Opinion Magazine
Number of visits: 9697836
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘… તમારી સાથે જ છું; પણ હવે જરા ત્યાં.’

વિપુલ કલ્યાણી|Opinion - Opinion|18 March 2013

મુઠ્ઠી ઊંચેરા એક અાદર્શ, મહેન્દ્ર મેઘાણીએ, અબીહાલ, ફેર સંભારી અાપેલું, ઉમાશંકર જોશીનું એક અવતરણ, અામ, બોલે છે : –

‘કેટલા બધા માણસો એવા છે જેઓ માત્ર ચૂપચાપ વાંચે છે. તેઓ કહેવા આવવાના નથી કે આ બરાબર લખ્યું છે કે બરાબર લખ્યું નથી; પણ બેઠાબેઠા એ આપણો તોલ કરે છે. એ લોકો સંકોચથી પોતાનો અભિપ્રાય પ્રગટ કરવાના નથી. પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે કાંઈ બોલ્યા, જે કાંઈ લખ્યું તે બધાનું જેઓમાં જોવાની શક્તિ છે તેવા વિચક્ષણ માણસો અવલોકન કરી રહ્યા છે. આપણી તેમની પ્રત્યે જવાબદારી છે.’

°
અા યાત્રાને અઢાર વર્ષ થયા. અને સહસા, દલપતરામ સાંભરે છે. એ કહે જ છે ને : ‘અન્યનું તો એક વાંકું અાપનાં અઢાર છે.’ ! … અા અઢાર શબ્દ મહત્ત્વનો છે. ભગવદ્ગોમંડલ અનુસાર, સંસ્કૃત સાહિત્યમાં 18ની સંખ્યા બહુ ઠેકાણે છે. મહાભારતનાં 18 પર્વ; મહાભારતમાં 18 અક્ષૌહિણી સૈન્ય; 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું; ગીતાના 18 અધ્યાય; 18 પુરાણ; 18 સ્મૃિત …  અારંભથી કેટલાક ‘અઢાર બાબુઅો’ પોતાના ‘અઢાર વાંકા …’ છતા કરતા રહ્યા; પણ તેમને ચાતરતાં રહી, પોતાને કેડે હીંડતા રહેવાને કારણે, માંહ્યલો સતત મગન રહ્યો. ટૂંકમાં, અા જાતરા સુખરૂપ રહી.

વારુ, પહેલાં પંદર વરસ મુદ્રણ અવસ્થામાં ગયા, તે પછીના ત્રણ વરસ ડિજિટલ અવતારે વિસ્તાર પથરાયો, અને હવે, વેબપેઇજ ક્ષેત્રે પ્રવેશી જઈએ છીએ. અા એક નવો ઉઘાડ હશે. વિશાળ પટ અને અનેકાનેક અજબગજબના પડકારો. તેનું સ્વાગત જ હોય. દરમિયાન, નિજી પરિવારવૃંદ સમેત, અારંભથી કેટકેટલાં સાથીસહોદરો, લેખકગણ, અને તેમાં ય ગુજરાતીલેક્સિકૉનના સરસેનાપતિથી માંડીને તેની સેનાએ મનસા-વાચા-કર્મણા હૂંફ અાપ્યા કરી છે. અને તેને કારણે અત્યાર સુધીનો અા પ્રવાસ સુખાન્ત જ અનુભવે છે. ધન્યતા અનુભવાય છે.

અા પ્રવાસ બીજી ઘણી રીતે મીઠો લાગ્યો છે : જૂઅો ને, કેટકેટલાં પુસ્તકો અા સામયિક વાટે પ્રગટ થયાં. દેશપરદેશના કેટકેટલાં કલમીઅોએ પોતાની ધાર સજીને કલમ મજબૂત કરી જાણી છે. તેમાંના અાજે મજબૂતપણે પોતાની ગતે માનભેર હીંડ્યા જ કરે છે. અાનંદની જ અવધિ.

ભલે, કનૈયાલાલ મુનશીએ કહ્યું હોય, ‘પણ ગુજરાતને સીમાડા નથી. … ‘ હકીકતે, સાંપ્રત ગુજરાતે પોતાના સીમાડા જડબેસલાક જ કર્યા છે. તેની સંસ્થાઅોએ, તેના વિદ્યાધામોએ, તેના અાગેવાનોએ એકાંતિક વલણ જ અાગળ કર્યું છે. અા નિષિદ્ધભાવને સતત પડકારવાનું કામ “અોપિનિયન” કરતું અાવ્યું છે. મુનશી કેવી ગરવાઈથી, 1937માં, કરાચી સાહિત્ય પરિષદમાં, અાપણને કહેતા હતા : ‘ગુજરાત અાજે જીવંત વ્યક્તિ છે કારણ કે અાપણા અાચાર ને વિચારો ‘ગુજરાતીતા’ની ભાવનાથી પ્રેરાયા અાવે છે. જ્યાં જ્યાં ગુજરાતીઅો વસે છે ત્યાં ત્યાં ભાવનાના નિર્ણયાત્મક પ્રાબાલ્યથી પ્રેરાઈ તેઅો બુદ્ધિપૂર્વક ભેગા મળે છે અને અામ ભવિષ્યનું સંકલ્પજન્ય ગુજરાત જન્મે છે.’ અા મુનશી સવાશતાબ્દીનું વરસ છે. અાપણે તો, ભઈલા, પોપટવાણીમાં પારવધા છીએ. તેમાં રાતદી રત રહી, ક્રિયાકાંડરૂપે અા મુનશી દીધું, લખ્યું બધું જપમાળે રટણ કરવાના જ છીએ; પણ, હકીકતમાં, છેવટે, સઘળું ખંખેરી કાઢી, ફરી પાછા, ખુદને જ કેન્દ્રમાં માણેકથંભની જેમ અારોપી, પોતાના ખેલમાં ગરકાવ થઈ જવાના !

જગતના વિવિધ ડાયસ્પોરાઅોમાં, ગુજરાતીઅોનો ય એક મોટોમસ્સ ડાયસ્પોરા છે. અા જમાતને ય પોતાના અનુભવો છે, પોતાનો ઇતિહાસ છે, પોતાની નબળાઈ-સબળાઈ પણ છે. તેના વિધવિધ પાસાઅોની સબળ વાત “અોપિનિયને” તેનાં પાનાંઅોમાં સતત કીધી છે. હજુ કહેતું રહેશે. ભીખુ પારેખ, ચંદ્રકાન્ત બક્ષી પછી, અા ક્ષેત્રે, “અોપિનિયન”નાં કામો ગૂંજે છે. અા તેની મહદ્દ દેણગી બની છે. ઇતિહાસ તેની ગવાહી પૂરશે.

26 માર્ચ 2013 "અોપિનિયન" અંકના 32-33 પાન પર, અબીહાલ, ફેઇસબુકના પાના પર ‘ડાયસ્પોરા’ અંગે જે ચર્ચા ચાલી તે શબ્દસહ લીધી છે. તેમાં જોડણી, વાક્યરચના કે વ્યાકરણ બાબત મીનમેખ કોઈ ફેરફાર કર્યો જ નથી. વાંચજો. વિચારજો. વાગોળજો. અાપણા એક અગ્ર કવિ, અનિલ જોશીએ, ચર્ચામાં સામેલ બની, કહ્યું છે : ‘ડાયસ્પોરા સાહિત્ય એ તૂત છે. ગુજરાતીના અધ્યાપકોની નવરાશની પ્રોડકટ છે. આપણે સહુ પૃથ્વીના ગ્રહ ઉપર માઈગ્રેટ થયેલા વસાહતીઓ જ છીએ. અમેરિકા હોય કે પછી યુરોપનો કોઈ પણ દેશ હોય એમાં રહેતો કવિસર્જક વિદેશી હોતો નથી, જેને ઘરઝુરાપો લાગતો હોય તો ભલે લાગે. સંતરાને સફરજન ન હોવા બદલ ઠપકો અપાય નહિ.’

અનિલ સાહેબને પૂછવા મન છે : તમે કયા અાધારે કહો છો કે ‘ડાયસ્પોરા સાહિત્ય એ તૂત છે’ ? કઈ શાસ્ત્રીય રીતરસમ, ભલા, તમે અાધારે લીધી છે ? કહેશો ? ‘તૂત’ માટે સાર્થ ગૂજરાતી જોડણીકોશ ‘બનાવટી વાત; જૂઠાણું; ગપ. (૨) તરકટ; પ્રપંચ; જાળ (૩) ચેષ્ટા; નખરાં’ અર્થ અાપે છે. એમને કયો અર્થ અભિપ્રેત હશે ? કોણ કહેશે ? એમણે અને એમના સરીખાએ કયું ‘ડાયસ્પોરિક‘ સાહિત્ય વાંચ્યું ? તેનો કેવો અભ્યાસ કર્યો ? ક્યાં છે તારણ ? કે પછી દેખીતા કોઈ કારણે, સાહેબ, તમે પૂર્વગ્રંથિને ઊલેચવાનો અાદર કર્યો છે ? ગુજરાતીઅો વિવેકબૃહસ્પતિ હોવાનું કહેવાય છે. તેથી, મશાલ લઈ ઘૂમતાફરતા અનિલ જોશી જેવા સાહિત્યકાર પાસે અાવી અપેક્ષા ન જ હોય. ‘જેને ઘરઝુરાપો લાગતો હોય તો ભલે લાગે’ જેવી વાત પણ તેમનાં લખાણમાં લગીર શોભતી નથી.

ભરત ત્રિવેદી, સંજુ વાળા, ચિંતન શેલત જેવાઅોએ જે દલીલ માંડી છે તેમાં ક્યાંક ઇશારો સૌરાષ્ટૃ યુનિવર્સીટીના ગુજરાતી વિભાગ સામે અને ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યને નામ પાટલો નાંખતા બળવંત જાની સામે હોય તો ય નવાઈ નહીં. એમણે કરેલાં અા સંપાદનો શાસ્ત્રીય ઢબે તપાસીએ તો દીવા સમ દેખાશે કે મહદ્દ કામ ડાયસ્પોરિક નથી જ નથી. પરંતુ એ માણસે કંઈક તો કર્યું છે ! … કાશ ! અા ચર્ચામાં સામેલ લોકોએ ઋતુલ જોશી અને પંચમ શુક્લે અાપી વિગતો ધ્યાને જોઈવાંચી હોત, તો … વૃદ્ધિ થવા પામી હોત !

દલિત સાહિત્યને, નારીવાદી સાહિત્યને, અનામત સાહિત્યને, અાદિવાસી સાહિત્યને, ડાયસ્પોરિક સાહિત્યને મુખ્ય પ્રવાહમાં એકરૂપ બની વહેવું જ છે. પરંતુ તે માટેનો માર્ગ ‘અૅસિમિલેશન’નો નહીં હોય; વિવિધતા સાથે એકતાનો હોય. અા અંકમાં દીપક મહેતાના અભ્યાસ અાધારિત લેખો સામેલ છે. સાહિત્યના ધૂરિણોએ ત્યારે ય વહેરોવંચો રાખ્યો જ હતો ને. તો અાજે ય તે ઘરેડમાં ધપતા રહેતા અા મામકા: પોતાની નાતમાં અન્યને સામેલ કરે, તે કામ કેવી રીતે બનશે ? હજુ ઘમંડ રાસડા લે છે.

મુનશી સવાશતાબ્દી અવસરે, મુનશીના લખાણો પકડીને એમણે સ્થાપી સંસ્થામાં અા વિશે વિષદ વાદ-સંવાદ અાદરી શકાય. એમણે શરૂ કરેલા “સમર્પણ”માં, ભૂલ્યો, અાજના “નવનીત – સમર્પણ”માં ય, અા બાબત ઘટતું પ્રગટ કરી શકાય. અનિલ જોશી અને મંડળીએ અાવું અાવું કામ કરવું રહ્યું.  

અાપણા એક શિરમોર નર્યા કવિ રાજેન્દ્ર શાહની એક કવિતા છે : ‘શોધ’.

કવિની પેઠે અાપણી ય શોધ જારી છે :   

હું જેની કરું શોધ આ લોકમેળે,

ન ક્યાંયે હજી એની ઝાંખી જણાતી.

જરા કૈંક આભાસ હો બોલચાલે,

નજર આ નિકટ દૂર રહેતી તણાતી.

અહીં હોય ના એવું યે શક્ય છે ના,

ઉરે તોય શંકા-કુશંકા વણાતી.

સમી સાંજની આ પ્રલંબાય છાયા,

લહું મેદનીને બધેથી છણાતી.

પગે ભાર, બેસું જઈ એક ધારે,

કરે અંધકારે ગ્રહી એ અણાતી.

દરમિયાન, અાપણા એક વિચારશીલ સંપાદક અને કવિ, યોગેશ વૈદ્યે, 1 માર્ચ 2013ના “નિસ્યંદન”માં લખ્યું છે, તેમાં, વાચક દોસ્ત, તમને દરેકને ભાગિયા કરવા મનસૂબો રાખ્યો છે. લો, વાંચો, વાગોળો :

‘હમણાં 21મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસ આવ્યો અને ગયો. આ નિમિત્તે કેટલાક વિચારો આવ્યા, પ્રશ્નો ઉદ્દભવ્યા આપણી માતૃભાષા વિશે, આપણા સાહિત્ય વિષે – તે અહીં ઉતારું છું.

‘કવિ સતીશચન્દ્ર વ્યાસ ‘શબ્દ’ દ્વારા જાણ્યું કે બંગાળમાં આજે પણ રવીન્દ્રકવિતાની કોઈ સભા ભરાય છે ત્યારે કવિવર ત્યાં સાક્ષાત્ હાજર છે તેવી ભાવના સાથે મંચ પર એક સ્થાન ખાલી રાખવામાં આવે છે. એટલું જ નહીં કવિવર માટે વાણીકુમાર રચિત ત્રણ ગાન – રવીન્દ્રવંદના, રવીન્દ્રસ્તુિત અને રવીન્દ્રપ્રશસ્તિ ગાવાનો પણ ત્યાં રિવાજ છે. આપણે ત્યાં કોઈ કવિને આ સન્માન ક્યારે મળશે ? જાહેર સ્થળો, સંસ્થાઓમાં કવિઓના ફોટા નજરે ચડે છે ક્યાં ય ?

‘આપણે સહુ જાણીએ છીએ કે માત્ર કવિતા જ તેની લયાત્મકતા અને વ્યંજનાત્મક લાઘવને લઈને કોઈપણ ભાષાના વહન–વિસ્તરણ માટેનું એક પ્રબળ માધ્યમ બની રહેવાની શક્યતા ધરાવે છે. તે હાલરડું હોય કે પછી ખંડકાવ્ય હોય. તો, પ્રશ્ન થાય કે આપણી ગુજરાતી કવિતાનો વાચકવર્ગ કેવડોક છે ? જવાબ કડવો છે … કુલ ગુજરાતીભાષીઓનો માત્ર 3.5 % થી લઈને 5% સુધીનો વર્ગ જ તેની માતૃભાષાની કવિતા વાંચે છે ! અને તે પણ સત્તર વાડાઓમાંથી ટિપાઈને, વટલીને આવતી કવિતા ! આ અતિ પાતળા વાચકવર્ગમાં જ ઢબઢબીને રહી ગઈ છે આપણી સાહિત્યિક દુનિયા. સહુને પોતપોતાના પના પ્રમાણે વર્તુળો છે, પ્રકાશકો છે, વિવેચકો છે, વાહ વાહ છે, ભયોભયો છે ! આ ખોખલો વૈભવ આપણને કેમ કરીને પાલવે છે ? આપણા વાચકની ટકાવારી વધારવા આપણે કશું કરીએ છીએ ખરા ? ઊગી રહેલ વાચકપેઢીની રુચિ ઘડવા માટે પણ કંઈક વિચારવું ન જોઈએ ?

‘બદલી રહેલાં પ્રકાશન માધ્યમો પણ આપણાં ઘર સુધી આવી પહોંચ્યાં છે. આ નવાં માધ્યમોની સારી-માઠી અસરો વિષે પણ આ તકે સતર્ક થઈ જવું રહ્યું. આંખો બંધ કરી દેવાથી આવનાર આંધી ટળી જવાની નથી.

‘જ્યાં સુધી આપણાં ઘરોમાં આ ભાષા બોલાય છે, આ ભાષામાં સપનાં આવે છે, આ ભાષામાં હાલરડાં ગવાય છે, લગ્નગીતો, ભજનો, ગરબા ગવાય છે, આ ભાષા જીવતી તો રહેશે; પણ તેને ખરા અર્થમાં જીવંત, પરિવર્તનશીલ અને કાળજયી બનાવી રાખવા એક યોજનાબદ્ધ, વૈજ્ઞાનિક, વ્યાપક અને સર્વસ્વીકૃત અભિગમ સાથે કામ કરવાની જરૂરત છે જ છે.

‘અહીં પ્રશ્ન આવડતનો કે સાધનસંપન્નતાનો નથી; પ્રશ્ન સાચુકલા ભાષાપ્રેમનો અને તેની ખેવનાનો છે. અને આપણાં સાહિત્યિક પારિતોષિકોની સૂચિમાં ખેવના માટે કોઈ વિભાગ હોવાનું અમારી જાણમાં નથી.’

અાપણે, અાંતરમુખ બની ક્યારે ખુદને સવાલશું ? ક્યારે કરવટ બદલીશું ?


પાનબીડું :

ગઝલ                       • અનિલ ચાવડા



જ્યારથી એ જણ કશાની શોધમાં છે,


ત્યારથી આખું જગત વિરોધમાં છે.



ચાહું છું એને વધારે તીવ્રતાથી,


વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.



માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?


એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.



હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,


મારું એ મારી કથાના બોધમાં છે.



કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,


સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.



કવિની વેબસાઈટ : http://www.anilchavda.com/

("અોપિનિયન", 26 માર્ચ 2013)

Loading

‘વય’નો મુદ્દો પાયાની સમજ માગી લે છે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|16 March 2013

– સર્વપક્ષીય બેઠક ઃ સવાલ સ્ત્રી વિ. પુરુષ અગર પુરુષ વિ. સ્ત્રીનો નથી, પણ સ્વસ્થ સમાજને લાયક પુખ્તતાનો છે

નિર્ભયા ઘટનાએ દેશજનતાને ઝકઝોરી જરૂર; પણ બળાત્કાર સમેત એકંદર જાતીય વલણ અને વ્યવહાર બાબતે સ્વસ્થ સમજ તેમ જ રાજકીય સંકલ્પશક્તિની દૃષ્ટિએ હજુ કેટલું લાંબું અંતર કાપવાનું રહે છે એનો એક અંદાજ આ દિવસોમાં ૧૬ વરસની સંમતિવય આસપાસ જે વિવાદ ચાલી રહ્યો છે એમાંથી મળી રહે છે. સોમવારે સર્વપક્ષીય બેઠક વ્યાપક સહવિચાર માટે યોજાઈ રહી છે ત્યારે વાસ્તવિકતા એ છે કે કેન્દ્રીય કેબિનેટે સંમતિવયના મુદ્દે લીધે નિર્ણયની સાથે એકથી વધુ મંત્રીઓ સહિ‌ત ખુદ સત્તાપક્ષનાયે સંખ્યાબંધ સાંસદો પણ નથી.

જે એક સાદી પણ બુનિયાદી દલીલ ૧૬ વરસે સંમતિઅધિકાર બાબત સામે આવે છે એનો વિરોધ કરવો બેશક સરળ નથી. લગ્નસંબંધમાં ૧૮ વરસની વયમર્યાદા અનિવાર્ય લેખાતી રહી છે. આ કાનૂની ભૂમિકા આખરે કયે ધોરણે બની છે? કન્યા રજસ્વલા થાય, જૂની ઢબે કહેતાં 'વેશમાં આવે’ એટલા માત્રથી એને લગ્ન અર્થાત્ જાતીય સંબંધ યોગ્ય લેખવાની જૂની સમજથી આપણે આગળ ગયા છીએ. હવે ૧૮ ઉપરથી ૧૬ ઉપર જવાની વાતમાં (ભલે લગ્ન નહીં પણ 'સંમત સંબંધ’ના મુદ્દે) એક પ્રકારે પીછેકૂચ નથી એમ તો કહી શકાતું નથી.

જો કે આ આખી ચર્ચા આપણા સામાજિક આંતરવિરોધોની રીતે તપાસવા અને સમજવા જેવી છે. લગ્નવય વિષયક ચોક્કસ કાનૂની ધોરણ ઠરાવ્યા પછી આટલે વરસે પણ પ્રતિવર્ષ હજારો બાળલગ્નની કોઈ નવાઈ નથી. ૧૬ વરસે જાતીય સંબંધ સારુ સંમતિવય ગણાય કે નહીં એની આપણે ચર્ચા કરીએ છીએ, બીજી બાજુ એ વયે અને એથી વહેલાં લગ્ન અને સંબંધ ભોગવટા તેમજ પ્રસૂતિનો સિલસિલો જારી છે

ખરું જોતાં 'સંમતિવય’ જેવો શબ્દઘૂંટડો પણ કેમે કરીને ગળે ઉતારવો રહે છે, કેમ કે આ પ્રયોગ પાછળનો ઇતિહાસ આકરી સ્મૃિતએ ભરેલો અને ભારેલો છે. લગ્નની વય તેમજ જાતીય ભોગવટાની છૂટ બાબતે અંગ્રેજ વારામાં જ્યારે સુધારક કાયદાની હિ‌લચાલ ચાલી ત્યારે તમે કોણ અમારા ધર્મમાં હસ્તક્ષેપ કરનાર એવા અવાજો આપણે ત્યાંથી ઊઠયા હતા, અને એમાં એ સમયના મોટા માણસો પણ અપવાદ નહોતા. જ્યાં સુધી સુધારાનો સવાલ છે, સતીપ્રથાની નાબૂદીનો બેન્ટિંકનો નિર્ણય પણ એમ તો 'ધર્મમાં હસ્તક્ષેપ’ જ હતો ને.

રેનેસાંપુરુષ એટલા જ ધર્મપ્રવણ રાજા રામમોહન રાય ત્યારે આપણી વચ્ચે હતા, એ જુદી વાત છે, પણ જ્યારે ઘોર માસૂમ પરિણીતા સાથે અઘોર એવી લગ્નસુખ અધિકારની જડ પુરુષસત્તાક ચેષ્ટા થઈ ત્યારે એ બચાડી બાળકી 'સૌભાગ્યવતી’ના વરદાનપૂર્વક મરણને શરણ થઈ હતી. 'મંગલ મંદિર ખોલો દયામય’ના રચયિતા, ભગવદ્દહૃદય અને લિબરલ સ્કૂલના નરસિંહરાવ દિવેટીઆ જેવા ત્યારે આપણી વચ્ચે હતા જેમને એ બાળકીનો ચિત્કાર સંભળાઈ શકતો હતો, એ ગનીમત.

આજે આટલે વરસે સમજ અને સંવેદનાની કસોટીએ ક્યાં ઊભા છીએ આપણે? નિર્ભયા ઘટનાએ આપણને ઝકર્ઝોયા તે સાથે આપણી કમજોરીઓ પણ ઓછી બહાર નથી આવી. બળાત્કારની શું વાત કરો છો, સ્ત્રી સાથેના પુરુષસત્તાક વ્યવહારની જ વાત કરો ને. હજુ ૨૦૦૯ સુધી સર્વોચ્ચ અદાલતનો પણ એ અધીન મત હોઈ શકતો હતો કે સાસરામાં કોઈ સ્ત્રીને ગડદાપાટુનો અનુભવ થાય તો એ કોઈ ક્રૂરતાનો કેસ નથી બનતો. જો કે, સદ્દભાગ્યે, ૨૦૧૩માં સર્વોચ્ચ અદાલતે આ બાબતે દોષદુરસ્તીનો રાહ લીધો છે. પણ આ વાનું સંભારવાનું કારણ એટલું એક જ છે કે સ્ત્રીપુરુષ સમાનતા અને સ્વતંત્રતાની દિશામાં કેટલી લાંબી મજલ કાપવાની છે એનાં કંઈકે ઓસાણ રહે.

ખેર, ૧૬ વરસની સંમતિવય સિવાય પણ જે બધા મુદ્દાઓ સૂચિત કાનૂન-ચર્ચામાં આવ્યા છે એ પણ લક્ષમાં લેવા જોગ છે. સ્ત્રીને છૂપી રીતે જોવાની ચેષ્ટા કે તેનો સતત પીછો, એને પણ આવરી લેવાની વાત છે. હેવાલો પ્રમાણે સમાજવાદી પક્ષ આ બાબતે જુદું વલણ ધરાવે છે. એને એમ લાગે છે કે સમાજમાં સ્ત્રીપુરુષને મળવાનાં, સાથે કામ કરવાનાં ઠેકાણાં અને નિમિત્તો અગાઉને મુકાબલે ખાસાં વધી ગયાં છે. આમાં તમે ક્યાં કોનું ને કેટલું ધ્યાન રાખશો? નજર નાખવાનું, પૂંઠે પૂંઠે હીંડવાનું વિચાર્યું વણવિચાર્યું ચાલ્યા કરવાનું છે.

તમે જો સ્ત્રીપુરુષનાં ખાણીપીણીખરીદીનાં અલાયદા બજાર નથી રાખી શકતા, તો આવી બધી ઊઠવેઠ ટઈડપઈડ સિપાઈપરાંગીરી ક્યાં સુધી રાખી શકવાનાં હતાં. ભાઈ, આ વાત દેખીતી સાચી તો પણ ખોટી છે, અને દેખીતી ખોટી તો પણ સાચી છે. કારણ, સ્વાભાવિક હળવામળવાનું બને અને સૌ પરસ્પર ઊઘડતાં ચાલે, સહજરૂપે કોળે એ એક વાત છે અને ઇરાદાપૂર્વકની ચેષ્ટાઓ તે બીજી વાત છે. જે વસ્તુ નસિયત પાત્ર છે અને હોવી જોઈએ તે તો આ ઈરાદાપૂર્વકની ભદ્દી હરકતોની છે – અને એમાંયે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ એવું યૌન શોષણ રહેલું છે એ આપણા ખ્યાલમાં આવવું રહે છે અને એમાં કાયદાની ચોક્કસ ભૂમિકા છે તેમ જ રહેશે.

છેવટે તો આ ચર્ચા કોઈ પુરુષદ્વેષી નારીવાદી ચળવળની અગર. તો ધરાર ધણીપણાવાદી પુરુષ માનસની નથી. જેમાં સ્ત્રીપુરુષ બેઉનાં સમાન સ્થાનમાન સખ્ય, સહજીવનની ભૂમિકાએ વિકસેવિલસે એવા સ્વસ્થ સજીવ સપ્રાણ સમાજની છે. સોમવારની સર્વપક્ષીય બેઠક આ પાયાની સમજથી કિનારો કરીને શાબ્દિક મારામારી અને જ્ઞાનતંતુઓના યુદ્ઘમાં ન ખોવાઈ જાય તેમ સૌ ઇચ્છશે.

(સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 16 માર્ચ 2013)

Loading

પક્ષીતત્વ

નંદિતા મુનિ|Opinion - Literature|14 March 2013

હમણાં ત્રણેક દીની રજા હતી. એ દરમ્યાન મારો મોટા ભાગનો સમય મારા અભ્યાસખંડમાં – ‘a room of one’s own’ – વીતતો હતો. મારી બેઠક એકદમ બારી પાસે.બારીના કાચ આજકાલ ઠંડીના કારણે બંધ રહે છે. આ કાચ એવા કે હું બહારની દુનિયા નિહાળી શકું, પ્રચ્છન્ન રહીને. આ પરિસ્થિતિના ફાયદા દેખીતા જ છે. એ પૈકી એક ફાયદો બારીના ઓટા પર કે બારી પાસે વાવેલ વાયવરણા પર નિ:શંકભાવે ફરતાં પક્ષીઓને નિહાળવાનો. એકદમ જ નજીકથી.

કાચ પર અમુક સમયે એવી રીતે પ્રકાશ પડે કે એમાં પક્ષીઓ પોતાનું પ્રતિબિંબ જોઈ શકે. આવું થાય ત્યારે જો વન લેલાં કે મોટાં લેલાં આવી ચડ્યાં હોય તો જોઈ લો મઝા. વન લેલાંની પીળા વર્તુળવાળી આંખ ધ્યાનથી જોઇએ તો એ આમ પણ જરાક ચસકેલ લાગે. અને એમાં પોતાનું પ્રતિબિંબ નજરે ચડે ત્યારે એ, અસલના સમયમાં બૂંગિયો વાગતાં શૂરવીરોની જે અવસ્થા થતી તેમાં એટલે કે વીરરસમાં આવી જાય! કાચ અને ચાંચનું ધીંગાણું નિહાળીને ‘ઇર્શાદ’ યાદ આવી જાય: ક્યારેક સાચ સામે, ક્યારેક કાચ સામે; થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી … પણ આ શૂરવીરો જલદી થાકતા નથી. … કદાચ આપણી લડાઈઓ પણ મોટા ભાગે આવી જ છે.

હરિનારાયણ આચાર્ય ‘વનેચર’ અને હૉરેસ એલેક્ઝેન્ડરે પણ આ શૌર્યની નોંધ લીધી છે. ‘પક્ષિતત્વવિદ્વર શ્રી હૉરેસ એલેક્ઝેન્ડર’ નામના પોતાના લેખમાં શ્રી આચાર્ય લખે છે : ‘ગાડીમાં બેસતાં બેસતાં શ્રી એલેક્ઝેન્ડરે મોટરના પૈડાની ચળકતી નિકલ-પ્લેટેડ ઢાંકણી પર બૂટના ટેરવાથી ઠોકર મારી અને મારા સામું જોઈ હસ્યા. હું પણ હસ્યો અને પૂછ્યું : હજુ પણ યાદ છે? એમણે કહ્યું : હા અને ભવિષ્યમાં પણ રહેશે … લેલાં પક્ષીઓની મોટરના ચાકની ચળકતી ઢાંકણી ઉપર ચાંચ વડે ટકોરા મારવાની ટેવ વિષયની એમની એક નોંધ પ્રસિદ્ધ થયી હતી. એ નોંધની પુરવણી રૂપે લેલાંનો એમના જેવો જ મારો અનુભવ,મેં એ જ સામયિકમાં, નોંધરૂપે રજૂ કર્યો હતો. મારા સામું જોઈ એ હસેલા એની પાછળ આ જ વાતનો ઇશારો હતો.’

લેલાંનું આ યુદ્ધ નિહાળીને મને મારા જૂના ઘરની ઓસરી યાદ આવી ગઈ. ત્યાં એક અરીસો લટકાવેલો રહેતો. એના પર ચકલી આવીને આવું જ યુદ્ધ ખેલતી. જેટલી વાર ઉડાડીએ એટલી વાર પાછી આવે. એનું શૂરાતન એ કક્ષાએ પહોંચ્યું હતું કે એક વાર અરીસા પર કંકુછાંટણાં દેખાયાં. ચકલીએ ચાંચ અથડાવી અથડાવીને લોહી કાઢ્યું હતું! પછી દાદીમાએ અરીસો ઉતારીને મૂકાવી દીધો હતો. સાવચેતી ખાતર ઘરના બીજા અરીસા પણ કપડાથી ઢાંકી દીધા’તા. ચકલી સાંભરતાં દુ:ખ થયું અને હું યાદ કરવા લાગી કે છેલ્લે મેં ચકલીને ક્યારે જોઈ હતી.

સવારે પંખીઓ પેટપૂજામાં વ્યસ્ત હોય. એકદમ કામગરી રીતે વાયવરણાની ડાળીઓ પર એમની આવજા થાય. પણ આહારોપાર્જન થઈ જાય એટલે એ બધાં એકદમ નિરાંતવા જીવે બેસે. રોજ બપોરે દેવચકલી આવે. એવી છટામાં પૂંછડી અદ્ધર રાખી હોય કે જાણે એના ટેકા વિના આભ નીચે પડી જશે. કદાચ પડે પણ ખરું, કોણ જાણે છે? દેવચકલી પ્રત્યે મને પહેલેથી પક્ષપાત. મા ખોડિયાર કાળીદેવનું રૂપ લઈને ભાવેણાના રાજાના ભાલે આવીને બેસે, ને પછી અમારા ભાવનગરની ફત્તેહ! પણ અહીં તો દેવચકલી ધીમા ધીમા મીઠા સૂરમાં ગીતો ગાવા આવે છે. ‘બિલ્લી વાઘ તણી માસી’ હોય તો દેવચકલી શામાની માસી ખરી કે નહીં? શામા ભારતનું સૌથી સારું ગાયક.  એનાં માસીબા સગપણને નથી લજાવતાં; મંદ પણ સુંદર ગાય છે. સાંભળીને મનને બહુ સારું લાગે.

પણ સૌથી વધુ મઝા કાબરને જોઇને આવે. રોજ ચાર કાબર વાયવરણા પર આવીને બેસે છે. પહેલાં તો નિરાંતે પીંછેપીંછું સાફ કરે. પોતાનું, અને વહાલ ઉભરાય તો સાથીનું. એ બધી સાજસજ્જા પછી એનું ગાણું શરૂ થાય. કાબરનું માથું આમ તો સરસ રીતે ધૂપેલ લગાવીને ઓળ્યું હોય તેવું લાગે. પણ ગાવાનું શરૂ કરે ત્યારે માથાનાં પીંછાં બને તેટલાં ઊંચાં કરીને પછી જ આરંભ કરે. ગાય પણ લટકાળી રીતે. વચ્ચે વચ્ચે માથું નીચું નમાવતી જાય અને ટહુકા સાથે ઊંચું કરીને પાછા તાનપલટા શરૂ કરે. સાંભળવાની મઝા આવે એટલી જ જોવાની પણ આવે! આ મહેફિલ પૂરી થાય પછી તંદ્રાનો સમય આવે. પગ વાળી દેવાના, પેટ ડાળી પર ટેકવવાનું અને પેટનાં પીંછાં ફૂલાવીને પહોળાં કરવાનાં. આંખનું નીચેનું પીળું પોપચું ઊંચું કરી આંખ મીંચી દેવાની. પછી કાબરબેન ઝોકાં ખાય. ક્યારેક તો આપણને એમ થાય કે ડાળ પરથી ગબડી જશે કે શું? પણ જરાક અમથો સંચર થાય એટલે તરત સાવધાન! પસ્તીવાળા ભાઈ  કે ગાય નીકળ્યા હોય તો પાછી આંખ બીડી દે; પણ બિલાડી કે શકરો હોય તો  તો બધાં જાગી જાય એટલો ઘોંઘાટ કરી મૂકે. એમ થાય કે હમણાં જાતજાતના ટહુકા કરતી’તી એ જ આ વૈખરી વાચાવાળી?

વાયવરણાને વીંટાયેલી સંધ્યાવેલનાં શ્વેત ફૂલોથી આકર્ષાઈને જાંબુડી શક્કરખોરા પણ આંટો મારી જાય. એ બન્નેની ઘટાથી આકર્ષાઈને માળો બનાવવા માટે મુનિયા અને દરજીડો આવે. બુલબુલ આવી જાય; ક્યારેક કચ્છી પિદ્દો પણ આવી જાય. ખિસકોલી-કાચીંડા તો ખરા જ. આમ મારી બારી રળિયાત બન્યા કરે.

અત્યારે પણ કાબર એનાં ગાણાં ગાતી હશે. પણ મારી રજાઓ પૂરી થઈ ગઈ છે. ‘જરાસંધ’ની એક લઘુકથા યાદ કરું છું : ‘પક્ષીતત્વ’. આ કથાના મધ્યમવર્ગી નાયકને નાનપણમાં ગગનવિહારી પક્ષીઓને દેખી એવી જ મોકળાશથી રમવાની ઇચ્છા થાય. મોટા થયા પછી ઑફિસે જતી વખતે ઝોકાં ખાતાં પક્ષીની સામે એ જોઈ રહે. અને એથી પણ પછીના સમયમાં, નિરાંતવાં પક્ષીઓને જોઈને એ વિચારે કે પક્ષીઓને દીકરી પરણાવવાની ચિંતા નથી હોતી … દરેક માણસની અંદર પક્ષીતત્વ રહેલું જ હશે ને? ઉપનિષદમાં આત્મા અને પરમાત્માને અમસ્તાં ‘સુપર્ણ’ નહીં કહ્યાં હોય … ઑફિસના પીંજરની અંદર રહ્યે રહ્યે આજે મારી અંદરનું પક્ષીતત્વ કંઈક વધુ જ પ્રબળ થઈ ગયું, એટલે અહીં આ બધું. થોડી વાર ટેબલ પર નાનકડું આકાશ ઉતરી આવ્યું! પણ હવે મનની ઉડાન આટલેથી જ સંકેલી લઉં. 

FRIDAY, AUGUST 10, 2012

સૌજન્ય : http://thismysparklinglife.blogspot.in/

Loading

...102030...4,1854,1864,1874,188...4,2004,2104,220...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved