Opinion Magazine
Number of visits: 9665472
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યક્તિવાદી સમાજમાં આધુનિક પેઢી ઈમોશનલી તકલાદી બની રહી છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 May 2024

રાજ ગોસ્વામી

મૂળ ભારતનાં પણ અત્યારે કેનેડામાં રહેતાં અખબારી લેખક રૂપા સુબ્રમણ્યમે, ‘ધ ફ્રી પ્રેસ’ નામના ઇન્ટરનેટ અખબારમાં પહેલી એપ્રિલે એક ચોંકાવનારી સ્ટોરી લખી છે. પહેલી એપ્રિલ છે એટલે સ્ટોરી વાંચીને એપ્રિલ ફૂલ જોક હોવાની શંકા જાય, પરંતુ સ્ટોરી એટલી ગંભીર છે કે એવી શંકાને તાબડતોબ ખારીજ કરવી પડે.

સ્ટોરી ઝોરાયા થેર બીક નામની એક નેધરલેંડની ડચ છોકરી વિશે છે. તે ડિપ્રેશન, ઓટિઝમ (માનસિક વિકાસ સંબંધી બીમારી) અને બોર્ડરલાઈન પર્સનાલિટી ડિસૉર્ડર(લાગણીઓ સાથે પનારો પાડવાની ક્ષમતાનો અભાવ)થી પીડાય છે. તેણે ચાલુ મે મહિનામાં ઈચ્છામૃત્યુ સ્વીકારવાનું નક્કી કર્યું છે. અને તેની ઉંમર 28 વર્ષની છે. તેને 40 વર્ષનો એક ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોગ્રામર બોયફ્રેન્ડ પણ છે.

જેને અંગ્રેજીમાં યુથનેશિયા કહે છે, અને જેનો મૂળ ગ્રીક અર્થ ‘સુખથી મૃત્યુ’ થાય છે તે ઈચ્છામૃત્યુની વાત આવે ત્યારે આપણા મનમાં એવી વ્યક્તિનું ચિત્ર ખડું થાય છે જે અસાધ્ય બીમારીનો શિકાર હોય અને જેની ઘણી ઉંમર થઇ ગઈ હોય.

પરંતુ રૂપા સુબ્રમણ્યમના આ લેખે, પશ્ચિમના એવા વર્ગમાં ઈચ્છામૃત્યુના વધતા જતા ચલણ પર ચર્ચાને જન્મ આપ્યો છે જે યુવાન છે અને ડિપ્રેશન, સ્ટ્રેસ, આર્થિક અનિશ્ચિતતા અને સોશિયલ મીડિયાના વ્યસનથી ગ્રસિત છે. 

ઝોરાયા જર્મનીની સરહદે આવેલા એક નાનકડા ડચ ગામની છોકરી છે. તેને મોટા થઈને માનસશાસ્ત્રી બનવું હતું, પણ ન તો તે સ્કૂલ પૂરી કરી શકી કે ન તો કારકિર્દી બનાવી શકી. તે ઉપર જણાવી તે બીમારીઓથી નાનપણથી પીડાતી હતી. હવે તે થાકી ગઈ છે. 

તેના ડોકટરોએ હાથ ઊંચા કરી દીધા છે. એટલે જ તેણે મરવાનું નક્કી કર્યું છે. તે કહે છે, “મેં પહેલેથી નક્કી કર્યું હતું કે જો આનો ઈલાજ નહીં થાય તો લાંબુ ખેંચી નહીં શકું.” તેની આ હતાશાનું પ્રદર્શન કરવું હોય તેમ, તેણે તેના ડાબા હાથના બાવડે જીવન-વૃક્ષ(ટ્રી ઓફ લાઈફ)નું ટેટૂ કોતારાવ્યું છે, પણ ઊંધું- મૂળિયાં ઉપર અને ડાળખીઓ નીચે.

ઝોરાયાએ રૂપા સુબ્રમણ્યમને ટેક્સ્ટ મેસેજમાં કહ્યું હતું, “જીવન-વૃક્ષનો અર્થ વિકાસ અને નવા પ્રારંભનો થાય છે. મારું વૃક્ષ ઊંધું છે, તેનાં પાંદડાં ખરી રહ્યાં છે અને તે સુકાઈ રહ્યું છે. એક વાર વૃક્ષ સુકાઈ જાય પછી, પક્ષી ઊડી જાય છે. હું જીવનમાંથી મુક્ત થઇ રહી છું.”

ઝોરાયાએ બધી જ તૈયારીઓ કરી લીધી છે. ઘરમાં જ તેની મુક્તિ આકાર લેશે. “કોઈ સંગીત નહીં વાગે,” તેણે લખ્યું હતું, “હું લિવિંગ રૂમમાં સોફા પર જ વિદાઈ લઈશ. ડોકટર ઉતાવળ નહીં કરે. તે આવીને બેસશે અને કોફી પીશે, જેથી માહોલ હળવો થાય. પછી મને પૂછશે કે હું તૈયાર છું. હું સોફા પર બેસીશ. તે મને ફરી એકવાર મારા નિર્ણય અંગે પૂછશે. પછી મને વિદાયની શુભેચ્છા આપીને પ્રોસેસ ચાલુ કરશે.”

ડોક્ટર તેને પહેલાં બેહોશીની દવા આપશે પછી બીજી ડ્રગ આપશે જેનાથી ઝોરાયાનું હૃદય કામ કરતું બંધ થઇ જશે. તે પછી એક રીવ્યુ કમિટી તપાસ કરશે કે ડોકટરે નિયમોનું પાલન કર્યું છે કે નહીં. કમિટીના અહેવાલના આધારે ડચ સરકાર પ્રમાણપત્ર આપશે કે ઝોરાયા થેર બીકનું જીવન કાનૂની રીતે સમાપ્ત થયું છે. 

ઝોરાયાએ તેના બોયફ્રેન્ડને અંત સુધી હાજર રહેવા કહ્યું છે. તેની કોઈ અંતિમ વિધિ કરવામાં નહીં આવે. તેના પરિવારમાં ખાસ કોઈ છે નહીં, અને તેના મિત્રોને અંતિમ વિધિમાં આવવાનું ગમશે નહીં. ઝોરાયા અને તેના બોયફ્રેન્ડે ભેગા મળીને જંગલમાં એક ‘સરસ જગ્યા’ શોધી રાખી છે ત્યાં તેનાં અસ્થિને વિખેરી દેવામાં આવશે. 

નેધરલેંડની થીઓલોજી યુનિવર્સિટી કામ્પેનમાં નીતિશાસ્ત્રી સ્ટેફ ગ્રોઈનેવુડે રૂપા સુબ્રમણ્યમને કહ્યું હતું કે ડોકટરો અને માનસશાસ્ત્રીઓએ ઈચ્છામૃત્યુને એટલું સામાન્ય બનાવી દીધું છે કે હવે તે ના છૂટકાનો ઉપાય રહ્યો નથી. અગાઉ ડોકટરો આટલી જલદી સારવારમાંથી હાથ ઊંચા કરી દેતા નહોતા, પરિણામે માનસિક પરેશાનીઓથી પીડિત યુવાનોમાં આ ચલણ વધતું જાય છે.”

આમાં મહત્ત્વનો મુદ્દો યુવા પેઢીમાં વધતી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાનો છે. પશ્ચિમના દેશોમાં યુવાનોમાં ડિપ્રેશન અને ઍંગ્ઝાયટીનું પ્રમાણ ઘણું ઊંચું છે. ભારત સહિતના પૂર્વીય સમાજોમાં સુખ-દુઃખની સમસ્યાઓ તો છે, પરંતુ પશ્ચિમની સરખામણીમાં ભાવનાત્મક ઉતાર-ચઢાવ ઓછો છે.

પશ્ચિમના ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે ભાવનાત્મક બાબતોમાં પશ્ચિમ અને પૂર્વનો અભિગમ ભિન્ન છે. પશ્ચિમ વ્યક્તિવાદી અને ભોગવાદી સમાજ છે. અહીં દરેક વ્યક્તિ પોતાનું સુખ શોધે છે અને દુઃખને નિષ્ફળતા ગણીને નિરાશ થાય છે.

પૂર્વમાં લોકો સમૂહવાદી અને સેવાભાવી છે. અહીં લોકો પરિવારનું સુખ પહેલાં જુવે છે અને અંગત સુખ-દુઃખને જીવનના અનિવાર્ય પણ અસ્થાયી ચક્ર તરીકે જુવે છે. આપણા માટે સુખી જીવનનો અર્થ એ નથી કે એમાં કોઈ દુઃખ ના હોય. એનો અર્થ એટલો જ કે તે દુઃખ અર્થપૂર્ણ હોય. આપણે સુખી જીવન માટે નહીં, સાર્થક જીવન માટે સંઘર્ષ કરીએ છીએ એટલે આપણે દુઃખમાં પણ સુખ જોઈ શકીએ છીએ. ભારતમાં જ્યારે કોઈ એમ કહે કે ‘સુખી રહો,’ ત્યારે તે આશીર્વાદમાં ‘સાર્થક જીવો’નો ભાવ હોય છે. 

સુખ અને દુઃખના આ પાયાના તફાવતના કારણે પશ્ચિમની યુવા પેઢીમાં માનસિક ક્ષમતા નબળી પડી ગઈ છે જ્યારે આપણે ત્યાં સહનશીલતા સલામત છે. 

તરુણોમાં માનસિક સમસ્યાઓ કેમ વધી રહી છે? સુખ-સુવિધાઓ વધી છે પણ યુવાનોમાં એંગ્ઝાઇટી, ડિપ્રેશન, હતાશા, નકારાત્મકતામાં કેમ ઉમેરો થઈ રહ્યો છે? ‘બેડ થેરાપી’ નામના એક લોકપ્રિય પુસ્તકની લેખિકા અબિગેઇલ શ્રિયર કહે છે કે બની બેઠેલા મેન્ટલ હેલ્થ નિષ્ણાતોએ આજની પેઢીને માયકાંગલી બનાવી દીધી છે અને પેરેંટ્સને અપરાધભાવથી ભરી દીધા છે. માનસિક સ્વાસ્થ્યના નામે એક મોટો ધંધો વિકસી ગયો છે અને એમાં આખી પેઢી સહન કરી રહી છે.

પુસ્તકમાંથી મહત્ત્વનાં પાંચ તારણો :

૧. બાળકો શું “ફીલ” કરે છે અને તેઓ શું “વિચારે” છે તેની સતત ચિંતા કરવાથી નકારાત્મક અસરો પડી છે. લાગણીઓને વધુ પડતી પંપાળવાથી બાળકો આળાં થઈ ગયાં છે. બાળકો મનથી કોમળ નહીં કઠોર થવાં જોઈએ.

૨. બાળકોની જરા અમથી સમસ્યાઓને હલ કરવા માટે દોડી જવાની વૃત્તિથી તેઓ જાતે કશું કરી શકવા માટે અક્ષમ થઈ ગયાં છે, અને પોતાને કશું પણ થાય તો રાઈનો પહાડ કરી મૂકે છે. તેમને એવું માનવાની ટેવ પડી ગઈ છે કે દુનિયા તેમની આસપાસ ગોળ ફરે છે. એટલે તે સ્વાર્થી અને આત્મમુગ્ધ બની ગયાં છે.

૩. એક મજબૂત માનસિક સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસનો વિકાસ કરવા માટે જરૂરી છે કે બાળકો જાતે હાથપગ મારે અને જખ્મી થાય. વિચારો અને લાગણીઓનું વિશ્લેષણ કરવાથી માનસિક વ્યથાઓમાંથી મુક્ત ના થવાય, તેના માટે  જાતને કંફર્ટ ઝોનમાંથી બહાર કાઢીને જીવન જીવવા માટેના પડકારો ઝીલવા જોઈએ.

૪. સુખી થવાનો એક માત્ર રસ્તો સુખનું નિર્માણ કરવાનો છે. તેના માટે રોજ સવારે ઊઠીને મહેનત કરવી પડે. સુખની અવસ્થા સ્થાયી નથી. સતત મહેનત કરવાથી જે સંતોષ અને ખુશી આવે છે તે સુખનું કારણ બને છે.

૫. સૌથી સુખી અને સુલઝેલાં છોકરાં એ પરિવારમાંથી આવે છે જ્યાં પેરેંટ્સ ખૂબ પ્રેમાળ છે પણ નિયમો ય એટલા જ સખ્ત છે. “છોકરાંને કશું કહેવાનું નહીં”ની માનસિકતાથી તેમનું જ અહિત થયું છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 12 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શિક્ષણનો સર્વાંગી વિનાશ થયો છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 May 2024

રવીન્દ્ર પારેખ

એ સાચું છે કે દેખાવ સર્વાંગી વિકાસનો છે, પણ વાસ્તવિકતા એ છે કે પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી શિક્ષણ સુધી દરેક સ્તરે મૂલ્યોનું ધોવાણ થયું છે ને એ એકલદોકલનું કામ નથી, એમાં શિક્ષણ વિભાગથી લઈને શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓનો ફાળો છે. આ સહિયારું પાપ છે, એટલે તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ-ને ન્યાયે બધું ચાલે છે. એ ખરું કે શિક્ષણ વિભાગમાં પણ કોઈ શિક્ષણનું હિત ઇચ્છતા જ હશે, શિક્ષકો વિદ્યાર્થીઓ પાછળ મહેનત નહીં જ લેતા હોય એવું નથી કે કોલેજ, યુનિવર્સિટીઓ બધી જ નાહી નાખવા જેવી છે, એવું પણ નથી. તમામ સ્તરે શિક્ષણની ચિંતા હશે જ, પણ જેમ ચિંતા છે, એમ જ ઉદાસીનતા પણ છે જ ને તે મોટે પાયે હોય ત્યારે સહજ અપેક્ષા રહે કે એમાં દેખાવ ખાતર નહીં, પણ ખરા અર્થમાં સુધારો થાય. ક્યાંક પાયાનું કામ થતું જ હશે ને એ જ તો આશ્વાસન છે.

કોરોનાને કારણે માસ પ્રમોશન અપાયું, એ પછી લર્નિંગ લોસને કારણે માર્કસનો ફુગાવો વધ્યો કે ખરેખર વિદ્યાર્થીઓ વધુ હોંશિયાર થયા ને ટકાવારી વધી એ સમજાતું નથી, પણ પરિણામોની ટકાવારી એટલું તો સૂચવે જ છે કે આંક ફરકની રમતમાં શાલેય શિક્ષણ ઘણું આગળ ગયું છે. અગાઉ નાપાસને ઉપલા વર્ગમાં શિક્ષણ અપાયાની ઘટનાઓ બની છે, હવે નાપાસ જ ન થવા દેવા કે ઉપલા વર્ગમાં પહોંચવામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડે – એવી માનસિકતાથી શિક્ષણ વિકસી રહ્યું છે. માર્કસ આપવામાં શિક્ષકોની ઉદારતા બેફામ છે. હવે તો બોર્ડની એક્ઝામમાં પણ અંગ્રેજીમાં 100માંથી 100 માર્કસ આવે છે. એક સમય હતો જ્યારે ભાષામાં કોઈના જ 100માંથી 100 ન આવતા. આ વખતે જો કે, ગુજરાતીમાં 99 આવ્યા છે. એ તો ઠીક, પણ દાહોદ જિલ્લાની ધોરણ ચારની એક વિદ્યાર્થિની એટલી નસીબદાર નીકળી કે તેને આ વર્ષે ગુજરાતીમાં 200માંથી 211 માર્કસ મળ્યા. કદાચ ભૂલ હશે એવું કોઈને લાગે, પણ માર્કશીટ પર સહી સિક્કા છે. એ જ વિદ્યાર્થિનીને ગણિતમાં 200માંથી 212 માર્કસ મળ્યા છે. પરિણામ વાઇરલ થયું તો સ્કૂલે નવું પરિણામ બનાવ્યું ને માર્કસ 200થી ઓછા મૂકાયા.

માર્કસ ઓછા મૂકવા એવું કોઈ કહેતું નથી કે પાસ હોય તેને નાપાસ કરવા એવું પણ કહેવાનું નથી, પણ કોરોના આવ્યો તે અગાઉ 2020ની 10માંની બોર્ડની પરીક્ષા લેવાઈ ચૂકી હતી. તેનું પરિણામ ત્યારે 60 ટકા આવ્યું હતું. તે પરિણામ લાવવા ગણિત જેવામાં 80માંથી 5 માર્કસ આવ્યા હોય તેને ગ્રેસના 21 માર્કસ ઉમેરીને ઘણાંને પાસ કરવા પડ્યા હતા. આ વખતે ધોરણ 10નું પરિણામ 82.56 ટકા આવ્યું છે. એમાં ગ્રેસિંગ અપાયું છે કે કેમ તે નથી ખબર, પણ ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178, ગુજરાતી દ્વિતીય ભાષામાં 6,345, બેઝિક ગણિતમાં 1.04 લાખ, વિજ્ઞાનમાં 81,382, અંગ્રેજી દ્વિતીયમાં 44,703 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગુજરાત રાજ્યમાં ગુજરાતી માતૃભાષા હોવા છતાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ 10 વર્ષ માતૃભાષામાં શિક્ષણ લીધા પછી પણ નાપાસ થાય એ સૂચવે છે કે ભાષાની બાબતે શિક્ષણ વિભાગ કેટલો સજાગ છે. શિક્ષણ વિભાગના પરિપત્રો ગુજરાતીમાં બહાર પડે છે એનો આનંદ છે, પણ એની ભાષા ઘણીવાર એવી હોય છે કે પેલો આનંદ હવા થઈ જાય. એટલું ખરું કે લાખેક વિદ્યાર્થીઓ એક સમયે ગુજરાતીમાં નાપાસ થતા હતા, તે અડધા થયા છે, એટલે ભાષા અંગે આશ્વસ્ત થઈ શકાય એવું ખરું.

શિક્ષણમાં અગાઉ ન હતું એવું એક પરિબળ માર્કેટિંગનું ઉમેરાયું છે. વસ્તુ કે વ્યક્તિ વેચાણ માટે જ હોય તેમ તેની કિંમત નક્કી થઈ ચૂકી છે. ઊંચી ટકાવારી લાવનારના ફોટા વગેરે છપાય તેનો તો શો વાંધો હોય, પણ એ ફોટા છાપીને સ્કૂલો કે ટ્યૂશન કલાસો જાહેરાત દ્વારા આનંદની સાથે આવકના દાખલા નથી જ ગણતા એવું કહી શકાશે નહીં. એક સમય હતો, જ્યારે ટ્યૂશન આપવાં-લેવાંનો વિરોધ થતો હતો, હવે એક જ વિદ્યાર્થી એકથી વધુ વિષયનું ટ્યૂશન લેવા, એકથી વધુ કલાસોમાં વહેલી સવારથી દોડતો રહે એ પરથી એની હોંશિયારી મપાતી હોય તો નવાઈ નહીં. કેટલીક સ્કૂલો તો હવે હાજરી પૂરવાનું કે ફી ઉઘરાવવાનું જ કામ કરે છે ને શિક્ષણનું કામ એ જ સ્કૂલના શિક્ષકો એમના ખાનગી ક્લાસમાં જાહેર ફી ઉઘરાવીને કરતા હોય છે. પ્રમાણિક ભૂલો સમજી શકાય, પણ અમુક તમુક હેતુથી હરામની કમાણી કરવા શિક્ષણનો ને પરીક્ષાનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે તે અક્ષમ્ય છે. પ્રવેશ પરીક્ષાઓ મોટે ભાગે આવક ઊભી કરવાનું સાધન છે. એક જ રાજ્યની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તેવા વિદ્યાર્થીઓએ કારણ વગર પ્રવેશ પરીક્ષાઓમાં સંડોવાવું પડે, એમાં યુનિવર્સિટીઓ પોતે આપેલાં પરિણામોને જ ચેલેન્જ કરે છે અથવા તો તેનો હેતુ શિક્ષણેતર છે એમ માનવું પડે.

સાધારણ રીતે પરીક્ષામાં પાસ થવા માટે ખરી ખોટી રીતે વિદ્યાર્થીઓ પૈસા ખર્ચતા હોય છે, પણ ચોરી કરાવવા પણ પૈસા ખર્ચે તો આંચકો લાગે. એવો આંચકો નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) માટે 26 જેટલા વિદ્યાર્થીઓએ આપ્યો છે. મેડિકલમાં પ્રવેશ માટે ઊંચું મેરિટ આવે એ માટે પૈસા લઈને ચોરી કરાવવાનું કાવતરું ઘડાયું હતું. ગોધરા પોલીસે ઈમિગ્રેશન એજન્સી રોય ઓવરસીઝના પરશુરામ રોયની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને તેના સાથી આરીફ વોરા ફરાર છે. આ ત્રણે સામે નીટની પરીક્ષામાં ચોરી કરાવવા વિદ્યાર્થી દીઠ 10 લાખ વસૂલવાની વાત સામે આવી છે. 5 મેના એફ.આઇ.આર. મુજબ શિક્ષણ વિભાગની નિરીક્ષણ ટુકડી જય જલારામ સ્કૂલનાં નીટ પરીક્ષા કેન્દ્ર પર તપાસ માટે પહોંચી તો ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડેન્ટ તુષાર ભટ્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા પોલીસે જપ્ત કર્યા. તુષાર ભટ્ટના મોબાઈલની વૉટ્સએપ ચેટમાંથી વિદ્યાર્થીઓને ચોરી કરાવી વિદ્યાર્થી દીઠ દસ લાખ લેવાનું નક્કી થયું હોવાનું બહાર આવ્યું. તુષાર ભટ્ટ શિક્ષણની સાથે રાજકારણમાં પણ સંકળાયેલા છે. રાબેતા મુજબ એસ.આઇ.ટી.-સીટની રચના આ મામલે પણ કરવામાં આવી છે ને તેણે દસ્તાવેજી કાગળો, કોમ્યુટર, લેપટોપ વગેરે રૉય ઓવરસીઝની ઓફિસમાંથી કબજે કર્યાં છે. તુષાર ભટ્ટ અને પરશુરામ રૉય વચ્ચે ગાઢ મૈત્રી હોવાથી આ ષડયંત્ર શક્ય બન્યું. કાવતરું કરનાર તો કરે પણ, ચોરી કરાવવા દસ લાખ સુધીની રકમ મેડિકલમાં પ્રવેશવા ખર્ચનારા પણ છે એ વધારે આઘાતજનક છે. આવા ‘હોંશિયાર’ મેડિકલમાં પ્રવેશીને કેવી દાક્તરી કરશે તે સમજી શકાય એવું છે. આ બધું જ શિક્ષણમાં, શિક્ષણને નામે થઈ રહ્યું છે ને એનો છેડો દેખાતો નથી. સ્કૂલ, કોલેજમાં તો આ થાય જ છે, પણ યુનિવર્સિટી લેવલે પણ ઓછી બબાલ નથી.

નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) અંતર્ગત પરીક્ષા લેખિત લેવાના આદેશ છતાં, ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન આર્ટ્સ, કોમર્સ કોલેજે મૌખિક પરીક્ષા લઈને NEPનો તો ઉલાળિયો જ કર્યો છે. નવી એજ્યુકેશન પોલિસી લાગુ કરવામાં આવી ત્યારે બે બે ક્રેડિટના ત્રણ વિષયો ભારતીય સંસ્કૃતિ, કળા અને ઇતિહાસ વિષે જાણકારી મળી રહે ને તેની પરીક્ષાઓ ફરજિયાત પણે લેખિતમાં જ લેવાય એવો આદેશ હતો, પણ ગુજરાત યુનિવર્સિટીએ પહેલાં સેમેસ્ટરમાં ત્રણે વિષયોની પરીક્ષા મૌખિક રીતે લેવાનું નક્કી કર્યું. એનો ઊહાપોહ થતાં આ વિષયોની પરીક્ષા લેખિતમાં લેવાનું ઠરાવાયું. એ હિસાબે બીજા સેમેસ્ટરની ત્રણે વિષયોની પરીક્ષા લેખિતમાં લેવાવી જોઈતી હતી, પણ પરીક્ષાઓ મૌખિક જ લેવાઈ. અમદાવાદ નજીકની ધોળકા-વિરમગામની એક કોલેજમાં તો વિદ્યાર્થીઓની હાજરી પૂરીને માર્કસ આપી દેવામાં આવ્યા તો એક ખાનગી કોલેજમાં વિદ્યાર્થીઓના કાર્ડ ભેગા કરી માર્કસ મૂકીને કાર્ડ પરત કરી દેવાયા. વાલીઓએ પરીક્ષા લેવા અંગે પૂછ્યું તો તેમને કહેવાયું કે ઘરે જતાં રહો, અમે માર્કસ મૂકી દઇશું. આમ તો અન્ય યુનિવર્સિટીઓએ પરીક્ષાઓ લેખિતમાં લીધી જ છે, પણ ગુજરાત યુનિવર્સિટીએ નિયમોની ઐસી તૈસી કરીને મૌખિક પરીક્ષાઓ લઈને નવી એજ્યુકેશન પોલિસીને નિરર્થક ઠેરવી છે. કઈ યુનિવર્સિટી આઈ કાર્ડ જોઈને માર્કસ આપતી હશે તે નથી, ખબર, પણ ગુજરાત યુનિવર્સિટીએ ચહેરા જોઈને માર્કસ આપવાનું શરૂ કર્યું છે, તે શરમજનક છે.

જોઈ શકાશે કે પ્રાથમિકથી લઈને કોલેજ કે યુનિવર્સિટી કક્ષા સુધી ઘોર બેદરકારી, ષડયંત્ર અને હરામની કમાણી કરવાની નિર્લજ્જ યુક્તિ-પ્રયુક્તિઓ જ સક્રિય છે. માર્કસ એટલે બેફામ બનતા જતા આંકડાઓ જ માત્ર, એવી સમજ ઘર કરતી આવે છે, એનાથી પાસ થવાય છે, એડમિશન મળે છે, નોકરી મળે છે, પણ એને જ્ઞાન સાથે ખાસ લેવા દેવા નથી. કમનસીબી એ છે કે આ આંકડાઓ જ્ઞાન કે હોંશિયારીના સૂચક નથી. એમ પણ લાગે છે કે આંકડાઓ જ રાજ કરવાના હોય ને જ્ઞાન વગર પણ વધુ માર્કસ જ એક માત્ર હેતુ બચતો હોય તો ભણાવ્યા વગર કે સ્કૂલ કોલેજોમાં દોડાવ્યા વગર, ફી લઈને સીધાં જ જોઈતાં પ્રમાણપત્રો વેચવાં જોઈએ, કારણ, છેવટે તો એ જ એડમિશન કે વધુ પરીક્ષાઓ કે નોકરી માટેનો માપદંડ છે. પૈસા હોય તો નોકરી કરી શકાય છે, પૈસા હોય તો ચોરી કરી-કરાવીને પાસ થઈ શકાય છે, નેશનલ એજ્યુએશન પોલિસીની પણ પથારી ફેરવી શકાય છે, ચૂંટણી જીતી શકાય છે ને અભણ હોય તો પણ, મંત્રી થઈને આઇ.એ.એસ. કે આઇ.પી.એસ.ની મંતરી શકાય છે. ઘણી વાર તો લાગે છે કે પૈસાથી જ બધું થઈ શકતું હોય તો શિક્ષણની જરૂર જ શી છે? એ કેવી વિડંબના છે કે મગરનાં આંસુ, મગરને ન આવતાં, માણસને આવે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 મે 2024

Loading

आई : મરાઠી મારી માતૃ-ભાષા, મારી માની ભાષા

સંજય સ્વાતિ ભાવે|Profile|12 May 2024

સ્વાતિબહેન ભાવે – મેઘશ્રી ભાવે – સંજય ભાવે

પૂનાના મરાઠી પરિવારમાં જન્મ્યો એટલે મરાઠી મારી માતૃભાષા છે એ રૂઢ સમજ બરાબર છે. પણ માતૃભાષા વિભાવનાનો મારે મન એક વિશેષ અર્થ છે. મારી માતા(અને મારા પિતા)ને કારણે મને મળેલી, અને મારી મા – માતૃને કારણે મારામાં સારી રીતે સંગોપાયેલી ભાષા તે મારી માતૃભાષા મરાઠી.

મારાં आई અસલ મરાઠી કહેવતોનો ખજાનો હતાં. વાત કરતાં કરતાં તે વારંવાર કહેવતો વાપરતાં. હમણાં 27 એપ્રિલે आईના સ્મૃતિ દિને મેં અમદાવાદમાં રહેતા અમ ત્રણ ભાઈઓના બૃહદ્દ પરિવારના ગ્રુપમાં आई પાસેથી મને મળેલી પાંત્રીસેક કહેવતોની યાદી મૂકી. હું ચૂકી ગયો હતો તેવી પંદરેક કહેવતો મારા બે ભાઈઓએ ઉમેરી, અને મારી દીકરીએ તેની आजीनी બે કહેવતો નાખી. 

પછી અમસ્તો જ અમારી એચ.કે. આર્ટસ કૉલેજની લાઇબ્રેરીમાં વી.એન. નરવણે સંપાદિત ચાર ખંડોના વિશાળ भारतीय  कहावत संग्रहનાં પાનાં ફેરવતાં વળી મા વાપરતી હોય અને અમે જેને યાદ કરવાની ચૂકી ગયા હતા એવી બીજી દસેક હાથ લાગી. 

आई જૂની મૂડી સમા કેટલા ય શબ્દો પણ વાપરતી, જે અત્યારે અરૂઢ ગણાય, અથવા વપરાશની બહાર હોય. તે બધા મરાઠી સાહિત્યની નિવડેલી પહેલાંની કૃતિઓમાં અચૂક જડે. આટલાં વર્ષે આટલે દૂર રહ્યે પણ સાને ગુરુજી કે પુ.લ. દેશપાંડે વાંચતા એ શબ્દો માણી શકું છું એનું કારણ आई. 

મા થકી ભાષા બીજી પણ એક અજૂગતી રીતે આવી. મા  કામ કરતાં કરતાં રેડિયો પર કેટલાક મરાઠી કાર્યક્રમો અચૂક સાંભળતી. ઉત્તમ ગુણવત્તા ધરાવતા આ કાર્યક્રમો પંદરેક વર્ષ સુધી મારા કાને પડતા રહ્યા છે, અને શ્રવણ એ ભાષા-આકલનનું સહુ પ્રથમ અને પાયાનું માધ્યમ છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. 

आई-भाऊ સવારના મરાઠી સમાચાર સાંભળતા. તેની શરૂઆત ‘अंजनी नरवणे आपल्याला बातमम्या देत आहेत’ (અંજની નરવણે આપને સમાચાર આપી રહ્યાં છે) – એમ થતી. 

સિત્તેરના દાયકામાં રેડિયો પર સવારે હંમેશાં સાંભળવા મળતા વાક્યનો 16 ડિસેમ્બર 2019ના દિવસે જુદો સંદર્ભ મળ્યો. સમાચાર એ હતા કે ભારતીય ભૂમિદળના વડા – ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ, તરીકે જનરલ મનોજ નરવણેની વરણી થઈ છે, જનરલ નરવણે એ અંજની નરવણેના પુત્ર.

સમાચાર ઉપરાંત,અઠવાડિયામાં ત્રણ દિવસ प्रपंच નામે પંદર મિનિટનું રેડિયો નાટક આવે. ઘરઘરમાં પ્રિય એવા આ નાટકમાં મધ્યમ વય અને વર્ગનાં દંપતી(પ્રભાકર પંત અને મીના)નો, રોજબરોજના પ્રશ્નો વચ્ચે ચાલતો ઘરસંસાર હળવાશથી આપણી સમક્ષ કેવળ અવાજથી જીવંત થાય, ત્રીજું પાત્ર તે દંપતીના એક મિત્ર ટેકાડે ભાઉજી. હિન્દીના ‘હવામહેલ’ને કંઈક અંશે મળતો આવતો આ કાર્યક્રમ. રેડિયો-નાટક શબ્દ મરાઠીમાં ભાગ્યે જ વપરાય છે, સરસ શબ્દ ચલણમાં છે श्रुतिका. 

સવારે અગિયાર વાગ્યે મા कामगारांसाठी નામનો વિવિધ પ્રકારના મરાઠી ગીતોનો કાર્યક્રમ સાંભળતી. ગમતાં ગીતોના શબ્દો મેળવવા માટે અમદાવાદમાં તો કોઈ સાધન હતું જ નહીં, એટલે અનુકૂળ હોય ત્યારે હું કાગળ-પેન લઈને સાંભળતો. 

ત્યાર બાદ  બપોરે અઠવાડિયામાં ત્રણ દિવસ મહિલાઓ માટેના ‘વનિતામંડળ’, દર પંદર દિવસે ‘ગૃહિણી’ અને દર શનિવારે ‘આપલે માઝઘર’ નામના પોણા કલાકના કાર્યક્રમો આવે. તેમાં અપાર વૈવિધ્ય અને લોકકેળવણી મળે. માહિતીલક્ષી વાર્તાલાપ, શ્રુતિકા, કાવ્યપઠન, ગીતો, વાર્તાકથન, ઇન્ટવ્યૂઝ, સાંપ્રત સમીક્ષાપત્ર ને એવું કેટલું ય. રસોઈને ભાગ્યે જ સ્થાન હોય,તેને હું નિર્માતાની પ્રગતિશીલ સૂઝ ગણું છું. 

કાર્યક્રમોમાં ભાષા સહિત તમામ પાસાંની ગુણવત્તા આલા દરજ્જાની. આજકાલ એક કાર્યક્રમ  અમારા સ્નેહી પ્રા. જયંત જોશી સાંભળે છે અને મને મને કહે છે Sanjay, you must listen to this Vaneeta Mandal, what quality !’     

કિશોરો માટેનો એક કાર્યક્રમ જે આઈને પણ મારી સાથે સાંભળવો ગમતો તે રવિવારે સવારે આવતો ‘ગમ્મત-જમ્મત’. આ કાર્યક્રમ સહિત બધા કાર્યક્રમોની સિગ્નેચર ટ્યૂન્સ મને અત્યારે પણ યાદ છે. 

ઇચ્છા હોવા છતાં અનેક કારણોસર મરાઠી વાંચવાનું પ્રમાણમાં ઓછું થતું. મમ્મી સાંભળતી તે આ બધા કાર્યક્રમોએ મને સહજ અને આનંદદાયક રીતે મરાઠી ભાષા સાથે જોડેલો રાખ્યો. 

વળી, પાના પર છપાયેલા કે નાના પડદા પર ચિત્રાંકિત ન હોય તેવા, માત્ર શ્રાવ્ય, શ્રવણીય સ્વરૂપમાં પણ ઉત્તમ મરાઠી ભાષા અનેકવિધ લહેંકા-લઢણો, રજૂઆતો, શબ્દોના ઐશ્વર્ય અને સૌંદર્ય સાથે મારામાં ઊતરતી રહી. શ્રેય आईને. 

आई રોજ સાંજે હાથ-પગ-મોં ધોઈને, ફરીથી ચોટલો વાળીને તૈયાર થઈને ભગવાન આગળ દીવો કરતી (દીવો કરવાની એની વળી જુદી જ કલા!). પછી અમને પ્રાર્થના કરાવે, તેને માટે મરાઠીમાં  परवचा નામનો  શબ્દ રૂઢ છે. 

परवचाમાં ‘शुभंकरोति कल्याणम…’, ‘शान्ताकारम भुजंगशयनम..’, અને ‘वक्रतुंड महाकाय…’ શ્લોકો અને  रामरक्षा स्तोत्र સંસ્કૃતમાં, અને બીજા કેટલાંક મરાઠી સંસ્કાર-ભક્તિ મુક્તકો તેમ જ સમર્થ રામદાસના કેટલાક मनाचे श्लोक હોય. બધાંમાં સ્પષ્ટ ઉચ્ચાર, ઘૂંટાયેલો લય અને અપાર માધૂર્ય. परवचाનું એ સંધ્યામંગલ ટાણું મનમાં હંમેશાં જ જાગતું હોય છે.

કેટલાં ય વર્ષોથી ધર્મ, જાતિ, ભગવાન, કર્મકાંડ આ બધી ભાંજગડોમાંથી બહાર આવવાની મથામણ છે, ફુલે – આંબેડકર – ભગતસિંહની વિચારપ્રણાલીમાં મારી સમજ અને મર્યાદા મુજબ માનું છું. 

‘ટાઇમ્સ’ના નોંધપાત્ર કૉલમિસ્ટ સ્વામિનાથન્‌ ઐયર પાસેથી મને મળેલા, અને કેટલાંક જેની સાથે અસંમત હોય તેવા શબ્દ liberal atheist તરીકે ઓળખાવવાનું પસંદ કરું છું; ત્યારે પણ કેટલીક વાર દીવાટાણે એકલા એકલા आईની પાસેથી આવેલું परवचा બોલવાનું બહુ ગમે છે. નાભિસંબંધ એટલે આ જ હશે ને ? 

અમારો પરિવાર કોકણસ્થ બ્રાહ્મણ. વર્ષો લગી એનો વસવાટ અત્યારે પણ આ સમુદાયના ગઢ  ગણાતા શનિવાર-સદાશિવ-નારાયણ પેઠ નામના રહેણાંક વિસ્તારમાં. આ પરિવારો અત્યારે પણ બીજી ઘણી બાબતોની જેમ મરાઠી ભાષાની બાબતમાં આગ્રહી, ક્યારેક દુરાગ્રહી પણ ખરા. 

પુ.લ. દેશપાંડેએ એક માતબર લલિત નિબંધમાં લખ્યું છે તેમ, शुद्ध मराठी या नावाची (એ નામની) एक पुणेरी बोली એ આ કોકણસ્થ બ્રાહ્મણો થકી ઊભી થયેલી. મારાં आई કોકણસ્થ પરિવારના વિમલ તામ્હણકર.એટલે ભાષા મૂળભૂત રીતે રૂઢ અર્થમાં ધોરણસરની. 

તેમાં ય એક જમાનામાં કોકણસ્થોનું પ્રભુત્વ ધરાવતી અને અત્યારે પણ ખૂબ પ્રતિષ્ઠિત એવી  હુજૂરપાગા કન્યાશાળામાંથી મૅટ્રિક થયેલી. તેણે એસ.ટી.સી. – સેકન્ડરી ટીચીન્ગ કોર્સ નામનો કોર્સ પણ કરેલો. 

પૂનાના વસ્તારી કુટુંબના કપરા ઘરસંસારમાં, મોટા ભાગની ભારતીય મહિલાઓની, आईનું  વાંચવાનું અટકી ગયું હોવું જોઈએ. જો કે 1971થી 1978 લગી અમારા અમદાવાદના મેઘાણીનગરના અમારા ઘરે આવતાં ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ અખબાર અને ‘કિસ્ત્રીમ’ તરીકે જાણીતાં ‘કિર્લોસ્કર’-‘સ્ત્રી’-‘મનોહર’ માસિકો, મારાં માટેનાં ‘કિશોર’ અને ‘ચાંદોબા’ (મરાઠી ‘ચાંદામામા’) વાંચતી.     

કેટલુંક મારી પાસે વંચાવતી, વાંચનમાં થતી ભૂલો સુધારતી. અઠવાડિયામાં ચાર દિવસ તેણે શોધેલા કે લખાવેલા ફકરાઓનું સ્લેટ પર ‘શુદ્ધલેખન’ (સુલેખન) કરવાનું, તેમાંની ભૂલો એ સુધારે, જો કે સમજાવી ન શકે. શુદ્ધલેખન અને ઘડિયા લખ્યા પછી ‘ખાઉ’ મળે. 

भाऊ એમ.જે. લાઇબ્રેરીમાંથી મરાઠી પુસ્તકો લાવતાં. બપોરે આડી પડીને आई તે વાંચવા લાગતી, ને વાંચતાં વાંચતા સ્વાભાવિક રીતે જ સૂઈ જતી. મારી આ આદત એની પાસેથી આવી  હોવી જોઈએ.

आई ગુજરાતીમાં સ્વયંશિક્ષિત. અડોશ-પડોશ, કામવાળા અને ફેરિયાવાળા સાથે વાત કરતાં કરતાં અહીંની ભાષા શીખી. ‘ગુજરાત સમાચાર’માંથી મોટા સમાચાર વાંચતી. પપ્પા છાપેલું-લખેલું ગુજરાતી બરાબર સમજે, પણ બોલે એટલે હસાવે. પૂનાથી આવીને ગુજરાતમાં ચાળીસ વર્ષ વીતાવવા છતાં आई-भाऊ અમારાં ઘરમાં મરાઠી અને માત્ર મરાઠી જ બોલતાં, પૂનાનું મરાઠી.   

आई નિરાંતે થોડાં થોડાં પુસ્તકો વાંચતી થઈ એ તો તેની હરવા-ફરવાની ક્ષમતા ઘટી અને પથારીવશ થવા લાગી ત્યારે. એને હું હળવા ગદ્યના ટૂંકા લેખોના સંચયો આપતો, જેમાંથી તે તેની મરજી મુજબ વાંચતી. 

‘નવગુજરાત સમય’માં આવતા મારા લેખો તેનાં સમય અને શક્તિ મુજબ તેની સંભાળ રાખનારાં નાનુબહેનને વાંચી સંભળાવતી. સાવ પથારીવર્ષ વર્ષોમાં પણ તે પુસ્તકો વાંચવાની કોશિષ તો કરતી, અને ખબર નહીં કેમ પણ અંગ્રેજી અખબાર ‘અમદાવાદ મિરર’ના પહેલાં પાને આવતા ટેમ્પરેચરના આંકડા તે ખાસ છાપું તેની પાસે મગાવીને જોતી ! 

મારા લેખો-અનુવાદો છપાય છે, તેનું મારા આખા બૃહદ્દ પરિવારને ગૌરવ. પુસ્તકની પહેલી પ્રત आईને પગે લાગીને આપવાની. મેં લખેલી બે પરિચય પુસ્તિકાઓ અને મારા ત્રણ અનુવાદિત પુસ્તકોની એક-એક નકલ તેના કબાટમાં રાખતી. 

એમાંથી કેટલાક હિસ્સા એણે વાંચ્યા પણ હતા. ક્યારેક તે એમાંથી એકાદ મૂળ પુસ્તક પણ મારી પાસે મગાવતી. કદાચ ચકાસવા માગતી હશે કે માતૃ – ભાષાના પુસ્તકને દીકરો હવે જે એની પહેલી ભાષા (first language) બની ગઈ છે એમાં બરાબર લઈ ગયો છે કે નહીં!

મળી માતૃ – ભાષા મને મરાઠી ! 

માતૃદિન, 12 મે 2024
(1,100 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...703704705706...710720730...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved