Opinion Magazine
Number of visits: 9457076
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હું કેવળ કવિ છું, હું નથી તત્ત્વજ્ઞાની, નથી …

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 August 2024

આજે ઑગસ્ટની સાતમી તારીખ છે : 1941માં આ તારીખે (શ્રાવણી પૂર્ણિમાએ) કોલકાતામાં કવિગુરુ રવીન્દ્રનાથે જોડાસાંકોની ઠાકુરવાડીમાં, જ્યાં જન્મ્યા’તા ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા. એમની પૂર્વાજ્ઞા પ્રમાણે ત્યારે ગવાયેલી રચના હતી : 

‘સંમુખે શાંતિ પારાવાર

ભાસાઓ તરણી હે કર્ણધાર…’ 

(‘મારી સન્મુખ શાંતિનો પારાવાર લહેરાય છે. હે કર્ણધાર, હવે નૌકાને તરતી મૂકો.’

કવિએ પસંદ કરી રાખેલું અંતિમ ગાન જો ‘શાંતિ પારાવાર’નું હતું તો એમનું છેલ્લું જાહેર વ્યાખ્યાન હજુ બે-ત્રણ માસ પૂર્વે અપાયું એનું વસ્તુ ‘સભ્યતાર સંકટ’ (‘ક્રાઈસિસ ઈન સિવિલાઈઝેશન’) હતું. પહેલા વિશ્વયુદ્ધની વિભીષિકા વારાથી એ રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો બાબતે સચિંત રહ્યા છે અને 1941નું વરસ બીજા વિશ્વયુદ્ધના સમયગાળાનું છે એટલે એ સભ્યતા પર એમને જે સંકટ વરતાય છે તેને વિશે બોલ્યા વિના રહી શક્યા નથી. જીવન સહજ ક્રમે સંકેલાવામાં છે, મૃત્યુને પોતે જગતજનની એક એક થાનલેથી બીજે થાનલે લેતી હોય એવા વત્સલ ભાવે વધાવ્યું છે, સામે શાંતિ પારાવાર છે, પણ વિશ્વમાનવતા પરનું જે સંકટ છે એને વિશે બોલ્યા વિના રહેવાય શાનું.

ત્યારે જે સ્વાભાવિક જ સામ્રાજ્યવાદવશ અક્ષરશ: આદર્શ લેખાતું હતું એ પશ્ચિમનું ઓઠું લઈને કવિએ સભ્યતાની ચીલેચાલુ વ્યાખ્યાની અસલિયતને અસંદિગ્ધ શબ્દોમાં પકડી છે કે આ તો લોભ, હિંસા, પશુબળ અને અહંકાર પર ઊભેલી ઈમારત છે.

કવિ સ્વદેશવત્સલ છે, માનવતાના અનુરાગી છે. 1905માં બંગભંગ વખતે હિંદુ-મુસ્લિમ ભાગલાની અંગ્રેજ રાજવટની કોશિશ વરતી જઈ એ ‘રાખીબંધન’નું ગાન કરતા કોલકાતાના રાજમાર્ગો પર અવિશ્રાન્ત ચાલ્યા છે. ગાંધીએ જ્યારે વિરાટ આંદોલન જગવ્યું ત્યારે ઊછળતા રાષ્ટ્રવાદની મર્યાદા વિશે ચિંતા વ્યક્ત કર્યા વિના એ રહી શક્યા નથી. બીજી પાસ આ જ કવિ 1919માં અમાનુષી જલિયાંવાલા હત્યાકાંડ વખતે અંગ્રેજ સરકારને કહે છે, પાછું લઈ લો તમે મને આપેલું નાઈટહુડ.

સ્વાભાવિક જ એ સ્વરાજ આંદોલનની સાથે છે – અલબત્ત, કંઈક ભાવનાત્મક ધોરણે. પણ એમાં શીલ ને સંયમ પરનો એમનો ભાર છે જે ગાંધીને ગમે પણ છે. એ રીતે 1920-21માં અસહકાર આંદોલનના વારામાં કવિનો જે પ્રત્યાઘાત હતો એના કરતાં 1930માં દાંડીકૂચના વારામાં ચોક્કસ જ ન્યારો છે. પોતે ઇંગ્લેન્ડમાં છે અને ત્યાંનો સ્થાપિત મત આ કૂચની જે ટીકા કરે છે એ કેમ ઠીક નથી એવો પ્રતિભાવ એમણે ખખડાવીને ત્યાંના પ્રસાર માધ્યમોમાં આપ્યો છે.

તો, સંમુખે શાંતિ પારાવાર છે. સિત્તેરમે 1931માં શાંતિનિકેતનના આમ્રકુંજમાં કેફિયતનુમા અંદાજમાં કહ્યું છે : ‘હું કેવળ કવિ છું. હું નથી તત્ત્વજ્ઞાની, નથી શાસ્ત્રજ્ઞાની, નથી ગુરુ કે નથી નેતા, હું નવબંગાળમાં નવયુગનો ચાલક પણ નથી. હું તો વિચિત્રનો દૂત છું. હું નાચું છું, નચાવું છું, હસું છું, હસાવું છું, ગાન કરું છું, ચિત્રો ચીતરું છું. જે લોકો મને શંખ વગાડી ઊંચે માંચડે બેસાડવા ઈચ્છે છે તેમને હું કહું છું કે હું તો નીચું સ્થાન લઈને જ જન્મ્યો છું. હું સૌનો બંધુ છું. હું છું કવિ! આ જ મારો એકમાત્ર પરિચય છે.’

જો કે, આ પરિચય જરી ખોલીને સમજવા જોગ છે. તે માટે ‘પ્રાન્તિક’ પાસે જઈશું જરી? 1937ના સપ્ટેમ્બરમાં એક સાંજે વાત કરતાં કરતાં એ અચાનક જ બેભાન થઈ ગયા. પૂરા બે દિવસ પછી ભાનમાં આવ્યા ત્યારે આ મૃત્યુવત અનુભૂતિ અને નવજીવનની સંપ્રાપ્તિનાં જે કાવ્યો લઈને આવ્યા તે ‘પ્રાન્તિક.’

ઉમાશંકર જોશીએ ‘પ્રાન્તિક’નાં છેલ્લાં ચાર કાવ્યોનું વિવરણ કરતાં કહ્યું છે કે આ ચાર કાવ્યો રવીન્દ્રનાથના વસિયતનામા રૂપ વ્યાખ્યાન ‘સભ્યતાર સંકટ’નાં આગોતરાં કાવ્યરૂપ સમાં છે.

‘કવિની વાણી’, ઉમાશંકર કહે છે, ‘વગર અવાજે અનંતની છાબમાં ભલે સરી પડશે, પણ તે પૂર્વે મૃત્યુ લગોલગના પ્રાન્તિક પ્રદેશથી પાછા ફરેલા કવિને આસુરી બળો સામે તૈયાર થતાં સૌને બારણે બારણે હાક મારતા જવું એવો સ્વધર્મ સમજાય છે, જેથી તેઓ સૌ ઉદ્યુક્ત રહે, સાવધ રહે, પીઠબળ અનુભવે, ખપી ખૂટવામાં પાછી પાની ન કરે. વિજયી નીવડીને રહે. જીવન છે ત્યાં સુધી, શ્વાસ ચાલે છે ત્યાં સુધી, સત-અસતના સંઘર્ષમાં સક્રિયપણે સંડોવાવાનું રહે છે જ …’

સત-અસત વચ્ચેના સંઘર્ષનો રોડમેપ, ખરું જોતાં જો કે કવિપથ એમની અમર ‘ભારત-પ્રાર્થના’માં આબાદ ઝીલાયો છે :

‘ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત છે, 

જ્ઞાન જ્યાં મુક્ત છે, ઘર ઘરના વાડાઓએ જ્યાં રાત–દિવસ 

વસુધાના નાના નાના ટુકડા કરી મૂક્યા નથી,

વાણી જ્યાં હૃદયના ઝરણામાંથી સીધી વહે છે,

કર્મનો પ્રવાહ જ્યાં રૂંધાયા વિના દેશે દેશે અને 

દિશાએ દિશાએ સતત સહસ્રવિધ સફળતા પ્રતિ ધસે છે,

તુચ્છ આચારરૂપી રણની રેતીએ જ્યાં વિચારનાં ઝરણાંને ગ્રસી લીધું નથી, 

અને પૌરુષના લાખ લાખ ટુકડા કરી નાખ્યા નથી,

જ્યાં હંમેશાં તું સકળ કર્મ, વિચાર અને આનંદનો નેતા છે,

ત્યાં, ત્યાં જ, તે સ્વર્ગમાં, તારે પોતાને હાથે નિર્દય આઘાત કરી 

હે પિતા, તું ભારતને જગાડ.’

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 ઑગસ્ટ 2024

Loading

હે ભગવાન ! આ ‘વિભૂતિ’ ક્યારે જશે?

જય  કાંત|Opinion - Short Stories|7 August 2024

ડોર બેલ રણક્યો !

મને થયું ‘લોક્ડાઉનના સમયગાળામાં કોઇના ઘરે મળવા જવાનું ના હોય, કોઇને આવકારવાનું પણ ના હોય, ને આ વળી કોણ ટપકી પડ્યું’ ! અમને નવાઇ લાગી. મેં મારી પત્ની નિમા સામે જોયું.

એણે કહ્યું : ‘અરે, રવિ, શું ઊભા છો !  બારણું ખોલીને જુઓ તો ખરા કે કોણ છે? ટપાલી છે કે બીજું કોઇ છે?’

મોં પર માસ્ક પહેરીને બારણું ખોલ્યું તો સામે ‘ભમતારામ’ પ્રેમાનંદી હસતા ઊભા હતા! બોલ્યાઃ  ‘કેમ છે?’ એમના મોં પર માસ્ક નો’તું. પીઢ ‘એન્ટિ-માસ્કર’ અને ‘કોવિડિયેટ’ના હાસ્યપ્રકાશને લીધે મારો ચહેરો ઝંખવાઇ ગયો.

તમને થશે આ ‘એન્ટિ-માસ્કર’ અને ‘કોવિડિયેટ’ વળી શું? અત્યારના કોરોનાકાળમાં ઘણાં નવા શબ્દો ચલણી બન્યા છે તેમાંના આ બે શબ્દો છે. ‘એન્ટિ-માસ્કર’ એટલે જે કોઇ ‘માસ્ક વિરોધી’ હોય તે અને ‘કોવિડિયેટ’ એટલે કોરોના અંગેની ગાઇડલાઇન ન માનનાર (ઈડિયટ) !

એમને જોઇને હું અવઢવમાં પડ્યો. મારી ચૂપકીદીથી બોલ્યા : ‘કેમ અલ્યા, ઇંગ્લેંડ આવીને આપણા ભારતીય સંસ્કાર, સંસ્કૄતિ, પરંપરા, અને આદર્શ પણ ભૂલી ગયો?’

મેં કહ્યું : ‘મને સમજાયું નહીં.’

પ્રેમાનંદી બોલ્યા : ‘અતિથિ દેવો ભવ !’ અતિથિ દેવ સમાન ગણાય, એમને આવકાર આપવાનો હોય.’

મેં કહ્યું : ‘હા, બરાબર, પણ ફોન નહીં, વોટ્સએપ પર મેસેજ પણ નહીં, ને કોરોનાકાળમાં તમે અચાનક આવ્યા તેથી મને  જરા ….’

‘અલ્યા, મેં શું કહ્યું? અતિથિ દેવો ભવ, ‘અતિથિ’ શબ્દનો અર્થ  જ ‘જેને આવવાની તિથિ નક્કી ના હોય તે અતિથિ’. અતિથિ ગમે તે દિવસે, ગમે તે સમયે આવે, એને હસતા મોંએ જ આવકારવાના હોય.’

હું વિચાર કરતો ઊભો હતો, મને હિંદી ફિલ્મ ‘અતિથિ, કબ ઘર જાઓગે?’ મારા સ્મરણપટ પર છવાઇ ગઇ.  મને વિચાર આવ્યો આ બલાને કઇ રીતે ટાળવી!

મેં કહ્યું : ‘અત્યારે લેસ્ટરમાં લોકડાઉન છે, એની તો તમને ખબર છે ને? એના રૂલ પ્રમાણે આપણાથી કોઇના આંગણે ના જવાય, કોઇના ઘરમાં પણ ના જવાય, તેથી હું …’

મહાશય બોલ્યા, ‘અલ્યા, સરકાર એનું કામ કરે, આપણે આપણી રીતે જીવવાનું હોય, આપણે આપણો અમૂલ્ય સંસ્કાર વારસો ગુમાવવાનો ના હોય. આપણું લેસ્ટર તો મીની ગુજરાત કહેવાય છે ! આપણા કવિ દુલા ભાયા ‘કાગ’ લલકારી ગયા છે તે તો યાદ છે ને? એમ કહી લલકારવા લાગ્યા :

‘એ જી તારા આંગણિયે પૂછીને કોઇ આવે રે,

આવકારો મીઠો આપજે રે જી ….’

દુલા ભાયાના લલકારની મને ચિંતા નો’તી પણ પ્રેમાનંદીના નાટકીય લલકારથી ચિંતિત થઇ, એમના કલ્ચરલ અને ઇમોશનલ બ્લેકમેઇલિંગ સામે નમતું મૂકી, મોં પર કુદરતી હાસ્ય લાવવાનો સફળ અભિનય કરતો જ હતો ને એમણે ધસી જઇને ગૄહપ્રવેશ કરી દીધો. મેં એમને બીતા બીતા, કાયદેસરની ગુનાહિત લાગણી અનુભવતાં ઘરમાં આવકાર્યા.

એમને દૂર એક સોફા પર બેસાડ્યા.

નિમાએ માસ્ક પહેરી લીધું ને એમને કમને પૂછ્યું, ‘ચા લેશો કે કોફી?’

પ્રેમાનંદીએ કહ્યું, ‘જો આ છે આપણા ભારતીય સંસ્કાર! હું તો ચા લઇશ અને તે પણ આદુ ને મસાલાવાળી, સાથે થોડો નાસ્તો પણ લઇશ. સાથે સામે બેસીને બે વાત પણ કરીશ.’

એમની બે વાત એટલે કેવી ને કેટલી તેનો અમને અનુભવ હતો, એટલે અમારા મોતિયા મરી ગયા પણ મોં પર જિજ્ઞાસા ધારણ કરી કહ્યું, ‘બોલો શી વાત કરવી છે?’

પ્રેમાનંદી બોલ્યા : ‘આપણી ટોરી સરકાર દેખાદેખીને લીધે, બીજા દેશોને રવાડે ચઢી લોકડાઉન લાવે ને લોકો હરતાં ફરતાં બંધ થાય તે ઠીક ના કહેવાય.’

મેં કહ્યું ‘લો, કરો વાત ! તમે પણ શું યાર! કોવિડ 19 એટલે કે કોરોના વાઇરસ ડીઝિઝ 2019ની મહામારીએ જગતભરમાં માઝા મૂકી છે અને તમને લોકોના હરવા ફરવાની ચિંતા છે! કરોડો લોકો એને લીધે માર્યા ગયા છે ને મરે છે ને કેટલા મરશે તેની ગણતરી નહીં, ને……’

મને આગળ બોલતો અટકાવી બોલ્યા, ‘જે જન્મે તે મરે, વહેલા કે મોડા. ભાગ્યમાં લખાયા પ્રમાણે જ થાય, બધાએ મરવાનું જ છે, તો આનંદથી હરીફરીને મોજમજા કરીને શા માટે ના મરીએ?  ડરી ડરીને થોડું જીવવાનું હોય? જિંદગી લાંબી નહીં, બિંદાસ્ત હોવી જોઇએ !’

‘આપણે કાળજી રાખી જીવીએ તો કમોતે તો ના મરીએને? પરિવાર માટે રોટલો રળનાર ઘરનો મોભ, ઘરનો આધાર હોય, એ તેની પોતાની કે કોઇ બીજાની બેકાળજીને લીધે કસમયે મરે તો એના પરિવારનું શું? એટલે…….’

મને ફરી અટકાવી બોલ્યા : ‘ભાઇ, તારા જેવા બીકણ ઘણાં છે પણ આ દેશમાં ને દુનિયાના અનેક દેશોમાં બિંદાસ્ત માણસો પણ પડ્યા છે, જેઓ લોક્ડાઉનના રૂલની પરવા કરતા નથી.  આમજનતાના સભ્યો, પ્રસિદ્ધ માણસો અને ખુદ કાયદા-કાનૂન બનાવરા પોલિટિશિયનોનો પણ તેમાં સમાવેશ થાય છે, તેનું શું?’

એમના સવાલથી મને ચીડ ચઢી. મેં કહ્યું ‘એ લોકો બિંદાસ્ત ના કહેવાય. અક્કલ વગરના કહેવાય. તેથી તો ખુલ્લેઆમ નફકરા બનીને હરેફરે છે.’

‘અલ્યા, આ શું બોલ્યો? વિશ્વની મહાસત્તા અમેરિકાના મહાન, બુદ્ધિશાળી, બહાદુર, પીઢ બિઝનેસમેન, બહુમુખી પ્રતિભા ધરાવતા નેતા ડોનાલ્ડ ટ્રમ્પ પોતે માસ્ક પહેરતા નથી કે કોઇને માસ્ક પહેરવાની ફરજ પણ પાડતા નથી! બે મિટરનું અંતર રાખવાની વાત પણ કરતા નથી.  અમેરિકા તો ફ્રી કંટ્રી છે એટલે જ તો અમેરિકામાં ઘણા લોકો મસ્ત બનીને ફરે છે, પાંચપંદર મિત્રોને બોલાવી પાર્ટી પણ કરે છે.’

‘અમેરિકામાં કંઇ બધા લોકો એવા અવિચારી નથી ને ડોનાલ્ડ ટ્રમ્પ…….’ મેં જોયું તો એમનું ધ્યાન મારી દલીલ કરતાં નિમાએ સામે મૂકેલાં ચા-નાસ્તા તરફ વધારે હતું.’

‘નિમા, આ શું જીરામીઠાવાળા બિસ્કિટ? અત્યારે વિંટર છે ને મગજ કે અડદિયા નથી બનાવ્યા?’

નિમા બોલી : ‘અમે ઘી તેલવાળી વસ્તુ ખાતા નથી.  એ હેલ્થ માટે નુકસાનકારક છે.’

‘લો કરો વાત ! તમે લોકો પરદેશ આવીને આપણી પરંપરા ભૂલી ગયા.  ચાલો, કોઇ વાત નહીં.’ એમ બોલી, અતિથિ ચા-નાસ્તો કરતાં કરતાં બોલ્યા : ‘બિચારા ટ્ર્મ્પને લોકો સમજતા જ નથી, એ બિઝનેસમેન છે, પ્રેસિડેંટ છે ને મોટો સાયંટિસ્ટ પણ છે એટલે જ તો એણે કોવિડ મટાડવાનો નુસ્ખો ય બતાવ્યો હતો પણ લોકો એને સાંભળવા ય રાજી નો’તા.’

‘ડોનાલ્ડ ટ્રમ્પ ને સાયંટિસ્ટ!? ટ્રમ્પ ડિસઇંકેટંટના ઇંજેકશન આપવાની વાત કરે છે એટલે તમે એને  સાયંટિસ્ટ કહો છો !? લોકો એને ક્યાંથી સાંભળે, તમે પણ યાર….’

મારી વાત કાપી પ્રેમાનંદીને દલીલ કરતા અટકાવવા માટે નિમાએ એમને પૂછ્યું : ‘આપણા લેસ્ટરની શું નવાજૂની છે?  અમે તો બહાર નીકળતા જ નથી.’

‘જોયું ને, ઘરની બહાર નીકળો તો ખબર પડે ને કે શહેરમાં શું થઇ રહ્યું છે. લેસ્ટરમાં પણ લોકો લંડન, લિવરપુલ, નોટીંગહામની જેમ એ…ય આરામથી ફરે છે! મોજમજા કરે છે, પાન, માવો ખાતા ખાતા પિચકારી મારતા જુવાનિયાઓ પણ પાંચછના  ટોળામાં હાહાટીટી કરતા રસ્તા પર, પાર્કમાં બિંદાસ્ત બનીને ફરે છે.’

‘હે ભગવાન, એ જુવાનિયાઓને કોણ સમજાવે કે આ કોરોનાકાળના સમયગાળામાં કાળજી રાખી જીવન જીવવાનું હોય છે.’ હું બોલ્યો.

‘અરે, રવિ, તું તદ્દન વેદિયો જ રહ્યો. અલ્યા ફક્ત જુવાનિયાઓ જ નહીં, મોટી ઉંમરના બુઢિયાઓ પણ લાકડી લઇને રસ્ત્તા પર ફરે છે ને ગ્રોસરી સ્ટોરમાં પણ શોપિંગ કરવા નિરાંતે જાય છે.’

‘જુવાનિયાઓ રૂલ અનુસાર, ન છૂટકે, ખાસ જરૂરી કામ હોય તો જ બહાર જતા હોય, મોં પર માસ્ક બાંધે, બે મિટરનું અંતર રાખી ચાલે, ટોળામાં ન જાય પણ એકલા જ જાય, પાન માવો ખાઇને રસ્તા પર પિચકારી ના મારે તો કોને વાંધો હોય? તેઓ સલામત રહે ને બીજાઓ પણ સલામત રહે. પણ પાન, માવો ખાતા ખાતા પિચકારી મારતા પાંચછના ટોળામાં હાહાટીટી કરતા રસ્તા પર ફરતા હોય એ તો ઠીક ના કહેવાય. એથી કોરોના વાયરસ વધે ને કામધંધો કરતા લોકો બીમાર પડે ને અનેક માણસો માર્યા પણ જાય એ તો ઠીક નથી. એથી એમની ને બીજાની પણ સલામતી જોખમાય છે, એમને કોરોના વાયરસ લાગી ગયો તો એમને સહેવું પડે ને એમની ફેમિલીને પણ સહન કરવું પડે અને આપણી નેશનલ હેલ્થ સર્વિસ પર પણ બિનજરૂરી બોજો પડે તેનું શું? આપણે એ પણ વિચારવાનું હોય. આપણા દેશની ઇકોનોમીનું શું? આપણી બેકાળજીથી દેશની ઇકોનોમી પર માઠી અસર…. ’

મને અટકાવી અતિથિ બોલ્યા : ‘અરે .. ઇકોનોમીની માને પરણે, સરકાર તો ઇકોનોમી સંભાળવા બેઠી છે. તો આપણે શી ચિંતા? આપણે ટેક્સ ભરીએ છીએ ને સરકારને પોષીએ છીએ એટલે ઇકોનોમીની ચિંતા સરકાર કરે.’

નિમા અમારી વાતચીતથી ઊંચીનીચી થતી હતી. એણે મને મારા મોબાઇલ પર મેસેજ મોકલી અતિથિને ખબર ન પડે તેમ ઇશારો કરી મેસેજ વાંચવા જણાવ્યું. મેં મોબાઇલ ચેક કર્યો.

નિમાનો મેસેજ હતો, ‘આ ભૂત સાથે દલીલબાજી ના કરો, ને એને ટાળવાનો ઉપાય કરીએ. હું તમને જે કહીશ તે સાંભળીને મને કોઇ પણ સવાલ પૂછ્યા વિના એકટિંગ કરો.’

મેં કહ્યું, ‘આ દેશના નાગરિક તરીકે આપણે…..’

મને આગળ બોલતો અટકાવી, નિમા બોલી : ‘ અરે, તમે બેઠા બેઠા વાત કર્યા કરો છો, તે આજે તમારે શશીભાઇને અગિયાર વાગે તેમના અંગત કામ માટે ફોન કરવાનો છે તે તો યાદ છે ને?  જુઓ, અગિયારમાં દસ થયા છે.’

‘ઓહ હા, એ તો હું તો ભૂલી જ ગયો હતો, તેં યાદ કરાવ્યું તે સારું કર્યું.

‘જુઓ, બાપુજીને લંચ પહોંચાડવા હું જાઉં છું. આપણું ને બાપુજીને માટે પણ શોપિંગ કરવાનું છે, મને આવતા વાર લાગશે’. બોલી નિમા બહાર જવાની તૈયારી કરવા લાગી.

પ્રેમાનંદીએ પૂછ્યું, ‘નિમા, તું કારમાં જાય છે? હું પણ તારા બાપૂજીને મળી લઇશ….’

નિમાએ કહ્યું, ‘માફ કરજો. લોકડાઉનના નિયમ પ્રમાણે, મારા બાપૂજીને મારા સિવાય બીજું કોઇ મળી શકતું નથી. રવિ પણ મળી શકતા નથી. મારા બાપૂજી એકલા છે અને એમને ડાયાબિટિસ ને હાર્ટની તકલીફ છે, એટલે લોક્ડાઉનના નિયમ અનુસાર હું બાપૂજીને તેમનું ખાવાનું, દવા અને જરૂરી વસ્તુ પહોંચાડવા અને તેમની કાળજી રાખવા માટે ‘સપોર્ટ બબલ’માં છું એટલે માત્ર હું જ તેમને મળું છું.’

પ્રેમાનંદી બોલ્યા, ‘જો બે’ન, હું તો માણસભૂખ્યો છું, મને માણસોને મળવાનું ને તેમની સાથે વાત કરવાનું ગમે એટલે એમને મળવાનો વિચાર થયો. ભલે તું જા.’

મને મનમાં થયું, ‘તમે માત્ર માણસભૂખ્યા નથી, પણ માનવ-મગજ ને ભોજનભૂખ્યા પણ છો તે અમારાથી કયાં છૂપું છે!’

નિમાએ બારણાં બહાર જતાં જતાં ફરી યાદ કરાવ્યું, ‘જો જો રવિ, તમે શશીભાઇને ફોન કરવાનું ના ભૂલતા.’

‘તું ચિંતા ના કર, નિમા, હું બેઠો છું, હું રવિને યાદ કરાવીશ,’ અતિથિ બોલ્યા.

‘જુઓ પ્રેમાનંદી, શશીને મને કોઇ અંગત વાત કરવી છે અને મારા મિત્રોની અંગત તકલીફોની વાત હું નિમાની હાજરીમાં પણ કરતો નથી. મિત્રોની કોન્ફિડેંશિયાલિટિ જાળવવાની હોય છે તેથી તમારી જ નહીં, કોઇ બીજાની હાજરીમાં પણ એની સાથે તેની કોઇ અંગત વાત ના થાય. માફ કરજો. આપણે ફરી કયારેક મળીશું, આવજો’. મેં હિંમત કરી કહ્યું.

‘હા હા વાંધો નહીં, આવતા શનિવારે મળીશું’ ‘અતિથિ’એ ઊભા થતાં થતાં તિથિ નક્કી કરી!’

‘આવતા શનિવારે નહીં, કોરોના વાયરસ જતો રહે પછી જ મળીશું, એ જ અમારા ને તમારા હિતમાં છે,’ કહી સ્પષ્ટવકતા બનવામાં મેં સફળતા મેળવી.

‘અરે યાર…તું પણ….જવા દે વાત, આવજે…’ બોલી અમારા ‘અતિથિ-વાયરસ’ ઘર બહાર નીક્ળ્યા ને મેં બારણું બંધ કર્યું. સેનેટાઇઝર વડે અતિથિવાળા સોફાને સાફ કર્યો ને બીજા સોફા પર લંબાવી મેં નિરાંતનો શ્વાસ લીધો.

(લેસ્ટર)
e.mail : j.kant@ntlworld.com

Loading

કોઈ મારી રાહ … 

સરયૂ પરીખ|Opinion - Opinion|6 August 2024

સરયૂ પરીખ

સમાજમાં એકલતા ઘણા માણસોને સાલતી હોય છે, પણ એના કોચલાને તોડી બહાર નીકળવા માટે અભિમાન, અશ્રદ્ધા અને ઉદાસીનતા મહત્ત્વનો ભાગ ભજવે છે, જેને ‘વ્યસ્તતા‘ નામ અપાય છે.

એ દિવસે સેવા આપનાર શિક્ષકો માટે, The Literacy Council – અક્ષરજ્ઞાન સંસ્થા તરફથી, સન્માન કાર્યક્રમ હતો. હ્યુસ્ટનમાં, હું સાત વર્ષથી અંગ્રેજી શીખવવાની સેવા આપતી હતી. મેળાવડામાં મને “Chicken Soup for the Soul” નામનું પુસ્તક ભેટ મળ્યું. પહેલી વખત આ પુસ્તકનો પરિચય થયો. આ પુસ્તકમાં સત્યકથાઓનું સંપાદન કરવામાં આવેલું હોય છે અને આવા ઘણા સંગ્રહ-ગ્રંથો અમેરિકામાં લોકપ્રિય છે …. ‘સમય મળશે ત્યારે વાંચીશ’ એમ વિચારીને મેં પુસ્તક એક બાજુ મૂકી દીધું.

અમારા ઘરની નજીકમાં એક ઘરડા-ઘર હતું. હું જ્યારે પણ ત્યાંથી પસાર થતી ત્યારે મને મનમાં વિચાર આવે કે મારે કંઈક સેવા આપવી જોઈએ. એક દિવસ અંદર જવાના વિચારને અમલમાં મુક્યો. ફોન પર વાતોમાં અટવાયેલ બહેને મને આવકાર આપી સંસ્થાના પ્રોગ્રામ-ડિરેક્ટર પાસે મોકલી.

મેં એમને કહ્યું, “મદદરૂપ થવા સમય આપીશ, પણ શું કરી શકું એ ખબર નથી! કદાચ પુસ્તક વાંચુ કે એવું કાંઈક …” મારા અચોક્કસ પ્રસ્તાવ વિશે ડિરેક્ટર બહેને કોઈ સુજાવ તો ન આપ્યો, પણ તેમણે કહ્યું કે અહીં Alzheimerના દર્દીઓ છે અને બીજા વિભાગમાં Assisted Living છે. તેઓ મને યાદદાસ્ત ખોયેલા વૃદ્ધોના જુદા વિભાગમાં લઈ ગયાં. મોટા રૂમમાં ટી.વી. પર ચલચિત્ર ચાલતું હતું. મને કહેવામાં આવ્યું કે, એક જ ચલચિત્ર ચાલે રાખે તો પણ આ વડીલો જોતા રહે છે. એક વખતની હોંશિયાર, ચપળ વ્યક્તિઓની દયનીય દશા! એક માજી, જે પોતાનું મોં પણ નહોતાં લૂછી શકતાં, એ મારો હાથ પકડી કહે, ‘મારે એપાર્ટમેન્ટમાં રહેવું છે. મને શોધી આપને.’ … જરા આગળ ગઈ તો મારા આશ્ચર્ય વચ્ચે વ્હીલચેરમાં એક ગુજરાતી માજી આનંદથી, “ચક્કી ચોખા ખાંડે છે…” ગણગણતાં હતાં.

હું પંદર-વીસ મિનિટ પ્રયત્ન કરતી ફરી, પણ મને કોઈની સાથે લાગણીની દોર ન બંધાઈ. બહાર આવી ત્યાં મને ડિરેકટરે પૂછ્યું કે, “ફરી ક્યારે આવશો?” તો અનાયાસ, “સોમવારે આવીશ” એમ કહેવાઈ ગયું … સોમવાર આવ્યો ને મને વિચારો સતાવે, ‘હું ત્યાં જઈને શું કરીશ!’ પોતાની દશાની ખબર ન હોય તેવા ઘરડા લોકોને જોવા એ પણ એક કસોટી છે. અંતે એક ભાવ સ્ફૂર્યો. ‘હું ફરી એક વખત જઈશ અને જો કોઈ મારી રાહ જોતું હશે તો મને મળશે.’

સોમવારે સવારે હું ઘરડા-ઘરના આગલા ખંડમાં દાખલ થઈ ત્યારે એક વૃદ્ધા વ્હીલ ચેરમાં બેઠાં હતાં અને ટી.વી. પર સમાચાર ચાલુ હતા. મને ફરી એ જ પાછળના મોટા રૂમમાં લઈ ગયાં. મેં થોડી મદદ કરવા પ્રયત્ન કર્યો, પણ મારી ત્યાં હાજરી નિરર્થક લાગી. મેં મનમાં ગાંઠ વાળી, ‘બસ, પ્રયત્ન કરી છૂટી, …હવે ઘર ભેગાં.’ પાછી આગલા ખંડમાં આવી તો એ વૃદ્ધાની ખુરશી બીજી તરફ હતી, અને ટી.વી. પ્રોગ્રામ રસથી સાંભળતાં હતાં. મેં એમની નજીકના સોફા પર બેસી વાતચીત શરૂ કરી :

“મારું નામ સરયૂ, આપનું નામ?”

એ મજાનું હસીને કહે, “હેલન.”

મેં જરા ટી.વી.ના શો વિષે વાતો કરી. તેઓ કેમ ટી.વી. તરફ જોવાને બદલે સાંભળે છે? એવા મારા સવાલના જવાબમાં હેલને કહ્યું કે, એમને લગભગ અંધાપો આવી ગયો છે. જ્યારે મારી પાસેથી જાણ્યું કે હું ભારતીય છું તો ઉત્સાહથી બોલ્યાં, “અરે વાહ! હું થોડા ભારતીઓને ઓળખું છું. અમે મારી દીકરીના પડોશીને ત્યાં જમવા ગયેલાં. મને ખાસ કરીને, નાન, બહુ ભાવેલી.”

મેં પૂછ્યું, “હું અઠવાડિયામાં એકાદ બે દિવસ આવીને કાંઈક વાંચન કરું તો ગમશે?” એ સાંભળતાં એમનો ચહેરો ખીલી ઊઠ્યો, “મારાથી હવે વંચાતુ નથી તેથી એ શોખને વિસારે મુક્યો. જો તમે આવીને વાંચશો તો મને ખૂબ ગમશે. મારાં બહેનપણી, નેલ, પણ આવશે.”

બીજે દિવસે સવારનો સમય નક્કી કરી, મેં વિદાય લીધી. મનનો ભાવ પુલકિત થઈ કહેતો હતો કે, “હા, હેલન મારી રાહ જોતી હતી!”…. હવે સવાલ એ થયો કે એવું શું વાચું જેથી નેવું વર્ષનાં બહેનોને રસ પડે! એ વખતે સમજાયું કે, પેલું ભેટ મળેલ પુસ્તક, મને જ કેમ મળ્યું! મેં નક્કી કરી લીધું કે, “Chicken Soup fort he Soul”માંથી, સત્ય કથાઓ વાંચવાની યોગ્ય રહેશે.

અમે જમવાના ખંડમાં મળવાનું નક્કી કરેલ પણ હેલન નહોતાં. હું એમનાં ઓરડામાં ગઈ તો એ નર્સને જલદી કરવાનું કહી રહ્યાં હતાં. મને કહે કે, હવે પછી મને રાહ નહીં જોવડાવે અને ત્યાર પછી લગભગ દરેક વખતે મારા જતાં પહેલાં હાજર થઈ જતાં. હું લગભગ દરેક વખતે ‘નાન’ લઈ જતી જે હેલન બધાને આગ્રહ કરી ચખાડતાં.

હેલન ૮૯ વર્ષનાં, ઉત્સાહી અને હોશિયાર હતાં. વાંચતાં મને કોઈ શબ્દ ખબર ન હોય તો તરત અર્થ કહેતાં. એમનાં બહેનપણી, નેલ પણ આવ્યાં, જે હેલન કરતાં એક વર્ષ મોટાં હતાં. પાતળાં અને નાજુક બહેનને જોતાં ખ્યાલ આવે કે એક સમયે બહુ દેખાવડાં હશે. એમને એક કાને જરા ઓછું સંભળાતું હતું. પછી તો બીજી બહેનો પણ આવીને બેસતી અને સપ્તાહમાં બે દિવસ સવારે મેં વાંચવાનું ચાલુ કર્યું. પુસ્તક પાનાઓ દિવસો, મહિનાઓ અને વર્ષોમાં ફેરવાયાં. ઘણાં પ્રસંગો આવ્યા, જ્યારે એમની આંખોનાં અશ્રુઓ લૂછ્યાં અને એમની ખુશીમાં હસ્યા. એમનાં પોતાના સ્વજનો કરતાં પણ અમારી મુલાકાતો વધી ગઈ. મને પચ્ચાવન વર્ષ થયાં હતાં, પણ એમની નજરે તો, “અરે નાની! તારે તો હજુ બહુ વર્ષો બાકી છે.”

હેલનના પરિચયથી મને ઘણું શીખવા મળ્યું. તેઓ આખું જીવન અહીંથી દૂર ઇન્ડિયાના સ્ટેટમાં રહેલાં, પણ એમની દીકરી અને દીકરાનું કુટુંબ ટેક્સાસમાં હોવાથી થોડાં વર્ષોથી અહીં રહેવાં આવી ગયાં હતાં. એ કહેતાં કે, “મને તો અહીં ગમે છે. હું નસીબદાર છું કે મારાં પ્રેમાળ બાળકો મારી સંભાળ લે છે. એમને અગવડ ન પડે એની મારે પણ કાળજી રાખવી જોઈએ. હું મરી જઉં ત્યારે મને અગ્નિદાહ આપવાનો આદેશ છે, તેથી મારા ગામે લઈ જઈ દાટવાના ક્રિયાકર્મ ન કરવા પડે.” હેલન દરેક સંબંધને કોઈ ખેંચતાણ વગર સ્વીકારતાં અને તેમનાં બહોળા કુટુંબના દરેક સભ્યની પ્રેમપૂર્વક વાત કરતાં. ક્યારેક મારી વાતોમાં ફરિયાદનો સૂર સાંભળી પૂછતાં, “તારાં બાળકો એમના નવા સથવારા સાથે ખુશ છે?” મારા હા કહેતાં એ બોલી ઊઠતાં, “Then what is the problem?” “તો પછી શું મુશ્કેલી છે?” કેટલી સરળ વાત! … બાળકોનાં જીવનમાં આપણું મહત્ત્વ ઓછું થઈ જવાનું દુઃખ આપણને નવા સંબંધોને ખુલ્લા દિલે આવકારતા અટકાવે છે. હેલનના એક સવાલે, મને પોતાની દયા ખાવાને બદલે, દરેકને પોતાની રીતે જીવવાની ચાહને કેટલી સહજતાથી સ્વીકાર કરી શકાય તે શીખવ્યું.

હેલન અને નેલની મિત્રતા પાક્કી હતી. હેલન એક દિવસ કહે, “નેલ સુંદર છે ને? આ નેલ નાની હતી ત્યારે મોડેલ તરીકે કામ કરતી.” બધાં હસીને નેલને વખાણી રહ્યાં. એક દિવસ નેલ ઉદાસ હતી. મેં નજીક બેસી એમને કારણ પૂછ્યું. એમણે સંકોચ સાથે કહ્યું કે, મને સરખું સંભળાતું નથી, તેથી ડોક્ટર કાલે મારા કાન સાફ કરવાના છે, એની મને બીક લાગે છે. મેં એમનો હાથ મારા હાથમાં લઈ પ્રેમપૂર્વક બે શબ્દો કહી હિંમત આપી. પછીના શુક્રવારે જેવી હું રૂમમાં દાખલ થઈ કે નેલ આવીને મને ભેટી પડી. મને કહે, “તેં કહ્યું હતું એમ મને કાંઈ દુખ્યું નહીં અને મને ઠીક સંભળાય છે. ભગવાન તારું ભલું કરે.” એ નાજુક સન્નારીની ખુશી જોઈ હું ગદ્દગદ્દ થઈ ગઈ.

કેટલીક વખત નેલ તેની દીકરી, શેરનની વાત કરતી જેને મળવાની મને ઉત્સુકતા હતી. એ દિવસે હું ઘરડા-ઘરમાં દાખલ થઈ રહી હતી, ત્યારે નેલ તેની દીકરીને સ્નેહથી ભેટી વિદાય આપી રહી હતી. શેરન મને બારણાં પાસે મળતા જ બોલી,

“ઓહ! તમારું નામ સરયૂ હોવું જોઈએ. નેલીમાએ તમારી મુલાકાતોની વાતો કરી …આનંદ સાથ તમારો આભાર.” એકદમ સરળ ભાવે ભેટીને આવજો કહેતી જતી રહી.

મેં અંદર જઈ નેલને કહ્યું, “તમારી શેરન બહુ મજાની છે, પણ તમારા જેવી નથી દેખાતી.” નેલ હેલનની સામે જોઈને હસી. હેલન કહે, “એનું કારણ છે, પણ નેલ બહુ ઓછા લોકોને એની વાત કહે છે.”

નેલ બોલી, “સરયૂને જરૂર કહીશ… હું એ સમયે પચ્ચીસેક વર્ષની હતી. મારા મૉડલિંગના કામને લીધે, એક સ્ટિવ નામના ફોટોગ્રાફરનો પરિચય થયો. મારા કરતાં પંદર વર્ષ મોટો હતો પણ એની કુશળતા અને આત્મવિશ્વાસ માટે મને અહોભાવ થઈ ગયો. એ કહે રાત છે તો રાત અને દિવસ કહે તો દિવસ. ધીમે ધીમે તેનો મારા ઉપરનો પ્રભાવ વધતો ગયો અને હું દબાતી ગઈ. તે પરણેલો અને એક બાળકનો બાપ છે તે ખબર છતાં એને ખુશ રાખવાનું મારું જીવન લક્ષ બની ગયું. હું તેની કઠપૂતલી બની ગઈ. દસેક વર્ષ આમ ચાલ્યું એ સમયે હું ગર્ભવતી બની. મારા તરફની તેની બેદરકારી અને બીજા કારણોસર મારી તબિયત લથડી અને બાળક મરેલું જન્મ્યું. મારામાં સ્ટિવને રસ ઓછો થઈ રહ્યો હતો. બીજે અગત્યની નોકરીનું બહાનું મળતા જ, મને દયાજનક પરિસ્થિતિમાં છોડી અદૃશ્ય થઈ ગયો …… અનેક વર્ષો પસાર થઈ ગયાં, ના ખત- ના ખબર …”

નેલ પાણી પીવા અટકી. “એક દિવસ મને એક મોટી કંપનીમાંથી કોલ આવ્યો કે ‘હું સેક્રેટરી બોલું છું, મારી સાહેબાન, શેરન તમને મળવા માંગે છે’. એક કંપનીની માલિક, શેરન કોણ હશે!!!

“એ સમયે હું એકલી ભાડાના ઘરમાં રહેતી હતી. શેરન મને મળવા આવી. એનો ચહેરો જોતાં જ સ્ટિવની યાદ આવી ગઈ. તેના પહેરવેશ પરથી બહુ શ્રીમંત લાગતી હતી. અચકાતાં મારી સામે આવીને બેઠી અને મારો કોમળતાથી હાથ પકડી બોલી કે, તેને સ્વર્ગસ્થ પિતાના દુષ્કર્મનું પ્રાયશ્ચિત કરવાનું છે.”

શેરને વાત કરી કે સ્ટિવ સાથે વર્ષો સુધી માતા-પુત્રીને ખાસ સંબંધ નહોતો. પણ સ્ટિવને કેન્સર થતાં શેરન બધું ભૂલીને પિતાની સેવામાં હાજર થઈ ગઈ હતી. બે વર્ષની માંદગી દરમ્યાન સ્ટિવે નેલને કરેલા અન્યાયની વાતો શેરનને કરેલી અને પ્રાર્થના પણ કરેલ કે સ્ટિવ તરફથી માફી માગવા તે જઈને નેલને મળે. શેરનને નેલની ભાળ મેળવતા મહિનાઓ નીકળી ગયા. ભાળ મળતા, ખાલી ફરજ પૂરી કરવા આવેલ શેરન, નેલની પ્રેમાળ પુત્રી બની ગઈ હતી. શેરનની મા જીવ્યા ત્યાં સુધી તેમની સાથે પણ નેલનો સદ્દભાવભર્યો સંબંધ રહ્યો હતો.

“છેલ્લા ત્રણ દસકાથી મારી બધી રીતે સંભાળ લેતી શેરનનાં સ્નેહથી મારું જીવન ભર્યું ભર્યું છે.” નેલની આંખો ભાવભીની બની ગઈ.

…. એ દિવસે અમારે બીજી કોઈ વાર્તા વાંચવાની જરૂર ન પડી.

સમયનાં વહેણ સાથે મારા જીવનમાં અને પ્રવૃત્તિઓમાં બન્ને બહેનો ખૂબ રસ લેતાં રહ્યાં. તેઓ મારા આવવાની ઉત્સાહથી રાહ જોતાં અને મને મારા સ્વજનોને મળવા જતી હોઉં એવો ભાવ થતો. હેલન જ્યારે હસતી આંખો સાથે સવાલ કરતી, “તો આજે તું શું વાંચવાની છો?” ત્યારે હું લાગણીના દોરે અનાયાસ બંધાઈને ત્યાં બેઠી છું એની પ્રતીતિ થતી.

માનવ મેળો

વિચાર વર્તન વાણીનો આ કાચોપાકો બાંધો છે, સાંધામાં પણ સાંધો છે ને એમાં સૌને વાંધો છે. જીવજીવ કોઈ ચોરી ચળવળ ચર્ચામાં બંધાયો છે, ઊજળો રસ્તો જોઈ શકે ના એવો આ અંધાપો છે.

મનબુદ્ધિનો લગાવ ધાગો અળવીતરો ફંટાયો છે, ભરી ભોમમાં બે જણા સંગ માંડ કરી સંધાયો છે. સ્વાર્થ સલામત સુવિધા સર્જી, અંતે એ મૂંઝાયો છે, કૂપમંડૂકના સ્થિર નીરમાં અવાજ બહુ રૂંધાયો છે.

સહજ સરળ ને શુદ્ધ ટકે ના, એવો વા સૂસવાયો છે, કરમ કુંડાળે ફરતો, દોડા દોડીમાં રઘવાયો છે. સ્વપ્ના સંતાકૂકડી, ખાલી પડછાયો પકડાયો છે, સમય સરંતી રેતી સાથે, અંગત આજ પરાયો છે.

જાણી શકે તો, હકાર હેતે હોંશે સંગ સુમેળો છે, માણી શકે તો આ જીવન એક મસ્તજનોનો મેળો છે.

Courtesy : Dilip Parikh. Austin. Texas.
e.mail : SaryuParikh@yahoo.com.

Loading

...102030...475476477478...490500510...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved