Opinion Magazine
Number of visits: 9457410
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પેટીએમ મત કરોઃ ફિનટૅકની ક્રાંતિને નામે નિયમોની ઐસીતૈસી કરનારા અર્થતંત્રની કાયા નહીં બદલી શકે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|11 February 2024

કશું બહુ ગાજતું હોય ત્યારે તેના મોહમાં ન આવી જવું, પણ સવાલ કરવો અને ન કરવો હોય તો સવાલ કરનારાઓને એક વાર સાંભળવા તો ખરાં જ. આપણે ત્યાં ફડચામાં ગયેલી બૅંકોના અને ફાઇનાન્શિયલ ફ્રોડ્ઝના બહુ કિસ્સા છે, આ માત્ર થોડો ટેક સેવી ફડચો હતો, એટલો જ ફરક છે.

ચિરંતના ભટ્ટ

એક સમયે સ્ટોક માર્કેટમાં ઇતિહાસ રચનાર પેટીએમની જાહેરાત આ વાંચતી વખતે પણ તમારા કાનમાં ગુંજી ઊઠે એમ બની જ શકે છે. તમને એ પણ યાદ આવી શકે છે તમે જેટલી વાર ક્યૂ આર કોડ સ્કેન કરીને પેટીએમ પર પૈસા ચૂકવ્યા હશે એટલીવાર નાનકડી દુકાન કે કોઇ મોટા સ્ટોરમાં પેટીએમ પર ઇતને રૂપિયે પ્રાપ્ત હુએનો સંદેશો પણ કાને પડ્યો હશે. આજકાલ આ પેટીએમ પ્રોબ્લેમની પેટી બનીને ગાજે છે. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ (RBI) પે ટીએમના કાન અગાઉ પણ આમળ્યા હતા પણ છતાં ય જે નિયમોનું અનુસરણ કરવું જોઇએ એ ન કરીને પેટીએમના માલિકોએ પોતાની બેફિકરાઈ જાહેર કરી અને અંતે RBIએ પેટીએમ સર્વિસીઝને બરાબર સાણસામાં લીધી છે. આ આખો મામલો આખરે છે શું અને આટલા વખતથી બધું બરાબર ચાલતું હતું તો અંતે RBIને વાંકું શું પડ્યું એ સમજવાનો પ્રયાસ કરીએ. વળી એટલું જ નહીં, પણ ફિનટેક એટલે કે ફાઇનાન્શિયલ ટેક્નોલૉજીને મામલે આપણી તકેદારી અને સમજણ બન્નેનું સ્તર કળવાનો પણ પ્રયાસ કરીએ.

વિજય શેખર શર્મા એ પેટીએમના ડાયરેક્ટર છે જે હવે હતા ન હતા થઇ જવાની અણી પર છે. પેટીએમનો આઇ.પી.ઓ. 2021ના અંતમાં આવેલો અને એ પણ તગડી શૅર પ્રાઇઝ સાથે અને લોકોએ તો તેને ફિનટેકના ક્ષેત્રે ઇતિહાસ રચનાર તરીકે માથે મૂકીને દમ લગાડીને શૅર ખરીદ્યા પણ હતા. ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં 18,300 કરોડના શૅર વેચાણ સાથે પેટીએમના આઇ.પી.ઓ.એ એક નવી જ ઊંચાઇ પ્રાપ્ત કરી અને તેની વાહવાહી કરવામાં કોઇએ પણ પાછું વળીને ન જોયું. આજે પેટીએમના ભાવ ગગડ્યા તો એવા ગગડ્યા કે ઝીણી આંખો કરીને પાતાળમાં જોઇએ તો ય માંડ દેખાય. ફિટટેક અને સ્ટાર્ટઅપની વાત થાય અને વિજય શેખર શર્માની વાત ન થાય એવું તો બને જ નહીં. પેટીએમ પેમેન્ટ બેંકની તો RBIએ ફેંટ ઝાલી જ છે પણ પેટીએમ એક કંપની તરીકે પણ હવે લોકોનો વિશ્વાસ ખોઇ બેઠી છે.

હકીકત એમ છે કે 35 કરોડ પેટીએમ વૉલેટ્સ છે અને તેમાંથી 31 કરોડ પેટીએમ વૉલેટ્સ નિષ્ક્રિય છે. એક જ પાન નંબરથી એક-બે નહીં પણ હજારો એકાઉન્ટ્સ લિંક કરાયેલા હોવાના કિસ્સા છે. લાખો એકાઉન્ટમાં કોઈ કેવાયસી – નો યોર કસ્ટમર – ગ્રાહકની પ્રાથમિક વિગતો જ નથી. તમને તો ખબર હશે કે બૅંકમાં ખાતું ખોલાવીએ એટલે કેવાયસી કર્યા વિના એક પાંદડું ય ન હલે પણ પેટીએમ જેણે એક વર્ચ્યુઅલ બૅંક ખડી કરેલી એમને આવું બધું કરવાની પડી જ નહોતી. કેવાયસી કરવાનો કંટાળો આવતો હશે પણ જો કેવાયસી ન કરેલું હોય તો કોઈપણ ખાતાનો ઉપયોગ કરીને મની લોન્ડરિંગ, કાળાં નાણાંનો વહેવાર થઇ જ શકે છે. કેવાયસીના એન્ટી મની લોન્ડરિંગ નિયમો હોય છે તેને પણ પેટીએમે વખારે નાખ્યા. વળી RBI જ્યારે ભૂલ કરી હોવાનું સ્વીકારીને ભૂલ સુધારવા વાળો રિપોર્ટ માગ્યો – કમ્પ્લાયન્સ રિપોર્ટ ત્યારે પેટીએમે એમાં ય ગપગોળા ચલાવ્યા. વળી પરિસ્થિતિ સંગીન ત્યારે બની કે વિજય શેખર શર્માના જે બીજા બિઝનેસ હતા, જે બીજી કંપનીઓ હતી – ફાઇનાન્શિયલ અને બિન-ફાઇનાન્શિયલ તે બધી ય આ પેટીએમ બૅંક સાથે જોડાયેલી હતી અને આ તો બહુ મોટો નિયમ ભંગ છે. બૅંક ચલાવવા બેઠા હોઇએ અને લોકોનો વિશ્વાસ સાચવવાનો હોય ત્યારે પાનના ગલ્લે ચાલતા વહેવારોની માફક કામ ન થઇ શકે. RBIS 31 જાન્યુઆરી 2024ના રોજ પેટીએમ પેમેન્ટ બૅંકને ચેતવણી આપી કે હવે તમે બૅંક તરીકે કોઇપણ લેવડ-દેવડ નહીં કરી શકો, નવા ગ્રાહકો નહીં ઉમેરી શકો અને 29 ફેબ્રુઆરી પછી કોઇ નવી ડિપોઝિટ કે બૅંક ટ્રાન્ઝેક્શન્સ, વૉલેટ ટોપ અપ, બિલ ટ્રાન્ઝેકશન્સ પણ સદંતર બંધ કરી દેવા. RBIએ પેટીએમનું બૅંકિગ લાઇન્સ જ રદ્દ કરી દેશે, ઝૂંટવી દેશે એવું થવાની પણ પૂરેપૂરી શક્યતા છે. અત્યારે RBI ચાહે છે કે લોકો પોતાના પૈસા પેટીએમમાંથી કાઢી લે.

પેટીએમ બૅંક શરૂ તો બહુ જોરશોરથી થઇ પણ નિયમ ભંગ, ડેટા બ્રીચ, છેતરપીંડીની શક્યતા, પારદર્શિતાનો અભાવ આ બધા લખ્ખણ બહુ જલદી સપાટી પર આવી ગયા. પેટીએમ બૅંક અસ્તિત્વમાં આવી તેના એક વર્ષમાં 2018માં જે RBIએ પેટીએમનો લાયસન્સિંગની શરતો ન અનુસરવા અંગે કાન આમળી નવી કામગીરી પર પ્રતિબંધ મુકવા કહ્યું પણ પેટીએમ વાળાએ ત્યારે માફી માગીને, હવે પછી આવું નહીં થાય વાળી કરીને વાત વાળી લીધી પણ 2021ના ઑક્ટોબરમાં પેટીએમ બૅંકે આપેલી ખોટી માહિતીને પગલે RBIએ તેમની પર એક કરોડના દંડ ફટકાર્યો પણ છતાં ય અળવીતરા છોકરાંની જેમ પેટીએમ બૅંકનું રેઢિયાળ ખાતું ચાલુ રહ્યું. પેટીએમ બૅંકના સર્વર જ્યાં છે ત્યાં જ પેરન્ટ કંપનીના બીજા 197 એકમ પણ છે, આ સર્વર શેરિંગ એટલે છેતરપીંડીની પૂરેપૂરી શક્યતાઓ. માર્ચ 2022માં ફરી RBIએ પેટીએમને ચેતવણી આપી, ઑડિટ કરાવ્યું પણ તો ય કોઇ ગંભીર પગલાં ન લેવાયા અને ઑક્ટોબર 2023માં RBIએ ફરી પેટીએમ બેંક પર 5.39 કરોડનો દંડ ફટકાર્યો. પેટીએમ બૅંક માળું કંઇક કરતી જ નહોતી એમ કહીએ તો ચાલે, કોઇ પ્રકારનું મોનિટરીંગ થતું જ નહોતું. નિયમોથી પર જઇને કરોડોની લેવડદેવડ પણ પેટીએમ બૅંકમાં થતી હતી, તેના બેનિફિશ્યરી માલિકો કોણ હતા તેની પણ ચોખવટ નહોતી, પેઆઉટ ટ્રાન્ઝેક્શન્સ પર કોઈ નિયંત્રણો નહોતા. ફરી વાર દંડ ફટકારવામાં આવ્યો પણ પેટીએમ પેમેન્ટ બૅંકના લોકોને કોઈ ફેર પડ્યો નહીં. પેટીએમએ મની લોન્ડરિંગ કર્યું છે એવું કોઇ નથી કહેતું પણ એમ તો થઇ જ શકે કે પેટીએમના નિષ્ક્રિય એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને કોઈને કોઈનો આર્થિક છેતરપીંડી કરી જ શકે છે. RBI પણ ક્યાં સુધી માફ કરે? વિજય શેખર વર્માની આ દાદાગીરી હતી, આ તેમનો અહમ હતો કે આપણે તો ફિનટેકના ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો છે આપણને કોણ જ કંઇ કરી શકવાનું છે?

પેટીએમની બૅંક ચલાવવાનો મોહ હવે પૂરો થઇ ગયો. સામાન્ય માણસે એ સાચવવાનું કે પેટીએમ વૉલેટમાં જેટલા પૈસા છે એ 29મી ફેબ્રુઆરીમાં વાપરી લેવા કારણ કે પછી એ વૉલેટની કામગીરી બંધ થઇ જશે. પેટીએમની વહારે કોઈ બીજી બૅંક નહીં આવે તો આ વૉલેટ્સ ગયા ખાતે. વળી જે દુકાનદારો પેટીએમ મર્ચન્ટ્સ છે તેમણે બીજા પેમેન્ટ ગેટવેઝની મદદ લેવી પડશે અને RBI તો આ નાના-મોટા વેપારીઓને મદદ કરી જ રહી છે.

પેટીએમની વહારે કોઇ નહીં આવે એટલે પેટીએમ તો પતી ગયું કારણ કે જે રીતે યસ બૅંકને બચાવવા સહાર પૂરી પડાઇ હતી એવું આ મામલે થાય એવું લાગતું નથી. વિજય શેખર શર્માએ આ બધા ગોટાળા પછી જે ટ્વીટ કર્યું એમાં ખાલી સારી સારી વાતો કરી છે એમ જ લાગે છે.

આવું બાઇજુ રવીન્દ્રન અને અશ્નિર ગ્રોવરના કિસ્સામાં બન્યું છે. તેમને લોકોએ ખૂબ માથે ચઢાવ્યા અને પછી એ સાવ તળિયે જઇને બેઠા. આ બધાં જેટલી ઝડપથી ઉપર ગયાં એટલી જ ઝડપથી નીચે પણ આવી ગયા. પોતાની જાતને ભગવાન માનવા બેઠેલાઓને આપણે પણ માથે બેસાડ્યા અને પછી એ બધા ફાટી ફાટીને ધુમાડે ગયા. ભારતમાં પહેલાં પણ બૅંકો બેસી પડી છે, વિજય માલ્યા જેવા ઘણા નંગ પણ પાક્યા જેમણે આપણી બૅંકિંગ સિસ્ટમના ગોટાળા પણ જાહેર કર્યા. કશું બહુ ગાજતું હોય ત્યારે તેના મોહમાં ન આવી જવું પણ સવાલ કરવો અને ન કરવો હોય તો સવાલ કરનારાઓને એક વાર સાંભળવા તો ખરાં જ. આપણે ત્યાં ફડચામાં ગયેલી બૅંકોના અને ફાઇનાન્શિયલ ફ્રોડ્ઝના બહુ કિસ્સા છે, આ માત્ર થોડો ટેક સેવી ફડચો હતો, એટલો જ ફરક છે.

બાય ધી વેઃ

જીઓ ફાઇનાન્સિયલ સર્વિસીઝ અને એચ.ડી.એફ.સી. બૅંક સાથે મળીને પેટીએમ વૉલેટ બિઝનેસને હસ્તગત કરવાના નથી, એ પહેલી ચોખવટ કારણ કે આ અફવા માર્કેટમાં આવી અને શૅર માર્કેટમાં તેની અસર તરત જ દેખાઇ. ફિનટૅકને બબલ કહેનારાઓને માથે માછલાં ધોનારાઓને આજે સમજાયું હશે કે અંતે આ તો એક ક્યૂઆર કોડ જ છે, પેમેન્ટ સિસ્ટમને સરળ બનાવે છે, એમાં બીજું કંઇ છે જ નહીં. નોન બેંકિંગ ફાઇનાન્સ કોર્પોરેશન કંઇ નવી વાત નથી, ક્યૂઆર કોડથી પૈસા ચૂકવાતાં હોય એને અર્થતંત્રની ક્રાંતિ ગણાવીને ખુશ થવાની કોઇ જરૂર હતી જ નહીં. એક માહિતી અનુસાર ડિમોનેટાઇઝેશનના સાત વર્ષ પછી આજે 33 લાખ કરોડ રૂપિયા સર્ક્યુલેશનમાં છે, જે એ વખત કરતાં બમણાં છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ હોય, જેમ રોકડાથી વહેવાર થાય એમ જ યુ.પી.આઇ.થી વહેવાર થાય. આ એક સવલત છે આ કોઈ એવી ઘટના નથી જેનાથી અર્થતંત્રની કાયા કલ્પ થઇ જાય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ફેબ્રુઆરી 2024

Loading

સંઘની નીતિ : સમવિચારી પક્ષોને રસ્તામાંથી દૂર કરવા સંઘર્ષ નહીં કરવાનો, ગળી જવાના

રમેશ ઓઝા|Opinion - Opinion|11 February 2024

રમેશ ઓઝા

ગયા સપ્તાહના લેખમાં કહ્યું હતું એમ પહેલી સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પક્ષને ૧૦.૫૯ ટકા મત અને લોકસભાની ૧૨ બેઠક મળી હતી. એ સમયે દેશમાં કૂલ ૧૭,૩૨,૧૨,૩૪૩ નોંધાયેલા મતદાતા હતા, જેમાંથી ૪૪.૮૭ ટકા એટલે કે ૧૦,૫૯,૫૦,૦૮૩ મતદાતાઓએ મતદાન કર્યું હતું. એમાંથી કાઁગ્રેસને ૪,૭૬,૬૫,૯૫૧ મત મળ્યા હતા અને સમાજવાદી પક્ષને ૧,૧૨,૧૬,૭૧૯ મત મળ્યા હતા. કૂલ મતદાનમાં ૧૦.૫૯ ટકા પણ કાઁગ્રેસને જેટલા મત મળ્યા હતા એના લગભગ ચોથા ભાગના. સો મત કાઁગ્રેસને મળ્યા તો ૨૫ મત સમાજવાદી પક્ષને મળ્યા. આ સિવાય આચાર્ય કૃપાલાનીએ પણ કાઁગ્રેસમાંથી અલગ થઈ કિસાન મજદૂર પ્રજા પાર્ટી નામનો નવો પક્ષ રચ્યો હતો અને તેને ૫.૭૯ ટકા મત, લોકસભાની નવ બેઠકો અને કૂલ ૬૧,૩૫,૯૭૮ મત મળ્યા હતા. આચાર્ય કૃપાલાની ચુસ્ત ગાંધીવાદી હતા, ભારતની આઝાદી વખતે કાઁગ્રેસના પ્રમુખ હતા એટલે વિચારોમાં તેમને પણ ભારતમાં વિકસેલી ભારતની કલ્પના સ્વીકાર્ય હતી. સમાજવાદી પક્ષની માફક કૃપાલાનીનો પક્ષ પણ પ્રગતિશીલ ડાબેરી (લેફ્ટ ઓફ ધ સેન્ટર) વિચાર ધરાવતો હતો. આ બન્ને પક્ષોના મતોનો સરવાળો કરવામાં આવે તો બન્નેને મળીને ૧૬ ટકા મત, લોકસભાની ૨૧ બેઠકો અને કાઁગ્રેસની તુલનામાં લગભગ ૪૦ ટકા મત મળ્યા હતા. મત અને બેઠકના અનુક્રમમાં સમાજવાદી પક્ષ બીજા ક્રમે અને કિસાન મજદૂર પ્રજા પાર્ટી ત્રીજા ક્રમે હતા.

ભારતીય જનસંઘને પહેલી સામાન્ય ચૂંટણીમાં ૩.૦૬ ટકા મત અને ૩ બેઠકો મળી હતી. કુલ મળીને માત્ર ૩૨,૪૬,૩૬૧ મત મળ્યા હતા અને જો કાઁગ્રેસને મળેલા મતો સાથે તુલના કરવામાં આવે તો આઠ ટકા મત મળ્યા હત્યા. કાઁગ્રેસને સો મત મળ્યા હતા તો જનસંઘને આઠ મત મળ્યા હતા. આ સિવાય હિંદુ કોમવાદી રાજકારણ કરનારા બીજા બે પક્ષ પણ મેદાનમાં હતા. એક હતો કરપાત્રીજી મહારાજનો રામરાજ્ય પરિષદ અને બીજો હિંદુ મહાસભા. રામરાજ્ય પરિષદને ૧.૯૭ ટકા મત અને લોકસભાની ત્રણ બેઠકો મળી હતી. કુલ ૨૦,૯૧,૮૯૮ મત તેને મળ્યા હતા. હિંદુ મહાસભાને ૦.૯૫ ટકા મત અને લોકસભાની ચાર બેઠકો મળી હતી. કુલ મતોમાં હિંદુ મહાસભાનો હિસ્સો ૧૦,૦૩,૦૩૪નો હતો. આનો અર્થ એ થયો કે હિંદુ કોમવાદી રાજકારણ કરનારા ત્રણ પક્ષોને લોકસભાની કુલ ૧૦ બેઠકો અને ૬ ટકા મત મળ્યા હતા. ત્રણેય પક્ષોના કુલ મત ૬૨ લાખ થતા હતા, જે કાઁગ્રેસને મળેલા પોણા પાંચ કરોડ અને સમાજવાદી પક્ષ તેમ જ  કિસાન મજદૂર પ્રજા પાર્ટીને મળેલા પોણા બે કરોડ મતથી ક્યાં ય પાછળ હતા. ત્રણ હિન્દુત્વવાદી પક્ષોને જેટલા મત મળ્યા હતા એટલા તો આચાર્ય કૃપાલાનીના કિસાન મજદૂર પ્રજા પાર્ટીને એકલીને મળ્યા હતા.

હવે આ પરિણામોનું થોડું પૃથક્કરણ કરી જોઈએ. પહેલી સામાન્ય ચૂંટણીમાં દેશને આઝાદી અપાવનારી કાઁગ્રેસ પાર્ટીનો પરાજય થાય એ તો શક્ય જ નહોતું. કાઁગ્રેસને લોકસભાની કુલ ૪૯૯ બેઠકોમાંથી ૩૬૪ બેઠક અને ૪૪.૯૯ ટકા મત મળ્યા હતા. આટલા મત અને બેઠકો ન મળે તો જ નવાઈ! બીજું હજુ બે વરસ પહેલા કાઁગ્રેસમાંથી બહાર પડેલા સમાજવાદીઓને અને આચાર્ય કૃપાલાનીને કુલ ૧૬ ટકા મત મળ્યા હતા, એ કોઈ હતાશ થવા જેવી વાત નહોતી. કાઁગ્રેસને મળેલા પોણા પાંચ કરોડ સામે સમાજવાદીઓ અને આચાર્ય કૃપાલાની બન્નેને મળીને જે પોણા બે કરોડ મત મળ્યા હતા, એ કોઈ ઓછા તો ન જ કહેવાય. આમ છતાં ય સમાજવાદીઓ હતાશ થઈ ગયા. તેમને એમ હતું કે લોકસભામાં કાઁગ્રેસ અને સમાજવાદી પક્ષ વચ્ચે ઘણું ઓછું અંતર હશે. અને એ પછી કાઁગ્રેસના વિકલ્પ તરીકે સમાજવાદી પક્ષની બાંધણી કરવાની ડૉ. રામ મનોહર લોહિયાની થિયરીનું બાષ્પીભવન થઈ ગયું.

આ બાજુ ત્રણ હિંદુ કોમવાદી પક્ષોને ઘણાં ઓછા મત મળ્યા હતા અને કાઁગ્રેસની તુલનામાં તો ક્યાં ય પાછળ હતા. કાઁગ્રેસને પોણા પાંચ કરોડ અને હિંદુ કોમવાદી પક્ષોને ૬૨ લાખ. આ ત્રણ પક્ષોમાં મહત્ત્વનો પક્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્થાપિત ભારતીય જનસંઘ હતો અને એ હકીકત બધા જાણતા હતા. એમાં શ્યામા પ્રસાદ મુખર્જીએ હિંદુ મહાસભા છોડીને જનસંઘની સ્થાપના કરી એ પછી હિંદુ મહાસભા હજુ વધુ દુર્બળ બની હતી. કરપાત્રીજી મહારાજ રૂઢિચુસ્ત સનાતની હતા એટલે તેમની પહોંચ મર્યાદિત હતી. જનસંઘ લાંબી રેસનો ઘોડો હતો અને લાંબી રેસનો ઘોડો બનવા માટે જે ધીરજ હોવી જોઈએ એ સંઘમાં હતી. કાઁગ્રેસ અને સમાજવાદીઓ કરતાં ઘણાં પાછળ હોવા છતાં તેઓ હતાશ નહોતા થયા. સૌ પહેલા હિંદુ મહાસભા અને રામરાજ્ય પરિષદને સંઘના નેતાઓએ રસ્તામાંથી દૂર કર્યા હતા. અત્યંત સિફતથી સીધા ઘર્ષણ વિના. સંઘની નીતિ છે; સમવિચારી પક્ષોને રસ્તામાંથી દૂર કરવા સંઘર્ષ નહીં કરવાનો, ગળી જવાના. એ પછી નિસ્તેજ સ્વરૂપમાં અવશેષ રહે તો ભલે રહે. હિંદુ મહાસભા અવશેષરૂપે હજુ પણ છે.

પણ સમાજવાદીઓને પરિણામોનું આકલન કરવામાં નિરાશા દેખાઈ, આશા ન દેખાઈ. તેઓ કાઁગ્રેસના દેખીતા વિકલ્પ હતા અને મતદાતાઓએ તેમને વિકલ્પનું સ્થાન પણ આપ્યું હતું. સાવ ધરમૂળથી રીજેક્ટ નહોતા કર્યા. ઊલટું તેમના ધ્યાનમાં એ પણ આવવું જોઈતું હતું કે દેશના ૬૨ મતદાતાઓ ગાંધીજીની હત્યા પછી પણ કોમવાદી વલણ ધરાવે છે. આ સિવાય જેમણે મતદાન નહીં કર્યું હોય તેવા હિંદુ વધારાના. એ સમયે દેશમાં હિંદુઓની વસ્તી ૩૦ કરોડની હતી અને એમાંથી એક કરોડ હિંદુઓ કોમવાદી હોય તો એમાં સાવધાન થવા જેવું હતું. ટૂંકમાં સમાજવાદીઓ પાસે જતે દિવસે કાઁગ્રેસનો વિકલ્પ બનવાનો અવસર હતો અને દેશને હિંદુ કોમવાદથી બચાવવાનું દાયિત્વ હતું, પણ તેઓ તો નિરાશ થઈ ગયા હતા.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ફેબ્રુઆરી 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—234

દીપક મહેતા|Opinion - Opinion|10 February 2024

મુંબઈના કોઈ રસ્તાની ધારે 

સમી સાંજના શમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે                    

ઉમાશંકર જોશીએ ક્યાંક એક કિસ્સો નોંધ્યો છે. એક દિવસ યુનિવર્સિટીથી ઘરે જવા નીકળ્યા અને રસ્તામાં ચંપલ તૂટી. સારે નસીબે થોડે દૂર ઝાડ નીચે એક ઘરડો મોચી બેઠો હતો. તેમની પાસે જઈને ચંપલ રિપેર કરવા આપી. રિપેર થઈ ગઈ એટલે મોચી કહે : ‘લો સાહેબ! તમારી ચંપલ.’ ઉમાશંકર ઉવાચ : ‘ભાઈ! મને ‘સાહેબ’ કહેવાની જરૂર નથી. તમે તો ઉંમરમાં મારાથી મોટા છો.’ મોચીએ તરત જવાબ આપ્યો: ‘તમને કોણ કહે છે? હું તો તમારી અંદર જે ‘સાહેબ’ બેઠો છે તેને કહું છું.’ આ સાંભળીને ઉમાશંકર અવાચક. પણ આજે આ વાત યાદ આવવાનું કારણ? કારણ આજે મિસિસ પોસ્ટાન્સ સાથે બજારમાં ફરતાં સૌથી પહેલી વાત કરવી છે બૂટ-ચંપલની દુકાનની. 

૧૯મી સદીમાં બનેલો હાથી દાંતના નકશીકામવાળો પટારો 

એ જમાનાના મુંબઈમાં બૂટ-ચંપલ વેચતી દુકાનો બહુ ઓછી. અને તૂટેલાં પગરખાં સમાં કરી આપનાર મોચી તો એનાથી ય ઓછા. કારણ? મિસિસ પોસ્ટાન્સના કહેવા પ્રમાણે ચમાર, મોચી, વગેરે ‘અસ્પૃશ્ય’ વર્ગના ગણાય અને એટલે ‘ઉજળિયાત’ વર્ગના લોકો ન તેમની પાસેથી કશું ખરીદે કે ન કશું સમુંનમું કરાવે. બલકે ઘણા લોકો તો કાં પગમાં લાકડાની કે શણ જેવા જાડા કપડાની સપાટ પહેરે, કે પછી ઉઘાડે પગે જ બહાર પણ ચાલે. મંદિરોમાં તો ઉઘાડે પગે જ દાખલ થવું પડે. હા, વિદેશીઓ માટે બજારમાં બે-ચાર દુકાનો ખરી. મોટે ભાગે બંગાળી કારીગરોની. બારેક શિલિંગમાં ત્યાંથી એક જોડ મળી જાય ખરી, પણ કામ ઘણું કાચું. એ લોકો પરદેશી પગરખાંનું અનુકરણ કરવાની મહેનત કરે, પણ તેમાં ખાસ સફળ થાય નહિ. અને એમાં ય પરદેશી સ્ત્રીઓ માટે તો પગરખાંની મુશ્કેલી સૌથી વધુ. ‘જેક્સન’ જેવું અંગ્રેજી નામ ધરાવતી એક દુકાન બજારમાં છે ખરી. એ તમને એકાદ પરદેશી જૂનું કેટલોગ બતાવીને તેમાંથી ડિઝાઈન પસંદ કરવા કહે. તમે પસંદ કરો. બે ચાર દિવસ પછી લેવા જાવ અને જુઓ તો પેલા કેટલોગમાંની ડિઝાઈન અને તમારી સામે જે જોડી મૂકાય તેની વચ્ચે આસમાન-જમીનનો ફરક હોય! અને અહીંના ચમારો ચામડાને પૂરતું કમાવતા જ નથી. એટલે બે-પાંચ મહિનામાં તો તમારાં પગરખાં ચીંથરા જેવાં થઈ જાય. 

તો બીજી બાજુ પરદેશીઓને અચરજ થાય એવી વસ્તુઓ પણ મુંબઈની બજારમાં વેચાય છે. આવી એક તે હાથી દાંતની કોતરણી કામ કરેલી વસ્તુઓ. સફેદ બાસ્તા જેવા હાથી દાંતની પટ્ટીઓ પર જે રીતે રંગબેરંગી કપચી કામ કરવામાં આવે છે તે ખરેખર ખૂબ સુંદર હોય છે. ગ્રેટ બ્રિટનથી અહીં આવતા ઘણાખરા લોકો આ જાતની એક-બે વસ્તુ તો પોતાની સાથે લઈ જ જાય છે. એટલે હવે યરપમાં પણ આ સુંદર નકશીકામ ઘણું જાણીતું થયું છે. આવું કામ કરેલા નાના ડબ્બાથી માંડીને ટેબલ-ખુરસી સુધીની વસ્તુઓ અહીં મળે છે. કેટલીક વસ્તુઓની તો આખેઆખી સપાટી જ આ રીતે બનાવેલી હોય છે. તો કેટલીકમાં માત્ર બોર્ડર તરીકે જ તે જોવા મળે છે. વળી કેટલીક વાર તેમાં ચાંદીનો પણ ઉપયોગ થાય છે. આ કળા મૂળ તો સિંધ પ્રદેશની છે, પણ હવે મુંબઈમાં તેના કારીગરો ઘણા જોવા મળે છે. અને કારીગરો દુકાનમાં બેસીને જ કામ કરતાં હોય છે. એટલે તમારી જરૂરિયાત કે રુચિ પ્રમાણેની વસ્તુ પણ બનાવી આપે છે. અને મહેનત મજૂરીની સરખામણીમાં આ વસ્તુઓ પ્રમાણમાં સસ્તામાં મળી રહે છે. હા, ભાવ-તાલ કરવાની આવડત તમારામાં હોવી જોઈએ. અને જો તમારે આવી ઘણી બધી વસ્તુ ખરીદવી હોય તો કારીગર તમારે ઘરે આવીને તમારી જરૂરિયાત પ્રમાણે બનાવી આપે એવી સગવડ પણ થઈ શકે છે. 

પણ મુંબઈની બજારમાં સૌથી વધુ નફાકારક ધંધો કયો? તાડી વેચવાનો. બજારમાં દરેક છઠ્ઠી દુકાન તાડીની જોવા મળે છે. આવી દુકાનોની સંખ્યા એટલી તો વધી ગઈ છે કે તે અંગે હવે સરકારે કાયદો કરવો પડ્યો છે. તે પ્રમાણે તાડીની બે દુકાનો વચ્ચે અમુક અંતર રાખવાનું ફરજિયાત છે. જેમની ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે તેમનું કહેવું છે કે તાડીના વધતા જતા વેચાણને કારણે નાના ગુનાઓનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. 

તાડ પર ચડતો ભંડારી

અલબત્ત, સૂર્યોદય પહેલાં આ રસ – જેને અહીંના લોકો ‘નીરો’ કહે છે – ઠંડો અને સ્ફૂર્તિદાયક હોય છે. પણ સૂર્યોદય પછી તેમાં આથો આવતો જાય છે અને બને છે તાડી. અને આ તાડી પીધા પછી માણસ છકી જાય છે. અને અહીંના લોકો સોજ્જો મજાનો નીરો પીવાને બદલે નુકશાનકારક તાડી જ પીવાનું પસંદ કરે છે! તાડી બનાવવાનું કામ મુંબઈમાં જોરશોરથી ચાલે છે કારણ અહીં ઠેર ઠેર તાડનાં ઝુંડનાં ઝુંડ જોવા મળે છે. અરે! અહીં તો એક ગલ્લીનું નામ જ છે તાડવાડી! મુંબઈની સમથળ જમીન પર ડાંગરની ખેતી થાય છે, જ્યારે જરા ઉબડખાબડ જમીન પર તાડ અને નાળિયેરીની વાડીઓ જોવા મળે છે. આવી વાડીવાળાઓએ ઝાડ દીઠ સરકારને વરસે એક રૂપિયાનો વેરો ભરવો પડે છે. પણ આ ઝાડની પછીથી ઝાઝી સારસંભાળ રાખવી પડતી નથી, અને ઝાડ લાંબા વખત સુધી આવકનું સાધન બની રહે છે. એટલે અહીંના લોકો આવી વાડીઓ પસંદ કરે છે. આમ તો તાડના હર કોઈ ઝાડમાંથી તાડી મળી રહે, પણ પંખા આકારનાં ઝાડની તાડી સૌથી વધુ સારી – એટલે કે સૌથી વધુ માદક – હોવાનું મનાય છે. 

તાડીની દુકાન 

તાડીના ધંધામાં મોટે ભાગે ભંડારીઓની બોલબાલા છે. માછીમારોની જેમ આ ભંડારીઓ પણ મુંબઈના મૂળ વતનીઓ હોવાનું મનાય છે. તો કેટલાક કહે છે કે ના. તેઓ મુંબઈ નજીકના દરિયા કિનારેથી અહીં આવીને વસ્યા. વંશપરંપરાગત રીતે તેમનામાં તાડનાં ઊંચાં ઊંચાં ઝાડ પર ઝડપભેર ચડી જવાની કૂનેહ હોય છે. આ ઝાડના થડ પર કુદરતી રીતે જ જે ખાંચા ખાંચા હોય છે તેનો ઉપયોગ કરીને અને સલામતી માટે કમ્મરે દોરડું બાંધીને તે ઝાડની ટોચ સુધી પહોંચે છે. મોટા ભાગના ભંડારીઓ માથે કિરમજી રંગની ટોપી પહેરે છે કે એ જ રંગનું કપડું વીંટાળે છે. ગળામાં કપડાનો કટકો બાંધેલો હોય છે, જે સૂરજનાં આકરાં કિરણોથી તેને બચાવે છે. શરીરનો નીચેનો ભાગ ચામડાના હાફ પેન્ટ જેવા કપડાથી ઢંકાયેલો હોય છે. તેના પર વીંટાળેલા દોરડામાં જરૂરી સાધનો ખોસેલાં હોય છે. ચામડાના પટ્ટા સાથે જોડેલા દોરડાને બીજે છેડે હુક હોય છે જેને તે કુશળતાથી ઝાડના થડમાં ભરાવી દે છે, જેથી તેને નીચે પડવાની બીક ન રહે. તાડનાં ઝાડની ટોચ પરથી જે તાડી મળે તે સૌથી સારી મનાય છે. એટલે તે છેક ટોચ સુધી જઈને થડમાં કાપા પાડે છે અને તાડી નીકળવા લાગે કે તરત માટીની માટલી બાંધી દે છે. રોજ સવાર-સાંજ બે વખત તે આ રીતે ઝાડ પર ચડે છે. તાડીથી ભરાઈ ગયેલી માટલી ઉતારી લે છે અને બીજી ખાલી માટલી તેની જગ્યાએ બાંધી દે છે.  

ચારસો- પાંચસો ઝાડવાળી તાડની વાડીનું દૃષ્ય મનોરમ હોય છે. દરેક ઝાડને મથાળે લાલ માટીની માટલી બાંધી હોય છે જે સૂરજના તડકામાં ચમકતી દેખાય છે. ભંડારીઓ આંખના પલકારામાં એક ઝાડ પરથી બીજા ઝાડ પર વાંદરાની જેમ કૂદી કૂદીને પહોંચી જાય છે. તો બીજા કેટલાક ઝાડ નીચે બેસીને પોતાના છરા વગેરેને ધાર કાઢતા હોય છે કે દોરડાની મજબૂતી તપાસતા હોય છે. નહિ નહિ તો ય પચાસ ફૂટ ઊંચા ઝાડ પર સડસડાટ ચડી જવું એ કાંઈ ખાવાના ખેલ નથી. એમાં જીવનું જોખમ પણ ખરું. પણ અનુભવી ભંડારીઓ તો કશી પરવા કર્યા વગર સડસડાટ ઉપર ચડી જાય છે. અને આ કાંઈ એક ઝાડ પર ચડવાની વાત નથી. એક પછી એક કેટલાંયે ઝાડ પર રોજ સવાર-સાંજ ચડે છે ને ઊતરે છે. ઝાડની ટોચ પર પહોંચ્યા પછી આસપાસનું જે દૃષ્ય દેખાય તે તો ઘણું મનોરમ હોય જ. પણ ઝાડ પર ચડેલા ભંડારીની તેજ નજર નીચે ભોંય પર જે બનતું હોય છે તે પણ નોંધતી રહે છે. એમની તીક્ષ્ણ નજર કશુંક પણ અસાધારણ દેખાય તો આપોઆપ તેની નોંધ લઈ લે છે. અંધારાના ઓળા ઊતરે પછી તાડની વાડીમાંથી પસાર થતા રાહદારીઓને ચોર-લૂંટારાનો ભો રહે છે. સોના-ચાંદીનાં ઘરેણાં કે રોકડ રકમ, જે હાથ આવે તે પડાવી લેવા માટે વટેમારગુને ઢોર માર મારતાં આ લૂંટારા અચકાતા નથી. પણ એમને ખબર હોતી નથી કે તેમનો આ કાળો કામો કોઈક ઝાડની ટોચ પરથી એકાદ ભંડારી જોઈ ગયો છે. આવા કિસ્સામાં ઘણી વાર માત્ર એકાદ ભંડારીની જુબાનીને પ્રતાપે ગુનેગાર જેલના સળિયા ગણતો થઈ જાય છે. 

સંધ્યા સમયે તાડની વાડી 

તાડ, નાળિયેરી, ખજૂરી, વગેરેને આપણે તો ‘પામ ટ્રી’ જેવા એક જ નામે ઓળખીએ છીએ. પણ એ દરેકને પોતાનો આગવો દેખાવ, આગવો પ્રભાવ હોય છે. આવી કેટલીક વાડીઓમાં સ્થાનિક ધનિકોના નાના બંગલા પણ આવેલા હોય છે. જો કે અહીં તેઓ કાયમ માટે રહેતા નથી. પણ શનિ-રવિમાં કે વાર તહેવારે આરામ ફરમાવવા અહીં આવે છે. તો વળી કેટલાક લોકો લગ્નેતર સંબંધો માટે આવા બંગલાનો ઉપયોગ કરતા હોય છે. જો કે તેમણે ભંડારીની બાજ નજરથી સતત બચતા રહેવું પડે છે. 

સાંજ ઢળવા લાગે ત્યારે લોકો ઝડપભેર પોતપોતાના ઘર તરફ જવા નીકળી પડે છે અને શહેરના રસ્તા પર ભીડ થઈ જાય છે. બજારમાંના લોકો હવે રસ્તા પર ઠલવાતા જાય છે, અને બજાર ખાલી થતી જાય છે. માલ-સામાન લઈને જતાં બળદ ગાડાંનાં કિચુડ કિચુડ કરતાં પૈડાં ધૂળની નાની નાની ડમરી ઉડાડતા જાય છે. એ ડમરી પર પડતાં આથમતા સૂરજનાં કિરણો કોઈક જૂદું જ મનોરમ દૃષ્ય ખડું કરી દે છે. અને એ જ વખતે રસ્તાની ધારે આવેલી કોઈ દરગાહ પાસેથી લોબાનના ધૂપની સુવાસ વાતાવરણમાં ફેલાતી રહે છે. 

અંગ્રેજ બાનુની આ વાત વાંચતાં આપણને તો કવિ વેણીભાઈ પુરોહિતની પંક્તિઓ યાદ આવે :

સમી સાંજના શમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે.

વહાલાં જેને જાય વછોડી, એ હૈયું ગુપચૂપ જલે છે.

આવતે અઠવાડિયે આ અંગ્રેજ બાનુની સાથે જશું માટુંગા.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 10 ફેબ્રુઆરી 2024)

Loading

...102030...666667668669...680690700...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved