Opinion Magazine
Number of visits: 9665451
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અકેલેપન કા બલ પહચાન – હરિવંશરાય બચ્ચન

સોનલ પરીખ|Opinion - Opinion|12 June 2024

પોતાની જાતને સાથે લઈને બેઠા હોઈએ એવા એકાંતમાં બચ્ચનજીને વાંચીએ તો એમની રચનાઓનું અજવાળું આપણને આપણાં સ્વપ્નો અને સન્નાટાઓની મુખોમુખ કરી દે, ‘નીલમ–સે પલ્લવ ટૂટ ગયે, મરકત–સે સાથી છૂટ ગયે, અટકે ફિર ભી દો પીત પાત, જીવન–ડાલી કો થામ, સખે.. હૈ પતઝડ કી યહ શામ, સખે!’

હરિવંશરાય બચ્ચન

‘મિટ્ટી કા તન મિટ્ટી કા મન, ક્ષણભર જીવન મેરા પરિચય’ આવી સાદી શાશ્વત અને સાર્વત્રિક પંક્તિ લખનાર ભવ્ય કવિનો જન્મદિન 27 નવેમ્બરે છે. આ ભવ્ય કવિ એટલે હિંદી કવિતાના માઈલસ્ટોન સમા હરિવંશરાય બચ્ચન. ‘મધુશાલા’ની રુબાઈઓ જેનો પર્યાય છે એવા આ કવિએ જીવ સોંસરી જાય ને ઘણી વાર જીવલેણ લાગે એવી અન્ય રચનાઓ પણ આપી છે એટલું જ નહીં, ગદ્ય અને પદ્ય બંનેમાં સુંદર કામ કર્યું છે. ભર્યું ભર્યું જીવન જીવ્યા છે, પણ સભાઓના નહીં, એકાંતના કવિ રહ્યા છે. કહે છે, જ્યાં કોઈ નથી, પંથ નથી, દિશા નથી, શબ્દ પણ નથી, એવા ગાઢ અને ગૂઢ એકાંતમાં જ નવપ્રસ્થાનનો સંકેત મળે છે ‘શબ્દ કહાં જો તુજકો ટોકે, હાથ કહાં જો તુજકો રોકે, રાહ નહીં હૈ, દિશા નહીં, તૂ જિધર કરે પ્રસ્થાન; અકેલેપન કા બલ પહચાન.’

યુરોપમાં ચૌદમી-પંદરમી સદીથી શરૂ થઈ ગયેલી રેનેસાં ભારતમાં ઘણી મોડી આવી; પણ એ પછી અંગત અનુભૂતિની અભિવ્યક્તિ, કલ્પના, સૌંદર્ય તરફનું આકર્ષણ, વિસ્મય, એક જ સૂક્ષ્મ ચેતનાનું સમગ્ર વિશ્વમાં દર્શન, સામાજિક-ધાર્મિક-રાજનૈતિક અને સાહિત્યિક બંધનો સામે વિદ્રોહ અને ઉન્મુક્ત પ્રેમ – આ બધી એની અસરો ભારતના સર્જકોએ મોટા પ્રમાણમાં ઝીલી. આ રોમેન્ટિસિઝમ, જેને હિંદીમાં છાયાવાદ કહે છે તેની વિશેષતાઓ બચ્ચનજીમાં ભરપૂર ઝળકી. એમણે રોમેન્ટિસિઝમનાં શિખરો સર કર્યાં. પછી એની અસરમાંથી નીકળી પણ ગયા અને પોતીકા બળથી પોતાના શબ્દો અને ભાવોને માંજ્યા અને કંડાર્યા. એમને છાયાવાદોત્તર યુગના હાલાવાદી કવિ પણ ગણવામાં આવે છે. પોતાની જાતને સાથે લઈને બેઠા હોઈએ એવા એકાંતમાં બચ્ચનજીને વાંચીએ તો એમની રચનાઓનું અજવાળું આપણને આપણાં સ્વપ્નો અને સન્નાટાઓની મુખોમુખ કરી દે, ‘નીલમ-સે પલ્લવ ટૂટ ગયે, મરકત-સે સાથી છૂટ ગયે, અટકે ફિર ભી દો પીત પાત, જીવન-ડાલી કો થામ, સખે .. હૈ પતઝડ કી યહ શામ, સખે!’

બચ્ચનજી, કવિઓ માટે જેવી છાપ છે એવા સીધાસાદા કે ધૂની બિલકુલ નહીં. પ્રયાગના એમ.એ., અંગ્રેજી કવિ ડબલ્યુ.બી. યેટ્સ પર કેમ્બ્રિજમાં પીએચ.ડી., 10 વર્ષ સુધી અંગ્રેજીના અધ્યાપક, સાથે આકાશવાણીમાં સક્રિય, ત્યાર પછી ભારતના વિદેશ મંત્રાલયના હિંદી ભાષાના વિશેષજ્ઞ. પૂરા સોફેસ્ટિકેટેડ. અને છતાં પારકાનું દુ:ખ જોઈ પોતાને એવું દુ:ખ નથી એથી અંદરથી આનંદિત થતાં અને બહારથી સાંત્વના આપતા લોકોના દંભથી વ્યથિત થાય એવા સંવેદનશીલ અને એમને ‘ક્યા કરું સંવેદના લેકર તુમ્હારી?’ કહી શકે તેવા સ્પષ્ટ.

‘તેરા હાર’ બચ્ચનજીનું પહેલું પ્રકાશન. 1935માં આવેલી ‘મધુશાલા’એ તેમને શિખરે બેસાડ્યા. અદ્દભુત ‘મધુશાલા’ને મન્ના ડેએ અદ્દભુત કંઠે અને જયદેવના એવા જ અદ્દભુત સંગીત નિર્દેશનમાં ગાઈ છે. એવી જ અદ્દભુત અસર એમના પુત્ર અમિતાભ બચ્ચન જ્યારે ‘મધુશાલા’નો પાઠ કરે ત્યારે ઊભી થાય છે. ‘મધુશાલા’ પછી આવ્યા ‘મધુબાલા’ અને ‘મધુકલશ’ અને બચ્ચનજી હિન્દીમાં ‘હાલાવાદ’ના સ્થાપક અને સાધક બન્યા. હાલા એટલે મદિરા. તેને જ વર્ણ્યવિષય માનીને થતી રચનાઓ એ હાલાવાદ. બચ્ચનજી લખે છે, ‘કભી ન કણભર ખાલી હોગા, લાખ પિયે દો લાખ પિયે; પાઠકગણ હૈ પીનેવાલે, પુસ્તક મેરી મધુશાલા’. મધુશાલા ફક્ત સુરાલય નથી. મધુશાલા પ્રતીક છે – પ્રણયનું, જિંદગીનું, ડૂબી જવાય એવી મસ્તીનું અને તરી જવાય એવી વિરક્તિનું – ‘જગતી કી શીતલ હાલા સી પથિક, નહીં મેરી હાલા; જગતી કે ઠંડે પ્યાલે સા પથિક, નહીં મેરા પ્યાલા; જ્વાલ સુરા જલતે પ્યાલે મેં દગ્ધ હૃદય કી કવિતા હૈ; જલને સે ભયભીત ન હો જો, આયે મેરી મધુશાલા’ કવિના તેજોમય ચૈતન્ય-અગ્નિની નજીક જવું એ કાચાપોચાનું કામ નથી. જેનામાં સાહસ હોય, જેને સળગવાનો ડર ન હોય તે જ પોતાના સર્જનવિશ્વમાં પ્રવેશે એવું કહેનાર કવિ સર્જન અને ભાવનનાં રહસ્યો પ્રત્યે કેટલા સજાગ હશે! અગ્નિ એમના કાવ્યોમાં વારંવાર આવે છે,  ‘અગ્નિદેશ સે આયા હૂં મૈં .. ઝુલસ ગયા તન, ઝુલસ ગયા મન, ઝુલસ ગયા કવિ-કોમલ જીવન, કિંતુ અગ્નિવીણા પર અપને દગ્ધ કંઠ સે ગાતા હૂં મૈં; કંચન તો લૂટા ચૂકા, પથિક, અબ લૂટો ભસ્મ લુટાતા હૂં મૈં …’ ‘જગ મેં અંધિયારા છાયા થા, મૈં જ્વાલા લેકર આયા થા, મૈંને જલકર દી આયુ બિતા, પર જગતી કા તમ હર ન સકા, મૈં જીવન મેં કુછ કર ન સકા …’ અને ‘અગ્નિપથ’ તો ખરું જ, જેને અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘અગ્નિપથ’માં લેવામાં આવ્યું હતું, પછી એની રિમેકમાં પણ લેવાયું હતું.

હરિવંશરાય બચ્ચન

કવિ તરીકે સમકાલીનોમાં ઉપેક્ષિત પણ રહ્યા. પણ તેના પરિણામે તેમનું સર્જનાત્મક પાસું વધુ સશક્ત બન્યું અને તેમની રચનાઓને, પરંપરામુક્ત અભિવ્યક્તિ હોવાને કારણે, સારી એવી પ્રસિદ્ધિ પણ મળી. લેખન અને જીવનમાં આડંબરને તેમણે પ્રવેશવા નથી દીધો માટે જ તેઓ ટોળાવાદી નહિ પણ એકાકી છતાં ઉત્કૃષ્ટ કવિ તરીકે પ્રતિષ્ઠિત છે. ‘કવિ કી વાસના’ કાવ્ય આખું જ વાંચવા-માણવા જેવું છે, પણ એમાં બે પંક્તિઓ ખાસ ધ્યાન ખેંચે છે, ‘પ્રાણ પ્રાણોં સે મિલેં કિસ તરહ, દીવાર હૈ તન’ અને ‘મૈં છુપાના જાનતા તો જગ મુઝે સાધુ સમજતા, શત્રુ મેરા બન ગયા હૈ છલરહિત વ્યવહાર મેરા’

ઉમર ખય્યામની રુબાઈઓથી પ્રભાવિત ‘મધુશાલા’, ‘મધુબાલા’ અને ‘મધુકલશ’ ઉપરાંત કાવ્યસંગ્રહો ‘નિશાનિમંત્રણ’, એકાન્તસંગીત’, ‘સતરંગિની’ અને ‘મિલનયામિની’, અંગત વ્યથાકથા સાથે ત્યારના દેશકાળની હૃદયસ્પર્શી વાતો કહેતા ચાર આત્મકથાનકો – ‘ક્યા ભૂલૂં ક્યા યાદ કરૂં?’ ‘નીડ કા નિર્માણ ફિર’ ‘બસેરે સે દૂર’ અને ‘દશદ્વાર સે સોપાન’ અને ગંભીર અધ્યયનના પરિણામસ્વરૂપ ‘જનગીતા’ તથા શેક્સપિયરકૃત ‘મૅકબેથ’ વગેરેના અનુવાદો, અનેક સમીક્ષાત્મક નિબંધો આ છે કવિ હરિવંશરાય બચ્ચનનું સર્જન-વિશ્વ. એમણે પોતા વિશે અત્યંત સાહસ અને નિખાલસતાથી લખ્યું છે. સંઘર્ષ અને વ્યથા, મસ્તી અને ફિલોસોફી બંને તેમાં જોવા મળે, ‘અગણિત ઉન્માદોં કે ક્ષણ હૈં, અગણિત અવસાદોં કે ક્ષણ હૈં, રજની કી સૂની ઘડિયોં કો કિન કિન સે આબાદ કરું, ક્યા ભૂલું ક્યા યાદ કરું’ અને રોબર્ટ ફ્રોસ્ટની ‘ધ વૂડસ આર લવલી’નો બચ્ચનજીએ કરેલો અનુવાદ, ‘ગહન સઘન મનમોહક તરુગણ મુજકો આજ બુલાતે હૈં, કિંતુ કિયે જો વાદે મૈંને યાદ મુજે આ જાતે હૈં, અભી કહાં આરામ બદા યહ નેહ-નિમંત્રણ છલના હૈ, અરે અભી સોને સે પહલે મુજકો મીલોં ચલના હૈ …’ છે ને ખડી બોલીની સહજ તાકાત સાથે સંવેદનાની મુલાયમ ઊર્જાનો સુરુચિસંપન્ન સુમેળ?

બચ્ચનજી મુખ્યત્વે પ્રબળ માનવભાવો, પ્રાણને પ્રજ્વલિત રાખતી પ્રેમઅગન અને જીવનસંઘર્ષના આત્મનિષ્ઠ કવિ છે. તેમને સાહિત્યના સરસ્વતી સન્માન અને પદ્મભૂષણ જેવા નાગરિક સન્માન સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનો મળ્યાં હતાં, પણ સૌથી મોટું સન્માન તો એમની ‘નીડ કા નિર્માણ ફિર ફિર’, ‘ઈસ પાર પ્રિયે મધુ હૈ, તુમ હો’ કે ‘જો બીત ગઈ સો બાત ગઈ’ને રસિકોના હૃદયમાં મળેલું સ્થાન છે. એમના ‘નિશા નિમંત્રણ’ સંગ્રહની ત્યારના અમુક દિગ્ગજોએ આલોચના કરી હતી, એમ કહીને કે દુનિયા યુદ્ધગ્રસ્ત છે અને આ કવિને નિશાનિમંત્રણ સૂઝે છે. પણ એની 20 આવૃત્તિ થઈ છે! ‘દો ચટ્ટાનેં’ માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. આવી હસ્તી જ કહી શકે કે ‘બૈઠ જાતા હૂં મિટ્ટી મેં અક્સર, ક્યોં કિ મુઝે મેરી ઔકાત અચ્છી લગતી હૈ’, ‘મૈં પથ્થર પે લિખી ઈબારત હૂં, શીશે સે કબ તક તોડોગે, મિટનેવાલા મૈં નામ નહીં, તુમ મુઝકો કબ તક રોકોગે’ અને ‘હૈ અંધેરી રાત પર દીપક જલાના કબ મના હૈ?’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 નવેમ્બર  2023

Loading

‘ …. તમે રહ્યા લંઘનવાળા, અને અમે રહ્યા જે.પી.વાળા … ઉલ્લંઘનવાળા!’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 June 2024

પ્રકાશ ન. શાહ

તાજેતરનાં ચૂંટણી પરિણામોને પડછે તવારીખની તેજછાયામાં રમતું ચિત્ત આજથી એટલે કે 12મી જૂન, 2024થી લગભગ પાંચ દાયકા પાછળ 12મી જૂન, 1975ના દિવસે ગાંધીનગરમાં ઠરવા કરે છે.

એ દિવસે બે ઐતિહાસિક ચુકાદા એકસાથે આવ્યા હતા. અલાહાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવ્યાં હતાં. જે.પી. આંદોલને આણેલ જાગૃતિના માહોલમાં ચોક્કસ જ ઇન્દિરાઈ એકાધિકાર પર આ એક ફટકો હતો. બીજો ફટકો ગુજરાત વિધાનસભાનાં ચૂંટણી પરિણામો સાથે પડ્યો : ભલે સીમિત પણ જનતા મોરચો ગજું કરી ગયો હતો.

નવનિર્માણના દિવસોમાં જયપ્રકાશ ગુજરાત આવ્યા ત્યારે યોજાયેલ લોકસ્વરાજ સંમેલનનો તાંતણો પછી આગળ ચાલ્યો એમાં બિહાર આંદોલનથી બની રહેલ રાષ્ટ્રીય માહોલનો ખાસો હિસ્સો હતો. અમદાવાદનું ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્ર આ સંદર્ભમાં એક સંપર્કસૂત્ર જ નહીં રીતસર નર્વ સેન્ટર બની રહ્યું હતું. બેંતાલીસ બિરાદરી, સર્વોદય મંડળ, તરુણ વિદ્યાર્થીઓ, નિસબત ધરાવતા નાગરિકો, સૌનું એ મિલન ઠેકાણું બલકે થાણું હતું. સૌના ધરીપુરુષ ભોગીભાઈ – ભોગીલાલ ગાંધી.

1974ના ફેબ્રુઆરીમાં જે.પી.ની મુલાકાત સાથે જે દોર આગળ ચાલ્યો એણે છોડાવવાનું એક મોટું ઉખાણું એ હતું કે 15મી માર્ચે વિધાનસભાનું વિસર્જન તો થયું પણ નવી ચૂંટણીમાં સતત સળંગ મુદ્દત પડતી ગઈ.

વિસર્જનને ખાસું એક વરસ વીતી ગયું ને કેન્દ્ર સરકારે ચૂંટણી યોજવાનું નામ ન લીધું ત્યારે અમે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન(નવી દિલ્હી)ના મંત્રી અને જે.પી. આંદોલનના સંયોજકવત્ રાધાક્રિષ્ણની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતના પક્ષ-અપક્ષ અગ્રણીઓનું સંમેલન યોજી ગુજરાત લોકસંઘર્ષ સમિતિની રચના કરી. તે પછી તરતના અઠવાડિયામાં એપ્રિલ 1975માં મોરારજી દેસાઈએ ચૂંટણી યોજવા માટે અનશન કર્યા અને ઇન્દિરાજીના મોકલ્યા ગૃહ પ્રધાન દીક્ષિતે મોરારજીભાઈની માગણી સ્વીકારી. તે સાથે બાંહેધરી પણ આપી કે મિસાનો રાજકીય ઉપયોગ નહીં કરીએ.

લોકસ્વરાજ આંદોલન-લોકસંઘર્ષ સમિતિ-જનતા મોરચો એ પ્રક્રિયા આગળ ચાલી. વાતની શરૂઆત પરિણામના દિવસથી કરી હતી, પણ ત્યાં સુધી પહોંચતાં પહેલાં ઝડપથી બે-ત્રણ મુદ્દા કરી લેવા જોઈએ.

વ્યક્તિગત રીતે મોરારજીભાઈ સાથેના પરચિયથી (એમની અજાતમિત્ર આભા છતાં) સકારાત્મક છાપ પડી. મોરચાનો ઢંઢેરો તૈયાર કરવાની સમિતિ પર જે.પી. મિત્રોએ મૂક્યો હતો. કીર્તિદેવ દેસાઈ-પ્રવીણ શેઠ અમારા સહયોગી હતા. સંસ્થા કાઁગ્રેસના બાબુભાઈ જશભાઈ ને દિનેશ શાહ તો અન્ય પક્ષો તરફથી આર.કે. અમીન વ. તેમ પ્રસંગોપાત પિલુ મોદી પણ જોડાતા. અમારા સૌમાં વયોવૃદ્ધ મોરારજી દેસાઈ બધો વખત બિલકુલ ટટ્ટાર બેસી ચર્ચામાં રસ લેતા.

એક વાર પિલુ મોદીએ કહ્યું કે તમને છેલ્લે બધું બતાવી દઈશું. આટલું લાંબું બેસવાનું કષ્ટ કેમ લો છો. મોરારજી જેનું નામ – એ કહે, પિલુ, તું તો અંગ્રેજી આધ્યાક્ષર મુજબ બોર્ન પી.એમ. છે. જ્યારે મારે તો હજુ એમ.પી. બનવા માટે પણ મહેનત કરવાની છે. મુદ્દા ચર્ચવામાં મોરારજી હંમેશ એક વાત પર પોતાના વહીવટી અનુભવને જોરે ભાર મૂકતા : બરાબર વિચારો, આપણે વચન પાળી શકીએ એમ છીએ કે નહીં.

ઢંઢેરાના મુખડા જેવો એક પેરા કીર્તિદેવ દેસાઈએ અને મેં તૈયાર કર્યો હતો. એમાં જયપ્રકાશના આંદોલનની આબોહવામાં એક નવું રાજકારણ રચાઈ રહ્યાનો નિર્દેશ હતો. ગુજરાતમાં જયપ્રકાશ ક્યાંથી, એવી વેધક પૃચ્છક નજરે મોરારજીભાઈએ અમારા સામું જોયું, પણ બાબુભાઈ દરમ્યાન થયા : આ લોકો (જે.પી. મિત્રો) છે તો આપણે બધા સાથે થઈ શક્યા છીએ. તે પછી બધું સમું ચાલ્યું.

અનૌપચારિક સંબંધ એવો તો થઈ ગયો મોરારજીભાઈ સાથે પછીના ગાળામાં કે એ એમના આરોગ્યના પ્રયોગો વગેરેની વાત રસથી મિત્રભાવે કરે. એક વાર તાવ આવ્યો, ઊતરવાનું નામ ન લે, એટલે પોતે લંઘનનો રાહ લીધો. તે પછી આટલે વરસે એકે વાર તાવ આવ્યો નથી, એમ પણ એમણે કહ્યું. મારાથી રહેવાયું નહીં એટલે મેં એમને કહ્યું: ‘હવે મને ખબર પડી કે આપણે કેમ બનતું નથી … તમે રહ્યા લંઘનવાળા, અને અમે રહ્યા જેપીવાળા … ઉલ્લંઘનવાળા!’ એ ખડખડાટ હસી પડ્યા. પણ હતા તો મોરારજી, એટલે કહ્યા વગર રહી શક્યા નહીં કે તમે તમારા મનમાં કબજામાં છો જ્યારે મારું મન મારા કબજામાં છે.

ખરું જોતાં વાસંતી સંઘર્ષ દિવસો તો એક લાંબી દાસ્તાં છે અને પાંચસો સાતસો શબ્દૈડીમાં એને ખતવી શકાય નહીં. પણ એટલું સંભારી લઉં કે જનતા મોરચાએ સરકાર રચવા માટે જે સાથ લેવો પડ્યો એને અંગે અમારા મનમાં કંઈક કચવાટ જરૂર રહ્યો. જો કે અત્યારે સૂત્રો હાથમાં ન લઈએ તો આવનારા દિવસો ભયાવહ વળાંક લઈ શકે છે એવીયે એક માન્યતા હતી.

ઉમાશંકરે મન્યુવશ પ્રતિક્રિયા આપી કે અહીં જે.પી. થીસિસને બદલે મોરારજી થીસિસ ચાલે છે. શપથવિધિ માટે જતા બાબુભાઈને એમણે કહ્યું – હું તમને ‘વિશ’ કરી શકતો નથી. (જો કે 26મી જૂને કટોકટી ઝિંકાઈ તે સાથે આ થીસિસ વિવાદ અપ્રસ્તુત બની ગયો.)

પાંચમી જૂન, 1974 (સંપૂર્ણ ક્રાંતિ દિવસ) અને બારમી જૂન, 1975, જે.પી. થીસિસ ને મોરારજી થીસિસ વચ્ચેનું ગુણાત્મક અંતર 1977ના જનતા રાજ્યારોહણ સાથે કપાતું લાગ્યું પણ −

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 જૂન 2024

Loading

ગ્રેટિટ્યુડ ઈઝ ધ બેસ્ટ એટિટ્યુડ

સોનલ પરીખ|Opinion - Opinion|11 June 2024

આપણાં શાસ્ત્રો કહે છે કે કુલીનતા, બુદ્ધિ, ઈન્દ્રિયનિગ્રહ, જ્ઞાન, પરાક્રમ, મિતભાષીપણું, દાન અને કૃતજ્ઞતા – આ આઠ ગુણોથી મનુષ્ય દીપે છે. પૉઝિટિવ સાયકૉલૉજી કૃતજ્ઞતાને ઘણું મહત્ત્વ આપતાં કહે છે કે કૃતજ્ઞતાથી માણસ દૃઢ, સકારાત્મક, સ્વસ્થ, પ્રતિકૂળતાઓનો સામનો કરતો, મજબૂત સંબંધો બાંધતો અને પ્રસન્ન રહે છે. શરૂ થયેલા નવા વર્ષને કૃતજ્ઞતાપૂર્ણ અસ્તિત્વ સાથે આવકાર આપીએ …

વાદળોની ઉપર, માણસોની નજર અને પહોંચની બહાર, સત્યનો શાનદાર મહેલ હતો. એક દિવસ તેના સૌથી ભવ્ય ખંડમાં સદ્દગુણો માટે એક સમારંભ યોજવામાં આવ્યો. આ ખંડનું નામ બુદ્ધિખંડ હતું. અનેક સ્વયંપ્રકાશી દીપકોથી ઝળહળતા આ ખંડની દીવાલો રત્નજડિત અને જમીન નીલમવર્ણી હતી.

સોનલ પરીખ

સુંદર પત્રિકાઓ મોકલાઈ. સમય થતાં એક પછી એક સદ્દગુણો શ્રેષ્ઠ પોષાકો પહેરીને આવતાં ગયાં. દરેકના ચહેરા પર તેજ હતું.

સૌથી વધારે પ્રભાવશાળી લાગતી હતી પ્રામાણિકતા. તેનું શરીર અને વસ્ત્રો નિર્મળ પાણી જેવાં પારદર્શક અને ચમકદાર હતાં. તેના હાથમાં દરેક ચીજને તેના વાસ્તવિક રૂપમાં દેખાડતો મોટો ક્રિસ્ટલ હતો. બાજુમાં નમ્રતા અને હિંમત વફાદાર પણ તેજસ્વી સેવિકાઓની જેમ ઊભાં હતાં. સાથે હતો વિવેક. પૂર્ણપણે ઢંકાયેલા તેના દેહમાં અજબ સૌષ્ઠવ હતું. ઉત્સુક અને કંઈક શોધવા તત્પર આંખોમાં સૌમ્ય ચમક હતી. આ તરફ ઉદારતા અને દાન ઊભાં હતાં – સતર્ક, સક્રિય અને શાંત નરમ રોશનીથી ભરેલાં. આસપાસ ગૌરવાન્વિત વિજયી સ્મિત લઈને દયા, કરુણા, ધૈર્ય, વિનમ્રતા, ભલાઈ, સૌમ્યતા વગેરે અનેક સદ્દગુણો ખડા હતા.

સોનેરી દરવાજા પર કશોક સંચાર થયો. એક નવાંગતુક તરુણી ત્યાં ઊભી હતી. કોઈએ એને ઓળખી નહીં. સાદા શ્વેત પોષાકમાં તેની નાજુક, સુંદર આકૃતિ શોભતી હતી. એના સુંદર ચહેરા પર ક્ષોભ હતો. ક્યાં જાઉં-ના ભાવથી એ દરવાજે અટકી ગઈ હતી. એની મૂંઝવણ જોઈ શાણપણ આગળ આવ્યું અને બોલ્યું, ‘હું શાણપણ અને આ બધા મારા મિત્રો. અમે કોઈ તમને જાણતા નથી માટે તમે જ તમારો પરિચય આપો.’

ઘંટારવ જેવા અવાજે તરુણી બોલી, ‘મને આશ્ચર્ય નથી થતું, મિત્ર. મને ભાગ્યે જ કોઈ ઓળખે છે, ભાગ્યે જ કોઈ બોલાવે છે. મારું નામ કૃતજ્ઞતા છે.’

આ વાર્તા શ્રીમાતાજીએ ફ્રેંચ ભાષામાં રચી હતી અને તેનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. કહેતાં, આપણી બુદ્ધિ અનેક મોટા, પ્રખ્યાત સદ્દગુણોને ઓળખે છે અને એમના સાથમાં રાચે છે. તે કૃતજ્ઞતાને ખાસ કંઈ ગણતી નથી, પણ કૃતજ્ઞતા વિના બધા સદ્દગુણો અધૂરા છે.

કૃતજ્ઞતા એટલે શાંત સક્રિય શાંતિ. કૃતજ્ઞતા એટલે પોતાની સફળતામાં, પોતાના જીવનમાં અન્યના પ્રદાનને સમજવું, સ્વીકારવું અને વ્યક્ત કરવું. કૃતજ્ઞ હોવું એટલે અન્યના ઉપકાર પ્રત્યે સદ્દભાવ કેળવવો અને એને યથાશક્તિ પાછો વાળવા તત્પર હોવું. કૃતજ્ઞતા એટલે આપણી પાસે જે છે તેની કદર કરવી, જેમની પાસે નથી તેના પ્રત્યે સક્રિય સજાગતા કેળવવી અને આપણી જિંદગીને સભર બનાવનારાઓનો આભાર માનવો. વાત લાગે છે એટલી સાદીસરળ નથી, કારણ કે આપણો અહમ્‌ દરેક સારી બાબતને જટિલ બનાવવા ટેવાયેલો હોય છે.

કૃતજ્ઞતા માટે અંગ્રેજીમાં ગ્રેટિટ્યુડ શબ્દ છે. 23 નવેમ્બરે અમેરિકા થેન્ક્સગિવિંગ ડે ઊજવશે. યુરોપના દેશો અને કેનેડામાં પણ ઓકટોબર-નવેમ્બરમાં થેન્ક્સગિવિંગ ડે ઊજવાતો હોય છે. એની શરૂઆત લગભગ 400 વર્ષ પહેલા અમેરિકામાં થઈ. ત્યારે અમેરિકામાં યુરોપિયનોએ વસાહતો સ્થાપવાની શરૂઆત નહોતી કરી અને ગાઢ જંગલોમાં સ્થાનિકો પોતાની આગવી જીવનશૈલીથી રહેતા. 1615ની આસપાસ ઇંગ્લેંડનું એક વહાણ અમેરિકાના ઉત્તર કિનારે લાંગર્યું. કાતિલ શિયાળામાં ટકવા એમને સ્થાનિકોએ ખૂબ મદદ કરી. એમનો આભાર માનવા ખાનપાનનો એક સમારંભ થયો અને ત્યારથી દર વર્ષે થેન્ક્સગિવિંગ ડે ઊજવાવા લાગ્યો. અમેરિકાની શાળાઓમાં ભણાવાતા ઇતિહાસમાં આવું લખ્યું છે. જો કે ઘણા આ ઇતિહાસને અધૂરો કે એકાંગી માને છે કેમ કે ત્યાર પછી અંગ્રેજોએ યુદ્ધમાં સ્થાનિકોનો સંહાર કર્યો હતો. પણ આજ સુધી થેન્ક્સગિવિંગની ઊજવણી ધાન્યની ઊપજ, સલામત સફરો, યુદ્ધમાં જીત, કુટુંબપ્રેમ, પરસ્પર આભાર અને ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને સાથે મળીને ખાણીપીણીનો આનંદ લેવા માટે થાય છે. 1863માં સિવિલ વૉર પછી પ્રજાના ઘા ભરવા અને કૃતજ્ઞતાનું વાતાવરણ સર્જવા અબ્રાહમ લિંકને થેન્ક્સગિવિંગને નેશનલ હોલિડેનો દરજ્જો આપ્યો ત્યારથી થેન્ક્સગિવિંગનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે.

થેન્ક્સગિવિંગ માટેનો હિબ્રુ શબ્દ ‘ટોદાહ’ બાઈબલમાં વપરાયો છે અને તેનો અર્થ ‘કન્ફેશન, પ્રેઈઝ એન્ડ ઑફરિંગ’ એવો થાય છે. ઈશ્વર જ આપણને સઘળું આપે છે અને એની કૃપાથી જ આપણે સલામત અને સુખી હોઈએ છીએ. ઈશ્વરકૃપા માટે કૃતજ્ઞ થઈ પ્રાર્થના કરવી તેનું નામ થેન્ક્સગિવિંગ.

અમેરિકા-વિયેટનામ યુદ્ધ ચાલતું હતું ત્યારની વાત. ચાર્લ્સ પ્લમ્બ નામનો ફાઈટર પાઈલટ યુદ્ધજહાજ પરથી પોતાનું જેટ વિમાન લઈ ઊડે અને બૉમ્બમારો કરે. એક વાર જમીન પરથી દુ:શ્મનોએ છોડેલી મિસાઈલ એના જેટના નીચેના ભાગમાં લાગી. એ પેરેશૂટ લઈ કૂદી પડ્યો, પકડાયો, જેલ ભોગવી અને છૂટ્યો ત્યારે યુદ્ધ પૂરું થઈ ગયું હતું. હવે તેણે પોતાના યુદ્ધવિષયક અનુભવો વિશે લૅક્ચર આપવા માંડ્યા.

એક વાર ચાર્લ્સ પ્લમ્બ એક રેસ્ટોરાંમાં બેઠો હતો ત્યાં એક અજાણ્યા આદમીએ આવીને કહ્યું, ‘ગૂડ ઈવનિંગ સર, હું ભૂલતો ન હોઉં તો આપ ચાર્લ્સ પ્લમ્બ છો, ખરું?’ ‘હા.’ ‘તમારા જેટને જ વિયેટનામની સરહદે મિસાઈલ લાગી હતી અને તમે પેરેશૂટ લઈ કૂદી પડ્યા હતા …’ ‘હા. તમે મારાં લૅક્ચર સાંભળ્યાં લાગે છે.’ ‘ના સર, પણ મેં તમારી પેરેશૂટ પૅક કરી હતી. મને આનંદ છે કે તેણે બરાબર કામ આપ્યું.’ ચાર્લ્સે ઊભા થઈ એની સાથે હાથ મિલાવ્યા, ‘ઘણો આભાર. તમારા લીધે જ મારો જીવ બચી ગયો.’ ‘આભાર શાનો, સર? ઈટ વૉઝ માય ડ્યૂટી.’

એ રાત્રે ચાર્લ્સ પ્લમ્બને ઊંઘ ન આવી. એ અજાણ્યો લાગતો માણસ યુદ્ધજહાજ પર કેટલી ય વાર મળ્યો હશે – સફળ ગર્વિષ્ટ ફાઈટર પાઈલટ તરીકે પોતે તેના પર ધ્યાન નહીં આપ્યું હોય, તેનું અભિવાદન બેદરકારીથી ઝીલ્યું હશે, એની હસ્તીની નોંધ સરખી નહીં લીધી હોય. પણ તેણે પેરેશૂટ પેક કરવામાં જો જરા સરખી ગફલત હરી હોત તો પોતે આજે જીવતો ન હોત. આ વાત ત્યાર પછી ચાર્લ્સ પ્લમ્બ પોતાના લૅક્ચરોમાં કહેતો. ડૉ. વીજળીવાળાએ ‘મોતીચારો’ પુસ્તકમાં આ પ્રસંગને સુંદર વાર્તારૂપે આલેખ્યો છે.

કેટલા કેટલા લોકો કેટલી નાનીમોટી મદદ કરે છે ત્યારે આપણી શારીરિક, માનસિક, આધ્યાત્મિક હસ્તી પોષાય છે. કેટલા લોકોના પ્રતિભાવોથી આપણું સંવેદનજગત બંધાય છે. કઈંક પ્રાપ્ત થાય ત્યારે આપણે પોતાની આવડત માટે અભિમાન લઈએ છીએ, પણ એની પાછળ રહેલા અનેક જાણીઅજાણી વ્યક્તિઓના નાનામોટ પ્રદાનની નોંધ જ નથી લેતા! ખરું જોતાં આ પ્રદાનની આપણે કિંમત કરવાની હતી, કદર કરવાની હતી અને આપણે પણ અન્યો માટે કઈંક કરવાનું હતું. આપણો અહમ્‌ આપણને આવા કેવા અંધ, બધિર અને મૂક બનાવી રહ્યો છે?

ભગવાન બુદ્ધ કહે છે, આફતોનો આભાર માનો, કેમ કે એ ઘણું શીખવે છે. પોતાની મર્યાદાઓનો આભાર માનો, કેમ કે એ આગળ વધવાની તક આપે છે. દરેક નવા પડકારનો આભાર માનો, કેમ કે તેનાથી તાકાત અને ચારિત્ર્ય બંધાય છે. ભૂલોનો પણ આભાર માનો કેમ કે તે અમૂલ્ય પાઠ ભણાવે છે.

આપણાં શાસ્ત્રો કહે છે કે કુલીનતા, બુદ્ધિ, ઈન્દ્રિયનિગ્રહ, જ્ઞાન, પરાક્રમ, મિતભાષીપણું, દાન અને કૃતજ્ઞતા – આ આઠ ગુણોથી મનુષ્ય દીપે છે. પૉઝિટિવ સાયકૉલૉજી કૃતજ્ઞતાને ઘણું મહત્ત્વ આપતાં કહે છે કે કૃતજ્ઞતાથી માણસ દૃઢ, સકારાત્મક, સ્વસ્થ, પ્રતિકૂળતાઓનો સામનો કરતો, મજબૂત સંબંધો બાંધતો અને પ્રસન્ન રહે છે.

જેક્સ મેરિટન કહે છે કે ‘ગ્રેટિટ્યૂડ ઈઝ ધ બેસ્ટ એટિટ્યૂડ’ – કૃતજ્ઞતા શિષ્ટાચારનું સૌથી ઉત્કૃષ્ટ રૂપ છે. કૃતજ્ઞતાનો અનુભવ સંસ્કારિતાની નિશાની છે. અસંસ્કારી માણસ કૃતજ્ઞ ન હોઈ શકે. શરૂ થયેલા નવા વર્ષને પ્રેમપૂર્ણ હૃદય, દૃષ્ટિપૂર્ણ મન અને કૃતજ્ઞતાપૂર્ણ અસ્તિત્વ સાથે આવકારીએ …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 નવેમ્બર  2023

Loading

...102030...675676677678...690700710...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved