Opinion Magazine
Number of visits: 9457225
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક વાર જેનો સૂરજ મધ્યાહ્ને ચમકતો હતો, તે ઇંગ્લેન્ડ હવે નાસીપાસ અને નિરાશ થઇ ગયું છે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 April 2024

રાજ ગોસ્વામી

તમે દુનિયાના ખુશ દેશો વિશે સાંભળ્યું હશે (2023ના રેન્કિંગ પ્રમાણે ફિનલેન્ડ એક નંબર પર સૌથી ખુશ દેશ છે, જ્યારે ભારત 126 નંબર પર છે), પરંતુ માનસિક સ્વાસ્થ્ય મામલે દુનિયામાં સૌથી દુઃખી દેશ કયો છે તે ખબર છે? જવાબ : યુ.કે. 

જે ગુજરાતીઓ બાપદાદાઓના વખતથી બ્રિટનથી પરિચિત છે તેમની લાંબા સમયથી એક ફરિયાદ રહી હતી કે બ્રિટિશ સમાજ ખોખલો થઇ રહ્યો છે અને તેની નવી પેઢી માયકાંગલી બની રહી છે. બ્રિટનનું અર્થતંત્ર નિરંતર ગબડી રહ્યું છે, નોકરીઓ નથી રહી, ગોરા લોકોમાં સ્કિલનો વિકાસ અટકી ગયો છે, સમાજમાં વિવિધ વર્ગો વચ્ચે સંઘર્ષ તેજ બની ગયો છે, બ્રિટિશ લોકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે, ગરીબી અને ભૂખમરો વધી ગયો છે. 

આ જ શંકાને હવે સત્તાવાર સમર્થન મળ્યું છે. વોશિંગ્ટન સ્થિત સેપિયન લેબ્સ નામની એક સંસ્થા, તેના ગ્લોબલ માઈન્ડ પ્રોજેક્ટ હેઠળ, દુનિયામાં બદલાઈ રહેલા સામાજિક-ટેકનોલોજીકલ અને ભૌતિક વાતાવરણથી માણસોની માનસિક સુખકારીમાં કેટલો અને કેવો ઘટાડો થાય છે તેનો અભ્યાસ કરે છે. 

2024ના વર્ષ માટે તેણે 71 દેશોના 400,000 લોકોની માનસિક અવસ્થાનો અભ્યાસ કર્યો છે. તદ્દનુસાર, તમામ દેશોમાં માનસિક સુખાકારીમાં ઘટાડો નોંધાયો છે અને તેમાં યુ.કે. બીજા નંબરનો સૌથી દુઃખી દેશ છે. એક નંબર પર ઉઝબેકિસ્તાન છે. માનસિક સુખાકારીમાં આવેલા પતનનું એક પ્રમુખ કારણ કોવિડ-19ની મહામારી છે, એમાં આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે. આ અભ્યાસમાં, 35 પ્રતિશત બ્રિટિશ લોકોએ કહ્યું હતું કે તેઓ હજુ પણ વ્યથિત છે અને માનસિક સંઘર્ષ કરી રહ્યા છે.

યુ.કે.માં, વિધાર્થીઓ માટેના સૌથી મોટા ઓનલાઈન સમુદાય ‘ધ સ્ટુડન્ટ રૂમ’માં એક ચર્ચા દરમિયાન એક ઇંગ્લિશ નાગરિક લખે છે, “તમારી ખબર નથી, પરંતુ હું જ્યારે પણ બહાર જાઉં છું ત્યારે મેં હંમેશાં ઇંગ્લેન્ડ અને આ અન્ય દેશો વચ્ચે મોટો તફાવત જોયો છે. હું ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા, યુ.એસ.એ., સ્પેન અને ઇટાલી જેવા દેશોમાં ગયો છું અને મેં જોયું છે કે ત્યાં એક પરિચિત સંસ્કૃતિ છે, જેમાં લોકોનો લગાવ છે. તે ભલે દુનિયાના સૌથી ધનિક દેશો ના હોય અને તેમને ય આર્થિક સમસ્યાઓ પજવતી હશે, પરંતુ તેઓ એકંદરે ખુશ પ્રજા છે. મને ખબર નથી કે બહેતર હવામાન, જીવનની ધીમી ગતિ અને સુખી જીવન વચ્ચે સંબંધ છે કે નહીં, પરંતુ એક ઇંગ્લિશમેન તરીકે હું ઇંગ્લેન્ડમાં બહુ દુઃખી રહું છું. મને કાયમ એવું લાગે છે આ દેશના લોકો વ્યથિત છે.”

2022ના એક અહેવાલમાં, ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્ર લખે છે, “બ્રિટન નબળું પડી રહ્યું છે, અને તેની નિશાનીઓ ચારેબાજુ છે. ફુગાવો બે આંકડામાં છે, અને જી-7 દેશોમાં બ્રિટનની મંદી 2024માં ભયાનક રહેવાની છે, તેનું સ્વાસ્થ્ય તંત્ર ડચકાં ખાઈ રહ્યું છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ ખસકી ગયું છે, બ્રેક્ઝિટ પછી કામદારોની અછત વ્યાપક છે, મકાનમાલિકોને ઊંચા ગીરો દર આપવા પડે છે, ભાડૂતોને ઘરો ખાલી કરવાં પડે છે, લાખો લોકો તેમના ઘરોને ગરમ કરી શકતા નથી, લોકોને ખાવાની આપતી સંસ્થાઓ, જે એક દાયકા પહેલા ભાગ્યે જ અસ્તિત્વમાં હતી, તે તુટવાની અણી પર છે અને 1.45 કરોડ લોકો ગરીબીમાં જીવે છે. બ્રિટનમાં શિયાળો ઉતર્યો છે અને તે અંધકારમય છે.”

સમૃદ્ધ દેશોમાં બાળકોની સુખાકારી અંગેના યુનિસેફના અહેવાલ અનુસાર, સુખાકારીની બાબતમાં બ્રિટનનાં બાળકો દુનિયાના 27 દેશોમાં સૌથી તળિયે છે.  જીવનથી નાખુશ હોય તેવાં બાળકોની સંખ્યા સતત વધી રહી છે.

આ પરિસ્થિતિનાં સામાજિક, રાજકીય અને આર્થિક કારણો હશે, પરંતુ બ્રિટન બહાર એક બીજી માન્યતા પણ ઘર કરી ગઈ છે કે બ્રિટિશરો સ્વભાવથી જ દુઃખી લોકો છે. આમાં તથ્ય છે? ક્વીન્ટીન ક્રિસ્પ નામના એક બ્રિટિશ લેખકે 90ના દાયકામાં લખ્યું હતું કે, “બ્રિટિશરોને સુખની અપેક્ષા જ નથી.”

ઇન ફેક્ટ, ઇંગ્લેન્ડની વાર્વિક યુનિવર્સિટીના એક સંશોધને એવું સાબિત કર્યું છે કે બ્રિટિશ લોકો જીનેટિકલી જ દુઃખી છે! 131 દેશોમાં આ સંશોધનનું નેતૃત્વ કરનાર પ્રોફેસર એન્ડ્રુ ઓસ્વાલ્ડના જણાવ્યા અનુસાર, ડેનમાર્ક જેવા દેશોની સરખામણીમાં બ્રિટિશ, ફ્રેન્ચ અને અમેરિકનો મિજાજી લોકો છે કારણ કે તેમનામાં જિન્સનું એક એવું ‘ટૂંકું સ્વરૂપ’ છે જે સુખના ભાવ માટે જવાબદાર રસાયણ સેરોટોનિનની માત્રાને નિયંત્રિત કરે છે.

“અમે જે દેશોનો અભ્યાસ કર્યો છે, તેમાં ડેનમાર્ક અને નેધરલેન્ડ્સમાં સેરોટોનિન જિન્સની ટૂંકી આવૃત્તિ ધરાવતા લોકોની ટકાવારી સૌથી ઓછી હોવાનું જણાયું હતું,” એમ સંશોધકે કહ્યું હતું. 

સુખી રાષ્ટ્રોના સર્વેક્ષણમાં સતત મોખરે રહેતા ડેનમાર્કના લોકોમાં તે જિન્સનું લાંબુ સ્વરૂપ જોવા મળે છે અને એક સમાન રીતે સ્થિર અર્થતંત્ર અને સરકારો હોવા છતાં બ્રિટિશરો અને અમેરિકનો ટૂંકા જિન્સના કારણે તુંડમિજાજી બની ગયા છે.

તેમની તુંડમિજાજીનું એક ઉદાહરણ એક અમેરિકન બીયરના ટી.વી. વિજ્ઞાપનમાં જોવા મળ્યું હતું. તે વિજ્ઞાપનમાં, અન્ગુસ ડેટોન નામના એક જાણીતા બ્રિટિશ કોમેડિયન હતા. તે અમેરિકાના મિયામીમાં એક બારમાં બીયર મંગાવે છે. બારમેન તેને બીયર આપતી વખતે પૂછે છે,

“તમે ઇંગ્લેન્ડથી આવો છો?”

“યેસ.”

“પહેલી વાર?”

આમાં કોમન સેન્સની વાત છે કે અમેરિકન એમ પૂછે છે, “પહેલી વાર અમેરિકા આવ્યા છો?” અને તેનો જવાબ “હા” અથવા “ના, પહેલાં પણ આવી ગયો છું” એવો હોય, પણ મોઢા પર કોઈ ભાવ વગર, સપાટ મોઢે કહે છે, 

“ના, હું આ પહેલાં પણ ઘણીવાર ‘ઇંગ્લેન્ડથી હતો.”

આ રમૂજ નથી, કટાક્ષ છે. એમાં સામેવાળા માણસને વડચકું ભરી લેવાની વૃત્તિ હતી. પેલો બારમેન મનમાં જ બોલ્યો હશે, “શું ટૈડ માણસ છે!”

પેલા ઓનલાઈન ‘સ્ટુડન્ટ રૂમ’માં ઇંગ્લિશમેન લખે છે, “આપણે દુનિયાના સૌથી વિકસિત અને નસીબદાર દેશ છીએ, પણ આપણે ઠંડાગાર લોકો છીએ પરિવારનું સન્માન કરતાં નથી. ખબર નથી ઇંગ્લેન્ડ ક્યાં જઈ રહ્યું છે! અહીં દરેક વ્યક્તિ નાખુશ છે. મને થાય છે જે હું ઇંગ્લેન્ડની બહાર જતો રહું. હું ઓસ્ટ્રેલિયામાં 3 અઠવાડિયા રહ્યો હતો અને તે એક અદ્દભુત અનુભવ હતો. દરેક વ્યક્તિ ખુશ હતી, હસતી હતી, સરસ હવામાન હતું, સુંદર દરિયાકિનારા છે અને ત્યાં કોઈ મારામારી થતી નથી. મને ઓસ્ટ્રેલિયા છોડતાં દુઃખ થયું હતું.”

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 31 માર્ચ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ખતરામાં અખતરા …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 April 2024

રવીન્દ્ર પારેખ

ન્યાયતંત્ર જોખમમાં છે કે ન્યાયતંત્ર પર રાજકીય ને વ્યાવસાયિક દબાણ વધારવામાં આવી રહ્યું છે, એ મતલબનો એક પત્ર 600થી વધુ વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા(સી.જે.આઈ.)ને લખ્યો ને તેની રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી. આ પત્ર ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મનન મિશ્રા ઉપરાંત બીજા અનેક વકીલોની સહીથી સી.જે.આઈ.  ડી.વાય. ચંદ્રચૂડને 26 માર્ચે લખાયો છે. વકીલોએ પત્રમાં ચિંતા વ્યક્ત કરી છે કે અમે વકીલો કાયદાનાં રક્ષણ માટે સક્રિય છીએ, ત્યારે ન્યાયિક અખંડિતતાને નબળી પાડવાની કોશિશો કરવામાં આવી રહી છે. એવે વખતે સાથે મળીને અવાજ ઉઠાવવાની જરૂર છે, જેથી સંતાઈને હુમલો કરનારાઓને પડકારી શકાય. એ ખરું કે કોર્ટ લોકશાહીનો આધારસ્તંભ છે ને તે કોઈ પણ મેલી મુરાદોથી સુરક્ષિત રહે તે સુનિશ્ચિત થવું જોઈએ. પત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક વિશેષ જૂથ ન્યાયતંત્રને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યું છે. એ જૂથ કયું છે તેનો ફોડ પાડવામાં આવ્યો નથી, પણ રાજકીય એજન્ડા હેઠળ આરોપો લગાવીને એ જૂથ, કોર્ટને બદનામ કરવાની કોશિશ કરી રહ્યું છે એવું તો પત્રમાં કહેવાયું છે. પત્રનો હેતુ ન્યાયતંત્ર સાથે જોડાયેલી સંવાદિતા અને વિશ્વાસનું વાતાવરણ ડહોળાય નહીં તેટલું જોવાય એવું સૂચવવાનો પણ છે.

કોઈ રાજનેતા પર ભ્રષ્ટાચારનો આરોપ હોય, ત્યારે રાજકીય રીતે અનેક યુક્તિ-પ્રયુક્તિથી કોર્ટ પર દબાણ ઊભું કરવાનો પ્રયત્ન થાય એ અક્ષમ્ય છે, કારણ એવી પદ્ધતિ લોકશાહી માળખાને જોખમમાં મૂકી શકે છે. એ કયું ગ્રૂપ તેનું નામ નથી દેવાયું, પણ તે વિશેષ ગ્રૂપ વિષે એવું કહેવાયું છે કે તે કોર્ટના સોનેરી ભૂતકાળનો ઉલ્લેખ કરીને આજને સંદર્ભે તેની તુલના કરે છે. આ તુલના એ પ્રકારની હોય છે જે નિર્ણયોને પ્રભાવિત કરી શકે ને એ દ્વારા રાજકીય હિત અને હેતુ સાધી શકાય. પત્રમાં એવા વકીલોનો પણ ઉલ્લેખ થયો છે જે દિવસે એવા ભ્રષ્ટ રાજકારણીને બચાવવા કેસ લડે છે ને રાત્રે એ હેતુથી મીડિયામાં રહે છે જે દ્વારા કોર્ટના નિર્ણયો પ્રભાવિત કરી શકાય ને એમાં બેન્ચ ફિક્સિંગની થિયરી પણ આવી જાય. આમ કરવાથી તો કોર્ટનો અનાદર જ થાય છે તે કહેવાની જરૂર નથી. કોર્ટની ગરિમા એથી જોખમાય છે એ પણ એટલું જ સાચું. પત્રમાં જજો પર થતા હુમલાની નોંધ પણ લેવામાં આવી છે ને તે સાથે કોર્ટોની સરખામણી એવા દેશો સાથે કરવામાં આવી છે, જ્યાં કાયદાનું કોઈ શાસન નથી. બીજી તરફ રાજકારણીઓ ચુકાદો પોતાની તરફેણમાં આવે તો ન્યાયની સરાહના કરે છે ને ચુકાદો વિરુદ્ધમાં આવે છે તો કોર્ટની ટીકાઓ કરે છે કે વાત મીડિયામાં ચગાવે છે. આ બધાંની સામાન્ય માણસો પર અસર થયા વગર રહેતી નથી તે ખરું કે કેમ?

પત્રમાં એવા લોકોનો ઉલ્લેખ પણ છે જે સોશિયલ મીડિયા પર એવા જજોની ટીકા કરે છે જે તેમના કેસ સાથે જોડાયેલા છે. એ દ્વારા તેમનો હેતુ તે જજો પર દબાણ લાવીને નિર્ણય પોતાની તરફેણમાં લાવવાનો હોય છે. એનાથી કોર્ટની પારદર્શિતા પર જોખમ ઊભું થાય છે. આવું 2018-‘19ની ચૂંટણી વખતે થયું હતું ને હવે 2024ની ચૂંટણી નજીકમાં છે ત્યારે પણ થઈ રહ્યું છે તે દુ:ખદ છે.

આ પત્ર 600 વકીલોની સહી સાથે સી.જે.આઈ.ને લખાયો છે. આ વકીલોએ જૂથ, વિશેષ જૂથ એમ કહ્યું છે, પણ તે કયું જૂથ તેનું નામ પાડ્યું નથી. એ કયું જૂથ તેનો સંકેત કોઈને મળે પણ ખરો. એનાથી બધા જ અજાણ હોય એમ ન પણ બને. વળી પત્ર કઈ વ્યક્તિને ઉદ્દેશીને લખાયો છે તે પણ સ્પષ્ટ છે, તો તેમનાથી જૂથનું નામ છુપાવવાનું કયું કારણ હતું તે નથી સમજાતું. આટલા વકીલો પાસેથી તો આટલી નૈતિક હિંમતની અપેક્ષા સ્વાભાવિક જ સૌને હોય. જૂથનું નામ ન આપવામાં અટકળોને મોકળું મેદાન મળે એવું નહીં? એમ બને કે એ જૂથ કોઈ વકીલોનું હોય તો બધાનાં નામ દેવાનું શક્ય ન હોય, પણ જૂથ કોઈ રાજકીય હોય તો તેને વિષે બોલવામાં વકીલો અવઢવમાં ન હોય એ અપેક્ષિત છે.

આમ તો વકીલોના એક સમૂહને ઉદ્દેશીને પત્રમાં કહેવાયું હોવાની સંભાવના વધુ છે ને રાજકીય જૂથનો તો ફોડ પડાયો જ નથી, છતાં વડા પ્રધાનને એ ખબર પડી ગઈ કે કાઁગ્રેસને ઉદ્દેશીને જ એ પત્ર લખાયો છે એમને તો ભાવતું હતું ને વૈદે કહ્યા જેવું થયું. ગયા મંગળવારે પત્ર લખાયો ને ગુરુવારે તો વડા પ્રધાને ધોકાવવા જ માંડ્યું કે બીજાને ડરાવવા એ કાઁગ્રેસની જૂની સંસ્કૃતિ છે. લગભગ 50 વર્ષ પહેલાં તેમણે વધુ પ્રતિબદ્ધ ન્યાયતંત્રની વાત કરી હતી. કાઁગ્રેસ માટે તેમણે એમ પણ કહ્યું કે તેઓ બેશરમીથી પોતાના સ્વાર્થ માટે અન્ય લોકો પાસેથી પ્રતિબદ્ધતા ઈચ્છે છે, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની કોઈ પણ પ્રતિબદ્ધતાને તેઓ ટાળે છે. એ જ કારણે 140 કરોડ ભારતીયો તેમને એટલે કે કાઁગ્રેસને નકારે એમાં નવાઈ નથી. વડા પ્રધાન માને છે કે આખો દેશ કાઁગ્રેસને નકારે છે. જો કે, તેમણે એવું કહ્યું નથી કે 140 કરોડ ભારતીયો ભા.જ.પ.ને સ્વીકારે છે. એ કદાચ તેમણે 140 કરોડ ભારતીયો પર છોડ્યું હોય એમ બને. વડા પ્રધાનનો આ સંયમ કાબિલે તારીફ છે, પણ એથી કાઁગ્રેસ તો ચૂપ ન રહેને ! એણે તો ન્યાયયાત્રા પણ કાઢી છે !

કાઁગ્રેસ અધ્યક્ષે પણ વડા પ્રધાન મોદીને સંભળાવવામાં કૈં બાકી નથી રાખ્યું. એમાં વકીલો તો બાજુ પર રહ્યા, વડા પ્રધાન અને કાઁગ્રેસ અધ્યક્ષ સામસામે આવી ગયા. કાઁગ્રેસ અધ્યક્ષે ટોણો મારતા કહ્યું કે પ્રધાન મંત્રીશ્રી, તમે ન્યાયતંત્રની વાત કરો છો? એ ભૂલી ગયા કે સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠતમ જજોએ અભૂતપૂર્વ પ્રેસ કોન્ફરન્સ કરવા અને લોકતંત્રના ખાત્મા વિરુદ્ધ ચેતવણી આપવા મજબૂર થવું પડ્યું હતું અને એ તમારા શાસનકાળમાં થયું હતું? એક જજને તમારી સરકારે રાજ્યસભામાં નોમિનેટ કર્યા હતા. એ પણ ભૂલી ગયા કે આ લોકસભા ચૂંટણીમાં તમારી પાર્ટીએ બંગાળમાં હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશને મેદાનમાં ઉતાર્યા છે? આ ઉમેદવારી તેમને કેમ સોંપાઈ? કાઁગ્રેસ અધ્યક્ષ ખડગેએ એ પણ પૂછ્યું કે રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ (એન.જે.એ.સી.) કોણ લાવ્યું હતું ને સુપ્રીમ કોર્ટે એને કેમ ખારિજ કર્યું હતું? ખડગેએ રોકડું પૂછ્યું – મોદીજી, સંસ્થાનોને ધમકાવવામાં તમારા તરફથી આવે છે ને એને માટે જવાબદાર કાઁગ્રેસને ઠેરવવામાં આવે છે તે યોગ્ય નથી. તમે લોકતંત્ર સાથે છેડછાડ કરવામાં અને સંવિધાનને હાનિ પહોંચાડવામાં કાબેલ છો. બાકી હતું તે કાઁગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ ઠીકરું ફોડતાં કહ્યું કે ન્યાયતંત્રનાં રક્ષણને નામે ન્યાયતંત્ર પર હુમલો કરવામાં વડા પ્રધાનનું પાખંડ પરાકાષ્ઠાએ છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને અસંવૈધાનિક જાહેર કર્યા એ પરથી હવે એ સાબિત થઈ ગયું છે કે ભા.જ.પ.ને ફાળો અપાવવા માટે, તે ડરાવવા, ધમકાવવાનું એક સાધન માત્ર હતું. જો કે, જયરામ રમેશની આ ટિપ્પણી ભા.જ.પ. પરનું દોષારોપણ છે, કારણ ચૂંટણી બોન્ડ દ્વારા પૈસા મેળવવામાંથી કોઈ પક્ષ બાકાત રહ્યો નથી, તો માત્ર ભા.જ.પ.ને બદનામ કરવાનો અર્થ નથી. કમાણી ભા.જ.પ.ને જ થઈ છે, એવું નથી, કમાયા તો અન્ય પક્ષો પણ છે.

એ વાતનું આશ્ચર્ય જ છે કે પત્રમાં કોઈ પક્ષ કે વકીલ જૂથનું નામ દેવાયું નથી ને છતાં વડા પ્રધાને તે કાઁગ્રેસ સંદર્ભે જ લખાયો છે એમ માનીને કાઁગ્રેસની ધોલાઈ કરી અને તેથી છંછેડાઈને કાઁગ્રેસ અધ્યક્ષ ખડગેએ અને કાઁગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પણ ટિપ્પણીઓ કરીને મૂળ મુદ્દાને હાંસિયામાં ધકેલ્યો. ન્યાયતંત્ર કોઈક પ્રકારનાં દબાણ હેઠળ હોવાનું બીજા કોઈકને તો ઠીક, ખુદ વકીલોને, તે પણ એક બે નહીં, છસોથી વધુને લાગે છે, તે એટલે પણ કે આટલા મોટા વકીલ સમૂહની કોઈનું પણ નામ ફોડવાની હિંમત થઈ નથી. આ સ્થિતિ હોય તો ન્યાયતંત્ર તો ઠીક, લોકશાહી પણ ખતરામાં છે એમ માનવું પડે, પણ કરુણતા એ છે કે સૌને ખતરાની હોવી જોઈએ એના કરતાં અખતરાની ચિંતા વધુ છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 એપ્રિલ 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—241

દીપક મહેતા|Opinion - Opinion|1 April 2024

જ્યારે મુંબઈ નજીક આવેલા વસઈમાં વસતી હતી પશુપંખીની      

શાંત, શાંત, સુશાંત આંહી સઘળું,

ધ્વનિ નહિ, નહિ શબદ કે નહિ જ ગણગણાટ પણ કોઈનો, 

સુણાય પડઘો અહીં સતત, વીતી ગયેલ વરસો તણો 

                                                                        (અજ્ઞાત કવિ)

મિસિસ પોસ્તાન્સ કહે છે કે અમે વસઈ પહોંચ્યા ત્યારે અજ્ઞાત કવિની આ પંક્તિઓ મારા મનમાં પડઘાતી હતી. હિન્દુસ્તાનમાં રહેતા અંગ્રેજ સૈનિકો અને તેમનાં કુટુંબીજનો માટે ક્રિસમસનો તહેવાર એટલે મુંબઈથી ભાગી છૂટવાનો ઉત્સવ. મુંબઈની આસપાસ ઘણી રમણીય અને શાંત જગ્યાઓ છે. તેમાંનું એક સ્થળ આજે સાવ ઉજ્જડ, વેરાન, બની ગયું છે, પણ અગાઉ તો એ પશ્ચિમ કિનારા પરનું દરિયાઈ વેપારનું મોટું થાનક હતું. વેપારની સાથોસાથ ધર્મપ્રસારથી પણ ધમધમતું હતું. જુદે જુદે વખતે જુદા જુદા નામે ઓળખાતું. પણ અસલ નામ વસઈ. ઉજ્જડ વેરાન પ્રદેશમાં જ્યાં માણસોની મોટી વસતી, એ જગ્યા તે વસઈ. ગુજરાત સલ્તનતના બહાદુરશાહે તે જીત્યા પછી નામ પાડ્યું બસઈ. પછી ગયું મરાઠાઓના હાથમાં. ત્યારે નામ પડ્યું બાજીપુર. પોર્ટુગીઝો અને અંગ્રેજોએ પણ અસલ નામને થોડું મચડ્યું, પણ લોકોના મનમાં વસેલું નામ તો વસઈ જ. મુંબઈથી આશરે ત્રીસ માઈલ દૂર, ઘોડા બંદર નદીને કિનારે. (નોંધ : સાધારણ રીતે જે આજે પણ ‘ઘોડબંદર’ તરીકે ઓળખાય છે તેને લેખિકા ‘ઘોડા બંદર’ કહે છે. આજે પણ પશ્ચિમના લોકો ક્રિશ્ના, રામા, બોલે છે તેના જેવો આ ઉચ્ચાર? પણ ઘોડાબંદર નદી? એ વળી ક્યાં આવી? એ નદી આજે ‘ઉલ્લાસ નદી’ તરીકે જાણીતી છે. ઘોડાબંદર પાસે તેનો એક ફાંટો દરિયાને મળે છે એટલે લેખિકા તેને ઘોડાબંદર નદી કહેતા હોય એમ બની શકે.)

આવું હતું વસઈ ૧૯મી સદીની શરૂઆતમાં 

આ વરસે નાતાલના દિવસોમાં અમે વસઈ જવાનું નક્કી કર્યું. કારણ એક તો ત્યાં કુદરતી સૌન્દર્ય ભરપૂર. બીજું, ભલે બિસ્માર, પણ ઐતિહાસિક સ્મારકો. ત્રીજું, જમીન પરની નહિ, પાણી પરની મુસાફરી. સૈનિકની પત્નીએ પગે પગરખાં નહિ, પૈડાં પહેરી રાખવાનાં હોય છે. કારણ ક્યારે, ક્યાં, બદલી થશે એ કહેવાય નહિ. પણ એને કારણે નાનીમોટી મુસાફરી પ્રમાણમાં સહેલાઈથી કરી શકાય છે. સૌથી પહેલાં તો અમારે માટે એક શઢવાળું વહાણ ભાડે કર્યું. અમે જ્યારે મુસાફરી કરીએ ત્યારે અમારી ‘કીટ’ અમારી સાથે જ હોય. પણ આ મુસાફરીમાં વહાણમાં ઝાઝો સામાન સાથે રખાય એમ નહોતું. એટલે ખુરસી-ટેબલ, ખાટલા, રાંધવાનાં વાસણ, અને તંબુઓ, વગેરે અમે જોખમી અને લાંબા જમીન રસ્તે ગાડામાં મોકલ્યાં. પછી જે સામાન વધ્યો તેને એક તરાપા પર ચડાવ્યો અને તરાપાવાળાને અમારા વહાણની પાછળ પાછળ બને તેટલી ઝડપથી હંકારવા કહ્યું. 

વહેલી સવારે અમે મુસાફરી શરૂ કરી. ઠંડો આહ્લાદક પવન વાઈ રહ્યો હતો. અમારા વહાણના ખારવાઓએ માથે રંગબેરંગી ફેંટા પહેર્યા હતા. તેની ઝૂલ હવામાં આમતેમ ઊડીને કોઈ અનેરી ભાત રચતી હતી. મધદરિયાની સફર ખેડતા વહાણ કરતાં નદી કે દરિયા કાંઠાની ખેપ ખેડતાં વહાણોની બાંધણી જરા જુદી હોય. મધદરિયે જતાં વહાણ પહોળાં અને ભારે હોય જેથી મોજાંઓની ખપાટો સહેલાઈથી સહી શકે. જ્યારે નદી કે દરિયા કિનારાની સફર ખેડતાં વહાણ થોડાં સાંકડાં હોય, અને એના શઢ ઝડપથી ખોલી-સંકેલી શકાય એવા હોય. 

અમે મુસાફરી શરૂ કરી તે પછીના બીજા દિવસની સવારે તો તરાપો અમારા વહાણને આંબી ગયો! સવારના સૂરજના અજવાળામાં ઘોડા બંદર નદીનાં પાણી સોનેરી રંગે રંગાઈ ગયાં હતા. અમારું વહાણ જેમ જેમ આગળ વધતું જતું હતું તેમ તેમ આંખ સામે સતત નવાં નવાં દૃશ્યો આવતાં અને જતાં હતાં. ચારે બાજુ જાણે સોનેરી સમૃદ્ધિ રેલાઈ ગઈ હતી, મુલાયમ, છતાં ઝગમગતી. 

ઘોડા બંદર નદી – આજની ઉલ્લાસ નદી – ૧૯મી સદીમાં 

ઘોડા બંદર નદી ઊંચા ઊંચા પર્વતોની વચ્ચે થઈને વહે છે, અને એ પર્વતો પાછા ગાઢ જંગલથી ઘેરાયેલા. વચમાં વચમાં ક્યાંક તમને ભૂતકાળનું કોઈ ભગ્ન અવશેષ પણ દેખાઈ જાય. પણ ઘણુંખરું તો નકરા કાળા પાણા જ જોવા મળે. પણ આ પાણા હોય જાતજાતના આકારના. ક્યાંક તમને હાથીના માથાનો આભાસ થાય તો ક્યાંક જમીનમાંથી જાણે લાંબી ધારદાર તલવાર ઉપર ઊઠીને આકાશને ચીરતી હોય એવું લાગે. તો ક્યાંક જોવા મળે વાંસનાં ઝુંડ. તેના પર પાછા જાતભાતના વેલા વીટળાયેલા હોય. તેનાં ફૂલો વાંસને પણ રંગીન બનાવી દે. નદી કિનારે ઊગેલા વાંસ ઝૂકી ઝૂકીને જાણે નદીનાં પાણીને ચુંબન કરતા હોય એવું લાગે. 

વસઈમાં વહાણ નાંગરે એટલે થોડે દૂર, એક ટેકરી પર દેખાય પાદરીઓને રહેવા માટે બાંધેલા મઠના જીર્ણશીર્ણ અવશેષો. ત્યાં સુધી જવા માટે નદી કિનારાથી એક કેડી ઉપર જાય છે. એ મઠની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં અમારે માટે તંબુ તાણ્યા હતા. એટલે અમે ઉપર પહોંચ્યા. જઈને જોયું તો બગલાની પાંખ જેવા ધોળા ધોળા તંબુઓ સજીધજીને અમને આવકારવા તૈયાર થઈને ઊભા હતા. મુસાફરીના થાક પછી આવા તંબુ જોઈને જે રાહત થાય તે તો અમારા જેવા ભટકુઓને જ સમજાય. 

હિન્દુસ્તાનની એક ખાસિયત છે. જે સગવડો ખૂટતી હોય તે વસ્તુઓ પણ હાજરાહજૂર છે એવો અભાસ ઊભો કરી દેવો! અહીંના લોકો એને હાજર સો હથિયાર કહે છે. ઘરનાં સાધન-સગવડ છોડીને તમે બહાર પડો. કુદરતને ખોળે જાવ, ત્યારે ઘરની સગવડો તો ક્યાંથી મળે? છતાં આવા તંબુઓમાં નાનકડું, કામચલાઉ ઘર ઊભું થઈ ગયું હોય! તમે જ્યારે મુકામ પર પહોંચો ત્યારે ત્યાં ન હોય કોઈ વીશી, અને વીશી જ ન હોય ત્યાં ગરમાગરમ જમવાનું તૈયાર રાખતી તેની માલકણ તો ક્યાંથી જ હોય? પણ કંતાનના તંબુમાં રોજિંદા વપરાશની બધી વસ્તુઓ ગોઠવેલી હોય. બે બામ્બુ પર ઊભો કરેલો મોટો તંબુ એ બને ડાઈનિંગ રૂમ. તેનાથી થોડે દૂર નાના નાના તંબુમાં લશ્કરમાં વપરાતા ફોલ્ડિંગ ખાટલા ગોઠવી દીધા હોય. એ તમારો બેડ રૂમ. થોડે દૂરના એક તંબુમાં નહાવા-ધોવાની સગવડ કરી હોય. બાજુની રાવટીમાં નોકરો ભોજન બનાવવાની તૈયારી કરતા હોય. મોટા તંબુઓ કપડાંના બારણાંથી ઢંકાયેલા હોય. તંબુમાં ગાલીચા પાથર્યા હોય. દરવાજા પર લીલા રંગના ચક લગાડ્યા હોય અને એક નોકર થોડી થોડી વારે તેના પર પાણી છાંટતો રહે. આ ચક આંખને વાગે તેવા અજવાળાથી અને અંગને દઝાડે તેવી ગરમીથી બચાવે નહિ, તો ય થોડી રાહત તો આપે જ. 

હિન્દુસ્તાનમાં મુસાફરી કરવી એટલે શું એનો ખ્યાલ વિલાયતમાં મુસાફરી કરવાથી ટેવાયેલા લોકોને ભાગ્યે જ આવે. હિન્દુસ્તાનમાં મુસાફરી કરનારાને થોડા જ વખતમાં સમજાઈ જાય છે કે ગમે તેવી મુશ્કેલીમાં, ગમે તેવા અભાવોમાં, પણ માણસ પોતાને માટે સગવડો ઊભી કરવાના નુસખા શોધી જ કાઢે છે. વાંસ મળે તો વાંસ, ઘાસ મળે તો ઘાસ. ખજૂરીનાં સૂકાં પાન મળે તો પાન, અહીં તો હાજર સો હથિયાર. ઓહાયો નદીના કિનારા પરના વિગવામ (ઘુમ્મટવાળા ઝૂંપડાં) જુઓ, કે થરના રણમાં ઊભા કરેલા વાંઢ જુઓ. અરબસ્તાનના તંબુ જુઓ, કે લંડનના ગ્રોના સ્ક્વેરનાં આલીશાન મકાનો જુઓ. માણસ પોતાને જોઈતી સગવડો એક યા બીજી રીતે મેળવી જ લેતો હોય છે. કોઈ લઘરવઘર મુસાફરને ચિલ્લમ પીવાથી સુખ મળે છે, તો કોઈ ઉમરાવને સુશોભિત ટેબલ-ખુરસી પર બેસીને શેમ્પેન પીવામાં. 

પોર્ટુગીઝોએ બનાવેલો વસઈનો નકશો

પોર્ટુગીઝોએ વસઈમાં બાંધેલા મઠની ઇમારત પર પછીથી મુસ્લિમ સ્થાપત્યની વિશિષ્ટતા જેવો ગુંબજ બાંધવામાં આવ્યો છે. તેમાં રહેવા માટેની સારી સગવડ છે. મોટા, હવા-ઉજાસવાળા ઓરડા, મોટી બારીઓમાંથી નજરે પડતાં આસપાસનાં મનોરમ દૃશ્યો. એક બાજુ નજર કરો તો શાંતપણે વહેતી અલાસગમના નદી. તેમાં અહીંતહીં પડેલા પથ્થરો, કાંઠે ઊગેલાં ઝાડ, અને તેની પાછળ ખભેખભા મિલાવીને ઊભેલા ડુંગરા. તો બીજી બાજુ નજર કરો તો ખુલ્લું, મોટું, સપાટ મેદાન. જો કે મેદાનમાં, જંગલમાં, કે પહાડોમાં જતી વખતે સતત સાવધાન રહેવું પડે. ક્યારે, કઈ દિશામાંથી વાઘ કે ઝેરી નાગ આવી ચડે એ કાંઈ કહેવાય નહિ. અહીંતહીં ડાંગર અને શેરડીનાં ખેતરો. અને એનાથી પણ દૂર નજર નાખો તો દેખાય વસઈનો કિલ્લો. આ જંગલ જાતભાતનાં પંખાળા જીવોને પણ પોષે છે. તમે પસાર થતા હો ત્યારે કાં બુલબુલનો મીઠો મધુરો સ્વર સંભળાય, કાં લક્કડખોદની ખુદ ખુદ.

આજનો નકશો 

ઘોડા બંદર નદીમાં પણ મોટા મોટા મગરનો વાસ. નદી કિનારાની ભીની માટીમાં મોટું જડબું ખોલીને પડ્યા હોય. અને ભૂલેચૂકે કોઈ જીવ એની પાસે પહોંચી ગયો તો ઘડી બે ઘડીમાં હતો ન હતો થઈ જાય! અમારામાંના કેટલાકે ત્યાંના ચોકિયાતની હથેળી ગરમ કરીને મગરનો શિકાર કરવા ધાર્યું. પણ હજી તો પહેલી ગોળી છૂટી ત્યાં તો મગરનું આખું ધાડું ચીલ ઝડપે નજીકના જંગલમાં અલોપ થઈ ગયું. 

વિધિની વિચિત્રતા તો જુઓ. જે શહેરનું નામ જ ‘વસઈ’ એટલે કે જ્યાં માણસોની મોટી વસતી છે એવી જગ્યા, એ જ જગ્યા આજે વસતી વિહોણી, ઉજ્જડ ખંડેર જેવી બની ગઈ છે! એક વખત વેપારધંધાથી ધમધમતી જગ્યાએ આજે જોવા મળે રડ્યાખડ્યા માછીમારો અને શિકારીઓ. એક જમાનામાં અહીં સત્તા હતી, સમૃદ્ધિ હતી. આજે બચ્યાં છે માત્ર થોડાં ખંડિયર. જે બજારોમાં એક વખત સતત કોલાહલ સંભળાતો, એ આજે નીરવ. ચર્ચનો ઘંટનાદ દૂર દૂર સુધી સંભળાતો. ઘંટનાદ સંભળાતાં વેંત એક જમાનામાં આસ્થાળુઓ ચર્ચ આવી, ઘુંટણીએ પડી પ્રાર્થના કરતા. આજે ચર્ચનાં ખંડિયેરમાં લટકતો ભગ્ન ઘંટ પક્ષીઓના માળા બાંધવા માટે કામ લાગે છે. રણકવાનું તો આ ઘંટ ક્યારનો ય ભૂલી ગયો છે. ચારે બાજુ એટલો તો સુનકાર, કે કોઈ રડ્યાખડયા વટેમારગુનાં પગલાંનો અવાજ સાંભળીને ઘુવડ, જંગલી ગરોળી, અને નાગ સુધ્ધાં આઘાંપાછાં થઈ જાય છે.  

એક જમાનામાં જેમ વસઈ વેપાર-વણજનું મોટું થાણું હતું તેમ ખ્રિસ્તી ધર્મનું પણ મોટું મથક હતું. પણ એ અંગેની વધુ વાતો હવે પછી. આજે તો જરા સંભાળીને આ જંગલમાંથી હેમખેમ  બહાર નીકળી જઈએ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 30 માર્ચ 2024)

Loading

...102030...610611612613...620630640...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved