Opinion Magazine
Number of visits: 9665227
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી 2024: બહુમતની સરકારની આદત નેવે મૂકી ગઠબંધનનો સંપ કેળવવાનું ફાવશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 June 2024

અત્યાર સુધી કોઇપણ સમાધાન ન કરનારા નરેન્દ્ર મોદીને હવે કેટલું નમતું જોખશે એ જોવું રહ્યું

ચિરંતના ભટ્ટ

આપણી ચૂંટણીનાં પરિણામો મોટા ભાગનાં લોકોએ ધાર્યા હતા એના કરતાં તદ્દન જુદાં આવ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર જીત્યા ખરા, એટલે કે ભા.જ.પા.ની ત્રીજી વાર જીત થઇ પણ એવી રીતે નહીં જેવી રીતે તેમણે ધારી હતી. સરળતાથી જીત મળી જશે એમ ધારનારી ભા.જ.પા. માટે આ જંગ રસાકસી વાળી હતી એવું પરિણામ જાહેર થયા પછી ખબર પડી. ચારસો પારના દાવાના શોરબકોર વચ્ચે હવે ભા.જ.પા.એ બહુમત વિનાની ગઠબંધન સરકાર બનાવવાનો વારો આવ્યો છે.  ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે અને પછી 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં બહુમતી મેળવવાની આદત પડી ગઇ હોય પછી હમણાં જે પરિણામ આવ્યું છે તે વડા પ્રધાન માટે એક અંગત ઝટકો છે.

રેસમાં દોડવાનું શરૂ કરીએ ત્યારે જે જોર હોય એ દર વખતની રેસમાં રહે એવું ન બને. વળી બહુમતીનો નશો હોય ત્યારે વધુ પડતો આત્મવિશ્વાસ ઘણી બધી વાસ્તવિકતાઓ ધુંધળી બનાવી દે એવું ય થઇ શકે છે.

લોકશાહી દેશના નાગરિકોએ નેરન્દ્ર મોદીના હાથમાં પૂરેપૂરી સત્તા સોંપી અને એ પણ એક-બે વર્ષ નહીં પણ પૂરાં દસ વર્ષ માટે. આ દસકામાં નાગરિકોએ પોતાની રીતે નાણી લીધું, આકલન કરી લીધું કે જ્યારે કોઇ એક જ વ્યક્તિના હાથમાં બધું જ સોંપી દેવાય ત્યારે શું થઇ શકે છે. બહુમતીની સરકારે રામ મંદિર બનાવ્યું તેની સાથે એક પક્ષની એક જ વ્યક્તિનું કદ સતત વધારવાનું કામ પણ કર્યું. દરેક સિદ્ધિ સાથે એક માણસનું નામ જોડવામાં આવ્યું તે કોઇ માળખાકીય કામગીરી હોય કે પછી કોઇ બીજું લક્ષ્ય પાર કર્યું હોય. આ વ્યક્તિ-પૂજા એ હદે ચાલી કે લોકોએ એવી પણ રમૂજ કરી કે ઑલિમ્પિક્સમાં જીતનારાઓની તસવીર સામે વડા પ્રધાનની તસવીર મોટી મુકવામાં આવશે. અહીં વાત માત્ર માર્કેટિંગની નથી પણ કેન્દ્રનું નિયંત્રણ વધે એવા કાયદા પસાર કરવામાં આવ્યા, 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો ચૂંટણી પંચના મુખ્ય અધિકારી કોણ હોઇ શકે એ નક્કી કરવામાં પણ કેન્દ્ર સરકારે ભાગ ભજવ્યો. આ પહેલાંની ટર્મમાં જી.એસ.ટી., નોટબંધી, 370ની કલમ ખસેડી લેવી જેવાં બીજા ફેરફારો પણ લાદવામાં આવ્યા. જી.એસ.ટી.ને મામલે લાંબુ વિચાર્યા વિના કાચું કપાયું તો નોટબંધીનો એક તસુભાર જેટલો લાભ નથી થયો એ તો ચૂંટણી ટાણે ઠેર ઠેરથી જે રીતે રોકડા પકડાયા એની પરથી જ સાબિત થઇ જાય છે. બહુમત સરકારમાં એક જ જણનો મત ચાલ્યો અને અર્થતંત્ર હખળડખળ થઇ ગયું. એટલું ઓછું હોય એમ ઇલેક્ટોરલ બોન્ડ્ઝનું તૂત ખડું કરાયું – એ ઇલેક્ટોરલ બોન્ડ્ઝ આખરે તો ખંડણી વસૂલીનો જ એક રસ્તો હતો. નૈતિકતાની વાત કરનારા ભા.જ.પા.એ જ્યારે જ્યારે બીજા પક્ષમાંથી નેતાઓ તોડ્યા ત્યારે એ બધાં જ અમાસના અંધારા જેટલો ભ્રષ્ટાચાર કરીને બેઠેલાઓની જ પસંદગી કરી. તમે સત્તા પર હો, ચૂંટણી લડવાના હો ત્યારે વગર વિચાર્યે લોકોને શેર માર્કેટમાં રોકાણ કરવાની બિંધાસ્ત સલાહ આપવાની હિંમત કરવી કોઇ કૌભાંડથી કમ નથી. કારણ કે તમારી ‘ભક્તિ’માં લીન લોકો પૈસા રોકવાના જ છે અને પછી હેરાન પણ થવાના છે. કૃત્રિમ રીતે સ્ટોક માર્કેટ કેટલી ઝડપથી ઉપર ગયું અને પછી સડસડાટ નીચે આવ્યું એ તો આપણે બધાંએ જોયું જ છે.

વળી ધ્રુવીકરણ અને હિંદુત્વનું કાર્ડ તો આ સરકારની મનગમતી ચાલ રહી છે. મુસલમાનોને છેટાં રાખવાનો અભિગમ સપાટી નીચે સતત રખાયો અને અણીને વખતે સપાટી પર પણ આવી ગયો. મુસલમાનોએ કાઁગ્રેસ તરફી વલણ રાખ્યું તેની પાછળ બીજા બધાં કારણો પછી પણ ડર અને અસલામતી સૌથી પહેલાં હતા. બિનસાંપ્રદાયિક લોકશાહીમાં આ વૈમનસ્યની તાણ નાગરિકો ન સંભાળી શકે. ટૂંકમાં શક્ય હોય ત્યાં બધે જ બધું જ કાબૂમાં કરવાનો અને એ પણ સમાંતર – પેલી ઑસ્કાર જીતેલી ફિલ્મ ‘એવ્રીથિંગ એવ્રીવ્હેર ઑલ એટ વન્સ’ના ટાઇટલની માફક – બધા જ પ્રયાસ-પ્રહાર એક સાથે કરવામાં આવ્યા.

વડા પ્રધાન એકમેવ ભા.જ.પા.નો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય હોય એ રીતે ‘નેરેટિવ’ ચલાવાયું, નવા લોકો લવાયા, જૂનાઓને બેકસ્ટેજમાં મુકાયા, વગેરે. ભા.જ.પા.ના પ્રચારના કેન્દ્રમાં હંમેશાં નરેન્દ્ર મોદીને જ રખાયા પણ કમનસીબે ધાર્યું ન થયું. હિંદુ મતદાતાઓને પણ ભા.જ.પા.ના હિંદુ બહુમતવાળી વાત એક હદ પછી ગળે ઊતરતી બંધ થઇ ગઇ.  બહુમતીની સરકારને મામલે અગાઉ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પણ નિષ્ફળ ગયાં છે. ટૂંકમાં બહુમતીની સરકાર કોઇની પણ હોય પણ તે લોકશાહી રાષ્ટ્રના નાગરિકોને એક હદ પછી ગુંગળાવે છે અને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ભલભલાં મોટાં માથાઓને યાદ કરાવે છે કે લોકશાહીની શક્તિ શું હોય છે.

લોકશાહીનું અમૃત જેણે ચાખ્યું હોય એવા રાષ્ટ્રમાં બહુમતીની સરકાર એકચક્રી શાસન બનવા માંડે એટલે તેનો અંત દેખાવા માંડે. બહુમતની સરકારને બંધારણ બદલવામાં રસ હોય ત્યારે એમ કરવામાં કોઇ અવરોધો આવે તો એમને જરા ય ચાલતું નથી. લોકશાહી દેશમાં એવી સરકાર હોય જેને ચર્ચા-વિચારણામાં રસ ન હોય, વળી એમ માનતી હોય કે કોઇના પણ ટેકા વગર બંધારણમાં ફેરબદલ કરી શકે છે ત્યારે એ સરકારના સુકાનીઓએ પોરો ખાવાની અને આત્મવિશ્લેષણ કરવાની જરૂર હોય છે. બહુમતની સરકારમાં એક પ્રભાવી નેતા, સંસાધનો અને કોમ્યુનિકેશન પર કાબૂ, નબળો વિરોધ પક્ષ અને સંગઠનવાળી વ્યવસ્થા જેવા લક્ષણો હોય છે પણ આ તમામની સાથે ઓછી થતી સ્વતંત્રતા પણ બહુમતની સરકારની જ એક દેન છે. ભૂતકાળમાં જ્યારે કાઁગ્રેસનું શાસન હતું ત્યારે પણ બહુમત સરકારના પ્રભુત્વનું જોર મતદારોએ ઘટાડ્યું જ છે.

બહુમતની સરકારે સરમુખત્યારશાહીની સીમા ઓળંગવાની ભૂલ ન કરવી જોઇએ પણ મોટે ભાગે કરી જ બેસે છે. હવે ભા.જ.પા.એ ગઠબંધનની સરકાર બનાવવાના દિવસો આવ્યા છે ત્યારે એકમેવ શાસકની માફક અત્યાર સુધી સત્તા સંભાળનારા નરેન્દ્ર મોદી માટે એમ કરવું સરળ હશે ખરું? આ સવાલ માત્ર નરેન્દ્ર મોદી નહીં પણ અમિત શાહ માટે પણ થાય. ગઠબંધનની સરકારમાં અહમ્‌ને સૌથી પહેલાં બાજુએ મુકવો પડે અને બીજાઓને, તમને ટેકો આપનારાઓને સાંભળવા પડે, એમના અભિપ્રાયોને ગણતરીમાં લેવા પડે.

ભલે ભા.જ.પા.એ બહુમતી માટે પૂરતી બેઠકો પર જીત નથી મેળવી છતાં પણ NDAએ ફરી એકવાર નરેન્દ્ર મોદીને જ વડા પ્રધાન બનાવવા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સત્તામાં રહેવા માટે નરેન્દ્ર મોદીને તેલુગુ દેસમ પાર્ટી અને જનતા દળ યુનાઈટેડમાંથી 28 સાંસદોનો ટેકો જોઇએ છે. આ પક્ષના નેતાઓ છે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર. આ બંન્ને નેતાઓ વાટાઘાટ કરવામાં અવ્વલ છે અને અનેકવાર ગઠબંધનો બદલી ચૂક્યા છે.

બહુમતની આદતવાળા વડા પ્રધાન મોદીએ આ પહેલાં ગઠબંધનની સરકાર રચી નથી અને ટેકેદાર પક્ષો સાથેના તેમના સંબંધો હંમેશાં અનુકૂળ નથી રહ્યા. જ્યારે બહુમતીની સરકાર રચાઇ હતી ત્યારે આ પક્ષો સાથે સારાસારી રાખવામાં મોદીએ બહુ મહેનત નહોતી કરી. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બન્ને વિશે એલફેલ બોલવામાં પણ એમણે કંઇ બાકી નહોતું રાખ્યું. અકાલી દળે ખેડૂતોના મુદ્દે અને શિવ સેનાએ પણ સત્તાને મામલે ભેદભાવ થતા ભા.જ.પા. સાથે છેડો ફાડ્યો છે કારણ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની બધી વાતે સંમત થવાનું તેમને માટે શક્ય નહોતું.  કેન્દ્રમાં બેઠેલા નરેન્દ્ર મોદી કેન્દ્રની માફક જ વર્ત્યા છે અને ઘણીવાર પોતાના મંત્રીઓને બાજુમાં રાખીને સીધા સરકારી અધિકારીઓ સાથે વહેવાર કરી ચૂક્યા છે. તેમણે અનેકવાર બીજાઓને સાંકળ્યા વિના અથવા જાણ કર્યા વિના સીધેસીધા નિર્ણયો લઇ લીધા હોવાના પણ બનાવો છે.

હવે વડા પ્રધાન રહેવું હશે તો નરેન્દ્ર મોદીએ તેલુગુ દેસમ અને જનતા દળ યુનાઈટેડ જેવા ટેકેદાર પક્ષોની માગણીઓને પણ સમાવવી પડશે. અત્યાર સુધી કોઇપણ સમાધાન ન કરનારા નરેન્દ્ર મોદીને હવે કેટલું નમતું જોખશે એ જોવું રહ્યું. જો એમ નહીં કરે તો આગલા પાંચ વર્ષ સુધી સ્થિર સરકાર રાખવી સહેલું નહીં હોય.

ત્રીજી ટર્મ ઘણા નેતાઓ માટે પડકાર જનક સાબિત થઇ છે. નહીં ધારેલા સંજોગોમાં સરકારો પડી ભાંગી છે અને ભલભલી યોજનાઓ રફેદફે થઇ ગઇ છે. મનસ્વી અભિગમને બાજુમાં મૂકીને ખરા અર્થમાં અન્યોના ટેકાથી સરકાર ચલાવવામાં નરેન્દ્ર મોદી કેટલા સફળ થશે એ જોવું રહ્યું.

બાય ધી વેઃ 

ભા.જ.પા.ની ટિકિટ લઇને મંડીથી ચૂંટણી જીતેલી અભિનેત્રી કંગના રણૌતને ચંદીગઢ એરપોર્ટ પર સિક્યોરિટી કર્મચારીએ લાફો ચોડી આપ્યો, મુદ્દો હતો કંગનાએ કિસાન આંદોલન વખતે કરેલી ટિપ્પણી. નવીસવી સાંસદ બનેલી અભિનેત્રીએ ચોખવટ કરતો વીડિયો પણ મુક્યો. જોવાનું એ છે કે તમે સાહેબની નજીક હો એ તમારી લાયકાત નથી બનતી એવું કંગના રણૌતને સાંસદ બન્યાના અડતાળીસ કલાકમાં સમજાઇ ગયું. આ ઘટનામાંથી એટલું સમજી લેવું કે વાહવાહી કરનારાઓનો અવાજ સાંભળીને બેરોજગારી, અરાજકતા, ધ્રુવીકરણને લીધે થતી સમસ્યાઓ જેવા પ્રશ્નોના ઘોંઘાટની અવગણના કરવા જશું તો ગાલે તમાચો જ પડશે. લોકોની યાદશક્તિ ટૂંકી નથી હોતી. જે લોકો પીડાય છે તેમને પોતાની પીડા યાદ રહે છે. હિંદુવાદનું પાનું ઊતરવાથી હંમેશાં લોકોને જીતી નથી શકાતા. વળી, અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું ટક્યું એ વાત યાદ રાખીને શાલીનતા, સજ્જનતા, નમ્રતા સાથે ગઠબંધનનું માન જળવાય એ રીતે સત્તાધીશ વહેવાર કરશે તો એક લોકશાહી રાષ્ટ્રની ગરિમા જળવાશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જૂન 2024

Loading

ઈશ્વરે કંઈક એવી રચના કરી કે બધાને થોડા થોડા જીતાડ્યા

રમેશ ઓઝા|Opinion - Opinion|9 June 2024

રમેશ ઓઝા

કમાલનાં પરિણામો આવ્યાં છે. માત્ર એક વ્યક્તિના અહંકારને ચકનાચૂર કરવા માટે જાણે કે ઈશ્વરની કોઈ યોજના ન હોય! બી.જે.પી. જે મોરચાનો ઘટક છે એ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એન.ડી.એ.) સહેજે સરકાર રચી શકે એમ છે. સાદી બહુમતી તેને મળી છે. બી.જે.પી.ને ૨૪૦ બેઠકો મળી છે અને લોકસભામાં સૌથી મોટો પક્ષ છે. ૧૯૯૮ અને ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં બી.જે.પી.ને લોકસભામાં માત્ર ૧૮૦ બેઠકો મળી હતી. ૧૮૦ની તુલનામાં ૨૪૦ તો ઘણી મોટી સંખ્યા કહેવાય, પણ એ છતાં ય ત્યારે વાજપેયી વિજેતા હતા અને અત્યારે ૨૪૦ બેઠકો જીત્યા પછી પણ નરેન્દ્ર મોદી પરાજીત નેતા છે. વિજય કાઁગ્રેસનો થયો છે. તેની સંખ્યા લગભગ બેવડાઈ છે. કાઁગ્રેસ એક વાસ્તવિકતા તરીકે અને રાહુલ ગાંધી એક વિકલ્પ તરીકે સ્થાપિત થયાં છે. વિજય અખિલેશ યાદવ, મમતા બેનર્જી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, સ્તાલીનનો થયો છે. આ ચૂંટણીમાં શરમજનક પરાજય થયો છે નરેન્દ્ર મોદીનો, અમિત શાહનો અને યોગી આદિત્યનાથનો. તેમની આખલાઉધમ મચાવનારી રાજકીય શૈલીનો.

એક વાત નક્કી છે કે હવે પછી એ માણસ એ માણસ નહીં હોય જે ૩જી જૂન ૨૦૨૪ સુધી જોવા મળતો હતો. ચોથી જૂને પરિણામ આવ્યાં એ પછી પક્ષના કાર્યાલયમાં તેમને બોલતા સાંભળ્યા? તેમનો ચહેરો જોયો? ચહેરા પર ગર્વખંડનની વેદના સ્પષ્ટ નજરે પડતી હતી. ચહેરો વગર આંસુએ રડતો હતો. તેમણે કહેવું પડ્યું હતું કે બિહારમાં નીતીશબાબુના નેતૃત્વમાં એન.ડી.એ.ને વિજય પ્રાપ્ત થયો હતો. બીજાનો યશ આંચકી જનાર મોદીસાહેબને એ માણસને વિજયનો યશ આપવો પડ્યો હતો જે તેમને દીઠ્યો ગમતો નથી. તેમણે તેમનાં ભાષણમાં આંધ્ર પ્રદેશના તેલગુ દેશમ પાર્ટીના નેતા ચન્દ્રાબાબુ નાયડુને વિજયનો શ્રેય આપવો પડ્યો હતો. આનું કારણ એ છે કે આ બે માણસના હાથમાં ટ્રમ્પકાર્ડ છે. જો ત્રીજી વખત વડા પ્રધાન બનવું હોય તો આ બે જણને રાજી કરવા જરૂરી છે. મને આજે રમેશ પારેખની આલા ખાચર સીરીઝની કવિતાઓની યાદ આવે છે. જેમણે ન વાંચી હોય એ વાંચી જાય.

અભિમાન રાજા રાવણનું પણ ટક્યું નહોતું, પણ આ ત્રણ લોકોને એમ લાગતું હતું કે મૃત્યુપર્યંત કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી. કોઈ બહુ પ્રભાવ ધરાવે છે? સતાવો અને નાખો જેલમાં. કોઈ નીડરતાપૂર્વક બોલે છે? કરો સંસદમાંથી બહાર. (રાહુલ ગાંધી અને મહુઆ મોઇત્રા) કોઈ પક્ષ રાજકીય શક્તિ ધરાવે છે? કરો તેના પક્ષમાં વિભાજન અને ખરીદો વિધાનસભ્યો અને તોડો સરકાર. અમે કાંઈ પણ કરીએ તમે બોલનાર કોણ? જો બોલ્યા તો ચલાવો બુલડોઝર. ઉત્તર પ્રદેશમાં તો યોગી આદિત્યનાથે બુલડોઝરનો આતંક મચાવ્યો હતો અને તેમનાં માથાભારે શાસનને નો નોનસેન્સ શાસન તરીકે ઓળખાવીને ગોદી મીડિયા આરતી ઉતારતા હતા. માટે કહેવાનું મન થાય છે કે ઈશ્વરે કંઈક એવી રચના કરી કે બધાને થોડાથોડા જીતાડ્યા, માત્ર આ ત્રણને પસંદ કરીને પરાજિત કર્યા અને તેમને તેમની જગ્યા બતાવી દીધી.

સત્ય, સંયમ, વિવેક, સભ્યતા, સંસ્કાર, નમ્રતા, મર્યાદા, સાદગી જેવા માનવીય ગુણો નબળાઈનાં લક્ષણો નથી, એકંદરે માનવીમાં હોવી જોઈતી માણસાઈનાં લક્ષણ છે. આટલી પાયાની વાત શાખાઓમાં કોઈએ શીખવી નહીં હોય? ના, નથી શીખવવામાં આવતી. શાખાઓમાં શીખવવામાં આવે છે કે સદ્દગુણ એ નબળાઈ છે. એટલે તો એ લોકો ગાંધીજી માટે મજબૂરી કા નામ મહાત્મા ગાંધી કહે છે. જે નિર્બળ હોય, મજબૂર હોય એ માણસાઈ બતાવે. આજે આટલા આટલા પ્રયત્નો પછી પણ “મજબૂર” ગાંધી મરતો નથી અને માત્ર દસ વરસમાં “બહાદુરો”ની કહેવાતી બહાદુરીનો પારો ઉતરી ગયો. કારણ કે એ બહાદુરી નહોતી, નાગાઈ હતી. માણસાઈનો અભાવ હતો. અમાનવીયતા હતી. બહાદુર હોત તો ચીનનો ચ ઉચાર્યો હોત. ખુલ્લી પત્રકાર પરિષદમાં પ્રેસનો સામનો કર્યો હોત.

આજે દરેકના મનમાં એક સવાલ છે કે પહેલી અને બીજી મુદ્દતમાં આપણે જે નરેન્દ્ર મોદીને  જોયા છે એ ત્રીજી મુદ્દતમાં કેવી રીતે નિભાવશે? બહુમતી નથી એટલે બીજાઓને પૂછવું પડશે, સાંભળવું પડશે, મર્યાદામાં રહેવું પડશે, મર્યાદા પાળવી પડશે, બોલવામાં સંયમ જાળવવો પડશે, આગળ શું બોલ્યા હતા એનું ધ્યાન રાખવું પડશે, રાતોરાત નોટબંધી અને લોકડાઉન જેવા નિર્ણયો નહીં લઈ શકાય, “મોદી મોદી”ની આરતી ઉતારીને નશો કરાવનારાઓ એકએક કરીને ભાગી જશે, ટ્રોલિંગ નહીં કરાવી શકાય, ભાઈબંધ ઉદ્યોગપતિઓની મદદ નહીં કરી શકાય, પ્રજાના પૈસે મોટા તાયફાઓ નહીં યોજી શકાય. ગુમાન ધરાશયી થઈ ગયું છે અને ત્યારે દરેક જણ રોજેરોજ ચોવીસે કલાક એ “સુવર્ણ દિવસો” અને અત્યારના “માઠા દિવસો”ની યાદ અપાવતા રહેશે. મનમાં થાય છે કે આનાથી વધારે મોટી સજા બીજી કઈ હોઈ શકે! શું પરિણામ આવ્યાં છે! નાસ્તિકને પણ ઈશ્વરમાં માનવાનું મન થઈ આવે!

તો દરેકના મનમાં એક સવાલ છે કે પહેલી અને બીજી મુદ્દતમાં આપણે જે નરેન્દ્ર મોદીને  જોયા છે એ ત્રીજી મુદ્દતમાં કેવી રીતે નિભાવશે? એવી તે કેવી સત્તાની લાલચ કે ભલે નીચી મુંડી કરવી પડે, ભલે સિંહમાંથી શિયાળ બનવું પડે, પણ વડા પ્રધાન તો બનવું જ છે. સત્તાની લાલચ તો છે જ. ઐશ્વર્ય માટે એ માણસ ઝૂરે છે. જવાહરલાલ નેહરુ તેમને બહુ સતાવે છે. નેહરુ ત્રણ મુદ્દત માટે વડા પ્રધાન બન્યા હતા એટલે મોદીસાહેબ પણ ત્રણ વખત વડા પ્રધાન બનીને તેમની પંક્તિમાં બેસવા માગે છે. તેઓ એક વાત ભૂલી જાય છે કે ૧૯૬૨માં નેહરુના નેતૃત્વમાં કાઁગ્રેસનો પરાજય નહોતો થયો. હા, બેઠકો ઘટી હતી. કાઁગ્રેસને લોકસભાની એ સમયની કુલ ૫૦૮ બેઠકોમાંથી ૩૬૧ બેઠકો મળી હતી. ક્યાં ૫૦૮માંથી ૩૬૧ અને ક્યાં ૫૪૩માંથી ૨૪૦! બીજું, કદાચ તેમને એમ લાગતું હશે કે સત્તા નામનું કવચ જતું રહેશે તો કદાચ દુ:શ્મનો સતાવશે. દરેક પાસે કારણ પણ છે, કારણ કે દરેકને સતાવવામાં આવ્યા છે. આ સિવાય રાફેલ, ઇલેક્ટરોલ બોન્ડ્સ, વેક્સીન જેવાં પ્રકરણો પણ છે. અને ત્રીજું કારણ માનસિક છે. નરેન્દ્ર મોદી અને એક સામાન્ય માણસ! લોકસભમાં સામેની બાજુએ બેસે! વળી એ કોઈ ડૉ. મનમોહન સિંહ તો છે નહીં કે સત્તા સિવાય પણ જીવવા માટે બીજાં કારણો હોય અને કરવા માટે બીજી પ્રવૃત્તિ હોય. માટે ભલે સિંહમાંથી શિયાળ થવું પડે, પણ સત્તા તો જોઈએ.

ઘણાં વર્ષો પહેલા ચક્રવર્તી રાજગોપાલાચારીએ મુંબઈમાં સંસ્કાર અથવા સંસ્કૃતિ વિષે ત્રણ વ્યાખ્યાન આપ્યાં હતાં. ત્રીજા દિવસે એ ત્રણ દિવસના વ્યાખ્યાનનો નીચોડ તેમણે માત્ર એક વાક્યમાં આપ્યો હતો. શું કહ્યું હતું તેમણે માત્ર એક વાક્યમાં? Culture is concern for others. જે પોતા સિવાય બીજાનો પણ વિચાર કરે, બીજાની પણ ચિંતા કરે એ સંસ્કાર.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જૂન 2024

Loading

ભારતના સેક્યુલર મતદાતાઓએ પરમાત્માને પરાજીત કર્યા છે.

રમેશ ઓઝા|Opinion - Opinion|8 June 2024

રમેશ ઓઝા

પરમાત્માનો પરાજય. ભારતના સેક્યુલર મતદાતાઓએ પરમાત્માને પરાજીત કર્યા છે. પાંચમાં અને છઠ્ઠા ચરણની ચૂંટણી વચ્ચે પાળીતા પત્રકારોને મુલાકાત આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે “હવે મને એમ લાગવા માંડ્યું છે કે હું યૌનસંતાન નથી, પરંતુ પરમાત્માએ મને ખાસ કામ માટે મોકલ્યો છે.” આવો વહેમ આ જગતમાં ઘણા આત્મમુગ્ધ તાનાશાહો ધરાવતા આવ્યા છે. આ કોઈ સાવ નવો નક્કોર દાવો નથી. તેનો પણ ઇતિહાસ છે, પણ એ વાત જવા દઈએ.

શું પરમાત્માએ પસંદ કરેલા દૈવીપુરુષને એમ કહ્યું હતું કે હું (એટલે કે પરમાત્મા) ભારતનાં મુસલમાનોના ચહેરા પર ડર જોવા માગું છું? મણિપુરની સ્ત્રીઓની લાજ ઉતરતી જોવા માગું છું? વિરોધ પક્ષને નેસ્તનાબૂદ થયેલો જોવા માગું છું? તેના નેતાઓને જેલમાં સબડતા જોવા માગું છું? ભારતનાં લોકતંત્રને રૂંધાતું જોવા માગું છું? યુવાનોને રોજગાર વિના રખડતા જોવા માગું છું? મોંઘવારીને કારણે ત્રાહિમામ્‌ પોકારી ગયેલી પ્રજાને જોવા માગું છું? જે તે માગણીઓ લઈને આંદોલન કરનારાઓને સબક શીખવાડવા માગું છું? ભારતની ભૂમિ પર કબજો કરનારા ચીનનો ચ નહીં ઉચારનાર કૃતનિશ્ચયી અને નીડર નેતાને જોવા માગું છું? ચોવીસે કલાક પોતાનો જયજયકાર કરાવનારા અને વિરોધીઓને બદનામ કરનારા એક અનોખા દિવ્યપુરુષને ભારતની ભૂમિ પર વિચરતો જોવા માગું છું? દેશમાં મોકળાશનો અંત અને ડરનું સામ્રાજ્ય જોવા માગું છું? કોઈ આવા ઉદ્દેશથી પરમાત્માએ નરેન્દ્ર મોદીના શરીરને પસંદ કર્યું હશે?

બને કે પરમાત્માને પણ જૂની યાદો સતાવવા લાગી હોય જ્યારે જગત આખામાં જે તે ધર્મના ઠેકેદારો આ બધું કરતા હતા. યુરોપમાં પુન:જાગરણ થયું અને એમાંથી જે મૂલ્યો વિકસ્યાં તેણે ધર્મના નામે “માપમાં રહો અને ડરીને જીવો”ના યુગને સમાપ્ત કરી દીધો. ભારતમાં પણ એનો ચેપ લાગ્યો અને ભારતની પ્રજાએ પણ “માપમાં રહો અને ડરીને જીવો”ની વ્યવસ્થા ફગાવી દીધી. ભારતની પ્રજાએ વ્યક્તિગત મોકળાશ, સ્વતંત્રતા, વ્યવસ્થામાં ભાગીદારી, ધર્મની જગ્યાએ સેક્યુલર બંધારણ દ્વારા શાસિત વ્યવસ્થા સ્વીકારી. આ બધું જોઇને કદાચ ભગવાનને થયું હશે કે કેવો એ સુવર્ણકાળ હતો જ્યારે ઈશ્વરને નામે અને એ ઈશ્વર સુધી લઈ જતા ધર્મને નામે કેટલાક લોકો પ્રજાને કચડતા હતા અને ડરાવીને રાખતા હતા. એ દરેક પોતાને ઈશ્વરે પસંદ કરેલા ખાસ દૈવી પુરુષ તરીકે ઓળખાવતા હતા. આપણે ત્યાં બ્રાહ્મણો પોતાને બ્રહ્માના મુખમાંથી પેદા થયેલા હોવાનો દાવો કરે છે અને પ્રજાને તેની મર્યાદા બતાવીને ડરાવી રાખતા હતા. કેવા એ વૈભવી દિવસો હતા! શું ઈશ્વર જૂની યાદોમાં સરકી પડ્યા હશે? માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લાહવો એમ કવિ કલાપીએ કહ્યું છે.

“માપમાં રહો અને ડરીને જીવો” એ નરેન્દ્ર મોદીના એક દાયકાના શાસનનો ધ્રુવમંત્ર હતો. પરંતુ તેઓ એ વાત ભૂલી ગયા કે ભારતની પ્રજાએ પણ યુરોપના પુન:જાગરણનાં મૂલ્યોને અપનાવ્યાં છે. અપનાવ્યાં નથી, ઠીકઠીક પ્રમાણમાં આત્મસાત કર્યા છે. આ મૂલ્યો બંધારણ દ્વારા ભારતને મળ્યાં છે એ વાત સાચી, પણ વધારે સાચી વાત એ છે કે છેલ્લાં બસો વરસ દરમ્યાન ભારતની પ્રજાને મળેલાં અને પ્રજાએ સ્વીકારેલાં એ મૂલ્યોને બંધારણમાં સમાવવામાં આવ્યાં છે. સ્વીકૃત મૂલ્યોને બંધારણમાં આમેજ કરવામાં આવ્યાં છે. આઝાદી પછીના સાત દાયકા દરમ્યાન પ્રજાએ એ મૂલ્યો જીવ્યાં છે. વ્યક્તિગત મોકળાશ, સત્તામાં ભાગીદારી, જવાબદાર શાસન, લોકશાહી, પસંદગીનો અધિકાર, માગણીઓ કરવાનો અધિકાર, માગણી ન સંતોષાય તો લડવાનો કે આંદોલન કરવાનો અધિકાર, વગેરે વગેરે. ભારતની પ્રજાની ત્રીજી પેઢી “માપમાં રહો અને ડરીને જીવો”થી ઊલટું “મોકળાશથી જીવો અને આગળ વધો”ના જીવનમંત્ર સાથે જીવી રહી છે. ભારતીય રાષ્ટ્રનું જેમણે પાયારોપણ કર્યું એ પૂર્વસૂરિઓ પાસેથી મળેલો, પ્રજાએ સ્વીકારેલો અને જીવેલો વારસો છે.

પણ એની વચ્ચે ૨૦૧૪માં એક માણસનું અવતરણ થયું અને તેણે પ્રજાને કહ્યું કે માપમાં રહો અને ડરીને જીવો. ખૂબી એ વાતની છે કે જ્યારે અવતરણ થયું ત્યારે એ દૈવીપુરુષે કહ્યું હતું કે હું તો મહાન ભારતીય રાષ્ટ્રની વ્યવસ્થામાં પેઠેલા સડાને સુધારવા માટે આવ્યો છું. આ મહાન દેશની વ્યવસ્થા ભ્રષ્ટાચાર, સગાંવાદ, નોકરશાહી, અનિર્ણય-અવસ્થા, કૃતનિશ્ચયતાનો અભાવ, મૌલિકતાનો અભાવ વગેરેનો શિકાર બની ગઈ છે. એમાં મોટા સુધારાની જરૂર છે અને મોટા સુધારા માટે મોટું લોકસમર્થન ધરાવનારા નેતાની જરૂર છે. હું આવો એક માણસ છું અને આ બધું મેં ગુજરાતમાં કરી બતાવ્યું છે. (હા સાચી વાત છે, હા સાચી વાત છે એમ કહેનારા લોકોની એક ફોજ આ પહેલાં જ તૈયાર રાખવામાં આવી હતી.) લોકોએ એ દાવા પર વિશ્વાસ મૂક્યો અને ભારતીય જનતા પક્ષને સ્પષ્ટ બહુમતી આપી. ૨૦૧૯માં હજુ વધુ મોટો સાથ આપ્યો. કાટ ખાઈ ગયેલી વ્યવસ્થાને સુધારવા માટે સમય તો આપવો જોઈએ.

આની વચ્ચે સમજદાર હિંદુઓનો એક વર્ગ સતત લોકોને ચેતવતો હતો કે તેમનો ઈરાદો વ્યવસ્થામાં સુધારા કરવાનો નથી, પણ સમૂળગી વ્યવસ્થા બદલી નાખવાનો છે અને તેની જગ્યાએ એવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાનો છે જેમાં મધ્યયુગીન વિશ્વમાં જોવા મળતું હતું એમ ધર્મના નામે પ્રજાની છાતી પર ચડી શકાય. ધર્મના નામે પ્રજાને પોરસાવો ડરાવો અને પછી કહો કે હું છું ને ડરવાની જરૂર નથી. ભયમુક્ત કરીને ભય દૂર કરવાના ગાંધીજીના માર્ગથી ઊલટું ભયભીત કરીને ભયમુક્ત કરવાનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. મારી આંગળી પકડો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે કારણ કે આપણે મહાન પ્રજા છીએ અને તમારો નેતા ઈશ્વરી તાકાત ધરાવે છે. તેમને બસ આટલું જ જોઈએ છે અને તેને સાકાર કરવા બેશુમાર શક્તિ જોઈએ છે. એ બેશુમાર સાધનો ભાઈબંધ ઉદ્યોગપતિઓ પાસેથી મળે છે જેનાં દ્વારા પ્રજાને કેફમાં રાખવામાં આવે છે, કેટલાક લોકોને ડરાવવામાં આવે છે, વિરોધ પક્ષોને નેસ્તનાબૂદ કરવામાં આવી રહ્યા છે, વ્યવસ્થાતંત્રના મહત્ત્વના માણસો(જજો, અધિકારીઓ વગેરે)ને ખરીદવામાં આવી રહ્યા છે, ગોદી મીડિયા પ્રજાને કેફમાં રાખવાનું અને વિરોધીઓને બદનામ કરવાનું કામ કરે છે, પ્રજાના વાસ્તવિક પ્રશ્નોને ઘોંઘાટ પેદા કરીને દબાવી દેવાનો પ્રયાસ કરે છે, આર્મી ઓફ ટ્રોલ્સ જંગલી કૂતરાઓની જેમ વિરોધીઓની પાછળ પડી જાય છે. ટૂંકમાં હિંદુઓનો ટેકો મળવો જોઈએ; બને ત્યાં સુધી શ્રદ્ધાપૂર્વક અને નહીં તો ડરીને.

આમ બે પક્ષે કામ થતું હતું. કેટલાક લોકો નરેન્દ્ર મોદીને મહાન ચીતરતા હતા અને કહેતા હતા કે દેશનું સૌભાગ્ય છે કે આપણને આવા મહાન પ્રતાપી નેતા મળ્યા છે. અને બીજા લોકો ડરાવવાનું કામ કરતા હતા. એક જમાત શ્રદ્ધાનું વાવેતર કરતી હતી અને બીજી જમાત ડરનું વાવેતર કરતી હતી. બધું જ આયોજનપૂર્વક થઈ રહ્યું હતું અને નરેન્દ્ર મોદીને એમ લાગવા માંડ્યું હતું કે હવે કોઈ માઈનો લાલ હાથ પણ લગાડી શકે એમ નથી. અને એ પછી જે તુમાખી શરૂ થઈ તેનો નજીકનો અને લાંબો ઇતિહાસ છે. પણ અભિમાન તેમ જ તુમાખીમાં એક જોખમ છે. તુમાખી ઉપરથી નીચે ઉતરે છે. વિકાસના લાભ નથી ઉતરતા, પણ તુમાખી ઉતરે છે. સ્થિતિ એવી બની કે ફેસબુકનો હિન્દુત્વવાદી વાચક પણ દાદાગીરી કરવા લાગ્યો. પ્રત્યેક હિન્દુત્વવાદી રાજાપાઠમાં રહેવા લાગ્યો. આપણે દૈવીપુરુષ હોવાનો થોડોથોડો અનુભવ દરેક કરવા લાગ્યા. તુમાખી, દાદાગીરી, અતિરેકો વધવા લાગ્યા અને લોકોએ એ પણ જોયું કે આમાં તો કોઈનો વાળ પણ વાંકો થતો નથી. “માપમાં રહો અને ડરીને જીવો” એ નરેન્દ્ર મોદીના શાસનનો ધ્રુવમંત્ર હતો.

આગળ કહ્યું એમ સમજદાર હિંદુઓ ધીરજ ગુમાવ્યા વિના સતત આ વાત લોકોને સમજાવતા હતા. તેઓ જે કહેતા હતા એ હવે પ્રત્યક્ષ જોવા અનુભવવા મળ્યું. ઓછામાં પૂરું બેકારી અને મોંઘવારીની તો કોઈ વાત જ નહીં કરવાની. ૨૦૧૪માં જે કહેવામાં આવ્યું હતું એ તો જાણે કે એક યુગ વીતી ગયો હોય એમ ભૂલાવી દેવામાં આવી. વિરોધ પક્ષો અધમુઆ હતા, મીડિયાનો સાથ નહોતો, ચૂંટણીપંચ ખિસ્સામાં હતું અને દરેક રીતે મદદ કરતું હતું, વહીવટીતંત્ર ભા.જ.પ.ની જીત માટે કામ કરતું હતું, પૈસા બેશુમાર હતા, વિરોધ પક્ષો પાસે ભા.જ.પ.ના એક રૂપિયા સામે દસ પૈસા પણ નહોતા અને ભયનું વાતાવરણ હતું. આવી અસમાન સ્થિતિમાં જે પરિણામ આવ્યું એ તમારી સામે છે. જો ચૂંટણી એક સમાન સ્થિતિમાં લડાઈ હોત તો બી.જે.પી.ને હજુ સો સીટ ઓછી આવી હોત. જગતના સંસદીય ઇતિહાસમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે સાવજ અને સસલાની લડાઈમાં સાવજનો પરાજય થયો, કારણ કે લોકોને વાસ્તવિકતા સમજાઈ ગઈ અને તેમણે ચૂંટણી પોતાના હાથમાં લઈ લીધી.

સમજદાર અને આંખ ઉઘડેલા ભારતીયો (મુખ્યત્વે હિંદુઓ) વિરુદ્ધ નરેન્દ્ર મોદી વચ્ચેની આ લડાઈ હતી જેમાં નરેન્દ્ર મોદીનો પરાજય થયો છે. જયવિજયને તેમણે પોતે જ વ્યક્તિગત કરી નાખ્યો હતો, એટલે એન.ડી.એ. નામનો મોરચો સરકાર રચી શકે એમ છે કે પછી ભા.જ.પ. સૌથી મોટો પક્ષ છે એ ગૌણ છે, મુખ્ય છે નરેન્દ્ર મોદીનો પરાજય. જો ૨૦૧૯માં મળેલી ૩૦૩ બેઠકોનો શ્રેય તેમને જતો હોય તો ૬૩ બેઠકો ગુમાવવાનો અપયશ પણ તેમને જ મળવો જોઈએ. આખો પ્રચાર મોદીના નામે અને મોદી માટે કરવામાં આવ્યો હતો. “મોદી કી ગેરંટી.” વ્યક્તિગત રીતે વારાણસીમાં તેમને માત્ર દોઢ લાખ મતોની સરસાઈ મળી છે જે રાહુલ ગાંધી તો છોડો અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને હરાવનાર કિશોરીલાલ શર્મા કરતાં અડધી છે. એક સમયે તો તેઓ કાઁગ્રેસના ઉમેદવારથી પાછળ પણ હતા. તેઓ ૨૦૧૯માં ૪,૭૯,૫૦૫ મતોથી જીત્યા હતા. આ વખતે વારાણસીમાં કુલ ૧૧ લાખ ત્રીસ હજાર મત પડ્યા હતા અને અમેઠીમાં નવ લાખ ૭૬ હજાર.

નરેન્દ્ર મોદી(સાથે અમિત શાહ)ના અભિમાનનો પરાજય થયો છે, તુમાખીનો પરાજય થયો છે, તેમણે અપનાવેલી રાજકીય શૈલીનો પરાજય થયો છે. જો લાજશરમ જેવી કોઈ ચીજ હોય તો તેમણે પોતે જ વડા પ્રધાનપદ માટે દાવેદારી ન કરવી જોઈએ.

Loading

...102030...679680681682...690700710...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved