Opinion Magazine
Number of visits: 9457231
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાની ભૂમિકા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|18 April 2024

ચંદુ મહેરિયા

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ પડ્યાના પહેલા જ મહિને તેના ભંગની ચાળીસ હજાર ફરિયાદો ચૂંટણી પંચને મળી હતી. એ હિસાબે ૨૦૧૯ની ચૂંટણીમાં એકાદ લાખ આચારસંહિતા ભંગની ફરિયાદો થઈ હશે. હાલની સામાન્ય ચૂંટણીમાં ઇલેકશન કમિશને સી-વિજિલ એપ પર ફરિયાદો નોંધવાનું શરૂ કર્યું છે. પહેલા પંદર જ દિવસોમાં ગુજરાતમાં ૫૪ અને મધ્ય પ્રદેશમાં ૧,૪૭૫ ફરિયાદો આવી છે. આદર્શ ચૂંટણી આચારસંહિતા દેશના તમામ રાજકીય પક્ષોની સર્વ સંમતિથી ઘડવામાં આવી છે. તેને કોઈ કાયદાનું પીઠબળ નથી. તમામ પક્ષો તેનો અમલ કરવા સ્વૈચ્છિક રીતે બંધાયેલા છે. પરંતુ વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મુખ્ય મંત્રીઓ અને સત્તાપક્ષ-વિપક્ષના તમામ નાના-મોટા નેતાઓ તેનું ઉલ્લંઘન કરે છે. મોડેલ કોડ ઓફ કંડક્ટ ઘડાયો છે તો સ્વંતંત્ર  અને નિષ્પક્ષ ચૂંટણીઓ માટે પણ તે બાધ્યકારી ન હોઈ તેનો અમલ કરાવવો મુશ્કેલ છે.

દેશમાં રાષ્ટ્રપતિથી માંડીને ગામના સરંપચ સુધીની જે ચૂંટણીઓ થાય છે તેનાં દેખરેખ, સંચાલન અને નિયંત્રણની સત્તા બંધારણના આર્ટિકલ ૩૨૪થી ઈલેકશન કમિશનને  આપવામાં આવી છે. લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૧ અને ભારતીય ન્યાય સંહિતામાં ફ્રી એન્ડ ફેર ઈલેકશન થાય તે માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોના ભ્રષ્ટ આચરણ તથા ચૂંટણી ગુના સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે. તે પ્રમાણે ધર્મ, જ્ઞાતિ અને ભાષાનાં ધોરણે તણાવ પેદા કરવો, ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક પૂજા સ્થળો(મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા વગેરે)નો ઉપયોગ કરવો, મતદારોને લાલચ કે લાંચ આપવી, તેમને ધમકાવવા, વોટ મેળવવા જ્ઞાતિ, ધર્મના ધોરણે અપીલ કરવી, મતદારોને મતદાન મથક પર લાવવા-લઈ જવા, રાજકીય પક્ષોની જાહેર સભાઓમાં વિક્ષેપ પેદા કરવો, મતદાનના દિવસે મતદાન કેન્દ્રથી ૧૦૦ મીટરની અંદર પ્રચાર કરવો, મતદાનના દિવસે કે આગલી રાતે દારૂ વહેંચવો-  વગેરે બાબતો ચૂંટણી અપરાધ અને ભ્રષ્ટ આચરણ છે. આ ગુના બદલ કાયદેસરની કાર્યવાહી કરી સજા અને દંડ કરવામાં આવે છે.

કાયદાકીય જોગવાઈ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા સુચારુ, પારદર્શી, તટસ્થ અને  સ્વતંત્ર હોય તે માટે આદર્શ ચૂંટણી આચારસંહિતા  ઘડવામાં આવી છે. સામાન્ય આચરણ, સભા અને બેઠકો, સરઘસ અને રેલી, મતદાનનો દિવસ, મતદાન કેન્દ્ર, સત્તાધારી પક્ષ, ચૂંટણી ઢંઢેરા અને પર્યવેક્ષક એ આઠ બાબતો આચારસંહિતામાં આવરી લેવામાં આવી છે.

કેન્દ્ર અને રાજ્યોના સત્તાપક્ષ સરકારી ખર્ચે પક્ષને મત મળે તેવી જાહેરાતો આપી ન શકે. સરકારી ખર્ચે સરકારની સિદ્ધિઓ કે ઉપલબ્ધિઓનો પ્રચાર ન કરે, ચૂંટણી પ્રચારમાં સરકારી તંત્રનો ઉપયોગ ન કરે, સરકાર કોઈ નીતિવિષયક બાબત, યોજના કે મતદાર પર પ્રભાવ પડે તેવી બાબતો જાહેર ન કરી શકે. પક્ષના પ્રચાર માટે સરકારી મશીનરી કે વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે. મંત્રીઓ સરકારી કામ સાથે પક્ષના ચૂંટણી પ્રચારના પ્રવાસો ન ગોઠવે. ઉદ્દઘાટન, લોકાર્પણ કે શિલાન્યાસના કાર્યક્રમો ના થઈ શકે. જે અધિકારી વતનના જિલ્લામાં કે એક જ જગ્યાએ ત્રણ વરસથી વધુ સમયથી હોય તો તેમની બદલી કરવી. નવી નિમણૂક, બદલી, બઢતી પર પૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કોઈ અનિવાર્યતા ઊભી થાય તો પંચની મંજૂરી લેવી પડશે.ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ  રાતના ૧૦થી સવારના ૬ સુધી કરી શકાશે નહીં. રાજકીય પક્ષો ઉમેદવારની ટીકા તેમના જ્ઞાતિ-ધર્મને કારણે કરી શકશે નહીં. હરીફ ઉમેદવારના કાર્યોની જ આલોચના કરી શકાશે. જાહેર મેદાનો, સાર્વજનિક સ્થળો અને હેલિપેડનો ઉપયોગ તમામ રાજકીય પક્ષો એક સમાન  નીતિ, નિયમો અને શરતોથી કરી શકશે.મતદારોને લાંચ, લોભ, લાલચ આપી શકાશે નહીં, ધર્મ, જ્ઞાતિ કે ભાષાના ધોરણે લાગણીઓ દુભાય તેવા પ્રવચનો કરી શકાશે નહીં. પૂર્ણ બજેટ  રજૂ કરવું નહીં અને બંધારણના આદર્શોથી વિપરિત વચનો ચૂંટણી ઢંઢેરામાં આપવા નહીં. આવી અનેક બાબતો આદર્શ આચાર સંહિતાનો ભાગ છે.

વર્તમાન આદર્શ ચૂંટણી આચારસંહિતા ૧૯૯૦થી ૧૯૯૫ દરમિયાન દેશના નવમા મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા ટી.એન. શેષનના ભેજાની પેદાશ મનાય છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. આચારસંહિતા સૌપ્રથમ વખત ૧૯૬૦ની કેરળ વિધાનસભાની ચૂંટણીમાં અમલી બની હતી. તે પછી તેનો ક્રમિક વિકાસ થયો છે. ૧૯૬૨ની લોકસભા ચૂંટણી વખતે તેનો પહેલીવાર રાષ્ટ્રવ્યાપી અમલ થયો હતો. ૧૯૭૯માં તેમાં સત્તાધારી પક્ષ માટેની બાબતો ઉમેરવામાં આવી હતી. ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે તેમાં ચૂંટણી ઢંઢેરાની બાબત સામેલ કરાવી હતી. ૧૯૭૯, ૧૯૮૨, ૧૯૯૧ અને ૨૦૧૩માં તેમાં સુધારા થયા હતા. ટી.એન. શેષને તેનો કડક અમલ કરાવી ફ્રી અને ફેર ઈલેકશનમાં આચારસંહિતાની ભૂમિકા અને સ્વાયત્ત તથા સ્વતંત્ર ચૂંટણી કમિશનનો દેશને અહેસાસ કરાવ્યો હતો.

ઈલેકશન કમિશન આચારસંહિતા ભંગની ફરિયાદ પરથી કે સુઓમોટો નોટિસ જારી કરી, સંબંધિતોનો ખુલાસો મેળવે છે. તે પછી દોષિત જણાય તો ઠપકો આપે છે. પરંતુ આચારસંહિતા ભંગના ગુના બદલ કોઈ સજા કે દંડ કરી શકાતાં નથી. રીઢા રાજકારણીઓને આચારસંહિતા ભંગ બદલ કમિશનના ઠપકાની સજાની કશી શરમ હોતી નથી. એટલે પણ આચારસંહિતા અસરકારક હથિયાર બની શકતી નથી. જો કે ૨૦૧૯માં કમિશને ઉત્તર પ્રદેશ, અસમ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીના મુખ્ય મંત્રીઓ, તત્કાલીન બી.જે.પી. પ્રમુખ, બી.એસ.પી. સુપ્રીમો અને અન્ય નેતાઓને આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ૨૪થી ૭૨ કલાક સુધી ચૂંટણી પ્રચારથી અળગા રહેવાની સજા કરી હતી. તેના દ્વારા આચારસંહિતાને જો કાયદાકીય સમર્થન હોય તો કેવું પરિણામ આવી શકે તે દર્શાવ્યું હતું.

૨૦૧૩માં કાનૂન અને ન્યાય સંબંધી સંસદની સ્થાયી સમિતિએ મોડેલ કોડ ઓફ કંડકટને કાયદાનું રૂપ આપવા અને ૧૯૫૧ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમનો ભાગ બનાવવા ભલામણ કરી હતી. ૨૦૧૫માં કાયદા પંચે ચૂંટણી સુધારા અંગેના અહેવાલમાં લોકસભા કે વિધાનસભાના કાર્યકાળની સમાપ્તિના છ મહિના પૂર્વે સરકારી જાહેરખબરો પર પ્રતિબંધની ભલામણ કરી હતી. વ્યાપક ચૂંટણી સુધારાની માંગ વરસોથી પડતર છે. ચૂંટણી પંચને ડર છે કે જો આચારસંહિતાને કાનૂની રૂપ મળશે તો તેને કારણે કોર્ટકેસોનું પ્રમાણ અને પંચનું ભારણ વધશે. જો કે હાલમાં પંચ આચારસંહિતા ભંગ કે અન્ય કાયદા ભંગની જે કાર્યવાહી કરે છે તે ચૂંટણી પછી પંચની મટી પોલીસની બની જાય છે. આ સૌથી મોટી મુશ્કેલી છે.

અદાલતોએ ચૂંટણી આચારસંહિતાનો કાયદા ન હોવા છતાં તેનો સ્વીકાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે તેમાં સુધારા પણ સૂચવ્યા છે.એટલે તેનું હાલનું સ્વરૂપ જળવાય રહે તે પણ જરૂરી છે. આખરે ચૂંટણી આચારસંહિતાની સફળતાનો આધાર આપણા રાજકારણીઓમાં કેટલી શરમ બચી છે તેના પર આધારિત છે. જો તે જ નહીં હોય તો કાયદો હોય તો ય સફળ થવાની શકયતા બહુ અલ્પ છે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

કાયદાના રાજમાં જ સામાન્ય માણસની સુરક્ષા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 April 2024

રમેશ ઓઝા

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા પ્રમુખ હશે જેની સામે હવે જ્યુરી સમક્ષ ખટલો ચાલશે અને કદાચ સજા થશે. આવતા એક મહિનામાં ખટલાનો નિકાલ થઈ જશે. તેમની સામે કુલ મળીને ૩૪ આરોપ છે. આ સિવાય બીજા ત્રણ ખટલા છે જેનો કદાચ આવતા વર્ષે નિકાલ થશે. જો ટ્રમ્પને સજા થશે તો ઘણું કરીને તેઓ પ્રમુખપદની ચૂંટણીમાંથી હટી જશે, હટી જવું પડશે. ૨૦૧૬માં ટ્રમ્પે પ્રમુખપદ માટે ઉમેદવારી કરી ત્યારે અમેરિકામાં અનેક લોકો જાણતા હતા કે આ માણસ શિથીલ ચારિત્ર્ય ધરાવે છે. તેમની વેનિટી વેનમાં સ્ત્રીઓ સાથે અને સ્ત્રીઓ વિષે અશ્લીલ વાતો કરતો વીડિયો પણ બહાર આવ્યો હતો.

૨૦૦૬-૭ની સાલમાં ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકન પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ સાથે સંબંધ હતો. તેમણે જ્યારે પ્રમુખપદની ચૂંટણીમાં ઝુકાવ્યું ત્યારે તેમને ડર હતો કે કદાચ સ્ટોર્મી મોઢું ખોલી શકે છે અને તેમના અમેરિકાના પ્રમુખ બનવાનાં સપનાને રોળી શકે છે. તેમણે તેમના એ સમયના વકીલ માઈકલ કોહેનને આદેશ આપ્યો કે તે સ્ટોર્મી સાથે મોઢું બંધ રાખવાનો કરાર કરે અને તે માટે જે આપવું પડે તે આપવામાં આવે. કોહેને સ્ટોર્મી સાથે મોઢું બંધ રાખવાનો સોદો ૧,૩૦,૦૦૦ ડોલર્સમાં કર્યો અને પોતાનાં ખાતામાંથી પૈસા ચૂકવી દીધા. પાછળથી એટલે કે પ્રમુખ બન્યા પછી ટ્રમ્પે તેમના વકીલને એ પૈસા ચૂકવી દીધા, પણ એકાઉન્ટ બુકમાં એ પૈસા કાનૂની સલાહ તરીકે બતાવ્યા. આ સિવાય ટ્રમ્પનો ‘પ્લેબોય’ નામનાં સામયિકની મોડેલ કેરેન મેકડોનાલ્ડ સાથે પણ સંબંધ હતો અને તેની સાથે પણ મોઢું બંધ રાખવાનો દોઢ લાખ ડોલર્સનો કરાર કરવામાં આવ્યો હતો. એક ૩૦ હજાર ડોલર્સનો કરાર તેમની કંપનીમાં કામ કરતી યુવતી સાથે કરવામાં આવ્યો હતો જે એ વાત જાણતી હતી કે ટ્રમ્પનો એક અનૌરસ પુત્ર છે.

અમેરિકામાં મોઢું બંધ રાખવાનો કરાર એ ગેરકાનૂની કૃત્ય નથી. તેને એ બે વ્યક્તિ વચ્ચેની અંગત સમજૂતી માનવામાં આવે છે. ટ્રમ્પ સપડાયા છે આવકવેરા ખાતાને ખોટી માહિતી આપવા માટે. સમજૂતીનો કરાર થયો છે એ હકીકત છે. એ કરાર કોહેન નહીં, પણ ટ્રમ્પ સાથે થયો છે. ટ્રમ્પ વતી પૈસા ચૂકવાયા છે અને સ્ટોર્મીએ તેનાં રીટર્નમાં આવક બતાવી છે અને ટ્રમ્પ કહે છે કે તેમણે કોહેનને લીગલ ફીઝ ચૂકવી છે. ટ્રમ્પ પાસે આનો કોઈ જવાબ નથી. વધુમાં વધુ જૂન મહિના સુધીમાં ટ્રમ્પનું નસીબ નક્કી થઈ જશે.

પણ જવાબ તો આપણે ત્યાં પણ આપણા સાહેબ પાસે નથી. ઈલેક્ટોરલ બોન્ડ્સની લેતીદેતી હવે જાહેર થઈ ગઈ છે. કોઈને ઈલેક્ટોરલ બોન્ડ્સ સામે લાભ કરી આપવામાં આવ્યા છે. કોઈને સતાવીને અર્થાત્‌ જેલમાં પૂરીને કે રેડ પાડીને ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદવા અને બી.જે.પી.ને આપવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. આખી દુનિયા જોઈ શકે એમ ઊઘાડી રીતે. આપો અને લાભ લઈ જાઓ અથવા આપો અને ગાળિયામાંથી પોતાની જાતને છોડાવો. અને આવા પાછા એક બે કેસ નથી, અનેક. આ દેશપ્રેમીઓએ કોવીડની બીમારીમાં મરતા લોકોની પણ દયા ખાધી નહોતી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ રેમ્ડીસીવર નામની દવા કોવીડ માટે ઉપયોગી નથી એવી સલાહ (એડવાઇઝરી) બહાર પાડી હોવા છતાં ભારતમાં આ દવા આપવામાં આવતી હતી. પાછી એ દવા ખામીયુક્ત હતી, તેની ખામી ધ્યાનમાં આવી હતી અને સરકારનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું છે અને તે છતાં ય ધરાર એ દવા બજારમાં અને હોસ્પિટલોમાં વેચવામાં આવતી હતી. ૨૦૨૧માં ઉત્તર ભારતમાં નદીઓમાં મૃતદેહો તરતાં હતાં એ અરેરાટભર્યા દૃશ્ય યાદ હશે. એ આ અને આના જેવી બીજી દવાનું પરિણામ હતું. જાણીતા શાસ્ત્રીય સંગીતકાર પંડિત છન્નુલાલ મિશ્રનાં પત્ની અને પુત્રી આનો ભોગ બની ગયાં. પંડિત છન્નુલાલ મિશ્ર ૨૦૧૪ની સાલમાં વારાણસીમાં વડા પ્રધાનની ઉમેદવારીનું ફોર્મ ભરવા અને તેનું અનુમોદન કરવા તેમની સાથે ચૂંટણીપંચના કાર્યાલયમાં ગયા હતા. પંડિતજીએ પોતાનાં સ્વજને મોતથી બચાવવા વડા પ્રધાનને ફોન પણ કર્યો હતો પણ કાંઈ ન થયું. આવા તો અનેક લોકોએ પોતાનાં લાડકવાયા ગુમાવી દીધા પણ એ દવા ખરીદવાનું બંધ કરવામાં આવ્યું નહીં તે ન જ આવ્યું.

જે દવા કોવીડ માટે કામની નહોતી એ દવા પસંદગીની ફાર્મા કંપનીઓ પાસેથી લેવામાં આવી. ગુજરાતની ઝાયડસ અને ટોરેન્ટ આમાં મુખ્ય હતી. દવા ખામીયુક્ત હોવા છતાં લેવામાં આવી. પરાણે હોસ્પિટલોને આપવામાં આવી. ટપોટપ લોકો મરતાં હોવા છતાં આપવામાં આવી. નદીઓમાં મૃતદેહો તરતાં હોવા છતાં આપવામાં આવી. ડોકટરો અને બીજી મેડીકલ સંસ્થાઓની ચેતવણી અને વિરોધ છતાં ય આપવામાં આવી. પંડિત છન્નુલાલ મિશ્ર જેવા લોકોની અમારાં સ્વજનોને બચાવી લો એવી ગુહાર છતાં ય આપવામાં આવી. શા માટે? કારણ કે આ કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા અને બી.જે.પી.ને આપ્યા હતા. પરસ્પર લાભાલાભની એટલે કે બોન્ડ્સ સામે લાભની જેમને ખાતરી કરવી હોય એ કરી લે. હવે તો વિગતો ખુલ્લી થઈ ગઈ છે, તમે પોતે ચકાસણી કરી શકો છો. આ પાપ છતું ન થાય એ માટે કેન્દ્ર સરકાર આકાશપાતાળ એક કરતી હતી.

જે મર્યા એ હિંદુ નહોતા? ૯૫ ટકા મૃતકો હિંદુ હતા. હિંદુ રાષ્ટ્રવાદનો આ ચહેરો છે. વિકૃત, ગોબરો, પિશાચી. પણ શો ફરક પડે છે.

ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુનો અને આ આપણા શાસકોના ગુના વચ્ચે સરખામણી કરી જુઓ. કયો ગુનો ગંભીર છે? ઇન્કમટેક્ષના રીટર્નમાં ખોટી માહિતી આપવી એ ગુનો ગંભીર ગણાય કે પછી આરોગ્યના સંકટનો લાભ લઈને લોકો મરતા હોવા છતાં ખામીયુક્ત દવાઓ આપવી એ મોટો ગંભીર ગુનો ગણાય? ટ્રમ્પ કોઈના મોતમાં ભાગીદાર નહોતા બન્યા. અહીં તો મોતમાં ભાગીદારી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન્‌ના પતિ પારાકાલા પ્રભાકરે ઈલેક્ટોરલ બોન્ડ્સને વિશ્વના સૌથી કૌભાંડ તરીકે ઓળખાવ્યું છે.

અને છતાં ય આપણા સાહેબોને કશું જ થવાનું નથી, કારણ કે ન્યાયતંત્ર પાંગળું છે. ખુલાસો કરવા જેટલી પણ જરૂરત તેમને નથી લાગતી. અને હા, બાબા રામદેવની બેશરમી તો તમે જાણો જ છો. તેમણે પણ ૨૦૨૧ના આરોગ્ય સંકટનો લાભ લેવા કોવીડના ઈલાજ તરીકે કોરોનીલ નામની દવા બજારમાં મૂકી હતી અને તે પણ એ સમયના કેન્દ્રના આરોગ્ય પ્રધાનની હાજરીમાં. કમાવાનો અવસર છે કમાઈ લો. સત્તા ભોગવવાનો અવસર મળ્યો છે, હાથમાંથી સત્તા ન જવી જોઈએ. દેશપ્રેમી ઘેલાઓ છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. માટે હું હંમેશાં કહું છું કે કાયદાના રાજમાં જ સામાન્ય માણસની સુરક્ષા છે. પંડિત છન્નુલાલ મિશ્રને એટલો આઘાત લાગ્યો છે કે તેમણે હવે ગાવાનું જ બંધ કરી દીધું છે. હિંદુ હોવા માટે ગર્વ લેનાર અને નરેન્દ્ર મોદીની ઉમેદવારીનું અનુમોદન કરનાર અત્યારે ખામોશ થઈ ગયા છે. આમાંથી કોઈ ધડો લેવો કે ન લેવો એ તમારે વિચારવાનું છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 ઍપ્રિલ 2024

Loading

એક સવાલ

વસુધા ઇનામદાર|Opinion - Opinion, Opinion - Short Stories|17 April 2024

આજ સવારથી જ અંબા ખુશ મિજાજમાં હતી. આજે નવરાત્રીની છેલ્લી રાત હતી. અંબાજી આવીને પોતાના નામને સાર્થક કરતી હોય તેમ અંબા ગરબે ઘૂમતી હતી. એને શોધતી એની મા આવી, પણ અંબાના નામે બૂમો પાડવાનો કોઈ અર્થ ન હતો ! ઝબકારા મારતી લાઈટો અને કાનના પડદા ફાડી નાંખે એવા નવરાત્રીના ગરબે ઘૂમનારાની વચ્ચે અંબાને શોધવા માટે, ગરબા પૂરા થવાની રાહ જોવા સિવાય બીજો ઉપાય જ નહોતો !

જ્યારે અંબા એની માને મળી, ત્યારે રાતના બે વાગ્યા હતા. બંને જણાં એકબીજાના હાથ પકડીને મંદિરના પરિસરમાંથી બહાર નીકળ્યાં. અંબાના પિતા એમની રાહ જોતા જાગતા હતા. પત્નીને અને દીકરીને જોતાં જ થોડી નારાજગીથી બોલ્યા, ‘અરે તમે લોકો આટલા મોડા કેમ આવ્યા? હું પણ ભજન મંડળીમાં ભજનો ગાઈને સત્સંગ કરીને વહેલો આવી ગયો, કાલે સવારે તો આપણે પાંચ વાગ્યાની ટ્રેન પકડીને માલપુર જવાનું છે ને તમે ……. ત્યાં પણ 12:00 વાગ્યાથી મેળો ભરાશે અને જો આ બધો સામાન ભજિયાં તળવાની કડાઈથી માંડીને આ ગોટા બનાવવાનો બધો સામાન મેં અહીંયા તૈયાર કરી રાખ્યો છે .ચાલો હવે જલદી સૂઈ જાવ !’

આમ અંબાનો પરિવાર જ્યાં જાય ત્યાં થોડા સમય માટે વસવાટ ઊભો કરી દેતો. મેળામાં થોડું ફરસાણ વેચી પેટિયું રળી ખાતાં ! એ જ એમનું હરતું ફરતું ઘર !

આસપાસનાં ગામોમાં થતા દરેક મેળામાં તેઓ જતાં, ક્યારેક ફરસાણ તો ક્યારેક રમકડાં કે ફુગ્ગા વેચી ગુજરાન ચલાવતાં. આઠદસ વર્ષની દીકરી ક્યારેક પૂછતી, ’બાપા આપણું ઘર ક્યાં ? ‘તે બળપૂર્વક હસીને કહેતા, ‘તું જ્યાં કહે ત્યાં; ‘પત્ની સજળ નેત્રે એ બંને સામે જોઈ રહેતી !

આજે અહીંથી જવાનું હતું. અંબા બાપાને પૂછતી હતી, ‘બાપા, આપણે ક્યાં જવાના અને કેમ ત્યાં જવાના? ત્યાં તમે શું કરશો ? એવા અનેક પ્રશ્નોના જવાબ આપતા થાકેલા પિતાએ કહ્યું, “અંબા, સવારે વહેલા ઊઠવાનું છે, હવે સૂઈ જા.” પણ અંબાએ કહ્યું  , ‘કે બાપા, મને ઊંઘ નથી આવતી, મને એક સવાલ સૂવા નથી દેતો. આપણે રોજે મજૂરી કરીએ તો પણ તો ખાવા અનાજ નથી, ને રહેવા માટે ઘર નથી ! મારી પાસે રમકડાં તો ક્યાંથી હોય !”

“આપણે મેળામાં કેટલું બધું કામ કરીએ છીએ, જેમતેમ કરીને પેટ ભરીએ છીએ, પણ આ મેળામાં ગાડી લઈને આવનારા પાસે તો બધું જ હશે ને? પોતાનું ઘર હશે, એ બધાં સરસ કપડાં પહેરીને આવે છે. એમની પાસે સરસ મજાનું ખાવાનું હશે, ઘણાં બધાં રમકડાં હશે, તેઓ સરસ મજાની મોટી મોટર ગાડીમાં બેસીને આવે છે, તો પછી બાપા, આ લોકો માતાજી પાસે શું માંગતા હશે?”

પિતા નિરુત્તર હતા. પિતાને સંજોગવસાત્‌ પોતાનું શિક્ષણ અધવચ્યે છોડવું પડ્યું, એનું દુ:ખ આટલાં વર્ષ પછી પણ ભૂલાયું નહોતું .પિતાને કહેવાનું મન થતું કે, બેટા આ લોકો બધા સુખની શોધમાં નીકળ્યા છે, આમ જોવા જઈએ તો સુખ સાપેક્ષ છે તેમ જ એ માનવ સ્વભાવની ઝંખના છે. પૈસાવાળાં બધા સુખી જ હોય એમ નથી, પણ ખરું સુખ શામાં છે તેની તેમને કદાચ ખબર નથી હોતી. એમની સુખની ટ્રેનમાં અપેક્ષાની સાંકળ ખૂબ લાંબી હોય છે, એટલે તેઓ સંતોષના સ્ટેશન સુધી પહોંચતા જ નથી ! એમના જીવનની ટ્રેનમાં સંતોષ નામનું સ્ટેશન જ્યારે આવે ત્યારે તેઓ કદાચ સાચા સુખને પામે એવું મને લાગે છે!

અંબા પોતાના સવાલનો જવાબ સાંભળતાં પહેલાં જ મનમાં ચાલતા સવાલને ઓઢીને સૂઇ ગઇ !

૪-૪-૨૦૨૪, સડબરી, બોસ્ટન
e.mail : mdinamdar@hotmail.com

Loading

...102030...593594595596...600610620...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved