Opinion Magazine
Number of visits: 9557426
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૯)  

સુમન શાહ|Opinion - Opinion|19 October 2024

સુમન શાહ

‘ધ બ્યુરો’ નામની કાફ્કાની એક અપૂર્ણ વાર્તા છે : એક ઉંદર જેવું અથવા badger જેવું પ્રાણી બખોલ (બ્યુરો) બનાવે છે, એવી કે, કોઈ અન્ય પ્રાણી કદી એને મારી શકે નહીં. તેમછતાં, એ સતત ભય હેઠળ જીવે છે બલકે ક્રમે ક્રમે બખોલ એને ભુલભુલામણી જેવી લાગે છે. પોતાનું એ સર્જન એને વ્યર્થ લાગે છે. 

માણસે સરજેલી એવી જ સર્વથા સલામત શાસન-પ્રણાલિ લોકશાહી છે, પણ આજે એની સાર્થકતા પ્રશ્નાર્થ હેઠળ છે. એ વાત હું યથાસમયે આગળ ચલાવીશ.  

+ +

આ અગાઉના લેખમાં મેં કહેલું કે સ્વાતન્ત્ર્ય-સંગ્રામને પણ એવાં સંગઠનોની જરૂર પડેલી, જેને માહિતી-જાળ કહી શકાય.

૧૮૫૭-ના ‘બળવા’-સમયની આસપાસ એવું કોઈ સંગઠન હતું નહીં, જેને માહિતી-જાળ કહી શકાય. પરન્તુ બ્રિટિશ શાસનના બળવાન પ્રતિકારનો પ્રારમ્ભ અવશ્ય થયો હતો. એ પ્રતિકારના મને બે વિભાગ સમજાયા છે : પહેલો વિભાગ, જે રાજા રામ મોહન રાયથી શરૂ થયો હતો, અને બીજો વિભાગ, જે ગાંધીજી દ્વારા વિકસ્યો હતો અને ૧૯૪૭-માં સ્વાતન્ત્ર્ય મળ્યું ત્યારે સમ્પન્ન થયો હતો. 

એ સંદર્ભમાં, બંગાળના ઉલ્લેખથી શરૂઆત કરવી જોઇશે. રાજા રામ મોહન રાય (૧૭૭૨-૧૮૮૩), દેબેન્દ્રનાથ ટાગોર (૧૮૧૭-૧૯૦૫), ઈશ્વર ચન્દ્ર વિદ્યાસાગર (૧૮૨૦-૧૮૯૧), દયાનંદ સરસ્વતી (૧૮૨૪-૧૮૮૩), કેશવ ચન્દ્ર સેન (૧૮૩૮-૧૮૮૪) ઇત્યાદિ મહામનાઓનો નિર્દેશ કરવો જોઈએ. 

એ સૌએ જોયું-વિચાર્યું હશે કે જ્યાં લગી અજ્ઞાન તેમ જ રૂઢિઓ અને સમાજે લાદેલાં બન્ધનોથી પ્રજા મુક્ત નહીં થાય, ત્યાંલગી દેશનો ઉદ્ધાર શક્ય નથી. ગાંધીજીને પણ એવું જ સમજાયેલું કે જ્યાંલગી ગામડાં બેઠાં નહીં થાય, ત્યાંલગી આઝાદી શક્ય નથી.

હું ત્રણ મહામનાઓ વિશે ટૂંકી વાત કરું : 

રાજા રામ મોહન રાય —

તેઓ ઇન્ડિયન રેનેસાંસના, ભારતીય પુનર્જાગરણના, અગ્રયાયી કહેવાયા છે, અર્વાચીન ભારતના ઘડવૈયા ગણાયા છે. જાણીતું છે કે સામાજિક અને ધાર્મિક સુધારાના મુખ્ય હેતુથી એમણે ‘બ્રહ્મો સમાજ’-ની સ્થાપના કરેલી. એમનું મન્તવ્ય હતું કે ‘વિશદ ચર્ચા વડે જ સત્યને શોધી શકાય’. એમણે ‘બ્રહ્મનિકલ મૅગેઝિન’ તેમ જ ‘મિરાત-અલ-અખબાર’ અને ‘સંવાદ કૌમુદી’ નામનાં અઠવાડિક શરૂ કરેલાં. એમણે ‘ઍન્ગ્લો હિન્દુ કૉલેજ’-ની સ્થાપના કરેલી. એમણે કહેલું કે મહિલાઓના શોષણને કારણે સમાજની પ્રગતિ રૂંધાઇ રહી છે. એમણે સતી અને બાળલગ્ન પ્રથાઓનો સખત વિરોધ કરેલો. લૉર્ડ બૅન્ટિકે સતી-પ્રથા વિરુદ્ધ કરેલા કાયદાના રખોપા માટે, જરૂરી વકીલાત માટે, મુઘલ સામ્રાજ્યના પ્રતિનિધિ તરીકે, ૧૮૩૦-માં તેઓ ઇન્ગ્લૅન્ડ ગયેલા. તેઓ એકેશ્વરવાદના આગ્રહી હતા, તેમછતાં, એમણે વેદો આદિ હિન્દુ શાસ્ત્રોનું અને મુસ્લિમ તેમ જ ખ્રિસ્તી ધર્મગ્રન્થોનું ઊડું અધ્યયન કરીને પોતાનાં તુલનાત્મક મન્તવ્યો પ્રકાશિત કરેલાં. 

પરન્તુ નૉંધપાત્ર બાબત એ છે કે ‘બળવા’ પૂર્વે જ એમણે બ્રિટિશ શાસનની સિસ્ટમમાં જ સુધારો ઇચ્છ્યો હતો – સવિશેષે કેળવણી અને કાયદા બાબતે, તેમ જ સતી-પ્રથાની નાબુદી માટે. એમણે મર્યાદિત એવા સેલ્ફ-ગવર્નન્સની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. એમની માન્યતા હતી કે અંગ્રેજી કેળવણી ભારતીયોને દેશના વિકાસ માટે વધુ કાર્યક્ષમ બનાવશે. 

દેવેન્દ્રનાથ ઠાકુર (ટાગોર) —

ઘણાં વર્ષ તેઓ ઘરે રહીને ભણ્યા હતા પણ પાછળથી એમને રાજા રામ મોહન રાયની ‘ઍન્ગ્લો હિન્દુ કૉલેજ’-માં દાખલ કરવામાં આવેલા. તેઓ રાજકારણમાં સક્રિય થયેલા. ૧૮૫૧-માં ‘બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિએશન’-ની સ્થાપના થયેલી, એમાં એમની સૅક્રેટરી તરીકે નિમણૂક થયેલી, ગ્રામવાસી ગરીબોને ‘ચૉકીદારી ટૅક્સ’ ભરવો પડતો હતો, એ કાયદો દૂર કરાવવા તેમ જ ભારતની સ્વાયત્તતા માટે એમણે બ્રિટિશ પાર્લામૅન્ટ સાથે પત્રવ્યવહાર કરલો. 

દયાનંદ સરસ્વતી — 

સ્વામી દયાનંદ સરસ્વતી

પુનર્જાગરણમાં એમનું પણ યોગદાન મહત્ત્વનું ગણાય છે. જાણીતું છે કે હિન્દુ ધર્મમાં સુધારણા માટે એમણે ‘આર્યસમાજ’-ની સ્થાપના કરેલી. એમના ‘સત્યપ્રકાશ’-માં જોઇ શકાય છે કે વેદોના દર્શનને એમણે આત્મસાત કર્યું છે અને પોતાના દૃષ્ટિબિન્દુથી તેનાં નૂતન અર્થઘટન અને મૂલ્યાંકન કર્યાં છે. તેઓ કદાચ સ્વાતન્ત્ર્યની લડતમાં સીધા ન્હૉતા જોડાયા, પરન્તુ એમના વિચારોથી સ્વાતન્ત્ર્યના અનેક લડવેયાઓને બળ મળેલું. ‘સ્વરાજ’-ની સૌથી પહેલાં અહાલેક જગવનાર દયાનંદ છે, એથી ‘ભારત ભારતીયો માટે છે’ ભાવનાને વેગ મળેલો. જોઈ શકાય છે કે એ ભાવના લોકમાન્ય ટીળકના, ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ સૂત્રથી વિકસી હતી.

આમ, આ મહામનાઓના આવા અથાગ પ્રયાસો, તેમનાં સ્વરચિત પુસ્તકો, ઉપરાન્ત, ‘મિરાત-અલ-અખબાર’ (૧૮૨૨), ‘ધ ઇન્ડિયન મિરર’ (૧૮૬૧), ‘અમૃત બાઝાર પત્રિકા’ (૧૮૬૮ ), ‘ધ હિન્દુ’ (૧૮૭૮) વગેરે માધ્થમોથી સરજાયેલા માહિતી-સંચયે બ્રિટિશ શાસનની ટીકાટિપ્પણીમાં તેમ જ પ્રજાકીય જાગૃતિમાં મોટો ભાગ ભજવેલો. કહી શકાય કે કૉલોનિયલ સિસ્ટમના પ્રતિકાર માટેની એક માતબર પૂર્વભૂમિકા રચાઇ હતી.

એ પૂર્વભૂમિકા દરેક પ્રાન્તમાં, ત્યાંના નેતાઓના નેતૃત્વ હેઠળ વિકસી હતી. દાખલા તરીકે, મહારાષ્ટ્રમાં, લોકમાન્ય ટીળક (૧૮૫૬-૧૯૨૦), પંજાબમાં, લાલા લજપતરાય, વીર ભગતસિંહ (૧૯૦૭-૧૯૩૧), બાંગ્લા દેશમાં, બિપિન ચન્દ્ર પાલ (૧૮૫૮-૧૯૩૨), વગેરે વગેરે અનેકાનેક દૃષ્ટાન્તો સુવિદિત છે. 

‘બળવો’ ૧૮૫૭માં, દલપતરામનો સમય, ૧૮૨૦-૧૮૯૮. નર્મદનો સમય, ૧૮૩૩-૧૮૮૬. ત્યારથી શરૂ થયેલા સાહિત્ય-યુગને આપણે ‘સુધારક યુગ’ ગણીએ છીએ. પણ, જાણીતું છે કે એમાં સમાજની સુધારણા માટે જે પડકારો ઝિલાયા એવા કોઈ પડકારો બ્રિટિશ શાસન સામે ન્હૉતા સંભવ્યા. 

ગુજરાતમાં, દલપત-નર્મદના સમયમાં બ્રિટિશ શાસનની દેશ-વ્યાપી સિસ્ટમનાં પરિણામોથી જુદું પરિણામ ન્હૉતું આવ્યું. એ સમયે પ્રતિકાર કરવો પડે એવા શોષણ કે દમનના પ્રશ્નો પણ ગુજરાતમાં નથી નૉંધાયા. ગુજરાત ત્યારે બૉમ્બે પ્રૅસિડેન્સી હેઠળ હતું. લૉર્ડ ઍલ્ફિન્સ્ટન આદિ ગવર્નર નિમાયા હતા, અને ત્યારે જે કંઈ સ્થાપનાઓ થઇ હતી તે મુખ્ય તો વિદ્યાકીય હતી. ગુજરાતમાં ફારબસ અને દપલતરામના સહયોગથી સાહિત્ય લાભાન્વિત થયેલું. 

ખરો પ્રતિકાર તો ગાંધીજી ૧૯૧૫-માં દક્ષિણ આફ્રિકાથી આવ્યા ત્યારે શરૂ થયો. ખેડૂતોના હક્કો માટેની ૧૯૧૭-ની ચમ્પારણ લડત, એ પછી, બારડોલી સત્યાગ્રહ, દાંડી-કૂચ, ગોળમેજી પરિષદ, ક્વીટ ઇન્ડિયા મૂવમૅન્ટ, ગાંધીજીને અનેક વાર જેલવાસ, એમ એક પછી એક સંભવેલી પ્રતિકારની ઘટનાઓથી અંગ્રેજ શાસકોને ગાંધીજીની પ્રભાવક વ્યક્તતિતાનો પરચો મળી ગયેલો. 

મોટો ફર્ક એ હતો કે ગાંધીજીનાં ખુદનાં લેખનો, ગાંધીજીના અન્તેવાસીઓનાં લેખનો, પુસ્તકો, વિદેશી ગ્રન્થોના અનુવાદો વગેરે માધ્યમોથી વિશાળ કદનો માહિતી-સંચય થયો હતો. 

બીજો ફર્ક એ હતો કે સ્વાતન્ત્ર્યની લડતમાં નવી પેઢી મોટી સંખ્યામાં જોડાઈ હતી અને લડતની પદ્ધતિ સવિનય કાનૂનભંગ અને અસહકારની હતી – ટૂંકમાં, પદ્ધતિ અહિંસક સત્યાગ્રહની હતી. ગુજરાતી સાહિત્યના ‘ગાંધી યુગ’-માં, સાહિત્યકારો અને અન્ય વિચારકો પર ગાંધીદર્શનની ઠીક ઠીક અસર પડી હતી, સવિશેષે, ગાંધીવિચારને પોષક સામાજિક ચિન્તન શરૂ થયું હતું અને સાહિત્યમાં ગ્રામજીવનનું વાસ્તવ પ્રતિબિમ્બિત થયું હતું.

માહિતી-સંચયને સ્વાતન્ત્ર્ય-સંગ્રામના સમગ્ર નેટવર્કનો અનિવાર્ય ભાગ ગણવો જોઈશે. ગાંધીજીના આગમન પછી, લડતને ઘણો વેગ મળ્યો હતો અને માહિતી-સંચયમાં ઘણી જ વૃદ્ધિ થઈ હતી. કહેવું હોય તો કહી શકાય કે ગાંધીજીના આગમન પછી એ જાળ સરજાઇ અને સ્વાતન્ત્ર્ય-પ્રાપ્તિ લગી વિકસતી રહી.

+ +

સ્વાતન્ત્ર્ય-સંગ્રામના એ સમગ્ર નેટવર્કથી જુદું પણ એના જેવું જ નેટવર્ક છે, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીયતા માટેનું નેટવર્ક – નેશનાલિઝમ. આજના વિશ્વમાં તીવ્ર પ્રશ્ન એ છે કે માણસ આજે રાષ્ટ્રપ્રેમી હોય એ પૂરતું છે કે એ વિશ્વપ્રેમી પણ હોવો જોઈએ …

= = =

(18Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શાંતિના વાવેતરને પાણી પાઈએ !

રમેશ સવાણી|Opinion - Opinion|19 October 2024

[‘ઝેર તો પીધાં જાણી જાણી’ / ‘સોક્રેટિસ’ના લેખક મનુભાઈ પંચોળી ‘દર્શક’ની માત્ર 22 પેજની પુસ્તિકા છે : ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી – Master Key of World Peace.’ ‘અક્ષરનાદ’ના જિજ્ઞેશ અધ્યારૂને ધન્યવાદ ઘટે છે, જેમણે દર્શકની આ પુસ્તિકાને ઈ.બૂકમાં રજૂ કરી છે. ડાઉનલોડ કરીને (લિંક કોમેન્ટ સેક્શનમાં) વાંચો / સમજો. ઘરમાં સત્યનારાયણની કથા કરાવવાની જરૂર નથી; આ પુસ્તિકાનું વાંચન કરાવો ! આજના નફરત / ધૃણાના માહોલમાં આપણા બાળકો ધાર્મિક નારાઓ બોલવા રસ્તા પર દોડી ન જાય તેની સંભાળ લેવાની ખાસ જરૂર છે. જોઈએ થોડી પ્રસાદી -]

એક વખત બીરબલને રાજસભામાં આવતા મોડું થઇ ગયું. બાદશાહે પૂછ્યું : “અલ્યા, કેમ મોડો આવ્યો?” તો કહે, “જનાબ, છોકરાને રમાડતો હતો, તેમાં સમયસર ન નીકળાયું.”

“લે, એમાં શી મોટી ધાડ મારવાની હતી? ખાવાનું આપી દીધું હોત તો વાત પતી જાત.”

“ના, માલિક, એટલું સહેલું કામ એ નથી.”

બાદશાહ તો હઠે ચડ્યો. છોકરાં રમાડવાં તેમાં વળી શી વડાઈ? છેવટે નક્કી થયું કે બાદશાહ બને બાપ અને બીરબલ બને દીકરો. દીકરાને બાપ રમાડી જાણે તો જાણવું કે છોકરાં રમાડવાં સાવ સહેલાંસટ … અને શરત શરૂ થઈ.

બીરબલે તો શરૂ કર્યું. ‘એં એં … ‘ બાદશાહે પ્રેમથી પૂછ્યું “કેમ બેટા, કેમ રડે છે? શું જોઈએ  તારે?”

“ખાવું છે !”

“ઓહો, તેમાં શી મોટી વાત ? શું ખાવું છે?”

“શેરડી !”

“અલ્યા, શેરડી લઈ આવ !”

શેરડી આવી. નોકરને કહ્યું કે કાપી આપ. કાપી આપી, પણ છોકરો તો વળી પાછો એંએં એં કરવા લાગ્યો.

“અલ્યા, હવે તારે  શું જોઈએ?” “ના બાપુ, તમે શેરડી કાપી દ્યો.”

“લે બાપા, હું કાપી આપું”…. શેરડી આપી … પણ છોકરાએ તો શેરડીનો કયો ઘા !

“કેમ હવે શું જોઈએ?”

“મારે તો ઘોડા પર બેસવું છે !”

માથે હાથ દઈને બાદશાહ બોલ્યો, “અલ્યા એ ય, લાવ ઘોડો, બેસાડ આ કુંવરને!”

ઘોડો આવ્યો. પણ તોયે  ‘એં એં એં …’ તો ચાલું.  “હવે તારે શું બાકી રહ્યું છે દીકરા?”

“માલે તો તમે ઘોલો બનો અને એ ઘોલા પર માલે બેસવું છે.” બાદશાહ ઘોડો થયા અને બીરબલ એના પર બેઠા. પણ ત્યાં એં એં એં … શરૂ. બાદશાહ કહે, “અલ્યા, હવે શું છે તારે?”

“બાપા, આ ભાંગેલી શેરલી આખી કરી દ્યો.”

બાપા તો બરાડી ઊઠયા, “સાલા હરામખોર!”

અને શરતમાં  બીરબલ જીતી ગયો તે કહેવાની જરૂર છે? આ ભ્રમણા કેવળ બાદશાહને નહીં, આપણને સૌને આ ભ્રમ છે કે છોકરાં એટલે ગણતરીમાં નહીં લેવાની બાબત. પણ બાળકો સંભાળવાં તે અઘરામાં અઘરું કામ છે અને એ કામ તમે સૌ બહેનો કરી રહી છો, તે બદલ હું ધન્યવાદ આપું છું.

ભણાવવા કરતા ‘કેળવવા’ શબ્દ વધારે સારો છે. આપણા કોશમાંથી ‘ભણાવવું’ શબ્દ આપણે કાઢી નાખવો જોઈએ. આપણે બાળકોને કેળવવાં છે. ભણાવી શકાય તે ‘વિષય’ કવિતા, ગણિત, ઇતિહાસ ભણાવી શકાય. પણ આપણે તો બાળકોને કેળવવાં છે. આજકાલ તો મા બાપ છોકરાંને ભણાવી ધન્યતા અનુભવતાં થઈ ગયા છે. કોઈને ત્યાં જઈએ તો કહેશે, ‘અમારો બાબો બહુ હોશિયાર હો કે ! આવ તો બાબા, અહીં આવ. એ કોન્વેટમાં જાય છે હં કે ! અરે બાબા, પેલી તારીખ પોએમ સંભળાવને !’

હું ઘણું કીધા કરું કે ભાઈ, સંભળાવવાની કંઈ જરૂર નથી. એને રમવા દો. પણ પેલાં માબાપને તો એવું શૂરાતન ચઢ્યું હોય કે પ્રદર્શન વગર જાણે તેમને ચેન જ નહીં. બાળક તે જાણે સંગ્રહસ્થાનની કોઈ પ્રદર્શનીય ચીજ ! છેવટે પેલાને ગાયે જ છૂટકો ! Twinkle, Twinkle little stars ! શરૂ થાય અને હું માથે હાથ દઈને બધું નાટક સહન કર્યે જાઉં ! શું છે આ બધું? સાત વર્ષ સુધી ભણવાનું કેવું? ત્યાં સુધી તો કેવળ કેળવણી ચાલે. કેળવણી એટલે બાળકમાં રહેલી સારી શક્તિને ઉંમરના પ્રમાણમાં પ્રગટ થવા દેવાની અનુકૂળતા આપવી તે. પછી એ ઊગશે તો આપમેળે જ. ગુલાબના છોડને ખાતર-પાણી દઈએ, નિંદામણ કરીએ, બાકી ગુલાબ એની મેળે ઊગશે. ઉગાડવાની ચિંતા આપણે નથી કરવાની. એની ભીતર બધું પડ્યું જ છે. આપણે તો ખાલી થોડી મદદ કરવાની છે… 

[ સૌજન્ય : ‘દર્શક’ મનુભાઈ પંચોળી]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નહેરુએ ટાટાને કહ્યું હતું, “મારી પાસે પ્રોફિટની વાત ન કરતા, એ ગંદો શબ્દ છે”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 October 2024

રાજ ગોસ્વામી

૧૯૫૩માં, જ્યારે એર ઇન્ડિયાનો કારભાર સરકારે લઇ લીધો હતો, ત્યારે ભારતની પહેલી એરલાઈન્સના જનક જે.આર.ડી. ટાટાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “એ મારા માટે સૌથી મોટો માનસિક અને નૈતિક આઘાત હતો. મને લાગ્યું હતું જાણે એક પેરન્ટ પાસેથી એના લાડકા સંતાનને છીનવી લેવામાં આવ્યું છે. એ એકમાત્ર એવી કંપની હતી, જેને મેં જાતે રસ લઈને ઊભી કરી હતી અને તેને સંભાળી હતી. એકંદરે અમે બહુ નાના હતા, પરંતુ અમારું સ્ટાન્ડર્ડ બને એટલું શ્રેષ્ઠ હતું.”

ત્યારે જવાહરલાલ નહેરુની સરકાર હતી. ૧૯૩૨માં, જે.આર.ડી.એ સ્થાપેલી એર ઇન્ડિયા ત્યારે દુનિયાની શ્રેષ્ઠ એર લાઈન્સ પૈકીની એક હતી. નહેરુ અને ટાટા આમ દોસ્ત હતા, પરંતુ આર્થિક નીતિઓને લઈને બંને વચ્ચે સો ગાઉંનું છેટું હતું. દેશના વિકાસ માટે ટાટા ખાનગી ઉધોગોની તરફેણમાં હતા, અને રશિયન સમાજવાદના રંગે રંગાયેલા નહેરુ માનતા હતા કે ઉદ્યોગો પર રાજ્યનું નિયંત્રણ હોવું જોઈએ. 

‘બોમ્બે ક્લબ’ તરીકે જાણીતા મુંબઈના બિઝનેસમેનો વતીથી ટાટા એકવાર ભારતે કેવી આર્થિક નીતિ અપનાવી જોઈએ તેની ચર્ચા કરવા માટે નહેરુને મળવા દિલ્હી ગયા હતા, ત્યારે વડાપ્રધાને ગળું ખંખેરીને કહ્યું હતું, “મારી પાસે પ્રોફિટની વાત ન કરતા. પ્રોફિટ ગંદો શબ્દ છે.”

નહેરુ અને ઇન્દિરા બંનેને ઉદ્યોગપતિઓથી ‘સુગ’ હતી. ટી.એન. નિનાન નામના એક વરિષ્ઠ પત્રકારે ૧૯૮૬માં એક ઇન્ટરવ્યૂમાં જે.આર.ડી.ને પૂછ્યું હતું કે, “ઉદ્યોગમાં તમે જે કરવા માંગતા હતા એમાં કેટલા સફળ રહ્યા હતા?”

જહાંગીર રતનજી દોરાબજી ટાટા

જે.આર.ડી. : “સાચું કહું તો મને બહુ હતાશા થઇ હતી. યુવાન હતો ત્યારે હું એન્ગ્રી યંગ મેન હતો. આપણે ગુલામ હતા, લોકોનું શોષણ થતું હતું. આપણે અવસરો ગુમાવી દીધા અને હવે હું એન્ગ્રી ઓલ્ડ મેન છું.”

નિનાન : “તમારી મોટી હતાશા આ હતી?”

ટાટા : “યેસ, ઓફકોર્સ. ૩૫ વર્ષ પહેલાં આ દેશમાં હું પહેલો માણસ હતો જેણે વસ્તી વધારા સામે લાલ બત્તી ધરી હતી. મેં એક ભાષણ આપ્યું હતું, અને મને કોણે ટકોર્યો હતો ખબર છે? નહેરુએ. મારા કાનમાં એ બોલ્યા હતા, ‘નોનસેન્સ વાત છે, જે. વિશાળ વસ્તી કોઈપણ રાષ્ટ્રની તાકાત હોય છે.’ એ પછી આપણે ૩૫ કરોડ લોકો ઉમેર્યા.”

નિનાન : “તમે તેમની સાથે દલીલો કરતા ન હતા?”

ટાટા : જવાહરલાલ સાથે દલીલો ન થાય. એમને એની વાત જ કરવી ન હતી. હું એમનો સારો દોસ્ત હતો. તેમને મારામાં વિશ્વાસ હતો. એમને ખબર હતી કે હું તેમની કદર કરતો હતો, પણ એ જાણતા હતા કે તેમની આર્થિક નીતિમાં હું સંમત નથી. હું તો તેમની વિદેશ નીતિ સાથે પણ સંમત ન હતો. એટલે તેમની સાથે આર્થિક ચર્ચા શક્ય બનતી ન હતી.”

નિનાન : “તમે પ્રયાસ કર્યો હતો?”

ટાટા : “યેસ. તેમને અને પછીથી મિસિસ ગાંધીને સારી ભાષામાં મને ‘શટ અપ’ કહેતાં આવડી ગયું હતું. હું આર્થિક નીતિનો વિષય છેડું એટલે જવાહરલાલ ગોળ ફરીને બારી બહાર જોવાનું ચાલુ કરી દેતા. મિસિસ ગાંધી કંઇક બીજું કરતાં.”

નિનાન : “એ કાગળ પર ચિતરામણ કરતાં?”

ટાટા : “યેસ, પણ મને એનો બહુ વાંધો ન હતો. એ એન્વેલોપ્સ ઉપાડતાં, એને ખોલતાં અને અંદરથી કાગળ બહાર કાઢીને વાંચતાં. શિષ્ટ રીતે એ ઈશારો હતો કે એ મારાથી કંટાળ્યાં છે.”

નિનાન : “આ કંઈ શિષ્ટ ન કહેવાય.”

ટાટા: “ચાલે એ તો. એકવાર તો એ ગુસ્સે થઇ ગયાં હતાં. હું બોલતો હતો, એ એન્વેલોપ્સ ખોલતાં હતાં. રૂસી મોદી મારા કાનમાં જોરથી બબડ્યા- મને લાગે છે તેઓ કંટાળ્યાં છે. અને એ બોલ્યાં : “ના, ના, ચાલુ રાખો પ્લીઝ, હું ધ્યાનથી સાંભળું છું. પણ મારા સંબંધો મૈત્રીપૂર્ણ હતા.”

નહેરુના સમયમાં (અને પાછળથી ઇન્દિરાના સમયમાં) રાષ્ટ્રીય ઉધોગો સરકારના હાથમાં જ હોવા જોઈએ અને તેમાં ખાનગી ઉધોગપતિ માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ તેવી નીતિ વિકસી હતી. નહેરુએ એટલા માટે આખા એવિયેશન સેક્ટરનું રાષ્ટ્રીયકરણ કરીને એર ઇન્ડિયા સહિત નવ ખાનગી એર લાઈન્સનું વિલીનીકરણ કરીને એક સ્થાનિક એર લાઈન્સ (ઇન્ડિયન એર લાઈન્સ) અને બીજી આંતરરાષ્ટ્રીય એર લાઈન્સ(એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ)નું સર્જન કર્યું હતું.

નહેરુ વળી ટાટાની લાજ રાખવા માટે તેમને એર ઇન્ડિયાના ચેરમેન પદે ચાલુ રાખ્યા હતા. જે.આર.ડી. ટાટાને ગાંધી પરિવાર સાથે સારો ઘરોબો છે એવી બધાને ખબર હતી, અને એમાં ઇન્દિરાના કટ્ટર હરીફ મોરારજીભાઈ દેસાઈ વડા પ્રધાન બન્યા એટલે ૧૯૭૮માં તેમણે તો ટાટા પાસેથી ચેરમેનપદ પણ ખુંચવી લીધું હતું. કેવું કહેવાય કે એક બીજા ગુજરાતી વડા પ્રધાને એર ઇન્ડિયાને પછી ટાટા ગ્રૃપને આપી!

ઇન્દિરા ગાંધીએ ત્યારે જે.આર.ડી. ટાટાને એક પત્ર લખીને કહ્યું હતું,” તમે હવે એર ઇન્ડિયા સાથે નથી એ જાણીને મને દુઃખ થયું છે. તમારા જવાથી એર ઇન્ડિયાને પણ દુઃખ થયું હશે. તમે માત્ર ચેરમેન જ નહીં, જનક પણ હતા. તમે વિમાનોના ડેકોરથી લઈને એર હોસ્ટેસની સાડીઓ સુધીની સુક્ષ્મ બાબતોમાં રસ લઈને એર ઇન્ડિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોખરે મૂકી હતી. અમને તમારું અને એર ઇન્ડિયાનું ગૌરવ હતું. તમારી પાસેથી એ કોઈ છીનવી નહીં લે. આપણા વચ્ચે થોડી ગેરસમજ હતી, પણ હું કેવા દબાણ હેઠળ કામ કરતી હતી અને એવિયેશન મંત્રાલયમાં કેવી અદેખાઈ ચાલતી હતી એ હું તમને નહીં કહી શકું. મારે વધુ કંઈ કહેવું નથી.”

જે.આર.ડી.ના જવાબમાં ન તો કોઈ કડવાશ હતી કે ન તો આખી વાતનો ઉલ્લેખ સુદ્ધાં. તેમણ લખ્યું હતું, “તમે પત્ર લખવાની તસ્દી લીધી તે બદલ આભાર. એરલાઈનને ઊભી કરવામાં મેં જે ભૂમિકા ભજવી હતી તેનો તમે ઉલ્લેખ કર્યો તેનાથી મને આનંદ થયો છે. મને મારા સાથીદારો અને સ્ટાફની વફાદારી અને ઉત્સાહ મળ્યો અને સરકારોનો ટેકો મળ્યો તે મારું નસીબ હતું, તેના વગર મેં કશું સિદ્ધ કર્યું ન હોત. તમારી તબિયત સારી હશે. “

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”’ ૧૭ ઑક્ટોબર ૨૦૨૧
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...475476477478...490500510...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved