Opinion Magazine
Number of visits: 9457393
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ખામોશી’નો પ્રેમ : યે શામ, વોહ શામ અને હુગલી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 January 2024

રાજ ગોસ્વામી

રાજેશ ખન્નાની બે ફિલ્મો, ખામોશી (1969) અને સફર(1970)ની વાત એક સાથે કરવી પડે તેનું એક કારણ તો એ છે કે બંને ફિલ્મો બંગાળી ફિલ્મોની રીમેક છે (ખન્નાની અમુક સંવેદનશીલ ફિલ્મો મૂળ બંગાળી વાર્તાઓમાંથી આવી છે તે વાત નોંધવા જેવી છે) અને બંનેના નિર્દેશક આસિત સેન હતા. બીજી રસપ્રદ વાત એ છે કે બંને ફિલ્મો મેડિકલ વ્યવસાય સબંધિત હતી અને નાયિકા પ્રધાન હતી. ‘ખામોશી’માં વહીદા રહેમાને હોસ્પિટલની નર્સની ભૂમિકા કરી હતી, જ્યારે ‘સફર’માં શર્મિલા ટાગોરે સર્જન ડોકટરની ભૂમિકા ભજવી હતી. બંને ફિલ્મોમાં ખન્નાએ અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીની ભૂમિકા નિભાવી હતી.

મોટા હીરો પડદા પર તેમની ઈમેજ અને હાજરીને લઈને બહુ અસલામતી અનુભવતા હોય છે અને દરેક દૃશ્યમાં કેમેરા તેમની પર જ રહે તેવો આગ્રહ સેવતા હોય છે, પરંતુ ખન્ના માટે એ સિદ્ધિ કહેવાય કે તે તેની લોકપ્રિયતાની ટોચે હતો ત્યારે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં નાયિકાની મુખ્ય ભૂમિકા હોય. ‘ખામોશી’ અને ‘સફર’ તેની ગવાહ છે. એ ઉપરાંત, ‘કટી પતંગ’ અને ‘અમર પ્રેમ’માં નાયિકાઓ, આશા પારેખ અને શર્મિલા ટાગોરની આસપાસ કહાની ફરતી હતી.

અગાઉ આપણે ‘સફર’ ફિલ્મની વાત કરી હતી. આજે ‘ખામોશી’ની કરીએ. આ ફિલ્મ, જાણીતા બંગાળી લેખક આશુતોષ મુખર્જીની વાર્તા ‘નર્સ મિત્રા’ પરથી અસિત સેને બંગાળીમાં નિર્દેશિત કરેલી ફિલ્મ ‘દીપ જવલે જાઈ’થી પ્રેરિત હતી. બંગાળીમાં સુચિત્રા સેને નર્સની ભૂમિકા કરી હતી અને ફિલ્મને બંગાળી ચાહકોનો બહુ પ્રેમ મળ્યો હતો.

ફિલ્મમાં નર્સ રાધા(વહીદા)ને તીવ્ર ઉન્માદથી પીડિત કવિ અરુણ ચૌધરી(ખન્ના)ની સારવાર કરતી બતાવાઈ છે. એમાં બંને એકબીજાના અતીતની વાતો કરે છે. એમાં અરુણ રાધાને ચાહવા લાગે છે, પણ રાધા અરુણમાં તેના અગાઉના પ્રેમી દેવ(ધર્મેન્દ્ર)ને જુવે છે અને એમાંને એમાં ડિપ્રેશનનો ભોગ બને છે. છેલ્લે, રાધા એ જ વોર્ડમાં દર્દી બનીને પટકાય છે, જ્યાં તેણે દેવ અને પછી અરુણની સારવાર કરી હતી. 

એક વ્યવસાયિક નર્સ અને ઋજુ હૃદયની એક સ્ત્રીની લાગણીઓ વચ્ચે સંઘર્ષ કરતી રાધાનું પાત્ર ભૂમિકા વહીદા રહેમાનની કારકિર્દીની યાદગાર ભૂમિકા છે. એક ઇન્ટરવ્યૂમાં વહીદાએ કહ્યું હતું, “બે દર્દીઓના પ્રેમમાં પડતી નર્સની ભૂમિકામાં હું ભાવનાત્મક રીતે એટલી જોડાયેલી હતી કે મારી પર તેની ગહેરી અસર થઇ હતી. એમાં સૌથી મુશ્કેલ દૃશ્ય એ હતું જ્યાં રાજેશ ખન્ના દરવાજા પર હાથ પછાડીને તેને ખોલવાનું કહે છે, પણ રાધા પોતાની જાતને કાબૂમાં રાખવા માટે મૌન રહે છે. ડૉક્ટરે તેને પહેલેથી જ ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે દર્દીઓ સાથે ઘનિષ્ઠ નહીં થવાનું, પરંતુ અંદરથી તે જાણે છે કે તે અરુણને ચાહે છે પણ તે વ્યક્ત કરી શકતી નથી. એ મૌન સંઘર્ષ બહુ મુશ્કેલ હતો.”

‘ખામોશી’નું યાદગાર પાસું તેનું સંગીત હતું. ફિલ્મના નિર્માતા અને સંગીતકાર હેમંતકુમાર અને ગુલઝારે પાંચ અવિસ્મરણીય ગીતો આપ્યાં હતાં; તુમ પુકાર લો .. .તુમ્હારા ઈન્તેજાર હૈ, વોહ શામ કુછ અજીબ થી, હમને દેખી હૈ ઇન આંખો કી મહેકતી ખુશ્બૂ, આજ કી રાત ચિરાગ અને દોસ્ત કહાં કોઈ તુમસા. 

એમાં કિશોર કુમારના અવાજમાં ‘વોહ શામ કુછ અજીબ થી’ ગીત તો તેનાં સર્વશ્રેષ્ઠ ગીતોમાં સામેલ થાય છે. કિશોરે એકવાર તેના ગમતાં ગીતોમાં આ ગીતને સામેલ કર્યું હતું. હિન્દી ફિલ્મ ગીતોનાં સર્જન પાછળનો ઇતિહાસ લખનાર બાલાજી વિઠ્ઠલ અને અનિરુદ્ધ ભટ્ટાચાર્જી ‘ગાતા રહે મેરા દિલ’ નામના પુસ્તકમાં ‘ખામોશી’ના ગીત પાછળની દિલચસ્પ કહાની વર્ણવે છે :

ગુલઝાર એ દિવસને યાદ કરીને કહે છે હેમંત’દા મ્યુઝીક રૂમમાં અડધા આડા પડેલા હતા. એક હાથ હારમોનિયમ પર હતો, અને પગ લંબાયેલા હતા. એ બહુ ઊંચા હતા. દાદા ખાસ્સા સમયથી આ રીતે જ બેઠા હતા. વચ્ચે વચ્ચે છીંકણીની ચપટી ભરીને નાકમાં ખેંચે, અને ધોતીના છેડે આંગળીઓ સાફ કરે. પણ કોઈ ધૂન બનતી ના હતી. મને એ કહે, “કુછ બોલ દો. કુછ બન નહીં રહા હૈ.”

“સ્ક્રીપ્ટ મેં જ લખી હતી, એટલે મને ખબર હતી કે કિરદાર (અરુણ ચૌધરી) શું વિચારતો હશે. એમાંથી એક લાઈન આવી ,”વોહ શામ કુછ અજીબ થી, યે શામ ભી અજીબ હૈ. વોહ કલ ભી પાસ પાસ થી, વોહ આજ ભી કરીબ હૈ.” એ કોઈકની સાથે છે, પણ યાદ એને કરે છે જે હવે નથી. દાદાએ લાઈનો લખીને ધૂન બનાવાનું શરૂ કર્યું. 

“મુખડુ બનાવીને દાદાએ અંતરા માટે ધૂન બનાવી, કારણ કે બંને એકબીજાના પૂરક હતા. એ પછી મેં અંતરાની ધૂન પરથી શબ્દો બનાવ્યા. આવું બહુ બનતું. સંગીતકાર મને મુખડા માટે ધૂન આપે, અને કહે કે અંતરાને પછી કમ્પોઝ કરીશું. પણ હું મુખડું લખતો હોઉં તો અંતરાની લાઈન પણ મનમાં આવતી. આવું રીવર્સિંગ થયા કરે, પણ અંતે બધું સમુસૂતરું પાર પડે,” ગુલઝાર કહે છે. 

બાલાજી વિઠ્ઠલ અને અનિરુદ્ધ ભટ્ટાચાર્જી લખે છે, આ ગીત કલકત્તામાં હુગલી નદી પર ફિલ્માવાયું હતું. પાછળ કોઈ જ બેકડ્રોપ ન હતું. શુટિંગ જોવા માટે લોકો પણ બહુ ભેગા થયા હતા. આ ગીતને કિશોર કુમાર પાસે ગવડાવવાની દૂરંદેશી હેમંત’દાની હતી. કિશોર ત્યારે એક્ટિંગમાંથી સિંગિંગમાં શિફ્ટ થઇ રહ્યો હતો, અને મોટાભાગના કમ્પોઝરોને એના ગાયનમાં બહુ ભરોસો ન હતો. કિશોર ત્યારે ફાસ્ટ ગીતો ગાવા માટે જ જાણીતો હતો. ગુલઝાર કહે છે, “કિશોર પાસે ગવડાવાનો નિર્ણય મ્યુઝીક ડીરેક્ટર અને ફિલ્મ ડીરેક્ટરનો હતો, હું એમાં ન હતો.” 

‘વોહ શામ…’ની શરૂઆત હુગલીનાં પાણી લાકડાની બોટમાં અથડાતાં હોય ત્યાંથી થાય છે. કિશોરની મીટર વગરની પહેલી બે લાઈન પછી કોરસની જે ગુનગુનાહટ છે, એની પીચમાં કોઈ ભજન-મંડળી જેવી સૂર છે. ગીતના મુખડામાંથી જ એક સરસ ઉષ્મા પ્રસરે છે. બે અંતરા પછી હરિપ્રસાદ ચૌરસિયા આપણને વાંસળીવાદનમાં લઇ જાય છે. 

કેમેરા પણ જાણે લયને વધુ જગ્યા આપતો હોય તેમ પાછળ ખસે છે, અને દૃશ્યને પહોળું કરે છે. ગીતમાં બે જગ્યાએ મુખ્ય કિરદારનાં (રાજેશ ખન્ના અને વહીદા રહેમાન) રીએક્શન ટીપિકલ ગુલઝાર સ્ટાઈલમાં ફ્લેશબેક દ્વારા એકબીજામાં જકસ્ટાપોઝ થાય છે. રાધા જ્યારે એક સાંજે દેવ (ધર્મેન્દ્ર) સાથે હતી તે યાદ કરે છે. અરુણ, જે રાધાના કારણે પાગલપણની ખીણમાંથી બહાર આવ્યો છે, એનો હાથ પકડવા જાય છે, અને રાધા એને દૂર રોકી રાખે છે. ત્યારે જ …

‘યે શામ …’ અને હુગલીનું ઊછળતું પાણી રાધાના ચહેરાને ભીનો કરે છે

‘વોહ શામ …’ અને રાધાનું મન દેવને યાદ કરે છે, જેણે ગુસ્સામાં શરાબ એના ચહેરા પર ફેંક્યો હતો. 

‘યે શા મ…’ અને હાવરા બ્રીજ નીચે પસાર થતી બોટમાં દેવને યાદ કરતી રાધા અરુણની બાંહોમાં ઢળે છે. 

‘વોહ શામ …’ અને ગીતના અંતે રાધા ‘દેવ’ નામ બોલે છે. 

‘યે શામ …’ અને એ વર્તમાનમાં આંખ ખોલીને પોતાને અરુણની બાંહોમાં જુવે છે. 

ગીતમાં પણ આગળ-પાછળનું આવું કટિંગ મસ્ત ચાલે છે. ગુલઝાર શ્રોતાઓને ‘ઝુકી હુઈ નિગાહ મેં કહી મેરા ખયાલ થા …’માંથી ‘મેં સોચતા થા મેરા નામ ગુનગુના રહી હી વો …’માં લઇ જાય છે. રાધા એના ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ઝોલાં ખાય છે, ત્યારે પહેલા અંતરામાં ‘મેં સોચતા થા મેરા નામ …’નો ભાવ બીજા અંતરામાં ‘મેં જાનતા હું મેરા નામ ગુનગુના રહી હી વો …’માં તબદીલ થઇ જાય છે. 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 31 જાન્યુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કટોકટીભર્યા વિશ્વમાં … 

સુમન શાહ|Opinion - Opinion|31 January 2024

સુમન શાહ

આજે ગાંધીનિર્વાણ દિન છે. હું ત્યારે ૮ વર્ષનો હતો. તે સાંજે એક શોકગીત દેશ આખામાં ગુંજેલું —દીવડો બુઝાયો … દીવડો બુઝાયો … અમારી ખડકીની વડીલ સ્ત્રીઓ રડતી’તી, એ જોઈને હું પણ રડી પડેલો. ગાંધીના છેલ્લા શબ્દો હતા, હે રામ … તાજેતરમાં અયોધ્યામાં રામમન્દિરમાં રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ – લાખો દીવડા પ્રગટ્યા. કહે છે, ‘એ.આઈ.’-ના ઑલ્ગોરીધમે રામને સ્મિત કરતા પણ દર્શાવ્યા. ઘણા પ્રજાજનોને દેશ એ એક તન્તુથી સુગઠિત થયો અનુભવાયો.

આ વર્ષે ભારત અને અમેરિકામાં ચૂંટણીઓ થવાની છે, પણ એ પહેલાં, એ દેશોમાં લોકશાહી છે છતાંપણ, પ્રજાને પરિણામો મળી ગયાં છે, ભા.જ.પ. જીતશે, અમેરિકામાં અત્યારે કહેવાઈ રહ્યું છે, ટ્રમ્પ રીટર્ન્સ અને સૂત્ર ચમકી રહ્યું છે —મેક અમેરિકા ગ્રેટ અગેઇન. રાજાશાહીના જમાનામાં પણ રાજા માંદોસાજો હોય કે રાણીવાસમાં વિલાસરત હોય, ત્યારે કહેવાતું કે આપણા આ કુંવર કે ફલાણા પ્રધાન રાજા થશે. આમાં, ચૂંટણીતન્ત્રથી મળતા મત અને ચૂંટણી થતાં પહેલાં ઘડાતો રહેતો લોકમત – બન્ને વચ્ચે ભેદ છે. પહેલામાં સત્ય છે, બીજામાં અનુસત્ય, શક્ય છે કે ક્યારેક બન્નેની ભેળસેળ પણ જોવા મળે.

યેમેન પછી સંસારમાં બે યુદ્ધ ચાલુ છે, જેમાં લાખો મનુષ્યો મરાયાં છે. ઇઝરાઇલ-હમાસ વૉરમાં ૨૫ હજારથી વધુ પૅલેસ્ટિનવાસીઓ અને ઇઝરાઇલવાસી ૧,૪૦૦ થી વધુ મરાયા છે. રશિયા-યુક્રેઇન વૉરમાં બન્નેના થઈને ૧ લાખથી વધુ મરાયા છે. લાખો લોકો વતન છોડીને ભાગી ગયા છે. ૪ મિલિયન લોકો યુક્રેઇનમાં અહીંતહીં ભટકી રહ્યા છે, વિદેશોમાં ૬ મિલિયન જનો શરણાર્થી રૂપે જીવી રહ્યા છે.

લોકશાહીમાં મત કરતાં મતદારની માનસિકતા વધારે નિર્ણાયક ભૂમિકા ભજવતી હોય છે. એ માનસિકતાને પ્રતાપે ઉમેદવારની અને નેતાની પોઝિશન નક્કી થતી હોય છે. એ રાષ્ટ્રભક્ત અને લોકપ્રિય લાગવા માંડે છે. પ્રજાને સમજાય છે કે આ આપણો હિતરક્ષક છે અને જરૂર પડશે તો ભાગલાવાદી થતાં ખચકાશે નહીં. આમાં પણ દેશભક્તિ અને નેતાભક્તિની ભેળસેળ હોય છે. આમાં પણ સત્ય અને અનુસત્ય એકમેકમાં સંતાકૂકડી રમતાં હોય છે.

ગ્લોબલ ઇન્ફ્લેશન – વૈશ્વિક ફુગાવો – અપૂર્વ ઊંચાઈએ પ્હૉંચ્યો છે. ગ્લોબલ ડેટ – વૈશ્વિક ઋણ – ૨૦૨૨માં ૯ર ટ્રિલિયન ડૉલર્સે પ્હૉંચ્યું છે.

ઇથિયોપિયા, કેન્યા અને સોમાલિયામાં ગરીબી અને ભૂખમરો ઘટતાં નથી. લોક સ્થળાંતર કરી રહ્યાં છે. વધારામાં, ક્લાઇમેટ ચેન્જને કારણે દુર્દશા ઘેરી બનતી જાય છે. સ્વાસ્થ્યરક્ષા અને કેળવણી અશક્ય દીસે છે. હવામાનમાં અતિ કહેવાય એવાં જાતભાતનાં નામધારી સ્ટૉર્મ્સ, હીટવેવ્ઝ, વગેરે ઘટનાઓ ઘટી રહી છે. દુકાળ, નદીઓમાં પૂર, ધરતીકમ્પ તો ખરાં જ. એથી, જનજીવન માટે સુસ્થિર હતી એ વ્યવસ્થાઓ વેરવિખેર થઈ ગઈ છે. કોરોનાને કારણે લૉકડાઉન્સ થયા, ટ્રાવેલ્સ રીસ્ટ્રિક્ટેડ થઇ, પરિણામે સપ્લાય ચેઇન ખોરવાઇ ગઈ. અમેરિકા જેવા અમેરિકામાં એક મહિનામાં મળતું ફર્નિચર ચાર ચાર મહિને મળવા લાગ્યું. યુદ્ધોને કારણે ગ્લોબલ ફૂડ અને ઍનર્જી સપ્લાયની લાઇનો પણ ખોરવાઇ ગઇ છે.

ધર્મસમ્મત ગણાતી આતંકવાદ જેવી મહામારીને કારણે એક તરફ ધર્મઝનૂન અને નિર્દોષોની હત્યા, તો બીજી તરફ, દમ્ભી આત્મસંરક્ષક રાષ્ટ્રવાદ વકરી રહ્યાં છે. કૉન્ગો, દક્ષિણ સુદાન કે મ્યનમારમાં પ્રાદેશિક ઘર્ષણો વધી રહ્યાં છે.

ટૂંકમાં, એક વિકરાળ સ્વરૂપની માનવવિષયક કટોકટીમાંથી વિશ્વ આજે પસાર થઈ રહ્યું છે. માનવજાત કટોકટીભર્યા વિશ્વમાં શ્વસી રહી છે.

પણ આપણે ક્યાં છીએ, ગુજરાતી સાહિત્યકારો ?

હજી એમ વિચારીને હીંચકે ઝૂલ્યા કરતા સારસ્વતમિત્રો છે આપણી વચ્ચે, કે – આમાં આપણે શું, આપણે તો શબ્દસાધકો છીએ, દુનિયા તો યુગોથી એમ જ ચાલતી આવી છે, ને ચાલ્યા કરશે …

પરન્તુ વિશ્વના ડાહ્યા ચિન્તકો દાર્શનિકો ફિલસૂફો આ વૈશ્વિક કટોકટી વિશે ખાસ્સું ચિન્તવી રહ્યા છે.

એમાં, માનવવાદ પછી તાજેતરમાં વિકસેલી બે વિભાવનાઓ મહત્તાપૂર્ણ છે – ટ્રાન્સહ્યુમેનિઝમ અને પોસ્ટહ્યુમેનિઝમ, ઉત્તર-માનવવાદ અને અનુ-માનવવાદ.

વિભિન્ન વિદ્યાશાખાઓ વચ્ચેના આદાનપ્રદાનને કારણે આજે માનવ અને ટૅક્નોલૉજિ સામસામે આવી ગયાં છે. આજે ‘એ.આઈ.’, જેનેટિક ઍન્જિનીયરિન્ગ, બ્રેઇન અને કમ્પ્યુટર વચ્ચેનું ઇન્ટરફેસિન્ગ, વગેરેથી વિશ્વ જુદી જ ગતમાં ચાલી રહ્યું છે. એવા અતિઝડપે વિકસી રહેલા વર્તમાનમાં ચિન્તકોને પ્રશ્ન થયો છે કે – માણસ હોવાનો અર્થ શો છે?

હવેના સમયમાં વિચારવું પડશે કે — મનને અપલોડ કરવા માટે આપણી પાસે શી નૈતિક વિચારધારાઓ હશે? — બિન-જૈવિક એકમોમાં ચેતનાનું શું સ્વરૂપ હશે? — આમૂલ માનવીય વિકાસ માટે શી સંભવિતતાઓ બચી હશે?

એમાં, હવે વાસ્તવિકતા વિશે જુદું જ વિચારાઈ રહ્યું છે : વાસ્તવિકતાને વિશેની પરમ્પરાગત અવધારણાઓને પડકારતી એક વિચારધારા આકાર લઈ રહી છે, જેને ‘સ્પેક્યુલેટિવ રીયાલિઝમ’ કહેવાય છે. આપણાં ચિત્તથી અને આપણાં અર્થઘટનોથી મુક્ત વસ્તુપદાર્થો – ઑબ્જેક્ટ્સ – વિશે હવે આપણે કશી શોધખોળ કરીશું ખરા? આ વિચારણા આપણને અસ્તિત્વના સ્વરૂપ વિશે, વસ્તુઓ સાથેના સમ્બન્ધો-અનુબન્ધો વિશે તેમ જ માનવીય જ્ઞાનની મર્યાદાઓ વિશે વિચારવાની ફરજ પાડે છે.

એમાં, કૉગ્નિટિવ સાયન્સ તેમ જ ફિલોસોૉફી ઑફ માઇન્ડ પણ છે. એથી આપણને માનવીય મગજ વિશે અવનવી સમજદારી મળી રહી છે. એથી હવે ચેતના, મુક્ત ઇચ્છા અને વિચારની પ્રકૃતિ વિશેના ચિન્તનનો પુનર્વિચાર શરૂ થયો છે. ઍમ્બૉડિમૅન્ટ માટે પણ નવેસરથી વિચારાઇ રહ્યું છે.

ઍમ્બૉડિમૅન્ટ એટલે શું? સત્તાપરક સમ્બન્ધોને શબ્દાકૃત કરનારી, જ્ઞાનપરક પ્રક્રિયાઓને ઘડનારી, વગેરે, અનેક વિચારધારાઓ હોય છે. કેટલીક વિચારધારાઓ અમુકતમુક મૂલ્યોની તરફદારી કરતી હોય છે – દાખલા તરીકે, સમાનતા, ન્યાય, પ્રગતિ જેવાં મૂલ્યો. એ મૂલ્યોને દેહ અર્પવો, એટલે કે તેને મૂર્ત કરવાં – ટુ મેક રીયલ, એને ઍમ્બૉડિમૅન્ટ કહેવાય. એ માટે વિધિવિધાન અને કર્મકાણ્ડ રચવાં, પ્રતીકો ઊભાં કરવાં, વગેરે આનુષંગિક વ્યવસાયો પણ ઍમ્બૉડિમૅન્ટનો જ ભાગ છે.

(ક્રમશ:)
(01/30/24)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લે નમસ્તે, ઓ અપેક્ષિત, ઓ ઉપેક્ષિત અને સમીક્ષિત!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 January 2024

એક બાજુ, ઝીણાનું નામ લઇ અડવાણીએ પાકિસ્તાની નેતૃત્વને ઢંઢોળ્યું. બીજી બાજુ, એમના વિચારબંધુઓ અહીં ચેનલ ચોવીસા પર મંડી પડ્યા કે દેશદ્રોહી ઝીણાને ગરિમા પ્રદાન કરનાર અડવાણી પણ દેશદ્રોહી છે!

વીતેલા પખવાડિયામાં રામ મંદિર આસપાસ ઉલ્લાસ, ઉફાન અને ઊહાપોહ વચ્ચે કોઈ એક પાત્રવિશેષે ચિત્તનો કબજો લીધો હોય તો તે અલબત્ત લાલકૃષ્ણ અડવાણીનું છે. જેટલા અપેક્ષિત એટલા જ ઉપેક્ષિત એવી એમની નિયતિ રહી છે. 2004માં ફીલગુડ અહેસાસ વચ્ચે ભા.જ.પ.ને અને સત્તાને છેટું રહી ગયું. 2014માં, ‘માય વે, ઓર હાઈવે’ના ધોરણે નવા નેતૃત્વે એમને, આજની જેમ ખખડેલ નહીં પણ કડેધડે છતાં, અવસર ન આપ્યો. પક્ષે એમને માર્ગદર્શક મંડળમાં મૂક્યા … કહ્યું ને, માય વે, ઓર હાઈવે!

પ્રકાશ ન. શાહ

જો કે, આ ક્ષણે મારો મુદ્દો કોઈ વ્યક્તિગત સત્તાકારણનો નથી, પણ એક સંગઠક ને સિદ્ધાંતકોવિદ પક્ષને ક્યાંથી ક્યાં કેવી રીતે લઈ જાય છે અને સફળતાની કથિત ક્ષણો કેવી આભાસી અગર તો મૂળ આદર્શ અને વિચાર પરત્વે ‘ઘુમ જાવ’ તરેહની હોય છે તે સમજવાનો ને તપાસવાનો ખયાલ જરૂર છે.

ભાગલા સાથે એ સિંધથી અહીં આવ્યા, એટલે લાંબે નહીં જતાં છેલ્લા સાડા ચાર દાયકાના ફલક પર વાત કરું તો 1977-1979ની ઠીક કામગીરી પછી જનતા પક્ષમાં છૂટા પડવાનું થયું ત્યારે જનસંઘ નેતૃત્વે, ખાસ તો વાજપેયી-અડવાણીએ, પાછા ભારતીય જનસંઘની રીતે ન વિચાર્યું.

ભારતીય જનસંઘમાંથી ભારતીય અને જનતા પક્ષમાંથી જનતા લઈને એમણે ભારતીય જનતા પાર્ટીનો રાહ લીધો. દીનદયાલ ઉપાધ્યાય પ્રણિત એકાત્મ માનવવાદ સાથે જનતાભેદ સરખો ગાંધીવાદી સમાજવાદ જોડીને એ આગળ ચાલ્યા. માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘની સ્વીકૃતિ આડે હિંદુ રાષ્ટ્રવાદ વિ. બિનસાંપ્રદાયિકતાનો મુદ્દો હંમેશ આવતો રહ્યો હતો એનાથી સભાન આ નેતૃત્વે ‘પોઝિટિવ’ એવા વિશેષણ સાથે સેક્યુલરિઝમને પોતાની પાયાની નિષ્ઠા જાહેર કરી.

કટોકટીમાં સંજય બ્રાન્ડ જુલમી રાજકારણે કાઁગ્રેસના પરંપરાગત વ્યાપક મુસ્લિમ સમર્થનને હચમચાવી નાખ્યું હતું. ભાગ્યશાળીને ભૂત રળે એમ 1977માં જનતા પક્ષના ઘટક તરીકે જનસંઘને મુસ્લિમ મતો સુંડલામોઢે મળ્યા. બીજી બાજુ, આગળ ચાલતાં ઇન્દિરા ગાંધીના પુનરાગમન પછી 1984માં એમની નિર્ઘૃણ હત્યાને કારણે શીખવિરોધી માહોલ હિંદુ મતોના દૃઢીકરણ રૂપે કાઁગ્રેસને ઐતિહાસિક બહુમતી સંપડાવનારો બની રહ્યો. ભા.જ.પ.નાં સૂપડાં સાફ થઈ ગયાં. વાજપેયીને સ્થાને ભા.જ.પ.ના પ્રમુખ બનેલા અડવાણીએ રામ મંદિરનો મુદ્દો ઉપાડી હિંદુ મતોના દૃઢીકરણની પ્રબળ વળતી ચેષ્ટા કરી અને રાજીવ ગાંધીની શાહબાનુ ચેષ્ટાએ પણ એને બરાબરનો સાથ આપ્યો. આ પ્રક્રિયામાં અંતે થયું એવું કે કાઁગ્રેસ શ્રેષ્ઠીઓના સેક્યુલરિઝમે તકવાદી પલટી મારી, અને પેલું ‘પોઝિટિવ સેક્યુલરિઝમ’ પણ બચાડું માર્યું ફરે!

રામ મંદિર આંદોલનના વ્યાપક અર્થઘટનથી તેમ રામરાજ્ય એટલે કે ધર્મરાજ્ય અર્થાત્ ‘રુલ ઓફ લો’ અને સુશાસન એવી સમજૂતથી અડવાણી ઠીક રોડવતા હશે, પણ બીજી બાજુ ગળથૂથીનાયે સવાલો હતા. નરસિંહરાવ-મનમોહન સિંહની આર્થિક નીતિ વિશે અડવાણીની અનુમોદનાથી પ્રેરાઈ એક વાર વાસુદેવ મહેતાએ અને મેં એમને પૂછ્યું કે તમે કેમ સહયોગની રીતે ન વિચારો? એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમારી ઓળખનું શું? ‘હિંદુત્વ હમારી પહેચાન હૈ.’

આ પહેચાનનો ઇતિહાસબોજ, એમના નવપ્રસ્થાન માત્ર ને ધૂળ પરના લીંપણ શું બનાવી મેલે છે તે વખતોવખત બહુ બૂરી ભોંયપછાડથી સમજાતું રહ્યું છે. જેમ વડા પ્રધાન વાજપેયીની લાહોર બસ યાત્રા અને ખાસ તો મિનારે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત એક સીમાચિહ્ન ઘટના હતી તેમ 2005ની અડવાણીની (પૂર્વ નાયબ વડા પ્રધાનની) પાક મુલાકાત પણ ભારત-પાક સંબંધની રીતે અને ભા.જ.પ.ની સકારાત્મક સ્વીકૃતિ રૂપે ફળદાયી હોઈ શકત. સામે છેડેથી શુભ ચેષ્ટા પણ સોજ્જી હતી.

મહાભારતના યક્ષ પ્રશ્નથી સુપ્રતિષ્ઠ કટાસરાજ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે અતિથિ વિશેષ તરીકે સામેલ થવાનું એ સત્તાવાર નિમંત્રણ હતું.

આ મુલાકાત દરમ્યાન એમણે યાદ કર્યું કે પાક રાષ્ટ્રપિતા ઝીણાએ પાકિસ્તાનની બંધારણ સભામાં સેક્યુલર ભૂમિકા લીધી હતી : ‘તમે કોઈ પણ ધર્મ અથવા જાતિ અથવા નસલના હોઈ શકો છો, રાજ્યનો તેનાથી કોઈ સરોકાર નથી. તમે જોશો કે સમય પસાર થતાની સાથે અહીં હિંદુ હિંદુ નહીં રહે તથા મુસ્લિમ મુસ્લિમ નહીં રહે – ધાર્મિક અર્થોમાં નહીં કારણ કે ધર્મ વ્યક્તિની અંગત બાબત છે, પરંતુ રાજકીય અર્થોમાં આ રાજ્યના નાગરિકના રૂપમાં.’

એક બાજુ પાકિસ્તાનમાં એમનું આ બોલવું (ઝીણાના શબ્દો મારફતે વર્તમાન પાક હુકમરાનોને ઢંઢોળવું) અને બીજી બાજુ ખુદ અડવાણીએ ‘મારો દેશ, મારું જીવન’ એ આત્મકથામાં નોંધ્યું છે તેમ ‘ભા.જ.પ.ના વૈચારિક બંધુઓ’નું ચેનલ ચોવીસામાં ધરાર મંડી પડવું કે દેશદ્રોહીને (ઝીણાને) ગરિમા પ્રદાન કરનાર (અડવાણી) પણ દેશદ્રોહી છે!

ક્વચિત્ ક્વચિત્ અડવાણીને મળવાનું થતું એમાં એક સંવાદ યાદ આવે છે. પાક હાઈકમિશનર કાઝી એમને મળવા આવ્યા તો વાત વાતમાં અડવાણીએ કહ્યું કે જુઓ હું અહીં સિંધથી આવ્યો અને રાજનીતિમાં આટલા શીર્ષસ્થાને પહોંચ્યો છું. આ અમારી લોકશાહી રાજવટનો ચમત્કાર છે. તમે તમારે ત્યાં આવો દાખલો કેમ બતાવી શકતા નથી?

ખેર, આ દિવસોમાં હિંદુત્વ રાજનીતિ નાગરિકતા કાનૂન સહિતનાં વલણોમાં કંઈક એવું જ, પાકિસ્તાન જેવું માનસ પ્રગટ કરતી માલૂમ પડે છે. અડવાણી જેમને ‘વિચારબંધુઓ’ કહે છે તે સિદ્ધાંતબાજો ને નીતિવ્યૂહકારો અડવાણીનો કાઝી જોગ પ્રશ્ન પોતાને પૂછાય તો શો જવાબ આપશે? નવી શરૂઆત તરીકે રામ મંદિર નિર્માણ ઘટનાને આગળ ધરાય છે ત્યારે અડવાણી અને વાજપેયી જે અંતર્વિરોધનું સમાધાન નથી કરી શક્યા એની આશા હાલના લાભાર્થીઓ પાસે રાખી શકાય એવું લાગતું તો નથી … દેખીતી વસંત, ને વાસ્તવમાં પાનખર, બીજું શું.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 31 જાન્યુઆરી 2024

Loading

...102030...677678679680...690700710...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved