Opinion Magazine
Number of visits: 9665229
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જનતાનો આક્રોશ નહીં, અંકુશ : ભા.જ.પ. હારી નહીં, અને લોકતંત્ર જીતી ગયું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 June 2024

રાજ ગોસ્વામી

સડક પરની બોલચાલની ભાષામાં કહેવું હોય, તો એવું કહેવાય કે ભારતની જનતાએ ભા.જ.પ.ની હવા કાઢી નાખી છે. રાજનીતિની ડાહી ભાષામાં કહેવું હોય, તો એવું કહેવાય કે મતદારોએ ભા.જ.પ. સામે આક્રોશ નથી કાઢ્યો, પણ અંકુશ મુક્યો છે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ભા.જ.પ. સરકારે, મોંઘવારી, ગરીબી, આર્થિક અસમાનતા, બેરોજગારી જેવા મુદ્દાઓને નજરઅંદાજ કર્યા અને લોકતાંત્રિક અને બંધારણીય વ્યવસ્થાઓને કમજોર કરવા પ્રયાસ કર્યો હતો, તેનાથી ત્રસ્ત જનતાએ સરકારના ગળે ઇન્ડિયા ગઠબંધનની એક ધૂંસરી મૂકી છે.

2024ની ચૂંટણીમાંથી જો કોઈ બોધપાઠ લેવા જેવો હોય તો તે એ છે કે લોકશાહીમાં જનતા કેન્દ્રમાં હોવી જોઈએ. આ ચૂંટણીમાં જનતાએ તેનો એ અધિકાર બતાવ્યો છે.

ભા.જ.પ. એકલાની 240 બેઠકો આવી છે. 2019માં મળેલી 303 બેઠકોની તાકાતમાં 63 બેઠકોનું ગાબડું છે. તેના બે સહયોગીઓ, બિહારમાં જે.ડી.યુ. અને આંધ્ર પ્રદેશમાં ટી.ડી.પી.ને અનુક્રમે 12 અને 16 બેઠકો મળી છે, અને લોકસભામાં તેમનો દબદબો વધ્યો છે. એન.ડી.એ. 272 બેઠકો સાથે સૌથી મોટું ગઠબંધન સાબિત થયું છે. જનતાનો મત સાફ છે : તેણે ભા.જ.પ.ને તોડફોડની રાજનીતિ છોડીને, સૌને સાથે રાખીને જનતાના મુદ્દાઓ પર ધ્યાન આપવા કહ્યું છે.

જનતાના ફેંસલામાં એક બીજો પણ સંદેશ છે: કોમી ધ્રુવીકરણ સામે સુખેથી જીવન જીવવા માટેના મુદ્દાઓ વધુ અગત્યના છે. એ વાત સાચી કે હિંદુઓ રામભકત છે, પણ એ વાત ખોટી કે હિંદુઓ મુસ્લિમ વિરોધી છે. એટલા માટે, સાત તબક્કાના ચૂંટણી પ્રચારમાં ક્રમશ: ધ્રુવીકરણ કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે.

ચૂંટણી પ્રચારમાં, ભા.જ.પ. દ્વારા વિપક્ષને હિંદુ વિરોધી ચીતરવાનો ભરપૂર પ્રયાસ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને એવું કહીને ડરાવા કોશિશ કરી હતી કે કાઁગ્રેસ તમારી ભેંસ લઇ જશે અને તમારી સંપત્તો મુસ્લિમોને આપી દેશે. ભા.જ.પ.ને બહુમતી ન મળી તે સંકેત છે કે ભારતમાં નફરતના રાજકારણનું વર્ચસ્વ મુશ્કેલમાં છે.

આવી વિભાજનકારી રાજનીતિથી નારાજ લોકોએ ભા.જ.પ.ને વધુ સકારાત્મક રીતે કામ કરવાનો બીજા પાંચ વર્ષનો અવસર આપ્યો છે (અને તેના પર નજર રાખવાનું કામ નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુને સોંપ્યું છે!). મતદારોએ ઇન્ડિયા ગઠબંધનને બહુમતી નથી આપી, પરંતુ સંસદમાં સડક પર લડવાની તાકાત આપી છે. આશા રાખીએ કે સંસદ હવે પાછી લોકતાંત્રિક ઢબે ચાલે.

ભા.જ.પ.ની સત્તામાં ત્રીજી વાર વાપસી થઇ છે, પરંતુ દેશના ભવિષ્યને દિશા આપવાની મોદીની તાકાત થોડી કમજોર થઇ છે. ભા.જ.પ.ને એકલા હાથે બહુમતી મળી હોત તો વાત જુદી હતી, પણ ભારતીય રાજકારણમાં અસ્થિરતાનો દૌર પાછો આવ્યો છે. 

ભા.જ.પ. નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ જેવા સહયોગીઓની મદદથી સરકાર બનાવી શકશે, પરંતુ આ બંને અગાઉ વિશ્વાસઘાત કરી ચુક્યા છે. ચંદ્રાબાબુ તો 2018માં આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે મોદી સરકાર સામે સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી ચુક્યા છે. નીતીશ બાબુ તો ઓળખાય છે જ ‘પલટુ રામ’ તરીકે. બંને જણા તેમના રાજ્યો માટે જબરદસ્ત બાર્ગેઇન કરવાના છે, અને મોદીએ તેમાં હા પણ પાડવી પડશે, નહીં તો તેઓ ક્યારે ભા.જ.પ.ને છોડી દે અને ફરી ચૂંટણી આવી પડે તો નવાઈ નહીં.

ભારતના રાજકારણમાં ભાગ્યે જ એવો પ્રસંગ આવે છે જ્યારે વિજેતા પક્ષ કરતાં પરાજિત પક્ષ વધુ ખુશ હોય. મોદીના ભા.જ.પ.નો ‘400નો પાર’નો નારો વાજપેયી વાળા ભા.જ.પ.ના ‘ઇન્ડિયા શાઈનિંગ’ જેવો સાબિત થયો છે. મતદારોએ સીધો સંદેશો આપ્યો છે કે તેમને કોમવાદી હિન્દુત્વ મંજૂર નથી. તેમને તેમના રોજ બ રોજના પ્રશ્નોની વાત કરે તેવી સરકારની જરૂર છે. 

આ સંદેશનું જ્વલંત ઉદાહરણ ઉત્તર પ્રદેશની ફૈઝાબાદ બેઠક છે, જ્યાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બાંધવામાં આવ્યું છે. આ બેઠક પર, સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ, ભા.જ.પ.ના લલ્લુ સિંહને 56,000 મતોથી હરાવીને વિજયી નીવડ્યા છે. જે રામ મંદિરના નામે ભા.જ.પ. ‘400 પાર’ જવા માંગતી હતી, તે અયોધ્યાની બેઠક પણ હાથમાં જતી રહી તે પ્રતિકાત્મક રીતે બહુ મહત્ત્વની હતી. આ એ જ રામ મંદિર છે જ્યાં ચૂંટણી પહેલાં જ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને જ્યાં સેલિબ્રિટી મુલાકાતીઓઓની લાઈન લગાડવામાં આવી હતી. 

2024ની લોકસભા ચૂંટણીનાં પરિણામોને, જનતાની નજરે, મોટા-મોટા સ્તરે બે રીતે જોઈ શકાય છે: એક, સત્તાધારી ભા.જ.પ. અને એન.ડી.એ. બાજુએ શું થયું, અને બે, કાઁગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન બાજુએ શું થયું. એન.ડી.એ. તરફથી જોઈએ તો, જનતાએ ભા.જ.પ.ને પોતાના દમ પર સરકાર રચતી અટકાવી દીધી છે. 

‘400 પાર’ના હવાઈ અતિ આત્મવિશ્વાસ સાથે ચૂંટણીમાં ઉતરેલી ભા.જ.પ.ને જનતાએ જમીન પર લાવીને મૂકી દીધી છે. સંદેશો સાફ છે; જનતાને સ્પર્શતા મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવામાં આવશે, તો 2029 હાથમાંથી જશે. જનતામાં કેન્દ્ર સરકાર સામે અસંતોષ હતો, પણ રોષ નહોતો. રોષ હોત, તો ઇન્ડિયા ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી હોત, પરંતુ મતદારોએ ભા.જ.પ.ની બેઠકો ઓછી કરીને ચાવી ટાઈટ કરી છે કે તે હવે પછીનાં પાંચ વર્ષ માટે બહુ હવામાં ન રહે.

ઇન્ડિયા ગઠબંધન તરફથી જોઈએ તો, લોકોએ એક મજબૂત વિરોધ પક્ષની ચૂંટણી કરી છે. ભા.જ.પે., કાઁગ્રેસ મુક્ત ભારતના નામે વિપક્ષ મુક્ત ભારત રચવા માટે જે પણ કંઈ રમતો અને જોર-જબરદસ્તી કરી હતી, મતદારોએ ગઠબંધનનો પક્ષ લઈને એક સ્વસ્થ અને તંદુરસ્ત લોકશાહીને જીવતી રાખવાનું કામ કર્યું છે. 

ટૂંકમાં, આ ચૂંટણીનો સાર એટલો જ છે કે દેશના શાણા મતદારોએ એક સરકાર ચૂંટી છે અને તેની પર અંકુશ રહે તે માટે વિરોધ પક્ષ ચુંટ્યો છે. જે.ડી.યુ. અને ટી.ડી.પીને. કાઢી નાખો તો ભા.જ.પ.ને સાદી બહુમતી પણ નથી મળી. મોટા મોટા નેતાઓ, સંસદ સભ્યો અને ધારાસભ્યો ભા.જ.પ.માં જતા રહ્યા (અથવા ખેંચી જવામાં આવ્યા) છતાં કાઁગ્રેસે જનતાઓના મુદ્દા આધારિત રાજનીતિના દમ પર વાપસી કરી છે. કાઁગ્રેસે 99 બેઠકો સાથે 2019ના તેના દેખાવમાં સુધારો કર્યો છે. તેમાં પણ જનતાનો એક સંદેશ છે : વિપક્ષ તરીકે તમે જનતાના પ્રશ્નોને વાચા આપો અને ખીચડી સરકાર રચવાની હજુ આઘા રહો. 

કાઁગ્રેસે તેના અનેક આંતરિક વિરોધાભાસો વચ્ચે ઇન્ડિયા ગઠબંધનના સાંધા સીવવાનું સફળ કામ કર્યું હતું અને તેના નેતા રાહુલ ગાંધીએ પણ જનતાના પ્રશ્નો પર ટકી રહીને મોદી સામે એક પડકાર ઊભો કરવાનું કામ કર્યું હતું. આ વખતે કાઁગ્રેસનું સંગઠન, તેની રણનીતિ અને તેનું પ્રચારતંત્ર રંગ લાવ્યું છે, જેની સામે ભા.જ.પ. ત્રણે મોરચે કમજોર પુરવાર થઇ હતી.

ભા.જ.પ.ની 2024ની જીત, તેની 2014 અને 2019ની જીત કરતાં જુદી અને નબળી છે. 2024માં, સમગ્ર ચૂંટણી પ્રચાર વડા પ્રધાન નરેન્દ્ર  મોદીની આસપાસ રચવામાં આવ્યો હતો. ‘400 પાર’નો નારો પણ એ જ આશામાં રચવામાં આવ્યો હતો કે ભારતની જનતાને મોદીમાં અતૂટ વિશ્વાસ છે અને તે પ્રત્યેક ચૂંટણીમાં તેમને વધુને વધુ મોટો બહુમત આપવા માટે તૈયાર છે, પરંતુ આ વખતે, ‘મહાભારત’ના યુધિષ્ઠિરની જેમ, તેમનો રથ બે વેંત નીચો આવી ગયો છે. 

નરેન્દ્ર મોદીએ તેમની દરેક રેલીઓમાં (તેમણે 200 સભા કરી હતી) મતદારો પાસે તેમના નામે મત આપવાની અપીલ કરી હતી. ઉમેદવારનું નામ ગમે તે હોય, મોદીએ ખુદને જ ઉમેદવાર તરીકે રજૂ કર્યા હતા. 63 બેઠકો પર મતદારોએ તેમની અપીલને ઠુકરાવી દીધી છે.

પહેલા તબક્કાના ચૂંટણી પ્રચારથી જ ભા.જ.પ. કોઈ નિર્ણાયક રાજકીય નેરેટિવ પ્રસ્તુત કરવામાં સફળ રહી હતી. તેણે શરૂઆત રામ મંદિર અને ‘400 પાર’થી કરી હતી, પરંતુ પહેલાં અને બીજા તબક્કાના  મતદાનમાં લોકોએ ઉત્સાહ ન બતાવતાં પાર્ટીને ખ્યાલ આવી ગયો હતો તેની આશા પ્રમાણે ‘મોદી લહેર’ દેખાતી. 

પરિણામે, મોદીએ ‘કાઁગ્રેસ ભેંસ લઇ જશે,’ ‘મંગળસૂત્ર ખેંચી જશે,’ ‘સંપત્તિ છીનવી લેશે’ અને ‘વોટ જેહાદ’ જેવા ધ્રુવીકરણ કરતાં મુદ્દાઓ પર વધુને બધું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું (જે બનાસકાંઠાની રેલીમાં તેમણે ‘કાઁગ્રેસ સત્તામાં આવી તો તમારી ભેંસ લઇ જશે’ એવું વિધાન કર્યું હતું, ત્યાં કાઁગ્રેસનાં ગેનીબહેન ઠાકોરે નિર્ણાયક જીત હાંસલ કરી છે. તે સાથે જ, બહુ વર્ષો પછી, કાઁગ્રેસે ગુજરાતમાં ખાતું ખોલાવ્યું છે). 

આ મુદ્દાઓ કોઈ નિર્ણાયક રાજકીય નેરેટીવ બનાવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યાં સુધી કે મોદીના કટ્ટર સમર્થકો પણ તેમનાં અમુક વિધાનોથી અચંબિત રહી ગયા હતા અને કહેતાં હતા કે ચૂંટણી સભામાં મતોને આકર્ષવા માટે આવાં ગીમિક કરવાથી મતદારો પર અવળી અસર પડશે. વિપક્ષોએ, ખાસ કરીને કાઁગ્રેસે, તેના પ્રચારમાં ગરીબ, પછાત અને ગ્રામ્યવાસીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમને સ્પર્શતા મુદ્દાઓ પર બોલવાનું ચાલુ રાખ્યું હતું એટલે મોદીએ તેનો પ્રતિકાર કરવા માટે તેમનાં ભાષણોમાં હિંદુ જાતિની મોટી છત્રી ખોલી હતી, એવી આશાએ કે આ બધા વર્ગો તેની નીચે શરણ લેવા આવી જશે. એવું થયું નથી. મતદારોએ આ વખતે, 14 અને 19ની જેમ, હિન્દુત્વને ખોબલે ખોબલે મત આપ્યા નથી, કારણ કે રોજીંદા જીવનના પ્રશ્નો આ વખતે હાવી હતા અને વિપક્ષો તેના પર જ ટકી રહ્યા હતા.

જો તમને યાદ હોય તો, શરૂઆતના બે તબક્કાના ચૂંટણી પ્રચાર પછી, ભા.જ.પે. કાઁગ્રેસના ઘોષણાપત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમના ચૂંટણી પ્રચારનું સ્વરૂપ બદલ્યું હતું. ભેંસ અને મંગલસૂત્ર, કાઁગ્રેસના વેલ્થ ડિસ્ટ્રબ્યૂશન નામના આર્થિક વિચારના ધજાગરા ઉડાડવા માટેની દેશી ભાષા હતી. મોદીને એમ હતું કે તેમનો સમર્થક વર્ગ “એલિટ” ભાષા સમજતો નથી, એટલે તેમને તેમના જીવનના પ્રતિકોથી કાઁગ્રેસનો સંપત્તિ વિતરણનો વિચાર કેટલો ખતરનાક છે તે સમજાવવું પડશે, પરંતુ અંતે તો કાઁગ્રેસનું ઘોષણાપત્ર ભા.જ.પ. માટે એક બૌદ્ધિક પડકાર સાબિત થયું હતું.

લાસ્ટ લાઈન:

“લોકશાહીમાં, ધનવાનો કરતાં ગરીબ લોકોની શક્તિ વધુ હોય છે, કારણ કે તેમની સંખ્યા વધુ હોય છે, અને બહુમતીની ઈચ્છા જ સર્વોચ્ચ હોય છે.”

— એરીસ્ટૉટલ

——————————————–

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 09 જૂન 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચૂંટણી પરિણામો કોનો નૈતિક પરાજય છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|9 June 2024

રમેશ ઓઝા

એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાઈટી(સી.એસ.ડી.એસ.)એ કરેલા ચૂંટણી પહેલાના સર્વેક્ષણનાં પરિણામોએ બતાવી આપ્યું હતું કે દેશની પ્રજાનો મૂડ બદલાઈ રહ્યો છે. આ એવી સંસ્થા છે જેની સામાજિક સંશોધનમાં ખ્યાતિ છે. રજની કોઠારી, ધીરુભાઈ શેઠ, આશિષ નંદી, યોગેન્દ્ર યાદવ જેવા દિગ્ગજ વિદ્વાનો આની સાથે જોડાયેલા હતા અને છે. સર્વેક્ષણમાં બહુમતી લોકોએ કહ્યું હતું કે તેમના માટે સૌથી મોટો સવાલ બેરોજગારી અને મોંઘવારી છે. બહુમતી લોકોએ એમ પણ કહ્યું હતું કે વર્તમાન સરકાર સામાન્ય લોકોના પ્રશ્ને ઓછી સંવેદનશીલ છે. બહુમતી લોકોએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર શ્રીમંતો માટેની સરકાર છે. પચાસ ટકા કરતાં વધુ લોકોએ કહ્યું હતું કે વર્તમાન શાસકોએ દેશની લોકતાંત્રિક સંસ્થાઓને કબજે કરી છે અને તેમને ચૂંટણીપંચની તટસ્થતા પર ભરોસો નથી. પચાસ ટકા કરતાં વધુ લોકોએ કહ્યું હતું કે ભારતમાં મળેલી જી-૨૦ પરિષદ એક ખર્ચાળ તમાશો હતો અને નરેન્દ્ર મોદીએ પોતાની ઈમેજ માટે નાણાંનો વ્યય કર્યો હતો. બીજા કેટલાંક લોકોને તેની જાણ પણ નહોતી. બહુમતી લોકોએ કહ્યું હતું કે તેમને આર્ટીકલ ૩૭૦ વિષે ખાસ જાણકારી નથી. હિંદુ રાષ્ટ્ર, ભારતનું વિશ્વગુરુત્વ, રામ મંદિર આપવામાં આવેલા દસ મુદ્દાઓમાં છેલ્લેથી પહેલા બીજા અને ત્રીજા સ્થાને હતાં.

યાદ કરો, ત્યારે ભારતીય જનતા પક્ષ અને તેના નેતાઓને છોડીને આખા દેશમાં સી.એસ.ડી.એસ.ના સર્વેની ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ હતી. એક કારણ એ હતું કે એ સી.એસ.ડી.એસ.નું સર્વેક્ષણ હતું અને બીજું કારણ એ હતું કે એમાં અત્યારે પરિણામોમાં જે જોવા મળ્યું એ બધું જ પ્રતિબિંબિત થતું હતું. આપખુદશાહી, લોકશાહીનું હનન, ગરીબ લોકોને સતાવતા વિકટ પ્રશ્નો વિષે અસંવેદનશીલતા, શ્રીમંતો માટે કામ કરતી સરકાર અને દેખાડો. આ પાંચ ચીજ તો છે જેને કારણે ભા.જ.પ.ને બહુમતી મળી નથી. ઊલટું ભા.જ.પ.ના નેતાઓને એમ લાગતું હતું કે વિપુલ પ્રમાણમાં સાધન સામગ્રી, લગભગ નિષ્પ્રાણ કરી નાખવામાં આવેલા વિરોધ પક્ષો, અનુકૂળ મીડિયા, અનુકૂળ ચૂંટણીપંચ તેમ જ પ્રશાસન અને ઉપરથી રામમંદિર, બસ આટલું પૂરતું છે. હવે કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી.

અને પછી મદમાં ને મદમાં જાહેર કરવામાં આવ્યું કે ઇસ બાર ચારસો પાર. વડા પ્રધાને તો લોકસભામાં બોલતા ભારતની પ્રજાને કહી પણ દીધું કે હવે પછી મોટાં પરિવર્તનો માટે તૈયાર રહેજો. બસ, એ પછી ગાડી પાટા પરથી ઉતરવા લાગી. લોકોને લાગ્યું કે જો ત્રણસો પારમાં આ હાલત છે તો ચારસો પારમાં શું થશે! અને મોટાં પરિવર્તન એટલે શું? શું તેઓ બંધારણ બદલશે? શું નવાં બંધારણમાં સવર્ણોની પરંપરાગત સરસાઈ હશે? શું પછાત કોમને આપવામાં આવતી અનામતની જોગવાઈનો અંત આવશે? અનામતની પ્રથા સામેનો સંઘ પરિવારનો વિરોધ જાણીતો છે. સંઘનાં મુખપત્ર ‘પાંચજન્ય’ અને ‘ઓર્ગેનાઈઝર’માં અનામતનો વિરોધ કરનારા અનેક લેખો મળી રહેશે. આ સિવાય નરેન્દ્ર મોદીની સરકારના શાસન વિષે જે પ્રશ્નો હતા એ તો કાયમ હતા જ. એમાં વળી ભા.જ.પ.ને અનુકૂળતા રહે એ રીતે ચૂંટણી પંચે સાત ચરણમાં ચૂંટણી લંબાવી આપી. એક કોળિયો ખાવ, હજમ કરો અને બીજો તૈયાર કરો. બન્યું એવું કે વિરોધ પક્ષોને નેરેટિવ હાથ લાગી ગયું અને ચૂંટણી લંબાતી ગઈ. બંધારણ અને અનામત સિવાય યુવાનોની બેકારી, મોંઘવારી, તુમાખી, અભિમાન, રાજ્યોના અધિકારો અને ફેડરલીઝમ વગેરે મુદ્દાઓ કેન્દ્રમાં આવી ગયા અને રામમંદિર તેમ જ ભારતની મહાનતાના મુદ્દાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા.

નેરેટિવને લાગેવળગે છે ત્યાં સુધી ૨૦૧૪ અને ૨૦૧૯માં નરેન્દ્ર મોદી તેને હાઇજેક કરી ગયા હતા. ૨૦૧૪માં સ્વચ્છ શાસન અને વિકાસ અને ૨૦૧૯માં રાષ્ટ્રીય સુરક્ષા, રાષ્ટ્રીય ગૌરવ અને મજબૂત નેતૃત્વ. આ વખતે નરેન્દ્ર મોદી પાસે કોઈ અનોખી વાત કરવાની નહોતી અને ચૂંટણી સાધારણ રીતે હોય છે એવી સામાન્ય બની ગઈ. નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં જુવાળ નહોતો તો તેમની તરફેણમાં પણ નહોતો. આ સિવાય લોકોએ ચૂંટણી હાથમાં લઈ લીધી હતી એટલે વિરોધ પક્ષોના સંસાધનોનો અભાવ બાધારૂપ બન્યો નહીં. હા, એટલું નક્કી છે કે જો વિરોધ પક્ષો મજબૂત હોત તો ભા.જ.પ.ની બેઠકોમાં હજુ પચાસ બેઠકોનું નુકસાન થયું હોત. એ પછીથી વડા પ્રધાનનો પ્રચાર દિશાહીન થતો ગયો. ૨૦૧૪નું વરસ બેઠું ત્યારે આવું થશે તેની કલ્પના કોઈએ નહોતી કરી. જાન્યુઆરીમાં અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે એમ માનવામાં આવતું હતું કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં વિજય વડા પ્રધાનના ખિસ્સામાં હશે. ૩૦૦ કરતાં વધુ બેઠક મળી શકે છે, ઓછી નહીં મળે. અચાનક પાસાં પલટાઈ ગયાં અને પરિણામ બદલાઈ ગયું. મને નથી લાગતું કે નરેન્દ્ર મોદી ત્રીજી મુદ્દત માટે વડા પ્રધાન બની શકશે. પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે બનવું પણ ન જોઈએ. નરેન્દ્ર મોદીનો નૈતિક અને રાજકીય પરાજય થયો છે અને તેનો તેમણે સ્વીકાર કરવો જોઈએ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 09 જૂન 2024

Loading

તુમ મેરી કલ્પના કે બાહર કુછ હો હી નહીં …

સોનલ પરીખ|Opinion - Opinion|9 June 2024

રંગો અને ઝળહળાટનો ઉત્સવ બહુ દૂર નથી ત્યારે યાદ આવે છે સર્જકતા અને પ્રેમની અંદર-બહારનાં વિશ્વોની સફર કરાવતું એક કથાનક, એક ફિલ્મ અને એક કલાકાર. ટૂંકમાં ૧૯મી સદીમાં થઈ ગયેલા ચિત્રકારના જીવન ઉપર પ્રકાશ પાડતી રણજીત દેસાઈની નવલકથા ‘રાજા રવિ વર્મા’ને આધારે બનેલી કેતન મહેતા દિગ્દર્શિત ‘રંગરસિયા’ ફિલ્મ. વાત કરવી છે ફિલ્મમાં નિરુપાયેલા સનાતન દ્વંદ્વોની, શાશ્વત યુગ્મોની અને એના વડે બનેલી જિંદગીની.

શરૂઆત રાજા રવિ વર્મા પર અદાલતમાં ચાલતા કેસથી થાય છે. જજ પૂછે છે, ‘તમારા પર મુકાયેલા અશ્લીલતા, અનૈતિકતા અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપનો તમે સ્વીકાર કરો છો?’ ‘નહીં.’ તે શાંત સ્વરે કહે છે. ‘કાયદો જાણો છો?’ ‘આપ જેટલી કલાને જાણો છો તેટલો જાણું છું.’

અદાલતનાં દૃશ્યો અને ફ્લેશબેકનું સમાંતરે ચાલવું આપણને બતાવે છે કે બાળક રવિની કલા જોઈ રાજા તેને આશ્રય આપે છે, રંગો અને રેખાઓ વચ્ચે તે યુવાન થાય છે ને રાજકુટુંબની કન્યાને પરણે છે. અછૂત દાસીની ભંગિમા જોઈ બનાવેલા એક ચિત્રને આંતરરાષ્ટ્રીય ઈનામ મળે છે. ‘રાજા’નું બિરુદ અને આશ્રય આપનાર રાજાનું અવસાન થતાં દીવાન તેને મુંબઈ લઈ આવે છે, ‘આ સ્વપ્નનગરી છે. અહીં પ્રતિભાની કદર છે. તું બસ કામે લાગી જા.’ એક મંદિરમાં તેને એક સુંદર, નિષ્પાપ યુવતી દેખાય છે. રાતભર જાગીને બનાવેલા સ્કેચ લઈ બીજે દિવસે રવિ એ યુવતી સુગંધાને આપે છે. બીજે દિવસે એ સ્કેચ લઈ સુગંધા રવિ પાસે જાય છે. જાણે મુલાકાત નક્કી હોય તેમ રવિ ચિત્ર બનાવવા તૈયાર છે, એને બેસાડીને કહે છે, ‘સરસ્વતીથી શરૂ કરીશું. જ્ઞાન અને કલાની દેવી.’ ‘મને શું ખબર દેવી કેવી હોય?’ ‘હું બતાવું.’ કહી એ દીવો કરે છે, સુગંધાની આરતી ઉતારે છે, એના ચરણે ફૂલો ધરે છે, વંદન કરે છે, તેના પગનો પંજો કોમળતાથી-આદરથી પોતાની હથેળી પર લઈ બીજા પગ પર ગોઠવી આપે છે અને સર્જાય છે વર્ષોથી આપણે મા સરસ્વતી તરીકે જેની પૂજા કરીએ છીએ એ સરસ્વતી દેવીનું ચિત્ર : લાલ ચોળી, સફેદ સાડી, છૂટા વાળ, માથે મુકુટ, હાથમાં વીણા. સુગંધા વેશ્યા છે, એક શ્રીમંતની રખાત છે. કહે છે, ‘તું મારા વિશે કશું જાણતો નથી,’ રવિ ચિત્ર પરથી આંખ હટાવ્યા વિના કહે છે, ‘જેટલું જાણું છું, મારા માટે પૂરતું છે.’

અને સફર શરૂ થાય છે – કલાકાર અને પ્રેરણામૂર્તિ વચ્ચેના અનુબંધની. સુગંધાને ખબર છે કે પોતે કલાકારની પ્રેરણા હોઈ શકે, પ્રિયતમા કદાચ નથી, પણ તેનું મન એ સ્વીકારવા તૈયાર નથી. આ બાજુ વડોદરાના મહારાજાનું તેડું આવે છે ને રવિની જિંદગીનો નવો અધ્યાય શરૂ થાય છે. ભારતનું સંસ્કૃતિધન આલેખવા આતુર રવિને મહારાજા દેશાટન પર મોકલે છે અને રવિ ચિત્રોનો ફાલ ઉતારે છે – રામાયણ-મહાભારતની વાર્તાઓ, દેવીદેવતાઓ. વિશાળ ચિત્રખંડની દીવાલો ઢંકાતી આવે છે.

કલાપ્રદર્શન આમજનતા માટે ખુલ્લું મુકાય છે. લોકો ઊમટે છે, મંદિરમાં પ્રવેશી ન શકતા દલિતો ભાવવિભોર થઈ રવિનાં ચિત્રોમાં સાક્ષાત ભગવાન જોઈ આળોટી પડે છે. રવિને એક પ્રતિભાશાળી સાથી પણ મળ્યો છે, ધુંડીરામ ફાળકે. લોકપ્રિયતા, ધન, પ્રતિષ્ઠા ને સફળતાની ટોચે પહોંચેલો રવિ જર્મન પ્રિન્ટર ફિશ લાઈઝર સાથે પ્રેસ શરૂ કરે છે અને તેનાં ચિત્રોનાં હજારો લિથોગ્રાફ ભારતના ઘરેઘરમાં ને વિદેશમાં પણ પહોંચવા લાગે છે.

પણ ક્યારેક તે ઉદાસીમાં ડૂબી જાય છે. સુગંધા કારણ પૂછે છે ત્યારે તે કહે છે, ‘આકાશમાં ઊડી જતી ઉર્વશી અને તેનું સરી જતું વસ્ત્ર પકડતો પુરુરવા – સુગંધા, આ પળનું ચિત્ર મારે બનાવવું છે. આવાં ઘણાં ચિત્રો મનમાં છે, પણ કદી નહીં બનાવી શકું. મોડેલ કોણ બનશે? આપણે, પોતાના સત્યને ઓળખતાં ડરીએ છીએ. ખરેખર તો આઝાદ થતાં ડરીએ છીએ. આપણી કલ્પના પણ ડરના કિલ્લામાં કેદ છે …’ વાક્ય પૂરું થાય એ પહેલા સુગંધા ખુલ્લા ખભા પરથી સાડી સરકાવી દઈ જવાની મુદ્રામાં ઊભી રહે છે. અત્યંત આતુરતા અને અધીરાઈથી કલાકાર ઈઝલ પર કાગળ મૂકે છે અને અર્ધ-અનાવૃત્ત ઉર્વશીનાં ત્રણ ચિત્ર તૈયાર થાય છે. ચિત્રો પૂરાં થતાં પ્રસન્નતૃપ્ત કલાકારમાં રહેલો પુરુષ હણહણે છે અને અદમ્ય તલસાટભરી સુગંધાને પોતાનામાં સમાવી લે છે.

પછીના દૃશ્યમાં સુગંધાનું વાસ્તવ છે. શરીર પર અને સાડી પર રંગરંગના ધાબાં લઈ સુગંધા ઘરમાં પ્રવેશે છે. એનો શેઠ ધમકીભરી આંખો બતાવતો ચાલ્યો જાય છે. અર્થાત, ગરીબીની શરૂઆત. વાસ્તવ રવિનું પણ છે. એના પ્રેસમાં આગ લાગે છે. એ જીવના જોખમે થોડાં ચિત્રો બચાવી લે છે, પણ ખૂબ નુકસાન થયું છે. વાસ્તવ દેશનું પણ છે. પ્લેગની મહામારીમાં લોકો ટપોટપ મરી રહ્યા છે. બ્રિટિશ શાસકો સ્વાતંત્ર્યવીરોને કચડી રહ્યા છે. ધર્માચાર્ય ગણાતા શાસ્ત્રીજી પ્લેગને રવિ વર્માના વેશ્યાને દેવી વનાવી તેનાં નગ્ન ચિત્રો બનાવવાના પાપનું પરિણામ સાબિત કરવા કટિબદ્ધ છે. ઉશ્કેરાયેલા લોકો રવિને માર મારે છે. રવિની આંખોમાં સ્વપ્નનો ધુમાડો ઊડે છે પણ તેની છાતી સાબૂત છે.

આ બાજુ ઉર્વશીનાં ચિત્રોની પ્રિન્ટ્સ ખૂબ ઊપડે છે. હજામો ગ્રાહકોને આકર્ષવા દુકાનોમાં ઉર્વશીનાં ચિત્રો રાખવા લાગ્યા છે. સુગંધાની અશ્લીલ મશ્કરીઓ થવા લાગી છે. કલાની, પ્રેમની, સર્જનની દિવ્ય પળોનું આવું અવમૂલ્યન? આહત સુગંધા રવિ પાસે જાય છે અને કહે છે, ‘મને કૉર્ટમાં બોલાવી છે, આબરુનાં ચીંથરાં ઊડી ગયાં છે. તેં કદી વિચાર્યું છે કે મારું શું થશે?’

રવિનું પ્રેસ વેચાઈ ગયું છે, ઉંમર અકાળે વધી ગઈ છે, અદાલતમાં કેસ ચાલે છે. બધી બાજુથી ઘેરાયેલો એ સુગંધાને કહી દે છે, ‘તુમ મેરી કલ્પના કે બાહર કુછ હો હી નહીં …’

‘હું છું જ નહીં?’ કલાકાર કલ્પનાના વાસ્તવમાં જેને સર્વસ્વ સમજતો હોય તેને એ વાસ્તવની બહાર ઓળખવાનો ઈનકાર કરી શકે – પણ પોતાને દેવીના આસને બેસાડનારા અને ઉત્કટ ક્ષણોમાં એકાકાર થઈ જનારા કલાકારના સર્જકઆવેગ અને પુરુષઆવેગને રોમેરોમે અનુભવી ચૂકેલી સુગંધા પોતાના કશું ન હોવાને કેવી રીતે સ્વીકારી શકે?

તે ભાંગી પડે છે, પણ અદાલતમાં કહે છે, ‘રાજા રવિ વર્મા સાચો કલાકાર છે. તમે, હું કોઈ નહીં રહીએ, પણ તેની કલા હંમેશાં જીવશે અને તેના માધ્યમથી હું પણ.’ અને ઘેર જઈ પથારીમાં તૂટી પડે છે. આ બાજુ રાજા રવિ વર્મા અદાલતમાં કહે છે, ‘કલાનું સત્ય નક્કી કરનારા તમે બધા છો કોણ? કામસૂત્ર અને ખજૂરાહોનાં શિલ્પોનો આદર કરનારી ભારતની સંસ્કૃતિ એક અર્ધખુલ્લા શરીરને જોઈ ભાંગી જાય એટલી નબળી નથી. પણ મને દેખાય છે એક છેતરાયેલી સ્ત્રી. પોતા દ્વારા, પુરુષ દ્વારા, સમાજ દ્વારા, સંસ્કૃતિ દ્વારા,  સ્વયં દેવતાઓ દ્વારા સતત છેતરાતી રહેલી સ્ત્રીના આપણે બધા અપરાધી છીએ.’

રવિ વર્માને મુક્ત કરવામાં આવે છે. સુગંધા ગળે ફાંસો ખાઈ જીવન-મુક્ત થઈ ચૂકી છે. કલા અને પ્રેરણા, સર્જકતા અને પ્રેમ, વાસ્તવ અને સત્ય, પુરુષ અને સ્ત્રીનાં દ્વંદ્વોએ ઊઠાવેલા પ્રશ્નો અંતે અનુત્તર રહી ગયા છે.

એક પ્રશ્ન મનમાં ઊઠે છે;  જેનો ઉત્તર છે પણ, નથી પણ. જો સ્ત્રી કલાકાર હોય, જો પુરુષ તેની પ્રેરણા હોય અને જો કોઈ તબક્કે એ તેને એમ કહે કે ‘તુમ મેરી કલ્પના કે બાહર કુછ હો હી નહીં…’ તો?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 નવેમ્બર  2023

Loading

...102030...678679680681...690700710...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved