Opinion Magazine
Number of visits: 9557450
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશમાં ભેળસેળ છે કે ભેળસેળમાં દેશ છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 September 2024

રવીન્દ્ર પારેખ

તિરૂપતિના લાડુમાં ભેળસેળની ચંદ્રાબાબુ નાયડુની બૂમ શુક્રવારે પડી કે આખો દેશ ખળભળી ઊઠયો છે ને હિન્દુઓની આસ્થા પર કુઠારાઘાત થયો હોવાની બૂમરાણ મચાવી રહ્યો છે. ખરેખર તો કેટલાંક તત્ત્વોનો હેતુ જ હોબાળો થાય એવો હતો ને છે ને એ તત્ત્વો સફળ થઈ રહ્યાં હોય એવું પણ લાગી રહ્યું છે. ભેળસેળ તિરૂપતિ બાલાજીના લાડુમાં જ થઈ છે એવું નથી. પ્રસાદમાં ભેળસેળની બૂમ તો પ્રસિદ્ધ અંબાજી મંદિરમાંથી ય ઊઠી હતી. એમાં પણ પ્રસાદમાં અપાતાં મોહનથાળના ઘીમાં ભેળસેળનો અવાજ ઊઠ્યો હતો. અશુદ્ધ ઘીના 180 ડબ્બા પકડાયા હતા, પણ ઘીમાં શું હતું એનો વર્ષ થવા આવ્યું તો ય રિપોર્ટ જાહેર થયો નથી. થોડા વખત પછી વળી રગશિયું ગાડું ચાલ્યું છે ને ઘીનાં ઠામમાં (ભેળસેળિયું) ઘી પડી રહ્યું છે. અત્યારે પણ પ્રસાદના મોહનથાળમાં ભેળસેળિયું ઘી જ વપરાય છે ને ભક્તો તે હોજરીમાં ઠાલવે પણ છે. માતાજીને નથી, તો ભક્તોને શું વાંધો હોય?

સરકાર રાબેતા મુજબ મોડી જાગી છે ને તે બાર વરસે બાવો બોલે તેમ બોલી પણ કે ગુજરાતમાં અંબાજી સહિત પ્રસિદ્ધ મંદિરોના પ્રસાદની ચકાસણી થશે. ફૂડ અને ડ્રગ્સ વિભાગ રાજ્યનાં 32 જેટલાં યાત્રાધામોના પ્રસાદની લેબોરેટરીમાં ચકાસણી કરશે. સાધનો તો ચકાસણીમાં વફાદારી દાખવે છે, સવાલ અધિકારીઓની વફાદારીનો છે. થોડી લાલચે, મેડિકલ રિપોર્ટ બદલાઈ જતા હોય, ત્યાં પ્રસાદની ચકાસણીમાં બાંધછોડ કોઈ પણ સ્તરે ન થાય તે અપેક્ષિત છે. તિરૂપતિનો પડઘો સુપ્રીમ સુધી પડ્યો છે, એટલે આનો નિવેડો આવે એમ બને, પણ ત્યાં સુધીમાં કોકડું કેટલું ગૂંચવાશે એની કલ્પના જ કરવાની રહે છે.

આપણને આ બધું બહુ સ્પર્શતું નથી. બધું જ ભ્રષ્ટ ને ભેળસેળિયું હોય ત્યાં રોજ તો કોણ રડે? દવામાં, દારૂમાં, મસાલામાં, ઘીમાં, તેલમાં … ભેળસેળ ક્યાં નથી? નથી પકડાતું ત્યાં સુધી બધું શુદ્ધ છે, પકડાય કે અશુદ્ધ ! વસ્તુમાં જ ભેળસેળ છે એવું નથી, વ્યક્તિમાં, પક્ષોમાં પણ ભેળસેળની નવાઈ નથી. રાજકીય લાભ ખાટવા ભા.જ.પ.માં વિપક્ષોના સભ્યો ઘૂસ્યા જ ને ! આવી રાજકીય ભેળસેળની સામે કોઈ પણ ભેળસેળ નાની જ ગણાય.

દેશના સૌથી ધનિક તિરૂપતિ ભગવાનને નામે કરોડો આસ્થાળુઓની શ્રદ્ધા સાથે રમત રમાઈ છે ને એ બધું અગાઉની જગન મોહનની સરકાર દ્વારા થયું છે એવો આરોપ પણ હાલની નાયડુ સરકાર લગાવી રહી છે. ભગવાનને ચડેલું અગિયાર હજાર કિલોથી વધુ સોનું બેન્કોમાં રાખવામાં આવ્યું છે. એ ઉપરાંત નવ હજાર કિલોથી વધુ વજનના ચાંદીના દાગીના પણ ખરા જ ! ભગવાન પાસે 6,000 એકરનાં જંગલ જમીન છે. દર વર્ષે હજાર કરોડથી વધુનું તો ભક્તો તરફથી દાન આવે છે. આટલા અમીર ભગવાનનાં મંદિરમાં પ્રસાદનો લાડુ, પૈસા આપ્યા પછી પણ, ગાયની ચરબીવાળો મળતો હોય તો હિન્દુઓને ત્યાં ઊભા રહેવાનું કારણ જ કયું રહે છે? મંદિર તો ભેળસેળની વાતને નકારે જ છે, છતાં મંદિરનાં શુદ્ધિકરણનો ત્રિદિવસીય ઉપક્રમ પણ યોજવામાં આવ્યો છે તે પણ ખરું.

ખરેખર તો આંધ્રની આગલી અને હાલની સરકારો એક બીજાનું થાય એટલું ચીરહરણ કરવામાં પૂરી તાકાત લગાવી રહી છે. પ્રજાને આ ચીરહરણ જોવાનો આકસ્મિક લાભ મળી રહ્યો છે તે, તે લાચારીથી લઈ રહી છે. આની તપાસ બપાસ ચાલશે, થોડાકની ધરપકડ થશે ને હકીકત બહાર આવ્યા વગર જ ભુલાઈ જશે કે ભુલાવી દેવામાં આવશે. બધું વલોવાશે પછી ખબર પડશે કે એ પાણી હતું. આમ તો આ પ્રસાદનો પ્રશ્ન છે, પણ હવે શ્વાસ પણ રાજકારણથી જ ચાલે છે તો પ્રસાદ પણ એનાં વગર કેવી રીતે રહે?

ચંદ્રાબાબુ નાયડુ કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકારના ટેકેદાર છે ને હિન્દુત્વનો મુદ્દો તિરૂપતિના લાડુ નિમિત્તે ઉછળતો હોય તો તેને તો સોના કરતાં પીળું જ છે. આંધ્રમાં અગાઉ જગન મોહનની સરકારે નાયડુને સળિયા ગણાવેલા, હવે નાયડુનો વારો છે, સળિયા ગણાવવાનો. ‘જગન’ભડાકો ન થાય તો જ નવાઈ ! જગનના વખતમાં નંદિની બ્રાન્ડનું ઘી આવતું હતું. તે ભાવ ન પોષાતા ડેરીએ વધુ ભાવ માંગ્યો. એ ભાવને મંજૂરી ન મળતાં નંદિની બહાર થઈ ગઈ. તે પછી જગન સરકારે 320ના ભાવે ઘી ખરીદ્યું. દેખીતું છે કે તે ભેળસેળ વગરનું ન જ હોય, સાધારણ ભાવ 800ની આસપાસ ચાલતો હોય ત્યાં કોઈ 320ને ભાવે ઘી આપે તો તેની શુદ્ધિ વિષે શંકા રહેવાની. જગન સરકાર પણ વાંકમાં તો હતી જ. કર્ણાટક કો-ઓપરેટિવ મિલ્ક ફેડરેશન 50 વર્ષથી ટ્રસ્ટને રાહત દરે ઘી સપ્લાય કરતું જ હતું. દર છ મહિને 1,400 ટન ઘી વપરાતું હતું. જુલાઇ 2023માં કંપનીએ ઓછા ભાવે ઘી આપવાની ના પાડી, તો જગન સરકારે (YSRCP) 5 બીજી કંપનીઓને સપ્લાયનું કામ સોંપ્યું. એમાંની તામિલનાડુની એક કંપની એ.આર. ડેરી ફૂડ્સની પ્રોડક્ટમાં જુલાઈ, 2024માં ગરબડ હતી.

ચંદ્રાબાબુને અહીં બાંય ચડાવવાની તક મળી ગઈ. એમણે ધડાકો કર્યો કે તિરૂપતિના લાડુમાં ભેળસેળ છે. તેમાં માછલીનું તેલ, ગોમાંસ અને પ્રાણીની ચરબીનું તેલ વપરાય છે. આ જાહેરાતથી હિન્દુઓ ભડક્વાના હતા ને ભડક્યા પણ ! આ અંગેનો એક રિપોર્ટ પણ ગુજરાતની લેબોરેટરીમાંથી નાયડુએ મેળવ્યો. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભા.જ.પ. અને નાયડુ હિન્દુઓની આસ્થા સાથે રમત રમી રહ્યા છે. એ સાથે જ એવું ચિત્ર પણ ઉપસાવાઈ રહ્યું છે કે પૂર્વ મુખ્ય મંત્રી જગન મોહન મુસ્લિમ તરફી છે એટલે આવી ભેળસેળ દ્વારા હિન્દુઓની આસ્થાની અવગણના કરી રહ્યા છે. ભા.જ.પે. આ પહેલાં પણ તિરૂપતિ ટ્રસ્ટના ચેરમેન વાય.વી. સુબ્બા રેડ્ડી ખ્રિસ્તી છે એવો દાવો કરેલો, પણ તે પોકળ પુરવાર થયેલો. વિશ્લેષકોનું કહેવું છે કે ભા.જ.પ.ને લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી નથી એટલે તે હિન્દુઓને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરવાની કોશિશ કરતો રહે છે. આ વેપલામાં ચંદ્રાબાબુને રસ એટલે છે કે તેઓ તેમની મુસ્લિમ તુષ્ટિકરણની છાપ બદલીને પોતે હિન્દુ તરફી હોવાની છાપ ઊભી કરી શકે.

બીજી વાત એ કે ચંદ્રાબાબુની પોતાની હેરિટેજ કંપની છે. અત્યારે તો એમણે નંદિની બ્રાન્ડનું ઘી મંદિરમાં ઘૂસવા દીધું છે, પણ પછી હેરિટેજનું ઘી ઘૂસાડી મંદિરમાંથી કરોડો ઉસેટવાની ગણતરી હોય તો નવાઈ નહીં ! નાયડુ સામે બીજી શંકા એ છે કે તેમણે ચરબી ને તેલ હોવાનો રિપોર્ટ તો જાહેર કર્યો, પણ એ ઘી સપ્લાય કરતી કંપનીનું નામ જાહેર નથી કર્યું. વારુ, એ રિપોર્ટ લેબોરેટરીના લેટર હેડ પર નથી, પણ સાદા કાગળ પર છે. વળી તિરૂપતિ મંદિરની પોતાની લેબોરેટરી છે, હૈદરાબાદમાં એફ.એસ.એલ. જેવી રાષ્ટ્રીય કક્ષાની લેબોરેટરી છે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસ પણ હૈદરાબાદમાં છે, છતાં નાયડુએ રિપોર્ટ ગુજરાતની લેબોરેટરીનો મેળવ્યો. વળી નાયડુ પાસે રિપોર્ટ તો જુલાઈમાં આવી ગયેલો, પણ તેમણે આખો ઓગસ્ટ ને અડધો સપ્ટેમ્બર ગયો ત્યાં સુધી મૌન સેવ્યું. આ મૌન આવી રહેલી ચૂંટણીને લઈને હતું કે કેમ તે ખબર નથી. મંદિરનું ટ્રસ્ટ તો કહે જ છે કે લાડુ મંદિર દ્વારા જ બને છે. તેમાં સામગ્રી કેટલી માત્રામાં હોય તે પણ મંદિર દ્વારા જ નક્કી થાય છે. એ જો સાચું હોય તો મંદિર ઘીની તપાસ પોતાની લેબોરેટરીમાં કરતી જ હશે, પણ આ મામલામાં મંદિરે કૈં જ કહેવાનું નથી તેનું આશ્ચર્ય છે.

મંદિરને લાડુમાંથી જ 500થી 600 કરોડની આવક થાય છે. એ ઉપરાંત દર્શન ટિકિટમાંથી 340 કરોડ મળે છે. આ સ્થિતિ હોય તો મંદિરે પણ જરૂરી સ્પષ્ટતાઓ પ્રસાદમ્ અંગે કરવાની રહે. મંદિર ટ્રસ્ટના લેબર યુનિયનના કંદરપુ મુરલીએ મુખ્ય મંત્રી નાયડુની એમ કહીને ટીકા કરી કે તેમણે નિવેદન કરીને મંદિરના કર્મચારીઓનું અપમાન કર્યું છે. મુરલીએ પ્રસાદમાં ઉપયોગમાં લેવાતી દરેક સામગ્રીની પૂરતી ચકાસણી થાય છે એમ પણ કહ્યું. મંદિર ટ્રસ્ટને જે પ્રસાદ મળે છે તે સર્ટિફાય થયા પછી જ મળે છે. જો એ સાચું હોય તો ગુજરાત લેબોરેટરીનો પ્રસાદના લાડુમાં ચરબી અને તેલનો ઉપયોગ થાય છે એ રિપોર્ટ પણ છે. એ અંગે શું કહીશું? અત્યારને તબક્કે કશું જ સ્પષ્ટ નથી ને ભવિષ્યમાં થશે જ એની કોઈ ખાતરી નથી. એટલું છે કે હિન્દુ આસ્થાળુઓ ભક્તિ ભાવથી સાડાત્રણ લાખ લાડુ પ્રસાદ તરીકે આરોગતા હતા એ હવે શંકાથી પર નથી. એ તો ઠીક છે, તિરૂપતિના એક લાખ લાડુ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે પ્રસાદમાં પણ વહેંચાયા હતા. 20 સપ્ટેમ્બરે અયોધ્યા મંદિરના પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પ્રસાદમાં પશુની ચરબીને મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના જનરલ સેક્રેટરી બજરંગ બાગરાએ કહ્યું કે દેશના તમામ મંદિરો અને ધાર્મિક સ્થળોને સરકારી નિયંત્રણોમાંથી મુક્ત કરવાં જોઈએ. એ તો થશે ત્યારે થશે, પણ હાલ તો ભક્તોની શ્રદ્ધાનું શ્રાદ્ધ થઈ ગયું છે. આ બધું સાચું હોય તો રમત રમાઈ છે એ પણ સાચું ને ખોટું હોય તો પણ રમત તો રમાઈ જ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 સપ્ટેમ્બર 2024

Loading

ગાંધીજીની મુખ્ય ત્રણ દેણ [3]

નારાયણ દેસાઈ|Gandhiana|22 September 2024

નારાયણ દેસાઈ

(ગતાંકનું ચાલુ…..)

વ્રતવિચાર વધુ સ્પષ્ટ થાય એટલા સારુ ગાંધીજીએ ૧૯૧૫માં આશ્રમની નિયમાવલિ તૈયાર કરી હતી. તેમાંથી નીચે ખૂબ ટૂંકા ઉતારા આપીએ છીએ.

સત્ય : સત્ય એ જ પરમેશ્વર છે. એ સત્યની શોધને અંગે જ બીજાં બધાં અંગોની આવશ્યકતા રહે છે. સત્યના ઉપાસક પોતે કલ્પેલા દેશહિતને સારુ પણ અસત્ય નહીં બોલે, નહીં આચરે.

અહિંસા : એટલે સૂક્ષ્મ જંતુઓથી માંડીને મનુષ્ય સુધી બધા જીવો પ્રત્યે સમભાવ. (અહિંસાના) વ્રતનો પાલક ઘોર અન્યાય કરનાર પ્રત્યે પણ ક્રોધ ન કરે, પણ તેમના પર પ્રેમભાવ રાખે … પણ પ્રેમ કરતો છતાં અન્યાયીના અન્યાયને વશ ન થાય … ને તેમ કરતાં તે જે કષ્ટ આપે તે ધીરજપૂર્વક અને દ્વેષ વિના સહન કરે.

બ્રહ્મચર્ય : તેના પાલન વિના ઉપરનાં વ્રતોનું પાલન અશક્ય છે. સ્પર્શ અથવા કે બીજી ચેષ્ટા પણ બ્રહ્મચર્યનો ભંગ છે.

અસ્વાદ : મનુષ્ય જ્યાં લગી જીવનરસોને જીતે નહીં ત્યાં લગી બ્રહ્મચર્યનું પાલન અતિ કઠિન છે …. ભોજન કેવળ શરીરયાત્રાને જ અર્થે હોય, ભોગને અર્થે નહીં.

અસ્તેય : જે વસ્તુ જે ઉપયોગને સારુ આપણને મળી હોય તેના કરતાં વધારે મુદ્દત લગી તેનો ઉપયોગ કરવો એ પણ ચોરી છે. આ વ્રતના મૂળમાં સત્ય એ રહ્યું છે કે પરમાત્મા પ્રાણીઓને સારુ નિત્યની આવશ્યક વસ્તુ જ નિત્ય આપે છે. તેથી પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કંઈ પણ મનુષ્ય લે છે તે ચોરી કરે છે.

અપરિગ્રહ : અનાવશ્યક વસ્તુ જેમ લેવાય નહીં તેમ તેનો સંગ્રહ પણ ન થાય …. અપરિગ્રહી પોતાનું જીવન નિત્ય સાદું કરતો જાય છે.

જાતમહેનત : મનુષ્ય માત્ર શરીર નિર્વાહ શારીરિક મહેનતથી કરે તો જ તે સમાજના અને પોતાના દ્રોહમાંથી બચી શકે.

સ્વદેશી : મનુષ્ય સર્વશક્તિમાન પ્રાણી નથી. તેથી તે પોતાના પાડોશીની સેવા કરવામાં જગતની સેવા કરે છે. આ ભાવનાનું નામ સ્વદેશી છે. સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી; પોતે કુટુંબના, કુટુંબ શહેરના, શહેર દેશના ને દેશ જગતના કલ્યાણાર્થે હોમાય.

અભય : સત્ય, અહિંસા, ઇત્યાદિ વ્રતોનું પાલન નિર્ભયતા વિના અસંભવિત છે …. જે સત્યપરાયણ રહેવા માંગે તે ન નાતજાતથી ડરે, ન સરકારથી ડરે, ન ચોરથી ડરે, ન ગરીબાઈથી ડરે, ન મોતથી ડરે.

અસ્પૃશ્યતા નિવારણ : આશ્રમ જાતિભેદને માનતું નથી. (તેનાથી) હિંદુધર્મને નુકસાન થયું છે… તેમાં રહેલી ઊંચનીચની અને આભડછેટની ભાવના અહિંસા ધર્મની ઘાતક છે … આશ્રમમાં વર્ણભેદને અવકાશ નથી.

સહિષ્ણુતા : જગતમાં પ્રચલિત પ્રખ્યાત ધર્મો સત્યને વ્યક્ત કરનાર છે. પણ તે બધા અપૂર્ણ મનુષ્ય દ્વારા વ્યક્ત થયેલા હોઈ બધામાં અપૂર્ણતાનું અથવા અસત્યનું મિશ્રણ થયું છે. તેથી જેવું આપણને આપણા ધર્મ વિષે માન હોય તેટલું જ માન આપણે બીજાના ધર્મ પ્રત્યે રાખવું ઘટે. આવી સહિષ્ણુતા હોય ત્યાં એકબીજાના ધર્મનો વિરોધ નથી સંભવતો, નથી પરધર્મીને પોતાના ધર્મમાં લાવવાનો પ્રયત્ન સંભવતો.

આમ ગાંધીજીએ માનવતાને આપેલી એકાદશ વ્રત, રચનાત્મક કાર્યક્રમ અને સત્યાગ્રહરૂપી ત્રિવિધ દેણ વ્યક્તિના ચારિત્ર્યથી માંડીને આખા સમાજની સભ્યતાનું અને આજની પરિસ્થિતિમાંથી એ સમાજ સુધી પહોંચવાના માર્ગનું સમગ્ર ચિત્ર દોરે છે. આ સમાજ એ અહિંસક સમાજ છે. આ સંસ્કૃતિ અહિંસક સંસ્કૃતિ છે અને તેને પ્રાપ્ત કરવાનું સાધન પણ અહિંસક જ છે. અલબત્ત ગાંધીજીએ શીખવેલા ઘણા પાઠો તે કાળની પરિસ્થિતિમાંથી જન્મેલા હતા. તેથી તે એના એ જ રૂપમાં આજે લાગુ ન પણ રહી શકે, પરંતુ એમની ઉપર જણાવેલી દેણમાં ઘણી એવી છે કે જે સ્થળ-કાળની મર્યાદાને ઓળંગીને લાંબા ગાળા સુધી અને દુનિયાના કોઈ પણ ખૂણામાં પ્રસ્તુત બની શકે એમ છે.

એકાદશવ્રતમાંથી પહેલાં પાંચ અને અભય એ છ વ્રતો તો કોઈપણ પરિસ્થિતિમાં માનવસમાજને સ્વસ્થ અને શાણો રાખવા સારુ ઉપયોગી થાય એવાં સનાતન મૂલ્યો ધરાવે છે. અસ્વાદવ્રતમાંથી પણ એટલું તો ગ્રહણ કરવા જેવું છે કે માત્ર જીભના ચટાકાથી કોઈ સમાજ સુખી થતો નથી. બાકીનાં જે ચાર વ્રતો છે તેની જરૂરિયાત ભલે ગાંધીજીને તે કાળની પરિસ્થિતિમાંથી જણાઈ હોય, પણ એ ચારેયમાં એવાં તત્ત્વો પડ્યાં છે કે જે શાશ્વતમૂલ્યો સાથે સંકળાયેલાં છે. માટે અસ્પૃશ્યતા નિવારણનું વ્રત ભલે મહાવ્રત ન રહે, પણ માનવ માનવને સમાન ભાવે જોવા અને કોઈ પણ પ્રત્યે તિરસ્કાર ન કરવાનો આદેશ તો યાવત્ચંદ્ર દિવાકરૌ એટલો જ કામનો છે, જેટલો ગાંધીજીના જીવનકાળ દરમિયાન હતો. સ્વદેશીની વ્યાખ્યા જ જ્યારે ‘પાડોશી પ્રત્યેની આપણી ફરજ’ એવી થઈ ગઈ હોય ત્યારે તે અનંતકાળ સુધી પ્રસ્તુત ભાવ બની જાય છે. હિંદના મધ્યમવર્ગના ઘણા લોકોને જાત મહેનતનું મહત્ત્વ સમજવા પશ્ચિમના વિકસિત દેશોની પ્રગતિનું રહસ્ય સમજવું પડશે. આપણને ઘણા દેશો એવા મળશે કે જ્યાં શરીરશ્રમ એ પ્રતિષ્ઠિત શ્રમ છે, અને કોઈ પણ શારીરિક શ્રમને હલકો ગણવામાં આવતો નથી. એ કહેવાની જરૂર આજે તો નથી જ કે સર્વધર્મસમભાવની આવશ્યકતા આજે આખી દુનિયામાં ગાંધીના કાળ કરતાં વધારે જણાઈ આવે છે.

રચનાત્મક કામો પૈકી ઘણાં એવાં છે ખરાં કે જે આપણને અપ્રાસંગિક કે જૂનવાણી લાગે. પણ રચનાત્મક કામ પાછળ ગાંધીજીની અન્યાય અને શોષણ પર ઊભેલી એક વ્યવસ્થાને ઉખાડી નાંખીને તેને ઠેકાણે ન્યાય અને ભ્રાતૃભાવ પર ઊભેલી સમાજવ્યવસ્થા ઊભી કરવાની વાત તો ખૂબ જ પ્રાસંગિક છે. સમાજનું ઘડતર પણ ઉપરથી લાદવામાં આવેલા આદેશ મુજબ નહીં, પણ નીચેથી સ્વયંસ્ફૂર્ત રીતે થવું જોઈએ એ વાત પણ જરા ય જૂનવાણી કે અપ્રસ્તુત લાગે એવી નથી. રચનાત્મક કામનાં સ્વરૂપ દેશકાળ મુજબ ભલે બદલાતાં રહે પણ ઉપર જણાવેલાં એનાં મૂળ તત્ત્વો તો દુનિયા સારુ ક્યારે ય પણ માર્ગદર્શક પુરવાર થવાનાં.

ગાંધીજીના સત્યાગ્રહે દુનિયાના તમામ શોષિત, દલિત કે નબળા વર્ગો સારુ પરિસ્થિતિમાં વાંછિત સુધારો લાવવાનું એક અમોઘ સાધન ઉપલબ્ધ કરી દીધું છે. એ બાબત તો દુનિયાના ઘણા દેશો સજગ બન્યા છે. સત્યાગ્રહ એક માર્ગદર્શક સિદ્ધાંત છે, આત્મશક્તિના સફળ પ્રયોગની અનેક નવી નવી રીતો તો હજી શોધાશે. ગાંધીજીએ કરેલા પ્રત્યક્ષ પ્રયોગોને લીધે એટલું તો સિદ્ધ થયું છે કે પાપીને હણવાથી પાપ નષ્ટ થતું નથી. પ્રતિકાર તો પાપનો જ કરવો ઘટે, પાપીને બચાવી લેવા અર્થે પણ. દુનિયામાં જેમ જેમ શારીરિક, માનસિક કે સામાજિક હિંસાનાં સાધનો વધુ ને વધુ પ્રબળ બનતાં જાય છે, તેમ તેમ ગાંધીજીની સાધનશુદ્ધિની વાત વધુ પ્રસ્તુત બનતી જાય છે. ઉત્તરોત્તર ચઢિયાતી હિંસા વાપરવાથી કદી હિંસા શમતી નથી. અન્યાય, અસત્ય ને હિંસાને નાબૂદ કરવા માનવજાતે ન્યાયપૂર્ણ, સત્યાધારિત અને અહિંસક સાધનોની જ શોધો કરવી પડશે, એમ ગાંધીજીના સત્યાગ્રહના પ્રયોગોએ સિદ્ધ કરી દીધું છે.

સત્યાગ્રહ, રચનાત્મક કામ અને એકાદશવ્રત ગાંધીજીની સૌથી મોટી દેણ એટલા સારુ ગણાય કે એ ત્રણ દેણથી ગાંધીજીએ પોતાની જાત પર કાબૂ રાખતી વ્યક્તિ, પોતાના પાડોશી સાથે સુખ દુ:ખ વહેંચી ખાતા  સમાજના ઝાંખાપાંખા પણ નમૂના પેશ કર્યા છે અને એ અવસ્થા સુધી પહોંચવા સારુ કયો અને કેવો માર્ગ લેવો પડશે તેની તરફ પણ ગાંધીજી ઈશારો કરી ગયા છે.

ગાંધીજીની આ ત્રણ દેણનું મહત્ત્વ માણસજાતને આજના કરતાં કદાચ આવતી કાલે વધારે સમજાશે. ઇતિહાસની દૃષ્ટિએ આપણે બહુ પાસે છીએ એટલે એમની આ ત્રણ દેણનું મહત્ત્વ સમજવામાં મુશ્કેલી પડે છે. દેશ અને કાળની મર્યાદાઓથી આપણે આપણા આકલનને મર્યાદિત કરી દઈએ એમ બને. ઇતિહાસના સમગ્ર પટ પર મહાપુરુષોનું મહત્ત્વ તેઓ હયાત હતા ત્યારે કે ત્યારબાદ તરતના કાળમાં સમજાયું છે, એના કરતાં સદીઓ વીત્યા બાદ વધુ સમજાયું છે. આજે જો આપણે એટલું સમજી લઈએ કે એ પુરુષની એવી કોઈ દેણ હતી, જે કાળ અને સ્થળની સીમાઓને ઓળંગી શકે એવી શક્યતાઓ ધરાવતી હતી, તો ભાવિ ઇતિહાસને સમજવાની સાચી દિશામાં હોઈશું.

સત્યાગ્રહની પાછળ રોગને રોગીથી અલગ કરી રોગને ખતમ કરવા અને રોગીને બચાવવામાં આખી એક શક્યતા દેખાય છે. વળી સત્યાગ્રહનું સાધન એ સાધ્ય-સાધન વિવેક કરવા પણ આદેશ આપે છે. આજે જ્યારે મનુષ્યને હણવાનાં શસ્ત્રો વિધ્વંસક બન્યાં છે અને બનતાં જાય છે, ત્યારે ગાંધીનો સાધનશુદ્ધિનો આગ્રહ એ માત્ર આદર્શ જ નહીં, પણ નર્યો વ્યવહાર્ય બની જાય છે. માણસજાતે જો ભવિષ્યમાં હળીમળીને રહેવું હશે તો સમાજના દરેક સભ્યે આખા સમાજ પ્રત્યે અને પરસ્પર જવાબદાર રહેવું પડશે. પૃથ્વીનાં પરિમિત સાધનોનો ઉપયોગ પણ વહેંચીને કરવો પડશે અને તેમ કરવાની આખી પ્રક્રિયાનો આરંભ સૌથી છેવાડાના દુર્બળ, પીડિત, દલિત કે અશક્ત માણસથી કરવો પડશે, એ રચનાત્મક કાર્યક્રમોનો સંકેત છે.

ઇતિહાસના પટ પર માત્ર ઇન્દ્રિયોના ઉપભોગવાદ પર ઊભેલી સંસ્કૃતિઓ ઝાઝી ટકતી નથી. જરૂરિયાતો નિરંતર અને અનંત સુધી વધારતા જવું એ ઉપભોગવાદનું લક્ષ છે. પણ તે આ જગતને ટકાઉ વિકાસ આપી શકે એમ નથી. ચિરંજીવ વિકાસ તો પ્રકૃતિના નિયમોને સમજીને એના લયમાં પોતાના લયને મેળવીને જ સાધી શકાય. આ મેળ અનિર્બંધ ઉપભોગથી નહીં, પણ સમજપૂર્વકના, સ્વેચ્છાથી સ્વીકારેલા સંયમથી જ સાધી શકાય એમ છે.

એકાદશવ્રત આવા વિવેકપૂર્ણ આત્મસંયમનો સંકેત કરે છે. અને તે એવો પણ સંકેત કરે છે કે માણસ એક નિતાંત સામાજિક પ્રાણી છે. એટલે માત્ર પોતાનો આધ્યાત્મિક વિકાસ એને સારુ પર્યાપ્ત નથી. તેથી આજ સુધી તે સત્ય, અહિંસાદિ આધ્યાત્મિક સિદ્ધાંતોને વ્યક્તિગત ગુણ માનતો હતો. તે સામાજિક મૂલ્ય છે એ સમજીને એ મૂલ્યોનો વિકાસ એ મનુષ્યની સામૂહિક સાધનાનો વિષય બનવો જોઈએ. જ્યારે જાતિ, સંપ્રદાય, ધર્મ, રંગ, લિંગ, કે રાષ્ટ્રની વિભાવનાઓ પણ જૂનવાણી થઈ જશે ત્યારે પણ ગાંધીએ સૂચવેલાં એકાદશવ્રતો અભિનવ સ્વરૂપે ભલેને હોય, પણ પૂર્ણપણે પ્રસ્તુત રહેશે.

(સૌના ગાંધી પુસ્તકમાળા-૨)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 સપ્ટેમ્બર 2024; પૃ. 05-06

Loading

કાંઈક બોલો તો વાત થાય

રમેશ ઓઝા|Opinion - Opinion|22 September 2024

રમેશ ઓઝા

૨૦૧૪ સુધી એવી એક વણલખી પરિપાટી હતી કે દેશની ઘરઆંગણેની રાજકીય બાબતોની વાત વિદેશમાં નહીં કરવાની. તમારે તમારા વડા પ્રધાનની વિદેશની ભૂમિ ઉપર પ્રસંશા કરવી હોય તો કરો અને ન કરવી હોય તો ન કરો, ટીકા નહીં કરવાની. બીજી બાજુ વડા પ્રધાન કે શાસક પક્ષનો કોઈ પણ નેતા વિદેશની ભૂમિ ઉપર એમ નહોતો કહેતો કે વિરોધ પક્ષો મને કામ કરવા નથી દેતા કે વિરોધ પક્ષોનો ઇતિહાસ ભૂંડો છે. બીજી પરંપરા એ હતી કે વિદેશનીતિ વિષે વિદેશની ભૂમિ પર જઇને રાષ્ટ્રીય સંમતિ બતાવવાની, મતભેદ પ્રગટ નહીં કરવાના. એ સંયુક્ત રાષ્ટ્રસંસ્થા હોય કે બીજું કોઈ પણ પ્લેટફોર્મ હોય દરેક પક્ષના લોકો એક અવાજમાં વાત કરે. એ મંચ પર ભારતનું પ્રતિનિધિમંડળ ગયું હોય તો એ બધા જ પક્ષોનું બનેલું હોય. ઘણીવાર તો તેની અધ્યક્ષતા વિરોધ પક્ષનો નેતા કરે જે રીતે પી.વી. નરસિંહ રાવના સમયમાં યુનોની માનવ અધિકાર  સમિતિમાં પાકિસ્તાને કરેલી ફરિયાદ વિષે ભારત વતી રજૂઆત કરવા જે પ્રતિનિધિ મંડળ ગયું હતું તેનું નેતૃત્વ અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું અને એ સમયના વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ તેના એક સભ્ય માત્ર હતા.

અને એવું પણ બન્યું છે કે ભારતના કોઈ રાજકીય નેતાને વૈદકીય સારવારની જરૂર હોય તો તેને અમેરિકા કે એવા પ્રગતિશીલ દેશમાં જનારા સત્તાવાર પ્રતિનિધિ મંડળનો સભ્ય બનાવવામાં આવે અને એ રીતે સરકારી ખર્ચે ઈલાજ કરાવી આપવામાં આવે. ૧૯૮૬માં રાજીવ ગાંધીએ અટલ બિહારી વાજપેયીને આ રીતે અમેરિકા મોકલ્યા હતા અને કહ્યું હતું કે “વાજપેયીજી મુઝે માલુમ હૈ કિ આપ કો કિડની કી સમસ્યા હૈ. આપ અમેરિકા જાકે પૂરી તરહ ઈલાજ કરવાકે હી લૌટેંગે. એ સમયે ભા.જ.પ.ની લોકસભામાં માત્ર બે બેઠકો હતી. કેટલી? માત્ર બે અને અટલ બિહારી વાજપેયી પોતે ચૂંટણી હારી ગયા હતા. બીજી બાજુ કાઁગ્રેસની લોકસભામાં ૪૧૪ બેઠકો હતી.

પણ આ બધી ૨૦૧૪ પહેલાંની વાતો છે. ગર્વ લેવા જેવી લાગતી હોય તો ગર્વ લો. એનો અર્થ એવો નથી કે રાજકીય નેતાઓ એકબીજાની ટીકા નહોતા કરતા. વિદેશી અખબારો કે સમાયિકોમાં મુલાકાત આપતી વખતે કરતા પણ ખરા, પરંતુ મુખ્યત્વે આર્થિક બાબતો વિષે. ભારતે જમણેરી આર્થિક નીતિ અપનાવવી જોઈએ અને કર્તૃત્વવાન ભારતીય સાહસિકોને સરકારી નિયંત્રણોથી મુક્ત સાહસ કરવાની તક આપવી જોઈએ એમ સી. રાજગોપાલાચારીએ અનેક વાર કહ્યું છે. એ જ રીતે ડાબેરી નેતાઓ સમાજવાદની વકીલાત કરતા અને વર્તમાન સરકાર ઉદ્યોગપતિઓ તરફી છે એવી ટીકા પણ કરતા. ભારતના મૂડીવાદી, સામ્યવાદી અને સમાજવાદી નેતાઓ જે તે ફોરમમાં ભાગ લેવા વિદેશ પણ જતા અને પોતાનાં દૃષ્ટિકોણ રજૂ કરતા. પરંતુ તેઓ ક્યારે ય વિદેશની ભૂમિ પર કે વિદેશી અખબારોમાં ભારતની વિદેશનીતિની ટીકા નહોતા કરતા. અંગત ટીકાનો તો સવાલ જ નથી. આ વણલખી પરંપરા હતી અને તેનું પાલન કરવામાં આવતું હતું.

આનો અર્થ એવો પણ નથી કે ભારતમાં શું બની રહ્યું છે એની જગતને જાણ નહોતી. બધાને બધી જ ખબર હોય છે. ભારતના વિદેશ મંત્રાલયમાં લગભગ સોએક જેટલાં ડેસ્ક છે. કોઈ ભારત માટે મહત્ત્વનો દેશ હોય તો એ દેશ માટે અલાયદું ડેસ્ક. આ સિવાય નાટો દેશો માટેનું ડેસ્ક, યુરોપિયન યુનિયન માટેનું ડેસ્ક, પેસિફિક દેશો માટેનું ડેસ્ક, મુસ્લિમ દેશો માટેનું ડેસ્ક વગેરે વગરે. એમાં જે લોકો હોય છે એ લોકો જે તે દેશ કે પ્રખંડના જાણકાર હોય અને વર્ષો સુધી તેનો હવાલો સંભાળતા હોવાને કારણે નિષ્ણાત બની ગયા હોય. તેમની પાસે જગતના દેશોની એટલી ઝીણામાં ઝીણી જાણકારી હોય છે જેટલી એ દેશના પત્રકાર પાસે ન હોય. અને જગતના દરેક મહત્ત્વના દેશો પોતપોતાના વિદેશ મંત્રાલયમાં આવા ડેસ્ક રાખતા હોય છે. માટે બધા દેશોને બધી જ ખબર હોય છે કે ક્યાં શું બની રહ્યું છે અને કયા દેશનો શાસક કેવો છે. પરંતુ રાજકીય નેતાઓ ખાનદાની જાળવતા.

૨૦૧૪ પછીથી આ પરંપરા તૂટી અને એ પરંપરા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તોડી. લગભગ પંદર કરતાં વધુ વખત વિદેશની ભૂમિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નેહરુની, કાઁગ્રેસની સરકારોની, કાઁગ્રેસ પક્ષની, આગલી તમામ સરકારોની ટીકા કરી છે. વડા પ્રધાને પરંપરા તોડી એટલે હવે બીજા નેતાઓ પરંપરા તોડવા લાગ્યા છે. મુખ્યત્વે રાહુલ ગાંધી ટીકા કરી રહ્યા છે.

પણ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવતી ટીકામાં અને નરેન્દ્ર મોદી દ્વારા વિદેશમાં કરવામાં આવતી ટીકામાં એક ફરક છે. નરેન્દ્ર મોદી તેમના પુરોગામીઓને અક્ષમ, દૃષ્ટિહીન, નિર્ણયશક્તિનો અભાવ ધરાવનારા, અંગત એજન્ડા ધરાવનારા શાસકો તરીકે ઓળખાવે છે અને એ દ્વારા તેઓ એમ કહેવા માગે છે કે ભારતને પહેલીવાર જેવો નેતા મળવો જોઈએ એવો નેતા મળ્યો છે. રાહુલ ગાંધી તેમનાથી ઊલટું નરેન્દ્ર મોદીના શાસનની ટીકા નથી કરતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિંદુ રાષ્ટ્ર વિશેની વિચારધારા, એ વિચારધારાને વરેલા હિંદુ શાસકોની શાસનશૈલી, સહિયારા સેક્યુલર લોકતાંત્રિક ભારતનો નકાર અને સત્તાનો દુરુપયોગ કરીને તેને કમજોર કરવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિની ટીકા કરે છે. તેઓ કહે છે કે ઉપનિષદો, બુદ્ધ અને ગાંધીનો ભારત દેશ, જેને બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે અને વિશ્વદેશો અનેક રાષ્ટ્રો એક રાષ્ટ્રમાં કઈ રીતે સાથે જીવી શકે એમ કહીને સહઅસ્તિત્વની મિસાલ આપતા રહ્યા એ ભારત પર સંકટ છે. ભા.જ.પ. સહિત આખો સંઘપરિવાર સમસમી ગયો છે એ આ કારણે.

તેઓ શું એમ માને છે કે તેમની હિંદુ રાષ્ટ્રની કલ્પનાથી જગત અપરિચિત છે? આગળ કહ્યું એમ જગતને બધી જ ખબર છે. ‘ઈકોનોમિસ્ટ’ નામના સામયિકે દસ વરસમાં ત્રણ વખત નરેન્દ્ર મોદી વિષે કવર સ્ટોરી કરી છે અને ત્રણેય સ્ટોરીમાં તેમને એ જ રીતે ઓળખાવવામાં આવ્યા છે જે રીતે આપણે તેમને ઓળખીએ છીએ. આવું જ જગતના તમામ અખબારો અને સામયિકોનું. વિદેશના કોઈ સામયિકે નરેન્દ્ર મોદીને ગરીબો માટે લાગણી ધરાવનારા, મૂલ્યનિષ્ઠ વિકાસલક્ષી શાસક તરીકે ઓળખાવ્યા હોય એવું એક ઉદાહરણ બતાવો. જગતના લોકશાહી દેશોના શાસકો આડકતરી રીતે સંભળાવીને જાય છે. લોકશાહી, માનવઅધિકારો અને અંગત સ્વાતંત્ર્યની વકીલાત કરતાં જગતનાં અનેક ફોરમોમાં ભારતનાં શાસકોની ટીકા કરવામાં આવે છે અને વિવિધ રેટિંગમાં ભારતની સાખ નીચે નીચે ગઈ છે.

કોણ નથી જાણતું આ બધું? પણ ભારતનો વિરોધ પક્ષનો નેતા વિદેશમાં જઇને જો એ જ વાત કહે તો તેમાં દેશદ્રોહ નજરે પડે છે.

પ્રામાણિકતાનો તકાજો એ છે કે જો તમે હિંદુ રાષ્ટ્રમાં માનતા હો અને બંધારણમાં કલ્પવામાં આવેલું ભારતીય રાષ્ટ્ર સ્વીકાર્ય ન હોય તો કહો ને કે અમારી ભારતીય રાષ્ટ્રની વિભાવના અલગ છે. ઘર આંગણે તો હિંદુ રાષ્ટ્રની વાત કરો જ છો ને! જે ઈચ્છો છો એ કહી બતાવો. એક વાર કહી બતાવશો એ પછી કોઈ રાહુલ ગાંધી ટીકા નહીં કરી શકે. વધુમાં વધુ પ્રતિવાદ કરશે કે તેમની કલ્પનાનું ભારત રાષ્ટ્ર અમને સ્વીકાર્ય નથી, પણ એમ નહીં કહે કે તેઓ કહે છે એક અને કરે છે જુદું. આવું કહેવા માટેનો મોકો સંઘપરિવાર પોતે હિંદુરાષ્ટ્રની રૂપરેખા નહીં આપીને અને જગતમાં તેને છૂપાવીને આપે છે. જો કલ્પના સ્પષ્ટ કરશો તો જગત પણ ચર્ચા કરશે કે બહુમતી રાષ્ટ્રવાદ નરવો અને નિર્દોષ કઈ રીતે હોઈ શકે એ સમજવાનો ભારતનાં હિન્દુત્વવાદી નેતાઓ પાસેથી પ્રયાસ કરીએ. તેઓ કદાચ બે મહત્ત્વની સલાહ પણ આપી શકે. નરવો અને નિર્દોષ બહુમતી રાષ્ટ્રવાદ વધારે સ્ફુટ થશે. એવું પણ બને કે ભારતના હિન્દુત્વવાદી નેતાઓ જગત માટે પથદર્શક બને. આમ પણ વિશ્વગુરુ તો આપણે છીએ જ! બોલો તો વિમર્શ થાય, બોલો તો કલ્પના વધારે સમૃદ્ધ થાય, બોલો તો કોઈ રાહુલ ગાંધીની મજાલ નથી કે મટકી પર કાંકરી મારે, માટે બોલો.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 22 સપ્ટેમ્બર 2024

Loading

...102030...515516517518...530540550...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved