Opinion Magazine
Number of visits: 9457246
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૧૯૪૭માં સર સિરિલ જ્હોન રેડક્લિફે ભારતમાં પૂર્વે અને પશ્ચિમે લાઈન ખેંચી અને દેશપ્રેમ પુન:રેખાંકિત થઈ ગયો

રમેશ ઓઝા|Opinion - Opinion|14 April 2024

રમેશ ઓઝા

દેશ વિષે કોઈ પાયાની જાણકારી ન હોય, કોઈ સમજ ન હોય, જાણવાની કે દેશને સમજવાની તસ્દી પણ લીધી ન હોય, એવા લોકો પણ દેશપ્રેમી બની શકે છે. આવું બની રહ્યું છે એટલે સવાલ થાય કે આમ કેમ બનતું હશે? આ તો એવી વાત થઈ કે બોક્સમાં શું છે એ જાણ્યા વિના અને જાણવાની તસ્દી લીધા વિના બોક્સને પ્રેમ કરે! અને પ્રેમ પણ પાછો કેવો? ઝનૂની. બોક્સ સામે બૂરી નજર પણ કરી છે તો આવી બન્યું. આમ કેમ બનતું હશે?

૧૯૪૭માં સર સિરિલ જ્હોન રેડક્લિફે ભારતમાં પૂર્વે અને પશ્ચિમે લાઈન ખેંચી અને દેશપ્રેમ પુન:રેખાંકિત થઈ ગયો. ૧૯૩૫માં બલુચિસ્તાનમાં આવેલા ક્વેટા નામના શહેરમાં ભૂકંપ થયો ત્યારે હિંદુઓ સહિત આખા દેશના લોકોએ દુ:ખ અનુભવ્યું હતું, મદદ પહોંચાડી હતી, પણ એ જ ક્વેટામાં આજે જો કોઈ દુર્ઘટના બને (અને આઝાદી પછી પાકિસ્તાનમાં ગમખ્વાર ઘટનાઓ બની પણ છે) તો આપણને કોઈ અસર થતી નથી. એમ લાગે છે કે સર રેડક્લિફે માત્ર જમીન પર રેખા નહોતી ખેંચી, માનવીના હૃદય પર પણ રેખા ખેંચી હતી. સમુદ્રમાં ઓટનાં પાણી પાછાં જાય એમ હમદર્દી પણ રેખાની આ બાજુએ આવીને અટકી જાય.

આમ કેમ બનતું હશે? માણસ નકશાને પ્રેમ કરે છે કે દેશને? નકશાની રેખાઓ લાગણીઓને પ્રભાવિત કરે? વિચિત્ર લાગે છે, પણ આવું બની રહ્યું છે. રાષ્ટ્રવાદનાં મુખ્ય બે અંગો છે. એક આંતરિક અને એક બાહ્ય. જે તે રાષ્ટ્રની બહુમતી પ્રજાની ભાષા, ધર્મ અને તેની સંસ્કૃતિ એ આંતરિક અંગો છે અને નકશો, ધ્વજ, રાષ્ટ્રગીત એ તેનાં બાહ્ય અંગો છે. આમાં બાહ્ય કલેવર સાથે પ્રેમ કરવો સહેલો છે. એટલે કેટલાક લોકો ધ્વજ જોઇને અને રાષ્ટ્રગીત સાંભળીને ગળગળા થઈ જતા હોય છે. આવા લોકોની લાગણીઓને અને તેમનાં વર્તનને નકશાઓ પ્રભાવિત કરે છે. હું પણ એક સમયે (૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧ની ત્રણ લડાઈ ઉપરાઉપર થઈ હતી અને ત્યારે મારી કિશોરાવસ્થા હતી) રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ જોઇને ગદગદિત થતો હતો અને નકશાના દેશને પ્રેમ કરતો હતો, પણ પછી સમજાયું કે હું તો બોક્સના પ્રેમમાં છું, બોક્સની અંદર શું છે એ તો હું જાણતો જ નથી. મેં બોક્સ ઊઘાડવા ‘ભૂમિપુત્ર’, ‘કોડિયું’, ‘વિશ્વમાનવ’, ‘સંસ્કૃતિ’ વગેરે સામયિકો વાંચવાનું શરૂ કર્યું અને બોક્સની અંદરથી જે બહાર આવ્યું એણે મારી આંખ ઊઘાડી. મારો અનુભવ એમ કહે છે કે જો તમે બોક્સ ખોલશો તો તમારી આંખ પણ ખુલશે.

બોક્સમાંથી જે ભારત વિશેના જે સત્યો બહાર આવ્યાં એમાં એક સત્ય એ હતું કે અત્યારે ભારતના નકશામાં જેવડું ભારત બતાવવામાં આવે છે કે પછી અખંડ ભારતના નકશામાં જે ભારત બતાવવામાં આવે છે કે હજુ આગળ વધીને હિન્દુત્વવાદીઓના નકશામાં જેવડું ભારત બતાવવામાં આવે છે એવડું ભારત ભારતના રાજકીય ઇતિહાસમાં ક્યારે ય (જી હાં, ક્યારે ય) હતું જ નહીં. એનાથી અડધું પણ અસ્તિત્વ નહોતું ધરાવતું. આઝાદી પહેલાનાં અવિભાજિત ભારતની વહીવટી રચના અંગ્રેજોએ કરી હતી અને તેમાં પણ રિયાસતોના પ્રદેશનો તો સમાવેશ નહોતો થતો. તો પછી હિન્દુત્વવાદીઓએ તેમની કલ્પનાના ભારતની રચના આટલી પહોળી શેના આધારે કરી? અંગ્રેજોએ રચેલું અવિભાજિત ભારત તો ખરું જ, પણ તે ઉપરાંત અફઘાનિસ્તાન, નેપાળ, બર્મા અને શ્રીલંકાનો તેમની કલ્પનાના ભારતમાં સમાવેશ થાય છે. જવાબ છે, સાંસ્કૃતિક પ્રભાવ. આટલા પ્રદેશ પર હિંદુઓનો સાંસ્કૃતિક પ્રભાવ છે.

વળી વિદ્વાનોની આંગળી પકડીને શોધખોળ કરી કે આ સંસ્કૃતિ શું છે? જવાબ મળ્યો કે સંસ્કૃતિ એક સતત બદલાતી રહેતી જીવંત ચીજ છે. જેમ શરીરમાં કોશો ક્ષણે ક્ષણે બદલાતા રહે છે એમ સંસ્કૃતિ પણ જીવંત શરીર જેવી છે. એની કોઈ સીમા નથી અને એ હવામાં ઊડીને એકથી બીજી જગ્યાએ જતી નથી. માનવી દ્વારા તે એકથી બીજી જગ્યાએ પહોંચે છે. અને જો માનવી દ્વારા સંસ્કૃતિ એકથી બીજી જગ્યાએ પહોંચતી હોય તો દેખીતી વાત છે કે માનવી દ્વારા બીજી સંસ્કૃતિઓ આવતી પણ હશે. ભારતમાં આવી પણ હશે. અભ્યાસ કરતાં ખબર પડી જેમ ભારતની સંસ્કૃતિ અફઘાનિસ્તાન અને ઇન્ડોનેશિયા સુધી પહોંચી છે તો બીજા દેશોની સંસ્કૃતિ ત્યાંના માનવીઓના ભારત આગમન દ્વારા ભારતમાં આવી છે. અને સંસ્કૃતિનો બીજો એક સ્વભાવ ધ્યાનમાં આવ્યો કે તેને અપનાવતા કે છોડવામાં કોઈ હીચક થતી નથી. તે સહેલાઇથી સામજિક પરિવેશ મુજબ બદલાતી રહે છે. આનો અર્થ એ થયો કે હિંદુ સંસ્કૃતિ જેવી કોઈ ચીજ જ અસ્તિત્વ નથી ધરાવતી, જે સંસ્કૃતિમાં આપણે જીવીએ છીએ એ ભારતીય છે અને તે મિલીજુલી છે.

એક વાર મેં આપણા મહામહોપાધ્યાય કે. કા. શાસ્ત્રી(જેઓ હિન્દુત્વવાદી હતા અને વિશ્વ હિંદુ પરિષદના ગુજરાત એકમના અધ્યક્ષ હતા)ને પૂછ્યું હતું કે તમે તો વૈષ્ણવ છો, છપ્પનભોગમાં જે ૫૬ મીઠાઈઓ ધરવામાં આવે છે એમાંથી વિદેશથી આવેલી મીઠાઈઓ કેટલી? તેમણ કહ્યું હતું કે અડધા કરતાં વધુ. કઈ મીઠાઈ ક્યાંથી આવી છે એ પણ તેમણે કહ્યું હતું. મ્લેચ્છોએ બનાવેલી મીઠાઈ હવેલી સુધી પહોંચી જાય એનું નામ સંસ્કૃતિ. સંસ્કૃતિને પગ અને પાંખ બન્ને હોય છે અને તેનું કાયમી ઘર પણ હોય છે. કહેવાતી હિંદુ સંસ્કૃતિનું ભારત એ કાયમી નિવાસસ્થાન છે, પણ એ શુદ્ધ રૂપમાં હિંદુ નથી. એણે ખૂબ વિચરણ કર્યું છે, ખૂબ આપ્યું છે અને લીધું છે. હમણાં કહ્યું એમ મ્લેચ્છોની મીઠાઈને હવેલી સુધી પહોંચાડી છે. ટૂંકમાં લેવડદેવડ સંસ્કૃતિઓને સમૃદ્ધ બનાવે છે.

બોક્સ ઊઘાડ્યું તો એ પણ જાણવા મળ્યું કે ભારતમાં જેટલી વિવિધતા છે એટલી જગતના બીજા કોઈ દેશમાં નથી. આનું કારણ ભારતની ભૂમિ છે. એ સમશીતોષ્ણ છે એટલે જીવન આકરું નથી, પરિણામે વિવિધ પ્રજાઓને આકર્ષે છે. હાડમારી કોઈને ગમે? જ્યાં જીવન આસાન હોય ત્યાં માણસ જવાનો છે. આમ હજારો વરસ દરમ્યાન અનેક પ્રજાઓ ભારતમાં આવી છે અને તેણે ભારતીય સંસ્કૃતિની રંગોળી બનાવી છે. એમાં ગણ્યા ગણાય નહીં એટલા રંગો છે. જો સાઈબીરિયન પક્ષી ભારતમાં આવતાં હોય તો પ્રજા ન આવે એવું બને?

અને બોક્સ ઊઘાડયું તો એ પણ જાણવા મળ્યું કે સતત ગ્રહણ કરવાની, સતત બદલાતા રહેવાની ભારતની પ્રજાની ક્ષમતાને કારણે ભારતની સંસ્કૃતિ ટકી રહી છે. ભારતની પ્રજાનું લેવડદેવડનું સાંસ્કૃતિક સંસ્કૃતિનું લચીલાપણું ભારતની સંસ્કૃતિને જીવાડી રાખે છે. ઉર્દૂ કવિ ઇકબાલે કહ્યું છે : કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી. એ કુછ બાત છે લચીલાપણું. જે બરડ હોય એ તૂટે.

જ્યારે મેં બોક્સ ઊઘાડયું અને સાચાં ભારતનાં દર્શન કર્યા એ પછી નકશો, ધ્વજ અને રાષ્ટ્રગીત દ્વારા હું ગદગદ થતો નથી. આ ત્રણેયનો દેશની પ્રજાને બરડ બનાવવા માટે, આગ્રહી બનાવવા માટે, આક્રમક બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. માટે રાષ્ટ્રવાદ એ રાજકીય ઉપક્રમ છે, સાંસ્કૃતિક નથી. ઉસ્તાદ અમીર ખાંનો રાગ મારવા સાંભળીને આંખમાં ઝળઝળિયાં આવી જાય એ સંસ્કૃતિ અને મુસ્લિમ નામ સાંભળીને અણગમો પેદા થાય એ રાજકારણ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 14 ઍપ્રિલ 2024

Loading

રામદેવ અને પતાંજલિ : ધર્મ, ધંધો તથા રાજકારણની બોગસ સાંઠગાઠનું ગોટાળાસન

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 April 2024

ચિરંતના ભટ્ટ

અમુક યોગાસન એવા હોય કે એ માળા ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પતે છે એ સમજાય નહીં. પતાંજલિને નામે ચરી ખાનારા બાબા રામદેવે પણ એવા જબ્બર ગોટાળા કર્યા છે કે સમજાય નહીં કે આ કૌભાંડની શરૂઆત અને અંત ક્યાં? ‘યોગા સે હી હોગા’ બોલી બોલીને અડધા ઉઘાડા શરીરે જાતભાતના યોગ કરનારા બાબા રામદેવ કસરત કરતા રહેત, કરાવતા રહેત તો ચાલત પણ આ ‘બાબા’ની મહત્ત્વાકાંક્ષાઓ બે બરણી ચ્યવનપ્રાશ ઝાપટીને સુપરમેન થઇ જવાની હતી – એટલે કે આ ભગવાધારીએ પોતાની જાતને આયુર્વેદ, યોગ, રાજકારણ બધામાં જ ઝંપલાવ્યું. જ્યાં જરૂર નહોતી ત્યાં ય બકવાસ કર્યો અને પછી પગનો અંગૂઠો મ્હોમાં લઇને ચૂપ થઇ જવું પડે એ વાળું આસન કરવાનો વારો આવ્યો. દેશની સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવની વિશ્વસનીયતા પર, પતાંજલિની પ્રોડક્ટ્સની જાહેરાતોમાં કરાતા દાવાઓ પર, પતાંજલિ કંપની અને તેના ‘માણસો’ દ્વારા એલોપથિની દવાઓ અંગે ફેલાવાતી બોગસ માહિતીઓ અંગે એવા સવાલો કર્યા કે  જાહેરાતો બંધ કરી દેવાનો વારો આવ્યો.

બાબા રામદેવની કંપની પતાંજલિના જાતભાતના ઉત્પાદનો આપણને જે વચન આપે છે અને એ પૂરાં કરવામાં સરિયામ બોગસ સાબિત થાય છે એવા જ વચનો આ બાબાએ પણ આપ્યા. કાળું નાણું તો ભા.જ.પા. સરકાર સત્તા પર આવશે એના 100 જ દિવસમાં પાછું લાવીને લોકોને વહેંચી આપવાની વાતે બાબા રામદેવ એવા ચગ્યા એવા ચગ્યા કે ના પૂછો વાત! ભા.જ.પા.ની સરકાર બે વાર સત્તા પર આવી. કાળુ નાણું શવાસનમાં રહ્યે રહ્યે જ સૂઇ ગયું છે અને જ્યાં છે ત્યાં જ છે. ભા.જ.પા.ના પ્રચારક – દલાલ – ભેર તાણાનાર – તરીકે બાબા રામદેવે લાંબો સમય સુધી સેવાઓ આપી. ધાર્મિક ટેલિવિઝન ચેનલ્સ પર રામદેવે પોતાનો અને પોતાની રાજકીય વિચારધારાનો યોગના સહારે ભારે પ્રચાર કર્યો. યોગની નારિયેળી પર સડસડાટ ચઢી જઇને રામદેવે પોતાને પૂરતા ‘ફેમસ’ કરી દીધા હતા. આ બધું પતાંજલિને બ્રાન્ડ તરીકે લૉન્ચ કરતા પહેલાનું માર્કેટિંગ હતું. ભા.જ.પા.ની વાહવાહી કરવાનો લાભ એ થયો કે બાબા રામદેવને અને તેમના જે પણ અગડંબગડં કામ હતાં તેની પર ભા.જ.પા.ના નેતાઓએ માન્યતાનો સિક્કો માર્યો.

2006માં પતાંજલિ ભારે જોરશોરથી લૉન્ચ થયેલી બ્રાન્ડ હતી અને એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભા.જ.પા.ના નેતાઓએ પણ કામ કર્યું. રાજકારણ પણ પ્રેમ જેવું જ હોય છે – બન્ને બાજુથી હોય તો જ ચાલે. આયુર્વેદિક, સ્વાસ્થ્યલક્ષી, નિર્દોષ વગેરે લેબલથી તંદુરસ્તી પ્રત્યે જાગૃત થયેલી જનતાને આકર્ષણ થયું અને કોઇએ લાંબુ વિચાર્યું નહીં. કોઇએ એવું ય ન જોયું કે મોટાભાગની ચીજો તો કોઇ બીજી કંપનીની હતી પણ વેચાણ પતાંજલિને નામે થતું હતું. પતાંજલિના નામે વેચાતી કોઇપણ વસ્તુ પર ભરોસો ન કરી શકાય કારણ કે તેનું ઉત્પાદન તો કોઇ બીજી જ કંપની કરતી હતી અને તે કેવી રીતે બનાવવામાં આવતું હતું તેને વિશે કોઇ ચોખવટ નહોતી. ઉત્પાદનની શરૂઆત કરી ત્યારે તો પતાંજલિએ FMCGમાં ઝંપલાવ્યું. તમને યાદ છે ને કે નેસલેની ઇન્સ્ટન્ટ નુડલ્સ મૅગીના વિરોધમાં કેવું જોરદાર અભિયાન ચાલ્યું હતું? બાબા રામદેવે આ અરસામાં પતાંજલિ ઇન્સ્ટન્ટ નુડલ્સ લૉન્ચ કર્યા હતા. રામદેવે પોતાની પબ્લિસિટી કરવામાં કોઇ તમા ન રાખી, ટેલિવિઝન, રેડિયો, અખબારો – બધે આ ભગવાધારીએ પોતાનો ચહેરો પાથર્યો. કહેવાય છે કે પતાંજલિનું જાહેરાતનું વાર્ષિક બજેટ 400 કરોડ હતું. રામદેવે પોતાની કંપનીની બ્રાન્ડ ખડી કરવામાં આપણાં શાસ્ત્રો, દાનમાં જતો નફો વગેરે વાતો કરીને મજબૂત નેરિટવ ઊભું કર્યું. કંપનીને ફ્યૂચર ગ્રૂપ જેવા મોટા ગ્રૂપનો ટેકો મળ્યો. એક સમય પછી માંગ વધી અને પુરવઠો ખૂટ્યો કારણ કે પતાંજલિ પાસે ઉત્પાદન માટે પોતાનું કોઇ વ્યવસ્થિત માળખું તો હતું જ નહીં.  વળી જે ચાલતું હતું એને ચલાવવાને બદલે મંજનમાંથી કપડાં બનાવવાની હોડમાં પણ રામદેવે ઝંપલાવ્યું. પોકળ દાવા ખુલ્લા પડતા ગયા અને આખરે સુપ્રીમ કોર્ટે પતાંજલિ બ્રાન્ડને સાણસામાં ઝાલીને બરાબર કાન આમળ્યા છે.

વળી આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના રાજકીય એજન્ડા વચ્ચે રામદેવની જાહેરાતોમાં ભારતની આર્થિક આઝાદી માટે – એવા અર્થનો પ્રચાર પણ કરાતો. પોતાની જાહેરાતોમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતની સ્વદેશી ચળવળનો ઉલ્લેખ કરવામાં પણ રામદેવ ખચકાયા નહીં. રાષ્ટ્રવાદ, સ્વાતંત્ર સંગ્રામ, આર્થિક સ્વતંત્રતા જેવા લેબલ વાપરવામાં રામદેવનો સીધો એજન્ડા હતો ભા.જ.પા.નો આડકતરો પ્રચાર. સરકારે પણ ક્યારે ય સવાલ ન કર્યો કે પતાંજલિના ઉત્પાદનોની જાહેરાતોમાં સ્વાતંત્ર્ય સંગ્રામને લગતી બાબતો કે રાષ્ટ્રીય પ્રતીકોનો ઉપયોગ કેમ કરાતો હતો? આ તો છેતરપીંડી ભર્યા મૂડીવાદને માર્ગ મોકળો કરી આપવાની ઘટના થઇ ગઇ.

કોઇ યોગ ‘ગૂરૂ’ (ગુરુની જોડણીમાં જાણી જોઈને ભૂલ કરી છે, ઇન્સ્ટાગ્રામની ભાષામાં કહીએ તો #Iykyk – એટલે કે ઇફ યુ નો યુ નો…)એ રાજકારણની ગાદીના ‘આસન’ બનીને પથરાઇ જવાની શું જરૂર પડી હશે, ભલા? રામદેવને યોગ ગુરુ ગણવા, પતાંજલિ શરૂ કરનારા આંત્રપ્રિન્યોર કે બિઝનેસમેન ગણવા કે પછી રાજકારણી ગણવા? વળી ગુરુના ચેલા એટલે કે તેમના સહયોગી બાલકૃષ્ણ પતાંજલિ આયુર્વેદ લિમિટેડના 94 ટકા શેરના માલિક છે. આ સાબિત કરે છે કે પતાંજલિ કંપનીનો દાવો હતો કે જે નફો રળે છે એ દાન ધર્માદા માટે વપરાય છે એ પણ સાવ બોગસ હતો. કોર્ટ સામે હાથ જોડીને માફી માગ્યા પછી પણ હજી રામદેવને કોઇ રાહત નથી મળી અને કોર્ટે તો એ વાતની પણ નોંધ લીધી છે કે રામદેવ અને તેના ચેલાએ પહેલા તો મીડિયાને માફીનામું મોકલ્યું કોર્ટને નહીં જે બતાડે છે કે તેમને પોતાના પ્રચારમાં વધારે રસ છે. પતાંજલિ આયુર્વેદ લિમિટેડ સામે પગલાં ન લેવા બદલે સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને પણ સવાલ કર્યો છે કે ફરિયાદો મળવા છતાં લાઇસન્સિંગ ઇન્સ્પેક્ટરે ચૂપકીદી સેવી જે બતાડે છે કે સરકાર પણ તેમની સાથે મળેલી હોય એમ લાગે છે.

હકીકત એ છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે – આપણે ત્યાં એવું જ થયું છે. જે કોરોનાવાઇરસને નાથવા માટે વિશ્વના સર્વોત્તમ વૈજ્ઞાનિકો રાત-દિવસ એક કરીને કામ કરતા હતા તેની સારવાર રામદેવની પતાંજલિએ બહાર પાડી અને પાછું એમ પણ કહ્યું કે WHO દ્વારા માન્ય સારવાર છે. એ મામલે પણ તેમણે કાયદાકીય પગલાંનો સામનો કરવો પડ્યો હતો. રામદેવે એક બે જણને નહીં આખે આખા દેશને જ મૂરખ બનાવ્યો છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. એક સમયે સ્ત્રીઓનાં સુરવાલ કુર્તા અને દુપટ્ટામાં પોતાની જાતને છુપાવતા કાળાં નાણાં માટેની ચળવ રામદેવે યુ.પી.એ. સરકાર તેમને મારી નાખવા માગે છેનું ગાણું પણ ચલાવ્યું હતું. આ એ જ રામદેવ છે જેણે એવો દાવો કર્યો હતો કે સજાતીયતા એક રોગ છે જેને સાજા કરવાનો ઇલાજ તેમની પાસે છે. કમનસીબે જનતાને આવી છીછરી, પાયા વગરની વાતોમાં રસ પડે છે. ચંદ્રયાન પર ખુશ થનારા આપણને ધર્મગુરુઓની દાનત પર શંકા નથી કરવી. અંધશ્રદ્ધા અને તાર્કિક વિચારસરણીને નબળા પાડનારા ધુતારાઓ પોતાના આશ્રમો ચલાવે છે, યોગનો બિઝનેસ કરે છે અને રાજકારણીઓ તેમને સાચવી લે છે કારણ કે અંતે આડકતરા પ્રચારમાં તેમને જ માધ્યમ બનાવવામા આવશે. આ બધું ય હોવા છતાં આપણા સમાજને તો સવાલ પૂછનારા દરેક સામે વાંધો છે, જેમ કે ગૌરી લંકેશ, ડૉ. નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસારે, એમ.એમ. કલબુર્ગી – આ લોકો આપણી વચ્ચે હવે નથી રહ્યાં – તેમની હત્યા કરાઇ છે.

બાય ધી વેઃ

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ધર્મગુરુઓનો પ્રભાવ ભારતના રાજકારણ અને સમાજ બન્નેમાં વધ્યો છે. આમે ય રાજકારણીઓ(પછી તે કોઇપણ પક્ષનાં હોય)ને ધર્મગુરુઓ અને બાવાઓ સાથે સારું ફાવે છે ને હિંદુવાદને એજન્ડા બનાવનારી સરકારને તો ખાસ. વળી કેટલા બધા કહેવાતા ધર્મગુરુઓ જેમ કે ગુરમીત રામ રહીમ, આસારામ બાપુ, નિત્યાનંદ સ્વામી, જયેન્દ્ર સરસ્વથી સ્વામીગલ સામે જાતભાતના ગેરરીતિના આક્ષેપો થયા છે – આ આક્ષેપોમાં બળાત્કાર, હત્યા, મની લોન્ડરિંગ જેવા અનેક ગુનાઓ સામેલ છે. વળી ઘણા બધા ધર્મગુરુઓએ તગડી ધન-સંપત્તિ પણ ભેગી કરી છે. સાદગીની વાતો કરનારા કરોડોની કાર્સમાં ફરે છે. ચૂંટણીનો સમય છે એટલે વરસાદી દેડકાંની માફક ધર્મગુરુઓ પણ મોટી સંખ્યામાં સપાટી પર આવીને કૂદકાં મારવાના છે. સજાગ સમાજે દંતકાંતીથી દાતણ કરવાનું બંધ કરવું જોઇએ, ખુલ્લા મ્હોંએ આ બાવાઓની વાતો સાંભળવાને બદલે આંખો ખોલીને વાસ્તવિકતા જોવાનો પ્રયત્ન કરવો જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 ઍપ્રિલ 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—243

દીપક મહેતા|Opinion - Opinion|13 April 2024

મુંબઈમાં એક નહિ, અગિયાર ફોર્ટ હતા!     

શુકજી કહે : સાંભળ ભૂપતિ! સુદામે દીઠી મુંબાપુરી;
કનકકોટ ઝળકારા કરે, માણેક–રત્ન જડ્યાં કાંગરે.
દુર્ગે ધજા ઘણી ફડફડે, દુંદુભિનાદ દ્વારે ગડગડે;
સુદર્શન કર લશ્કરને સોહે, ગંભીર નાદ સાગરના હોયે.
કલ્લોલ સાગર–સંગમ થાય, ચતુર્વર્ણ ત્યાં આવી ન્હાય;
પરમ ગતિ પ્રાણી પામે ઘણા, નથી મુંબાપુરીમાં મણા.

કવિવર્ય પ્રેમાનંદ ૧૯મી સદીમાં હયાત હોત અને ‘સુદામાચરિત’ લખતા હોત, તો કદાચ તેઓ સુદામાને દ્વારકાને બદલે મુંબઈ લઈ ગયા હોત, અને મુંબઈના કિલ્લા વિષે આવું કશુંક લખતા હોત. આપણામાં કહેવત છે કે સાપ ગયા ને લિસોટા રહ્યા. પણ મુંબઈના કોટ કહેતાં ફોર્ટના તો ક્યાં ય લીસોટા ય રહ્યા નથી. ફક્ત એક વિસ્તાર આજે પણ ફોર્ટ કે કોટ તરીકે ઓળખાય છે. હકીકતમાં મુંબઈમાં એક નહિ, અગિયાર ફોર્ટ કહેતાં કોટ હતા. જૂદે જૂદે વખતે બંધાયેલા : વરળી, માહિમ, બાંદરા, ધારાવી, રીવા (ધારાવી), શિવ (સાયન), શિવડી, મઝગાંવ, ડોંગરી, ફોર્ટ સેન્ટ જ્યોર્જ, અને બોમ્બે ફોર્ટ. તેમાંના ઘણાખરા ૧૭મી અને ૧૮મી સદીમાં બંધાયેલા. પણ મઝગાંવ, શિવડી, શિવ, અને માહિમના કિલ્લાના ઉલ્લેખ ૧૬મી સદીના સાહિત્યમાં પણ જોવા મળે છે. વખત જતાં ડોંગરી, મઝગાંવ અને બોમ્બે ફોર્ટ તોડી પાડવામાં આવ્યા, અને તેનું નામોનિશાન રહ્યું નથી. બાકીના ખંડેર બનીને ઊભા છે.

ગાર્સિયા દ ઓર્તા

આ બધા કિલ્લામાં બોમ્બે ફોર્ટ સૌથી વધુ મોટો, સૌથી વધુ જાણીતો. પણ એ બાંધવાની શરૂઆત એક પોર્ટુગીઝ ડોકટરે કરેલી. એનું નામ ગાર્સિયા દ ઓર્તા. ૧૫૦૧માં પોર્તુગાલમાં જન્મ. અવસાન ગોવામાં ૧૫૬૮માં. વ્યવસાયે ડોક્ટર. પણ જડીબુટ્ટી, વનસ્પતિ, કુદરતી ઔષધો, વગેરેનો ઊંડો અભ્યાસી. સ્પેન જઈને વૈદક, કલાઓ, અને ફિલસૂફીનો પણ અભ્યાસ કર્યો. ૧૫૨૫માં પોર્તુગાલ પાછો આવ્યો. લિસ્બોઆમાં ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતો થયો. નામના એવી મેળવી કે રાજાનો ખાસ દાકતર બન્યો. પણ પોર્ટુગાલના ધરમના ખેરખાંઓ સાથે અનબન. જીવનું જોખમ જણાતાં ૧૫૩૪માં માદરે વતન છોડી પોર્તુગીઝ હિન્દુસ્તાન આવ્યો, અને પહેલાં ગોવામાં રહી ડોકટરી વ્યવસાય શરૂ કર્યો. પોર્તુગલના રાજાની રહેમનજર તો હતી જ. સાવ મામૂલી ભાડાથી ‘ધ આયલેંડ ઓફ ગૂડ લાઈફ’માં આજીવન જમીન ભેટ આપી. આ ‘આયલેન્ડ ઓફ ગૂડ લાઈફ’ તે જ આપણું મુંબઈ. આજે જ્યાં ટાઉન હોલ ઊભો છે તેનાથી થોડે દૂર આવેલી હતી આ જગ્યા. અહીં આવીને તેમણે સરસ બંગલો બાંધ્યો. સાથે બગીચો. ઘરમાં મોટું પુસ્તકાલય. આ બંગલો હતો દરિયા કિનારે. અને એ વખતે દરિયાઈ ચાંચિયાઓનો ભય. એટલે ઘરની આસપાસ ઊંચી દીવાલ બાંધી. પણ પછીથી મુંબઈની પોર્ટુગીઝ સરકારે આ જગ્યા લઈ લીધી અને ત્યાં નાનો કિલ્લો બાંધ્યો. કિલ્લા પર હતી ફક્ત બે તોપ. બે પાઉન્ડ વજનના ગોળા છોડી શકે તેવી. બંનેનું મોઢું રહેતું દરિયા તરફ. એટલે જમીન તરફથી હુમલો થાય તો આ તોપ કામ ન લાગે. અને આમ પણ એ બહુ કામ લાગે તેમ નહોતું. કારણ એ કિલ્લામાં તોપ હતી, પણ તોપચી એક્કે નહોતો!

બોમ્બે કાસલનો દરવાજો 

મુંબઈ અંગ્રેજોના હાથમાં આવ્યું પછી તેમણે આ કિલ્લાનું નામ રાખ્યું બોમ્બે કાસલ. મૂળ મકાનની આસપાસ અંગ્રેજોએ વધુ મોટી અને મજબૂત દીવાલ બાંધી. મુંબઈના બીજા ગવર્નર જેરાલ્ડ ઓન્ગિયાર સુરતથી મુંબઈ આવતા ત્યારે આ બોમ્બે કાસલમાં જ રહેતા. આજે ફક્ત એક દરવાજો અને એક સન ડાયલ – સૂર્ય ઘટિકા – એ બે જ અવશેષો બચ્યા છે. અને એ બંને ભારતીય નૌકાસૈન્યના આઈ.એન.એસ. આંગ્રેના વિસ્તારમાં આવેલા છે. એ જોવા જવા માટે ખાસ મંજૂરી લેવી પડે છે.

બોમ્બે કાસલમાં આવેલું સન ડાયલ 

પોર્ટુગીઝોએ મુંબઈ અંગ્રેજોને દાયજામાં આપ્યું તો ખરું, પણ મુંબઈની પોર્ટુગીઝ સરકારે મુંબઈનો વહીવટ અંગ્રેજોને સોંપતાં પહેલાં ઘણા અખાડા કર્યા. ગોવા, લંડન અને લિસ્બોઆ વચ્ચે ઘણી લખાપટ્ટી ચાલી. છેવટે ૧૬૬૫ના જાન્યુઆરીની ૧૪મી તારીખે પહેલવહેલા અંગ્રેજ ગવર્નર હમ્ફ્રી કૂકે પોર્ટુગીઝ સરકાર પાસેથી મુંબઈનો કબજો આપવા માટેનો કરાર મેળવ્યો તે આ નાના કિલ્લામાં. કબજો લીધા પછી તેઓ કિલ્લામાં અને કિલ્લાની બહાર પણ થોડું ચાલ્યા, વાંકા વળી થોડી ધૂળ ઉપાડી, કિલ્લા અને તેના બુરજો પર ફર્યા, કિલ્લાની દીવાલોને પોતાના હાથોથી સ્પર્શ કર્યો, પછી કિલ્લાની બહાર આવી ફરી ત્યાંની થોડી ધૂળ ઉપાડી. 

બોમ્બે કાસલ – દરિયા તરફથી જોતાં

પોર્ટુગીઝોએ બાંધેલો નાનકડો કિલ્લો જોતાં વેંત કૂકને ખ્યાલ આવી ગયો કે મુંબઈનું રક્ષણ કરવા માટે આ કિલ્લો ઝાઝો કામ આવે તેવો નથી. એટલે તેમણે ૫૦ મીટર લાંબી દીવાલ બંધાવી અને તેના પર ૨૦ તોપ બેસાડી. તેમાંની કેટલીકનાં મોઢાં દરિયા તરફ, તો કેટલીકનાં જમીન તરફ. કારણ કૂક જાણતા હતા કે મુંબઈને જેમ દરિયા તરફથી વલન્દાઓનો અને ચાંચિયાઓનો ભય છે, તેમ જમીન બાજુથી મરાઠાઓનો પણ ભય છે. 

આ ઐતિહાસિક પ્રસંગે મુંબઈનો કબજો આપવા પોર્ટુગીઝો તરફથી હાજર કોણ હતા? વસઈના વહીવટી આધિકારીઓ, ન્યાયાધીશ, અને બીજા અમલદારો. મુંબઈની સત્તાની ફેરબદલી અંગેનો દસ્તાવેજ બનાવ્યો હતો વસઈના પોર્ટુગીઝ નોટરી પબ્લિક એન્ટોનીઓ મોન્ટેરિયો દ ફોન્સેકાએ. વસઈના પોર્ટુગીઝ લશ્કરના વડા વાલેન્તીનો સ્વારેસ પણ હાજર હતા. સહી સિક્કા થઈ ગયા પછી ૧૬૬૫ના ફેબ્રુઆરીની ૧૮મી તારીખે કૂકે મુંબઈનો વહીવટ ગ્રેટ બ્રિટનના તાજના પ્રતિનિધિ તરીકે સંભાળી લીધો. મુંબઈનો કબજો લીધા પછી તેના રક્ષણ માટે બ્રિટિશ લશ્કરને તહેનાત કરવામાં આવ્યું. તેમાં ૯૭ સૈનિકો ઉપરાંત એક વડો અધિકારી, ૪ સાર્જન્ટ, ૬ કોર્પોરલ, ૪ પડઘમ વગાડનાર, એક તોપચીનો સાથી, એક તોપનું સમારકામ કરનાર, વગેરેનો સમાવેશ થતો હતો. સૈનિકોની આ ટુકડી પાસે કુલ ૨૨ તોપ હતી અને ૮૭૮ તોપના ગોળા હતા. 

અચ્છા, એટલે કે સત્તાનો ફેરબદલો વગર મુશ્કેલીએ પાર પડી ગયો. ના રે ના. પોર્ટુગીઝ સત્તાવાળાઓએ હવે જ ખરું પોત પ્રકાશ્યું. મુંબઈ દાયજામાં આપ્યું એનો અર્થ અંગ્રેજોએ એવો કરેલો કે મુંબઈના સાતે ટાપુ આપણા થઈ જશે. પણ મુંબઈના પોર્ટુગીઝ સત્તાવાળાઓએ સાફ સંભળાવી દીધું કે આવી કોઈ વાત અમને જણાવાઈ નથી. તમને મુંબઈનો કબજો સોંપવાનો છે એટલે મુંબઈ નામના એક જ ટાપુની વાત છે. મઝગાંવ, પરળ, વરળી જેવા બીજા ટાપુઓ સોંપવાની તો વાત જ નથી. કારણ એ દરેક સ્વતંત્ર ટાપુ છે, મુંબઈના ટાપુ સાથે જોડાયેલા નથી, કે નથી મુંબઈના આશ્રિત. ફરી દલીલબાજી અને લખાપટ્ટી. સાથોસાથ મુંબઈના ટાપુ પરથી બીજા ટાપુઓ પર અંગ્રેજ લશ્કરનો પગદંડો. 

કૂકની દશા તો સૂડી વચ્ચે સોપારી જેવી. એક બાજુ પોર્ટુગીઝો રોજ નવી નવી મુશ્કેલી ઊભી કરે. બીજી બાજુ હજારો માઈલ દૂર બેઠેલા ગ્રેટ બ્રિટનના સમ્રાટ નારાજ થાય કે આ માણસ તો બહુ ઢીલો છે. બધા ટાપુનો તાબો લઈ શકતો નથી. હવે? સર જર્વેઝ લુકાસને મોકલો મુંબઈના ગવર્નર તરીકે. પગાર ઠરાવ્યો દિવસના બે પાઉન્ડ. ૧૬૬૬ના નવેમ્બરની પાંચમીએ ગવર્નર લુકાસે મુંબઈની ધરતી પર પગ મૂક્યો. તેમની નિમણૂક કરતા પત્રમાં અંગ્રેજોની સુરત ખાતેની કોઠીને આદેશ અપાયો હતો કે લુકાસને જરૂર હોય ત્યારે ૧,૫૦૦ પાઉન્ડ સુધીની રકમ ધીરવી. નવા ગવર્નરે પહેલું કામ કર્યું કૂક પર જાતજાતના આરોપો મૂકવાનું. તેણે તાજ સાથે દગો કર્યો છે, લાંચ રૂપે મોટી મોટી રકમ પડાવી છે, માટે એને નાખો જેલમાં. પણ કૂક કાંઈ ગાંજ્યો જાય એવો નહોતો. હાથતાળી આપીને થઈ ગયો ગોવા ભેગો, અને મળતિયો બની ગયો પોર્તુગીઝોનો. મુંબઈને ‘જીતવા’ માટે લશ્કર ઊભું કરવાના પ્રયત્નો કરવા લાગ્યો. બ્રિટિશ તાજે ૧૬૬૮માં તેને રાજદ્રોહી જાહેર કર્યો. 

ગવર્નર લુકાસે પહેલું કામ કર્યું લશ્કરને વધુ મજબૂત બનાવવાનું. બીજી કેટલીક યોજનાઓ પણ હતી મનમાં. પણ ત્યાં તો ૧૬૬૭ના મે મહિનાની ૨૧મી તારીખે તેમનું અણધાર્યું અવસાન થયું. કેપ્ટન હેન્રી ગેરી ૧૬૬૭થી ૧૬૬૮ સુધી મુંબઈના ગવર્નર બન્યા. મુંબઈના કિલ્લાને વધુ મજબૂત કરવાની શરૂઆત તેમણે કરી. પણ પછી બ્રિટનના રાજવીએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મુંબઈ ભાડે આપી દીધું એટલે ૧૬૬૮ના સપ્ટેમ્બરની ૨૩મીએ હેન્રી ગેરીની રાજવટ પૂરી થઈ. જો કે તે પછી પણ ઘણા વખત સુધી તેઓ મુંબઈમાં જ રહ્યા. 

મુંબઈની મહેસૂલની આવક એટલી તો ઓછી હતી કે ગ્રેટ બ્રિટનના તાજને મુંબઈ ગળે વળગેલા ઘંટીના પડ જેવું લાગવા માંડ્યું. મુંબઈ, મઝગાવ, માહિમ, પરળ, વડાળા, અને વરળી, આ છ ટાપુની કુલ વાર્ષિક આવક બાવન હજાર રૂપિયા જેટલી જ હતી. ૧૬૬૭ના સપ્ટેમ્બરની ૨૧મી તારીખે ગ્રેટ બ્રિટનના તાજ તરફથી મુંબઈની સોંપણી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને કરવામાં આવી. અને તે દિવસથી જ્યોર્જ ઓક્સેનડન સુરતની ફેક્ટરીના પ્રેસિડન્ટ ઉપરાંત મુંબઈના ગવર્નર અને કમાન્ડર ઇન ચીફ બન્યા. જો કે તે મુંબઈમાં નહિ, પણ સુરતમાં જ રહેતા હતા. એટલે તેમણે મુંબઈમાં રહેવા માટે ડેપ્યુટી ગવર્નરની નિમણૂક કરી. ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખે સુરતમાં ઓક્સેનડનનું અવસાન થયું. 

તેમના પછી મુંબઈના ગવર્નર બનેલા જેરાલ્ડ ઓન્ગિયાર ખરા અર્થમાં મુંબઈના દૃષ્ટા અને સ્રષ્ટા બની રહ્યા. મોટા ભાગનો વખત મુંબઈમાં – સુરતમાં નહિ – રહેનાર તેઓ પહેલા ગવર્નર. ૧૬૪૦માં જન્મ, ૧૬૭૭ના જૂનની ૩૦મીએ સુરતમાં અવસાન. મુંબઈને એક બહુ મોટા વેપારી કેન્દ્ર તરીકે વિકસાવી શકાય તેમ છે એ વાત તેમના ધ્યાનમાં આવી. બહારથી આવતા વેપારીઓને સગવડો આપવા ઉપરાંત તેમની ધાર્મિક બાબતોમાં દખલ ન કરવાની લેખિત બાયધરી પણ તેમને આપી. આ ઉપરાંત મુંબઈના વહીવટ માટે કાયદા અને નિયમ બનાવ્યા. અને કાયદાનો અમલ કરાવવા માટે અદાલતો સ્થાપી. સર જોન માલ્કમને લખેલા એક પત્રમાં ઓન્જિયારે લખ્યું હતું : “સવારથી રાત સુધી મારી ઓફિસનો ઓરડો ધોરી માર્ગ જેવો હોય છે. નથી હોતા કોઈ મુનશી કે દીવાન, નથી હોતા દુભાષિયા કે ચોકીદાર. તેનાં ચારે બારણાં ખુલ્લાં હોય છે. જેને આવવું હોય તે આવી શકે છે. મારી સાથે વાત કરી શકે છે કે મને ફરિયાદ કરી શકે છે.”

મુંબઈના રક્ષણ માટે કિલ્લાને વધુ મજબૂત અને સાધનસંપન્ન બનાવવો જોઈએ તે ઓન્જિયાર જાણતા હતા. પણ તેઓ ગવર્નરપદે રહ્યા ત્યાં સુધી એ અંગે ઝાઝું કરી શક્યા નહિ. એ કામ કર્યું ગવર્નર ચાર્લ્સ બુને. ૧૭૧૫માં શરૂ થયેલું આ કામ ૧૭૨૨માં પૂરું થયું. અને ઊભો થયો બોમ્બે ફોર્ટ, જેને દેશી લોકો ‘કોટ’ તરીકે ઓળખતા. દાયકાઓ સુધી ‘મુંબઈ’ એટલે આ કિલ્લાની અંદર વસેલું શહેર એવું મનાતું. કિલ્લા બહારનું મુંબઈ ‘બહાર કોટ’ તરીકે ઓળખાતું. 

મુંબઈનો આ ફોર્ટ કહેતાં કોટ કેવો હતો, તેની અંદર અને બહાર રહેતા લોકો, તેમની રહેણીકરણી, વગેરે વિશેની વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 એપ્રિલ 2024)

Loading

...102030...597598599600...610620630...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved