Opinion Magazine
Number of visits: 9457395
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું ન્યાય, પીડિત કે ગુનેગારના ધર્મ / જાતિના આધારે લાગુ થાય તો તે બંધારણની હત્યા નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|9 January 2024

આજીવન કેદની સજા ગોધરા સબજેલમાં ભોગવતા 11 બળાત્કારીઓ / હત્યારાઓને ગુજરાત સરકારે ‘સજામાફીની નીતિ’ હેઠળ 15 ઓગસ્ટ 2023ના રોજ વહેલા મુક્ત કર્યા હતા, તે અંગે દેશભરમાં ઊહાપોહ થયો હતો ! સજામાફીની પેનલે એવો અભિપ્રાય આપેલ કે “ગુનેગારો ‘સંસ્કારી બ્રાહ્મણ’ છે અને તેમણે જેલમાં 14 વર્ષ જેટલો સમય વીતાવ્યો છે તથા તેમનું જેલમાં સારું વર્તન રહ્યું છે.” આ બાબતે સરકારની તીવ્ર આલોચના થઈ હતી ! દોષિતો જસવંતલાલ નાઈ / ગોવિંદ નાઈ / શૈલેશ ભટ્ટ / રાધેશ્યામ શાહ / બિપિનચંદ્ર જોશી / કેસરભાઈ વોહાણિયા / પ્રદીપ મોરઢિયા / બકાભાઈ વોહાણિયા / રાજુભાઈ સોની / મિતેશ ભટ્ટ અને રમેશ ચંદાનાને છોડી મૂકાયા હતા. દોષિતો જેલમાંથી બહાર આવતાં જ તેમનું હારતોરાથી સ્વાગત થયું હતું, તિલક કરવામાં આવ્યા હતાં અને મીઠાઈ વહેંચવામાં આવી હતી ! જેથી ભારે વિરોધ થયો હતો ! તેમાંથી ઘણા દોષિતો સત્તાપક્ષના સાંસદો અને ધારાસભ્યો સાથે અનેક કાર્યક્રમોમાં સ્ટેજ પર શોભામાં અભિવૃદ્ધિ કરી હતી !

8 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રિમકોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે ઠરાવેલ છે કે ‘કેસ મહારાષ્ટ્રમાં ચાલ્યો હતો તેથી ગુજરાત સરકાર વહેલી સજામુક્તિ આપી શકે નહીં, માત્ર મહારાષ્ટ્ર સરકાર જ આપી શકે !’ સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ્દ કર્યો છે અને બે અઠવાડિયાની અંદર 11 દોષિતોને જેલ ઓથોરિટી સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો છે.

વર્ષ 2002માં ગુજરાતના રમખાણો દરમિયાન દોષિતોએ બિલકીસ બાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. તે વેળાએ બિલકીસની ઉંમર 20 વરસની હતી.

બળાત્કારીઓ / હત્યારાઓની સજામાફી સામે ભોગ બનનાર બિલકીસ બાનો, ઉપરાંત સી.પી.આઈ.(એમ)નાં નેતા સુભાષિની અલી, પત્રકાર રેવતી લૌલ, લખનૌ યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રૂપ રેખા વર્મા અને તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રાએ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારના નિર્ણયને પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ મામલો CBI ને સોંપ્યા બાદ 2004માં કેસમાં પ્રથમ ધરપકડ કરાઈ હતી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને 21 જાન્યુઆરી 2008ના રોજ મુંબઈની CBI અદાલતે આરોપીઓને આજીવન કેદની સજા થઈ હતી. બોમ્બે હાઈકોર્ટે સજા યથાવત રાખી હતી. એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસ બાનોને વળતર પેટે રુપિયા 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો અને બિલકીસ બાનોને સરકારી નોકરી તથા તેમના માટે રહેઠાણની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. બિલકીસ પર સામૂહિક બળાત્કારની ઘટનામાં પુરાવા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરનાર પોલીસ અધિકારીઓને સજા થતાં તેમના પેન્શન વગેરે લાભો સરકારે પરત લઈ લીધાં હતા.

બિલકીસની વેદના છે કે “પોલીસ અને તંત્રે હંમેશાં હુમલાખોરોનો સાથ આપ્યો છે !”

થોડાં પ્રશ્નો : 

[1] બળાત્કારીઓ / હત્યારાઓને ફરી જેલમાં જવું પડે, તે ગુજરાત સરકાર માટે શરમજનક ઘટના કહેવાય ! સુપ્રિમ કોર્ટનો આ ચૂકાદો સત્તાપક્ષની મહિલાઓ પ્રત્યે ઘોર અવગણના છતી નથી કરતો? હાલ મહારાષ્ટ્રમાં સત્તા પક્ષની સરકાર છે એટલે બે અઠવાડિયામાં આ 11 ‘સંસ્કારી’ ગુનેગારોની જેલમુક્તિને બહાલ કરી પણ આપે ! આ તો મામા નહીં પીરસે, માસી પીરસશે, એવો ખેલ નહીં થાય? શું સુપ્રિમ કોર્ટને આવો અંદાજ નહીં હોય? 

[2] સુપ્રિમકોર્ટનો આ ચૂકાદો, હત્યારાઓ / બળાત્કારીઓને જેમણે હારતોરા પહેરાવ્યાં / તિલક કરી, મીઠાઈ વહેંચી સન્માન કર્યું; તેમના ગાલ પર તમાચો નથી? 

[3] શું ગુનેગારો ‘સંસ્કારી બ્રાહ્મણ’ હોય એટલે માફ કરવાના? દોષિત ગુનેગારોને ‘સંસ્કારી’નું સર્ટિફિકેટ આપવું તે સજા કરનાર કોર્ટનું અપમાન નથી? 

[4] સત્તાપક્ષ બળાત્કારીઓને / હત્યારાઓને શા માટે પોતાના કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડતા હશે? શું બહુમતી હિન્દુઓને ખુશ કરી તેમના વોટ મેળવવા? 15 ઓગસ્ટ 2022ના રોજ સજામાફી કરી અને ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણીમાં સત્તાપક્ષે 182માંથી 156 બેઠકો મેળવી લીધી ! 

[5] સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે “CrPC કલમ-432 મુજબ જ્યાં ગુનો બન્યો, જ્યાં ગુનેગારો જેલમાં છે, તે irrelevant છે; પરંતુ જ્યાં ટ્રાયલ થઈ, જ્યાં સજા થઈ, ત્યાંની સરકાર જ appropriate government છે. સજા મુંબઈની અદાલતે કરી છે તેથી ગુજરાત સરકાર સજામાફીનો નિર્ણય ન કરી શકે. કલમ-432 / 433 મુજબ સજા કરનાર કોર્ટનો અભિપ્રાય લેવો જોઈએ તે પણ ગુજરાત સરકારે લીધેલ નથી. ગુજરાત સરકાર ગુનેગારો સાથે મળી ગઈ હતી. દોષિત રાધેશ્યામ શાહે સુપ્રિમ કોર્ટ સાથે છેતરપિંડી કરી છે, તેણે મહત્ત્વના તથ્યો છૂપાવ્યા હતા. દોષિતો 14 વરસ જેલમાં રહ્યા પરંતુ તેમને બહુ ઉદારતાથી ફર્લો / પેરોલ પર છોડવામાં આવ્યા હતા, તે બાબત ધ્યાને લેવી જોઈએ. ગુજરાત સરકારે પોતાના અધિકારની બહાર કામ કર્યું. સત્તાનો ખોટો ઉપયોગ કર્યો.” શું ગુજરાત સરકાર શરમ અનુભવશે? આજીવન સજાના કેદીઓને કઈ જેલમાં રાખવા તે પણ જેલ મેન્યુઅલમાં છે. સેન્ટ્રલ જેલ સિવાય તેમને રાખી શકાય નહીં. છતાં તેમને ગોધરાની સબ-જેલમાં રાખેલ હતા ! ગુજરાત સરકારની કૃપા જ કહી શકાય ને? 

[6] ઘટના બની 3 માર્ચ 2002ના રોજ અને આરોપીઓની ધરપકડ CBI ને કેસ સોંપ્યા બાદ 2004માં થઈ ! 2002થી 2004 સુધી ગુજરાત પોલીસે આરોપીઓને છાવર્યા, શું ગુજરાત પોલીસ માટે આ શરમજનક નથી? ગુજરાતની કોર્ટ બિલકીસને ન્યાય આપી શકે તેમ નહતી તેથી જ સુપ્રિમકોર્ટે આ કેસ મહારાષ્ટ્રની કોર્ટને સોંપ્યો હતો, શું આ બાબત ગુજરાતના ન્યાયતંત્ર માટે શરમજન ન કહેવાય? ગુજરાત સરકારે 50 લાખનું વળતર એટલે ચૂકવવું પડ્યું કે સરકારે / તંત્રએ બિલકીસને હેરાન-પરેશાન કરી મૂકી હતી; શું સરકાર માટે આ શરમજનક નથી? કોઈ પણ સરકાર આટલી સંવેદનહીન હોઈ શકે? ‘પોલીસ અને તંત્રે હંમેશાં હુમલાખોરોનો સાથ આપ્યો છે !’ બિલકીસની આ વેદનામાં ભારોભાર સત્ય નથી? યાદ રહે, આ બધી ઘટનાઓ બની ત્યારે હાલના વડા પ્રધાન, એ સમયે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ! 

[7] શું ન્યાય, પીડિત કે ગુનેગારના ધર્મ / જાતિના આધારે લાગુ થાય તો તે બંધારણની હત્યા નથી?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારતનો પહેલો અને છેલ્લો ફિલોસોફર સમ્રાટ : પ્રિયદર્શી અશોક

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 January 2024

રાજ ગોસ્વામી

ગ્રીક વિચારક પ્લેટોએ કહ્યું હતું કે રાજા તત્ત્વજ્ઞાની (ફિલસૂફ) હોવો જોઈએ. ‘રીપબ્લિક’ નામના તેના પુસ્તકમાં તેણે એવા ધર્મજ્ઞાની શાસકની કલ્પના કરી હતી, જેનામાં રાજનૈતિક સત્તા અને ચિંતનાત્મક જ્ઞાન બંનેની ક્ષમતા હોય. પ્લેટોનો તર્ક એવો હતો કે ફિલસૂફો સત્તાનો ગેરઉપયોગ કરવાની વૃતિથી મુક્ત હોય છે, બૌદ્ધિક રીતે શ્રેષ્ઠ હોય છે અને રાજ્યના કલ્યાણ માટે તેમના જ્ઞાનનો ઉપયોગ કરે છે.

ભારતમાં આવા કોઈ શાસકને જો પ્લેટોના માપદંડ પર મુકવામાં આવે તો, સમ્રાટ અશોક તેમાં ખરા ઉતરે. ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણકાંઠા, તથા મૈસૂર સુધી અને પૂર્વમાં હાલના બાંગ્લાદેશથી પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલા મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોક(રાજ્યકાળ ઈ.સ. પૂર્વે ૨૬૮-૨૩૨)નાં વિચારો અને ભાવનાઓ તેમના અસંખ્ય શીલાલેખો પરથી ખબર પડે છે.

તેમાં તેમના પાંચ પ્રકારના લેખ તૈયાર કરવામાં આવ્યાં હતા અને તેમના સામ્રાજ્યમાં અલગ અલગ સ્થાનો પર શીલાઓ પર કોતરવામાં આવ્યા હતા. તેમાંથી દ્વિતીય શીલાલેખમાં અશોકનો એ વિચાર લખવામાં આવ્યો હતો, જે પ્લેટોના રાજાની કલ્પનાને મળતો આવે છે. અશોક એમાં લખે છે; “ધમ્મા સારો છે. અને ધમ્મા એટલે શું? તેમાં ઓછા દોષ અને બહુ બહુ બધાં સત્કર્મો, દયા, દાન, સચ્ચાઈ અને શુદ્ધતા છે.” અહીં ધમ્માનો અર્થ ધર્મ નથી, પણ અશોક નૈતિક સંહિતાની વાત કરે છે કે રાજાથી લઈને રંક સુધી સૌને લાગુ પડે છે. 

આ અર્થમાં, શ્રીલંકાના સંસ્કૃતના વિદ્વાન પેટ્રિક ઓલિવેલેએ, તાજેતરમાં સમ્રાટ અશોક પર લખેલા સુંદર જીવનચરિત્ર્યનું શીર્ષક ‘અશોક : પોટ્રેટ ઓફ અ ફિલોસોફર કિંગ’ આપ્યું છે. ઓલિવેલે કહે છે કે, “ઇતિહાસમાં બીજા સમ્રાટો કરતાં અશોક એટલા માટે અનોખા છે કારણ કે માત્ર પ્રાચીન નહીં, આધુનિક ઇતિહાસમાં પણ આપણને એવા રાજકારણી કે સત્તાધારી માણસો જડતા નથી, જેમણે ભૂતકાળમાં તેમણે કરેલાં કામો માટે પ્રશ્ચાતાપ કર્યો હોય. બીજું, નૈતિક ફિલસૂફી અંગે અને લોકોએ કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તેના અંગે અશોકનાં લખાણો મળે છે; પણ શાસનને લઈને તેમનું કોઈ લખાણ નથી. તે કરવેરાની વાતો નથી કરતા, તે રાજ્યમાં ધન ક્યાંથી આવે છે તેની વાત નથી કરતા. એ અર્થમાં તે અનોખા છે.”

અશોક માટે “ફિલોસોફર કિંગ” શીર્ષક એટલા માટે ઉચિત છે કારણ કે તે એક ક્રૂર વિજેતા શાસક હતા અને પછી બૌદ્ધ ફિલસૂફી અને સિદ્ધાંતોથી તેમનું હૃદય પરિવર્તન થયું હતું. ખાસ કરીને કલિંગ યુદ્ધમાં હિંસા અને બરબાદી જોઇને શાસન પ્રત્યેના તેમના અભિગમમાં ઊંડો વળાંક આવ્યો હતો. પોતાના વિજયોને કારણે થયેલી અપાર વેદના અને જાનહાનિને જોતા, અશોકે આધ્યાત્મિક અને નૈતિક જાગૃતિનો અહેસાસ કર્યો હતો. આ પરિવર્તન તેમને બૌદ્ધ ધર્મના ઉપદેશોને સ્વીકારવા તરફ દોરી ગયું, જે કરુણા, અહિંસા અને નૈતિક આચરણ પર કેન્દ્રિત ફિલસૂફી હતી.

માત્ર સમ્રાટ અશોક જ નહીં, તમે ઇતિહાસના કોઈ પણ મહાન સમ્રાટોનાં જીવન વાંચો, તેમણે રાજ્યનો વિસ્તાર કરવા માટે અને તેને સમૃદ્ધ કરવા માટે એવાં એવાં કરતૂત કર્યા છે કે લોકો આજે પણ તેમને માફ કરી શકતા નથી. અશોક કદાચ એક માત્ર સમ્રાટ છે જે, જેને ઇતિહાસે માફ કરી દીધા છે એટલું જ નહીં, તેમને જ્ઞાની પુરુષનો દરજ્જો પણ આપ્યો છે. તેનું કારણ એટલું જ છે કે અશોકને ખુદને તેમની ભૂલ બદલ પસ્તાવો થયો હતો. જે જાતે પ્રશ્ચાતાપ કરે છે તેને દુનિયા માફ કરી દે છે.

જેમ કે, ગ્રીસના સમ્રાટ એલેક્ઝાન્ડરને વિશ્વના સૌથી મહાન શૂરવીર તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જ તેના નામ પાછળ “ધ ગ્રેટ એલેક્ઝાન્ડર” લાગે છે, પરંતુ સિંહાસન મેળવ્યા પછી તેણે તેના પિતાના પ્રિયજનોને મારી નાખ્યા જેમનાથી તેને સત્તા જતી રહેવાનો ડર હતો. એટલું કે તેણે તેના પિતાની અન્ય પત્નીઓને પણ છોડી ન હતી અને તેમનાં નાના બાળકોને પણ મારી નાખ્યાં હતાં, જેથી મોટા થઈને સિંહાસન માટે દાવો ના કરે ખતરો બની શકે. તે એવો રાજા હતો જેણે એકવાર દારૂના નશામાં આખા શહેરને બાળી નાખવાનો આદેશ આપ્યો હતો.

બીજું ઉદાહરણ અકબરનું છે. જ્યારે પણ મહાન મુઘલ સમ્રાટોનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે સમ્રાટ અકબરનું નામ સૌથી ઉપર આવે છે. આવે જ ને, આપણો અડધો ઇતિહાસ મુઘલોના પુસ્તકોમાંથી આવે છે. અબુલ ફઝલ નામના મુઘલ ઇતિહાસકાર અકબરને પ્રજાલક્ષી રાજા તરીકે વર્ણવે છે, પરંતુ તેની ચતુરાઈ એ હતી કે તેના હરમમાં સોથી વધુ મહિલાઓ હતી.

એવું કહેવાય છે કે રાજધાનીની આસપાસનો કોઈ પણ છોકરો કુંવારી છોકરી સાથે સંબંધ બાંધતા માંગતો હોય તો અકબરની પરવાનગી લેવી પડતી. સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે તેમણે પોતાની પુત્રી કરતાં નાની ઉંમરની રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેમાંથી અડધી રાજકુમારીઓ હરેમમાં રહેતી હતી, જ્યાં સમ્રાટ સહિત અન્ય દરબારીઓ તેનો ઉપયોગ કરતા હતા. પરંતુ ઇતિહાસે તેમને માફ કરી દીધા કારણ કે તેમણે તેમની તમામ લડાઈઓ જીતી હતી, મુઘલ સામ્રાજ્યને વિશાળ બનાવ્યું હતું અને શાસન વ્યવસ્થામાં કેટલાક સારા ફેરફારો કર્યા હતા.

બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપિયનો જેમની પૂજા કરતા થયા હતા અને ભારતીયો જેને આધુનિક યુગના મહાન નેતા માને છે તે બ્રિટિશ પ્રધાન મંત્રી વિન્સ્ટન ચર્ચિલે તેમના ઘમંડ અને તુચ્છતાના ભાવના કારણે ભારતના લાખો લોકોને ભૂખમરામાં મરવા દીધા અને બ્રિટિશ ગોદામોને ભારતીય અનાજથી ભર્યા હતાં.

સમ્રાટ અશોક આ બધાથી અલગ પડે છે. તેમનો શાસનકાળ બે ભાગમાં વહેંચાયેલો છે અને એ પ્રમાણે જ તેમનું મૂલ્યાંકન થાય છે. એક, ચાંડાશોક અને બે, બુદ્ધશોક. ચાંડાશોક તેમની ક્રુરતાનો કાળ છે. ચાંડાલ પરથી તેમના માટે ચાંડાશોક થયો હતો તેમ કહેવાય છે.

આ અશોક કલિંગ યુદ્ધ પહેલાનો છે, અને તેના માટે સિંહાસન જ બધું હતું. સિંહાસન પર બેસવા માટે પોતાને યોગ્ય બનાવવા માટે, તેમણે પાટલીપુત્રમાં પોતાની ક્રૂર તાકાત બતાવી અને વિવાદોને  ટાળવા માટે, તેણે સત્તાના અન્ય તમામ દાવેદારોને મારી નાખ્યા હતા. તે માનતો હતો કે આવું ક્રુરતા પાપ નથી, રાજધર્મ છે.

કલિંગના યુદ્ધ પછી અશોક ભગવાન બુદ્ધનો અહિંસા અને શાંતિનો માર્ગ અપનાવ્યો હતો તે તેમનો બીજો કાળ છે. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળથી, કલિંગ તેની લશ્કરી શક્તિ, સિલોન અને જાવા જેવા પ્રદેશો સાથેના વેપારી સંબંધો માટે પ્રખ્યાત હતું. કલિંગની સમૃદ્ધિના આ જ કારણોસર અશોક કલિંગ પર વિજય મેળવવા અને પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે પ્રેરિત થયો હતો. 

ઇતિહાસના આ ભયંકર યુદ્ધમાં, અશોક માત્ર જીત્યો જ નહીં, પરંતુ યુદ્ધમાં 1,00,000 સૈનિકો માર્યા ગયા અને કલિંગના 1,50,000 સૈનિકો મૌર્યોના કેદી બન્યા, જેઓ પાછળથી મૃત્યુ પામ્યા હતા. 

યુદ્ધમાં વિજયી થયા પછી પણ, અશોક કલિંગની બગડતી સ્થિતિ, લોહી, વેદના અને લોકોના આંસુ જોઈને દુઃખ અને નિરાશાથી ભરાઈ ગયો હતો. આ દુઃખને દૂર કરવા માટે, તે બુદ્ધના ઉપદેશોની નજીક આવ્યો અને છેવટે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. તે પછી હિમાલયથી સિલોન અને ગ્રીસથી બર્મા સુધી બૌદ્ધ ધર્મના પ્રસારમાં સમ્રાટે મહત્વની ભૂમિકા ભજવી હતી. અશોકે પોતાને વચન આપ્યું હતું કે તે ક્યારે ય હિંસાના માર્ગ પર નહીં ચાલે. તેણે સામ્રાજ્યના લશ્કરી વિસ્તરણનો અંત આણ્યો અને આ કારણોસર અશોકના રાજ્યારોહણ પછી કલિંગ યુદ્ધ પ્રથમ અને છેલ્લું યુદ્ધ બન્યું.

એટલા માટે તેને મહાન અશોક કહેવામાં આવે છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 07 જાન્યુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મામા નાથાલાલ દવેનાં સ્મરણો  

સરયૂ મહેતા-પરીખ|Opinion - Opinion|9 January 2024

ગુજરાતી સાહિત્યના ગાંધીયુગ (૧૯૧૫-૧૯૪૫) દરમિયાન અનેક કવિઓ ગાંધીજીની અસર તળે આવ્યા અને તેની સીધી અસર તેમનાં જીવન-કવન પર પડી. તે સમુદાયમાં ચાર ભાવનગરી કવિજનો કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રેમશંકર ભટ્ટ, પ્રહ્લાદ પારેખ અને નાથાલાલ દવેનો સમાવેષ થાય. ચારેયનો જન્મ ૧૯૧૧-૧૯૧૨ના અરસામાં એટલે તે સૌ સમવયસ્ક.

નાથાભાઈનાં કવયિત્રી ભાણી સરયૂ મહેતા-પરીખ એક કવિજન તેમ જ આત્મજન તરીકે કવિનું અહીં નીજ જીવન દર્શન રજૂ કરે છે.   

— કનક રાવળ

•••

સરયુ મહેતા-પરીખ

અમારું બાળપણ નાનાજી વૈદ ભાણજી કાનજી અને મામાના વિરભદ્ર અખાડા સામેના ઘરમાં પાંગરેલું. નિર્દોષ ભોળી આંખો પૂજ્ય મામાને અહોભાવથી નિહાળતી. એ સમયે ભાવનગરની બહાર હોવાથી, જ્યારે પણ અમારે ત્યાં એ આવતા, ત્યારે ખાસ પ્રેમપૂર્વક મારાં બા તૈયારી કરતાં હોય એ જોવાનો લ્હાવો હતો.

હું આઠેક વર્ષની હતી તે દિવસોમાં મેં ઊભો સોમવાર કરેલો. મામાને લોકોની સમજ્યા વગર અંધશ્રદ્ધાથી વ્રતો કરવાની રીત સામે સખત અણગમો હતો. મારો હાથ ખેંચીને નીચે બેસાડી દેવાની રમત-રકઝકની યાદ આવતાં હજી પણ મારા ચહેરા પર હાસ્ય ફરકે છે. ખાદીનાં સફેદ વસ્ત્રો, ગોરો વાન અને સુંદર ચહેરાવાળા મારા મામા, નવલકથાના નાયક જેવા દેખાતા. ઘણી વખત કવિ સંમેલન, શિબીરમાં કે અમારી શાળામાં કવિતાની સુંદર રજૂઆત પછી શ્રોતા ગણની પ્રશંસા સાંભળીને મામા માટે ગૌરવનો અનુભવ થતો.

પાઠ્યપુસ્તકમાં ‘પિંજરના પંખીની વાત’, ‘મૌસમ આવી મહેનતની’ એમની સહજ ઓળખાણ માટે પૂરતું હતું. વિનોબાજીની ભાવનગરની મુલાકાત વખતે મામાનાં લખેલાં ગીતો ગવાયેલાં. વિરાણી સ્પર્ધા હોય કે અન્ય કોઈ પ્રસંગ, હું મામાની રચનાઓ, ‘અષાઢના તારા રે, આભ ભરીને ઊગિયા શા?’ કે ‘આજ આભમાં આનંદ ના સમાય રે, ઢળે રૂપેરી ચાંદની’ સમાં ગીતો સૌને ગમશે એ વિશ્વાસ સાથે ગાતી.

નાથાલાલ દવે

મારા પતિ દિલીપના કુટુંબમાં મામા ઘણી વખત કાવ્યરસ વહેંચતા અને અમે હજી પણ સાથે ગાઈ ઊઠીએ ‘હવામાં આજ વહે છે ધરતી કેવી ખુશખુશાલી’.

મારાં બા, ભાગીરથી, એક બાલિકા વધૂ, ચાર ચોપડી પણ પૂરી નહીં કરેલ અને ગામડામાં ગૃહ સંસારમાં મૂંઝાતાં હતાં, ત્યારે તેમના ભાઈ કવિ નાથાલાલ દવે બહેન ભાગીરથીને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચવા મોકલતાં, જે એમને આત્મશ્રદ્ધા અને જાગૃતિના રસ્તે દોરી ગયાં, અને અઢાર વર્ષની ઉંમરે બાએ ફરી ભાવનગરની શાળામાં ભણવાનું શરૂ કરી કોલેજ સુધી અભ્યાસ કરી, હાઈસ્કૂલમાં શિક્ષિકા બન્યાં. નાનાજી અને પરિવારનાં લગભગ બધાં સભ્યોના વિરોધ સામે ટકી રહેવા એમને અમારા મામાનો સતત સહારો હતો.

એક પ્રસંગે હું હતાશ થયેલી ત્યારે મારી સામે સ્થિર નજર કરી મામાએ કહેલું, “Be brave.” એ બે શબ્દો મને ઘણી પરિસ્થિતિઓમાં આજે ય આવીને મનમાં ગુંજતા અને હિંમત આપતા રહ્યા છે.

મામા ક્યારેક બગીચામાંથી ફૂલ લઈ આવી મામીને આપતા કે એમની લગ્નતિથિને દિવસે કંકુની ડબ્બી અને લાલ સાડી આપતાં હોય એવી રસિક પળો જોઈ છે. તેમ જ મામી બપોરે રસોઈમાંથી પરવારીને આવે ત્યારે મામાએ એમને માટે પાથરણું, ઓશિકું, છાપું અને ચશ્માં તૈયાર કરીને રાખ્યાં હોય કે પુત્ર અરવિંદને વાર્તા કહેતા હોય, એવી એવી કાળજીની પળો પણ અનેક જોઈ છે. ધીરુભાઈ-પ્રફુલ્લા, નીરુભાઈ, શારદા, અરવિંદ અને નીપાએ જે રીતે પ્રસન્નતાથી માતા અને નાથામામાની સંભાળ લીધેલી એ કૌટુંબિક સહકારનો અસાધારણ દાખલો છે. પૌત્રી કવિતાએ મામાના જીવનમાં સુખ પાથર્યું છે.

એક સફળ અને સહાનુભૂતિ ભર્યા કવિ હૃદય મામાની સુવાસ મારા અને મુનિભાઈના અંતરમાં સદાય મીઠી યાદ બનીને રહી છે. અમારા જીવનના ઘડતરમાં અમારા નાથાલાલમામાની પ્રેમાળ ઓથને ઈશ્વરકૃપા સમજી આભાર.

રુદિયાથી રુદિયા તણા પાકા થઈ ગ્યા રેણ,
જ્યાં જ્યાં સાજન સંચરે પાછળ ફરતાં નેણ.

°

કવિશ્રી નાથાલાલ દવેના કાવ્યસંગ્રહ ખોલું છું અને વિવિધ વિષયો પરની રચનાઓથી ભાવવિભોર થઈ જવાય છે. મામા જીવનકાળ દરમ્યાન તેમની મૈત્રીભર્યા સ્વભાવને લીધે અનેક પ્રસંગોમાં, સભાઓમાં, પોતાની રચનાઓનો આસ્વાદ આપી ગયા છે… તેનો આનંદ છે.

‘કાલિંદી’ કાવ્યસંગ્રહમાં રાષ્ટ્રકવિ ઝવેરચંદ મેઘાણીના અને ‘જાહ્નવી’માં આચાર્ય ડોલરરાય માંકડના બે બોલ સમાવિષ્ટ છે.

શામળદાસ કોલેજમાં અભ્યાસ અને શરૂઆતની નોકરીના સમયે ભાવનગરમાં તેમને અનેક કવિ મિત્રો હતા. રાષ્ટ્રીયકવિ ઝવેરચંદ મેઘાણી નજીકમાં રહેતા અને મામાના પહેલા કાવ્યસંગ્રહ ‘કાલિંદી’માં તેમની નોંધ છે. કવિ નાથાલાલ દવેના મિત્રોમાં, પ્રજારામ રાવળ, મુકુંદભાઈ પારાશર્ય, હસિત બુચ, ભાનુભાઈ શુક્લ. જો કે, થોડા નામ તેમના મિત્રોની યાદીને ન્યાય નહીં આપી શકે. ૧૯૬૦ની આસપાસ, સંત વિનોબા ભાવેની ભૂદાનયજ્ઞ યાત્રા દરમ્યાન અને સર્વોદય સંમેલનમાં કવિ નાથાલાલનાં ગીતો ગવાતાં. મારી નાનપણની યાદોમાં, નાથાલાલમામા, મારાં બા, કવયિત્રી ભાગીરથી મહેતા, શારદા અને હું સર્વોદય સંમેલન અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં અમદાવાદ ગયાં, ત્યારે ઉમાશંકર જોશી અને બીજા ઘણા સાહિત્યકારોને મળતા જોયેલાં.

મામા શાળા અધિકારી હતા અને પછી અન્ય નોકરીને અંગે પરિવાર સાથે બહારગામ રહેતા હોવાથી ભાવનગર રજાઓમાં આવતા. ભાવનગરના ઉનાળાની બપોરે અમે ૯થી ૧૨ વર્ષનાં પિતરાઈ ભાઈ-બહેનો ‘શું કરવું’ની વિમાસણમાં હતાં. ત્યાં, એક દડો હાથમાં આવતા દિવાલ પર ઠોકવાની રમત માંડી. થોડીવારમાં ગુસ્સાભર્યો તોયે … મુલાયમ અવાજ નાથામામાનો આવ્યો, “અરે અત્યારે અમે સૂતા હોઈએ, આમ અવાજ કરવાનો?” અને અમારું ટોળું પાછલાં બગીચામાં ગાયબ થઈ ગયું.

ઘણાને ખબર નહીં હોય, પણ મામા શ્રીઅરવિંદ અને માતાજીનાં પરમ શિષ્ય હતા. તેઓ ઘણી વખત પોંડિચેરી જઈને રહેતા. એ વર્ષ અમારા કુટુંબ માટે મુશ્કેલ હતું. નાના જીવનમામા, જે મુંબઈમાં વકીલ હતા, તેમનું અને છ મહિના પછી નાથામામાના સૌથી મોટા પુત્ર ગોવિંદભાઈનું અવસાન થયેલ. ૨૨ વર્ષના ગોવિંદભાઈ ભાવનગરમાં double typhoid માંદગીમાં સપડાયા. એ સમયે મામા પોંડિચેરી ગયા હતા. બીજે દિવસે જ શ્રી માતાજીએ કહ્યું કે, “તું ઘરે પાછો જા.” મામા આવ્યા અને તેમના હાથમાં ગોવિંદભાઇનું અવસાન થયું. મામાનું ઋજુ હૃદય કુમળી ઉંમરમાં ગુમાવેલ મોટી દીકરી શારદા અને દીકરાની યાદમાં આળું હતું. તેમની બીજી દીકરીને શારદાના પ્રિય નામથી ઓળખીએ અને યાદ કરીએ છીએ.

*

નાથાલાલ દવે વિવિધ સ્થળે નોકરીના માધ્યમથી અનેકના જીવનને સ્પર્શી ગયા. નિવૃત્તિમાં નાથાલાલમામા ભાવનગરમાં સ્થાયી થયા પછી ઘણા કાવ્યસંગ્રહો અને વાર્તાસંગ્રહો પ્રગટ થયા. એ દરમ્યાન પ્રકાશિત ‘અનુરાગ’ કાવ્યસંગ્રહ આમુખમાં ડૉ. ઈશ્વરલાલ દવે લખે છે, “સુકુમાર પુષ્પોથી શોભતી લતા જેવા સૌંદર્યથી મંડિત ‘અનુરાગની’ કાવ્યરચનાઓ પ્રસન્નમધુર મુદ્રાથી અંકિત છે…” કટાક્ષકાવ્ય સંગ્રહ ‘ઉપદ્રવ’ના કવર પર નવલિકા સંગ્રહ ‘શિખરોને પેલે પાર’ વિશે શ્રી યશવંત શુક્લ અને શ્રી પીતાંબર પટેલના પ્રતિભાવો અને આગામી પુસ્તકોની યાદી છે.

મારા લગ્ન બાબત મારા પિતાશ્રીનો સખત વિરોધ હતો, કારણ દિલીપ વાણિયા અને અમે બ્રાહ્મણ! મેં પિતાને નારાજ ન કરવા દિલીપને ‘ના’ લખી દીધી. પરંતુ મામાની પાસે ગઈ તો તેમણે મને પૂછ્યું કે, ‘તારે દિલીપ સાથે લગ્ન કરવા છે?’

‘હા.’ તેમના સીધા સવાલનો મારાથી સીધો જવાબ અનાયાસ અપાઈ ગયો. પછી અમે ગુપ્ત રીતે લગ્નની યોજના કરી. બીજે દિવસે, હું અને ઇલાભાભી ખરીદી કરવા નીકળ્યાં, ત્યારે રસ્તામાં મામા મળી ગયા. મારો રડતો ચહેરો જોઈને કહ્યું, ‘BE BRAVE.’ આ બે શબ્દ મારા જીવનમાં દરેક સંઘર્ષ સમયે હિંમત આપે છે.

મા વગરના ઉછરેલાં, તેથી મોટાભાઈ તરીકે મારા મામાને તેમની નાની બહેન, મારાં બા ભાગીરથી પર વિશેષ સ્નેહ હતો. ભાણેજ મુનિભાઈ નાનપણથી કવિતા લખતા અને નાથુમામા સાથે લાગણીભરી નિકટતા હતી.

મુનિભાઈ વડોદરામાં સ્થાયી થયા અને હું અમેરિકા આવી ગયેલી, તેથી ભાવનગરમાં એકલા રહેતાં મારા બાને મામાની ઘણી હૂંફ રહેતી. મામાની ઉંમર લગભ ૮૦ની હતી, ત્યારે ભૂલી જવાની બીમારી શરૂ થઈ. ઘણીવાર રસ્તો ભૂલી જાય, વગેરે અનેક તકલીફો શરૂ થઈ હતી. બાને ઘરે, દિવસના એક કે બે વખત આવે. બા દૂધનો પ્યાલો આપે તે પીવે. ક્યારેક ફરી આવે, અને કહે કે, ‘ભાગુબે’ન દૂધ?’ બા કહે, ‘ભાઈ, તમે પી લીધું.’ ‘ભલે,’ કહીને ઘરે જતા રહે.

૧૯૯૩માં બાનું વડોદરામાં અવસાન થયું. અમેરિકા પાછા ફરવાનું હતું તેથી હું ભાવનગર મામા અને બીજાં સગાંને મળવા ગઈ હતી. મામા એવા જ શાંત અને ગૌરવવંતા દેખાતા હતા, મને જોઈને અજાણ્યા સાથે વાત કરતા હોય તેમ વાત કરી. મારા એ મામા જે હું અમેરિકાથી આવું કે, વહેલી સવારમાં પહેલા મળવા આવી પહોંચ્યા હોય, કે ગરમ જલેબી અને ગાંઠિયા લઈને આવીને અનેક વખત મને આશ્ચર્યાનંદમાં મૂકી દેતાં … એ મામાને, મારી ઓળખ આપવી …! આંખો સહેજે ભરાઈ આવી.

અઠવાડિયા પછી મુનિભાઈ ભાવનગર ગયા, અને બા ભાગીરથીબહેનનાં માનમાં બેસણું હતું. મામા મુનિભાઈની બાજુમાં નિર્લેપ ભાવે બેઠા હતા અને લોકો પોતાની બહેનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તે જાણ ન હતી. બાની યાદમાં મુનિભાઈનું દિલ વ્યાકુળ હતું અને તેને મામાના ખભા પર માથું ઢાળી રડવું હતું. પણ બાજુમાં નજર કરી તો ત્યાં એક ખોવાયેલા સજ્જન બેઠા હતા ! મુનિભાઈનું હ્રદય કરુણતાથી તડપી ઊઠ્યું … ‘મારા મામા અહીં નથી.’

ત્યારબાદ, ત્રણ મહિનામાં મામા કવિ નાથાલાલ દવે પરલોકમાં કવિતા લખવા ચાલ્યા ગયા.

•••

મામા દિલથી Ever Young હતા. ૧૯૭૯માં પ્રગટ ‘ઉપદ્રવ’ કાવ્યસંગ્રહનું અર્પણ જોઈએ :

યુવા ગુજરાતને

તમારા ચહેરા ઉપર સ્મિત જે મધુ લહેરાય છે!
નેત્રો મહીં આનંદ કેરી ઝલક ચમકી જાય છે,
એ નિહાળી મન મહીં આશા નવી બંધાય છે,
કે તમારી મહેફિલ માંહે સૂર મુજ સંભળાય છે,
ને આપણી વચ્ચે સમજનો સેતુ એક રચાય છે.

એમની કેટલીક ગમતી કાવ્યકૃતિઓ :

ચાકડો  

કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા
ધણી ઘડે જૂજવારે ઘાટ,
વાગે રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ—કાચી.

વ્હાલા! શીદને ચડાવ્યાં અમને ચાકડે?
કરમે લખિયા કાં કેર?
નિંભાડે અનગળ અગનિ ધગધગે,
ઝાળું સળગે ચોમેર—કાચી.

વેળા એવી વીતી રે વેદન તણી
ઊકલ્યાં અગનનાં અસ્નાન,
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
પાકાં પંડ રે પરમાણ—કાચી.

હરિએ હળવેથી લીધા હાથમાં,
રીજ્યા નીરખીને ઘાટ,
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તેં અમથા  ઉચાટ—કાચી.

કવિના કાવ્યસંગ્રહ, ‘અનુરાગ’ ૧૯૭૩માં પ્રગટ આ કાવ્ય અંગે મારા ભાઈ મુનિભાઈનું રસદર્શન માણવું ગમશે. વડોદરા સ્થાયી ડૉ. મુનિભાઈ એચ. મહેતાને ‘પદ્મશ્રી’નું બીરુદ મળેલું છે : 

‘જીવનના ચાકડાનું આ ભજન બેનમૂન છે; અને જીવનમાં ડગલે ને પગલે વધુ સમજાતું જાય, ગમતું જાય. માનવીને ઘડનારો દરેકને નવા નવા ઘાટ આપે છે – ચાકડે ચડાવે છે – અવળી સવળી થપાટો મારે છે. અને પ્રત્યેક જીવને થાય છે કે, એવાં દુ:ખ આવે કે લાગે … ‘હે ભગવાન! કેમ આવી કસોટી? કેમ આવી વેદના આપી? ક્યાં છે આનો અંત?’ પણ દુ:ખ અને કસોટીમાંથી ઘડાઈને જ માણસ ‘પાકો’ ઘડો થાય છે. પુરુષાર્થથી માર્ગ કાઢે છે.

ભજનની ચરમ સીમામાં જાણે કોઈ તંબૂર લઈ સંધ્યા ટાણે શાંત સતોષથી ગાતું સંભળાય છે … 

‘હરિએ હળવેથી લીધા હાથમાં, રીજ્યા નીરખીને ઘાટ,
જીવને ટાઢક વળી તળિયા લગી કીધા તેં અમથા ઉચાટ.’

… એવો અનહદ નાદ સૂણાવી જાય છે.

•

રાત થઈ પૂરી ….

રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી,
મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.

ભરાયો  જામ રાત્રિનો  ઉપર  તરતા હતા તારા,
ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસ્માને,
તમારો કંઠ થાક્યો, ગાન થંભ્યું, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.

અનેરી એક રાત્રિની અમે માગી હતી મહોબત,
સવારે તો જવાનું  હા ! જુઓ વાગી રહી નોબત,
અમારી ઊપડી વણઝાર, હારો ઊંટની ચાલી,
અને છેલ્લી હવે પ્યાલી –

હવે છેલ્લી ચૂમી, ને ભૂલવી બેહિસ્તની ઝાંખી,
તમારા પેરની હિના, ગુલાબી હોઠની લાલી,
ભૂલી જાવી બદન કેરી અહા ! અણમોલ કસ્તૂરી,
સમી ખૂશ્બો અને સુરખી, તમારી આંખની ભૂરી,
અમારી રાત થઈ પૂરી.

જુઓ મસ્જિદમિનારે એ ઝલક આફતાબની આવી;
પુકારે બાંગ મુલ્લાં મસ્ત રાગે, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.

અમે જઈશું ત્યહાં દિલબર! નહિ સાકી, નહિ શરબત,
ન આ ઝુલ્ફો તણી ખૂશ્બો, નહિ મ્હેફિલ, નહિ લિજ્જત,
અમે મિસ્કીન મુસાફર-ગાનના શોખીન-નહિ ઇજ્જત.
અમારા રાહ  જુદા ને છતાં આ દર્દ કાં થાતું?
તમારા  ગાનમાં ડૂબી જિગર મારું થયું ગાતું,
અને આ વાત  થઈ પૂરી.

[કાવ્ય સંગ્રહઃ  ‘પિયાબિન’  પાના# ૯૬]

•

હવામાં આજ …         

હવામાં આજ વહે  છે ધરતી કેરી ખુશખુશાલી,
મોડી રાતે મેઘ વિખાયો ભાર હૈયાનો કીધો ખાલી  – હવા.

ઝાકળબિંદુ પાને પાને તૂર્ણે તૂર્ણે ઝબકે જાણે
રાતે રંગીન નિહારિકા ધરતીખોળે વરસી ચાલી   – હવા.

રમતાં વાદળ ગિરિશિખરે મધુર નાની સરિત સરે
દૂર દિગંતે અધિર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી     – હવા.

રવિ તો રેલે ન્યારા સોનેરી સૂરની ધારા,
વિશળે ગગનગોખે જાય ગૂંથાતી કિરણ જાળી      – હવા.

મન તો જાણે જુઈની લતા ડોલે, બોલે સુખની કથા,
આજ ઉમંગે નવસુગંધે ઝૂલે એ તો ફૂલીફાલી      – હવા.

[‘પ્રણયમાધુરી’ કાવ્યસંગ્રહ]

••••••

કવિશ્રી નાથાલાલ  દવે  

જન્મ : 03 જૂન 1912 • મૃત્યુ : 25 ડિસેમ્બર 1993 − પિતાઃ વૈદ ભાણજી કાનજી દવે * માતાઃ કસ્તૂરબહેન * પત્નીઃ નર્મદાબહેન − અભ્યાસ: ૧૯૩૪ – બી.એ.; ૧૯૩૬ -એમ.એ.; ૧૯૪૩ – બી.ટી. − 

વ્યવસાય : શિક્ષણક્ષેત્રે શિક્ષક, આચાર્ય તેઓ ૧૯૫૬થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારીના પદ પર રહેલ અને શિક્ષણાધિકારી તરીકે સેવા આપી. છેલ્લે જી.બી.ટી.સી., માંગરોળમાંથી આચાર્ય તરીકે નિવૃત્ત (૧૯૭૦). ‘સરસ્વતી’ (૧૯૫૩–૧૯૫૬) અને ‘જીવનશિક્ષણ’ (૧૯૫૬–૧૯૫૭) એમ બે માસિકોનું તંત્રીપદ સંભાળેલું. કેટલોક સમય ‘ભાવનગર સાહિત્ય સભા’ના મંત્રી. ‘સાહિત્યભારતી’, ભાવનગરના અધ્યક્ષ.

સંયુક્ત કુટુંબનું મધુર વાતાવરણ, સાહિત્યકારોના પરિચય – તેઓની મૈત્રી; કવિવર ટાગોર, મહર્ષિ અરવિંદ અને ગાંધીજીના વ્યક્તિત્વનો પ્રભાવ; ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનું વાચન; સાહિત્યાનુરાગી શિક્ષકોનું પ્રોત્સાહન; સ્વાતંત્ર્ય ચળવળનું ઉત્તેજક વાતાવરણ; સમગ્ર ભારતનાં પ્રાકૃતિક સૌંદર્યસ્થાનોનાં પર્યટનો; સંગીતાદિ કલાઓ પ્રત્યે અભિરુચિ ઇત્યાદિ તેમની સર્જક પ્રતિભાને પ્રભાવિત કરનારાં પરિબળો છે.

નાથાલાલ દવે અનુગાંધીયુગના મહત્ત્વના કવિ-વાર્તાકાર છે. ‘કાલિંદી’ (૧૯૪૨), ‘જાહનવી’ (૧૯૬૧), ‘અનુરાગ’ (૧૯૭૩) અને ‘પિયા બિન’- (૧૯૭૮)નાં કાવ્યોમાં શુદ્ધ કવિતા પ્રત્યેનું વલણ અને સૌંદર્યાનુરાગ અનુભવાય છે. રમ્ય શબ્દચિત્રો, ભાવનું માધુર્ય, છંદો અને ગેય ઢાળો પરનું પ્રભુત્વ તથા લલિતમધુર કાવ્યબાની તેમનાં કાવ્યોને આસ્વાદ્ય બનાવે છે. નર્મમર્મ અને કટાક્ષજનિત હાસ્યથી ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરવામાં તેમનું મૂલ્યવાન પ્રદાન છે, મુખ્યત્વે ‘ઉપદ્રવ’ : ૧, ૨ (૧૯૭૪; ૧૯૭૯) અને ‘હળવે હાથે’(ઉપદ્રવ : ૩, ૧૯૮૨)માં એ કાવ્યો સાંપડે છે. મુક્તકસંગ્રહ ‘મુખવાસ’ (૧૯૮૩); ભક્તિકાવ્યોનો સંચય ‘આનંદધારા’ (૧૯૮૯), કવિવર ટાગોરનાં કાવ્યોના સુંદર પદ્યાનુવાદનો સંગ્રહ ‘રવીન્દ્ર-વૈભવ’ (૧૯૮૬), ‘પ્રીતનો ગુલાબી રંગ’ (૧૯૮૧), ‘ઉપહાર’ (૧૯૮૭), ‘ગાયે જા મારા પ્રાણ’ (૧૯૮૮) અને ‘પ્રણયમાધુરી’ (૧૯૯૧) તેમના અન્ય કાવ્ય-સંગ્રહો છે. જનજાગૃતિ, ચૂંટણી, દેશ-વિદેશની ઘટનાઓ, ગ્રામોત્કર્ષ અને ભૂદાનપ્રવૃત્તિ એ બાબતો પ્રત્યેની તેમની જાગરૂકતા ‘સ્વાતંત્ર્યપ્રભાત’ (૧૯૪૭), ‘જનતાને કંઠે’ (૧૯૫૨), ‘મહેનતનાં ગીત’ (૧૯૫૨), ‘લોકકંઠે’ (૧૯૫૩), ‘ભૂદાન યજ્ઞ’ (૧૯૫૯), ‘સોનાવરણી સીમ’ (૧૯૭૫), ‘હાલો ભેરુ ગામડે’ (૧૯૭૯), ‘ચુનાવ પર્વ’ (૧૯૭૯), ‘ભીની માટીની સુગંધ’ (૧૯૮૧), ‘સીમ કરે છે સાદ’ (૧૯૮૨), ‘જનજાગૃતિનો ઉત્સવ’ (૧૯૮૨), ‘ચુનાવ ચક્રવાત’ (૧૯૮૯) એ સંગ્રહોનાં કાવ્યોમાં તથા ‘વિરાટ જાગે’ (૧૯૪૮) નાટક તેમજ ‘ભૂદાન યજ્ઞ’(સંગીત-રૂપક, ૧૯૫૩)માં પ્રગટ થાય છે.

‘નવું જીવતર’ (૧૯૪૫), ‘ભદ્રા’ (૧૯૪૫), ‘ઊડતો માનવી’ (૧૯૭૭), ‘શિખરોને પેલે પાર’ (૧૯૭૭) અને ‘મીઠી છે જિંદગી’ (૧૯૮૩) તેમના વાર્તાસંગ્રહો છે. વિષયનું નોંધપાત્ર વૈવિધ્ય, રોચક વર્ણનો, પાત્રના સૂક્ષ્મ મનોભાવોનું આલેખન, વાર્તાકથનની સહજ ફાવટ અને સરળ,પ્રવાહી ગદ્ય – એ વિશેષતાઓથી આ વાર્તાઓ અત્યંત રસપ્રદ બની રહે છે.

‘શ્રી અરવિંદયોગદર્શન’ (૧૯૪૨) નલિનીકાન્ત ગુપ્તાના અંગ્રેજી પુસ્તકનો તથા ‘મુદ્રારાક્ષસ’ (૧૯૫૬) હરદયાલુસિંહ લિખિત કથાસારનો અનુવાદ છે. કવિ હરગોવિંદ પ્રેમશંકરનાં ‘રુબાઈયાત અને બીજાં કાવ્યો’ (૧૯૪૬), ‘ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજાં કાવ્યો’ (૧૯૪૮) તથા નાટક ‘વેનવધ’(૧૯૪૭)નાં સંપાદનો તેમણે આપ્યાં છે. ‘સાહિત્યપરાગ’ (૧૯૩૮) અને શ્રી અંબાણી સાથે ‘સાહિત્ય પાઠમાલા ૧,૨,૩’ (૧૯૩૮) તેમનાં ગુજરાતી પાઠ્યપુસ્તકોનાં સંપાદન છે. તેમણે ચુનીભાઈ ભટ્ટ અને હીરાબહેન પાઠક સાથે ગ્રામસમાજની સચિત્ર વાચનપોથી ‘ચાલો વાંચતાં શીખીએ’ ૧, ૨, ૩ પણ આપી છે. ‘મોતી વેરાયાં ચોકમાં’ (૧૯૯૩) હાસ્યરસિક ટુચકાઓનું સંપાદન છે. ‘પ્રસ્થાન’ અને ‘ફૂલછાબ’(દૈનિક)માં તેમણે લખેલાં અવલોકનો અગ્રંથસ્થ છે.

તેમની કૃતિઓને આ પ્રમાણેનાં પારિતોષિકો પ્રાપ્ત થયેલાં હતાં : (૧) ગુજરાત રાજ્ય દ્વારા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકે પુરસ્કૃત : ‘જાહનવી’, ‘અનુરાગ’; (૨) ૧૯૭૮થી ૧૯૮૪ના ગાળાની શ્રેષ્ઠ હાસ્યકૃતિ તરીકે ‘ઉપદ્રવ’ને ‘હસાહસ’ માસિક દ્વારા પ્રથમ પારિતોષિક; (૩) ‘રવીન્દ્ર-વૈભવ’ને શ્રેષ્ઠ પદ્યાનુવાદ માટે ડૉ. લાખાણી સુવર્ણચંદ્રક, (૪) ‘ભદ્રા’ને ન. મા. સુરતી પારિતોષિક; (૫) ‘શિખરોને પેલે પાર’ને ૧૯૭૦–૧૯૮૦ના દાયકાના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે ‘સજની’ વાર્તામાસિક દ્વારા પારિતોષિક, ગુજરાત સરકારનું પારિતોષિક તથા જયંત ખત્રી ઍવૉર્ડ અને પુરસ્કાર; (૬) ‘મીઠી છે જિંદગી’ને પારેખ પુસ્તકાલય, વિસનગર દ્વારા ૧૯૮૩ના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે પારિતોષિક.

− સંકલન – મુંજાલ મહેતા બોપલ, અમદાવાદ 

————————————

પ્રતિભાવો :

૧.

જીવન – મૃત્યુ

રૂઠતી પળોને સમેટતી હું  શ્વાસમાં,
દુઃખના દીવામાં સુખવાટ વણી બેઠી છું.

ઘૂઘવતા સાગરમાં નાનીશી નાવમાં,
હળવા હલેસાંથી હામ ધરી બેઠી છું.

ઓચિંતા ભમરાતી ડમરીની દોડમાં,
રજકણ બની અંક આકાશે ઊઠી છું.
અંજળના આંસુથી  આંખોની  આહમાં,
કરુણાનું કાજળ લગાવીને બેઠી છું.

ઉરના સન્નાટામાં  લાગણીના ગીતમાં,
ઝીણા ઝણકારને વધાવીને બેઠી છું.

આવે છે નક્કી, પણ ના કોઈ વાયદા,
ક્યારનીયે મુજને સજાવીને બેઠી છું.

સરી રહ્યો સથવારો મમતાના મેળામાં
આજે અજાણી, પરાઈ બની બેઠી  છું.

જીવન પ્રયાણમાં ને મંગલ માહોલમાં,
હંસ જાય ચાલ્યો, પિંજર થઈ બેઠી છું.
                                       

                                             − સરયૂ પરીખ 

૨. 

તમે, સરયુબહેન, જ્યોત જલાવી રાખી છે; thanks to you. તમે શબ્દને સુંદર દેહ આપ્યો છે. પૂ. પપાજીનાં વ્યક્તિત્વને શબ્દોથી જીવંત કરી દીધું છે. ખૂબ ખૂબ આભાર. પૂ. પપાજી અનેકવાર મને કહેતા કે સુંદર વાંચો, વિચારો ને સુંદર મૌલીક લખો. 

− નીપા અરવિંદ દવે

Austin, Texas.    
e.mail : SaryuParikh@yahoo.com
https://saryu.wordpress.com

Loading

...102030...698699700701...710720730...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved