Opinion Magazine
Number of visits: 9665229
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને ધોળે દિવસે તારા દેખાઈ રહ્યા છે !

રમેશ સવાણી|Opinion - Opinion|29 August 2024

કેનેડામાં હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દેશનિકાલનો સામનો કરવાનો વારો આવ્યો છે. સમગ્ર કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દેશનિકાલની નીતિ સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

ભારતીય વિદ્યાર્થીઓના એક જૂથે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં વિધાનસભાની બહાર છાવણીઓ ગોઠવી છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કહે છે કે તેઓ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કારણ કે કાયમી રહેઠાણના નોમિનેશનમાં 25 ટકાના ઘટાડા માટે નવી પ્રાંતીય નીતિઓએ ઘણાને અણધારી રીતે દેશનિકાલ માટે જોખમમાં મૂક્યા છે. ઓન્ટારિયો, મેનિટોબા અને બ્રિટિશ કોલંબિયામાં સમાન દૃશ્યો જોઈ શકાય છે. સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઇમિગ્રન્ટ કામદારોએ તાજેતરના મહિનાઓમાં સમગ્ર બ્રેમ્પટનમાં રેલીઓ યોજી છે, સ્થાનિક આવાસ અને નોકરીની કટોકટી માટે દોષી ઠેરવતા narrative સામે વિરોધ કરી રહ્યા છે. 

70,000થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સ્નાતકો કેનેડા સરકારની નીતિના ફેરફારોને કારણે દેશનિકાલનો સામનો કરી શકે છે; જે વિદ્યાર્થીઓ નવાં જીવનનાં સપનાં સાથે કેનેડામાં આવ્યા હતા તેઓ કહે છે કે તેમનું ભવિષ્ય હવે અસ્પષ્ટ છે.

જે સ્નાતકોને આ વર્ષના અંતમાં વર્ક પરમિટ સમાપ્ત થાય છે તેમને દેશનિકાલ થવાનું જોખમ રહેલું છે. કેનેડિયન સરકારે તેની ઇમિગ્રેશન નીતિઓમાં અભ્યાસ પરમિટ મર્યાદિત કરવાનો નિર્ણય કરેલ છે.

અભ્યાસ પૂરો કર્યા પછી કાયમી રહેઠાણ માટે અરજી કરવાની યોજના ઘડી રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ કહે છે કે હવે તેમની પાસે ભારે લોન અને વિખેરાયેલાં સપના બાકી છે !

ટોરન્ટો સ્થિત ગુજરાતી પત્રકાર ફિરોઝ ખાન અને બીજા જાગૃત લોકોએ કેનેડા સરકારને વિનંતી કરી છે કે “આ વિદ્યાર્થીઓને દેશનિકાલ ન કરો. તેમનાં માતા-પિતાએ તેમનાં બાળકોને અહીં મોકલવા મોટી રકમ ખર્ચી છે. અનુસ્નાતક વર્ક પરમિટ વિસ્તારો, કાયમી રહેઠાણ માટે સુસંગત અને પારદર્શક માર્ગો પૂરા પાડો અને તેમના શોષણ તરફ દોરી જતા પ્રણાલીગત મુદ્દાઓને ઉકેલો.”

ફિરોઝ ખાન ‘Canadians for Indians’ સંસ્થાના પ્રમુખ છે. તેમણે 100થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને જોબ અપાવી છે. તેઓ કહે છે : “રોજે 8-10 ફોન જોબ અપાવવા આવે છે પણ હવે હું જોબ અપાવી શકતો નથી, તેમની લાચારીના કારણે મારી આંખમાં પાણી આવી જાય છે !”

કેનેડા / UK / ઓસ્ટ્રલિયા / ન્યૂઝીલેન્ડ સરકારોએ એક સરખી પોલીસી અમલમાં મૂકી છે, એટલે ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓના પહાડ ઊભા થયાં છે. કેનેડામાં ખાનગી યુનિવર્સિટીઓ છે, તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નભે છે. આ યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી 4 ગણી ફી વસૂલે છે. કેનેડા દર વર્ષે 5 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરમિટ આપતું હતું પરંતુ છેલ્લા બે વર્ષમાં, ખાનગી યુનિવર્સિટીના લાભાર્થે 20 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરમિટ આપતા ઊહાપોહ થયો છે. કેનેડામાં મકાનની અછત સર્જાઈ છે, જોબની ભારે અછત છે. ભારે મોંઘવારી છે. ભારતના ઈમિગ્રેશન એજન્ટો કેનેડાનું ગુલાબી ચિત્ર રજૂ કરી વિદ્યાર્થીઓને નિચોવી રહ્યા છે. ફિરોઝ ખાન કહે છે ‘ઘોડો ઘાસ સાથે દોસ્તી કરે તો ખાય શું?’

આશ્ચર્યની બાબત એ છે કે કેનેડામાં 90% ભારતીય વિદ્યાર્થીઓ ભારતની સ્થિતિથી કંટાળીને કેનેડા આવ્યા છે છતાં ભારતના વડા પ્રધાનની વાહવાહી કરવાનું ચૂકતા નથી; હવે તેમને ધોળે દિવસે તારા દેખાઈ રહ્યા છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હરીશ રઘુવંશી : ફિલ્મ સંશોધક અને ગીત સંગ્રાહકની વિદાય

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 August 2024

હરીશ રઘુવંશી

હરીશ રઘુવંશીને યાદ ન આવે એટલાં વર્ષ પર પહેલી વાર મળેલો. ત્યારે કદાચ રમેશ ચૌહાણ દ્વારા સંપર્ક થયેલો એવો આછો ખ્યાલ છે. રમેશ અને હું એક જ દિવસે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની કણપીઠ, સુરત મેઇન ઓફિસમાં 1971માં જોડાયેલા, ત્યારથી તે આજ સુધી અમે સંપર્કમાં છીએ, પણ હરીશભાઈ સાથેનો છેલ્લો સંપર્ક બકુલ ટેલરને ત્યાં એ બેજનવાલામાં રહેવા ગયો, ત્યારે કોઈ ફંક્શનમાં થયેલો. તે વખતે જ હરીશભાઈની તબિયત ઠીક ન હતી. બોલવાની પણ તકલીફ હતી. બસ એ પછી એકાદ વખત ફોન પર વાત થઈ હશે એટલું જ !

એવા દિવસો પણ હતા જ્યારે હરીશભાઈને વારંવાર મળવાનું થતું. એ હળદિયા શેરીનાં મારાં ઘરે આવતા, તો હું પણ એમને ઘરે જતો. વાતોનો વિષય મુકેશનાં ગીતો કે ફિલ્મો હોય. હું યુનિયન ધારા, અઠવાલાઇન્સમાં રહેવા આવ્યો ત્યારે વાસ્તુ રાખેલું. એ વખતે એ અને ફિલ્મ અભિનેતા ને દિગ્દર્શક કૃષ્ણકાંત (કે.કે.) પણ આવેલા ને પછી તો કે.કે.ને ત્યાં પણ મળ્યા હોઈશું. અમારી વચ્ચે વિષય ફિલ્મોનો જ હોય. હરીશ ત્યારે મુકેશનાં ગીતોની અને તેને લગતી માહિતી ભેગી કરતાં હતા. એમણે અમારો એ ભ્રમ દૂર કર્યો કે મુકેશે હજારો ગીતો ગાયાં છે. પછી તો મુકેશનાં ગીતોનો સંચય જ એમણે બહાર પાડ્યો ને પુરવાર કર્યું કે હિન્દી, ગુજરાતી ગીતોનો કુલ આંકડો હજાર ગીત પર પણ પહોંચતો નથી. ‘મુકેશ ગીત કોષ’ મારા જેવા મુકેશ રસિયા માટે તો આજે પણ ઉપકારક રહ્યો છે. એ કોષમાં મુકેશનાં ગીતોની યાદી અને એ ગીતો તો છે જ, પણ તેની સાલવારી પણ એમણે આપી છે. સહગાયક કે ગાયિકાની વિગતો ને ગીત ગવાયું હોય, પણ ફિલ્મમાં ન લેવાયું હોય કે એ ફિલ્મ રજૂ જ ન થઈ હોય એવી વિગતો પણ પૂરી ઝીણવટ સાથે, અધિકૃત રીતે, હરીશભાઈએ કોષમાં આપી છે. ફિલ્મી ગીતોની સ્ક્રિપ્ટ મોટે ભાગે ભાષાની ભૂલો વગર ભાગ્યે જ બહાર આવે છે, પણ હરીશભાઈએ ભાષાની ને વિગતોની સચ્ચાઈ સંશોધકની ચીવટ સાથે આપી છે. એ સાથે જ બીજું મહત્ત્વનું કામ હરીશભાઈએ ‘ગુજરાતી ફિલ્મ ગીત કોષ’નું કર્યું છે. ગુજરાતી પહેલી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ (ભક્ત નરસૈંયો) 1932માં આવી ત્યારથી શરૂ કરીને એમણે ગુજરાતી ફિલ્મોની વિગતો સાથે ગીત કોષ તૈયાર કર્યો છે.

આમ તો એમની ઇલેક્ટ્રોનિક્સની દુકાન ‘ઓડિયો વિઝન’ નાનપરા રોડ પર હતી. મારી બદલી પણ નાનપરા બ્રાન્ચમાં 1976 આસપાસ એ જ રોડ પર થઈ. અમારી વચ્ચે થોડી દુકાનોનું અંતર હતું એટલે મળવામાં અંતર ન રહ્યું. એમને ત્યાંથી જ મેં પહેલું બ્લેક એન્ડ વ્હાઇટ ટી.વી. ક્રાઉનનું (લાકડાના દરવાજાવાળું) ખરીદ્યું. એ પછી એ પૂતળી નજીક સગરામપરાની દુકાનમાં આવ્યા, મારા ઘરની નજીક, એટલે અહીં પણ મળવાનું વધ્યું. અહીંથી એમની પાસેથી મેં ઓનિડા કલર ટી.વી. ખરીદ્યું ને તે વર્ષો સુધી ‘યુનિયન ધારા’નાં ઘરમાં ચાલ્યું. એમનો પોતાનો ફિલ્મને લગતો કોઈ ઇતિહાસ ન હતો, પણ એ સંશોધનમાં એટલા ઊંડા ઊતર્યા કે પોતે ઇતિહાસકાર તરીકે જાણીતા થયા. ફિલ્મને લગતી કોઈ પણ માહિતી હું એમને પૂછતો, તો એમની પાસેથી સાલવારી સાથે સચોટ માહિતી મળતી. મને એ પણ યાદ છે કે ‘જીવન ભારતી’ના રોટરી હોલમાં એક ફિલ્મ ક્વિઝ વર્ષો પહેલાં મેં કંડક્ટ કરેલી ને એ કંડક્ટ કરવામાં પણ હરીશ સાથે રહ્યા હતા.

વર્ષો પહેલાં હું ‘ગુજરાતમિત્ર’માં ફિલ્મોને લગતી કૉલમ ‘ફિલ્મલોક’ લખતો હતો. એ વખતે મુકેશ પર બે મિત્રો સક્રિય હતા. મને પોતાને મુકેશનાં ગીતો ખૂબ ગમતાં. એટલે હરીશભાઈ ઉપરાંત જગદીશ માસ્તર સાથે પણ પરિચય વધ્યો. જગદીશ પણ યુનિયન બેન્કનો જ સ્ટાફ. ટેક્સટાઇલ માર્કેટ બ્રાન્ચમાં મારી બે વખત બદલી થઈ. એમાં પહેલી વાર કેશિયર હતો ત્યારે જગદીશને મળવાનું થયેલું. જગદીશ ત્યારે મુકેશનાં ગીતો ગાતો. એણે પછી ‘ગાંધી સ્મૃતિ ભવન’માં મુકેશનાં ગીતો ગાવાનું શરૂ કર્યું. હું એને ‘બીજો મુકેશ’ જ કહેતો. મુકેશને કલ્પના પણ નહીં હોય કે એણે અમને ત્રણ જણને મૈત્રી વડે સાંકળ્યા હતા. મેં ‘ફિલ્મલોક’ કોલમમાં એક જ દિવસે હરીશ રઘુવંશી અને જગદીશ માસ્તર વિષે પરિચાયાત્મક લેખ લખ્યા. એની અસર એ પડી કે અમે વધુ નજીક આવ્યા. હરીશભાઈ મુકેશની સ્ક્રિપ્ટ સાથે પ્રગટ થયા ને જગદીશ મુકેશના 600 ગીતો સાથે અવાજમાં પ્રગટ થયો.

‘મુકેશ ગીત કોષ’ બહાર પડ્યો ત્યારે એનું વિમોચન હજૂરી નજીક સલાબતપરામાં કોઈ ઘરમાં રાખેલું. એ દિવસોમાં કોઈક કારણસર શહેરમાં કર્ફ્યૂ ચાલતો હતો ને મારે વિમોચનમાં જવાનું તો હતું જ ! કોઈ નામી ફિલ્મી હસ્તીને હાથે વિમોચન હતું. (અત્યારે એ નામ યાદ નથી આવતું) વાતાવરણ ત્યારે એવું હતું કે વિમોચન સ્થળે પહોંચી શકાય એમ લાગતું ન હતું, પણ પહોંચી ગયો અને એ કાર્યક્ર્મ સારી રીતે સંપન્ન થયો એનો આનંદ આજે પણ છે. મુકેશ રાજકપૂરનો અવાજ હતો, તો મુકેશ અવાજ અને સ્ક્રિપ્ટ સાથે જગદીશ અને હરીશ નામે મારી પાસે ઉપલબ્ધ હતા. એ રીતે હું રાજકપૂર કરતાં વધારે નસીબદાર હતો.

જો કે, આજે પાસે કોઈ નથી. નથી હરીશભાઈ રહ્યા કે નથી જગદીશ સાથે પણ કોઈ સંપર્ક રહ્યો એટલે હું મુકેશ વગરનો થઈ ગયો હોઉં એવું લાગે છે. હરીશભાઈ ઘણા વખતથી બીમાર હતા ને ઘણી શારીરિક તકલીફોમાંથી પસાર થયા પછી 74 વર્ષની ઉંમરે 27 ઓગસ્ટ, 2024ની રાત્રે 11 વાગે એમનો દેહ વિલય થયો છે. મુકેશની સાથેની એમની પ્રીતિ તો જુઓ કે દુનિયા છોડવા માટે હરીશભાઈએ તારીખ પણ એ જ પસંદ કરી જે રાત્રે મુકેશનું અવસાન થયું હતું.

સૂરત શહેર અને ગુજરાત રાજ્ય પણ કલાકારો, સાહિત્યકારો, ઇતિહાસકારો, સંશોધકોની કદર કરવાને મામલે ભાગ્યે જ ઉદાર છે. આસપાસ પતંગિયાંની જેમ ઊડ્યાં કરતાં કે સરકારની નજીક કુરનીશ બજાવતા થોડા પોંખાય પણ છે, પણ જે માથે વેચાણ કિંમતની ટેગ લગાવ્યા વગર ખૂણે બેસીને કોઈ ખેવના રાખ્યા વગર સાધના કરે છે તેમના સુધી આ શહેર અને રાજ્ય પહોંચવામાં કાયમ ઊણું ઊતર્યું છે.

નર્મદ યુનિવર્સિટી સાંઠ વર્ષથી આ શહેરમાં સક્રિય છે. એ ડિ.લિટ્.ની પદવી આપતી હતી. તે હવે વર્ષોથી બંધ છે. એની નજર હરીશભાઈ સુધી ને એમના જેવા અન્યો સુધી જઈ શકી હોત તો આનંદ થયો હોત. વર્ષોથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સક્રિય છે. તેણે ઉદ્યોગપતિઓનું, કલાકારોનું, સાહિત્યકારોનું સંગીતકારોનું, સંશોધકોનું સન્માન કર્યું પણ છે, પણ તે ય હવે ખુશામતખોરોથી આગળ જઈ શકતું નથી. સૂરત કળા, સાહિત્યને મામલે મરી પરવાર્યું છે ને તેનું બારમાસી શ્રાદ્ધ ચાલ્યા કરે છે. આ શહેર અને રાજ્ય, કળા અને સાત્ત્વિક કલાકારો, સંશોધકોને મામલે જીવતું હોત કે યુનિવર્સિટીઓ માત્ર ધંધાકીય ન થઈ હોત તો કોઈ હરીશભાઈ જેવા સુધી પહોંચ્યું પણ હોત ! આ શહેરમાં મોહનલાલ મેઘાણી જેવા ઇતિહાસકાર હજી સક્રિય છે, તેમણે આત્મકથા કરી છે. તેમને પોંખવાનું ઉત્તમ નિમિત્ત પણ હાથવગું છે. સાહેબ, એમ.ટી.બી. કોલેજ જેવામાં વર્ષો સુધી ઇતિહાસના અધ્યાપક રહ્યા. એ કોલેજ કે એ સોસાયટી કે કોઈ યુનિવર્સિટી એમના સુધી પહોંચે ને એમનું યોગ્ય તે સન્માન કરે કે ગુજરાત રાજ્ય સરકાર તેની મતલબી બહેરાશ છોડી એમને સાંભળે એ અપેક્ષિત છે. એનાથી હરીશભાઈ કે મેઘાણી સાહેબ ઊજળા દેખાશે તે કરતાં આ શહેર અને રાજ્યની ગંદકી થોડી દૂર થશે તે મોટું આશ્વાસન હશે.

ઠીક છે, એ તો થાય ત્યારે ખરું, આજે તો હરીશભાઈની ખોટ પડી છે તે સ્વીકાર્યે જ છૂટકો છે.

એમને શ્રદ્ધાપૂર્વક વંદન !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ઑગસ્ટ 2024
છબિ સૌજન્ય : ઉર્વીશ કોઠારી

Loading

શાળા-કોલેજોમાં ભણાવાતા ઇતિહાસમાં થતા વિલોપન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 August 2024

ચંદુ મહેરિયા

ઇતિહાસ આમ તો લિબરલ આર્ટ્સનો વિષય છે, પરંતુ કોઈપણ દેશકાળના રાજનેતાઓની અડફેટે તે ચડતો રહે છે અને પોલિટિકલ બની જાય છે. આપણા દેશના રાજનેતાઓ ઇતિહાસને તોડી મરોડીને ભણાવાય તેના ખેલ કરવામાં પહેલાં કે અપવારૂપ નથી. દુનિયાના ઘણા દેશોમાં ઇતિહાસનાં પાઠ્ય પુસ્તકો અને પાઠ્યક્રમમાં રાજકર્તાઓની મરજી મુજબના ફેરફારો કરવામાં આવે છે. શાળેય શિક્ષણમાં ઇતિહાસ એક મહત્ત્વનો વિષય છે, પરંતુ બાળકો-કિશોરોને ભણાવાતા ઇતિહાસમાંથી રાજનેતાઓની રાજકીય વિચારધારા, સમજ કે ઈચ્છા મુજબ વિલોપન થતા રહે છે. ઇતિહાસમાં ભૂતકાળની ઘટનાઓનું સાધાર આલેખન થતું હોય છે. જો કે કોઈને ય પોતાનો કલંકિત ભૂતકાળ મિન્સ ઇતિહાસ ગમતો નથી. સાચો-ખોટો  ગૌરવાન્વિત ઇતિહાસ જ ગમે છે અને તે જ બીજાઓને કહેવો છે.

વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા નગર પર અણુબોમ્બ ફેંકી વિનાશ વેર્યો હતો. જેની અસર હજુ ગઈ નથી. પણ અમેરિકાના ઇતિહાસમાંથી આ બાબતની હંમેશાં બાદબાકી કરવામાં આવે છે. બ્રિટિશ સામ્રાજ્યનો ઇતિહાસ આક્રમક, વિસ્તારવાદી અને રંગભેદનો છે. જેણે વિશ્વના ઘણા દેશોમાં અન્યાય, અત્યાચાર, યુદ્ધ અપરાધ અને હિંસા આચરી હતી. બ્રિટિશ બાળકોને બ્રિટિશ સામ્રાજ્યનો આ ઇતિહાસ ભણાવાતો નથી. બ્રિટનનાં પાઠ્યપુસ્તકોમાં ગાંધીજીનું આલેખન હંમેશાં પડકારજનક અને કસોટી કરનારું રહ્યું છે. પાકિસ્તાનના શાળેય અભ્યાસક્રમના ઇતિહાસનાં પુસ્તકોમાં પાકિસ્તાનના ઇતિહાસનો આરંભ આઠમી સદીથી જ થાય છે. શાસકો પાકિસ્તાનનો ઇતિહાસ આઠમી સદીમાં મોહંમદ બિન કાસિમે સિંધ પર આક્રમણ કર્યું, તે જીત્યું અને તેનો શાસક બન્યો તેનાથી કરવામાં ગૌરવ સમજે છે. પાકિસ્તાનના વિદ્યાર્થીઓને જે ઇતિહાસ ભણાવાય છે તેમાં હિંદુ રાજાઓ અને હિંદુઓને એ હદે ખરાબ દર્શાવ્યા છે કે નાનપણથી જ બાળકોના મનમાં નફરતના બીજ રોપાય છે. રાજકારણીઓને આધાર-પુરાવા વિનાના પણ લોકો વાહવાહી કરે, અને તેનું ખરું-ખોટું ગૌરવ લેતા ફરે તેવો જ ઇતિહાસ ભણાવવો છે. આમ કરવા પાછળ તેમની રાજકીય ગણતરીઓ હોય છે. બાળ કે કિશોર વયે વિદ્યાર્થીઓ જો આ પ્રકારનો ઇતિહાસ ભણે તો મોટપણે નાગરિક કે મતદાતા તરીકે રાજકર્તાઓની રાજકીય વિચારધારાને અનુરૂપ વર્તે છે.

ભારતમાં પણ ૨૦૧૪થી એન.સી.ઈ.આર.ટી.ના ઇતિહાસનાં પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકોમાં થતી બાદબાકી અને ઉમેરણ રાજકીય હોવાનો વિવાદ થતો રહ્યો છે. એ વિવાદમાં કેટલું તથ્ય છે તેની ચર્ચા ઘડીભર બાજુએ રાખીને ભણતરનો ભાર ઓછો કરવાના બહાને આપણે વિદ્યાર્થીઓને કઈ કઈ ઐતિહાસિક બાબતોથી અજાણ રાખવા માંગીએ છીએ તે જાણીએ તો આંચકો લાગે છે. લીલા ભેગુ સૂકું બળતું હશે કે ચોક્કસ ગણતરીસર હશે પણ ગયા વરસે એન.સી.ઈ.આર.ટી.એ વિદ્યાર્થીઓ પરનો બોજો ઘટાડવા ઇતિહાસનાં પાઠ્યપુસ્તકમાંથી ઔદ્યોગિક ક્રાંતિ ભણાવવી રદ્દ કરી હતી. છેલ્લી પચાસીના મહત્ત્વના જનાદોલનોમાં દલિત પેન્થર, ચિપકો આંદોલન, માહિતી અધિકાર આંદોલન અને નર્મદા બચાવ આંદોલનને પણ પાઠવટો મળ્યો હતો.

ઇતિહાસ વિજેતાઓનો, વિજેતાઓ દ્વારા અને વિજેતાઓની નજરે લખાતો હોવાની છાપ છે. પરંતુ એમ કરવા જતાં તેમના પરાજયો પર સાવ જ ઢાંકપિછોડો કરવાનો ? ઇતિહાસનો એક અર્થ હિંદીમાં સાહિત્ય સંદર્ભે છે. તેનો અર્થ એ નહીં કે કવિતાઓ અને કિવદંતિઓ પરથી ઇતિહાસ લખવો. આ પ્રકારનું ઇતિહાસ લેખન મિથકોનું જાણે કે ઇતિહાસમાં રૂપાંતર કરે છે. આપણે આપણા પૂર્વજો અતીતમાં શું હતા તેનો ઇતિહાસ જાણવા, સમજવા, લખાવવાના બદલે આપણો ઇતિહાસ શું હોવો જોઈએ તે દૃષ્ટિથી ઇતિહાસને જોઈએ છીએ.

સ્વતંત્રતા પછી ભારતમાં ઇતિહાસને તર્કસંગત, સાધાર અને વૈજ્ઞાનિક બનાવવાના ગંભીર પ્રયાસો થયા છે. જાણીતા ઇતિહાસકારો પાસેથી શાળા શિક્ષણનાં પુસ્તકો લખાવવામાં આવ્યાં છે. પરંતુ હવે તેમાં રાજકીય વિચારધારાને અનુલક્ષીને ફેરફારો થઈ રહ્યા છે. ઘણાં ઇતિહાસકારો આ છેડછાડ અંગે અસંમત અને નારાજ છે પણ રાજનેતાઓ સામે લાચાર છે. એટલે વિદ્યાર્થીઓ પર બોજ ઘટાડવાના કારણ હેઠળ ઇતિહાસમાંથી અમુક પસંદગીની બાબતો રદ્દ કરવામાં આવી છે.

રાજા-મહારાજાઓ, તેમના જયપરાજય અને સાલવારી એટલે ઇતિહાસ એવી વ્યાપક અને ઘણી સાચી છાપ છે. ઇતિહાસમાં સબાલ્ટન હિસ્ટ્રીના પ્રવેશ પછી લોકનો પ્રવેશ થયો છે. હવે રાજાઓ, નવાબો, અમીરો, રાણીઓ, યુદ્ધો, રાજદરબારો અને સાહ્યબીનો નહીં પણ જનસામાન્યના સુખ-દુ:ખ ઇતિહાસનો ભાગ બન્યા છે કે જે વાસ્તવિક ઇતિહાસ છે.

ઇતિહાસને જોવાના, આલેખવાના અને મૂલવવાના કાટલાં પણ અગત્યનાં છે. જેવાં દૃષ્ટિ અને દૃષ્ટિકોણ તેવો ઇતિહાસ. કાળનું મનહૂસ અને ભવ્ય ચિત્રપટ એ જો ઇતિહાસ છે તો માનવતા, કોમીસૌહાર્દ, લોક વચ્ચેનો આપસી ભાઈચારો ઇતિહાસનો ભાગ બનવો જોઈએ. રાજાની સાથે રૈયતનો ઇતિહાસ જો ન લખાય તો તે અપૂર્ણ ઇતિહાસ ગણાવો જોઈએ. આપણે શાહજહાં-મુમતાઝના પ્રેમના પ્રતીક એવા તાજમહેલને ઇતિહાસ ગણીએ તો આ સંગેમરમરનો જાદુ સર્જનારા અનેક કારીગરો અને શિલ્પીઓનો ઇતિહાસ ક્યાં? તેવો સવાલ ઉઠવો જોઈએ.

ઐતિહાસિક પાત્રો અને ઘટનાઓનો ઇતિહાસ તેમાં રહેલા વિરોધાભાસો સાથે આલેખાવો જોઈએ. નમૂના દાખલ ઈંગ્લેન્ડને ફાસીવાદથી બચાવનાર ચર્ચિલે ભારતમાં બ્રિટિશ રાજવટ હેઠળના બંગાળના લોકોને દુકાળમાં મરવા દીધા હતા કે મારી નાંખ્યા હતા. સ્વતંત્રતાના રક્ષકનો દાવો કરનાર અમેરિકા મધ્યપૂર્વના દેશોના શાસકોની તાનાશાહીનું સમર્થક છે અને આ એવા શાસકો છે જે ધાર્મિક કટ્ટર છે, ઉદારવાદનો તેમનામાં છાંટો પણ નથી અને મહિલા અધિકારોના વિરોધી છે. ગાંધીજી ધાર્મિક સહિષ્ણુતા અને સમાનતાના સમર્થક હતા તેનો કોઈ ઈન્કાર કરી શકે નહીં, પણ તેઓના દલિત અધિકારો માટે લડનારા ડો. આંબેડકર સાથેના મતભેદો અને વિવાદો કે તેમનું ખિલાફતને સમર્થનના વિરોધાભાસ વિના ગાંધીજીનું ઇતિહાસમાં આલેખન પૂર્ણ હોઈ શકે નહીં. ઇતિહાસનાં પુસ્તકોમાં વર્ણવ્યવસ્થા કે જ્ઞાતિ પ્રથાના આલેખનમાં જ્ઞાતિગત ક્રૂરતા અને સંસાધનો પર કોઈ એક જ જ્ઞાતિના આધિપત્ય અંગેના કુતર્ક ભણાવવામાં આવે છે. જ્ઞાતિવ્યવસ્થાનો પક્ષપાતપૂર્ણ ઇતિહાસ વિદ્યાર્થીઓને જ્ઞાતિગત ભેદભાવોથી મુક્ત રાખે તે રીતે લખાતો નથી.

ઇતિહાસનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે. ભૂતકાળની ઘટનાઓમાંથી સબક મેળવીને વર્તમાન અને ભવિષ્યને ઘડવાનું છે. શાળા કોલેજોના અભ્યાસક્રમ હેઠળ ભણાવવામાં આવતો ઇતિહાસ એકાંગી ન હોવો જોઈએ. પાઠ્ય પુસ્તકો તો સરકારનો સત્તાવાર સરકારી દસ્તાવેજ છે. તે ભેદભાવથી મુક્ત અને સરકારની સત્તા-શક્તિથી પર હોય તેવો ઇતિહાસ જો નહીં ભણાવાય તો વિદ્યાર્થીઓના મનમસ્તિષ્ક પર ભૂતકાળની ખોટી છાપ છોડશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...586587588589...600610620...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved