Opinion Magazine
Number of visits: 9665356
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યોગેન્દ્ર યાદવનું ચૂંટણી આકલન અલગ કેમ પડ્યું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|23 June 2024

સર્વે કરનારાઓએ અદના આદમીના મન કરતાં મનને પ્રભાવિત કરનારાં પરિબળો પર તેમણે વધારે ભરોસો રાખ્યો હતો અને છેતરાયા હતા

રમેશ ઓઝા

શા માટે પોતાના પંડ સિવાય કોઈ સાધન નહીં ધરાવનારા યોગેન્દ્ર યાદવ લોકોનો મૂડ જાણવામાં અને ચૂંટણીનાં પરિણામ કઈ રીતનાં આવી શકે એનો ક્યાસ કાઢવામાં સફળ નીવડ્યા અને જેમની પાસે બેશુમાર સાધનો હતાં અને પ્રોફેશનલ એજન્સીઓ હતી એ નિષ્ફળ નીવડ્યા?

આ સવાલ મહત્ત્વનો છે અને તેના વિષે ચર્ચા થવી જોઈએ. યોગેન્દ્ર યાદવે ચૂંટણીનો પહેલો  રાઉન્ડ પણ નહોતો થયો એ પહેલાંથી કહેવાનું શરૂ કર્યું હતું કે મોટી મોટી ટી.વી. ચેનલો જે કહે છે એનાં કરતાં મને કાંઈક જુદું નજરે પડી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે લોકોનો મૂડ જાણવો એ કોઈ રોકેટ સાયન્સ નથી. તમે પણ એ કરી શકો છો. તમે કોઈ ગામડામાં જાવ, ત્યાં ચાવાળાની દુકાને સાવ સામાન્ય માણસ સાથે (સામાન્ય માણસ સાથે, સ્થાનિક પત્રકાર, પંચાયતનો પદાધિકારી કે પક્ષનો કાર્યકર્તા નહીં) સામાન્ય વટેમાર્ગુ બનીને વાત કરો. પંદરેક મિનિટ વાત કરશો તો ત્યાં સુધીમાં એ માણસ શંકાના આવરણો છોડીને તેનાં મૂળમાં આવી જશે. અને પછી પૂછો કે ગયા વખતે તમે કોને મત આપ્યો હતો અને આ વખતે કોને મત આપવાના છો. જો ફરી એકવાર એ જ પક્ષને મત આપવાના છો તો શા કારણે અને મત બદલવાના છો તો શા કારણે? જો તમારી પાસે પાછલી ચૂંટણીઓના ડેટા હોય તો વધારે સારું અને ન હોય તો પણ કોઈ ફરક નથી પડતો.

તેમણે દેશનાં અલગ અલગ રાજ્યોમાં અંદાજે ત્રણેક હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો અને  હજારો લોકો સાથે વાત કરી હતી અને તેમાં તેમને પહેલા દિવસથી જોવા મળ્યું હતું કે સરેરાશ દસમાંથી ત્રણ મતદાતા એવા મળે છે જેમણે લોકસભાની કે વિધાનસભાની ગઈ ચૂંટણીમાં બી.જે.પી.ને મત આપ્યો હતો, પણ આ વખતે આપવાનો નથી. બીજી બાજુ ગઈ ચૂંટણીમાં બી.જે.પી. સિવાયના કોઈ પક્ષને મત આપ્યો હતો, પણ આ વખતે એ પક્ષને મત આપવાનો નથી અને બી.જે.પી.ને મત આપવો છે એમ કહેનારો કેવળ એક જ મતદાતા મળ્યો હતો. યોગેન્દ્ર યાદવ આ વાત તેમની અત્યંત સરળ શૈલીમાં એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાથી કેમેરાની સામે કહેતા હતા અને આજ સુધી કહે છે. દેશના માતબર મીડિયા છાપરે ચડીને નરેન્દ્ર મોદીના જ્વલંત વિજયની ઘોષણા કરતા હોય અને ૩૫૦ની આસપાસ બેઠકો આપતા હોય ત્યારે એમ કહેવું કે બી.જે.પી.ને સાદી બહુમતી પણ મળવી મુશ્કેલ છે તો એ માટે હિંમત જોઈએ અને પોતાની સમજ પર ભરોસો જોઈએ. યોગેન્દ્ર યાદવે તો એમ પણ કહ્યું હતું કે તમે પોતે આ રીતે લોકો સાથે વાત કરીને ખાતરી કરી લો. સાવ સરળ છે, કોઈ સાધન કે ચૂંટણી સર્વેક્ષકની વિશેષ આવડતની જરૂર નથી. તમે પોતે ચકાસી લો અને જોઈ જુએ કે મતદાતાઓ શું વિચારી રહ્યા છે.

યોગેન્દ્ર યાદવ

તો સવાલ એ છે કે એકલે પંડે જે યોગેન્દ્ર યાદવ કરી શક્યા એ કરોડો રૂપિયા ખર્ચીને પણ મીડિયા અને સર્વેક્ષણ એજન્સીઓ કેમ નહીં કરી શક્યા? વેચાઈ જઇને ખોટી હવા બનાવવા માગતા હતા એ કારણે કે પછી તેમના સર્વેક્ષણની મેથડમાં જ ખામી હતી કે પછી એવું પણ બને કે મતદાતા ડરેલો હતો, સાવધાન રહેતો હતો અને મનની વાત કહેતો નહોતો, સર્વે કરનારાઓને ગેરમાર્ગે દોરતો હતો. હકીકતમાં ૩૫૦ પારવાળા દરેક ખોટા પડ્યા એની પાછળ આ ત્રણેય કારણોએ ભાગ ભજવ્યો હતો. તેઓ અંતરાત્મા અને વ્યવસાય બન્નેને વેચીને પૈસા કમાવા માગતા હતા અને તેમાં તેમને અનુકૂળ આવે એવા ડેટા મળવા લાગ્યા. દોડવું હતું અને ઢાળ મળ્યો. યોગેન્દ્ર યાદવે કહ્યું હતું એમ મતદાતા આવરણો છોડીને પોતાનાં મૂળમાં આવે અને તમે પણ મારા જેવા એજન્ડા વિનાના સામાન્ય માણસ છો એની ખાતરી થતા પંદરેક મિનિટ લાગે. એ પછી એ પોતાના મનની વાત કરશે. આ સિવાય મતદાતાનો વિશ્વાસ સંપાદિત કરવો એ પણ આવડતનું કામ છે. એજન્સીઓ માટે સર્વે કરનારાઓ પાસે આટલો સમય નહોતો અને મતદાતાને આવરણમુક્ત કરીને તેનાં મૂળમાં લઈ જવાની આવડત પણ નહોતી. યોગેન્દ્ર યાદવે તેમની ખામીરહિત મેથડ બતાવી આપી હોવા છતાં અને હિંમતપૂર્વક કેમેરા સામે બી.જે.પી.ને ૨૪૦ બેઠકો આપતા હોવા છતાં સર્વે કરનારાઓએ હજુ એકવાર ખાતરી કરી લેવાની જહેમત નહોતી ઉઠાવી.

મતદાતાઓ ડરેલા હતા અને સાચું બોલતા નહોતા. શું ખબર જે પૂછી રહ્યો છે એ કોણ છે અને કોનો માણસ છે. તેમને એટલી જાણ હતી કે કોને મત આપશો એના જવાબમાં બી.જે.પી. કહેવામાં કોઈ જોખમ નથી, એટલે લગભગ દરેક મતદાતા બી.જે.પી. કહેતો હતો. બી.જે.પી. શાસિત રાજ્યોમાં તો ખાસ. એક્ઝીટ પોલમાં પણ આવું જ થયું હશે. કોને મત આપ્યો છે? બી.જે.પી.ને. બસ ગોદી મીડિયાને અને ગોદી પોલસ્ટરોને જયજયકાર કરવો હતો અને ડેટા મળી ગયા. તેમણે યોગેન્દ્ર યાદવની સીધી ને સટ ગળે ઉતરે એવી વાત તરફ ધ્યાન ન આપ્યું. એમાં ઓછામાં પૂરું પ્રશાંત કિશોર મેદાનમાં આવ્યા. મોટા અવાજે, આત્મવિશ્વાસ સાથે અને આગ્રહપૂર્વક બોલવાની તેમની શૈલી છે. તેઓ લોકોની નાડ પારખે છે એવી તેમની ખ્યાતિ છે. અચાનક કોઈક અકળ કારણોસર તેઓ બી.જે.પી.ના પક્ષે મેદાનમાં ઉતર્યા ત્યારે મીડિયા વધારે નિશ્ચિંત થઈ ગયા. અને હજુ એક વાત. નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચૂંટણીને હાથમાંથી જવા દે એવા માણસ નથી એટલે કાંઈક તો કરશે જ એમ પણ તેમને લાગતું હતું.

તો આનો અર્થ શું કરશો? અર્થ એ કે ગોદી મીડિયાને ભારતના નાગરિક પર ભરોસો નહોતો, મતદાતા પર ભરોસો નહોતો, પણ અન્ય પરિબળો પર ભરોસો હતો. બીજી બાજુ યોગેન્દ્ર યાદવ ભારતના નાગરિક સાથે, મતદાતા સાથે સંવાદ કરતા હતા અને તે શું વિચારે છે એ જાણવાની કોશિશ કરતા હતા. તેમને તેના પર ભરોસો હતો. અરે ભાઈ, જેનું મન જાણવું છે એ જાણો ને, બાહ્ય પરિબળો એ મનને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે એનાં આધારે મનનો કયાસ કઈ રીતે કાઢી શકાય? અને શું કામ કાઢવો જોઈએ જ્યારે હાર-જીત નક્કી કરનારો સાક્ષાત તમારી સામે ઊભો છે. ગોદી મીડિયાએ આ ભૂલ કરી હતી. અદના આદમીના મન કરતાં મનને પ્રભાવિત કરનારાં પરિબળો પર તેમણે વધારે ભરોસો રાખ્યો હતો અને છેતરાયા હતા.

અંતે છેલ્લું હાસ્ય એને કરવા મળ્યું જેમની પાસે પોતાના પંડ અને પ્રામાણિકતા સિવાય કશું જ નહોતું.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 23 જૂન 2024

Loading

“If On a Winter’s Night a Traveler” વિશે — 10

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|23 June 2024

પ્રકરણ -10 (સારસંક્ષેપ)

બીજા દેશમાં જઈને તમે – you – ઍટાગુઇટેનિયાના સીક્રેટ મિશનમાં મદદગાર થશો એ શરતે એ તમને મુક્ત કરે છે. સ્ટેટ પોલીસના આર્કાઇવ્ઝ વિભાગના ડાયરેક્ટર આર્કાદિયન પોર્ફિરિચ સાથે તમે ચા પીતા હોવ છો અને એવી રીતે ઇર્કાનિયા દેશથી તમારો છૂટકારો થાય છે. આર્કાદિયન પોર્ફિરિચ તમને સમજાવે છે કે આખી દુનિયામાં પોલીસ આ જ ધ્યેય સિદ્ધ કરવા મથતી હોય છે, અને તેથી, પ્રતિસ્પર્ધી રાષ્ટ્રોની પોલીસ જોડે આરામથી સહયોગી થઈ જતી હોય છે.

આર્કાદિયન પોર્ફિરિચનું એમ માનવું છે કે જુદાં જુદાં રાજ્યોની પોલીસ લિખિત શબ્દોમાં જ માનતી હોય છે કેમ કે પુસ્તકો બૅન્ન કરવા માટે તેઓને એ જ શબ્દોને અનુસરવું પડે છે. એ તમને એમ પણ જણાવે છે કે બૅન્ન થયેલાં પુસ્તકો એવાં જ પુસ્તકોની એકથી બીજા દેશમાં લેવડદેવડ માટેનાં સમર્થ પ્રતીકો છે અને એને ગુપ્ત કરારો પણ કહી શકાય.

આર્કાદિયન પોર્ફિરિચ પોતાના સ્પિરિટને વાચા આપે છે, જેમાં, પોલીસ ફોર્સના કાર્યમાં વિશ્વાસ રાખવો, સૅન્સરશિપના અમલ માટે અને એ પ્રકારે રાજ્યને સહકારી થવું, જેવી ભાવનાઓ રહેલી છે. આર્કાદિયન પોર્ફિરિચના કેટલાક શબ્દો તમને – you – ડિસ્ટર્બ કરે છે, છતાં, પોતાનાં કામ પૂરાં કર્યાં પછી એ માણસ વાચનની મજા લે છે, એ વાતે તમને સારું લાગે છે. તમે એર્મિસ મારનના સંદર્ભે તમે સાંભળેલી ઍપોક્રિફા-કાવતરાની વાત કરો છો, પણ આર્કાદિયન પોર્ફિરિચ એ વિશે બધું જ જાણતો હોય છે. જો કે, એ કાવતરાના કેન્દ્રમાં રહેલી (લુદ્મિલા જેવી) કો’ક રહસ્યમય રમણીને એ અને એની ટીમ હજી શોધી શક્યાં નથી.

તમે – you – બૅન્ન પુસ્તકોના આર્કાદિયન પોર્ફિરિચના વિનિમયકાર્યમાં પ્રદાન અર્થે એને કાલિક્ષ્તો બાન્દેરાકૃત “Around an empty grave” ભેટ આપો છો. એ જણાવે છે કે પુસ્તકને પોતે જોઈ જશે. એ દરમ્યાન, પોલીસ ઍનાતોલિ ઍનાતોલિનકૃત “What story down there awaits its end” નામના એક અતિ મહત્ત્વના બૅન્ન પુસ્તકને જપ્ત કરવા માટેનો પ્લાન બનાવતી હોય છે.

ઍનાતોલિ ઍનાતોલિનકૃત એ પુસ્તકને પોલીસ જપ્ત કરી લે એ પહેલાં તમે –  you –  મેળવવા માગો છો. લુદ્મિલા તમને ટ્રેનમાં મળી છે એવું એ રાત્રિએ તમને સ્વપ્ન આવે છે. સવારે તમે જાગો છો અને પાર્કની એક બૅન્ચ પર બેસી ઍનાતોલિનની રાહ જોતા હોવ છો. સંવારેલી દાઢીવાળો એક જુવાન – ઍનાતોલિન – આવે છે અને તમને જણાવે છે કે સમગ્ર પાર્ક પાકી દેખરેખ હેઠળ છે. ઍનાતોલિન તમને કેટલાંક પેપર્સ આપે છે, વધારાનાં પેપર્સ આપવા એ ખિસ્સામાં હાથ નાખતો હોય છે, પણ ત્યાં, એક વાડમાંથી નાગરિક પોશાકમાં સજ્જ બે એજન્ટ ફૂટી નીકળે છે – એને ઍરેસ્ટ કરવા.

કથક નગરના ‘પ્રોસ્પેક્ટ’ નામના ઇલાકામાં થઈને જતો હોય છે, માત્ર પોતાને ગમતી ચીજો જ જોતો જાય છે. એને એમ થાય છે કે મિત્ર ફ્રાન્ઝિસ્કા મળી જાય તો … કેમ કે એને ફ્રાન્ઝિસ્કાને મળવું ગમે છે બહુ પણ સમ્બન્ધથી કદી બંધાતો નથી. 

કથક જગત પર જાણે ઈશ્વર જેવું પ્રભુત્વ ધરાવે છે, એટલે એવી વસ્તુઓ બનાવવા માંડે છે, જે કદી અદૃશ્ય ન થાય. જાહેર ઇમારતો, સરકારી કારભારીઓ અને પોલીસ સ્ટેશનોથી છૂટકારો મેળવવાનું શરૂ કરે છે. જો કે જ્યારે એને થાય છે કે અગ્નિશમનવાળાઓથી અને પોસ્ટના ટપાલીઓથી પોતે આઘો ગયો એ ભૂલ હતી, અગ્નિ અને અને ટપાલોનો નાશ કરે છે. આર્થિક વ્યવસ્થાઓનો ત્યાગ કરતાં પહેલાં સરકારી તન્ત્રોથી છૂટવાની મથામણ કરતો રહે છે. એ પછીથી તો, કથક પ્રકૃતિથી પણ છૂટવા કરે છે – ત્યાં લગી કે ‘પ્રોસ્પેક્ટ’ વેરાન થઈ જાય.

કથક ચાલ્યા કરતો હોય છે, એકાએક, ફ્રાન્ઝિસ્કા મળી જાય છે. જેવો એ એની નજીક જાય છે, ઓવરકોટ અને હૅટધારી બે શખ્સ એને રોકે છે. કથકને અચરજ થાય છે કેમ કે એને યાદ આવે છે કે એ બન્ને જેવાઓને પોતે ક્યારના ભૂંસી નાખ્યા છે. બન્ને શખ્સ કથકને અભિનન્દન આપે છે કેમ કે એઓને કથક એમનામાંનો લાગ્યો હોય છે, એ રીતે કે એઓ પણ વિશ્વના ઘણા ભાગોને ભૂંસી શકે એવા છે. પોતે ભૂંસી નાખેલા ભાગો વળી દેખાતા થાય એ માટે કથક મથે છે ખરો પણ નિષ્ફળ જાય છે. 

કથક અને ફ્રાન્ઝિસ્કા વચ્ચેની ધરતીમાં તિરાડ પડે છે, તિરાડ પ્હૉળી થવા લાગે છે. સૅક્શન – ડી કહેવાતા વિભાગના ગણાતા એ હૅટધારીઓ કથકને એનાં કાર્યો માટે શાબાશી આપે છે. કથક એમનાથી છૂટીને ફ્રાન્ઝિસ્કા ભણી સરકે છે, પરન્તુ એ વેળાએ એક મોટી ખાઇ એમને બન્નને જુદાં પાડી દે છે. સામેથી ફ્રાન્ઝિસ્કા સ્મિત કરે છે – જ્યારે પણ મળી જતાં, ત્યારે કરતી એવું સ્મિત. ત્યાંથી બોલે  છે — નજીકમાં એક કાફે છે, કાફેમાં સંગીત પણ હોય છે, લઈ જઈશ મને ત્યાં?  

= = =

(06/22/24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધી સાથે ગાંધીઃ ઉત્તર અને દક્ષિણમાં વહેંચાયેલાં ભાઇ-બહેનનાં રાજકારણનો પ્રભાવ કેવો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 June 2024

પ્રિયંકા ગાધીનું રાજકારણ પોતાના ભાઇને સફળ બનાવવાની આસપાસ ગુંથાયેલું છે. પોતાના ભાઇને પોતાના નેતા તરીકે સંબોધી ચુકેલ પ્રિયંકા વાયનાડ પરથી પેટા ચૂંટણી લડીને ભાઇની અસમંજસ દૂર કરી રહી છે.

ચિરંતના ભટ્ટ

આખરે પ્રિયંકા ગાંધીએ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આમ તો 2019માં પ્રિયંકા ગાંધી સક્રિયપણે રાજનીતિમાં જોડાયાં અને એ પછી એ ક્યારે ચૂંટણી લડશે એ અંગે અટકળો ચાલી. દાવા તો અનેક થયા કે તે ઉત્તર પ્રદેશની બેઠક અમેઠી પરથી ચૂંટણી લડશે તો ક્યાંક કહેવાયું કે મા સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણીના મેદાનમાં ઉમેદવાર તરીકે ઉતરશે તો ક્યારેક વારાસણીનું નામ પણ લેવાયું. જો કે પ્રિયંકા ગાંધી હજી સુધી રાજકારણમાં પ્રચાર પૂરતાં જ સક્રિય રહ્યાં અને પોતાના ભાઇ રાહુલ ગાંધીને સતત ટેકો આપ્યો. એક સમયે રાહુલની ભારત જોડો યાત્રામાં તેમની તબિયત ઠીક ન હોવાથી તેમની ગેરહાજરીને ભાઇ – બહેન વચ્ચેના ભેદભાવ તરીકે ચિતરવાનો પ્રયાસ થયો ત્યારે તેની સામે બન્ને જણાએ સાથે મળીને વખત આવ્યે પોતાની વચ્ચે કોઇ મતભેદ કે મનભેદ નથી તેની સાબિતી આપી દીધી.

આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં કાઁગ્રેસનો દેખાવ અણધારી રીતે સારો રહ્યો, ખાસ કરીને આ પહેલાંની બે ચૂંટણીઓની સાથે સરખામણી કરતા એ સમજાય છે. બબ્બે વાર કારમી હાર પછી આ વખતે નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.ના જોર સામે કાઁગ્રેસને 99 બેઠકો મળી. રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરળની વાયનાડની બેઠક પરથી ચૂંટણી જીત્યા. સ્વાભાવિક છે એક બેઠક જતી કરવી પડે અને વાયનાડની બેઠક પરથી રાજીનામું આપતી વખતે રાહુલ ગાંધીએ પોતાના બહેન વાયનાડ બેઠક પરથી પેટાચૂંટણીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે એવી જાહેરાત કરી. આખરે પ્રિયંકા ગાંધી ચૂંટણીના મેદાનમાં ક્યારે ઉતરશેની કાઁગ્રેસની આતુરતાનો અંત આવ્યો. ગમે કે ન ગમે પણ ગાંધી કુટુંબનું પારિવારિક રાજકારણ પ્રસરી રહ્યું છે. અમુક લોકોને નહીં ગમતું હોય છતાં ય ગાંધી પરિવારનું છોગું સાચવવું તો પડવાનું જ છે. વળી ‘ટ્રોલ’ થઇને ય રાહુલ ગાંધીએ જે શાલિનતા જાળવી, જે રીતે લોકો સાથે જોડવાના પ્રયાસો કર્યા તેની અસર ચૂંટણી પરિણામમાં દેખાઇ ગઇ. હવે ગાંધી ભાઇ-બહેન કઇ રીતે તેમના રાજકારણને આગળ ધપાવે છે તે જોવું રહ્યું. ઉત્તરે રાહુલ ગાંધી અને દક્ષિણમાં પ્રિયંકા ગાંધીને કાઁગ્રેસે પક્ષના ચહેરા તરીકે મુક્યાં છે. આ પગલું બહુ વૈચારિક છે કારણ કે આમ કરીને કાઁગ્રેસની ચૂંટણીલક્ષી રાજનીતિ પર પકડ બહેતર થશે. આ કાઁગ્રેસનો અન્ય પક્ષોને સંદેશો છે કે કાઁગ્રેસ હિન્દી પટ્ટા પરથી પોતાની લડાઇ સરળતાથી જતી નથી કરવાની. હિન્દી પટ્ટાની વાત આવે ત્યારે હંમેશાં ભા.જ.પા. એક હિન્દુ પક્ષ તરીકે આગળ રહી છે પણ રાહુલ ગાંધીની રાયબરેલી પરથી જીત અને અમેઠીમાં પણ કાઁગ્રેસની જીતને પગલે કાઁગ્રેસને જતું નહીં કરવાનુ પ્રેરક બળ મળ્યું.

અત્યારે તો વાયનાડ કાઁગ્રેસ માટે સલામત બેઠક ગણાય અને જો પ્રિયંકા ગાંધી પેટા ચૂંટણીમાં જીતી જશે તો નહેરુ-ગાંધી પરિવારનાં ત્રણ સભ્યો સંસદમાં હશે. આવું થશે એટલે કાઁગ્રેસે પણ સગાંવાદ અને પરિવારવાદ વાળા વિધાનો સાંભળવાની તૈયાર કરવી જ પડશે. વળી જે કાઁગ્રેસે 2019માં ઉત્તર પ્રદેશમાં રાયબરેલી સિવાય એકેય બેઠક નહોતી જીતી તેને આ વખતે છ બેઠક જીતીને સારી એવી કળ વળી છે એમ કહી શકાય. વ્યૂહાત્મક રીતે જોઇએ તો સમાજવાદી પાર્ટી સાથેનું કાઁગ્રેસનું ગઠબંધન રાહુલ ગાંધીને ફળ્યું હોવાથી તે રાયબરેલીની બેઠક પર પોતાની પકડ રાખે તે યોગ્ય નિર્ણય છે.

વાયનાડના રાજકારણને સમજીએ તો રાહુલ માટે એ બેઠક એક મજબૂત તરણું રહી છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ભલે ભૂતકાળમાં રાહુલ ગાંધીએ અમેઠીથી ચૂંટણીમાં હાર મેળવી હોય પણ કાઁગ્રેસના અમુક સભ્યોને મતે તેઓ કેરળમાં અમુક બેઠકો ત્યારે જીતી શક્યા તેનું કારણ રાહુલ ગાંધીની ઉમેદવારી હતી. જો કે 2021માં વિધાનસભાની ચૂંટણીમાં કેરળમાં કાઁગ્રેસને ભારે ખોટ ગઇ હતી અને કાઁગ્રેસની યુ.ડી.એફ. અને સી.પી.આઇ. (એમ.)ના નેતૃત્વ હેઠળના એલ.ડી.એફ. એમ બે જૂથ વચ્ચે સત્તા હિલોળા લેતી હોય પણ 2021માં એલ.ડી.એફ.ની ફરી જીત થઇ હતી અને પિનારયી વિજયનની સત્તા યથાવત્ રહી. જો કે હવે ત્યાં લોકો વિજયનનો વિરોધ કરી રહ્યા છે તેવું કાઁગ્રેસના સભ્યોને લાગે છે. રાહુલ ગાંધીનું વાયનાડને છોડવું ત્યાંના મતદાતાઓમાં એવી લાગણી ન ફેલાવે કે ગાંધી પરિવારને માત્ર ઉત્તર પ્રદેશની જ પડી છે માટે ત્યાંથી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવાનો નિર્ણય લેવાયો છે. આમ તો કાઁગ્રેસ ધારે તો તેમની પાસે વાયનાડની બેઠક માટે મજબૂત ઉમેદવારોના ઢગલા વિકલ્પો છે પણ ભા.જ.પા.ને બેઠકોને મામલે ફટકો પડ્યો છે એ સમય પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવા માટે સલામત છે એવું પણ કાઁગ્રેસના સભ્યો સારી રીતે સમજે છે. જે બેઠક પરથી સોનિયા ગાંધી પહેલાં ત્રણ વાર જીતી ચૂક્યાં છે તેનાથી વધારે સલામત બેઠક પહેલીવાર ચૂંટણી લડનારાં પ્રિયંકા ગાંધી માટે બીજી કઇ હોઇ શકે. વળી રાયબરેલી જે મોટે ભાગે ગાંધી પરિવાર પાસે રહેલી બેઠક છે ત્યાં રાહુલ ગાંધી રહે એવી ત્યાંના મતદાતાઓને પણ અપેક્ષા હોય તે સ્વાભાવિક છે.

હવે ભાઇ-બહેનનાં સમીકરણોને રાષ્ટ્રીય રાજકારણના પરિપ્રેક્ષ્યમાં મુકીએ તો એ સ્પષ્ટ છે કે પ્રિયંકા ગાધીનું રાજકારણ પોતાના ભાઇને સફળ બનાવવાની આસપાસ ગુંથાયેલું છે. પોતાના ભાઇને પોતાના નેતા તરીકે સંબોધી ચુકેલ પ્રિયંકા વાયનાડ પરથી પેટા ચૂંટણી લડીને ભાઇની અસમંજસ દૂર કરી રહી છે. જો એ ત્યાંથી જીતી જશે તો માધવરાવ સિંધિયા અને વસુંધરા રાજે સિંધિયાની માફક સંસદમાં બેસનારી આ ભાઇ-બહેનની બીજી જોડી હશે. જો કે સિંધિયા ભાઇ બહેન વિરોધી પક્ષોમાં રહ્યાં છે. વળી રાહુલ અને પ્રિયંકા ગાંધી વચ્ચેની હૂંફ બહુ દેખીતી છે અને લાગણીશીલ મતદારો માટે એક અગત્યનું પાસું પણ છે.

જ્યારે જવાહરલાલ નહેરુ વડા પ્રધાન હતા ત્યારે 1959માં ઇન્દિરા ગાંધી કાઁગ્રેસ પ્રમુખ બન્યાં હતા જેની પણ લોકોને નવાઇ તો લાગી હતી, પણ પ્રિયંકા ગાંધીની જીત ગાંધી-નહેરુ પરિવારના સભ્યો સાથે કાર્યભાર સંભાળે એવી સ્થિતિ ફરી ખડી કરશે. 2004-2014ના યુ.પી.એ. સરકારના ગાળા દરમિયાન રાહુલ ગાંધી એક મુંઝાયેલા ‘યુવા’ રાજકારણી લાગતા હતા. પ્રિયંકા ગાંધીએ સારું, નરસું, બોગસ બધું જોયું છે અને હવે એ રાજકારણમાં ઝંપલાવે છે ત્યારે તે રાહુલ ગાંધી માટે સારો ટેકો સાબિત થશે. વળી જો વાયનાડ પરથી પ્રિયંકા ગાંધી જીતી જશે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભાઇ-બહેને મળીને સારી એવી લડત આપી હોવાની હકીકત ઘૂંટાશે.

કાઁગ્રેસના સભ્યોને એવી અપેક્ષા છે કે પ્રિયંકા ગાંધી વ્યૂહાત્મક સમજ સાથે કામ કરશે. એક ખાસ વાત એ કે પરિવારવાદ અંગે ભલે આટલી બધી હો-હા થાય પણ કાઁગ્રેસના સભ્યોને પણ ગાંધી પરિવાર વિનાની પોતાની ઓળખ અંગે હજી બહુ આત્મવિશ્વાસ નથી. કાઁગ્રેસને ગાંધી પરિવારની એટલી જ જરૂર છે જેટલી ગાંધી પરિવારને આ રાજકારણની.

બાય ધી વેઃ

પહેલી વાત તો એ કે કાઁગ્રેસને કલ્પના જ નહોતી કે પક્ષ બન્ને બેઠકો પરથી જીતી જશે. લોકસભાની આ ચૂંટણીમાં પોતના ‘પરફોર્મન્સ’થી કાઁગ્રેસ પક્ષ પોતે જ અચંબામાં છે. એક તરફ કાઁગ્રેસ માટે આશ્ચર્ય છે તો ભા.જ.પા.ને બહુમતી ન મળવી એ ભા.જ.પા. માટે આધાત છે.  પિછડા, દલિત અને અલ્પસંખ્યક એટલે કે પી.ડી.એ.નું સમીકરણ કાઁગ્રેસ માટે કામ કરી ગયું છે. જો સ.પા. અને કાઁગ્રેસનુ ગઠબંધન આ જ મજબૂતાઇથી ચાલશે તો ભા.જ.પા.ને તે સારી એવી લડત આપી શકશે. વળી આ ગઠબંધનમાં જો માયાવતીની બહુજન સમાજ પાર્ટી પણ ભળી જશે તો ચૂંટણીમાં આ ગઠબંધનને માત આપવી સહેલી નહીં હોય. અને હા, પ્રિયંકા ગાંધી જેણે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે તેમણે ભૂતકાળમાં, 2009માં એક ઇન્ટરવ્યુમાં કહેલું કે તેને રાજકારણમાં કોઇ રસ નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જૂન 2024

Loading

...102030...660661662663...670680690...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved