Opinion Magazine
Number of visits: 9457304
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રામમંદિર, અયોધ્યા અને ભક્તિ(?)

રેખા સિંધલ|Opinion - Opinion|28 January 2024

રેખાબહેન – પ્રતાપભાઈ સિંધલ

પરણીને જે ઘરમાં મેં સાસરવાસ વેઠ્યો, તે ઘરની અને રામમંદિરની સહિયારી દીવાલ હતી. આ દીવાલ માંડ દસેક ફૂટ ઊંચી હશે. રામમંદિરના ઉપરના માળનો દાદરો આ દીવાલને અડીને જતો અમારા ફળિયામાંથી જોઈ શકાતો. એ જ રીતે અમારા ઘરની ઉપરના માળનો દાદરો અને બાલ્કની પણ મંદિરના આંગણામાંથી જોઈ શકાતા. હું પરણી તે પહેલાંથી રામનવમીના દિવસે ભક્તોની અવરજવર અમારા ફળિયા સુધી રહેતી. એ નવદિવસો આંગણે ઉત્સવ હોય એવું લાગતું. અમારા ઘરના બધા જ સભ્યો ભક્તોની સરભરા માટે તત્પર રહેતા. પગરખાં ઉતારવાથી માંડીને આરામ અને ભોજન તથા વોશરૂમની સગવડ માટે અમારાં બારણાં આ નવ દિવસો આખા ગામ માટે ખુલ્લાં રહેતાં. મારા સસરા રામના પરમભક્ત હતા. વર્ષોથી રોજ સાંજે મંદિરમાં થતી રામકથામાં એમની હાજરી અચૂક હોય. એ ગેરહાજર હોય ત્યારે મોટેભાગે અયોધ્યા ગયા હોય. રામાયણ એમને આખી ય કંઠસ્થ. તેઓ વિધુર હતા. બીજીવાર પરણવાનો વિચાર એમને માન્ય ન હતો. માવિહોણા ત્રણ બાળકોની જવાબદારી દાદા-દાદી અને નાના-નાની વચ્ચે વહેંચાયેલી હતી એ કારણે બાળકો દાદા અને નાનાના ઘર વચ્ચે ફંગોળાતા તેથી ક્યાં ય સ્થિર થઈ શકતા નહીં. મોટો દીકરો પરણશે એટલે મારા સાસુની જગ્યાએ વહુ તરીકે જવાબદારીઓ હું સંભાળીશ એવી આશાએ સ્થિરતા માટે અમારા લગ્નની રાહ જોવાતી હતી.

અમારા લગ્નજીવનની શરૂઆતના દિવસોમાં મારા સસરા પ્રત્યેના આદરને કારણે મેં પણ રામમંદિરે નિયમિત જવાનું શરૂ કરેલ. રોજ રાત્રે ૯ વાગ્યે એક કલાક સુધી ઢોલ, મંજીરા અને હારમોર્નિયમ સાથે ચોપાઈઓ સાંભળવા મળે અને વચ્ચે વચ્ચે માઈકમાંથી કથાના સૂર પણ શેરીના રસ્તા સુધી સંભળાય. બહેનોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય અને તેની વ્યવસ્થા પાછળના દરવાજા પાસે અલગ રહેતી. લગભગ એક અઠવાડિયામાં જ કથા સાંભળવામાંથી મારો રસ કાયમ માટે ઊડી ગયો. કારણ કે એ કથાકાર, રામ-સીતા સાથે સરખામણી કરી કથા વખતે આજ-કાલના ભણેલા દીકરા-વહુઓની ટીકા વચ્ચે વચ્ચે કરતા હતા. મહારાજના મુખેથી રામકથાની જગ્યાએ આજની પેઢીની ટીકાઓ સાંભળીને મેં કથામાં જવાનું બંધ કર્યું હતું. થોડા વખત પછી એ કથાકારને ઘરે કરચોરીને કારણે રેડ પડી હતી. ભક્તોની આ ટોળીમાં ગામમાં એક પ્રતિસ્થિત વેપારી પણ હતા. આ ભક્તની પોલ પણ એકવાર પકડાઈ ગઈ. એવું બન્યું કે રામનવમીનો નવ દિવસનો ઉત્સવ હોવાથી મંદિરના મુખ્ય દરવાજે માંડવો બંધાયેલો હતો. આ માંડવાનો ઉપલો ભાગ સળગ્યો એટલે બંબાવાળા દોડતા આવ્યા. બીજા એક પડોશીએ હાંસી સાથે મને જણાવ્યું હતું કે કહેવાતા ભક્ત એવા પેલા વેપારીની બીડીનું સળગતું ઠુંઠુ ઊડીને માંડવા પર પડ્યું હતું. એમના છૂપા વ્યસનની આમ તો બધાને ખબર હતી. એમના બહોળા કુટુંબમાં પણ સૌને એની જાણ હતી, પણ જાહેરમાં નહીં તેથી મને આ ખબર નહોતી. પડોશીનું વ્યંગભર્યું હાસ્ય મારી નાદાની માટે હતું.

બે ચાર વર્ષો પછી ફરી રામનવમીના આ નવદિવસ દરમ્યાન બીજો એક આશ્ચર્યજનક બનાવ બન્યો. ઉત્સવ હોય ત્યારે કથા રાતે બાર વાગ્યા સુધી ચાલુ રહે અને મંદિરની અંદર બધા સમાય નહીં એટલે રોડ પર માંડવા નીચે મહારાજ કથા કરે. બંને બાજુ નીચે પાથરણાં પર દૂરથી આવેલા ભક્તો બેઠા હોય. બાળકો પણ આસપાસ હોય, કોઈ દાદા-દાદીના ખોળામાં પણ બેઠાં હોય અને કોઈ અમારી ફળીમાં રમતાં હોય. મારાં બાળકો પણ સાથે રમતા હોય એટલે મારી નજર રસ્તા સુધી બાળકોનું ધ્યાન રાખવા ફરતી હોય. અચાનક મારું ધ્યાન પડ્યું કે એક ભક્ત કે જે ગામમાંથી ફાળો ઊઘરાવી મંદિરમાં દાનનો પ્રવાહ ચાલુ રાખતા હોવાથી પૂજનીય ગણાતા હતા તે કથા અધવચ્ચે છોડી બઝારના રસ્તે જતા હતા. મને થયું કે રાતના અગિયાર વાગ્યે કથા છોડીને ગામમાં જવા પાછળ શું કારણ હશે? મેં મારા પતિને પૂછ્યું તો એમને પણ નવાઈ લાગી, એટલે તરત સાયકલ પર જઈ એમનો પીછો કર્યો. મને એ ઠીક ન લાગ્યું પણ કોઈ પણ પ્રકારની ખોટી શંકાઓ કરતાં સચ્ચાઈ જાણવી એમને જરૂરી લાગી હતી. પોણી કલાક પછી પાછા આવીને મને કહે, “…… ભાઈને ઘરે ઘણા બધા ભેગા થઈને જુગાર રમે છે. કીહોલમાંથી મેં એમને મારી નજરે જોયા તો પણ માન્યામાં નથી આવતું.” આ વાત મારે માટે પણ નવાઈની હતી કારણ કે આ ભક્ત માટે મને બહુ માન હતું.

આવા અનુભવો પછી બીજા કહેવાતા ભક્તોથી છેતરાવાની નવાઈ ન લાગતી. મંદિરે ન જવાનો મારો નિર્ણય પણ મને બરાબર લાગ્યો. રામમંદિરના ટ્રસ્ટી એવા એક સેવાભાવી ગણાતા વડીલનો દંભ સૌ જાણે પણ એમના વિષે કોઈ ઘસાતું બોલે નહીં. બીજાને ઉતારી પાડવાની એમની આદતને કારણે સૌ એનાથી ડરે. એમની આંખોમાં બીજા પ્રત્યે તુચ્છતાનો ભાવ સ્પષ્ટ વંચાય. અમારી ફળીમાં કચરો જુવે તો એમની ફળીમાં હોય તેવા ચિડાય. આમ બધાને દોષ બતાવવા એ જ વડીલપણું હોય તેવું તેમનું વર્તન. તેમના ત્રણ ભાઈઓ સાથેના સંયુક્ત કુટુંબમાં ઘરની વહુવારુઓ પણ એમનાથી હાથ જોડે! આવા લોકોની દોસ્તી તો નુકશાન કરે જ પણ દુ:શ્મની એ કરતાં ય વધારે નુકશાન કરે. શાણપણ એ જ ગણાય કે આવા લોકોથી તરીને ચાલો અને એવા લોકોની વાતમાં ઊંડા ઉતરવાનું મૂકીને વંદન કરતા રહો. વડીલો પણ એ જ સલાહ આપે. કોઈ પણ વાતમાં ‘મારું શું? અને મારે શું?’નો મંત્ર જાણે કે મોટાભાગના પ્રજાજનોએ આત્મસાત કર્યો હોય તેમ જણાય. ધર્મ વિરૂદ્ધ ચાલતા કોઈ નાગરિકની વાત કરીએ તો “એમાં તારું શું જાય છે?” એ પ્રશ્ન તરત સામે આવે. નકારાત્મક્તાને આથી મોકળું મેદાન મળી જાય છે. જે અદૃશ્ય રીતે બધે જ ફેલાવા લાગે. કુટુંબ એ સમાજ અને રાજ્યનું એકમ છે. એમાં ઢંકાઈને વધતો સડો કેન્સરની જેમ વિસ્તરીને સમાજમાં ફેલાય ત્યારે સાચા ધાર્મિક અને દંભીઓને અલગ પાડવાનું ખૂબ અઘરું થઈ જાય.

એકવાર મારા સસરાના રૂમમાંથી પૈસાની ચોરી થઈ તેનો આરોપ મારી પર આવ્યો હતો પછી ચોર પાકિટ સાથે પકડાયો ત્યારે ખબર પડી કે ચોરે જ મારી પર શંકા ઊભી કરી હતી. નજીકના કુટુંબીનો એ છોકરો અમારે ત્યાં ગમે તે સમયે અચાનક આવી ચઢતો. એક દિવસ હું રસોડામાં વ્યસ્ત હતી ત્યારે એ આવ્યો અને હાથ ફેરવી ગયો. કુટુંબે શંકાની ટોપી મને પહેરાવી દીધી. મારા પતિને આ છોકરા પર શંકા હતી જે સાચી પડી તેથી હું ખોટા આક્ષેપમાંથી બચી ગઈ. મારા સસરા સહિત આખા કુટુંબના બહિષ્કાર અને અસહકારી વલણને કારણે અમે દેશ-પ્રદેશ છોડ્યાં હતાં. આ હથિયારો મર્મવેધી છે તે આપણે સૌ જાણીએ છીએ. ગાંધીજીએ આ હથિયારો વડે વિદેશીઓને હાંકી કાઢ્યા તે વંદનીય છે, પણ તેનો અનુચિત ઉપયોગ કરનારા કેટલા ય લોકો પોતાને અહિંસક અને ગાંધીવાદી માનતા હોય ત્યારે ગાંધીવાદ પણ કલુષિત થયેલો લાગે.

લગ્ન પછી ચૌદ વર્ષોનો સાસરવાસ વેઠ્યા પછી હું અમેરીકા આવી. એ પછી જ્યારે હું દેશમાં જતી, ત્યારે મારા ભોજનની મીઠાશને મારા સસરા ખૂબ વખાણતા અને મારી દેરાણીને પણ એ પ્રમાણે વાનગી બનાવવાનું સૂચન કરતા. એમના મૃત્યુના અઠવાડિયા પહેલાં એમણે મારા પતિ સાથે વીડિયો ફોનમાં વાત કરી ત્યારે મને બોલાવી હ્રદયથી આશીર્વાદ આપેલા. આ આશીર્વાદ સાથે ભળેલા પસ્તાવાનાં વિપુલ ઝરણાંમાં માફી ભળેલી હતી. જેમાં અમારો ગુનો એ હતો કે અમે દેશ છોડ્યો તે પગલું એમની ઈચ્છાવિરુદ્ધનું હતું. કુટુંબ દ્વારા થતી મારા વિષેની ખોટી ટીકાઓને સાચી માનીને એમણે મારી અને એથી ય વધારે એના દીકરાની એટલે કે મારા પતિની અસહ્ય અવગણના કરી હતી, એ બાબતનો એમને પસ્તાવો હતો. અમારા અમેરીકા આવવાનું મુખ્ય કારણ એ હતું કે ઘરમાં સત્તા એમની હતી અને જવાબદારી અમારી! બિલકુલ રાજા અને પ્રજાની જેમ જ! એ કારણે મારે જ નહીં મારા પતિને અને બાળકોને પણ ઘણું સહન સહન કરવું પડતું હતું.

સ્વાવલંબી થવા મેં નોકરી કરવાનું નક્કી કર્યું ત્યારથી એમને થયું કે અમે રામ અને સીતાના આદર્શોને અનુસરતા નથી. એમની કંજૂસાઈ મંદિરના ફાળામાં જતા પૈસાથી ઢંકાઈ જાય. મારા આવ્યા પહેલાં દાદી સાસુ ઘર વ્યવહાર ચલાવતાં હતાં. કુટુંબ આર્થિક રીતે સંપન્ન હતું પણ અમારા લગ્ન પછી આવક-જાવકના બે છેડા ભેગા કરવા માટે મારે નોકરી કરવી આવશ્યક હતી, કારણ કે મારા પતિની આવક મર્યાદિત હતી. બાળકોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ વગેરેના ખર્ચાઓ માટે પણ પરાધીન થવું પરવડે તેમ ન હતું. હું ધારું છું કે મારા સાસુના મૃત્યુ બાદ ભાંગી પડેલા મારા સસરાની ભક્તિ મરા મરામાંથી રામ રામ થયાની હતી. એમાં પલાયનવાદ વધારે હતો. મારા પરણ્યા પહેલાં તેઓ ઘરથી કંટાળીને ભાગી જતા ત્યારે મારા દાદી સાસુ ખાતરીથી કહેતા કે તેઓ અયોધ્યા ગયા હશે અને થાકીને પાછા આવશે, ત્યાં કોણ ઘર જેટલી સત્તા અને સાહ્યબી આપવાનું હતું? ત્યાંના સાધુઓની હાલત જોઈ એમને દયા ઉપજતી અને દાન આપીને આવતા પણ ઘરના બાળકોની જરૂરિયાતો પ્રત્યે દુર્લક્ષ હતા. વળી એમના કોપથી બાળકો ડરતાં તેથી દૂર જ રહેતાં. બાળકોને લાગતું કે માની સાથે સાથે એમણે પિતાને પણ ગુમાવી દીધા છે. જે દિવસે તેઓ ખુશ હોય તે દિવસે જ રામાયણની ચોપાઈઓ ઘરમાં સાંભળવા મળે પણ આવું ભાગ્યે જ બનતું.

વડીલોના દોષો ન જોવા, એમની આજ્ઞાનું પાલન કરવું, આવા આપણી સંસ્કૃતિના ઊંચા આદર્શોથી ચૂપ રહેવાનું નાનપણથી શીખવવામાં આવે છે. બળવાખોરને શિક્ષા કે બદનામી જે હથિયાર હાથવગુ હોય તેનાથી ડામી દેવાથી આપણી સંસ્કૃતિ જળવાઈ રહેશે, એમ માનનારો વર્ગ ઘણો મોટો છે. કુટુંબની સત્ય વાતો જાહેર કરીને સમાજને ઢંઢોળવાનો પ્રયત્ન પણ નિંદાને પાત્ર ગણાય. ઘરની વાત બહાર જાય તો આબરૂ જાય એટલે આબરૂ સાચવવા ગુનાઓ ઢંકાતા રહે અને છાના છપનો સડો વધતો જાય, જે આગળ જતાં સમાજની સમસ્યા બની રહે છે. આવી સમસ્યાઓનાં ઊંડાણ સુધી જવાની કોઈને જરૂરત નથી જણાતી. કેટલાક ભક્તોના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોય છે. કેટલાકની ભક્તિ અંધશ્રદ્ધાથી ભરપૂર છે તો કેટલાક ભક્તિનો ભાવ રૂપિયામાં ફેરવવામાં વ્યસ્ત છે. કેટલા ય સાધુઓ પલાયનવાદી છે. કેટલાયને દંભ કોઠે પડી ગયો છે. સત્ય શંકાના વાદળોથી ઢંકાઈ જાય છે. અસત્યનો અંધકાર દૂર કરવા અનેક પંથ અને પંથીઓ પોતાની વાત ઘૂંટ્યા કરે ને વાડા બાંધ્યા કરે. એમાં કોણ કોને મદદ કરે અને કોણ કોનું વિચારે? બસ મંદિરો બાંધો, સોનાથી શણગારો, સોનુ લૂંટાવા અને લૂંટવા માટે લડાઈઓ કરો અને જયજયકાર સાથે ગાડરિયા પ્રવાહમાં તણાતા રહો. સાચી ભક્તિ માટે એ સિવાયનો વિકલ્પ વિચારનાર વીરલાઓ જો પદભ્રષ્ટ થઈ હાંસિયામાં ધકેલાઈ જતા હોય તો કોઈ શા માટે વિચારે? ધર્મના ઓઠા વગર એકતાની આશા વ્યર્થ હોય તેવા દેશો બિનસાંપ્રદાયિક કઈ રીતે ગણી શકાય? પછી તે ભારત હોય કે અમેરીકા કે પછી અફઘાનિસ્તાન!

e.mail : rekhasindhal@gmail.com

Loading

કાઁગ્રેસ-અયોધ્યાનો નાતો ગુંચવાડા, અસ્પષ્ટતા અને ઇતિહાસની અવગણનાથી ભરેલો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 January 2024

સારું થયું છે કે ખોટું એ બહુ લાંબી ચર્ચા છે પણ નરેન્દ્ર મોદીની સરકારે 370ની કલમ અંગે નિર્ણય લીધો, ટ્રિપલ તલાકને લઇને નિર્ણય લીધો, અયોધ્યામાં રામ મંદિર પણ ખડું કરી દીધું પણ કાઁગ્રેસની હાલત એ છે કે હજી એ લોકો પોતાના પક્ષ માટે કન્વીનર સુદ્ધાં શોધી શક્યા નથી

ચિરંતના ભટ્ટ

યોધ્યામાં રામ મહોત્સવ પૂરો થયો પણ એ અંત સાથે રાજકારણની શતરંજમાં પાકા ખેલાડીઓ રાજરમતનો પહેલો દાવ જીતી ચૂક્યા છે. ગમા-અણગમા, પ્રશ્નો, ગુંચવણો બધું પૂરું થઇ ગયું છે, એમ નથી પણ એ તો હકીકત છે જ કે ભા.જ.પા.ની સરકારે, મોદી સરકારે આ કર્યું. 2024ની ચૂંટણી પહેલાં કર્યું. બીજી વાસ્તવિકતા એ પણ છે કે કોઇપણ રાજકીય પક્ષ પોતે સત્તા પર હોય ત્યારે રમખાણો થાય એવું ન ઇચ્છે અને એ માટે તે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવે પણ ખરો. કદાચ ઇતિહાસકારો, રાજકીય વિશ્લેષકો, બિનસાંપ્રદાયિક વિચારકો દરેક પોતાના વિચારને, પોતાના ઝુકાવને યોગ્ય ઠેરવવા પોતાનું કામ કરશે, કરી રહ્યાં છે અને એ લોકો પણ અરાજકતા ધરાવતો સમાજ નથી જ ઇચ્છતા. ટૂંકમાં એવા લોકો જેમને ધર્મના સંદર્ભો, કટ્ટરવાદના જોખમ વગેરેની પડી નથી એ લોકો પોતાની રીતે આ આખી ઘટનાને મૂલવીને એ પ્રમાણે વ્યવહાર કરશે – જેમાં ટોચના લોકો – તે રાજકારણમાં હોય કે શિક્ષણમાં કે પછી વિશ્લેષણમાં એમને ફેર પડવાનો નથી. તેમના વ્યવહારને ડાબેરી કે જમણેરીઓ પોતાના ફાયદામાં વાપરશે કારણ કે એ જ રાજકારણ છે. બાલક રામને આની સાથે કંઇ લેવાદેવા નથી.

વાત કરવાની છે વિરોધ પક્ષની – કાઁગ્રેસની. કાઁગ્રેસનો અભિગમ એટલો બાલિશ રહ્યો છે કે પાંચ વર્ષના રામ લલ્લા પણ તેમની સામે મેચ્યોર અને સમજુ લાગે. અયોધ્યાના કાર્યક્રમના આમંત્રણો ન સ્વીકારીને તેમણે પોતાના પગે જ કુહાડી મારી છે કારણ કે આમ કરી તેઓ મોદી કે ભા.જ.પ.નો નહીં પણ આખા ભારતમાં લોકોની જે લાગણી હતી તેના વિરોધમાં હોય એવું વર્તાય છે. કાઁગ્રેસના ટેકેદાર હોવું આજકાલ અઘરું થઇ ગયું છે કારણ કે તેમના રાજકીય બફાટોનો કોઈ પાર નથી. પહેલાં તો ગયા વર્ષે મોટે ઉપાડે I.N.D.I.A.ની જાહેરાત કરી, એમ લાગ્યું કે કદાચ ભા.જ.પા.ને પોતાની વ્યૂહરચના બદલી પડશે પણ ત્યાં તો બેઠકોની વહેંચણી, પી.એમ. કોણ બનશે, મીટિંગો ક્યારે અને ક્યાં થશે જેવા મુદ્દાઓને લઇને અંદરો અંદર કંકાસ શરૂ થઇ ગયો. એમાં વાસણ ખખડ્યા નહીં પણ ગગડી ગયાં. સારું થયું છે કે ખોટું એ બહુ લાંબી ચર્ચા છે, પણ નરેન્દ્ર મોદીની સરકારે 370ની કલમ અંગે નિર્ણય લીધો, ટ્રિપલ તલાકને લઇને નિર્ણય લીધો, અયોધ્યામાં રામ મંદિર પણ ખડું કરી દીધું પણ કાઁગ્રેસની હાલત એ છે કે હજી એ લોકો પોતાના પક્ષ માટે કન્વીનર સુધ્ધાં શોધી શક્યા નથી.

પ્રસંગ ટાણે આડા ફાટેલા મોટી ઉંમરનાં સગાં જેવું વર્તન કરનાર કાઁગ્રેસે રામજન્મભૂમિની ચળવળ અને તેના ઇતિહાસમાં પોતાના પક્ષનો શું ફાળો હતો તેનો લગિરકે વિચાર નથી કર્યો અને પોતાનું પાયા વગરનું ગાણું ગાવામાં વર્તમાન કાઁગ્રેસી નેતૃત્વ જાણે બખોલમાં ધસી ગયું.

કાઁગ્રેસની આડોડાઇ

કાઁગ્રેસની તાજી ભૂલો પર એક નજર કરીએ તો સૌથી પહેલાં રાહુલ ગાંધીએ તેને ‘મોદીનો પ્રસંગ’ એવું લેબલ આપ્યું. ભા.જ.પા.એ આ અભિગમને ઇર્ષ્યા અને લઘુતાગ્રંથિ ગણાવી. કેટલાક કાઁગ્રેસી નેતાઓએ અયોધ્યાની સરયુ નદીમાં મકરસંક્રાંત ટાણે ડૂબકી લગાડી. જે ઘાટ પર એમણે ડૂબકી લગાડી ત્યાં રિનોવેશનનું કામ 1983માં કાઁગ્રેસના નેતા શ્રીપતિ મિશ્રાના શાસનકાળ દરમિયાન થયું હતું અને તેમાં વીરબહાદુર સિંહ જે બાદમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા હતા તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એક કાઁગ્રેસી નેતાએ એંશીના દાયકામાં જે ઘાટનો જીર્ણોધ્ધાર કર્યો હતો એ જ ઘાટનો પર ઉત્તર પ્રદેશના અત્યારના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પાંચ લાખ દીવા પ્રગટાવીને દિવાળી ઉજવી વળી ગીનિસ બુક ઑફ રેકોર્ડ્ઝમાં નામ નોંધાવ્યું એ લટકામાં. કાઁગ્રેસીઓ જાણે ભૂલી ગયા કે આ સગવડ તેમના જ પક્ષના ભૂતપૂર્વ નેતાને કારણે ખડી થઇ હતી. બીજા કાઁગ્રેસીઓએ પ્રતીકાત્મક રીતે કંઇકને કંઇક કર્યું, જેમ કે મમતા બેનર્જીએ કાલીઘાટ મંદિરમાં પ્રાર્થનાની વાત કરી, ઉદ્ધવ ઠાકરે નાસિકના કાલારામ મંદિરે ગયા, શરદ પવાર, લાલુ યાદવ અને અરવિંદ કેજરીવાલે પોતે બાદમાં અયોધ્યા જશે એમ કહ્યું. વળી મંદિરોના નવનિર્માણો તો કોલકાતા, મિર્ઝાપુર, કાશી, ઉજ્જૈન વગેરેમાં ચાલી જ રહ્યું છે. 22મી અંગે કાઁગ્રેસના મોટાં માથાઓએ જે નિર્ણય લીધો એ અંગે અન્ય કાઁગ્રેસી નેતાઓમાં મતભેદ હતા જ. ગુજરાતના અર્જુન મોઢવાડિયા, ફૈઝાબાદના નિર્મલ ખત્રી વગેરે આ મનાઈથી ખુશ નહોતા અને તેમણે એમ સ્પષ્ટ કહ્યું કે પક્ષે આવા રાજકીય નિર્ણયો લેવાથી છેટા રહેવું જોઇએ. વળી હિમાચલના સુખવિદન્દર સુખુ જે કાઁગ્રેસ પાર્ટીના આદેશની ઉપરવટ જઈને G20 સમિટમાં ગયા હતા, તેમણે અયોધ્યા જવાનો ઇરાદો જાહેર કર્યો હતો તો તેમના જ મંત્રીમંડળના વિક્રમાદિત્ય સિંહે પણ કહ્યું હતું કે પોતે અયોધ્યા જવા ચાહતા હતા કારણ કે તેમના પિતા પૂર્વ કાઁગ્રેસીનેતા વીરભદ્ર સિંહ રામ જન્મભૂમિ ચળવળમાં સામેલ હતા.

મંદિરના તાળા કાઁગ્રેસને લીધે જ હટ્યા હતા

કાઁગ્રેસના રામ જન્મભૂમિ સાથેના ઇતિહાસને અવગણી શકાય તેવો નથી. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા ન થઇ હોત તો આપણને ખબર પડત કે વી.એચ.પી.ના ત્યારના પ્રતિનિધિઓ સાથે મળીને અયોધ્યા અંગે તેમણે શું નિર્ણય લીધો હોત. આ સમયે વી.એચ.પી.એ કરેલી રામ-જાનકી યાત્રાને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીએ સવલતો પૂરી પાડી હતી. સંજય ગાંધીના સમયથી વી.એચ.પી. અને કાઁગ્રેસ વચ્ચે અયોધ્યા અંગે વિચાર-વિમર્શ ચાલતા જ હતા પણ તે સપાટી પર નહોતા આવતા.

બાબરી મસ્જિદની જગ્યા પર બંધાયેલા મંદિરનો વિવાદાસ્પદ ઇતિહાસ કોઈ કાઁગ્રેસી નેતાઓની ચર્ચાનો ભાગ નથી બની રહ્યો. નરેન્દ્ર મોદીના અહમને બતાડી દેવાની છીછરી વાતો જ ઉછળે છે તેમાં નક્કર ઇતિહાસ નેવે મુકાઇ જાય છે. લિબરહાન કમિશને 48 એક્સ્ટેન્શન, 17 વર્ષ અને 8 કરોડના ખર્ચા પછી 68 લોકોને બાબરી મસ્જિદ તોડવા માટે જવાબદાર ઠેરવ્યા. કાઁગ્રેસની આગેવાની હોવા છતાં બાબરી ધ્વંસ કેવી રીતે થયો? અમુક તથ્યોની ચર્ચા કાઁગ્રેસ ટાળે છે પણ ધ્વંસ તરફ લઈ જનારી ઘટનાઓમાં કાઁગ્રેસનો હાથ હતો. 1951માં નહેરુને ઇચ્છા નહોતી પણ અન્ય દબાણોને પગલે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયું. રાજીવ ગાંધીએ 1986માં અરુણ નહેરુની સલાહથી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બીર બહાદુરને વિવાદિત ઇમારતના તાળાં ખોલવા હુકમ કર્યો. હિંદુઓને ત્યાં પ્રવેશ મળ્યો. 1989માં રામ મંદિરના શિલાન્યાસની મંજૂરી પણ રાજીવ ગાંધીએ જ આપી હતી અને ત્યારે તેમણે રામ રાજ્યનું વચન પોતાના ચૂંટણી પ્રચારમાં વાપર્યુ હતું. 1990ના દાયકામાં અડવાણીની રથયાત્રા કારસવેકો પરના ગોળીબારને કારણે પૂરી ન થઇ અને ફરી અયોધ્યાનો મુદ્દો ઉછળ્યો ત્યારે નરસિંહા રાવ ગઠબંધનની સરકારના વડા પ્રધાન હતા. બાબરી ધ્વંસ થયો ત્યારે 48 કલાક સુધી નરસિંહા રાવ ઉપલબ્ધ પણ નહોતા. જેમ 2002ના રમખાણો વિશે કહેવાય છે કે આ થવા દો એવી સૂચના ઉપરથી આવી હતી એવું જ બાબરી ધ્વસં વખતની સ્થિતિ માટે પણ ચોક્કસ વર્તૂળોમાં ચર્ચાય છે કે નરસિંહા રાવને કહેવાયું હતું કે આ થવા દો. બાબરી ધ્વંસ પછી કલ્યાણ સિંહ જે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી હતી તેમણે રાજીનામું આપી દીધું હતું. ભા.જ.પ.ના આ મુખ્ય મંત્રીએ 1991માં અયોધ્યામાં મંદિર બનશે એવી ખાતરી આપી હતી અને મસ્જિદને નુકસાન નહીં થવા દેવાય એવું સોગંદનામું 1992માં કોર્ટમાં આપ્યું હતું પણ મામલો બીજી દિશામાં ગયો. નરસિંહા રાવે કલ્યાણ સિંહ પર ભરોસો નહોતો કરવાનો એવુ કાઁગ્રેસમાં ત્યારે ચર્ચાયું. મસ્જિદ જે રીતે તોડાઈ તેને અંગે ઘણા સવાલોના હજી કોઈ જવાબ નથી મળ્યા અને મળશે પણ નહીં.

એંશીના દાયકામાં ભા.જ.પા. માટે રામ જન્મભૂમિનો મુદ્દો ખાસ બન્યો અને જ્યારે 1989માં ભા.જ.પ.ની બેઠકો વધી એ પછી કાઁગ્રેસનું કદ વેતરાયું અને ભા.જ.પે. રામ જન્મભૂમિ પરની પોતાની પકડ ઓર મજબૂત કરી. એક તરફ 1986માં રાજીવ ગાંધી અને શાહબાનોના ચૂકાદાની ઘટના ઘટી જેને કારણે અયોધ્યની માંગ તીવ્ર બની અને 1989ના પાલમપુર ઠરાવ પછી અયોધ્યા રામ મંદિર ભા.જ.પા.નો મુખ્ય એજન્ડા બની ગયું.

અંતમાં એટલું ખાસ કે મૂળે તાળા રાજીવ ગાંધીએ ખોલ્યાં અને ચાવી ભા.જ.પા.ના હાથમાં આવી. માર્કેટિંગના મામલે ભા.જ.પા.ને કોઇ પહોંચી શકે તેમ નથી અને કાઁગ્રેસ ભા.જ.પ.ના હિંદુત્વને નહીં પહોંચી વળે કારણ કે તેમની પાસે પોતાની કોઈ જ વિચારધારા નથી. અસ્પષ્ટતા જ કાઁગ્રેસ માટે સૌથી મોટો અવરોધ બની શકે છે.

બાય ધી વેઃ

આ ઇતિહાસ એટલો પેચીદો છે કે ટૂંકમાં વર્ણવવો મુશ્કેલ છે. નિષ્કર્ષ એ જ નીકળે છે કે કાઁગ્રેસનો બફાટ ઇતિહાસને ગુંચવનારો સાબિત થયો છે અને ભા.જ.પા.એ બાજી મારી લીધી છે. ટ્રીપલ તલાક હોય, નોટબંધી હોય કે જી.એસ.ટી. હોય કે પછી 370ની કલમની વાત હોય – ભા.જ.પા.ને કારણે કાઁગ્રેસ હંમેશાં જાણે બઘવાઈ જાય છે અને શું કરવું તેની પક્ષનો કોઇ ગતાગમ નથી પડતી. નાગરિકોની નાડ પારખવામાં પણ કાઁગ્રેસ કાચું કાપે છે અને અંદરોઅંદર અવિશ્વાસને પગલે ભા.જ.પા. સામે લડવાની કોઈ વ્યૂહ રચના તેમને નથી મળી રહી. કાઁગ્રેસના અમુક નેતાઓ આજે રાજીવ ગાંધીની ભૂમિકાની વાત આગળ ધરી રામ મંદિરનો નાનો-મોટો જશ ખાટવાનો પ્રયાસ પણ કરી લે છે. બીજું બાય ધી વે એ કે દૂરદર્શન પર રામાયણ સિરિયલ બતાડાઈ તેની પાછળ કાઁગ્રેસની સત્તાના આદેશ હતા જેથી અયોધ્યા રામ મંદિરની માગ પ્રબળ બને. કમનસીબે એ સિરિયલના રામ અને સીતા એટલે કે  અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા અયોધ્યા ગયાં પણ કાઁગ્રેસીઓ ન ગયા.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જાન્યુઆરી 2024

Loading

સંસ્થાનવાદી ઘટનાઓ, ઇતિહાસ અને સંદર્ભો વિશે પુનર્વિચાર કરવો જોઈએ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|28 January 2024

રમેશ ઓઝા

આપણે વાત કરતા હતા પૂના નજીક આવેલા ભીમા કોરેગાંવના વિજય સ્મારકની જ્યાં દર વર્ષે પહેલી જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં વિજયોત્સવ માટે દલિતો એકઠા થાય છે. પણ સવાલ એ છે કે વિજય કોનો થયો હતો અને કોની સામે થયો હતો. ઉત્તર બહુ સ્પષ્ટ છે ૧૮૧૭ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પૂનાના પેશ્વાઓ સામે વિજય થયો હતો. પણ અંગ્રેજોને ચતુરાઈમાં કોઈ ન પુગે. આપણે ત્યાં બીજાઓનો શ્રેય આંચકી લેવાની લાલચ કેટલાક લોકો રોકી શકતા નથી ત્યાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાકેમોએ કંપનીના વિજયનો શ્રેય મહારાષ્ટ્રના દલિત મહારોને આપ્યો હતો અને એવો પ્રચાર શરૂ કર્યો હતો કે દલિતોએ બ્રાહ્મણોને (અને એ પણ મહારાષ્ટ્રના ચિત્પાવન બ્રામણો) પરાજિત કર્યા હતા અથવા દલિતોનો બ્રાહ્મણો પર વિજય થયો હતો. ઈરાદો પોતાને સર્વશ્રેષ્ઠ માનતા બ્રાહ્મણોને નીચા દેખાડવાનો હતો અને દલિતોને બ્રાહ્મણોની સામે ઊભા કરવાનો હતો. આમ લાંબો સમય રાજ કરી શકાય એ માટે ચતુર અંગ્રેજોએ વિજયનો શ્રેય દલિતોને આપ્યો હતો.

આ દેશમાં મહત્તા કોને નથી ગમતી! ધીરેધીરે દલિતો પણ એમ માનવા લાગ્યા કે બ્રાહ્મણ પેશ્વાઓને તેમણે પરાજીત કર્યા હતા. વાસ્તવમાં અંગ્રેજોના સૈન્યમાં મરાઠા, મહાર, યહૂદી અને મુસલમાન પણ હતા. અંગ્રેજોનાં ૪૯ સૈનિકો લડાઈમાં મૃત્યુ પામ્યાં હતા જેમાં ૨૨ મહાર સૈનિકો હતા. વિજયસ્તંભ પર એ તમામ ૪૯ સૈનિકોનાં નામ આપવામાં આવ્યાં છે. દલિતોએ બ્રાહ્મણોને પરાજીત કર્યા એવો પ્રચાર દલિતો અપનાવતા ગયા અને એમાં પણ ૧૯૨૭ની સાલમાં પહેલી જાન્યુઆરીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભીમા કોરેગાંવના સ્મારકની મુલાકાત લીધી એ પછી પહેલી જાન્યુઆરીએ ભીમા કોરેગાંવ ખાતે વિજય ઉજવવા એકઠા મળવું એ દલિતો માટે એક વાર્ષિક કાર્યક્રમ બની ગયો.

બ્રાહ્મણો સામે દલિતોને ઊભા રાખવા અને એવા બીજા નુસખા વાપરીને બને એટલો લાંબો સમય ભારતમાં રાજ કરવું એ એ સમયની અંગ્રેજોની જરૂરિયાત હતી. બહુ ચતુરાઈપૂર્વક વિજયનો શ્રેય તેમણે દલિતોને આપ્યો હતો. સવર્ણોના વર્ચસવાળા ભારતીય સમાજમાં દલિત પ્રજાની અંદર ચેતના જાગૃત કરવી એ એ સમયે દલિતોની જરૂરિયાત હતી. ડૉ. આંબેડકરે દલિતોની અંદર ચેતના જાગૃત કરવા અને સામાજિક અસમાનતા તેમ જ અન્યાય સામે દલિતો અવાજ ઉઠાવતા થાય એ સારુ ભીમા કોરેગાંવની ઘટનાનો ઉપયોગ કર્યો હતો. જરૂરિયાત સમજવી અને જરૂરિયાત મુજબ સાધનોનો તેમ જ ઘટનાઓનો ઉપયોગ કરવો એમાં દુરન્દેશી છે.

પણ પછી જરૂરિયાત બદલાતી રહે છે અને જેમ જરૂરિયાત બદલાય એમ વલણમાં પણ ફેરફાર કરતા રહેવું જોઈએ. આજે જ્યારે ભારતમાં ફાસીવાદી રાજકારણે માથું ઊંચક્યું છે અને ભારતની પ્રજા તેના પ્રભાવમાં આવી રહી છે, ત્યારે બ્રાહ્મણ-દલિતોના જય-પરાજયના ઉત્સવો ઉજવવા એ કેટલું ઉપયોગી છે? તમને નથી લાગતું કે આવી આઝાદી પહેલાંની ચોક્કસ સ્થિતિમાં જેની જરૂરિયાત હતી એ અત્યારે કાલબાહ્ય થઈ રહી છે? સાવ સીધાસાદા અને એકંદરે માનવતાવાદી બ્રાહ્મણોને આજે પણ ગાળો દેતા રહીને, દરેક બ્રાહ્મણને મનુવાદના રક્ષક ગણાવીને, તેમનાં કુકર્મોને ઘૂંટતા રહીને આપણે એ બ્રાહ્મણને ફાસીવાદ તરફ ધકેલી રહ્યા છીએ. દેશમાં જ્યારે સર્વસમાવેશક રાષ્ટ્રવાદ કે સહિયારી રાષ્ટ્રીયતા સ્વીકૃત હતી, ત્યારે મોટાભાગના બ્રાહ્મણોએ પણ તેનો સ્વીકાર કર્યો હતો. સવર્ણોએ તેનો સ્વીકાર કર્યો હતો. અંગ્રેજીમાં જેને આપણે આઈડિયા ઓફ ઇન્ડિયા કહીએ છીએ એમાં એ લોકો પણ ભાગીદાર હતા જે એક સમયે સામાજિક સરસાઈ ધરાવતા હતા.

બન્યું છે એવું કે પ્રગતિશીલોના અતિરેકને કારણે, આક્રમકતા અને અસહિષ્ણુતાને કારણે તેમણે પરસ્પર એકબીજા વચ્ચે ઊંડી ખાઈ પેદા કરી છે. તેમણે પરસ્પર એકબીજાનો છેદ ઉડાડીને પોતાને જ નિર્બળ કર્યા છે અને ઉપરથી જે સવર્ણો સાથ આપતા હતા અથવા સહાનુભૂતિ ધરાવતા હતા તેમને પોતાનાથી દૂર કર્યા. આજે તેઓ સામેના છેડે જઈ રહ્યા છે અને તેના માટે પ્રગતિશીલોનું વલણ પણ જવાબદાર છે. કોઈ ધાર્મિક હોય, કોઈ જનોઈ પહેરતું હોય, કોઈ કર્મકાંડ કરાવતું હોય તો એ કોઈ અમાનવીય કૃત્ય તો નથી. પણ આજે એ લોકો જેઓ અમાનવીય પ્રવૃત્તિ કરે છે તેને સમર્થન આપે છે, કારણ કે પ્રગતિશીલોએ તેમની આક્રમકતા અને અસહિષ્ણુતા દ્વારા તેમને તેમનાથી દૂર કર્યા છે.

ભીમા કોરેગાંવમાં જે વિજય થયો હતો એ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો થયો હતો. તેમનો વિજય દલિતોને કારણે નહોતો થયો, પણ યુદ્ધ લડવાની તેમની આવડતને કારણે થયો હતો. પેશ્વાઓનો જે પરાજય થયો હતો એ દલિતોને કારણે નહોતો થયો, પરંતુ તેમના ફૂહડ રાજકાજને કારણે થયો હતો. તેમને રાજ કરતાં જ નહોતું આવડતું અને હાથ લાગેલી તક વેડફી નાખી હતી. આ વાસ્તવિકતા છે.

તો કહેવાનું તાત્પર્ય એટલું જ કે આજે જ્યારે ફાસીવાદે દેશ પર ભરડો લીધો છે ત્યારે સંસ્થાનવાદી ઘટનાઓ, ઇતિહાસ અને સંદર્ભો વિષે પુનર્વિચાર કરવો જોઈએ.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જાન્યુઆરી 2024

Loading

...102030...679680681682...690700710...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved