Opinion Magazine
Number of visits: 9457425
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઊડે છે પતંગ

ભરત ગોસ્વામી "ભાવુક"|Opinion - Opinion|14 January 2024

દરિયે  ઊડે છે પતંગ,

ફળિયે ઊડે છે પતંગ,

આકાશ થયો રંગીન

નળિયે ઊડે છે પતંગ,

કટાયેલી મૌન ખંડેરની

જાળીએ ઊડે છે પતંગ,

થયો વૃદ્ધ પણ હૈયાના

તળિયે ઊડે છે પતંગ,

ઝાડપાન થયા સામેલ

ડાળીએ ઉડે છે પતંગ,

ધમધમે છે ટેરેસ બધાં

માળિયે ઊડે છે પતંગ,

કાપવા પકડવા લાંબા 

સળિયે ઊડે છે પતંગ,

ઢીલ તો આપો “ભાવુક”

ઊંચાઈએ ઊડે છે પતંગ.

અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com

Loading

માનવીય મૂલ્યો V/S મૂળભૂત મૂલ્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|14 January 2024

પરિવારમાં, સમાજમાં, જ્ઞાતિમાં, ચોક્કસ ધાર્મિક વ્યવસ્થામાં, શાસનમાં માત્ર અને માત્ર વ્યક્તિ કેન્દ્રમાં હોવી જોઈએ

રમેશ ઓઝા

સુજ્ઞ વાચકોએ નોંધ્યું હશે કે જ્યારે પણ મુસલમાનોમાં બુરખા, હિજાબ, તિન તલ્લાક કે એક કરતાં વધુ સ્ત્રી સાથે લગ્નની વાત આવે ત્યારે મુસ્લિમ વિદ્વાનો શરિયત(કુરાન અને હદીસ)નો હવાલો આપીને આ બધી ચીજોની વિરુદ્ધમાં કે તરફેણમાં દલીલો કરે છે. શા માટે? જો આ બધી ચીજો વર્જ્ય છે તો વર્જ્ય છે, એમાં શરિયતનો હવાલો આપવાની શી જરૂર છે? પણ પ્રગતિશીલ મુસલમાનોના હાથ બંધાયેલા છે. ઇસ્લામ મુજબ કુરાન અને હદીસ સદૈવ માર્ગદર્શન આપનારા, કાલજયી ગ્રંથ છે. એમાં કહેલી એક પણ વાત અપ્રાસંગિક ન હોઈ શકે. ઇસ્લામમાન્ય ન હોય એવી કોઈ ચીજ મુસલમાન અપનાવી ન શકે અને માટે પ્રગતિશીલ મુસલમાનોએ પણ સારી ચીજ સ્વીકાર્ય બનાવવા માટે કુરાન અને હદીસનો હવાલો આપવો પડે છે. મેં એક વાર સુધારાવાદી મુસ્લિમ વિદ્વાન અસગરઅલી એન્જિનિયરને પૂછ્યું હતું કે તમે ન્યાય અને સમાનતા જેવાં મૂળભૂત માનવીય મૂલ્યોનો બચાવ ઇસ્લામનો હવાલો આપ્યા વિના ક્યારે કરશો? તેમણે મારા પ્રશ્નનો જવાબ ટાળી દીધો હતો.

આવું ગાંધીજીએ પણ કરવું પડ્યું હતું. તેમણે જ્યારે અસ્પૃશ્યતા નિર્મૂલનનું આંદોલન શરૂ કર્યું ત્યારે સનાતની પંડિતોએ ધર્મગ્રંથોનો હવાલો આપીને તેમના પર આક્રમણ કર્યું હતું. અસ્પૃશ્યતા ધર્મમાન્ય છે અને તે સનાતન ધર્મનો અવિભાજ્ય હિસ્સો છે એવી દલીલો તેઓ ધર્મગ્રંથોનો હવાલો આપીને કરતા હતા. ગાંધીજીએ જ્યારે જોયું કે સનાતનીઓના ધર્મગ્રંથોના હવાલાઓની લોકો પર અસર થઈ રહી છે ત્યારે તેમણે કેવલાનંદ સરસ્વતી, તર્કતીર્થ લક્ષ્મણ શાસ્ત્રી જોશી, શ્રીપાદ દામોદર સાતવલેકર જેવા વિદ્વાનોને પૂછ્યું હતું કે શું અસ્પૃશ્યતા ધર્મમાન્ય છે? ધર્મગ્રંથો તપાસીને મારું માર્ગદર્શન કરો. આ બધા વિદ્વાનોએ કહ્યું હતું કે ચાતુરવર્ણ્ય અને અસ્પૃશ્યતા બે જુદી વસ્તુ છે. ચાતુરવર્ણ્ય સનાતન ધર્મનો હિસ્સો છે, અસ્પૃશ્યતા નથી. પણ એ પછી પણ સામા પક્ષે વિતંડાનો અંત નહોતો આવ્યો.

પણ ગાંધીજી તો ગાંધીજી હતા. ગણતરીનાં વર્ષોમાં તેમણે ધર્મનો આધાર લેવાનું બંધ કરી દીધું હતું અને એક સમયે તો ત્યાં સુધી કહ્યું હતું કે ખૂદ ભગવાન આવીને મને કહે કે સનાતન ધર્મની રચના મેં કરી છે અને તેમાં અસ્પૃશ્યતા અનિવાર્ય છે તો હું ભગવાનને કહી દઈશ કે મને તમારો આ અભિપ્રાય સ્વીકાર્ય નથી. જે માનવીય ન હોય એ ધાર્મિક ન હોય. એ પછીથી ગાંધીજીએ અસ્પૃશ્યતા નિર્મૂલન માટે ધર્મવચનોનો આશારો લેવાનું બંધ કરી દીધું હતું. કારણ કે વિતંડાનો અંત જ નહોતો આવતો. પણ જે મોકળાશ ગાંધીજીને કે આ લખનાર જેવા હિંદુઓને મળે છે એ મુસલમાનોને મળતી નથી. એક પ્રસંગ યાદ આવે છે. ખિલાફતના આંદોલન વેળાએ એક અળવીતરા ઉપદ્રવીએ મૌલાના મહમ્મદ અલીને પૂછ્યું હતું કે ગાંધીજી જેવો પવિત્ર માણસ અને એક બળાત્કારી મુસલમાન એ બેમાંથી જન્નતનો અધિકારી કોણ? મૌલાનાએ કહ્યું હતું કે બળાત્કારી મુસલમાન, કારણ કે તે મુસલમાન છે અને ગાંધીજી કાફિર (વિધર્મી) છે. ગાંધીજીને જ્યારે મૌલનાના અભિપ્રાય વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે મૌલાનાના હાથ ઇસ્લામના વચનો દ્વારા બંધાયેલા છે એટલે તેને બહુ મહત્ત્વ નહીં આપાવું જોઈએ.

અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થવો જોઈએ. માનવીય મૂલ્યો અને મૂળભૂત માનવીય મૂલ્યો વચ્ચે શું ફરક? આપણે એક પિતાના સંતાન, વસુધૈવ કુટુમ્બકમ્‌, સાચું બોલવું, છેતરપીંડી નહીં કરવી, આર્થિક વ્યવહારમાં શુદ્ધિ જાળવવી, સામાજિક વ્યવહારમાં મર્યાદા અને પારદર્શકતા જાળવવી, સ્ત્રી પણ પૂજનીય દેવી છે, માતા છે વગેરે માનવીય મૂલ્યો છે. આ બધાં ઉપદેશો સમાજ માટે છે. મૂળભૂત માનવીય મૂલ્યોના કેન્દ્રમાં વ્યક્તિ છે. મારી વ્યક્તિગત પ્રતિષ્ઠા મારો મૂળભૂત અધિકાર છે. મારો તમને ન ગમતો હોય એવો વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત કરવો એ મારો મૂળભૂત અધિકાર છે. જો મારો આદર  કરવામાં ન આવતો હોય અથવા મને ન સાંભળવામાં આવતો હોય તો વિરોધ કરવાનો મને અધિકાર છે. મારા જેવા લોકોને સંગઠિત કરીને આંદોલન કરવાનો અને ન્યાય માગવાનો મને અધિકાર છે. મારા જેવા નિર્બળ માણસની સૌથી વધુ સુરક્ષા માત્ર કાયદાના રાજમાં છે અને કાયદો દરેક માટે એક સમાન હોવો જોઈએ. મત આપવાનો, શાસક પસંદ કરવાનો, શાસકને બદલવાનો, અદાલતમાં ન્યાય માગવાનો અને એ માટે જરૂર પડ્યે રસ્તા પર ઊતરીને આંદોલન કરવાનો મને આધિકાર છે. બધું જ વ્યક્તિલક્ષી અને વ્યક્તિકેન્દ્રી.

પરિવારમાં, સમાજમાં, જ્ઞાતિમાં, ચોક્કસ ધાર્મિક વ્યવસ્થામાં, શાસનમાં માત્ર અને માત્ર વ્યક્તિ કેન્દ્રમાં હોવી જોઈએ અને સ્ત્રી કે દલિત કે અશ્વેત તરીકેની ઓળખ ગૌણ હોવી જોઈએ એવો વિચાર યુરોપમાં પુનઃ જાગરણનાં આંદોલન દરમ્યાન વિકસ્યો હતો. ધીરે ધીરે આધુનિક માનવતાવાદીઓ આને સ્વીકારવા લાગ્યા હતા, પરંતુ એનો અર્થ એવો નથી કે જેણે દુબળાઓ ઉપર વર્ચસ ગુમાવ્યું હતું એનાં પેટમાં તેલ નહોતું રેડાયું. તેઓ પોતાની અમાનવીયતાને છૂપાવવા માટે અને પોતાને માણસાઈના પૂજારી તરીકે ખપાવવા માટે માનવીય મૂલ્યોની વાત કરશે, મૂળભૂત માનવીય મૂલ્યોની વાત નહીં કરે. અને હવે આજના સોશ્યલ મીડિયાના યુગમાં જે લોકો એક સમયે દાબેલા અવાજમાં શરમાઈને સંકુચિત વાત કરતા હતા એ નિર્ભય થઈ ગયા છે. તેમને ખબર છે કે આપણા જેવા ઘણા છે, એટલે તેઓ વ્યક્તિકેન્દ્રી મૂળભૂત માનવીયતા સામે મેદાનમાં ઉતર્યા છે. ભારતમાં, અમરિકામાં આ જોવા મળી રહ્યું છે. તેમને હાંસિયામાં રહેલા લોકો સ્વતંત્ર થાય અને આપણા વર્ચસને પડકારે એ સહન થતું નથી. તેઓ તેમનો ચચરાટ રાષ્ટ્રવાદ અને ધર્મને નામે છૂપાવે છે.

૧૪મી સદીમાં ચોખામેલા નામનો એક દલિત સંત મહારાષ્ટ્રમાં થયો હતો. તેને પંઢરપુરના મંદિરમાં પ્રવેશ આપવામાં ન આવ્યો તો ચોખામેલાએ પંઢરપુરના વિઠોબાના મંદિરની બહાર વિઠ્ઠલની સાધના કરી હતી અને ત્યાં જ દેહ છોડ્યો હતો. તેનું ઈશ્વર સમર્પણ અને તેની ભક્તિનાં વખાણ કરતાં બ્રાહ્મણો થાકતા નહોતા, પણ ખુદ બાબાસાહેબ આંબેડકરને પાંચસો વરસ પછી મંદિરમાં પ્રવેશવા નહોતા દીધા. જો કોઈ વિદ્રોહ ન કરે અને ચૂપચાપ શરણે થાય તો એને મહાન ચિતરવામાં કોઈ કસર નહીં રાખવાની. ડૉ. આંબેડકરને એ પછી ચોખામેલાનો ખપ નહોતો રહ્યો. સમર્પણ અને શરણાગતિ નહીં, સંઘર્ષ. માટે એક માત્ર કબીરને છોડીને આંબેડકરે મધ્યકાલીન સંતોનો ઉદોઉદો નહોતો કર્યો.

તો આ ફરક છે, વરખ જેવાં માનવીય મૂલ્યો અને ટકોરાબંધ મૂળભૂત માનવીય મૂલ્યો વચ્ચે. તમારું હિત શેમાં છે? થોડી વાર ધૂણવાનું છોડીને વિચારો. બહુ મૂલ્યવાન જણસ છે જે ફેંકી દેવા માટે નથી. આને માટે અનેક લોકોએ ત્યાગ કર્યો છે અને શહાદત વહોરી છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 14 જાન્યુઆરી 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—231

દીપક મહેતા|Opinion - Opinion|14 January 2024

અસલ મુંબઈ જોવું હોય તો ફોર્ટની બહાર પગ મૂકવો પડે

પગ ખરડાશે એની પરવા કર્યા વગર                

મિસિસ પોસ્ટાન્સની આંગળી પકડીને આજે જઈએ બોમ્બેના ફોર્ટની બહાર. 

ફોર્ટની અંદરનું મુંબઈ એ જ તો મુંબઈ નથી. એ તો છે પોતાનો દેશ છોડીને હિન્દુસ્તાન આવેલા અમારા જેવા અંગ્રેજોનું, અંગ્રેજો માટેનું, અંગ્રેજોએ ઘડેલું મુંબઈ. પણ અસલ મુંબઈ જોવું હોય તો ફોર્ટની બહાર પગ મૂકવો પડે, પગ ખરડાશે એની પરવા કર્યા વગર. કેટલાક અંગ્રેજો એને ‘બ્લેક ટાઉન’ કહે છે. અહીંના લોકો એને ‘બહાર કોટ’ કહે છે. અને અમે ફોર્ટની બહાર પગ મૂકીને અસલ મુંબઈ જોવાનું ઠરાવ્યું. મુંબઈમાં કોઈ એક જ જાત કે પ્રદેશના લોકો રહેતા નથી. હિન્દુસ્તાનના જુદા જુદા ભાગોમાંથી આવેલા, જુદા જુદા ધરમ અને જાતિના, જુદા જુદા રીતરિવાજ અને માન્યતા ધરાવતા લોકોનું એક લાંબુ સરઘસ છે મુંબઈ. 

શ્રી મુંબઈ પાંજરાપોળ

હિન્દુસ્તાન આવતા પરદેશીઓને માટે સૌથી મોટું આકર્ષણ હોય છે અહીંની બજારો. પણ અમે અહીંની બજાર જોતાં પહેલાં એક નવી નવાઈ જેવી જગ્યાએ પહોંચી ગયા : ‘પાંજરાપોળ.’ હા, મારો વાચક માથું ખંજવાળતાં પૂછશે કે એટલે શું? ‘એટલે શું’ એ સમજાવવું સહેલું નથી. અહિંસા અને જીવદયા એ જૈન ધર્મના બે મુખ્ય સિદ્ધાંત. હિંદુ અને બૌદ્ધ ધર્મ પણ એ બે આદર્શ સ્વીકારે છે. પારસીઓનો ધર્મ પણ મર્યાદિત અર્થમાં તે સ્વીકારે છે. જો કે જૈન ધર્મ જેટલું આત્યંતિક સ્વરૂપ બીજા ધર્મોમાં કદાચ નથી. અહિંસા અને જીવદયાની ભાવનાથી પ્રેરાઈને ઊભી થયેલી સંસ્થા તે પાંજરાપોળ.

ભૂલેશ્વર કબૂતરખાના, ૧૯મી સદીમાં

અહીંનાં મુખ્ય બજારોમાંનું એક એટલે ભુલેશ્વરનું બજાર. તેને લગભગ છેડે આવેલી છે આ પાંજરાપોળ. માંદા કે મરવાને આરે ઊભેલાં પશુઓને અહીં રાખવામાં આવે છે – એક પૈસો પણ લીધા વગર. આપણે તેને માંદાં પશુઓનું આશ્રયસ્થાન કહી શકીએ. અહીં જુદા જુદા ધરમના લોકો રહે છે ને તેમની વચ્ચે ઝગડા કે ‘હુલ્લડ’ થતાં નથી એવું તો નથી. અને છતાં જ્યારે સમાજને ઉપયોગી થાય એવાં કામ કરવાનાં હોય ત્યારે જુદા જુદા ધરમના લોકો ભેગા મળીને કામ કરે છે. આ પાંજરાપોળ એનો એક દાખલો છે. સર જમશેદજી જીજીભાઈ એટલે મુંબઈના તવંગર અગ્રણી વેપારીઓમાંના એક. જીવદયાના આગ્રહી. 

સર જમશેદજી જીજીભાઈ 

હવે બન્યું એવું કે શહેરમાં વધતા જતા રખડતા કૂતરાઓના ત્રાસને કારણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ દરેક વર્ષે રખડતા કૂતરાને ભેગા કરીને તેમનો નાશ કરવાનો કાયદો કર્યો. આ માટે ખાસ નોકરોને રખડતા કૂતરા પકડવાની મંજૂરી આપી. પણ મુંબઈના ઘણા લોકોએ આ ‘ઘાતકી’ કાયદાનો વિરોધ કર્યો. તેની વિરુદ્ધમાં હુલ્લડ થયું. ત્યારે સર જમશેદજી જીજીભાઈને વચલો મારગ સૂઝ્યો. કૂતરા રસ્તા પર રખડતા હોય તો સરકાર તેને પકડીને મારી નાખે ને? એના કરતાં આપણે જ આવા કૂતરાને એકઠા કરી એક જગ્યાએ રાખીને તેમનું જતન કરીએ તો? તેમને સાથ મળ્યો જૈન ધર્મ પાળતા અમીચંદ શાહ નામના એક તવંગર વેપારીનો. અને તેમણે બન્નેએ વિચારને તરત અમલમાં મૂક્યો. ૧૮૩૪ના ઓક્ટોબરની ૧૮મી તારીખે તેમણે આ પાંજરાપોળની સ્થાપના કરી.

મુંબઈમાં જેવો રખડતા કૂતરાનો ત્રાસ, એનાથી થોડો ઓછો ત્રાસ રખડતા ભૂંડ કે ડુક્કરનો. એટલે શરૂઆતમાં કૂતરા અને ભૂંડની સંભાળ રાખવા માટેની સગવડ ઊભી કરી. પછી ધીમે ધીમે ગાય, ઘોડા, વગેરે માટેની સગવડો ઉમેરાઈ. પાંજરાપોળનો દરવાજો જોતાં તો એમ જ લાગે કે કોઈ મંદિરમાં દાખલ થઈ રહ્યાં છીએ. અહીંના લોકો જેને ‘હવેલી’ કહે છે તેના દરવાજાને મળતો આવે એવો આ દરવાજો છે. તેની અંદર ત્રણ મોટા વાડા છે. ત્રણે પર છાપરાં બાંધેલાં છે. એક વાડામાં કૂતરા, બીજામાં ગાય, અને ત્રીજામાં ઘોડા રાખવાની સગવડ છે. આ બધાં જ જનાવરોને યોગ્ય અને તેમને માફક આવે એવો ખોરાક આપવામાં આવે છે. ઘોડાઓને દોરડા વડે ખૂંટા સાથે બાંધી રાખવામાં આવે છે અને મોઢે ચોકડું બાંધી રાખે છે. જ્યારે ગાયોને બાંધતા નથી પણ વાડામાં છુટ્ટી ફરવા દે છે. તેમને માટે તાજું લીલું ઘાસ હંમેશાં પાથરેલું હોય છે. જો કે આ પ્રાણીઓ માંદાં પડે ત્યારે તેમની દાક્તરી સારવાર કરતા નથી, પણ સુક્કા ઘાસની નીચે તેમને સુવડાવી દે છે અને શાંતિથી કુદરતી રીતે મરવા દે છે.

જે કોઈ માણસ અહીં રખડતું કૂતરું લાવે તેને આઠ આના (આજના ૫૦ પૈસા) આપે છે. ગાય-ઘોડા જેવાં મોટાં જાનવર માટે વધુ પૈસા આપે છે. આ પાંજરાપોળને અવારનવાર દાન રૂપે મોટી રકમો મળતી રહે છે છતાં તે શરૂ કરનારાઓએ દૂરંદેશી વાપરીને તેના નિભાવ માટે પણ કાયમી વ્યવસ્થા કરી રાખી છે. સર જમશેદજી જીજીભાઈએ અહીં ૨૦૦ દુકાનો અને ૪૫૦ ભાડૂતો રહી શકે તેવાં મકાન (જેને અહીંના લોકો ‘ચાલ’ કહે છે) બાંધી રાખ્યાં છે. તેની ભાડાની બધી જ આવક આ પાંજરાપોળના નિભાવ માટે વપરાય છે.

જો કે આઠ આના કમાવા માટે થઈને કેટલાક લોકો કૂતરાની ચોરી કરે છે એવી ફરિયાદ અવારનવાર સાંભળવા મળે છે. પણ એ તો માનવસ્વભાવનું એક લક્ષણ છે કે ગમે તેવી સારી વસ્તુનો પણ પોતાના લાભ ખાતર દુરુપયોગ કરવો. પણ એટલે કાંઈ એમ તો ન જ કહેવાય કે આવું ઇનામ આપવું જ ન જોઈએ કે આવી પાંજરાપોળ જેવી સંસ્થા હોવી જ ન જોઈએ. મારે મતે તો પાંજરાપોળ એ જૈન ધર્મના જીવદયા અને અહિંસાના સિદ્ધાંતોનું એક ઉમદા પ્રતિક છે.

હા, કલકત્તામાં છે તેવાં ઠાઠમાઠવાળાં સાધન-સગવડ મુંબઈમાં નથી. પણ મુંબઈની આબોહવા કલકત્તા કરતાં ઘણી સારી છે. એટલે અહીં વરસના ઘણા મહિના ઘરમાં ગોંધાઈ રહેવું પડતું નથી. વળી અહીં જે અભાવો છે તેને દૂર કરવા અંગ્રેજ અને પારસી વેપારીઓ સતત મહેનત કરતા રહે છે. છેલ્લાં છ વરસથી હું જોતી આવી છું કે અહીંનાં સાધન-સગવડમાં સતત ફેરફાર અને વધારો થતા રહ્યા છે અને તેને લીધી અહીંની રહેણીકરણી વધુ ને વધુ ‘બિનભારતીય’ (એટલે કે પશ્ચિમી) થતી આવી છે. આનું મુખ્ય કારણ છે યરપના દેશો સાથેનો વધતો જતો સંપર્ક. અહીંના લોકો ભલે ધીરે ધીરે, પણ પશ્ચિમનાં વિચારો અને રહેણીકરણી અપનાવતા થયા છે. અલબત્ત, આમ કરવામાં પારસીઓ મોખરે છે, પણ બીજા લોકો પણ ધીરે ધીરે યરપ તરફ જોતા થયા છે. પુસ્તકો, અખબારો, મેગેઝીન્સ વગેરે યરપમાં જૂનાં-પુરાણાં થઈ જાય તે પહેલાં હવે મુંબઈ પહોંચે છે. અંગ્રેજો ઉપરાંત થોડા ‘દેશી’ઓ પણ તે વાંચીને નવા નવા વિચારો અને સાધન-સગવડથી પહેલાં પરિચિત થાય છે, ને પછી તેને અપનાવે છે.

પહેલાં તો નવા વિચારો કે સાધન-સગવડ અહીં પહોંચે ત્યાં સુધીમાં યરપમાં તો તે વાસી થઈ ગયાં હોય એવું બનતું. હવે કોઈ પણ નવા ઓપેરાનું સંગીત તમે અહીં પણ મેળવી શકો છો – યરપમાં એ ઓપેરા ભજવાતું બંધ થઈ જાય તે પહેલાં. અને અંગ્રેજ બાનુઓ સમી સાંજે એસપ્લનેડ પર ફરવા નીકળે છે ત્યારે તેમના પોશાક પેરિસની સ્ત્રીઓના પોશાક કરતાં જરા ય ઊતરતા હોતા નથી.

આમ થવાનું મુખ્ય કારણ છે યરપ અને હિન્દુસ્તાન વચ્ચે શરૂ થયેલો ઝડપી વાહન-વ્યવહાર અને સંદેશ-વ્યવહાર. તેને પરિણામે નવાં નવાં સાધન-સગવડ તો અહીં મળતાં થયાં જ છે, પણ અહીંના અને યરપના લોકોમાં એકબીજાના જીવન અને વ્યવહાર વિશેનું કુતૂહલ વધતું રહ્યું છે. અગાઉ જ્યારે યરપ અને હિન્દુસ્તાન વચ્ચેની મુસાફરી બહુ લાંબા રસ્તે કરવી પડતી ત્યારે આમ થવું શક્ય નહોતું. હવે યરપ અને હિન્દુસ્તાન વચ્ચેની આપ-લે વધુ ઝડપી અને પરસ્પર લાભકારક બની છે. બ્રિટન અને યરપની કેટલીક અગ્રણી સંસ્થાઓએ હવે મુંબઈમાં પોતાની શાખા શરૂ કરી છે – જેમ કે બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી. બ્રિટનની માતૃ સંસ્થાઓ આવી શાખાઓને સાધન-સામગ્રી ઉપરાંત નવા વિચારો પૂરા પાડે છે. ત્યાંના વિદ્વાનો અહીં આવીને હિન્દુસ્તાનની રહેણીકરણી, ઇતિહાસ, પ્રાણીશાસ્ત્ર, ભૂસ્તર-શાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરે છે. તેનાથી બ્રિટનના લોકોને તો ખરો જ, અહીંના લોકોને પણ લાભ થાય છે.

૧૭૮૯માં શરૂ થયેલું મુંબઈનું પહેલું છાપું શરૂ થયું ત્યારે નામ : ‘બોમ્બે હેરાલ્ડ’ ૧૭૯૧થી નામ બદલાયું : ‘બોમ્બે ગેઝેટ’ 

અહીંનાં છાપાંમાં અગાઉ સમાચાર ઓછા અને ગપગોળા વધુ છપાતા. પણ હવે એવું રહ્યું નથી. અહીંના પ્રેસની મથરાવટી હવે મેલી રહી નથી. લોકોમાં નવા વિચારો ફેલાવવામાં આ અખબારોનો પણ મોટો ફાળો છે. બ્રિટનનાં જ્ઞાન-વિજ્ઞાન, અભ્યાસની સગવડો, એ અભ્યાસ પછીની કારકિર્દીની ઊજળી તકો – એ બધાંથી આકર્ષાયેલા ભલે એક નાનકડા વર્ગમાં, પણ બ્રિટન જઈને ત્યાનું શિક્ષણ મેળવવાની આકાંક્ષા જાગી છે. આ વર્ગના લોકો પોતાના દીકરાઓને ભણવા માટે બ્રિટન મોકલતા થયા છે.

હિન્દુસ્તાનમાં નવજાગૃતિ માટેની આકાંક્ષાનો પાયો દૃઢપણે નખાઈ ચૂક્યો છે. અને તેમ કરવામાં સૌથી મહત્ત્વનો ફાળો આપ્યો છે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલો અને કોલેજોએ. આ શિક્ષણ સંસ્થાઓની શરૂઆત ભલે અંગ્રેજોએ કરી હોય, પણ હવે અહીંના સમાજે એ સંસ્થાઓને અપનાવી લીધી છે. એક નાનકડા વર્ગ તરફથી શરૂઆતમાં તેનો વિરોધ થયો હતો ખરો, પણ હવે એવો વિરોધ ભાગ્યે જ ક્યાં ય જોવા મળે છે. આ શિક્ષણ સંસ્થાઓમાં કામ કરતા અંગ્રેજ શિક્ષકો અને અધ્યાપકો પોતપોતાના વિષયનું શિક્ષણ તો આપે જ છે. પણ સાથોસાથ વિદ્યાર્થીઓની દૃષ્ટિ વિશાળ અને સર્વસમાવેશી બને તે માટે પણ સતત મહેનત કરતા રહે છે. હા, હજી સુધી તેના ફાયદા એક નાના અને સમાજના ઉપલા વર્ગ સુધી જ પહોંચી શક્યા છે. પણ જેમ જેમ વરસો વીતતાં જશે તેમ તેમ બ્રિટિશ પદ્ધતિના શિક્ષણનો વ્યાપ વધતો જશે. મુંબઈમાં નવું શિક્ષણ ફેલાયું તે નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલો અને એલ્ફિન્સ્ટન કોલેજ થકી. આ શિક્ષણ સંસ્થાઓ વિશેની વાત હવે પછી.

ખુલાસો : લેખિકાનું આ પુસ્તક બ્રિટિશ વાચકોને ધ્યાનમાં રાખીને લખાયું હતું અને પ્રગટ પણ બ્રિટનમાં જ થયું હતું. આ હકીકત ધ્યાનમાં રાખીએ તો તેમનાં વાત કે અભિપ્રાય વધુ સારી રીતે સમજી શકશું.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

 (પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 જાન્યુઆરી 2024)

Loading

...102030...694695696697...700710720...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved