Opinion Magazine
Number of visits: 9557625
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હરિયાણાના પરિણામે ભાગવતનું ભાષણ મોદી ભા.જ.પ. પરત્વે અણધાર્યું નરમ પડ્યું 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 October 2024

વિજયાદશમી સંબોધન

સોમું વરસ આત્મખોજનો પડકાર લઈને આવે છે : ક્યાં વિવેકાનંદ, અરવિંદ, ગાંધીનો પ્રબોધેલ ધર્મ – અને ક્યાં તમારો કથિત રાષ્ટ્રવાદ? વિચારો, ફતેહની લાયમાં, ક્યા ખોયા, ક્યા પાયા?

પ્રકાશ ન. શાહ

સરસંઘચાલક મોહન ભાગવતનું વિજ્યાદશમી સંબોધન સંઘ પરિવાર સમગ્રને સારુ તો મહત્ત્વનું હોય જ, પણ છેલ્લા દસકામાં એને એક તરેહના રાષ્ટ્રજોગ સંબોધનનો દરજ્જો મળ્યો હોય તો એ સમજી શકાય એવું છે – કારણ, કેન્દ્રમાં સત્તાસ્થાને વિરાજતા પક્ષની એ માતૃપિતૃભ્રાતૃ સંસ્થા છે. એમાં પણ 2024ના વિજયાદશમી પર્વનો વળી એક વિશેષ ને વિશિષ્ટ સંદર્ભ છે – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સોમાં વરસમાં પ્રવેશે છે, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી પારી પૂર્વે નહીં એવા સવાલિયા દાયરામાં છે.

અપેક્ષા, આમ તો, કંઈક આકરા ને સોંસરા સંબોધનની હતી. મોદી ભા.જ.પ. દુર્જેય હોવાની છાપ જૂન 2024નાં લોકસભા પરિણામો સાથે પાછી પડી છે. ક્યારેક સરસંઘચાલક સુદર્શને વાયજેપી – અડવાણીને વયનિવૃત્તિનું નિષ્ફળ પણ સૂચન કર્યું હતું તેમ હવે વર્તમાન સરસંઘચાલક કોઈ નિર્ણાયક નેતૃત્વપલટાનો સંકેત આપે તેવી અપેક્ષા ઓક્ટોબર બેસતે હતી. પણ હરિયાણાની કથિત ફતેહ પછી તત્કાળ એવી કોઈ કારવાઈનો સંકેત આપવાનું સલાહભર્યું નહીં જણાયું હોય એમ લાગે છે.

જો કે, ભાગવતે જે પરિપ્રેક્ષ્યમાં વાત મૂકી તેમાં ચોક્કસ જ અર્થભાર વરતાય છે એમ તમે કહી શકો. એમણે એક પા એમ કહ્યું કે વિશ્વ સ્તરે ભારતની આભા ને પ્રતિભા સતત ઉચકાતી રહી છે, પણ બીજી પા એમણે તરત જ ઉમેર્યું કે ભારત જાણે કે ઘેરાબંધીનો ભોગ બન્યું છે અને આપણા શાસન તેમ જ સમાજને કંઈક અસ્થિર ને અરાજક પરિસ્થિતિમાં હડસેલતાં પરિબળો કામ કરી રહ્યા છે. વિગતે ચર્ચામાં નહીં જતાં અહીં એટલી જ એક ટિપ્પણી કદાચ બસ થશે કે બંને વિધાનો સાથે મૂકીને વાંચતાં સાંભળતાં વર્તમાન શાસન પરત્વે ટીકાભાવ સોડાય છે. બને કે મહારાષ્ટ્રના પરિણામની તરાહ અને તાસીર કેવીક ઊઘડે છે તે જોયા પછી ભાગવત વધુ ખૂલીને બોલવું પસંદ કરે છે.

વડા પ્રધાને ‘એક્સ’ પર ભાગવતના સંબોધનને ‘મસ્ટ લિસન’ કહ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીની પ્રગતિમાં સંઘના ફાળાની સાભાર નોંધ લીધી હતી. લોકસભાની કસર હરિયાણામાં કંઈક પુરાઈ હોય તો એનું કારણ ભા.જ.પ. તરફે સંઘ સ્વયંસેવકોની સક્રિય સંડોવણીનું હતું એ જોતાં આ નોંધ – ખાસ તો ‘અમે પુખ્ત થઈ ગયા છીએ. હવે સંઘના ટેકાની પૂર્વત જરૂર નથી’ એવી જાઉં જાઉં પ્રમુખ નડ્ડાની લોકસભા ચૂંટણી વખતની શેખી જોતાં – જરૂરી પણ હતી.

ભાગવતને દેશના જાહેરજીવન અને સમાજજીવનની સ્થિરતા અને ગતિ સંદર્ભ ત્રણ ભયસ્થાનો જણાય છેઃ એક તો, ડીપ સ્ટેટ અર્થાત્ જાડી રીતે કહેતાં રાજ્યમાં રાજ્ય જેવી સ્થિતિ, બીજું, સાંસ્કૃતિક માર્ક્સવાદ. ત્રીજું, વોકિઝમ – મૂલ્યોને નામે અંતિમવાદી વલણ. આ ત્રણે વાનાં ઊંડી તપાસ અને સઘન ચર્ચા માંગી લે છે. વિચારાંગ અને આચારાંગની રીતે સંઘ પોતે (જ્યારે ભા.જ.પે.તર શાસન હોય ત્યારે પણ) ‘રાજ્યમાં રાજ્ય’ની સ્થિતિ નથી ઇચ્છતો?  ગોરક્ષા જેવા મૂલ્યને નામે લિન્ચિંગને નથી સ્વીકારી લેતો? સાંસ્કૃતિક માર્ક્સવાદ નહીં તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પરબીડિયામાં એની વહેવારપેરવી શું રહી છે? મતલબ, એમણે વર્ણવેલાં ભયસ્થાનો બેઉ છેડેથી તપાસ લાયક હોઈ શકે છે. સંઘ સામેની ટીકાઓની જેમ સામેવાળાનીયે ટીકાઓ, એ કે અસ્થાને નથી.

અલગ અલગ સ્વતંત્ર નોંધલાયક મુદ્દાઓનો નિર્દેશ માત્ર કરી અહીં જે એક બુનિયાદી વાત અધોરેખિતપણે કરવી રહે છે તે તો એ કે સોમું વરસ ખુદ સંઘને પક્ષે આત્મખોજની અનિવાર્યતા લઈને આવે છે. હેડગેવાર – ગોળવલકરને પોતાના સમયમાં જે પણ ઠીક લાગ્યું હોય, પણ સંઘની બંધ દુનિયા જે.પી. આંદોલનના સંસ્પર્શે ઊઘડવાની શક્યતા ઊભી થઈ એ નવી જ વાત હતી. આંદોલનના આગલા દસકામાં દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવવાદની જે વાત મૂકી તે ગોળવલકરના ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ને લાંધી જતી હતી. વસ્તુતઃ નવઉઘાડની આ બેઉ શક્યતાઓ રામજન્મભૂમિ આંદોલનની દેખીતી ફતેહ વચ્ચે વિલાઈ ગઈ. મંદિર-મસ્જિદ બાબતે ‘રુલ ઓફ લો’ની રીતે જે થયું ન થયું તે, પણ ધર્મ કહેતાં વિવેકાનંદ, અરવિંદ, ગાંધી જે સમજતા હતા તે કસોટીએ તમારો રાષ્ટ્રવાદ ક્યાં છે એ તો તપાસો, ભાઈ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 17 ઑક્ટોબર 2024

Loading

પોલીસ કાયદા / નિયમો / માણસાઈ મુજબ નહીં, પણ સત્તાપક્ષના નેતાના મુખદર્શન કરીને કામ કરે છે !

રમેશ સવાણી|Opinion - Opinion|17 October 2024

આપણા પોલીસતંત્રનુ ચરિત્ર કેવું છે એની એક ઘટના સમજવા જેવી છે.  ગુજરાતમાં SC-ST લોકોને ન્યાય મળે / શોષણ ન થાય / ગૌરવ સાથે જીવી શકે તે માટે Additional Director General of Policeની જગ્યા ઊભી કરવામાં આવી છે. આ ADGP (SC-ST) ગાંધીનગર પોલીસ ભવનમાં બેસે છે. હાલ આ હોદ્દા પર IPS અધિકારી રાજકુમાર પાંડિયન છે.

જિજ્ઞેશ મેવાણી

જિગ્નેશ મેવાણી ઘણાં સંઘર્ષ બાદ વડગામના ધારસભ્ય બનેલ છે. પ્રથમ અપક્ષ અને હવે કાઁગ્રેસમાં છે. તેઓ 15 ઓક્ટોબર 2024ના રોજ દલિતો ને ફાળવેલ જમીનો / પ્લોટ પર માથાભારે તત્ત્વોના કબજા બાબતે રાજકુમાર પાંડિયનને મળવા ગયા.

રાજકુમાર પાંડિયને, જિગ્નેશ મેવાણી, તેમની સાથે ગયેલ હિતેન્દ્ર પીઠડિયાના ફોન બહાર મૂકાવી દીધાં. રાજકુમાર પાંડિયને જિગ્નેશ મેવાણીને કહેલ કે “તું ધારાસભ્ય છે, છતાં ટી-શર્ટ પહેરીને આવે છે?”

જિગ્નેશ મેવાણીએ 15 ઓક્ટોબર 2024ના રોજ વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખી વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા પત્ર લખેલ છે. 

ગુજરાત પોલીસ મેન્યુઅલ 1975, પાર્ટ-1, નિયમ-354માં જોગવાઈ કરી છે કે પોલીસે લોકો સાથે કઈ રીતે વર્તન કરવું. કુલ 18 મુદ્દાઓમાં વિસ્તૃત માર્ગદર્શન આપેલ છે. નિયમ-355માં પોલીસે MLA/MP સાથે કંઈ રીતે વર્તવું તે જણાવેલ છે. પરંતુ આ મેન્યુઅલનો અમલ પોલીસ અધિકારીઓ કરતા નથી. તેઓ કાયદા મુજબ / નિયમો મુજબ / માણસાઈ મુજબ ફરજ બજાવતા નથી; પરંતુ સત્તાપક્ષના નેતાના મુખદર્શન કરીને કામ કરે છે. જે પોલીસ અધિકારી કાયદા / નિયમ મુજબ ફરજ બજાવે તેની હાલત સરકાર IPS અધિકારી સતિષ વર્મા / રજનીશ રાય જેવી કરી નાખે છે ! મોદીજીએ ગુજરાતમાં અને કેન્દ્રમાં ફરજનિષ્ઠ પોલીસ અધિકારીઓને ચાપલૂસી કરતા કરી દીધાં છે ! 

થોડાં પ્રશ્નો : 

[1] માની લો કે જિગ્નેશ મેવાણીની જગ્યાએ સત્તાપક્ષના ધારાસભ્ય રાજકુમાર પાંડિયનને મળવા ગયા હોત તો તેમની સાથે આવું વર્તન રાજકુમાર પાંડિયને કરેલ હોત? પોલીસ સત્તાપક્ષની ચાપલૂસી કરે છે અને વિપક્ષના ધારાસભ્ય સાથે તોછડાઈભર્યું વર્તન કરે છે. જો પોલીસ ધારાસભ્ય સાથે આવું વર્તન કરે તો લોકો સાથે કેવું ખરાબ વર્તન કરતા હશે? જો કે પોલીસના વર્તન બાબતે ફરિયાદ ન હોય તેવો ભાગ્યે જ કોઈ નાગરિક જોવા મળશે ! 

[2] જેને SC-ST સમુદાયના હિત માટે નિયુક્ત કરેલ છે તે અધિકારી જ દલિત ધારાસભ્યનું અપમાન કરે તો તે SC-STના લોકો પ્રત્યે કેટલો પૂર્વગ્રહ રાખતા હશે? શું સરકાર આ માટે તેમને પગાર અને સવલતો આપતી હશે? 

[3] રાજકુમાર પાંડિયન સરકારના અને ખાસ કરીને અમિત શાહના માનીતા અધિકારી છે. રાજકુમાર પાંડિયન ફેઈક એન્કાઉન્ટર કેસમાં 7 વરસ જેલમાં રહ્યા અને ટેકનિકલ કારણોસર જેલમુક્ત બન્યા; પછી તેમને મહત્ત્વના / ક્રીમ પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા તે સૂચવે છે કે તેઓ પ્રથમ સત્તાપક્ષના એજન્ટ છે, પછી પોલીસ ઓફિસર છે ! શું આ સત્ય નથી? 

[4] એક ADGP કક્ષાના અધિકારી ધારાસભ્યને તું-તારી કરે અને “તું ધારાસભ્ય છે, છતાં ટી-શર્ટ પહેરીને આવે છે?” એમ કહીને બીજાની હાજરીમાં અપમાન કરે તેને સરકાર ચલાવી લે તો માનવું કે સરકારને પણ દલિતો પ્રત્યે ભયંકર તિરસ્કાર છે. શું સરકાર ADGP રાજકુમાર પાંડિયન સામે પગલાં લેશે? 

[5] શું વિધાનસભાના અધ્યક્ષ જિગ્નેશ મેવાણીના પત્ર અન્વયે કોઈ કાર્યવાહી કરશે? કે તેઓ પણ રાજકુમાર પાંડિયનના અપમાનજનક ગેરવર્તનને મૌન સહમતી પ્રદાન કરશે?

[6] આ કિસ્સામાં ADGP રાજકુમાર પાંડિયનનો વાળ પણ વાંકો થવાનો નથી, કેમ? IPS અધિકારીને ઠપકો આપવો હોય કે નોકરીમાંથી કાઢી મૂકવા હોય તો તેની સત્તા મુખ્ય મંત્રી પાસે છે; રાજકુમાર પાંડિયન આ જાણે છે એટલે જ તેમણે કાઁગ્રેસના ધારાસભ્ય સાથે અપમાનજનક વર્તન કર્યું છે. માની લઈએ કે મુખ્ય મંત્રી, રાજકુમાર પાંડિયનને ઠપકાની સજા કરવા ઈચ્છે છે, તો પણ કેન્દ્રમાં બેઠેલા અમિત શાહ તેમના હાથ બાંધી દેશે ! કેમ કે અમિત શાહની અસલી કુંડળી રાજકુમાર પાંડિયન જાણે છે ! બસ, આ કારણે જ જેલમાં લાંબો સમય રહેવા છતાં તેમને ક્રીમ પોસ્ટિંગ મળતા રહ્યા હતા ! 

[7] ગુજરાતમાં નિવૃત્ત IPS/IAS અધિકારીઓ (SC-ST સહિત) અનેક છે; તેમાંથી કોઈ જિગ્નેશ મેવાણીની તરફેણમાં અવાજ ઊઠાવશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ખોબે ખોબે ઝાકળ

પ્રીતમ લખલાણી|Poetry|17 October 2024

રાત આખી રણની તરસ લઈ જાગીને સવારે ખોબે ખોબે ઝાકળ પીધું!

આખો ‘દી ભટકતા શમણાનાં પંખીને  આંખોમાં ઊડવા મેં ગગન દીધું!

ઝૂકેલા લીમડાને  હિંચકવા  સાદ  આપે પાંચીકા સાથે રે પાદરની ધૂળ!

દોડીને જાઉં હું તો ફળિયેથી શેરીમાં મહેંદી મૂક્યા પગમાં વાગે છે શૂળ.

હોઠોમાં સૈયરનું નામ  એક લીપટી ને કોયલનું ગાન ધરી મહેકી લીધું!

આખો ‘દી ભટકતા શમણાનાં પંખીને આંખોમાં ઊડવા મેં ગગન દીધું!

વૈસાખી વાયરિયે  ઉડેલી  ડમરીમાં  ચૂંદડી  રંગાઈ  ગઈ કાળી ડીબાંગ!

પવનની પાલખીમાં ડોલંતો ટહુકો તો ગામ ગલી ગોંદરમાં દેતો છલાંગ!

મતવાલી મેનાને વ્હાલ કરી આંખોથી ઉરે અચરજનું હું સરનામું ચિંધું!

આખો ‘દી ભટકતા શમણાનાં પંખીને આંખોમાં ઊડવા મેં ગગન દીધું!

65 Falcon Drive, west Henrietta, NY 14586 (USA)
e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...477478479480...490500510...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved