Opinion Magazine
Number of visits: 9665173
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ (૪) 

સુમન શાહ|Opinion - Literature|21 August 2024

સુમન શાહ

જેના કેન્દ્રમાં ગોપી અને વાંસલડી છે એ ‘કુંજમાં વાય છે વાંસળી’-થી માંડીને ‘માનીતી વાંસલડીને’ લગીની રચનાઓને મેં બીજા વર્તુળમાં મૂકી છે. વાંસલડીને વિષય બનાવીને દયારામે અનેક રચનાઓ કરી છે, પુનરાવર્તન કરીને કરી છે. દયારામમાં મને વાંસલડીનાં બે રૂપ પરખાયાં છે :

વાંસલડીનું એક રૂપ વશકરણી વાંસળી તરીકેનું છે :

આ વાંસળી એકંદરે રંગવાંસળી છે અને તેથી એનું કામણગારું હકારાત્મક મૂલ્ય છે. સુખ્યાત પંક્તિઓ સાંભળીએ : ‘વ્હાલો મારો કુંજમાં વાય છે વાંસળી રે લોલ! નાદે વેધી છે મારી પાંસળી રે લોલ! … હું તો સૂણતાં ભૂલી સહુ ચાતુરી રે લોલ! મળવા થઇ છું અતિ આતુરી રે લોલ! તાલાવેલી લાગી છે મારા તનમાં રે લોલ! ગોઠતું નથી કંઇ ભુવનમાં રે લોલ!’ (‘કુંજમાં વાય છે વાંસળી’). 

કૃષ્ણને ગોપી કહે છે : ‘વશકરણી છે તારી વાંસળી, જોતાં વશ કરી છે વ્રજનારને … સ્વર સૂણીને હું તો શુધબુધ વીસરી, દરદમાં ગરદ ગઇ છે મળી … સુધાથકી રે સ્વાદ એમાં છે ઘણો, મુને સાકર કરતાં લાગે છે ઘણી ગળી … ચટકો લાગ્યો રે ઝેરી ડંખથી ના ઊતરે … હવે લોક કહે, એ તો ચિત્તથકી ચળી …’ (‘વશકરણી વાંસળી’). 

કૃષ્ણને ગોપી વળી પાછી કહે છે : ‘તુજ અધર ઉપર એ વાજે છે, સૂણી અંતર મારું દાઝે છે, એનો શબ્દ ગગનમાં ગાજે છે … એ વનમાં જ્યારે વાગે છે, મુને બાણ સરીખી લાગે છે, મુને વ્રેહની વેદના જાગે છે …’ 

વાંસલડીના આવા શબ્દે ગોપીનું મન મોહ્યું છે કેમ કે એ શબ્દ કૃષ્ણશબ્દ છે, કૃષ્ણસ્મૃતિનો વાહક પણ છે. ગોપીમાં અજંપો બ્હાવરવાટ અને ઘેલછા પ્રગટ્યાં, તે એને કારણે. એ શબ્દ કૃષ્ણના નિત્યના આકર્ષણનું વેધક કારણ બન્યો; વિરહની વેદના જાગી, તે એને લીધે. આમ ગમતો છતાં આમ અકળાવતો, કંઇક ના-ગમતો છે એ શબ્દ. સાથોસાથ, ગોપીએ એમ પણ જોયું છે કે વાંસલડીને ‘કૃષ્ણે કૃપાસાધ્ય કરી દીધી છે, માટે દયાપ્રીતમે કર લીધી છે.’ ખરું કારણ પકડાતાં એમ પણ સમજાવા લાગ્યું છે કે એ માટે વાંસલડીએ ‘તપની સાધના કીધી છે.’ (‘વાંસલડીને શબ્દે’).

આવી વાંસલડીની ઉપેક્ષા શી રીતે કરાય? પરવડે કેમ? એટલે વાંસલડીનું બીજું રૂપ ગોપીની અને વ્રજનારની વૅરણ તરીકેનું છે, શૉક્ય તરીકેનું, કુખ્યાત રૂપ છે : 

જો કે એવી વાંસલડી ગોપીમાં ઇર્ષા પ્રેરનારી નીવડીને ય છેવટે તો એની પ્રેમભક્તિને પુષ્ટ કરનારું પરિબળ જ પુરવાર થાય છે. એનું એવું નકારાત્મક, પણ મૂલ્ય છે. જોવા જઇએ તો, એની ઉપેક્ષા શક્ય પણ નથી. ‘વાંસલડીના વાંક’-માં, તો સ્પષ્ટપણે કહી દીધું : ‘વૅરણ થઇ લાગી રે વ્રજની નારને … શું શોર કરે? જાતલડી તારી તું મન વિચારને …’ 

હવે ઇર્ષા પોતાનો વળ બદલીને ગોપીને એવું માનવા પ્રેરે છે કે વાંસલડી કૃષ્ણના અધર પર છે, તે ઠીક નથી. એને કૃષ્ણના અધરે રહેવાનો, એટલે કે સાન્નિધ્યનો, જે દુષ્કર લાભ મળ્યો છે તે પોતાને નથી મળ્યો. અને એ વાત બરાબર નથી. વાંસલડી કૃષ્ણસ્મૃતિનું સાધન રહે, ત્યાં લગી વાંધો નથી, પણ જો કૃષ્ણ પર એ આધિપત્ય જમાવી બેસે, તો તે ઠીક નથી. એવી વાંસલડીને તો ધિક્કારવી જોઇએ. અને ગોપી એને પોતા સમેત તમામ વ્રજનારની વૅરણ અને શૉક્ય ગણવા લગી વિકસી જાય છે. 

ઇર્ષાભાવને જરા પણ છુપાવ્યા વિના કહી દીધું : ‘તું તો મોહનના મુખ પર મ્હાલે, તુજ વિના નાથને નવ ચાલે, તું તો શૉક્ય થઇ અમને સાલે …’ દબાવી રાખેલો ગુસ્સો પણ જાહેર કરી દીધો : ‘હું તુજને આવી નવ જાણતી, નહિ તો તુજ પર મ્હૅર ન આણતી, તારાં ડાળ સાહીને મૂળ તાણતી …’ 

ઇર્ષાનું એવું બદલાતું કેન્દ્ર પછી તો વિકસ્યું છે. શાણી ગોપીને એક યોગ્ય પ્રશ્ન થાય છે કે કૃષ્ણે વાંસલડીને આવું સ્થાન આપ્યું તે એની કઇ પાત્રતાએ કરીને. શું હશે એનું રહસ્ય? કવિએ સરસ સૂચક શબ્દ પ્રયોજ્યો છે, ‘ભેદગુણ’.

એને વરતાયું કે વાંસલડીના ‘ભેદગુણ’ ‘ભારી’ છે. એવા તે કયા, ભારી ભેદગુણ? સાર ગોપી એવો ગ્રહે છે કે કૃષ્ણકૃપાનું કારણ વાંસલડીનું તપ છે, એણે વેઠેલું કષ્ટ છે, સાધના છે. પોતામાં તો, એ નથી ! એને થાય છે, એવા ‘ભારી’ ગુણને પ્રતાપે એ અમારામાં ભેદ પડાવી શકે પણ ખરી! ને તો તેમાં નવાઇ પણ શી? ગોપીને વાંસલડી ઉત્તર આપે છે તેથી પણ આ જ સાર દઢ થાય છે : ‘ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે? પુણ્ય પૂરવતણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે … તપસાધ્યાં વનમાં … ટાઢતડકા વેઠ્યાં તનમાં … અંગે વાઢિયા વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા, તે ઉપર છેદ પડાવિયા …’ વગેરે. (‘વાંસલડીનો ઉત્તર’). 

એટલે પછી ગોપીમાં ઇર્ષાનું આક્રમક બળ ગળી જાય છે, આત્મનિરીક્ષા સ્ફુરે છે. ક્રોધ ઑગળી જાય છે અને માનીતી વાંસલડીને માટેનો માત્ર લાડભર્યો ઉપાલમ્ભ બચે છે. ‘માનીતી વાંસલડીને’-માં, વાંસલડીના ‘મીઠા શોર’-નો એણે જાણ્યે-અજાણ્યે સ્વીકાર કર્યો છે. ‘મીઠા શોર’-ને લક્ષ્ય કરીને ગોપીએ એને જાતભાતની રીતનો વ્હાલપભર્યો ઠપકો આપ્યો છે : ‘માનીતી તું છે મોહનતણી … અમારે શૉક્ય સરીખું તું સાલ રે … ઝેર ઘણું છે તારી ઝપટમાં … પતિવ્રતાનાં પ્રણ તેં મુકાવિયાં … તેં તો છોડાવ્યાં સતીઓનાં સત્ય રે … જોતાં તું તો કાષ્ઠકેરો કરકટો … તુંને આજ મળી ઠકરાત રે … ચોરની સંગે શીખી તું ચોરવા … વ્હાલે માખણ ચોર્યું ને તેં તો મન રે …’

સરવાળે એમ કહી શકાય કે વાંસલડી ઇર્ષા અને શીખ બન્નેનું કારણ બની છે. ને તથી એનું મૂલ્ય પ્રેમ અને ભક્તિ બન્ને સંદર્ભોમાં વિકસ્યું છે. વાંસલડી વડે એમ જ પુરવાર થયું છે કે છેવટે તો કૃષ્ણનું કંઇપણ, શામક અને માર્ગદર્શક જ નીવડવાનું! 

આમ દયારામે, જોઇ શકાશે કે, વાંસલડીને પણ પુષ્ટિનું એક ઉપકારક અંગ ગણ્યું છે. એથી પણ પ્રેમભક્તિનો પુરુષાર્થ દૃઢ થયો છે.

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બાંગ્લાદેશ : ભાગિયા બનીશું કે અભાગિયા?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 August 2024

પ્રકાશ ન. શાહ

વંચિતોના વાણોતર, કહો કે દીનબંધુ મુહમ્મદ યુનૂસે બાંગલાદેશી પરિવર્તનના વડા સલાહકારની હેસિયતથી ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લઇ આક્રાન્ત હિંદુ બહુમતીને હૂંફવાની કોશિશ કીધી તે પછી તરતના કલાકોમાં આ લખી રહ્યો છું.

કેટલી ઝડપથી બની ગયા આ બનાવો! ઓગસ્ટ બેસતે છાત્ર યુવા આંદોલને કથિત અનામતનાબૂદી આંદોલનને વટી જતા વ્યાપક લોકશાહી આંદોલનનું સ્વરૂપ લીધું અને સન 1971ની બાંગ્લા સ્વરાજે લડતનું કેમ જાણે પુન:આવાહન થયું! ભ્રષ્ટાચાર અને સોબતી મૂડીવાદ તેમ જ નાગરિક અધિકાર પરની ભીંસથી ગ્રસ્ત લોકશાહી વાસ્તે જાણીતાં શેખ હસીના વાઝેદે રાજીનામું આપવાની નોબત આવી. પાંચમી ઓગસ્ટે આ બન્યું તે સાથે યુવા આંદોલન અને એના નેતૃત્વને લગારે ઇષ્ટ નહીં એવો એક લઘુમતીવિરોધી ઉદ્રેક ને ઉત્પાત અનુભવાયો.

બાંગ્લાદેશમાં મુખ્ય દૈનિક તરીકે સ્થિત પ્રતિષ્ઠ ‘ડેઇલી સ્ટાર’ના દસમી ઓગસ્ટના અંકને મથાળે ચીખીને હેવાલ પથરાયો કે હસીના વાઝેદનાં ગયાં પછીની અનવસ્થામાં હિંદુ વસ્તી-મિલકત-મંદિર પર 205 હુમલા નોંધાયા છે. (હિંદુ સંગઠનનો આંકડો પણ આ જ છે.) પણ બે જ દિવસમાં (બારમી ઓગસ્ટ લગીમાં) સ્થિતિ એ થઇ કે ‘ડેઇલી સ્ટાર’ કને આ બાબતે છાપવા જેવા કોઇ સમાચાર નહોતા. ઢાકાથી શુભજીત રોયનો હેવાલ બોલે છે કે પાંચમી ઓગસ્ટે અમે જ યુવજનોને વિરોધ કૂચનું નેતૃત્વ કરતા જોયા હતા તે પૈકી કેટલાકને આજે (દસમી ઓગસ્ટે) હું રાજમાર્ગો પર ટ્રાફિક નિયમનની સ્વૈચ્છિક કામગીરીમાં મચી પડેલા જોઉં છું.

મુહમ્મદ યુનૂસ

જે બધી તસવીરો વાઇરલ થઇ ને વિશ્વભરમાં ચક્રવૃદ્ધિ ગતિએ ઊંચકાઇ તે પૈકી કેટલીક ભળતાસળતા સ્રોતોમાંથી ખેંચાયેલી, જુદાં જ સ્થળકાળની હોવાનું ય ફેક્ટ ચેક થકી માલૂમ પડ્યું છે. જેમ હુમલા એક દુર્દૈવ વાસ્તવ હશે તેમ વાઇરલ વિષવંટોળ પણ એક વાસ્તવ છે. બળાત્કારની વૈશ્વિક ચકરડીભમરડી રમી ગયેલી એક તસવીર પૂર્વે મણિપુર ને ઇન્ડોનેશિયામાં ય વપરાયેલી છે અને એનું પગેરું 2021માં પૂર્વ બેંગ્લુરુના રામમૂર્તિનગર વિસ્તારમાં થયેલી એક બળાત્કારની ઘટના સંબંધે ત્રણ મહિલા સહિતના કુલ બાર બાંગ્લાદેશી તેમાં પકડાયેલા છે!

ફેક્ટ ચેક દરમિયાન બહાર આવેલી ભળતીસળતી તસવીરોની આખી દાસ્તામાં નહીં જતાં અહીં જે કહેવું પ્રાપ્ત થાય છે તે એ છે કે હિંદુ-ખ્રિસ્તી લઘુમતીઓ પર હુમલાનો એક દૌર જેમ દુર્દૈવ વાસ્તવ છે તેમ એક મોટા લોકઉઠાવને કોઇ કોમી કાંડમાં ખતવી નાખવા ખેંચાઇ જઇએ તો એ મહાદુર્દૈવ લેખાશે.

હમણાં વિભાજનને વિભીષિકા તરીકે જોવું કે કારુણિકા તરીકે, એની ચર્ચા કરતી વેળાએ સ્વાભાવિક જ 1947ની જેમ 1971ને પણ સંભારવાનું થયું હતું. સન એકોતેરે બંગબંધુ મુજીબના નેતૃત્વ તળે ત્યાંની મુક્તિ વાહિની અને હિંદની લશ્કરી કુમક (ડિસેમ્બર 3થી ડિસેમ્બર 16, 1971) થકી આઝાદ બાંગ્લાદેશને ઉદયને જોયો.

બાંગ્લાદેશ એ પ્રયોગ, એમ તો વીસમી સદીનાં આરંભ વર્ષોમાં જ રવીન્દ્રનાથની રચના, ‘આજી બાંગ્લાદેશેર હ્યિદોય’ કે કાઝી નઝરુલ ઇસ્લામની ‘નમો નમો બાંગ્લાદેશ મોમો’ સરખી રચનાઓથી સહજ સ્વીકૃતિ પામવા લાગ્યો હતો. બંગભંગની બ્રિટિશ પેરવી સામેના લોકઆંદોલને બંગાળી અસ્મિતાની એક મનોવૈજ્ઞાનિક સરસાઇ હિંદુ વિ. મુસ્લિમ સામસામી પર સ્થાપી હતી. આખો ઇતિહાસ તો ક્યાં ઉલેચું પણ અંગ્રેજ પૂર્વ સૈકાઓમાં શમ્સુદ્દીનની સલ્તનતના વારામાં બાંગલાશાહ એ પ્રયોગ પણ થયેલો છે.

આ વાંચતી વેળાએ મને એ પણ સહજ સાંભરતું હતું કે ‘ગુજરાતી’ ઓળખ પ્રયોગને વિશેષ માન્યતા અહમદશાહને આભારી છે. દિલ્હી સલ્તનતથી સ્વતંત્ર ઓળખ આગળ કરવા માટે એ આગ્રહપૂર્વક ‘ગુજરાતી’ એવો પ્રયોગ કરતા. પાછો, તવારીખમાં નજીક આવું તો, 1947માં જ્યારે પાકિસ્તાન-હિંદુસ્તાન ચાલ્યું ત્યારે એક તબક્કે શરતચંદ્ર બોઝ (સુભાષચંદ્ર બોઝના ભાઇ) અને હસન સુહરાવર્દી (ભાગલા પૂર્વ બંગાળના મુખ્ય પ્રધાન) વગેરેએ સ્વતંત્ર બંગાળની હિમાયત કરી હતી, જાણે બંગભંગ ચળવળનું પુન:આવાહન!

ખેર પાકિસ્તાનના ઉદય સાથે ઝીણા નેતૃત્વે ને પંજાબી લોબીઓ પૂર્વ પાકિસ્તાન પર ઉર્દૂ લાદવાની કોશિશ કરી ત્યારે છાત્રયુવા બલિદાન સાથે એક નવસંચાર શરૂ થયો. 21મી ફેબ્રુઆરી જે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ મનાવાય છે એના સગડ તમને તે તારીખે થયેલા છાત્ર બલિદાનમાં મળશે. આ દિવસે જેમ દેશભાષા સંભારાય છે તેમ, યુનેસ્કોએ એની સાથે મૂળભૂતપણે જોડેલો ખયાલ ભાષિક ને સાંસ્કૃતિક વિવિધતાઓના સંવર્ધનનો પણ છે. દુર્નિવાર એવા વૈશ્વિકીકરણ વચ્ચે માતૃભાષાઓને જાળવી લેવી એ પણ પોતપોતાના સાંસ્કૃતિક અસ્તિત્વ સારુ જરૂરી છે, જેમ વિવિધતાઓનું પારસ્પર્ય પણ!

‘મુસ્લિમ લીગ’ અને ‘અવામી લીગ’ એ મુખ્ય પક્ષો વચ્ચે 1970ની ચૂંટણીમાં નિર્ણાયક બહુમતી શેખ મુજીબુર રહેમાનના નેતૃત્વ હેઠળની ‘અવામી લીગ’ને મળી, પણ લશ્કરી વડા યાહ્યા ખાન અને ભુટ્ટો ‘અવામી લીગ’ને સરકાર સોંપવા રાજી નહોતા. પરિણામે પ્રતિકાર અને દમનનો જે દૌર શરૂ થયો એમાંથી મુજીબના નેતૃત્વ હેઠળના પૂર્વ પાકિસ્તાનને છૂટા પડવું અનિવાર્ય લાગ્યું.

ઉપરાંત રાજકીય સત્તાથી વંચિતતા સાથે એક વાસ્તવિકતા પણ એ હતી કે પૂર્વ પાકિસ્તાન થકી પ્રાપ્ત રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો સિંઘ-પંજાબ ખાઇ જતા હતા. એટલે પાકિસ્તાન બન્યું પણ એમાં પૂર્વ બંગાળની હાલત એક શોષિત સંસ્થાન શી હતી. આ સંસ્થાનની સ્વરાજકથા ને રાષ્ટ્રવાર્તા વચમાં લોકશાહીને બદલે નાગરિક સ્વાતંત્ર્યના દમનરાજમાં ખોવાઇ ને ખોરવાઇ ગઇ હતી.

કથિત વિકાસવેગ અને સ્વરાજનું ને લોકતંત્રનું વિકસન-વિલસન બેઉ સાથેલગાં ચાલે એ યુગ પડકાર છે : એક જ ઉપખંડના, ખરું જોતા વ્યાપક અર્થમાં એક જ તહજીબના હોઇ શકતા આપણે સ્વદેશહિતપૂર્વક આ યુગ-પડકારના ભાગિયા બનીશું કે અભાગિયા, કહો જોઉં. 

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 21 ઑગસ્ટ 2024 

Loading

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૨)  

સુમન શાહ|Opinion - Literature|20 August 2024

ઉમાશંકર જોશી

એવા લાક્ષણિક અનુબન્ધમાં મેં ઉમાશંકરને અનુભવ્યા છે. પરિણામે, મારા ચિત્તમાં એમની બે છબિ પ્રગટી છે :

એક છબિ તો, પૂર્ણસ્વરૂપના સાહિત્યપુરુષ તરીકેની : કાવ્યો ઉપરાન્ત એમણે નાટક નવલકથા નવલિકા નિબન્ધ વિવેચન સંશોધન અનુવાદ સમ્પાદન પ્રવાસલેખન એમ લગભગ બધા સાહિત્યપ્રકારોમાં લખ્યું છે. છતાં, મુખ્યત્વે તેઓ કવિ છે. ૫૦-થી પણ વધુ વર્ષોની કાવ્યસર્જનયાત્રા. ૧૦ કાવ્યસંગ્રહો. સર્વસંગ્રહ, ‘સમગ્ર કવિતા’. ૫૦૦-થી વધુ કાવ્યકૃતિઓ. ૮૦૦-થી વધુ પૃષ્ઠોની સૃષ્ટિ.

પુષ્કળતા જેટલી જ વિવિધતાના કવિ. પ્રકૃતિ, પ્રણય અને સંસ્કૃતિના કવિ. ઊર્મિકવિતા, કથનકવિતા અને નાટ્યકવિતા – એ ત્રણેય સાહિત્યિક ઉપખણ્ડોમાં ભરપૂરે સર્જન-વિહાર. ખણ્ડકાવ્યથી માંડીને પ્રસંગકાવ્ય, કથાકાવ્ય કે મુક્તકો અને ગીતો. પ્રશિષ્ટ, શિષ્ટ અને લોક જેવી ત્રણેય સાહિત્યશ્રેણીઓમાં હરદમની ગતિવિધિ.

પરમ્પરાથી આધુનિક; કસબથી પ્રયોગ; છાન્દસથી અછાન્દસ; પાઠ્યથી ગેય, વળી નાટ્ય; અને એમ અનેકશ: પરિવર્તનશીલ, બહુવિધ અને ભરપૂરે સુ-વ્યાપ્ત રૅન્જના લાક્ષણિક કવિ.

બીજી છબિ પ્રગટી છે, સમ્પ્રજ્ઞ સંસ્કૃતિપુરુષ તરીકેની : ૨૦ વર્ષની વયે આ માણસ સત્યાગ્રહની લડતમાં ઝુકાવે છે. એ જ વયે ‘વિશ્વશાન્તિ’ પહેલો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. મોટી ઉમ્મરે કવિ અકાદમી દિલ્હીમાં અધ્યક્ષ રહ્યા છે. રાજ્યસભામાં ગયા છે. રવીન્દ્રભારતીમાં કુલપતિ રહ્યા છે. પણ બધો જ વખત એમણે સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રની ચિન્તા સેવી છે. એ અંગે પૂરી નિસબતથી જીવ્યા છે. ‘ધોબી’ ‘મોચી’ ‘દળણાંના દાણા’ ‘જઠરાગ્નિ’ ‘હથોડાનું ગીત’ ‘ઘાણીનું ગીત’ વગેરે શરૂઆતનાં વરસોની કવિતા કે ‘મારી ચંપાનો વર’ ‘છેલ્લું છાણું’ કે ‘ઝાકળિયું’ નવલિકાઓ; ‘સાપના ભારા’ કે ‘બારણે ટકોરા’ એકાંકીઓ; એ વાતનાં પ્રમાણ છે. 

લાગશે કે ગાંધી અને ગાંધીદર્શન સાથેનો એમનો અંતરંગ નાતો છેવટ લગી અતૂટ રહ્યો છે. દેખાશે કે ઉમાશંકર સમાજજીવનના એક જાગૃત સન્ત્રી છે. કહી શકાશે કે ઉમાશંકર સમાજાભિમુખ અને સમયપ્રસ્તુત લેખનના નિષ્ઠાવાન સર્જક છે. ઇતિહાસે કહેવું જોઇશે કે ગુજરાતી સાહિત્યના ગાંધીયુગનાં તમામ સત્ત્વ-તત્ત્વ આત્મસાત્ કરીને સર્વથા વિકસેલા પૂરા કદના પ્રતિનિધિ સાહિત્યકાર, તે ઉમાશંકર જોશી.

એમના સામયિકનું નામ પણ ‘સંસ્કૃતિ’ હતું. દૂર દૂરથી પણ તેઓ સાહિત્યકલાને સાંસ્કૃતિક આવિષ્કાર લેખતા હતા. ૩૬-ની વયે ૧૯૪૭-માં ‘સંસ્કૃતિ’ શરૂ કરેલું અને ૧૯૮૪-માં સ્વેચ્છાએ સમાપ્ત જાહેર કરેલું. એ હતું, ૩૭ વર્ષનું સાહિત્યિક ઉપરાન્તનું સંસ્કૃતિપરક પત્રકારત્વ. ‘સંસ્કૃતિ’-ના ‘સમયરંગ’ વિભાગમાં ઉમાશંકરે તન્ત્રી-નાતે જે લખ્યું તે એમને સાચકલા અને સદાજાગ્રત બૌદ્ધિક દર્શાવે છે. 

એ લેખનોમાં ન્યૂઝ છે અને તે વિશેના કવિના વ્યૂઝ છે. વિષયો રહ્યા છે, રાજકારણ, પ્રજાકારણ અને કેળવણીકારણ. એ વરસોમાં મારા મનમાં બે બાબતો ખાસ ઊપસેલી : ‘સમયરંગ’-માં ઉમાશંકર જોશી પ્રવર્તમાન સાહિત્યકારણનો મુદ્દો ક્યારેક જ ઉઠાવે છે અને સુરેશ જોષી પોતાના ‘અત્રતત્ર’-માંનાં લેખનોમાં રાજકારણના કે પ્રજાકારણના મુદ્દાને ભાગ્યે જ સ્પર્શે છે. મને થતું, જોશી-ના ‘શી’-ની વિશેષતા જોષી-ના ‘ષી’-માં નથી; ઍન્ડ, વાઇસી વરસા! આખી બાબત ખટક્યા કરતી’તી. 

મને થાય, સમકાલીનો વડે ઉમાશંકર અને સુરેશ જોષીની વિ-ભિન્ન વિચારધારાઓનું શક્ય સાયુજ્ય રચવાનું થયું હોત તો ગુજરાતી સાહિત્યનો વર્તમાન સાવ જ અનોખો હોત! આજે તો એ એક સપનું લાગે છે. દાયકાઓ વીતી ગયા. પણ એવું કંઇ થયું નહીં. વાત સાહિત્યજ્ઞાન, સૂઝબૂઝ, વિવેક કે જિગર માગી લે એવી કઠિન પણ છે. અરે પણ, સામ્પ્રતમાં (આ સામ્પ્રતમાં પણ) એ સાહિત્ય-સ્વપ્ન કોઇને પણ યાદ જ ક્યાં છે ભલા! (આજે પણ) સારું સારું કેટલું ય ગૂમનામ થઇ રહ્યું છે! 

(ક્રમશ:)
(19 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...597598599600...610620630...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved