Opinion Magazine
Number of visits: 9457311
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અર્થશાસ્ત્રીઓ દવાની સચ્ચાઈ વિના જ ડોક્ટર હોવાનો દાવો કરે છે! 

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|14 April 2024

સત્તા અને અર્થશાસ્ત્ર: ભાગ – ૭

રોબર્ટ સ્કિદેલસ્કી

માર્ક્સવાદીઓએ બહુ જ સ્પષ્ટ વાત કરી છે. કાર્લ માર્ક્સ લખે છે કે, “ભૌતિક ચીજોનું ઉત્પાદન બદલાય તેના પ્રમાણમાં બૌદ્ધિક ઉત્પાદન બદલાય છે, એ સિવાય વિચારોનો ઇતિહાસ બીજું શું પુરવાર કરે છે?” એમનો આરોપ એ છે કે મૂડીવાદી સમાજમાં જેમની પાસે સત્તા છે તેઓ મીડિયા, રાજકીય વ્યવસ્થા અને શૈક્ષણિક વ્યવસ્થા દ્વારા એવા વિચારોનો પ્રવાહ સર્જવા શક્તિમાન બને છે કે જે કામદાર વર્ગના વર્તનની તેમને અનુકૂળ આવે એવી તરાહ જન્માવે છે. પરંતુ આ તરાહ કામદાર વર્ગનાં વસ્તુલક્ષી હિતોની વિરુદ્ધ હોય છે.

નિશ્ચિત રીતે કહીએ તો, આ વિચારો એવા હોય છે કે જે કામદાર વર્ગને કામની સ્થિતિ, વેતન, દેવાના કરારો, જીવનશૈલી અને વપરાશનાં જે સ્વરૂપો છે તે સ્વીકારી લેવા તરફ લઈ જાય છે, અને તે તેમનાં પોતાનાં હિતોની જ વિરુદ્ધ હોય છે.

માર્ક્સવાદીઓ કહે છે કે અર્થશાસ્ત્ર તેની વૈજ્ઞાનિક કહેવાતી રજૂઆતો દ્વારા વિવિધ બાબતોનું સાચું સ્વરૂપ છુપાવીને મૂડીવાદી વર્ગનાં હિતોને પોષે છે. પરિણામે લોકો તેને વિચારધારા કે રાજકારણ સાથે જોડાયેલી બાબત તરીકે જોતા નથી, પણ ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રની જેમ કશીક વસ્તુલક્ષી બાબત તરીકે જોતા થઈ જાય છે.

એ કંઈ સહેજે યોગાનુયોગ નથી કે, અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે એવી બાબતના સ્વીકાર સાથે કોઈ પણ દેશની કેન્દ્રીય બેંકની સ્વતંત્રતાની નીતિ નક્કી થાય છે. એ રીતે જોતાં, કેન્દ્રીય બેંકના નિર્ણયો રાજકીય સ્વરૂપના હોય છે તેના કરતાં વધુ ટેક્નિકલ સ્વરૂપના હોય છે.

હેમન્તકુમાર શાહ

વર્ગીય હિતોથી પર, સમગ્ર સમાજનાં હિતમાં કામ કરતા વર્ગ જેવું કોઈ ટેક્નોક્રેટિક જૂથ હોય છે એવી વાતને માર્ક્સવાદી પરંપરામાં જોરદાર પડકાર ફેંકવામાં આવ્યો છે. જર્મન સમાજશાસ્ત્રી વોલ્ફગેંગ સ્ટ્રિક એમ કહે છે કે, “મૂડીવાદ અને લોકશાહી વ્યક્તિગત રીતે અને બંને ભેગાં થઈને પણ અમુક વર્ગો અને વર્ગીય હિતોનાં સંયોજનોનું પરિણામ છે. એ સંયોજનો ઐતિહાસિક પ્રક્રિયામાંથી જન્મ્યાં છે, એ કોઈક બૌદ્ધિક ડિઝાઇનથી ચાલતાં નથી પરંતુ જુદા જુદા વર્ગો વચ્ચે રાજકીય ક્ષમતાની થયેલી વહેંચણીથી ચાલે છે.”

જ્હોન મેનાર્ડ કેઇન્સ દ્વારા અર્થશાસ્ત્રમાં જે ક્રાંતિ થઈ તેમાં વધુ ને વધુ સંગઠિત થતા કામદાર વર્ગ અને બચાવ પક્ષે રહેલા મૂડીવાદી વર્ગ વચ્ચેનાં બળોનું સંતુલન જ રજૂ થાય છે.

અર્થશાસ્ત્ર એક નક્કર વિજ્ઞાન છે એવો દાવો એક તરકટ છે. અર્થશાસ્ત્રની મોટા ભાગની બાબતોનો ઇન્કાર થઈ શકતો નથી અને તે ચકાસી પણ શકાતી નથી. જો એમ જ હોય તો, આર્થિક સિદ્ધાંત વિજ્ઞાનની અધિકૃતતામાં ફસાઈ ગયેલો અભિપ્રાય જ કહેવાય.

આપણે ડોક્ટર પર વિશ્વાસ મૂકીએ છીએ કારણ કે તેમની પાસે વિજ્ઞાન છે. જો કે, માઈકલ ફૂકો જેવા સત્તા વિશેના સિદ્ધાંતકારો તો એમ પણ કહે છે કે તબીબી વ્યવસ્થા પણ આંશિક રીતે સામાજિક અંકુશ માટેનું સાધન છે. અર્થશાસ્ત્રીઓ દવાની સચ્ચાઈ વિના જ અધિકૃત ડોક્ટર હોવાનો દાવો કરે છે.

તેમ છતાં, માર્ક્સવાદી આરોપ આંશિક રીતે જ સાચો છે. સત્તા અને વિચારો વચ્ચેનો સંબંધ સીધોસાદો ઉપર-નીચેનો સંબંધ નથી. વળી, અર્થશાસ્ત્રનો પોતાનો કોઈ એજન્ડા પણ હોતો નથી. રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અમલદારો જેવા લોકો વિચારોના વપરાશકારો હોય છે, ઉત્પાદકો નહિ. સ્થાપિત હિતો તેમની પસંદગીઓ માટે જે બૌદ્ધિક બચાવ રજૂ કરવામાં આવે છે તે લાદવાની સ્થિતિમાં હોતાં નથી, ભલે તેમની તેવી ક્ષમતા હોય.

આમ, મુક્ત બજાર જ યોગ્ય છે એમ જ્યારે અર્થશાસ્ત્રીઓ કહે છે ત્યારે એ સામાન્ય (general) બાબત છે અને સાથે સાથે ઉદ્યોગપતિઓના વર્ગ દ્વારા જે ઘેરાવો લેવામાં આવે છે તે ઘેરાવા સાથેની બાબત પણ છે. દા. ત. અર્થશાસ્ત્રીઓએ હંમેશાં વૈશ્વિક વેપારમાં સંરક્ષણવાદ (protectionism) અને ઇજારાનો વિરોધ કર્યો છે, અને તેને અમુક ઉદ્યોગપતિઓએ ભારે સમર્થન આપેલું હોય છે. 

સ્રોત: 
લેખકનું પુસ્તક : What is Wrong with Economics?
પ્રકરણ : Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઝાંસી કી રાની : સોહરાબ મોદીનું એક ઐતિહાસિક રંગીન સપનું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 April 2024

રાજ ગોસ્વામી

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં, મહિલા સેનાનીઓની વાત આવે ત્યારે, સૌથી પહેલું અને સૌથી ઉપર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું નામ આવે છે. લક્ષ્મીબાઈ મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી હતી. તે સન 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતી. તેનો જન્મ મહારાષ્ટ્રના કરાડા બ્રાહ્મણ જ્ઞાતિના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ મોરોપંત બલવંતરાવ તાંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું. તે નાનપણમાં ઘોડેસવારી, હાથી ઉપર સવારી, તલવારબાજી, તીરંદાજી તથા બંદૂકનો ઉપયોગ કરતાં શીખી હતી. તેનો વિવાહ સન ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકરની સાથે થયો, અને તે રીતે તે ઝાંસીની રાણી બની હતી.

1857ના બળવા વખતે, ઝાંસીને બચાવવા માટે લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે જે લડત આપી હતી  તેના અનેક સાહસિક કિસ્સાઓથી ઇતિહાસમાં અમર થઇ ગઈ છે. ઝાંસીની રાણી અનેક કથાઓ, કવિતાઓ, ગીતો, નાટકો, ટી.વી. સિરિયલો અને ફિલ્મોનો વિષય બની છે.

લક્ષ્મીબાઈની શૌર્ય ગાથા પર પહેલી ફિલ્મ સોહરાબ મોદીની ‘ઝાંસી કી રાની’ હતી, જે 1953માં આવી હતી. આજે મોટા બજેટની, તોતિંગ એક્શન ફિલ્મો જોઇને કોઈને એવું લાગે કે પહેલાં આવી ફિલ્મો બનતી નહીં હોય, પણ સોહરાબ મોદી એક એવા નિર્માતા, નિર્દેશક અને એકટર હતા જે 50ના દાયકામાં, ટાંચા સાધનો અને બજેટ વચ્ચે, લાર્જર ધેન લાઈફ ઐતિહાસિક ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા.

મુંબઈમાં પારસી થિયેટરમાં અભિનયથી શરૂઆત કરનાર મોદીએ 1935માં થિયેટરની કળાને લુપ્ત થતી બચાવવા માટે, 1935માં સ્ટેજ કંપની સ્થાપી હતી. તેની પહેલી બંને ફિલ્મો, ખૂન કા ખૂન અને સઈદ-એ-હવસ, શેક્સપીયરના નાટકો, હેમ્લેટ અને કિંગ જોહ્ન, પર આધારિત હતી (ખૂન કા ખૂન સાયરા બાનુનાં માતા નસીમ બાનુની પહેલી ફિલ્મ). 

1936માં, તેમણે મિનરવા મૂવીટોન નામની ફિલ્મ કંપની શરૂ કરી હતી. આ કંપનીની ત્રણ ફિલ્મો, પૂકાર, સિકંદર અને પૃથ્વી વલ્લભ (લેખક; કનૈયાલાલ મુન્શી) ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર જેમાં એલેકઝાન્ડર બન્યા હતા તે ‘સિકંદર’ મોદીની સૌથી મહાન ફિલ્મ ગણાય છે. 

પંદર વર્ષ સુધી મિનરવા મૂવીટોનના નેજા હેઠળ એક પછી એક નવીનતમ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો આપ્યા પછી, સોહારાબ મોદીએ બદલાતી જતી ફિલ્મ તકનીકની સાથે કદમ મિલાવવા માટે, 1953માં, ભારતને પહેલી ટેકનિકલર ફિલ્મ આપી હતી અને તે હતી ‘ઝાંસી કી રાની.’ ટેકનિકલર એટલે ફિલ્મોને રંગીન બનાવવાની એક એવી પ્રકિયા, જેમાં ફિલ્મને રોકોર્ડ કર્યા પછી કલર સ્ટ્રીપ્સ વડે તેને રંગીન કરવામાં આવે.

તે સમયે ઉપલબ્ધ આ ટેકનિક સૌથી પ્રતિષ્ઠિત તો હતી જ, ખર્ચાળ પણ હતી. તેના ઉપયોગથી, ‘ઝાંસી કી રાની’ માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં એક સાંસ્કૃતિક સીમાચિહ્ન બની ગઈ હતી. અમેરિકાના જગપ્રસિદ્ધ અખબાર ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે’ તે અંગે લખ્યું હતું, “ભારતમાંથી આવેલું આ શ્રેષ્ઠ પ્રોડક્શન વૈશ્વિક વિતરણ માટે સક્ષમ છે.” ‘ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’એ ત્યારે લખ્યું હતું, “આ ફિલ્મ માત્ર રંગીન ફિલ્મોના નવા યુગની શરૂઆત કરે છે એટલું જ નહીં, ભારતને વિશ્વના શો બિઝનેસના નકશામાં મૂકીને તે આવતીકાલનાં મોશન પિક્ચર્સ માટે પણ માર્ગ મોકળો કરે છે.”

તેની વૈશ્વિક અપીલને વધારવા માટે, સોહરાબ મોદીએ ફિલ્મને બે આવૃત્તિઓમાં રજૂ કરી હતી, એક હિન્દીમાં અને બીજી અંગ્રેજીમાં, જે ‘ધ ટાઇગર એન્ડ ધ ફ્લેમ’ નામથી 1955માં રિલીઝ થઇ હતી. દુર્ભાગ્યે, ‘ઝાંસી કી રાની’ને કલરમાં જોવા માટે માત્ર અંગ્રેજી આવૃત્તિ જ ઉપલબ્ધ છે કારણ કે તેની હિન્દી રંગીન નકલ અસ્તિત્વમાં નથી. ડી.વી.ડી. અને વીડિયો પર માત્ર બ્લેક એન્ડ વ્હાઈટ જોવા મળે છે. 

તેઓ 1942થી ‘ઝાંસીની રાની’ બનાવવાનું સપનું જોઈ રહ્યા હતા, પણ તેમની પાસે પૈસા કે ટેકનિક નહોતી. સોહરાબ મોદીના પુત્ર મહેલી મોદીએ ‘સ્ક્રોલ’ મેગેઝિનને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મારા પિતા ઘણાં વર્ષોથી આ ફિલ્મ બનાવવાનું વિચારતા હતા. એ જમાનામાં તે એક કરોડની આસપાસના ખર્ચે બની હતી. ભારતમાં દરેક લોકોએ આ ફિલ્મ જોઈ હોત તો પણ તેમને ખર્ચો પાછો મળ્યો ના હોત. એનું કારણ ટેકનિકલરની ટેકનિક હતી. એ વખતે હોલિવૂડમાં ગોન વિથ ધ વિન્ડ અને અ મેટર ઓફ લાઈફ એન્ડ ડેથ આ ટેકનોલોજીથી બની હતી.”

ફિલ્મ પર 1947માં જ કામ શરૂ થઇ ગયું હતું. અંગ્રેજો ભારત છોડીને ગયા હતા અને લક્ષ્મીબાઈ તેમની સામે જ લડી હતી. એટલે ફિલ્મમાં સચ્ચાઈનો રણકો લાવવા માટે મોદીએ તેમના સહાયકોને ઝાંસી, ગ્વાલિયર, સાગર, કાલપી, ચંદેરી અને મેરઠ સહિત અન્ય સ્થળોની મુલાકાતે મોકલ્યા હતા. ત્યાંના હજારો ફોટા પાડવામાં આવ્યા હતા અને વિગતોની હજારો નોંધ લખવામાં આવી હતી. લક્ષ્મીબાઈના જીવનને અધિકૃત રીતે બતાવવા માટે સિત્તેર જેટલાં ઐતિહાસિક લખાણો વાંચવામાં આવ્યાં હતાં.

18 જાન્યુઆરી, 1951ના રોજ ફિલ્મનું શૂટ શરૂ કરવામાં આવ્યું હતું. ફિલ્મના વિષયની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ કે.એમ. કરિઅપ્પાએ મૂહર્ત શોટ આપ્યો હતો. સોહરાબ મોદીએ શરૂઆતમાં લગભગ 5,000 ફૂટની ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ શૂટ કરી હતી, પરંતુ રંગબેરંગી પોશાક અને લક્ષ્મીબાઈના સમયની ભવ્યતાને જોતાં તેમણે ફિલ્મને ટેકનિકલરમાં શૂટ કરવાનું નક્કી કર્યું હતું.

ફિલ્મમાં, સોહરાબ મોદીએ એક એવા રાજગુરુની ભૂમિકા કરી હતી, જે ઝાંસી રાજ્યને ઇતિહાસમાં ઉચિત સ્થાન આપવા પ્રયત્નશીલ છે. તેમને એક અકસ્માતમાં મનુ નામની એક નાનકડી છોકરીનો ભેટો થાય છે, જે બહાદુરીપૂર્વક અંગ્રેજ ડ્રાઈવરની સામે થઇ જાય છે. રાજગુરુને મનુમાં એક દિલેર શાસક નજર આવે છે. તે મનુને પોતાની છત્રછાયામાં લે છે અને નવ વર્ષની ઉંમરે તેને, ઝાંસીના સૌથી મોટા શાસક, લગભગ પચાસ વર્ષના ગંગાધર રાવ (મુબારક) સાથે લગ્ન કરાવીને રાણી બનાવે છે. 

મનુ રાજગુરુના શિક્ષણ હેઠળ મોટી થાય છે. તે શારીરિક દાવપેચ અને રાજકીય વહીવટ શીખે છે. મોટી થયેલી મનુ, જેને હવે લક્ષ્મીબાઈ કહેવામાં આવે છે, એક પુત્રને જન્મ આપે છે જે મૃત્યુ પામે છે. લક્ષ્મીબાઈ અન્ય એક છોકરા, દામોદર રાવને દત્તક લે છે. અંગ્રેજો તેને ઝાંસીના વારસદાર તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરે છે. તેનાથી લક્ષ્મીબાઈને અંગ્રેજો સામે શૂરાતન ચઢે છે અને 1857ના બળવા દરમિયાન તે તેમની સામે લડે છે અને અંતે શહીદી વહોરે છે.

લક્ષ્મીની ભૂમિકા તે વખતની જાણીતી એક્ટ્રેસ મેહતાબે કરી હતી. ૩૫ વર્ષની ઉંમરે મહેતાબે ઝાંસી એનાથી અડધી ઉંમરની રાણી લક્ષ્મીબાઈનો રોલ નિભાવ્યો હતો. મહેતાબ સોહરાબ મોદીની પત્ની પણ હતી. તે સુરત પાસેના સચિન શહેરના નવાબ સીદી ઈબ્રાહીમ મોહમ્મદ યાકુત ખાનની દીકરી હતી. તેનું મૂળ નામ નજમા હતું અને મુંબઈ આવીને મહેતાબ બની ગઈ હતી. 

મેહતાબે વર્ષો પછી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સોહરાબ મોદીના પારસી પરિવારને તેમનાં લગ્ન મંજૂર નહોતાં. મેહતાબના આ બીજાં લગ્ન હતાં. અગાઉ, તેના સહ-કલાકાર અશરફ ખાન સાથેનાં લગ્નથી તેને આઠ વર્ષનો પુત્ર ઇસ્માઇલ હતો. મોદી સાથે લગ્ન કરવા માટે તેની શરત હતી કે તેનો પુત્ર ઇસ્માઇલ તેમની સાથે રહેશે. સોહરાબ મોદીથી તેને મેહલી નામનો પુત્ર થયો હતો.

મેહલી પેલા ઇન્ટરવ્યૂમાં કહે છે, ફિલ્મના શુટિંગ દરમિયાન મારી માતા બે વર્ષ સુધી છાવણીઓમાં રહી હતી. એ ઘરે આવે ત્યારે તેના પર લોહીના ડાઘા જોઇને હું ગભરાઈ જતો. 

એક ડોક્યુમેન્ટરીમાં, મોદી કહે છે, “જ્યારે હું શાળામાં હતો, ત્યારે મને ઇતિહાસ ભણવાનો ગમતો નહોતો. હું ફિલ્મ નિર્માણમાં આવ્યો ત્યારે મેં ઇતિહાસનાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું અને ત્યારે ખબર પડી કે આપણો ઇતિહાસ સમૃદ્ધ છે. મને થયું કે આપણા અતીતને સમજાવવા અને ભવિષ્યની રૂપરેખા બનાવવા માટે લોકોને ઇતિહાસ બતાવવો જોઈએ.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 10 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અર્થશાસ્ત્રીઓ સ્થાપિત હિતોને ગમે તેવું સંશોધન કરે છે!

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|14 April 2024

સત્તા અને અર્થશાસ્ત્ર: ભાગ – ૬

રોબર્ટ સ્કિદેલસ્કી

જ્હોન મેનાર્ડ કેઇન્સ તેમના વિખ્યાત પુસ્તક ‘જનરલ થિયરી’માં છેલ્લે એમ લખે છે કે “અર્થશાસ્ત્રીઓ અને રાજકીય ચિંતકોના વિચારો સાચા હોય કે ખોટા હોય, બંને વખતે, સામાન્ય રીતે સમજવામાં આવે છે તેના કરતાં વધુ શક્તિશાળી હોય છે. ખરેખર, જગત ઉપર બીજાઓ બહુ ઓછું શાસન કરે છે ….. મને ખાતરી છે કે સ્થાપિત હિતોની તાકાત વિશે વિચારો પર થતા ધીમા દબાણની તુલનાએ ભારે અતિશયોક્તિ કરવામાં આવે છે.”

કેઇન્સ માત્ર વિચારો અને સ્થાપિત હિતો વચ્ચે ભેદ પાડે છે એવું નથી પણ તેઓ એમ ભારપૂર્વક કહે છે કે આવાં સ્થાપિત હિતો કરતાં વિચારો સ્વતંત્ર હોય છે. કેઇન્સ દ્વારા એનો ઇન્કાર ન થયો હોત કે વિચારો સત્તાનું સ્રોત હોય છે. પરંતુ તેઓ આ હિત વિનાની સત્તાને વધુ નિશ્ચિત રીતે તો સત્તાધિકાર(authority)નું સ્રોત કહે. વર્ગીય હિતોથી અર્થશાસ્ત્ર સ્વતંત્ર છે એને માટે મુખ્ય દલીલ એવી કરવામાં આવે છે કે આર્થિક વિચારો વિદ્વાનોની પેદાશ હોય છે અને બિઝનેસ લોબીની નહિ.

શુદ્ધ સંશોધનને ઘણા લાંબા સમયથી એક સ્વતંત્ર બૌદ્ધિક પ્રયાસ તરીકે માન્યતા મળી છે. તેનું ચિહ્ન છે અ-હિતપણું (disinterestedness) અને તેનો હેતુ છે સત્યની શોધ. વિદ્વાનોનું વિશિષ્ટ હિત એ છે કે તેઓ તેમની તપાસમાં કે પછી તેનાં પરિણામોમાં સીધી રીતે સામેલ ન થાય.

હેમન્તકુમાર શાહ

એક વધુ દલીલ કેઇન્સના સંદર્ભ સાથે એવી પણ થઈ શકે કે અર્થશાસ્ત્રનો એજન્ડા અર્થશાસ્ત્રીઓ દ્વારા નક્કી થાય છે અને સ્થાપિત હિતો દ્વારા નહિ. તેના મુખ્ય વિચારો કોઈ પણ રીતે સત્તાના દાસ હોતા નથી. આપણે દલીલ કરીએ છીએ તે પ્રમાણે આર્થિક સિદ્ધાંત તેની વિભાવનાઓમાં, પદ્ધતિઓમાં અને ભાષામાં સમગ્ર કાળ દરમ્યાન સ્થિરતા જાળવે છે. એ જ વૈચારિક માળખામાં પરિવર્તન (paradigm shift) આવ્યું હોય એવા વિચારને એ લાગુ પાડવાનું મુશ્કેલ બનાવે છે. 

એ વાત સાચી કે આર્થિક સિદ્ધાંત પર પરિસ્થિતિઓનો પ્રભાવ પડતો હોય છે. તેને લીધે જ્હોન હિક્સ (૧૯૦૪-૧૯૮૯) જેને “ધ્યાન કેન્દ્રિતા” કહે છે તે પેદા થાય છે. ૧૯૩૦ના દાયકામાં બેકારીનો જે સતત અનુભવ થયો તેને પરિણામે કેઇન્સની ક્રાંતિ આવી અને ૧૯૭૦ના દાયકામાં ફુગાવાનો અનુભવ થયો એટલે નાણાંવાદ જન્મ્યો. 

આ હકીકતોનું સૈદ્ધાંતિક અર્થઘટન થાય તેને સ્થાપિત હિતો સાથે કંઈ જોડી દઈ શકાય નહિ. પરંતુ આપણે વિચારો સત્તાથી સ્વતંત્ર રીતે જન્મે છે એમ સ્વીકારીએ તો પણ શું તે વિચારોને સ્થાપિત હિતોથી સ્વતંત્ર બનાવે છે ખરા?

જોન રોબિન્સન કહે છે કે, “અર્થશાસ્ત્ર પોતે હંમેશાં થોડુંક દરેક સમયગાળાની શાસક વિચારધારાનું વાહન રહ્યું છે, અને થોડુંક વૈજ્ઞાનિક તપાસની પદ્ધતિ રહ્યું છે.” તો પ્રશ્ન એ ઊભો થાય છે કે શા માટે વિદ્વાનોના કેટલાક વિચારો સ્વીકાર્ય બને છે અને કેટલાકને છેવાડે મૂકી દેવામાં આવે છે. જગત પર વિચારો શાસન કરતા હોઈ શકે છે; પરંતુ તેનો અર્થ એ નથી કે જગત પર માત્ર વિચારો જ શાસન કરે છે. આપણે હજુ પણ એ પ્રશ્ન પૂછવાની જરૂર રહે છે કે શા માટે કેટલાક વિચારોને પગ મળે છે અને કેટલાક વિચારો તૂટી જાય છે.

પ્રાકૃતિક વિજ્ઞાનોમાં જીવશાસ્ત્ર કરતાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં તેનો જવાબ એ મળે છે કે તે બંને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ગુણવત્તા ધરાવે છે. એને કારણે જ પ્રશિષ્ટ ભૌતિકશાસ્ત્રને બદલે કવોન્ટમ ભૌતિકશાસ્ત્ર આવ્યું. વાસ્તવિકતા બદલાતી નથી, પણ સિદ્ધાંત બદલાય છે કે જે વાસ્તવિકતા વિશેની આપણી સમજ સુધારે છે.

સમાજવિજ્ઞાનોમાં આ બાબત ઘણી ઓછી સાચી છે. પ્રાકૃતિક જગત વિશેના વ્યક્તિના અવલોકનોમાં પ્રાકૃતિક જગત પોતે કશી દખલગીરી કરતું નથી, પણ સામાજિક જગત કરે છે. તેમાં કોઈ પણ બાબતની પરિવર્તનશીલતાનો અભ્યાસ કરવામાં આવે છે કે જે સમાજવિજ્ઞાનોને પ્રાકૃતિક વિજ્ઞાનો કરતાં જુદાં પાડે છે. પરિણામે, સમાજવિજ્ઞાનોમાં જે બાબત રજૂ કરવામાં આવે તે સાર્વત્રિક રીતે લાગુ ન પડે. એ માપદંડ એમાં હોય જ નહિ. તેની બાબતોનું ભાગ્યે જ સફળતાપૂર્વક સમર્થન થઈ શકે અથવા તો તેમને ખોટી સાબિત કરી શકાય. એ કદાચ, બહુ ટૂંકા ગાળા માટે કરી શકાય. 

આ બાબત એમ દર્શાવે છે કે ભૌતિકશાસ્ત્રમાં છે તેના કરતાં ઘણા વધુ પ્રમાણમાં અર્થશાસ્ત્રમાં સંશોધનનો પોતાનો એજન્ડા હોય છે. તે આંશિક રીતે બિન-વૈજ્ઞાનિક હિતોનું પ્રતિબિંબ પાડે છે. તેથી એમ પૂછવું પ્રસ્તુત થઈ પડે છે કે : 

(૧) નવા આર્થિક વિચારો જે સંસ્થાઓમાંથી આવે છે તે સંસ્થાઓને પૈસા કોણ આપે છે? 

(૨) મીડિયા વગેરેમાં એ નવા વિચારોને લોકપ્રિય સ્વરૂપે ફેલાવે છે કોણ અને તેના પૈસા ક્યાંથી આવે છે?

(૩) જે સમાજમાં ચર્ચા કરવાની સ્વતંત્રતા છે તે સમાજમાં પણ વિચારો ઉત્પન્ન કોણ કરે છે, ફેલાવે છે કોણ અને તેમને લોકપ્રિય બનાવે છે કોણ અને તેને માટે તેમને કયાં પ્રોત્સાહનો મળે છે? 

આર્થિક સંશોધનો માટેના પૈસા મુખ્યત્વે સરકારો અને ઉદ્યોગપતિઓ આપે છે. દલીલ કરવા ખાતર આપણે એમ ધારી લઈએ કે, સરકાર તો લોકોના ભલામાં જ રસ ધરાવે છે. સરકાર તો લોકોના કલ્યાણમાં વધારો કરવા માટે જ આર્થિક જ્ઞાનના ઉત્પાદન માટે નાણાં આપે છે. તે સીધી રીતે સંશોધનની વિગતોમાં દખલગીરી કરતી નથી એમ પણ ધારી લઈએ. 

પરંતુ ઉદ્યોગપતિઓ માટે આવું કહી શકાય નહિ. ધંધો એ કેઇન્સ કહે છે તેમ વિશિષ્ટ સ્થાપિત હિત છે. અને ઘણુંબધું અર્થશાસ્ત્ર ધંધાદારીઓ દ્વારા નાણાં મેળવે છે. બેંકોના વિશ્લેષકો, નાણાકીય બાબતોના પત્રકારો વગેરે જેવા લોકો તેમાં ભારે પ્રભાવ ધરાવે છે. તેઓ બધા મુક્ત બજારની રૂઢિવાદી વિચારધારાના પ્રચારક હોય છે. અને વિદ્યાજગતના અર્થશાસ્ત્રીઓ પણ કન્સલ્ટન્સીને નામે આકર્ષક ધંધો કરતા હોય છે. અર્થશાસ્ત્રમાં નાણાં પ્રાપ્તિ માટેનું માળખું ઇતિહાસ કે સમાજશાસ્ત્ર જેવું નથી, પણ વધારે તો ઇજનેરી અથવા ઔષધવિદ્યા જેવું છે. 

અર્થશાસ્ત્ર એક માત્ર એવું સમાજવિજ્ઞાન છે કે જેમાં નોબેલ ઇનામ આપવામાં આવે છે. એટલે કે તેને પ્રાકૃતિક વિજ્ઞાનોની સમકક્ષ મૂકી દેવામાં આવ્યું છે. એક વાસ્તવિક વિજ્ઞાન માટે આ અંતિમ કક્ષાની ચડતી કહેવાય. ઇતિહાસ, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર કે સમાજશાસ્ત્ર માટે નોબેલ ઈનામ આપવામાં આવતું જ નથી. એને માટેના પૈસા સ્વિડનની સેન્ટ્રલ બેંક આપે છે અને તે કંઈ કોઈ તટસ્થ ટેક્નિકલ સંસ્થા નથી. બધી સેન્ટ્રલ બેંકોનું પણ એમ જ છે. એટલે આપણે એમ પૂછી શકીએ કે : આર્થિક સંશોધન માટે નાણાં આપવામાં ઉદ્યોગપતિઓનું કયું હિત સમાયેલું છે?

સ્રોત : 
લેખકનું પુસ્તક : What is Wrong with Economics?
પ્રકરણ : Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...596597598599...610620630...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved