Opinion Magazine
Number of visits: 9665101
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવેના પ્રિન્સિપાલને પ્રિન્સિપલ હોય જ તે અનિવાર્ય નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 August 2024

રવીન્દ્ર પારેખ

કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ટ્રેઈની ડૉક્ટર પર રેપ અને મર્ડરની ઘટનાએ આખા દેશના તબીબી આલમમાં ખળભળાટ મચાવી દીધો છે ને ઠેર ઠેર હડતાળ અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે, તે એ હદે કે સુપ્રીમ કોર્ટે કાલે ટ્રેઈની ડોક્ટરની બળાત્કાર-હત્યા કેસનું પોતે સંજ્ઞાન લીધું છે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની બેન્ચ 20 ઓગસ્ટે સવારે સાડા દસે આ કેસની સુનાવણી કરશે. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ ડોકટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સમિતિ રચવાની જાહેરાત કરી છે. આઇ.એમ.એ. – ઇંડિયન મેડિકલ એસોસિએશને પણ 17 ઓગસ્ટે ચોવીસ કલાકની દેશભરમાં હડતાળ પાડી છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના વધી રહેલા કેસને કારણે સંબંધિત મંત્રાલયે ડૉક્ટર્સને ફરજ પર હાજર થવા વિનંતી પણ કરી છે, તો, હડતાળ અને વિરોધ વાજબી હોવા છતાં, ઓ.પી.ડી. અને સર્જરી પ્રભાવિત થાય એ પણ ઈચ્છવા જેવું નથી. આમાં કશોક સુધારો થાય એવું જરૂર ઇચ્છીએ, એ સાથે જ દેશભરમાં ઊઠેલો વિરોધ એમ જ શમી જાય એવું પણ કોઈ ન ઈચ્છે. સાધારણ રીતે બળાત્કાર અને હત્યાના કિસ્સાઓ અંગેનો વિરોધ મોટે ભાગે વાંઝિયો જ રહી જવા પામે છે, એ સ્થિતિમાં આટલો પ્રચંડ વિરોધ કોઈ પરિણામ વગર જ શમી જાય એ પણ ઠીક નથી. વિરોધનો આ અગ્નિ પ્રજ્વલિત રહે એવું કોઈ પણ ઇચ્છશે, કારણ નિર્ભયા કાંડ અને તાલિમી તબીબની બળાત્કાર અને હત્યાની ઘટના આ દેશની પ્રજાએ કદી ભૂલવા જેવી નથી. તેનું એક કારણ કોલકાતા કોલેજ અને હોસ્પિટલની જે ગતિવિધિ બહાર આવી છે, એ આ ઘટનાનો છેદ ન ઉડાવે તો જ નવાઈ !

ટૂંકમાં, આખી હોસ્પિટલનો કારભાર પારદર્શી નથી. તેના પ્રિન્સિપાલ, કોલેજ અને હોસ્પિટલના ભગવાન હોય તેમ આખી સંસ્થા પર એકચક્રી શાસન ભોગવી રહ્યા છે ને તેમની એટલી વગ તો છે જ કે બળાત્કારની ઘટનાને આત્મહત્યામાં ખપાવી શકે. મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ પર ભ્રષ્ટાચારના આરોપ છે. તેમની બે વાર ટ્રાન્સફર કરવામાં આવી, પણ તે રોકવામાં તેમને સફળતા પણ મળી, એ બતાવે છે કે તેમનો પ્રભાવ કેટલો હશે. તેમણે કેટલાક જુનિયર્સને હાથ પર રાખ્યા છે ને તેમની મદદથી તેમની સામેના વિરોધને પહોંચી વળવાનો તેમને વાંધો નથી આવતો. તેમની સામે જુનિયર્સને ઘણા વાંધા છે, પણ તેમને એકથી વધુ વખત પરીક્ષામાં નાપાસ કરીને તેમની કેરિયર સામે જોખમ ઊભું કરવાની તેમને ફાવટ છે. હોસ્પિટલના બાયો-મેડિકલ વેસ્ટના નિકાલમાં પણ કૌભાંડ છે.

આર.જે. કર મેડિકલ કોલેજના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટની વિનંતીથી તપાસ સમિતિ રચવામાં આવી. ડૉ. સંદીપ ઘોષના માણસો મેડિકલ વેસ્ટની હેરાફેરી કરીને કમાણી કરતા હતા. જે દિવસે તેમણે રિપોર્ટ સબમિટ કર્યો, એના એક જ કલાકમાં તેમની બદલી કરી નાખવામાં આવી. બદલી ઘોષની થવી જોઈતી હતી, તેને બદલે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટની થઈ. એકત્રીસ વર્ષીય ટ્રેઈનીની રેપ અને હત્યાની એવી ભયંકર વાતો સામે આવી છે કે જે પણ આમાં સંડોવાયા છે, એમનો કેસ ચલાવ્યા વગર જ જાહેરમાં નિકાલ કરી નાખવો જોઈએ, એવું કહેવાનું પ્રાપ્ત થાય છે. એ ટ્રેઈનીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના પ્રાઇવેટ પાર્ટ પર ઊંડો ઘા હોવાનું ખૂલ્યું છે. તેનું ગળું એટલું દબાવવામાં આવ્યું કે થાઈરૉઈડનું કાર્ટિલેજ તૂટી ગયું. તેનાં શરીર પર ઠેર ઠેર ઇજાનાં નિશાન હતાં. તેના ચહેરા પર એટલો ત્રાસ વર્તાવવામાં આવ્યો કે ચશ્માંનો કાચ તૂટીને તેની આંખોમાં ઘૂસી ગયો. આટલું વીતાડવામાં આવ્યું તે પછી પણ હોસ્પિટલ દ્વારા ટ્રેઈની ડોક્ટરના પરિવારને એમ કહેવામાં આવ્યું કે તેણે આત્મહત્યા કરી છે, એ બતાવે છે કે આ હોસ્પિટલ કેટલી નિર્લજ્જ અને નિષ્ઠુર છે. એક આરોપી સંજય રૉયનો ગઈ કાલે નાર્કો ટેસ્ટ કરવાની વાત હતી. અહીં સવાલ એ થાય કે આટલી બર્બરતા ટ્રેઈની સામે કેમ આચરવામાં આવી? તેનો જવાબ એ કે ટ્રેઈની હોસ્પિટલનાં એવાં રહસ્યો જાણતી હતી જે હોસ્પિટલ માટે પ્રશ્નો ઊભા કરે એમ હતું.

આ કેસની તપાસ સી.બી.આઈ.ને સોંપવામાં આવી છે ને તેને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે માનવ અંગોના ગેરકાયદે વેપારનો પર્દાફાશ રોકવા જ કદાચ ટ્રેઈની ડૉક્ટરનો નિકાલ કરી નાખવામાં આવ્યો છે. સી.બી.આઇ.એ 19 જણની તપાસ કરી, એમાં માનવ અંગોની તસ્કરીનો મુદ્દો સામે આવ્યો. બળાત્કાર એટલે કરવામાં આવ્યો કે તે વાત આગળ થાય તો સેકસ અને ડ્રગ્સ રેકેટનો મુદ્દો ઢંકાયેલો રહે. 3 ડૉક્ટર અને એક હાઉસ સ્ટાફ સહિત 4 લોકો પર સેકસ-ડ્રગ્સ રેકેટ ચલાવવાનો આરોપ છે. આ ચારેય રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે. પીડિતાને આ અંગે શંકા હતી, તેણે એ અંગે સ્વાસ્થ્ય ભવનમાં ફરિયાદ પણ કરી હતી, પણ ત્યાં આરોપીઓનો પ્રભાવ એટલો હતો કે કોઈ જ પરિણામ આવે એમ ન હતું, એટલે તે સોશિયલ મીડિયા પર એ અંગે ખુલાસો કરવાની પેરવીમાં હતી, પણ તે પહેલાં જ તેનો શિકાર કરી નાખવામાં આવ્યો.

આ કેસની તપાસ કરી રહેલ સી.બી.આઈ.એ ડૉ. ઘોષને વારંવાર પૂછપરછ માટે બોલાવ્યા, પણ તેઓ હાજર થયા નહીં ને છેવટે 16 ઓગસ્ટે સી.બી.આઈ.એ તેમને કસ્ટડીમાં લીધા. પ્રિન્સિપાલ બનવામાં તેમનો ક્રમ આમ તો સોળમો હતો, પણ તેઓ રાતોરાત પહેલા ક્રમે આવી ગયા. એટલે કે અગાઉના 15 જણાનો હક મારીને ડૉ. સંદીપ ઘોષ પ્રિન્સિપાલ બન્યા. તેમની બદલીનો બે વખત ઓર્ડર થયો, પણ તેમને આજ સુધી કોઈ હટાવી શક્યું નથી તે હકીકત છે. તેમનો એક વિદ્યાર્થી નીટનો ટોપર હતો, તેને ડૉ. ઘોષે ઘણી વખત ફેલ કર્યો, એટલું જ નહીં, તેને ઘણી વખત સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો. તે એટલા માટે કે તે ડૉ. ઘોષની સામે પડ્યો હતો. તેને મારી નાખવાની ધમકી અપાઈ અને એવી સ્થિતિ ઊભી કરવામાં આવી કે તેણે આત્મહત્યા કરવાની કોશિશ કરી. આવી વ્યક્તિને પ્રિન્સિપાલ બનાવવાનો એક જ હેતુ હતો અને તે પૈસા વસૂલવાનો. આ એક આવડતને લીધે, ડૉ. ઘોષની બીજી બધી એબ ઢંકાઈ જતી હતી.

31 મે, 2023 ને રોજ પશ્ચિમ બંગાળ સરકારે આર.જી. કર મેડિકલ કોલેજના નવા પ્રિન્સિપાલ તરીકે ડો. સનથ ઘોષની નિમણૂક કરવાનો આદેશ બહાર પાડ્યો, પણ ચોવીસ કલાકમાં જ ટ્રાન્સફર ઓર્ડર બદલવામાં આવ્યો ને ડો. સંદીપ ઘોષ આચાર્ય તરીકે ચાલુ રહ્યા, એ બતાવે છે કે સરકારના આદેશની પણ કેવી રીતે ઐસી તૈસી થઈ શકે છે ! એ પછી 11 સપ્ટેમ્બર, 2023 ને રોજ ડો. ઘોષને મુર્શીદાબાદ કોલેજમાં ટ્રાન્સફર કરવાનો ઓર્ડર કર્યો, તો કેટલાક વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો ને 9 ઓકટોબર, 2023 ને રોજ ડો. ઘોષને ફરી સ્થાપવામાં આવ્યા. મતલબ કે આ વખતે પણ આરોગ્ય સચિવે પીછેહઠ કરવી પડી. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને જાણ કરી, એન્ટિ કરપ્શન બ્યુરોને પત્ર લખ્યો, મમતા બેનર્જીના ઓ.એસ.ડી.ને મળ્યા, પણ ફેર એટલો પડ્યો કે પછી ધમકી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટને મળવા લાગી. સંદીપ ઘોષ ખાનગી હોસ્પિટલોમાં લાવારિસ મૃતદેહો આપતા હતા, શબ પરીક્ષણ માટે આવતા મૃતદેહોનો ઉપયોગ મૃત્યુ પામેલાં લોકોનાં માતાપિતાની સંમતિ વગર જ પ્રેક્ટિકલ માટે કરતા હતા. પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીને પાસ કરવાના 8થી 10 લાખ વસૂલાતા હતા. એમ.બી.બી.એસ. પાસ થવાનો ભાવ 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. તેમની હાથ નીચેના 10થી 12 જુનિયર ડોકટરો દારૂ સપ્લાય કરવામાં પણ સંડોવાયા હતા. ટી.એમ.સી.ના પૂર્વ રાજ્યસભા સાંસદ શાંતનુ સેને પણ આરોપ મૂક્યો છે કે ડૉ. ઘોષ તેમના જૂથ દ્વારા કોલેજ ચલાવતા હતા. આટલું થતું હોય ને પુરાવા નાબૂદ કરવાને ઇરાદે ટોળાં દ્વારા તોડફોડ કરવામાં આવે, તો તેટલાથી કેટલોક ફેર પડે?

કોલકાતાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલની આ ઘટના એટલું સૂચવે છે કે કોલેજો હવે વિદ્યાધામોને બદલે અનીતિ અને અન્યાયના અડ્ડાની ગરજ સારે છે. કોલકાતા જેવી જ બીજી મેડિકલ કે અન્ય કોલેજો પણ હશે, જ્યાં શિક્ષણ કેન્દ્રમાં નહીં હોય ! મૂલ્યો, આદર્શો, સિદ્ધાંતોનું શિક્ષણ વિદ્યાર્થીઓને અપાઈ ન જાય એની શૈક્ષણિક સંસ્થાઓ હવે કાળજી રાખે છે. નાનામાં નાની સંસ્થામાં પણ પારદર્શિતા અપવાદરૂપે જ જોવા મળે છે. સંસ્થાના વડા કોઈ ગુંડા કે ડોનની જેમ એકચક્રી શાસન કરતાં હોય છે. તેમની રાજકીય વગ એવી હોય છે કે કોઈ પણ તેનો વાળ વાંકો ન કરી શકે. લગભગ બધી જ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ બે ભાગમાં વહેંચાઈ જતા હોય છે. એક વર્ગ મેનેજમેન્ટ અને શાસક પક્ષની ખુશામતમાં આયખું ખુટાડતો હોય છે ને બીજો વર્ગ વિપક્ષનું પીવડાવેલું પાણી પીએ છે. કોઈને પોતીકું મૂલ્ય કે સ્વમાન જેવું ખાસ હોતું નથી. ભ્રષ્ટાચાર મોટે ભાગે એ જ નથી કરતો, જેને તક નથી મળી. કોઈપણ રાજરોગ જેવો જ ભ્રષ્ટાચાર દેશની નસેનસમાં વ્યાપી વળ્યો છે. કોઈ પણ પદ હવે તે પદની મૂળ માંગ કે પાત્રતા કે ગુણવત્તા પરથી નહીં, પણ રાજકીય વગથી શોભે છે. એટલું હોય તો અન્ય પાત્રતા બહુ મહત્ત્વની નથી. રાજકીય વગ વગરનું કોઈ પદ હોય ખરું? એવો સવાલ હવે રહી રહીને થાય છે. રાજકારણ એક તબક્કે રાજકીય પક્ષો પૂરતું સીમિત હતું, તેનો વ્યાપ હવે એટલો વધ્યો છે કે તે પર્યાવરણને સ્થાને છે. હવે એ નક્કી નથી થઈ શકતું કે પ્રશ્નો પર્યાવરણને કારણે છે કે રાજકારણને કારણે …?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 ઑગસ્ટ 2024

Loading

ન્યાય ક્યાં મળે ? કોણ આપે ? કોને મળે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|18 August 2024

રમેશ ઓઝા

બંગલાદેશમાં શેખ હસીનાના પતન પછી હિંદુઓને સતાવવામાં આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં હિંદુઓને મારવાની, તેમનાં ઘર તેમ જ ઉદ્યોગધંધાની તોડફોડ કરવાની, આગ લગાડવાની, મંદિરોને તોડવાની કે નુકસાન પહોંચાડવાની અનેક ઘટનાઓ બની છે. આનું એક કારણ બંગલાદેશમાં એવી એક સર્વસાધારણ સમજ છે કે હિંદુઓ શેખ હસીનાના સમર્થક છે અને બીજું કારણ વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાનું છે. મોકો મળ્યો છે તો હિંદુઓને ઉખેડીને ફેંકી દો, તેની સંપત્તિ લૂંટી લો અથવા ડરાવીને મફતના ભાવમાં મિલકત પડાવી લો. કોમી અથડામણો જ્યાં થતી હોય છે ત્યાં લઘુમતી કોમ સાથે આવું બનતું હોય છે. ઘણીવાર તો કોમી અથડામણો લઘુમતી કોમને આર્થિક નુકસાન પહોંચાડીને આર્થિક લાભ લેવા માટે જ કરવામાં આવે છે.

આવું માત્ર ભારતીય ઉપખંડમાં જ નથી થતું, જગત આખામાં થાય છે, આ મહિનાના પ્રારંભમાં બ્રિટનમાં પણ આવું બન્યું હતું. બ્રિટનમાં અંગ્રેજોની વાંશિક સર્વોપરિતામાં માનનારા કેટલાક બહુમતી રાષ્ટ્રવાદી અંગ્રેજોએ, ખાસ કરીને મુસલમાનો અને અન્ય વસાહતીઓ સામે ખોટી અફવા ઉડાડીને ન્યાય માટેના આંદોલનનાં નામે તેમનાં ઘર-બાર લૂંટ્યા હતાં. જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોય ત્યાં જલદી આવી પ્રવૃત્તિ રોકવામાં આવે છે અને જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કંગાળ હોય ત્યાં સ્થિતિ અંકુશમાં આવતા સમય લાગે છે. કેટલીકવાર તો શાસકો પોતે અને પોલીસ સહિતનું આખેઆખું તંત્ર જ લઘુમતી કોમના લોકોને સતાવે છે અને લૂંટે છે. પશ્ચિમના લોકશાહી દેશોમાં હજુ આવી સ્થિતિ પેદા નથી થઈ, પણ નહીં જ થાય એની કોઈ ખાતરી નથી. માર્કસવાદીઓ તો કહે છે કે કોમવાદ, વંશવાદ વગેરે પણ મૂડીવાદી શોષણનું એક સાધન છે. તેઓ પોતાના હિતમાં આર્થિક સમીકરણોની ફેરબદલી માટે અથડામણોનો લાભ લે છે. માટે સાંકડી વિચારધારા આધારિત રાજકારણ કરનારાઓ મૂડીવાદને અને મૂડીવાદીઓને પોષે છે. હકીકતમાં એકબીજાને પોષે છે.

ખેર, આપણે બંગલાદેશ પાછા ફરીએ. એમાં કોઈ શંકા નથી કે બંગલાદેશમાં હિંદુઓ શેખ મુજીબુર રહેમાનના સમયથી અવામી લીગના સમર્થક છે. લઘુમતી કોમ હંમેશાં ઉપલબ્ધ રાજકીય પક્ષોમાં જે સૌથી વધુ ઉદારમતવાદી હોય અને જેની સત્તા સુધી પહોંચવાની ક્ષમતા હોય તેને મત આપે. બ્રિટનમાં મોટાભાગના હિંદુઓ અને વસાહતીઓ મજૂર પક્ષને મત આપે છે અને અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીને મત આપે છે એ આ જ કારણે. બંગલાદેશમાં અવામી લીગ બંગલા અસ્મિતાનું રાજકારણ કરે છે, ઇસ્લામના નામે નથી કરતી એટલે અવામી લીગને સમર્થન આપવામાં હિંદુઓને સલામતી નજરે પડે છે. બંગલાદેશના હિંદુઓ બંગાળી છે અને બંગાળી અસ્મિતાના ભાગીદાર છે. સામે પક્ષે બંગલાદેશમાં વસતા બિહારી મુસલમાનો બેગમ ખાલેદા ઝીયાના બંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટીને અને અન્ય ઇસ્લામવાદી પક્ષોને સમર્થન આપે છે કારણ કે મુસલમાન હોવાપણામાં તેઓ ભાગીદાર છે. બંગલાદેશમાં બે મુખ્ય પક્ષોમાંથી એક પક્ષ બંગલા અસ્મિતાના નામે રાજકારણ કરે છે અને બીજો પક્ષ ઇસ્લામના નામે રાજકારણ કરે છે. એક પક્ષ એ લોકોને બહાર રાખે છે જે બંગાળી નથી અથવા બંગાળી અસ્મિતાને ઇસ્લામની તુલનામાં દ્વિતીય અસ્મિતા માનનારા ઇસ્લામવાદી મુસલમાનો છે અને બીજો પક્ષ એ લોકોને બહાર રાખે છે જેઓ ઇસ્લામની તુલનામાં બંગાળી હોવાપણાને સર્વોપરી માને છે.

પણ એ પછી શું બંગલાદેશમાં હિંદુઓને, બૌદ્ધ ચકમાઓને, ભારતનાં ઇશાન રાજ્યોની સરહદે વસતા અને ખ્રિસ્તી કે બીજા ધર્મ પાળતા ગારો, ખાસી અને એના જેવી બીજી ડઝનબંધ જનજાતિઓની પ્રજાને અવામી લીગ દ્વારા ન્યાય મળ્યો છે ખરો? શું બંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી દ્વારા બિહારી મુસલમાનો અને બર્માથી આવેલા રોહિંગ્યા શરણાર્થી મુસલમાનોને ન્યાય મળ્યો છે ખરો? ના નથી મળ્યો. બન્ને બાજુના લોકોને થોડી રાહત મળે છે એટલું જ. એટલે તો બંગલાદેશમાં બંગલાદેશની આઝાદી પછી પણ હિંદુઓની વસ્તીમાં દિવસોદિવસ ઘટાડો થઈ રહ્યો છે. ૧૯૭૧માં બંગલાદેશની સ્થાપના થઈ ત્યારે બંગલાદેશમાં હિન્દુઓની વસ્તી કુલ વસ્તીમાં ૨૦ ટકા હતી જે અત્યારે આઠ ટકા છે. શેખ હસીના પંદર વરસથી રાજ કરતાં હતાં એ છતાં. બિહારી મુસલમાનો માટે જવા માટે કોઈ માર્ગ નથી એટલે બિચારા બંગલાદેશમાં શરણાર્થીઓ માટેના કેમ્પમાં સબડે છે. ઢાકામાં આવેલ જીનીવા કેમ્પમાં પચાસ વરસથી બિહારી મુસલમાનો આઠ ફૂટ બાય આઠ ફૂટની પતરાંની રૂમમાં રહે છે. આવું જ બર્માથી આવેલા રોહિંગ્યા મુસલમાનોનું. બંગલાદેશ તેને પોતાને ત્યાં સમાવવા રાજી નથી, રોહિંગ્યાઓ મુસલમાન હોવા છતાં. ઇસ્લામમાં ઉમ્માહ (વૈશ્વિક મુસ્લિમ બંધુતા) એક રોમાંચક કલ્પના માત્ર છે.

તો ન્યાય ક્યાં મળે? કોણ આપે? નથી ભાષા અને સંસ્કૃતિના રક્ષકો ન્યાય આપતા કે નથી ધર્મના રક્ષકો ન્યાય આપતા. બન્ને પોતપોતાના સમર્થકોને અન્યાય કરે છે અથવા આંખ આડા કાન કરીને અન્યાય થવા દે છે. ન્યાય તો જ મળે જો રાજ્ય પક્ષપાતરહિત માત્ર અને માત્ર નાગરિક તરીકેની ઓળખ પર આધારિત હોય, અન્ય કોઈ પણ પ્રકારની ઓળખ આધારિત ન હોય. એ બંધારણીય હોય અને એ મુજબની રાજ્ય રચના થઈ હોય.

એ પછી પણ સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં રહેલી પ્રજાઓને ન્યાય મળતો નથી તો સાંકડી ઓળખ આધારિત રાજ્યોમાં ન્યાય મળે એ તો શક્ય જ નથી. જ્યાં પોતાના જ લોકોને રાષ્ટ્રવાદના નામે અન્યાય કરવામાં જેને સંકોચ ન થતો હોય ત્યાં “બીજાઓ”ને ન્યાય મળે એ તો શક્ય જ નથી. તેઓ વારંવાર પેદા થતી કે પેદા કરવામાં આવતી અરાજકતાનો લાભ લઈને પોતાનાં હિતમાં આર્થિક સમીકરણો બદલતા રહે છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 18 ઑગસ્ટ 2024 

 

Loading

ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ (૩)

સુમન શાહ|Opinion - Literature|18 August 2024

સુમન શાહ

ગોપીને જાણે પહેલી વાર પોતાની જાત સામે જોવાની ફુરસદ મળી, તે એણે એની બહેનીને કહ્યું, ‘હું શું જાણું જે વ્હાલે મુજમાં શું દીઠું … તેમછતાં, એ ‘મારામાં શું દીઠું ?’ રચનામાં, આત્મસ્તુતિનો નહીં પણ કૃષ્ણસ્તુતિનો જ પ્રકાર ઊપસ્યો છે.

કૃષ્ણ આગળ પોતાની કોઇ વિસાત નથી તેની એને જાણ છે. એટલે સરસાઇનો પ્રશ્ન નથી પણ વાત જુદી છે. એ રીતે કે ‘વારે વારે સામું જુએ … વગર બોલાવ્યો વ્હાલો બેડલું ચડાવે … વઢું ને તરછોડું તો ય રીસ ન લાવે … દૂરથી દેખીને મને દોડ્યો આવે દોટે … પોતાની માળા કાઢી પહેરાવે મારી કોટે … એકલડી દેખી ત્યાં મુને પાવલેરે લાગે … રંક થઇને કાંઇ કાંઇ મારી પાસે માગે … જ્યાં જ્યાં જાતી ત્યાં ત્યાં એ આડો આવી ઢૂંકે … બહેની દયાનો પ્રીતમ મારો કેડો નવ મૂકે …’

વગેરે બધી ઘેઘૂર રમણાથી ગોપી મૂંઝાઇ મરી છે. એ બધી લીલાનું રહસ્ય શું? ક્યાં? રહસ્ય પોતામાં તો નથી, કેમ કે પોતામાં દેખવા સરખું કંઇ નથી તેની એને જાણ છે. એટલે ‘હું શું જાણું’ કહીને વિમાસ્યા કરે છે, તો, મુજમાં શું દીઠું પૂછીને કૃષ્ણની પ્રકાર પ્રકારની હરકતો જણાવે છે. પરન્તુ એમ પરોક્ષપણે અને સરવાળે તો કૃષ્ણપ્રેમનો જ મહિમા આગળ કરે છે, કૃષ્ણના જ ગૌરવનું ગાણું ગાય છે.

કવિની ગોપીનો સઘળો આત્મભાવ છેલ્લે આ રીતે કૃષ્ણમાં જઇ ઠરે છે. એના એવા ઠરણમાં એની ભક્તિની અવધિ આવી રહે છે. પોતે સમગ્રતયા કૃષ્ણમાં લય-વિલય પામી રહે એ એની જીવન-આકાંક્ષા છે. ખરેખર તો એ નિષ્ઠાએ કરીને એ અનન્યાશ્રયી છે. પરન્તુ તે સાથે તે કૃષ્ણને ય એવા જ જોવા ઝંખે છે.

એ ઝંખના ન તોષાતાં, ગોપીમાં દ્વેષ, રોષ  કે ચીડ પ્રગટે છે. ‘હવે હું નહીં બોલું’-માં, સખીને કહે છે : ‘હાવાં હું સખી ! નહીં બોલું રે નંદકુંવરની સંગે …’, કેમ કે, ‘મુને ‘શશીવદની’ કહી છે રે ત્યારની દાઝ લાગી છે અંગે.’ શશીવદની એટલે તો ચન્દ્રના જેવા મુખવાળી. પણ એ વખાણ માનુનીને ખપ્યાં નહીં. એણે તર્ક કર્યો કે ‘ચંદ્રબિંબમાં લાંછન છે, વળી રાહુ ગળે ખટ માસે રે; પક્ષે વધે ને પક્ષે ઘટે, કળાપૂરણ નિત્ય તે નવ પ્રકાશે’ – એવા શશી સાથે પોતાને સરખાવાય શી રીતે? મને શશીવદની ભલે કહે છે, બાકી, મારા લગી પૂગવાનો શ્રમ પણ શું કામ લે?

કેમ કે, ‘શશીમુખ સરખું સુખ’, તો એમની પાસે જ છે! – એમના ‘વામ ચરણમાં ઇંદુ અચળ છે, શીદ રહે અન્યની આશે?’ એટલે કહી દીધું ‘કોટિ પ્રકારે હું નહીં આવું એવા પુરુષની અડાસે.’ જો કે દેખાઇ આવે છે કે આ રીસમાં એટલું બધું બળ નથી.

આવું જ એક રૂસણું આ, કે ‘શ્યામ રંગ સમીપે ન જાવું, મારે શ્યામ રંગ સમીપે ન જાવું …’ કૃષ્ણ એને કપટી લાગ્યા હશે. તે સમજી લીધું કે, ‘જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું.’ એટલે, એવી વસ્તુઓની યાદી બનાવી : કસ્તૂરીકેરી બિંદી, કાજળ, કોકિલાનો શબ્દ, શકુન ગણાતી કાગવાણી, નીલાંબર, કાળી કંચુકી, જમનાનાં નીર, મરકતમણિ, મેઘ, જાંબુ-વ્યંતાક .. .એકેયને પોતે અડશે નહીં કે અપનાવે નહીં. પણ આ ‘નીમ’ તો મુખે લીધેલો, મનનો એને કશો સહકાર હતો નહીં! એટલે કબૂલે છે કે ‘દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે ‘પલક ના નિભાવું’!

આમ, કોઇપણ પ્રકારે કરાર નથી વળતો એટલે દયારામની ગોપી અનેક રચનાઓમાં આપણને જાતભાતની રીતે સાચી કે ખોટી પણ છંછેડાયેલી જોવા મળે છે. કૃષ્ણ અન્ય નારીઓ વિશે, અરે કુબ્જા જેવી કુબ્જા વિશે ઢળે, એ એનાથી વેઠાતું નથી. કૃષ્ણની વાંસળી જેવી નિર્જીવ ચીજ પણ એને વૅરણ લાગે છે, શૉક્ય લાગે છે. પોતે ખોટી એટલા માટે કે નિયમ, ટેક, રૂસણું કે રોષ પણ છેવટે તો કૃષ્ણને પામવાને માટેનાં એણે ઘડી કાઢેલાં નિમિત્ત હતાં!

ઇર્ષા અને રોષની મારી, ‘રંગીલા! રંગભેર ક્યાં રમી આવ્યા? લાલ! કોની માળા ચોરી લાવ્યા? – રંગીલા!’ એમ પૂછે છે, છતાં એ કરડાકી ખાસ ટકી શકી નથી : ‘તમારી વાટ હું નિતનિત જોતી, મુખડું જોઇ મન મ્હોતી, હવે મુને શીદ મૂકો છો રોતી ? … વ્હાલા મૂકો બાળપણાનો ચાળો, તમ વીણ બીજો પદારથ ઠાલો, હવે મુને અંગહૃદય શીદ બાળો ?’ અને એણે પેટછૂટી વાત કરી દીધી : ‘મારે મ્હોલે પધારોને વનમાળી !’ એની જાણ બહાર એનો રોષ વિનન્તીવચનમાં ફેરવાઇ ગયો. અને પરિણામ? અતિ સુન્દર આવ્યું : ‘વાયક સુણી પ્રભુ થાય પરસન, ઉલટ્યું અબળા ઉપર મન, દયાના પ્રભુએ દીધું આલિંગન …’

‘નાડ જુઓ’ રચના પણ આવા એક સુખદાયી અન્તને વર્ણવે છે. તીવ્ર વિરહવેદના અનુભવતી ગોપીને સંજોગે કૃષ્ણ મળી ગયા હોય છે. એટલે પોતાની અવસ્થા અંગે એ એમને જ પૂછે છે, ‘મારા તનમાં કંઇ ચેટક કે કંઇ રોગ? કેમ ગળે છે મારી જાતડી જી? … વ્હાલા! એ મુને ન્હોતો પહેલો રોગ, હવડાં પ્રગટ્યો દિન દસબારમાં જી … નિદ્રા ના’વે, ભાવે નહીં કંઇ ભોગ, ક્યહું પડે નહિ કળ મનવિચારમાં જી … તેમાં એક અચરજ સૂણજો આજ, મુજને તો કાંઇ કારણ ના જડે જી … નાડ જુઓ કે નયણે પારખો જી … સુઘડશિરોમણિ છો તમે રસિયારાય! મારા સમ જો ના ભાખો જી’.

ગોપીનાં એવાં વચન સાંભળીને સુન્દરશ્યામે ‘કર સાહી નાડી જોઇ નારીતણી જી …’ પરિણામે, એની કેવીક દેહદશા થઇ? ‘કૃષ્ણ અડ્યે કર પ્રગટ્યો પૂરણ કામ … થયું રોમાંચિત, થરથર કંપે કાય … અતિ આતુર મનમુખથી નવ કહેવાય – સમઝી અંક ભરી અલબેલડે જી … ઇચ્છ્યું સુખ આપ્યું, અધરામૃત પાન રસિયે, કાંઇ મણા રાખી નહીં જી … દયાપ્રીતમે આપ્યું જીવતદાન વ્રેહવેદના નાસી ગઇ કહીં જી!’

આપણા ધ્યાનમાં તરત આવે છે કે રચના ‘જી-જી’-ના ગરજાળ લહેકાથી કેવી તો સરસ રચાઇ આવી છે.

‘પનઘટ પર’, ‘મુજને અડશો મા!’ કે ‘ડહાપણ રાખો જી!’ જેવી રચનાઓમાં, કૃષ્ણ અને ગોપી વચ્ચેના નાના-મોટા ખટમધુર સંવાદોની ભાત જોવા મળે છે. ‘પનઘટ પર’ નાનકડી રચના છે, ‘મારા વહાલાજી હો’ ટેકથી સમ્પન્ન થયેલી છે. કાંઠે ઊભેલા ક્હાનજીને ગોપી વીનવે કે ‘ભાઇ મને ઘડૂલો ચડાવ’. ક્હાનજી ભારે મશ્કરીમાં કહે કે ‘હું તુંને ઘડૂલો ચડાવું રે લોલ, થાય મારા ઘર કેરી નાર’, ને ગોપી એને રોકડું પરખાવે કે ‘તુજ સરખા ગોવાળિયા રે લોલ, તે તો મારા બાપના ગુલામ’, અને ક્હાનજી એવો જ ઉત્તર વાળે કે ‘તુજસરખી ગોવાલણી રે લોલ, તે તો મારા પગની પેજાર.’

બન્નેની વાણી મોંફાટ અને તોછડી લાગે. છતાં રચનાને જો એના ‘રે લોલ’-ના લહેકા સાથે ગાવામાં આવે તો એની પાછળનો બેયનો અલ્લડ મિજાજ, વળી, એકમેકના પ્રેમની પરસ્પરને કાયમથી મળેલી ઘોર પ્રતીતિ, વગેરે આન્તરસત્યોનો અહેસાસ થાય.

(ક્રમશ:)
(18 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...599600601602...610620630...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved