Opinion Magazine
Number of visits: 9741041
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ (૭) 

સુમન શાહ|Opinion - Literature|5 September 2024

સુમન શાહ

પૂર્વોક્ત ત્રણેય વર્તુળની રચનાઓ એમ સૂચવે છે કે દયારામે સામાન્ય સ્વરૂપે કૃષ્ણસ્તુતિ ગોપી દ્વારા ગોપી માટે કરી છે. પણ ત્રીજા વર્તુળની રચનાઓ દર્શાવે છે કે એવી સ્તુતિ એમણે પોતા દ્વારા પોતા માટે કરી છે. એમ પણ કહેવાય કે એવી સ્તુતિ ભક્તે પોતા માટે કરી છે.

એવા સીધા પ્રવેશ લેખે ઘટાવી શકાતી આકર્ષક રચના છે, ‘રૂડા દીસો છો રાજેશ્વર …!’ મારે વતન ડભોઇમાં આ રચના ગવાતી સાંભળેલી ત્યારે મન્દિર આવતા રાજેશ્વર કલ્પના સમક્ષ સાક્ષાત્ થયેલા. આખી રચનાનો રંગવિન્યાસ જેટલો પુષ્ટિમાર્ગીય સૌન્દર્યદૃષ્ટિનો સૂચક છે, તેટલો જ તે પોતાના અન્તર્યામીને શબ્દાંકિત કરતા ભક્તકવિની સર્જકતાનો ય છે. માથે પાઘ બંધાવીને અને કરમાં કનકછડી પકડાવીને કવિવરે હદ કરી નાખી! એ ચિત્ર આંખમાં ઊઘડે, ત્યાં તો ઉમેર્યું, ‘ગજગતિ ચાલે હળવા રહીને …’ રચનામાં કૃષ્ણનો રાજવંશી ચાલને ઉપકારક જે લય ભળ્યો છે! અદ્ભુત! દયારામ તો પ્રભુના વદનકમળ પર વારી ગયા છે પણ હું તો રચનારૂપી આ વચનકમળને જોતો રહી ગયો છું!

રૂડા દીસો છો, રાજેશ્વર ….

જો કે આ રૂડો રાજેશ્વર ‘હેતે’ બોલાવે અને ‘તાપ’ શમાવે એવો છે પણ સદા કાળને માટે ઉપલબ્ધ થોડો છે? સદા કાળ તો ભક્તિભાવપૂર્વક એની વાટ જ જોવી રહે છે. કહો કે, એની જ વાટ જોવી રહે છે.

ભક્તિમાત્રમાં, અને પુષ્ટિમાર્ગમાં તો ખાસ, એવા અનન્યભાવનું ઘણું મૂલ્ય છે. દયારામ સ્પષ્ટ કહે છે,

… … …

વૈકુંઠમાં જીવ-શિવ એક થવાનો મોટો સંભવ છે, પણ તેથી શું? એટલે, શ્રીજીને પોતે સીધું જ પૂછે છે : ‘શું કરું શ્રીજી! હું સાયુજ્ય પામી?’ અને, પ્રેમભક્તિયુક્ત દ્વૈતની અનર્ગળ પ્રતીક્ષાના માર્યા કવિ કહે પણ છે : ‘એકતામાં તમો ના રહો સ્વામી!’

એવી હઠ છે, એવી અનન્યતા છે, એવી પ્રતીક્ષા છે, માટે હવે, એ અનન્યને પ્રાર્થના શરૂ થાય છે, ‘દર્શન દોની રે દાસને મારા ગુણનિધિ ગિરિધારીલાલ!’ એમ છે માટે, હવે, આવું બધું તો વ્યર્થ લાગે છે, કહે છે : ‘જપું નહીં અજપા રે જાપ, ન ગમે સૂણવો અનહદ નાદ; યજ્ઞસમાધિ રે ના ગમે, ન ગમે સ્વર્ગમુક્તિના સ્વાદ.’ એવાંતેવાં કોઇ સાધન ગમતાં નથી, ‘ફીક્કાં’ લાગે છે. એક જ વિનતી છે, ‘સમૂળ અવિદ્યા’ ટળે, જો હરિજી હાથ ઝાલે. અને તે કાજે એટલે લગી કહે છે, ‘દાસી કરી રાખો નિજ પાસ.’

એમ લાગે છે કે આ દાસભાવને પ્રતાપે કવિમાં એક નિર્મમ એવું આત્મવાચન શરૂ થયું છે. શરણાગતની માનસિકતાનો ઉદય થયો છે. કહે છે, ‘હરિ ! જેવોતેવો હું દાસ તમારો! કરુણાસિંધુ! ગ્રહો કર મારો!’

… … …

‘દામોદર દુ:ખડાં કાપો રે! પાવલે લાગું! નંદલાલ! નિજાનંદ આપો રે! એ વર માગું !’ એમ યાચના શરૂ થાય છે. ‘વ્હાલાજી’-ને કવિ કહે છે કે પોતે તો ‘પળપળનો અપરાધી’ છે, ‘જેવોતેવો તો યે છું તમારો, આધાર અવર નહિ મારો રે’, ‘પાણિ ગ્રહ્યો છે તો નિભાવો મારો દાસપણાનો દાવો રે  !’ ‘પાવલે લાગું ! દામોદર !’  – એ ધ્રુવ ઉદ્ગારમાં ભક્તહૃદયનું નર્યું આર્જવ ઘુંટાય છે. છેવટે, છેલ્લી વિનંતી તો એ કરી કે, ‘મારે અંતસમય અલબેલા! મુજને મૂકશો મા! મારા મદનમોહનજી! છેલા! અવસર ચૂકશો મા!’

કવિની ઉત્તરાવસ્થાનાં આ પદોમાં પેલો ઉલ્લસિત ભક્તિશૃંગાર નથી. હવે એમાં દાસ્યભક્તિ છે, પ્રાર્થના છે, શરણાગતિ છે, ઉપશમ છે. છેવટે બધું વિશિષ્ટ શાન્તમાં આછરે છે. ત્રીજા વર્તુળની રચનાઓનો આ વિશેષ દયારામની કાવ્યસૃષ્ટિનો પણ નોંધપાત્ર વિશેષ છે.

કવિ જીવન-કવનના સ્વારસ્યની સમ્મુખ થયા છે. એમનામાં આત્મનિરીક્ષા-પરીક્ષા તીવ્ર બન્યાં છે અને તેથી ‘નિજ દેશ ભણી’ પાછા વળવાનું એક ચિતવન શરૂ થયું છે. મનને જ કહ્યું, ‘મૂલક ઘણા જોયા રે! મુસાફરી થઇ છે ઘણી! સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઇ! … મનજી મુસાફર રે! ચાલો નિજ દેશ ભણી!’

પોતે ગોપીજનવલ્લભના જ ભક્ત છે, એવો અકાટ્ય દાવો સાચો હતો; હરિનો પોતે ભલે જેવોતેવો પણ દાસ છે, એવું વિનીત ભાન સાચું હતું; તેમછતાં, એ જ એમને એમ કહેવા લગી દોરી જાય છે, કે ‘વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે, હરિજન નથી થયો તું રે …’ હજી ‘કામદામચટકી નથી છટકી’, હજી ‘ક્રોધે લોચન રાતાં’ છે, હજી ‘તારા સંગનો રંગ’ બીજાને લાગ્યો નથી – ‘તુજ સંગે કોઇ વૈષ્ણવ થાયે તો તું વૈષ્ણવ સાચો …’, પણ એવું કાંઇ થયું નથી. એટલે કહે છે, ‘મન તણો ગુરુ મન કરેશ તો, સાચી વસ્તુ જડશે …’

આ મનને વિશેનું વધારે કડક પરીક્ષણ તો, મળે છે, ‘મારું ઢણકતું ઢોર’-માં. પોતાનું મન ‘સીમ ખેતર ખળું કાંઇ ન મૂકે’ એવું બેફામ ઢણકતું ઢોર થઇ ગયું છે, બલકે, કશા વિવેકભાન વિનાનું થઇ ગયું છે – ‘ના જાવું જાય ત્યાં, ના ખાવું ખાય તે …’ પોતાનો એના પર કશો અંકુશ નથી રહ્યો – ‘વાળી લાવું ઘરે ને ગૉતું માંડું ગળ્યું, લીલું નીરું છ પણ તે જ સૂંઘે, કોહ્યલાં રાડાં, ઘાસ, કુસકા, માર ખાઇને પણ તે જ ઠૂંગે …’

… … …

એમને થયું છે કે હવે વ્યાપકથી વાતો કરવાનો સમય નથી રહ્યો. એના મિથ્યાત્વનો પોતાને અંદાજ છે. તેથી પૂછ્યું છે, ‘અંતર્યામી અખિલમાં છે તેથી, કહો, કોનું દુ:ખ જાય?’, ‘પ્રગટ પાવક વિના કાષ્ટને ભેટ્યે શી પેરે શીત શમાય?’, ‘પૃથ્વી ચાટ્યે તૃષા ટળે નહિ, અંતરજળ શ્રુતિ થાય’. ટૂંકમાં, ‘વ્યાપકથી વાતો નવ થાયે, તે વિના જીવ અકળાય …’ સુખ તો ત્યારે જ થાય, જ્યારે રસિયાજનમનરંજન નટવર શ્રીગિરધરને પ્રગટ મળાય. પણ એ પ્રાગટ્ય ક્યાં, કેવી રીતેભાતે? ઉત્તર મળે છે, ‘નિશ્ચય’-માં, નિશ્ચયની રીતે, નિશ્ચયના મહેલમાં. ‘વ્રજ વ્હાલું રે વૈકુંઠ નહીં આવું’ કહેતાં વ્યક્ત થયેલી ઘેઘૂર કૃષ્ણેષણા, વ્રજેષણા – એટલે કે ભક્તસહજ દ્વૈતને વિશેની એષણા કે પ્રતીક્ષા પણ હવે નવેસરના નિશ્ચયમાં ઠરવી જોઇએ. એ રીતે કે એ જાણે નથી વૈકુંઠમાં, નથી વ્રજમાં, બસ પોતાના નિશ્ચયના મહેલમાં છે.

… … …

દયારામને મન છેવટનું સાધન, આખરી ઉપાય, તો હરિકૃપા છે; અને તે માટે તો નિર્મમ શરણાગતિ જોઇએ, અપારની પ્રેમભક્તિ જોઇએ, પ્રેમ જ જોઇએ. કૃતનિશ્ચયીએ પણ જાણવું રહે છે કે ‘… કોટિ સાધને પ્રેમ વિના, પુરુષોત્તમ પૂંઠે ના ફરે!’ જો કે પ્રેમભક્તિ માટે જિગર અને સાહસ જોઇએ; વળી, એ માટેની પાત્રતા પણ હાંસલ કરવી પડે. એ પાત્રતા પણ પ્રેમ કર્યે જ સિદ્ધ થતી હોય છે – જે વ્યક્તિ પ્રેમ અંશ અવતરે છે, તેના જ ઉરમાં પ્રેમરસ ઠરે છે. અન્યથા, દુષ્પરિણામ આવે છે. કવિએ દાખલા આપ્યા છે : સિંહણનું દૂધ સિંહણસૂતને જ જરે છે, સાકર સક્કરખોરનું જીવન છે, ખરના તો પ્રાણ જ હરે છે! સાર જણાવ્યો કે ‘ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે …’ એટલે કે, પ્રેમભક્તિ જ પ્રભુપ્રાપ્તિનો અધિકાર અપાવે છે.

મારી માન્યતા છે કે ‘જે કોઇ પ્રેમ અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે’ એ દયારામના સમગ્ર જીવનપુરુષાર્થનું, અને એમ, એમના સમગ્ર કાવ્યપુરુષાર્થનું ય, નવનીત છે. એક નિર્વ્યાજ અને સાચકલા ભક્તકવિ તરીકે દયારામે જ્ઞાનમાર્ગ કે વૈરાગ્યથી ઊફરા જઇને ભક્તિના મહિમાને દૃઢ કર્યો છે. ભક્તિમાં યે તેઓ ઉત્તમોત્તમ ભક્તિ પ્રેમલક્ષણા ભક્તિના કવિ છે. પૂર્વોક્ત ત્રણેય વર્તુળની રચનાઓ એમ સૂચવે છે કે દયારામે સામાન્ય સ્વરૂપે કૃષ્ણસ્તુતિ ગોપી દ્વારા ગોપી માટે કરી છે. પણ ત્રીજા વર્તુળની રચનાઓ દર્શાવે છે કે એવી સ્તુતિ એમણે પોતા દ્વારા પોતા માટે કરી છે. એમ પણ કહેવાય કે એવી સ્તુતિ ભક્તે પોતા માટે કરી છે.

એવા સીધા પ્રવેશ લેખે ઘટાવી શકાતી આકર્ષક રચના છે, ‘રૂડા દીસો છો રાજેશ્વર…!’ મારે વતન ડભોઇમાં આ રચના ગવાતી સાંભળેલી ત્યારે મન્દિર આવતા રાજેશ્વર કલ્પના સમક્ષ સાક્ષાત્ થયેલા. આખી રચનાનો રંગવિન્યાસ જેટલો પુષ્ટિમાર્ગીય સૌન્દર્યદૃષ્ટિનો સૂચક છે, તેટલો જ તે પોતાના અન્તર્યામીને શબ્દાંકિત કરતા ભક્તકવિની સર્જકતાનો ય છે. માથે પાઘ બંધાવીને અને કરમાં કનકછડી પકડાવીને કવિવરે હદ કરી નાખી! એ ચિત્ર આંખમાં ઊઘડે, ત્યાં તો ઉમેર્યું, ‘ગજગતિ ચાલે હળવા રહીને …’ રચનામાં કૃષ્ણનો રાજવંશી ચાલને ઉપકારક જે લય ભળ્યો છે! અદ્ભુત! દયારામ તો પ્રભુના વદનકમળ પર વારી ગયા છે પણ હું તો રચનારૂપી આ વચનકમળને જોતો રહી ગયો છું! જો કે આ રૂડો રાજેશ્વર ‘હેતે’ બોલાવે અને ‘તાપ’ શમાવે એવો છે પણ સદા કાળને માટે ઉપલબ્ધ થોડો છે? સદા કાળ તો ભક્તિભાવપૂર્વક એની વાટ જ જોવી રહે છે. કહો કે, એની જ વાટ જોવી રહે છે.

… … …

એમ લાગે છે કે આ દાસભાવને પ્રતાપે કવિમાં એક નિર્મમ એવું આત્મવાચન શરૂ થયું છે. શરણાગતની માનસિકતાનો ઉદય થયો છે. કહે છે, ‘હરિ ! જેવોતેવો હું દાસ તમારો! કરુણાસિંધુ! ગ્રહો કર મારો!’ કવિને જાણ છે કે ખળ, અમિત કુકર્મી, જૂઠો – એવો જે કોઇ શરણે પડે, તેની શ્રીરણછોડ હમેશાં લાજ રાખે તેવા ‘દુ:ખદુષ્કૃતહારી’ છે, ‘અવગુણ’ ઉર ન લાવનારા છે, ‘આર્તબંધુ, સહિષ્ણુ અભયકર’ છે, ‘શરણાગતવત્સલ’ છે. એવા પ્રભુને, ‘દામોદર દુ:ખડાં કાપો રે! પાવલે લાગું! નંદલાલ! નિજાનંદ આપો રે! એ વર માગું !’ એમ યાચના શરૂ થાય છે.

… … …

કવિની ઉત્તરાવસ્થાનાં આ પદોમાં પેલો ઉલ્લસિત ભક્તિશૃંગાર નથી. હવે એમાં દાસ્યભક્તિ છે, પ્રાર્થના છે, શરણાગતિ છે, ઉપશમ છે. છેવટે બધું વિશિષ્ટ શાન્તમાં આછરે છે. ત્રીજા વર્તુળની રચનાઓનો આ વિશેષ દયારામની કાવ્યસૃષ્ટિનો પણ નોંધપાત્ર વિશેષ છે.

કવિ જીવન-કવનના સ્વારસ્યની સમ્મુખ થયા છે. એમનામાં આત્મનિરીક્ષા-પરીક્ષા તીવ્ર બન્યાં છે અને તેથી ‘નિજ દેશ ભણી’ પાછા વળવાનું એક ચિતવન શરૂ થયું છે. મનને જ કહ્યું, ‘મૂલક ઘણા જોયા રે! મુસાફરી થઇ છે ઘણી! સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઇ! … મનજી મુસાફર રે! ચાલો નિજ દેશ ભણી!’

પોતે ગોપીજનવલ્લભના જ ભક્ત છે, એવો અકાટ્ય દાવો સાચો હતો; હરિનો પોતે ભલે જેવોતેવો પણ દાસ છે, એવું વિનીત ભાન સાચું હતું; તેમછતાં, એ જ એમને એમ કહેવા લગી દોરી જાય છે, કે ‘વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે, હરિજન નથી થયો તું રે …’ હજી ‘કામદામચટકી નથી છટકી’, હજી ‘ક્રોધે લોચન રાતાં’ છે, હજી ‘તારા સંગનો રંગ’ બીજાને લાગ્યો નથી – ‘તુજ સંગે કોઇ વૈષ્ણવ થાયે તો તું વૈષ્ણવ સાચો …’, પણ એવું કાંઇ થયું નથી. એટલે કહે છે, ‘મન તણો ગુરુ મન કરેશ તો, સાચી વસ્તુ જડશે …’

આ મનને વિશેનું વધારે કડક પરીક્ષણ તો, મળે છે, ‘મારું ઢણકતું ઢોર’-માં. પોતાનું મન ‘સીમ ખેતર ખળું કાંઇ ન મૂકે’ એવું બેફામ ઢણકતું ઢોર થઇ ગયું છે, બલકે, કશા વિવેકભાન વિનાનું થઇ ગયું છે – ‘ના જાવું જાય ત્યાં, ના ખાવું ખાય તે …’ પોતાનો એના પર કશો અંકુશ નથી રહ્યો – ‘વાળી લાવું ઘરે ને ગૉતું માંડું ગળ્યું, લીલું નીરું છ પણ તે જ સૂંઘે, કોહ્યલાં રાડાં, ઘાસ, કુસકા, માર ખાઇને પણ તે જ ઠૂંગે …’

એ મન કલુષિત છે, ભયભીત છે, દૂષિત છે; શુદ્ધ નથી, ચિન્તિત છે. જાત વિશે કવિએ કેવું તો કઠોર વચન પ્રયોજ્યું છે – ‘હેડલો હેડેરડો મોરો માન્યો નહીં, થયું હરાયું …’ ને તેથી, ‘હાવાં હું તો હાર્યો!’ એવા ઢણકેલ ઢોરને માટે ‘ગોપાળ’-ને બરાબર કહ્યું કે એને ‘સાધુપણું શીખવી વૃંદાવન ચારજો …’ 

… … …

સુખ તો ત્યારે જ થાય, જ્યારે રસિયાજનમનરંજન નટવર શ્રીગિરધરને પ્રગટ મળાય. પણ એ પ્રાગટ્ય ક્યાં, કેવી રીતેભાતે? ઉત્તર મળે છે, ‘નિશ્ચય’-માં, નિશ્ચયની રીતે, નિશ્ચયના મહેલમાં. ‘વ્રજ વ્હાલું રે વૈકુંઠ નહીં આવું’ કહેતાં વ્યક્ત થયેલી ઘેઘૂર કૃષ્ણેષણા, વ્રજેષણા – એટલે કે ભક્તસહજ દ્વૈતને વિશેની એષણા કે પ્રતીક્ષા પણ હવે નવેસરના નિશ્ચયમાં ઠરવી જોઇએ. એ રીતે કે એ જાણે નથી વૈકુંઠમાં, નથી વ્રજમાં, બસ પોતાના નિશ્ચયના મહેલમાં છે.

પોતાનો નિશ્ચય છે કે અન્તર્યામી બીજે ક્યાં ય નથી, મારા અન્તરમાં છે. સમજો કે કવિને એમ પોતાના એ લાડીલા વ્હાલમાનું ખરું ઠેકાણું ભળાઇ ગયું છે. સરસ રીતે વીગતવાર સરનામું લખ્યું છે : ‘સત્સંગદેશમાં ભક્તિનગર છે રે, પ્રેમની પોળ પૂછી જાજો રે! વિરહતાપપોળીઆને મળી મહોલે પેસજો રે, સેવાસીડી ચડી ભેળા થાજો રે!’ જરૂર હવે, માત્ર કૃતનિશ્ચયને વળગી રહેવું એ છે; જરૂર હવે, વિવશતા ખંખેરીને દીનતાપાત્રમાં મનમણિ મૂકી ભગવંતજીને ભેટ ધરાવવી એ છે; જરૂર હવે, હુંભાવપુંભાવ નોછાવર કરવો એ છે.

… … …

દયારામને મન છેવટનું સાધન, આખરી ઉપાય, તો હરિકૃપા છે; અને તે માટે તો નિર્મમ શરણાગતિ જોઇએ, અપારની પ્રેમભક્તિ જોઇએ, પ્રેમ જ જોઇએ. કૃતનિશ્ચયીએ પણ જાણવું રહે છે કે ‘… કોટિ સાધને પ્રેમ વિના, પુરુષોત્તમ પૂંઠે ના ફરે!’ જો કે પ્રેમભક્તિ માટે જિગર અને સાહસ જોઇએ; વળી, એ માટેની પાત્રતા પણ હાંસલ કરવી પડે. એ પાત્રતા પણ પ્રેમ કર્યે જ સિદ્ધ થતી હોય છે – જે વ્યક્તિ પ્રેમ અંશ અવતરે છે, તેના જ ઉરમાં પ્રેમરસ ઠરે છે. અન્યથા, દુષ્પરિણામ આવે છે. કવિએ દાખલા આપ્યા છે : સિંહણનું દૂધ સિંહણસૂતને જ જરે છે, સાકર સક્કરખોરનું જીવન છે, ખરના તો પ્રાણ જ હરે છે! સાર જણાવ્યો કે ‘ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સ રે…’ એટલે કે, પ્રેમભક્તિ જ પ્રભુપ્રાપ્તિનો અધિકાર અપાવે છે.

મારી માન્યતા છે કે ‘જે કોઇ પ્રેમ અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે’ એ દયારામના સમગ્ર જીવનપુરુષાર્થનું, અને એમ, એમના સમગ્ર કાવ્યપુરુષાર્થનું ય, નવનીત છે. એક નિર્વ્યાજ અને સાચકલા ભક્તકવિ તરીકે દયારામે જ્ઞાનમાર્ગ કે વૈરાગ્યથી ઊફરા જઇને ભક્તિના મહિમાને દૃઢ કર્યો છે. ભક્તિમાં યે તેઓ ઉત્તમોત્તમ ભક્તિ પ્રેમલક્ષણા ભક્તિના કવિ છે.

(ક્રમશ:)

(5 Sep 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કેવા શિક્ષકો અને શિક્ષણનો દુકાળ?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|5 September 2024

હેમંતકુમાર શાહ

આજે ભારતમાં અને દુનિયામાં લોકશાહી અને માનવ અધિકારોના શિક્ષણ અને શિક્ષકો બંનેની ભારે આવશ્યકતા છે. એ બંનેની ભયંકર અછત પ્રવર્તે છે. 

મેનેજમેન્ટ, કોમર્સ, ઇજનેરી, ફાર્મસી અને દાક્તરી શિક્ષણમાં તો માનવ અધિકારો અને લોકશાહીના શિક્ષણનો સદંતર અભાવ પ્રવર્તે છે. 

રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર જેવાં કુદરતી વિજ્ઞાનો તેમ જ ભાષાઓ અને ભાષાશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે જેવી સમાજવિદ્યાઓ ભાગ્યે જ લોકોને ભણવા જેવા વિષયો લાગતા હોય છે. 

આર્ટ્સ વિદ્યાશાખામાં પણ લોકશાહી અને માનવ અધિકારોનું ગંભીરતાથી કોઈ શિક્ષણ આપવામાં આવતું નથી. 

પરિણામે, નાગરિકો સમાજ, બજાર અને રાજ્ય નામની સંસ્થાઓ વિશે ભાગ્યે જ કશી યોગ્ય સમજણ ધરાવે છે. 

તેથી લોકશાહી અને માનવ અધિકારો એમ બંનેના શિક્ષણ અને શિક્ષકોનો અકલ્પનીય દુકાળ પ્રવર્તે છે. 

આ પરિસ્થિતિ માત્ર ભારતમાં છે એવું નથી. દુનિયાભરમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો વાયરો ફૂંકાયો ત્યારથી, એટલે કે ૧૯૮૦ના દાયકાથી, આ સ્થિતિ ઊભી થઈ છે. ભારતમાં ૧૯૯૧થી સવિશેષ.

બહુરાષ્ટ્રીય કંપનીઓ અને મહાકાય કંપનીઓ તેમ જ સરકારો પણ એમ જ ઈચ્છે કે નાગરિકો પોતાના અધિકારો વિશે કશું જાણે જ નહિ, સમજે જ નહિ. તો જ તેમનો બંનેનો સત્તા અને નફા પ્રાપ્તિનો ધંધો પૂરબહારમાં અને બેરોકટોક ચાલી શકે ને. 

૧૯૮૦ના દાયકા પછી દુનિયાભરમાં લોકશાહી વિરોધી માનસ વધુ મજબૂત બન્યું છે એનું એક કારણ બેફામ નફાખોરી કરવાની સ્વતંત્રતા પણ છે અને તેને જ લોકો અને સરકારો દ્વારા વિકાસ સમજવામાં આવે છે. ફ્રીડમ હાઉસનો ૨૦૨૨નો અહેવાલ એમ કહે છે કે દુનિયાના ૮૦ ટકા લોકો રાજાશાહી અને તાનાશાહી કે તાનાશાહી જેવી વ્યવસ્થામાં જીવી રહ્યા છે. 

વિદ્યાર્થીઓને બજારમાં બરાબર ફિટ થઈ જાય તેવા બનાવવાની લાયમાં સરકારો તનતોડ મહેનત કરે છે. સરકારો અને કંપનીઓને તેમની નીતિરીતિ સામે અવાજ ઉઠાવે અને પોતાના જન્મસિદ્ધ માનવ અધિકારોનું રક્ષણ કરે એવા નાગરિકો જોઈતા જ નથી. મનુષ્ય જંતુ જેવો બની જાય એ આજની રાજકીય અને આર્થિક વ્યવસ્થાની અનિવાર્ય જરૂરિયાત છે. 

શિક્ષક દિન, ૨૦૨૪.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લોક અદાલતોનો શીઘ્ર, સસ્તો અને સમાધાનકારી ન્યાય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|5 September 2024

ચંદુ મહેરિયા

પંચ પરમેશ્વરની ભૂમિ ભારતની ન્યાય વ્યવસ્થામાં લોક અદાલત જેવી કોઈ વ્યવસ્થા ના હોય તો જ નવાઈ. સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના આ અમૃત વરસમાં તાજેતરમાં વિશેષ લોક અદાલત સપ્તાહ ઉજવાયું હતું. લોક અદાલતોને વૈધાનિક દરજ્જો ભલે સુપ્રીમ કોર્ટની રચનાના ઘણાં વરસો પછી મળ્યો. પરંતુ તે એક યા બીજા સ્વરૂપે દેશમાં વિદ્યમાન હતી જ. એટલે તેના આરંભના સગડ મેળવવા અઘરા છે.

બંધારણના આમુખમાં પ્રત્યેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનું વચન છે. અનુચ્છેદ ૧૪ અને ૨૨(૧)માં રાજ્ય માટે કાયદા સમક્ષ સૌ સરખા હોવાની ખાતરી આપવામાં આવી છે. છતાં સૌને ન્યાય સુલભ નથી. ભારતમાં ન્યાય અતિ મોંઘો, થકવી નાંખે એટલો વિલંબિત અને નિરાશ કરે એટલો ધીમો છે. આ સ્થિતિમાં ગરીબો માટે અદાલતોમાંથી ન્યાય મેળવવો દુષ્કર છે. ૧૯૭૬માં બેતાળીસમા બંધારણ સુધારા હેઠળ અનુચ્છેદ ૩૯(એ) ઉમેરવામાં આવ્યો છે. ઈકવલ જસ્ટિસ એન્ડ ફ્રી લીગલ એઈડની જોગવાઈ ધરાવતા આ અનુચ્છેદના અમલ માટે ૧૯૮૫માં લીગલ સર્વિસીઝ ઓથોરિટી એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. તે અન્વયે ૧૯૯૫માં નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટી(NALSA)ની રચના કરવામાં આવી હતી. આ બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ થકી લોક અદાલતને વૈધાનિક અને કાનૂની દરજ્જો મળ્યો છે.

નિ:શુલ્ક કાનૂની સેવા અને લોક અદાલત દ્વારા ન્યાયની પહોંચ ગરીબો સુધી લઈ જવાનો ઉદ્દેશ છે. ન્યાયની તલાશમાં આમ આદમી, સમાજનો નિર્ધન અને નિમ્ન વર્ગ કે જે સાધન અને ક્ષમતા ધરાવતો નથી તેને લોક અદાલતના માધ્યમથી ન્યાયનો અહેસાસ કરાવવામાં આવે છે. લોક અદાલત વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર છે. ન્યાયાલયની બહાર વિવાદોને સુલેહ, સમજૂતીથી ઉકેલવાનો તેનો પ્રયત્ન છે. એટલે જ તે લોકોની અદાલત કહેવાય છે. બંને પક્ષો વચ્ચે વાતચીત અને સંમતિથી નિષ્પક્ષ અને સરળ ન્યાય મેળવી શકાય છે એવી ગાંધીજીની વિચારધારા એ લોક અદાલતનો પાયો છે. જે વિવાદ બંને પક્ષો વચ્ચેની આપસી સમજૂતીથી ઉકેલાય છે તેમાં કટુતા, શત્રુતા અને તણાવ હોતા નથી. પરસ્પરનો ભાઈચારો, સોહાર્દ અને સદ્દભાવના ટકે છે.

ટ્રાયલ કોર્ટસ, હાઈકોર્ટસ અને સુપ્રીમ કોર્ટમાં પડતર કેસોનો ગંજ ખડકાયેલો છે. રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રિડ પ્રમાણે દેશની જિલ્લા અને અન્ય અદાલતોમાં આશરે ૩ કરોડ, હાઈકોર્ટસમાં ૫૭ લાખ અને સુપ્રીમ કોર્ટમાં ૬૬,૦૦૦ કેસો પડતર છે. હાલની ગતિએ તેનો નિવેડો આવતાં સવા ત્રણસો વરસ લાગી શકે છે. એટલે અદાલતી ન્યાયમાં થતો વિલંબ નિવારવો અને ન્યાયની પહોંચ સૌ સુધી હોય તે માટેનાં પગલાં કાયદા પંચ અને બીજી કમિટીઓએ શોધ્યા હતા. તેમણે સૂચવેલા સુધારાત્મક ઉપાયને અનુસરીને સર્વિસ ટ્રિબ્યૂનલ, મોટર વાહન ટ્રિબ્યૂનલ, રેલવે ટ્રિબ્યૂનલ અને ગ્રાહક અદાલતો જેવા વૈકલ્પિક મંચો દ્વારા ન્યાય તોળવામાં આવી રહ્યો છે. પરંતુ આ પગલાં પૂરતાં નહોતા એટલે લોક અદાલતોની રચના થઈ છે.

લોક અદાલતોને તમામ પ્રકારના કેસોના નિવારણની સત્તા નથી. વળી તેને સજાની તો બિલકુલ સત્તા નથી. વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર તરીકે તે સેટલમેન્ટથી જ કેસનો નિવેડો લાવે છે. હા, તેને સિવિલ કોર્ટ જેટલી સત્તા મળેલી છે. લોક અદાલત સમક્ષ અદાલતોમાં પડતર કેસો અને નવા કેસો એમ બંને પ્રકારના કેસો આવે છે. નાના સિવિલ વિવાદો, સર્વિસ મેટર, મકાન માલિક-ભાડૂઆત વચ્ચેના વિવાદો, ખેતીની જમીન, પાક, ઘરની જગ્યા, વૈવાહિક પ્રશ્નો, અધિગૃહિત જમીનનું વળતર, મોટર વાહન દુર્ઘટના જેવા કેસો લોક અદાલતમાં વિચારવામાં આવે છે. જો બંને પક્ષો સંમત ના હોય તો ગુણ દોષના આધારે નિર્ણય આપવાની જરા ય સત્તા લોક અદાલતને નથી. લોક અદાલતમાં બધા પક્ષો વચ્ચે સુલેહ સમજૂતીથી જે નિર્ણય લેવાય તે તમામને બાધ્યકારી હોય છે અને આ  નિર્ણયને કોઈ કોર્ટમાં પડકારી શકાતો નથી.

કોર્ટમાં વિવાદનો નિર્ણય આવતા વરસો લાગે છે, પરંતુ લોક અદાલતમાં ત્વરિત ફેંસલો આવી જાય છે. અદાલતોમાં સાક્ષી-પુરાવા અને દલીલો માટે ફરિયાદી અને આરોપી બંને મોંઘીદાટ ફી આપીને રોકેલા વકીલો પર આધારિત હોય છે. જ્યારે લોક અદાલતનો ન્યાય જેમ શીઘ્ર છે તેમ સસ્તો કે નિ:શુલ્ક છે. અહીં કોઈ પણ પ્રકારની કોર્ટ ફી ભરવાની હોતી નથી. કોર્ટના પ્રથમ ચરણ પૂર્વેના જે કેસો લોક અદાલતમાં આવે છે તેની ભરેલી કોર્ટ ફી પરત મળે છે. વકીલોનો કોઈ ખર્ચો થતો નથી.

લોક અદાલતો રાષ્ટ્રીયથી સ્થાનિક સુધીની હોય છે. કાયમી કે સ્થાયી લોક અદાલત પણ છે. મોબાઈલ અને કેદીઓના પ્રશ્નો માટેની અલાયદી લોક અદાલત પણ જોવા મળે છે. સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી દૈનિક, પાક્ષિક અને માસિક ધોરણે લોક અદાલતો યોજે છે. જેમ અદાલતોમાં પડતર કેસોના આંકડાથી આપણે ઘડીભર દંગ રહી જઈએ છીએ તેમ લોક અદાલતો દ્વારા કેસોના નિકાલના આંકડાઓથી પણ થાય છે. ટેકનોલોજીના ઉપયોગથી ૨૦૨૧માં ચાર રાષ્ટ્રીય ઈ-લોક અદાલતોમાં ૧૨.૮ લાખ કેસોનો નિકાલ થયો હતો. ૨૦૧૬થી ૨૦૨૦માં રાષ્ટ્રીય લોક અદાલતોએ ૨ કરોડ ૯૦ લાખ કેસોનો નિકાલ કર્યો હતો. એક જ દિવસે રાષ્ટ્રીય લોક અદાલતોએ ૧૧ લાખ કેસોનો નિકાલ કર્યો હતો.

અદાલતોથી લોકો તંગ આવી ગયા છે એટલે લોક અદાલતો સફળ થઈ રહી છે કે લોક અદાલતોએ નિકાલ કરેલા કેસો ખૂબ સામાન્ય પ્રકારના, આપસી વાતચીતથી ઉકેલાય તેવા હતા એટલે સફળ છે ? પડતર કેસોનો બોજ લોક અદાલતથી ઘટે છે તેમ કહી શકાય ? લોક અદાલતની વિશેષતા, સફળતા અને લાભ જેમ અનેક છે તેમ તેની મર્યાદાઓ પણ છે. લોક અદાલત ન્યાયની બેવડી પ્રણાલી તો નથી ઊભી કરી રહીને ? તેવો સવાલ થાય છે. અમીરો માટે અદાલતો અને ગરીબો માટે લોક અદાલતો તેવી સ્થિતિનું નિર્માણ તો નથી થઈ રહ્યું ને? લોક અદાલતો સમક્ષ આવતા મોટા ભાગના કેસોમાં વાદી અમીર સંસ્થાઓ છે અને પ્રતિવાદી સામાન્ય લોકો છે. એટલે લોક અદાલતોની સુલેહ, સંધિ, સમજૂતી ગરીબોના માથે તો નથી થોપાતીને? ગરીબો પાસે સમજૂતી સ્વીકારવા સિવાયનો કોઈ વિકલ્પ જ ન હોય એટલે કેસનો નિવેડો આવે છે, એટલે ન્યાય થયેલો લાગે પણ વાસ્તવમાં તો અન્યાય છે એવું જો બનતું હોય તો તે લોક અદાલતની નિષ્ફળતા છે. લોક અદાલતનો પ્રાણ સમજૂતી હોય તે બરાબર પણ તેનાથી ન્યાયને હાણ ના પહોંચવી જોઈએ. શીઘ્ર ન્યાયને લીધે ન્યાયની ગુણવત્તાને અસર તો નથી થતી ને ? તે બાબત પણ વિચારણીય છે. લોક અદાલતો ગરીબોનું સશક્તિકરણ કરે છે કે ન્યાયને બદલે સમજૂતી માટે મજબૂર કરે છે તે સવાલ પણ લોક અદાલતની મસમોટી મર્યાદા છે.

૧૯૫૩માં સુપ્રીમ કોર્ટના એડવોકેટ શિવદયાલ ચૌરસિયા(જન્મ ૧૯૦૩, અવસાન ૧૯૯૫)એ સેન્ટ્રલ લીગલ એઈડ સોસાયટીની સ્થાપના કરી હતી. સુપ્રીમ કોર્ટના ઘણા જજિસનો તેમને સહયોગ મળ્યો હતો. સાંસદ તરીકેના  તેમના  પ્રયત્નોથી જ લોક અદાલતને વૈધાનિક દરજ્જો મળ્યો હતો. એટલે તેમને લોક અદાલતના જનક ગણવામાં આવે છે. જસ્ટિસ પી.એન. ભગવતી જેમ જાહેર હિતની અરજીના તેમ લોક અદાલતોના પણ પુરસ્કર્તા ગણાય છે. ૧૯૮૨માં ગુજરાતમાં ઉના (જિલ્લા જૂનાગઢ) ખાતે પહેલી લોક અદાલત યોજાઈ હતી. લાંબી દડમજલ પાર કરી ચુકેલી લોક અદાલતો  સમક્ષ આજે ન્યાયની ગુણવત્તા, કાર્યકુશળતા અને પર્ફોરમન્સના સવાલો ઊઠી રહ્યા છે. સમતામૂલક ન્યાયમાં તે કેટલી વૃદ્ધિ કરી શકી છે તે જ માપદંડે તેની સફળતા માપી શકાય.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...609610611612...620630640...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved