Opinion Magazine
Number of visits: 9457298
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વોર રુકવા દી, પાપા : લોકો પ્રોપેગેન્ડામાં કેમ માનતા થઇ જાય છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 April 2024

રાજ ગોસ્વામી

ચૂંટણી પ્રચારમાં ‘પ્રચાર’ શબ્દનું બહુ મહત્ત્વ છે. અંગ્રેજીમાં તેને પ્રોપેગેન્ડા કહે છે. રાજકીય પક્ષો કે નેતાઓ પોતાના માટે જનતાનું સમર્થન મેળવવા માટે વિચારો અને જાણકારીઓનો પ્રચાર કરતા હોય છે. મોટા ભાગે અપેક્ષા એવી હોય છે કે તેમાં સત્યનો, હકીકતોનો, તથ્યોનો અને હકારાત્મકતાનો જ પ્રચાર થાય, પરંતુ માહિતીના યુગમાં અસત્યનો, ભ્રામક જાણકારીઓનો અને અતિશયોક્તિઓનો પણ એટલો જ પ્રચાર થતો હોય છે, જેને દુષ્પ્રચાર કહે છે.

જનમત કેળવવા માટે આખી દુનિયામાં પ્રચાર – દુષ્પ્રચારનો ઉપયોગ થાય છે. એમાં ક્યારેક સફળતા મળે છે, ક્યારેક નથી મળતી. ક્યારેક એવા પ્રચાર ઊંધા પણ પડતા હોય છે – એટલે કે જનમત કેળવવાને બદલે તે જનમતને વિરુદ્ધ પણ કરી નાખે છે.

દેશમાં લોકસભાના વર્તમાન ચૂંટણી પ્રચારમાં, ભારતીય જનતા પાર્ટીના એક પ્રચાર સાથે એવું જ થયું છે. માર્ચ મહિનામાં, પાર્ટી તરફથી સોશિયલ મીડિયા અને યુટ્યૂબ પર એક વીડિયો જારી કરવામાં આવ્યો હતો. તેની થિમ હતી – વોર રુકવા દી, પાપા.

તેમાં, રશિયા-યુક્રેન યુદ્ધના શરૂઆતી દિવસો દરમિયાન યુક્રેનમાં ફસાઈ પડેલા ભારતીય વિધાર્થીઓ વતી એક યુવતી તેના પિતાને કહેતી સંભળાય છે, “મૈંને કહા થા ના, કૈસી ભી સિચ્યુએશન હો, મોદીજી હમેં લે આયેંગે. વોર રુકવા દી, પાપા ઔર ફિર હમારી બસ નિકાલી, પાપા.”

આ વીડિયોમાં તથ્યાત્મક ત્રૂટિ હોવાના કારણે વિરોધ પક્ષોએ તો તેનો જબરદસ્ત વિરોધ કર્યો, પણ સામાન્ય લોકોને પણ આ દાવો ગળે ઉતરે તેવો નહોતો એટલે લોકોએ તેની ક્લિપને વાઈરલ કરીને મજાક ઉડાવાનું શરૂ કર્યું. ત્યાં સુધી કે એ છોકરી અને તેના બયાન ‘વોર રુકવા દી, પાપા’નાં એટલાં બધાં મીમ બન્યાં ( અને હજુય બને છે) કે એવું કહેવાય છે કે તેમાં હિસ્સો લેનારી (જેનું નામ પ્રિયંકા હોવાનું કહેવામાં આવે છે) એ છોકરીનું ઘર બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. અલબત્ત, વીડિયોમાં યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ નહોતો, પણ લોકો તાળો મેળવી લીધો હતો.

આ વીડિયો મજાકનું સાધન બની ગયો તેનાં બે કારણો હતાં : 

૧. બે દેશ વચ્ચે પુર જોશ યુદ્ધ ચાલતું હોય ત્યારે, ત્રીજો દેશ તેના વિધાર્થીઓને સહી સલામત ઘરે લાવવા માટે એ યુદ્ધને થોડા સમય સુધી રોકી રાખે તે વાત આમ જનતાની કોમન સેન્સમાં બેસે તેવી નહોતી, ખાસ કરીને અમેરિકા કે ચીન જેવી મહાશક્તિઓ પણ એ યુદ્ધ રોકવામાં વિફળ ગઈ હોય. દેખીતી રીતે જ, વીડિયોમાં અતિશયોક્તિ હતી.

૨. બીજું કારણ એ હતું કે ખુદ ભારત સરકારનું વિદેશ મંત્રાલયે આ દાવાનું ખંડન કરી ચુક્યું હતું. યુદ્ધ શરૂ થયું તેના થોડા દિવસ પછી ભા.જ.પ. તરફી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોદી સરકારની વિનંતીથી રશિયાએ થોડો સમય યુદ્ધ અટકાવ્યું હતું તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોના સવાલમાં કહ્યું હતું કે -‘અમને એક રસ્તો સલામત હોવાની માહિતી મળી હતી અને અમે તે નાગરિકોને પહોંચાડી હતી એટલું જ. કોઈકે બોમ્બમારો અટકાવી દીધો કે અમે એવું કોઓર્ડિનેશન કરી રહ્યા હતા તે વાત ખોટી છે.’

તે પછી પણ ભા.જ.પ.ના નેતાઓ દ્વારા આ દાવો ચાલુ રહ્યો અને તેનો અંત આ ‘વોર રુકવા દી, પાપા’ના વીડિયોમાં આવ્યો હતો. તેમાં એટલી બદનામી થઇ હતી કે પાર્ટીના સમર્થકોએ તેને અવગણવાનું શરૂ કરી દીધું હતું. ટૂંકમાં, આ વીડિયો બુમરેંગ સાબિત થયો.

ચૂંટણી પ્રચારમાં આવું દુનિયામાં દરેક પક્ષો સાથે, દરેક સમયમાં થતું રહેતું હોય છે, પણ એમાં સમજવા જેવું એ છે કે પ્રચાર, દુષ્પ્રચાર કે અતિશયોક્તિ કેમ એક પ્રભાવી માધ્યમ છે? ચૂંટણી જ નહીં, અન્ય ક્ષેત્રોમાં પણ (જેમ કે માર્કેટિંગ) ઘણા પ્રચાર અત્યંત સફળ પુરવાર થયા હોવાના પણ દાખલા છે.

 

દાખલા તરીકે, બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી શાસકોએ બહુ સફળતાથી પ્રચાર કરીને જનમત તેમની તરફેણમાં વાળ્યો હતો. તેની પ્રેરણા તેમને 1914ના પ્રથમ વિશ્વ યુદ્ધમાંથી મળી હતી. પ્રથમ વિશ્વ યુદ્ધમાં, જર્મનીનો બ્રિટનના હાથે પરાજય થયો હતો અને જર્મન મિલિટરી અધિકારીઓએ એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે તેમના પરાજયમાં બ્રિટિશ પ્રચાર-તંત્રનો મોટો હાથ હતો.

બ્રિટિશ સરકારે પ્રચાર માટે માહિતી મંત્રાલયની રચના કરી હતી, પરંતુ વિશ્વ યુદ્ધના અંત સાથે, મંત્રાલય નાબૂદ કરવામાં આવ્યું હતું. તેનું કારણ એ હતું કે લોકોને લાગ્યું કે સરકાર તેમની સાથે જૂઠું બોલી રહી છે.

જો કે, બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યા પછી, બ્રિટિશ સરકારે ફરીથી માહિતી મંત્રાલયની જરૂરિયાત જણાઈ હતી. તેનો હેતુ નાઝી પ્રચાર તંત્રનો સામનો કરવાનો, બ્રિટિશ લોકોને યુદ્ધ માટે તૈયાર કરવાનો અને બાકીના યુરોપમાં હિટલર વિરુદ્ધ પ્રચાર કરવાનો હતો.

હિટલર જ્યારે જર્મનીમાં સત્તામાં આવ્યો ત્યારે, તે પણ માનતો હતો કે 1918માં જર્મન મોરચામાં હતાશા ફેલાઈ ગઈ અને બળવો થયો તેની પાછળ બ્રિટિશ પ્રચાર કારણભૂત હતો. એટલે હિટલરે તેના શાસનમાં જર્મન નાગરિકોનો ભરોસો બરકરાર રાખવા માટે પ્રચારને એક નીતિ તરીકે સરકારનો હિસ્સો બનાવ્યો હતો.

તેની આત્મકથા ‘મેઈન કામ્ફ’માં હિટલર પ્રચારના ઘણા નિયમોની રૂપરેખા આપી હતી. બ્રિટિશ માહિતી મંત્રાલયના ઘણા અધિકારીઓ હિટલર સાથે સહમત થયા હતા. તેમણે હિટલર સામેની ઝુંબેશમાં આ જ પ્રકારની ઘણી યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો.

હિટલરે લખ્યું હતું, “તમામ પ્રચાર લોકપ્રિય હોવા જોઈએ અને એને જે લોકો સુધી પહોંચાડવાના છે, એમાંથી સૌથી ઓછા બુદ્ધિશાળી વ્યક્તિને પણ એ સમજમાં આવવા જોઈએ. કુશળ અને સતત પ્રચારની મદદથી, કેટલા ય લોકોને સ્વર્ગ પણ નર્ક જેવું બતાવી શકાય અથવા સાવ જ નઠારા જીવનને સ્વર્ગ જેવું બતાવી શકાય છે.”

સવાલ એ છે કે લોકો પ્રચારમાં કેમ માનતા થઇ જાય છે? તેની પાછળ ગહન મનોવિજ્ઞાન છે. હિટલરનો પ્રચારમંત્રી જોસેફ ગોબ્બેલ્સ ભલે એવું કહેવા માટે બદનામ હોય કે, “જૂઠને વારંવાર દોહરાવો તો તે સત્ય બની જાય છે,” પણ આપણે સૌ આ જ માનસિકતાના શિકાર છીએ. સત્ય અને પરિચિતતા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. જે પરિચિત હોય તે સત્ય બની જાય છે, અને જે અજાણ્યું હોય તે જૂઠ નજર આવે છે.

એક જૂઠને વારંવાર રિપીટ કરવામાં આવે, તો લોકોને તે પરિચિત થઈ જાય છે અને એટલે તેને સત્ય માની લેવાની સંભાવના વધી જાય છે. આપણું મગજ વારંવાર એકની એક વાત સાંભળે, તો તેને હકીકત તરીકે સ્વીકારતું થઈ જાય છે. આને આભાસી સત્ય કહે છે. 

પરિચિતતા આપણી વિચારપ્રક્રિયાને દૂષિત કરે છે. આપણું મગજ અપરિચિત ચીજથી દૂર ભાગે છે, કારણ કે તે જોખમી લાગે છે, અને પરિચિત ચીજ સાથે ઘરોબો કેળવી લે છે, કારણ કે તે સલામત લાગે છે. કોઈપણ ચીજને પસંદ કરવાની પહેલી શરત તેની પરિચિતતા છે. એટલા માટે લોકોને જૂઠ પણ પસંદ પડે છે, કારણ કે તે પરિચિત છે. રાજકારણીઓ એટલે સફળ થાય છે. આધુનિક એડવર્ટાઈઝમેન્ટ અને માર્કેટિંગ આ માનસિકતા પર જ સફળ રહે છે. ફેક ન્યૂઝ અને પ્રોપેગેંડા એટલે જ તાકાતવર હોય છે.

(પ્રગટ ; “ગુજરાત મિત્ર” /। “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 21 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વાયકોમ સત્યાગ્રહની શતાબ્દી અને દલિતોના મંદિર પ્રવેશનો પ્રશ્ન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 April 2024

ચંદુ મહેરિયા

સો વરસ પૂર્વેનો ત્રીસમી માર્ચ ૧૯૨૪નો એ દિવસ. તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીના ત્રાવણકોર રજવાડાનું અને હાલના કેરળ રાજ્યના  કોટ્ટાયમ  જિલ્લાનું વાયકોમ ગામ. ખાદીના વસ્ત્રો પહેરેલા અને ગળામાં માળા ધારણ કરેલા ત્રણ સત્યાગ્રહી યુવાનો અને તેમની પાછળ સેંકડોની ભીડ સવારસવારમાં વાયકોમના શિવ મંદિર તરફ જઈ રહી છે. જે ત્રણ યુવાનોએ સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું છે, તેમાં કથિત સવર્ણ અને અવર્ણ બંને જ્ઞાતિના છે. તેમનો ઉદ્દેશ વાયકોમના શિવ મંદિર ચોફેરના રસ્તાઓ પરથી કહેવાતા શૂદ્રો અને અતિ શૂદ્રોને પસાર થવાની મનાઈ છે, તેનો વિરોધ કરવાની છે. સત્યાગ્રહીઓ જેવા પ્રતિબંધની જાહેરાત કરતા નોટિસ બોર્ડ નજીક પહોંચ્યા કે તરત તેમને અટકાવવામાં આવ્યા. સેંકડોની ભીડ શાંત અને અહિંસક રીતે ત્યાં થોભી ગઈ. ત્રણ સત્યાગ્રહીઓની પોલીસે ધરપકડ કરી. પરંતુ તેથી સત્યાગ્રહીઓ ડગ્યા નહીં. જ્યાં અટકાવ્યા હતા ત્યાં સત્યાગ્રહ છાવણી બનાવી બેઠા અને ઘણાં રેંટિયો કાંતવા લાગ્યા. આ સિલસિલો રોજેરોજ ચાલતો રહ્યો. છેક દસમી એપ્રિલ સુધી નવા ત્રણત્રણ સત્યાગ્રહીઓની પોલીસ ધરપકડ કરતી રહી. પોલીસ અટકાયત કરતી અટકી પણ નવા સત્યાગ્રહીઓ આવવાનું ન અટક્યું કે સત્યાગ્રહ ન અટક્યો. વાયકોમના શિવ મંદિરમાં પ્રવેશનો નહીં, મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેનો ભારતના દલિતોનો એ કદાચ પહેલો સત્યાગ્રહ હતો. જેનું આ શતાબ્દી વરસ છે. ગાંધીજીના માર્ગે શાંત અને અહિંસક રીતે અવિરત છસો દિવસ, (૩૦ માર્ચ, ૧૯૨૪ થી ૨૩ નવેમ્બર, ૧૯૨૫) સુધી ચાલેલો વાયકોમ સત્યાગ્રહ અંશત: સફળ  થયો હતો.

શિક્ષિત, સમૃદ્ધ અને પ્રગતિશીલ કેરળમાં રુઢિવાદ, સામંતવાદ અને ભયાવહ જ્ઞાતિભેદ જોઈને ઈ.સ. ૧૮૯૨ની કેરળ મુલાકાત પછી વિવેકાનંદે તેને પાગલખાનું કીધું હતું. વાયકોમ જેવા સેંકડો મંદિરોમાં દલિતોને પ્રવેશ તો નહોતો, મંદિરો નજીકના માર્ગો પરથી અન્ય ધર્મના લોકો કે જાનવરો પસાર થઈ શકતા હતા, માત્ર દલિતો જ પસાર થઈ શકતા નહોતા. આભડછેટ સ્પર્શની જ નહીં સંસર્ગની પણ હતી. એટલે દલિતોને અડવાથી જ નહીં જોવાથી પણ અભડાઈ જવાતું હતું. જો દલિતો મંદિરો નજીકના રસ્તા પરથી પસાર થાય તો ભગવાન અભડાઈ જતા હતા.

ડો. પદ્મનાભ પલ્પૂએ મદ્રાસથી ડોકટરીનો અભ્યાસ કર્યો હતો. પછી તે વિદેશ જઈને પણ ભણ્યા. પરંતુ તે દલિત હોવાથી કદી કેરળમાં પ્રેકટિસ ન કરી શક્યા! અલુમુટી ચેન્નાર વાયકોમના એવા દલિત હતા જેમની પાસે મોટરકાર હતી અને રાજ્યના તે સૌથી મોટા કરદાતા હતા. પરંતુ જ્યારે વાયકોમના શિવ મંદિર પાસેથી પસાર થવાનું આવે ત્યારે તેમને દલિત હોવાના કારણે કારમાંથી ઉતરીને બીજા રસ્તે ચાલતા આગળ વધવું પડતું. તેમનો બિનદલિત ડ્રાઈવર મંદિર પાસેના રસ્તેથી ગાડી લઈને જતો અને આગળ તેમની રાહ જોતો. આર્થિક સમૃદ્ધિ કે ઉજળા ધંધા છતાં વાયકોમના દલિતોને ક્રૂર એવી નાતજાતની વ્યવસ્થા સહેવી પડતી હતી.

૧૯૨૪ના અભૂતપૂર્વ વાયકોમ સત્યાગ્રહ પહેલાં પણ દલિતોએ મંદિરના રસ્તેથી પસાર થવા માટે સંઘર્ષ કર્યા હતા. ૧૮૦૫માં ૨૦૦ દલિત યુવાનોએ સંગઠિત થઈ શિવ મંદિરના રસ્તે ચાલવાનો કાર્યક્રમ આપ્યો હતો. મંદિરમાં જતાં પહેલાં બાજુના તળાવમાં તે નહાવા ગયા ત્યારે જ રાજ્યના સાથથી બિનદલિતોએ તેમના પર હિંસક હુમલો કર્યો જેમાં ઘણાં યુવાનોને મારી નાંખ્યા અને તેમની લાશો તળાવમાં ફેંકી દીધી હતી. વકીલ અને દલિત નેતા ટી.કે. માધવને ૧૯૧૭માં પોતાના અખબાર ‘દેશાભિમાની’ના તંત્રીલેખમાં વાયકોમ મંદિરના દલિતો માટે પ્રતિબંધિત રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો. માત્ર લખીને ના અટકતા તેઓ પ્રતિબંધિત રસ્તે ચાલ્યા પણ હતા. ૧૯૨૧માં તેમણે આ મુદ્દે લોક આંદોલન કરવા ગાંધીજીની મુલાકાત લીધી અને સમર્થન માંગ્યું હતુ. ૧૯૨૩ના કાઁગ્રેસના કાકીનાડા અધિવેશનમાં કેરળ કાઁગ્રેસ સમિતિએ કાઁગ્રેસે અસ્પૃશ્યતા વિરોધી વ્યાપક અભિયાન ચલાવવા અંગે પ્રસ્તાવ કર્યો હતો. ટી.કે. માધવન., કે.પી. કેશવ મેનન, કે. કેલપ્પન અને જોર્જ જોસેફની આગેવાનીમાં ૧૯૨૪થી વાયકોમ સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો હતો. 

વાયકોમ સત્યાગ્રહના મુખ્ય સત્યાગ્રહી નેતાઓની ધરપકડ થતાં તમિલનાડુ કાઁગ્રેસ કમિટીના પ્રમુખ અને દ્રવિડ આંદોલનનો શક્તિશાળી અવાજ એવા રામાસામી નાયકર”પેરિયાર’ને બોલાવવામાં આવ્યા. ગાંધીજીનું સમર્થન અને પેરિયારની સક્રિયતાથી આંદોલનને વેગ માળ્યો. વાયકોમ સત્યાગ્રહ કોઈ સ્થાનિક મુદ્દો ન રહેતાં રાષ્ટ્રવ્યાપી બન્યો હતો. સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી અને પેરિયારના મતભેદો ઉભર્યા. ગાંધીજી માટે વાયકોમ હિંદુ સુધારાવાદી આંદોલન હતું. જ્યારે પેરિયાર માટે જ્ઞાતિ આધારિત આત્યાચારો સામેનો સંઘર્ષ હતો. આ સત્યાગ્રહમાં પેરિયારની બે વાર ધરપકડ થઈ અને ૧ માસ અને પછી ૬ માસની જેલની સજા થઈ હતી. તેઓ વાયકોમ વીર કે વાયકોમ નાયક તરીકે જાણીતા થયા હતા.

સત્યાગ્રહીઓના પક્ષે છેક સુધી શાંતિ અને અહિંસા જાળવી રાખવામાં આવ્યાં. વીસ મહિના લાંબા સત્યાગ્રહ દરમિયાન જ્યારે પૂર આવ્યું તો કમરસમા પાણીમાં ઊભા રહીને સત્યાગ્રહ જારી રાખ્યો. શીતળાનો વાવર પણ વેઠ્યો. ગાંધીજી કથિત સવર્ણોના હ્રદયપલટામાં માનતા હતા. વાયકોમના ઘણા બિનદલિતો સત્યાગ્રહના સમર્થક હતા અને અન્યાયનો વિરોધ કરતા હતા. વાયકોમ સત્યાગ્રહના તરફદાર બિનદલિતોએ વાયકોમથી તિરુઅનંતપુરમ સુધી કૂચ કરી, પચીસ હજાર લોકોની સહીઓ સાથેનું આવેદના પત્ર મહારાણીને આપ્યું. મહારાણી દલિતોની વાજબી માંગ સાથે સહમત હોવા છતાં તે બિનદલિતોને નારાજ કરવા માંગતા નહોતાં એટલે તેમણે પ્રસ્તાવ વિધાન પરિષદ સમક્ષ મુક્યો હતો. જ્યાં દલિતોના પક્ષે ૨૧ અને વિરોધમાં ૨૨ મતો પડ્યા. નવાઈની વાત એ હતી કે એક દલિતે દલિતોની માંગણીના વિરોધમાં મત આપ્યો હતો અને તે ડો. પલ્પૂના ભાઈ હતા! સત્યાગ્રહીઓને રંજાડવામાં વિરોધીઓએ કંઈ બાકી રાખ્યું નહોતું તો ય તેઓ અડગ રહ્યા. જેમ પેરિયાર, નારાયણ ગુરુ, તેમ સી. રાજગોપાલાચારી પણ સત્યાગ્રહીઓના સમર્થનમાં હતા. 

માર્ચ ૧૯૨૫માં ગાંધીજી વાયકોમ આવ્યા અને તેમણે મહારાણી તથા સત્યાગ્રહીઓના વિરોધીઓની મુલાકાતો કરી. અંતે ચાર પૈકીના ત્રણ રસ્તા બધાને માટે ખૂલ્લા કરવા અને મંદિરનો પૂર્વનો માર્ગ કથિત ઉચ્ચ વર્ણ અને રાજપરિવાર માટે આરક્ષિત રાખવો તેવી સમજૂતી થઈ. તેનો અમલ કરવામાં પણ ઘણો સમય લાગ્યો. પેરિયાર અને અન્યોને ગાંધીજીનું આ સમાધાન મંજૂર નહોતું. નવેમ્બર ૧૯૨૫માં વીસ મહિના બાદ વાયકોમના ત્રણ માર્ગો દલિતો માટે ખૂલ્યા, પરંતુ  મંદિરમાં તેમનો પ્રવેશ તો બીજા સવા દાયકે ૧૯૩૬માં શક્ય બન્યો હતો. 

દલિતોનો હિંદુ મંદિરોમાં પ્રવેશનો પ્રશ્ન આજે વાયકોમ સત્યાગ્રહની શતાબ્દીએ પણ ઊભો છે. આજે ય કેટલાક મંદિરોમાં દલિતો પ્રવેશી શકતા નથી. જાણીતા સમાજવિજ્ઞાની આઈ.પી. દેસાઈએ “અનટચેબિલીટી ઈન રુરલ ગુજરાત” સ્ટડીમાં ૧૯૭૧-૭૨માં ગુજરાતના ગામડાઓમાં મંદિર પ્રવેશમાં ૮૩ ટકા આભડછેટ પળાતી હોવાનું નોધ્યું છે. સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહના “એ સ્ટડી ઓફ અનટચેબિલીટી એન્ડ એટ્રોસિટી ઈન ગુજરાત”માં ૧૯૯૬માં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરપ્રવેશમાં આભડછેટનું પ્રમાણ, પચીસ વરસે ૧૯ ટકા ઘટીને, ૬૪ ટકા થયાનું નોંધ્યું છે. જો કે ૨૦૦૫થી ૨૦૦૯ વચ્ચેનો એક અન્ય અભ્યાસ, “અન્ડરસ્ટેન્ડીંગ અનટચેબિલીટી”માં, ગુજરાતના ગામડાઓના ૯૦.૮ ટકા મંદિરોમાં દલિતો પ્રત્યે આભડછેટ રખાતી હોવાનું જણાવ્યું છે. એટલે વાયકોમ સત્યાગ્રહની  સ્મૃતિસદી દલિતોના મંદિર પ્રવેશમાં વ્યાપક અસ્પૃશ્યતા અને તે નિવારવાના પાંખા પ્રયાસોની કટુ યાદની પણ છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

સત્તાનો સામનો કરવામાં અર્થશાસ્ત્રીઓ નબળા પડે છે

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|25 April 2024

સત્તા અને અર્થશાસ્ત્ર : 

ભાગ – ૯ અને છેલ્લો

રોબર્ટ સ્કિદેલસ્કી

વિજ્ઞાપન એટલે કે જાહેરખબરો વિશે પણ મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં આ જ પ્રકારની વાત કરવામાં આવી છે. અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે ગ્રાહકો હરીફાઈવાળા બજારમાં પોતાનો સંતોષ મહત્તમ કરવા માટે જ ખરીદી કરે છે. આ પ્રકારના મોડેલમાં તો વિજ્ઞાપનની જરૂર રહેતી જ નથી. વિજ્ઞાપન સત્તા કે તાકાતની અભિવ્યક્તિ છે તે બાબતને તો અદૃશ્ય બનાવી દેવાઈ છે. તેને માટે એવી દલીલ કરવામાં આવે છે કે વિજ્ઞાપન ગ્રાહકોની પસંદગીઓને માત્ર સમર્થન આપે છે અથવા તો તે ગ્રાહકોને માહિતી આપે છે.

આજે cloud storageને નામે કોમ્પ્યુટર નેટવર્ક ઊભું થયું છે કે જેની માલિક ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ છે. આ કંપનીઓ તમારી રુચિ, વિચારો અને ખરીદી પર ખબર ન પડે તે રીતે પ્રભાવ ઊભો કરે છે. તેઓ મુખ્યત્વે યુવાન ગ્રાહકોને નિશાન બનાવે છે. આ ઘટનાને મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓ મોટે ભાગે અવગણે છે. 

ત્રીજો મુદ્દો એ છે કે અર્થશાસ્ત્ર પ્રભાવક સત્તા વ્યવસ્થાને ટેકો આપે છે. તેને માટે તે પોતાના સંશોધનમાં ગ્રાહકોની પસંદગીઓને બજારમાં કેવી રીતે આકાર આપવામાં આવે છે એનો સમાવેશ કરતું જ નથી. ઉપરાંત, તે રાજકીય કાર્યક્રમોને વૈજ્ઞાનિક ટેકો પણ આપે છે. આજના સમયનું એનું એક મોટું ઉદાહરણ આ છે : અર્થતંત્રમાં રાજ્યની ભૂમિકા ઓછી કરવા માટેના રાજકીય કાર્યક્રમમાં મુખ્ય પ્રવાહનું અર્થશાસ્ત્ર સામેલ થઈ જાય છે. 

મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં એક બાબત ખાસ કહેવામાં આવે છે કે બજાર વ્યવસ્થા જ એવી છે કે જેથી ઉદ્યોગપતિઓને તેમની લાયકાત કે મહેનતથી વધુ કશું નહિ મળે. તેમાં એમ પણ કહેવામાં આવે છે કે વૈશ્વિકીકરણથી જેઓ નોકરી ગુમાવી છે તેમને પણ ફાયદો થાય છે, મંદીમાં જો સરકાર બજેટમાં ખાધ ઊભી કરે તો પરિસ્થિતિ બગડે છે, અને ધિરાણ એ તો પોતે કંઈ કર્તા નથી પણ આર્થિક વ્યવસ્થામાં માત્ર મધ્યસ્થી તરીકે જ કામ કરે છે. 

હેમન્તકુમાર શાહ

આ બધી બાબતો સંપૂર્ણપણે કે આંશિકપણે સાચી હોઈ શકે છે. તે સંજોગો પર આધાર રાખે છે. પરંતુ તે બધી બાબતોમાં બધો સમય લાગુ પાડવામાં આવે તો તેનાથી નુકસાન થાય છે. 

નોબેલ ઈનામ વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમેન વિજ્ઞાન અને વિચારધારા વિશે બહુ જ સરસ રજૂઆત કરે છે :

“મારી આખી કારકિર્દી દરમ્યાન હું મારી જાતને કંઇક schizophrenic સમજતો રહ્યો છું …. એક તરફ હું શુદ્ધ વિજ્ઞાનમાં રસ ધરાવતો રહ્યો અને મને લાગે છે કે મારી વિચારધારા મારા વૈજ્ઞાનિક કામને પ્રદૂષિત ન કરે તે જોવામાં હું સફળ થયો છું. બીજી તરફ, મને આસપાસની ઘટનાઓ વિશે ભારે ચિંતા થાય છે અને મનુષ્યની સ્વતંત્રતા વધે તે માટે હું તેમની પર પ્રભાવ પાડવા ઈચ્છું છું. સદ્દનસીબે મારા રસના આ બે વિષયો મને એકબીજા સાથે સુમેળ સાધતા લાગ્યા છે.”

એમ લાગે છે કે મિલ્ટન ફ્રીડમેન સીધા રસ્તે ચાલે છે પણ પછી પાછા હટી જાય છે. પરંતુ તેમનું બઘું વૈજ્ઞાનિક કામ એમ દર્શાવવામાં જ થયું છે કે અર્થતંત્રમાં સરકારની દરમ્યાનગીરી નકામી છે. જો કે, વિજ્ઞાન અને મૂલ્યો વચ્ચે સુમેળ સાધવામાં સમસ્યા આવી શકે છે એ ફ્રીડમેન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે ખરું. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ એને અવગણે છે. 

વિચારધારા અને અર્થશાસ્ત્ર વચ્ચેનો સંબંધ જટિલ છે. એવું નથી કે વિચારધારા કોઈ દલીલમાંથી નીકળતા તારણને વિકૃત કરે છે. પરંતુ તે તો દલીલ કેવી રીતે આકાર લે તેમાં જ ઘૂસે કરે છે. એટલે કે, તે મહત્ત્વની સમતુલા અને ઇષ્ટ સ્થિતિની ધારણા, અભ્યાસ માટે પ્રશ્નની પસંદગી, તે માટે વિવિધ પરિબળોની પસંદગી, માહિતીની પસંદગી, અમુક મોડેલની પસંદગી વગેરે બાબતો તે નક્કી કરે છે. આમ, અર્થશાસ્ત્રીઓ જે સંશોધન કાર્યક્રમ નક્કી કરે છે તેમાં જ વિચારધારા ઘૂસે છે. આ રીતે અર્થશાસ્ત્ર વૈજ્ઞાનિક તપાસના સિદ્ધાંતોને વળગી રહીને પણ મજબૂત વિચારધારા રજૂ કરી શકે છે. તેની વૈજ્ઞાનિક પદ્ધતિએ તેને તે સત્તાની સેવામાં કામ કરે છે અથવા તેમાં વિચારધારાની છાંટ છે એવા આક્ષેપથી બચાવે છે. 

અર્થશાસ્ત્ર સત્તાનાં મોડેલ તૈયાર કરવાના માર્ગો શોધી શક્યું નથી. પરંતુ એનાથી પણ ખરાબ બાબત બની છે. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર નવ-ઉદારમતવાદી રાજકીય કાર્યક્રમ માટેનો બૌદ્ધિક ટેકો પૂરો પાડે છે. જો એરલે, કેહાલ મોરાન અને ઝેક વાર્ડ પર્કિન્સ જેને econocracy કહે છે તેને જોડે છે. તેમાં કેન્દ્રીય બેંકો, મોટી બેંકો અને મહાકાય કંપનીઓ જેવી ટેકનોક્રેટિક સંસ્થાઓએ સરકારોના જ્ઞાનતંતુ વિનાના હાથમાંથી અર્થતંત્ર પરનો કાબૂ પોતાની પાસે લઈ લીધો છે. આને કારણે જ અર્થશાસ્ત્રમાં સુધારાની જરૂર છે. 

સત્તાનો સામનો કરવામાં અર્થશાસ્ત્ર નબળું પડે છે. વાસ્તવિકતાના નકશાને તે પોતાનો અંતર્ગત ભાગ ગણતું નથી. અર્થશાસ્ત્રના નકશામાં તો માત્ર વ્યક્તિ છે કે જે મહત્તમ સંતોષ કે મહત્તમ નફો મેળવવા જ કામ કરે છે. યોગ્ય અર્થશાસ્ત્ર સમાજના વર્ગો, સંગઠનો અને સામાજિક ધોરણો જેવી સંસ્થાઓથી શરૂઆત કરે. પછી તે આ સંસ્થાઓ કેવી રીતે વ્યક્તિઓની પસંદગીઓને આકાર આપે છે તે જણાવે. વાંધો ત્યાં છે કે આવો અભિગમ ગાણિતિક મોડેલમાં બેસાડી શકાય જ નહિ. ગાણિતિક મોડેલ માટે તો તમારે પહેલેથી નિશ્ચિત બાબતો જ જોઈએ, કે જેથી જથ્થાત્મક તારણો કાઢી શકાય. ગાણિતિક સિવાયનો બીજો કોઈ પણ અભિગમ અપનાવો તો તમારે રાજકીય અર્થતંત્રની વાત કરવી જ પડે. આ સંદર્ભમાં જ્હોન મેનાર્ડ કેઇન્સ દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે મને યોગ્ય લાગે છે : “જાહેર નીતિઓની બાબતમાં તદ્દન ખોટા હોવા કરતાં અંદાજે સાચા હોવું વધુ સારું.”

સ્રોત :
લેખકનું પુસ્તક : What is Wrong with Economics?
પ્રકરણ : Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...586587588589...600610620...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved