Opinion Magazine
Number of visits: 9457365
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

સિદ્દીક ભરૂચી|Opinion - Opinion|11 March 2024

સો અરથવાળી પણ મહોબત છે,

એવી કોઈ શહેરમાં વસાહત છે?

લાગણીશૂન્ય, દૂરતા, ઘોંઘાટ,

આ નવા કાળની સહુલત છે.

રોજ આપી જતા રહે આશિષ,

ભિક્ષુકોનીયે શું સખાવત છે,

દોસ્તી, પ્રેમ, ને ભલી – સંગત,

મારા નામે તો આ જ મિલ્કત છે.

“રાહ જોવામાં ખૂબ થાકી ગઇ”,

આટલી ભૂલથી અદાવત છે.

ભરૂચ
e.mail : siddiq948212@gmail.com

Loading

વય વધે છે ને લય ઘટે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 March 2024

સમય જાય છે તેમ વય વધે છે ને લય ઘટે છે, એ સ્થિતિમાં થોડી ખોટકાતા લયની ઘટનાઓ જોઈએ.

રવીન્દ્ર પારેખ

લોકસભા ચૂંટણી માથે છે, ત્યારે જ ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાષ્ટ્રપતિને રાજીનામું ધરી દીધું છે ને રાષ્ટ્રપતિએ તે સ્વીકારી પણ લીધું છે. સરકારે મનાવવાની કોશિશ તો કરી છે, પણ 2027 સુધીનો સમય ગોયલ પાસે હોવા છતાં, તેમણે પદ છોડ્યું છે. રાજીનામું મૂકવાના કારણમાં વ્યક્તિગત કારણ દર્શાવાયું છે. આમ તો ગોયલે 18 નવેમ્બર, 2022માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, તેના બીજા જ દિવસથી ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક પામ્યા. તે સંદર્ભે સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ પણ કર્યો કે નિમણૂકમાં આટલી ઉતાવળ કેમ? જો કે, એ પિટિશન પછી રદ્દ કરાઈ હતી. હવે એક જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર બાકી રહેતાં અન્ય નિમણૂકો તાકીદે કરવાની રહે છે. એ જે હોય તે, પણ ગોયલનું રાજીનામું અનેક અટકળો માટે મોકળાશ પૂરી પાડી રહ્યું છે તે ખરું.

આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થાય છે, તો સૌ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીએ અને ઉત્તમ ટકાએ પાસ થાય તેમ ઈચ્છીએ, કારણ હવે તો ટકા પર જ બધું ટકેલું છે. વાલીઓ સંતાનની ક્ષમતા જોયા વગર તેને ડૉક્ટર, એન્જિનિયર જ જોવા ઈચ્છે છે. બધા જ ડૉક્ટર થશે તો દર્દી કોણ થશે એ સવાલ તો છે જ, પણ ઘોડાની રેસમાં બધા પહેલા નથી આવતા, તો ય વાલીઓ ઈચ્છે છે કે તેમનું સંતાન, કંતાન જેવું હોય તો પણ ફર્સ્ટ જ આવે. હવે આંકડાનો-ડેટાનો સમય છે. ઉપરી અધિકારીઓ કામ થાય કે ન થાય, ડેટા મળી જાય તો બીજી ચિંતા કરતાં નથી.

ઘણાંની ગેસ ટ્રબલ ઘટાડવા જ કદાચ, ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 100 રૂપિયા ઘટી ગયો છે. આ ભેટ સરકારે મહિલા દિવસ નિમિત્તે ગૃહિણીઓને આપી છે. મહિલા દિનનો આભાર માનીએ કે તે 8 માર્ચે આવ્યો. તે જાન્યુઆરીમાં આવ્યો હોત તો 100 રૂપિયા જાન્યુઆરીથી ઘટયા હોત કે ડિસેમ્બર, 2024માં આવ્યો હોત તો નવેક મહિના રાહ જોવી પડી હોત. કહેવાય છે તો એવું પણ કે આ ઘટાડો આવી રહેલી લોકસભાની ચૂંટણીને આભારી છે. સરકાર પણ ભાવ ઘટાડી શકે છે, શરત એટલી કે ચૂંટણી નજીક હોય. એમ તો 19 નવેમ્બરે પુરુષ દિન પણ આવે છે, તો સરકાર પુરુષોને પણ કોઈ લાભ ખટાવે એમ બને. કારણ, મતદાન તો પુરુષો પણ કરે છે, એટલે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટે એવી અપેક્ષા ઘણાંને છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ એવો ખુલાસો કર્યો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ સ્થિર થાય તો સરકાર ભાવ ઘટાડવા અંગે વિચાર કરશે. આમ તો મે, 2022માં બેરલનો ભાવ 140 ડોલરે સ્થિર થયો ત્યારથી સરકાર ભાવ વધારીને બેઠી છે ને છેલ્લા કેટલા ય સમયથી બેરલનો ભાવ 80 ડોલર પર સ્થિર છે, પણ સરકારને સ્થિર ભાવ દેખાતો નથી, તેમાં ઈરાદાપૂર્વક ન જોવાનું વલણ કેન્દ્રમાં છે. ક્રૂડના ભાવ વધ્યા ત્યારે સરકારની તેલ કંપનીઓએ ઘણી ખોટ ખાધી ને અત્યારે ભાવ ન ઘટાડીને કંપનીઓ રિકવરી કરી રહી છે, ત્યારે સવાલ થાય કે ક્રૂડના ભાવ વધ્યા તે વખતે પણ ભારતમાં તો ભાવ વધ્યા જ છે, તો અત્યારે રિકવરી કોની હોજરી ભરવા થાય છે તેનો ખુલાસો થવો ઘટે. જો કે, સરકાર દયાળુ ઘણી છે, એટલે આંતર રાષ્ટ્રીય સ્તરે એલ.પી.જી.ના ભાવમાં 300 ટકાનો વધારો થયો, છતાં સરકારે માત્ર 72 ટકાથી જ સંતોષ માન્યો. એમ તો આઠેક લાખ બેન્ક કર્મચારીઓને સત્તરેક ટકા જેટલો વેતન વધારો પણ સરકારે મંજૂર કર્યો છે. ટૂંકમાં, સરકાર જીવદયામાં માને છે ને આ બધું ચૂંટણી પૂરતું સીમિત હોય તો એવી પ્રાર્થના કરવાની રહે કે ચૂંટણીઓ આવતી રહે ને પ્રજાને થોડુંઘણું ખટાવતી રહે. સાથે એ ફાળ પણ પડે જ છે કે ચૂંટણી પતે તે સાથે જ ગેસ સિલિન્ડરનો ભાવ વધે તો નહીંને કે પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે તો નહીં બળેને ! હશે, ‘જે ગમે ‘જગત ગુરુ’ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો …’

આટલી (ર)મૂજી કથાઓ એટલા માટે કે આપણે ત્યાં ઉંમર સંદર્ભે જે અરાજકતા છે તે અંગે ભલે ફોક જાય, પણ ખરખરો તો કરવો જ ! એક સમયે અઢી વર્ષની ઉંમરે પ્રિ-નર્સરીમાં છોકરું ગોઠવી દેવાતું હતું. હવે એ તકો ઊભી રાખીને સરકાર એ મુદ્દે કડક થઈ છે કે 6 વર્ષ પૂરાં ન થાય તો નવાં શૈક્ષણિક વર્ષમાં ધોરણ એકમાં બાળકને પ્રવેશ ન જ આપવો. એ સારું થયું, નહિતર જે રીતે નાની ઉંમરે બાળકો સ્કૂલોમાં ઠલવાતાં હતાં એ પરથી તો લાગતું હતું કે માતાઓ જતે દિવસે બાળકને જન્મ સ્કૂલમાં જ ન આપે તો સારું. ઉંમર 6 વર્ષ નક્કી થઈ છે, પણ અમલ કેટલો થાય છે તે તો સ્કૂલો કે સરકાર જ કહી શકે.

ઉંમરનો એવો જ ઉછાળ સરકારને 16 ડિસેમ્બર, 2021ને રોજ, કન્યાની લગ્નની ઉંમર 21 વર્ષની કરવાનો આવેલો. છોકરાની ઉંમર 21 રાખીને છોકરીની લગ્નની ઉંમર પણ 21 કરીને સમાનતાનો ખ્યાલ પુરસ્કૃત કરવાનો ભ્રમ સરકારને થયેલો ને કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી પણ આપી દીધેલી. પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ, 2021માં લગ્ન માટેની છોકરીની ઉંમર 18થી વધારીને 21 કરવાની વાત હતી. આ ખરડો રજૂ થયો ત્યારે વિવાદ વધતા તે સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો. એનું શું થયું તે ખબર નથી, પણ અત્યારે તો લગ્નની કન્યાની ઉંમર 18 છે એ ખરું. ઉંમર 21ની કરવા પાછળનું કારણ એ અપાયેલું કે 18ની ઉંમરે છોકરીઓ ભણતર પૂરું કરી શકતી નથી. એ રીતે 21ની ઉંમર કરવાનો તર્ક યોગ્ય લાગે, પણ પુરુષની 21 અને સ્ત્રીની 18ની ઉંમર કાયદેસર હોવાને કારણે બે વચ્ચે જે ત્રણેક વર્ષનો ફરક રહેતો હતો ને તે જૈવિક રીતે યોગ્ય પણ હતો, તે તફાવત બંનેની ઉંમર 21 થાય તો રહે નહીં. આ તફાવત એટલે પણ જરૂરી છે કે છોકરા કરતાં છોકરી વહેલી પુખ્ત થાય છે. આજના પ્રસાર માધ્યમોને કારણે છોકરી 15-16 આસપાસ જ પુખ્ત થઈ જાય છે. એ સારું છે કે કન્યાની લગ્નની ઉંમર 21 નથી થઈ. એવું થાય તો 18 વર્ષની ઉંમરે થયેલાં લગ્ન, બાળ લગ્નમાં ખપે. તેનાથી થયેલું સંતાન અનૌરસ ગણાય. 18થી ઓછી ઉંમરે થયેલાં લગ્નનું પ્રમાણ ઓછું છે, તે 18ની ઉંમરે થયેલાં લગ્નને પણ ગેરકાયદેસર ઠરાવીને વધારવું છે? 18ની ઉંમરે પરણેલ કન્યાઓ લગ્ન પછી પણ અભ્યાસ ચાલુ રાખતી જોવા મળી છે ને જેણે અભ્યાસ કરવો જ નથી, તે તો પચીસે પરણે તો ય કોણ રોકે એમ છે?

ગમ્મત તો એ છે કે લગ્નની ઉંમર 21નું વિચારતી સરકાર મતદાનની ઉંમર 21 કરવાના મતની નથી. મતદાનની 18ની ઉંમર પુખ્ત ગણાતી હોય તો કન્યાની લગ્નની ઉંમર પુખ્ત કેમ નહીં તે પ્રશ્ન જ છે. 18ની ઉંમરે વ્યક્તિ મતદાન કરી શકે, પણ ચૂંટણી ન લડી શકે. એની ઉંમર 25 નક્કી કરી છે. એ 21 કે 18 કરવાની વાત છે, પણ ચૂંટણી પંચ સંમત નથી. મતલબ કે 18ની ઉંમરે પુખ્ત ગણાતી વ્યક્તિ મતદાન માટે યોગ્ય છે, પણ ચૂંટણી લડવા અયોગ્ય છે. આવી જ અસમાનતા નોકરીઓમાં પણ છે. એનું કોઈ કારણ હશે કે જુદી જુદી સરકારને હિસાબે પણ નોકરીની કે નિવૃત્તિની વયમાં ફેર રખાયો હશે, પણ એક જ દેશમાં કમ સે કમ નિવૃત્તિ વય સરખી હોય તો શો વાંધો આવે તે સમજાતું નથી. બંને કહેવાય ન્યાયાધીશો, પણ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 62 વર્ષ છે, જ્યારે સુપ્રીમકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષ છે. ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ તથા અધિકારીઓની નિવૃત્તિ વય 58 છે જે 60ની કરવાની દરખાસ્ત છે. શિક્ષકોની વાત કરીએ તો તેમની નિવૃત્તિ 58 વર્ષે થાય છે, પણ કોલેજના અધ્યાપકો 62 વર્ષે રિટાયર થાય છે, એમાં પણ ક્યાંક તો 70 વર્ષ સુધીની છૂટછાટો પણ છે. રાષ્ટ્રીય કૃત બેન્કોમાં પણ નિવૃત્તિ વય 60 વર્ષ નક્કી છે. એક જ દેશમાં જુદી જુદી સરકારોમાં જુદી જુદી નિવૃત્તિ વય હોય એ ઠીક છે? મતાધિકારની વય નક્કી હોય, હિન્દુ મેરેજ એક્ટ મુજબ લગ્નની ઉંમર આખા દેશમાં એક જ હોય, તો નોકરીની નિવૃત્તિ વયમાં આટલો તફાવત યોગ્ય ખરો? આ નિવૃત્તિ વય પ્રજાને જ લાગુ પડે છે, રાજકારણમાં તો ક્યાં કશો બધ છે?

કહેવાનું એ છે કે કેટલુંક ચર્ચાસ્પદ છે તે ચર્ચાસ્પદ રહે જ, એમાં સરકારને રસ હોય એવી ઉદાસીનતા પ્રવર્તે છે. આમ થવાનું કોઈ કારણ હોય તો તેની સ્પષ્ટતા થવી જોઈએ ને જે નિવારી શકાય એમ હોય તેનું તેમ કરીને દેશના નાગરિકોને લાભ આપવો જોઈએ, જેથી સરળતા ને સમાનતાનો અનુભવ થાય. એટલું થશે તો થોડી રાહતનો અનુભવ પ્રજા પણ કરી શકશે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 માર્ચ 2024

Loading

હૂથી વિદ્રોહીઓનો રાતા સમુદ્રમાં કહેરઃ ઇન્ટરનેટ કનેક્શનથી માંડીને આયાત-નિકાસની વ્યાપારી વ્યવસ્થા પર ફટકો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|10 March 2024

વૈશ્વિકરણનો મોહ, પરાધીનતા, આર્થિક રીતે સતત મજબૂત થવાની દોટ આ બધું જ એક બીજા સાથે સંકળાયેલું છે. યમનના હૂથીઓ, ઇરાનની મદદથી ઇઝરાયની સામે લડી રહ્યા છે. ઇઝરાયલ અને ગાઝાના સંઘર્ષમાં પશ્ચિમી દેશો પોતાનો સ્વાર્થ જુએ છે, તો ભારતે મુત્સદ્દી વલણ અપનાવવું પડ્યું છે. અર્થતંત્રને બળકટ બનાવવાનું હોય ત્યારે આવા સંજોગો તેની તાકાત ઘટાડનારા સાબિત થાય છે.

ચિરંતના ભટ્ટ

રાતા સમુદ્રમાં હૂથી વિદ્રોહીઓએ કાળો કેર વર્તાવ્યો છે. હૂથીઓના હુમલા સાથે આપણે શું લેવાદેવા એવું વિચારીને છાપું વાળીને બાજુમાં મુકતા પહેલાં એટલું ચોક્કસ જાણી લેવું કે હૂથીઓની આડોડાઇને કારણે તમારા મોબાઇલ ફોનનું ઇન્ટરનેટ ગુલ થઇ જવાની પૂરી શક્યતા છે. રાતા સમુદ્રમાંથી પસાર થઇ રહેલા અનેક જહાજો પર ઇરાનના બળે ખડા થયેલા હૂથી વિદ્રોહીઓએ હુમલા કર્યા છે. પહેલાં કાર્ગો શિપમેન્ટનો વારો હતો તો એની પછી એનર્જી શિપમેન્ટ પછી હૂથી વિદ્રોહીઓએ ઇન્ટરનેટ કેબલ્સને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું છે. તેમણે અન્ડરવૉટર આવેલા ત્રણ ટેલિકોમ્યુનિકેશનનાં કેબલ્સને યમનના હૂથીઓએ ભારે નુકસાન કર્યું હોવાનો દાવો કરાઇ રહ્યો છે. રાતા સમુદ્રમાં આખા વિશ્વનાં 17 ટકા ઇન્ટરનેટ ટ્રાફિકને કન્ટ્રોલ કરનારા નેટવર્કનું તંત્ર છે તો સાથે ફાઇબલ પાઇપ્સ પણ છે.  જે ત્રણ કેબલને નુકસાન પહોંચાડાયું છે તે એશિયા, આફ્રિકા અને યુરોપ – 1, યુરોપ ઇન્ડિયા ગેટવે, સીકોમ અને ટીજીએને-ગલ્ફ સુધી ઇન્ટરનેટ પહોંચાડનારા કેબલ્સ છે.  ટાટા કોમ્યુનિકેશન સીકોમ-ટી.જી.એન.-ગલ્ફ લાઇનનો ભાગ છે. આ નુકસાની પછી ટાટામાંથી ન્યુઝ મીડિયાને અધિકૃત વિધાન પહોંચાડાયું હતું કે આ નુકસાનીને ઠીક કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની શરૂઆત કરી દેવાઇ હતી. જો કે હૂથી વિદ્રોહીઓ તો પોતે આવું કંઇપણ કર્યું હોવાની વાતને સદંતર નકારે છે, પણ તેઓના વિદ્રોહ આવા કોઇ મોટા નુકસાન તરફ દોરી જશે એવો ડર લાંબા સમયથી સેવાઇ રહ્યો હતો અને આની ચેતવણી ત્યારે આવી જ્યારે હૂથીઓની એક ટેલિગ્રામ ચેનલ પર રાતા સમુદ્રમાંથી પસાર થઇ રહેલા કેબલ્સનો નકશો જાહેર કરવામાં આવ્યો. આ નકશાની તસવીર સાથે એક સંદેશો પણ હતો જેમાં લખ્યુ હતું કે વિશ્વના બધા જ પ્રદેશોને જોડતા ઇન્ટરનેશનલ કેબલ્સનો આ નકશો છે. એમ લાગે છે કે યમન એક બહુ વ્યૂહાત્કમ સ્થળે આવેલો દેશ છે કારણ કે આખેઆખા ખંડને જોડતી ઇન્ટરનેટ લાઇન્સ તેની ખૂબ જ નજીકથી પસાર થાય છે. હૂથીઓના હુમલાઓને કારણે આખી દુનિયામાં ખાદ્ય પદાર્થો, ઊર્જા વગેરેની કિંમતોમાં ધરખમ વધારો થયો છે, આવામાં જો ઇન્ટરનેટને લગતી કટોકટી આવી પડશે તો ધાર્યા કરતાં વધારે નુકસાન થવાની અને અંધાધૂંધી ફેલાવાની શક્યતા છે. હૂથીઓએ ફેલાવેલો દરિયાઇ વિદ્રોહ બહુ ઘેરો અને બહોળો પ્રભાવ પાડનારો સાબિત થઇ રહ્યો છે ત્યારે ભારતના સંદર્ભે આ વિદ્રોહને નાણવાનો પ્રયાસ કરીએ.

ઇઝરાયલે ગાઝા પર કરેલા બોમ્બિંગનો વિરોધ દર્શાવવા હૂથી વિદ્રોહીઓએ રાતા સમુદ્રમાંથી પસાર થનારા કોમર્શિયલ જહાજો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. યુ.એસ.એ., બ્રિટન અને ઇ.યુ.એ. હૂથીઓને રોકવા માટે લશ્કરી પગલાં લીધા હોવા છતાં પણ તેમના હુમલાઓ અટક્યા નથી. શિપિંગ સેવાઓ પોતાના જહાજોને રાતા સમુદ્રના પાણીમાં ઊતરતાં કચવાઇ રહ્યા છે અને આ કારણે આજ-કાલથી નહીં પણ છેક નવેમ્બરથી ઊર્જા, ખોરાકની ચીજોથી માંડીને અનેક વસ્તુઓને મામલે વૈશ્વિક સ્તરે ચાલનારું આયાત-નિકાસનું તંત્ર ખોરવાઇ ગયું છે. તાજેતરમાં તો બ્રિટિશ કાર્ગો શીપ ‘રૂબીમાર’ પર બે બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવી અને આ નુકસાનીને પગલે એ જહાજને સમુદ્રમાં જ તરછોડી દેવાયું. રાતા સમુદ્રના માર્ગે ક્રુડ ઓઇલના મોટા ભાગના કાર્ગોઝ પસાર થતા જેમાં દેખીતો, એટલે કે લગભગ સાંઇઠ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ક્રુડ ઓઇલના વહનમાં આવું થાય એટલે સીધી જે તે રાષ્ટ્રના અર્થતંત્ર પર અસર પડે. હૂથી વિદ્રોહીઓના હુમલા કરવાની પ્રકૃતિ અને તેના પ્રમાણમાં કોઇ ફેરફાર થયા નથી. આ તરફ માલભાડાંના ભાવ લગભગ 30થી 50 ટકા વધી ગયા છે. ઇન્સ્યોરન્સની કિંમતો વધી છે અને ચીનથી જે જહાજ – કન્ટેનર પાછું ફરવાનું હતું તેમાં વિલંબ થવાને કારણે આખે આખી સપ્લાય ચેન પર અસર પડી છે. જહાજોને રાતો સમુદ્ર પસાર કરવામાં જેટલો સમય લાગતો તેમાં હવે આ વિદ્રોહીઓના ભયને કારણે લગભગ 2 અઠવાડિયા જેટલો વિલંબ થઇ રહ્યો છે. આટલી બધી નુકસાની વેઠવા સિવાય બીજા કોઇ રસ્તા દેખાતા નથી કારણ કે જે રીતે હૂથી વિદ્રોહીઓનો મામલો બિચક્યો છે તેને થાળે પાડવા માટે જે જિઓપૉલિટિક્સ – ભૌગોલિક રાજકારણમાંથી ઉકલે શોધવો પડે એમ છે તે ધાર્યા કરતાં કંઇક ગણું પેચીદું છે. હૂથી વિદ્રોહીઓની માગ છે કે ગાઝામાં થઇ રહેલા હુમલા અટકવા જોઇએ અને આ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઇએ. જે રીતે એકથી વધુ રાષ્ટ્રોએ હૂથીઓને કાબૂમાં કરવા માટે લશ્કરી પગલાં લીધાં તે જ સાબિત કરે છે કે આ સમસ્યા ઉકેલાતાં વાર લાગશે.

ભારતના સંદર્ભે હૂથી વિદ્રોહીઓના હુમલાને જોઇએ તો ભારતને ભારે નુકસાની વેઠવી પડે એવી શક્યતા છે. સૌથી પહેલાં તો યુરોપમાં ભારત જે પણ નિકાસ કરે છે, જે એક્સપોર્ટ કરે છે તેના 80 ટકા રાતા સમુદ્રના માર્ગે યુરોપ પહોંચે છે. સતત ખોરવાયેલા તંત્રને પગલે 2023-24ના નાણાંકીય વર્ષમાં મર્ચેન્ડાઇઝની નિકાસને ખૂબ નુકસાન થયું છે. ફ્રાઇટના ભાવમાં ભારતની કંપનીઓએ  માત્ર 45 દિવસમાં જ 150 ટકાનો ઉછાળો વેઠવો પડ્યો છે જેને કારણે સ્પર્ધામાં ટકી રહેવું પણ તેમને માટે મુશ્કેલ બની ગયું છે. ટેક્સટાઇલ, ચામડું, મસાલા, એન્જિનિયરિંગ ગુ્ડ્ઝ, જેમ્સ અને જ્વેલરી, ફાર્મા, અને, ખાતરને લગતી આયાત-નિકાસ પર હૂથી વિદ્રોહીઓના હુમલાને કારણે સૌથી વધુ અસર પડી છે. વળી રાતા સમુદ્રના માર્ગ પર આયાત-નિકાસ માટે નાના અને મધ્યમ કદના નિકાસકારો અને ઓછું મૂલ્ય ધરાવતા ઉત્પાદનોની મોટા જથ્થામાં નિકાસ કરનારાઓને સૌથી મોટો ફટકો પડ્યો છે. આયાત કરનારાઓ ઊંચી કિંમતો આપવાની ના પાડે છે અને ઝડપથી માલ પહોંચે એ માટે દબાણ કરી રહ્યા છે. સુએઝ કેનાલ જે વૈશ્વિક વ્યાપારના 12 ટકા હિસ્સાનું વહન કરે છે તે અત્યારે આ અરાજકતાને કારણે બંધ છે જેના કારણે નિકાસકારો આફ્રિકાના માર્ગે ઉત્પાદનો પહોંચાડે તો છે પણ તેમાં તેમનો ખર્ચો બમણો થઇ જાય છે. કૂલ નિકાસના 34 ટકા પર આ હુમલાને કારણે અસર થઇ છે કારણ કે કેટલાક ભારતીય નિકાસકારો તો ખરીદારના માલને નુકસાન ન થાય તેની બીકે શિપમેન્ટ રોકીને બેઠા છે. પુરવઠામાં થતો વિલંબ વ્યાપારની એકથી વધુ પ્રક્રિયાઓની ગતિ પર અસર કરે છે. ક્રિસીલના એક રિપોર્ટ અનુસાર કેપિટલ ગૂડ્ઝ અને ખાતરની આયાત-નિકાસ પર આ વિદ્રોહી હુમલાઓની સૌથી વધુ અસર પડી છે. ખાતરને મામલે ભારત ઇઝરાયલ અને જોર્ડન પર મોટે પાયે આધાર રાખે છે પણ હમણાં એ લેવડ-દેવડની વ્યવસ્થા હચમચી ગઇ છે.

સરકાર પ્રયત્ન કરી રહી છે કે આ પરિસ્થિતિનો કોઇ હલ નીકળે કારણ કે એશિયાને યુરોપ અને ઉત્તર અમેરિકા સાથે જોડતો ટૂંકામાં ટૂંકો રસ્તો રાતા સમુદ્ર વાટે જ છે. નિકાસકારોને નાણાં ધીરાય તેની તકેદારી પણ સરકાર રાખી રહી છે, જેથી તેમનું કામ સદંતર બંધ ન થઇ જાય. સરકાર એવો માર્ગ શોધી રહી છે જેને કારણે ઝડપથી ઉકેલ આવે અને ઓછામાં ઓછું આર્થિક નુકસાન થાય. જો રાતા સમુદ્રમાં હૂથીઓ આ અવરોધી હુમલા ચાલુ રાખશે તો લાંબા ગાળાના શિપિંગ કોન્ટ્રાક્ટ પર ઊંડી અસર પડશે અને તેને રિન્યુ કરવું સહેલું નહીં હોય.

વૈશ્વિકરણ સમયની માગ છે એ સાચું પણ જેટલું વધારે વૈશ્વિકરણ થાય એટલા પ્રશ્નો પણ વધે. ગાંધીજીનો નિયમ હતો કે તમે જ્યાં હો તેના 100 મીટરમાં જે મળતું હોય એ જ વાપરવું, આધુનિક સમયમાં એ બાબતને ગણતરીમાં લેવાનું શક્ય નથી, પણ રોજ બ રોજની જિંદગીમાં ન વર્તાતી મુશ્કેલીઓ રાષ્ટ્રીય સ્તરે અણધાર્યું અને મોટું નુકસાન કરી બેસે ત્યારે વૈશ્વિકરણના ગેરફાયદાનું અવલોકન કરી, ક્યાં મર્યાદા બાંધી તે વિચારવું પડે એ ચોક્કસ.

બાય ધી વેઃ

વૈશ્વિકરણનો મોહ, પરાધીનતા, આર્થિક રીતે સતત મજબૂત થવાની દોટ આ બધું જ એક બીજા સાથે સંકળાયેલું છે. યમનના હૂથીઓ, ઇરાનની મદદથી ઇઝરાયલની સામે લડી રહ્યા છે. ઇઝરાયલ અને ગાઝાના સંઘર્ષમાં પશ્ચિમી દેશો પોતાનો સ્વાર્થ જુએ છે તો ભારતે મુત્સદ્દી વલણ અપનાવવું પડ્યું છે. અર્થતંત્રને બળકટ બનાવવાનું હોય ત્યારે આવા સંજોગો તેની તાકાત ઘટાડનારા સાબિત થાય છે. હૂથીઓ અળવીતરા છે અને તેમને બરાબર ખબર છે કે ઇન્ટરનેટ કેબલ્સને નુકસાની પહોંચાડીને તેઓ એક કરતાં વધારે દેશોને લાચાર કરી શકે છે. પોતાના ઇરાદા બર લાવવા માટે વિદ્રોહીઓ મનફાવે એમ કરતાં જરા ય વિચારવાનાં નથી, પણ તેમને કાબૂમાં લાવવા માટે બહુરાષ્ટ્રીય મસલતની અનિવાર્યતા છે. અલગ અલગ આર્થિક તાકાત ધરાવનારા રાષ્ટ્રો પોતાના સમીકરણોને ગણતરીમાં લાવીને કોઇ એક નિષ્કર્ષ પર આવે એ જેટલું સાંભળવા-વાંચવામાં સરળ લાગે છે એટલું છે નહીં. વળી ભારતીય નૌકા દળ પણ ભારતીય જહાજોની સુરક્ષા માટે તૈનાત છે જો કે અન્ય રાષ્ટ્રોના નૌકાદળો સાથે ગઠબંધન કરવાની પહેલ હજી સુધી નથી કરાઇ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 માર્ચ 2024

Loading

...102030...634635636637...640650660...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved