Opinion Magazine
Number of visits: 9665172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દૃષ્ટિ અને કાર્યશીલતાનો સમન્વય સુધા મૂર્તિ

સોનલ પરીખ|Opinion - Opinion|11 July 2024

દૃષ્ટિ વિનાનું કાર્ય સમય પસાર કરવાની પ્રવૃત્તિ જેવું છે અને કાર્ય વિનાની દૃષ્ટિ સ્વપ્ન જેવી. પણ જ્યારે દૃષ્ટિ અને કાર્યશીલતા ભેગાં થાય ત્યારે દુનિયાને બદલી નાખતી ઊર્જા પેદા થાય છે. 

— સુધા મૂર્તિ       

વિશ્વ કવિતા દિવસ નજીક છે ત્યારે મનમાં કેટલાક વિચાર આવે છે. પશ્ચિમની આદ્ય કવયિત્રીનું નામ છે એન્હોડુઆના. સુમારિયાનું ઉર રાજ્ય એના પિતાનું હતું. ત્યારે સુમેરિયન અને આકાડિયાન ધર્મો વચ્ચે સતત ઝઘડો ચાલતો. એન્હોડુઆનાના પિતાએ એમની વચ્ચે સુલેહ કરાવી હતી. એન્હોડુઆનાનો સમય ઇસાપૂર્વે 2286થી 2251 ગણાય છે. એન્હોડુઆના ચંદ્રદેવ(સીન)ની માન્ય અને ઉચ્ચ કક્ષાની પૂજારણ હતી. તેણે પહેલાં કાવ્યો ઈશ્વરસ્તુતિ રૂપે રચેલાં એમ કહેવાય છે. માત્ર 35 વર્ષની વયે તેનું મૃત્યુ થયું હતું.

સુધા મૂર્તિ

એ સમયે ભારતમાં વેદો રચાતા હતા. વેદનો રચનાકાળ ઈસાપૂર્વે 2500થી 500 ગણાય છે. વેદમંત્રો છંદોબદ્ધ કાવ્યપંક્તિઓ રૂપે છે, જે પરમ તત્ત્વની, પરમને પામવાની આધારભૂત વિદ્યા ગણાય છે. પ્રાચીન કાવ્યો પ્રાર્થના કે ધાર્મિક વાર્તાના રૂપે મળે છે. ત્યાર પછી પૂર્વમાં અને પશ્ચિમમાં કાવ્યવિકાસના અનેક રસપ્રદ તબક્કાઓ નોંધાયા છે, જેનું આધુનિકતમ રૂપ છે એ.આઈ. ક્રિએટેડ પોએમ્સ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ રચિત કાવ્યો.

કવિઓના જીવ ઊંચા થઈ જાય એવી વાત તો છે, પણ એમ ગભરાવાનું નહીં. એચ.આઈ. એટલે કે હ્યુમન ઇન્ટેલિજન્સ પણ કોઈ ચીજ છે. લઈશું ને ટક્કર એ.આઈ. સામે. સમજીએ તો ખરા કે આ એ.આઈ. ક્રિએટેડ પોએમ્સ શું ચીજ છે! અલ્ગોરિધમ અને રૂલ્સના સેટથી બનેલા એક કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા અસ્તિત્વમાં હોય તેવાં કાવ્યોનો ખૂબ મોટો ડેટા મશીનમાં નાખી તેમાંથી જે નવા કાવ્યનું સર્જન થાય છે તેનું નામ એ.આઈ. પોએમ્સ. આમ જુઓ તો માણસના મગજમાં પણ આ જ થાય છે ને? અત્યાર સુધીમાં એ.આઈ.એ હાઇકુ, સોનેટ, ફ્રી વર્સ એટલે કે મુક્ત છંદ અને લિમરિક્સ એટલે કે હળવાં કાવ્યો સર્જી બતાવ્યાં છે. આ કાવ્યોની મૂળભૂતતા, સર્જકતા, સંવેદના, ગુણવત્તા વગેરે સંદર્ભે વિવાદો ઓછા નથી અને હજી સુધી કોમ્પ્યુટર આશ્ચર્ય, મુગ્ધતા, તલસાટ, પ્રતીક્ષા, પીડા કે ‘ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તો ય શું?, કાગળમાં ચીતરેલું કમળ હોય તો ય શું?’ જેવા નિર્વેદને સમજતું નથી; છતાં એ.આઈ. પોએમ્સને ‘ન્યૂ આર્ટ’ તરીકે વધુ ને વધુ આવકાર મળી રહ્યો છે એ હકીકત છે. ભવિષ્યના સાહિત્યમાં એનો એક રોલ હશે.

કાવ્યો વિષે આટલી વાત કર્યા પછી આપણે જુદી જાતની વાર્તાઓના એક પુસ્તકની વાત કરીએ. તેનું નામ છે ‘વાઇઝ એન્ડ અધરવાઇઝ – અ સેલ્યુટ ટુ લાઈફ’ લેખિકા છે સુધા મૂર્તિ. હા, એ જ સુધા મૂર્તિ જેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાજ્યસભા માટે નૉમિનેટ કર્યાં અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારીશક્તિનાં પ્રતીક તરીકે આવકાર આપ્યો. આ ઘટનાઓ પહેલાં પણ ઇન્ફોસિસનાં ચેરપર્સન અને અંગ્રેજી-કન્નડ ભાષાનાં લેખિકા સુધા મૂર્તિ સૌનાં જાણીતાં-માનીતાં હતાં જ. એમની પ્રતિભાની આ પ્રકારની સ્વીકૃતિથી એમના અનેક ચાહકો આનંદ પામ્યાં છે. ‘વાઇઝ એન્ડ અધરવાઇઝ – અ સેલ્યુટ ટુ લાઈફ’ નૉનફિકશન કેટેગરીમાં આવે છતાં એના વર્ણનમાં લખવું પડે કે આમાં 51 વાર્તાઓ છે! કારકિર્દી, સર્જન, પ્રવાસ અને સમાજસેવા દરમ્યાન લેખિકાને થયેલા અનુભવોમાંથી થોડાકનો અહીં ચિતાર છે. એવી વ્યક્તિઓ, પરિસ્થિતિઓ અને મૂલ્યોની વાત છે જે દરેકને એના જીવનપ્રવાસમાં કામ આવે. જેમ કે આ વાર્તા :

સ્કૂલ વખતની મિત્રોનું ગેટ-ટુ-ગેધર હતું. 25 વર્ષે બધા મળતાં હતાં. લેખિકા લખે છે, ‘શાળામાં ભણતી નાની છોકરીઓ હતાં ત્યારથી અમે એકબીજાનાં દોસ્ત હતાં. પછી અમે જુદી જુદી કોલેજોમાં ગયાં, પરણ્યાં, બાળકો થયાં. આછોપાતળો સંપર્ક અને સ્નેહ સચવાયા, પણ મળવાનું ગોઠવાતાં 25 વર્ષ ગયાં. ખૂબ સ્વપ્નો જોતાં એ વખતે, એમાંનાં કેટલાં સાકાર થયાં હશે?’

આ વિમલ – એના લાંબા સુંવાળા વાળ, ચમકતી ચામડી, ઘાટીલું શરીર આ બધાનો આજે પત્તો નથી. ખૂબ જાડું શરીર, ચહેરા પર કરચલી ને પાંખા ટૂંકા વાળમાં એ ઓળખાતી પણ નથી. પણ એની વાતોમાં એ જ બૌદ્ધિક અપીલ છે. સાચું છે; સુંદરતા નશ્વર છે, બુદ્ધિ અનશ્વર. પેલી વિનીતા ખૂબ બુદ્ધિશાળી હતી. મીની-કૉમ્પ્યુટર કહેવાતી. કૉલેજમાં એના જેવો જ પાર્થ મળી ગયો. બંને ખૂબ સુખી થશે એવી સૌને ખાતરી હતી, પણ પાર્થ લઘુતાગ્રંથિનો શિકાર બન્યો અને વિનીતાને વાતેવાતે તોડી પાડવા લાગ્યો. આજની સાવ ઝાંખી, આત્મવિશ્વાસ ગુમાવી બેઠેલી વિનીતાને જોઈ થાય છે, પત્ની પતિની સફળતા અને પ્રતિભાથી ખુશ થાય છે, પતિ એવું ક્યારે શીખશે? શીખશે ખરો? અને રત્ના – એટલી સામાન્ય કે કોઈને એની નોંધ લેવાનું યાદ ન આવે. પતિ પણ એવો જ મળ્યો. આજે રત્ના ફેશનેબલ, સ્ટાઇલિશ, સફળ બિઝનેસ વુમન છે. અમે પૂછ્યું ત્યારે રત્નાએ કહ્યું, ‘મારો પતિ માબાપથી દબાઈ ગયો હતો – સહાયક તરીકે આદર્શ, પણ લીડ ન લઈ શકે. મારે દબાઈ જવું નહોતું. સારી નોકરી મેળવવા જેટલું તો હું ભણી નહોતી, પણ સિલાઈ જાણતી એટલે તૈયાર કપડાંથી શરૂઆત કરી અને એકમાંથી બીજું શીખતી ગઈ.’

વાતનો બંધ વાળતાં લેખિકા કહે છે, ‘અમને લાગતું હતું કે વિનીતા સફળ નીવડશે ને રત્ના સામાન્ય રહી જશે, પણ વીસનાં અમે જુદાં હતાં, અત્યારે જુદાં છીએ.’ વાર્તાનું શીર્ષક છે ‘આઇડિયાલિસ્ટિક એટ ટવેન્ટી, રિયાલિસ્ટિક એટ ફોર્ટી’.

પુસ્તકની વાર્તાઓમાં ભારતની પ્રકૃતિ અને સંસ્કૃતિ, માનવસ્વભાવનાં સારાંમાઠાં પાસાં, સમય સાથે બદલાતા લોકો, સવારથી શ્રીમંતાઈ, ગરીબી વચ્ચે પણ અન્યનો વિચાર કરતા માણસો, પ્રામાણિકતા-કૃતજ્ઞતા જેવા ગુણો, જિંદગી, વાસ્તવિકતા અને પરિવર્તનોની અનિવાર્યતા જેવાં તત્ત્વો જોવા મળે છે. એનું વાંચન પોતાને સમજવા, આકાર આપવામાં મદદરૂપ થાય એમ છે. જે કહેવું છે તે વાર્તારૂપે કહેવાયું હોવાથી દરેક ઉંમરના લોકોને રસ પડે છે. દરેક વાર્તા બેત્રણ પાનાંમાં સમાઈ જાય એવી છે. ગમે ત્યાંથી શરૂ કરો, મજા જ પડે. આ પુસ્તક 2002માં પ્રગટ થયું, પ્રકાશક પેંગ્વિન બુક્સ, ઇન્ડિયા. ત્રીસેક હજાર નકલો વેચાઈ. એનું ગુજરાતી સોનલ મોદીએ ‘મનની વાત’ નામથી કર્યું છે. પ્રકાશક આર. આર. શેઠ.

સુધા મૂર્તિ ઉત્તર કર્ણાટકમાં 1950માં જન્મ્યાં. કોલેજમાં ભણતાં ત્યારે 599 છોકરાઓ અને તેઓ એક જ છોકરી હતાં. એમણે કોમ્પ્યુટર સાયન્સમાં એમ.ટેક. કર્યું. તેઓ ઇન્ફોસિસનાં ચેરપર્સન અને ગેટસ ફાઉન્ડેશનના પબ્લિક હેલ્થ ઈનીશિએટિવ્સનાં સભ્ય છે. એમના પતિ નારાયણ મૂર્તિ અને જમાઈ ઋષિ સુનક આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વો છે. લેખિકા તરીકે એમણે નવ નવલકથાઓ, ચાર ટેકનિકલ પુસ્તકો, ત્રણ પ્રવાસવર્ણનો, એક ટૂંકી વાર્તાઓનો સંગ્રહ, ત્રણ નૉનફિક્શન પુસ્તકો અને બે બાળપુસ્તકો આપ્યાં છે. આ પુસ્તકોના અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે, લાખો નકલો વેચાઈ છે. સાહિત્યસર્જન માટે આર.કે. નારાયણ ઍવોર્ડ, 7 ઓનરરી ડૉક્ટરેટ, પદ્મભૂષણ સહિત અનેક સન્માનો મેળવી ચૂકેલાં સાદાં, કામગરાં અને હળવાશભર્યાં સુધા મૂર્તિ માટે નરેન્દ્ર મોદીના શબ્દો ‘આવી નારીઓ જ દેશને નવું પરિમાણ આપી શકે’ બિલકુલ યોગ્ય છે.

‘વાઇઝ એન્ડ અધરવાઇઝ – અ સેલ્યુટ ટુ લાઈફ’ પુસ્તકમાં એમણે લખ્યું છે, ‘દૃષ્ટિ વિનાનું કાર્ય સમય પસાર કરવાની પ્રવૃત્તિ જેવું છે અને કાર્ય વિનાની દૃષ્ટિ સ્વપ્ન જેવી. પણ જ્યારે દૃષ્ટિ અને કાર્યશીલતા ભેગાં થાય ત્યારે દુનિયાને બદલી નાખતી ઊર્જા પેદા થાય છે.’ અને ‘શિક્ષણ એટલે માર્કસ નહીં. શિક્ષણ એટલે સર્ટિફીકેટો નહીં. શિક્ષણ તો એ છે જે જીવનમાંથી મળે છે. અજાણ્યો અભ્યાસક્રમ, દરેક વખતે નવું પેપર, ગમે ત્યારે પરીક્ષા અને અનેક દિશામાંથી આવતા અનેક પ્રશ્નો. પણ ભાગશો નહીં. આત્મવિશ્વાસ અને પોઝિટીવીટી સાથે આગળ વધશો તો જીત તમારી જ છે.’

છે ને જાણીતી, હળવી અને યાદ રાખવા જેવી વાતો? સેલ્યુટ ટુ સુધા મૂર્તિ …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 માર્ચ  2024

Loading

નેતા પ્રતિપક્ષ 24×7ના મિજાજમાં પણ ધોરણસરની સંગઠના ક્યાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 July 2024

ખૂલતું ચિત્ર 

“ધર્મ’ને નામે  થતા હાકોટા અને છીંકોટાનું અગર તો દાખડા અને દેખાડાનું રાજકારણ નથી તો તંદુરસ્ત કે નથી તો મંદુરસ્ત : એન.ડી.એ. અને ‘ઇન્ડિયા’ બેઉ સારુ આ કસોટીનું ટાણું છે

નેતા પ્રતિપક્ષ તરીકે વિધિવત પ્રતિષ્ઠ થયા પછી રાહુલ ગાંધી સતત સક્રિયતાના એક દોરમાં માલૂમ પડે છે. હાથરસ, અમદાવાદ, રેલગ્રસ્ત, આસામ, હિંસાગ્રસ્ત મણિપુર, રાયબરેલી, પગે જાણે પૈડું હોય એવું એમનું આ ભ્રમણ સંસદ અને જનસાધારણ વચ્ચેનું અંતર કેટલે અંશે ભાંગી શકશે તે આ ક્ષણે સ્વાભાવિક જ આપણે જાણતા નથી. પણ એટલું ખરું કે આજકાલ રાહુલ ગાંધી 24×7 પ્રકારના મિજાજમાં જણાય છે.

રાહુલ ગાંધી

લાંબે ગાળે કાઁગ્રેસને પણ જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ લાગે છે. લોકસભાના નોંધપાત્ર પરિણામ પછી, એન.ડી.એ. અને ‘ઇન્ડિયા’ વચ્ચે પ્રમાણમાં ઓછા અંતર પછી કાઁગ્રેસ સહિત એકંદર વિપક્ષ કંઈક જુસ્સામાં જણાય છે. વિપક્ષે આજે અયોધ્યા હાંસલ કર્યું, કાલે અમદાવાદ હાંસલ થશે …. એ તરત જ પર રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ ચાલતા હોય તો એ જેમ અકારણ નથી તેમ આવી મનોવૈજ્ઞાનિક ક્ષણો વાસ્તવમાં પરિણમશે કે કેમ એ પ્રશ્ન પણ અકારણ નથી.

કાઁગ્રેસ પોતાને વાજિકૃત અનુભવી તો શકે, પણ એની સામે પોતાનું સંગઠન ગોઠવવા સહિતના વાસ્તવિક પડકારો પડેલા છે એનો એને પૂરો અંદાજ હોવો જોઈશે. 2004-2014નો દસકો આખો જનસંધાનપૂર્વક સંગઠન બાંધવાની બાબતમાં બેહદ ઊણો પડ્યો તે સૌ જાણે છે. માહિતી અધિકાર ને ‘મનરેગા’ સહિતનાં વિધાયક અર્પણ કાલવી શકાય એવી સંગઠના ત્યારે નહોતી. સોનિયા ગાંધીએ સ્વૈચ્છિક કર્મશીલો અને જનઆંદોલન સમિતિનો જે અભિગમ વિકસાવ્યો એનું પણ મૂળગામી રચનાત્મક અર્પણ રહ્યું. પણ તૃણમૂળ સંગઠન પૂરતા પ્રમાણમાં સજીવ-સપ્રાણ નહીં એટલે ધારી ભોં ભાંગી શકી નહીં.

સોનિયા-મનમોહન દસકો નાગરિકોને માહિતી અધિકાર પ્રકારની જોગવાઈઓથી સંપન્ન કરવાની કોશિશનો રહ્યો. રાહુલ ગાંધીનાં હમણેનાં વર્ષો ‘ન્યાય’ (આર્થિક – સામાજિક ન્યાય) ભલે અર્ધપરિભાષિત રૂપે પણ લોકગમ્ય કરવાની કોશિશનાં રહ્યાં. હવે, કેમ કે તે નેતા પ્રતિપક્ષ છે, એમણે અને કાઁગ્રેસ સંગઠને તેમ જ અન્ય વિપક્ષે આ દોર જારી રાખી આગે બઢાવવાનો છે.

નેતા પ્રતિપક્ષ તરીકે લોકસભાના પ્રથમ વક્તવ્યમાં (રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચામાં) રાહુલ ગાંધીએ હિંદુત્વ રાજનીતિએ પેદા કરેલ હિંદુ અને સહજ હિંદુધર્મી વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરવાની જે કોશિશ કરી તે વિપળવાર પણ વહેલી નથી. જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આખું વક્તવ્ય સળંગ જોઈ સાંભળી કહ્યું જ છે તેમ રાહુલ ગાંધીના નિશાન પર આ કહેતી વખતે સમગ્ર હિંદુ સમાજ હતો એવા સત્તાપક્ષી હાકોટા છીંકોટા સારુ વાસ્તવમાં કોઈ કારણ જ નથી.

વાત નીકળી જ છે તો અહીં એક બે વાનાં વેળાસર સ્પષ્ટ કરી જ લઈએ. હિંદુ ધર્મ અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા બે એક નથી, એ મુદ્દે લોકસભામાં ખાસ કરીને શંકરની છબી આગળ કરીને રાહુલ ગાંધીએ છાકો તો પાડી જ દીધો. સોવિયેત રાજ્ય જેમ સરકાર ધર્મવિરોધી નથી એવું સ્પષ્ટ કરતી સર્વધર્મ સમભાવી ભૂમિકા પણ એમણે પ્રકારાન્તરે ઉપસાવવાની કોશિશ કરી. જેમ માતા સોનિયા ગાંધી કરતાં તેમ રાયબરેલીમાં પ્રવેશતા હનુમાન મંદિરમાં પૂજનઅર્ચન કરી એમણે પોતાની ધાર્મિકતા પણ પ્રગટ કરી.

ગમે તેમ પણ, આ બધાં ઘટતાં ઇંગિત કર્યાં પછી રાહુલ ગાંધી સહિત રાજકીય અગ્રવર્ગ સમસ્ત પરત્વે અપેક્ષિત એક ચરી સૌના લક્ષમાં રહેવી જોઈએ કે સત્તાપક્ષે કે વિપક્ષે ‘ધર્મ’ રૂપે દાખડા ને દેખાડાથી બિલકુલ બચવાપણું છે. અમે હિંદુ છીએ પણ હિંદુત્વવાળા નથી, એ સ્પષ્ટ કોર તે ઠીક જ છે. પણ ‘હિંદુ છીએ’ વાસ્તે દાખડા દેખાડા કે સામે પક્ષે હાકોટાછીંકોટા નથી તંદુરસ્ત, નથી મંદુરસ્ત. અમદાવાદમાં રાજીવ ભવન પરનો હુમલો લોકસભામાં રાહુલ ગાંધીએ જે કહ્યું તેના વિરોધમાં હતો કે તેમણે જે ટીકા કરી તેને સમર્થન આપતો હતો, એ પ્રશ્ન ભા.જ.પ. શ્રેષ્ઠીઓને ઊઠ્યો તો હોવો જોઈએ. હિંદુ હોવું એટલું સહેલું નથી.

જુલાઈનું ચોથું અઠવાડિયું બેસતાં લોકસભા મળશે ત્યારે એન.ડી.એ. – ‘ઇન્ડિયા’ હાલના વૉર્મિંગ અપ પછી ધોરણસર આગળ વધશે? જોઈએ.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 10 જુલાઈ 2024

Loading

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (3 અને 4) 

દીપક મહેતા|Opinion - Opinion|10 July 2024

૩

ગુજરાતનાં ઇતિહાસ, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિના વારસાની જાળવણી કરવાનું કામ એકલે હાથે થઇ શકે તેમ નથી, એ વાત ફાર્બસને સમજાઈ જતાં તેણે સમાનધર્મી વ્યક્તિઓનો સાથ લઈને એક સંસ્થા ઊભી કરવાનું વિચાર્યું. આવી સંસ્થા પુસ્તકો, સામયિકો, અને વર્તમાન પત્રો પ્રગટ કરી શકે, નિશાળો શરૂ કરી શકે, પુસ્તકાલયો સ્થાપી શકે. આથી કેટલાક અંગ્રેજ અધિકારી મિત્રોની એક સભા તેમણે ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે બોલાવી. સાધારણ રીતે નાતાલના અરસામાં બ્રિટિશ અફસરો નોકરીમાંથી છુટ્ટી લઇ મોજમજા કરવા ઊપડી જાય. પણ તેને બદલે કેટલાક અંગ્રેજો તે દિવસે ભેગા થયા, અને ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ સ્થાપવાનું ઠરાવ્યું. આ બેઠકમાં હાજર રહેનારા બધા અંગ્રેજો જ હતા, એક પણ ‘દેશી’ માણસ તેમાં હાજર નહોતો. સોસાયટીની મૂડી માટે જે ફાળો એકઠો કર્યો તેમાં પણ બધી રકમ આ અંગ્રેજ અધિકારીઓએ જ આપી હતી. ફાર્બસે પોતે પોતાની અંગત આવકમાંથી પચાસ રૂપિયા આપ્યા હતા અને ભવિષ્યમાં દર વર્ષે પચ્ચીસ રૂપિયા આપવાની બાંહેધરી આપી હતી. બોમ્બે પ્રેસીડેન્સીના ગવર્નર લોર્ડ ફોકલેન્ડને સોસાયટીના ‘ચીફ પેટ્રન’ બનવા આમંત્રણ અપાયું, અને ફાર્બસને મંત્રીપદ સંભાળવા વિનંતી કરાઈ હતી.

ત્યાર બાદ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં આ સોસાયટીના ઉદ્દેશો અંગે સ્પષ્ટતા કરીને ‘દેશી’ લોકો પાસેથી ફાળો માંગવામાં આવ્યો હતો. સોસાયટીના ઉદ્દેશો હતા : મૌલિક તેમ જ અનુવાદિત ગુજરાતી પુસ્તકો પ્રગટ કરવાં, સામયિકો પ્રગટ કરવાં, અમદાવાદમાં એક પુસ્તકાલય શરૂ કરવું, વગેરે. પહેલી મિટિંગમાં અંગ્રેજ અધિકારીઓ પાસેથી કુલ ૨,૯૫૦ રૂપિયા જેટલી રકમ મળી હતી. પછી તેમણે કરેલી અપીલના જવાબમાં ‘દેશી’ઓ પાસેથી બીજા ૬,૬૫૧ રૂપિયા મળ્યા હતા. આવા કોઈ કામ માટે પૈસા ભેગા કરવા હોય ત્યારે અંગ્રેજ અધિકારીઓ સામાન્ય રીતે દેશી રાજ્યોના રાજાઓ તરફ સૌથી પહેલાં નજર દોડાવતા. અને આ રાજાઓ પણ અંગ્રેજ સાહેબોને ખુશ રાખવા પોતપોતાની શક્તિ પ્રમાણે પૈસા આપી દેતા. સોસાયટી માટે પણ ગુજરાત-કાઠિયાવાડના ઘણા રાજવીઓએ ફાળો આપ્યો હતો. પહેલા વર્ષ દરમ્યાન ૨૩ અંગ્રેજો અને ૧૫ ‘દેશી’ઓ સોસાયટીના આજીવન સભ્યો બન્યા હતા. આ ઉપરાંત પાંચ વાર્ષિક સભ્યો હતા જેમાંના ચાર અંગ્રેજો હતા.

કોઈ મિશનરી જેવી ધગશથી ફાર્બસે સોસાયટીનું કામ હાથમાં લીધું. સોસાયટીના પહેલા વાર્ષિક અહેવાલમાં લખ્યું છે : “આપણે જેમને જવાબદાર છીએ તેવા આપણા માનવ અધિષ્ટતાઓ આપણને દેશના ભલા માટે જે કામ સોંપે તે કરવાની તો આપણી ધાર્મિક ફરજ છે જ, પણ તે ઉપરાંત પણ હિન્દુસ્તાનના ભલા માટે આપણા સૌથી બની શકે તે અને તેટલું કરવાની પણ આપણી એવી જ ફરજ છે અને તેમાં જ આપણા પરમ અધિષ્ઠાતા જીસસ ક્રાઇસ્ટનું પણ ભલું છે. અલબત્ત, પોતે આ કામ માટે કેવો અને કેટલો ફાળો આપી શકે તેમ છે, તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય.૨

આગળ ઉપર કહ્યું છે : “આ રીતે અમે કેટલાક લોકોએ સાથે મળીને સામાજિક કામની શરૂઆત કરી છે. આપણે જ્યારે ખ્રિસ્તી ધર્મના કામોમાં સહભાગી થઈએ છીએ ત્યારે આપણે આપણી ફરજ બજાવીએ છીએ. તેવી જ રીતે જ્યારે આપણે કોઈ પ્રદેશની ભાષાને તેની આજની દરિદ્ર અવસ્થામાંથી બહાર કાઢીને સમૃદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે પણ આપણી ફરજ બજાવીએ છીએ. એ ભાષા સાથે સંકળાયેલાઓમાંથી જે વધુ પ્રતિભાવાન છે તેમને પ્રોત્સાહન આપીને ભાષાને વધુ વિસ્તૃત, વધુ સૂક્ષ્મ, વધુ નિયંત્રિત, કરીએ જેથી જે વધુ સુંદર અને વધુ સત્ય છે તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી અને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવામાં તે ભાષા સક્ષમ બને.”૩

સોસાયટીની સ્થાપના થઇ ત્યાં સુધીમાં ફાર્બસ ગુજરાતી ભાષા સહજ રીતે બોલી શકતા થયા હતા. રાસમાળાના પહેલા ભાગની ૧૯૨૪માં પ્રગટ થયેલી આવૃત્તિમાં એચ.જી. રોલિંગસને ફાર્બસ વિશેનાં સ્મરણો લખ્યાં છે. તેમાં તેમણે કહ્યું છે : “ફાર્બસ અસાધારણ શુદ્ધિપૂર્વક અને અસ્ખલિત રીતે ગુજરાતી ભાષા બોલી શકતા હતા. આથી યુરોપિયનો માટે અસાધારણ કહેવાય તેવી સહેલાઈથી તેઓ લોકોનો વિશ્વાસ જીતી શકતા અને સાધારણ રીતે જે માહિતી સહેલાઈથી ન મળી શકે તે મેળવી શકતા.”૪

સોસાયટીએ પહેલું કામ કર્યું અમદાવાદમાં લાયબ્રેરી ઊભી કરવાનું. ૧૮૪૯ના જાન્યુઆરીની પાંચમી તારીખે સોસાયટીની બીજી બેઠક મળી હતી. તેમાં ઠરાવવામાં આવ્યું હતું કે શક્ય તેટલી વહેલી તકે અમદાવાદમાં એક લાયબ્રેરી શરૂ કરવી. તેના સભ્ય થવાનું ‘દેશી’ઓને પોસાય એવા હેતુથી વાર્ષિક લવાજમ માત્ર એક રૂપિયો ઠરાવવામાં આવ્યું હતું. માત્ર અમદાવાદમાં જ નહિ, આખા ગુજરાતમાં શરૂ થયેલી આ પહેલી જાહેર લાયબ્રેરી હતી. શરૂઆતમાં તેમાં ૪૫૩ પુસ્તકો હતાં. તેમાંનાં ૨૫૦ અંગ્રેજી, ૧૨૪ ગુજરાતી, ૪૪ મરાઠી, અને ૯ અન્ય ભાષાઓનાં હતાં. આ ઉપરાંત તેમાં ૨૬ હસ્તપ્રતોનો પણ સમાવેશ થતો હતો. આમાંનાં ઘણાંખરાં પુસ્તકો સોસાયટીના શુભેચ્છકોએ ભેટ રૂપે આપ્યાં હતાં. તેનું નામ ‘નેટિવ લાયબ્રેરી’ રાખવામાં આવ્યું હતું, પણ તેના સભ્યોમાં મોટા ભાગના અંગ્રેજો હતા! એટલું જ નહિ, બહુ ઓછા ‘નેટિવ’ લોકોએ તેની મુલાકાત લેવાની પણ દરકાર કરી હતી. ૧૮૫૪-૫૫ના સોસાયટીના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે : “ગુજરાતમાં જ્ઞાનના ફેલાવા માટે જે સોસાયટીએ આટલું બધું કામ કર્યું છે તે સોસાયટીના ‘દેશી’ સભ્યોની સંખ્યા ઘણી ઓછી છે તે આશ્ચર્યની વાત છે.”૫

જેલની બાજુમાં આવેલા એક મકાનના પહેલા માળે એક નાનકડા ઓરડામાં આ લાયબ્રેરી શરૂ થઇ હતી. પણ જેલની સલામતીની દૃષ્ટિએ વાંધાજનક લાગતાં જેલના સત્તાવાળાઓએ લાયબ્રેરી બીજે ખસેડવા સોસાયટીને જણાવ્યું હતું. સોસાયટીની કારોબારી સમિતિના સભ્યોનું માનવું હતું કે આ લાયબ્રેરી માત્ર અમદાવાદના જ નહિ, પણ આખા ગુજરાતના ‘દેશી’ઓના લાભ માટે છે. તેથી લાયબ્રેરી માટે મકાન બાંધવાનો ખર્ચ એ લોકોએ ઉપાડી લેવો જોઈએ. જો લોકો આગળ ન આવે તો સોસાયટીએ લાયબ્રેરી બંધ કરી દેવી જોઈએ. આવી વિચારણા ચાલતી હતી ત્યારે ફાર્બસ હિન્દુસ્તાનમાં નહોતા. ‘રાસમાળા’ લખવા માટે લાંબી રજા લઇ સ્વદેશ ગયા હતા. પોતાની ગેરહાજરીમાં દલપતરામને અગવડ ન પડે એટલા માટે ફાર્બસે તેમને સાદરાના પોલિટિકલ એજન્ટને ત્યાં નોકરી અપાવી હતી. એટલે દલપતરામ પણ અમદાવાદમાં નહોતા. સોસાયટીના સેક્રેટરી ટી.બી. કર્ટીસે ફાર્બસને પત્ર લખી જણાવ્યું કે તમારી ગેરહાજરીમાં સોસાયટી ભાંગી પડવાની દશામાં છે. આમ ન થાય તે માટે શું કરવું જોઈએ એ અંગે કર્ટીસે ફાર્બસ પાસે સલાહ પણ માગી. ફાર્બસે જવાબમાં લખ્યું કે સોસાયટીને જો કોઈ બચાવી શકે તેમ હોય તો તે એક માત્ર દલપતરામ છે. માટે વહેલામાં વહેલી તકે તેમને સોસાયટીની નોકરીમાં રાખી લેવા. ફાર્બસે દલપતરામને પણ પત્ર લખ્યો અને કહ્યું કે સરકારી નોકરી છોડીને તમે વહેલામાં વહેલી તકે અમદાવાદ જઈ સોસાયટીની નોકરીમાં જોડાઈ જાવ. ૧૮૫૫ના એપ્રિલની ૨૩મી તારીખે પત્ર લખીને કર્ટીસે દલપતરામને સોસાયટીમાં જોડાઈ જવા જણાવ્યું. પણ મહીકાંઠાના પોલિટિકલ એજન્ટ મેજર વ્હીટલોક દલપતરામને છૂટા કરવા રાજી નહોતા. પોતાની નામરજી જણાવતો એક અનૌપચારિક પત્ર તેમણે કર્ટીસને લખ્યો. પણ છેવટે દલપતરામને સરકારી નોકરીમાંથી મુક્ત કર્યા. અમદાવાદ જઈ ૧૮૫૫ના જૂનની પહેલી તારીખથી દલપતરામ સોસાયટીમાં મહીને ૩૦ રૂપિયાના પગારે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે જોડાયા. ત્યાર બાદ એ જ વર્ષના સપ્ટેમ્બરની આઠમી તારીખે દલપતરામે એક જાહેર સભા બોલાવી. લાયબ્રેરી માટે દાન આપવા તેમણે ‘દેશી’ઓને અપીલ કરી. એ જ વખતે ૫૩૦ રૂપિયાનો ફાળો થયો અને નગર શેઠ હિમાભાઈએ લાયબ્રેરીના મકાન માટે ત્રણ હજાર રૂપિયા આપવાનું જણાવ્યું. મકાન માટે જરૂરી જમીન આપવાની તૈયારી અમદાવાદના કલેકટરે બતાવી. થોડા વખત પછી મકાન બંધાઈ રહેતાં મુંબઈના ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટને ૧૮૫૭ના ડિસેમ્બરની ૨૪મી તારીખે તેનું ઉદ્ઘાટન કર્યું. તે સાથે ‘નેટીવ લાયબ્રેરી’ નામ બદલી ‘હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ’ નામ રાખવામાં આવ્યું. એટલું જ નહિ, તેનો કારભાર એક અલાયદી સમિતિને સોંપવામાં આવ્યો. મકાન બાંધવાનો કુલ ખર્ચ ૭,૦૦૦ રૂપિયા જેટલો થયો હતો. હિમાભાઈએ અગાઉ ત્રણ હજારનું વચન આપ્યું હતું પણ તેમણે ઉદારતાપૂર્વક બધો ખર્ચ પોતે ઉપાડી લીધો.

૪

ફાર્બસે ગુજરાતી અખબાર શરૂ કરવા તરફ પણ નજર દોડાવી. ‘વર્તમાન’ નામનું આ અખબાર અમદાવાદથી પ્રગટ થનારું પહેલું અખબાર હતું એટલું જ નહિ, બોમ્બે પ્રેસિડન્સીના ગુજરાતીભાષી પ્રદેશમાંથી પ્રગટ થનારું પણ તે પહેલું અખબાર હતું. મુંબઈ અને સુરતની સરખામણીમાં અમદાવાદમાં મુદ્રણ ઘણું મોડું આવ્યું – છેક ૧૮૪૫માં. એ વર્ષે બાજીભાઈ અમીચંદે અમદાવાદમાં પોતાનું લિથોગ્રાફિક પ્રેસ શરૂ કર્યું. ‘વર્તમાન’ની માલિકી સોસાયટીની હતી, પણ તે છપાતું બાજીભાઈના છાપખાનામાં. તે દર બુધવારે પ્રગટ થતું હોવાથી લોકોમાં ‘બુધવારિયું’ તરીકે જાણીતું થયું હતું. તેનો પહેલો અંક ૧૮૪૯ના એપ્રિલની ચોથી તારીખે પ્રગટ થયો હતો. શરૂઆતમાં તેની માત્ર ૧૨૫ નકલ ખપતી હતી. પહેલા વાર્ષિક અહેવાલમાં ફાર્બસ લખે છે : “વર્તમાનમાં કોઈ લખાણ પ્રગટ કરવું કે નહિ એ અંગે સોસાયટીના સેક્રેટરી પાસે વીટોની સત્તા છે ખરી, પણ એનો અર્થ એવો નથી કે સેક્રેટરી તેનો તંત્રી પણ છે. જો કે છતાં તંત્રીને સામનો કરવો પડે તેવી ઘણી મુશ્કેલીઓનો સામનો તેણે અગાઉ કર્યો છે અને અત્યારે પણ કરી રહ્યો છે.”૬

જો કે આ અખબાર સાથેનો સોસાયટીનો સંબંધ ઝાઝો ટક્યો નહિ. સ્થાનિક જેલમાં અને અદાલતમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેના સમાચાર ‘વર્તમાન’ના ૧૮૫૧ના બીજી જુલાઈના અંકમાં છપાયા. આ અખબારનો ફેલાવો ઘણો ઓછો હોવાથી આમ તો એ વાત બહુ લોકોના ધ્યાનમાં ન આવી હોત. પણ મુંબઈથી પ્રગટ થતા અંગ્રેજી અખબાર ‘બોમ્બે ટેલિગ્રાફ એન્ડ કુરિયરે’ ‘વર્તમાન’માંથી આ સમાચાર ઉપાડીને ચગાવ્યા. જેલના કે અદાલતના સંબંધિત અધિકારીઓનાં નામ ‘વર્તમાન’માં છાપ્યાં નહોતાં, પણ કુરિયરે તે નામ છાપ્યાં. આથી વાત ચગી. ન્યાયાધીશે સોસાયટીને અદાલતમાં ઘસડી જવાની ધમકી આપી. સોસાયટીના મેમ્બરોએ લેખિત રદિયો આપ્યો, જેમાં ફાર્બસની પણ સહી હતી. પણ મુંબઈ સરકારે સોસાયટીની રજૂઆત સ્વીકારી નહિ. એટલું જ નહિ, સરકારે હુકમ કર્યો કે હવે પછી સોસાયટીએ કે કોઈ સરકારી નોકરે ‘વર્તમાન’ સાથે સંબંધ રાખવો નહિ. એટલે બાજીભાઈ અમીચંદે આ અખબારની બધી જવાબદારી ઉપાડી લીધી. ૧૮૬૪ સુધી તેમણે આ અખબાર ચલાવ્યું.       

સોસાયટીની સ્થાપના થઇ તે પહેલાં પણ કરુણાશંકર દયાશંકર નામના શિક્ષક અમદાવાદમાં એક નિશાળ ચલાવતા હતા. તેમાં છોકરાઓ તેમ જ છોકરીઓ, બંને ભણવા આવતાં. ૧૮૪૯ના જુલાઈની ચોથી તારીખે તેમણે એક પત્ર લખીને આ નિશાળની જવાબદારી લઇ લેવાની સોસાયટીને વિનંતી કરી. કારણ સરકારી સહાય વગર નિશાળ ચલાવવાનું તેમને માટે મુશ્કેલ હતું. અને આઠમી જુલાઈથી તો સોસાયટીએ એ નિશાળની જવાબદારી લઇ લીધી. એ વખતે તેમાં ૪૭ છોકરા અને એક છોકરી ભણતાં હતાં. પણ સોસાયટીએ નિશાળ લઇ લીધી તે પછી એક વર્ષમાં જ આ સંખ્યા વધીને ૧૦૦ છોકરાઓ અને ૨૦ છોકરીઓની થઇ ગઈ. આ નિશાળ અંગે કવિ નાનાલાલે એક પ્રસંગ નોંધ્યો છે. હિન્દુઓની મનોદશાને ફાર્બસ કેવી તો સાંગોપાંગ જાણતા હતા તે આ પ્રસંગ પરથી જણાય છે. ૧૮૫૦ના જાન્યુઆરીમાં સોસાયટીના સેક્રેટરીપદે ફાર્બસને સ્થાને ડો. જી. સીવર્ડ આવ્યા. તેમને ત્યાં ‘અસ્પૃશ્ય’ ગણાતી જાતિનો એક નોકર કામ કરતો હતો. સોસાયટીની નિશાળમાં પોતાનો દીકરો ભણવા જાય એવી એ નોકરની ઈચ્છા હતી. ડો. સીવર્ડે માસ્તર કરુણાશંકરને ચિઠ્ઠી લખી અને જણાવ્યું કે આ છોકરાને નિશાળમાં દાખલ કરજો. પોતાના ઉપરી તરફથી આ ચિઠ્ઠી આવી હતી એટલે એ છોકરાને દાખલ કર્યા સિવાય માસ્તરનો છૂટકો નહોતો. પણ જેવો એ છોકરો નિશાળમાં દાખલ થયો કે તરત બીજા બધા છોકરાઓ નિશાળમાંથી ચાલતા થયા. કરુણાશંકર ડો. સીવર્ડને મળવા ગયા અને બધી વાત જણાવી. ડો. સીવર્ડે કહ્યું કે તો તમારા ઘરે આ છોકરાને ભણાવો. માસ્તરે જવાબ આપ્યો કે તો તો મારા ન્યાતીલાઓ મને ન્યાત બહાર મૂકે અને મારો અને મારા કુટુંબનો બહિષ્કાર કરે. આ સાંભળી ડો. સીવર્ડ રાતાપીળા થઇ ગયા અને કહ્યું કે તમારા જેવા માસ્તરની અમને જરૂર નથી. આવતી કાલથી નિશાળે ન જતા. તમારી જગ્યાએ અમે કોઈ મુસ્લિમ શિક્ષકને રાખી લેશું. નાસીપાસ થયેલા કરુણાશંકર ફાર્બસ પાસે ગયા અને બધી વાત જણાવી. ફાર્બસે ડો. સીવર્ડ પર એક ચિઠ્ઠી લખીને તે કરુણાશંકરને આપી. તેમાં લખ્યું હતું કે આદર્શની દૃષ્ટિએ તમારી વાત સાચી છે, પણ આ વાતને આ દેશમાં અમલમાં મૂકતાં હજી બીજાં સો વર્ષ લાગશે. તેમણે કરુણાશંકરને કહ્યું કે તમતમારે કાલે સવારે નિશાળે જજો અને રોજની જેમ ભણાવવાનું કામ કરજો. આનો અર્થ અલબત્ત, એવો નથી કે ફાર્બસ અસ્પૃશ્યતાની તરફેણમાં હતા. પણ તેઓ આ દેશને સારી રીતે જાણી શક્યા હતા અને એટલે તેમને ખબર હતી કે આવા સુધારા રાતોરાત થઇ શકતા નથી, પણ ધીમે ધીમે કરવા પડે છે. 

થોડા વખત પછી ખ્યાલ આવ્યો કે છોકરા-છોકરીઓ સાથે ભણતાં હોય તેવી નિશાળમાં પોતાની છોકરીઓને મોકલવા ઝાઝાં માબાપ તૈયાર થતાં નથી. આથી એક અલાયદી કન્યાશાળાની જરૂરિયાત જણાઈ. શેઠ હઠીસિંગ કેસરીસિંગનાં વિધવા હરકુંવરબાઈએ એક વર્ષ માટે આવી નિશાળનો બધો ખર્ચ ઉપાડી લીધો અને જો આ પ્રયોગ સફળ થાય તો તેના નિભાવ માટે પણ સારી એવી રકમ આપવાનું વચન આપ્યું. એટલે ૧૮૫૦માં સોસાયટીએ અલગ કન્યાશાળા શરૂ કરી અને અગાઉની નિશાળમાં ભણતી વીસ છોકરીઓની બદલી આ નવી નિશાળમાં કરી. માત્ર અમદાવાદમાં જ નહિ, આખા ગુજરાતમાં શરૂ થયેલી આ પહેલવહેલી કન્યાશાળા હતી. જો કે પછીથી સોસાયટીની કાર્યવાહક સમિતિએ છોકરાઓ માટેની નિશાળ બંધ કરવાનું નક્કી કર્યું. ૧૮૫૪ના વાર્ષિક અહેવાલમાં આમ કરવા માટેનાં ત્રણ કારણ આપ્યાં છે. એક, તેમાં ભણતા છોકરાઓ અભ્યાસમાં સંતોષકારક પ્રગતિ કરતા નહોતા. બીજું, આ નિશાળ માટેનો ખર્ચ કરવાનું સોસાયટીને પોસાય તેમ નહોતું. અને ત્રીજું, અમદાવાદમાં છોકરાઓ માટેની બીજી ચાર સરકારી નિશાળો હતી, એટલે સોસાયટીની નિશાળ બંધ થાય તો ઝાઝી ખોટ વર્તાય તેમ નહોતું. પણ છોકરીઓ માટેની નિશાળ પ્રગતિ કરતી રહી. તેને માટેના નવા મકાનનું ખાત મૂરત બરોડાના રેસિડન્ટ સર રિચમન્ડ શેક્સપિયરે (કેટલાક તેઓ વિલિયમ શેક્સપિયરના વંશજ હતા એમ જણાવે છે, પણ હકીકતમાં આ બે શેકસપિયર વચ્ચે કશું સગપણ નહોતું. હકીકતમાં રિચમન્ડ શેક્સપિયર પ્રખ્યાત નવલકથાકાર વિલિયમ ઠેકરેની દીકરીના દીકરા હતા.) ૧૮૫૮ના એપ્રિલની ૩૦મી તારીખે કર્યું હતું. પણ જ્યારે નવું મકાન તૈયાર થયું ત્યારે સોસાયટીએ આ કન્યાશાળાનો વહીવટ સર થિયોડોર હોપના વડપણ હેઠળની એક અલાયદી સમિતિને સોંપી દીધો.

e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...640641642643...650660670...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved