Opinion Magazine
Number of visits: 9457298
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમારે અહીં ફક્ત એક ચીજનું જોખમ છે : કવિતા

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|6 March 2024

સ્પેનના આંતરવિગ્રહમાં લોર્કાની શહાદત સાથે નેરૂદાની કવિતા એક નવી જ પ્રતિબદ્ધ પ્રતીતિમાં ઠરી કે આ કોઈ ‘ધીમંત ક્રીડા‘ નથી, પ્રેમનું અફીણડોડું નથી; પણ માનવીય બિરાદરીમાં ન્યાય અને સમતા માટેનું બુલંદ જાહેરનામું છે

તાજેતરમાં બે વાત, લગરીક આગળપાછળ પણ લગભગ એક સાથે બની. સિતાંશુ યશશ્ચંદ્રે આજના જગતની કવિતામાં સહુની સહિયારી તોયે એકેએકની પોતાની સફર લઈને આવતો કાવ્યસંચય ‘संगच्छध्वम्’ હાથમાં મૂક્યો. એમ જ પાનાં ફેરવતાં હું પ્યોર્તોરિકન કવિ માર્તિન એસ્પાદાની રચના ‘બગીચામાં બંદૂકધારીઓ’ આગળ અટકી પડ્યો. ચીલે(ચીલી)ના વિશ્વવિશ્રુત ને નોબેલ પુરસ્કૃત કવિ-રાજપુરુષ પાબ્લો નેરૂદાના અંતિમ પર્વને સ્પર્શતી એ કૃતિના થોડા અંશો :

તખ્તાપલટ પછી

નેરૂદાના બગીચામાં, એક રાતે

સોલ્જરો તૈનાત કરવામાં આવ્યા

* * *

કવિ મરતા જતા હતા

કેન્સરે એમના બદનમાં આગ લગાડી દીધી હતી

* * *

તો પણ જ્યારે લેફ્ટેનન્ટ ઉપલે માળે ધસી આવ્યા 

ત્યારે નેરૂદાએ એમની બરાબર સામે જોઈને કહ્યું :

તમારે અહીં ફક્ત એક ચીજનું જોખમ છે : કવિતા

લેફ્ટેનન્ટે અદબથી પોતાને માથેથી ટોપો ઉતાર્યો

સેનોર નેરૂદાની માફી માગી

ને દાદરા ઊતરી ગયો.

* * *

આજકાલ કરતાં ત્રીસ વરસથી

અમે ગોત કરીએ છીએ

એવા બીજા એક મંત્રની

જેને બોલતાં

બગીચામાંથી બંદૂકધારીઓ છૂ થઈ જાય.

પાબ્લો નેરૂદા

કવિ પાબ્લો નેરૂદા મૂડીવાદ ને સરમુખત્યારી શાસનના ઘોર વિરોધી હતા. ચીલેમાં ક્યારેક સેનેટર રહ્યા હતા, તો પરદેશમાં વખતોવખત રાજનયિક (ડિપ્લોમેટિક) કામગીરી પણ બજાવી હતી. વચ્ચે કેટલાંક વરસ દેશનિકાલ પણ વેઠ્યો હતો. 1970માં જ્યારે સમાજવાદી-માર્ક્સવાદી ઝુકાવ સાથે ઉદાર લોકશાહી વલણોવાળી સાલ્વાદોર આયંદેની સરકાર બની ત્યારે નેરૂદા પેરિસ ખાતે ચીલેના રાજદૂત પણ હતા. 

1971માં એમને નોબેલ પારિતોષિક મળ્યું. એ સ્વીકારીને તે જ્યારે પરત ફર્યા ત્યારે એમના અભિવાદન સારુ સ્ટેડિયમ સિત્તેર હજાર લોકોથી ઉભરાઈ ઊઠ્યું હતું. 1973માં મિલિટરી કૂ(પ)થી આયંદે સરકાર ગઈ ને જમણેરી સરમુખત્યારી શાસન સ્થપાયું ત્યારે નેરૂદા કેન્સરની સારવાર હેઠળ હતા. સરમુખત્યાર પિનોશેના ઈશારે ભળતા ઈન્જેક્શન થકી એમનું મોત નીપજ્યાની ત્યારે લાગણી હતી. 

હમણાં, એસ્પાદાની ઉપર ઉતારી તે પંક્તિઓ વાંચતો હોઈશ એવામાં એક સમાચાર તરફ ધ્યાન ગયું કે ચીલેની અદાલતમાં નેરૂદાના મૃત્યુને લગતો કેસ ખૂલ્યો છે અને એના શંકાસ્પદ સંજોગોનો ભેદ ખૂલે એવી શક્યતા છે.

કિશોરાવસ્થા અને તારુણ્યના સંક્રાન્તિકાળે ઉત્કટ પ્રણયકાવ્યોથી ઊંચકાયેલા કવિની દલિત-દમિત માનવતા માટેની લાગણી 1936ના સ્પેનિશ આંતરવિગ્રહ સાથે જાણે કે એક નવું જ બેપ્ટિઝમ પામી એમ અભ્યાસીઓ કહે છે.

પોતે ત્યારે સ્પેનમાં ચીલેના કોન્સલ હતા, અને ફેડરિક ગાર્સિયા લોર્કા સાથે એમના મૈત્રીબંધનને નવો પુટ ચડ્યો હતો. આ લોર્કા સ્પેનની લોકશાહી રુઝાનવાળી સરકાર સામે જમણેરી લશ્કરી બળોની સામે અવાજ ઉઠાવવામાં સક્રિય હતા. આ બળોનું નેતૃત્વ ફાસીવાદી જનરલ ફ્રાન્કો કરતા હતા. લોર્કાને આ લશ્કરી બળોએ ઝબ્બે કર્યો ત્યારે જવાબદાર અધિકારીએ કહ્યું હતું કે એણે પોતાની પેનથી એવો દેકારો બોલાવ્યો હતો જે પિસ્તોલથીયે ન મચ્યો હોત.

સ્પેનિશ આંતરવિગ્રહના અનુભવ અને લોર્કાની શહાદત સાથે નેરૂદાની કવિતા એક નવી જ પ્રતિબદ્ધ પ્રતીતિમાં ઠરી કે આ કોઈ ‘ધીમંત ક્રીડા’ નથી પણ માનવીય બિરાદરીમાં ન્યાય ને સમતા માટેનું બુલંદ જાહેરનામું છે. એ કંઈ પ્રેમનું અફીણડોડું નથી. સાંભરે છે, લોર્કા વિશે પેલા સ્પેનિશ લશ્કરખોરની ટિપ્પણી કે કલમ ને કવિતા, પિસ્તોલથી ક્યાં ય ચડિયાતી હાણ પહોંચાડે છે!

કદાચ, કોઈ એક રચનાંશ વાસ્તે નેરૂદા સતત સંભારાશે તો તે ‘હાઈટ્સ ઓફ મચ્છુપિચ્છુ’ હશે. પેરુમાં મચ્છુપિચ્છુ ખાતે 7,970 ફૂટની ઊંચાઈએ તેરમી-ચૌદમી સદીમાં રચાયેલી વસાહત બે’ક સૈકામાં લુપ્ત પામ્યા પછી પણ લાંબા સમય લગી વિદેશી આક્રાન્તાઓથી અસ્પૃષ્ટ, એ રીતે અજેય જેવી રહી, એમાંથી અનુભવાતા એક અવિનાશી જીવનની આ દાસ્તાં છે. દેવહુમાની પેઠે, ‘રાઈઝ અપ ઍન્ડ બી બોર્ન’ એ જાણે કે સ્થાનિક જન જનને, લેટિન અમેરિકા માત્રને જગવતો યુગમંત્ર છે.

લેખિકા સુવર્ણાએ 2005માં પ્રકાશિત વાર્તાસંગ્રહ ‘પોતાનું નામ’ની પ્રસ્તાવનામાં નેરૂદા અને લોર્કાને અનાયાસ જ એક સાથે સરસ સંભાર્યા છે. ‘લલિત’ પણ લખતાં પોતે દલિતોને સમર્પિત છે એમ કહેતાં એમણે આ મથામણ ક્યાં સુધી એવા પ્રશ્નનો ઉત્તર નેરૂદાના સપનામાં જોયો છે : ‘ચાલો, આપણે ચાંદા જેવડી મોટી પોળી બનાવીએ, જેમાંથી જાતિ-ધર્મ-દેશ-વેશના ભેદથી પર થઈ, એકબીજામાં ભળી જઈ, બધાં એક જ થાળીમાં જમીએ.’ અને પછી જાણે આ પ્રક્રિયાનું વાર્તિક કરતાં હોય તેમ લોર્કાને સંભાર્યો છે : ‘જ્યારે શોષિત મુક્ત થશે ત્યારે ખરેખર તો શોષક મુક્ત થયો હશે. શોષણે શોષિતને જ નહીં શોષકને પણ અમાનવીય બનાવી દીધો છે. અત્યારે ગુલામ અને ગુલામધારક બંને બેડીમાં છે. ગુલામની બેડી તૂટે તો જ માલિકનીયે તૂટે.’

નેરૂદા સામ્યવાદી પક્ષને આજીવન વફાદાર રહ્યા પણ પ્રસંગે ઢાંચાઢાળ વફાદારીથી ઊંચે પણ ઊઠી શકતા. કોઈક સંદર્ભે એમને સોવિયેત યુનિયન માટે પ્રીતિવશ પક્ષપાત કઠ્યો ને ખૂંચ્યો પણ હશે. ક્રાંતિકારી ચે ગુવેરાના અતોનાત ચાહક છતાં શાંતિમય પરિવર્તનની શક્યતાઓ માટે કંઈક કૂણા પણ હશે.

ચીનની મુલાકાત પછી ભરીબંદૂક કહ્યું હતું એમણે કે મને માઓ ગમે તેથી માઓવાદ પણ ગમે એવું ચોક્કસ નહીં. એમના મિત્ર મેક્સિકન કવિ ઓક્ટેવિયો પાઝે (જેઓ ભારતમાં મેક્સિકી રાજદૂત હતા, એમણે) ક્યારેક સ્તાલિન ભણી અઢળક ઢળિયા નેરૂદાને ટપાર્યા પણ હશે. નેરૂદાની અપીલ હમણેના દાયકાઓમાં એવી જ બરકરાર છે.

એકાદ દાયકા પર ‘અરબ વસંત’ના દિવસોમાં કેરોની સડકો ને દીવાલો પર નેરૂદાની એ પંક્તિ ચીતરાયેલી હતી કે તમે સઘળાં પુષ્પોને સંહાર્યા પછી પણ વસંતને ખાળી શકતા નથી.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 06 માર્ચ 2024

Loading

મતદારોને પણ રાજકારણીઓનાં જૂઠ પસંદ હોય છે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 March 2024

રાજ ગોસ્વામી

ગયા વર્ષે, અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ઓહાયો રાજ્યનો એક કેસ આવ્યો હતો. તેમાં, ઓહાયોના ડેમોક્રેટ પ્રતિનિધિ (સંસદ સભ્ય) સ્ટીવ ડ્રાઈહોસે, તેની સામે સુસાન બી. એન્થની લિસ્ટ નામના બિન સરકારી, ગર્ભપાત વિરોધી સંગઠને એક જૂઠું વિજ્ઞાપન જારી કર્યું હોવાની ફરિયાદ કરીને કેસ કર્યો હતો. એ કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો, ત્યારે ઓહાયો રાજ્યના સરકારી વકીલે રાજ્યના બચાવમાં કહ્યું હતું કે ઓહાયોએ ચૂંટણી પ્રચાર દરમિયાન ખોટાં નિવેદન કરવા પર પ્રતિબંધ મુકતો કાયદો બનાવ્યો છે અને આવો કાયદો પૂરા અમેરિકામાં લાગુ કરવો જોઈએ. તે વખતે, કોર્ટના ન્યાયમૂર્તિઓએ હસતાં-હસતાં એવી ટિપ્પણી કરી હતી કે એવું થાય તો દરેક ચૂંટણી પહેલાં ત્રણ-ચાર મહિના સુધી સંપૂર્ણ ચુપ્પી છવાઈ જશે!

રાજકારણીઓ બિન્દાસ્ત જૂઠ બોલે છે તે ભારત જેવા ‘ત્રીજા વિશ્વ’ની જ બીમારી નથી, તેનું ચલણ અમેરિકા જેવા ભણેલા-ગણેલા, વિકસિત દેશોમાં એટલું જ છે. ચૂંટણી પ્રચારમાં પૈસા પછી જેનો સૌથી છૂટથી ઉપયોગ થતો હોય તો, તે જૂઠ છે. નેતાઓ પોતાના વિશે જૂઠ બોલે છે, વિરોધીઓ વિશે જૂઠ બોલે છે, તેઓ નીતિઓ અંગે જૂઠ બોલે છે, તેનાં પરિણામો અંગે જૂઠ બોલે છે, તેઓ ભાષણોમાં, લખાણોમાં, રેલીઓમાં, પોસ્ટરોમાં, ચૂંટણી ઢંઢેરામાં, ટી.વી. પર, સોશિયલ મીડિયા પર જૂઠ બોલે છે.

રાજકારણીઓ જૂઠ બોલે છે તે વાત બધાને ખબર છે, પણ કોઈ એ નથી પૂછતું કે મતદારો એ જૂઠને ચલાવી કેમ લે છે? ઇન ફેક્ટ, રાજકારણીઓ જૂઠ બોલે છે તેમાં તેમના ચારિત્ર્યની ત્રૂટિ નથી, વાસ્તવમાં તેમના જૂઠ માટે લોકો જવાબદાર છે! લોકો તેમનું જૂઠ ચલાવી લેશે તેવો રાજકારણીઓને ભરપૂર વિશ્વાસ હોય છે. કેમ? કારણ કે રાજકારણીઓને ખબર છે કે તેમણે એ નથી બોલવાનું જે સાચું છે, પણ એ બોલવાનું છે જે મતદારોને સાંભળવું છે.

કોઈ નેતા લોકપ્રિય છે એટલે તેની વાતો સાચો નથી થઈ જતી. સંભાવના તો એવી હોય છે કે એ જૂઠ પણ હોઈ શકે, કારણ કે નેતા લોકોમાં અળખામણા થઈ જવાય એવું બોલવાનું ટાળે છે, અને લોકપ્રિય થવાય તેવું વધારે બોલે છે.

મજાની વાત એ છે કે એવો કોઈ મતદાર નથી જે એવું માનતો હોય કે નેતાઓ સાચું બોલે છે! તેને ખબર છે કે ચૂંટણી પ્રચાર જૂઠની પીઠ પર ચડીને કરવામાં આવે છે, છતાં તે હોંશે હોંશે તેને સાંભળે છે. કેમ? સોશિયલ સાઈકોલોજીમાં તેને ક્રાઉડ વિઝડમ (ટોળાનો વિવેક) કહે છે. તેમાં મોટી સંખ્યામાં લોકો કોઈ વાત માનતા હોય તો, બાકીના લોકો પણ તેને માનવા પ્રેરાય છે. 

ક્રાઉડ વિઝડમમાં, કોઈ વાત કેટલી લોકપ્રિય છે તેના પર લોકો પોતાનો મત કેળવતા હોય છે, નહીં કે તે સાચી છે એટલે. આ કારણથી જ રાજકારણીઓના જૂઠમાં માનનારાઓ ઘણા હોય છે. લોકશાહીમાં એટલા માટે જ બહુમતી લોકોનું અજ્ઞાન, વિશેષ જ્ઞાન ધરાવતા લઘુમતી પર ભારે પડે છે, જેના પરિણામ સ્વરૂપ, ખોટો જવાબ સૌથી અધિક સ્વીકૃત થાય છે.

બહુમતિ લોકોની સહજ વૃત્તિ તેમના અભિપ્રાયોને સાચા માનવાની હોય છે, કારણ કે લોકો નેતાની લોકપ્રિયતાને તેની હોંશિયારી સાથે જોડે છે. બાબાઓ-ગુરુઓ, ફિલ્મ સ્ટારો, રાજકારણીઓને સાંભળવા લોકો એટલે જ ભેગા થતા હોય છે. તેમાં એકલ-દોકલ વ્યક્તિ પોતાની સ્વતંત્ર વિચારશક્તિને બાજુએ મૂકીને ટોળા સાથે જવાનું પસંદ કરે છે.

20મી સદીમાં, રાજનૈતિક દર્શનની દુનિયામાં હન્ના અરેંડટ (1906-1975) નામની એક જર્મન-અમેરિકન વિચારકનું નામ મોટું છે. સત્તા અને અનિષ્ટ વચ્ચેના સંબંધ પર તેમણે ખૂબ લખ્યું છે. રાજકારણમાં જૂઠું બોલવાના ચલણ પર 1971માં લખેલા એક લોકપ્રિય લેખમાં હન્નાએ કહ્યું હતું, “સચ્ચાઈની ગણતરી ક્યારે ય રાજનૈતિક ગુણોમાં થઇ નથી, અને જૂઠને હંમેશાં રાજનૈતિક લેવડ-દેવડમાં ન્યાયોચિત સાધન ગણવામાં આવ્યું છે.”

ઘણીવાર રાજકારણીઓનાં જૂઠને લોકો “ઊંચા પ્રકાર”નું સત્ય માની લેતા હોય છે. અર્થાત, લોકો (ખાસ કરીને જે લોકો અંધભક્ત છે) એવું માનતા હોય છે તેમના નેતા એટલા મહાન અને પોતે એટલા પામર છે કે તેમનામાં નેતાના ઉચ્ચ વિચારોને સમજવાની તાકાત નથી એટલે તેને આંખ મીચીને માની લેવા જોઈએ. લોકો એટલા માટે પણ જૂઠને ચલાવી લે છે કારણ કે તેમને એવું લાગે છે કે નેતાઓ તેમના રાજકીય વ્યવહારોમાં બીજા હિંસક વિકલ્પ પસંદ કરે તેના બદલે થોડાં-ઘણાં નિર્દોષ જૂઠ બોલીને કામ ચલાવી દે તે વધુ હિતાવહ છે. “ના મામા કરતાં કાણો મામો સારો” કહેવત જેવો આ ઘાટ છે.

ટૂંકમાં કહીએ તો, રાજકારણીઓ એમના કરિશ્મા પર અને એમના ભક્તોના સમર્પણ ઉપર મુસ્તાક હોય છે. બીજું કારણ કોસ્ટ-બેનિફિટનો અનુપાત છે. મોટાભાગના રાજકારણીઓને ખબર છે કે સાચું બોલવાથી જે નુકસાન થાય તેના કરતાં, જૂઠ બોલવાથી વધુ ફાયદો થતો હોય તો જૂઠ જ બોલવું જોઇએ. આપણે આપણાં બાળકો પાસેથી સાચું બોલવાની અને ખોટાનો એકરાર કરવાની અપેક્ષા રાખીએ છીએ, પણ રાજકારણીઓના જૂઠને કેમ ચલાવી લઈએ છીએ કારણ કે એમાં “આપણા ફાધરનું કશું જતું નથી.” આપણે ક્યારે ય આપણા બાળકોને એવું કહીએ છીએ કે, “જો બેટા, મોટો થઇને જૂઠ બોલજે અને ખોટું કરજે?”

આપણા જેવા સાધારણ લોકોની દાલ-રોટી ચાલતી રહેતી હોય, ત્યાં સુધી આપણને ય રાજકારણીઓની અનૈતિકતા સામે કોઈ વાંધો નથી હોતો. આ વાલિયા લૂંટારા જેવું છે; અમે તો ઘર ચાલે એમાં ભાગીદાર છીએ છે, તેના પાપમાં નહીં. એટલા માટે આપણે આપણા બાળકોને રામના પાઠ ભણાવીએ છીએ, પણ રાજકારણના રાવણને ચલાવી લઈએ છીએ.

ભારતમાં તકવાદી નેતાઓ, બનાવટી બાવાઓ, સાંઠગાંઠથી કામ કરતા ધનપતિઓ, બોલિવૂડના બદમાશ નાયકો અને કૌભાંડી રમતવીરો આપણા રોલ મોડેલ બની રહ્યા છે તે, ગાંધીજીએ કહ્યું તેમ, અસત્યની પૂજામાંથી આવે છે. 1951માં નહેરુએ આવી શરૂઆતની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું, “ચૂંટણી જીતવાની લાયમાં આપણે જૂઠ અને ગલતનો આશરો લઇ રહ્યા છીએ, અને એવી રીતે જીત્યા પછી પણ અંતે તો આપણી એ હાર જ છે.”

એક ગરીબ માણસની ભક્તિથી પીગળીને ભગવાન હાજર થયા અને તેને એક જાદુઈ “સંતોષ શંખ” ભેટમાં આપ્યો અને કહ્યું કે આ શંખ તેની બધી ઈચ્છા સંતોષશે.

ગરીબ ઘરે ગયો અને શંખમાં મોઢું નાખીને કહ્યું, “મને દસ હજાર રૂપિયા આપ.” શંખમાંથી તરત જવાબ આવ્યો, “દસ શું કામ? તને ખાલી એક હજાર રૂપિયાની જરૂર છે, લે આ એક હજાર!”

ગરીબ ખુશ થઇ ગયો. તેની બધી સમસ્યાઓ હલ થઇ ગઈ, પણ શંખ પ્રતિપ્રશ્નો બહુ કરતો હતો એ તેને પસંદ નહોતું. ગરીબે તેના સ્થાનિક મંદિરના પૂજારીને વાત કરી. પૂજારીએ કહ્યું હું તને આના કરતાં વધુ ઉત્તમ “લપોડ શંખ” આપું છું, એ તને તું માંગીશ તેના કરતાં વધુ આપશે.

ગરીબે એમાં મોઢું નાખીને કહ્યું, “મને દસ હજાર આપ.” લપોડ શંખે જવાબ આપ્યો, “દસ શું કામ? એક લાખ લઇ જા ને!” ગરીબ ખુશ થઇ ગયો. તે સંતોષ શંખ આપીને લપોડ શંખ લઇ આવ્યો.

એ જે માંગે તેમાં લપોડ શંખ વધારો કરે.

“મને દસ હજાર આપ.” શંખ કહે, “દસ શું કામ? એક લાખ લઇ જા.”

ગરીબે થોડા દિવસ રાહ જોઈ અને પછી કહ્યું, “મને એક લાખ આપ.” લપોડ શંખે કહ્યું, “એક લાખ શું કામ? એક કરોડ લઇ જા.”

ગરીબ તો ખુશીનો માર્યો નાચવા લાગ્યો. હવે તેનાં બધાં દુઃખ દૂર થઇ જવામાં હતાં. એ હવે કરોડપતિ બની જવાનો હતો. દિવસો પસાર થયા, પણ કશું આવ્યું નહીં.

તેણે લપોડ શંખને ફરી કહ્યું, “મને એક કરોડ આપ.” શંખે તરત કહ્યું, “એક કરોડ શું કામ? એક અબજ લઇ જા.”

ગરીબ હવે અકળાયો હતો. તેણે કહ્યું, “તું મને નચાવે છે કેમ? પૈસા ક્યારે આપીશ તેની વાત કર ને!”

લપોડ શંખે કહ્યું, “હું પૈસા નથી આપતો, વચન આપું છું.”

મોટાભાગમાં લોકોની સ્થિતિ આવી જ છે : તેઓ એવા લપોડ શંખોને જ વોટ આપે છે જે તેમને વચનો આપે છે, અને એ ‘શંખો’ દર વખતે એકના ડબલ કરતા રહે છે. 

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 03 માર્ચ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અર્થશાસ્ત્રીઓને હરીફાઈનું વળગણ, બજારમાં તો ઈજારા છે!

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|5 March 2024

સત્તા અને અર્થશાસ્ત્ર: ભાગ-4

રોબર્ટ સ્કિદેલસ્કી

નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અર્થતંત્રને સામાન્ય રીતે સત્તાવિહીન બાબત તરીકે ચીતરે છે. તેમાં તેઓ બજારના ઈજારાને જ એકમાત્ર અપવાદ ગણે છે. એ બાબતે તેઓ માર્ક્સવાદીઓ કરતાં જુદા પાડે છે. માર્ક્સવાદીઓ તો બજારમાં જે ઇજારો છે તેને મૂડીની તમામ પ્રકારની માલિકીમાં જે ઈજારા છે તેનું એક અંતિમ સ્વરૂપ જ ગણે છે. બજારને સ્પર્ધાત્મક ગણીને અર્થશાસ્ત્રીઓ સત્તાને અદૃશ્ય બનાવી દેવામાં મદદ કરે છે.

ઈજારદાર એ છે કે જે કિંમત પર અસર ઊભી કરવા માટે મોટા જથ્થામાં વસ્તુ ઉત્પન્ન કરે છે કે વેચે છે કે ખરીદે છે. તમે ઇચ્છો તે પ્રમાણે વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો કરી શકો તે સત્તાનું જ એક સ્વરૂપ કહેવાય; બજારમાં જો તમે એકલા જ એ વસ્તુ આપનારા હોવ તો તમે આસાનીથી એમ કહી શકો કે ભાવવધારો એ તમારી રીત છે અથવા એ જ તમારો ધોરીમાર્ગ છે. બજારમાંનું વલણ જ ઈજારા ઊભા કરવાનું હોય છે એ વાત આધુનિક અર્થશાસ્ત્રના પિતા ગણાતા એડમ સ્મિથ દ્વારા સ્વીકારવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, “એક જ ચીજનો વેપાર કરનારા લોકો ભાગ્યે જ ભેગા મળે છે, પરંતુ તેમની વચ્ચેની વાતચીત લોકો સામેનાં કાવતરાંમાં અથવા કોઈક રીતે ભાવવધારામાં પરિણામે છે.”

એડમ સ્મિથ સમજી ગયા હતા કે બજારમાં કેટલાક ઈજારદાર હોય જ છે અને તેઓ ભાવ પર નિયંત્રણ રાખવાની પોતાની સત્તા ધરાવે છે; અને તેથી અર્થતંત્રમાં હરીફાઈથી ઉત્પાદનનાં સંસાધનોની કાર્યક્ષમ વહેંચણી થાય છે એવો જે સિદ્ધાંત છે તે તરત જ ભોંયભેગો થઈ જાય છે. દા.ત. જો કોઈ પાણી પર ઈજારો ધરાવે તો પાણી પુરવઠો આપનારા પાસે માત્ર પૈસા જાય છે એવું નથી, પણ ભાવવધારો કરવા માટે તે બિન-જરૂરી રીતે પાણીનો પુરવઠો પણ નિયંત્રિત કરે છે.

હેમન્તકુમાર શાહ

વધુમાં, બજારમાં ઈજારો હોય તો રાજકીય લોબીંગ માટેની ઈજારદાર પેઢી કે કંપનીની તાકાતમાં જોરદાર વધારો થાય છે. જો કોઈ ઉદ્યોગમાં એક કરતાં વધારે પેઢીઓ અથવા કહો કે કંપનીઓ હોય તો, જો એક જ પેઢી પોતાને માટે સાનુકૂળ સ્થિતિ ઊભી કરવા માટે રાજકીય સ્તરે લોબીંગ કરે તો તેનો લાભ બાકીની બધી પેઢીઓને મળે છે એટલે ફક્ત તેની પોતાની તાકાતમાં જ વધારો થાય એવું બનતું નથી. જો કે, જો ઈજારદાર પેઢી કે કંપની એક જ હોય છે તો રાજકીય લોબીંગનો બધો જ લાભ તેને મળી જતો હોય છે.

અર્થશાસ્ત્રીઓને ઈજારા વિષે વાત કરવામાં કોઈ જ સમસ્યા નડતી નથી, ઈજારાનો અર્થ માત્ર એટલો જ છે કે કોઈ એક વસ્તુ કે સેવાના બજારમાં એક જ ઉત્પાદક કે વેચનાર કે ખરીદનાર છે. જો કે, અર્થશાસ્ત્રીઓ આર્થિક જીવનમાં એવી ઇજારદાર પેઢીનું મહત્ત્વ બહુ ઓછું છે એમ કહેવાનું પસંદ કરે છે. અર્થશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકોમાં શરૂઆત પૂર્ણ હરીફાઈના બજારથી જ થાય છે અને ઈજારાના સિદ્ધાંતને તે પછી જ સમજાવવામાં આવે છે.

એનું કારણ એ છે કે 18મી સદીના એડમ સ્મિથના જમાનાથી અર્થશાસ્ત્રીઓ ઈજારાને બજાર એક કલંક કે બજારની અપૂર્ણતા તરીકે જ જુએ છે અને અન્યથા, તેઓ તેને બજારની એક ઇચ્છનીય પરિસ્થિતિ ગણાવે છે. આમ, અર્થશાસ્ત્રમાં જે મોડેલ ખડું કરવામાં આવે છે તેમાં શું સારું છે અને ખરાબ છે તેને વિષે જે વાત કરવામાં આવે છે તે અહીં છતી થઈ જાય છે.

ઈજારા પર એડમ સ્મિથે હુમલો કરેલો. એને અનુસરીને જે સરકારો મુક્ત બજાર પ્રત્યે પ્રતિબદ્ધ હોય છે તે સરકારો પણ છડેચોક જે ઈજારા દેખાતા હોય તેમની સામે નિર્ણાયક પગલાં લેતી રહી છે. સૌથી પ્રખ્યાત ઉદાહરણ છે 1911નું અમેરિકાનું. ત્યાં તે વખતે ઈજારા-વિરોધી શેરમેન કાયદો આવ્યો અને સ્ટાન્ડર્ડ ઓઈલ નામની કંપનીના ટુકડા કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ઈજારા સામેનું આ સખ્તાઈભર્યું વલણ સાવ જ હળવું કરી નાખવામાં આવ્યું છે.

ખાસ કરીને બજાર પરના નિયમનના કિસ્સાઓમાં એમ જ બન્યું છે. ઈજારાવાળી પેઢીની તાકાત ઓછી કરવા માટે જે ખરેખરી હરીફાઈની જરૂર હોય તેને બદલે માત્ર તેનો ખતરો જ બતાવી શકાય છે. જો અનેક ધારણાઓ સાચી છે એમ માની લઈએ તો પછી, કોઈ વસ્તુ કે સેવાના બજારમાં એક જ પેઢી કે એક જ કંપની હોય તો પણ તેને નવી આવનારી પેઢીઓનો ડર તો લાગે જ કારણ કે બજાર તો હરીફાઈવાળું હોય જ.

સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જો બજારમાં હરીફાઈ હોય તો બજારની પોતાની કોઈ સત્તા કે તાકાત રહેતી જ નથી. બજારલક્ષી વૈશ્વિકીકરણ માટે સૌથી મજબૂત દલીલ આ જ કરવામાં આવતી રહી છે.

રિચાર્ડ કૂપર નામના એક અમેરિકન આર્થિક સાહસિક એમ કહે છે કે, “વૈશ્વિક સ્તરના સ્પર્ધાત્મક વાતાવરણમાં વ્યાપક આર્થિક ક્ષમતા તમામ પક્ષકારો માટે વિકલ્પો ઊભા કરે છે; અને વિકલ્પો હાજર હોય તો કોઈ એક જ પક્ષકારની ક્ષમતા ઈચ્છિત ધ્યેયો પ્રાપ્ત  કરવા માટે મહત્ત્વની રહેતી જ નથી; સિવાય કે ગ્રાહકોની નજરે તેની કામગીરી સારી હોય.”

આ એક અત્યંત આદર્શવાદી ચિત્ર છે, વાસ્તવિક વૈશ્વિક ચિત્ર તો તદ્દન જુદું જ છે. વાસ્તવમાં તો મહાકાય કંપનીઓ બજારોની અંદરોઅંદર ભાગબટાઈ કરી લે છે, ક્યાં મૂડીરોકાણ કરવું તેની તેઓ માંહોમાંહે પસંદગી કરી લે છે. નાણું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને તેઓ પોતાની જ પેટા કંપનીઓ પાસેથી ઊંચા ભાવે વસ્તુઓની ખરીદી કરીને તેઓ જ્યાં ઈચ્છે ત્યાં જ કરવેરા ચૂકવે છે. આને અર્થશાસ્ત્રમાં transfer pricing કહેવામાં આવે છે. આ કહેવાતી સ્પર્ધાનો દુરુપયોગ છે અને મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ તેનો એક જ ઉપાય બતાવે છે અને તે છે કે બજારમાં વધુ હરીફાઈ હોવી જોઈએ.

બજારની સત્તા વિષે બજારમાં જે વધુ જટિલ છે અને વધુ દેખાય છે તે તો અલ્પહસ્તક ઈજારો છે. તેમાં બહુ ઓછી મોટી પેઢીઓ કે કંપનીઓએ કોઈ એક વસ્તુ કે સેવાનું બજાર કબજે કરેલું હોય છે. કાર, તેલ, ટેલિફોન, ઉડ્ડયન વગેરે ક્ષેત્રોમાં અલ્પહસ્તક ઈજારા જ દેખાય છે. એમાં કોઈ એક જ પેઢી કે કંપનીનો ઈજારો છે એવું હકીકતમાં નથી. દરેક કંપની જાણે છે કે વસ્તુના ભાવ કે ઉત્પાદન વિષે તે જે કોઈ નિર્ણય લેશે તેનો પડઘો બીજી પેઢીઓ પાડશે જ. એટલે કેટલીક પેઢીઓ હાથ મિલાવે છે અને કાર્ટેલ રચે છે. તેઓ જો તેમની વચ્ચે સહકાર સાધે તો તે ઇજારો જ કહેવાય. આ ઈજારો નજરે દેખાય તેવો હોતો નથી. તેમાં કંપનીઓ વસ્તુના ભાવ અંગે છૂપી સમજૂતી કરે છે કે જેથી તેમની વચ્ચે ભાવની  બાબતમાં સામસામે યુદ્ધ જામે નહિ, કારણ કે તેમને તેનો જ સૌથી મોટો ડર હોય છે.

આમ છતાં આર્થિક સત્તા ક્યાં કેટલી છે તેને વિષે અર્થશાસ્ત્રીઓ ઝાઝો અભ્યાસ કરતા નથી. એનું એક કારણ એ છે કે વસ્તુના ભાવ વિશેનું મોડેલ આવા અલ્પહસ્તક ઈજારામાં નક્કી કરી શકાતું નથી. તેમાં વસ્તુના ભાવ કેટલા રહેશે તે સૈદ્ધાંતિક રીતે નક્કી થઈ શકતું નથી. એટલે અર્થશાસ્ત્રીઓ પછી એવું કહેવાનું વલણ ધરાવે છે કે વહેલાં કે મોડા કાર્ટેલ તૂટી પડશે કારણ કે એકબીજાને છેતરવાથી આર્થિક લાભ થાય છે એમ સમજીને કંપનીઓ તેમની વચ્ચે થયેલી સમજૂતીઓનો ભંગ કરે છે અને પછી તેમ થવાથી કંપનીઓ વચ્ચે સ્પર્ધાની રમત ફરીથી શરૂ થઈ જાય છે. એટલે કે છેવટે તો બજારમાં હરીફાઈ થાય છે જ એમ અર્થશાસ્ત્રીઓ કહે છે. પરંતુ વ્યવહારમાં આવું ભાવયુદ્ધ થતું હોતું નથી.

ખરેખર તો અનેક અભ્યાસો એમ બતાવે છે કે અલ્પહસ્તક ઈજારામાં વસ્તુઓ અને સેવાઓના અનેક ઉદ્યોગોમાં કંપનીઓ વચ્ચે ભાવ માટે હરીફાઈ થતી જ નથી અને તેમણે નક્કી કરેલા ભાવો સ્થિર રહે છે.   

સ્રોત: 

લેખકનું પુસ્તક: What is Wrong with Economics? 
પ્રકરણ: Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...640641642643...650660670...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved