Opinion Magazine
Number of visits: 9697429
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પન્ના નાયક એટલે 40 વર્ષની ડાયસ્પોરિક કવિતા

નીરજ શાહ|Diaspora - Literature|9 May 2013

જો પન્ના નાયકનો પરિચય એક જ વાક્યમાં આપવાનો હોય. તો હું કહું કે ‘પન્ના નાયક એટલે 40વર્ષની ડાયસ્પોરિક કવિતા.’

અત્યારે તો પરદેશમાં કાવ્યો, વાર્તાઓ, નિબંધો વિગેરે લખનારાં અનેક સર્જકો છે, પરંતુ પ્રારંભમાં, ચારેક દાયકા પહેલાં, અમેરિકા જઈને શરૂઆતથી જ, પોતાની લેખન પ્રવૃત્તિમાં સતત રત રહ્યાં હોય, એવી કોઈ કવયિત્રી હોય, તો એ છે પન્ના નાયક.

આમ એમનું વતન સુરત. જન્મ 28-12-1933, મુંબઈમાં. તેમની પાસે ત્રણ ત્રણ માસ્ટર ડિગ્રી છે. મુંબઈ યુનિવર્સિટિમાંથી એમણે ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ. કર્યું, ફિલાડેલ્ફિયાની ડ્રેક્સેલ યુનિવર્સિટિમાંથી લાઈબ્રેરી સાયન્સમાં એમ.એસ. કર્યું અને પેન્સિલવેનિયા યુનિવર્સિટિમાંથી સાઉથ એશિયન સ્ટડિઝમાં એમણે એમ.એસ. કર્યું. તેમણે પેન્સિલવેનિયા યુનિવર્સિટિમાં ગ્રંથપાલ તરીકે તેમ જ ગુજરાતી ભાષાનાં પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી છે.  

તેઓ અમેરિકામાં પોતાને ‘વિદેશિની’ કહીને ઓળખાવે છે. તેઓ ભારત જાય, ત્યારે પણ પોતાને વિદેશિની છું, એમ જ કહે છે. તેઓ કહે છે ‘અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું, છતાં અમેરિકા છૂટતું નથી. એટલે વિદેશિની.’ જ્યાં સુધી મુંબઈમાં હતાં, ત્યાં સુધી એમણે સાહિત્ય સર્જન કર્યું નથી. શબ્દ એમને અમેરિકામાં મળ્યો છે. એટલે જ તેઓ કહે છે કે ‘હું ફિલાડેલ્ફિયાના રસ્તા પર શબ્દનો કેમેરા લઈને ફરું છું.’  આમ અમેરિકા એમની કર્મભૂમિ છે. 

પન્નાબહેન ખૂબ વાંચે છે, અને નિયમિત લખે છે. તેઓની ચાર દાયકા લાંબી કાવ્યયાત્રામાં, તેમણે કવિતા, અછાંદસ, ગીત, હાઈકુ, ટૂંકી વાર્તા, એમ ઘણાં ઘણાં સાહિત્યસ્વરૂપમાં ખેડાણ કર્યું છે. ‘પ્રવેશ’, ‘ફિલાડેલ્ફિયા’, ‘નિસ્બત’, ‘અરસપરસ’, ‘આવનજાવન’, ‘ચેરી બ્લોસમ્સ’, ‘રંગઝરુખે’, ‘ગુલમહોરથી ડૅફોડિલ્સ’, એ એમનાં કાવ્યસંગ્રહો છે. ‘વિદેશિની’ એમની સંકલિત કવિતાનો સંગ્રહ છે. ‘અત્તર-અક્ષર’ એ હાઈકુ સંગ્રહ અને ‘ફ્લેમિંગો’ એમનો વાર્તાસંગ્રહ છે. ‘વિદેશિની’ નામે જ આવેલા આલ્બમમાં, એમનાં ગીતોની સંગીતમય રજૂઆત છે. આ ઉપરાંત, એમનાં ઘણાં નિબંધો પણ પ્રકાશિત થયા છે. એમની ઘણી કવિતાઓ – વાર્તાઓનાં અંગ્રેજીમાં અનુવાદ થયા છે, અને એમનાં ઘણાં પુસ્તકો પાઠ્યપુસ્તક તરીકે પણ સ્થાન પામ્યાં છે. 

મારે આજે વાત કરવી છે, એમનાં કાવ્યસંગ્રહ, ‘વિદેશિની’ અને હાઈકુ સંગ્રહ ‘અત્તર- અક્ષર’ વિશે.

તેમનાં સર્જનોમાં, એક ખાસ અને વિશિષ્ટ નારી સંવેદન સતત પ્રગટ થાય છે, અને તે ખૂબ જ અસ્વાદ્ય છે. એમનાં કાવ્યોમાં નારી સંવેદના જે કલાત્મક રીતે પ્રગટી છે, તે આપણા સાહિત્યમાં જુદી તરી આવે છે. કોઈ ઢાંચામાં નહીં ઢળેલાં ને છતાં ય જાણે સંપૂર્ણ કાવ્યમય, ગહન છતાં ય સરળ, અંગત છતાં ય નિખાલસ – આવી ઘણી ય ઉપમાઓ આપી શકાય, એમનાં કાવ્યોને. તેમનાં કાવ્યોમાં ખુમારી છે, વેદના અને સંવેદના છે. ક્યાંક મુલાયમ લાગણીઓ ભરપૂર ઉછાળા મારતી અનુભવી શકાય છે, તો ક્યાંક વસવસો.

આપણે એમને પૂછીએ કે તમારી કવિતામાં શું છે? તો તેઓ ખુમારીથી જવાબ આપે કે ..

એમાં પન્ના છે
ખુલ્લેખુલ્લી ..
ગમે તો સ્વીકારો
નહીં તો …

એમની કવિતાઓએ મારું ખાસ ધ્યાન ખેચ્યું છે, એમની ખૂબ ઓછાં શબ્દોમાં કાવ્ય કરવાની શૈલીએ. માત્ર 4-5 લીટી અને જૂજ શબ્દોમાં જ, એ કવિતાઓ ઘણું ઘણું કહી જાય છે. કોઈ કવિતામાં પ્રિયજનનાં આગમનની સુંદર અભિવ્યક્તિ હોય .. 

તારું આવવું –
મારી અધૂરી રચનાઓના
આડાઅવળા
અટવાતા
વેરવિખેર શબ્દોનું
અચાનક ગોઠવાઈને
અર્થસભર
કવિતા બની જવું …

તો ક્યાંક એ જ પ્રિયજનનાં સમયસર ન આવવનો વસવસો હોય ..

મારા મરણ પછી
તારા સમયસર ન આવવાની 
ફરિયાદ 
હવે હું શી રીતે કરું?
અહીં કેટલાય લોક હાજર છે 
અને 
મારા હોઠ બંધ છે !

આમ આ કવિતાઓ પ્રેમ અને વસવસા વચ્ચે લાગણીનો પૂલ બાંધતી જણાય છે. તો વળી ક્યાંક રોજ-બરોજની જિંદગીમાં મશીન થઈ ગયેલા માનવીની વાત હોય. 

મને ખબર નથી
હજી 
કેટલીય સવાર સાંજ
કેટલાંય વર્ષ 
હું 
મારી કાંડા ઘડિયાળ ને
ઑફિસની ઘડિયાળ સાથે 
મેળવ્યા કરીશ. 

આ કવિતાઓમાં તેમણે આપણી રોજ-બરોજની જિંદગીમાંથી, સાવ સામાન્ય લાગતી ઘટનાઓને, ખૂબ સરળતાથી, કાવ્યમાં ગુંથી લીધી છે અને તેથી જ તેમની કવિતા પોતાની લાગે છે. આપણે એમાં પોતાને પરોવી શકીએ છીએ. તેથી જ આ કાવ્યોનો અર્થ માત્ર કહેવાયેલા શબ્દો સુધી જ સીમિત રહેતો નથી, પરંતુ જે નથી કહેવાયા એ શબ્દોમાં વાચક એનાં અનેક અર્થ કરી શકે છે.

એમનાં અનેક કાવ્યોમાં પ્રકૃતિનું સુંદર કલ્પન પણ છે. 

ફૂલપાંદડી
ટપ ટપ ખરી –
જીરવવા એનો ભાર
નીચું નમી ગયું ઘાસ. 

કે પછી 

‘પાણી પર કાવ્ય લખતાં
કંપી ગયેલો પવનનો હાથ ..’

આ કાવ્યોનો પોતાનો એક અલગ જ મિજાજ છે. ક્યાંક ટૂંકીવાર્તાનું કેન્દ્રબિંદુ છે, તો ક્યાંક અંગત ડાયરીનું પાનું કવિતા બન્યું છે. પરંતુ પન્નાબહેનને તો કોઈ એક પાંજરામાં બંધાવું મંજૂર નથી. એટલે જ જ્યારે આપણે એમની કવિતાઓને, અંગત ડાયરી સમજવા લાગીએ, અને એની અંદર કવયિત્રીને શોધવા મથીએ, ત્યાં તો તેઓ આપણને હાથ ખેંચીને, એ પાનાંઓમાંથી બહાર ખેંચી લાવે, અને પોતાના કવિતા બહારનાં અસ્તિત્વનો અહેસાસ કરાવતાં કહે .. 

મારી કવિતામાં
પન્નાને શોધતાં 
એ વાચકો !

ઘુઘવાટા કરતાં એનાં કાવ્યોમાં

તો મળશે
છૂટાંછવાયાં મોજાં જેવી
માત્ર
ટાંચણપોથી.
જીવનની બધી વાત 
કવિતા 
નથી કહી શકતી.

આવાં અનેક નાનકડા પણ અર્થસભર કાવ્યો એમણે રચ્યાં છે. એમની આ થોડાંક જ શબ્દોમાં, અસરકારક રીતે વાત કહી દેવાની સિદ્ધિનો ખરો અનુભવ થાય છે, તેમનાં હાઈકુ સંગ્રહ ‘અત્તર-અક્ષર’માં. સુરેશ દલાલ એમનાં હાઈકુ વિષે કહે છે કે ‘આ હાઈકુ એની ચિત્રાત્મકતાને કારણે, એનાં કલ્પનને કારણે સ્પર્શી જાય એવાં છે.  ગુજરાતી કવિતાસાહિત્યમાં સ્નેહરશ્મિની પડખે જો કોઈનાં પણ હાઈકુ દમામથી બેસી શકે એવાં હોય, તો તે પન્ના નાયકનાં છે.’

એક હાઈકુ  છે.  

અમેરિકામાં
બા નથી, ક્યાંથી હોય
તુલસીક્યારો? 

આ હાઈકુમાં તુલસીક્યારો પ્રતિક છે અને પ્રતિક રૂપે છે બાની યાદ. પણ એમાં છૂપો એક વતનઝૂરાપો અને ઘરઝૂરપો છે. એક ઉનાળી બપોરની આબેહૂબ અભિવ્યક્તિ કવયિત્રી આ રીતે સામે મૂકે છે. 

બેઠા શ્વાનની
લટકતી જીભમાં 
હાંફે બપોર. 

આગઝરતી ઉનાળાની બપોર કેટલી આકરી હશે એ માટે બીજું કશું કહેવાની જરૂર રહેતી નથી. 

બીજું એક હાઈકુ છે – 

ધોધમાર તું
વરસ્યો, લીલોછમ્મ
થયો સમય

આ હાઈકુમાં પ્રણય અને મિલનની ઉત્કટ અનુભૂતિ છે. સમયનાં લીલાછમ્મ થવાની સુંદર કલ્પના છે. તો બીજા એક હાઈકુમાં જુદાઈનો ઘેરો વિષાદ ..

તારી જુદાઈ
ખૂંચે, પગ તળેના
કાંકરા જેવી

આવી અનેક સંવેદનાઓ અને કલ્પનાઓનું ઝીણું નક્શીકામ એમનાં હાઈકુમાં જોવા મળે છે. એમાં વિષયોનું ભરપૂર વૈવિધ્ય હોવા છતાં, એમાં ભારેખમ કવિતાનો બોજ વર્તાતો નથી, પણ સાવ સરળ શબ્દોમાં, એક ઊંડું સંવેદન પ્રગટે છે, જે વાચકને સીધું જ સ્પર્શી જાય છે. સત્તર અક્ષરનાં આ હાઈકુ તેમનાં સંગ્રહના નામને સાર્થક કરે છે. એક એક હાઈકુ જાણે અત્તરની સુગંધથી મહેકે છે. 

e.mail  : shahnirajb@gmail.com

(અમેરિકી દ્વૈ સર્જક પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીના અતિથિ વિશેષપદે, 5 મે 2013ના રોજ, 'ગુજરાતી સાહિત્ય અકાદમી'ના 'અાંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ'ના અવસરે રજૂ કરાયેલું વક્તવ્ય)

Loading

‘ — ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.’

ભદ્રા વડગામા|Diaspora - Literature|9 May 2013

ન્યૂરોલોજિસ્ટ્સે પૂરવાર કર્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ લાંબું જીવે છે. તેનું એક કારણ એ છે કે સ્ત્રીઓ એકબીજાના સુખદુઃખમાં સહભાગી બને છે. કોઈક રોમાન્ટિક સંબંધ તૂટી જાય, તો પણ તે ભાંગી નથી પડતી, કેમ કે તેની પાસે તેના સ્ત્રી મિત્રોનો સંગાથ છે, જેને તે પેટછૂટી વાત કરી, મનનું દુઃખ કે દ્વિધા હલકાં કરી શકે છે. આ વાતનો પુરાવો આપ સમક્ષ આજે મોજૂદ છે. પન્નાબહેનને જોઈ, કોણ કહી શકશે કે આ વર્ષની ૨૮ ડિસેમ્બરના તેમને ૮૦ વર્ષ પૂરાં થશે. દીર્ઘ આયુષ્ય માટે, હું તો પેટછૂટી વાત બહેનપણીઓને કહેવાનું કહું છું, જ્યારે પન્નાબહેન તો તેમની અંતરની વાતો સમગ્ર ગુજરાતી વાચકવર્ગ સુધી પહોંચાડે છે. પછી તેમના ઉપર કોઈ પણ જાતના સ્ટ્રેસની અસર શા માટે થાય ? કેટલાં સુંદર અને યુવાન દેખાય છે, જુઓ તો ખરાં !

તરફડાટ એટલે ? -


તમે કહેશો,
જલની બહાર આણેલા


કોઈ મીનને પૂછી જુઓ !

પણ ઘૂઘવતા ઉદધિના ભીતર


જે


કોરું કોરું તરફડે,


એને તમે શું કહેશો ?

આવા આવા તરફડાટને પન્નાબહેને પોતાની કવિતામાં કશા ય ક્ષોભ કે છોછ વિના છતા કર્યા છે.

અને એ પ્રેરણા તેમને મળી એક અમેરિકન કવયિત્રી પાસેથી. એમના જ શબ્દોમાં કહું, ‘લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (1967) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય, એવું અનુભવતી જાઉં. ટીવી પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે, એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે – દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્ત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે, ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.’

એ વાત કરી પન્નાબહેને. તેવી જ રીતે હું પણ લાઈબ્રેરી માટેનાં પુસ્તકોનું કેટેલોગીંગ કરી રહી હતી, ત્યારે, મારા માટે તે સમયે સાવ અજાણ, એવાં પન્નાબહેનનું, 'તું આંખોમાં આંખ પરોવી દીર્ઘ ચુંબન કરે' કાવ્ય મેં વાંચ્યું. મારાથી બોલાઈ ગયું, 'Wow! શયનગૃહની અંદરનું આટલું અંગત દૃશ્ય, એક ગુજરાતી સ્ત્રી, આટલી હદે ખુલ્લી રીતે વર્ણવી શકે ? 'ત્વચાની રજાઈ ઓઢાડે, વાઘા ઉતારે’ – કેટલી ૠજુતા સમાયેલી છે આ શબ્દોમાં ? અમે પુષ્ટિમાર્ગીઓ ઠાકોરજીનાં વસ્ત્રોને વાઘા કહીએ. મને ખબર નથી કે પન્નાબહેને પણ એ શબ્દ અહીં એ જ કારણસર વાપર્યો છે કે નહીં, પણ મારા માટે સંભોગની પ્રક્રિયાને તેમણે સમાધિની કક્ષાએ પહોંચાડી છે. એ જ કાવ્યમાંની બીજી એક પંક્તિ ય મને સ્પર્શી ગઈ તે હતી, 'આ બધું મને એટલું ગમે છે, એટલે હવે હું પણ મને ગમવા માંડી છું.'

આધ્યાત્મિક લખાણોમાં આપણે વાંચીએ છીએ કે 'સૌ પ્રથમ પોતાને પ્રેમ કરતાં શીખો, તો જ બીજાને પ્રેમ આપી શકશો.' પન્નાબહેન માટે પોતાને ગમવાનું કારણ ભલે બીજું છે, પણ એમાં આધ્યત્મિક્તાની થોડી છાંટ કદાચ છૂપાઈ હશે ? એ છાંટ વિશે ત્યારે મને વિચાર નહોતો આવ્યો, પણ હવે વિલાસબહેનના રંગે રંગાઈ છું, અને ઉંમરલાયક થઈ છું, એટલે આવે છે.

પ્રેમની પરાકાષ્ટાને પોરસતી એ જ કવયિત્રી ઘેલછાભર્યા પ્રેમ માટે ટકોર પણ કરી જાણે છે ઃ

પાંદડી વાયરાને વળગી શું કામ ?
વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?

અને વળી ક્યારેક પુરુષપ્રધાન સમાજમાં પત્નીને જે રીતે પતિનો પડછાયો થઈને રહેવું પડે છે, તેને પડકાર આપવામાં પણ પન્નાબહેને પાછું જોયું નથી. મને પ્રિય તેમનું આ કાવ્ય માયા એનજેલુની કૃતિ Phenomenal Woman ની ઝાંખી કરાવે છે.

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,

ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઇચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી.

 

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હામાં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

 

માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું,
માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું,
મને આવું પીગળવાનું મંજૂર નથી.

 

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.

 
તો વળી આ કાવ્યમાં કોઈ વિધવાની વ્યથાનો ભાસ થાય છે. એક લોકગીતના શબ્દો લઈ, એક નવી જ ભાવના અહીં વર્ણવી છે.
 

સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
એ ચહેરાને હું તો ખોળ્યાં કરું.

 

બારણાની બ્હાર આ રસ્તો પડયો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી.
ક્યારનો ઉજાગરાનો દીવો બળે ઃ
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.

 

હાલ આસ્થા ચેનલ પર, ‘અસ્મિતા પર્વ’ સમયે, બિન્દુ ભટ્ટની અખેયપાતર નવલકથાના સર્જન વિશે તેમણે જે કહ્યું તે હું સાંભળતી હતી. તેમાંથી પન્નાબહેનની સર્જક્તા વિશે એમનાં અમુક વિચારો અપનાવી શકાય તેમ મને લાગ્યું. બિન્દુબહેન કહે છે કે ‘શેરીએ શેરીએ પતિ હોવા છતાં જીવનની ધાર જીરવી રહે છે, એવી કેટલીયે સતીઓ છે.’ અહીં એવી સતીઓને, એ પરિસ્થિતિમાંથી છૂટવા માટે, પન્નાબહેન આમ કહી પ્રોત્સાહન આપવા માગે છે.

સતી નામના કાવ્યમાં તેમણે લખ્યું છે ઃ

પતિને પરમેશ્વર માનનારી

હું સતી સ્ત્રી નથી.

અને એટલે જ

પતિના અવસાન પછી

રદ્દ થઈ ગયેલા અસ્તિત્વમાં

મૂરઝાયેલા ફૂલ જેમ જીવી જઈ

શેષ આયુષ્ય વીતાવવાના

આપણા ઉત્કૃષ્ટ રિવાજને

હું

વધાવી શકતી નથી.

હું

સ્વર્ગે જઈશ

એવી કોઈ ગણતરી  

મારા ગણિતમાં છે જ નહીં !

બિન્દુ બહેને કહ્યું કે દરેક સ્ત્રી એક અક્ષયપાત્ર છે, તેમાં સુંદરતા, સ્વાદ, કળા, પકૃતિ માટે જે રુચિ છે, તે અવર્ણનીય છે. અને પન્નાબહેનનાં કાવ્યોમાં આવાં આવાં સ્ત્રી સુલભ પાસાં આવરી લેવાયાં છે. સમયની મર્યાદાને ખ્યાલમાં રાખી, એ બધાંને હું અડી નથી શકતી.
 
સુરેશ દલાલે કહ્યું છે તેમ, પન્નાબહેનની કવિતામાં, વેદના અને સંવેદના, વહાલ અને વસવસો સંપીને રહે છે. તેમની કૃતિઓ તૄપ્તિના અહેસાસની કવિતા છે, અલ્લડ સ્ત્રીનો ઉદ્દગાર નથી, તેમાં તરસનો તહેવાર છે, ખુમારીનો ઉધ્ધાર છે. હું ઉમેરીશ કે તેમાં સ્ત્રીત્વનો ઉત્સવ છે.
 
એમના એક ગદ્ય પદ્યમાં પન્નાબહેન લખે છે :
 
‘મારામાં એક ટોળું વિરાટ સમુદ્રના પાણીની જેમ ધસમસી આવે છે અને અહીંથી તહીં, તહીંથી અહીં રહીરહીને મને ફંગોળે છે. કોઈ કોણી મારે છે, કોઈ ધક્કા. કોઈ મને ઉપાડે છે, કોઈ પછાડે છે. મને ક્યાંય કોઈ જંપવા દેતું નથી. આ ભીડ મારી પોતાની છે. આ મારી જ ભીડમાં હું ખોવાઈ જાઉં છું. ખવાઈ જાઉં છું. હું મારા એકાંતના નીડમાં પાછી વળી શક્તી નથી. કપાઈ ગઈ છે મારી પાંખ. આંધળી થઈ ગઈ છે મારી આંખ, ગહનઘેરા અંધકારમાં હું મને ફંફોળું છું પણ કેમે કરીને હું મને મળતી નથી, મળી શક્તી નથી.’
 
પણ વર્ડસ્વર્થે કહ્યું છે કે  Poetry is the spontaneous overflow of powerful feeling, recovered in tranquility. કવિતા એ તીવ્ર લાગણીઓનો સ્વયંસ્ફૂર્ત ઊભરો છે, જે સંપૂર્ણ શાંતિમાં ડૂબી જઈને જ અંકુશમાં લાવી શકાય છે.
 
ભલે અહીં પન્નાબહેને લખ્યું છે કે ‘મારા એકાંતની નીડમાં પાછી વળી નથી શકતી’, પણ એ જાતની લાગણીનો અનુભવ લેવા પણ તેમને એકાંતમાં ઉતરવું પડતું જ હશે.
 
એક સર્જક તરીકે તેમણે એ tranquility – પરમ સ્થિરતા, સંપૂર્ણ શાન્તિમાં ડૂબી જઈને જ આવાં સર્જનો કર્યાં હશે. જેને પ્રકૄતિ પ્રત્યે આટલો પ્રેમ હોય, તેને ઘોંઘાટની વચ્ચે પણ, આંતરમુખ થઈ, મનોભાવોને હૃદયના એક ખૂણામાં છૂપાઈ રાખતાં આવડતું જ હશે. સીતાજીને સખીઓએ પૂછ્યું કે તમે આટલા બધા દિવસો અશોકવાડીમાં રહ્યાં, તો અમને કહો કે રાવણ કેવો દેખાય છે. સીતાજી કહે છે ‘મેં તો ફક્ત તેના પગનો અંગૂઠો જ જોયો હતો’, છતાં પણ સખીઓના આગ્રહથી તે રાવણનું ચિત્ર દોરે છે. બિન્દુબહેન કહે છે, 'એ ચિત્રનો રાવણ આગવો જ હશે.' સર્જકનું પણ એવું જ છે તેમને એક આવો અંગૂઠો મળે છે અને તેમાંથી એ કશુંક અદ્દભુત સર્જન કરી શકે છે.
 
પન્નાબહેને મા વિશે પણ કાવ્યો લખ્યાં છે, કેમ કે સંવેદનાનું સૂત્ર મા સાથે જોડાતું હોય છે. માના ખોળામાં જે વિસામો મળે છે, તે બધી વ્યાધિ-ઉપાધિને નષ્ટ કરી શકે છે. સૂરક્ષેત્રની એક સ્પર્ધામાં મહેશ ભટ્ટ એક ગાયકને કહે છે 'તારી ગાયકીમાં આત્મા પૂરવા માટે માના ખોળામાં સૂતાંસૂતાં જે ખામોશી – tranquilityનો અહેસાસ તું કરે છે, એ ખામોશીને યાદ કરી, રાત્રે એકાંતમાં કોઈના માટે નહીં ફક્ત તારા જ માટે તું ગાજે. પછી જોજે તેમાં શું માધુર્ય આવે છે.' તેવી જ રીતે આ કવયિત્રી પણ વચ્ચે વચ્ચે માના ખોળાનો આસરો લઈ, પોતાનું સર્જન કરતી હશે એવું હું માનું તેમાં અતિશયોક્તિ નહીં જ હોય.
અહીં મને કવિ રણછોડદાસની આ પંક્તિઓ પણ યાદ આવે છે

દિલમાં દીવો કરો રે દીવો કરો

દયા દીવેલ, પ્રેમ પરણાયું લાવો,


માંહી સુરતાની દીવેટ બનાવો;


મહીં બ્રહ્મઅગ્નિ પ્રગટાવો રે … દિલમાં દીવો કરો

માનવ પાસે પોતાનો આંતરિક દીવો પ્રગટાવવા માટે બધી સામગ્રી હશે – દયાનું દીવેલ, પ્રેમનું પરણાયું અને સુરતાની દીવેટ – પણ દીવાને બ્રહ્મઅગ્નિથી એ પેટાવશે નહીં, ત્યાં સુધી તેમાંથી પ્રકાશ ઉત્પન્ન નહીં થાય. તે જ રીતે પન્નાબહેન સંવેદનશીલ કૃતિઓ સાથેસાથે, દરરોજની સામાન્ય વસ્તુઓ પર પણ, હૃદયસ્પર્શી કાવ્યો લખી શકે છે, પછી તે છત પરનો કરોળિયો હોય કે કપડે ચોટ્યું ઘાસ હોય કે પછી ભીંત પર પડતો સવારનો તડકો હોય કે કરમાયેલો તુલસીછોડ હોય. તેમની કલમ હેઠળ એ બધાં કવિતા બની જાય છે, કેમ કે આ કવયિત્રીમાં એક કારીગરની કળા અને આત્મા વસેલાં છે. તેમણે કવિતારૂપી દીવો પ્રગટાવવા એકઠી કરેલી સામગ્રીઓ – વિચારો, લાગણીઓ, સંવેદનાઓ, આસપાસની ઝીણી ઝીણી વસ્તુઓ, માનવસંબંધો – ને સુંદર રીતે ગોઠવીને તેમાં બ્રહ્મઅગ્નિને પેટાવ્યો છે; તેમાં પોતાનો આત્મા રેડ્યો છે, એટલે જ એમની કૃતિઓ ઉત્કૃષ્ટ છે.

એવાં એ મારાં સખી પન્નાબહેનને, તેમના આગામી ૮૦મા વર્ષગાંઠ નિમિત્તે, અત્યારથી જ, અભિનંદન પાઠવું છું; અને પ્રભુ તેમને સુંદર સ્વાસ્થ્ય સહિતનું દીર્ઘાયુ અર્પે એવી પ્રાર્થના કરી વંદુ છું.

e.mail : bhadra.v@btinternet.com

(અમેરિકી દ્વૈ સર્જક પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીના અતિથિ વિશેષપદે, 5 મે 2013ના રોજ, 'ગુજરાતી સાહિત્ય અકાદમી'ના 'અાંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ'ના અવસરે રજૂ કરાયેલું વક્તવ્ય)

Loading

સંગીતમાં રાગ અને રસ

અારાધના ભટ્ટ|Opinion - Opinion|6 May 2013

'રસ' શબ્દની સામાન્ય વ્યાખ્યા પ્રમાણે, જેનો આસ્વાદ કરી શકાય તે 'રસ'.  'आस्वाद्यते इति रसः'. રસ શબ્દમાં મુખ્ય ત્રણ ભાવો નિહિત છે : રસ એ અનુભવનો વિષય છે, રસ એ અર્ક કે સત્વ છે, અને રસ અસ્થાઈ, ગતિશીલ છે. ભરતમુનિના પ્રબંધ-ગ્રંથ 'નાટ્યશાસ્ત્ર'માં રસનિષ્પત્તિ, 'વિભાવ’(ઉદ્દીપક પરિસ્થિતિ), 'અનુભાવ’ (ભૌતિક પરિણામ કે અભિવ્યક્તિ – જેમ કે અભિનય)' અને 'વ્યભિચારી’(અશાશ્વત મનોભાવ) એ ત્રણ પરિબળોને આધારે હોવાનું જણાવાયું છે. આ ત્રણેનો સમન્વય થતાં જે અનુભૂતિ થાય છે તે 'આસ્વાદનીય' છે. ભરતમુનિના 'નાટ્યશાસ્ત્ર' વિષયક ભાષ્ય 'અભિનવભારતી'ના સર્જક, સંગીતશાસ્ત્રજ્ઞ અને સૌન્દર્યશાસ્ત્રજ્ઞ અભિનવગુપ્તના મતાનુસાર રસ, શ્રોતા કે રસિકના મનમાં સ્થિત હોય છે. કળાકાર દ્વારા રજૂ થતી કળા, એ રસને માટે ઉદ્દીપક બને છે. એટલેકે સંગીતમાંથી કે અન્ય કોઈ પણ કળામાંથી આનંદ મેળવવો એ સંસ્કારગત બાબત છે.

તૈતરીય ઉપનિષદકાર રસાનુબોધ કરાવતાં કહે છે : रसो वै सः , બ્રહ્મ એ જ રસ છે. પછી એ કહે છે रसं हि एव अयं  लब्ध्वा आनंदी भवति. જ્યારે માનવીને આનંદની પ્રાપ્તિ થાય ત્યારે જાણવું કે એને રસની પ્રાપ્તિ થઈ છે. જેમ બ્રહ્મ એ જ રસ છે તેમ આનંદ એ જ બ્રહ્મ છે. બ્રહ્મ આનંદસ્વરૂપ છે, સત, ચિત અને આનંદ એ બ્રહ્મનાં લક્ષણો છે . તૈતરીય ઉપનિષદ એમ પણ કહે છે 'यदि आकाशे आनंदों न स्यात, कः प्राण्यात कः अन्यात. ' જો આકાશમાં (એટલે કે જગતમાં) આનંદ ન હોત તો કોઈ મનુષ્ય કે પ્રાણી કઈ રીતે જીવિત રહી શકે? આમ રસનો સંબંધ માત્ર કલાઓ કે સૌંદર્યશાસ્ત્ર પૂરતો સીમિત નથી, પણ આપણાં શાસ્ત્રોએ એને ‘બ્રહ્મ’નું ઉચ્ચતમ સ્થાન આપ્યું છે.

રસ એ વ્યક્તિના અંતઃકરણની સમૃદ્ધિ છે. માનવીનું મન એના ઇન્દ્રિયબોધ અનુસાર સુખ-દુ:ખ અનુભવે છે. ઇન્દ્રિયોની સહાયથી મન નિરંતર આનંદની શોધ કરતું હોય છે. માનવીના અંતઃકરણની વિશિષ્ટ ભાવનાઓના ઉત્કર્ષને શાસ્ત્રોમાં 'રસ' કહેવાય છે. બીજી રીતે કહીએ તો કોઈક સાધારણ ઘટના,અનુભવ કે વસ્તુ, મનમાં અસાધારણ નવીનતા ઉત્પન્ન કરે ત્યારે એને 'રસ' કહે છે. મનુષ્ય-હૃદયમાં  સ્થાયીભાવો સદા વિદ્યમાન છે. એ ભાવોના ઉદ્દીપનથી રસ ઉત્પન્ન થાય છે અને રસમાંથી કળાજન્ય સૌન્દર્યની ઉત્પત્તિ થાય છે. આને જ સૌન્દર્યશાસ્ત્ર કે એસ્થેટિક્સ કહે છે. જીવનને સ-રસ કે નિ-રસ બનાવવામાં ભાવકનું ભાવવિશ્વ અધિકાંશ ભાગ ભજવે છે.

સાહિત્યના સંદર્ભે રસ-શાસ્ત્રમાં નવ રસ ગણાવાયા છે. ભારતના નાટ્યશાસ્ત્રમાં આઠ રસોનો ઉલ્લેખ છે અને પછી અભિનવગુપ્તએ નવમા રસ તરીકે શાંત રસનો ઉમેરો કર્યો.
श्रुंगारहास्य करुणरौद्र वीर भयानका:I
बिभत्सोद्भुत इत्यष्टौ रस शांतस्तथा मत: II
શ્રુંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્દભુત, અને શાંત આ નવ રસ ઉપરાંત મનુષ્ય ભાવજગતમાં તેત્રીસ ‘વ્યભિચારી ભાવો’ છે, જે મૂળ નવ રસમાંથી ઉદ્દભવે છે. જેમ એક રંગની અનેક અાભાઓ અને છાયાઓ હોય તેમ એક જ રસમાં અનેક ભાવો સમાયેલા છે. ઉદાહરણાર્થે શૃંગાર રસ લઈએ તો એમાં હર્ષ, આનંદ, ઉન્માદ, વિસ્મય, મોહ, ઈરોટીસીઝમ – લૈંગિકતા, સ્વાર્પણ, આરાધના, વગેરે ભાવો નિહિત છે.

પરંતુ સંગીતમાં, શૃંગાર, હાસ્ય, કરુણ, અને શાંત – એ ચાર રસોમાં નવેનવ રસ હોવાનું મનાય છે. આપણું શાસ્ત્રીય સંગીત રસલક્ષી છે. મતંગની બૃહદ્દેશીમાં રાગ-વિમર્શ કરતાં રાગની વ્યાખ્યા આ પ્રમાણે અપાઈ છે:  ‘योयं ध्वनी विशेषस्तु स्वर-वर्ण विभूषित:, रंजको जनचित्तानाम स रागः कथितो बुधै:’ સ્વરોનો એવો સૌંદર્યસભર સમૂહ જે રંજક હોય (અને અન્ય કેટલાક શાસ્ત્રીય નિયમોને અનુસરે) તેને રાગ કહે છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ પણ 'અભિનવ રાગમંજરી'માં રાગની વ્યાખ્યા કરતાં રંજકતાને રાગનો ગુણધર્મ ગણાવ્યો છે. રંજકતા એ મનનો વિષય છે, તેથી એ સામાન્યજનોના ઉપયોગનું સાધન છે. પરંતુ સ્થૂળ રંજકતાથી ઉપર ઊઠીને સૂક્ષમમાં પ્રવેશ કરતાં રસનો સંચાર થાય છે, મનને ચિત્તનું પદ પ્રાપ્ત થાય છે. ખરેખર તો આ યોગનો વિષય છે અને યોગિઓ આવી ચિરંતન સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જનસામાન્ય માટે સંગીત અથવા અન્ય ઉત્તમ કલાઓ એને આવી ઊર્ધ્વ અનુભૂતિ કરાવી શકે. સ્થળ, કાળ, સંબંધ, સ્થિતિ બધું ભૂલીને વ્યક્તિ જ્યારે અનિર્વચનીયના પ્રદેશમાં પ્રવેશે ત્યારે એના હૃદયમાં જે આનંદનો અવિર્ભાવ થાય છે એને રસાનુભૂતિ કહે છે. સૌન્દર્યબોધ અથવા રસાનુભૂતિ માટે શ્રોતા કે ભાવક સંગીતના મર્મજ્ઞ હોવા જરૂરી નથી. માત્ર સહૃદય વ્યક્તિને જ આ અનુભવ થઈ શકે છે, કારણ કે સંગીત એ  સમજવાનો  નહીં પરંતુ અનુભવનો વિષય છે. શબ્દ સમજવાનો હોય છે, પણ સ્વર અનુભવવાનો હોય છે.

આપણી સંગીત પરંપરામાં રાગોની પ્રકૃતિ હોવાનું આપણે માનીએ છીએ. કેટલાક રાગો ચંચળ પ્રકૃતિના છે તો કેટલાક ગંભીર. રાગોની પ્રકૃતિના આ વિશાળ વર્ગીકરણને આગળ લઈ જતાં રાગોને જુદા જુદા રસો નિષ્પન્ન કરનાર તરીકે વર્ગીકૃત થાય છે. રાગોનું વર્ગીકરણ એના સ્વરોની સંખ્યા પ્રમાણે, એમાં આવતા સ્વરોના પ્રકાર (શુદ્ધ, કોમળ કે તીવ્ર)ના આધારે જુદી જુદી રીતે થાય છે. રાગોની પ્રકૃતિ પ્રમાણે એમના ગાયન કે વાદનનો સમય પણ શાસ્ત્રોમાં જણાવાયો છે. પંડિત ભાતખંડે લિખિત 'હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ'માં તેમણે રસ પ્રમાણે રાગોને ત્રણ વિભાગમાં વહેંચ્યા છે : ધ (ધૈવત) કોમળવાળા સંધિપ્રકાશના રાગો શાંત અને કરુણ રસના, ધ શુદ્ધવાળા રાગો શૃંગાર રસના, અને ગ (ગાંધાર) તથા નિ (નિષાદ)કોમળવાળા રાગો વીર રસના સંવાહક છે એવું તેમણે દર્શાવ્યું છે.

જેમ રાગોને રસ સાથે જોડવામાં આવ્યા છે, તેમ આપણા પ્રાચીન ગ્રંથકારોએ સ્વરને પણ રસ સાથે જોડ્યા છે. ૧૩મી સદીના સંગીતશાસ્ત્રી શારંગદેવે સંગીતશાસ્ત્રની તેમની મહાન કૃતિ – ‘મેગ્નમ ઓપાસ’ – 'સંગીત રત્નાકર'માં જુદાજુદા સ્વરોને વિવિધ રસો સાથે પ્રથમ વાર સાંકળી લીધા. સા અને રે, વીર, રૌદ્ર અને અદ્દભુત રસોના, ધ બિભત્સ અને ભયાનકનો, ગ અને નિ કરુણ રસના, અને મ તથા પ હાસ્ય અને શૃંગાર રસના પોષક છે. જો કે દરેક સ્વરને કોઈ એક રસસૃષ્ટિ સાથે જોડી શકાય એવું વાસ્તવમાં લાગતું નથી. રસનિષ્પત્તિ એ સ્વર-સમૂહો અને તેમાં સ્વરોનું પ્રયોજન, સ્વરોની ચાલ, અને સંગીતકારની પોતાની રસાનુભૂતિ અને સજ્જતા વગેરે અનેક પરિબળોનું સામુહિક પરિણામ જ હોઈ શકે. ૨૦મી સદીના સંગીતજ્ઞ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ મત જાહેર કર્યો કે કોઈ એક રાગને એક રસ સાથે જોડી શકાય નહીં, માનવમનની અને સંગીત કળાની સૂક્ષ્મતાને જોવાની એ બહુ પ્રાથમિક દૃષ્ટિ છે. તેમણે સંગીતના સૂરોને જ નહીં, પણ એમાં લય, તાલ વગેરે અનેક પાસાઓને રસનિષ્પત્તિ સાથે સાંકળી લીધા.

રસ નિષ્પત્તિ સાથે સંકળાયેલું સંગીતનું એક મહત્ત્વનું અંગ તે રાગોનું સમયચક્ર. દિવસના અને રાત્રિના પ્રહારોમાં ગવાતા રાગોની વર્ગીકરણ પદ્ધતિ આપણી પરંપરામાં સ્વીકૃત છે. રાગોમાં પ્રયોજતા સ્વરોમાંથી ખડા થતા વાતાવરણને અને દિવસ-રાત્રિના સમયચક્રના કોઈક અકળ સંબંધ સાથે રસ-સિદ્ધાંતને સંબંધ છે. તે જ રીતે  હિન્દુસ્તાની સંગીતમાં ઋતુઓના રાગો ગવાય છે. વસંત, બહાર, મલ્હાર જેવા રાગો વસંતઋતુ અને વર્ષાઋતુના રાગો છે. શાસ્ત્રીય સ્વરાયોજન અનુસાર કોઈ એક ઋતુના યોગ્ય વાતાવરણમાં, શ્રોતાઓની માનોભાવનાઓને સમજીને, કોઈ રાગ છેડવામાં આવે, તો રસની ઉત્પત્તિ જરૂર થાય છે. તાનસેન, બૈજુ બાવરા, અને તાનારીરીની રાગ દીપક અને મલ્હારવાળી કથા સર્વવિદિત છે. જ્યારે રાગો કોઈ વાદ્ય ઉપર વગાડવામાં આવે ત્યારે, એમાં શબ્દો ન પ્રયોજાતા હોવા છતાં, માત્ર સ્વરો પણ રસોત્પત્તિ કરવાની ક્ષમતા ધરાવે છે.

કલાકારનું લક્ષ્ય શ્રોતાના સ્થાયીભાવોને જગાડી એને રસમાં તન્મય કરવાનું હોય છે અને એ જ કલાકારની નિપુણતાનું દ્યોતક છે. સંગીતકાર એની સૌંદર્યસાધના, સ્વર, તાલ, લય અને કાકુભેદ દ્વારા કરવા પ્રયત્ન કરે છે. સ્વરોના વિશિષ્ટ લગાવને ‘કાકુ’ કહે છે, જેમાં સ્વરોની ગતિ એનું ઊંચા-નીચાપણું વગેરે કલાકૌશલનાં વિવિધ પાસાંઓનો સમાવેશ થાય છે. એટલે, એક ઉદાહરણરૂપે, પ્રાતઃકાલીન રાગ લલિતમાં ગવાતી બંદિશ 'રૈન કા સપના ..' એ શબ્દસમૂહને જુદાજુદા સ્વરો લઈને ગાવાથી ગાયક કલાકાર શ્રોતાના ચિત્તને રસાન્વિત કરવામાં સફળ થાય છે. સંગીતમાં થતી રસનિષ્પત્તિમાં ગાયન-વાદનની શૈલીઓ એટલે કે પરંપરાગત ઘરાનાઓ પણ કેટલેક અંશે ભાગ ભજવે છે. કેટલાક પ્રકારનું સંગીત સામાન્યજનને વધુ 'ભાવવાહી' લાગે છે. કેટલાક ગાયકો કે વાદકોની શૈલી વધુ ભાવવાહી હોવાનું સંગીત સમીક્ષકો માને છે. અથવા તો કોઈ જ બુદ્ધિગમ્ય કારણ વિના કોઈ સંગીત વધુ સ્પર્શી જાય એવું લાગતું હોય છે. કોઈક ગીત કે રાગ સાંભળીને કોઈ ભાવક પોતાના રૂવાં ખડાં થઈ ગયાંનું વર્ણન કરે તો કોઈ આશ્રુની ધારા વહેવાની વાત કરે. 'ભાવ'નો આ સ્પર્શ તે કદાચ 'રસ' નું પ્રાથમિક સ્વરૂપ.

સંગીત એ રંગમંચની કળા છે. તેથી રસનિષ્પત્તિના શાસ્ત્રોક્ત વિમર્શ કરતાં વ્યવહારમાં સંગીતકાર  રસનિષ્પત્તિનું પોતાનું ધ્યેય કઈ રીતે સિદ્ધ કરે છે એ મહત્ત્વનું છે. સંગીતકાર પોતે, જે તે રસને  તીવ્રપણે  અનુભવે, કહો કે, એ રસમાં પોતે ખૂંપી જાય તો જ એના સ્વરો એ રસના વાહક બની એના ભાવકોને સ્પર્શશે. આપણા સંગીતનો વારસો સદીઓથી ગુરુ-શિષ્ય પરંપરાની તાલીમ દ્વારા જળવાયો છે. બધી જ શાસ્ત્રીય નિપુણતા પ્રાપ્ત કરીને સાધનારત શિષ્ય જ્યારે ગુરુના આશિષ મેળવે, ત્યારે સાચા અર્થમાં ગુરુનું જ્ઞાન સંપાદન કરવાનો એ અધિકારી બને છે અને ત્યારે એ સંગીતની દિવ્ય અનુભૂતિ કરી શકે છે. સંગીતકારને રસની આવી તીવ્ર અનુભૂતિ માટે ગુરુના આશીર્વાદ, કલાની સાધના, અને અખૂટ શ્રદ્ધા જરૂરી છે. જ્યારે પોતાનો અંતર્ગત  રસ એ એના ભાવકો સુધી પહોંચાડી શકે અને બધા એ  રસમાં તરબોળ  થયાનો  અનુભવ  કરે  ત્યારે રસ-શાસ્ત્રમાં એને રસનું 'સાધારણીકરણ' કહે છે. રસાનુભૂતિ માટે શ્રોતા કે ભાવકની સહૃદયતા અનિવાર્ય ગણાઈ હોય અને બુદ્ધિ કે સંગીતના જ્ઞાનને ભલે ગૌણ ગણાયું હોય, સંગીતની રજૂઆત કરનાર કલાકાર પોતાની તાલીમ અને શાસ્ત્રીય નિયમોને આધીન રહીને સંગીતની રજૂઆત કરતો હોય છે. એની રજૂઆતમાં ચમત્કારિતા માટે એ વૈચિત્રીકરણ, ગણિત વગેરે સાધનોનો વિચારપૂર્વક વિનિયોગ કરે છે. સૌન્દર્યની ચરમ સીમાના આકાશને આંબવા મથતા કલાકારે સતત શાસ્ત્રોક્ત નિયમ અને તાલીમની ધરતી ઉપર સ્થિર રહેવાનું છે.

ગાનસરસ્વતિ કિશોરી આમોણકર કહે છે કે તેઓ જ્યારે કાર્યક્રમ આપવા કાર્યક્રમના સ્થળે જઈ રહ્યાં હોય છે ત્યારે અંદર એક વાતાવરણ હોય છે. અંતરતમની એ ખૂબ નાજુક સ્થિતિ છે, અંદરના એ વાતાવરણને તેઓ ખૂબ જતનથી સાચવીને રાખે છે. ઈશ્વર જાણે કે સ્વરોના સ્વરૂપે અવતરવા તૈયાર થઈ રહ્યા હોય એવી એ અનુભૂતિ હોય છે. જુદાજુદા સંગીતકારો આ અનુભૂતિને પોતપોતાની રીતે વર્ણવે છે. કેટલાક સંગીતકારો પોતાના કાર્યક્રમો પૂર્વે મૌન રાખે છે, એનો હેતુ પણ કદાચ અંતરમનમાં આકાર લઈ રહેલી રસોર્મિઓનું સંવનન કરાવાનો હશે.  

સંગીતનું રસ-સૌન્દર્ય બુદ્ધિથી પર છે. બધી કળાઓ પૈકી ફક્ત સંગીત એક એવી કળા છે જેનું સ્વરૂપ ચોક્કસ નાદબિંદુઓ (સ્વરો) ઉપર આધારિત છે. એટલે એ રીતે જોઈએ તો સંગીતનું સૌન્દર્ય સ્વયંસ્ફુિરત છે, કારણ કે જગત આખું નાદાધીન છે. રસનું ઉદ્દીપન કરનાર તત્ત્વ અશાશ્વત હોય પણ રસાનુભૂતિ જેને આનંદભાવ પણ કહેવામાં આવે છે તે ભાવકના ચિત્ત ઉપર ચિરંતનકાળ સુધી અંકિત થઈ એને પરમની પાસે લઈ જાય છે. ઓગણીસમી સદીના અંગ્રેજી ‘રોમેન્ટિક’ કવિ શેલીની પંક્તિઓ આપણા સંગીત અને રસ-શાસ્ત્ર માટે પણ એટલી જ પ્રસ્તુત છે : Music, when soft voices die, vibrates in the memory. 



e.mail : aradhanabhatt@yahoo.com.au

Loading

...102030...4,1504,1514,1524,153...4,1604,1704,180...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved