Opinion Magazine
Number of visits: 9664940
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીની અસલિયત

ચંદુ મહેરિયા|Opinion - Opinion|27 November 2024

ચંદુ મહેરિયા

જુલાઈ, ૨૦૨૨માં આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડીને વાય.એસ.આર. કાઁગ્રેસ(યુવજન શ્રમિક રાયથ કાઁગ્રેસ)ના આજીવન પ્રમુખ ઘોષિત કરવામાં આવ્યા હતા. આ બાબત લોકશાહીને હાનિકારક છે એમ કહીને ઈલેકશન કમિશને નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ બાળાસાહેબ ઠાકરેની શિવસેના અને માયાવતીની બહુજન સમાજ પાર્ટીને પણ ચૂંટણી પંચે પક્ષના સંગઠનની વરસોથી કોઈ ચૂંટણીઓ ના યોજવા બદલ ટપારી હતી.

રાજ્યોના મુખ્ય મંત્રીઓની પસંદગી ચૂંટાયેલા ધારાસભ્યોના મતદાનથી કરવાને બદલે પક્ષનું મોવડી મંડળ (ખરેખર તો વડા પ્રધાન કે સર્વોચ્ચ નેતા) કરે તે આંતરિક લોકશાહીના અભાવનું અને લોકતંત્ર વિરોધી પગલું છે. તાજેતરમાં જમ્મુ કશ્મીર વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થતાં હતાં અને તેમાં નેશનલ કોન્ફરન્સને બહુમતી મળવાની શક્યતા જોતાં જ ફારુક અબ્દુલ્લાએ ઓમર અબ્દુલા મુખ્ય મંત્રી બનશે તેમ જાહેર કરી દીધું હતું. હિમાચલ પ્રદેશમાં કાઁગ્રેસના સુખ્ખુની સી.એમ. તરીકે પસંદગી પ્રિયંકા ગાંધીની હોવાનું કહેવાય છે. તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્ય મંત્રી તરીકે નવા જ નેતાઓની પસંદગી વડા પ્રધાન અને ગૃહપ્રધાને કરી હોવાનું સ્પષ્ટ છે.

દેશના બે મોટા રાજકીય પક્ષો ભા.જ.પ. અને કાઁગ્રેસ મુખ્ય મંત્રીની પસંદગી આંતરિક લોકતંત્રથી થયાનો દેખાડો જરૂર કરે છે. કેન્દ્રિય નિરીક્ષકો રાજ્યમાં જાય છે, ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિપ્રાય જાણે છે પરંતુ ધારાસભ્યોની બેઠકમાં પક્ષના હાઈ કમાન્ડને નેતા નક્કી કરવા સત્તા આપતો એક લીટીનો ઠરાવ કરવામાં આવે છે. તેથી લોકશાહીના નામે થતી રમત જણાઈ આવે છે. પ્રાદેશિક પક્ષોમાં તો નામની ય આંતરિક લોકશાહી જોવા મળતી નથી અને રાષ્ટ્રીય પક્ષો લોકતંત્રના નામે દેખાડો કરે છે. ભારતના ડાબેરી પક્ષોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષમાં આંતરિક લોકતંત્ર જોવા મળે છે.

રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીનો મતલબ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી, પક્ષમાં અને સરકારમાં નેતૃત્વની પસંદગી, સરકાર અને સંગઠન સંબંધી નિર્ણય કરવાની પ્રક્રિયા, નીતિ નિર્માણ અને પક્ષના નેતૃત્વનું સભ્યો પ્રત્યેનું ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત કરવામાં પક્ષના તમામ કે પ્રતિનિધિરૂપ સભ્યોની સક્રિય સામેલગીરી હોવી તે છે. પરંતુ આ પ્રકારનું કોઈ આંતરિક લોકતંત્ર ભારતના રાજકીય પક્ષોમાં જોવા મળતું નથી. વળી આવું લોકતંત્ર ન હોય તો કોઈ પગલાં લઈ શકાતાં નથી. કેમ કે તે માટેની કોઈ કાયદાકીય જોગવાઈ જ નથી.

ભારતનું ચૂંટણી પંચ રાજકીય પક્ષોની નોંધણી કરે છે અને તેને માન્યતા આપે છે. રાજકીય પક્ષો ઈલેકશન કમિશન સમક્ષ રજિસ્ટ્રેશન માટે અરજી કરે ત્યારે તેમાં જણાવવું પડે છે કે પક્ષ દર પાંચ વરસે તેના હોદ્દેદારોની સ્વતંત્ર, પારદર્શી અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવશે. પક્ષના એક તૃતીયાંશથી વધુ હોદ્દા પર વગર ચૂંટણીએ વરણી કરાશે નહીં. પરંતુ હકીકતમાં આ બાંહેધરીનો ભાગ્યે જ અમલ થાય છે. પંચ રાજકીય પક્ષોને દર પાંચ વરસે સંગઠનની ચૂંટણી કરાવવા અને નેતૃત્વ પરિવર્તન કરવા યાદ કરાવતું રહે છે. પરંતુ પંચની આ વિનંતી પક્ષોને કાનૂની રીતે બાધ્યકારી નથી હોતી અને નૈતિકતા અને રાજકીય પક્ષોને તો કોઈ સંબંધ હોતો નથી. એટલે અમલના નામે મીંડુ છે.

વિશ્વના કેટલાક લોકશાહી દેશોના રાજકીય પક્ષોમાં પ્રવર્તતી આંતરિક લોકશાહીની સ્થિતિ જાણવા જેવી છે. યુનાઈટેડ કિંગ્ડમ(યુ.કે.)માં રાજકીય પક્ષોના સભ્યોની ભાગીદારી પક્ષના તમામ સ્તરે હોય છે. યુ.કેની રૂઢિવાદી પાર્ટી(કન્જર્વેટિવ પાર્ટી)એ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે પ્રાથમિક ચૂંટણી શરૂ કરી છે. તે પ્રમાણે ઉમેદવારોની સૂચિ અંતિમ નિર્ણય માટે સ્થાનિક એકમોને મોકલવામાં આવે છે. અમેરિકામાં રાજકીય પ્રતિનિધિત્વના બધા જ સ્તરે ઉમેદવારોને હરીફાઈની તક મળે છે. જર્મનીના બંધારણમાં જ રાજકીય પક્ષોના કામકાજને નિયંત્રિત કરવાની જોગવાઈ છે. તેને અનુસરીને કાયદો પણ છે.

કહેવાય છે કે લોકતંત્ર ભારતની સંસ્કૃતિ છે. ભારતીયોના સંસ્કારોમાં લોકશાહી અંતર્નિર્હિત છે. લોકશાહી તો ભારતનો વારસો છે. જો તેને સત્ય ઠેરવવું હોય તો દેશના સમગ્ર લોકતાંત્રિક તાણાવાણા માટે પોલિટિકલ પાર્ટીઓમાં આંતરિક લોકતંત્ર હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. લોકતાંત્રિક સંસ્કૃતિના પોષણ અને લોકતાંત્રિક મૂલ્યોના જતન માટે પાર્ટીઓની ભીતર લોકશાહી આવશ્યક જ નહીં અનિર્વાય છે.

ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી આંતરિક લોકશાહીથી પારદર્શી પ્રક્રિયા દ્વારા કરવાના અભાવે અસંતોષ વધે છે અને પક્ષપલટા થાય છે. નેતૃત્વ પ્રત્યેની વફાદારી અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગીનો માપદંડ રાજકીય પક્ષોમાં નવા નેતૃત્વને ઉભરવા દેતું નથી. વળી પક્ષને બદલે નેતા પ્રત્યેની વફાદારીથી પણ પક્ષ નબળો પડે છે. પૂર્વે સંસ્થા કાઁગ્રેસ કે નજીકના ભૂતકાળમાં તૃણમૂલ કાઁગ્રેસ, એન.સી.પી. અને વાય.એસ.આર. કાઁગ્રેસની રચના પાર્ટીની ભીતર સંવાદના અભાવે અને નેતાઓની મહત્ત્વાકાંક્ષાઓને કારણે જ સર્જાઈ હતી. ભીતરી લોકતંત્રના અભાવે જ પક્ષોમાં જૂથવાદ વકરે છે. આજીવન અધ્યક્ષ કે આજીવન અધ્યક્ષના જેવું વરસોથી પક્ષનું નેતૃત્વ કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોય તે વાસ્તવિકતા રાજકીય પક્ષોની અંદર નેતૃત્વમાં પરિવર્તન અને નિષ્પક્ષ પ્રતિનિધિત્વના બુનિયાદી ખ્યાલનો છેદ ઉડાડે છે.

કાઁગ્રેસે આંતરિક લોકતંત્રના પ્રદર્શન માટે પક્ષ પ્રમુખની ચૂંટણી કરી હતી. અને મલ્લિકાર્જુન ખડગે સામે શશિ થરૂરે ઉમેદવારી કરી હતી. પરંતુ પાર્ટીના અન્ય હોદ્દેદારોની ચૂંટણી થઈ હતી ખરી ? પાર્ટીઓ ઉપપ્રમુખ, મહામંત્રી અને ખજાનચીના પદો તો કેટલાક લોકો માટે કાયમ અનામત રાખે છે. વ્યક્તિગત નેતાના કરિશ્મા પરથી તેની નેતૃત્વ માટે પસંદગી લોકતંત્ર માટે ઘાતક પણ બની શકે છે.

ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે મુખ્ય મંત્રી પદેથી વિજય રૂપાણીને જ નહીં સમગ્ર પ્રધાન મંડળને રૂખસદ આપી હતી. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભૂપેન્દ્ર પટેલને સી.એમ. પદે નિયુક્ત કર્યા હતા. શું આ નિર્ણય પક્ષના ધારાસભ્યોનો હતો કે પક્ષના શીર્ષ નેતૃત્વનો? આંતરિક લોકશાહીના અભાવે આવા મોટા નિર્ણયો ધારાસભ્યોની નારાજગી વહોરીને લેવામાં આવે છે. દિલ્હી નિમ્યા દંડનાયકોની પરંપરા હજુ ય યથાવત છે અને તેને પડકાર અપવાદરૂપ બીના છે.

૧૯૭૩માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પછી વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની સી.એમ. તરીકે પસંદ કાંતિલાલ ઘીયા હતા. પરંતુ ઇન્દિરાઈના દિલ્હી નિમ્યા દંડનાયકને ચીમનભાઈ પટેલે પડકારતા પક્ષને ધારાસભ્યોના ગુપ્ત મતદાનથી પસંદગી કરવાની ફરજ પડી હતી. તેમાં ઇન્દિરાજીના ઉમેદવારને હરાવી ચીમનભાઈ પટેલ મુખ્ય મંત્રી તરીકે પસંદ થયા હતા. પરંતુ આ પ્રકારના અપવાદો કેટલા ?

ઈલેકશન કમિશનને જો રાજકીય પક્ષોના રજિસ્ટ્રેશન અને માન્યતાની સત્તા હોય તો આંતરિક લોકશાહીના મુદ્દે તેને માન્યતા રદ્દ કરવાની સત્તા મળવી જોઈએ. આ માટે કાયદામાં સુધારો કે નવો કાયદો ઘડાવો જોઈએ. રાજકીય પક્ષો આ પ્રકારના કાયદા કે ચૂંટણી સુધારા માટે સ્વાભાવિક રીતે જ રાજી નથી. એટલે ભારતના મતદારોએ જ રાજકીય પક્ષોમાં રહેલા આંતરિક લોકતંત્રના આધારે રાજકીય પક્ષની સત્તા માટે પસંદગી કરવી જોઈએ. લોકોનું દબાણ કદાચ રાજકીય પક્ષોને આ દિશામાં વિચારવા મજબૂર કરશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

આંબેડકર : સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી નકામી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 November 2024

પ્રકાશ ન. શાહ

પંચોતેરમી સંવિધાન ગાંઠની વળતી સવાર સારુ લખી રહ્યો છું ત્યારે 1949ના નવેમ્બરની 26મીએ બંધારણ સભામાં સંવિધાન પસાર થયું એને આગલે દહાડે, 25મી નવેમ્બરે, આંબેડકરે કહેલી કેટલીક બુનિયાદી વાતોનું સ્મરણ કરવું લાજિમ લાગે છે – અને તે માત્ર રસમી તોર પર મુદ્દલ નહીં; પણ સાભિપ્રાય ને સહેતુક એટલું જ સટીક પણ.

એક આબાદ, બિલકુલ ભરીબંદૂક વાત તો એ કહી હતી આંબેડકરે કે ગમે તેટલું સારું સંવિધાન કેમ ન હોય, જો સુયાણીમાં વેતા ન હોય તો વેતર વંઠે તે વંઠે. ઠેકાણાસરના માણસો મોખા પર ન હોય તો સારામાં સારું સંવિધાન ટાંયે ટાંયે ફીસ પુરવાર થાય એ નક્કી જાણજો. વળી એ પણ ટાંપ કરી હતી એમણે કે સંવિધાનમાં માનો કે મર્યાદાઓ હોય તો પણ રાજ ચલાવનારા જો સરખા હીંડે તો નબળું તોયે તે ઠીક કામ આપી શકે છે.

બીજી સોજ્જુ વાત એ કીધી’તી આંબેડકરે કે દેશને લાંબો સમય સમર્પિતપણે સેવા આપનારાઓ પ્રત્યે આપણો ઋણભાવ હોય એ ઈષ્ટ છે. પણ આ કૃતજ્ઞતાના ખયાલને પણ ચોક્કસ મર્યાદાઓ ખચીત છે. આપણો ઋણભાવ આંધળી ભક્તિમાં ગંઠાઈ જવાનો હોય તો એ લોકતંત્ર સારુ લગારે પથ્ય નથી.

ત્રીજી, પણ તેથી પહેલીબીજી કરતાં સહેજે ઓછા મહત્ત્વની નહીં એવી વાત એમણે જે કહી હતી તે એ કે સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી મૂળિયાં નાખી શકતી નથી. સામાજિક લોકશાહીને સારુ જરૂરી ત્રણ વાનાં તે સ્વાધીનતા, સમાનતા ને બંધુતા. જો સમાનતા ન હોય તો સ્વાધીનતાને નામે થોડાક લોકો ધરાર ચઢી વાગે. જો બંધુતા ન હોય તો પણ સ્વાધીનતાને નામે થોડાકનો રુક્કો ચાલે. વળી એ પણ સમજાવું જોઈએ કે જો બંધુતા ન હોય તો સ્વાધીનતા ને સમાનતા સહજપણે શક્ય નહીં બને – અને આ સંજોગોમાં જે ગોંધળ સરજાય તેમાં પોલીસપ્રવેશથી માંડી રાજની જુલમજોહાકી સહિતની સંભાવનાઓ સાફ છે.

બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદને બંધારણનો મુસદ્દો સુપરત કરતા બંધારણ સમતિના વડ ભીમરાવ આંબેડકર

આ જે ચેતવણીઓ, એમાંથી ખાસ કરીને ત્રીજી ચેતવણી (બંધુતા-સમાનતા-સ્વાધીનતાનાં સહીપણાંની જરૂરત) લક્ષમાં લઈએ તો આંબેડકરના 25મી નવેમ્બર, 1949ના એ ઉદ્દગારો પણ સમજાઈ રહેશે કે આપણે આપોઆપ એક રાષ્ટ્ર થઈ ગયા છીએ કે થઈ જવાના છે એમ કૃપા કરીને માનશો મા. શતસહસ્ર નાતજાતમાં વહેંચાયેલા આપણે એક રાષ્ટ્ર ક્યાંથી હોઈ શકીએ? હા, એમણે કહ્યું હતું, સંવિધાનનું જે દર્શન છે એમાંથી. ભારતનો જે ખયાલ ફોરે છે એ સેવીએ, એનું સંગોપન-સંમાર્જન કરીએ તો વાત બને.

આ બધું આંબેડકરે નવેમ્બર 1949માં કહ્યું હતું. એ મુજબનું બંધારણ બે મહિના પછી 26 જાન્યુઆરી, 1950થી અમલમાં આવ્યું. સ્વરાજની લડતમાં, જવાહરલાલની અધ્યક્ષતામાં જે મુકમ્મલ આઝાદી (પૂર્ણ સ્વરાજ) દિવસ 1930ની 26મી જાન્યુઆરીથી ઊજવાતો થયો એને લક્ષમાં રાખી, 1950ની 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ કહીએ છીએ.

એક રીતે લગરીક ટેક્સ્ટબુકી લાગે એવો આ પૂર્વાર્ધ કોઈ માસ્તરી ધક્કાથી નહીં પણ સંવિધાન દિવસ મનાવતી વેળાએ આપણને જે ઓસાણ રહેવા જોઈએ તેમ જ ક્યાં છીએ અને ક્યાં જવાનું છે એવી થોડીક સૂધબૂધ રહે તે વાસ્તે અહીં આલેખ્યો છે.

આમ તો આ 75મી સંવિધાન ગાંઠ છે (વરસફેરે 74મી પણ કહી શકો); પણ એની વિશેષ ઉજવણી ‘મોસમ હૈ ઈવેન્ટાના’ મિજાજમાં માહેર ભા.જ.પ. નેતૃત્વે લગીર કચકચાવીને 2015થી શરૂ કરી છે. કચકચાવવાનું કંઈક ઓછું લાગ્યું તે કિન્નો ઉમેરીને હવે, 2024થી, હર 25મી જૂને સંવિધાન હત્યા દિવસનું રાજપત્રિત ઉર્ફે ગેઝેટેડ એલાન આપણી સમક્ષ આવ્યું છે.

2024ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ આગળ કરેલો મુદ્દો સંવિધાનનો હતો અને દસ વરસના સુવાંગ શાસને ઊભા કરેલા સવાલો સામેના વૈકલ્પિક કથાનકની ઠીક સામગ્રી એમાં પડેલી હતી તે એક અંતરાલ પછી મતદાતાઓએ વિધિવત્ વિપક્ષ નેતાનું સ્થાન અંકિત કરી આપ્યું એ પરથી સમજાઈ રહે છે.

કાઁગ્રેસને અને સંવિધાનને શું એવો સવાલ જૂન 1975-માર્ચ 1977ના ઇંદિરાઈ તબક્કાને સહારે સહેજ પણ અપ્રસ્તુત અલબત્ત નથી, પણ ભલે અંજીરપાંદ પણ, કાઁગ્રેસ પક્ષે એક બચાવ હોઈ શકે તેમ ત્યારના એક જેલવાસી છતાં કહેવું જોઈએ- અને તે એ કે આ સત્તાલક્ષી તોડમરોડ ચોક્કસ બંધારણીય જોગવાઈના હવાલાસરની હતી. ગમે તેટલું સારું બંધારણ હોય પણ રાજકારભારું કૂટનાર ધોરણ બહાર જાય ત્યારે તેનો મતલબ રહેતો નથી, એ આંબેડકરની ચેતવણી આ સંદર્ભમાં સમજાઈ રહે છે. માર્ચ 1977-1979ના જનતા પર્વમાં બંધારણીય સુધારાથી દોષદુરસ્તી જરૂર કરાઈ. પણ થોડાં વરસ પર લાલકૃષ્ણ અડવાણીએ આબાદ કહ્યું હતું તેમ છતે સુધારે તોડમરોડ નહીં જ થાય એમ માની શકાતું નથી. જનતા સરકાર પડી તે પછીના રાજીવ શાસનમાં, વાજપેયી ને મનમોહન શાસનમાં અને હવે સવિશેષ મોદી ભા.જ.પ. દશકમાં અઘોષિત કટોકટીના મુદ્દા આપણી સામે આવતા રહ્યા છે.

25મી જૂનનો સંવિધાન હત્યા દિવસ, અઘોષિત કટોકટી મુદ્દાઓની પ્રજાસૂય તપસીલનો કેમ ન બની શકે? જનતા રાજ્યારોહણ પછી, છતાં અને સાથે, જયપ્રકાશે લોક સમિતિ અને છાત્ર યુવાન સંઘર્ષ વાહિની જેવા બિનપક્ષીય જનઓજાર પર ભાર મૂક્યો હતો તે અહીં સાંભરે છે. તે સાથે એ પણ યાદ આવે છે કે છાત્ર યુવા વાહિનીએ કટોકટી મુદ્દે 25 જૂનની ઉજવણીનો વિચાર આગળ કર્યો ત્યારે જયપ્રકાશે સૂચવેલું આયોજન ‘લોકચેતના દિવસ’નું હતું.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 27 નવેમ્બર 2024

Loading

હોસ્પિટલોની ‘અગ્નિપરીક્ષા’: ભારતમાં જિંદગી કેમ આટલી સસ્તી છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 November 2024

રાજ ગોસ્વામી

અંગ્રેજીમાં એક (મૂળ ફ્રેંચ) શબ્દ પ્રચલિત છે; દેજા વુ. તેનો અર્થ થાય છે ‘અગાઉ જોયેલું.’ તમે કોઈ નવી જગ્યાએ ગયા હો, અથવા કોઈ ફીલિંગનો અનુભવ કરો અથવા કોઈ વાત સાંભળો, તો તમને એવું લાગે કે તમારી સાથે આવું અગાઉ પણ થઇ ચુક્યું છે. 16મી તારીખે, શનિવારે, એક સમાચાર સાંભળ્યા કે ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજના ચાઈલ્ડ વોર્ડમાં ભીષણ આગ લાગવાથી દસ નવજાત શિશુઓ બળીને ભડથું થઇ ગયાં છે, ત્યારે ‘દેજા વુ’નો અહેસાસ થયો. 

કેવી કમનસીબી છે કે ભારતમાં ‘આવું તો રોજ થાય છે’ની લાગણી સાથે આપણે રાબેતા મુજબના કામમાં પરોવાઈ જઈએ છીએ. હજુ થોડાં વર્ષો પહેલાં જ, સારવાર અને સુવિધાઓના અભાવે કોરોનામાં લાખો લોકોને ગુમાવ્યા હોવા છતાં, આપણે દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થામાં સુધારો નથી કરી શકતા તે કેવી લાચારી છે!   

હજુ આ વર્ષે જ, મે મહિનામાં, દિલ્હીની એક બાળ હોસ્પિટલમાં આગ લાગતાં 7 નવજાત બાળકો બળી ગયાં હતાં અને 12ને બચાવી લેવાયાં હતાં. તેના આગલા જ દિવસે, રાજકોટના ટી.આર.પી. ગેમિંગ ઝોનમાં આગ લાગતાં 9 બાળકો સહિત 33 લોકોના જીવ ગયા હતા. 2011માં, કોલકત્તાની એમરી હોસ્પિટલમાં આવી જ એક આગમાં 93 લોકો સ્વાહા થઇ ગયા હતા. 

ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કોમ્યુનિટી મેડિસીન એન્ડ પબ્લિક હેલ્થના એક અભ્યાસ પ્રમાણે, 2010થી 2019 વચ્ચે, 100થી વધુ બેડ ધરાવતાં સ્વાસ્થ્ય સંસ્થાનોમાં મોટી આગ લાગવાની 33 ઘટનાઓ બની હતી. તેમાં 78 ટકા કિસ્સાઓમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટથી આગ લાગી હતી અને તેમાં ય મોટા ભાગની શોર્ટ સર્કીટ એર કંડિશનરમાં થઇ હતી. 19 દુર્ધટનામાં જ ફાયર ફાઈટિંગ સિસ્ટમ જોવા મળી હતી. 10 કિસ્સાઓમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ બહાર આગ લાગી હતી. 72 ટકા આગ રાતે 8થી સવારના 7 વચ્ચે લાગી હતી.

આ અહેવાલના એક સહ-લેખક અને અમદાવાદની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજમાં કોમ્યુનિટી મેડિસિનના એસોસિએટ પ્રોફેસર ડૉ. રશ્મિ શર્માએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલો આગ સલામતીના નિયમોનું સૌથી ગંભીર ઉલ્લંઘન કરે છે, “2011થી મેં જે 19 આગની ઘટનાઓનો અભ્યાસ કર્યો છે, તેમાંથી 90% સરકારી હોસ્પિટલોમાં થઈ હતી.”

‘ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’નો એક તાજો અહેવાલ કહે છે કે એકલા દિલ્હીમાં જ 2021 અને 2022માં, હોસ્પિટલોમાં આગ લાગવાની 66 ઘટનાઓ બની છે. એક અન્ય અહેવાલ કહે છે કે ભારતમાં 2020 પછી હોસ્પિટલોમાં લાગેલી આગમાં 120 લોકોનાં મૃત્યુ થયાં છે.  

દેશમાં, જેટલી પણ સાર્વજનિક સેવાઓ અને સુવિધાઓ છે તેમાંથી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સૌથી વધુ નિર્ણાયક હોય છે કારણ કે તેમાં બીમાર, વૃદ્ધ અને અપંગ લોકો ભરતી હોય છે, જેમને સંકટમાં બચવા માટે બાહ્ય મદદની જરૂર હોય છે.

1950 પહેલાં, ભારતીય હોસ્પિટલોમાં કોઈ ઓટોમેટિક ફાયર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવતી નહોતી. મોટા ભાગના વિકાસશીલ દેશોમાં ત્યારે આગથી બચવા કરતાં બીમારીથી બચવાની પ્રાથમિકતા હતી, પરંતુ હોસ્પિટલોમાં, ખાસ કરીને બહુમાળી હોસ્પિટલોમાં આગના કારણે જાનહાનિ થવાની ઘટનાઓ સામે આવતાં, હોસ્પિટલોમાં આગના અકસ્માતોને ઘટાડવાની વ્યવસ્થાઓ અને માર્ગદર્શિકાઓ પર ધ્યાન આપવાનું શરૂ થયું હતું. તેમ છતાં, સમગ્ર ભારતમાં હોસ્પિટલોમાં આગની દુર્ઘટનાઓ અવારનવાર બનતી જ રહી છે.

તેમાંથી એક જ વાત સાબિત થાય છે; ભારતમાં, સલામતીની દૃષ્ટિએ હોસ્પિટલો આજે પણ જોખમી છે. આટલાં વર્ષોના અનુભવો પછી પણ આપણે કોઈ બોધપાઠ લઇ શક્યા નથી. જે જગ્યાએ માણસોનાં સ્વાસ્થ્યની સૌથી વધુ સંભાળ રાખવાની ગેરંટી હોય છે, ત્યાં જ જો અચનાક મરી જવાની સંભવાના માથા પર ઝળુંબતી હોય, તો એના માટે એક જ શબ્દ છે : રામ ભરોસે. ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર રામ ભરોસે ચાલે છે. આને આ તો ખાલી આગથી મૃત્યુની જ વાત છે. દેશની હોસ્પિટલોના રોજના ઘોરણે કેટલા લોકો ક્યાં કારણોથી મરે છે તેનો તો કોઈ હિસાબ નથી. 

ભારતમાં ઝડપથી વિકસી રહેલું ખાનગી સ્પેશિયાલિટી ક્ષેત્ર પોતાને ‘આધુનિક’ અને ‘હાઇ-ટેક’ તરીકે રજૂ કરે છે અને ‘વિશ્વ કક્ષાની’ સારવારને નામે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને આકર્ષે છે. હોસ્પિટલોના ‘ધંધાકરણ’થી સાર્વજનિક સ્વાસ્થ્ય સંસ્થાઓએ ઉચાળા ભરી લીધા છે અને દેશની એક મોટી વસ્તીને મોંઘી કોર્પોરેટ હોસ્પિટલોનાં શરણે ધકેલી દીધી છે.

‘વિશ્વ કક્ષાનું’ વાતાવરણ ઊભું કરવાનો દાવો કરતી આ હોસ્પિટલો જો કે ‘વિશ્વ કક્ષા’ની સલામતી નથી. કરુણતા એ છે કે જે જગ્યાએ રોજે રોજ સૌથી વધુ જીવન સમાપ્ત થાય છે, તેને ન તો આપત્તિ તરીકે જોવામાં આવે છે કે ન તો કટોકટી તરીકે. 

દાખલા તરીકે, કેટલી હોસ્પિટલો ચેપ ના ફેલાય તે માટે કડક પગલાં ભરે છે? આપણને ખબર પણ નથી કે આપણા ઘર-પરિવાર, સમાજમાં ઘણા શક્તિશાળી ચેપ હોસ્પિટલોમાંથી આવેલા હોય છે. આ એન્ટિબાયોટિક પ્રતિકાર ધરાવતા ચેપ ત્યાં દાખલ થયેલા દર્દીઓ હોસ્પિટલના વાતાવરણમાંથી મેળવે છે. 

આ સમસ્યાને સરળ અને અસરકારક ચેપ નિયંત્રણ પ્રોટોકોલ દ્વારા અટકાવી શકાય તેમ છે. આમાં આરોગ્ય સેવા કરતા કર્મચારીઓ દ્વારા ફરજિયાત હાથ ધોવાની પ્રથાઓ, યોગ્ય વેન્ટિલેશન, કચરાનો નિકાલ, નિયમિત સાફ-સફાઈ અને એન્ટિબાયોટિક પ્રોટોકોલ જેવાં પગલાં સામેલ છે. ભારતની મોટા ભાગની ખાનગી હોસ્પિટલોએ હજુ સુધી આ પદ્ધતિઓ અપનાવી નથી. 

વીમા ક્ષેત્રના દબાણને કારણે ‘માન્યતા’ મેળવવાના દબાણના કારણે અમુક હોસ્પિટલો દેખાવ ખાતર આ બધું અનુસરતી હોવાનો દાવો કરતી હોય છે, પણ તેમાં ય કેન્દ્રમાં દર્દીઓનાં જીવન નથી હોતાં. અમુક લોકો માટે આ કોઈ સમસ્યાને સંપૂર્ણપણે અવગણે છે. 

આ જ કારણ છે કે સામાન્ય લોકોની વાતચીતોમાં તમને એવું સાંભળવા મળતું હોય છે કે ભારતમાં લોકોની જિંદગી સસ્તી છે. અર્થશાસ્ત્રની ભાષામાં, દુર્લભ વસ્તુનું મૂલ્ય સામાન્ય રીતે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુ કરતાં વધુ હોય છે. એટલા માટે કોલસા કરતાં હીરો વધુ મૂલ્યવાન હોય છે.

આ વાત ચીજવસ્તુઓ ઉપરાંત માનવ જીવનને પણ લાગુ પડે છે. આપણે દુનિયાનો સૌથી વધુ વસ્તી વાળો દેશ છીએ અને આપણે હજુ પૂરી રીતે વિકસિત પણ થયા નથી. એટલે આપણું ધ્યાન દેશની જરૂરિયાતો તેમ જ મૂડી પેદા કરવા પર છે. વિકસિત દેશોની માફક આપણે માનવ જીવનની સલામતીને પ્રાથમિકતા બનાવવાની સ્થિતિમાં નથી. 

આ કારણથી છાસવારે દુર્ઘટનાઓમાં પાંચ-પચીસ લોકો મરી જાય, તો થોડા દિવસના ‘ઘોંઘાટ’ સિવાય કોઈનું એ રૂંવાડું પણ ફરકતું નથી. આ દેશની પબ્લિક સિસ્ટમ અસંવેદનશીલ છે. તમને યાદ હોય તો, કોરોનામાં લાખો લોકોના મોત બદલ ‘સિસ્ટમ’ને જવાબદાર ઠેરવવામાં આવી હતી. પછી શું થયું? સિસ્ટમમાં જાગૃતિ આવી, એમાં સુધાર આવ્યો?

ભારતમાં લોકોની જિંદગી, ઇંગ્લિશ લેખક જ્યોર્જ ઓરવેલની પ્રસિદ્ધ કૃતિ ‘એનિમલ ફાર્મ’ની યાદ અપાવે છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘તમામ જાનવરો સમાન છે, પરંતુ અમુક જાનવરો બીજાઓની તુલનામાં અધિક સમાન છે.’

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 24 નવેમ્બર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...475476477478...490500510...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved