Opinion Magazine
Number of visits: 9665741
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ મારી રાહ … 

સરયૂ પરીખ|Opinion - Opinion|6 August 2024

સરયૂ પરીખ

સમાજમાં એકલતા ઘણા માણસોને સાલતી હોય છે, પણ એના કોચલાને તોડી બહાર નીકળવા માટે અભિમાન, અશ્રદ્ધા અને ઉદાસીનતા મહત્ત્વનો ભાગ ભજવે છે, જેને ‘વ્યસ્તતા‘ નામ અપાય છે.

એ દિવસે સેવા આપનાર શિક્ષકો માટે, The Literacy Council – અક્ષરજ્ઞાન સંસ્થા તરફથી, સન્માન કાર્યક્રમ હતો. હ્યુસ્ટનમાં, હું સાત વર્ષથી અંગ્રેજી શીખવવાની સેવા આપતી હતી. મેળાવડામાં મને “Chicken Soup for the Soul” નામનું પુસ્તક ભેટ મળ્યું. પહેલી વખત આ પુસ્તકનો પરિચય થયો. આ પુસ્તકમાં સત્યકથાઓનું સંપાદન કરવામાં આવેલું હોય છે અને આવા ઘણા સંગ્રહ-ગ્રંથો અમેરિકામાં લોકપ્રિય છે …. ‘સમય મળશે ત્યારે વાંચીશ’ એમ વિચારીને મેં પુસ્તક એક બાજુ મૂકી દીધું.

અમારા ઘરની નજીકમાં એક ઘરડા-ઘર હતું. હું જ્યારે પણ ત્યાંથી પસાર થતી ત્યારે મને મનમાં વિચાર આવે કે મારે કંઈક સેવા આપવી જોઈએ. એક દિવસ અંદર જવાના વિચારને અમલમાં મુક્યો. ફોન પર વાતોમાં અટવાયેલ બહેને મને આવકાર આપી સંસ્થાના પ્રોગ્રામ-ડિરેક્ટર પાસે મોકલી.

મેં એમને કહ્યું, “મદદરૂપ થવા સમય આપીશ, પણ શું કરી શકું એ ખબર નથી! કદાચ પુસ્તક વાંચુ કે એવું કાંઈક …” મારા અચોક્કસ પ્રસ્તાવ વિશે ડિરેક્ટર બહેને કોઈ સુજાવ તો ન આપ્યો, પણ તેમણે કહ્યું કે અહીં Alzheimerના દર્દીઓ છે અને બીજા વિભાગમાં Assisted Living છે. તેઓ મને યાદદાસ્ત ખોયેલા વૃદ્ધોના જુદા વિભાગમાં લઈ ગયાં. મોટા રૂમમાં ટી.વી. પર ચલચિત્ર ચાલતું હતું. મને કહેવામાં આવ્યું કે, એક જ ચલચિત્ર ચાલે રાખે તો પણ આ વડીલો જોતા રહે છે. એક વખતની હોંશિયાર, ચપળ વ્યક્તિઓની દયનીય દશા! એક માજી, જે પોતાનું મોં પણ નહોતાં લૂછી શકતાં, એ મારો હાથ પકડી કહે, ‘મારે એપાર્ટમેન્ટમાં રહેવું છે. મને શોધી આપને.’ … જરા આગળ ગઈ તો મારા આશ્ચર્ય વચ્ચે વ્હીલચેરમાં એક ગુજરાતી માજી આનંદથી, “ચક્કી ચોખા ખાંડે છે…” ગણગણતાં હતાં.

હું પંદર-વીસ મિનિટ પ્રયત્ન કરતી ફરી, પણ મને કોઈની સાથે લાગણીની દોર ન બંધાઈ. બહાર આવી ત્યાં મને ડિરેકટરે પૂછ્યું કે, “ફરી ક્યારે આવશો?” તો અનાયાસ, “સોમવારે આવીશ” એમ કહેવાઈ ગયું … સોમવાર આવ્યો ને મને વિચારો સતાવે, ‘હું ત્યાં જઈને શું કરીશ!’ પોતાની દશાની ખબર ન હોય તેવા ઘરડા લોકોને જોવા એ પણ એક કસોટી છે. અંતે એક ભાવ સ્ફૂર્યો. ‘હું ફરી એક વખત જઈશ અને જો કોઈ મારી રાહ જોતું હશે તો મને મળશે.’

સોમવારે સવારે હું ઘરડા-ઘરના આગલા ખંડમાં દાખલ થઈ ત્યારે એક વૃદ્ધા વ્હીલ ચેરમાં બેઠાં હતાં અને ટી.વી. પર સમાચાર ચાલુ હતા. મને ફરી એ જ પાછળના મોટા રૂમમાં લઈ ગયાં. મેં થોડી મદદ કરવા પ્રયત્ન કર્યો, પણ મારી ત્યાં હાજરી નિરર્થક લાગી. મેં મનમાં ગાંઠ વાળી, ‘બસ, પ્રયત્ન કરી છૂટી, …હવે ઘર ભેગાં.’ પાછી આગલા ખંડમાં આવી તો એ વૃદ્ધાની ખુરશી બીજી તરફ હતી, અને ટી.વી. પ્રોગ્રામ રસથી સાંભળતાં હતાં. મેં એમની નજીકના સોફા પર બેસી વાતચીત શરૂ કરી :

“મારું નામ સરયૂ, આપનું નામ?”

એ મજાનું હસીને કહે, “હેલન.”

મેં જરા ટી.વી.ના શો વિષે વાતો કરી. તેઓ કેમ ટી.વી. તરફ જોવાને બદલે સાંભળે છે? એવા મારા સવાલના જવાબમાં હેલને કહ્યું કે, એમને લગભગ અંધાપો આવી ગયો છે. જ્યારે મારી પાસેથી જાણ્યું કે હું ભારતીય છું તો ઉત્સાહથી બોલ્યાં, “અરે વાહ! હું થોડા ભારતીઓને ઓળખું છું. અમે મારી દીકરીના પડોશીને ત્યાં જમવા ગયેલાં. મને ખાસ કરીને, નાન, બહુ ભાવેલી.”

મેં પૂછ્યું, “હું અઠવાડિયામાં એકાદ બે દિવસ આવીને કાંઈક વાંચન કરું તો ગમશે?” એ સાંભળતાં એમનો ચહેરો ખીલી ઊઠ્યો, “મારાથી હવે વંચાતુ નથી તેથી એ શોખને વિસારે મુક્યો. જો તમે આવીને વાંચશો તો મને ખૂબ ગમશે. મારાં બહેનપણી, નેલ, પણ આવશે.”

બીજે દિવસે સવારનો સમય નક્કી કરી, મેં વિદાય લીધી. મનનો ભાવ પુલકિત થઈ કહેતો હતો કે, “હા, હેલન મારી રાહ જોતી હતી!”…. હવે સવાલ એ થયો કે એવું શું વાચું જેથી નેવું વર્ષનાં બહેનોને રસ પડે! એ વખતે સમજાયું કે, પેલું ભેટ મળેલ પુસ્તક, મને જ કેમ મળ્યું! મેં નક્કી કરી લીધું કે, “Chicken Soup fort he Soul”માંથી, સત્ય કથાઓ વાંચવાની યોગ્ય રહેશે.

અમે જમવાના ખંડમાં મળવાનું નક્કી કરેલ પણ હેલન નહોતાં. હું એમનાં ઓરડામાં ગઈ તો એ નર્સને જલદી કરવાનું કહી રહ્યાં હતાં. મને કહે કે, હવે પછી મને રાહ નહીં જોવડાવે અને ત્યાર પછી લગભગ દરેક વખતે મારા જતાં પહેલાં હાજર થઈ જતાં. હું લગભગ દરેક વખતે ‘નાન’ લઈ જતી જે હેલન બધાને આગ્રહ કરી ચખાડતાં.

હેલન ૮૯ વર્ષનાં, ઉત્સાહી અને હોશિયાર હતાં. વાંચતાં મને કોઈ શબ્દ ખબર ન હોય તો તરત અર્થ કહેતાં. એમનાં બહેનપણી, નેલ પણ આવ્યાં, જે હેલન કરતાં એક વર્ષ મોટાં હતાં. પાતળાં અને નાજુક બહેનને જોતાં ખ્યાલ આવે કે એક સમયે બહુ દેખાવડાં હશે. એમને એક કાને જરા ઓછું સંભળાતું હતું. પછી તો બીજી બહેનો પણ આવીને બેસતી અને સપ્તાહમાં બે દિવસ સવારે મેં વાંચવાનું ચાલુ કર્યું. પુસ્તક પાનાઓ દિવસો, મહિનાઓ અને વર્ષોમાં ફેરવાયાં. ઘણાં પ્રસંગો આવ્યા, જ્યારે એમની આંખોનાં અશ્રુઓ લૂછ્યાં અને એમની ખુશીમાં હસ્યા. એમનાં પોતાના સ્વજનો કરતાં પણ અમારી મુલાકાતો વધી ગઈ. મને પચ્ચાવન વર્ષ થયાં હતાં, પણ એમની નજરે તો, “અરે નાની! તારે તો હજુ બહુ વર્ષો બાકી છે.”

હેલનના પરિચયથી મને ઘણું શીખવા મળ્યું. તેઓ આખું જીવન અહીંથી દૂર ઇન્ડિયાના સ્ટેટમાં રહેલાં, પણ એમની દીકરી અને દીકરાનું કુટુંબ ટેક્સાસમાં હોવાથી થોડાં વર્ષોથી અહીં રહેવાં આવી ગયાં હતાં. એ કહેતાં કે, “મને તો અહીં ગમે છે. હું નસીબદાર છું કે મારાં પ્રેમાળ બાળકો મારી સંભાળ લે છે. એમને અગવડ ન પડે એની મારે પણ કાળજી રાખવી જોઈએ. હું મરી જઉં ત્યારે મને અગ્નિદાહ આપવાનો આદેશ છે, તેથી મારા ગામે લઈ જઈ દાટવાના ક્રિયાકર્મ ન કરવા પડે.” હેલન દરેક સંબંધને કોઈ ખેંચતાણ વગર સ્વીકારતાં અને તેમનાં બહોળા કુટુંબના દરેક સભ્યની પ્રેમપૂર્વક વાત કરતાં. ક્યારેક મારી વાતોમાં ફરિયાદનો સૂર સાંભળી પૂછતાં, “તારાં બાળકો એમના નવા સથવારા સાથે ખુશ છે?” મારા હા કહેતાં એ બોલી ઊઠતાં, “Then what is the problem?” “તો પછી શું મુશ્કેલી છે?” કેટલી સરળ વાત! … બાળકોનાં જીવનમાં આપણું મહત્ત્વ ઓછું થઈ જવાનું દુઃખ આપણને નવા સંબંધોને ખુલ્લા દિલે આવકારતા અટકાવે છે. હેલનના એક સવાલે, મને પોતાની દયા ખાવાને બદલે, દરેકને પોતાની રીતે જીવવાની ચાહને કેટલી સહજતાથી સ્વીકાર કરી શકાય તે શીખવ્યું.

હેલન અને નેલની મિત્રતા પાક્કી હતી. હેલન એક દિવસ કહે, “નેલ સુંદર છે ને? આ નેલ નાની હતી ત્યારે મોડેલ તરીકે કામ કરતી.” બધાં હસીને નેલને વખાણી રહ્યાં. એક દિવસ નેલ ઉદાસ હતી. મેં નજીક બેસી એમને કારણ પૂછ્યું. એમણે સંકોચ સાથે કહ્યું કે, મને સરખું સંભળાતું નથી, તેથી ડોક્ટર કાલે મારા કાન સાફ કરવાના છે, એની મને બીક લાગે છે. મેં એમનો હાથ મારા હાથમાં લઈ પ્રેમપૂર્વક બે શબ્દો કહી હિંમત આપી. પછીના શુક્રવારે જેવી હું રૂમમાં દાખલ થઈ કે નેલ આવીને મને ભેટી પડી. મને કહે, “તેં કહ્યું હતું એમ મને કાંઈ દુખ્યું નહીં અને મને ઠીક સંભળાય છે. ભગવાન તારું ભલું કરે.” એ નાજુક સન્નારીની ખુશી જોઈ હું ગદ્દગદ્દ થઈ ગઈ.

કેટલીક વખત નેલ તેની દીકરી, શેરનની વાત કરતી જેને મળવાની મને ઉત્સુકતા હતી. એ દિવસે હું ઘરડા-ઘરમાં દાખલ થઈ રહી હતી, ત્યારે નેલ તેની દીકરીને સ્નેહથી ભેટી વિદાય આપી રહી હતી. શેરન મને બારણાં પાસે મળતા જ બોલી,

“ઓહ! તમારું નામ સરયૂ હોવું જોઈએ. નેલીમાએ તમારી મુલાકાતોની વાતો કરી …આનંદ સાથ તમારો આભાર.” એકદમ સરળ ભાવે ભેટીને આવજો કહેતી જતી રહી.

મેં અંદર જઈ નેલને કહ્યું, “તમારી શેરન બહુ મજાની છે, પણ તમારા જેવી નથી દેખાતી.” નેલ હેલનની સામે જોઈને હસી. હેલન કહે, “એનું કારણ છે, પણ નેલ બહુ ઓછા લોકોને એની વાત કહે છે.”

નેલ બોલી, “સરયૂને જરૂર કહીશ… હું એ સમયે પચ્ચીસેક વર્ષની હતી. મારા મૉડલિંગના કામને લીધે, એક સ્ટિવ નામના ફોટોગ્રાફરનો પરિચય થયો. મારા કરતાં પંદર વર્ષ મોટો હતો પણ એની કુશળતા અને આત્મવિશ્વાસ માટે મને અહોભાવ થઈ ગયો. એ કહે રાત છે તો રાત અને દિવસ કહે તો દિવસ. ધીમે ધીમે તેનો મારા ઉપરનો પ્રભાવ વધતો ગયો અને હું દબાતી ગઈ. તે પરણેલો અને એક બાળકનો બાપ છે તે ખબર છતાં એને ખુશ રાખવાનું મારું જીવન લક્ષ બની ગયું. હું તેની કઠપૂતલી બની ગઈ. દસેક વર્ષ આમ ચાલ્યું એ સમયે હું ગર્ભવતી બની. મારા તરફની તેની બેદરકારી અને બીજા કારણોસર મારી તબિયત લથડી અને બાળક મરેલું જન્મ્યું. મારામાં સ્ટિવને રસ ઓછો થઈ રહ્યો હતો. બીજે અગત્યની નોકરીનું બહાનું મળતા જ, મને દયાજનક પરિસ્થિતિમાં છોડી અદૃશ્ય થઈ ગયો …… અનેક વર્ષો પસાર થઈ ગયાં, ના ખત- ના ખબર …”

નેલ પાણી પીવા અટકી. “એક દિવસ મને એક મોટી કંપનીમાંથી કોલ આવ્યો કે ‘હું સેક્રેટરી બોલું છું, મારી સાહેબાન, શેરન તમને મળવા માંગે છે’. એક કંપનીની માલિક, શેરન કોણ હશે!!!

“એ સમયે હું એકલી ભાડાના ઘરમાં રહેતી હતી. શેરન મને મળવા આવી. એનો ચહેરો જોતાં જ સ્ટિવની યાદ આવી ગઈ. તેના પહેરવેશ પરથી બહુ શ્રીમંત લાગતી હતી. અચકાતાં મારી સામે આવીને બેઠી અને મારો કોમળતાથી હાથ પકડી બોલી કે, તેને સ્વર્ગસ્થ પિતાના દુષ્કર્મનું પ્રાયશ્ચિત કરવાનું છે.”

શેરને વાત કરી કે સ્ટિવ સાથે વર્ષો સુધી માતા-પુત્રીને ખાસ સંબંધ નહોતો. પણ સ્ટિવને કેન્સર થતાં શેરન બધું ભૂલીને પિતાની સેવામાં હાજર થઈ ગઈ હતી. બે વર્ષની માંદગી દરમ્યાન સ્ટિવે નેલને કરેલા અન્યાયની વાતો શેરનને કરેલી અને પ્રાર્થના પણ કરેલ કે સ્ટિવ તરફથી માફી માગવા તે જઈને નેલને મળે. શેરનને નેલની ભાળ મેળવતા મહિનાઓ નીકળી ગયા. ભાળ મળતા, ખાલી ફરજ પૂરી કરવા આવેલ શેરન, નેલની પ્રેમાળ પુત્રી બની ગઈ હતી. શેરનની મા જીવ્યા ત્યાં સુધી તેમની સાથે પણ નેલનો સદ્દભાવભર્યો સંબંધ રહ્યો હતો.

“છેલ્લા ત્રણ દસકાથી મારી બધી રીતે સંભાળ લેતી શેરનનાં સ્નેહથી મારું જીવન ભર્યું ભર્યું છે.” નેલની આંખો ભાવભીની બની ગઈ.

…. એ દિવસે અમારે બીજી કોઈ વાર્તા વાંચવાની જરૂર ન પડી.

સમયનાં વહેણ સાથે મારા જીવનમાં અને પ્રવૃત્તિઓમાં બન્ને બહેનો ખૂબ રસ લેતાં રહ્યાં. તેઓ મારા આવવાની ઉત્સાહથી રાહ જોતાં અને મને મારા સ્વજનોને મળવા જતી હોઉં એવો ભાવ થતો. હેલન જ્યારે હસતી આંખો સાથે સવાલ કરતી, “તો આજે તું શું વાંચવાની છો?” ત્યારે હું લાગણીના દોરે અનાયાસ બંધાઈને ત્યાં બેઠી છું એની પ્રતીતિ થતી.

માનવ મેળો

વિચાર વર્તન વાણીનો આ કાચોપાકો બાંધો છે, સાંધામાં પણ સાંધો છે ને એમાં સૌને વાંધો છે. જીવજીવ કોઈ ચોરી ચળવળ ચર્ચામાં બંધાયો છે, ઊજળો રસ્તો જોઈ શકે ના એવો આ અંધાપો છે.

મનબુદ્ધિનો લગાવ ધાગો અળવીતરો ફંટાયો છે, ભરી ભોમમાં બે જણા સંગ માંડ કરી સંધાયો છે. સ્વાર્થ સલામત સુવિધા સર્જી, અંતે એ મૂંઝાયો છે, કૂપમંડૂકના સ્થિર નીરમાં અવાજ બહુ રૂંધાયો છે.

સહજ સરળ ને શુદ્ધ ટકે ના, એવો વા સૂસવાયો છે, કરમ કુંડાળે ફરતો, દોડા દોડીમાં રઘવાયો છે. સ્વપ્ના સંતાકૂકડી, ખાલી પડછાયો પકડાયો છે, સમય સરંતી રેતી સાથે, અંગત આજ પરાયો છે.

જાણી શકે તો, હકાર હેતે હોંશે સંગ સુમેળો છે, માણી શકે તો આ જીવન એક મસ્તજનોનો મેળો છે.

Courtesy : Dilip Parikh. Austin. Texas.
e.mail : SaryuParikh@yahoo.com.

Loading

નવી એકોક્તિઓ ૨૦૧૪

૨૦૧૦માં ગાઝા મોનોલાગ્ઝ લખનાર જૂથના સભ્યો દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ • ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|6 August 2024

ગાઝા એકોક્તિઓ

અશટાર થિયેટર, પૅલૅસ્ટાઈન

૧.    

અલા હજ્જાજ

અનુવાદક : રૂપાલીબહેન બર્ક

યુદ્ધના પ્રથમ દિવસથી જ મને હતું કે આ યુદ્ધ પણ અગાઉના યુદ્ધો જેવું જ હશે . . . આના જેવું નહીં હોય. અમારા ઘરો નષ્ટ કરી દેવાયા છે, અમે વિસ્થાપિત થઈ ગયા છીએ અને અમારા વહાલાંઓ શહીદ થયાં છે. આ બધું થયાં છતાં અમે હજુ કહીએ છીએ કે જીવનમાં આશા છે, અમે બધી બાબતમાં વિશ્વાસ ગુમાવી બેઠાં છીએ, અમારી જાતમાં પણ વિશ્વાસ ગુમાવી બેઠાં છીએ, તેમ છતાં જ્યારે અમારામાંનો કોઈ શહીદ થાય છે, અમે કહીએ છીએ : વિજય હાથવગો છે અને અમે વિજય ચોક્કસ મેળવીને રહીશું.

હું શુજા’એહ વસાહતનો અલા’ છું. ૨૦ દિવસ કે એથી વધુ દિવસોથી મેં ઘર છોડ્યું છે અને આ દરમ્યાન મેં ઘણી યાતનાઓ ભોગવી છે, લોકોનાં પોત પારખ્યાં છે; તમને પ્રેમ કરનારા, તમારી દરકાર કરનારા અને એટલી હદે ઘૃણા કરનારા કે તમે મૃત્યુ પામો તો પણ એમને પડી ના હોય.

આક્રમણના પ્રથમ દિવસ દરમ્યાન અમારાં સગાંવહાલાં અમારા ઘેર આવ્યાં. મારા ફુઆ ઈસ્લામિક ચળવળના નેતા હતા. એમને સાથે લઈને મારા ફોઈ અમારા ઘેર આવ્યાં, હા . . . હા . . . હા!! અમે આઘાત પામ્યા. એમને સમજણ નહોતી કે અમને પૂરેપૂરું જોખમ છે.

એક કલાક બાદ ઘર ખાલી કરવા, કબજો કરનારાઓના ફોન અમારી ઉપર આવવા લાગ્યા. અમે ઘર છોડીને રસ્તા પર દોડવા લાગ્યા. ક્યાં જવું એનો ખ્યાલ નહોતો અમને. અમે અમારી ગાડીઓ કાઢી અને દુર્ઘટના તો એ બની કે ગાડીમાં મારા ફુઆ સાથે બેસવાનો વારો આવ્યો. મને લાગ્યું કે નક્કી અમે માર્યા જવાના . . . પરંતુ એવું બન્યું નહીં અને મેં નવું જીવન પ્રાપ્ત કર્યું. ખુદાનો અહેસાન કે ખરાબ થતું આટલેથી જ અટકી ગયું.

અમે અલ નાસર વસાહતમાં અમારાં સગાંને ઘેર પહોંચ્યાં અને ૧૫ દિવસ ત્યાં રહ્યાં. ત્યાર બાદ અમે અલ થલાથીની સ્ટ્રીટ પર રહેતાં બીજાં સગાંને ત્યાં ગયા. ત્યાં મારા શ્વાસમાં ગૅસ જતો રહ્યો અને ૧૦ દિવસ સુધી મારે હોસ્પિટલમાં રહેવું પડ્યું. ખુદાનો અહેસાન કે ખરાબ થતું આટલેથી અટકી ગયું.

થોડા વખતે મારા બે પિતરાઈ ભાઈઓ શહીદ થયા. એમની રૂહને શાંતિ મળજો. એટલે અમે શુજા’એહમાં અમારા ઘેર પાછા ફર્યા, પરંતુ અમારા ઘરની એકેય બારી કે દીવાલ અકબંધ નહોતી. ગટર લાઈન પણ બરબાદ થઈ ગયેલી હતી. માત્ર આગલી દીવાલ ઊભી હતી. ખુદાનો અહેસાન કે ખરાબ થતું આટલેથી અટકી ગયું.

હુમલા દરમ્યાનની પ્રત્યેક ક્ષણે અમે ડરેલા રહેતા અને મૃત્યુ માટે તૈયાર રહેતા. હું ખરેખર ઈચ્છું છું કે અમારા ભાગે વધારે યુદ્ધો જોવાના ના આવે, કારણ કે અમે સાચેસાચ થાકી ગયા છીએ અને જીવવા માગીએ છીએ. અમે સપનાં જોવાં માગીએ છીએ. વિશ્વભરના બાળકોની માફક અમારું ભવિષ્ય બનાવવા માગીએ છીએ. અમારા માટે શું આ વાજબી હક નથી? કે પછી એ મેળવવા માટે અમારી પર પ્રતિબંધ છે? મારા પ્રશ્નનો જવાબ જોઈએ છે મને; અમારા હક વાજબી છે કે નહીં?

૨. 

અશરફ અલ સોસ્સી

એ ય! સાંભળે છે?  તારા ઘરની બાજુમાં બોંબમારો થયો છે કે શું?

એ ય! ખુરશી પર બેઠેલાં બહેન, તારા બગીચા પર ધાડ પડી છે કે શું?

એ ય! રસ્તાના છેડે ઊભેલી સુંદર યુવતી, તારા પગ નીચે રૉકૅટ ફૂટ્યું છે કે શું?

એ ય! ભાઈ, તમારા બાથટબ પર દરોડો પાડતી બખતરગાડીનો અવાજ કેટલો મોટો હતો?

શેની ઉતાવળ છે?

ટૂંક સમયમાં આપણા બધાં પર દરોડો પડશે અને જો હજુ તમારા પર દરોડો ના પડ્યો હોય, તો આજ નહીં, તો કાલે પડશે.

સાચું કહું તો હજુ મારા લીરેલીરા ઊડી નથી ગયા, પણ વધું સાચું કહું તો મારે એવો અંત જોવો પણ નથી.

આમ છતાં, મને મન છે કે મારી પર ધાડ પાડનારા પર બોંબ પાછા ઉછાળું.

૩. 

માહમુદ બલાવી

દરરોજ સમાચારમાં આપણે ગાઝા વિશે સાંભળીએ છીએ, અમારું અર્થતંત્ર બહુ સારું છે અથવા અમારે ત્યાં વિશ્વની અજાયબીઓમાંની એક છે, એટલે નહીં અને એટલે તો બિલકુલ નહીં કે અમારો ઉડ્ડયન ઉદ્યોગ મજબૂત છે. બધાં દેશોએ ગિનેસ રૅકૉર્ડઝમાં સ્થાન બનાવેલું છે, અમારા સહિત. નાગરિકો વિરુદ્ધના સૌથી લાંબા યુદ્ધનો અમારો સૌથી ઊંચો રૅકૉર્ડ છે.

ગાઝામાં સમય વિશ્વના બાકીના હિસ્સાઓ કરતાં જુદો છે. ગાઝામાં એક કલાક ૬૦ શહીદો અને ૩,૬૦૦ ઘવાયેલા જણનો હોય છે અને એક મિનિટ ૬૦ જમીનદોસ્ત કરાયેલા ઘરોથી, જ્યારે એક સૅકૅન્ડ વિલાપ કરતી માતાઓની ૬૦ ચીસોથી બનેલી હોય છે. યુદ્ધ દરમ્યાન ગાઝાની એક રાત એક હજાર અને એક રાતોવાળી દંતકથાની એક સો વાર્તાઓ બરાબર છે.

રાત્રે જ્યારે અંધકાર વ્યાપેલો હોય છે, અમારા માથા પર ગર્જના કરતાં અને ઝીંકાતા રૉકૅટોથી આકાશ ઝળહળી ઊઠે છે અને રાત ફેરવાઈ જાય છે એક ઉજાસભર્યા દિવસમાં.

એના નાનાં બાળકો પાસે સૂતી એક માને બાળકો પૂછે છે : “અમ્મી, આ શેનો અવાજ છે? બોંબમારો થઈ રહ્યો છે? અમ્મી, અમને ડર લાગે છે.” બાળકોને શાંત કરવામાં નિષ્ફળ મા એમને ‘બહાદુર હસન’ની કહાની કહેવાની શરૂ કરે છે, જેથી બાળકો નિરાંતે સૂઈ શકે. આમ છતાં, બાળકોને તમે ભલે કંઈ પણ કહી સંભળાવો, એમની સમક્ષના દૃશ્યોને લીધે એ મૃત્યુ અને વિનાશ વિશે જ વિચારવાના.

બીજે દિવસે એનો દીકરો બહાર ગયો ત્યારે એણે ધડાકો સાંભળ્યો. દીકરાએ આગલી રાતની કહાની યાદ કરી અને વિશ્વાસ કર્યો કે બહાદુર હસન મૃત્યુ પામ્યો છે અને શહીદ થયો છે. મા પાસે દોડી જઈને એણે કહ્યું, “અમ્મી, હસન મૃત્યુ પામ્યો છે. અમારા બધા નાના સાહસો, અમારી બધી સ્મૃતિઓ અદૃશ્ય થઈ ગઈ છે. હસનના મૃત્યુ પછી હું હવે સ્કૂલે શી રીતે જઈશ? અમ્મી, હસન મોતને ભેટ્યો છે.”

દીકરાને જવાબ આપે એ પહેલા મા પર ઈઝરાયેલી સેનાનો ફોન આવ્યો : “ઘર છોડવા માટે તમારી પાસે ૩૦ સૅકૅન્ડ છે.” ૩૦ સૅકૅન્ડ! ૩૦ સૅકૅન્ડમાં એ શું કરી શકે? સાથે શું લઈ જઈ શકે? કોને જાણ કરી શકે? એના બાળકો સાથે નાસી છૂટે? કે પાડોશીઓને વાત કરે?

શેરીમાં ઊભી રહીને માએ બૂમ પાડી : “એ ય, સાંભળો બધાં, અમારું ઘર ધ્વસ્ત કરવાના છે, અમારા ઘરનો નાશ કરવાના છે.” ૩૦ સૅકૅન્ડ બાદ બધે સ્મશાનવત શાંતિ વ્યાપી ગઈ.

ગાઝા ટક્યું છે. ગાઝા કદી મરશે નહીં, એનાં બાળકો મરી જશે તેમ છતાં . . .

એમનાં નામ ઇતિહાસના ચોપડે નોંધાશે, એમના સંતાનો અને સંતાનોના સંતાનો માટે.

તમે જો ગાઝા ગૂગલ કરશો તો વિનાશ અને વિધ્વંસની છબિઓ જોવા મળશે અને કોઈક દિવસ ગાઝા સામેના યુદ્ધોમાંથી એકમાં મૃતકોના ફોટામાં કદાચ મારો પણ ફોટો જોશો.

૪. 

નિવિન ઝીઆદા

“આ રીતે મારી અંદર બધું મરી પરવાર્યું.”

સાવચેતીપૂર્વક મારા ક્ષીણ શરીર પર મેં હાથ ફેરવ્યો . . . મને અંદાજ આવી ગયો કે કાચ પેસી ગયો છે.

ઘોંઘાટ અને ચીસો, ઍમબ્યુલન્સની કર્કશ સાયરનના અવાજો. અંધાધૂંધીની વચ્ચે મને કોઈનો રડતો અને બૂમ પાડતો સાદ સંભળાયો : “નિવિન”. રજકણો અને રેતીથી મારું મોં ભરાઈ ગયેલું અને મને ચૂપ કરી દીધેલો એટલે હું પ્રત્યુત્તર આપી ના શક્યો. એક ઘડી માટે તો એવું લાગ્યું કે બધાં મને એકલો મૂકીને નાસી ગયા છે. ઓ ખુદા, હું હવે એક ક્ષણ પણ એકલો રહી શકું એમ નથી. મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે અને મારા શ્વાસના ત્રાસજનક અવાજથી મને પીડા થાય છે. મારી બધી શક્તિ ભેગી કરી અને દૃષ્ટિ વગર હું બધાંની સામે ચાલીને કાટમાળના ઢગલા ઉપર અમારા ઘરના દરવાજા સુધી પહોંચ્યો. બધાંની ચાંપતી નજર અને ફિક્કા ચહેરાથી બચવું અશક્ય હતું.

“સમય બિલકુલ નથી. આપણે તાત્કાલિક નીકળી જવું પડશે”, અબ્બાએ થરથરતા અવાજે કહ્યું.

હા, હવે હું મૃત્યુથી બચીને મૃત્યુ સુધી પહોંચીશ.

થોડો સમય અમે સગાંવહાલાંના સંકડાશભર્યા ઘરમાં રહ્યાં. કુલ ૩૦ લોકો હતા અમે, મોટા ભાગના બાળકો હતાં. એક ફોન આવ્યો અને અમને વિખુટા પાડ્યા ત્યાં સુધી અમે ત્યાં જ રહ્યાં હતા. અમે મૃત્યુના ભય હેઠળ જીવવા પાછા ફર્યા, પડવા તૈયાર ન હતું એવા ઘરમાં, મારી વેરવિખેર ચીજો વચ્ચે, સુંદર ચીજોથી ભરચક મારી સ્મૃતિ સાથે, પ્રત્યેક સૅકૅન્ડ અમારા બાગમાં અમારી આંખો સામે પડતા બંદૂકની ગોળીઓના ખાલી ખોખા, ૫૧ દિવસ લાંબા દુ:સ્વપ્ન વચ્ચે જીવવા પાછા ફર્યા.

અન્યોની માફક અમારામાંના એકનું મૃત્યુ થવાની રાહ જોતો હતો એ દરમ્યાન પસાર થતી એક એક સૅકૅન્ડ મને યાદ છે. હું અકબંધ રહીને મૃત્યુ પામું એ જ પ્રાર્થના કરતો રહ્યો. મારે વિખરાયેલા ટૂકડામાં વહેંચાઈને નહોતું મરવું. ખુદા સિવાય અમારી સાથે કોઈ નહોતું. મેં ક્યારે ય કલ્પના કરી નહોતી કે આવા દિવસો જીવવાના આવશે, પરંતુ ઝીણામાં ઝીણી વિગત સાથે જીવ્યા. ગાઝા પર હુમલાએ મારું હાસ્ય છીનવ્યું, મારાં સપનાં છીનવ્યાં અને મારું સર્વસ્વ છીનવી લીધું. હા, બીજો હુમલો થાય અને મારું બધું છીનવાઈ જાય એ પહેલા હું બીજી ચીજોનાં સપનાં જોઈશ.

ઘણાં મને છોડીને જન્નતમાં જતા રહ્યાં છે. વધુ યાતના અનુભવવા મને અહીં મૂકીને. આક્રમણ અટક્યું નથી પરંતુ શરૂઆતનો આ ત્રીજો ભાગ છે.

મને દેખાય છે કે મારાં સપનાં સુધીનો રસ્તો ખરેખર બંધ થઈ ગયો છે . . . હું મૃત્યુ નથી પામ્યો પરંતુ મારી અંદરની બધી સુંદરતા મરી પરવારી છે.

૫. 

ટામેર નિજૅમ

મારી સ્મૃતિને ઢંઢોળીને તમને એક દૃશ્ય વર્ણવવા માગું છું. એવું દૃશ્ય જેનાથી હું ટેવાયેલો નહોતો. આ વખતે જુદી બાબત હતી કારણ કે હું પોતે જ દૃશ્ય હતો. હું મારા રૂમમાં છત સામે જોઈને યાદ કરી રહ્યો છું કે અહીં કેવી રીતે પાછો ફર્યો અને ત્યાં મેં શું અનુભવ્યું હતું!

સમય મને ફ્લૅશબૅકમાં એ અંધારી, ક્રૂર છાવણીમાં લઈ ગયો. તમામ રાષ્ટ્રીયતાના લોકોની ભીડ વચ્ચે હું એકલો હતો. મેં નજર કરી, તાકતો રહ્યો અને મારી અંદરનો અવાજ ચીસ પાડી ઉઠ્યો, “હું ક્યાં છું? હું કોણ છું? હું અહીં કેવી રીતે પહોંચ્યો?!”

મારી અંદરનો ઘોંઘાટ વધ્યો અને જાણે વિસ્ફોટ થયો, પરંતુ મેં મારી જાતને શાંત કરી અને કહ્યું, “હું રાજકીય નિરાશ્રિત બની ગયો છું”. ડીઝલથી આગ બુઝાવવાનો જાણે પ્રયત્ન જેમ જેમ કરતો ગયો એમ મારી અંદરની આગ વધુ ભડકતી જતી હતી.

હું પૅલૅસ્ટાઈનનો દીકરો છું માટે રાજકીય નિરાશ્રિત બનવાનો વારો આવ્યો છે.

તું પૅલૅસ્ટાઈનનો વતની છે! માટે તું રાજકીય નિરાશ્રિત છે! સીધો હિસાબ છે.

શું એ મારો વાંક છે? શું મારી નિયતિ આખું જીવન આશ્રયમાં ગાળવાની છે? અહીં અને ત્યાંની વચ્ચે આવજા કરતા રહેવાનું છે?

હું મુસાફરીનાં સપનાં જોતો હતો એટલે મારે મુસાફરી કરવાની આવી. મારે એક સુંદર સ્વપ્ન સિદ્ધ કરવું હતું, પરંતુ મારે ઘણાં દુ:સ્વપ્નો જોવાં પડ્યા. મને એમ કે યુરોપમાં જીવન કલ્પનાચિત્ર જેવું હશે અને છે, પણ એવું જ પરંતુ નિરાશ્રિત હોવું એ તદ્દન અલગ બાબત છે. ટોળામાંથી છૂટા પડેલા શિકાર જેવો તમારી સાથે વ્યવહાર કરવામાં આવે છે. મારી પરિસ્થિતિ એવી હતી. માનવ રાક્ષસો ભરેલાં જંગલમાં હું શિકાર હતો, એટલે તમે આ અને પેલા વચ્ચે ભેદ નથી કરી શક્તા. એ બધાંની એકસરખી વિગતો હોય છે, બીબાંઢાળ વિગતો.

હું અહીં પાછો કેમ ફર્યો? હા, મારે પાછું ફરવું હતું, મારી અમ્મીના હાથની રસોઈ ખાવા, મારા ઓશીકા પર માથું મુકવા, મારે માદરે વતન આવવું હતું. હા, મારું માદરે વતન. મારા વતન, મારા કુટુંબ, મારા મિત્રો વગર હું કંઈ જ નથી. એથી મેં પાછા ફરવાનું નક્કી કર્યું. મેં મારા એકલાની સીટ રીઝર્વ કરાવી લીધી. જેવો ગયો હતો એવો જ પાછો ફરવા.

‘કાઈરો ઍરપૉર્ટ સિક્યોરિટી કંટ્રોલ’, સિગારૅટના ધુમાડાથી ભરેલો એક નાનકડો ઓરડો, કચરાની વાત ન પૂછો, જાણે અમે ઢોરની કોઢમાં હતા, માનનીય મુસાફરો માટેના ઓરડામાં નહીં. સેંકડો લોકોથી ભરેલા એક નાના કેદખાના જેવો હતો એ ઓરડો, સ્વીકૃતિ અથવા જ્યાંથી આવ્યા ત્યાં પાછા જવાની ગતિ વચ્ચે બધાં ઊભા હતા.

નિરાશ્રિત કૅમ્પથી ઍરપૉર્ટ અને ત્યાંથી રાફા ક્રૉસિંગ!

રાફા ક્રૉસિંગ, એટલે કે ગાઝા, ત્રણ વર્ષ બાદ, ત્રણ વર્ષ, અને હું દુનિયા સાથે કુસ્તી કરી રહ્યો હતો, મારા હાથમાં મારો આત્મા લઈને આગળ વધી રહ્યો હતો, મારી જાતને શોધવા. હું કોણ છું? મેં પરેશાન કરતા આ સવાલનો જવાબ મેળવવા આ બધી જહેમત હતી.

આ બધી યાતના બાદ હું તમને કે મારી જાતને વર્ણવી શકવાની ક્ષમતા ખોઈ બેઠો છું. મારું નસીબ સારું હોવા છતાં ૨૦૧૪ના યુદ્ધ બાદ મારી વાપસીની તારીખ મારી નિયતિને મંજૂર હતી. તેમ છતાં હું ખુશ હતો. હા, ખૂબ જ ખુશ. મને મારો પલંગ પાછો મળવાનો હતો, મારી અમ્મીનું આલીંગન, મારા મિત્રોનો હરખ અને સૌથી મહત્ત્વનું મારા વતનની હૂંફ મને પાછી મળવાની હતી.

જેમ જેમ હું ક્રૉસિંગની નજીક પહોંચતો ગયો, ઘર વાપસીની તાલાવેલી અને હરખ વધતા ગયા. જેવો ક્રૉસિંગ પહોંચ્યો કે દારુગોળા, વિમાનો અને મિસાઈલોના અવાજો મારા કાનમાં પ્રવેશવા લાગ્યા. ના તો હું ભયભીત હતો અને ના તો ચિંતિત. મારી નિસબત માત્ર પાછા ફરવાની અને મારા હૃદયને પ્રિય લોકોને મળવાની હતી.

મને ઘેર લઈ જવા માટે એક ટૅક્સી ડ્રાઈવર સંમત થયો. બારી પાસે બેસીને રસ્તાને, વિનાશને, કરુણાંતિકાને હું જોતો રહ્યો. ડ્રાઈવર સાથે વાતચીત કરીને પૂછ્યું કે આ બધું શું હતું, કેવી રીતે બન્યું અને લોકો ક્યાં છે?

ડ્રાઈવરે મને કહ્યું : “બેટા, આપણે પૃથ્વીના મૃતકો છીએ, કાગળ પરના આંકડા બની ગયા છીએ. જે કોઈ પણ હજુ મૃત્યુ પામ્યા નથી એ મૃત્યુની વાટ જોઈ રહ્યા છે. અંતે તો આપણે બધાં મૃત જ છીએ. પોતાના દીકરા ગુમાવ્યા હોય એવા લોકો છે, જેમણે પોતાના ઘર અને સમગ્ર કુટુંબો ગુમાવ્યા છે એવા પણ છે. આફત તો એના માટે છે જેણે સર્વસ્વ ગુમાવ્યું છે, પોતાનું કુટુંબ, પોતાનું ઘર, પોતાનું કામકાજ, એટલે ખુદાને પ્રાર્થના કરવા એ બચ્યો છે . . . ઉતાવળ કરવા.

ન વર્ણાવી શકાય એવાં દૃશ્યો જોતો ગયો એમ હું જે સાંભળતો હતો એની મને ખાતરી થતી ગઈ. નાશ પામેલાં ઘરો, ઘર વિહોણાં લોકો અને પ્રત્યેક વ્યક્તિમાં વસતી વેદના.

હું ઘેર પહોંચ્યો. મને થયું ના આવ્યો હોત તો સારું. ત્રણ વર્ષથી ઘરથી દૂર રહ્યા બાદ મારા કુટુંબે આવકારમાં મને કહ્યું : “પાગલ છે? શું કરવા પાછો આવ્યો? મૃત્યુ પામવા આવ્યો છે કે અમારી વાસ્તવિક્તા પર માતમ મનાવવા?”

હું બેસી પડ્યો અને દૃશ્ય બની ગયો. વિમાનના અવાજો જાણે મારી બાજુમાં બેસી ગયા. બંદૂકની ગોળીઓના ખાલી ખોખા મને સાથ આપતા હતા. એમના શબ્દો તરફ મેં ધ્યાન આપ્યું નહીં. હું મારી જાતને લઈને રસ્તા પર થોડું ચાલવાના ઈરાદાથી નીકળી પડ્યો. હા, પીડા, વિનાશ અને લોહી . . . અને નાશ પામેલા ઘરો નીચે પડી રહેલા કુટુંબો વચ્ચેથી હું ચાલતો રહ્યો.

દૃશ્યની કડવાશથી મને ઠેસ પહોંચી. મેં વિચાર્યું : “શું અમે ઠીક કરી રહ્યા છીએ?

“શું હું મૃત્યુ પામીશ? અથવા હું જેને ચાહું છું એને ગુમાવી બેસીશ?”

રાત આવી અને સાથે ચિંતાઓ લાવી. અબ્બાએ કહ્યું, એક જૂથ સૂવા જશે ત્યારે બીજું જૂથ ઘરની ચોકી ભરશે. હું જાગતો રહ્યો બધાંની સાથે — ભય, ચિંતા, મૂંઝવણ અને આતંકથી ઘેરાયેલા.

યુદ્ધ સમાપ્ત થયું ત્યાં સુધી અમે આ રીતે રહ્યા. ત્યારબાદ કરુણાંતિકા છતી થઈ અને ગાઝાને, એના બધાં ઘરો, વિનાશ અને પીડા સાથે પ્રગટ કરવામાં આવ્યું.

એમણે અમારો પ્રેમ મારી નાખ્યો અને અમારી સુરક્ષા છીનવી લીધી. પરંતુ આમાંનું કંઈ અહીં રહેતા કોઈ પણ વ્યક્તિને રોકી શક્યું નહીં. અમે ફરીથી પ્રેમ વાવ્યો, પુખ્ત વ્યક્તિ સમક્ષ અનાથ બાળકમાં સુરક્ષાની ભાવના રોપી. એનો શ્વેત રંગ આકાશ સાથે વહેંચી અને અમે જ્યાં રોકાઈ ગયેલા ત્યાંથી એક શરૂઆત અને જન્મ આદર્યા.

૬. 

વિયેમ ઍડેરી

બારસેલોનાના પાર્કનું નવીનીકરણ કરાયું હોવા છતાં મને એ ગમતો બંધ થઈ ગયેલો. વૃક્ષો મોટા થવાનો ઈનકાર કરી રહ્યાં હતાં, પરંતુ હું મોટો થતો ગયો અને હવે હું ત્યાં રમી નથી શક્તો.

અમારા પાડોશીના ઘરે અરાજક્તા સર્જાઈ. હું ત્યાં તપાસ કરવા ગયો. પાડોશીએ જણાવ્યું કે ઈઝરાયેલી સેનાએ તાત્કાલિક ઘર ખાલી કરવાનું ફરમાન કર્યું છે એટલે એ ઘર ખાલી કરી રહ્યાં હતા.

અમારી પડખે જ એમનું ઘર હતું. મેં નિર્ણય કર્યો કે અમે ઘર નહીં છોડીએ. એક જ મિનિટ પછી સેનાએ ચેતવણીરૂપે રૉકૅટ છોડ્યું અને અમને નાસી જવાની ફરજ પડી. થોડી મિનિટ બાદ ઈઝરાયેલી સેનાએ બે મિસાઈલ ઘર પર ઝીંકી અને જે મકાન ટાવરરૂપે ઊભું હતું એ જોતજોતામાં કાટમાળનો ઢગલો બની ગયું.

બરબાદ થઈ ગયાની લાગણીનો અનુભવ થયો મને. ખુદા અમને શક્તિ બક્ષે.

૨૦૧૦માં જ્યારે અમે ગાઝા મૉનૉલૉગ્ઝ લખ્યા ત્યારે અમને લાગેલું કે આખા વિશ્વની સુદૃઢતા અમારી સાથે છે. પરંતુ ત્યાર પછીથી ગાઝામાં પરિસ્થિતિ વણસતી ચાલી છે. મને અહેસાસ થઈ ગયો છે કે આખા વિશ્વની સદ્દભાવના અમારી જિંદગીના અંધકારનું એક ટપકું પણ લૂછી શકવા અસમર્થ છે.

કાશ આનાથી વિપરિત હું તમે કહી શક્તો . . . .

૭. 

યાસ્મિન અબુ અમ્ર

મને ખબર છે કે હું મૃત્યુ પામવાની છું. મૃત્યુ કુદરતી ઘટના છે . . . મૃત્યુ અનિવાર્ય છે! પરંતુ હું જીવતી રહું અને મારું આખું કુટુંબ મૃત્યુ પામે એવું હું નથી ઈચ્છતી . . . હું નથી ઈચ્છતી કે મારું ઘર જમીનદોસ્ત કરવામાં આવે અને હું રસ્તા પર જિંદગી ગુજારવા મજબૂર બની જાંઉ.

યુદ્ધ દરમ્યાન અમારાં સપનાં કેટલાં સાદાં હતાં?! પૅરિસના પરા વિસ્તારમાં મહેલ કે બ્રિટનમાં વિલા કે ન્યુયોર્કમાં અપાર્ટમૅન્ટ નહોતો જોઈતો મને. હાર્વડ કે ઑક્સફર્ડમાં નહોતું ભણવું મારે. મંત્રી કે વડા પ્રધાન નહોતું બનવું મારે. મારે માત્ર એટલું જોઈતું હતું કે મારું કુટુંબ સુરક્ષિત રહે.

યુદ્ધે માત્ર અમારી સુરક્ષાની લાગણી જ નહીં અમારાં સપનાં, અમારી સ્મૃતિઓ, અમારાં આંસુ અને હાસ્ય મારી નાખ્યાં છે. ઍરકન્ડીશનવાળી ઑફિસમાં કૉફી પી રહી કોઈ વ્યક્તિના નિર્ણયથી જીવનનું કોઈ પણ ક્ષણે બાષ્પીભવન થઈ શકે છે. આને જીવન ના કહેવાય.

ગાઝા પરના દરેક આક્રમણ બાદ હું ઊભી થઈને મારું જીવન ફરીથી ગોઠવતી આવી છું, પરંતુ હવે આ બધો રક્તપાત અને મૃત્યુ જોયા પછી હું મારી જાતને પૂછું છું : “ફરી એક વાર ઊભી થઈને મારું જીવન હું ગોઠવી શકીશ???

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

પોતીકા સાથીઓની યાદ એ જ મારી મૂડી છે !

વાલજીભાઈ પટેલ|Opinion - Opinion|6 August 2024

વાલજીભાઈ પટેલ

પત્રકાર જગતમાં અચ્યુત યાજ્ઞિક, નિરંજન પરીખ અને ઈશ્વર પેટલીકર સાથેનો મારો સંબંધ 1971થી બંધાયો. ત્યારે અચ્યુતભાઈ ‘ગુજરાત સમાચાર’માં અને નિરંજન પરીખ / ઈશ્વર પેટલીકર ‘સંદેશ’માં હતા. ઈશ્વર પેટલીકર ‘સંદેશ’માં ‘લોક્સાગર ને તીરે તીરે’ કોલમ લખતા અને મારા સામાજિક પ્રશ્નોનાં લખાણો લઈને તેઓ ‘સંદેશ’ની કોલમમાં વિશ્લેષણ કરતા.

1971માં દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય નિરંજનદેવ તીર્થનું છાપામાં નિવેદન છપાયું કે ‘ધર્મના વડા તરીકે હું અસ્પૃશ્યતામાં માનું છું !’ આવું નિવેદન કરવા છતાં તત્કાલીન ગાંધીવાદી ગવર્નર શ્રીમન્નારાયણનો શંકરાચાર્યના આશ્રમમાં કાર્યક્રમ ગોઠવાયો. હું ગુસ્સે ભરાયો. મેં ખૂબ જ કડક ભાષામાં ગવર્નરને પત્ર લખ્યો અને એ પત્રની નકલ મેં અચ્યુતભાઈ અને ઈશ્વર પેટલીકરને આપી. તે ખૂબ જ ખુશ થયા. બીજા જ અઠવાડિયે ઈશ્વર પેટલીકરે મારા પત્રને તેમની કોલમમાં છાપી વિષદ ચર્ચા કરતો લેખ લખ્યો. ‘સંદેશ’નું આ લખાણ ગવર્નર સમક્ષ રજૂ થયું. બીજા દિવસે સાંજે 4 વાગે મારે ઘેર લાલ બત્તીવાળી ગાડી આવી. હું મારી બી.એ.ની પરીક્ષાનું છેલ્લું પેપર આપી સાયકલ પર ઘેર આવી રહ્યો હતો. દૂરથી મારા ઘરે લાલબત્તી વાળી ગાડી અને લોકોનું ટોળું જોતાં હું હેબતાઈ ગયો. જ્યારે ડ્રાયવરે મને કહ્યું કે ‘ગવર્નરે તમને મળવા બોલાવ્યા છે’, ત્યારે હું વિમાસણમાં પડ્યો. હું એકલા જવાને બદલે પ્રવીણ રાષ્ટ્રપાલને પણ સાથે લઇ જવા તેમને ઘેર ગયો. પ્રવીણ રાષ્ટ્રપાલ, તેમના ભાઈ રાહુલ રાષ્ટ્રપાલ અને હું ગવર્નરને મળવા ગયા. ગવર્નરે અમને ખાતરી આપી કે, ‘મેં જગદ્દગુરુનો પત્ર લખી ખુલાસો માંગ્યો છે. જો તે અશ્પૃશ્યતામાં માનતા હશે તો હું તેમના કાર્યક્રમમાં નહિ જાઉં.’ ગવર્નરે પોતાનો કાર્યક્રમ રદ્દ કર્યો. આ કાર્યક્રમ રદ્દ થયા પછી મેં ફરીથી ગવર્નરને પત્ર લખી માગણી કરી કે, જગદ્દગુરુનો લેખિત પૂરાવો છે, કાયદાથી કોઈ પર નથી. ત્યારે જગદ્દગુરુ સામે અસ્પૃશ્યતા ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાનો હુકમ કરો. ઈશ્વર પેટલીકરે મારી આ માગણી લઈને પણ તેમની કોલમમાં  જબરજસ્ત લેખ લખ્યો. ખૂબ ઊહાપોહ થયો. આ દરેક વખતે અચ્યુતભાઈ મારી પડખે હતા. પ્રથમ એમની ઓફિસ કોમર્સ કોલેજ પાસેના કેદાર એપાર્ટમેન્ટમાં  હતી. હું ત્યાં નિયમિત જતો.

અચ્યુત યાજ્ઞિક

અચ્યુતભાઈ ખૂબ જ વાસ્તવિક રીતે વિચારતા  હતા. તેનો એક ગજબનો અનુભવ મને 1985માં થયો. ગુજરાત સરકારના તત્કાલિન મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીએ બક્ષીપંચની અનામતમાં 10 ટકાનો વધારો કર્યો. ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા. અનામત એટલે માત્ર દલિત અને આદિવાસી એવી એક ગેરસમજ આજે પણ લોકો ધરાવે છે. એટલે ગામડે ગામડે બક્ષીપંચની જાતિના લોકો પણ દલિતોની વસ્તીઓ પર હુમલો કરવા લાગ્યા. અમે પણ મૂંઝવણમાં પડી ગયા. ચર્ચામાં અચ્યુતભાઈએ સૂચન કર્યું. આપણે સરકાર પાસે માંગણી કરીએ કે, સરકાર બક્ષીપંચમાં આવતી જ્ઞાતિનું લીસ્ટ બે ચાર દિવસ દરેક અખબારોમાં જાહેરખબરો આપી જાહેર કરે. અમે મુખ્ય મંત્રીને મળ્યા. સરકારે દરેક અખબારમાં ત્રણ દિવસ બક્ષીપંચમાં આવતી જ્ઞાતિની યાદીની મોટી જાહેરાતો અપાવી. પરિણામ ગજબ આવ્યું. મોટી વસ્તી ધરાવતા બક્ષીપંચને જાણ થઇ કે, આ તો અમારી અનામત વિરુદ્ધનું આંદોલન છે અને હુમલાઓ બંધ થયા !

1981નો તેવો જ બીજો અનુભવ અચ્યુતભાઈ અને નિરંજન પરીખની રાહબરી નીચેની અમારી લડાઈનો છે. 1981માં ગુજરાતી અખબારોએ અનામત આંદોલન ઊભું કર્યું અને ચલાવ્યું એમ કહી શકાય. તેમાં ‘ગુજરાત સમાચાર’નો વિશેષ ફાળો હતો. ખોટી અને ઉશ્કેરીજનક ભાષામાં સમાચાર છાપતા. ગોમતીપુરની દલિત વસ્તી વચ્ચે આવેલા જૈન મદિર ઉપર દલિતોએ હુમલો કર્યો, એવા તદ્દન જુઠ્ઠા સમાચાર મોટા ટાઈપમાં પહેલા પાને  છાપ્યા. અને તોફાનો વધી ગયા. આ બધા જ પુરાવાઓ હું ભેગા કરતો. પણ આંદોલનના સમયે મોટી દોડધામને કારણે સમયમર્યાદામાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ફરિયાદ ન કરી શક્યો. પરિણામે પુરાવાઓ પડી રહ્યા. એક દિવસ તત્કાલીન કાઁગ્રેસના સંસદ સભ્ય હીરાલાલ પરમાર મારે ઘેર આવ્યા. તે ખૂબ જ અકળાયેલા હતા. કાઁગ્રેસ પક્ષ તેમને ગુજરાત મુદ્દે સંસદમાં બોલવાની મંજૂરી આપતા ન હતા. હીરાલાલ પરમાર મૂળે લડાકૂ, ચુસ્ત આંબેડકરવાદી હતા. તેમણે મને સંસદમાં બોલવા ભાષણ તૈયાર કરવા કહ્યું. મેં આ તક ઝડપી લીધી. ‘ગુજરાત સમાચાર’ સહિત ગુજરાતી અખબારોનાં પુરાવાઓ સાંકળીને તેમનું પ્રવચન તૈયાર કરી આપ્યું. હીરાભાઈએ, સંસદમાં પોતાના પક્ષના વિરોધ વચ્ચે પોતાની ખુરશી ઉપર ઊભા થઈને ગુજરાતી અખબારોની ભૂમિકા બાબતે જોરદાર પ્રવચન આપ્યું. સંસદમાં પોતાની બેસવાની ખુરશીમાં ઊભા થઈને જબરજસ્તી બોલવાનો પ્રસંગ આજદિન સુધી સંસદમાં બન્યો નથી. આ પ્રવચનનો એક મોટો ફાયદો થયો. સંસદે ‘ગુજરાત સમાચાર’ સામે કાર્યવાહી કરવા પ્રવચનના પુરાવાઓ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મોકલી આપ્યા.

એક દિવસ હીરાલાલ પરમાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સુનાવણીમાં હાજર થવાની નોટિસ લઈને મારે ઘેર આવ્યા. માત્ર દશ જ દિવસનો સમય હતો. નોટિસ લઈને હું તાત્કાલિક અચ્યુતભાઈ પાસે પહોંચી ગયો. તેમણે ફોન કરી નિરંજન પરીખને બોલાવી લીધા અને આ તકનો ઉપયોગ કરવાનો અમે નિર્ણય લીધો. અચ્યુતભાઇની સૂચના મુજબ હું સંસદ સભ્ય હીરાભાઈ પરમાર પાસેથી સુનાવણીમાં મારા વતી અચ્યુત યાજ્ઞિક, નિરંજન પરીખ અને વાલજીભાઈ પટેલ હાજર થશે તેવી એફિડેવિટ લઇ આવ્યો. સમય ખૂબ થોડો હતો. ‘ગુજરાત સમાચાર’ની ફાઈલ મેળવી વિગતો ભેગી કરવાનું કામ અઘરું હતું. ત્યારે નિરંજન પરીખ ‘સંદેશ’ના ચીફ રિપોર્ટર અને પ્રેસ કામદાર યુનિયનના પ્રમુખ પણ હતા. તેમણે મને કહ્યું કે, ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’ બંને એક બીજાના વિરોધી છે. એટલે બંને એક બીજાના વિરોધનો રેકર્ડ રાખે છે. જે અમારી લાયબ્રેરીમાં છે. પણ જોવાનું કામ મારાથી થઇ શકે તેમ નથી.’ હું બીજે જ દિવસે સાંજે ‘સંદેશ’ના તંત્રી ચીમનભાઈ પટેલને મળવા ‘સંદેશ’ પ્રેસ પર ગયો. ત્યારે ‘સંદેશ’ના નિવાસી તંત્રી ઈશ્વર પેટલીકર બેઠા હતા. ઈશ્વર પેટલીકરે તંત્રી ચીમનભાઈને મારો પરિચય આપ્યો. અને મેં તેમને આ કેસની વિગતે વાત કરી મદદ માંગી. તંત્રીએ તરત જ નિરંજન પરીખને બોલાવ્યા અને નિરંજનભાઈને મારી સાથે રહી મદદ કરવા હુકમ કર્યો. એટલું જ નહિ, મારી સાથે દિલ્હી જવાનો પણ હુકમ કર્યો. હું અને નિરંજનભાઈ બંનેએ બે દિવસ મહેનત કરી જરૂરી પુરાવાઓ એકઠા કર્યા. હવે પુરાવાનું અંગ્રેજીમાં અનુવાદ કરવાનું કામ આવ્યું. અચ્યુતભાઈએ પ્રો. હર્ષદ દેસાઈને બોલાવ્યા. બે દિવસ સુધી મારા દરિયાપુરના ઘરે રાત્રે 10થી સવારે 4 વાગ્યા સુધી કામ કર્યું. અને રિપોર્ટ તૈયાર કર્યો. અચ્યુતભાઈ ચાના ખૂબ શોખીન. તેઓ આખી રાત ચા બનાવતા રહ્યા. આમ અચ્યુતભાઈ, નિરંજનભાઈ અને હું એમ ત્રણેય દિલ્હી સુનાવણીમાં હાજર રહ્યા. રજૂઆત કરી. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ‘ગુજરાત સમાચાર’ને દોષિત જાહેર કર્યું !

એ વખતે ગિરીશભાઈ પટેલ, હરુભાઈ મહેતા, એડવોકેટ મહેશભાઈ ભટ્ટ, અચ્યુતભાઈ યાજ્ઞિક, નિરંજન પરીખ, પ્રો. હર્ષદ દેસાઈ, એડવોકેટ મુકુલ સિન્હા, એડવોકેટ રમેશ પી. ધોળકિયા (જસ્ટિસ આર.પી. ધોળકિયા, હાઈકોર્ટ) ,મનીષી જાની, રૂપા મહેતા, સોનલ મહેતા, અસીમ રોય, અને બીજા સંખ્યાબંધ કટિબધ્ધ સાથીઓની એક ટીમ હતી. અને મારે માટે તો અચ્યુતભાઈની ઓફિસ એક વિસામો હતો. આજે એમના નિર્વાણ દિવસે (અચ્યુત યાજ્ઞિકનું દેહાવસાન 4 ઓગસ્ટ 2023ના રોજ થયું હતું) ગિરીશભાઈ, હરુભાઈ મહેતા, અચ્યુતભાઈ, નિરંજનભાઈ, પ્રો. હર્ષદ દેસાઈ, જેતલપુર કેસની સુનાવણીમાં મને તેમના સ્કૂટર પર નિયમિત નારોલ કોર્ટમાં લઇ જતા જસ્ટીસ આર.પી. ધોળકિયા, આ બધાની યાદ સતાવે છે. જાણે કશું જ બચ્યું નથી તેવો ખાલીપો છે. આજે 87 વર્ષની વૃદ્ધાવસ્થાની સ્થિતિએ આ પોતીકા સાથીઓની યાદ એ જ મારી મૂડી છે. જેને વાગોળવાની જ રહી છે. સ્નેહી અચ્યુતભાઈ ને આખરી અંજલિ.

[વાલજીભાઈ પટેલ, એડવોકેટ, એક્ટિવિસ્ટ, સેક્રેટરી, Council for Social Justice. સંપર્ક : 9426412600]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...610611612613...620630640...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved