કહે,એ ફાંસો ખાઈને મરી ગઈ. અંતે એક પંડિતે કહ્યું, ‘જ્યાં સુધી તું વિધિપૂર્વક એનું શ્રાદ્ધ નહીં કરે ત્યાં સુધી એનો આત્મા ભટકતો રહેશે. એની અવગતિ ન થાય એ માટે તારે હરિદ્વાર જઈને એના અંતિમ સંસ્કાર કરવા જોઈએ.’

હરિદ્વાર જઈને પંડા પાસે કર્મકાંડ કરાવતો હતો ત્યાં એનું ખીસું કપાઈ ગયું. ગામલોકોએ દયા ખાઈને એને ફાળો એકઠો કરી આપેલો એ બધા પૈસા ચોરાઈ ગયા. હવે શું કરવું ને ક્યાં જવું એ ન સમજાતાં એ ગંગાકાંઠે બેસીને જોરજોરથી રડવા લાગ્યો. ત્યાંથી પસાર થઈ રહેલા એક સજ્જનને દયા આવી. એની આપવીતી જાણીને એમણે કહ્યું, ‘ભાઈ, હું તો ગંગા સ્નાન કરવા આવ્યો હતો. હમણાં મારી પાસે કશું નથી પણ મારે ઘરે ચાલો. હું શક્ય એટલી મદદ કરીશ.’

ઘરે પહોંચીને રસોડામાં જઈ એમણે પત્નીને સૂચના આપી, ‘આ માણસ બિચારો મુસીબતમાં આવી પડ્યો છે. એને પાણી-બાણી આપ ત્યાં હું રબડી અને સમોસા લઈ આવું.’

પાણી લઈને આવેલી તારાના હાથમાંથી બીરુને જોઈને ગ્લાસ પડી ગયો. હિબકાં ભરીને રડતાં એ કહેવા લાગી, ‘છેક હવે આવ્યો? તે દિવસે તું મારે માટે પાણી લેવા ગયો ત્યારે બે-ત્રણ ગુંડાઓ મને ખેંચીને બીજા ડબ્બામાં લઈ ગયેલા. ત્યારે આ દેવતા જેવા માણસે મને બચાવી એટલું જ નહીં, મને પોતાની પત્ની કરીને રાખી.’

વર્ષોથી જેને ઝંખતો હતો એને નજર સામે જોઈને બીરુથી રહેવાયું નહીં. એણે ઊભા થઈને તારાનો હાથ પકડી લીધો, ‘તારા, મારી તારા, આજે મારી પરીક્ષા પૂરી થઈ. ઉપરવાળાએ આપણને ફરીથી ભેગાં કર્યાં છે તો ચાલ અહીંથી ભાગી જઈને આપણે નવો સંસાર વસાવીએ.’

તારાએ ઝટકો મારીને હાથ છોડાવ્યો. ‘શું વાત કરે છે? શરમ નથી આવતી? આ દેવ પુરુષને છોડવાનો વિચાર પણ કરું તો ય ભગવાન મને માફ ન કરે. ભૂલી જજે કે, આપણે ફરી મળ્યાં’તાં. હવે તો તું તારે રસ્તે ને હું મારે રસ્તે. બીરુ, આજે જીવ્યા મુઆના જુહાર કરી લઈએ. પાછાં ફરવા માટે બહુ મોડું થઈ ગયું છે, બહુ મોડું …’ એ રડતી રડતી અંદર ચાલી ગઈ. થોડી વાર પછી એણે બહાર આવીને જોયું તો કોઈ નહોતું.

ગમેતેમ કરીને પોતાને ગામ પહોંચેલો બીરુ એક જ વાક્ય બોલ્યા કરતો હતો, ‘બહુ મોડું થઈ ગયું.’

ગામલોકોને લાગ્યું કે એની ડાગળી પૂરેપૂરી ચસકી ગઈ છે.

(નસીબસિંહ મનહાસની ડોગરી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ડિસેમ્બર 2023; પૃ. 24

Loading

સંસ્કૃતિ, ધર્મ અને ક્રાંતિ

રોહિત શુકલ|Opinion - Opinion|4 January 2024

રોહિત શુક્લ

વિનોબાજી કહે છે, ગુત્સમદ નામના ઋષિએ કપાસ અને તેમાંથી નીકળતાં સૂતરમાંથી વસ્ત્રો બનાવવાનું શોધ્યું. અગ્નિ, ગોળ પૈડું, લોખંડ અને તેના વિવિધ ઉપયોગો, છાપખાનાં – બધાંને પરિણામે લોકજીવનમાં ક્રાંતિ સર્જાઈ. આ પ્રકારની ઘણી ક્રાંતિઓ ભૌતિક જગતમાં થતી રહી છે.

માનવસમાજ, માણસોના પારસ્પરિક વ્યવહાર, રાજ્ય, શાસન – વગેરેમાં પણ અનેક ક્રાંતિઓ થતી રહી છે. ૧૭૮૯ની ફ્રેંચ ક્રાંતિ, ૧૯૧૭ની બોલ્શેવિક ક્રાંતિ, ૧૯૪૯ની ચીનની ક્રાંતિ, ૧૯૯૧ વળી રશિયન સંઘના વિઘટનની ક્રાંતિ, ૨૦૦૧ની ટ્યુનિશિયાથી શરૂ થયેલી ‘આરબ (સ્પ્રિંગ) વસંત’ વગેરેની સાથે ભારતની ૧૯૪૨ની ‘ભારત છોડો’ની ક્રાંતિ પણ નાનીસૂની નથી.

સવાલ એ છે કે કોઈ પણ સમાજ પોતાના ઇતિહાસને સતત વળગેલો રહી શકતો નથી. ૧૯૦૫ પહેલાં ‘સતી પ્રથા’માં હિંદુઓને કશું પણ અજુગતું લાગતું નહીં હોય ? કરસનદાસ મૂળજીને મહારાજોની પાપલીલા જણાઈ પણ વર્ષોથી ચાલતા આવતા વ્યવહારમાં અન્યોને કશું વાંધાજનક પણ ન લાગ્યું ? ધર્મ અને શાસન કે સત્તાના નામે ઊભી કરાતી ઘણી રચનાઓને ‘સંસ્કૃતિ’ પણ ગણી / ગણાવી લેવાના ઉદ્યમ થતા રહે છે.

પણ ઇતિહાસ કોઈને છોડતો નથી; તેને બદલવા મથનારા પણ તેનાથી બચી શકતા નથી. આ ઇતિહાસની નિર્મમતાથી બચવા વાસ્તે અનેક વાર તેને ધર્મના આવરણ હેઠળ ઢાંકી રાખવાના ઉદ્યમો પણ થાય છે. ધર્મના આયામો અનેક છે. તેમાં શ્રદ્ધાપૂર્વકનું પાલન અગ્રસ્થાને છે અને બુદ્ધિપૂર્વકની ચર્ચા ઉપાડવાનો વિચાર પણ અવાંછનીય છે. કર્મકાંડ, કર્મનો સિદ્ધાંત, ઈશ્વરેચ્છા, વગેરે પ્રકારના આયામો માનવસમૂહોને નિષ્ક્રિય કરી રાખવા માટે ઉપયોગી છે. જન્મ-પુનર્જન્મ, પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક વગેરે વિશેની ચર્ચા કે ટીકા કરવા વાસ્તે દેશનો ભણેલાઓનો સમૂહ પણ ભાગ્યે જ તૈયાર થાય !

આ સંજોગોમાં,

  • તમને નોકરી ન મળે તો ઈશ્વરેચ્છા અથવા કર્મફળ.
  • સરકાર મેડિકલના અભ્યાસની ફી અચાનક વધારી દે અને તમે મેડિકલમાં જઈ ન શકો તો ઈશ્વરેચ્છા અને કર્મફળ.
  • ચોમાસામાં રસ્તાના ભૂવામાં કે પુલ ધસી પડતાં તમને વાગે કરે તો ઈશ્વરેચ્છા અને કર્મફળ (ભ્રષ્ટાચાર નહીં જ !).
  • ભારે કરવેરા, ઊંચા ભાવ (દુકાનો) ભૂખમરો, લાચારી, વગેરે તમામ બાબતો માટે પરલોકના આશ્રયે જીવતા સમાજમાં બુદ્ધિવાદ, કાર્યકારણ, ન્યાય, સમાનતા વગેરે મુદ્દા ઊભા જ થતા નથી.

ગાંધીજીના જીવનમાંથી ધર્મ અને સમાજની પારસ્પરિકતાનાં કેટલાં બધાં ઉદાહરણો સાંપડે છે. નરસિંહ મહેતાએ ‘વૈષ્ણવજન તો’ ગાંધીજી માટે જ લખ્યું હોય તેવું લાગે. નમક સત્યાગ્રહ કે ‘ભારત છોડો’ જેવાં આંદોલનો સત્ય અને અહિંસાના માર્ગે ચલાવનાર ત્રણ ગોળી વાગે ત્યારે ‘હે રામ’ પણ બોલી શકે !

ક્રિયાકાંડ, લોક-પરલોક, ગૂઢવાદ વગેરેમાં પરોવાઈ ગયેલો ધર્મ બહુ લાંબો સમય અવરોધાએલો રહેતો નથી. ધર્મને નિરાશા, ક્રૂરતા, તામસી પ્રવૃત્તિઓ વગેરે સાથે ફાવતું નથી. મોટા થઈ ગયેલા યુવાનને તેના બાળપણનાં વસ્ત્રો પહેરાવીએ અને તેનાં જૂનાં કપડાંના તસુએ તસુ ફાટી-તૂટી જાય તેવી દશા સ્થિર અને અશ્મિભૂત બની ગયેલા ધર્મોની થાય છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ડિસેમ્બર 2023; પૃ. 10 તેમ જ 05

Loading

...102030...704705706707...710720730...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved