Opinion Magazine
Number of visits: 9457373
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આળ ચડશે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|19 February 2024

કાલની આજ થાય તો કાળ ફરશે,

સાંઈઠે શાન હોય તો બાળ નમશે.

સાચવી રાખ માન સન્માન મળશે,

પ્રિયજન યાદ હોય તો ભાળ જડશે.

માનવાચક બહુવચન શબ્દ વાપર,

કિટલી જેમ હોય તો ડાળ ખડશે.

એક સરખા સ્વભાવ મળવા કઠિન છે,

સ્હેજ સંબંધ હોય તો સાળ વણશે.

જડ અચેતન અબૂધ માણસ ન બનવું,

ના સમજ મૂર્ખ હોય તો આળ ચડશે.

e.mail : addave68@gmail.com

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૧૪) 

સુમન શાહ|Opinion - Literature|18 February 2024

(( મિત્રો ! ગઇ કાલે પ્રકરણ ૧૦-થી પ્રારમ્ભ કર્યો પણ એ મારી ભૂલ હતી. મારા યુવાનમિત્ર પ્રિયાંક ઠાકરે મારું ધ્યાન દોર્યું કે છેલ્લે હું ૧૪-મા પ્રકરણ લગી તો સાર-સંક્ષેપ આપી ચૂક્યો છું. એટલે મેં શોધખોળ મચાવી અને પ્રકાશિત એ બધાં જ પ્રકરણો મેળવી લીધાં. પ્રિયાંકનો ખૂબ ખૂબ આભાર માનું છું. લખાઇ ગયેલાં મારાં લેખનો વિશે હું બેતમા થઈ જઉં છું એટેલે કે હું બહુ જ અવ્યવસ્થિત માણસ છું, એ હકીકત એક વધારે વાર દૃઢ થઈ, એનું દુ:ખ છે, એટલો જ આનન્દ છે. એ ૧૪-મું પ્રકરણ ફરીથી રજૂ કરું છું. ))

== આ નવલકથાના ૪૬ ભાષામાં અનુવાદ થયા છે. કેટલા મૂળને અનુસરીને, કેટલા અંગ્રેજી અનુવાદને અનુસરીને, તે જાણવું કઠિન છે. પણ હું જેના અંગ્રેજી અનુવાદને અનુસરું છું એ છે, ગ્રેગરી રબાસા. 

માર્ક્વેઝે જણાવ્યું છે કે રબાસાના અનુવાદને પોતે ખૂબ ચાહે છે. એમણે એટલે સુધી કહ્યું છે કે હું એને પોતાના અધિકારથી ઊભેલી એક સ્વતન્ત્ર કલાકૃતિ ગણું છું. == 

પ્રકરણ : ૧૪ 

મેમેનાં છેલ્લાં વૅકેશનો અને કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાનો મૃત્યુશોક, બન્નેના દિવસો સાથે સાથે થઈ ગયા. ઘરનાં બારણાં બંધ રાખવામાં આવેલાં. એટલે,પાર્ટીઓ પણ બંધ હતી. બધાં મોટેથી ન્હૉતાં બોલતાં, ફુસફુસ કરે; વગર અવાજે જમતાં; દિવસમાં ત્રણ વાર જપમાળા કરતાં -પ્રાર્થના -રોઝરી. શોક પાળવા વિશે ફર્નાન્ડાએ ઘરમાં ઘણી સખ્તાઈ વાપરેલી.

મેમે, ઔરેલિયાનો સેગુન્દો અને ફર્નાન્ડા કાર્પિયોની પહેલી દીકરી. એ મોટી થવા લાગેલી, બાપના જેવી જ મજાકિયા સ્વભાવની હતી. મા-એ ક્લેવિકોર્ડ શીખવાનું દબાણ કરેલું પણ મેમે દેખાવ એવો કરતી જાણે ક્લેવિકોર્ડમાં પોતાને બહુ જ રસ પડી રહ્યો છે. 

મેમે બાપ સાથે હળી જાય છે. કેમકે એ બન્નેને ફર્નાન્ડા બાબતે સરખો સ્વાર્થ હતો. સ્વાર્થ એ કે ફર્નાન્ડાની ટીકાટપ્પણી કરી શકાય. બન્નેને ફર્નાન્ડા ગમતી ન્હૉતી. 

મેમે કેટલીક અમેરિકન છોકરીઓ જોડે બેનપણાં કરી લે છે, એમની જોડેના સમ્બન્ધને વધારતી રહે છે, એટલે, એને થોડુંક અંગ્રેજી પણ આવડી જાય છે. ગરમીના દિવસોમાં વામકુક્ષી ટાણે ય એના ક્લેવિકોર્ડની પ્રૅક્ટિસ ચાલતી હોય, જોકે એમાંથી ય શોકના સૂર પડઘાતા’તા !

ઔરેલિયાનો સેગુન્દો એના રિવાજ પ્રમાણે ઘરે સૂવા આવતો પણ દીકરીને વૅકેશન હોય ત્યારે. કાયદેસરની પત્ની તરીકે ફર્નાન્ડાએ પોતાના કેટલાક અધિકાર જતાવ્યા હોય, એટલે પણ એને આવવું પડતું’તું. પરિણામે, પછીના વર્ષે મેમે માટે નાની બેનનો જન્મ થયો. મા-ની ઇચ્છા વિરુદ્ધ એને બાપ્તિસ્મા અપાયો અને નામ રાખવામાં આવ્યું, અમરન્તા ઉર્સુલા. અમરન્તા ઉર્સુલા એમનું ત્રીજું સન્તાન. 

બ્વેન્દ્યાઓની બીજી પેઢીની છેલ્લી જીવિત વ્યક્તિ મોટી અમરન્તા પોતાના વર્તમાનની તુલનામાં એકાકી અને પસ્તાવાભર્યા અતીતમાં વધારે જીવતી’તી. એને એના મૃત્યુનો પૂર્વાભાસ થાય છે અને પોતાના અન્તિમ સંસ્કાર માટે કફન શીવવાનું શરૂ કરે છે. કફન પૂરું કર્યા પછી એણે આખા કસબાને જણાવેલું કે પોતે સાયંકાળે મૃત્યુ પામવાની છે; એમ પણ દર્શાવ્યું હતું કે પોતે લોકો પાસેથી જીવિતો મૃતકોને લખે છે એવા પત્રો પણ ઇચ્છે છે. 

અમરન્તા ઘરડી થઈ ગયેલી, બધાંથી જુદી હતી, અલગ જીવતી’તી, તેમછતાં હજી સુદૃઢ અને ટટાર દીસતી’તી, નરવું સ્વાસ્થ્ય એણે પહેલેથી સાચવી રાખેલું. કોઈ જાણી શકેલું નહીં કે શા કારણે એણે કર્નલ જેરિનાલ્ડો માર્ક્વેઝને પાણીચું પકડાવેલું, અને છાના રુદનને માટે જાતને કેદ કરી દીધેલી. રેમેડિયોઝ ધ બ્યુટિના સ્વાર્ગારોહણ વખતે કે ઔરેલિયાનોઓની બરબાદી વખતે કે કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાના અન્તકાળે, કોઈએ એને રડતી નહીં જોયેલી. 

છતાં, આ દુનિયામાં એ સૌથી વધુ ચાહતી’તી કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને. જોકે એ ચાહના એણે કર્નલને ચેસ્ટનટ વૃક્ષ નીચે પેલા લોકો લાવ્યા એ પહેલાં કદી વ્યક્ત નહીં કરેલી. પોતે કર્નલના દેહને ઊંચકવામાં મદદ કરેલી, સૈનિકનો ગણવેશ પહેરાવેલો, દાઢી કરી આપેલી, વાળ ઓળી આપેલા, અને કર્નલ કીર્તિના ઉજમાળા દિવસોમાં મીણ વડે મૂછોને તાવ દેતા, તે પણ અમરન્તાએ કરી આપેલું. 

બધાંને એમાં કશો પ્રેમ ન્હૉતો વરતાયો. કેમકે બધાંને એમ કે એમાં શું? મૃત્યુ પાછળની વિધિ બાબતે અમરન્તા પાવરધી છે ! જીવન સાથેના કૅથલિક ધર્મસમ્બન્ધને અમરન્તા સમજતી નથી એ મુદ્દે ફર્નાન્ડા નારાજ થઈ ગયેલી. એને એમ લાગ્યું હતું કે અમરન્તા માત્રમૃત્યુ સાથેના સમ્બન્ધને જ સમજે છે; એમ સમજે છે કે કૅથલિક જાણે કે ધર્મ નથી પણ અન્ત્યેષ્ઠિ વિધિવિધાનોનો ઇસ્કોતરો છે !  

અમરન્તા જીવનભરની યાદોનાં થીગડાંથી એવી તો લપેટાઈ ગયેલી કે ધરમની એ બધી ઝીણી વાતો સમજવાનું એના માટે શક્ય જ ન્હૉતું રહ્યું. પોતાના અતીતને અકબંધ રાખતી રાખતી એ ઘરડી થઈ ગયેલી.

મેમેનું ભણતર પૂરું થયું, એને ક્લેવિકોર્ડિસ્ટના ડિપ્લોમાનું સર્ટિફિકેટ અપાયું. ઘરમાં શોકની પણ સમાપ્તિ થઈ ગઈ. મહેમાનોને મેમેની કલા ગમતી અને એના દ્વિમુખી સ્વભાવની બધા પ્રશંસા કરતા. એનો હસીમજાકિયો સ્વભાવ અને થોડી નાદાની જોતાં એમ જ થાય કે જીવનમાં એ કશી ઠાવકી પ્રવૃત્તિ કરશે કે કેમ. પણ જેવી એ ક્લેવિકોર્ડ વગાડવા બેસે, એક જુદી જ છોકરી લાગે, એણે અણધારી પરિપક્વતા દાખવી હોય, વયસ્ક લાગે. પછીથી તો હમેશાં એ એમ જ રહી.  

આ મેમે બનાના પ્લાન્ટેશનમાં મિકેનિક તરીકે કામ કરતા મૌરિસિયો બેબિલોનિયાના પ્રેમમાં પડે છે. મૌરિસિયો પણ કશી છોછ રાખ્યા વિના એને અતિશય પ્રેમ કરતો હોય છે. એની નિખાલસતા અને ગમ્ભીરતાથી મેમે પ્રભાવિત થઈ ગયેલી. મૌરિસિયાની પછવાડે હમેશાં પીળાં પતંગિયાં ઊડતાં…

એક વાર ફર્નાન્ડા બન્નેને મૂવી થીએટરમાં ચુમ્બન કરતાં જોઈ ગઈ; એટલે પછી પ્રેમમાં પાગલ મેમેને એણે ઘરમાં જ રહેવાની સજા ફરમાવી. પણ મૌરિસિયો મેમે સાથે સમ્ભોગાર્થે રોજ રાતે ઘરમાં ઘૂસે છે એવી જ્યારે ફર્નાન્ડાને ખબર પડી, બૅકયાર્ડમાં એણે એક ગાર્ડ નિમ્યો. એક વાર મૌરિસિયો જેવો આવ્યો કે તરત ગાર્ડે ગોળી મારીને એની કરોડરજ્જુને વેરવિખેર કરી નાખી; એને હમ્મેશને માટે પંગુ બનાવી દીધો. 

મેમે નૃત્ય, સ્વીમિન્ગ અને ટૅનિસ તો શીખી ગઈ પણ હવે એને અંગ્રેજી ભાષા ખૂબ ગમવા માંડી. ઔરેલિયાનો સેગુન્દો દીકરીની પ્રગતિ માટે બહુ ઉત્સાહી હતો. એક ટ્રાવેલિન્ગ સેલ્સમૅન પાસેથી ઇન્ગ્લિશ ઍન્સાયક્લોપીડિયાના છ ગ્રન્થ લઈ આવેલો. મેમે નવરાશે નવરાશે વાંચતી.

પ્રેમલા-પ્રેમલીઓની ગપ્પાંબાજીમાં અને બેનપણીઓ સાથેના પ્રયોગોમાં કરેલી પીછેહઠમાં મેમેએ જે ધ્યાન ખરચેલું, એને ગ્રન્થોના આ વાચને કબ્જે કરી લીધું. શિસ્તમાં રહેવા માટેની એ કોઈ જબરજસ્તી ન્હૉતી, પણ જાહેર ક્ષેત્રે જે જાતની ખાનગી વાતો ચાલતી’તી તેમાંથી એનો રસ ઊડી ગયેલો. મદીરાપાનના એ પ્રસંગને એણે યાદ કરી જોયો. એને થયું, કેવું બાલિશ સાહસ હતું એ. પ્રસંગ મેમેને એટલો બધો ફનિ લાગેલો કે એ બધું એણે પિતા ઔરેલિયાનો સેગુન્દોને વીગતે વર્ણવી બતાવેલું. સેગુન્દોએ એને, ‘તારી મા-એ જાણ્યું હોત તો?’ કહ્યું અને ખડખડાટ હસ્યો. મેમે એને ખાનગીમાં વ્હાલથી આવું કંઈક ક્હૅ, ત્યારે એ આવું જ વર્તતો. 

એણે મેમે પાસેથી વચન મેળવેલું કે મેમે એને પોતાના પહેલા પ્યારની વાત એવા જ વિશ્વાસથી કરશે. અને, મેમેએ જણાવેલું કે એને રેડ-હેડેડ અમરિકન છોકરો ગમી ગયેલો. ઔરેલિયાનો સેગુન્દોએ ‘તારી મા જાણે તો શું થાય, જાણે છે?’ એમ હસીને પૂછેલું. જોકે મેમેએ જણાવેલું કે છોકરો હવે પોતા માટે દૃશ્ય નથી કેમકે એ પોતાને દેશ પાછો ચાલી ગયો છે.

મેમેની પરિપક્વ વિવેકશીલતાએ પરિવારને સરવાળે શાન્તિનો અનુભવ કરાવેલો. 

હવે, ઔરેલિયાનો સેગુન્દો, પેત્રા કોટ્સને વધારે સમય આપવા લાગ્યો છે. વીતેલા દિવસોમાં કરેલા ભ્રષ્ટાચાર માટે એના શરીર અને આત્માએ અનુમતિ નહીં આપેલી, છતાં, એ બધાંને સરખું કરવા માટેની એક પણ તક એ ચૂક્યો નહીં.

અમરન્તાને લાગ્યું હતું કે મૃત્યુ એને એનો માર્ગ બતાવી રહ્યું છે. ચૉથી ફેબ્રુઆરીની રાતે વંટોળ ફુંકાય છે અને પાવર પ્લાન્ટ ખોરવાઈ જાય છે. પણ બીજે દિવસે સવારના આઠ વાગ્યે અમરન્તા, કોઈ સ્ત્રીએ કદી ન સરજી હોય એવા, કલાકૃતિ સમા, કફન પર છેલ્લો ટાંકો ભરે છે. કશા નાટકવેડા કર્યા વિના અમરન્તા જણાવે છે કે પોતે સાયંકાળે મૃત્યુને વરશે. 

માકોન્ડોમાં બધે સમાચાર પ્રસર્યા અને બપોરના ત્રણ સુધીમાં તો પાર્લરમાં પત્રો ભરેલું એક આખું કાર્ટૂન આવી ગયું. અમરન્તાએ અસ્વસ્થતા કે વેદનાનો અણસાર પણ આવવા દીધો નહીં. એ સ્વસ્થ હતી અને કર્તવ્યપૂર્તિને કારણે થોડી જુવાન પણ દેખાતી’તી. એ પહેલાં જેવી જ સરળ અને એવી જ દુબળી-પાતળી હતી. એનાં જડબાં કઠોર હતાં, કેટલાક દાંત ગાયબ હતા, નહિતર, હતી તેથી પણ એ વધારે જુવાન લાગત. પત્રોને એક બૉક્સમાં મૂકી સીલબંધ કરવા માટે એણે જાતે ઘરનાંને મદદ કરી; અને કહ્યું કે -બૉક્સને મારી કબરમાં એવી રીતે ગોઠવજો કે ભેજથી બગડી ન જાય. 

એ પછી એ હતી ત્યાં જ હતી.

અમરન્તા કુંવારી જ મરી.

અમરન્તાના મૃત્યુ પછી ઉર્સુલા પોતાના બેડમાં સૂવા લાગી અને વરસો લગી જાણે જાગી જ નહીં. નાની અમરન્તા ઉર્સુલા એને મળી જતી. એની જોડે ઉર્સુલાને બહુ ગોઠી જાય છે અને એમની વચ્ચે સરસ વ્હાલપભર્યો સમ્બન્ધ રચાય છે.

હવે, સાન્તા સોફિયા દ લા પિયેદાદ ઉર્સુલાની સંભાળ લેવા માંડી છે. ઉર્સુલાના બેડરૂમમાં જમવાનું લઈ જાય, સ્નાન માટે અન્નાટો ફળમાંથી બનાવેલું પાણી લઈ જાય, માકોન્ડોમાં જે કંઈ બને એ બધાથી એને વાકેફ પણ રાખે. 

ઉર્સુલાને ઔરેલિયાનો સેગુન્દો પણ અવારનવાર મળવા જતો, એના માટે કપડાં વગેરે લાવતો. ઉર્સુલા એ બધું પથારી પાસે મૂકી રાખે. એમ કરતાં કરતાં ઘણા ઓછા સમયમાં એણે બધું હાથવગું રહે એવી પોતાની એક આગવી દુનિયા બનાવી લીધી. એણે નાની અમરન્તામાં પ્રેમતત્ત્વનાં બી રોપેલાં. નાની પણ એના જેવી જ હતી, ઉર્સુલાએ એને પુસ્તકો વાંચતી પણ કરેલી. 

ઉર્સુલાના સ્વભાવની સરળતા, પોતા પાસે હોય એથી પ્રસન્ન રહેવાની એની વૃત્તિ, વગેરેથી કોઈને લાગે કે સો વર્ષના ભારથી એ કુદરતી રીતે જ જિતાઈ ગઈ છે, તેમછતાં, સમજાય એવું છે કે એને દેખાતું ન્હૉતું. જોકે કોઈને ય લાગે નહીં કે એ સાવ જ  અન્ધ છે.

મેમેનો પ્રેમી મૌરિસિયો બેબિલોનિયા એકાન્તે ઘરડો થઈને મૃત્યુ પામે છે -ન કશો વિલાપ -ન વિરોધ -વિશ્વાસઘાતની ન કશી યાદ. પીળાં પતંગિયાંએ એને બહુ સતાવેલો. પતંગિયાંથી એને પળભરની ય શાન્તિ નહીં મળેલી.

= = =

(Dec 30, 2022 : USA)
(Feb 18, ’24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તમને કઈ ભારતીય મૂલ્યવ્યવસ્થા સ્વીકાર્ય છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|18 February 2024

“My Swaraj is to keep intact the genius of our civilization. I want to write many new things, but they must all be written on the Indian slate.”

— Mahatma Gandhi

વડા પ્રધાને મોરબી નજીક ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીની દ્વિશતાબ્દી નિમિત્તે કહ્યું હતું કે ભારતીય શિક્ષણ વ્યવસ્થા ભારતીય મૂલ્યો આધારિત હોવી જોઈએ. દયાનંદ સરસ્વતીએ આ જ શીખ આપણને આપી હતી.

આગળ વધતા પહેલાં અહીં થોડી સ્પષ્ટતા કરી લેવી જોઈએ. જે કોઈ ભારતીય મૂલ્યો છે એ મુખ્યત્વે હિંદુ મૂલ્યો છે. ભારતમાં હિંદુઓ બહુમતીમાં છે અને તેઓ વધારે નહીં તો પણ કમ સે કમ આ ધરતી પર પાંચેક હજાર વરસથી એકધારું અસ્તિત્વ ધરાવે છે. બીજી પ્રજા પોતપોતાનાં મૂલ્યો લઈને ભારતમાં આવી છે અને કાયમ માટે ભારતને વતન બનાવીને તેમાં સમાઈ ગઈ છે. એને પરિણામે હિંદુ મૂલ્યો ભારતીય બન્યાં છે, વધારે સમૃદ્ધ બન્યાં છે અને વધારે સ્વીકાર્ય પણ. વડા પ્રધાને પણ ભારતીય મૂલ્યોની વાત કરી છે હિંદુ મૂલ્યોની વાત નથી કરી. હિંદુ વિનાની ભારતીયતા અધૂરી છે.

પણ સવાલ એ છે કે કયાં મૂલ્યો ખાસ ભારતીય છે, ભારતમાં તે વિશેષરૂપે જોવા મળે છે જેના પર આધારિત શિક્ષણ આપવાનું વડા પ્રધાન કહે છે? સત્ય, પ્રમાણિકતા, શુદ્ધ વ્યવહાર વગેરે મૂલ્યો વૈશ્વિક છે. આખું વિશ્વ આનો સ્વીકાર કરે છે. જગતનો કોઈ ધર્મ જૂઠું બોલવાનું, છેતરપીંડી કરવાનું કે દગાખોરી કરવાનું શીખવતો નથી કે નથી કોઈ મહાપુરુષે એવી કોઈ શીખ આપી. તો પછી એવાં કયાં મૂલ્યો છે જે ખાસ ભારતીય છે. ભારતમાં વિકસ્યાં છે, ભારતીય પ્રજાએ અપનાવ્યાં છે અને એનાં થકી ભારતીય પ્રજા ઓળખાય છે? મૂલ્યોમાં જીવનદર્શન અને જીવનશેલીનો પણ સમાવેશ કરવો જોઈએ.

અહિંસા ભારતીય મૂલ્ય છે. વસુધૈવ કુટુંબકમ્‌ ભારતીય મૂલ્ય છે. પરાયાને પોતાનાં કરવા એ ભારતીય મૂલ્ય છે. સહિષ્ણુતા એ ભારતીય મૂલ્ય છે. સહઅસ્તિત્વ એ ભારતીય મૂલ્ય છે. પ્રત્યેક ધર્મ, સંપ્રદાય અને માન્યતાઓ માટે સમાદર એ ભારતીય મૂલ્ય છે. વહેંચીને ખાવું (तेन त्यक्तेन भुञ्जीथा:) એ ભારતીય મૂલ્ય છે. અપરિગ્રહ ભારતીય મૂલ્ય છે. ઓછી જરૂરિયાત, સાદગી અને સંયમ એ ભારતીય મૂલ્ય છે. સ્વાયત્ત ગ્રામવ્યવસ્થા ભારતીય મૂલ્ય છે. વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે તાલમેલ એ ભારતીય મૂલ્ય છે. હઠાગ્રહની જગ્યાએ અનેકાંત એ ભારતીય મૂલ્ય છે. સંયુક્ત કુટુંબ અને સહભાગિતા એ ભારતીય મૂલ્ય છે. એમાં કમાઈ નહીં શકનારાઓને કે પછી પતિ કે પિતા ગુમાવનાર વિધવા કે બાળકોને પરિવારમાં સંભાળી લેવામાં આવતા હતા. અને આવા હજુ બીજા ભારતીય મૂલ્યો જડી આવશે જે મુખ્યત્વે ભારતમાં વિકસ્યાં છે અને ભારતની પ્રજાએ તેને જીવનમૂલ્ય તરીકે સ્વિકાર્યાં છે.

આનો અર્થ એવો નથી કે આપણામાં કોઈ ઊણપ નથી. ઊણપ ઘણી છે અને શરમાવું પડે એવી છે. ફરી એકવાર ગાંધીજીને યાદ કરવા પડે. ગાંધીજીએ કહ્યું હતું કે વિશ્વના પ્રત્યેક ધર્મ (અને સભ્યતા પણ) સાચા અને મહાન છે, પણ દરેક અધૂરા છે. સર્વાંગસંપૂર્ણ કોઈ નથી. ભારતમાં જોવા મળતા ધર્મો અને સંપ્રદાયો તેમ જ આપણો સમાજ અને સભ્યતા પણ અધૂરા છે. જે ખામી છે તેનો સ્વીકાર કરવો જોઈએ.

હવે બીજો સવાલ. જે ભારતીય મૂલ્યો છે, જેને માટે ભારત વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે, જે ભારતની ઓળખ છે એને માટે તમે આદર ધરાવો છો ખરા? હા કે ના-નો નિર્ણય લેતા પહેલાં ફરી એકવાર વાંચી જાવ કે ભારતીય મૂલ્યોમાં કયા કયા મૂલ્યોનો સમાવેશ થાય છે. હિંસા, હિંસાનો મહિમા, લઘુમતી કોમ ઉપર દાદાગીરી, જોહુકમી, સંગ્રહવૃત્તિ, કોઈનો હક મારવો, અન્યાય, અકરાંતિયાપણું કે ખાઉધરાપણું, સૃષ્ટિ અને વ્યક્તિનું શોષણ, જૂઠાણાં, કાનાફૂસી, કોઈને નિશાન બનાવીને પાછળ પડવું કે બદનામ કરવા, અસહિષ્ણુતા, બંધિયારપણું, કહેતી અને કરણી વચ્ચે ફરક વગેરે જે આજે પ્રચૂર માત્રામાં જોવા મળે છે એ ભારતીય છે? ક્યાંથી આવી આ વિકૃતિ જેનો ભારતની પ્રજા હરખભેર સ્વીકાર કરી રહી છે? શા માટે આવી વિકૃતિ સ્વીકાર્ય બની રહી છે અને કોણ આનો પ્રચાર કરી રહ્યા છે? તમે જો આ વિકૃતિના ગ્રાહક હો તો તેનો પૂરવઠો કોણ કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે એ વિષે વિચારવું જોઈએ.

અને હવે ત્રીજો અને મહત્ત્વનો સવાલ. ભારતીય મૂલ્યો વિષે કોણે અભિમાન દાખવ્યું છે, કોણે તેને સમૃદ્ધ કર્યાં છે, કોણે તેને આધુનિક યુગમાં સ્વીકાર્ય બનાવવા માટે જહેમત ઊઠાવી છે, કોણે પાશ્ચાત્ય મૂલ્યવ્યવસ્થા અને જીવનશૈલી વિષે પ્રશ્નો કર્યા છે અને કોણે તે અંગે સાંગોપાંગ વિમર્શ કર્યો છે? માત્ર કહ્યું નથી, એ રીતે જીવન જીવી બતાવ્યું અને રાજકારણ જેવા ક્ષેત્રમાં પણ તેનો ખપ સાબિત કર્યો. દેશને આઝાદી અપાવી, સંસ્થાનવાદ સામે વૈશ્વિક સ્તરે પ્રતિપક્ષ પેદા કર્યો અને પશ્ચિમમાં વિકસેલી અને સ્વીકૃત બનેલી કહેવાતી આધુનિકતા સામે સવાલો કર્યા. કોણે તોપના બળ સામે આપબળને વધારે શક્તિશાળી સિદ્ધ કરી બતાવ્યું?

જવાબ છે મહાત્મા ગાંધી. લાખો પ્રયત્નો પછી પણ ગાંધી મરતો નથી એનાં આ કારણ છે. જે વાત વડા પ્રધાન કહે છે એનો જવાબ તો ગાંધી આપે છે. પ્રારંભમાં જે અવતરણ ટાંક્યું છે એ ફરી વાર વાંચો. મારી સભ્યતામાં જે અમૂલ્ય છે એ મારે જાળવી રાખવું છે. મારે ઘણું નવું લખવું છે, પરંતુ એ મારી પાટી પર. મારા માટે આ સ્વરાજ છે. બહુમતી કોમની જોહુકમી આધારિત રાષ્ટ્રવાદ એ ભારતીય પાટીનું લખાણ નથી, પશ્ચિમમાંથી આયાત કરવામાં આવેલી પાટીનું લખાણ છે. આ સિવાય આજે દેશમાં જે જોવા મળી રહ્યું છે એ ભારતીય પાટી પરનું લખાણ નથી, વિદેશથી આયાત કરવામાં આવેલી પાટીમાંનું લખાણ છે. ગાંધીજીની સ્વરાજની કલ્પના વિષે વધારે જાણવાની ઉત્સુકતા હોય તેમણે ગાંધીજીના અક્ષરદેહનાં ૨૪માં ખંડમાં (પૃષ્ઠ ૨૬૫) કાઁગ્રેસ મહાસમિતિના સભ્યોને ઉદ્દેશીને લખેલો પત્ર વાંચી જાય જેમાંથી ઉક્ત અવતરણ લેવામાં આવ્યું છે. આ સિવાય ‘હિન્દ સ્વરાજ’ તો છે જ.

બીજી બાજુ હિન્દુત્વવાદીઓએ ભારતીય મૂલ્યવ્યવસ્થા વિષે કોઈ વિમર્શ કર્યો છે? કોઈ પુસ્તક, કોઈ પ્રબંધ, કોઈ લખાણ, કોઈ ચર્ચા, કોઈ ઊહાપોહ, કોઈ સેમીનાર કર્યો હોય તો તેની નોંધવહી (પ્રોસિડીંગ્સ). પ્લીઝ કોઈ વિદ્વાન હોય તો મારું ધ્યાન દોરે. મારે જાણવું છે કે તેમને કઈ ભારતીય મૂલ્યવ્યવસ્થા અભિપ્રેત છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 18 ફેબ્રુઆરી 2024

Loading

...102030...657658659660...670680690...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved