Opinion Magazine
Number of visits: 9557283
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘર, મકાન, દીવાદાંડી અને કાયમી સરનામું …

સોનલ પરીખ|Opinion - Opinion|25 September 2024

એક સાધુ, એક મહેલ પાસે જઈ પૂછે છે, ‘આ ધર્મશાળામાં એક રાત માટે ઓરડો મળશે?’ ચોકીદાર ખિજાયો, ‘રાજાના મહેલને ધર્મશાળા કહેતાં શરમાતો નથી?’ સાધુ બોલ્યો, ‘ભાઈ, થોડા દાયકા પહેલા અહીં કોઈક રહેતું હતું. થોડાં વરસ પહેલા બીજું કોઈ રહેતું હતું. આજે વળી કોઈ બીજું જ રહે છે. રહેનારા બદલાયા કરતા હોય એવી જગ્યાને ધર્મશાળા નહીં તો બીજું શું કહેવાય?’ મનગમતું ઘર બનાવવાની લ્હાયમાં પહેલા માણસ જીવવાનું ભૂલી જાય છે અને પછી જેને કાયમી સરનામું માન્યું હોય તે જગ્યાને ધર્મશાળાની જેમ ખાલી કરી જાય છે.

નિર્મલા સીતારામન્‌

આપણાં અર્થશાસ્ત્રી અને નાણાં મંત્રી નિર્મલા સીતારામન્‌ મુત્સદી અને બુદ્ધિમાન જ નહીં, સંવેદનશીલ અને સર્જનાત્મક પણ છે. તેમના એક સુંદર લેખનો અંશ અહીં મૂકવાનું મન થાય છે. તેઓ લખે છે, તિરુચિરપલ્લીના અમારા સંયુક્ત પરિવારમાં 5 વર્ષથી 95 વર્ષની ઉંમરના 14 સભ્યો હતા. ત્રણ પેઢી સાથે રહેતી અને જે હતું તે વહેંચીને આનંદ કરતી.

આજે વડવાઓનું એ ઘર ખાલી છે. મારી માએ જતનપૂર્વક ઉછેરેલો બગીચો ખેદાનમેદાન છે. જાંબુ, સરગવો, લીમડો અને પીપળો લીલીછમ સુંદરતા ગુમાવી બેઠાં છે. તાજગીભર્યા રંગોથી ઓપતાં સુગંધી ફૂલો ખીલતાં નથી. કૂદાકૂદ કરતી ખિસકોલીઓ દેખાતી નથી. મારી માના હાથમાંથી દાણા ચણવા આવતું મોર-કુટુંબ ગાયબ છે. બુલબુલ, ચકલી, કોયલ ક્યાંક ચાલ્યાં ગયાં છે. મહિનામાં એકાદ વાર આવીને ધમાલ કરતું વાંદરાનું ટોળું પણ હવે આવતું નથી.

એક વાર લોકો ચાલ્યા જાય, પછી ઘર મકાન બની જાય છે.

વર્ષો સુધી હું એને વેચવાનું વિચારી શકતી નહોતી. હવે ત્યાં જવાની હિંમત કરી શકતી નથી. એમાં રહેનારા ચૌદમાંથી દસને સમયે છીનવી લીધા છે. પડોશીઓમાંના મોટાં ભાગનાની પણ આ જ સ્થિતિ છે. એક વારનાં જીવંત, ધબકતાં ઘર હવે સૂમસામ મકાન બની ગયાં છે. બાળકો મોટાં થઈ ઘર છોડી ગયાં છે, માતાપિતા હયાત નથી કે પછી ઘરની જેમ ખખડધજ થઈ ગયાં છે. સુકાતાં ઝાડની ડાળીઓ પર કાગડા બોલ્યા કરે છે.

જે ઘર બનાવવામાં આપણે જિંદગી ખર્ચી નાખીએ છીએ, મોટેભાગે એની આપણાં સંતાનોને જરૂર હોતી નથી. ઘણીવાર તો એ ઝઘડાનું કારણ બને છે.

માણસનો આ કેવો સ્વભાવ છે – લીઝ પર અનિશ્ચિત સમય માટે મળેલી અને કોઈ કોર્ટમાં કશી અપીલ ન થઈ શકે એવી જિંદગીને એક કાયમી સરનામે વસાવી દેવાનો આ કેવો મોહ છે! વર્ષો સુધી ઘસાતા રહીને આપણે ઘર બાંધીએ છીએ જે અંતે વેચાઈ જાય છે, લડાઈનું કારણ બને છે કે પછી ઉપેક્ષિત થઈ ખંડેરની જેમ ઊભાં રહી જાય છે.

જ્યારે કોઈ ફોર્મમાં કાયમી સરનામું લખવાનું આવે, મને હસવું આવે છે.

એક ઝેન વાર્તા છે – એક સાધુ, એક મહેલ પાસે જઈ ચોકીદારને પૂછે છે, ‘આ ધર્મશાળામાં એક રાત રહેવા માગું છું. ઓરડો મળશે?’ ચોકીદાર ખિજાયો, ‘રાજાના મહેલને ધર્મશાળા કહેતાં શરમાતો નથી?’ સાધુ બોલ્યો, ‘ભાઈ, હું થોડાં દાયકા પહેલા આવ્યો ત્યારે અહીં બીજું કોઈ રહેતું હતું. થોડાં વરસ પહેલા આવ્યો ત્યારે એના બદલે બીજું કોઈ રહેતું હતું. આજે એ બેમાંથી કોઈ અહીં નથી અને કોઈ બીજું જ રહે છે. રહેનારા બદલાયા કરતા હોય એવી જગ્યાને ધર્મશાળા નહીં તો બીજું શું કહેવાય?’ મનગમતું ઘર બનાવવાની લ્હાયમાં પહેલા માણસ જીવવાનું ભૂલી જાય છે અને પછી જેને કાયમી સરનામું માન્યું હોય તે જગ્યાને ધર્મશાળાની જેમ ખાલી કરી જાય છે.

માણસની મૂર્ખતાઓ ખરેખર કોઈ અંત નથી …

લેખ વાંચતાં અને આ લખતાં અનેક મોટાં જાજરમાન ઘર આંખ સામે આવે છે. એક વાર એ વિસ્તારની શાન ગણાતાં એ ઘરો આજે ખાલી, સારસંભાળ વિનાનાં, જૂનાં, ઝાંખાં, એકલાં અને નવાં બાંધકામો વચ્ચે નડતાં હોય એવાં ઊભાં છે.

માનવસ્વભાવની વાત થાય ત્યારે વર્જિનિયા વુલ્ફની નવલકથા ‘ટુ ધ લાઈટહાઉસ’ યાદ આવ્યા વિના ન રહે. યોગાનુયોગ એ છે કે એમાં પણ એક જર્જરિત થતા જતા સમરહાઉસની વાત છે. બીજો યોગાનુયોગ એ છે કે આ નવલકથા 1927ની પાંચમી મેએ પ્રગટ થઈ હતી. એ વાતને આજે 97 વર્ષ થયાં, લગભગ એક સદી જેટલો સમય. પણ શૈલી, વિષયવસ્તુ અને ટેકનિકની રીતે આજે પણ એ આધુનિક લાગે એવી છે.

એક સુંદર સમર-હાઉસમાં એક અંગ્રેજ કુટુંબ અને કેટલાક મિત્રો ઉનાળો ગાળવા આવ્યા છે. રામસે કુટુંબની મુખ્ય સ્ત્રી રોઝમેરી હેરિસ સુંદર, ઉદાર, પ્રેમાળ અને શિસ્તબદ્ધ છે. પતિ માઇકલ ગૉગને સંતાનો પર ધ્યાન આપવાની ટેવ નથી એટલે રોઝમેરી પોતાનાં આઠ બાળકોને ખૂબ સમય આપે છે, અને સાથે પતિ, મિત્રો અને એનું ચિત્ર બનાવતી એક ઊગતી ચિત્રકાર આ સૌને સાચવે છે. એનો પતિ ઉદ્ધત, ક્રોધી, અધીરો અને સ્વકેન્દ્રી છે. એ બુદ્ધિમાન છે, ફિલોસોફર છે, પણ એને ધારી સફળતા ન મળે ત્યારે એનો દોષ પત્ની-સંતાનો પર ઢોળે છે. આ વખતે છ વર્ષનો દીકરો જેમ્સ એની કડવાશનો શિકાર બન્યો છે. જેમ્સને બોટમાં બેસીને દૂર દેખાતું લાઈટહાઉસ-દીવાદાંડી જોવા જવું છે. વેકેશનની બીજી અનેક આનંદદાયક પ્રવૃત્તિઓ ચાલ્યાં કરે છે, પણ એ ધરાર બહાના કાઢી કાઢીને તેને લાઈટહાઉસ જોવા નથી જ લઈ જતો.

કુટુંબનાં મોટાં સંતાનો આ એકના એક સમર-હાઉસથી કંટાળ્યા છે અને બીજે ક્યાંક વેકેશન ગાળવા મળે એવાં સ્વપ્ન જુએ છે જ્યારે નાનાં સંતાનો, ખાસ કરીને જેમ્સ અને એનાથી એક વર્ષ મોટી કેમિલા પિતાને ધિક્કારવા લાગ્યાં છે. એ ઉનાળાનો અંત આવે ત્યાં સુધીમાં પરિવારના સભ્યો વચ્ચેના સ્નેહનો પણ જાણે અંત નજીક દેખાવા લાગ્યો છે.

થોડાં જ વખતમાં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે. રોઝમેરી અને બે સંતાનો એક પછી એક મૃત્યુ પામે છે. સમરહાઉસમાં વેકેશન ગાળવા જવાતું નથી. આમ જ દસ વર્ષ પસાર થઈ જાય છે. સોળ વર્ષના જેમ્સ અને સત્તર વર્ષની કેમિલાને લઈ પિતા ફરી એ જ સમરહાઉસમાં જાય છે, જે હવે જૂનું થઈ ગયું છે. આ વખતે તે સામેથી, થોડા અપરાધભાવ સાથે લાઇટ હાઉસની ટ્રીપ ગોઠવે છે. સંતાનો પિતાની આ લાગણીને અને એના જટિલ વ્યક્તિત્વને સમજ્યાં છે. ભૂતકાળની કડવાશ દેખાતા સ્નેહના પ્રકાશ સાથે નવલકથા પૂરી થાય છે. આ બાજુ ચિત્રકાર યુવતી રોઝમેરીનું ચિત્ર અંતે પૂરું કર્યું છે. બ્રશ નીચે મૂકતાં એ કહે છે, ‘આઈ હેવ હેડ માય વિઝન.’

વર્જિનિયા વુલ્ફ

આ નવલકથામાં વર્જિનિયા વુલ્ફ(1882-1941)ના જીવનનું સારું એવું પ્રતિબિંબ છે. વર્જિનિયા તેની મા જુલિયા સ્ટીવન્સથી ખૂબ પ્રભાવિત હતી. પિતાને ડિપ્રેશન હતું. વર્જિનિયા 13 વર્ષની હતી ને જુલિયા મૃત્યું પામી એ દિવસ પણ 5 મે હતો. તેમનું કુટુંબ પણ એક સમરહાઉસમાં વેકેશન ગાળવા જતું. વર્જિનિયાનું પ્રસિદ્ધ ‘અ રૂમ્સ ઑફ વન્સ ઑન’ અને ‘વિમેન એન્ડ ફિક્શન’ આ નવલકથા પછી બે વર્ષે બનેલી ઘટનાઓ.

બીજા વિશ્વયુદ્ધ વખતે વર્જિનિયા હતાશામાં સરી ગઈ હતી. સતત મૃત્યુ વિષે વિચાર્યા કરતી. 1941ના માર્ચ મહિનામાં 59 વર્ષની વર્જિનિયાએ ઓવરકોટના ખિસ્સામાં મોટા પથ્થરો ભરીને નદીમાં ડૂબકી મારી દીધી. શબ મળતાં વીસ દિવસ થયા. મરતાં પહેલા તેણે પતિ પરના પત્રમાં લખ્યું હતું, ‘હું માનસિક સંતુલન ખોઈ બેસવાની તૈયારીમાં છું. મને અવાજો સંભળાય છે. એકાગ્ર થઈ શકાતું નથી. તેં મને ઘણું સુખ આપ્યું છે, પણ હવે હું નહીં બચું.’ એક વાર તેણે લખેલું, ‘ઈશ્વર નથી. આશા રાખી શકાય, દોષ ઢોળી શકાય એવું કોઈ નથી. સારું-ખરાબ જે થાય છે તેની જવાબદારી મારી જ છે.’ ‘ટુ ધ લાઈટહાઉસ’ પરથી એક ટી.વી. ફિલ્મ બની હતી. આત્મહત્યાને ‘ગ્લોરિફાઈ’ કરવા માટે એના પર પ્રતિબંધ મૂકવામાં આવેલો.

ઘણું જુદું હોવા છતાં એક સદીના અંતરે પૃથ્વીના જુદા જુદા ગોળાર્ધો પર વસેલી એક ભારતીય રાજકારણી અને એક વિદેશી લેખિકાના સંવેદનો – અને આપણા અનુભવજગત વચ્ચે પણ – કેવું અજબ, અવ્યક્ત સામ્ય છે!!

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 મે  2024

Loading

ચલતે ચલતે …. યૂ હી કોઈ મિલ ગયા હૈ.

અશોકપુરી ગોસ્વામી|Diaspora - Features|25 September 2024

આજે ઇંગ્લેન્ડના ઇસ્ટ હામ સ્ટેશન સાઇડના ફૂટપાથ પર બંને હાથમાં સામાન ભરેલી પ્લાસ્ટિકની બેગ્સ સાથે ઘેર તરફ આવતો હતો. અહીં આવીને અમારું ચાલવાનું વધી ગયું છે. વતનમાં વાતે વાતે બાઇક લઇને બધે ફરી વળવાની ટેવવાળા મને અને અનસૂયાને કાઠું પડે છે. જો કે દીકરાએ બસ, ટ્રેન, ટ્યુબમાં જવા આવવા માટે બે ડેબિટ કાર્ડ દઇ રાખ્યાં છે. છતાં, થોડે થોડે કરી અમે રોજ ત્રણ ચાર કિલોમીટર ચાલીએ છીએ.

આજે હું એકલો ઇસ્ટહામ સ્ટેશનના ભરચક રોડ પર ચાલું છું. મારા બે હાથમાં ચાર થેલા છે. સ્ટેશન વિસ્તાર ચાલવાવાળાઓથી ભરચક છે. રોડની બંને તરફની નાની મોટી બ્રાન્ડેડ શોપ્સમાં મેં જોઇ રાખેલી, મનમાં નક્કી કરી રાખેલી એ ચીજ વસ્તુઓ ખરીદી, તેના થેલા લઈ હું ચાલતો આવતો હતો, ત્યાં મેં જોયું કે, મારા જમણા બૂટની લેસ છૂટી ગઇ છે. ભરચક એવા ફૂટપાથ પર ઊભા રહી બૂટની લેસ બાંધી શકાય તેવી જગ્યા ખાસું ચાલ્યા પછી મને મળે છે. હું એક સુપરસ્ટોરની બહાર ટ્રોલીઓ મુકવાની બે ફૂટ ઊંચી પાળી પાસે થેલા મૂકી બેસીને બૂટની લેસ બાંધી. ચડી ગયેલા શ્વાસને હેઠો મૂકી બાજુએ જોઉં છું તો એ જ પાળી પર મારી ડાબે પાળી ઉપર, એક ફૂટપાથ ક્લિનર એના યુનિફોર્મમાં બેઠેલો. મારી જેમ તે પણ થાક્યો હશે કે પછી તરસ લાગતાં પાણી પીવા બેઠો હશે તેવું, તેની સામેની અડધી પાણીની બોટલ જોઇ અનુમાન મેં કર્યું. જમણે તેની કચરો ભરવાની ઠેલણગાડી. અમારી નજર મળતાં હું : “આયમ ટાયર્ડ, આઇ સીટ લિટલ, એન્ડ …” વધું બોલવું ન ફાવતાં હું, થોડીવાર બેસી અને ચાલ્યો જઈશ એવું તેને સમજાવા સફળ થાઉં છું.

એ પણ ઈશારામાં “વાંધો નહીં, બેસ. બેસાય.” કહે છે. હવે અમે એકબીજાને જોઈએ છીએ. એ ચાલીસ પચાસનો આછી ધોળી દાઢી મૂછ વધેલી-વાળો જણ મને ઘઉંવર્ણો જણાતાં મેં એને પૂછ્યું : “India…?” એણે ડોકું હલાવી હા પાડી. હવે હું હિન્દીમાં પૂછું છું. “कहां से …? पंजाब से ..?”

એ દબાતે અવાજે બોલે છે  :  “ગુજરાતથી.”

એટલે મેં ય : હું ય ગુજરાતથી.” અને પછી તો …

જે … જે … વાતો થઇ, જેટલી વાત થઈ, એ ત્યાં વસેલા લગભગ ગુજરાતીઓની વારતા છે. મિત્રો, હરતે ફરતે રસ્તે રખડતી વારતા …ના, વાર્તા નહીં વિતકકથા સાંભળવી છે …?! લ્યો, સાંભળો ત્યારે ….

અમિત સાથે મેં લીધેલી સેલ્ફી

આ … ભાઇનું નામ અમિત. ગામ નડિયાદ. નડિયાદના કાકરખાડનો પટેલ. નડિયાદનું કાકરખાડ, તોફાની ખાડિયા જેવું જબરું. આવા કાકરખાડનો એ પટેલ પણ, આ અમિત, એવો તોફાની કે ડાંડ નથી દીસતો. નરમ અને ઢીલો – વીલો દીસે છે. એ વીસ વીસ વરસથી ઇંગ્લેન્ડમાં છે. છે નડિયાદનો પાટીદાર પણ, ઝેરી દાઢ પડી ગયા પછી શિયાવિયા થઈ ગયેલ સર્પ જેવો નરમ ટાઢોબોળ, ઉત્સાહ ઉમંગ વગરનો લાગે છે. અત્યારે કલાકના પંદર લેખે મહિને દહાડે ૨,૦૦૦ થી ૨,૪૦૦ પાઉન્ડ એ (એમના કહ્યા મુજબ) કમાય છે, તેમને ઘેરથી ક્યાંક શિક્ષિકા છે. (એમના કહ્યા મુજબ) દીકરો પણ ક્યાંક સારી જગ્યાએ ગોઠવાયો છે‌‌. (એમના કહ્યા મુજબ) છતાં એમનું પદરનું કહેવાય તેવું પોતાનું ઘર નથી. મેં એને બાળપણના ભેરુની જેમ ઘઘલાવી નાખતાં : “વીસ વીસ વરસથી અહીં છો અને તમે ઘરનું ઘર ખરીદી નથી શક્યા …?! કર્યું શું …?!” એમ કહી એને, દારૂ પીવા અને જુગાર રમવા માટે કરાતી સાઇન કરી. તો, એ એની ઝળઝળિયાળી આંખે મને કહે : “પચાસ હજાર પાઉન્ડ મારા ઇમિગ્રેશનમાં લડવા અને વકીલોને આપવામાં ગયા. મેં દીકરીને લગનમાં સાઇઠ તોલા (૬૦) સોનું આપી પરણાવી. (એમના કહ્યા મુજબ) અત્યારે એ કેનેડા છે. એના લગનનું રિસેપ્શન ન’તું થયું મારાથી પણ, એણે ને જમાઈએ કેનેડામાં “સબવે”ની ફ્રેન્ચાઇઝી લીધી એમાં એને પંદર હજાર પાઉન્ડ આલ્યા. એ નરમ અને ટાઢું બોલે‌. મારી અંદરનો લેખક જાત જાતનું એને પૂછી જોઇતી માહિતી કઢાવે.

ચાર ચાર થેલા લઈ અત્યાર લગી કડેધડે ચાલતો હું, એની સાચી ખોટી અને ભળતી વાતે ઢીલો પડી જાઉં છું. પગનો  થાક તો ઉતરે છે, પણ મનનો થાક વધે છે. મનમાં ઘેરી ઉદાસી છવાઈ જાય છે. પાણીથી ય ન છીપે તેવી તરસ મને લાગે છે. હું મારી પાણીની બૉટલ થેલામાંથી કાઢવા જાઉં છું ત્યાં, અમિત લાગણીથી કહે છે : “આ ઉમ્મરે આટલું બધું ઊંચકીને જાવ છો તો … રોજ થોડું થોડું … લેવાનું રાખતા હો તો ..?”

અને, હું અમિતને અમારી અહીં આવ્યાની કથા ટૂંકમાં કહીને જણાવું છું કે : “આવતા રવિવારે દેશમાં જવાનું છે એટલે આ બધું …” એમ કહી ઉમેર્યું કે : આપણે ત્યાં ભજન મંડળમાં ગવાતા ભજન પહેલાં ગવાતી સાખીમાં ગાનાર ભગત એવું ગાય છે અમિત કે : “સંપત હોય તો ઘર ભલું … અને; નહીં તો ભલો પરદેશ.” ઘેર નડિયાદ ખાતે થોડી ઘણી જોગવાઈ હોય તો ચાલો ઘેર નડિયાદ પાછા.” ત્યારે, મારી વાત સમજ્યા વિના અબુધ અમિત કહે છે : “ઇન્ડિયા તો હું પાંચ વાર આવી ગયો છું.”

હવે,  એની સાથે હાથ મિલાવી ઊભો થવા જાઉં છું, ત્યાં,એ મને પૂછે છે : “તમને તરસ લાગી છે ને …! ? લો; પાણી આપું …” એમ કહે છે ત્યારે, જે તરસ હવે પાણીથી છીપવાની જ નથી, જાણી  હું એને કહું છું : “પાણી નથી પીવું પણ કશુંક સોફ્ટ ડ્રીંક … કેન … બેન … લઇ લઈશ.” એમ કહી મારા થેલા ઉપાડવા જાઉં છું ત્યાં, નડિયાદના કાકરખાડનો પાટિદાર ઊભો થઇ, એની કચરાની ઠેલણગાડીમાંના એની વસ્તુઓ મુકવાના ખાનામાંથી ચીલ્ડ સોફ્ટ ડ્રીંકનું કેન કાઢી મને ધરે છે. હું અવાક પણે : “મને આ ટીન ખોલતાં નહીં ફાવે …” બોલી અમિતને પાછું દઉં છું, ત્યારે એ ફટાફટ કૅન ખોલી મને પાછું ધરે છે, અને મને સાંદીપનિના આશ્રમનો પેલો સુદામો યાદ આવે છે, જે દાયકાઓ પછી એના ભેરુને તાંદુલ ધરતો હતો.

ત્યાં તે વખતે તો કૃષ્ણ હતા. પણ અહીં હું સાવ અકિંચન. સુદામા જેવા અમિતનું કશું પણ ભલું નહીં કરી શકનાર રાંક હું મનોમન દ્વારકેશને પ્રાર્થું છું : “દ્વારિકાથી પાછા ગયેલા સુદામાની સ્થિતિ; પરિસ્થિતિ જેમ બદલાઈ તેવું આ ભલા ભોળા અમિતનું થાઓ પ્રભુ.”

હું હવે ઉતાવળે ટીન પી જાઉં છું. મારાથી એની ઝળઝળિયાળી આંખો જોવાતી નથી. ખાલી થયેલ ટીન એની જ ઠેલણગાડીમાં નાખી તેની સાથે હાથ મિલાવી : “અમિત, દોસ્ત … જાઉં. તો; મલ્યા ફરી પાછા.” કહી, ક્ષણવાર પણ હવે ઊભું રહેવું ન પોસાતું હોય એમ થેલા ઉંચકીને ચાલવા માંડું છું. અમિત મને ચાલતાં જુએ છે. ચાલતાં ચાલતાં પાછું વળીને અમિતને એકવાર જોઇ લેવાનું મન થાય છે, પણ કોણ જાણે કેમ હું તેવું નથી કરતો. એના જીવનના બધા ખોટા પડેલા દાખલાઓ જેમ મારું આમ મળવું પણ એને એના જીવનના ખોટા દાખલા જેવું જ લાગશે.

ચાલતાં ચાલતાં અચાનક મને અમિતના સ્થાને દીકરો આયુષ્યમાન દેખાઈ જાય છે. અને, મારાથી રડી પડાય છે. મારા થેલાઓ અજાણ્યા ભારથી હવે ભારે થઈ ગયા છે. મણ મણની બેડીઓ સાથે ચાલવું હવે અઘરું પડે છે. પગે ખાલી ચડી જાય છે, બેસી પડવાનું મન થાય છે પણ, બેસી નથી શકાતું કે, નથી સરખું ચલાતું. હું પેલા શાપિત અશ્વસ્થામા જેવો મને લાગું છું. શું હું ય …????

સૌજન્ય : અશોકપુરીભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભગતસિંહ અને ગાંધી : કોણ સૌથી લોકપ્રિય?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 September 2024

ભગતસિંહ 

(27 સપ્ટેમ્બર, 1907 : 23 માર્ચ, 1931) 

ગાંધીજી 

(2 ઓક્ટોબર, 1869 : 30 જાન્યુઆરી, 1948)

આવતા દિવસો, આપણી સ્વરાજલડત સંદર્ભે એક તબક્કે લગભગ સરખી લોકપ્રિયતાના મોજા પર સવાર હોઈ શકતી બે વિરલ પ્રતિભાઓના જયંતી પર્વના છે : ભગતસિંહ અને ગાંધીજી. 1920ની અસહકાર ચળવળ અને 1930ની દાંડીકૂચ સાથે દેશના રાજકીય જીવનમાં ઊપસી રહેલું કેન્દ્રીય વ્યક્તિત્વ સતત તો સ્વાભાવિક જ ગાંધીજીનું હતું. બીજી સંસ્થાઓ નહોતી એમ તો નહીં કહી શકાય, પણ રાષ્ટ્રીય ચળવળનું પ્લેટફોર્મ ત્યારે અલબત્ત કાઁગ્રેસ જ કાઁગ્રેસ હતું.

પ્રકાશ ન. શાહ

સન સત્તાવનની ધારા એક રોમહર્ષક ઉઠાવ પછી શમી ગઈ હતી, ને 1905માં બંગભંગ સાથે લાલ-બાલ-પાલ ફરતે લોકજુવાળ બાદ રાજકીય તખ્તે 1915માં ગાંધીપ્રવેશ સાથે એક તરેહના નવજીવનનો ઉન્મેષ વરતાવા લાગ્યો. 1920માં તિલક ગયા : એમની અર્થીને ખભો આપનારા પૈકી ગાંધીજી સર્વથી મોખરે હતા. સ્વતંત્રતાના સાદ સાથે હવે સમતાનો મંત્ર પણ ગુંજવા લાગ્યો. દરમ્યાન, ક્રાંતિધારાને નવજીવન મળ્યું તે સાથે ગુંજેલો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’નો હતો. આ ક્રાંતિધારાનો સ્વાભાવિક જ એવો કોઈ મોટો વ્યાપ હોઈ શકતો નહોતો. એની અપીલ અલબત્ત પ્રભાવક હતી, પણ લોકહિસ્સેદારીનું જે નવું વ્યાકરણ ગાંધીયુગમાં વિકસ્યું એનો આગળ-પાછળ કદાચ કોઈ જ જોટો નહોતો.

1930-31માં ભગતસિંહનો વિરલ ને વિશિષ્ટ પ્રવેશ અલબત્ત એમણે વડી ધારાસભામાં ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ સરખો જે હલકો-ફુલકો બોંબ પ્રયોગ કીધો એને આભારી હતો. અફરાતફરીમાં આઘાપાછા નહીં થતા, કેમ કે અદાલત મારફતે પોતાની ભૂમિકા લોક લગી પહોંચે, એમણે પકડાવું પસંદ કર્યું … જેમ ન પકડાવું તેમ પકડાવું પણ એક ક્રાંતિઘટના હોઈ તો શકે! 

જે સજા થઈ ભગતસિંહને, એ કંઈ બોંબ ઘટનાને કારણે નહોતી. એમાં તો સોન્ડર્સની હત્યાનું નિમિત્ત હતું. એક ગોરા અફસરને બદલે ભળતો ગોરો અફસર ગોળીએ દેવાયો એ ચર્ચામાં નહીં જતાં અહીં આપણે એટલું જ નોંધીશું કે આ હત્યાનો હેતુ લાલા લાજપતરાય પર સાઈમન કમિશન સામેના વિરોધ સરઘસ દરમ્યાન અંધાધૂંધ લાઠીમારથી આગળ ચાલતાં નીપજેલ મોતનો બદલો લેવાનું હતું. 

આ મુદ્દો જરી પોરો ખાઈને સમજવા જેવો છે. લાજપતરાય કાઁગ્રેસ નેતા હતા. એમના રાજકારણના કેટલાક અંશ ભગતસિંહ અને સાથીઓને કંઈક નાપસંદ પણ હતા. પણ રાષ્ટ્રીય ચળવળના એક સન્માન્ય નેતા સાથેના પોલીસ દુર્વર્તાવને કેવી રીતે સાંખી શકાય, એ સવાલ હતો. માટે, ભગતસિંહ ને સાથીઓએ જાન પર ખેલવાનો રસ્તો લીધો.

બાકી, ચંદ્રશેખર આઝાદનો દાખલો તો આપણી સામે જ છે. જ્યારે પોલીસથી ઘેરાયા ત્યારે પકડાવાની પળે પોતે મોત વહોરવું પસંદ કર્યું. અહીં આઝાદ અને બિસ્મિલને સંભારીને એક બીજોયે મુદ્દો કરવા જેવો છે. ક્રાંતિકારી પ્રવૃત્તિના ઉત્તરકાળમાં એ બંને ખુલ્લા શાંતિમય પ્રતિકારના વિકલ્પની તરફેણમાં વિચારવા લાગ્યા હતા. કોઈ પલાયની મનોવલણ એની પાછળ નહોતું, પણ સંદેશો લોકમાં સંક્રાન્ત થવો અને એની ફરતે લોકનું ઉદ્યુક્ત થવું એ ચાલના મુખ્ય હતી.

આરંભે મેં 1930-31ના કેટલાક મહિના ગાંધીજી અને ભગતસિંહની લોકપ્રિયતા સરખેસરખી સરસાઈ પર હતી એમ કહ્યું તે વાસ્તવમાં કાઁગ્રેસના અધિકૃત ઇતિહાસકાર પટ્ટાભિ સીતારામૈયાનું વિધાન છે. સરખેસરખી સરસાઈના, ખાસ તો ભગતસિંહને છેડેથી જોતાં જેટલા ટૂંકા એટલા જ તેજતર્રાર ગાળા બાદ સતત સંકળાયેલો એક વિવાદમુદ્દો ગાંધીજી ભગતસિંહને કેમ બચાવી ન શક્યા એ છે. એને અંગે ચર્ચાને અવશ્ય અવકાશ હોઈ શકે, પણ એ માટે ગાંધીજીને નાના કે ક્ષુદ્ર મનના દેખાડવાની ગણતરીથી ઊંચે ઊઠી ઇતિહાસ સમગ્રને જોવો પડે.

વાત એ છે કે ગાંધી-અરવિન સમાધાનીને અન્વયે જેમને છોડી મૂકવાના હતા એ સૌ શાંતિમય પ્રતિકાર સર પકડાયેલા હતા. એટલે સમાધાન સમજૂતીનો એક હિસ્સો આ માંગ બની શકે નહીં. સુભાષબાબુ જેવાને લાગતું હતું કે ગાંધીજીએ ભગતસિંહની ફાંસી રોકવાને મુદ્દે બાજી ફિટાઉસ કરી નાખવી જોઈએ. જો કે, તેમ છતાં, એમણે પણ નોંધ્યું છે કે ગાંધીજીએ પોતાના તરફથી અરવિનને કહેવામાં કોઈ કસર છોડી નહોતી. એમણે એક વહેવારુ મુદ્દા તરીકે એ પણ ધ્યાન દોર્યું હતું કે ભગતસિંહ અંગેની તીવ્ર લોકલાગણીને તમે માન આપશો તો સમાધાની સાથે અપેક્ષિત પરિસ્થિતિને પણ મદદ મળશે. અરવિનની (લોર્ડ હેલિફેક્સની) એ ગાળાની ડાયરી બોલે છે કે અહિંસાના પૂજારીને એક હિંસાના આરાધકને બચાવવાની આટલી બધી શું કામ પડી છે તે મને સમજાતું નથી.

આંબેડકર ત્યારે મરાઠીમાં ‘જનતા’ પત્ર ચલાવતા. માત્ર, વર્ણવાસ્તવ નહીં પણ વર્ગવાસ્તવને અનુલક્ષીને વ્યાપક – એક અર્થમાં સમાજવાદી રુઝાન – એવી ભૂમિકા હતી. એમણે ફાંસી પ્રકરણની જે ચર્ચા કરી છે તે મરાઠીમાં હોઈ વ્યાપક સમાજનું ધ્યાન એ તરફ ગયું નથી. પણ આનંદ તેલતુંબડેએ તાજેતરનાં વર્ષોમાં એ અંગ્રેજીમાં સુલભ કરી એમાં પ્રધાન મુદ્દો એ છે કે બ્રિટનની તે વખતની સરકાર માટે ઘરઆંગણાના રાષ્ટ્રવાદી ઉછાળ સામે, ચૂંટણીને લક્ષમાં રાખી ભગતસિંહની સજા મોકૂફ રખાવી શક્ય નહોતી. પ્રશ્ન ગાંધી-અરવિનના વશનો નહોતો. હિંદની અંગ્રેજ અફસરશાહી અને બ્રિટનમાં વિરોધમત, એ બે મુખ્ય ચાલક બળ હતાં. ગાંધીજીને છોડવાનું ને મંત્રણા માટે બોલાવવાનું પગલું જ બ્રિટનની સરકારને વિરોધમતની બીકે નામોશીભર્યું લાગતું હતું, અને એમાં જો ભગતસિંહને બક્ષ્યા તો –

વસ્તુત: સ્વરાજલડત અને સ્વરાજનિર્માણની દૃષ્ટિએ લોકહિસ્સેદારીનું વ્યાકરણ ને વિજ્ઞાન કેમ વિસ્તરે અને દૃઢમૂળ બને એ પાયાનો પ્રશ્ન છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 25 સપ્ટેમ્બર 2024 

Loading

...102030...511512513514...520530540...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved