Opinion Magazine
Number of visits: 9457231
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ” – સારસંક્ષેપ : પ્રકરણ – ૧૫ 

સુમન શાહ|Opinion - Literature|26 February 2024

સુમન શાહ

== આ નવલકથામાં માર્ક્વેઝના સ્વાનુભવો મોટું પ્રેરકબળ બન્યા છે; એની પ્રતીતિ આ અને પછીનાં પ્રકરણોમાં સવિશેષે થાય છે.

જેમ કે, બનાના પ્લાન્ટેશનના કામદારો હડતાલ પર ઊતરી જાય છે અને એમને મારી નાખવામાં આવે છે એ દુર્ઘટના, માર્ક્વેઝે પોતાના નાનપણમાં જોયેલી ઘટનાનું પ્રતિબિમ્બ છે. ત્યારે માર્ક્વેઝ એક બનાના પ્લાન્ટેશનની નજીક રહેતા હતા; ત્યારે કામદારો હડતાળ પર ઊતરી ગયેલા; ત્યારે મશિનગનોથી કામદારોની હત્યા થયેલી, એટલું જ નહીં, એમની લાશોને દરિયામાં ફૅંકી દેવાયેલી !

એમ લાગે કે માર્ક્વેઝ એકાન્તે, કોરાણે, રહી ગયેલા માકોન્ડો ગામની રસપૂર્વક વાર્તા કહી રહ્યા છે; પરન્તુ નોંધવું જોઈશે કે બનાના પ્લાન્ટેશનનું એ અમાનવીય ઘટનાચક્ર લેટિન અમેરિકામાં વિસ્તરેલા વેસ્ટર્ન ઇમ્પિરિયાલિઝમના ઇતિહાસનો જ એક દુ:ખદ હિસ્સો છે. નવલકથામાં માર્ક્વેઝ નિરૂપે છે કે બનાના કમ્પનીઓનો કૅપિટાલિસ્ટ ઇમ્પિરિયાલિઝમ માકોન્ડોવાસીઓ માટે કેટલો તો ખાઉ અને નુક્સાનકારક હતો. એથી માકોન્ડોમાં ભ્રષ્ટાચાર શરૂ થયેલો.

નવલમાં સરકારો અને સત્તાને વિશેનું એમનું સમીક્ષક દૃષ્ટિબિન્દુ પણ વણાયેલું છે. કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાની લિબરલ પાર્ટી માટેની લડત માત્ર કથાપરક કલ્પના નથી, પણ એ લડતની પાર્શ્વભૂમાં લિબરલ્સને વિશેની માર્ક્વેઝની સહાનુભૂતિ અને ભ્રષ્ટ કૉન્ઝર્વેટિવ સરકાર પ્રત્યેનો તિરસ્કારભાવ પણ જોઈ શકાય છે.

ખરેખર તો, એમના વતન કોલમ્બિયામાં થયેલા રાજકીય સંઘર્ષોનાં જ આ બધા કથા-આકારો છે. ==

પ્રકરણ : ૧૫ —

મૌરિસિઓ બૅબિલોનિયાને થયેલા કરોડરજ્જુના રોગની કરુણતાથી મેમે આઘાત પામે છે ને બોલતી બંધ, અવાક, થઈ જાય છે. મેમેની વર્તણૂકથી વિક્ષુબ્ધ ફર્નાન્ડા એને લાંબો પ્રવાસ કરાવીને પોતાને વતન લઈ જાય છે.

મૌરિસિઓ બૅબિલોનિયાને એની જગ્યાએથી ખસેડીને મુક્ત થતાંની વારમાં, ફર્નાન્ડાએ આગળનું બધું વીગત વીગતમાં વિચારી લીધું, એટલા માટે કે એ આખા બોજથી ઝટ હળવા થઈ જવાય. પતિ જોડે કશી વાતચીત કર્યાં વિના એણે બૅગો તૈયાર કરી. દીકરી માટે એક નાની સૂટકેસમાં ત્રણેક જોડ કપડાં મૂક્યાં, અને ટ્રેન ઉપડવાના અરધા કલાક અગાઉ દીકરીના બેડરૂમમાં જઈને એને પણ તૈયાર કરી દીધી.

‘ચાલ જઈએ, રેનાતા,’ ફર્નાન્ડાએ કહ્યું, કશો વિશેષ ખુલાસો પણ ન કર્યો, મેમેએ પણ કંઈ પૂછ્યું નહીં. એને થયું ફર્નાન્ડા જાણે એને કસાઇખાને લઈ જાય છે, જાણ્યું જ નહીં કે બન્ને ક્યાં જઈ રહ્યાં છે. બૅકયાર્ડમાં થયેલા ગોળીબારનો ધડાકો અને મૌરિસિઓ બૅબિલોનિયાની ચીસ સિવાયનું એને કશું જ યાદ ન્હૉતું; અને ત્યારથી એ અવાક થઈ ગયેલી તેમ જ  જીવનભર એમ જ રહેલી. બેડરૂમમાં ફર્નાન્ડાએ હુકમ ફરમાવ્યો એટલે એણે મૉં ધોયું નહીં, વાળ પણ ઓળ્યા નહીં ને ટ્રેનમાં પ્રવેશી – જાણે ઊંઘમાં ચાલી રહી’તી … એને ખબર પણ ન પડી કે પીળાં પતંગિયાં હજી એને સાથ આપી રહ્યાં’તાં.

મેમે કૉન્વેન્ટમાં જોડાય છે અને મૌરિસિઓ બૅબિલોનિયાના વિચારોમાં ખોવાયેલી રહે છે, શેષ જીવન ત્યાં જ વીતાવે છે. એના કૉન્વેન્ટમાં આવ્યાના અનેક માસ પછી, કૉન્વેન્ટની એક નન મૌરિસિઓ બૅબિલોનિયાથી થયેલા મેમેના અવૈધ છોકરાને લઈને બ્વેન્દ્યા હાઉસ આવે છે. ફર્નાન્ડા એને ઔરેલિયાનો બ્વેન્દ્યાની જૂની વર્કશોપમાં સંતાડી રાખે છે. મેમેનાં એ કરતુતથી ફર્નાન્ડાને નીચાજોણું થાય છે, એ એવી બનાવટ કરે છે કે છોકરો અનાથ છે. છોકરો ‘ઔરેલિયાનો બીજો’ કહેવાય છે.

તે મેમે બ્વેન્દ્યાના એ અવૈધ પુત્રને ઘરે લાવી, પરન્તુ એથી તો માકોન્ડો ગામ માટે ભાવિમાં ઘાતક નીવડનારી ઘટનાઓ સ્પષ્ટ થઈ ગઈ.

લોકોની પરિસ્થિતિ એવી હતી કે અંગત લફરાંમાં માથું મારવા કોઈ તૈયાર ન્હૉતું. એવા વાતાવરણમાં ફર્નાન્ડાને ભરોંસો પડેલો કે પોતે પુત્રને સંતાડી રાખશે તો કશું ખોટું નહીં થાય – જાણે એનું અસ્તિત્વ જ ન્હૉતું ! જાણે એ હતો જ નહીં. ફર્નાન્ડાએ એમ જ કરવું પડે, કેમ કે પુત્રને એવા સંજોગોમાં લાવેલા કે જુદું કશું શક્ય જ ન્હૉતું. ફર્નાન્ડાને ગમે કે ન ગમે, પુત્રને જીવનભર વેઠી લીધા વિના એનો છૂટકો ન્હૉતો; વળી, પુત્રને બાથરૂમના ટબમાં ડુબાડી દેવાના પોતાના મનોનિર્ણય વિશે પણ એ ઢચુપચુ હતી.

પુત્રને એણે કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાની જૂની વર્કશૉપમાં બંધ કર્યો ને સોફિયા દ લા પિયેદાદને સમજાવી દીધું કે એણે છોકરાને બાસ્કેટમાં ‘તરતો’ – દેખાતો – જોયો છે. ઉર્સુલા છોકરાની અસલીયત ન જાણે તો તો જીવતે જીવ મરી જાય ! એક વાર, ફર્નાન્ડા છોકરાને ખવરાવતી’તી ત્યારે, નાની અમરન્તા ઉર્સુલા ત્યાં જઈ ચડેલી, એને પણ બાસ્કેટની જુક્તિ સમજાઈ ગયેલી.

મેમેને એના જીવનની કરુણતાથી બચાવી લેવામાં ફર્નાન્ડા ઢંગધડા વગરનું વર્તેલી, એટલે, એનો ધણી ઔરેલિયાનો સેગુન્દો હતાશ થઈ ગયેલો. છોકરાને ઘરે લાવ્યા એ પછીનાં ત્રણ ત્રણ વર્ષ લગી ઔરેલિયાનો સેગુન્દોને પોતાના એ પૌત્રની કશી જાણ જ ન્હૉતી થઈ.

Turkeys’s wattles —

બનેલું એવું કે ફર્નાન્ડાની બેદરકારીને લીધે છોકરો એક દિ વર્કશોપમાંથી આંગણામાં પ્હૉંચી ગયેલો – નાગો – વાળ વિખરાયેલા – એનું શિશ્ન નર ટર્કીની સંવનન માટે ઉત્તેજિત થઈ ગયેલી લાલ ગળાગોદડીના જેવું (Turkeys’s wattles) હતું. લાગે કે એ માનવબાળ નથી પણ જ્ઞાનકોશમાં આપેલી નરભક્ષકની વ્યાખ્યા છે.

(ક્રમશ:) 

= = =

(Feb 26, 24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આત્મહત્યા પરીક્ષામાં નાપાસ થવાની નહીં, તે સમાજની નજરોમાં ના-લાયક હોવાની નિશાની છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 February 2024

રાજ ગોસ્વામી

“સોરી! મૈંને જો ભી કિયા હૈ, અપની મરજી સે કિયા હૈ. તો, પ્લીઝ, મેરે દોસ્તો ઓર પેરેન્ટ્સ કો પરેશાન ના કરેં.”

મૈં મેન્ટલી બહોત ડિસ્ટર્બ થા. એક લડકી ને બહોત પરેશાન કિયા. મુજે ઇતના ડિસ્ટર્બ કર દિયા કે નીટ કા મેન્ટલ પ્રેશર ઔર ઇસકા પ્રેશર સબ હદ સે જ્યાદા હો ગયા.”

“આઈ એમ સોરી મમ્મી-પાપા. આપ જૈસે માં-બાપ સબ કો મિલે, જો હંમેશાં સાથ દે. ગલતી મેરી હી થી જો મૈંને આપ કી બાતેં નહીં માની ઔર ચીજો કો અપને ઢંગ સે કરતા રહા.”

“સોરી, મમ્મી-પાપા, પર મૈં કિસી ચીજ કે લાયક નહીં હૂં. આપકા બેટા બહોત લડા લેકિન હાર ગયા. ઇતને પૈસે મુજ પર બરબાદ કરને કે લિયે સોરી, લેકિન મેરા પ્યાર જૂઠા નહીં થા, લડકે સે હુઆ થા લેકિન સચા થા એકદમ.”

“હમ કિતના ભી પઢ લે લેકિન હમારા સિલેકશન નહીં હોગા. લાસ્ટ ઈયર હમને વેસ્ટ કિયા, લેકિન ઇસ બાર હમ હાર્ડવર્ક કર રહે થે બટ, ફિર ભી રિઝલ્ટ નહીં આયા, ઈસલીયે પ્લીઝ હમે માફ કર દીજીયેગા. હમારી હિમ્મત નહીં હોગી આપ લોગો સે નજરે મિલાને કી, ઈસલીયે અપની લાઈફ ખતમ કર રહે હૈ.”

રાજસ્થાનના કોટા શહેરનું નામ તમે સાંભળ્યું હશે. તમને ખબર હશે કે કોટામાં કોચિંગ ક્લાસનો વ્યવસાય જબ્બર ફૂલ્યોફાલ્યો છે. એમાં તમે એ પણ સાંભળ્યું હશે કે ત્યાં ઈજનેરી અને મેડિકલની વિભિન્ન પ્રવેશ પરીક્ષાઓમાં પાસ થવાની આશાએ ભણવા આવતા દેશભરના અનેક વિધાર્થીઓમાં વખતોવખત આત્મહત્યાઓની ઘટના બનતી રહે છે. ઉપર, ગયા વર્ષે આવી જ રીતે આત્મહત્યા કરનારા અમુક વિધાર્થીઓએ મરતાં પહેલાં લખેલી ચિઠ્ઠીઓના અંશ છે. 

13મી ફેબ્રુઆરીએ, 12માં ધોરણની સાથે જે.ઇ.ઇ.ની તૈયારી કરી રહેલા એક વિધાર્થીએ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ વર્ષે આ ચોથો કેસ છે. 2023માં, કોટામાં આવી રીતે 29 વિધાર્થીઓને જીવ ગુમાવ્યો હતો. માત્ર સવા વર્ષમાં જ ૩૩ વિધાર્થીઓની આત્મહત્યા થવી એ સામાન્ય સંખ્યા નથી. તેને લઈને દેશમાં ચિંતાનું વાતાવરણ પણ છે.

આ તમામે તમામ આત્મહત્યાનાં મૂળ શોધવા જાવ તો, વ્યક્તિગત રીતે તેમાં તમને અલગ અલગ કારણો મળશે, પણ એ મોટાભાગે ટ્રીગર પોઈન્ટ જેવાં છે. બૃહદ્દ સ્તરે તેમાં મોટું કારણ શૈક્ષણિક શ્રેષ્ઠતા પુરવાર કરવાનું છે. વિધાર્થીઓ પર તેમની લાયકાત પુરવાર કરવાનું એટલું દબાણ છે કે રોજીંદા જીવનની નાની-મોટી ઘટનાઓ ટ્રીગર પોઈન્ટ બનીને તેમને ‘ટેન્શન-મુક્ત’ થવા તરફ લઇ જાય છે.

તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહેલી વાત યાદ છે? તેમણે પરિવારને ઉદ્દેશીને કહ્યું હતું કે બાળકોનાં રિપોર્ટ કાર્ડને પેરન્ટ્સ તેમનું વિઝિટિંગ કાર્ડ ના બનાવે. વિધાર્થીઓની આત્મહત્યા માટે શૈક્ષણિક સંસ્થાઓને દોષિત ઠેરવવી સહેલી છે, પરંતુ તેમાં સમાજ પણ એટલો જ જવાબદાર છે કારણ કે તેણે ભણવાને અને નોકરીને ઓલેમ્પિકની રેસમાં તબદીલ કરી દીધી છે. 

કોટામાં લગભગ 3 લાખ વિધાર્થીઓ રોજના અઢાર અઢાર કલાક ભણે છે એ એક પ્રેશર કૂકર જેવી પરિસ્થિતિ છે. ભારતની 1.4 અબજ વસ્તીના 65% લોકો 35 વર્ષથી ઓછી ઉંમરના છે અને દેશના ઇતિહાસમાં પહેલીવાર તેમની વચ્ચે કાતિલ સ્પર્ધા ઊભી થઇ છે. આટલી મોટી યુવા વસ્તી સામે, નોકરીઓ કે રોજગારની તકો ઘણી ઓછી છે, અને એટલે દરેકને બીજા કરતાં તેની લાયકાત વધુ પુરવાર કરવા માટે તનતોડ મહેનત કરવી પડે છે.

 જે વિધાર્થીઓ પરીક્ષાઓ ‘ટોપ’ કરે છે તેમનું હીરોને છાજે તેવું સન્માન કરવામાં આવે છે અને જે નિષ્ફળ જાય છે તેમને ઝીરો ગણવામાં આવે છે. ભારતમાં આજે પણ ઘરમાં છોકરો એન્જીનિયર હોય કે ડોકટર હોય તેનો સમાજમાં ‘વટ’ પડે છે અને એટલે જ બહુ બધાં પેરેન્ટ્સ કોટાને સ્વર્ગનો રસ્તો ગણે છે. ભારતમાં વિધાર્થીઓ પર સફળ થવાનું જે ખતરનાક પ્રેશર છે તે દેખાદેખી અને કથિત સામાજિક ઈજ્જતમાંથી આવે છે. છોકરાઓ માટે પરીક્ષાઓમાં ‘જીતવું’ એ જીવન-મરણનો પ્રશ્ન થઇ જાય છે.

કોટાના સ્વર્ગમાં જવાની દોડ 1990ના દાયકાની શરૂઆતમાં થઈ હતી. વડા પ્રધાનને એકવાર આ શહેરની પ્રશંસા કરીને તેને શિક્ષણનું “નવું કાશી” ગણાવ્યું હતું. અહીં, નવ જેટલી મોટી કોચિંગ સંસ્થાઓમાં સમગ્ર ભારતમાંથી 1.77 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. કોચિંગ સંસ્થાઓ શહેરની આર્થિક જીવનરેખા છે, અને તેમાં 4,000 વિદ્યાર્થીઓનાં છાત્રાલયો અને 40,000થી વધુ ગેસ્ટ હાઉસની સુવિધાઓ છે. 

ગયા વર્ષે, એક ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોટામાં 10માંથી ચાર વિદ્યાર્થીઓ ડિપ્રેશન સાથે સંઘર્ષ કરી રહ્યા છે અને 10માંથી આઠ વિદ્યાર્થીઓ બેચેની અથવા તણાવમાં છે. તેમાંથી નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓછી આવક ધરાવતા પરિવારોમાંથી આવે છે, જેમની પર માતાપિતાની અપેક્ષાઓનો બોજો હોય છે કે તેઓ ડોકટરો અથવા ઇજનેરો બને.

આ પ્રશ્ન કોટા સુધી મર્યાદિત નથી. વિધાર્થીઓમાં તનાવ અને આત્મહત્યા એક રાષ્ટ્રીય મુદ્દો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો 2020માં 12,500થી વધુ કિશોરોએ આત્મહત્યા કરી હતી. તેનો અર્થ એ થયો કે દરરોજ આશરે 34 વિદ્યાર્થીઓ તેમના જીવનનો અંત લાવે છે. આ ભયજનક આંકડા શિક્ષણ અને કારકિર્દીની પસંદગીઓને લગતા સામાજિક ધોરણો અને તેનાથી ઊભા થતા પ્રેશરની વ્યાપક સમસ્યાને પ્રતિબિંબિત કરે છે.

માતાપિતા હંમેશાં તેમના બાળકનું સારું ઇચ્છતાં હોય છે અને સાથે એવી પણ આશા રાખતાં હોય છે કે તેઓ જીવનમાં ખૂબ આગળ વધે, પરંતુ દેખાદેખીમાં અને તેમની ખુદની અધૂરપોના કારણે માતા-પિતા બાળકો પર એટલી બધી અવાસ્તવિક અપેક્ષાઓનું પોટલું મૂકતાં થઇ જાય કે બાળકો ઘણીવાર એમાંથી મુક્ત થઇ શકતાં નથી. આવા કિસ્સાઓમાં, માતા-પિતા માટે હંમેશાં સલાહ છે કે તેઓ બાળકોની વાત સાંભળે અને સમજે કે તેઓ ખરેખર તેમના ઉચ્ચ અભ્યાસ માટે શું કરવા સક્ષમ છે અને શું કરવા સક્ષમ નથી.

2019માં, હૈદરાબાદની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં ભણતા ૨૦ વર્ષના માર્ક એન્ડ્ર્યુ ચાર્લ્સે આત્મહત્યા કરતાં એક ચિઠ્ઠીમાં આ વાતનો પડઘો પાડ્યો હતો. સારા માર્ક્સ નહીં આવે તેવા ડરથી હોસ્ટેલ રૂમના સીલિંગ ફેન પર લટકી જતાં પહેલાં તેણે માતા-પિતા અને દોસ્તોને સંબોધીને, આઠ પાનાની ચિઠ્ઠીમાં લખ્યું હતું, “મારી પાસે નોકરી નથી, કદાચ મળશે પણ નહીં. ના-લાયકને કોઈ કામ પર રાખતું નથી! બીજા સૌની જેમ મને પણ સપનાં હતાં. આ બધી હકારાત્મકતા, સતત હસતા રહેવાનું, લોકોને કહેતા રહેવાનું કે ‘હું ઓકે છું,’ એ જૂઠ છે. હું ઓકે નથી. ઘરથી દૂર બે વર્ષ, શ્રેષ્ઠ ઇન્સ્ટિટયૂટ અને આજુબાજુમાં ઉત્તમ લોકો, મેં બધું વેડફી નાખ્યું. હું તેને લાયક નથી. હું બેકાર છું. તમે બેસ્ટ પેરન્ટ્સ છો, તેના માટે થેંક યુ. હું આવો નાકામ રહ્યો, તેના માટે સોરી.” 

આ ચિઠ્ઠી સમાજના ગાલ પર તમાચો છે. આ આત્મહત્યા પરીક્ષામાં ઓછા માર્ક્સની કે નાપાસ થવાની નથી. આ આત્મહત્યા સમાજની નજરોમાં ના-લાયક, નાકામ, નિષ્ફળ હોવાની છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ “સંદેશ”; 25 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પુસ્તક સાથે મૈત્રી

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|26 February 2024

અ‍ૅનિમલ ફાર્મ, લેખક : જ્યૉર્જ ઑરવેલ, અનુવાદ – શરીફા વીજળીવાળા, પાનાં 136, ગૂર્જર પ્રકાશન, 200/-  

એક વાડી પરનાં પ્રાણીઓ ક્રાન્તિના માર્ગે માલિકની સત્તાને ઉથલાવીને પોતાનું રાજ્ય સ્થાપે છે. સમાનતાના સિદ્ધાંત પર સ્થપાયેલું આ રાજ્ય અંતે આપખુદશાહીમાં ફેરવાઈ જાય છે.

આ વસ્તુ ગજબના કસબથી અને વ્યથાકારક રીતે પ્રાણીકથા તરીકે રજૂ થયું છે. દેખિતી રીતે, રશિયામાં 1917માં થયેલી સામ્યવાદી ક્રાન્તિની આ રૂપકકથા(1945)ની પ્રસ્તુતતા સર્વકાલીન છે.

અનુવાદકે તેમના બધા અનુવાદોની જેમ અહીં પણ મહેનતથી તૈયાર કરેલી પૂરક વાચન સામગ્રી મૂકી છે. તેમાં એરિક હ્યુજ બ્લેર (1903-50) મૂળ નામધારી બ્રિટિશ લેખક વિશેની ટૂંકી નોંધ ઉપરાંત નવલકથા માટેની ઐતિહાસિક-રાજકીય પાર્શ્વભૂમિ પૂરી પાડતી માહિતી અને ભૂમિકા-લેખ મૂક્યાં છે.

વિખ્યાત ગુજરાતી લેખક-અનુવાદક જયંતિ દલાલે આ નવલકથાનો ‘પશુરાજ્ય’ (1947) નામે અનુવાદ કર્યો છે. વિશ્વસાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓ સમાયાંતરે એક કરતાં વધુ સમર્થ અનુવાદકોના હાથે ગુજરાતી ભાષામાં તે આપણી ભાષાની ઉપલબ્ધિ છે. હવે ઑર્વેલની બીજી મહાન નવલકથા ‘નાઇન્ટીન એઇટી ફોર’ની પ્રતીક્ષા છે.

•

મીઠા જળનો લોટો, લેખક – ઇજ્જતકુમાર ત્રિવેદી, સંપાદક – સુનીતા ઇજ્જતકુમાર, પાનાં 528, પ્રવીણ પ્રકાશન, 750/- 

ભાવનગરમાં ઇતિહાસના અધ્યાપક ઇજ્જતકુમાર ત્રિવેદી(1935-2012)ના આ ‘સમગ્ર લઘુકથા સંચય’નું સંપાદન તેમનાં સુપુત્રીએ તર્પણભાવે કર્યું છે.

પુસ્તકની 206 લઘુકથાઓ લેખકના આઠ સંગ્રહોનો એક સાથે મૂકે છે. સંપાદકે તેમાંથી દરેક સંગ્રહ વિશે જાણીતા વિવેચકોએ લખેલા રસદર્શન લેખોને સમાવ્યા છે.

તદુપરાંત, ગુજરાતીમાં લઘુકથાના સમૃદ્ધ સ્વરૂપના પહેલા તબક્કાથી સક્રિય એવા લેખકનો આ સાહિત્યપ્રકાર વિશેનો ખુદનો લેખ પણ અહીં વાંચવા મળે છે. ‘નરસિંહ મહેતાનું પુનરાગમન’,‘લિંકનનાં આંસુ’, ‘વિલિયમ ટેલ’, ‘આર્કિમિડીઝ’, ’રાણો સંગ’, ‘હ્યુ-એન-સંગ’, ‘સિકંદર’,‘શિંખડી’ જેવાં પાત્રોના ઉપયોગથી લખાયેલી કૃતિઓ વિશેષ ધ્યાન ખેંચે છે. લઘુકથાને  વિષય બનાવતી હોય તેવી બે વાર્તાઓ અહીં છે.

વાર્તાકાર માય ડિયર જયુએ ‘ઇજ્જ્તકુમાર એટલે લઘુકથા’ એમ નોંધ્યું છે. 

•

સ્મૃતિસંપદા, સંપાદક – રેખા સિંધલ, પાનાં 416, ગુજરાત વિશ્વકોશ ટ્ર્સ્ટ અને અમેરિકામાં  ગુર્જરી પબ્લિકેશન, 300/-  

‘અમેરિકા નિવાસી ગુજરાતીઓની જીવનગાથા’માં પંદર આત્મકથ્યો છે. તેના લખનારા વિજ્ઞાન, ટેક્નોલૉજિ, વ્યાપારવાણિજ્ય, કૉર્પોરેટ, અધ્યાપન, મેડિસિન, વિશ્વપ્રવાસ જેવાં ક્ષેત્રોનાં છે.

તેમણે અહીં પોતાની જીવનયાત્રાની લાંબી લેખણે દિલ ખોલીને વાત માંડી છે. સંપાદકને પ્રચલિત ડાયાસ્પોરા માટે ‘દ્વિદેશી સાહિત્ય’ સમર્પક શબ્દ લાગે છે. કિશોર દેસાઈએ પુસ્તકના સારરૂપ દીર્ઘ પ્રસ્તાવના લખી છે.    

સ્વકથનોનાં લેખકો છે : પ્રીતિ શાહ-સેનગુપ્તા, નટવર ગાંધી, ડૉ. જયંત મહેતા, ડૉ. કમલેશ લુલ્લા, દેવિકા રાહુલ ધ્રુવ, બાબુ સુથાર, ડૉ. દિનેશ ઓ.શાહ, અશોક વિદ્વાંસ, સરયૂ દિલીપ પરીખ, રેખા સિંધલ, ડૉ. ઇન્દુ રમેશ શાહ, મનસુખ વાઘેલા, સપના વિજાપુરા, જગદીશ પટેલ અને અરવિંદ સી. થેકડી. આ ઘણું વાચનીય અને સમાજશાસ્ત્રીય મહત્ત્વ ધરાવતું પુસ્તક છે.

•

વાતવિસામો, લેખક – અનિલ જોશી, પાનાં 228, Zen Opus, 450/- 

વિખ્યાત કવિ અનિલ જોશીના, અમદાવાદ તેમ જ મુંબઈની અખબારી કૉલમોમાં પ્રસિદ્ધ થઈ ચૂકેલા ઢગલાબંધ લેખોમાંથી ચૂંટેલા 101 લેખો અહીં વાંચવા મળે છે. 

આ પ્રકારનાં લખાણ માટે જરૂરી વૈવિધ્ય અને કૌશલ્ય અહીં બધે જ જોવા મળે છે. લેખકના રસરુચિ અને મૂલ્યો માટેની સભાનતાની ઝાંકી પણ આ પુસ્તક આપે છે.

•

યોગી અરવિંદ, લેખક – રાજેન્દ્રમોહન ભટનાગર, અનુવાદક – કાશ્યપી મહા, પાનાં 416, ગૂર્જર પ્રકાશન, 600/-  

આ હિન્દી ચરિત્રનવલના આરંભે લેખકે તેના સર્જન પૂર્વે અને દરમિયાન તેમને થયેલી ચૈતસિક અનુભૂતિઓનું બયાન આપતો લેખ મૂક્યો છે.   

જીવનચરિત્રાત્મક નવલકથાની ખાસિયતો પર લેખકની હથોટી જણાઈ આવે છે. તેમણે મહારાણા પ્રતાપ, વિવેકાનંદ, ગાંધી, આંબેડકર, ઉપરાંત મીરાં, સૂરદાસ અને રૈદાસ પર પણ આ પ્રકારની નવલકથાઓ લખી છે. 

પ્રાપ્તિસ્થાન : ‘ગ્રંથવિહાર’, 9898762263

[હવેથી મારી  કૉલમ પુસ્તકો વિશેની મિતાક્ષરી નોંધ સ્વરૂપે આવશે. લેખકો / પ્રકાશકોને વિનંતી કે કૉલમ માટેના પુસ્તકો માત્ર અખબાર પર જ મોકલે. સરનામું : ‘ભાસ્કર હાઉસ’, મકરબા, ટોયોટા શો રૂમની બાજુમાં, એસ.જી.  હાઇવે, અમદાવાદ]

25 ફેબ્રુઆરી 2024
[25 ફેબ્રુઆરી 2024ના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલી મારી કૉલમ, પ્રકાશકોનાં નામના ઉમેરણ સાથે]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...649650651652...660670680...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved