Opinion Magazine
Number of visits: 9457194
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત-પાકિસ્તાન વિભાજન અને નારીસંવેદના : ‘મૂળ સોતાં ઊખડેલાં’ સંદર્ભે

તેજલ પ્રજાપતિ|Opinion - Opinion|10 April 2024

પ્રસ્તાવના :

તેજલ પ્રજાપતિ

આજના સંદર્ભે કમળાબહેન પટેલ અને તેમના પુસ્તકની નારીસંવેદના સંદર્ભેની ચર્ચા પ્રસ્તુત જણાય છે, કારણ કે ગયા વર્ષે જ મણિપુરમાં થયેલી હિંસા અને એમાં મહિલાઓ પર થયેલા અત્યાચારના કિસ્સા મને યાદ આવે છે. રશિયા-યુક્રેન કે ઇઝરાયલ-પેલેસ્તાઇન સંઘર્ષ વચ્ચે પણ મહિલાઓ પર જાતીય અત્યાચારના અહેવાલ સતત આવી રહ્યા છે.

1947 હોય, એના પહેલાંની વાત હોય કે એ પછીનાં વર્ષોની વાત હોય; નારી પર સામૂહિક ધોરણે અત્યાચારો થતા જ રહ્યાં છે અને સમયાંતરે નારીસંવેદના અંગે આ પ્રકારના વિચારવિમર્શ કરવાની જરૂરિયાત અનુભવાઈ છે. મહિલાઓ પર અત્યાચારની વાત નવી નથી, યુગોનો ઇતિહાસ જોઈએ તો સમજાય કે સમયાંતરે સ્વતંત્રતા માટે, મુક્તિ માટે, સમાનતા માટે, સમાનવેતન માટે, કામ કરવાના અધિકાર માટે મહિલાઓએ લડવું પડ્યું છે. વિશ્વયુદ્ધ વખતે પુરુષો જ્યારે યુદ્ધના મોરચે લડવા જતા રહ્યા, ત્યારે સ્ત્રીઓએ તેમની પાછળ ખેતરોમાં ખેતી કરી, મિલોમાં કામ કર્યાં, ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ ભજવ્યો હતો, એ આપણે જાણીએ જ છે. જેવી યુદ્ધની સ્થિતિ શાંત થઈ, જે પુરુષો જીવતા પાછા આવ્યા, એમણે સ્ત્રીઓને પાછા ઘરમાં જવાની અને ઘરનું કામ કરવાની ફરજ પાડી. યુરોપમાં ઠેકઠેકાણે સ્ત્રીઓએ આની સામે બળવો કર્યો અને કામ કરવાનો અધિકાર માગ્યો. આ ઇતિહાસ આપણે યાદ રાખવા જેવો છે. આજે આપણે એ સ્ત્રીઓની વેદના વિશે વાત કરવાની છે. જેને ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે વ્યક્તિ નહિ પણ વસ્તુની માફક ઉપાડી જવાઈ અને તેમની પર બળાત્કારો થયા, અને એ વિશે વાત કરવા માટે આપણે કમળાબહેન પટેલ અને તેમના પુસ્તક ‘મૂળ સોતાં ઊખડેલાં’નો સહારો લેવાનો છે.

કમળાબહેન પટેલનો ટૂંકો પરિચય :

કમળાબહેન પટેલ

આમ તો લેખિકા કમળાબહેન પટેલ વિશે ઝાઝું લખાયું નથી. એકાદ પુસ્તક અને કેટલાક લેખોમાંથી તેમના જીવન અંગેની કેટલીક માહિતી મળી આવે છે. ‘મૂળ સોતાં ઊખડેલાં’ની પ્રસ્તાવનામાં ચી.ના. પટેલ કમળાબહેન પટેલનો જીવન પરિચય આ પ્રમાણે આપે છે :

“ચરોતરનાં જાણીતા છ ગામનાં કુલીન ગણાતા પાટીદાર કુંટુંબોમાંના એકમાં સોજિત્રાના એમનો 1912માં નડિયાદમાં જન્મ થયો હતો. પુત્રીઓ વિશે હિનભાવના વાતાવરણમાં કમળાબહેનનાં માતા-પિતાને ચાર પુત્રીઓ જન્મી, અને પુત્ર એકેય નહિ. ચારમાં કમળાબહેન સૌથી મોટાં. તેમની બાર-તેર વર્ષની ઉંમરે માતા મૃત્યુ પામ્યાં અને ત્રણ નાની બહેનોની દેખરેખ રાખવાની જવાબદારી કમળાબહેન પર આવી. પિતા શંકરભાઇને ગાંધીજીની સેવા ભાવનાનું આકર્ષણ થયું હતું અને બીજુ લગ્ન ન કરતાં તેઓ પુત્રીઓ સાથે સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા હતા. ગાંધીજીના પ્રેમાળ હૃદય છતાં સત્યાગ્રહ આશ્રમનું વાતાવરણ બાળકોને ભારે લાગે એવું હતું. એ વાતાવરણમાં નાની બહેનોને સાચવતાં કમળાબહેને કેટલી અને કેવી મૂંઝવણો અનુભવી હશે, તે આપણે કલ્પી શકીએ છીએ. અઢારેક વર્ષની ઉંમરે તેમનું લગ્ન થયું પણ લગ્ન પછી એક જ વર્ષમાં તેઓ બે ઓરમાન બાળક પુત્રીઓને ઉછેરવાની જવાબદારી સાથે વિધવા થયાં. કમળાબહેન આ ભાર ઊંચકી શક્યાં એટલું જ નહિ પણ તક મળતાં પોતાની શક્તિઓને સેવા કાર્યમાં આપી શક્યાં. આ કમળાબહેન સામાન્ય સ્ત્રી-પુરુષ જેને સંસારસુખ માને છે, તેવા કોઇ સુખની આશા વિના જીવનનો સદ્દુપયોગ કરતાં જીવ્યાં અને ઉત્તરાવસ્થામાં પણ મુક્ત મને હસી શકે એટલી સ્વસ્થતાં જાળવી શક્યાં.”

આ સિવાય કેટલાંક પ્રસંગો કમળાબહેને પોતે લખેલાં સાબરમતી આશ્રમનાં સંભારણામાંથી મળે છે. તેમણે જીવનનો મહત્ત્વનો સમય ગાંધીજીના આશ્રમમાં વિતાવ્યો હતો. કમળાબહેન પટેલના પિતાને ગાંધીજીએ સરદાર પટેલની સહાય કરવા માટે બારડોલી મોકલ્યા હતા. તેમનાં માતા એ સમયે ગુજરી ગયાં હતાં. તેથી માતા-પિતાની ગેરહાજરીમાં કમળાબહેન સાબરમતી આશ્રમમાં રહેવા ગયાં હતાં. એ વખતે તેઓ આશ્રમ જીવનથી પ્રભાવી થયા હતા અને તેમણે કેટલાક પ્રસંગો ‘સાબરમતી આશ્રમનાં મારા સંભારણાં’ના નામે લખ્યા છે. જેના આધારે અંદાજ આવે છે કે, તેઓ 1925થી 1931 સુધી સાબરમતી આશ્રમમાં રહ્યાં હશે.

રફીક સુલતાના તેમના પુસ્તક ‘રાષ્ટ્રીય આંદોલનમાં મહિલાઓનું યોગદાન’માં લખે છે કે, કમળાબહેને અસહકારના આંદોલન વખતે ગાંધીજીની હાંકલ પર શાળાનો અભ્યાસ છોડી દીધો હતો. તેમના પિતાજી પણ સ્વતંત્રતાની લડતમાં જોડાયેલા હતાં અને એ દૃષ્ટિએ તેમનો ગાંધીજી અને અન્ય નેતાઓની વિચારછાયામાં ઉછેર થયો હતો.

કમળાબહેન વર્ષ 1947થી 50 દરમિયાન ભારત-પાકિસ્તાન વિભાજન વખતે ભોગ બનેલી સ્ત્રીઓની પુન:પ્રાપ્તિના કાર્યમાં મૃદુલાબહેન સારાભાઇ સાથે જોડાયેલાં હતાં. આ સાથે તેમણે વર્ષ 1950થી 1968 સુધી ખાદી ગ્રામઉદ્યોગ કમિશનમાં સેવા આપી હતી.

વિભાજનમાં નારીની પરિસ્થિતિ અને કમળાબહેન પટેલની કામગીરી :

1947માં ભારત દેશ અંગ્રેજીરાજમાંથી આઝાદ થયો પણ એ સાથે ભારત અને પાકિસ્તાનના ભાગલા પણ થયા અને આ દરમિયાન પંજાબ, કાશ્મીર, બંગાળ અને એ ઉપરાંત અન્ય પ્રદેશોમાં પણ કોમી રમખાણો ફાટી નીકળ્યાં. આ તણાવભરી પરિસ્થિતિમાં અનેક મહિલાઓના બળાત્કાર થયા અને કેટલી ય મહિલાઓને ઉપાડી જવાઈ, આ અપહ્યતાઓને પાછી લાવવાનું અને તેમના પરિવાર સુધી પહોંચાડવાનું કામ કમળાબહેન પટેલના ભાગે આવ્યું. સાથે જ તેમણે નિરાશ્રિતો માટે રાહતછાવણીઓ પણ ઊભી કરી. બોર્ડર એન્ડ બાઉન્ડ્રીઝ Women in India’s partition પુસ્તકમાં લખ્યું છે એ પ્રમાણે હિંદુ અને શીખ પુરુષોએ 50,000 મુસ્લિમ સ્ત્રીઓનાં અપહરણ કર્યાં હતાં. બીજી બાજુ 33,000 હિંદુ અને શીખ સ્ત્રીઓનાં અપહરણ કરાયાં હતાં. એ જ રીતે ઉર્વશી બુટાલિયા તેમના પુસ્તક ‘ધ અધર સાઇડ ઓફ સાયન્સ’માં લખે છે સરહદની બંને બાજુએથી 75 હજાર મહિલાઓનાં અપહરણ થયાં હતાં. પુસ્તકો અને સરકારી દસ્તાવેજોમાંથી જે આંકડા મળે છે એ તો અંદાજિત આંકડો છે હકીકતમાં તો આ સંખ્યા વધારે મોટી હતી.

ઉર્વશી બુટાલિયા તેમના અભ્યાસલેખ ‘કૉમ્યુનિટી, સ્ટેટ ઍન્ડ જેન્ડર : સમ રિફ્લેક્શન ઓન ધ પાર્ટિશન ઑફ ઇન્ડિયા’માં એક પત્રિકાને ટાંકે છે, જે પત્રિકા ‘વુમન અગેન્સ્ટ ફન્ડામેન્ટલિઝ્મ’ નામના ઍક્ટિવિસ્ટ જૂથ દ્વારા પ્રકાશિત કરાઈ હતી. તેમાં કેટલીક પંક્તિઓ લખેલી છે, જે આ પ્રમાણે છે :

I am a women  

I want to raise my voice

because communalism affects me

in every communal riot

my sisters are raped.

My children are killed …

my world is destroyed

and then

I am left to pick up the pieces…

it matters little if I am a Muslim, Hindu, or Sikh

and yet I cannot help my sister. 

Violence is almost always initiated by men, but its greatest impact is felt by women. In violent conflict, it is women who are raped, women who are widowed … in the name of national integrity and unity.”

અમાનુષી યાતનાઓનો ભોગ બનેલી સ્ત્રીઓને બચાવવા માટે જે બહેનોએ સેવા આપી હતી તેમાં કમળાબહેનની સાથે મૃદુલાબહેન સારાભાઈ, સુચેતા કૃપાલાણી, રામેશ્વરી નહેરુ, બેગમ અનિસ કિદવઈ સિવાય બીજાં ઘણાં લોકો પણ હતાં. શરીફા વીજળીવાળા આ સંદર્ભે એક લેખમાં નોંધે છે કે, ”આ પુસ્તકનાં લેખિકા કમળાબહેન પટેલના ભાગે સામા પૂરે તરવાનું આવ્યું. 35 વર્ષની ઉંમરે, નાજુક તબિયતે એમને ભડકે બળતા લાહોરમાં કામ કરવાનું થયું.”

આશરે બે વર્ષ અને બે-ત્રણ મહિનાના સમયમાં કમળાબહેને અપહ્યતા સ્ત્રીઓને પ્રાપ્ત કરીને તેમના પરિવારો પાસે મોકલવાની કામગીરી કરી હતી. વધુ સારી રીતે સમજવા કમળાહેનની કામગીરીનું વર્ણન તેમના જ શબ્દોમાં જોઈએ.

“1. લાહોરની ગંગારામ ઇસ્પિતાલમાં છાવણી ખોલવા માટેની જે જગ્યા પાકિસ્તાન સરકાર તરફથી મળી હતી ત્યાં પુનઃપ્રાપ્ત થયેલી બહેનોને ટૂંક સમયમાં રહેવાની આવશ્યક સગવડો ઊભી કરવાની હતી, આ સાથે જ ભારતમાંથી આવતી કાર્યકર્તા બહેનોને રહેવા માટેની સગવડ કરવાની હતી.

2. ભારતમાંથી કાર્યકર્તા બહેનો આવે એમને પાકિસ્તાનના કયા જિલ્લામાં મોકલવી તેનો નિર્ણય કરી કાર્યકર્તા બહેનોને સાથે લઈ જે-તે જિલ્લામાં જવું અને જિલ્લાના કલેક્ટરને મળીને જિલ્લા છાવણી ટ્રાન્ઝિટ માટે સ્થાન મેળવવું. કાર્યકર્તા બહેનોને ત્યાં ગોઠવી રાશન ઇત્યાદિની ગોઠવણ કરવી, લાગતાં વળગતા અધિકારીઓની ઓળખાણ કરાવવી, કાર્યકર્તા બહેનોને તેમના કામની વિગત સમજાવવી અને કામ કરતાં જે મુશ્કેલીઓ ઊભી થાય તેનો શક્ય ઉકેલ શોધી આપવો.

3. ભારત અને પાકિસ્તાન સરકારો વચ્ચે થયેલા કરાર મુજબ પાકિસ્તાનમાંથી પુનઃપ્રાપ્ત થયેલી હિંદુ સ્ત્રીઓને ભારતીય પ્રદેશના પંજાબના જલંધર ખાતે શરૂ કરવામાં આવેલ ગાંધી વનિતા આશ્રમમાં મોકલવાની ગોઠવણ કરવી. ગાંધી વનિતા આશ્રમ પુનઃપ્રાપ્ત થયેલી બહેનો માટે શરૂ કરાયો હતો.

4. ભારત અને પાકિસ્તાનની સરકારો વચ્ચે સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિ અંગે થયેલા કરારોનો પાકિસ્તાન સત્તાવાળાઓ અમલ કરે તે માટે પાકિસ્તાનના લાગતા-વળગતા ખાતાના અધિકારીઓના સંપર્કમાં રહેવું અને કામની સરળતા અર્થે તેમની સાથે જરૂરી વાતચીત અને મંત્રણા કરવી.

5. લાહોર ખાતેના ભારતના ડેપ્યુટી હાઈકમિશનની કચેરીના અધિકારીઓ પાસે સલાહ-સૂચન મેળવવા.”

આ કામગીરીના અંત સુધીમાં કમળાબહેન પટેલ જાતે જ નોંધે છે એ પ્રમાણે પાકિસ્તાનમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલાં હિંદુ અને શીખ મહિલાઓ અને બાળકોની સંખ્યા નવ હજાર હતી, જ્યારે ભારતમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલાં મુસ્લિમ મહિલાઓ અને બાળકોની સંખ્યા 20,728 હતી.

મહિલાઓનાં સ્તન અને જનનાંગો કાપી નાંખવાનાં, જનનાંગો પર ધાર્મિંક ચિહ્વોનાં છૂંદણાં કરવાના કિસ્સા કમળાબહેન પટેલ, બેગમ અનિસ કિદવઈ, અને ઉર્વશી બુટાલિયાએ નોંધ્યાં છે.

એ વખતે બ્રિટિશ મહિલાઓ પર પણ ઓછું જોખમ નહોતું, ઘણી જગ્યાએ એવા કિસ્સા મળે છે કે એ સમયે બ્રિટિશ મહિલાઓને બચાવવા માટે પોટેશિયમ પરમેન્ગેનેટથી આખી નવડાવવામાં આવતી, જેથી તેમનો વાન ગોરો ન દેખાય અને એ મહિલાઓને લાજ પણ કઢાવવામાં આવતી, જેથી કોઈ ઓળખી ન શકે. કેટલીક યુવતીઓનાં અપહરણ પણ કરવામાં આવ્યાં હતાં. સ્ત્રીઓ પર માત્ર રમખાણો કરનારા જ અત્યાચાર કરતા હતા, એવું નથી. મહિલાઓ પોલીસ અને સૈનિકોના અત્યાચારોનો ભોગ બની હતી, રાહત કૅમ્પોમાં પણ તેમની સાથે દુર્વ્યવહાર થતા હતા. આના કિસ્સા કમળાબહેનના આ પુસ્તકમાં જ આપણને મળી રહે છે. ભાગલા વખતે અત્યાચારોનો ભોગ બનેલી સ્ત્રીઓની પીડાને જો વર્ણવવા બેસીએ તો કદાચ કરુણ મહાકાવ્ય રચાય અને એ સ્વરૂપ પણ ઊણું ઊતરે.

મૂળ સોતાં ઊખડેલાંમાં અપહ્યતાની પીડા

દરેક અપહ્યતાની પોતાની કહાણી છે અને એની પીડા સમજવા માટે એ કહાણીમાંથી પસાર થવું જ રહ્યું. પાકિસ્તાનના સ્કોલર ફારુખ ખાને અલ્લાહ રાખી નામનાં મહિલાનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. એ વખતે તેઓ પાકિસ્તાનના ઉરાહમાં રહેતાં હતાં. તેઓ પોતાની વ્યથાની કથા વર્ણવતાં કહે છે કે કે, “મારો પતિ અને જેઠ પહેલાં જ પાકિસ્તાન જવા નીકળી ગયા હતા. અમારી પર હુમલો થયો ત્યારે અમને બચાવવા અમારા ઘરમાં કોઈ પુરુષ નહોતા. અમારું અપહરણ કરાયું. અમને સ્કૂલ જેવી જગ્યાએ બેથી ત્રણ દિવસ ગોંધી રાખવામાં આવ્યાં હતાં. અમારી છેડતી થતી, અમારી સાથે બહુ જ ખરાબ વ્યવહાર થતો એ પછી મને એક ઘરમાં લઈ જવામાં આવી અને ત્યાં રહેવાની મને ફરજ પાડવામાં આવી, મારી સાથે બહુ ખરાબ વર્તન થતું હતું. હું 6 વર્ષ આવી રીતે રહી. આ વચ્ચે મને બે બાળકો પણ થયાં. મારા પરિવારનું શું થયું હશે તેની મને ખબર પણ નહોતી. અમારા ગામમાં સેના આવતી અને અપહ્યતા મહિલાઓ વિશે પૂછતી, પણ ગામના લોકો ખોટું બોલતા અને કહેતા કે અહીં એવી કોઈ મહિલા નથી.” એક દિવસે આ અપહ્યતાને પણ મદદ મળી. તેઓ આગળ વાત કરે છે, “હું તેમની ગાડીમાં 10 મહિનાના દીકરા સાથે બેસી ગઈ. હું મારા બીજા દીકરાને લેવા ગઈ હોત તો કદાચ પાછી આવી શકી ન હોત. મારો દીકરો 2 વર્ષનો હતો. મારે એને છોડીને આવવું પડ્યું. એ બધું હું હજું પણ ભૂલી શકતી નથી. પાછળ છોડી દીધેલો મારો દીકરો મને બહુ યાદ આવે છે.”

આવી જ અનેક અસહાય અપહ્યતાને પાછી લાવી, તેમને પરિવાર સાથે મળાવાનું કામ કમળાબહેન, મૃદુલાબહેન, બેગમ કિદવઈ જેવી મહિલાઓએ કર્યું.

બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓની વાત

મૃદુલાબહેન સારાભાઈ

કેટલીક મહિલાઓ એવી હતી કે જેમના અપહરણ થયા હોય અને જ્યારે તેમને પુનઃપ્રાપ્ત કરવાની તજવીજ હાથ ધરાય, ત્યારે તે મહિલા પોતે જ આવવાની ના પાડે અને અપહરણકર્તા સાથે રહેવાનું પસંદ કરે. આવા કેટલાક કિસ્સા કમળાબહેન પટેલે નોંધ્યા જ છે, પણ અન્ય ભાષાના લેખકોનાં લખાણમાં પણ આવા કિસ્સાનો ઉલ્લેખ મળે છે. આવો જ એક કિસ્સો મૃદુલાબહેન સારાભાઈની જીવનકથામાં લખેલો છે. મૃદુલાબહેન સારાભાઈ જ્યારે કુર્જમાં સ્થિત કેમ્પમાં પહોંચ્યા ત્યારે કેટલીક મહિલાઓ ભારત પરત જવા અંગે પોતાનો વિરોધ વ્યક્ત કરતી હતી, જ્યારે કેટલીક મહિલાઓમાં ભારત પરત જવા અંગે ખચકાટ જોવા મળતો હતો. એ વખતે તેઓ સમજી નહોતાં શકતાં કે આ મહિલાઓ ભારત જવા તૈયાર કેમ નહોતી. તેઓ પોતે જ જવા નહોતી માગતી કે તેમની પર કોઈ દબાણ હતું, એ વિશે પણ શરૂઆતમાં મૃદુલાબહેન સ્પષ્ટ નહોતાં. એક મહિલાએ આવીને રડતાં-રડતાં મૃદુલાબહેનને કહ્યું હતું કે, ‘અમને ખબર છે કે અમારા પરિવારજનો માર્યા ગયા છે. અમારી સામે જ તેમની હત્યા થઈ હતી. અમારો ધર્મ ત્રણ વર્ષ પહેલાં જ બદલી કાઢવામાં આવ્યો હતો અને તમે અમને હવે પરત જવા કહો છો.’ મૃદુલાબહેન લખે છે કે, ‘મને એવું લાગ્યું કે મારી ઉપર ખટલો ચાલી રહ્યો છે. તેમના પ્રશ્નોના જવાબ આપવાની મારી ક્ષમતા, તેમને સમજાવાની મારી ક્ષમતા પર જાણે પ્રશ્નો ઊભા કરી દેવાયા હોય એવું મને લાગ્યું … એવામાં જ એક યુવતી ઊભી થઈ અને એણે દલીલ કરવી શરૂ કરી. તેણે કહ્યું, ‘તમે માનો છો કે અપહરણ એ અયોગ્ય છે અને એટલે અમને બચાવવા આવ્યાં છો, પણ હવે મોડું થઈ ગયું છે. એક વ્યકિત એક જ વખત લગ્ન કરે છે, પછી એ લગ્ન એના મનથી થયાં હોય કે જોરજબરદસ્તીથી. અમારાં લગ્ન થઈ ગયાં છે તો હવે તમે શું કરશો, અમને ફરીથી પરણાવશો? શું તે અયોગ્ય નહિ હોય. અમારા અપહરણ થયા ત્યારે અમારા પરિવારજનો ક્યા હતા, હવે તેઓ કહે છે કે તેઓ અમારી ઉતાવળે રાહ જોવે છે. માફ કરજો, પણ તમે આપણા સમાજને નથી સમજતા, અમારા માટે જીવન નર્ક બની જશે.’

મૃદુલાબહેન સારાભાઈ જવાહરલાલ નેહરુ જોડે

મૃદુલા સારાભાઈ સાથેના આ યુવતીઓના સંવાદ દર્શાવે છે કે, તેમના પાછા ન જવા પાછળનું મુખ્ય કારણ સામાજિક હતું. તેઓ પાછા જવા નહોતાં માગતાં કેમ કે તેમને ડર હતો કે તેમનો પરિવાર તેમને નહિ સ્વીકારે. કેટલીક મહિલાઓ એવી હતી કે જેઓ ભાગલા વખતે કુવારી હતી, હવે તેમના અપહરણ બાદ તેમને બાળકો હતાં અને તેઓ તેને પાછળ છોડવા તૈયાર નહોતી અને જો સાથે રાખે તો પોતાના પરિવારને શું કહે તેની પણ શરમ અનુભવતી હતી.

વૉરબેબીની વાત

વિભાજન વખતે મહિલાઓ પર થયેલા અત્યાચારોના પરિણામે અનેક ‘વૉર બેબીઝ’ જન્મ્યા હતાં. વૉર બેબીઝ એટલે કે યુદ્ધનું સંતાન, આ પરિભાષા ઘણી જૂની છે. માનવસભ્યતાના ઇતિહાસમાં યુદ્ધની પરિભાષા જેટલી જૂની-પુરાણી છે, એટલી જ જૂની પરિભાષા વૉર બેબીની છે. યુદ્ધમાં જીત બાદ જીતેલો પક્ષ હારેલા પક્ષની સ્ત્રીઓ પર શારીરિક અત્યાચારો કરે અને અત્યાચાર કરનારા પુરુષો ત્યાંથી ચાલ્યા જાય. આ અત્યાચારોના કારણે કેટલી ય સ્ત્રીઓને ગર્ભ રહી જતો અને બાળકોનાં જન્મ થતાં હતાં. આ બાળકો એટલે વૉર બેબીઝ.

કમળાબહેન પટેલ આ સંજ્ઞાની વિભાવના આપતા લખે છે કે, “દેશ-દેશ વચ્ચેની લડાઈઓ દરમિયાન હજારોની સંખ્યામાં લગ્નનાં બંધન વિનાના બાળકો પેદા થાય છે. આ બાળકોને સૌ યુદ્ધની પેદાશ (વોર બેબી) તરીકે જાણે છે અને તેમના ઉછેર માટે જે-તે દેશની સરકારો જવાબદાર હોય છે. મોટાભાગે આવાં બાળકો તેમની માતા પાસે હોય છે. તેમના જન્મ માટે જવાબદાર હોય તેવા તેમના પિતા વિશે સામાન્ય રીતે કોઈને ખબર હોતી નથી.”

કમળાબહેનની રાહતછાવણીઓમાં પણ કેટલીક મહિલાઓ આવાં વૉર બૅબી સાથે આવી હતી. પ્રશ્ન એવો પણ ઊભો થતો કે પુનઃપ્રાપ્તિ બાદ આવાં વોર બેબીનું શું કરવું. કમળાબહેન પટેલનાં લખાણમાં પણ આ અંગેની કબૂલાત મળે છે, તેઓ લખે છે “અપહ્રત બનેલી સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિ માટે ગોઠવણીનો અમલ 1947નાં નવેમ્બર-ડિસેમ્બરમાં શરૂ થયો. શરૂઆતમાં આ કાર્યની ગતિ ગોકળગાય જેવી ધીમી હતી. આ સમય દરમિયાન જન્મેલા કે જન્મનાર બાળકનું શું કરવું તે સવાલ સૌને મૂંઝવતો હતો. આ મૂંઝવણના ઉકેલ રૂપે એવું નક્કી કરાયું હતું કે, અપહ્યતા માતાઓની પુનઃપ્રાપ્તિનાં પ્રસંગે સ્ત્રીઓએ તેમનાં બાળકોને તેમના જનક પિતાની પાસે મૂકીને બાળકને પોતાની સાથે લાવે કે પાછળ મૂકી આવે તેનું પાકિસ્તાનના સત્તાવાળાઓને મન કંઈ મહત્ત્વ ન હતું. જો કે ભારત માટે આ જટિલ પ્રશ્ન હતો. મુસ્લિમ પિતાથી હિન્દુ સ્ત્રીને થયેલા બાળકનો સ્વીકાર કુંટુંબમાં થાય તે લગભગ અશક્ય હતું. સ્ત્રીઓનાં સંબંધીઓ બાળકોની સાથે સ્ત્રીઓનો સ્વીકાર ન કરે તો આવી મોટી સંખ્યાની સ્ત્રીઓનો પુનર્વસવાટ કેમ કરવો એ એક મોટો પ્રશ્ન ભારતની સરકાર પાસે ઊભો થયો.”

કમળાબહેન નોંધે છે એ પ્રમાણે આ મામલે થયેલી એક બેઠકમાં અધિકારીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આવા બાળકોને યુદ્ધની પેદાશ ગણીને તેમના પ્રશ્નોનો ઉકેલ કરવો. જોકે કમળાબહેન પટેલ આવી વાત સ્વીકારવાનાં નહોતાં. તેઓ લખે છે કે,” ચર્ચા દરમિયાન જરા ઊંચા સાદે મેં કહ્યું કે વોરબેબીનાં જન્મ માટે જવાબદાર તેમના પિતાઓ તેમના વતન ઊપડી જતા હોય છે અને બાળકો તેમની જનેતાની પાસે જ ઊછરતા હોય છે. આવાં બાળકોને તેમની માતાઓ પાસેથી કોઈ જૂટવી જતું નથી.”

આમ છતાં આ મુદ્દો આવી એકાદ દલીલ કે એકાદ બેઠકથી ઉકેલાય એવો નહોતો અને અહીં વ્યવહારુ નિર્ણયની સામે લાગણની વાત હતી. બે-ત્રણ બેઠકો સુધી આ અંગે ચર્ચા ચાલી હતી. છેવટે એવું નક્કી થયું કે બાળકોને સાથે લાવવા કે પાછા પાકિસ્તાનમાં મૂકીને આવવું તે માતાની મરજી ઉપર છોડવું જોઇએ. પુનઃપ્રાપ્તિ બાદ લવાયેલી સ્ત્રીઓ પૈકી અનેક એવી હતી કે જે નવજન્મેલાં બાળકો લઈને આવી હોય. આવાં બાળકોના ઉછેર માટે યોગ્ય બંદોબસ્ત કરવાની ગોઠવણ કરવામાં આવતી સાથે જ છાવણીમાં કમળાબહેન અને અન્ય કાર્યકર્તા બહેનો આવી સ્ત્રીઓને સમજાવવા પ્રયત્ન કરતાં કે તેઓ બાળકને તેના પિતા પાસે જ છોડી દે એ હિતાવહ છે. આમ છતાં અનેક માતાઓના મનમાં આ વાત ન ગોઠવાતી અને તેમને બાળકની સાથે જ ભારત મોકલવામાં આવતી.

કમળાબહેન નોંધે છે કે, કેટકેટલી ય કુંવારી બહેનો આવા દમનનો ભોગ બની હતી અને કુંવારી હોવા છતાં માતા બની હતી, આવી સ્ત્રીઓ પણ પોતાનાં બાળકોને પાછળ છોડવા તૈયાર ન હતી. આવી કુંવારી માતાઓ માટે સ્થિતિ વધારે કપરી બની જતી હતી. કમળાબહેન લખે છે કે,” ભારતમાં જલંધરની છાવણીમાં પહોંચતાં જ કોઈને કોઈ મળી આવતું ત્યારે પોતે કુંવારી છે અને આમ છતાં સાથે બાળક છે, એથી એના મનમાં ઝાંખપ લાગવા માંડે. કુંવારી માતાને તેમનો પોતાનો બાપ કે ભાઈ મળવા આવે ત્યારે તેની સામે બાળક લઈને જવાની હિંમત ન કરે. એટલું જ નહિ પણ છાવણીના કાર્યકર્તાને પોતાને બાળક છે, તેવી વાત ન કરવાની વિનંતી કરે. બિચારી કુંવારી માનું મન તેના પહેલા બાળકને અલગ કરવા માને નહીં અને પોતાને બાળક છે તેવું સંબંધીઓને કહી પણ ન શકે. રડીરડીને આંખો સુજાડી દે અને છાવણીમાં રહે ત્યાં સુધી બાળકને જરા ય અડગું ન કરે. પોતાના બાળકની બરાબર સંભાળ રાખવાની તે કાર્યકર્તાઓને કાકલૂદી કરે અને બાળક તેને ફરી જોવા મળશે કે કેમ, બાળકને ક્યાં રાખવામાં આવશે, કોણ ઉછેરશે, તેના ભણતરની વ્યવસ્થા થશે? તે મોટું થશે ત્યારે તેને તેના મા-બાપની માહિતી આપવામાં આવશે કે કેમ એવા માતાઓના અનેક પ્રશ્નોનાં ઉત્તર અમારી પાસે ન હતા.

જે માતા પોતાનાં બાળકોને પાછળ છાવણીમાં છોડીને જતી તે બાળકોની જિંદગી કેવી થતી હશે? એવાં બાળકો માટે શી વ્યવસ્થા કરાતી હતી એનો જવાબ પણ કમળાબહેન આપે છે. આવાં બાળકો માટે અમૃતસરમાં વ્યવસ્થા કરાઈ હતી. આ બાળકોને અમૃતસરમાં રાખવામાં આવતાં હતાં. જ્યાં તેમનું ધ્યાન રાખવા માટે ગૃહમાતા અને બે-ત્રણ બાળકદીઠ એક આયાની જોગવાઈ કરાઈ હતી. સાથે જ માતાપિતા વિનાના આ બાળકો માટે પારણાં, કપડાં, દૂધ અને બેબીફૂડની પણ વ્યવસ્થા કરાતી હતી. બાળકોની તમામ વ્યવસ્થા માટે મૃદુલાબહેન સારાભાઈ જાતે કાળજી રાખતાં હતાં. કમળાબહેન લખે છે કે મૃદુલાબહેન જ્યારે-જ્યારે અમૃતસર આવતાં ત્યારે-ત્યારે બાળગૃહની મુલાકાત લેતાં અને જો કોઈ ખામી તેમના ધ્યાને આવે તો તાત્કાલિક તેને દૂર કરાવતા. કમળાબહેન નોંધે છે કે, “આ પ્રકારની બધી સગવડ હતી તેમ છતાં તંદુરસ્ત બાળકો ધીમે ધીમે મૂરઝાવા લાગતાં હતાં, ટોનિક અને દવાઓ અને વિશેષ પ્રકારના ખોરાકની ગોઠવણ કરવા છતાં ગયેલી તંદુરસ્તી પાછી આવતી નહોતી. ત્યારે માની વ્હાલભરી હૂંફ બાળકની તંદૂરસ્તીમાં કેવો ભાગ ભજવે છે તે મને સમજાયું.”

આટઆટલી સગવડો છતાં જો આ વૉરબેબીઝની સ્થિતિની કલ્પના કરીએ તો સમજાય કે એ વર્ષો બાદનું પણ જીવન કેવું મુશ્કેલીભર્યું રહ્યું હશે. માતાપિતા જીવતાં હોવા છતાં અનાથ તરીકે રહેવું, એ બાળકોનાં મનમાં સ્વઓળખના પ્રશ્નો કેવા ઊભા થયા હશે, શું કદી આપણે એ દૃષ્ટિએ વિભાજનના ઇતિહાસને મૂલવ્યો છે ખરો? આ સાથે જ કેટલું પીડાભર્યુ રહ્યું હશે બાળક છોડીને આવેલી માતાનું જીવન, એનો તો અંદાજ પણ લગાવી શકાતો નથી.

આવી જ એક અત્યંત પીડાદાયક ઘટના વિશે મારે વાત કરવી છે. ભાગલા વખતે ફાટી નીકળેલાં રમખાણો વચ્ચે કેટકેટલી ય મહિલાઓએ અત્યાચારથી બચવા, પુરુષોની ક્રૂરતાથી બચવા માટે આત્મહત્યા કરવી પડી હોય એવા કિસ્સા પણ સાહિત્યમાં અને ઇતિહાસનાં પૃષ્ઠોમાં લખાયેલાં છે. ગામમાં બચી ગયેલી બધી સ્ત્રીઓ એકસાથે ગામના કૂવામાં કૂદીને પોતાનો જીવ આપી દે, એટલે કઈ હદની પરિસ્થિતિ હશે. આવો કિસ્સો ભીષ્મ સાહનીની ‘તમસ’માં પણ છે. કમળાબહેને પણ આવો કિસ્સો લખ્યો છે, તેઓ એ અરસામાં ઘણી બધી છાવણીઓમાં ગોઠવણ કરવા જતાં હતાં. જેમાં પંજાબને અડીને આવેલા મિયાવલી જિલ્લાનો આ કિસ્સો છે. કમળાબહેન નોંધે છે કે, “છાવણી માટે ગોઠવણ કરવા હું ગઈ ત્યારે મને એક કૂવો દેખાડવામાં આવ્યો હતો, જે શિયળની રક્ષા કરવા તેમાં કૂદી પડેલી સ્ત્રીઓના શબથી ભરાઈ ગયો હતો. આ કૂવામાંથી આવતી દુર્ગંધના કારણે આજુબાજુના લોકો પોતાનાં ઘરબાર છોડી ચાલ્યાં ગયાં હતાં. આ કૂવાનાં પાણીનો ઉપયોગ ઘણાં લાંબા સમય સુધી કરવામાં આવતો ન હતો.”

કમળાબહેનને એક મુસ્લિમ અધિકારી આ કૂવાવાળી જગ્યાએ લઈ જાય છે. કમળાબહેન લખે છે કે, “અધિકારીએ ગાડી ઊભી રખાવી એક કૂવો દેખાડી કહ્યું, “આ લત્તાની સંખ્યાબંધ હિંદુ સ્ત્રીઓ પોતાના શિયળની રક્ષા કરવા આ ‘ગોઝારા કૂવા’માં કૂદી પડી હતી. આખો કૂવો આવી સ્ત્રીઓની લાશોથી ભરાઈ ગયો હતો. મુંબઈ જેવા દૂરના સ્થાનેથી અપહરણ કરાયેલી સ્ત્રીઓને પાછી મેળવવાના કામ માટે તમે ઠેઠ અહીં સુધી આવીને કેટકેટલાં જોખમો વહોરો છો, જ્યારે અમે પોતે જ અમારી બહેન-દીકરીનું રક્ષણ કરી શક્યાં નથી. કદાપિ સાફ ન થઈ શકે તેવી મેશ અમે અમારા મોં પર ચોપડી છે. ઇતિહાસમાં અમે કેવા ભૂંડા દેખાઈશું? વાત કરતા અધિકારીના અવાજમાં ભારે દુઃખ વર્તાતુ હતું અને આંખો ભીની થતી હતી. પોલીસના ગણવેશ નીચે દબાયેલા એક સંવેદનશીલ હૃદયની મને ઝાંખી થઈ.”

કમળાબહેનને લાગ્યું કે આ અધિકારી ઉત્તર પ્રદેશ કે બિહારથી આવેલા નિર્વાસિત હશે, એટલે તેમને હિંદુઓ પ્રત્યે આટલી સહાનુભૂતિ હશે. વાતચીતમાં સમજાયું કે તેઓ પંજાબના જ હતા. વિભાજનથી અંગત રીતે તેમને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ જે ગામમાં તેઓ ઊછર્યા હતા તે ગામના મોટાભાગના હિંદુ સમવયસ્કો તેમના બાળપણના મિત્રો હતા. જેમાંના ઘણાંને તેમણે સરહદપારની હિંદુ છાવણીઓમાં જીવના જોખમે પહોંચાડેલા. આ અધિકારીએ તેમના હિંદુ મિત્રોની કિંમતી સામગ્રી પાછી આપવા સાચવી રાખી હતી. તેમણે કહ્યું: “લગભગ બધા જ મિત્રો ચાલી ગયા પછી મારા પોતાના જ લોકોની સાથે રહેવા છતાં મને એકલવાયું લાગે છે.”

કુરુક્ષેત્રની કૉલેજના ઍસોસિયટ પ્રોફેસર ડૉ. કુસુમલતા મિયાવલી જેવો જ કિસ્સો લખે છે, રાવલપિંડીના થોહા ખાલસામાં 90 મહિલાઓએ કૂવામાં કૂદીને જીવ આપ્યો હતો અને આ સમાચાર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા હતા. આની પાછળ પણ ડૉ. કુસુમલતાના મતે પિતૃસત્તાક સમાજનાં મૂલ્યો જવાબદાર હતાં. ભાગલા વખતે મહિલાઓ રમખાણોનો ભોગ બની. જે રમખાણોમાં પુરુષો માત્ર માલમિલકત અને જીવ ગુમાવતા હતા. એ રમખાણોમાં મહિલાઓ જીવ, માલમિલકતની સાથે-સાથે સમાજની નજરમાં ગરિમા અને ઇજ્જત પણ ગુમાવતી હતી. મહિલાઓ પર એ રીતે અત્યાચારો થયા, જાણે એ સામેના ધર્મની વ્યક્તિની જાગીર હોય, તેને લૂંટી રહ્યા હોય અથવા તો તે બદલો લેવાનું સાધન હોય. ડૉ. કુસુમલતા સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે “એ વખતે મહિલાઓ તેમના સમુદાયમાં સંસ્કૃતિની આડમાં બંધાયેલી હતી અને એ મૂલ્યો પિતૃસત્તાક વ્યવસ્થાનાં હતાં.”

કેટલીક મહિલાઓએ આ પિતૃસત્તાક મૂલ્યોનાં કારણે પોતાનો જીવ આપ્યો, તો કેટલીક મહિલાઓને પુરુષોએ પોતાનો જીવ આપી દેવા ફરજ પાડી હતી. થોહાની ઘટનાનાં પ્રત્યક્ષદર્શી સરદાર પ્રીતપાલસિંહે વર્ષો પછી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “મહિલાઓ પોતાનાં બાળકોને હાથમાં લઈને કૂવામાં કૂદી રહી હતી, તેમની ચીસો અમને સંભળાતી હતી. અડધા કલાકમાં કૂવો મૃતદેહોથી ભરાઈ ગયો. મને હજુ પણ યાદ છે કે ભનસાસિંહે રડતાં-રડતાં પોતાની પત્નીને મારી નાખી હતી. થોડા જ કલાકની અંદર 25 મહિલાઓને મરતી મેં મારી નજરે જોઈ.”

કમળાબહેનની અનુભવકથા કેટલી બધી જગ્યાએ કંપાવી દે છે, આંખો ભીની કરી દે છે, ક્યાંક-ક્યાંક હેબતાવી દે છે. માણસે આચરેલી પાશવી લીલાઓ સ્તબ્ધ કરી દે છે તો સ્ત્રીઓએ ભોગવેલી યાતનાઓ વ્યથિત કરી દે છે. માણસ આવું કઈ રીતે કરી શકે? એવો પ્રશ્ન વારંવાર થાય. છેલ્લે મારે એ જ કહેવું છે કે આવી અનુભવકથા, આવા સેમિનાર, આવા પ્રશ્નો પરની ચર્ચા જરૂરી છે, કેમ કે સમાજમાં જ્યારે-જ્યારે ઊચાટનું વાતાવરણ ઊભું થાય, રમખાણો થાય, યુદ્ધોસમી પરિસ્થિતિ સર્જાય ત્યારે-ત્યારે સૌથી પહેલા સ્ત્રીઓને ભોગવવાનું આવે છે. આપણે નારીની વેદના કે સંવેદનાની પરવા કરી જ નથી, નારીઓએ પોતે પણ કરી નથી. આપણે સૌએ મિયાવલીના પેલા મુસ્લિમ અધિકારી જેટલી સંવેદના કેળવવાની જરૂર છે, કે જેનું કાળજું હિંદુ સ્ત્રીઓનાં મોત જોઈને પણ કંપી ઊઠ્યું હતું. એમના અંતરમાં છેક સુધી એ સ્ત્રીઓને ન બચાવી શકવાનો વસવસો ક્યાંક પડેલો હતો. આપણે આપણા સંવેદનોને જીવતા રાખીએ, એ વાત આપણે હંમેશાં યાદ રાખવી પડશે.

e.mail : tejal91prajapati@gmail.com
[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ હેઠળ, 03 ફેબ્રુઆરી 2024ના રોજ, તેજલબહેન પ્રજાપતિની રજૂઆત] 
સૌજન્ય : http://glauk.org/programmes/kalabahen-patel-mool-sota-ukhdela-feb-24/

Loading

ચહેરા વિનાનો

સુરેશ જાની|Opinion - Opinion|10 April 2024

કાલે એક ફેશનેબલ સ્ટોરમાં આ બે જણ મળ્યા! આવા તો એ સ્ટોરમાં આવા ઘણા ઠેકઠેકાણે ઊભેલા હતા. કપડાંને નિખાર આપવાનું એમને સોંપાયેલું કામ એ બધા દિવસ રાત બહુ નિષ્ઠાથી નિભાવે છે! –  ‘mannequin’

લેક્સિકોન પર એનો અનુવાદ – ‘કપડાં પહેરીને તેનું પ્રદર્શન કરવા રાખેલો માણસ, દુકાનમાં રખાતું કપડાં પહેરાવેલું બાવલું.’

આ બે બાવલાં ઘરમાં વપરાતા હેન્ગરના મોંઘાદાટ અવતાર. એમનું કામ માત્ર કપડાં લટકાવવાનું નહીં, પણ કપડાંના છેવટના વપરાશકારને પ્રદર્શિત કરવાનું – એક વ્યાપારી આયોજન આમ તો છે. પણ અજાણતાં જ છેવટના એ વપરાશકારની એક આબેહૂબ પ્રતિકૃતિ કેમ લાગી?

એમની પાછળની દિવાલ પર જેમના માટે એ આ કામ કરે છે – એમની એક તસવીર પણ લટકી રહી છે. પણ એ તો બે જ પરિમાણ વાળી – ખાલી તસ્વીર જ. એને કોઈ ત્રિમરિમાણીય અસ્તિત્વ જ નથી! ચહેરા વિનાના એ બે જણને જોઈ, એ ખોફનાક ખવીસ યાદ આવી ગયો. એ જણની  એક જૂની કલ્પના મોજૂદ છે –

અંધારઘેર્યા પ્રદેશનો આંધળો રાજા

તે અંધકારથી ભરપૂર પ્રદેશ છે. ત્યાં બધું અંધારામાં જ થાય છે. ત્યાં જીવનનો લાલચોળ પ્રવાહ સાવ અંધારામાં, સતત વહ્યા કરે છે. ત્યાં જીવનનો ધબકાર અવિરત થયા કરે છે : કોઈ જ અજવાળા વગર. ત્યાં પૂરવઠો ઠલવાય છે, વપરાય છે અને કચરાનો નિકાલ પણ થાય છે; ત્યાં જાતજાતના પવન ફૂંકાય છે; ત્યાં વિકાસ અને વિનાશ થાય છે; વિચારો અને ચિંતન થાય છે; યોજનાઓ ઘડાય છે, એમનું અમલીકરણ થાય છે; માન્યતાઓ, પૂર્વગ્રહો, ચિંતાઓ, વ્યથાઓ, ઉલ્લાસો, ઉત્સવો પણ થાય છે. ત્યાં સંગીતની સૂરાવલીઓ અને નિરર્થક ઘોંઘાટ પણ થાય છે. ત્યાં નવસર્જન પણ થાય છે. પણ સઘળું નકર્યા અંધકારમાં. માત્ર બે જ ગોખલામાંથી પ્રકાશનાં નાનકડાં કિરણ પ્રવેશે છે; પણ એનાથી નાનકડી ઉત્તેજનાઓના સંકેતો જ અંદરની કાજળકાળી કોટડીમાં પ્રવેશી શકે છે.

એ પ્રદેશની અંદરની વ્યવસ્થામાં સહેજ પણ ફેરફાર થાય; અવ્યવસ્થા સર્જાય તો એનું સમગ્ર હોવાપણું ખળભળી ઊઠે છે. નાનકડી અવ્યવસ્થા પણ તેને ડગમગાવી દે એટલું સંવેદનશીલ એનું માળખું છે. અને જેવી આવી કોઈ નાનકડી આપત્તિ આવી પડે કે તરત જ, એની અંદર સતત જાગૃત રહેતી સેના એ અડચણ પર તૂટી પડે છે; એને તહસનહસ કરી નાંખવા કેસરિયાં કરી, જંગમાં ઝૂકાવી દે છે.

પણ આશ્ચર્યની વાત એ છે કે, એનો નિયંત્રક સમ્પૂર્ણ અંધકારથી ભરેલી કાજળકોટડીમાં નિવાસ કરતો હોવા છતાં, મેધાવી છે; પ્રજ્ઞાચક્ષુ છે. એ સાત સમંદર પાર પહોંચી શકે છે; એને કોઈ અવયવ ન હોવા છતાં, એના હાથ બહુ લાંબા છે!

કયો છે એ અવનવો પ્રદેશ? શું નામ છે એનું? એ ક્યાં આવેલો છે? કયા અક્ષાંશ અને રેખાંશ પર? આપણે એને બહુ જ સારી રીતે જાણીએ છીએ. તમે, હું, તેઓ – આખી દુનિયાનું દરેક જણ તેને બહુ જ સારી રીતે જાણે છે! આપણા દરેકનો એ પ્રદેશ પોતીકો છે. બહુ જ વહાલો છે. આપણી બહુ નજીક છે. સહેજ પણ દૂર નથી. એના માટે જ આપણે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને છતાં એની અંદર સહેજ ડોકિયું પણ કરી શકતા નથી. આ તે શું આશ્ચર્ય? આ તે કેવી વિડંબના? લો! ત્યારે એનું નામ ઠેકાણું આપી જ દઉં. એ છે – આપણું શરીર!

પણ તમે કબૂલ કરશો કે, આપણે આપણા દેહ વિશે કશું જ જાણતા નથી. જે કાંઈ આપણને ખબર છે; એ તો કોઈકે શિખવાડેલું છે. એની અંદરની બધી પ્રવૃત્તિઓ વિશે આપણે પૂર્ણ રીતે અણજાણ હોઈએ છીએ. જે કાંઈ ખબર આપણને પોતાને પડે છે; તે તો સંવેદનાઓથી જ ખબર પડે છે. અને જેને એ ખબર પડે છે; તે મન તો સૌથી વધારે જડબેસલાક, અંધારપેટીમાં કેદ છે. એ ડગલું પણ ચસકી શકતું નથી. (અને છતાં ચસકી જાય ખરું! મોટે ભાગે ચસકેલું જ હોય છે!) અને એ મન જ આપણી બધી આપત્તિઓનું મૂળ છે. એ પોતાને બહુ જ જ્ઞાની માને છે. આખા જગતના કેન્દ્રમાં હોય તેમ, અભિમાનમાં રાચે છે. આખી દુનિયાને ગોળ ફરતી રાખવાના ગુમાનમાં ચકચૂર છે.

અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા! એનો દેશ અંધાર્યો; એની પ્રવૃત્તિઓ અંધારી; એની હિલચાલ અંધારી; એના મતલબો અંધાર્યા. એનાં કરતૂત અંધાર્યા. જ્ઞાન ને પ્રકાશની બડાઈઓ હાંકવામાં માહેર; પણ સતત અંધકારમાં ભટકતો, મદમાં ચકચૂર, આંધળો અને સૌથી વધારે જોખમકારક, ખોફનાક ખવીસ.

અને આ અવલોકનકારનું માનસ ખળભળી ઊઠ્યું. આ જ આપણી મૂળ જાત, માણસ. એ મરી ગયો છે. ખાલી બાવલાં જ રહી ગયાં.

The Sapien is DEAD!

હજારો વર્ષની યાત્રા અને ‘કહેવાતા વિકાસ’ પછી એ મરી ગયો છે. હવે એનું કશું ખાસ  અસ્તિત્વ નથી જ. એ આ બાવલાંની જેમ નિર્જીવ નથી; પણ ખાસ ફરક પણ નથી જ! એ યંત્રવત હાલે છે, ચાલે છે, કહેવાતું જીવન જીવે છે. પણ એનો મ્હાંયલો મરી પરવાર્યો છે. ઓલ્યા બાવલાંના પહેરણ પહેરી એ પોતાની જાતનું પ્રદશન કરતો રહે છે – નગ્નતાને ઢાંકવાનો અસફળ પ્રયત્ન સતત કરતો રહે છે. પણ માનવતાના પાયાનાં પૂર્જાઓને ઊકાળી, પીગાળી, બીબામાં ઢાળી નાંખેલું એક બાવલું જ એ બની ગયો છે. સાવ લાગણીશૂન્ય, કેવળ સ્વલક્ષી અને માત્ર પોતાની જ દુનિયામાં જીવતો આજનો માણસ.

હર ક્ષણે સતત મરતો રહેતો ‘Sapien’

એને હજુ ઘણી વધારે પ્રગતિ, વિકાસ કરવો છે. મહામાનવ બનવાના એના ઓરતા છે – કદાચ વિજ્ઞાનના સહારે અમર બનવાની અભિલાષા એને છે. પણ એની ભવિષ્યનું રૂપ / દેખાવ કદાચ આવાં  હશે –

એ અમર હશે. એ માંદો પડે તો એને હોસ્પિટલમાં દાખલ નહીં કરવો પડે – મરી જશે તો એની સ્મશાનયાત્રા નહીં નીકળે. એને ફેક્ટરીમાં લઈ જશે. મોટર, બેટરી, કોમ્પ્યુટર જેવાં રમકડાં વાપરી એ ફરીથી જીવતો બની જશે. કદાચ નવો સોફ્ટવેર આપી એનો એકદમ આધુનિક નવો અવતાર હાલતો ચાલતો થઈ જશે!

આપણે સૌ ચહેરા વિનાના?

કેમ રડવું આવી ગયું ?

કારણ કે, હજુ એ સેપિયનના થોડાક કોશ જીવે છે? !

e.mail : surpad2017@gmail.com

Loading

आज की चुनौती : कल का दायित्व 

कुमार प्रशांत|Opinion - Opinion|10 April 2024

कुमार प्रशांत

घटनाएं इस तेजी से घट रह हैं मानो किसी ने उन्हें चर्खी पर चढ़ा दिया है; और यह खेल हम सबने बचपन में खेला ही है कि सतरंगी चर्खी को जब हम  तेजी से घुमाते हैं तो सारे रंग एकरूप हो जाते हैं और दिखाई देता है सिर्फ सफेद रंग का नाचता गोलाकार ! हमें आज तेजी से बदलती घटनाएं भी ऐसी ही दिखाई दे रही हैं. इस तीखी व तेज चक्करघिन्नी में सारे रंग एकरूप हो गए हैं – सिर्फ एक फर्क के साथ कि अब हमारे सामने जो चर्खी घूम रही है वह सफेद नहीं, काली है. यह बता रही है कि देश की तमाम राजनीतिक-सामाजिक-वैधानिक-पेशेवर ताकतों ने मिल कर इस देश को, इसकी व्यवस्था को और इसके संविधान को किस कदर छलने का जाल बुन रखा है.

हमारे सामने दो तरह के लोग खड़े हैं : एक वे कि सत्ता जिनका आखिरी सत्य है. वे सब प्रधानमंत्री की रहबरी में सत्ता की अपनी भूख शांत करने के लिए सारे धतकर्म करते जा रहे हैं. यह चिंता का विषय तो है लेकिन किसी दूसरे धरातल पर. मेरी पहली व सबसे बड़ी चिंता यह है कि राजनीतिक सत्ता जिनका अंतिम लक्ष्य नहीं है, वे क्या कर रहे हैं; क्या कह रहे हैं ? क्या खोज रहे हैं वे और क्या पा रहे हैं वे? इनमें अधिकांश वे कायर लोग हैं जो जिंदगी भर सुविधा व संपन्नता के रास्ते तलाशते रहते हैं और किसी हद तक उसे पा भी लेते हैं. पा लेने के बाद वे ताउम्र सावधान रहते हैं कि कहीं से कुछ ऐसा न हो कि यह छिन जाए. इनमें न बौद्धिक ईमानदारी है, न रत्ती भर साहस ! ये सब खुद को बुद्धिजीवी कहते हैं – शुद्ध शाब्दिक अर्थ में ! इनकी सारी चातुरी, सारा ज्ञान, सारी व्यवहार कुशलता आदि का कुल निचोड़ यह है कि जीने के सुविधाजनक रास्ते तलाशने में बुद्धि का इस्तेमाल कैसे किया जाए. कभी किसी से गांधी से पूछा था : आपको सबसे अधिक उद्विग्नता किस बात की होती है ? उन्होंने जो कहा, उसका मतलब था: मैं इस ‘बुद्धिजीवी वर्ग’ की बढ़ती जमात से सबसे अधिक उद्विग्न हूं !

नोटबंदी जैसा मूढ़ फैसला और फिर ‘डैमेज कंट्रोल’ के लिए बार-बार बोला जाने वाला झूठ; जीएसटी की घोषणा के लिए संसद में आधी रात को आयोजित प्रधानमंत्री का खोखला आयोजन व उस अपरिपक्व योजना से हो रहे नुकसान को छिपाने की हास्यास्पद कोशिशें; प्रधानमंत्री का लगातार झूठ-अर्धसत्य-विज्ञान व इतिहास का उपहास करने वाली उक्तियां, भारतीय समाज को खंड-खंड करने वाली जहरीली काईयां वाकवृत्ति, संविधान व न्यायपालिका की हिकारत भरी उपेक्षा, लोकतांत्रिक परंपराओं की धज्जियां उड़ाना, विपक्ष के लिए समाज में घृणा फैलाना, लोकतांत्रिक समाज को पुलिसिया राज में बदलना, नौकरशाही को चापलूसों की जमात में बदलना, फौज को राजनीतिक कुचालों में घसीट कर जोकरों की जमात भर बना देना, ऊपर से नीचे तक भ्रष्टाचार का नया तानाबाना तैयार करना जैसे कितने ही थपेड़े देश ने झेले हैं, झेल रहा है. लेकिन इन तथाकथित बुद्धिजीवियों में से एक की भी मुखर व अडिग मुखालफत सामने आई हो तो मालूम नहीं है. इनमें से अधिकांश ढोलबाजों की जमात में नाचते मिलते हैं.

कांग्रेस का चुनाव घोषणापत्र जारी हुआ. उससे हमारी लाख असहमति हो सकती है लेकिन प्रधानमंत्री का यह कहना कि उन्हें यह मुस्लिम लीग का घोषणापत्र लगता है, क्या राजनीतिक पतन की पराकाष्ठा नहीं है ? उनका बयान बताता है कि उन्हें न तो इतिहास की धेले भर की जानकारी है, न वे उस दौर की राजनीति की कोई समझ रखते हैं. लेकिन मुझे गहरी वेदना तब हुई जब मैंने देखा कि दूसरे दिन सारे अखबारों ने प्रधानमंत्री के इस मूढ़ व जहरीले बयान को ज्यों-का-त्यों परोस दिया ! मीडिया की स्वतंत्र आत्मा होती तो वह लोकतंत्र के पक्ष में खड़ी होती. वह ऐसे बयान या तो प्रसारित नहीं करती या फिर इसे खारिज करते हुए प्रसारित करती. लेकिन ‘गोदी मीडिया’ हर समय लोकतंत्र की लाश पर ही खड़ी हो सकती है.  जो गोदी में हैं वे गुलाम ही रहेंगे.

आजादी की अनोखी, लंबी लड़ाई के बाद मिले लोकतंत्र की इतनी कम कीमत लगाते हैं हम ? लोकतंत्र के बिखर जाने के कारण हमारे पड़ोसियों का हाल देखने के बाद भी यदि हम इसकी तरफ से इतने उदासीन हैं तो हमें किसी भी गुलामी से परहेज कैसे होगा ? चौतरफा विकास के तथ्य व सत्यहीन आंकड़ों का जो घटाटोप रचा गया है वह यदि सच हो तो भी हमें यह कहना चाहिए कि नागरिक स्वातंत्र्य, मीडिया की आजादी, व्यक्तित्वहीन न्यायपालिका, अन्यायपूर्ण श्रम-कानूनों की कीमत पर हमें कोई भी, कैसा भी विकास नहीं चाहिए. पिंजड़ा सोने का हो तो भी खुली हवा से उसका सौदा नहीं हो सकता है, यह बात कितनी भी पुरानी हो, अंतरात्मा पर स्वर्णाच्छरों में दर्ज रहनी चाहिए. लेकिन प्रेस-मीडिया के लोगों को अपनी कलम के बारे में उतना भी सम्मान नहीं है जितना किसी भिखारी को अपने भीख के कटोरे के बारे में होता है. कुर्सी को अंतिम सत्य मानने वाले राजनीति के धंधेबाजों का रोज-रोज अपनी पार्टी छोड़ बीजेपी में जाने का क्रम मुझे शर्मसार करता है लेकिन मीडिया का रोज-रोज ईमान बदलना अकुलाहट से भर देता है. आजाद भारत के कोई 75 सालों में जिस जमात ने 6 इंच की कलम उठाना व संभालना नहीं सीखा, क्या उसे कभी लोकतंत्र का चौथा खंभा माना जा सकता है ? देश में मीडिया जैसी कोई संकल्पना आज बची ही नहीं है. धंधा है जो धंधे की तरह चलता है. इस रोने का कोई औचित्य नहीं है कि हम पर मालिकों का दवाब है और नौकरी छोड़ने की हमारी स्थिति नहीं है. आप बताए, क्या कभी 10 पत्रकारों ने भी मिल कर यह बयान निकाला है कि हम दवाब में काम करने को तैयार नहीं हैं और ऐसे दवाब में काम करने से अच्छा होगा कि हम सब त्यागपत्र दे दें. ऐसी कोई नैतिक आवाज कहीं से उठे तो !

धंधेबाजों का पूरा कुनबा चुनावी बौंड के घोटाले को सार्वजनिक होने से रोकने में किस तरह लगा था, यह सारे देश ने देखा. सरकारी तंत्र इसमें क्यों लगा था, यह बात तो समझी जा सकती है लेकिन सत्ता के इशारे पर नाचते देश-दुनिया के सबसे बड़े बैंक स्टेट बैंक की भूमिका को किस तरह समझेंगे आप ? उसका तो धेले भर का स्वार्थ नहीं था कि यह जानकारी देश के सामने न आए. लेकिन उसने अपनी पूरी साख दांव पर लगा दी. हर अदालती डंडे के सामने उसकी हालत गली के उस कुत्ते-सी हो रही थी जो दुम दबा कर कायं-कायं कर रहा हो. उसने कभी कोई नैतिक भूमिका लेने की कोशिश ही नहीं की. अब स्टेट बैंक एक खोखला साइनबोर्ड भर रह गया जिसे किसी भी गैरतमंद सरकार को बंद कर देना चाहिए. नई संहिता के साथ उसकी नई संरचना लाजिमी है.

हमने यह भी देखा कि वकालत का धंधा करने वाले वे सारे नामी-गरामी लोग, जिन्होंने अपनी ऐसी छवि गढ़वाई है कि वे हैं तो संविधान है, न्याय है, कैसे-कैसे तर्कों के साथ सामने आ रहे थे ! वे सब सर्वोच्च अदालत को समझा व धमका रहे थे कि चुनावी बौंड की कोई भी जानकारी सार्वजनिक हो गई तो न्यायपालिका सदा-सर्वदा के लिए कलंकित हो जाएगी तथा देश तो गड्ढे में गया ही समझिए! इन सबके पीछे करोड़ों की वह फीस बोल रही थी जो इनकी छवि का आधार है. इनकी कोई नैतिक रीढ़ बनी व बची नहीं है.

यह असली खतरा है. सरकारें आएंगी, जाएंगी. जब भी, जो भी सरकार आएगी उसे भी अपने ऐसे ही रीढ़विहीन लोगों की जरूरत होगी. ऐसे ही बुद्धिजीवी, पत्रकार, मीडिया संस्थान उसे भी तो चाहिए होंगे ! इसलिए लोकतंत्र के पैरोकारों की जमात खड़ी करना प्राथमिक शर्त है. हमें आज का दायित्व पूरा करना है और कल का दायित्व निभाने की ताकत संयोजित करनी है. दोनों काम साथ-साथ करने हैं. 

(10.04.2024)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...601602603604...610620630...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved