Opinion Magazine
Number of visits: 9457141
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મને નામે મરી જવું ભારતમાં સૌથી સસ્તું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 July 2024

રવીન્દ્ર પારેખ

હા, હાથરસમાં 121 માણસો ભોલે બાબાના સત્સંગમાં ગયેલા તે બેફામ થયેલી ભીડમાં દબાઈ, દટાઈને માટીમાં મળી ગયા. વધારે મળ્યા હોય તો ય નવાઈ નહીં, આ તો સરકારી આંકડો છે. એમાં સ્ત્રીઓની અને બાળકોની સંખ્યા વધુ છે. આમ તો પોલીસ તેમને શોધી રહી છે, પણ બાબા તો સામે નથી આવ્યા, તેમનું નિવેદન સામે આવ્યું છે. નાસભાગના 24 કલાક પછી બાબા બોલ્યા કે હું સત્સંગમાંથી નીકળ્યો, પછી દુર્ઘટના સર્જાઈ છે. એમણે એમ પણ કહ્યું કે આ નાસભાગ અસામાજિક તત્ત્વોએ મચાવી છે ને હું એ લોકો સામે કાનૂની કાર્યવાહી કરીશ. આમાં અસામાજિક તત્ત્વ ક્યાં તે તો નથી ખબર, કારણ ત્યાં તો આયોજકો ને શ્રદ્ધાળુઓ જ હતા. એમાં બાબા કોને અસામાજિક તત્ત્વ ગણે છે તે તેઓ જાણે, પણ હકીકત એ છે કે સિકંદરરૌ પોલીસ સ્ટેશનનાં ફૂલરાઈ ગામમાં સત્સંગનું આયોજન કરનાર બાબાના સૈનિકો પર જ આરોપ છે કે એમણે જ ભક્તો, બાબા સુધી ન પહોંચે એ માટે ધક્કામુક્કી શરૂ કરી ને લોકો એકબીજા પર એવા પડ્યા કે ફરી ઊભા ન થઈ શક્યા.

બાર વાગે શરૂ થયેલો સત્સંગ બપોરે બેની આસપાસ પત્યો અને ભોલે બાબા નીકળતા હતા ત્યારે કેટલાક ભક્તો તેમની ચરણરજ લેવાના થયા, તે દોડ્યા બાબા તરફ ને બાબાના સૈનિકોએ તેમને લાકડી વડે ખદેડવાની જોરદાર કોશિશ કરી. એમાં એવી ધમાચકડી થઈ કે બાબાને તો વાંધો ન આવ્યો, પણ ભક્તો પર ભક્તો, નાળામાં, પાણી ભરેલાં ખેતરોમાં પડ્યા. ખેતર નીચું હતું ને કાદવ પણ હતો એટલે લાશોની થપ્પી લાગી ગઈ. મોંમાં, નાકમાં કાદવ ઘૂસી જવાને કારણે ગૂંગળામણ થઈ અને ઠેર ઠેર લાશો ખડકાઈ ગઈ. બાળકો કચડાયાં. સ્ત્રીઓ પરથી ભક્તો પસાર થતા રહ્યા. આ ધમાલમાં બાબા તો ગયા, પણ તેમનું લશ્કર પણ તેમની સાથે જ રવાના થઈ ગયું ને ભક્તો ભગવાન ભરોસે, ભગવાનને હવાલે થતા રહ્યા. એમાંને એમાં ભક્તો ઘટતા ગયા ને લાશો વધતી ગઈ.

ચંપલ ઉઠાવવા ઝૂકેલી દીકરી પરથી ભીડ કચડતી, છૂંદતી ધસમસી ગઈ. લાશોનો ઢગલો જોતાં એક સૈનિક એવો ગભરાયો કે હાર્ટ એટેક આવ્યો ને તેનું મૃત્યુ થઈ ગયું. પોતાનું માણસ શોધતી એ લાચાર આંખોની પીડા તો કલ્પવાની જ રહે છે. હોસ્પિટલને તો ખબર ન હોય કે 121 માણસો લાશ થઈ ગયાં છે એટલે એ તો લાશનાં પોસ્ટમોર્ટમ કે ઘાયલોની સારવાર માટે તૈયાર ન જ હોય ને ડોકટરોને કૈં પીર આવે છે કે હોસ્પિટલમાં હાજર રહે? એ તો એમની રીતે જ કામ કરતા હોય, એટલે હોસ્પિટલમાં તો ક્યાંથી હોય? કોઈ બચી ગયું તો તેનું નસીબ ને પતી ગયું તો તે પણ તેનું તકદીર એ હિસાબ અહીં પણ રહ્યો.

આમ તો ખાતર પર દિવેલ થતું આવ્યું છે, તેમ આમાં ય થશે, પણ 121 લોકો તો અથડાઇ, કૂટાઈ, ભચડાઈ, કચડાઈ ગયા છે ને તે કદી પાછા ફરવાના નથી. આવું થાય છે ત્યારે કેટલાંક કામ રાબેતા મુજબ ને ફટાફટ થવા લાગે છે. જેમ કે સીટની રચના થઈ જાય છે. ઊહાપોહ વધારે થાય તો સી.બી.આઈ. પણ મોડી વહેલી જોડાય છે. નક્કી થયેલા ભાવ મુજબ મૃતકને બે લાખનો ચેક અને ઘાયલને 50 હજાર પણ જાહેર થઈ જાય છે. મરવામાં મોડું વહેલું થાય, પણ મદદમાં મોડું થતું નથી એટલું સારું છે. તપાસના રિપોર્ટ પણ આવવા લાગે છે.

એટલું છે કે આયોજકોએ 80,000 લોકો આવવાના છે એવી માહિતી આપીને પ્રશાસન પાસેથી પરમિશન લીધેલી, પણ ભક્તો હાથરસ, એટા સહિત રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ જેવામાંથી પણ અઢી લાખની સંખ્યામાં ઊમટી પડ્યા. એમને કાબૂ કરવા કોઈ વ્યવસ્થા ન હતી. પોલીસો ઓછા હતા ને દુર્ઘટના પછી લાશોને પોસ્ટમોર્ટમ માટે કે ઘાયલોને હોસ્પિટલે કે હાથરસનાં ટ્રોમા સેન્ટર પર લઈ જવા સાધનો ટાંચા જ હતાં. કેટલા ય જીવો સમયસર સારવાર ન મળવાને કારણે ગયા. દુર્ઘટના પછી પોલીસે મુખ્ય સેવકો, આયોજકો સામે કેસ કર્યો છે, પણ એફ.આઇ.આર.માં ભોલે બાબા ઊર્ફે નારાયણ સાકાર વિશ્વ હરિનું નામ નથી, તે કદાચ હરિ સ્વયંભૂ હોવાને કારણે હશે. હરિ પર કોઈ કેસ નથી, પણ 24 વર્ષ પહેલાં દત્તક લીધેલી મૃત બાળકીને જાદુઈ વિદ્યાથી સજીવન કરવાને મામલે બાબાની ધરપકડ થયેલી એ ખરું. આ ઉપરાંત યૌન શોષણ સહિતના પાંચેક કેસ પણ બાબા પર થયેલા છે.

બાબા સિગારેટ, શરાબ, શબાબના પણ શોખીન છે. એવા સમાચાર એમના જ આશ્રમવાસી રણજિતસિંહે ફોડ્યા છે કે બાબાના આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ રહે છે ને બાબા તેમની પાસે અનુચિત કામો પણ કરાવે છે. પોલીસ આશ્રમ તરફ આવતી જણાય તો બાબા પાછલે બારણેથી છોકરીઓને ભગાડી મૂકે છે. બાબાનાં કરતૂતોથી તેમની પત્ની પણ વાકેફ છે. આવા બાબાનો સત્સંગ, કુસંગ જ પુરવાર થાય, પણ ભક્તો તો તેમને કૃષ્ણ ભગવાન ગણે છે ને તેમણે જ આ દુનિયા સર્જી છે એવું માને છે. હવે જે ઢોંગીને જ ઈશ્વર ગણે છે એની તો દયા પણ શું ખાવી?

એ તો ઠીક, અગાઉ પણ બાબાએ કોરોના કાળમાં 50 વ્યક્તિઓ આવવાની છે એમ કહીને ફરૂખાબાદમાં 50,000ની ભીડ એકઠી કરેલી અને એને કોરોનાની ભેટ આપેલી. આ જાણવા છતાં 80,000 લોકો સત્સંગમાં આવવાના છે એવું કહીને પરમિશન માંગવામાં આવી, ત્યારે આયોજકો પાસેથી બાંહેધરી લેવાની જરૂર હતી કે લોકો વધી પડે તો વૈકલ્પિક વ્યવસ્થા શી હશે? તે સાથે જ અગાઉના અનુભવને ધ્યાને લઈને પ્રશાસને પણ અરાજકતા ન ફેલાય તેવી વ્યવસ્થા, અગમચેતી વાપરીને કરવાની જરૂર હતી, પણ એવું થયું નહીં ને 121 લોકોના જીવ ગયા. એટલું છે કે અગાઉની ઘટના પરથી આયોજકો કે સત્તાધીશો કોઈ બોધપાઠ લેવાઈ ન જાય એની ભારે કાળજી રાખતા હોય છે. આવી જ બીજી ઘટના બનશે ત્યારે પણ આ બધાં આટલાં જ નવાં થઈને સામે આવશે એવી ખાતરી સહેજે રાખી શકાય.

આમ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત મુખ્ય સચિવ મનોજકુમાર સિંહ, ડી.જી.પી., કેબિનેટ મંત્રી ચૌધરી વગેરે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોની ખબર કાઢી આવ્યા છે, એ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, વિપક્ષી નેતા રાહુલ ગાંધી .. વગેરેએ પણ રેડીમેડ સંવેદનાઓ પાઠવી દીધી છે. સંસદમાં પણ હાથરસને મામલે દુ:ખ વ્યક્ત કરી દેવાયું છે. ક્યાં ય કૈં કહેવાપણું રહ્યું નથી. હવે પછી પણ આવી કોઈ ઘટના થશે તો ઓછામાં ઓછું પ્રશાસન આટલું અને એટલું જ કરશે એની ખાતરી રાખી શકાય, કારણ કે આ કૈં પહેલી ઘટના નથી.

અનેક ધાર્મિક મેળાવડાઓમાં ધારણા કરતાં ભીડ વધારે જ થાય છે અને તેને લગતી વ્યવસ્થાઓ પૂરતી હોતી જ નથી. તે એટલે હશે કે ભીડમાં મરનારાઓ ગરીબ વર્ગના હોય છે ને એ કોઈ પ્રતિકાર કરી શકે એમ નથી કે કોઈ કાનૂની કાર્યવાહી કરી શકે એવા સક્ષમ નથી? ટૂંકમાં, લોકોને ભગવાન ભરોસે જ છોડી દેવાય છે. એ પણ દુ:ખદ છે કે આવા સત્સંગમાં આવનારા શ્રદ્ધાળુઓને એટલો ઉપદેશ આપી નથી શકાતો કે ભીડ કે આફતમાં સ્વસ્થતા જાળવીને કેમ ટકી જવું કે નથી તો ભક્તો સત્સંગમાંથી એટલું શીખતા કે ભીડમાં ધસી જઈને અરાજકતા સર્જવાને બદલે થોડી ધીરજ ધરીને આફતને કેમ અટકાવવી? ભક્તો ભીડથી કેમ બચવું તેને બદલે કથા કે સત્સંગમાં કેમ ધસી જવું તે જાણે છે ને કૈં થાય તો દુર્ઘટનાનો ભોગ પણ એ જ બનતા જ હોય છે. આ ભીડ પાછી એવી શ્રદ્ધાળુ હોય છે કે તે કોઈ પણ બાવા કે સાધુ કે બાપુ કે ગુરુને પગે પડવા કે દર્શનનો લાભ લેવા એવી રઘવાઈ થઈ જાય છે કે કોઈ પણ આફત એને મન નાની હોય છે ને એવાં દર્શન કે વંદન માટે કોઈ પણ આફત એ આપોઆપ જ સર્જી શકે છે.

આસ્થાનો વાંધો નથી, પણ પ્રશ્ન વિવેકનો છે ને એનો ભારોભાર અભાવ આયોજકોને અને શ્રદ્ધાળુઓને પક્ષે જોવા મળે છે. દરેક વખતે સરકારનો કે આયોજકોનો વાંક કાઢવાનો અર્થ નથી, મોટે ભાગે ભીડ વકરે છે કોઈ અફવાથી કે ધક્કામુક્કીથી. ઉતાવળ બધાંને જ હોય છે ને એ અરાજક્તાનું મુખ્ય કારણ બને છે. આ રોકી શકાય તો ઘણાંને અકાળ મોત તરફ ધકેલાતાં રોકી શકાય, પણ કમનસીબે એવું થતું નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં જ દેશમાં જુદાં જુદાં ધાર્મિક સ્થળોએ ત્રણેક હજાર લોકોનાં નાસભાગમાં કરપીણ મોત થયાં છે. આ એવાં મોત છે, જે રોકી શકાયાં હોત, પણ તે નથી થયું ને પછી સ્થિતિ એવી આવે છે કે આંસુ પણ જિંદગીભર રોકી શકાતાં નથી ને એને જોનારું પણ કોઈ હોતું નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 જુલાઈ 2024

Loading

સમસામયિક સમ્પાદનો વિશે – 2 (પૂરું) 

સુમન શાહ|Opinion - Literature|4 July 2024

સુમન શાહ

આજકાલ આપણે ત્યાં પુસ્તકો ડિઝિટાઇઝ્ડ પદ્ધતિએ પ્રકાશિત થવા માંડ્યાં છે. એ પદ્ધતિનો ઉપયોગ સાવ નવી વાત નથી, પરન્તુ હવે એ પદ્ધતિનાં પ્રકાશનો વધી રહ્યાં છે; પરમ્પરાગત પદ્ધતિએ પ્રકાશનો કરનારા પ્રકાશકો પણ હવે એમાં જોડાયા છે.

A 

આપણે વિચારવું જોઈએ કે આ પરિવર્તન શેને કારણે થયું છે .. 

પ્રકાશકો બે કારણો આપે છે : 

૧ : 

પુસ્તકો હવે વેચાતાં નથી, કેમ કે કૉલેજો અને યુનિવર્સિટીઓને ગ્રાન્ટ્સ મળતી નથી અથવા ઘટી ગઈ છે : આ કારણ વાજબી લાગે છે તેમછતાં જાણવું બાકી રહે છે કે કઈ કૉલેજોને / યુનિવર્સિટીઓને ગ્રાન્ટ્સ મળતી નથી અથવા ઘટી ગઈ છે. જે મિત્રો પાસે આ કારણ અંગે માહિતી હોય એમણે એ જાહેર કરવી, જેથી ચર્ચામાં સહાય થાય. 

૨ :

પ્રકાશકો બીજું કારણ એ આપે છે કે પુસ્તકો સંઘરી રાખવા માટેના એમની પાસેના ભંડારો ભરાઈ ગયા છે. આ જો કે વ્યવહારુ કારણ છે, અને તેનો વિચાર તો વેપારીમાત્રને કરવો પડતો હોય છે, એટલે એની ચર્ચા ન કરીએ. 

૩ :

પ્રકાશકો ત્રીજું કારણ એ આપે છે હવે સાહિત્યવિવેચનનાં પુસ્તકો વેચાતાં નથી, બલકે ગમ્ભીર પુસ્તકોનું બજાર રહ્યું નથી. આ કારણ વાજબી લાગે છે. પરન્તુ એમ ખરેખર છે કે કેમ તે જાણવા માટે ય નક્કર માહિતી જોઈએ. પણ ક્યાંથી લાવીએ? પણ જો એમ જ છે તો સાહિત્યકારોએ એ વિચારવું પડશે કે ગમ્ભીર સાહિત્યનાં પુસ્તકો કરશે કોણ. 

(મને એનો એક ઇલાજ સૂઝ્યો છે, એ વિશે આ લેખમાં છેલ્લે જણાવું છું.)

પરન્તુ મારી પાસે અમુક પ્રકાશકોનાં નામ છે જેઓ ગમ્ભીર સાહિત્યનાં પુસ્તકો કે સાહિત્યનાં ગમ્ભીર પુસ્તકો કરવા રાજી છે, તેઓ સાહિત્યકારને રૉયલ્ટી આપવામાં ય માને છે, કેમ કે એ પ્રકાશનોથી તેઓને નફો નથી કરવો – એ મુદ્દે પણ તેઓ રાજી છે. તાત્પર્ય, વિદ્યાનું અને સાહિત્યવિદ્યાનું મૂલ્ય સમજનારા પ્રકાશકો હજી છે આપણે ત્યાં, એમની પાસે અનેક વિતરણકેન્દ્રો પણ છે, અને તેથી નિરાશ થવાને કારણ નથી. 

B 

આપણે એ વિચારવું જોઈશે કે ડિઝિટાઇઝ્ડ પદ્ધતિએ થતાં પ્રકાશનો મુખ્યત્વે કેવા સ્વરૂપે હોય છે.

— પ્રકાશક કરારથી બંધાયેલો હોય તો ચૉક્કસ સમયે એ પદ્ધતિનાં પુસ્તક પ્રકાશિત થતાં હોય છે

— પરન્તુ મુખ્યત્વે ડિઝિટાઇઝ્ડ પદ્ધતિનાં એ પ્રકાશનોની નકલો મર્યાદિત સંખ્યામાં હોય છે. કેમ કે ડિઝિટાઇજ્ઝ્ડ કરવાનો મતલબ જ એ છે. દાખલા તરીકે, ૨૦ કે ૨૫ નકલો કરતા હોય. પ્રકાશકો એમ કહેતા હોય છે કે જેમ જેમ માંગ વધશે તેમ તેમ ડિઝિટાઇઝ્ડ નકલો વધારીશું. વાત આટલે લગી બરાબર લાગે છે.

પણ પ્રશ્ન એ છે કે માંગ વધે શી રીતે? ૨૦ કે ૨૫ પુસ્તકો કોના સુધી પ્હૉંચી જવાનાં? ક્યારે? અને સદનસીબે પ્હૉંચી પણ ગયાં હોય, પરન્તુ એટલી નાની સંખ્યાથી માંગ વધે તો શી રીતે વધે? મારો ઉત્તર એ છે કે જો પ્રકાશકો એ ડિઝિટાઇઝ્ડ પદ્ધતિનાં પ્રકાશનોની સરસ જાહેરાત કરે, તો માંગ વધે. 

સરસ જાહેરાત એટલે, પુસ્તક શેને વિશે છે, એમાં શું છે તેની ઑડિયો અને વિડિયો સ્વરૂપે જાહેરાત કરે, છાપાંઓમાં સાહિત્યની કૉલમો લખતા મિત્રોને એ વિશે લખવા નકલ મોકલે. એટલું જ નહીં, એ પુસ્તકનું સંયમપૂર્વકનું ગુણાનુરાગી અવલોકન પ્રકાશિત કરે. પશ્ચિમમાં અને ભારતમાં પણ કેટલીક પ્રકાશન-સંસ્થાઓ એ માટે પોતાની સંસ્થામાં એવા અવલોકનકારની નિમણૂક કરતી હોય છે.  

C 

પણ શું ચાલી રહ્યું છે, એ જાણવું જરૂરી છે. 

ડિઝિટાઇઝ્ડ પદ્ધતિએ વ્યવસાય કરતા પ્રકાશકો અને લેખકો વચ્ચે પણ ઘણી વાર કશા કરાર થયા હોતા નથી. કારણ એ કે કેટલાક લેખકોએ બજાર નથી એ વાત માની લીધી હોય છે, અને વળી એમ કહે છે કે – કરારની શી જરૂર છે. એમાંના કેટલાક તો પોતાના ખરચે છપાવતા હોય છે. કોઈ કોઈ તો પ્રસિદ્ધિ માટે તરસતા હોય છે; એઓ તો FB પર પુસ્તકની છબિ જોઈને તેમ જ એને મળેલા લાઇક્સ જોઈને જ ખુશ થઈ જાય છે; એઓ પૂછતા પણ નથી કે નકલો ડિઝિટાઇઝ્ડ છે કે પરમ્પરાગત પદ્ધતિની. બીજા શબ્દોમાં એમ કહેવાય કે જીવદયામંડળીની રીતે બધું ચાલતું હોય છે. 

કરાર નથી થયો હોતો એટલે નકલો કેટલી, રૉયલ્ટી કેટલી, ક્યારે, વગેરેની લેખકને કશી જ જાણ હોતી નથી, એણે એની પરવા પણ રાખી નથી હોતી. એ જાણકારી નહીં હોવાને કારણે પુસ્તક જ્યારે કોઈ પર ભાષાના લેખકની કૃતિનો અનુવાદ હોય, અને એ મૂળ લેખક પૃચ્છા કરે, ત્યારે ગૂંચવાડો ઊભો થાય છે.

અને, પુસ્તક અનેક લેખકોની કૃતિઓનું સમ્પાદન હોય ત્યારે તો ગૂંચવાડો વધી જાય છે. દાખલા તરીકે, અમુક લેખકોની “ટૂંકીવાર્તાઓમાં ‘એકમેવ અસર’-ની કલાત્મકતા” – એ સમ્પાદકીય આશયથી એ સમ્પાદનમાં ધારો કે ૨૦ વાર્તાકારોની કૃતિઓ છે, તો એ ૨૦-ને દરેકને એ સમ્પાદનની નકલ મળવી જોઈએ, અને પુરસ્કાર મળવો જોઈએ, એ તો પાયાની વાત છે. કેમ કે હકીકત એ કે સમ્પાદક તો પછી, પહેલાં તો એ વાર્તાકારો જ એ કૃતિસામગ્રીના ધણી હોય છે. 

એ ગૂંચવાડા વખતે સમ્પાદક શું કહેશે એ પ્રશ્ન છે. સમ્પાદક ભલો હોય તો એમ કહે કે – હું ૨૦ નકલો ખરીદી લઈશ, અને સૌને પુરસ્કાર પણ ચૂકવીશ. પ્રૅક્ટિકલિ, સમ્પાદક માટે નકલો એકોએકને પ્હૉંચાડવાનું પણ ખરચાળ છે, મુશ્કેલ પણ છે. પણ એ ભલાભાઈ પોતાના પ્રકાશક સાથેની ‘ભલાઈ’ છોડી નથી શકતા, અને આ પ્રકારે તેને મદદ કરે છે. 

વાતનો સર્વસાર એ છે કે સાહિત્યપ્રકાશનોને હવે બજારવાદને શરણે છે, એથી નથી પ્રકાશકો મુક્ત કે નથી સાહિત્યકારો. એનો સીધો ભોગ બની રહ્યા છે, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ. સાહિત્યપદાર્થને બજારવાદ આભડી ગયો છે, એ આજનું મહા સત્ય છે, સંકટ છે. સરવાળે, સાહિત્યમૂલ્ય ધોવાઈ રહ્યું છે, એ તો મોટી હાણ છે. 

મને સૂઝેલો ઇલાજ આ પ્રમાણે છે : આખા પ્રશ્ન વિશે જેને ખરી દાઝ હોય તેવા સાહિત્યકારોએ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ, ભેગા થવું અને કો-ઑપરેટિવ સ્વરૂપનું સંગઠન રચવું, તેમાં, વિદ્યાનું અને સાહિત્યવિદ્યાનું મૂલ્ય સમજનારા પેલા પ્રકાશકોને જોડવા, અને કૉલેજે કૉલેજો વિતરણ-કેન્દ્રો રચવાં, વિદ્યાર્થી સામાન્ય કિમ્મતે ખરીદી શકે એવું ધોરણ પણ ઊભું કરવું. કેમ કે માંગ પુરવઠાથી નહીં પણ માંગથી પુરવઠો વધશે. ટૂંકમાં, સાદુંસીધું એવું તન્ત્ર ઊભું કરવું કે પ્રકાશનો સુપેરે થાય અને સરળતાથી ગ્રાહક / વાચક લગી પ્હૉંચે. 

= = =

(04/07/24 : A’bad)

Loading

હવે તક અને તાકીદનો તબક્કો શરૂ થઇ રહ્યો છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 July 2024

સંસદના આરંભે 

બાળકબુદ્ધિ દાખલો જો 543માંથી 99નો છે તો વડીલબુદ્ધિને નહિ સમજાતું વાસ્તવ 303માંથી 272 ઉપર નહિ અટકતાં  છેક 240 ઉપર પહોંચી ગયાનું છે : દાયિત્વ અને ઉત્તરદાયિત્વનું નવું રાજકારણ ખીલવી જાણશો તો ટકશો.

પ્રકાશ ન. શાહ

રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચામાં ચોથી જૂન પછીની પરિસ્થિતિનું વાસ્તવચિત્ર કદાચ ઝિલાયું છે, કદાચ નથી ઝિલાયું. વસ્તુતઃ અઢારમી લોકસભા એક નવસંકેતનો સંદેશ લઈને આવી છે. સત્તાપક્ષ પરત્વે અપેક્ષિત ઉત્તરદાયિત્વની જે સોઈ કહો તો સોઈ અને દબાણ કહો તો દબાણ હમણેનાં દસ વરસ દરમિયાન લુપ્તપ્રાય હતાં. તે હવે પ્રત્યક્ષપણે સામે આવ્યાં છે. સંસદીય લોકશાહી સંદર્ભે તે અવશ્ય સુચિહ્ન છે, પણ એકતરફી સત્તાની આસાએશ પછી આ નવી પરિસ્થિતિ જોડે ધોરણસર ગોઠવાવું અસુખકર, અકારું ને અઘરું હોઈ શકે છે તે ચર્ચામાં સત્તાપક્ષે અને એના નેતૃત્વે જે ભૂમિકા લીધી એથી સમજાઈ રહે છે. 

મુદ્દે, જો 543માંથી 99ને ધોરણે બાળકબુદ્ધિની રીતે દાખલો ગણી શકાતો હોય તો સુવાંગ 303માંથી 272 ઉપર નહીં પણ સીધા 240 પર જઈ પડવાની રીતે પણ દાખલો ગણી તો શકાય. કહેવું હોય તો કહી શકાય કે જેની હાજરી વરતાતી નહોતી તે સહસા વરતાવા લાગી છે અને જેની હાજરી જ હાજરી મહાલતી હતી તે સહસા સંકોચાઈ ગઈ છે. 2014થી શરૂ થયેલી કાઁગ્રેસમુક્ત ભારતની રણભેરી હાલ બસૂરી બજી રહી છે અને ભા.જ.પ. જ ભા.જ.પ.નું સપનું હાલ નંદવાયેલું માલૂમ પડે છેઃ  એન.ડી.એ. અને ‘ઇન્ડિયા’ એમ દ્વિપક્ષવત્ ચિત્ર ઉભર્યું છે. 

ચર્ચાના મુદ્દાઓ વિશે વિગતે ચર્ચા કરી શકાય, પણ આ ક્ષણ એવી તપસીલમાં નહીં જતા નવા તકાજા અને તાકીદને સમજવાની છે. રાહુલ ગાંધીએ નેતા પ્રતિપક્ષ તરીકે અધ્યક્ષીય ચૂંટણી પછી જે ગરવાઈથી વિચારો મૂક્યા એ ધોરણે રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચામાં આગળ વધી શક્યા હોત તો એ રૂડં થાત. તેમ છતાં એમણે નેવું મિનિટની રજૂઆતમાં ઉપસ્થિત કરેલા મુદ્દાઓ સબબ સત્તાપક્ષ અને એના નેતાનો પ્રતિભાવ હજુ ચૂંટણીપ્રચારના મિજાજમાં હોય એવું કેમ લાગે છે, તે વિચારવું સાર્વત્રિક હિતમાં હશે. 

“બાલકબુદ્ધિ’ નેતા પ્રતિપક્ષે ખરું જોતાં એક પાયાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. એમણે ધર્મચિંતન અને ઇશ્વરચિંતનને અભયમુદ્રા રૂપે ઘટાવીને નફરત અને ડરની રાજનીતિ સામે ભારતીય પરંપરામાં રહીને વળતા વિમર્શની એક શક્યતા સરજી હતી. “હિંદુ’ હોવું તે નફરત અને ડરની રાજનીતિથી વિપરીત છે એ ધોરણે નેતા પ્રતિપક્ષે વાત મૂકી કથિત હિંદુત્વ રાજનીતિની ટીકા કરી હતી. આ ટીકા, ન સમજવું હોય તો જ ન સમજાય એ રીતે સમગ્ર હિંદુસમાજની કે હિંદુધર્મની નહોતી – ચોક્કસ પક્ષપરિવારે જે “હિંદુ” ઉપસાવ્યો છે એની સામે હતી. નેતા સત્તાપક્ષે અને એમની પૂંઠે બીજા ભા.જ.પ. સાંસદોએ તમે સમગ્ર હિંદુસમાજનું અપમાન કર્યું છે એવી હોહલ્લા મચાવી, ક્યાંક તો આ તરજ પર ફરિયાદ નોંધાવવાની ચેષ્ટા સુધ્ધા થઈ, તે બેશક મૂળ મુદ્દા પરત્વે મરોડમાસ્તરીનું રાજકારણ હતું. સ્પિનોડી તે સ્પિનોડી, બીજું શું.

નહીં કે વિશેષ ચર્ચાને અવકાશ નથી. એકએક મુદ્દાને ખોલીને તપાસી શકાય. નેતા પ્રતિપક્ષે હવે પોતાની નવી ભૂમિકા અને ગૃહ બહારની સક્રિયતા વચ્ચે કેવી રીતે લોકશાહીને અનુરૂપ મેળ બેસાડવાનો છે, કથિત ફતેહ પછી કેટલો લાંબો વિપક્ષે ધોરણસર કાપવાનો છે તેને અંગે હિતવચનો અવશ્ય અપેક્ષતિ બલકે આવશ્યક પણ છે. શાસનને પક્ષે નવા સંજોગોમાં વચલાં વરસોમાં રેઢું મુકાયેલું પોતાના પરનું અનુશાસન કેવું ને કેટલું જરૂરી છે તે વિશે પણ હિતવચનો સારુ અવકાશ જ અવકાશ છે. યથાપ્રસંગ, યથા અવસર, યથા અવકાશ આ બંને બાબતે કહેવું જેવું કહીશું, કહેતાં રહીશું.

હમણાં આરંભને તબક્કે એટલી જ એક આશા અપેક્ષા બસ રહેશે કે આવડ્યાં એવાં વૉર્મિંગ અપ પછી બંને બાજુઓ નવસંદર્ભમાં નવેસર પોતાને ધોરણભેર ગોઠવે.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 03 જુલાઈ 2024

Loading

...102030...514515516517...520530540...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved