Opinion Magazine
Number of visits: 9557341
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હું સુપ્રીમ સિમેન્ટિંગ ફેક્ટર છું

વિનોબા|Gandhiana|4 October 2024

૧૧ સપ્ટેમ્બર – વિનોબા જન્મદિવસ નિમિત્તે

વિનોબાજી

હું એક જુદી જ દુનિયાનો માણસ છું. મારી દુનિયા નિરાળી છે. મારો દાવો છે કે મારી પાસે પ્રેમ છે. એ પ્રેમનો અનુભવ હું સતત લઈ રહ્યો છું. મારી પાસે મત નથી, મારી પાસે વિચાર છે. વિચારોનું આદાન-પ્રદાન થાય છે. એને ચાર દીવાલ નથી હોતી, એ બંધાયેલા નથી હોતા. સજ્જનો સાથે વિચાર-વિમર્શ કરીને એમના વિચાર લઈ શકાય છે અને આપણા વિચારો એમને આપી શકાય છે. આમ, વિચારોનો વિકાસ થતો રહે છે. એનો અનુભવ મને નિરંતર થાય છે. તેથી હું કોઈ વાદી નથી. કોઈ પણ મને પોતાનો વિચાર સમજાવી દે અને કોઈ પણ મારો વિચાર તપાસી લે. પ્રેમ અને વિચારમાં જે શક્તિ છે, એ બીજા કશાયમાં નથી. કોઈ સંસ્થામાં નથી, સરકારમાં નથી, કોઈ જાતના વાદમાં નથી, શાસ્ત્રમાં નથી, શસ્ત્રમાં નથી. મારું માનવું છે કે શક્તિ પ્રેમ અને વિચારમાં જ છે. માટે પાક્કા મતોની અપેક્ષા મારી પાસે ન રાખશો, વિચારોની અપેક્ષા રાખજો. હું પળેપળે બદલાતી વ્યક્તિ છું. કોઈ પણ મારા પર આક્રમણ કરી પોતાનો વિચાર સમજાવી મને પોતાનો ગુલામ બનાવી શકે છે. પરંતુ વિચાર સમજાવ્યા વગર જ કોઈ પ્રયત્ન કરશે તો લાખ પ્રયાસ છતાં કોઈની ય સત્તા મારા ઉપર ચાલશે નહીં.

હું કેવળ વ્યક્તિ છું. મારા કપાળે કોઈ પ્રકારનું લેબલ લાગેલું નથી. હું કોઈ સંસ્થાનો નથી. રાજનૈતિક પક્ષોનો મને સ્પર્શ નથી. રચનાત્મક સંસ્થાઓ સાથે મારો પ્રેમસંબંધ છે. હું બ્રાહ્મણ તરીકે જન્મ્યો અને શિખા કાપીને બ્રાહ્મણનું મૂળિયું જ ઉખાડી નાખ્યું. કોઈ મને હિંદુ કહે છે, પણ મેં સાત-સાત વાર કુરાન-બાઇબલનું પારાયણ કર્યું છે. એટલે કે મારું હિંદુત્વ ધોવાઈ જ ગયું. મારી વાતો લોકોને ગમે છે, કારણ કે મારાં કાર્યોનાં મૂળમાં કરુણા છે, પ્રેમ છે અને વિચાર છે. હું એટલો ભરોસાહીન માણસ છું કે આજે હું એક મત વ્યકત કરીશ અને કાલે મને બીજો મત યોગ્ય લાગે તો તેને વ્યક્ત કરવામાં થોથવાઈશ નહીં. કાલનો હું બીજો હતો, આજનો હું બીજો છું. હું પ્રતિક્ષણ ભિન્ન ચિંતન કરું છું. હું સતત બદલાતો જ આવ્યો છું.

દેશમાં અનેક વિચાર-પ્રવાહ કામ કરી રહ્યા છે. મને એક બારીક નિરીક્ષણ કરવાની તક મળ્યા કરે છે, કારણ કે હું જનતાના સીધા સંપર્કમાં રહું છું. જ્યાં સુધી મને લાગેવળગે છે ત્યાં સુધી એનું પરિણામ એ આવે છે કે હું ખૂબ જ વધારે તટસ્થ બની રહ્યો છું અને મને સમન્વયનું સતત ભાન રહે છે. મારો કોઈનીયે સાથે વાદ નથી. કોઈનો અમસ્તો જ વિરોધ કરું એ મારા લોહીમાં નથી. બલ્કે, મારી સ્થિતિ તુકારામે કહ્યા જેવી છે – ‘વિરોધનું વચન મારાથી સહન થતું નથી.’

હું ‘સુપ્રીમ સિમેન્ટિંગ ફેક્ટર’ છું, કારણ કે હું કોઈ પક્ષમાં નથી. પરંતુ આ તો મારું ‘નેગેટીવ’ વર્ણન થઈ ગયું. મારું ‘પોઝિટીવ’ વર્ણન તો એ છે કે બધા પક્ષોમાં જે સજ્જન છે, તેમના ઉપર મને પ્રેમ છે. તેથી હું પોતાને ‘સુપ્રીમ ફેક્ટર’ માનું છું. આ મારું વ્યક્તિગત વર્ણન નથી. જે શખ્સ એવું કામ ઉઠાવે છે, જેના થકી હૃદય-પરિવર્તનની પ્રક્રિયાથી ક્રાંતિ થશે, એ એક દેશને માટે નહીં, બલ્કે બધા દેશોને માટે ‘સિમેન્ટિંગ ફેક્ટર’ થશે.

મેં લુઈ પાશ્ચરની એક તસ્વીર જોઈ હતી. તેની નીચે એક વાક્ય લખ્યું હતું – “હું તારો ધર્મ શું છે એ નથી જાણવા માગતો. તારા વિચારો શું છે તે પણ જાણવા નથી ઇચ્છતો. માત્ર એટલું જાણવા ચાહું છું કે તારું દુ:ખ શું છે. તેને દૂર કરવામાં મદદ કરવા ચાહું છું.” આવું કામ કરનાર મનુષ્યની ફરજ અદા કરે છે. મારો આવો જ પ્રયાસ છે.

મારી એ જ ભાવના રહે છે કે સૌ મારા છે અને હું સૌનો છું. મારા દિલમાં એવી વાત નથી કે અમુકને હું વધારે પ્રેમ કરું અને અમુકને ઓછો. મુહંમદ પૈગંબરના જીવનમાં એક વાત આવે છે. અબુબક્ર વિષે મુહંમદ સાહેબ કહે છે કે ‘હું તેના ઉપર સૌ કરતાં વધારે પ્યાર કરી શકું છું, જો એક શખ્સ ઉપર બીજા શખ્સ કરતાં વધારે પ્યાર કરવાની મનાઈ ન હોય તો.’ એટલે કે ખુદા તરફથી એની મનાઈ છે કે એક ઉપર બીજા કરતાં વધુ પ્યાર કરીએ. આવી મનાઈ ન હોત તો અબુબક્ર ઉપર વધારે પ્રેમ કરત. આ જ મારા દિલની વાત છે. એટલે કે પ્રેમ કરવામાં હું વેરો આંતરો નથી રાખી શકતો.

હું ગુરુત્વનો સ્વીકાર નથી કરી શકતો ! ‘એકબીજાની સહાયતા કરીએ, સૌ મળીને સુપંથ ઉપર ચાલીએ’ – આ મારી વૃત્તિ છે. આમ હોવાથી ગુરુત્વની કલ્પના મને ઠીક લાગતી નથી. હું ગુરુના મહત્ત્વને માનું છું. ગુરુ એવા હોઈ શકે છે કે જે માત્ર સ્પર્શથી, દર્શનથી, વાણીમાત્રથી, એટલું જ નહીં પણ કેવળ સંકલ્પમાત્રથી શિષ્યનો ઉદ્ધાર કરી શકે છે. એવા પૂર્ણાત્મા ગુરુ હોઈ શકે છે. આમ છતાં હું આને કલ્પનામાં માનું છું. વાસ્તવમાં આવા કોઈ ગુરુને હું જાણતો નથી. ‘ગુરુ’, આ બે અક્ષરો માટે મને અત્યંત આદર છે. પરંતુ એ બે અક્ષરો જ છે. આ બે અક્ષર હું કોઈ પણ વ્યક્તિ માટે લાગુ ન કરી શક્યો. અને કોઈ એ મારા પર લાગુ કરે, તો મારાથી સહન જ નથી થતું.

જ્ઞાનની એક ચિનગારીની દાહક શક્તિની સામે વિશ્વની તમામ અડચણો ખાક થવી જ જોઈએ. આ વિશ્વાસના આધાર ઉપર નિરંતર જ્ઞાનોપાસના કરવામાં અને દૃષ્ટ જ્ઞાનનો પ્રસાર કરવામાં મારું આજ સુધીનું જીવન ખર્ચાયું છે. જો બે-ચાર જીવનને પણ તેનો સ્પર્શ થઈ જાય, તો મારું ધ્યેય સાકાર થઈ શકશે.

હું જે કોઈ પગલું માંડું છું તેના ઊંડાણમાં ઊતરીને મૂળ સુધી પહોંચ્યા વગર નથી રહેતો. મેં જિંદગીનાં ત્રીસ વર્ષ એકાંત ચિંતનમાં ગાળ્યાં છે. તેમાં જ જે સેવા થઈ શકી એ હું નિરંતર કરતો રહ્યો. પરંતુ મારું જીવન નિરંતર ચિંતનશીલ રહ્યું, જો કે હું એને સેવામય બનાવવા ચાહતો હતો. સમાજમાં જે પરિવર્તન લાવવું જોઈએ, એનાં મૂળિયાંની છાનબીન માટેનું એ ચિંતન હતું. પાયાના વિચારોમાં હવે નિશ્ચિંત છું. કોઈ પણ સમસ્યા મને ડરાવતી નથી. કોઈ પણ સમસ્યા, પછી ભલે એ ગમે તેટલી મોટી કેમ ન હોય, મારી સામે નાનકડી બનીને આવે છે. હું તેનાથી મોટો બની જાઉં છું. કોયડો ગમે તેટલો મોટો હોય, છતાં એ માનવીય છે, તો માનવીય બુદ્ધિથી ઉકેલી શકાય છે. તેથી મારી શ્રદ્ધા ડગી નથી જતી. એ દીવાલની જેમ ટટ્ટાર રહે છે, અથવા પડી જાય છે.

ચાહે મેં આશ્રમોમાં રહીને કામ કર્યું હોય કે બહાર રહીને, મારી સામે મુખ્ય કલ્પના એ જ રહી છે કે આપણી સામાજિક કે વ્યક્તિગત બધા પ્રકારની મુશ્કેલીઓનું નિરસન અહિંસાથી શી રીતે થાય તેની ખોજ કરું. આ જ મારું મુખ્ય કામ છે. અને તે માટે હું તેલંગાણા ગયો હતો. જો એ હું ટાળત તો એનો અર્થ એ જ થાત કે મેં અહિંસા અને શાંતિસેનાનું કામ કરવાની લીધેલી મારી પ્રતિજ્ઞા જ તોડી નાખી. સ્વરાજપ્રાપ્તિ પછી તરત જ જે ઘટનાઓ આ દેશમાં ઘટી, એણે અહિંસાની આશાને ઘસારો પહોંચાડ્યો હતો. ખૂબ વધારે હિંસાની તાકાતો હિંદુસ્તાનમાં ઊભરી આવી હતી. તેથી ગાંધીજીના ગયા પછી હું એ ખોજમાં હતો કે અહિંસાની સામૂહિક પ્રતિષ્ઠા શી રીતે થાય.

મારું માનસિક વલણ મહાવીરની પદ્ધતિ તરફ વધારે છે. પરંતુ મારું જે કામ ચાલ્યું, એ બુદ્ધ ભગવાનની ઢબે ચાલ્યું. આમ તો બંનેમાં કોઈ વિરોધ નથી. મહાવીરની રીત એ હતી કે કોઈ પ્રશ્ન હાથમાં લેવો છે, કોઈ વિચાર ફેલાવવો છે, એવી એમની દૃષ્ટિ નહોતી. એ જ્યાં જતા, વ્યક્તિઓ સાથે વાત કરતા, સામેવાળાનો વિચાર સમજી લેતા અને તેને જીવનમાં સમાધાન થાય એવો રસ્તો બતાવતા. જેની જે ગ્રંથ ઉપર શ્રદ્ધા હોય, એ ગ્રંથને આધારે સમજાવતા અને વળી કોઈની કોઈ પણ ગ્રંથ પર શ્રદ્ધા ન હોય તો ગ્રંથનો આધાર લીધા વગર જ સમજાવતા. આ રીતે અહિંસાનો મૂળમૂત વિચાર મધ્યસ્થ દૃષ્ટિ રાખીને સમજાવતા. બુદ્ધ ભગવાને અહિંસાનો વિચાર પ્રસારિત કરવા માટે સામાજિક સમસ્યાઓ હાથમાં લીધી.

કોઈ આલંબન લેવું કે ન લેવું એ જુદી વાત છે. પરંતુ એ આલંબનનો અર્થ સ્થૂળ થઈ જાય અને જે સૂક્ષ્મ વસ્તુના પ્રકાશ માટે એ હોય, તે જ ગૌણ થઈ જાય, આલંબન જ ચડી બેસે, જે વિચાર માટે એ લેવાયું છે એ વિચાર જ ઢંકાઈ જાય, તો ખતરો પેદા થઈ જાય છે. આલંબન ન લેવાથી વિચાર વિખરાઈ જાય છે. સદ્ભાવના અવ્યક્ત રૂપે પ્રસરે છે, પરંતુ વિચાર અવ્યક્ત રૂપમાં ઘનાકાર નથી થતો – સાધારણ લોકોને એનું આકર્ષણ નથી રહેતું. આમ, આલંબન લેવામાં એક ખતરો છે અને આલંબન ન લેવામાં બીજો ખતરો છે. આલંબન લેવામાં એક ગુણ છે અને આલંબન ન લેવામાં બીજો ગુણ છે.

મેં ભૂમિ-સમસ્યાનું આલંબન જરૂર લીધું, પરંતુ સામ્યયોગનો, કરુણાનો વિચાર સમજાવવો એ જ મારી મૂળભૂત દૃષ્ટિ છે. આલંબન લેવામાં મેં બુદ્ધિનું પરિપાલન કર્યું, પણ મારું મન સતત આલંબનથી પર થઈ વિચારે છે અને વારે વારે થયા કરે છે કે હું મારા મૂળ સ્વરૂપમાં રહું. આમ છતાં આલંબન છોડતો નથી. આ રીતે મારી રીતમાં બંને રીતોનો સમન્વય છે.

મારો એક ગુણ છે, જેને દોષ પણ ગણી શકાય. હું કોઈ વ્યક્તિને આગ્રહથી કોઈ આદેશ નથી આપતો. તેનાથી કામમાં ક્યારેક મોડું થાય છે. પણ થાય છે ત્યારે બરાબર થાય છે, બગડતું નથી. એટલું જ નહીં, હું જે કંઈ કરું છું તેનું દબાણ પણ કોઈ ઉપર આવે તેમ નથી ઇચ્છતો. મારી પાસે અનેક શ્રેષ્ઠ વિચાર છે, પરંતુ તેમાં સૌથી શ્રેષ્ઠ વિચાર એ જ છે કે મારા વિચારનું કોઈના પર આક્રમણ ન થાઓ. એટલે વિચાર પસંદ ન પડે છતાં કોઈ માની લે છે, તો મને દુ:ખ થશે. પણ વિચાર પસંદ પડી ગયા છતાં જો કોઈ તેને આચરણમાં નથી ઉતારતો તો હું આશા રાખું છું કે આજ નહીં તો કાલે અવશ્ય ઉતારશે.

મારા પર પરમેશ્વરની મોટી કૃપા છે કે ગેરસમજને કારણે લોકો તરફથી થોપવામાં આવેલા આક્ષેપો વગેરેની કોઈ અસર મારા ચિત્ત પર નથી થતી. ઈશ્વર જેમ નચાવે તેમ નાચું છું. કામ મારું નથી, તેનું છે. એ મને ઘુમાવી રહ્યો છે, તેથી ઘૂમી રહ્યો છું. હું આથી વધારે પ્રચારની ચિંતા નથી કરતો. પ્રકાશના પ્રચારની જેમ જ વિચારનો પ્રચાર આકાશમાંથી થાય છે. એમ બને કે પ્રકાશ-પ્રચારને ભલે આસમાન રોકી પાડે, પરંતુ વિચારના પ્રચારને એ પણ રોકી ન શકે. તેથી વિચાર ઉપર મારી શ્રદ્ધા છે, અને હું નિર્ભય થઈને કામ કરું છું.

હું પુણ્યની નહીં, સેવાની મહેચ્છા ધરાવું છું. હું માત્ર સેવા જ ઝંખું છું. અને એ સેવા પણ મારા નામે જમા ન થાય એવું ઇચ્છું છું, કારણ કે એ સહજપ્રાપ્ત સેવા છે. વળી વર્તમાન પરિસ્થિતિ અને કાળને અનુકૂળ છે. મતલબ કે, એ કાળનો તકાદો છે અને કાળ જ મારી પાસે એ કરાવી રહ્યો છે. આ જ એનું સ્વરૂપ છે. એનું શ્રેય મને નહીં મળે. કોઈ એક તણખલું ગંગોત્રીની ગંગામાં પડ્યું અને પંદરસો માઈલ તણાઈને સાગરમાં પહોંચી ગયું, તો એ તણખલાને તરવાનું શ્રેય નહીં મળે. કારણ કે એ તો પ્રવાહમાં તણાતું ગયું. જો એ પ્રવાહની વિરોધી દિશામાં ચાર હાથ જેટલું પણ તરતું ગયું હોત, તો એટલા ચાર હાથ તરવાનું શ્રેય એને મળત. પરંતુ પંદરસો માઈલ વહેવા છતાં તરવાનો યશ એને ન મળ્યો. આવી જ રીતે, મેં જે સેવા ઉઠાવી છે તે પ્રવાહથી ઊલટી દિશામાં હોત અને એવી સેવા મારા હાથે થોડી પણ થાત, તો પણ એનું શ્રેય મને મળત. પરંતુ હું જે કરી રહ્યો છું, તે પ્રવાહની દિશામાં છે, કાળનો એ તકાદો છે, એટલે એ મારા નામે નહીં ચઢે.

મને એવું ક્યારે ય નથી લાગ્યું કે હું જે ઉદ્દેશ્ય લઈને નીકળ્યો છું, તેની પૂર્તિ કરવાની પૂરી જવાબદારી મારા ઉપર જ છે. આની પૂરી જવાબદારી આપણા બધાં ઉપર છે. આ ભગવાનનું કામ છે. મને દૃઢ વિશ્વાસ છે કે આ થઈને જ રહેશે. સત્યનો વિરોધ કોઈ ન કરી શકે. સત્ય ગ્રહણ કરવામાં સમય લાગી શકે છે. પણ સત્યને ટાળી નથી શકાતું. સત્યનો વિરોધ કરનારી શક્તિ સંસારમાં ટકી નથી શકતી, તેથી હું નિ:સંશય અને નિર્ભય થઈને મારા વિચારો જનતા સામે રજૂ કરું છું અને રાત્રે ભગવાનના ખોળામાં નિ:સ્વપ્ન નિદ્રા લીધા કરું છું. પુનર્જન્મની જેમ બીજો દિવસ ઊગે છે અને હું મારા કામમાં લાગી જાઉં છું.

હું ઘણી વાર વિનોદમાં કહું છું કે મારું મોં અરીસામાં જોવાનો મને ખાસ મોકો મળતો નથી. એની જરૂર પણ નથી. પરંતુ સામે જે ભાતભાતના ચહેરા છે, તે બધા વૈવિધ્યથી શોભતો હું જ મને જોઈ રહ્યો છું. મારી યાત્રામાં મને આ બાબતમાં એકધારો અનુભવ થતો રહ્યો છે. જે પ્રદેશોમાં લોકો મારી ભાષા સમજતા નહોતા, જ્યાં મારાં ભાષણોના ભાતભાતના અનુવાદો સાંભળવા પડતા હતા, ત્યાં પણ મને આત્મ-સાક્ષાત્કારનો જ અનુભવ થયો; એનું પ્રમાણ આ જ હતું કે લોકોને પણ આવું જ લાગ્યું. હું જ્યાં જ્યાં ગયો, દરેક ઠેકાણે લોકોએ મને બીજા પ્રદેશનો ક્યારે ય ન માન્યો. ઊલટું, મને તો એવો જ અનુભવ થયો કે મહારાષ્ટ્રના લોકો મને જેટલી આત્મીયતાપૂર્વક ચાહે છે તેટલી જ આત્મીયતા-પૂર્વક બધા પ્રદેશોના લોકો મને ચાહે છે.

મારી સામે લોકો બેઠેલા હોય છે તે કોઈ માણસોની મૂર્તિ છે એવું હું નથી માનતો. બલ્કે મને લાગે છે કે જે રામજી મારા અંતરમાં રહે છે તે મારા માટે આટઆટલાં વિવિધ રૂપ ધારણ કરીને સામે બેઠા છે. મારા નાનપણનું સંભારણું છે. રામનવમીના દિવસે મારી મા બપોરે બાર વાગ્યે ‘રામજીનો જન્મ થઈ રહ્યો છે’ એવા ખ્યાલ સાથે ધ્યાન ધરવા બેસી જતી. ત્યારે એની આંખોમાંથી આંસુની ધારા વહેતી. હું ક્યારેક રમૂજમાં પૂછતો – “આજે રામજીનો જન્મ કેવી રીતે થયો ? ક્યાંય દેખા તા તો નથી.” એ કહેતી, “બેટા દેખાશે, તને પણ દેખાશે.” આજે મને કહેવામાં ભારે ખુશી થાય છે કે એના આશીર્વાદે હું સગી આંખે રામજીને જોઈ રહ્યો છું. રામનવમીના દિવસે તો જોઉં જ છું. ઉપરાંત ઘણી વાર જોઉં છું. ભાગ્યે જ કોઈ દિવસ એવો ખાલી જતો હશે, જ્યારે એ ન દેખાતા હોય. યાત્રામાં તો રામજીનાં દર્શન મારી આંખો સામે રોજ કરું છું.

મારી આ ભૂદાનયાત્રા ચાલી શકે એવી કોઈ તાકાત હું મારી અંદર જોતો નથી. હું ઈશ્વર સિવાય બીજા કોઈ વાતાવરણમાં રહેતો નથી. મારામાં એટલી શક્તિ નહોતી કે આખા દેશમાં ભમીને હું લાખો એકર જમીન માગું અને લોકો મને એ આપે. મારી પાસે ન કોઈ સંસ્થા છે, ન કોઈ અધિકાર. પરમેશ્વરે મને ઈશારો કર્યો એટલે હું ચાલી નીકળ્યો. મારું શરીર પણ એટલું મજબૂત નથી. ભગવાનના ઈશારે જ હું નીકળી પડ્યો છું અને ચાલી રહ્યો છું. સાથોસાથ નાચી પણ રહ્યો છું. નહીંતર મારામાં એટલી શક્તિ ક્યાં છે જ તે !

મારું મન હરહંમેશ સ્થળ-કાળ વગેરેનું ચિંતન કરે છે. મારા મન પર સ્થળ કાળનો પ્રભાવ પડે છે. ભગવાનની એટલી કૃપા છે કે મારા મન પર સારી અસર જ થાય છે. કોઈ પણ નિમિત્તે મને ભગવાન યાદ આવી જાય છે. પંઢરપુરના મંદિરમાં ગયો તો ત્યાં પથ્થરની વિઠ્ઠલમૂર્તિ જોઈ. પરંતુ મારી આંખને પથ્થર દેખાતો જ નહોતો. મને ત્યાં સાક્ષાત્ ભગવદ્ રૂપ દેખાયું. એ તો એક નિમિત્ત હતું. બાકી અંદરથી તો મને પૂરો ભરોસો છે કે સર્વત્ર આ જ દર્શન છે. દુનિયામાં બીજું કોઈ દર્શન છે જ નહીં. આ મારો પૂર્ણ વિશ્વાસ છે.

દુનિયામાં એવું કોઈ પ્રાણી નથી જેના માટે મારા મનમાં પ્રેમ ન હોય. એ વાત મારું હૈયું જાણે છે. માણસનો તો કોઈ પ્રશ્ન જ નથી. પ્રેમ એટલે દ્વેષનો અભાવ જ નહીં, પ્રત્યક્ષ પ્રેમનો જ અનુભવ કરું છું. કેટલાકના તો ચહેરા જોઈને મારે મારાં આંસુ ખાળવાં પડે છે. જ્યારે એ બોલે છે ત્યારે મને ભગવાનનાં દર્શન થાય છે, એનો ચહેરો બદલાઈ જાય છે ત્યારે પણ મને ભગવાનનો જ ભાસ થાય છે અને ફરી પાછાં આંસુને રોકવાં પડે છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર” : 16 સપ્ટેમ્બર 2024; પૃ. 01-03

Loading

માણસ આજે (૩ અને ૪)

સુમન શાહ|Opinion - Opinion|4 October 2024

માણસ આજે (૩)

આ પહેલાના લેખમાં મેં કહ્યું હતું કે અનુ-માનવવાદને સમજવા માટે એની તુલના માનવવાદ સાથે પણ કરવી જોઈએ. 

એ સંદર્ભમાં, Toni Ruuska અને Pasi Heikkurinen-એ આપેલા બીજા કોઠા અનુસાર, કહી શકાય કે  મનુષ્ય અન્ય જીવો કરતાં નિરપવાદપણે ચડિયાતો છે એ માન્યતાને વિવિધ પ્રકારે (ડિફરન્ટ વૅરિયન્ટ્સ અનુસાર) સમજી શકાય છે. 

ઑન્ટોલૉજિ – સત્ વિદ્યા :  આ વૅરિયન્ટ અનુસાર, એમ કહેવાશે કે અન્ય જીવોનો આધાર મનુષ્યો છે. જો માણસનું અસ્તિત્વ ન હોત તો અન્ય જીવોનું પણ ન હોત. આ વાત સત્-વિદ્યાએ આપેલા, એક-સમાવિતા (ઑન્ટોલૉજિકલ ઍક્સક્લુસિવિટી) વિચારને અધીન છે, જે સૂચવે છે કે ખરું અસ્તિત્વ ધરાવનાર માત્ર મનુષ્ય જ છે.

ઍપિસ્ટીમોલૉજિ – જ્ઞાનમીમાંસા : આ વૅરિયન્ટ અનુસાર, એમ કહેવાશે કે વિશ્વનું મૂલ્યાંકન કરવાનું સામર્થ્ય તેમ જ નિર્ણયો કરવાની ક્ષમતા માત્ર મનુષ્યો અથવા કેટલાક મનુષ્યો જ ધરાવે છે. આ વાત,  જ્ઞાનમીમાંસાએ આપેલા, જ્ઞાનઅભિમાન (ઍપિસ્ટીમિક સુપિરિયોરિટી) વિચારને અધીન છે, જે સૂચવે છે કે જ્ઞાનનું ઉચ્ચ સ્તર અને સમજદારી મનુષ્યો જ ધરાવે છે, નહીં કે અન્ય જીવો.  

મૉરલ – નીતિમત્તા :  આ વૅરિયન્ટ અનુસાર, એમ કહેવાશે કે માત્ર માણસો અથવા કેટલાક માણસો જ નૈતિક મૂલ્યો ધરાવે છે.

એજેન્શ્યલ – કર્તૃપરક : આ વૅરિયન્ટ અનુસાર, એમ કહેવાશે કે પૃથ્વી પર માત્ર માનવજાતિ જ કર્તૃત્વબુદ્ધિ ધરાવે છે. માત્ર મનુષ્યો જ અથવા કેટલાક મનુષ્યો જ કાર્યક્ષમતા કે પસંદગીઓ કરવાની ક્ષમતા ધરાવે છે.  આ વાત,  કર્તૃપરક એક-સમાવિતા (એજેન્ટિક ઍક્સક્લુસિવિટી) વિચારને અધીન છે, જે એમ સૂચવે છે કે મનુષ્યો જ કર્તધર્તા છે, અન્ય જીવો ક્ષમતા વિનાના છે. 

સ્પાસિયલ –સ્થળપરક : આ વૅરિયન્ટ અનુસાર,  એમ કહેવાશે કે પૃથ્વીસ્થળ માત્રમનુષ્યો માટે છે. એક-સમાવિતા, સર્વોપરિતા, અને સાધનત્વ જેવા વિચારો પર આધારિત છે, જે સૂચવે છે કે પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે પૃથ્વીના ભોગવટાનો અધિકાર મનુષ્યોનો છે, બીજા જીવો મનુષ્યોના હેતુઓની સિદ્ધિનાં માત્રઉપકરણો કે સાધનો છે.  

(ક્રમશ:)
(02Oct24:USA)
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

માણસ આજે (૪)  

અનુ-માનવવાદ, હાઇબ્રિડિટી અને સાયબોર્ગ કલ્ચર મનુષ્યત્વના પરમ્પરાગત ખયાલોને પડકારે છે, અને ટૅક્નોલોજિના આ યુગમાં મનુષ્યની શી અવસ્થા હશે, એ સમજવા માટેની નવ્ય રીતો પ્રસ્તુત કરે છે. 

એ સંદર્ભમાં, હાઇબ્રિડિટી અને સાયબોર્ગ કલ્ચર, બન્ને વિભાવનાઓ અતિ મહત્ત્વની છે. 

એ સૂચવે છે કે મનુષ્યનું મનુષ્યત્વ બદલાઇ રહ્યું છે. દર્શાવે છે કે મનુષ્યો અને મશીનો વચ્ચેની સીમાઓનો, પ્રકૃતિ અને ટૅક્નોલૉજિ વચ્ચેની સીમાઓનો, જાણીતા પરિચયો અને એનાં નવ્ય સ્વરૂપો વચ્ચેની સીમાઓનો લોપ થઇ રહ્યો છે. 

આમ તો બન્ને વિભાવનાઓ એકબીજા સાથે સંકળાયેલી છે. પણ હાઇબ્રિડિટીને સાયબોર્ગ કલ્ચર માટે જવાબદાર ગણવામાં આવે છે. બન્નેને સમજી લઇએ :

હાઇબ્રિડિટી —

એટલે, ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ, જાતિઓ કે વંશીય પરમ્પરાઓનું સંમિશ્રણ, એ જાતની વર્ણસંકરતા.

વિવિધ મૂળતત્ત્વો – ઍલિમૅન્ટ્સ – કે ગુણોથી સંયોજાયેલા વસ્તુપદાર્થની અવસ્થાને પણ હાઇબ્રિડિટી કહેવાય. 

સંસ્કૃતિઓ વિશેનાં અધ્યયનોમાં બે કે વધુ સંસ્કૃતિઓના મિશ્રણ-વિચારમાં હાઇબ્રિડિટી જોવાય છે : જેમ કે, ભારતમાં મુખ્યત્વે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિઓ સંમિશ્રિત છે, જેને મલ્ટિકલ્ચરિઝમ કહેવાય છે. 

ટ્રાન્સજેન્ડરિઝમમાં પણ હાઇબ્રિડિટી જોવાય છે : લિન્ગભેદ ધરાવતી વ્યક્તિઓનાં જૂથો સમાજનો જ સંવિભાગ ગણાવા જોઈએ. જેમ કે, ભારતમાં તેમ સર્વત્ર LGBT વ્યક્તિઓ છે અને તેમનાં જૂથો છે, જેને ભારતીય કે તે તે સમાજનો હિસ્સો કહેવાય. 

ટ્રાન્સનેશનાલિઝમમાં પણ હાઇબ્રિડિટી જોવાય છે : રાષ્ટ્રીય સીમાઓ વચ્ચે વિભિન્ન પ્રજાઓ પોતપોતાની સંસ્કૃતિઓની રખેવાળી કરતાં કરતાં જીવતી હોય છે. સ્વદેશ છોડવાની ફરજ પડી હોય એ ખરા ડાયસ્પોરા લોકો, સ્વેચ્છાએ સ્વદેશ છોડી વિદેશે વસેલા લોકો, ઇમ્મિગ્રાન્ટ્સ અને નેટિવ્ઝ, સૌ વચ્ચે એક ખાસ સ્વરૂપની ઇન્ટરકનેક્ટેડનેસ પ્રગટી હોય છે. 

સાયબોર્ગ કલ્ચર —

એક સાંસ્કૃતિક મૂવમૅન્ટ છે. એમાં સૂચવાય છે કે મનુષ્યો કશી જુદી કે વ્યાવર્તક હસ્તીઓ નથી, તેઓ અન્ય જીવો તેમ જ ટૅક્નોલૉજિ સાથે સંકળાયેલા છે. સાયબોર્ગ કલ્ચર હાઇબ્રિડિટીનો જ આવિષ્કાર ગણાય, કેમ કે એ મનુષ્યો અને મશીન-તત્ત્વોના સંમિશ્રણની વાત માડે છે, એટલું જ નહીં, સૂચવે છે કે ભવિષ્યમાં માણસ અને મશીનને જુદાં પાડી શકાશે નહીં. આ મૂવમૅન્ટમાં જીવન્ત મનુષ્ય અને નિર્જીવ મશીન ભેગાં થવાથી સરજાતી પરિસ્થિઓનું નિરીક્ષણ અને પરીક્ષણ હાથ ધરાય છે. એમાં કુદરતી અને કૃત્રિમ બુદ્ધિ વચ્ચેની સીમાઓને પણ લક્ષમાં લેવાય છે.

અનુ-માનવવાદમાં પરમ્પરાગત માનવવાદની સમીક્ષા થતી હોય છે. પરન્તુ, ખાસ તો એ કે ટૅક્નોલૉજિની મદદથી માનવીય મર્યાદાઓને કેવી રીતે વટી જવાય, તેનો વિચાર થાય છે. અનુ-માનવવાદ એ દર્શાવે છે કે મનુષ્ય વિશેનો પરમ્પરાગત ખયાલ કાલગ્રસ્ત છે. સત – બીઇન્ગ – અને ચેતનાનાં નવાં સ્વરૂપો તેમ જ માણસોના જાણીતા પરિચયો કે ઓળખોને સ્થાને તેમનાં નવ્ય રૂપો પ્રગટી રહ્યાં છે. એ રૂપોના પ્રકારો છે, ટ્રાન્સહ્યુમનિસ્ટ, પોસ્ટ-હ્યુમેનિસ્ટ, હાઇબ્રિડ, કે ડિજિટલ.

ડિજિટલ આઇડેન્ટિટીની રક્ષા કરનાર સુરક્ષક —

હાલ, ડિજિટલ આઈડેન્ટિટીઝના પ્રકારને સમજીએ એટલું પૂરતું છે. ડિજિટલ ટૅક્નોલૉજિને કારણે તેમ જ ઑનલાઇન ક્રિયાપ્રતિક્રિયાથી એ રૂપો પ્રગટે છે. એ રૂપો વ્યક્તિની શારીરિક ઓળખથી તદ્દન જુદાં હોય છે. એટલું જ નહીં, સંભવ છે કે તેમાં બીજી વ્યક્તિઓ, અવતારો, કે ઑનલાઇન કૉમ્યુનિટીઝ સંડોવાયાં હોય. 

જેમ કે, જાણીતું છે કે મારી ઓળખ કે મારો પરિચય એટલે મારી વ્યક્તિમત્તા, દેખાવ, મારો ધર્મ કે મેં સ્વીકારેલાં જીવનમૂલ્યો. પણ મારી ડિજિટલ આઇડેન્ટિટી એટલે ઑનલાઇન ઉપલબ્ધ મારો પર્સનલ ડેટા – નામ, સરનામું, જન્મતારીખ. પછી, જે છે તે હું જ છું એ ઓળખની ખાતરી – વૅરિફિકેશન. પછી, ઑથેન્ટિફિકેશ, એટલે કે એ ખાતરી હું જે સાધનથી કરાવીશ તે અને તેની પ્રક્રિયા. 

ડિજિટલ આઈડેન્ટિટીની રક્ષા કરનારા સુરક્ષકો પણ હવે ઉપલબ્ધ છે. 

(ક્રમશ:)
(3Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

राहुल गाँधी की अमरीका में टिप्पणियां: सच या दुर्भावना

राम पुनियानी|Opinion - Opinion|4 October 2024

राम पुनियानी

अमरीका की अपनी हालिया यात्रा के दौरान राहुल गांधी (आरजी) ने लोगों के साथ कई बार बातचीत की. ऐसी ही एक बैठक के दौरान उन्होंने दर्शकों के बीच बैठे एक सिक्ख से उसका नाम पूछा. वे भारतीय राजनीति के दो ध्रुवों की चर्चा कर रहे थे और भारत में संकीर्ण कट्टरपंथी राजनीति के ज्यादा प्रबल और आक्रामक होने की ओर बात कह रहे थे. उन्होंने उन सज्जन की ओर मुखातिब होते हुए कहा कि भारत में “संघर्ष इस मुद्दे पर है कि उन्हें सिक्ख होने के नाते, पगड़ी पहनने दी जाएगी या नहीं, या कड़ा पहनने की इजाजत होगी या नहीं. या वे एक सिक्ख के रूप में गुरूद्वारे जा पाएंगे या नहीं. लड़ाई इसी बात की है. और यह मुद्दा सिर्फ उन तक सीमित नहीं है, बल्कि सभी धर्मों के लिए प्रासंगिक है.”

यह स्पष्ट है कि सिक्खों का उदाहरण दिया जाना केवल एक संयोग था और उनका इशारा भारत में अल्पसंख्यकों को आतंकित करने की व्यापक प्रवृत्ति की ओर था. भाजपा के कुछ सिक्ख और अन्य नेताओं ने आरजी पर हमला किया और हमेशा की तरह उन पर राष्ट्रविरोधी, विभाजक होने सहित कई अन्य आरोप लगाए. इन आलोचनाओं में सांस्कृतिक अधिकारों और समाज के भिन्न-भिन्न तबकों के भिन्न आचार-व्यवहार के मुद्दे की जानबूझकर उपेक्षा की गई. इस अवसर का उपयोग भाजपा ने एक बार फिर आरजी पर हमला करने के लिए किया. वे पहले भी भाजपा के निशाने पर रह चुके हैं.

आरजी ने एक ट्वीट कर अपने सपनों के भारत की अवधारणा को स्पष्ट किया “हमेशा की तरह भाजपा झूठ का सहारा ले रही है. वे मुझे चुप कराना चाहते हैं क्योंकि वे सच्चाई का सामना नहीं कर सकते. मैं हमेशा भारत को परिभाषित करने वाले मूल्यों के पक्ष में बोलता रहूंगा – अनेकता में एकता, समानता और आपसी प्रेम.”

आरजी की भावनाओं से बेखबर केबिनेट मंत्री हरदीप सिंह पुरी ने इंडियन एक्सप्रेस में प्रकाशित एक लेख में लिखा कि सिक्खों को सिर्फ 1980 के दशक के दौरान समस्याओं का सामना करना पड़ा. उनका इशार देश के कई हिस्सों, विशेषकर दिल्ली में हुए सिक्खों के नरसंहार की ओर था. उन्होंने आरजी के नजरिए को मोहम्मद अली जिन्ना जैसा बताया, जो देश का विभाजन करवाने पर तुले हुए थे. उन्होंने इस बारे में कुछ नहीं कहा कि भाजपा सरकार ने किसानों, जिनमें से बहुत से सिक्ख थे, की मांगों की कई महीनों तक पूरी तरह उपेक्षा की और उसके बाद ही किसान विरोधी कानूनों का वापिस लिया. उस दौरान हुए व्यापक विरोध में भाग लेने वाले सिक्खों को खालिस्तानी बताया गया था.

जहां तक 1984 के नरसंहार का सवाल है, उसके दोषियों को कभी माफ नहीं किया जा सकता. भारतीय राष्ट्रीय कांग्रेस के मनमोहन सिंह, जो एक दशक तक प्रधानमंत्री रहे, ने इसके लिए क्षमाचायना की थी और हमारी अपेक्षा है कि हिंसा के दोषियों के विरूद्ध शीघ्रातिशीघ्र उचित कानूनी कार्यवाही की जाएगी. 1984 के अपराधियों को कई दशकों तक दंडित न किया जाना अत्यंत निंदनीय है.

इस तथ्य की ओर ध्यान नहीं दिया जाता कि आरएसएस-भाजपा इस नरसंहार के दौरान सिक्खों के बचाव के लिए आगे नहीं आए. बल्कि, इसके विपरीत, शमसुल इस्लाम, जो भारत में कट्टरपंथ के जोर पकड़ने के विषय के प्रमुख अध्येताओं में से एक हैं, दावा करते हैं कि आरएसएस ने भी इस भयावह नरसंहार में भागीदारी की. “इस आपराधिक मिलीभगत का महत्वपूर्ण प्रमाण आरएसएस के एक प्रमुख विचारक स्वर्गीय नानाजी देशमुख  द्वारा 8 नवंबर 1984 को जारी किया गया ‘अंतरात्मा की खोज का समय’ शीर्षक वाला एक दस्तावेज है (जिसे जार्ज फर्नाडीज द्वारा संपादित हिंदी पत्रिका प्रतिपक्ष में प्रकाशित किया गया था). इससे उन कई अपराधियों के चेहरों पर से नकाब हटाने में मदद मिल सकती है जिन्होंने बेकसूर सिक्खों के कत्ल किए और उनके साथ दुष्कर्म किया, जिनका इंदिरा गांधी की हत्या से कोई लेनादेना नहीं था. इस दस्तावेज से इस बारे में भी जानकारी मिल सकती है कि वे स्वयंसेवक कहां से आए थे, जिन्होंने योजनाबद्ध ढंग से सिक्खों की हत्याएं कीं. नानाजी देशमुख इस दस्तावेज में 1984 में सिक्खों के नरसंहार तो सही ठहराते नज़र आते हैं.”

आरजी की आलोचना से जुड़ा एक मुद्दा और है. कई सिक्ख समूह इसे सिक्ख पहचान को मान्यता देने के स्वागत योग्य कदम की तरह देख रहे हैं. पूर्व आरएसएस प्रमुख के. सुदर्शन ने एक वक्तव्य में कहा था कि सिक्ख धर्म वास्तव में हिंदू धर्म का एक पंथ (सम्प्रदाय) है और खालसा की स्थापना हिंदुओं की इस्लाम से रक्षा करने के लिए की गई थी. 2019 में मोहन भागवत ने कहा था कि भारत एक हिंदू राष्ट्र है. इन दोनों वक्तव्यों के विरूद्ध कड़ी प्रतिक्रिया हुई थी. इन वक्तव्यों से आरएसएस की मानसिकता भी पता चलती है. हम जानते हैं कि सिक्ख मात्र एक पंथ नहीं है बल्कि एक धर्म है; जिसकी स्थापना गुरू नानक देवजी ने की थी. उन्होंने कहा था न हम हिंदू न हम मुसलमान.

पंजाब ट्रिब्यून और नवा जमाना जैसे प्रमुख पंजाबी समाचारपत्रों ने अपने संपादकीय में भागवत के वक्तव्य की कड़ी आलोचना की. वहीं शिरोमणि गुरूद्वारा प्रबधंक कमेटी (एसजीपीसी) और शिरोमणि अकाली दल (एसएडी), जो एनडीए का हिस्सा है, और भाजपा का सहयोगी दल रह चुका है, ने भी भागवत के वक्तव्य पर कड़ी प्रतिक्रिया की.

अकाल तख्त के कार्यवाहक जत्थेदार ज्ञानी हरप्रीत सिंह ने कहा कि उनका मानना है कि आरएसएस की इन हरकतों से देश में फूट पड़ेगी. “आरएसएस नेताओं के वक्तव्य देश के हित में नहीं हैं,” उन्होंने लिखा.

सिक्ख धर्म के हिंदू धर्म का हिस्सा होने के दावों का खंडन केहन सिंह की पुस्तक “हम हिंदू नहीं” में किया गया है. यदि हम सिक्खों की परंपराओं पर ध्यान दें, तो उनमें सांप्रदायिक मेलजोल नजर आता है. स्वर्ण मंदिर की नींव मियां मीर ने रखी थी. सिक्ख धर्म बाबा फरीद और अन्य सूफी संतों का सम्मान करता है और साथ ही भक्ति संतों जैसे कबीर और रैदास का भी. सिक्खों में गुरू का दर्जा रखने वाले गुरूग्रन्थ साहिब में सिक्ख गुरूओं की वाणी के साथ-साथ सूफी और भक्ति संतों को भी स्थान दिया गया है. उसका मुख्य विचार और लक्ष्य है मौलानाओं और ब्राम्हणवादी शिक्षाओं द्वारा लादी लिंग और जाति संबंधी गैरबराबरी को दूर करना.

भारतीय उपमहाद्वीप में जन्में धर्मो बौद्ध, जैन और सिक्ख सभी मानव जाति में बराबरी की वकालत करते हैं और एक तरह से जाति व लिंग संबंधी पदक्रम से दूरी बनाते हैं. कई सिक्ख नेता मात्र सत्ता की खातिर भाजपा में शामिल होने का प्रयास करते हैं, और उनका ध्यान सिक्खवाद के मानवीय मूल्यों और ब्राम्हणवादी रूढ़िवाद के बीच के विरोधाभास की ओर नहीं जाता. जैसा अम्बेडकर ने कहा कि ब्राम्हणवाद हिंदुत्व का सबसे महत्वपूर्ण हिस्सा है. इसी के चलते उन्होंने हिंदू धर्म छोड़कर बौद्ध धर्म स्वीकार किया.

सिक्ख धर्म भारतीय इतिहास के तथाकथित मुस्लिम काल में फला-फूला. कई सिक्ख संगठनों की कड़ी प्रतिक्रिया के बाद अब आरएसएस  सिक्ख धर्म को एक स्वतंत्र धर्म के रूप में स्वीकार करने लगा है. आरजी का वक्तव्य कहीं से भी विभाजनकारी नहीं है और भारतीय संविधान के मूल्यों का प्रतिनिधित्व करता है.

10 अक्टूबर  2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

...102030...497498499500...510520530...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved