Opinion Magazine
Number of visits: 9457373
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રિહાના ‘સુલતાન’ : લોકોએ ધુત્કારેલી છોકરી કેવી રીતે આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ગઈ!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 March 2024

રાજ ગોસ્વામી

તાજેતરમાં, મૂકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં લગ્ન પૂર્વેની ઉજવણીમાં ભારતીય દર્શકોને પોપ સ્ટાર રિહાનાનું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. રિહાનાની આ પહેલી ભારત યાત્રા હતી, અને આઠ વર્ષ પછી તેનો આ પહેલો સંગીત જલસો હતો. 2016 પછી તેણે સાર્વજનિક કાર્યક્રમ કરવાનું અને નવાં ગીત રિલીઝ કરવાનું બંધ કરી દીધું હતું. આટલા લાંબા વિરામ બાદ વાપસી કરવા માટે તેણે ભારતની કેમ પસંદગી કરી હતી તે સ્પષ્ટ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ફરતા સમાચારો અનુસાર તેને આ શો માટે 60 કરોડ રૂપિયા મળ્યા હતા.

અંબાણી આટલી મોંધી પોપ સ્ટારને કેમ બોલાવે? અને ભારતમાં દર્શકો તેની પાછળ ગાંડા કેમ થઇ જાય? 36 વર્ષની રોબિન રિહાના ફેંટી કેરેબિયન દેશ બારબાડોસની ગાયક અને મોડેલ છે. તેને 2005માં તેનું પહેલું સ્ટુડીઓ આલ્લબ રિલીઝ કર્યું હતું અને તે પછી ચાર જ વર્ષની કારકિર્દીમાં 1 કરોડથી વધુ રેકોર્ડ્સ વેચવાનો અને 2 કરોડની વધુ ડિજિટલ ડાઉનલોડ કરવાનો વિક્રમ સ્થાપ્યો હતો. તેને વિશ્વની બેસ્ટ-સેલિંગ પોપ મહિલા કલાકાર અને ફિમેલ એન્ટરટેઈનર ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો છે.

રિહાનાએ 15 વર્ષની ઉંમરે પોતાની સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી, અને 33 વર્ષની ઉંમરે તે અબજોપતિ બની ગઈ હતી.  2007ના આલ્બમ “ગુડ ગર્લ ગોન બેડ”થી તેને વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી. ગરીબી અને પીડા માણસને તોડી નાખે છે અથવા તારી નાખી છે. રિહાના તેનું એક ઉદાહરણ છે.

પશ્ચિમના પોપ સ્ટારને આપણે અશ્લીલ મનોરંજન કરવા વાળા કહીને ખારીજ કરી નાખીએ તે વાત બરાબર છે, પરંતુ ગ્લેમર તેમના જીવનનો એક નાનકડો હિસ્સો છે. સ્ટેજ પર તેમની ચકાચોંધની પાછળ એક એવી દુનિયા હોય છે જે આપણને જીવનની અમુક સચ્ચાઈઓથી વાકેફ કરાવે છે.

બારબાડોસના બ્રિજટાઉનમાં જન્મેલી રિહાનાને બાળપણથી જ સંગીતનો શોખ હતો. રિહાનાનું બાળપણ તકલીફોમાંથી પસાર થયું હતું. તેના પિતા દારૂડિયા હતા અને દરરોજ તેની પત્નીને માર મારતા હતા. તે નાની હતી ત્યારે બાઈક ચલાવતી હતી, ઉઘાડા પગે ચારેબાજુ દોડતી હતી અને કબ્રસ્તાનમાં પતંગો ચગાવતી હતી, પણ ઘર એવું બિન્દાસ્ત નહોતું.

તેને યાદ કરીને રિહાનાએ એકવાર કહ્યું હતું, “શુક્રવાર ભયાનક હતા. પિતા દારૂ પીને આવતા. તે જે પણ કમાતા હતા એમાંથી અડધા પૈસા દારૂમાં જતા રહેતા હતા. એ દરવાજામાં દાખલ થાય અને અમારી આંખો તેમના પર જડાઈ જાય. તે મારી માતાને મારતા હતા. એ એટલું સામાન્ય થઇ ગયું હતું તેની નવાઈ જ નહોતી રહી. માતા ક્યારે ય સારવાર માટે ગઈ નહોતી … ઘરમાં થતી હિંસાની વાત બહાર કોઈને કહેવામાં આવતી નહોતી.”

પિતાના પ્રકોપનો ભોગ આમ તો માતા જ બનતી હતી, પણ એકવાર રિહાનાને બીચ પર દસ મિનિટ વધુ રહેવા બદલ સજા કરવામાં આવી હતી. “તેમણે મને બીચ પર જ જોરથી થપ્પડ મારી હતી,” રિહાનાએ તે યાદ કરીને કહ્યું હતું, “હું તેમના આંગળાનાં નિશાન લઈને ઘરે દોડી ગઈ હતી. મને વિશ્વાસ નહોતો આવતો કે તેમણે મને મારી હતી. મારી માતાએ મારો ચહેરો જોયો અને તે આઘાત પામી ગઈ હતી. તમે કશું ખોટું કર્યું હોય અને તમને મારવામાં આવે તો સમજાય, પણ આ તો અનપેક્ષિત હતું.”

“મારા પિતા ડ્રગના બંધાણી હતા,” રિહાનાએ કહ્યું હતું, “હું એકવાર મારી માતા સાથે ચાલતી જતી હતી અને રસ્તાની ધાર પર એક માણસ પડેલો હતો. તે જોઇને મારી માતાએ મને કહ્યું હતું – તારો બાપ આવી જ રીતે એક દિવસ પડ્યો હશે.” પિતાએ પછીથી તેમનું વ્યસન છોડ્યું હતું પણ તે પહેલાં જ એમાં પરિવારના સંબંધો અને ખુશીઓની બલિ ચડી ગઈ હતી.

આ બધી સમસ્યાઓ હોવા છતાં, રિહાનાએ તેના પિતા પાસેથી ઘણી વ્યવસાયિક કુનેહ શીખી હતી. તેના પિતા જાહેરમાં કપડાં વેચતા હતા ત્યારે તે તેમની બાજુમાં ઊભી રહીને ધંધો કેમ થાય તે શીખતી હતી. પાછળથી રિહાનાએ તેની સ્કૂલમાં નાની-નાની ચીજ વસ્તુઓ અને મીઠાઈઓ વેચીને ઘરની આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.

2011માં, રિહાનાના પિતા રોનાલ્ડ ફેંટીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મારી જેમ જ તે બજારમાં સડક પર કપડાં વેચતી હતી. તે દુકાન બહાર ખુમચો લગાવીને બીચ પર પહેરવા માટેની ટોપીઓ, બેલ્ટ અને સ્કાર્ફ વેચતી … તે મીઠાઈને પેક કરીને સ્કૂલમાં લઇ જતી અને દોસ્તોને વેચતી હતી.” એ વૃત્તિ જ તેને જીવનમાં આગળ લઇ ગઈ હતી.

સ્કૂલમાં પણ સુખ નહોતું. તેના પૂરા સ્કૂલ જીવન દરમિયાન રિહાનાને તેના રંગના કારણે સહન કરવાનું આવ્યું હતું. તે કહે છે, “હું કાળી હતી, પણ સ્કૂલમાં બધા મને ‘શ્વેત’ કહેતાં … બધાં મારી સામે જોતાં અને ગાળો આપતાં. મને સમજ પડતી નહોતી. હું ક્યારેક ઝઘડી પણ પડતી હતી. પછી હું મોટી થઇ તો મારી બ્રેસ્ટને લઈને ગમે તેમ બોલવામાં આવતું.” 

સતત ધિક્કારનો એ અહેસાસ તેને ભવિષ્યના ચકાચોંધ વાળા પણ ક્રૂર જીવન માટે મજબૂત બનાવી રહ્યો હતો. રિહાનાએ બીજા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મારી આ જાડી ચામડી સ્કૂલમાં પહેલા દિવસથી જ બનવાની શરૂ થઇ હતી. હું લોકપ્રિય થયા પછી નઠ્ઠર નથી થઇ; હું જાડી ચામડીની ના હોત તો અહીં ટકી જ ના હોત.”

પિતાની હિંસા અને તેના પગલે ઘરમાં રોજના કંકાસની અસર રિહાના પર પણ પડી હતી. સ્કૂલમાં તે કોઈની સાથે ભળતી નહોતી. તે એકલી રહેવાનું જ પસંદ કરતી હતી. એક સામયિકે લખ્યું હતું, “તે દિવસોમાં તે વાતો ય કરતી નહોતી અને રડતી પણ નહોતી.”

તેની માતાએ મોનિકાએ કહ્યું હતું, “તે ભણવામાં પહેલેથી એકદમ હોંશિયાર હતી પણ સ્કૂલમાં તેને તકલીફ શરૂ થઇ હતી. તેને ભયાનક રીતે માથું દુઃખતું હતું. તેનો સીટી સ્કેન પણ કરાવ્યો હતો. આઠ વર્ષની ઉંમરે માથું દુ:ખવાનું ચાલુ થયું હતું અને 14 વર્ષ સુધી તે હેરાન થઇ હતી. ડોક્ટર પાસે જવાબ નહોતો. શરૂઆતમાં એવું લાગ્યું કે તેને માથામાં ગાંઠ છે, પણ ટેસ્ટમાં કશું ના આવ્યું.”

તેનાં પેરન્ટ્સ છૂટાં પડી ગયાં અને ઘરમાં મારામારી બંધ થઇ ગઈ તે પછી માથાનો દુઃખાવો બંધ થઇ ગયો. રિહાના પોતે એવું માને છે કે ભાવનાત્મક સ્ટ્રેસ અને ઘરેલું હિંસાના કારણે તેને પીડા થતી હતી. આ હિંસા ભવિષ્યમાં તેની ‘મુલાકાત’ લેવાની હતી. 2009માં એવા સમાચારો આવ્યા હતા કે રિહાનાના તત્કાલીન બોયફ્રેન્ડ ક્રિસ બ્રાઉને માર મારીને રિહાનાનું મોઢું સુજાવી દીધું હતું. તે વખતે મહિનાઓ સુધી તે ઘરમાં પુરાઈ રહી હતી. પાછળથી તેણે કહ્યું હતું, “હું મારા બાપ જેવા કોઈ છોકરાને નજીક ફરકવા નહીં દઉં.”

બાળપણમાં, ઘરમાં સુખ-શાંતિ અને સુવિધાનો અભાવ હોવા છતાં રિહાનાએ ગાવાનું છોડ્યું ન હતું. કદાચ ગાયન તેની પીડામાંથી મોક્ષ હતું. હાઈસ્કૂલમાં તેણે પોતાના બે મિત્રો સાથે એક સંગીત જૂથ બનાવ્યું હતું. તેમાંથી તેની ખ્યાતિ ન્યુયોર્ક પહોંચી હતી. ત્યાં સંગીત નિર્માતા ઇવાન રોજર્સને રિહાનાનો અવાજ એટલો ગમ્યો કે તેણે તરત જ રિહાનાને ગીતો રેકોર્ડ કરવાની ઓફર કરી. તે દિવસથી રિહાનાએ પાછું વાળીને જોયું નથી.

રિહાના સફળ થવા માંગતી હતી, ખૂબ પૈસા કમાવા માંગતી હતી, લોકપ્રિય થવા માંગતી હતી અને પોતાની શરતો પર જીવવા માંગતી હતી, જેથી તે તેના પીડાથી છુટકારો મેળવી શકે. લોકોના ધુત્ક્કારનો ભોગ બનેલી એક અશ્વેત રિહાના આજે પોપ સંગીતની દુનિયાની સુલતાન છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 10 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આખરે સાડા છ વર્ષે સર્વોચ્ચ અદાલતે ઇલેકટરોલ બોન્ડ્સ કેસ હાથ ધર્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|10 March 2024

રમેશ ઓઝા

એક વાત તો નક્કી કે અબજો રૂપિયા ખર્ચીને અસત્યનો ગમે એટલો ઘટાટોપ ઊભો કરવામાં આવે, નેતાજીનું ગમે એટલું આભામંડળ પેદા કરવામાં આવે, કઢીચટ્ટાઓ ગમે એટલી ભાટાઈ કરે અને સત્ય છૂપાવે, વિરોધીઓને ડરાવવામાં આવે દબાવવામાં આવે કે ખરીદવામાં આવે, ‘કાશ્મીર ફાઈલ્સ’ જેવી પ્રોપેગેન્ડા ફિલ્મો બનાવવા માટે અબજો રૂપિયા ભાડૂતી ફિલ્મનિર્માતાઓને આપવામાં આવે, સરકારી યંત્રણાને કબજે કરવામાં આવે; પણ સત્યમાં એટલી તાકાત હોય છે કે એ જ્યારે ઊઘડું ઊઘડું થવા લાગે ત્યારે પસીનો છૂટી જાય. કેમ બચવું અને ક્યાં મોઢું છૂપાવવું એ વાત સતાવવા લાગે છે. એમ કહેવાય છે કે સત્ય હજુ તો લોકો સુધી પહોંચવા માટે જોડાની દોરી બાંધતું હોય ત્યાં સુધીમાં અસત્ય અનેક ગાઉમાં ફરી વળ્યું હોય. અસત્યનો આ સ્વભાવ છે. એમાં જો કાનાફૂસીનો માર્ગ અપનાવવામાં આવે તો તો પછી પૂછવું જ શું! પણ એ પછી પણ સસલા-કાચબાની વાર્તામાં બન્યું હતું એમ છેવટે કાચબાનો વિજય થતો જ હોય છે. પ્રશ્ન માત્ર સમયનો હોય છે.

૨૦૧૭માં બજેટના ભાગરૂપે ચૂંટણીફંડ માટે ઇલેક્ટોરલ બોન્ડ્સની યોજના રજૂ કરવામાં આવી હતી. ગણતરી એવી હતી કે નાણાંકીય ખરડા(મની બીલ)ની સાથે સાથે વગર ચર્ચાએ આ યોજના સ્વીકૃત થઈ જશે, અને બન્યું પણ એવું જ. પણ અમદાવાદની એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એ.ડી.આર.) નામની સંસ્થાએ ૨૦૧૭ના સપ્ટેમ્બરમાં આ લોકતંત્ર પરનો કુઠારાઘાત છે, એમ કહીને તેની સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી. લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૧૯ના એપ્રિલ-મેં મહિનામાં યોજાવાની હતી એટલે સર્વોચ્ચ અદાલત પાસે નિર્ણય લેવા માટે દોઢ વરસનો સમય હતો અને તે ઓછો તો ન જ કહેવાય. અમેરિકામાં અને બીજા પ્રગતિશીલ લોકશાહી દેશોમાં આટલા સમયમાં તો અપીલ સહિત અંતિમ ચુકાદાઓ આવી જતા હોય છે. એ સમયે ન્યાયમૂર્તિ દીપક મિશ્ર અને ન્યાયમૂર્તિ રાજન ગોગોઈ અનુક્રમે મુખ્ય ન્યાયમૂર્તિ હતા અને તેઓ આ કેસ હાથ જ નહોતા ધરતા. રાજન ગોગોઈ ઇલેક્ટોરલ બોન્ડ્સ,  બાબરી મસ્જીદ અને બીજા ખટલાઓમાં સરકારને મદદ કરવાના શિરપાવરૂપે અત્યારે રાજ્યસભામાં બિરાજમાન છે. મદદ બે રીતની. કાં તો કેસ હાથ નહીં ધરવાનો અથવા સરકારને અનુકૂળ ચુકાદા આપવાના. દરમ્યાન ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી યોજાઈ ગઈ અને બી.જે.પી.ને ૨૦૧૪માં મળી હતી તેનાં કરતાં પણ વધુ બેઠકો મળી.

લોકતંત્રનું ગળું ઘૂંટનારી આ જોગવાઈને સર્વોચ્ચ અદાલતે તાત્કાલિક હાથ ધરવી જોઈતી હતી, પણ હાથ ન ધરી. હમણાં કહ્યું એમ ૨૦૧૭થી અત્યાર સુધીમાં લોકસભાની, વિધાનસભાઓની અને બીજી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની સેંકડો ચૂંટણીઓ યોજાઈ ગઈ, પણ સર્વોચ્ચ અદાલતને ક્યારે ય એવું ન લાગ્યું કે ભારતનાં લોકતંત્રને પક્ષઘાતી બનાવનારી આ જોગવાઈની યોગ્યતા ચકાસવી જોઈએ અને તે બંધારણીય છે કે નહીં એ વિષે ચુકાદો આપવો જોઈએ. જો એ પક્ષઘાતી ન હોય તો એવો ચુકાદો આપવામાં આવે, પણ કેસ જ હાથ ધરવામાં ન આવે એ ક્યાંનો ન્યાય! બીજું આ જોગવાઈ લોકતંત્ર માટે પક્ષઘાતી છે એવો અભિપ્રાય નિવૃત્ત ન્યાયમૂર્તિઓ અને ફલી નરિમાન જેવા આદરણીય કાયદાવિદોએ પણ આપ્યો હતો.

ખેર, ઇલેક્ટોરલ બોન્ડ્સ સામેના ખટલાને નહીં હાધ ધરીને સર્વોચ્ચ અદાલતે બને ત્યાં સુધી સરકારને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ હવે વધારે મદદ કરવી શક્ય નહોતી, કારણ કે લોકસભાની સામાન્ય ચૂંટણી નજીક છે અને તેના પર આખા જગતની નજર હોય છે. ૨૦૧૯માં તો ઠીક હતું કે ઇલેક્ટોરલ બોન્ડ્સ સામેની અરજીને દાખલ થયે હજુ દોઢ વરસ જ થયું હતું પણ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી સુધીના સાડા છ વરસ સુધી સર્વોચ્ચ અદાલત કેસ હાથ ન ધરે તો જગતમાં ભારતની સર્વોચ્ચ અદાલતની મૃત્યુનોંધ લખાઈ જાય. ભારતની લોકતાંત્રિક સંસ્થાઓનો નાભીશ્વાસ ચાલતો રહેવો જોઈએ કે જેથી તેને મૃત જાહેર કરવામાં ન આવે. સાડા છ વરસ પછી સર્વોચ્ચ અદાલત પાસે કેસ હાથ ધરવા સિવાય કોઈ છૂટકો નહોતો અને જો કેસ હાધ ધરે તો ઇલેક્ટોરલ બોન્ડ્સને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કરવા સિવાય પણ કોઈ છૂટકો નહોતો.

સત્યનો તાપ હવે સતાવે છે. જૂઠનું પ્રચંડ મોટું સામ્રાજ્ય હોવા છતાં. એક. કોણે કેટલા રૂપિયાના બોન્ડ્સ ખરીદ્યા અને કોને એટલે કે કયા પક્ષને આપ્યા? બે. વિવિધ રાજકીય પક્ષોને બોન્ડ્સ દ્વારા કેટલા રૂપિયા મળ્યા? ત્રણ. બોન્ડ્સ જે તે રાજકીય પક્ષે ક્યારે રૂપિયામાં ફેરવ્યા (એનકેશ કર્યા)? ચાર. જો દાતા તેમની પસંદગીના રાજકીય પક્ષને બોન્ડ્સ આપી દે અને એ રાજકીય પક્ષ જો પંદર દિવસમાં રોકડા ન કરે તો બોન્ડ્સની રકમ વડા પ્રધાનના રાહત કોશમાં જમા કરવામાં આવે એવી કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે. (સજ્જનતા બતાવવા માટે આવું થોડું કરવું પડે!) શું એક્સ્પાયેર થયેલા બોન્ડ્સની મુદ્દત વધારી આપવામાં આવી હતી? જો હા તો ક્યારે અને કયા પક્ષની બાબતમાં? પાચ. એક્સ્પાયેર થયેલા બોન્ડ્સની કેટલી રકમ વડા પ્રધાનના રાહતકોશમાં જમા કરવામાં આવી છે? ઇલેક્ટોરલ બોન્ડ્સને વેચતી દેશની એક માત્ર બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને આનાં જવાબ આપવા પડે એમ હતા. સર્વોચ્ચ અદાલતે બોન્ડ્સ રદ્દ કરનારા ચુકાદા સાથે બેંકને આવો આદેશ પણ આપ્યો હતો.

આવો આદેશ પણ સર્વોચ્ચ અદાલતે આપવો પડે એમ હતો. તેની પાસે બીજો કોઈ છૂટકો નહોતો. બે કારણ હતાં. એક તો એ કે આ તર્કસંગત અને ન્યાયસંગત હતો. ચોરી સિદ્ધ થાય તો ચોરી  કોણે કરી, કેટલા રૂપિયાની કે ચીજવસ્તુઓની કરી, ક્યાં છૂપાવી, ચીજવસ્તુ ક્યાં અને કોને વેચી, એ રૂપિયા કોણે, ક્યાં અને કેવી રીતે ખર્ચ્યા, કેવી રીતે ભાગ પાડ્યા એવા સવાલ જેમ સ્વાભાવિક ગણાય એમ. એનાથી બચી ન શકાય. બીજું કારણ એ હતું કે ‘ધ રિપોર્ટર્સ કલેક્ટીવ’ નામના પત્રકારોના જૂથે આની ઘણી વિગતો ગયા વરસે બહાર પાડી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે કેસ હાથ ધરવો પડ્યો એનું આ પણ એક કારણ હતું. જેમ કે ગયા વરસે કર્ણાટક વિધાનસભાની ખરાખરીની ચૂંટણી વખતે એક્સપાયેર થયેલા બોન્ડ્સની મુદ્દત વધારી આપવામાં આવી હતી. કોના કહેવાથી અને કોના માટે એવો પ્રશ્ન તો બેવકૂફ હોય એ જ પૂછે. ક્યાં ગોદી મીડિયાનો ઘોંઘાટ અને ક્યાં ઓફિસ પણ નહીં ધરાવતા પત્રકારોના એક જૂથનું જૂઠની હવા કાઢી નાખનારું કારનામું. આ છે સત્યની તાકાત! શાસકો, સર્વોચ્ચ અદાલત, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ચૂંટણી પંચ ભાગવા માગે તો પણ ભાગી નથી શકતા.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સર્વોચ્ચ અદાલતને કહ્યું છે કે વિગતો આપતા અમને ચાર મહિના લાગશે. શા માટે? જો ચૂંટણીપંચ ૮૦ કરોડ મતદાતાઓનું મતદાન બે-ત્રણ અઠવાડિયામાં કરાવી શકે અને તેની ગણતરીના કલાકોમાં ગણતરી કરી શકે તો બે-ચાર હજાર બોન્ડ્સની ગણતરી કરતા ૧૩૬ દિવસ લાગે? હા, જો સામાન્ય ચૂંટણી નજીક હોય અને શાસકોની ગુલામી કરવી હોય તો આટલો સમય લાગે. અગેન, સત્યની જ્યોત લઈને જીવતા રિપોર્ટર્સ કલેક્ટીવના  પત્રકારો તેમને બિચારાઓને સતાવે છે. તેમની પાસે એ પણ વિગતો છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે અને એ સિવાય બીજા અનેક પ્રસંગે ગણતરીના કલાકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ શાસકોને બોન્ડ્સની વિગતો આપી હતી. ગણતરીના કલાકોમાં એક્સ્પાયેર થયેલા બોન્ડ્સની મુદ્દત લંબાવી આપવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ શાસકોની ખિદમત કરી શકે છે, પણ દેશની જનતાને માહિતી આપતાં વખત લાગે છે. તેઓ ડરે છે.

જો ચૂંટણી પહેલાં બોન્ડ્સની વિગતો બહાર આવે તો બીજું ઘણું બધું બહાર આવે. રિપોર્ટર્સ કલેક્ટીવના માર્ગે બહાર આવે અને સર્વોચ્ચ અદાલતના માર્ગે બહાર આવે એમાં જમીન આસમાનનો ફરક છે. જો બી.જે.પી.ને બોન્ડ્સ આપનારા અને નહીં આપનારાઓનાં નામ બહાર આવે તો કોના પર (ઉદ્યોગપતિઓ) ઇ.ડી. અને બીજી સરકારી એજન્સીઓની રેડ પડી અને કોને લાભ કરી આપવામાં આવ્યા એના છેડા જોડવામાં આવે. છેડા તો જોડાયેલા જ છે, જે સત્તાવારપણે સિદ્ધ થાય. દેશપ્રેમીઓએ છૂપાવેલાં પુષ્કળ હાડપિંજર બહાર આવી શકે એમ છે.

જોઈએ, સર્વોચ્ચ અદાલત શું કરે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 માર્ચ 2024

Loading

ઘડપણ

હરિકૃષ્ણ પટેલ|Opinion - Opinion|9 March 2024

એક અંગ્રેજ લેખકે લખ્યું છે કે તમારી શત્રુની પસંદગી તમારા હાથમાં નથી, તમારી આસપાસની કોઇપણ વ્યક્તિ તમારો દુ:શ્મન હોઇ શકે. પણ મારે આજે એવી કોઇ વ્યક્તિ નહિ પણ જિંદંગીની એક અવસ્થાની વાત કહેવી છે અને તે છે — ઘડપણ.

નાનપણમાં મારા મગજમાં એક જ વિચાર – બસ, મારે મોટા થઇ જવું છે. યુવાવસ્થામાં આવ્યા પછી ભણતર અને સંસાર માંડવાની તમન્નાઓ – એ બધી પૂરી થઇ પછી પ્રૌઢાવસ્થામાં સંતાનોના ઉછેર પાછળ વર્ષો વિત્યાં. મારી આ ત્રણેય અવસ્થા દરમ્યાન મેં મારા દાદા દાદી, નાના નાની અને આડોસ પાડોસના બુર્ઝગોને જોયાં.

અને ત્યારે મને ઘડપણનો અહેસાસ થયો. તેઓનાં જીવનની અગવડતા અને મુશ્કેલીઓ જોઇ, ત્યારથી જ ઘડપણ પ્રત્યે એક જાતની નફરત પેદા થયેલી. સ્વભાવિક છે આવી નફરત દુ:શ્મનીમાં બદલાઇ જાય છે. ઘડપણ મારું શત્રુ બની ગયું. આ શત્રુ તમારી ઉંમરની રાહ જોતું હોય છે અને વખત આવે તે હથિયારો જેવાં કે રોગો અને શારીરિક નબળાઈઓ તમારી સામે ફેંકે છે આવા હથિયારો તેની પાસે રાફડાબંધ છે.

આ બધુ ઓછું હોય એમ એ તમારા પર માનસિક હુમલાઓ કરી તમારી યાદશક્તિ અને અમુક અંશે થોડું ગાંડપણ પણ ઊભુ કરે છે. આ શત્રુ પાસે હથિયારો ઘણાં છે જેવા કે આંખોથી જોવાની શક્તિ, કાનની બહેરાશ, બધા દાંત પડી જાય. આ ઉપરાંત મીઠીપેશાબ, સાંધાઓ અને કમરના દુખાવા. અને તેના કાતિલ હથિયારોમાં, કેન્સર કે હાર્ટ એટેકના સામના કરવાની આપણે પૂરી તૈયારીઓ રાખવી એવું મારું માનવું છે.

મારે તમને બધાને એટલું જ પૂછવું છે કે શું આવા જણને તમે શત્રુ ગણો કે નહિ ?

હવે હું આપ સર્વને એક સલાહ આપું છું, જો આ શત્રુને તમારે છેટે રાખવો હોય તો મારી જેમ ખાવાપીવાનુ ખાસ ધ્યાન રાખવું અને ઘરે બેઠાં શ્કય હોય એટલી નાની મોટી કસરતો કરવી, જેનાથી તમારા સાંધાઓ દુ:ખશે નહિ અને તમારા મગજને સતેજ રાખવા ક્રોસવર્ડ, સુડોકુ કે શેતરંજ જેવી રમતો રમવી.

આ મારા ટૂંકા નિવેદનથી મારે આપ લોકોને ભડકાવાનો હેતુ લગીર નથી.

e.mail : harikrishna38@gmail.com

Loading

...102030...635636637638...650660670...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved