Opinion Magazine
Number of visits: 9457298
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ પાઘડીના માપનું માથું કોઈએ કરવું નહીં …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 February 2024

સજ્જનો અને સન્નારીઓ, ગરીબો અને અમીરો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા વધેલાઘટેલા સૌને નમસ્કાર …

રવીન્દ્ર પારેખ

શું છે કે આ લેખ કાલ્પનિક છે અને એ પાઘડીના માપનું માથું કોઈએ ન કરવા બે હાથ જોડીને કરબદ્ધ અને બે પગ જોડીને પગબદ્ધ પ્રાર્થના છે. અમને ક્યારેક શિક્ષણ વિષયક હાર્ટએટેક આવે છે ને અમે તે હાર્ટલેસલી મૂકીએ છીએ. આજે પણ એવા જ થોડા વિચાર શેર કરવા છે. આશા છે તેને સૌ, સમજ હોય તો સમજીને અને વિચાર હોય તો વિચારીને જોશે.

શું છે કે વિદેશની શિક્ષણ નીતિ કે અનીતિ વિષે અમને બહુ ખબર નથી, પણ ત્યાં વિદ્યાર્થીઓની બહુ દયા ખાતા નથી, જ્યારે આપણે તો પશુઓની પણ દયા ખાઈએ છીએ. એવામાં અમને વિદ્યાર્થીઓની દયા પર દયા આવ્યા કરે તો શી નવાઈ? અમને જાણ છે કે વિદ્યાર્થીઓ પર શિક્ષકો હાથપગ ઉપાડે છે, એટલે વર્ગમાં શિક્ષકો જ ઘટતા જાય એની અમે હોલસેલમાં ફિકર કરીએ છીએ. શિક્ષકો કાયમી કરવા જ નહીં કે તેમને પગાર કે પેન્શન આપવાની જફામાં પડવું પડે. ટૂંકમાં, શિક્ષકો વર્ગમાં જાય જ નહીં ને પરિપત્રો કે પત્રકોમાં જ વ્યસ્ત રહે તેવી તજવીજ ચાલુ છે. અમારો પ્રયત્ન ટીચરલેસ સ્કૂલોનો છે. એમ થશે તો કોઈ વિદ્યાર્થીને આંગળી અડાડવાનો સવાલ જ ઊભો નહીં થાય. આમ પણ વિદ્યાર્થીઓ હવે એટલા હોંશિયાર છે કે વર્ગમાં ભણવા /ભણાવવાનું ખાસ રહેતું જ નથી. તેઓ કોચિંગ ક્લાસમાં એટલું શીખે છે કે સ્કૂલમાં હાજરી પુરાવે તો ય ઘણું છે. વર્ગમાં ભણાવવાનું રહેતું નથી, એટલે શિક્ષકો પરીક્ષા કે પેપર તપાસવા પૂરતા જ રાખીએ છીએ. સાધારણ રીતે એક જમાનામાં નવા નવા પાઠ પાઠ્યપુસ્તકોમાં ઉમેરવામાં આવતા, પણ હવે સ્મોલ ઈઝ બ્યુટીફુલનો જમાનો છે, એટલે ટેક્સ્ટ બુકમાં આગલું-પાછલું પૂંઠું જ રહી જાય તો પણ ચિંતા નથી. વિદ્યાર્થીને શું નથી ભણવાનું એટલી ખબર પડે તો ય ઘણું છે.

શું છે કે શિક્ષકો, વર્ગશિક્ષણ આ બધું હવે આઉટડેટેડ છે. હવે નીતિઓ બદલાઈ છે ને એટલી બદલાઈ છે કે અનીતિને અડી આવે તો પણ ખબર ન પડે. વેલ, ફી ઓનલાઈન જમા થઈ શકતી હોય તો વિદ્યાર્થીઓને વર્ગ સુધી ઘસડવાની જરૂર નથી. વર્ગ હવે સ્વર્ગ નથી, તે સ્વર્ગ માટે જ અનામત રાખીએ. ખરેખર તો વિદ્યાર્થીઓને છૂટા છોડી મૂકવા જોઈએ, જેથી તેઓ રખડી પડે. આઈ મીન રખડશે તો શીખશે. આમ પણ એણે નોકરી માટે ભવિષ્યમાં રખડવાનું જ છે, તો એની ટેવ વિદ્યાર્થી અવસ્થાથી જ પડે એ જરૂરી છે, છતાં સ્કૂલ કે વર્ગ કે વિદ્યાર્થી કે શિક્ષણ કે પરીક્ષણના જેને અભરખા છે તે ભલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIથી આખી સ્કૂલ ઉપજાવી લે, અમને વાંધો નથી, પણ જે સજીવ છે એને રખડીને અનુભવ લેવા દો. હવે કોઈને ક્રિએટિવ બનાવવાની જરૂર નથી. કવિતા જો AI સારી રીતે કરે એમ હોય તો આપણે મગજ ખપાવવાની જરૂર ખરી? આમે ય ભેજું ઓછું હોય ત્યાં ઘસારો શું કામ વેઠવો? ભાવિ યુદ્ધો હવે AI લડશે, આપણે તો બંકરોમાં કેમ સંતાવું એ જ શીખવાની જરૂર છે. એવું ન થાય કે આખું આર્ટિફિશિયલ જગત ડેવેલપ થઈ જાય ને માણસો જડે જ નહીં !

શું છે કે ઘણા વિદ્યાર્થીઓ ઈતર પ્રવૃત્તિઓમાં એટલા રોકાયેલા હોય છે કે પુસ્તકો જ ઉઘાડી શકતા નથી. વિદ્યાર્થીઓ ભણે કે ન ભણે, શિક્ષકો ભણાવે કે ન ભણાવે, પણ પરીક્ષા તો હોય જ છે. હવે પિરયડ્સ પણ ભાગ્યે જ લેવાય છે, એટલે તેનું તો નહીં, પણ પરીક્ષાનું ટાઈમટેબલ તો જાહેર કરવું જ પડે છે. એ જુદી વાત છે કે ગણિતની પરીક્ષામાં ગુજરાતીનું પેપર અપાઈ જાય ને વિદ્યાર્થી પણ ગણિતના દાખલાને બદલે અખાના છપ્પા કે ડખાના ગપ્પાં મારી આવે ને પાસ થઈ જાય. કાયદામાં એવું છે કે સો ગુનેગાર નિર્દોષ છૂટે તેનો વાંધો નહીં, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ, એ જ રીતે પરીક્ષામાં સો ડફોળ પાસ થાય તેનો વાંધો નહીં, પણ એક હોંશિયાર નાપાસ ન થવો જોઈએ, એટલે અમે પરીક્ષાઓ બને એટલી સહેલી રાખવા માંડી છે. તે એ હદે કે પરીક્ષામાં વિદ્યાર્થી પુસ્તક લઈને બેસે તેવી વ્યવસ્થા પણ વિચારી રહ્યા છે. કૈં નહીં તો વિદ્યાર્થી પરીક્ષા હોલમાં પુસ્તક ખોલે ને પુસ્તક કયા વિષયનું છે એટલી ખબર, આડે દહાડે નહીં, તો પરીક્ષા ખંડમાં પણ પડે તે ઓછું છે? એ ખરું કે આજની પરીક્ષા યાદશક્તિની પરીક્ષા છે. આમ તો યાદશક્તિની જરૂર પરીક્ષામાં જ પડતી હોય છે, બાકી, ન હોય તો ચાલે. ખરેખર તો યાદ રાખે એવા વિદ્યાર્થીઓની જરૂર જ નથી. યાદ રાખે તો ઉપદ્રવ કરેને ! યાદ રહેવાને કારણે જ તો શિક્ષકો જૂનાં પેન્શન ને કાયમી ભરતીની વાત કરે છે. એમની યાદશક્તિની કસોટી ન થઈ હોત તો એમણે આવી માંગણીઓ કરી હોત? ભાવિ યુવકો પણ કોઈ માંગણી ન કરે એટલી જ યાદશક્તિ એમની વિકસાવવી. એથી વધુ યાદશક્તિ, કોઈ પણ સત્તા માટે જોખમી છે. ..

શું છે કે વિદ્યાર્થીઓ મોબાઇલમાં, સોશિયલ મીડિયામાં, લાઇક્સમાં, મેસેજ આપવા-મોકલવામાં, ઓ.ટી.ટી. પર ફિલ્મો જોવામાં, કોચિંગ ક્લાસમાં એટલા વ્યસ્ત હોય છે કે તેમને પરીક્ષા આપવાનું સખત ટેન્શન હોય છે. ઘણા તો પરીક્ષાનાં ટેન્શનને લઈને આપઘાત કરવા સુધી પહોંચે છે. એવું ન થાય એટલે હવે વાલીઓ બાળકોની પરીક્ષા માટે રજા લે છે ને પરીક્ષા માટેનાં કાપલાં બનાવી કાઢે છે. એ કાપલાં બનાવવા પણ વાંચવું તો પડે જ ! તે એ બિચારા રાતદા’ડો ઉજાગરા કરીને કોર્સ પૂરો કરે છે. પણ, પરીક્ષામાં ચોપડી લઈને બેસવાની છૂટ આપીશું, તો કાપલાં બનાવવાની જ જરૂર નહીં રહે.

શું છે કે પરીક્ષા તો નાબૂદ થઈ શકે એમ નથી, પણ પરીક્ષા, પિકનિક બની રહે એ માટે અમે પ્રયત્નશીલ છીએ. એમ થશે તો પરીક્ષાનો હાઉ જ નહીં રહે ને વિદ્યાર્થીઓ પાર્લરમાં આવતા હોય એમ આવી શકશે. વિચાર તો એવો છે કે વિદ્યાર્થીને પરીક્ષા ખંડ સુધી જ ન દોડાવવા. એને બદલે શિક્ષકોને જ વિદ્યાર્થીઓના ઘરે મોકલવા. આમ પણ રસી માટે, વસ્તી ગણતરી માટે, ચૂંટણી માટે શિક્ષકો ઘરે ઘરે રખડે જ છે, તો પરીક્ષા માટે જાય એમાં કૈં ખોટું નથી.

શું છે કે અમે વિદ્યાર્થીઓનું પાર્ટિસિપેશન ઈચ્છીએ છીએ, તે એવું કે એ જ સિલેબસ નક્કી કરે ને એ ઈચ્છે એટલા જ પાઠ કોર્સમાં હોય. એને ટાઈમ હોય તો એ જ પરીક્ષાનું પેપર સેટ કરે ને આવડતું હોય તો એ જ પેપર લખે ને ચેક પણ કરે. કોઈને તો ઠીક, પણ પોતાને પણ નાપાસ કરવાની નોટ સત્તા ! સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટી નાપાસ થાય તો ચાલશે, પણ વિદ્યાર્થી નાપાસ ન થવો જોઈએ. હવેથી ઝીરો માર્કસે પણ પાસ કરવાનો પરિપત્ર બહાર પાડવાના છીએ. વિદ્યાર્થીઓ હશે તો આપણે હોઈશું. એ બધા પરદેશ ભણશે તો અહીં કયા કાકાને ભણાવવાના હતા? હવે એવી યોજના લાવવાનો વિચાર છે કે વિદ્યાર્થી અહીં પાસ તો થાય જ, પણ એટલો પાસ ન થાય કે વિદેશમાં એડમિશન મળી જાય. બીજું કૈં નહીં તો રેલીમાં, સભામાં કે સરઘસમાં ટોળું તો જોઇશેને? એ જ નહીં હોય તો સંતો ને ઘંટો. ઉપદેશ, ગાયકૂતરાંને આપવાના હતા?

શું છે કે હવે શિક્ષક જ ફોન કરીને વિદ્યાર્થીને પૂછી લેશે કે પરીક્ષા આપવાનો ટાઈમ છે? એ ‘હા’ કહે તો પરીક્ષા લેવા જવું. ધારો કે ચાલુ પરીક્ષાએ માનનીય વિદ્યાર્થીને કૈં કામ આવી પડ્યું, તો શિક્ષકે તેની બહુ રાહ ન જોવી ને ઘરમાંથી જ કોઈ રાઇટર શોધી કાઢવો ને તેની પાસે લખાવવું અથવા શિક્ષકે જાતે જ આવડતું હોય તો જવાબો લખી કાઢવા. થોડું મોડુંવહેલું થાય તો ઉત્તરવહી ખેંચી ન લેવી. વિદ્યાર્થી રહી જાય તો ચાલે, પણ તેનું લખવાનું રહી ન જાય તે જોવું. જો વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં હાજર રહી પરીક્ષા આપવા રાજી હોય તો તેમને બે પરીક્ષા વચ્ચે એક દિવસ, મેસેજિસ કે કોમેન્ટ્સ તેમના ગ્રૂપમાં મૂકવા માટે કે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે સમય ગાળવા રજા આપવી. અમે ઈચ્છીએ છીએ કે પરીક્ષાનું ટેન્શન વિદ્યાર્થીને ન રહે એવું વાતાવરણ ઊભું થાય. પરીક્ષા પછી વિદ્યાર્થી પેપર તપાસવા તૈયાર થાય તેમ કરવું, તૈયાર ન થાય તો પેપર વિદ્યાર્થીની અનુમતિ લઈ શિક્ષકે તપાસવું અને તેને પૂછીને માર્કસ મૂકવા ને ધ્યાન રાખવું કે કોઈ રીતે પણ તે નાપાસ ન થાય. યાદ રાખો કે નાપાસ થયેલાઓએ ને નહીં ભણેલાઓએ જ દેશને બાનમાં લીધો છે. એ લોકો તાનમાં રહે ને ભણેલાઓ તાણમાં રહે એ જ આજની વાસ્તવિકતા છે. એ ચાલુ રહે એમ તમે ઈચ્છો છો?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 ફેબ્રુઆરી 2024

Loading

વરણાગિયો

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|25 February 2024

સવારે ઊઠીને,

માથામાં,

ડાઈનો કૂચડો,

મારી-સૂકવીને,

નાહીને,

બાથરૂમમાંથી, 

નીકળીને,

જેવું અરીસામાં,

જોયું તો,

અરીસો બરાડ્યો,

ઘૈડી ઘોડીને,

લાલ લગામ..!!!

ને પછી,

અરીસાએ,

અટ્ટહાસ્ય કરતા,

કહ્યું,

વરણાગિયો…!!!

e.mail : addave68@gmail.com

Loading

માતૃભાષા જો મા પણ ન બોલતી હોય તો શું કરશો ?

નેહા શાહ|Opinion - Opinion|25 February 2024

“ચલ, જલ્દી જલ્દી વોટર ડ્રિંક કરી લે …”. “રન રન કરતો પહોંચી જા …”, “ઈટ કરી લે …”

નેહા શાહ

નાનાં બાળકો સાથે બોલાતી આવી ભાષા લગભગ બધાએ સાંભળી હશે. પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવા ઇચ્છતાં મા-બાપ આવી ભેળસેળ ભાષા વાપરતાં હોય છે. મા-બાપને સરખું અંગ્રેજી આવડતું ના હોય, ઘરમાં સહેજ પણ અંગ્રેજીનો ઉપાયોગ થતો ના હોય તો પણ બાળક ભણવું તો અંગ્રેજીમાં જ જોઈએ. આ વર્ગ એટલો બધો મોટો છે કે શહેરોમાં ગુજરાતી માધ્યમની સારી કહી શકાય એવી શાળાની સંખ્યા ઝડપથી ઘટી રહી છે! એ વાત સાચી કે બજારની માંગ અંગ્રેજીની છે. અંગ્રેજી લખતા-બોલતા લોકો માટે નોકરીની તકો વધી જાય છે, એ વાત પણ સાચી. એટલે જ લોકો પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઇચ્છે છે. પણ, અભિવ્યક્તિની સાહજિકતા જે માતૃભાષામાં મળે છે એ પરદેશી ભાષામાં મળતી નથી. “વોટર ડ્રિંક કરી લે …” જેવી ભાષાના પ્રયોગ સાંભળીને મોટા થયેલા બાળકને ના તો સારું ગુજરાતી આવડે છે, ના અંગ્રેજી.

આદિકાળથી વિકાસ કરતાં કરતાં માણસે કેટલી બધી ભાષા અને બોલીઓ વિકસાવી! ગુજરાતી ભાષામાં પણ કેટલું બધું વૈવિધ્ય છે. કહેવાય છે ને કે “બાર ગામે બોલી બદલાય”. દરેક ભાષામાં સદીઓ જૂનું કેટલું બધુ જ્ઞાન અને ડહાપણ સંઘરાયેલું છે. આજ તો આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે. જે ભાષાની સાથે લુપ્ત થતો જાય છે. જેમ કે, સંસ્કૃતિમાં ખૂંપેલી અને રોજિંદા જીવનમાં છૂટથી વપરાતી કહેવતો – ‘છાશ લેવા જવું અને દોણી સંતાડવી’, કે ‘કૂવામાં હોય તે હવાડામાં આવે’ – એના અર્થ પણ ગુજરાતી જુવાનિયા ગૂગલ પર શોધે તો નવાઈ નહીં! જે તળપદું જ્ઞાન ગૂગલ સુધી પહોંચ્યું તે જ સચવાશે એવી પરિસ્થિતિ અત્યારે છે. સૌથી મોટી વિડંબણા એ છે કે માતૃભાષા ના આવડતી હોય અને અંગ્રેજી આવડતું હોય એ બાબત લોકોને ગર્વ લેવા જેવી લાગે છે. બાબા બ્લેકશીપ …. ગાતાં બાળકને જોઈ હરખાતાં મા-બાપે એ સમજવાની જરૂર છે કે બાળકે ના તો કાળું ઘેંટું જોયું છે, ના ઘેંટાએ આપેલા ઊનનું મહત્ત્વ એને સમજાય છે, કારણ કે એ તો ગરમ પ્રદેશમાં રહે છે. તો પછી એ ગીતે બાળકને કયા અનુભવ સાથે જોડ્યું? ઘણી અંગ્રેજી માધ્યમની શાળાઓ બાળકને કડકડાટ અંગ્રેજી બોલતા કરી દેવાની હોડમાં ગુજરાતી બોલવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે, અને બોલ્યા તો સજા! આવી રીતો બાળકને ગુજરાતીથી તો વિમુખ કરે જ છે પણ અન્ય વિષયમાં રુચિ લેતા પણ અવરોધે છે. આ શિક્ષણની સેવા નહીં પણ કુસેવા થઈ.

વર્તમાન વિકાસની તરાહ વિવિધતાનું એકરૂપીકરણ કરનારી સાબિત થઈ રહી છે. આ સંઘર્ષ માત્ર અંગ્રેજીના આધિપત્યનો જ નથી, પણ દરેક ભાષામાં રહેલા વૈવિધ્યને બચાવવાનો પણ છે. ગુજરાતી બચાવો અભિયાનમાં જોડાયેલા ઘણાં મહાનુભાવો ભાષા-શુદ્ધિના નામે તળપદી અભિવ્યક્તિની હાંસી ઉડાવતા હોય છે, ત્યારે એક રીતે પોતાનું આધિપત્ય સ્થાપિત કરે છે. આ અભિયાન સંસ્કૃત ભાષાને સ્થાપિત કરવા માટે છે કે ભાષામાં રહેલા વૈવિધ્યના સન્માન માટે એ સ્પષ્ટતા હોવી જરૂરી છે.

સયુંક્ત રાષ્ટ્રના માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું ત્યારે આ વાતનો અહેસાસ હતો જ. સંયુક્ત રાષ્ટ્ર નોધે છે કે વિશ્વમાં લગભગ 7,000 ભાષા બોલાય છે. એમાંથી દર પંદર દિવસે એક ભાષા લુપ્ત થાય છે! આશરે 45 ટકા જેટલી ભાષા વિલુપ્ત થવાની કગાર પર ઊભી છે. આજે વિશ્વભરમાં શિક્ષણ માટે વપરાતી ભાષાની સંખ્યા ચાર આંકડામાં નથી પહોંચતી અને ડિજિટલ વિશ્વમાં વપરાતી ભાષાની સંખ્યા સોએ પણ નથી પહોંચતી. પરિણામે વિશ્વના 40 ટકા લોકોને પોતાની માતૃભાષામાં શિક્ષણ નથી મળતું, કેટલાક વિસ્તારોમાં તો આ પ્રમાણ 90 ટકા સુધી પહોંચે છે.

નિરંજનભાઈ ભગતે એકવાર લખેલું કે ભાષા ગુજરાતી અને માધ્યમ અંગ્રેજી. લીનાબહેન મંગળદાસ, જેમણે અમદાવાદમા શ્રેયસ પ્રતિષ્ઠાનની સ્થાપના કરી અને મોંટેસરી પદ્ધતિને અપનાવી, તેઓ કહેતાં જે ભાષા ઘરે બોલાતી હોય એ જ ભાષામાં બાળકનું શિક્ષણ થાય તો એણે ભાષા સાથે સંઘર્ષ નહીં કરવો પડે અને માત્ર વિષય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. યુનેસ્કોએ આ વર્ષે આ જ વાત કહી છે. આ વર્ષે માતૃભાષા દિવસની ઉજવણીનો વિષય રખાયો છે – “બહુભાષીય શિક્ષણ – ભણતર અને આંતર–પેઢીય ભણતરનો પાયો”, જે થકી સર્વસમાવિષ્ટ શિક્ષણ અને સ્થાનિક ભાષાઓના સંરક્ષણ પર ભાર મુકાયો છે. બાળકને જો શરૂઆતના વર્ષોનું શિક્ષણ માતૃભાષામાં અપાય તો ઘર અને શાળા વચ્ચે તાદાત્મ્યતા સધાશે, બાળકની સર્જન શક્તિ અને વિવેચન ગુણ પણ ખીલશે, કુતૂહલતા જળવાશે તેમ જ આત્મ વિશ્વાસ ઊભો થશે. ઘણા અભ્યાસ આ વાતનું સમર્થન કરે છે. બાળક મોટું થતાં ધીમે ધીમે બીજી ભાષા શીખી જશે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપી શકાય એવી વ્યવસ્થા ગોઠવાય તો ભાષા બચાવવાના પ્રયત્નો માત્ર 21મી ફેબ્રુઆરી પૂરતા મર્યાદિત નહીં રહે.

પ્રગટ : ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ફેબ્રુઆરી 2024

Loading

...102030...650651652653...660670680...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved