Opinion Magazine
Number of visits: 9557150
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૧૨) 

સુમન શાહ|Opinion - Opinion|30 October 2024

ટ્રમ્પ કહે છે કે કમલા હૅરિસ ફાસિસ્ટ છે, મૅન્ટલિ ઇમ્પૅર્ડ છે. 

કમલા હૅરીસ કહે છે કે ટ્રમ્પે એક વાર કહેલું કે ગર્ભપાત કરાવનારી સ્ત્રીઓને સજા થવી જોઇએ. ટ્રમ્પને હું જાણું છું.

સર્વોત્તમ કહેવાતા લોકશાહી દેશ યુ.ઍસે.ની ચૂંટણીને માત્ર એક અઠવાડિયાની વાર છે. ત્યારે પ્રમુખપદ જેવા ઉચ્ચ પદના ઉમેદવારો એકબીજા માટે શું બોલે છે, એનું ઉપર્યુક્ત દૃષ્ટાન્ત સ્વયંસ્પષ્ટ છે.

શાળામાં વ્યાખ્યા ગોખેલી કે લોકોનું, લોકો વડે ચલાવાતું, અને લોકો માટેનું શાસન તે લોકશાહી. 

પણ ‘લોકશાહી’ શબ્દને ડીકન્સ્ટ્રક્ટ કરીએ તો જણાશે કે ‘લોક’ સાથે ‘શાહી’ શબ્દ જોડાયેલો છે. લોકશાહોની વર્તણૂકો બાદશાહો જેવી જ હોય છે. લોકશાહીય ગણાતાં રાષ્ટ્રોમાં જ ‘કિન્ગ’ અને ‘કિન્ગડમ’ જીવે છે અને એમના જન્મદિવસો, એમની પુણ્યતિથિઓ, રાજાશાહીમાં ઉજવાતાં હતાં એથી ય ભારે એવા ભભકાથી ઉજવાય છે. 

લોકશાહી પૂર્વે રાજાશાહી હતી, સરમુખત્યારશાહી હતી. કેટલાક રાજાઓ પૂર્વાશ્રમમાં લૂંટારા હતા, કેટલાક સરમુખત્યારો હત્યારા હતા, પ્રજાજનોને અપશબ્દો કે ગાળો દેતાં પણ ખચકાતા ન્હૉતા. હવેના લોકશાહોમાં એ વર્તણૂકોનાં તત્ત્વો નથી એમ નથી કહી શકાતું. 

લોકશાહી લોકને રીપ્રેઝન્ટ કરે છે એમ કહેવું અને સાંભળવું સારું લાગે છે, બાકી એ એક સૂક્તિથી વિશેષ કંઈ નથી. કેમ કે, લોકશાહીનો પ્રાણ ગણાય એ મતદાર બુધી હોય કે અબુધ, નો મૅટર, ફર્ક પડે છે, માત્ર મતસંખ્યાથી. અને, એ સંખ્યા ગુરુતમ સાધારણ પદ્ધતિથી મળેલો માત્ર એક આંકડો હોય છે. અને, હાર-જીતના બે આંકડા વચ્ચે નજીવો ફર્ક હોય છે ત્યારે તો એ બે ઉમેદવારમાં લાયક કોણ કે ન-લાયક કોણ એ વિચારવું વ્યર્થ બલકે હાસ્યાસ્પદ ઠરે છે.   

હકીકતે લોકશાહી કેટલી? ચૂંટણી યોજાય ને વસ્તીના અમુક ટકા લોકો મતદાન કરે એટલી.  

જુઓ, વડા પ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ પાર્ટીને જેટલા વફાદાર હોય છે, એટલા લોકને નહીં; અને પાર્ટીને, એમનાથી ઉચ્ચ કોઈ દેખાતું નથી. એમના એ જોડાણમાં લોકશાહી અર્પે એ સ્વાતન્ત્ર્ય કેટલું? વાણી વિચાર કે ભિન્ન મત અથવા અસમ્મતિને કેટલો અવકાશ? 

રાષ્ટ્રહિતની બાબતો પાર્લામૅન્ટમાં જાય એ પહેલાં લેવાતા કીચન-કૅબિટ કે ઇન-કૅમેરા નિર્ણયો સમીક્ષાત્મક હોય છે ખરા? એમાં કશાં વસ્તુલક્ષી ધૉરણો હોય છે ખરાં કે પછી સર્વોચ્ચની મરજી કે પસંદગીને ઓકે કરવામાં આવે છે? સર્વોચ્ચને વફાદાર રહેવું એટલે પાર્ટીને અથવા પાર્ટીને વફાદાર રહેવું એટલે સર્વોચ્ચને. પણ પ્રજા પ્રત્યેની વફાદારીનું શું? આમ, પક્ષીય અને પ્રજાકીય હિત સામસામે આવી જાય છે. ક્યારેક ક્યારેક લોકશાહીના સ્વાંગમાં પ્રજાને ઑથોરિટેરિયન સ્ટેટનો અનુભવ મળે છે. એની વર્તમાન ભારત, યુ.ઍસે. અને યુ.કે.-ના બૌદ્ધિકોએ જે તે પ્રસંગે ટીકાટિપ્પણી કરી છે. 

આપણે ડૅમોક્રેટિક ગણાતાં નેટવર્ક્સને પણ ખાસ તપાસવાં જોઈશે, કેમ કે વિશ્વનાં ૫૦% રાષ્ટ્રોમાં લોકશાહીય શાસન છે.

+ +

આજના માણસના વર્તમાનમાં, યુ્દ્ધખોર રાષ્ટ્રો છે અને યુદ્ધને વારવા-નિવારવાનો ખેલ ખેલતાં લોકશાહી રાષ્ટ્રો છે. ટૅક્નોલૉજિકલ પ્રોગ્રેસ અ-પૂર્વ છે, પણ તેથી અસમાનતા વધી છે, એક ગુપ્ત સામ્રાજ્યવાદ વિકસી રહ્યો છે. આજના માણસના વર્તમાનમાં, સ્ટોરી મિથ ટ્રુથ અન્ટ્રુથ પોસ્ટ-ટ્રુથ અને વિઝડમ વચ્ચેના ભેદ લુપ્ત થઈ ગયા છે. આજના માણસની ચોપાસ ગ્રેટ કે લિટલ સંખ્યાબંધ નૅરેટિવ્ઝની કૂદાકૂદ છે, રંજાડ છે. 

વર્તમાનની આ સર્વ વિષમતા શાને કારણે છે એ સમજવાની ઉતાવળ કરવાને બદલે નિરાંતે મને હરારી જેવા ઇતિહાસવિદ પાસે જવું જરૂરી સમજાય છે.

+ +

હરારી માહિતીસંસારના ‘સ્ટોન એજ’-થી ‘સિલિકોન એજ’ લગીના ઇતિહાસની ભૂમિકાએ જણાવે છે કે માણસનું માહિતી સાથેનું જોડાણ ઉત્તરોત્તર વધતું રહ્યું છે, પરન્તુ સાથોસાથ સત્ય, સચ્ચાઇ કે ડહાપણમાં થવો જોઈતો વધારો નથી થયો. 

કહે છે, વાસ્તવિકતાનો સાવ ચૉક્કસ નકશો ઊભો કરવામાં માહિતીનું કેવુંક રૂપ રચી કાઢવું એ આપણને સરસ આવડે છે, પરન્તુ સંખ્યાબંધ લોકોને માહિતી સાથે જોડવાનું પણ સરસ આવડે છે. નાઝી અને સ્તાલીન વિચારસરણીઓએ સામાજિક જાતિઓ અને વર્ગો વિશે ઢગલાબંધ ભ્રાન્ત વિચારો ફેલાવેલા, પરિણામે, લાખ્ખો લોકોને એમની સાથે યન્ત્રવત જોડાવાની, તાલ સે કદમ કરવાની, ફરજ પડી હતી. પરન્તુ, વિવિધ માહિતી-જાળનો ઇતિહાસ તપાસીએ તો, હરારી કહે છે, સમજાશે કે આદિ કાળથી ઇન્ફર્મેશન ટૅક્નોલૉજીઝની અવનવી શોધો થતી આવી છે, પરન્તુ તેથી વિશ્વનું એવું ચિત્ર નથી મળ્યું કે એવું ઘડતર નથી થયું જેને સચ્ચાઇભર્યુ – ટ્રુથફુલ – કહી શકાય. વિશ્વનું એવું જ ઘડતર ઇન્ટરનેટ અને AI -ના પ્રવર્તમાન યુગમાં પણ થઈ રહ્યું છે.

આમ, ઇતિહાસની ભૂમિકાએ રહીને હરારી વર્તમાનને સમજાવી રહ્યા છે, એની નૉંધ લેવી જોઈશે. 

+ +

ટૅક્નોલૉજીઝની એ પુરાકાલીન શોધોમાંની એક તે, વાર્તાઓ. તે વિશે અનેક દાખલા આપીને એમણે સમજાવ્યું છે કે વાર્તાઓ કેવી રીતોથી શોધાઇ હતી અને તે સાથે લોકો કેવા તો જોડાતા ચાલ્યા હતા : 

હરારી પોતાનાં પુસ્તકો “Sapiens” અને “Homo Deus”-માં રજૂ કરેલા એક વિચારને યાદ કરે છે. એ વિચાર એ કે આપણે મનુષ્યો વિશ્વ પર રાજ કરીએ છીએ તે આપણી flexibility-ને કારણે, નહીં કે ડહાપણને કારણે. Flexibility એટલે લવચિકતા, એકબીજા સાથે સરળતાથી જોડાઇને પૂરા સહકારી થઈ જવાની તત્પરતા. 

હરારી જણાવે છે કે આ લવચિકતા ચિમ્પાન્ઝીઓ અને કીડીઓમાં પણ હોય છે, જો કે એ વડે ચિમ્પાન્ઝીઓએ કે કીડીઓએ સામ્રાજ્યો, ધર્મો કે વેપારધંધા માટેનાં નેટવર્કસ ઊભાં નથી કર્યા; પણ આપણે, માણસે, જરૂર કર્યાં છે. ચિમ્પાન્ઝીઓની સંખ્યા પણ ૨૦-૬૦ જેટલી જોવા મળતી હતી, પ્રસંગોપાત્ત વધીને ૧૫૦-૨૦૦ થતી હતી. આપણે તો અતિ મોટી સંખ્યામાં સહકારી થઈ જઈએ છીએ. હરારી જણાવે છે કે કૅથલિક ચર્ચના ૧.૪ બિલિયન સભ્યો છે, સામ્યવાદી વિચારધારા સાથે ૧.૪ બિલિયન ચીનાઓ જોડાયેલા છે, ગ્લોબલ ટ્રેડ નેટવર્ક્સ ૮ બિલિયન મનુષ્યોને પોતાની સાથે જોડે છે, સંડોવે છે. સમજાય એવું છે કે આ નેટવર્ક્સ વ્યક્તિથી વ્યક્તિને નથી જોડતાં, જોડતાં હોત, તો એનું કદ કદી આટલું મોટું ન થયું હોત.

હરારી Neanderthals અને ancient Homo sapiiens માનવ-પ્રજાતિઓનો નિર્દેશ કરીને જણાવે છે કે દરેક કબીલામાં થોડાક ડઝન સંખ્યાની વ્યક્તિઓ હતી, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સહકાર હતો, વળી, કબીલાઓએ એકમેક સાથે કશા સહકાર પણ જવલ્લે જ ઊભા કરેલા. જો કે એકબીજા સાથે સહકાર સાધવાનું અપૂર્વ સામર્થ્ય તો ‘હોમો સૅપિયન્સ’-ના કબીલાઓએ ૭૦ હજાર વર્ષ પૂર્વે દાખવવા માંડેલું અને તેને પરિણામે, કબીલા કબીલા વચ્ચે વેપારધંધાની તેમ જ કલાપરક પરમ્પરાઓની શરૂઆત થઈ હતી, અને ક્રમે ક્રમે વિશ્વભરમાં પ્રસરી હતી. 

હરારી જણાવે છે કે વિભિન્ન કબીલાઓ વચ્ચેનો એ વ્યાપક સહકાર મનુષ્ય-મસ્તિષ્કની સંરચના અને ભાષિક સામર્થ્યમાં થયેલા ઉત્ક્રાન્તિપરક ફેરફારોને આભારી હતો, અને તેથી, માનવજાતિમાં કાલ્પનિક વાર્તાઓ કહેવાની, તેમાં વિશ્વાસ કરવાની અને તેથી દ્રવીભૂત થવાની ક્ષમતા વિકસી હતી. માનવ માનવ વચ્ચે કડી રચાય એવાં નેટવર્ક્સને સ્થાને માનવ અને વાર્તાઓ વચ્ચે કડી રચાય એવાં નેટવર્ક્સ શરૂ થયાં હતાં. 

પરિણામ એ આવ્યું કે એકબીજાને જાણવા-ઓળખવાની જરૂરત ન રહી; તેઓ બસ, એ વાર્તા જાણી લે, એ પર્યાપ્ત મનાવા લાગ્યું. એ-ની-એ વાર્તા કરોડો લોકો જાણી શકે એવી થવા લાગી. એટલે, વાર્તા જ કેન્દ્રસ્થ કડી બની રહી – સૅન્ટ્રલ કનેક્ટર. એના એટલા બધા આઉટલેટ્સ થયા કે અમર્યાદિત સંખ્યામાં લોકો તે સાથે પ્લગ-ઇન થઈ શકે. હરારી કહે છે, દાખલા તરીકે, “બાઇબલ”-થી જોડાયેલા કૅથલિક ચર્ચના ૧.૪ બિલિયન સભ્યો છે, સામ્યવાદી વિચારધારાની વાર્તાઓથી જોડાયેલા ૧.૪ બિલિયન ચીનાઓ છે, અને ગ્લોબલ ટ્રેડ નેટવર્ક સાથે સંકળાયેલા ૮ બિલિયન સભ્યો છે. તેઓ ચલણી નાણું, કૉર્પોરેશન્સ, અને બ્રાન્ડ્સ કે બ્રાન્ડ નેમ્સ્-ની વાર્તાઓ સાથે જોડાયેલા છે. 

હરારીએ સ્પષ્ટતા નથી કરી પણ મને લાગે છે કે તેમને મન ‘કાલ્પનિક વાર્તાઓ’-નો અર્થ શુદ્ધ સાહિત્યિક કથાઓ તો નથી જ, પણ એવી વાતો છે જે રે-લોલની જેમ ઝિલાયા કરતી હોય છે અને સમાચારની જેમ ગતાનુગતિક રીતે વિકસ્યા કરતી હોય છે. એ જ રીતે, એમણે ‘વિશ્વાસ’-નો અર્થ પણ ‘ભોળો ભરોસો’ કર્યો લાગે છે, નહીં કે ‘શ્રદ્ધા’. કેમ કે, ધર્મ તો શ્રદ્ધાનો વિષય છે, જેની ચર્ચામાં મહદંશે આધ્યાત્મિક દૃષ્ટિ અને સૂઝબૂઝની જરૂરત પડતી હોય છે. ત્રીજું, પ્રજાઓને સામ્યવાદી વિચારસરણીમાં વિશ્વાસ પડે છે, એમ લોકશાહીમાં ય પડે છે. વળી, એના અનુસરણમાં પણ વાર્તાઓની નિર્ણાયક ભૂમિકા હોય છે, તે વિશે હરારીનું શું મન્તવ્ય છે તે યથાસમયે જોઈશું.

= = =

(29Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બુઘો

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|30 October 2024

બુઘોએ ચાર-પાંચ વ્યક્તિને અમુલખ શેઠનું સરનામું પૂછ્યું, બધાએ ના પાડી કે તે ઓળખતા નથી. બુઘો વિચારમાં પડી ગ્યો, સાલું, આ તે કેવું, સુખપર ગામમાં તો નાનું છોકરું પણ શેઠને ઓળખતું હતું. આમ વિચારતો હતો, ત્યાં એક ભાઈએ પૂછ્યું, “તમે સુખપર ગામ વાળા અમુલખ શેઠની વાત કરો છો?”

“હા, ભાઈ હું સુખપર વાળા અમુલખ શેઠની વાત કરું છું. તમે મને શેઠશ્રીનું ઘર બતાવશો?”

“હા, ચાલો. મેં જોયું છે.”

“જો સામે રહ્યું એ અમુલખ શેઠનું ઘર છે પણ શેઠ તો આઉટ હાઉસમાં રહે છે.” બુઘો મુંઝાણો, શેઠ આવડો મોટો બંગલો છોડી આઉટ હાઉસમાં કેમ રહેતા હશે? ઠીક છે મોટા માણસની આપણને ખબર ન પડે. બુધાએ આઉટ હાઉસ પહોંચી, બહારથી અવાજ દીઘો, “અમુલખ શેઠશ્રી છે?”

“હા, ભાઈ કોણ છે?”

“હું, સુખપર ગામવાળો, બુધો.” અમુલખ શેઠ, સુખપર ગામનું નામ સાંભળી ઊભા થયા અને આવકાર આપ્યો, “આવો ભાઈ.” બુઘો વિચારમાં પડ્યો. શેઠની ઉંમર છે એ કરતાં વધી ગઈ લાગે છે, જરૂર કંઈક ગડબડ છે.

“શેઠશ્રી, એક સવાલ પૂછવાનું મન થાય છે, પૂછું?”

“હા, પૂછ.”

”શેઠશ્રી, આવડો મોટો બંગલો છોડીને તમે આ આઉટ હાઉસમાં કેમ રહો છો?”

“બુધા, તને ખબર છે કે સુખપર ગામમાં મારો ધીકતો ધંધો હતો. એક દિવસ મને કમત સુજી અને મેં ગામની પેઢી, ધંધો સંકેલી આ શહેરમાં આવ્યો, અહીં પણ મેં ખૂબ કમાણી કરી હતી. પણ એક નબળી પળે મને શેર બજારમાં ઝંપલાવાનું મન થયું. મને શેર બજારમાં ઝાઝી ખબર નહોતી પડતી પણ મિત્રો અને સલાહ સૂચન વાળાના ભરોસે મેં ઝંપલાવ્યું. શેર બજારના ધંધામાં બહુ મોટી ખોટ ગઈ અને મેળવ્યું હતું તે કરતાં પણ વધુ ખોઈ બેઠો. મેં, બંગલો વેચી લેણિયાતનું બધું લેણું તો ચૂકવી દીધું પણ મારે જેની પાસેથી લેવાના હતા એ બધાએ હાથ ઊંચા કરી દીધા, કે સંબંધો કાપી નાખ્યા.”

“પણ બુધા તું શું કામે આવ્યો છે?” બુઘો તો શેઠની વાત સાંભળી હતપ્રદ થઈ ગયો હતો. વિચારમાં પડી ગયો હતો કે સારા માણસો સાથે જ કેમ આવું બનતું હશે? શેઠે ફરી પૂછ્યું, “બુધા શું થયું તને? ક્યાં ખોવાઈ ગયો?” પણ બુધો ભૂતકાળમાં સરી પડ્યો હતો.

વાત, જાણે એમ હતી કે જ્યારે અમુલખ શેઠનો સુખપરમાં ધીકતો ધંધો હતો ત્યારે બુઘો શેઠને ત્યાં છૂટક મજૂરી કામ કરતો હતો. શેઠ માણસ પારખું હતા. તેણે જોયું કે બુધાને જો આર્થિક મદદ મળે તો તે નામ કમાય એવો છે. એક દિવસ શેઠે બુધાને બોલાવ્યો, “લે બુધા, આ પચાસ હજાર રૂપિયા, તું નાના પાયે ધંધો શરૂ કર.” “પણ શેઠશ્રી, મારી પાસે જામીનગીરીમાં આપવાનું કાઈ નથી.” “તારે કશું લખાણ કે જામીનગીરી આપવાની જરૂર નથી, બસ તું ધંધો શરૂ કર.” બુધાએ નાના પાયે શરૂ કરેલ ધંધામાંથી આજે તે નાની તેલની મિલનો માલિક થઈ ગયો હતો. આજે એ અમુલખ શેઠનું ઋણ ચૂકવવા માટે સુખપરથી શહેરમાં શેઠશ્રી પાસે આવ્યો હતો.

બુઘો ઘરેથી નિકળ્યો ત્યારે બે લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો. એક લાખ રૂપિયા શેઠને દેવા માટે. શેઠે તો પચાસ હજાર રૂપિયા આપ્યા હતા પણ બુધાએ વિચાર્યું, કે શેઠની મદદથી આજે હું સુખી છું, તો બમણા તો આપવા પડે. શેઠની વાત સાંભળી એણે જે એક લાખ રૂપિયા ખરીદી કરવા વધારે લીધા હતા તે પણ શેઠને આપી દેવાનું નકકી કરી થેલી શેઠના ચરણે ધરી. અમુલખ શેઠે પૂછ્યું, “બુધા, શું છે આ થેલીમાં?”

“શેઠશ્રી, તેમાં રૂપિયા છે.”

“રૂપિયા? કેમ અને શા માટે? મને શું કામ આપવાના છે તારે?”

“કેમ, ભૂલી ગયા, શેઠશ્રી? તમે મને જે રૂપિયા આલ્યા હતા તે.”

“કેટલા છે?”

“બે લાખ.”

“પણ મેં તો તને પચાસ હજાર રૂપિયા આપ્યા હતા અને તે તારે ક્યાં પાછા આપવાના હતા.”

“શેઠશ્રી, એ વાત હું કંઈ ના સમજુ, હું રહ્યો અભણ, મને ક્યાં કાંઈ ગણતરી કરતા આવડે છે એટલે આટલા રૂપિયા લાવ્યો છું. બાકી મને કાઈ ખબર ન પડે.”

અમુલખ શેઠે સજળ નયને બુધા સામે જોયું, બુધાની આંખમાં પણ ઝળઝળિયાં હતાં. એણે ભારે અવાજે કહ્યું, “શેઠશ્રી, હું તો બવ નાનો માણસ છું તમને સલાહ તો શું આપું પણ તમે મારો હાથ પકડીને બહાર કાઢ્યો, એમ હું તમારો હાથ તો ન પકડી શકું. શેઠશ્રી તમારી સામે, તમારી આભા સામે, પ્રતિભા સામે મારી કોઈ હેસિયત નથી. પણ મારી આ નાનકડી વાત સ્વીકારો એવી મારી ભાવના છે.”

“બુધા, હું તારી વાત સમજી ગયો. તે નાની વાત કરીને મને ઘણો મોટો સંદેશ આપ્યો છે. તે મારી ચેતનાને જગાડી દીધી છે. બુધા, આજે મને સમજાઈ ગયું કે કરેલું કર્મ ક્યારે ય નિષ્ફળ જતું નથી. એ કોઈને કોઈ સ્વરૂપે પાછું મળે જ છે, જે આજે મને તારા સ્વરૂપમાં પાછું મળ્યું. તારું નામ બુઘો નહીં બુદ્ધિધન હોવું જોઈએ. હું તને આજથી બુઘો નહીં પણ બુદ્ધિધન કહીશ.”

બુધો પણ મનોમન ખુશ થઈ ગયો કે આવડા મોટા શેઠે મારી નાની એવી વાત સ્વિકારી લીધી.

અમુલખ શેઠ મનોમન વિચારતા હતા, ‘હે! પ્રભુ તારી મદદ કરવાની પદ્ધતિ પણ તારી જેવી જ અલગારી છે. તું તારા ભક્તને ક્યારે ક્યાં સ્વરૂપમાં મદદે આવી જાય, એ તારી સિવાય કોઈ ના જાણી શકે!’

ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com

Loading

સરદાર : સ્વાતંત્ર્યસંગ્રામનાં દળોના મહાન કપ્તાન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 October 2024

તવારીખની તેજછાયા

જન્મ : 31-10-1875 – મૃત્યુ : 15-12-1950

1975માં એકવાર અનાયાસ જ પ્રકાશવીર શાસ્ત્રીને મળવાનું થઈ ગયું. પ્રહલાદભાઈ પટેલ – આપણા પ્રહલાદનગરવાળા. એમને ત્યાં. જનતા મોરચાની પ્રચાર જવાબદારી ભોગીલાલ ગાંધી અને મારી હતી, ભાઈદાસભાઈ પરીખ તો તત્રલુપ્તા સરસ્વતીની જેમ સાથે જ હોય. પ્રચાર સાહિત્યમાં ચિત્રકારની પીંછી પાયાની જરૂરત. રજની વ્યાસ સહાયમાં સાક્ષાત. પ્રહલાદભાઈને પ્રેસલાઇનનો પરિચય એટલે એમનુંયે અનૌપચારિક સંધાન.

આવતીકાલે સરદાર જયંતી છે એ નિમિત્તે લગરીક તવારીખવાળી કરવા સારું કલમ ઉપાડી ત્યાં પ્રકાશવીર ચિત્તમાં દોડી આવ્યા, કેમ કે આર્યસમાજી પૃષ્ઠભૂવાળા આ જનસંઘ સાંસદે ત્યારે દિલ્હીમાં વરસોવરસ સરદાર જયંતી મોટે પાયે ઊજવવાનો સિલસિલો શરૂ કર્યો હતો. રાષ્ટ્રીય સ્તરની પ્રતિભાઓને એ અવસરે નિમંત્રણ આપતા અને સરદારના સંકીર્તનનો સમો એમ બંધાતો આવતો. નેહરુના કાળમાં ઉત્તરોત્તર સરદાર સ્મૃતિ કંઈક બાજુએ રહી ગઈ એવી લાગણીવશ એમનો આ ઉપક્રમ હતો. 

વાત પણ સાચી કે એક તબક્કો કાઁગ્રેસને પક્ષે સરદારને ભૂલવાનો (‘ડિસ્ યુઝ’નો) આવી ગયો જેમ હમણેનાં વરસો ભા.જ.પ. આદિને પક્ષે એમને સંદર્ભ બહાર ઉછાળવાનો, કહો કે એમના ‘મિસ્ યુઝ’નો છે.

પ્રકાશવીરે વાતવાતમાં કહ્યું કે એક વાર અમે રાજાજીને (ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીને) નિમંત્ર્યા હતા. એ સરસ બોલ્યા કે વડા પ્રધાન સરદાર અને વિદેશ મંત્રી જવાહર એ એક રૂડી રચના હોત. પણ પછી એમણે એક એવી વિગત ઉમેરી કે સરદારના મહિમા મંડનની (પ્રકાશન્તરે એમને નેહરુથી ઊંચા ચિત્રિત કરવાની) અમારી ગણતરી ભોંઠી પડી. રાજાજીએ કહ્યું કે ભાગલા માટે ગાંધી કે નેહરુની એક પ્રકારની નિર્બળતા(અગર વેગળી ભૂમિકા)નો મુદ્દો ઉછાળાય છે, પણ વ્યાપક લોકમાનસ એ વિગતથી લગભગ અણજાણ જેવું છે કે વચગાળામાં લીગ સાથે સરકાર ચલાવ્યા પછી સરદાર એ તારણ પર પહોંચ્યા હતા કે ભાગલા અનિવાર્ય છે. કાઁગ્રેસને પક્ષે આ દિશામાં નિર્ણાયક પહેલ સરદારની હતી.

સરદાર અને જવાહરને સામસામે મૂકવાની અને એ રીતે ગાંધી-નેહરુ-પટેલની સ્વરાજત્રિપુટી સહિતની નક્ષત્રમાળામાં સર્જેલી એકંદરમતી તેમ ભરપડકારે સ્વરાજ સુવાણની સ્થિતિ માટેની ભૂમિકાના કંઈક અવમૂલ્યનની કોશિશ એ એક ધીખતો ધંધો રહેલ છે.

ગમે તેમ પણ, સરદારના ખાસ તરેહના ચાહકો અને એવા જ ખાસ તરેહના ટીકાકારો, બેઉ છાવણીઓમાં નિરામયતા પ્રસરાવવા સારુ એક દાખલો બસ થઈ પડશે. વલ્લભભાઈ 1950ના ડિસેમ્બરની 15મીએ ગયા. તે પછીનાં અઠવાડિયાંમાં પુનામાં હિંદુ મહાસભાનું અધિવેશન મળ્યું ત્યારે સરદારના નિધન બદલ ખેદ પ્રગટ કરતો ઠરાવ લાંબી રકઝક પછી ઉડાડી મૂકવામાં આવ્યો હતો!

(‘સંસ્કૃતિ’માં ઉમાશંકરે ટિપ્પણી કરી હતી – સરદાર કોમવાદી હતા એ ખ્યાલને પાયામાંથી ઉખાડી દેનાર આથી વધુ સારો પુરાવો બીજો શો મળી શકત?’)

સરદારે મુંબઈમાં દેહ મૂક્યાના સમાચાર આવ્યા ત્યારે લોકસભામાં એ સમાચાર આપતા જવાહરલાલે શું કહ્યું હતું, સાંભળો :

‘એ એક વિરાટની વાર્તા છે. દેશ આખો એ જાણે છે અને ઇતિહાસ પાનાંનાં પાનાં ભરીને દર્જ કરશે કે એ નવભારતના નિર્માતા હતા – અને બીજું પણ કહેશે. પણ આ ગૃહમાંનાં આપણામાંના ઘણાને તો એમને સ્વાતંત્ર્યસંગ્રામનાં દળોના એક મહાન કપ્તાન તરીકે યાદ કરશે અને જેના પર અચૂક ભરોસો મૂકી શકાય એવી નક્કર સલાહ – પછી એ મુશ્કેલીઓનો કાળ હોય કે વિજયની ક્ષણો – આપનાર તરીકે સંભારશે. જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ, આપણાં હાલંડોલં હૈયાને હામ સંપડાવનાર તરીકે એ સંભારાશે.’

નેહરુ ગૃહમાં તો બોલી શક્યા પણ અંતિમ યાત્રામાં જોડાવા મુંબઈ પહોંચ્યા ત્યાં એવા ડૂસકે ચડ્યા હતા કે કંઈ બોલી જ શક્યા નહોતા.

સાધારણપણે આપણે વલ્લભભાઈને દેશી રિયાસતોના વિલીનીકરણ માટે યાદ કરતા હોઈએ છીએ અને એ ખરેખર જ એક અસાધારણ કામ હતું. પણ એ જ મહિનાઓમાં એમણે વહીવટીતંત્રને જડબેસલાક કાર્યક્ષમપણે ગોઠવ્યું હતું તો એ બ્રિટિશરાજની સરજત, પણ એને આશ્વસ્ત કરી એમણે સાથે લીધું અને સ્વતંત્રતાનું દૃઢીકરણ કર્યું.

પણ સરદાર એ ઓળખ એમને મળી તો બારડોલીના કિસાનોની લડત સાથે. આ લડત તો ગઈ સદીનો ત્રીજો દાયકો ઊતરતે લડાઈ હતી. ત્રીજો દાયકો બેસતે 1922માં વઢવાણમાં મળેલી અંત્યજ પરિષદ, વસ્તુતઃ એમના નેતૃત્વને વ્યક્તિત્વના પૂરા ઉઘાડની રીતે એક કટ ઑફ લાઈન છે.

પરિષદમાં ભાગ લેવા એ પહોંચ્યા ત્યારે એમણે જોયું કે દલિત ભાઈબહેનોને અલાયદા બેસાડ્યાં હતાં. તરત વલ્લભભાઈએ પોતાની બેઠક એમની વચ્ચે લીધી. દરબાર ગોપાળદાસ અને ભક્તિબા સાથે હતાં. તેમણે પણ એમ જ કર્યું … સંદેશો પહોંચી ગયો!

આ જ ત્રીજો દાયકો રવિશંકર મહારાજે ખેડા જિલ્લામાં પાટણવાડિયાઓને સારુ રોજિંદી જિંદગીમાં સાધેલ સુવાણનો પણ હતો. ‘માણસાઈના દીવા’માં મેઘાણીએ એનાં સરસ ચિત્રો ઝીલ્યાં છે. મહારાજ પાછળનું મૂંગું પીઠબળ અલબત્ત વલ્લભભાઈનું હતું.

લોકશાહીમાં સરદાર થવું એ નકરી ક્ષાત્રવટ અગર મુત્સદ્દીપણાનો મામલો નથી. છેલ્લા છેલ્લા માણસ સાથે તમે જોડાઈ શકો છો? આ પ્રશ્નનો ઉત્તર આપીએ ત્યારે સમજાય કે ખેડૂતપુત્ર વલ્લ્ભભાઈને ઉમરાવપુત્ર બિસ્માર્ક સાથે સરખાવવું કેમ અણસમજભર્યું છે.

વિષય જો કે અખંડ દર્શનનો છે, પણ આ થોડુંકેક ભલે ખંડ દર્શન પણ અહીં એ આશા અપેક્ષાએ કે ગાંધી-નેહરુ-પટેલની સ્વરાજત્રિપુટીની રીતે તેમ સરદારની પોતાની પ્રતિભાની રીતે આપણે એમને ઓળખીએ. મિસ્ યુઝ અને ડિસ્ યુઝની રાજનીતિ લાગી જવાનો પડકાર આ તો છે.   

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 30 ઑક્ટોબર 2024

Loading

...102030...462463464465...470480490...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved