Opinion Magazine
Number of visits: 9457306
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાકિસ્તાન એટલે જીવતું કબ્રસ્તાન …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 April 2024

રવીન્દ્ર પારેખ

દુનિયા જાણે છે કે આતંકી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપીને પાકિસ્તાને, ભારત, અમેરિકા અને અન્ય દેશોની લોહિયાળ કનડગત કરી છે, છતાં તેને છાવરવાની કેટલાક દેશોને શરમ નથી જ આવતી. બાકી હતું તે આંતરરાષ્ટ્રીય મીડિયા ‘ધ ગાર્ડિયન’ એવો રિપોર્ટ બહાર પાડી ચૂક્યું છે કે ભારતે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપીને દુ:શ્મનોનો સફાયો કરવાનું શરૂ કર્યું છે. ભારત હવે એર સ્ટ્રાઈક કે સર્જિકલ સ્ટ્રાઈક કરીને બેસી નથી રહેતું, પણ શત્રુઓનો ખાતમો બોલાવી રહ્યું છે. રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે ભારત સરકારે પાકિસ્તાનમાં આતંકીઓની હત્યા કરવાનું ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું છે. ગુપ્તચર તંત્રનો દાવો છે કે 2020થી અત્યાર સુધીમાં 22 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ તો બંને દેશોના ગુપ્તચર અધિકારીઓની મુલાકાતો અને પાકિસ્તાની તપાસકર્તાઓ તરફથી અપાયેલ દસ્તાવેજો ટાંકીને દાવો કરે છે કે ભારતની ગુપ્તચર એજન્સી રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ) સીધી પી.એમ. ઓફિસને રિપોર્ટ કરે છે. ‘ધ ગાર્ડિયન’નો એવો અહેવાલ છે કે પાકિસ્તાનમાં આતંકીઓની હત્યામાં ‘રૉ’ની સંડોવણી હોવાના પુરાવા મળ્યા છે. વાત એટલી જ નથી, ખાલિસ્તાન આંદોલન સાથે સંકળાયેલા શીખ અલગતાવાદીઓને પણ ખતમ કરવાની યોજના ઘડાઈ છે અને આ ઓપરેશન પાકિસ્તાન અને અન્ય પશ્ચિમી દેશોમાં હાથ ધરાયું છે. પાકિસ્તાની તપાસકર્તાઓ તો ત્યાં સુધી કહે છે કે તેમના દેશમાં માર્યા ગયેલા આતંકીઓ પાછળ સંયુક્ત આરબ અમીરાત(યુ.એઈ.)થી સંચાલિત ભારતીય ગુપ્તચર સેલનો હાથ છે. જો કે, ‘ધ ગાર્ડિયન’ના આ અહેવાલને કેન્દ્ર સરકારે એમ કહીને ફગાવી દીધો છે કે આ આરોપો ખોટા છે અને તે ભારત વિરુદ્ધ પ્રચારથી વિશેષ કૈં નથી. વિદેશ મંત્રી એસ. જયશંકરે રોકડું પરખાવ્યું છે કે અન્ય દેશોમાં ટાર્ગેટ કિલિંગ ભારત સરકારની નીતિ નથી. વિદેશમંત્રી ભલે ના પાડે, પણ ભારતીય ગુપ્તચર એજન્સીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે એવો ખુલાસો કર્યો છે કે પુલવામા હુમલા પછી ભારત સરકારે દેશની બહારથી આતંકીઓ કોઈ ગરબડ કરે તે પહેલાં જ તેમને ઊગતા ડામવાનો નિર્ણય કર્યો છે. એ ખરું કે આતંકીઓને ખતમ કરવાને મુદ્દે પાકિસ્તાન ઉપરાંત કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ને અમેરિકન પ્રમુખ બાઈડન પણ ભારત તરફ આંગળી ચીંધી ચૂક્યા છે.

આમ ભારત સાથે સારાસારી રાખનાર દેશો ભારતને ટપારવાનું ચૂકતા નથી. કેજરીવાલની ધરપકડ થાય તો ઘણા દેશોને દુખાવો ઉપડે છે ને ભારતની આંતરિક બાબતમાં દખલ કરવાનું ચૂકતા નથી. અમેરિકા બિન લાદેનના પાકિસ્તાનના ઘરમાં આવીને મારી જાય તો કોઈને વાંધો પડતો નથી, પણ ભારત સ્વરક્ષણમાં આતંકીઓને પાઠ ભણાવે તો બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ની ચામડી તતડી ઊઠે છે ને ભારતે 22 આતંકીઓને ઠાર માર્યાની બૂમરાણ મચાવી મૂકે છે. કેમ જાણે એ આતંકીઓ ન હોય ને કોઈ સાધુસંતો હોય ! પાકિસ્તાનને બાદ કરતાં એવો કયો દેશ છે જેણે આતંકવાદીઓને ઠાર મારવાને બદલે તેની આરતી ઉતારી હોય? જો નથી, તો ભારત આતંકીઓને મારે તેની આટલી કાગારોળ શું કામ? પાકિસ્તાનની ભૂમિ પર જઈને આતંકીઓને મારે એ ભારતની નીતિ નથી એવું વિદેશ મંત્રી સ્પષ્ટ કરી ચૂક્યા હોય તો કોઈ વિવાદ અન્ય દેશોને ન હોવો જોઈએ ને એ પછી પણ કોઈને વાંધો હોય તો તે વાંધો અકબંધ રાખીને આતંકીઓનો સફાયો કરવામાં કૈં ખોટું નથી. પાકિસ્તાન પોતે આતંકી હુમલાઓનું ભોગ બનતું રહે છે, પણ તે આતંકીઓને રોકી શકતું નથી, એટલું જ નહીં, તે આતંકી પ્રવૃત્તિઓને ઉત્તેજન પણ આપતું હોય છે. એવામાં પી.ઓ.કે.ની ભૂમિ પરથી ભારત આતંકીઓનો સફાયો કરે ને એમ કરીને તે પાકિસ્તાનથી ન થઈ શકતું કામ જ કરતું હોય તો તેનો અન્ય દેશોને દુખાવો ન ઉપડવો જોઈએ. આ પણ એટલે કરવું પડે, કારણ સરહદ પારથી આતંકી હુમલાઓ થતા જ રહેતા હોય ને તે વખતે આખું વિશ્વ તમાશો જોતું હોય, તો ભારત પણ તે જોઈ રહે એ શક્ય નથી.

સાચી વાત તો એ છે કે ભારત છાશ પણ ફૂંકીને પીએ છે. આવી રહેલી રામનવમી પર ઉત્તર પ્રદેશને ભડકાવવાનું અને ચૂંટણી બગાડવાનું કાવતરું ઉત્તર પ્રદેશ એ.ટી.એસ.(એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ)એ ચાર એપ્રિલે નિષ્ફળ બનાવ્યું ને બે પાકિસ્તાની સહિત ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા છે. આમાંના બે તો હિજબુલ મુજાહિદ્દીન સંગઠન દ્વારા તાલીમ પામેલા છે. આ બંને પાકિસ્તાની નાગરિક દુબઈથી કાઠમંડુ થઈ ભારતમાં પ્રવેશ્યા હતા. પાકિસ્તાની આઈ.એસ.આઈ. આ ત્રણ આતંકીઓ મારફતે મોટી દુર્ઘટના દ્વારા અશાંતિ ઊભી કરવાની ફિરાકમાં હતું. એ સ્થિતિમાં એ.ટી.એસે. પોતાની ધરતી પર આ આતંકીઓને ઠાર માર્યા હોત તો તેથી આતંકીઓને અન્યાય ન થયો હોત, પણ તેણે તેવું નથી કર્યું, તો ભારત પાકિસ્તાનમાં જઈને આતંકીઓને ઠાર મારવા જેવું કરે તે માની શકાય એમ નથી.

પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર (પી.ઓ.કે.) 1947-‘48ની વાત છે ને ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુના કાર્યકાળથી એપ્રિલ, 2024 સુધી પી.ઓ કે. ભારતનું છે એ રટણ ચાલ્યું આવે છે. નહેરુ, શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મોરારજી દેસાઇ, વાજપેયી, મોદી જેવા ઘણાં વડા પ્રધાનો આવ્યા, પણ પી.ઓ.કે.નો મામલો નથી દેશમાંથી કે નથી યુ.એન.માંથી ઉકેલાયો. કાઁગ્રેસી સરકારો તો માટીપગી નીકળી, પણ ભા.જ.પ.ની સરકારને ય દસ વર્ષ થયાં, તે પી.ઓ.કે. ભારતનું છે એવું બોલે છે, પણ આજ સુધી તસુભાર પી.ઓ.કે. ભારત પાછું લઈ શક્યું નથી. જો આટલું પણ ના થઈ શકતું હોય તો તે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને ઠાર મારે એ ગળે ઉતારવાનું મુશ્કેલ છે. પી.ઓ.કે. મુદ્દે તમામ પક્ષો અને નાગરિકો એકમત છે. અરે, ખુદ પાકિસ્તાન સ્વીકારે છે કે પી.ઓ.કે. પાકિસ્તાનનું નથી. પી.ઓ.કે.ના નેતા આરીફ ચૌધરીએ મીરપુર શહેરની એક પ્રેસ ક્લબમાં તાજેતરમાં જ કહ્યું છે કે પાકિસ્તાનનાં બંધારણમાં પી.ઓ.કે. પાકિસ્તાનનો હિસ્સો નથી. આટલું સ્પષ્ટ હોય તો 75થી વધુ વર્ષથી પી.ઓ.કે. લેતાં ભારતને કોણ રોકે છે તે નથી સમજાતું. જડબાંતોડ જવાબ આપીશું, પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું જેવી વાતો તો ઘણી થાય છે, પણ પી.ઓ.કે. સુધી પહોંચવાનું બનતું નથી તે હકીકત છે.

એ જ હાલત ચીન બાબતે પણ છે. તે ભારતમાં ઘૂસી રહ્યું છે, પણ સરકારનું વલણ ઢીલું છે. ભારત હવે 1962નું ભારત રહ્યું નથી, તેવું ચીનને સંભળાવાય છે, પણ ચીનની સરહદી હિલચાલને રોકી શકાતી નથી. ચીને અરુણાચલના ત્રીસેક વિસ્તારોનાં નામ બદલી કાઢ્યાં તો વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે કોઈ મારાં ઘરનું નામ બદલી કાઢે તેથી કૈં તે ઘર તેનું થઈ જતું નથી. આવી ચતુરાઈનો કોઈ અર્થ નથી. ઘર જો મારું જ હોય તો કોઇની તાકાત શી છે કે તે નામ બદલવાનું સાહસ પણ કરી શકે? આવી રીતે ભારત ચીનને નામચીન કહીને સંબોધે કે બૈજિંગને બનારસ નામ આપે તો ચીન તે ચલાવશે? જો નહીં, તો ભારતે શું કામ ચીનની બાલિશ વાતોને ચલાવી લેવી જોઈએ?

હકીકત એ છે કે આપણે બણગાં ફૂંકવામાંથી જ ઊંચા નથી આવતા. આવાં બોલકાપણાંને કારણે જ કદાચ વિદેશીઓને સલાહ આપવાનું કે ટીકા કરવાનું કારણ મળી જાય છે. પી.ઓ.કે.ના લોકો જો ભારત સાથે રહેવા તૈયાર હોય તો કઈ વાત ભારતને પી.ઓ.કે. પરત લેતા રોકે છે તેનો ખુલાસો થવો જોઈએ. ગયા સપ્ટેમ્બરમાં યુ.એન.માં પાકિસ્તાનને ટપારતાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પંખુડી ગેહલોતે કહ્યું કે પાકિસ્તાન સરહદ પારથી ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરે ને પી.ઓ.કે.ના વિસ્તારોને ખાલી કરે, પણ પાકિસ્તાનને તે સંભળાયું જ ન હોય તેમ તે સ્થિતપ્રજ્ઞ છે. એક બાજુ બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ પાકિસ્તાનમાં ઘૂસીને ભારત આતંકીઓને ઠાર મારે છે એનો અહેવાલ પ્રગટ કરે છે ને એ જ યુ.કે. અને યુ.એસ. ભારતના સખત વિરોધ છતાં, કાશ્મીર મુદ્દે સતત હસ્તક્ષેપ કરે છે. જાન્યુઆરીમાં જ ભારત વિરોધ કરી ચૂક્યું છે, છતાં યુ.કે. અને અમેરિકન સૈન્ય અધિકારી પી.ઓ.કે. પહોંચ્યાના સમાચાર કાલે જ આવ્યા છે. બંને દેશોએ ભારત દ્વારા નિર્ધારિત રેડ લાઇનને વારંવાર ઓળંગી છે. આ સૈન્ય અધિકારીએ ગિલગિટ અને બાલ્ટિસ્તાનની મુલાકાત લીધી. આ વિસ્તાર પર પાકિસ્તાનનો કબજો છે, પણ ભારત તેને પોતાનો વિસ્તાર માને છે. આ સ્થિતિમાં બંને દેશોના સૈન્ય અધિકારીઓની મુલાકાત કાશ્મીર મુદ્દે તનાવ ઊભો કરનારી છે.

આઠેક મહિના પહેલાં પણ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કહી ચૂક્યા છે કે પી.ઓ.કે. ભારતનો અભિન્ન હિસ્સો છે ને એમણે જ એમ પણ કહ્યું છે કે પાકિસ્તાન સાથે હવે જો વાટાઘાટો થશે તો તે પી.ઓ.કે. અંગે જ હશે. પી.ઓ.કે. ભારતનું છે અને તેને રાજ્યસભામાં અને લોકસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગાઈ વગાડીને ગયા ડિસેમ્બરમાં કહી ચૂક્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે તો 2019ના ઓગસ્ટમાં કહ્યું હતું કે પી.ઓ.કે. ભારતનું છે. નવેમ્બર, 2022માં લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહેલું કે સરકાર આદેશ આપે તો પી.ઓ.કે. પાકિસ્તાન પાસેથી છીનવી લઈએ. એપ્રિલ, 2024 ચાલે છે, સરકારનો આદેશ હજી સુધી તો થયો નથી. કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ વી.કે. સિંહે તો સપ્ટેમ્બર, 2023 ની આસપાસ કહ્યું હતું કે રાહ જુઓ, થોડા સમયમાં પી.ઓ.કે. જ આપોઆપ ભારતમાં ભળી જશે. એ વાતને પણ છ મહિના થવાના, પી.ઓ.કે. છે ત્યાં જ છે, તે કૈં ભારતમાં ભળ્યું નથી ને આપોઆપ ભળે એ વાતમાં માલ નથી.

એક વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાન મરવા પડે તો પણ તે ભારતને તાસકમાં પી.ઓ.કે. આપવા આવે એવું સપનું પણ પડે એમ નથી. વર્ષોથી પાકિસ્તાન પી.ઓ.કે. દબાવીને બેઠું છે અને તે લશ્કરી કાર્યવાહી વગર ભારતને મળવાનું નથી, તે ભારતે સમજી લેવાનું રહે. વાતો તો તો ઘણી થઈ, હવે લાતોની જરૂર છે. એ પાકિસ્તાનને જેટલી મોડી વાગશે, એટલું પી.ઓ.કે. ભારતથી દૂર રહેશે. પાકિસ્તાન બધી રીતે ખતમ થઈ ગયું હોવા છતાં ને આમ તો તે જીવતું કબ્રસ્તાન જ છે ને પી.ઓ.કે. પાકિસ્તાનનું નથી જ છતાં, તે ભારતનું નથી જ થતું તે નકરી, વાસ્તવિકતા છે, બલકે, કરુણતા છે ને એનું કયાં જઈને રડવું તે સમજાતું નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 એપ્રિલ 2024

Loading

ભારતનાં બંધારણમાં જે કહેવામાં આવ્યું છે એ જ તેનાં હજારો વરસ પહેલાં વેદોએ કહ્યું છે 

રમેશ ઓઝા|Opinion - Cartoon, Opinion - Opinion|7 April 2024

અથર્વવેદના ૧૨માં મંડલમાં આવેલા ભૂમિસુક્તમાં એક મંત્ર છે : 

जनं बिभ्रती बहुधा विचावसं नानाधर्माणम् पृथिवी यथौकसम् ।

सहस्र धारा द्र्वीणस्यमेदूहाम्, ध्रिवेव धेनुंरनप्रस्फ़ुरन्ती (અથર્વવેદ ૧૪: ૧: ૪૫)

મંત્ર કહે છે કે આ પૃથ્વી વિવિધ ભાષા ભાષીઓને, વિવિધ પ્રકારે જીવન જીવનારાઓને દરેક પ્રકારના મનુષ્યોને એક ઘરના સભ્યો સમાન ધારણ કરે છે. એને લાત નહીં મારનારી સોજી ગાયની જેમ દોહી શકાય છે.

રમેશ ઓઝા

આગળ વધતા પહેલાં આ મંત્ર ફરી વાંચો. અહીં પ્રતિષ્ઠિત વિદ્વાનોને અનુસરીને ભાષા ભાષી એવો શબ્દપ્રયોગ મેં કર્યો છે, પણ મંત્રમાં ભાષા શબ્દ નથી વાચા શબ્દ છે. ભાષા એટલે અભિવ્યક્તિનું માધ્યમ એવી ભાષા જેમ કે ગુજરાતી, મરાઠી સંસ્કૃત વગેરે. વાચાનો મુખ્ય અર્થ  અભિવ્યક્તિ થાય છે. પીડાને વાચા આપવી હોય તો પીડાનું સ્વરૂપ, પીડાનું કારણ અને પીડા કોણ આપે છે એ બધું એમાં આવે. ભાષા એક જ હોવા છતાં ય આસ્તિકની વાચા અલગ હોય અને નાસ્તિકની વાચા અલગ હોય. ભક્તની વાચા અલગ હોય, શંકા કરનારાઓની વાચા અલગ હોય. ટૂંકમાં વેદ કહે છે કે આ ધરતીમાતા અનેક પ્રકારના અભિપ્રાય ધરાવનારાઓને પોતાનાં કુટુંબીજન ગણે છે. કોઈ ભેદભાવ કરતી નથી. અને જો આ ધરતી અનેક ભાષાભાષીઓને પોતાનાં ગણે છે એવો અર્થ લેવામાં આવે તો હિંદુ અસ્મિતાવાદીઓએ સ્વીકારવું પડશે કે વૈદિક યુગમાં સંસ્કૃત સિવાયની બીજી ભાષાઓ કે બોલીઓ બોલાતી હતી. કાં તો અભિપ્રાયનું બાહુલ્ય સ્વીકારો કાં બોલાતી ભાષાઓનું. બન્ને રીતે બાહુલ્ય તો સ્વીકારવું જ પડશે. વૈદિક યુગમાં ભાષાનું બાહુલ્ય સ્વીકારો તો સંસ્કૃત ભાષા આધારિત ભારતનાં સાંસ્કૃતિક ઇતિહાસનું પુનરાવલોકન કરવું પડે. સંસ્કૃત દેવભાષા છે અને માનવીની પહેલી વાણી સંસ્કૃતમાં સ્ફોટ પામી હતી એવો હિંદુઓને મનભાવન ઇતિહાસ પર ફેરનજર કરવી પડે.

અને દેવભાષા? મરાઠી સંત કવિ એકનાથે કહ્યું છે કે संस्कृतवाणी देव केली, प्राकृत तरी चोरापासोनी जाली અને આગળ લખે છે : देवाची नाहीं वाचाभिमान, संस्कृत प्राकृत त्या समान. જો સંસ્કૃત ભાષા દેવોએ રચેલી છે તો શું પ્રાકૃત કે એવી બીજી કોઈ પણ ભાષા ચોરોએ રચી છે? પણ વાત એમ છે કે આ બધો અસ્મિતાઓનો ઘટાટોપ માનવરચિત છે, બાકી દેવોને માટે તો બધી ભાષા સમાન છે. અહીં સંત તુકારામનું પણ એક કથન ટાંકવું જોઈએ. તુકારામે કહ્યું છે : सत्य असत्याशी मन केले ग्वाही, मानियेले नाही बहुमता. સત્ય અસત્યનો વિવેક પોતે વિચારીને કરવાનો હોય, બહુમતીથી દોરવાઈને નહીં. બહુમતી અભિપ્રાયની વિરુદ્ધ જઇને સત્ય અને અસત્યની વચ્ચે વિવેક કરવાની તુકારામ શીખ આપે છે. પણ અસ્મિતાઓનો ઘટાટોપ રચનારાઓ શાસ્ત્રોનો, દેવોનો અને સંખ્યાનો લાભ લે છે. માત્ર લાભ નથી લેતા, તેનાં નામે ડરાવે છે. અસ્મિતાઓનો આ ઘટાટોપ તેઓ એટલા માટે નથી રચતા કે તેઓ તેમાં રાચે છે, તેનાં દ્વારા તેઓ પોતાનું પેટ ભરે છે અથવા સમાજ પર વિવિધ પ્રકારે સરસાઈ કે સત્તા ભોગવે છે. રાચે છે તો એ લોકો જેઓ બેવકૂફ છે. બાબા રામદેવ સામે સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલો કેસ આનું પ્રમાણ છે અને આજકાલ આવાં પ્રમાણો ચારેબાજુ મળે એમ છે. બીજી બાજુ કહેવાતી બહુમતીની (popular narrative કહી શકો) વિરુદ્ધ બોલનારાઓને દેશ અને ધર્મના નામે સતાવવામાં આવે છે. मानियेले नाही बहुमता કહેવા માટે સંત તુકારામની હત્યા કરવામાં આવી હતી. પણ અથર્વવેદના કહેવા મુજબ આ પરમ ઉદાર ધરતીમાતા તુકારામોની હત્યા કરનારાઓને પણ એટલાં જ પોતાનાં ગણે છે જેટલા તુકારામને.

બીજો શબ્દ છે ધર્મ. नानाधर्माणम् અનેક પ્રકારનાં ધર્મો. સંસ્કૃતમાં ધર્મનો અર્થ અંગ્રેજી religion નથી થતો. ખૂબ વ્યાપક અર્થછાયાઓ ધર્મ શબ્દ ધરાવે છે. જીવનરીતિ, જીવનશૈલી, જીવનદૃષ્ટિ, ફરજ, સ્વભાવ વગેરે અનેક અર્થ થાય છે. વેદ આનાં બાહુલ્યને સ્વીકારે છે અને અપનાવે છે. જેને જે યોગ્ય લાગે એ રીતે એ જીવી શકે. જેમ કે કોઈને હવનમાં કોઈ લાભ દેખાય તો એ હવન કરે અને કોઈને એમાં પ્રદૂષણ દેખાય તો ન કરે. બન્નેનાં આચરણ પાછળ કોઈને કોઈ દૃષ્ટિકોણ છે. કોઈને સન્યાસમાં મુક્તિ નજરે પડે અને કોઈને એમાં ભાગેડુપણું નજરે પડે. કોઈ તપનો કે સંયમનો મહિમા કરે અને કોઈને એમાં દેહ સાથે કરવામાં આવતો અત્યાચાર નજરે પડે. આવા તો અનેક દાખલા આપી શકાય. આપણા રોજીંદા જીવનમાં આ બધું આપણે જોઈએ. પણ સમસ્યા એ છે કે કેટલાક લોકો માસ્તર બની બેઠા છે અને બને કે આવા માસ્તરો વેદોના સમયમાં પણ હોવા જોઈએ. માટે તુકારામે કહેવું પડ્યું હતું કે मानियेले नाही बहुमता.

લેખ પૂરો કરતાં પહેલાં અહીં બે વાત તરફ ધ્યાન દોરવી છે. નોબેલ પારિતોષિક વિજેતા અને આપણા યુગના મોટા વિચારક અમર્ત્ય સેને તેમનાં The Argumentative Indian – Writings on Indian Culture, History and Identity નામનાં પુસ્તકમાં લખ્યું છે કે ચર્ચાવિચારણાની પરંપરા ભારતમાં વૈદિક યુગથી જોવા મળે છે. હવે એ તો દેખીતી વાત છે કે જ્યાં સુધી શંકા અને સવાલ ઉપસ્થિત કરવામાં ન આવે ત્યાં સુધી ચર્ચા શક્ય નથી. તેમણે ઋગ્વેદમાં આવતા નાસદીય સૂક્તને આનાં પ્રમાણ તરીકે રજૂ કર્યું છે. નાસદીય સૂક્તમાં કોણે આ બ્રહ્માંડનું સર્જન કર્યું, શેમાંથી કર્યું અને સર્જન થયું એના પહેલાં શું હતું એવા અસ્તિત્વને લગતા પ્રશ્નો ઉપસ્થિતિ કરવામ આવ્યા છે. જો નાસદીય સૂક્તને શંકા ઉપસ્થિત કરનારો પાયાનો પથ્થર માનીએ તો અથર્વવેદનો આ મંત્ર તેનો કળશ ગણાય. ધરતી માતા વિચાર અને આચરણને જોઇને કોઈની વચ્ચે ભેદ નથી કરતી. દરેકને પોતાનાં સંતન સમજે છે અને પાટુ નહીં મારતી સોજી ગાયની જેમ દૂધ આપે છે. આ હા! શું અદ્બુત વિકાસયાત્રા. 

અને બીજી વાત. આધુનિક લોકતાંત્રિક દેશોમાં અંતરાત્માને અનુસરવાનો તેમ જ એ રીતે જીવન જીવવાનો અને પોતાનાં અભિપ્રાયને વ્યક્ત કરવાનો નાગરિકોને અધિકાર આપવામાં આવ્યો છે. એ અધિકારને નાગરિકના મૂળભૂત અધિકાર તરીકે ઓળખાવવામાં આવે છે. ભારતે પણ પોતાનાં બંધારણમાં આવી જોગવાઈ કરી છે. પણ બંધારણમાં જે કહેવામાં આવ્યું છે એ જ તેનાં હજારો વરસ પહેલાં વેદોએ કહ્યું છે. 

હવે તમે જો સાચા હિંદુ હો અને હિંદુ હોવા માટે ગર્વ અનુભવતા હો તો તમારે વિચારવું જોઈએ કે તમારે વેદોને અનુસરવા જોઈએ કે પછી કોઈના ખાસ એજન્ડાને? કોણ શ્રેષ્ઠ? પણ હા, વેદોને અનુસરતી વખતે એ નહીં ભૂલતા કે ખુદ વેદોએ શંકા અને સવાલ કરવાની સલાહ આપી છે અને એ પછી પણ દરેકને સ્વીકારવાનું કહ્યું છે. શંકાનું સ્વાગત અને ઉદારતા અનિવાર્ય. હાડના હિન્દુએ વિચારવું રહ્યું.  

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 07 ઍપ્રિલ 2024

Loading

ભુલાઈ ગયેલા ભુલાભાઈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 April 2024

રાજ ગોસ્વામી

થોડા દિવસ પહેલાં, રાજ્યસભા ટી.વી.ના હોસ્ટ, સૈયદ મહોમ્મદ ઈરફાનના લોકપ્રિય કાર્યક્રમ ‘ગુફ્તેગૂ વિથ ઈરફાન’માં, રાજ્યસભાનાં પૂર્વ સાંસદ અને કમ્યુનિસ્ટ નેતા સુભાષિની અલીની મુલાકાત સાંભળવાનો અવસર મળ્યો હતો. સુભાષિની અલીની બીજી ઓળખાણ એ છે કે તેઓ સુભાષ ચંદ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મીના સૈનિકો, કેપ્ટન પ્રેમ સહેગલ અને કેપ્ટન લક્ષ્મી સહેગલનાં પુત્રી છે. 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત ઔપચારિક રીતે આઝાદ થયું, તેના ચાર મહિના પછી, 29 ડિસેમ્બરના રોજ સુભાષિનીનો જન્મ થયો હતો. તેમની પાસે આઝાદીની અને બોઝની આર્મીની અનેક યાદો છે.

કાર્યક્રમમાં, ઇન્ડિયન નેશનલ આર્મીના ત્રણ સૈનિકો સામે બ્રિટિશરોએ ચલાવેલા રાજદ્રોહના ખટલાની વાત નીકળી હતી. આ બહુ જાણીતો ખટલો છે. તેમાં મુંબઈના પ્રસિદ્ધ ગુજરાતી બેરિસ્ટર ભુલાભાઈ દેસાઈએ, તેમના નબળા સ્વાસ્થ્ય છતાં, ત્રણ મહિના સુધી ત્રણે ભારતીય સૈનિકોનો જબરદસ્ત બચાવ કર્યો હતો. જજે જો કે ત્રણેને આજીવન કારાવાસની સજા ફરમાવી હતી. ભુલાભાઈ બીજા જ વર્ષે, 6 મે 1946ના રોજ, અવસાન પામ્યા.

ઈરફાને સુભાષિની અલીને કહ્યું કે ભારતની આઝાદીની લડાઈમાં, ભુલાભાઈ દેસાઈનું યોગદાન વિસારે પડી ગયું છે, ત્યારે તેમણે ગાંધીજી સાથે ભુલાભાઈના અણબનાવનો ઈશારો કરીને કહ્યું હતું કે ભુલાભાઈ રોજ સાંજે શરાબ પીવાના શોખીન હતા. ગાંધીજીને આ વાત ગમતી નહોતી, પણ એ એટલા મોટા નેતા હતા કે કાઁગ્રેસની બધી મિટિંગો તેમના ઘરે થતી હતી, તેમના ખર્ચે થતી હતી. તેમને મિટિંગમાં સામેલ થવા દેવામાં આવતા નહોતા, તેમ છતાં તેમણે કાઁગ્રેસ કે આઝાદીના અંદોલન પ્રત્યેની તેમની નિષ્ઠાને ઓછી થવા દીધી નહોતી.

વાસ્તવમાં, મતભેદનું કારણ એથી ય મોટું હતું. 1942થી 1945 સુધી ભારત છોડો આંદોલન દરમિયાન ગાંધીજી સહિત કાઁગ્રેસ કાર્યકારી સમિતિની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે દેસાઈ એવા કેટલાક કાઁગ્રેસી નેતાઓમાંના એક હતા જેઓ આઝાદ હતા. એવો આરોપ છે કે રાજકીય કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાની માંગ પર દબાણ કરતી વખતે, દેસાઈએ 1945માં મુસ્લિમ લીગના બીજા સૌથી મહત્ત્વપૂર્ણ નેતા લિયાકત અલી ખાન સાથે ગુપ્ત વાટાઘાટો શરૂ કરી હતી.

વાટાઘાટો પાછળ તેમનો ઈરાદો સ્વતંત્ર ભારતમાં હિંદુઓ અને મુસ્લિમોની સંયુક્ત સરકાર રચવાનો હતો. બદલામાં લિયાકત અલગ પાકિસ્તાનની માંગ જતી કરવા તૈયાર હતા. મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે લીગને બહુમતી હિંદુઓ સાથે સમાન સ્થાન આપીને, દેસાઈએ એક આદર્શ ગઠબંધન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જે તેમના મતે, આઝાદીના માર્ગને ઝડપી બનાવશે અને ભારત છોડો અંદોલનનો અંત લાવશે.

એવું કહેવાય છે કે ભુલાભાઈ ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અથવા અન્ય કોઈ કાઁગ્રેસી નેતાની જાણ વિના આ સોદો કરી રહ્યા હતા અને લિયાકત અલીએ તેમના વડા મોહમ્મદ અલી જિન્નાથી આ વાત છુપાવી હતી.

જ્યારે એક અખબારમાં આ સોદાની વાતો લીક થઇ, ત્યારે કાઁગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેમાં ધમાલ થઇ ગઈ. પછી તો ભુલાભાઈએ ગાંધીજી સમક્ષ બધી વાતો જાહેર કરી હતી, પણ જિન્નાહ અને લીગે આવી સમજૂતીની વાતને નકારી કાઢી હતી અને લિયાકત અલી ખાન પણ નામક્કર ગયા. આવો સોદો થયો છે એવા ભુલાભાઈના દાવાને એક તરફ મુસ્લિમ લીગે હસી કાઢ્યો, તો બીજી તરફ કાઁગ્રેસમાં રોષ વ્યાપી ગયો. પરિણામ એ આવ્યુ કે ભુલાભાઈ પરથી નેતાઓનો વિશ્વાસ ઊઠી ગયો અને તે હાંસિયામાં ધકેલાઈ ગયા.

તેમના ખરાબ સ્વાસ્થ્યને આગળ ધરીને ભારતની બંધારણ સભાની ચૂંટણી લડવા માટે તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. કાઁગ્રેસમાં એવી લાગણી ઘર કરી ગઈ હતી કે કાઁગ્રેસની નેતાગીરી જેલમાં હતી ત્યારે, ભુલાભાઈ તેમની સત્તા અને લોકોપ્રિયતા વધારવા માટે પ્રયાસ કરી રહ્યા હતા.

ભારતના પ્રથમ સોલિસિટર જનરલ અને ભુલાભાઈના મિત્ર સર ચિમનલાલ સેતલવાડનો દાવો છે કે ગાંધીજીને આ વાટાઘાટોની સંપૂર્ણ જાણકારી હતી અને હકીકતમાં તેમનો મૌન ટેકો પણ હતો. ભુલાભાઈ જ્યારે મૃત્યુશૈયા પર હતા, ત્યારે ગાંધીજી તેમને મળવા ગયા હતા અને તે દિવસે તેમણે ‘મૌનવ્રત’ સેવ્યું હતું એટલે એક પણ શબ્દ બોલ્યા વગર પાછા આવ્યા હતા.

વલસાડના એક મામુલી સરકારી વકીલ જીવણજી દેસાઇને ત્યાં, 13 ઓક્ટોબર, 1877ના રોજ, તેમની અશિક્ષિત પત્ની રમાબાઈને એક પુત્રનું ભાગ્ય ફળ્યું ત્યારે, તેમની કલ્પનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેમનો આ પુત્ર મોટો થઈને ભારતની આઝાદી માટે લડાઈ લડશે.

ભુલાભાઈ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા એટલે બહુ લાડમાં ઉછર્યા હતા. તેમના મામાએ આ ભાણિયાને ભણાવવાનું કામ ઉપાડી લીધું હતું. ભુલાભાઈએ વલસાડની અવાબાઈ સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. તે પછી હાઈસ્કૂલમાં ભણવા માટે તેમને મુંબઈ લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ભરડા હાઈસ્કૂલમાંથી 1895માં તેમણે પ્રથમ સ્થાને મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી.

ભુલાભાઈનું અસલી ઘડતર એલ્ફિન્સ્ટનમાં થયું હતું. વલસાડ જેવા અંતરિયાળ વિસ્તારમાંથી આવેલો એક છોકરો અહીં અંગ્રેજી સાહિત્ય અને કવિતાનો પ્રેમી બની ગયો હતો. અંગ્રેજી પ્રત્યેના પ્રેમના કારણે જ તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી અને અમદાવાદની ગુજરાત કોલેજમાં પ્રોફેસરની નોકરી પણ મેળવી હતી, જ્યાં તેમણે અંગ્રેજી અને ઇતિહાસ ભણાવ્યો હતો.

આમ તો એ એક ગુમનામ શિક્ષક બનીને રહી ગયા હોત, પરંતુ સાથે સાથે કાયદાનો પણ અભ્યાસ કરવાના કારણે ભુલાભાઈ તત્કાલીન ભારતની સામાજિક-રાજકીય સમસ્યાઓના પરિચયમાં આવ્યા અને એમાંથી જ તેમને અંગ્રેજોના કુશાસનનો ખ્યાલ આવ્યો હતો.

ભુલાભાઈ નસીબદાર હતા. 1905માં તેમની શિક્ષણની નોકરી છોડીને તેમણે વકીલાત શરૂ કરી, અને બે દાયકામાં તો કલકત્તાથી શરૂ કરીને લાહોર સુધી તે એક લોકપ્રિય વકીલ તરીકે સ્થાપિત થઇ ચુક્યા હતા. એક સમયે તે રોજના 20થી 40 કેસમાં દલીલો કરતા હતા.

ભુલાભાઈ પર લખેલા એક પુસ્તકમાં સર સેતલવાડ લખે છે કે, “તેમની સ્મૃતિ જબરદસ્ત હતી. તેઓ કાગળ વગર કોર્ટમાં જટિલ બાબતોની ચર્ચા કરતા હતા. આ એક એવો ગુણ હતો જેના કારણે બારમાં તેમનું સ્થાન બહુ ઊંચું થયું હતું.”

બારડોલી સત્યાગ્રહ તરીકે ઓળખાતા ગુજરાતના ખેડૂતોના અંદોલનમાં ભુલાભાઈ બીજા એક ગુજરાતી, સરદાર પટેલના સંપર્કમાં આવ્યા હતા. મહાત્મા ઈચ્છતા હતા કે ખેડૂતોનો કેસ કાબેલ વકીલ જ લડે અને એમાં તેમની પસંદગી ભુલાભાઈ હતા. ભુલાભાઈ ખેડૂતોના પક્ષની સજ્જડ રજૂઆત કરી અને સરકારે મહેસૂલમાં સુધારો કર્યો, જપ્ત કરેલી જમીન પરત કરી અને ખેડૂતોને જેલમાંથી મુક્ત કર્યા. એ દિવસથી તેઓ સમર્પિત ભારતીયોમાં એક દંતકથા બની ગયા.

પછી તો કાઁગ્રેસમાં અને આઝાદીની લડતમાં તેમનું સ્થાન સતત ઊંચું થતું ગયું. કમનસીબે, 1945 સુધીમાં તેમનાં વળતાં પાણી પણ થયાં. આજે, ભુલાભાઈ દેસાઈની યાદગીરી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ કે મહાલક્ષ્મી મંદિર તરફ જતા એક રોડના નામ સુધી સીમિત રહી ગઈ છે. ઘણા લોકો તો તેને હજુ ય વોર્ડન રોડ તરીકે જ બોલાવે છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 07 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...604605606607...610620630...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved