Opinion Magazine
Number of visits: 9697382
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘રેખાચિત્ર’નું રેખાચિત્ર : ગુજરાતી રેખાચિત્રો

અશોક ચાવડા|Opinion - Literature|7 August 2013

(ગુજરાતી રેખાચિત્રો  સં. ડૉ. પન્ના ત્રિવેદી, પ્રકાશક : રન્નાદે પ્રકાશન, પ્ર.આ. ૨૦૧૨, ડિમાઇ સાઇઝ, પૃષ્ઠ-૨૫૪, કિંમત રૂ. ૩૩૫/-)

રેખાચિત્ર ચિત્રકળા સાથે સંકળાયેલ સંજ્ઞા ભલે હોય, પણ જ્યારે સાહિત્યનાં એક સ્વરૂપ તરીકે તેનાં વિશે વાત કરીએ તો ચરિત્ર સ્વરૂપના અનેક પ્રકારો યાદ કરવા પડે. રેખાચિત્ર આમ તો સંક્ષિપ્ત જીવનચરિત્ર જ છે, જે ડાયરીલેખન, પત્રલેખન, સ્મરણાંજલિ, સ્મૃિતલેખ, રેખાચિત્ર, અભિનંદનગ્રંથ કે ચરિત્રનિબંધ એમ અનેકાનેક પ્રકારે લખાતું રહે છે. રેખાચિત્રનું સ્વરૂપ અન્ય ગદ્યસાહિત્ય પ્રકારોની તુલનામાં ભલે ઓછું ખેડાયું હોય પણ રોજબરોજ આપણી આસપાસ અનેક રેખાચિત્રો વાતવાતે ખડકાતાં રહે છે, પરંતુ શબ્દદેહે સાકાર થનારા બહુ ઓછાં હોય છે. કસીદા, પ્રશિસ્ત કાવ્ય કે વિશિષ્ટ નઝમ જે સામાન્ય રીતે વ્યક્તિને કેન્દ્રમાં રાખીને લખવામાં આવતી હોય છે તેને પણ એક રીતે તો પદ્યાત્મક રેખાચિત્ર કહી શકાય !

રેખાચિત્ર જેવાં ઓછાં ખેડાયેલાં સ્વરૂપ વિશે વધારે જાણકારી મળે તેવું એક સંપાદન ડૉ. પન્ના ત્રિવેદી પાસેથી મળ્યું છે. સંપાદિકાએ 'ગુજરાતી સાહિત્યમાં રેખાચિત્રની ગતિવિધિ' વિષય પર શોધનિબંધ લખીને પીએચ.ડી.ની પદવી મેળવી છે તો વાર્તાકાર-કવયિત્રી-અનુવાદક તરીકે પણ તેઓ સક્રિય છે. તેમની આ સાહિત્યિક સૂઝનો અણસાર પ્રસ્તુત સંપાદન 'ગુજરાતી રેખાચિત્રો'માંથી મળે છે. ગુજરાતી સાહિત્યમાં રેખાચિત્રના પ્રારંભ વિશે સંપાદિકાએ અભ્યાસપૂર્ણ સંપાદકીય લેખમાં વિગતે વાત કરી જ છે. સંપાદિકા રેખાચિત્રને 'સ્કેચ'સાથે યોગ્ય રીતે જોડે છે.

સંપાદનમાં નર્મદ, લીલાવતી મુનશી, નરસિંહરાવ દીવેટિયા, ન્હાનાલાલ, સ્વામી આનંદ, કિશનસિંહ ચાવડા, ઝવેરચંદ મેઘાણી, જયંતિ દલાલ, ઉમાશંકર જોશી, ઈશ્વર પેટલીકર, રમણીક અરાલવાળા, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, જૉસેફ મૅકવાન, ચંદ્રકાન્ત શેઠ, રઘુવીર ચૌધરી, રમેશ ર. દવે, મણિલાલ હ. પટેલ, ભગીરથ બ્રહ્મભટ્ટ, પ્રફુલ્લ રાવલ, મનસુખ સલ્લા, વિજય શાસ્ત્રી અને વિનોદ ભટ્ટ જેવાં ૨૨સર્જકોએ નિરૂપેલાં ૩૬ રેખાચિત્રો સમાવિષ્ટ છે. આમ, સંપાદિકાએ જ્યારથી ગદ્યનો આરંભ થયો છે તેવા નર્મદથી શરૂ કરીને અત્યાર સુધીના વિવિધ સાહિત્યિક યુગ સંદર્ભે રેખાચિત્રનાં સ્વરૂપ-સંજ્ઞા-શૈલી સમયે સમયે કેવી રીતે બદલાતાં રહ્યાં છે તેનો વિકાસ-આલેખ આપ્યો છે.

અહીં એક તરફ દયારામ, નરસિંહરાવ ભોળાનાથ, સ્વ.નારાયણ હેમચંદ્ર, મડિયા, મેઘાણી, જયંતિ દલાલ, મનુભાઈ પંચોળી, લાભશંકર ઠાકર, ઉમાશંકર જોશી જેવા સાહિત્યકારોના રેખાચિત્રો છે તો બીજી તરફ મહારાજ સયાજીરાવ ગાયકવાડ જેવા રાજવીનું રેખાંકન સાંપડ્યું છે અને સાથેસાથે આપણી આસપાસ જોવા મળતા સર્વસામાન્ય એવા સામાજિક પાત્રોનાં રેખાંકનો પણ સ્થાન પામ્યાં છે. જેમ કે, દૂધવાળો, શિક્ષક, સાસુ, ટપાલી, ફોઈ, બેન્ડવાળા, ગોળાવાળો, કલીવાળા, જીવા અમથા ઇત્યાદિ. વધુમાં, જવલ્લે જ જોવા મળતાં પ્રાણી ચિત્રોમાં મોખરાનું સ્થાન પામેલ 'મોરુ' નામે ઘોડાનું રેખાંકન છે તો 'શહેરની શેરી'શીર્ષક હેઠળ એક નિર્જીવ શેરીને જીવંત કરી આપતું સજીવ રેખાંકન પણ છે. આ રીતે રેખાચિત્રો પ્રત્યેની તેમની રુચિ સ્પષ્ટ ઉજાગર થાય છે. કોણે લખ્યું છે?કોના વિશે લખ્યું છે? તેની પળોજળમાં પડ્યા વિના કેવું લખાયું છે? તેની સતત તકેદારી રાખી સંપાદિકાએ અહીં આપણને 'રેખાચિત્રનું રેખાચિત્ર' મળી રહે તેવી બખૂબીથી સજીવ-નિર્જીવ, પ્રાણી-સ્થળ માત્રનાં રેખાચિત્રો  ૨૪૨ પાનાંમાં મૂકી આપ્યાં છે. આ સંપાદનની બીજી વિશેષતા એ છે કે જે-તે લેખકે લખેલા રેખાચિત્રો તો છે જ, પણ નોંધપાત્ર બાબત એ છે તે લેખક વિશે અન્ય લેખકે લખેલું રેખાચિત્ર પણ છે. જેમ કે,અહીં ઝવેરચંદ મેઘાણીએ લખેલું રેખાચિત્ર છે, તો ઉમાશંકર જોશી લિખિત મેઘાણીનું રેખાચિત્ર પણ છે જ અને સ્વયં ઉમાશંકર જોશીનું વિનોદ ભટ્ટે લખેલું રેખાચિત્ર પણ છે. અલબત્ત, આ સંપાદનમાં આવા એક-બે જ સુખદ અપવાદ છે.

એવું કહેવાય છે કે રેખાચિત્ર કાલ્પનિક ના હોય, પણ અહીં નિરૂપાયેલાં કેટલાક રેખાચિત્રો એ વાતનો છેદ ઉડાડી દે છે. વાસ્તવમાં રેખાચિત્ર વ્યક્તિગત, વસ્તુગત, કટાક્ષિકા, ઐતિહાસિક, વાસ્તવિક કે કાલ્પનિક પણ હોઈ શકે છે તેનાં દૃષ્ટાંતો આ પુસ્તકમાંથી મળી રહે છે. સવાલ માત્ર લેખનશૈલીનો છે. કલ્પનમાં પણ વાસ્તવનો ઢોળ ચઢાવીને કે ડોળ રાખીને લખાતાં રેખાચિત્રો પણ આસ્વાદ્ય બની જ શકે અને બન્યાં પણ છે. રેખાચિત્રમાં એવાં વર્ણનનો જ મહિમા છે જેનાથી વાચક સામે જે તે ઘટનાનું તાદૃશ્ય ચિત્ર ઊભું થઈ શકે. અપરિચિત વ્યક્તિનું રેખાચિત્ર પણ તેની સાથે રૂબરૂ મળ્યા હોય તેવો પરિચય કરાવી શકે તો જ તે સાર્થક થયું ગણાય. આમ, આ સ્વરૂપમાં બોલતું કથાનક આવકાર્ય છે પછી ભલે તે વ્યક્તિવિશેષ, પ્રાણીવિશેષ કે  કોઈ અમૂર્ત વસ્તુ-ઘટનાવિશેષ હોય.

સમાવિષ્ટ રેખાચિત્રોનો અભ્યાસ કરતી વખતે ઉપર્યુક્ત અનેક બાબતો ઉજાગર થતી જોવા મળે છે.'દયારામ' રેખાચિત્રાંશમાં નર્મદે દયારામના સમગ્રતયા વ્યક્તિત્વની ઝાંખી તેના સારાં-નરસાં પાસાંઓને ક્યાંક સરળતાથી, ક્યાંકકટાક્ષથી બખૂબી રજૂ કરી છે. અલબત્ત, નમર્દે સભાનતાથી રેખાચિત્રો નથી લખ્યાં પણ સ્મૃિતચિત્રો લખ્યાં છે. તેમની શૈલી તેમના સ્મૃિતચિત્રોને રેખાચિત્રો તરફ લઈ જાય છે. લીલાવતી મુનશીએ નરસિંહરાવ દિવેટિયાની સરખામણી 'દુર્વાસા' સાથે કરીને ચરિત્રને અલગ ઉપાડ ને ઉઘાડ આપ્યો છે. જો કે એ વાત નોંધવી રહી કે નરસિંહરાવ દિવેટિયાની સાથેસાથે અહીં લેખિકા સુશીલાબેન, લવંગિકા, પ્રેમલની વાતોમાં પણ વિસ્તરી ગયાં છે. રેખાચિત્રમાં વિષય ઉપરાંત ઘણી વાર માત્ર ભાવુકતાથી થયેલું સ્વજનોનું આલેખન કેવળ સાંવેદનિક ભરતી બનીને રહી જાય છે. આવું જ ન્હાનાલાલ લિખિત મહારાજ સયાજીરાવ ગાયકવાડના રેખાચિત્રમાં પણ જોવા મળે છે. અહીં અતિશયોક્તિયુક્ત દીર્ઘ શબ્દચંપીનો વિસ્તાર ન્હાનાલાલની શૈલીમાં ખટકે છે.

રેખાચિત્ર એટલે માત્ર ગુણોનો સરવાળો નહીં, પરંતુ અવગુણ અને વ્યક્તિના વિચિત્ર પાસાંઓનું પણ નિરૂપણ. આ વાતની સાહિત્યિક સ્પષ્ટતા પણ પ્રસ્તુત સંપાદનમાંથી મળી રહે છે. સંપાદિકાએ સ્વામી આનંદના પ્રખ્યાત 'મોનજી રુદર'ને બદલે 'દાદો ગવળી', 'ધનીમા','નઘરોળ' અને 'મોરુ' જેવાં રેખાચિત્રો સમાવ્યાં છે, જે સશક્ત છે અને સંજ્ઞાને વિસ્તાર આપે છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના બહુ ચર્ચિત 'બાબુ વીજળી'ને સ્થાને અહીં એક જ વ્યક્તિમાં રહેલા જમા-ઉધાર બે પાસાંને નિરૂપતું 'ચકલો ભગત' અને 'મૂળીમા' સમાવાયું છે. રેખાચિત્રનું સ્વરૂપ ક્રમશઃ વિકસતા જતા તેમાં 'શ્રદ્ધાંજલિ'પણ ઉમેરાઈ. જો કે શ્રદ્ધાંજલિરૂપે લખાયેલું રેખાચિત્ર કલાત્મકતાનો કસબ ના હોય તો માત્ર લેખ જ બની જવાનો ભય રહે છે. ઉમાશંકર જોશીએ 'હૃદયમાં પડેલી છબીઓ' અંતર્ગત લખેલાં રેખાચિત્રો શ્રદ્ધાંજલિરૂપે લખાયાં હોવા છતાં ઉત્તમ રેખાચિત્રો બની રહ્યાં છે, જેમાંનું એક 'મેઘાણી' અહીં સમાવાયું છે. એ જ રીતે વિજય શાસ્ત્રીનું 'પિતાજી' વિશેનું રેખાચિત્ર પણ સ-રસ થયું છે. કિશનસિંહ ચાવડા લિખિત વ્યંઢળની વિડંબનાનું વૃતાંત આપતું ઉસ્માનનું રેખાચિત્ર ખરેખર 'અફલાતૂન' થયું છે, તો મેઘાણીની કલમપ્રસાદી પણ આસ્વાદ્ય છે. જ્યારે એક સર્જક બીજા સર્જકનું રેખાંકન લખે ત્યારે રઘુવીર ચૌધરી લિખિત 'સહરાની ભવ્યતા'માંથી લેવાયેલ 'જયંતિ દલાલ' અને 'દર્શક'નું રેખાચિત્ર ધ્યાન ખેંચે છે. સર્જક સંદર્ભે વિનોદ ભટ્ટના 'લાભશંકર ઠાકર' અને 'ઉમાશંકર જોશી'નાં રેખાચિત્રો વ્યંગ-કટાક્ષ સાથે વિસ્તરે છે. આમ, સર્જકસર્જકના રેખાંકનો મૂકે છે ત્યારે શૈલીભેદ નથી, પરંતુ સર્જક કઈ રીતે પોતાની વાત મૂકે છે તે જ મહત્ત્વનું બની રહે છે. કારણ કે અંતે તો રેખાચિત્રનો પ્રાણ તેની નિરૂપણશૈલી જ છે. ચંદ્રકાન્ત શેઠે નિરૂપેલું 'બચુમિયાં બેન્ડવાળા' તેમ જ 'વિનુભાઈ વિલાયતી' અનોખી શૈલીનું દૃષ્ટાંત છે તો જૉસેફ મૅકવાનનું 'શામળી' અને રમેશ ર. દવેનું 'તેજુભાભી' પણ બળૂકાં રેખાચિત્રો છે. મણિલાલ પટેલનું 'ધનો', ભગીરથ બ્રહ્મભટ્ટનું 'લાલભાઈ', પ્રફુલ્લ રાવલનું 'કાલુ ગોળાવાળો' અને મનસુખ સલ્લાનું 'અલીભાઈ કલીવાળા' સામાન્ય લોકોની અસામાન્ય વાતોનો આસ્વાદ્ય મનો-વિસ્તાર છે.

સંપાદિકાએ પરિશિષ્ટ રૂપે જે-તે ચરિત્રકારની સંક્ષિપ્ત વિગતો-ગ્રંથ યાદી પણ આપી હોત તો આવા અનેક રેખાચિત્રોમાં મહાલવાની એક હાથવગી માર્ગદર્શિકા મળી શકત. જો કે  સ્ત્રી-પુરુષ-વ્યંઢળ-પ્રાણી-સ્થળ એમ તમામ પ્રકારનાં વિવિધ રેખાચિત્રો આપણને આ એક જ સંપાદનમાંથી મળી રહે છે તેનો મહિમા પણ ઓછો નથી. આજે સ્વરૂપો વિશેની પૂર્ણ જાણકારી કે વાંચન વિના ઉતાવળે સાહિત્યકાર બનવાની દોટમાં રમમાણ રહેતા લોકો માટે આ સંપાદન 'રેખાચિત્ર' લખવા માટે એક પ્રેરણારૂપ બની શકે તેમ છે, તો સમય સાથે 'રેખાચિત્ર'નું સ્વરૂપ કેવી રીતે વિસ્તરતું-વિકસતું રહ્યું તે વિશેની અભ્યાસપૂર્ણ સામગ્રી આપતું પણ બની રહે તેવું આદર્શ બન્યું છે.

7 August 2013 : 

https://www.facebook.com/notes/ashok-chavda-bedil/રેખાચિત્રનું-રેખાચિત્ર-ગુજરાતી-રેખાચિત્રો-ડૉ-અશોક-ચાવડા/629552930402202

 

Loading

ઉકળાટ

ચીમન પટેલ ‘ચમન’|Poetry|7 August 2013

ક્યાં ય આછો ય વર્ષનો ભાર નથી,


એ વાતનો સહુ દિલમાં ઉચાટ છે.

ઋતુનો ન જણાય ક્યાં ય રે અણસાર,


ને ગગનમાં ન વાદળનો ગગડાટ છે!

કોના પાપે રે વરસે ન આજ વાદળી,


અનિલની લે’રીએ ખેંચાઈ જે જાય છે.

પશુ, પક્ષી ને ધરતીની વેદના,


જોઇને ય નવ એને કંઈ થાય છે !

વેદના વધારીને ય એ તો વરસી ગયો;


ઉકળાટ ઉરનો મારો ઉરમાં જ રહી ગયો !!

(11જુલાઈ 1965)


("સૌરાષ્ટ સમાચાર", 20 જુલાઈ 1965ના અંક્માં પ્રગટ)

e.mail : chiman_patel@hotmail.com

Loading

માનવ અધિકારો મેળવવાના જંગમાં સત્ય-અહિંસાનું હથિયાર આજે પ્રસ્તુત છે ખરું?

અાશા બૂચ|Opinion - Opinion|6 August 2013

૨૧મી સદીના માનવે શીત યુદ્ધને ધરબીને, સમુદ્રના પેટાળમાં દાટ્યું અને અણુશસ્ત્રોની નિરર્થકતાનો અહેસાસ થવાથી તેમાં પણ ઘટાડો કર્યો ન કર્યો, ત્યાં સરમુખત્યારો કે લોકશાહીનો અંચળો ઓઢેલ સરકાર સામે વાણી સ્વાતંત્ર્ય તેમ જ માનવ અધિકારોની માગણી કરનાર લોકસમુદાયોએ ઠેક ઠેકાણે ચિનગારી ચાંપી મૂકી છે.

સાંપ્રત સમયમાં દુનિયા આખી જેની સામે મીટ માંડી શકે એવી વિભૂતિ નથી જડતી, તેથી આવા કપરા સંયોગોમાં માર્ગદર્શન મેળવવા ભૂતકાળના મહાનુભાવો ભણી નજર વળે છે. વારંવાર સાંભળ્યા છતાં ધરવ ન થાય એવા માર્ટિન લ્યુથર કિંગના જગ વિખ્યાત પ્રવચન ‘I have a dream’ને ૨૮મી ઓગસ્ટને દિવસે અર્ધી સદી વીતી ગઈ હશે. તેમણે મોન્ટગોમરી બસ બોયકોટ વખતે અન્ય પાદરીઓને સંબોધીને લખેલ પત્રમાં અન્યાયી તંત્ર સામે પ્રજાનું કર્તવ્ય શું છે, અને તેનો કઈ રીતે સામનો કરી શકાય તે બખૂબીથી વર્ણવ્યું છે, તો એનું ઓઠું લઈને શીર્ષકમાં ઉલ્લેખ કર્યો છે તે મુદ્દા વિશે વિચારીશું તો સંભવ છે કોઈ દિશા સૂઝે.

આમ તો સદીઓથી દુનિયામાં બે દેશો વચ્ચે લડાઈઓ ખેલાતી આવી છે, પરંતુ વિશેષ કરીને છેલ્લા પાંચ-સાત દાયકાઓથી યુદ્ધનું સ્વરૂપ બદલાયું અને આતંકવાદના અંચળા હેઠળ શાંતિના પાણી ડહોળાયા કરે છે. પૂર્વના દેશોમાં આતંકવાદી હુમલા થતા ત્યારે પશ્ચિમના દેશો અદબ પલાંઠી વાળીને એક કે બીજા રાજ્યને શસ્ત્રો પૂરાં પાડીને તાલ જોયા કરતા હતા, પણ જ્યારે પોતાની ધરતી પર વિસ્ફોટ થયા ત્યારે એ ઝેરને મહાત કરવા કમ્મર કસી. ખરું જોતાં એક જગ્યાએ થતો અન્યાય બીજી જગ્યાના ન્યાયી જીવન માટે ખતરારૂપ હોય જ છે, એનું ભાન મોડું મોડું પણ પશ્ચિમના દેશોને થયું છે. હશે, ચાલો હવે પૂર્વ અને પશ્ચિમના દેશો સાથે મળીને એ અનિષ્ટને દૂર કરવા મથશે.

છેલ્લા ત્રણેક વર્ષથી ભૂમધ્ય પ્રદેશના દેશોમાં આમ જનતાએ પોતપોતાના સરમુખત્યારો સામે માથું ઊંચક્યું છે, તેની શરૂઆત નિ:શસ્ત્ર વિરોધ, દેખાવો અને કૂચથી થઈ એ બતાવે છે કે અહિંસાનો સંદેશ વિશ્વ આખામાં પ્રસર્યો છે, પરંતુ સરકાર તરફથી દમનનો કોરડો વિંઝાતાં જ પ્રજાએ સ્વ-રક્ષા માટે હથિયારો ઊંચક્યા. માર્ટિન લ્યુથર કિંગ કહે છે તેમ કોઈ પણ અહિંસક ચળવળના ચાર ચરણ હોય છે : પ્રથમ તો અન્યાય ક્યાં અને કેટલા પ્રમાણમાં થાય છે તે વિષે પૂરતી માહિતી એકઠી કરવી, બીજું ચરણ વાટાઘાટો કરવી, ત્રીજું ચરણ ચળવળમાં ભાગ લેનારાઓએ પોતાના વિચારોની શુદ્ધિ કરવી અને છેલ્લું ચરણ સીધાં પગલાં લેવાં. આરબ સ્પ્રિંગની શરૂઆતના કારણમાં જે તે દેશની પ્રજાને વ્યક્તિ સ્વાતંત્ર્યનો અભાવ લાંબા સમયના સરમુખત્યારી શાસન દરમ્યાન ટૂંટિયું વાળીને સૂતો હતો તે આળસ મરડીને બેઠો થયો છે, એ હકીકત ગણાવી શકાય. એટલે કે અન્યાય ક્યાં અને કેટલો થાય છે એ પહેલું ચરણ સાચી દિશામાં મંડાયું. બીજા ચરણના અમલ રૂપે શાસક વર્ગના પ્રતિનિધિઓ સાથે પોતાના અધિકારોની માગણીઓ દર્શાવવાનું કેટલે અંશે સંભવ બન્યું હશે, તે કહેવું મુશ્કેલ છે કેમ કે લશ્કરી અને સરમુખત્યારશાહી આવી બાતમીઓ પોતાની પ્રજાથી તેમ જ અન્ય દેશની સરકારોથી અત્યંત ગુપ્ત રાખતી હોય છે. ત્રીજું ચરણ કે જે ચળવળમાં ભાગ લેનારાઓએ પોતાના વિચારોની શુદ્ધિ કરવાનું છે, તેના આચરણના અભાવે શાંતિમય અહિંસક દેખાવો હિંસક વળાંકે આવીને ઊભા છે. કદાચ લોકશક્તિને આવી આંતરદૃષ્ટિ પૂરી પાડનાર કોઈ આર્ષદૃષ્ટા તેમની પાસે નથી. ચોથું ચરણ સીધાં પગલાંનું છે તે જરૂર લેવાઈ રહ્યું છે, પરંતુ એ ન્યાયની માંગણી કરનાર પ્રજાને જ વિનાશની દિશામાં લઈ જઈ રહ્યું છે.

કોઈ પણ દેશમાં સ્થાનિક કે રાષ્ટ્રીય સ્તરના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે જ્યારે પ્રજા શાંતિમય ઉપાયોનો માર્ગ ગ્રહણ કરે, ત્યારે જેમ સૈનિકોને શસ્ત્રો વાપરવાની તાલીમ અપાય છે તેમ સત્યાગ્રહીઓના સૈન્યને પણ અહિંસાની તાલીમ અપાવવી જોઈએ, જેમાં તેમણે વિચારવું રહ્યું કે આપણે પોલિસ કે લશ્કરના હિંસક દમનનો વળતી હિંસા કર્યા વગર સામનો કરી શકીશું? જેલમાં ઉઠાવવા પડતાં કષ્ટ સહન કરી શકશું? હડતાળ પાડીએ ત્યારે પરિવારના સભ્યો આર્થિક સંકડામણ સહેતા છતાં આપણને ટેકો આપશે ? જો આ બધી બાબતોમાં લોકો સશક્ત હોય, તો જ એ લડાઈ સફળતા અપાવે. હિંસક લડાઈઓમાં જેમ તનાવ પેદા થાય છે, તેમ અહિંસક ચળવળમાં પણ અસ્વસ્થતા અને તનાવ અનુભવાય છે. પણ શાસક વર્ગ કે ધનિકો દ્વારા થતા અન્યાયો અને માનવ અધિકારોનો હ્રાસ થતો રોકવા એ સ્થિતિનો સામનો કરવા જેવી તાકાત દરેક દેશના પ્રજાજનોએ કેળવવી રહી. આપણે સહુને અનુભવ છે કે નીતિમાન વ્યક્તિ કદાચ અંગત સ્વાર્થ જતો કરીને પોતાને મળતા લાભ છોડીને બીજાના હિતમાં કામ કરે, પણ સંસ્થાઓ, સરકારો અને મોટી કંપનીઓ વ્યક્તિ કરતાં વધુ અનીતિમાન હોવાને કારણે પ્રજાહિતને ધ્યાનમાં લઈને પોતાને મળતા આર્થિક કે સામાજિક લાભો સ્વેચ્છાએ જતા નથી કરતા અને પોતાના જ લોકો પર શોષણ કરતાં પણ અચકાતા નથી. એ દુખદ પણ સત્ય હકીકત છે કે સ્વતંત્રતા કે અધિકારો કદી શાસકો કે શોષકો તરફથી સ્વેચ્છાએ આપવામાં નથી આવતા પણ દબાયેલા, કચડાયેલા, તરછોડાયેલા લોકોએ પ્રયત્નપૂર્વક મેળવવા પડે છે. 

રાજકીય પ્રવાહોમાં આવતા ઝડપી પરિવર્તનો જોતાં વિચાર આવે કે અચાનક અત્યારે આટલા બધા દેશોમાં શાસન પદ્ધતિ સામે આટલો રોષ કેમ ભભૂકી ઊઠ્યો, ભલા ? કેટલાક પ્રેસિડન્ટ અથવા રાષ્ટ્રપતિઓએ તેની પ્રજાને ‘તમને માનવ અધિકારો, વાણી સ્વાતંત્ર્ય અને અન્ય સેવાઓ થોડા સમય પછી આપવામાં આવશે’ એવા વચનો આપ્યે રાખ્યાં, પણ એ ‘સમય’ બે, ત્રણ, ચાર, છ દાયકાઓ સુધી આવ્યો નહીં, તેથી હવે દમિત અને શોષિત પ્રજાની ધીરજ ખૂટી છે. સંઘર્ષમાં સંડોવાયેલા દેશોની સામાન્ય પ્રજાની વ્યક્તિગત ઓળખ ભૂંસાઈ ગઈ છે, તેમનો અવાજ રૂંધાઇ રહ્યો છે અને એમના પ્રત્યે પશુથી પણ બદતર વ્યવહાર કરવામાં આવી રહ્યો છે માટે તેમની ધીરજ ખૂટી છે અને આ આ અધીરાઈ વ્યાજબી પણ છે.

ટ્યુનીશીયાથી માંડીને સીરિયા સુધીની પ્રજા વિરુદ્ધ શાસનની તત્કાલીન ચળવળો જે તે દેશના લોકોને કાયદા-કાનૂનના ભંગ કરવા પ્રોત્સાહન આપે છે. ન્યાયી અને અન્યાયી એમ બે પ્રકારના કાયદાઓ હોય છે. માર્ટિન લ્યુથર કિંગે કહેલું તેમ દરેક પ્રજાજનની માત્ર કાયદેસરની નહીં, પણ નૈતિક ફરજ છે કે તે ન્યાયી કાયદાઓનું પાલન કરે, પણ તેઓએ સેઇન્ટ ઓગસ્ટિન સાથે સહમત થતાં કહ્યું છે કે અન્યાયી કાયદો એ કાયદો ન હોવા બરાબર છે અને તેનો સવિનય ભંગ કરવો એ દરેક જાગૃત નાગરિકનો માત્ર અધિકાર નહીં પણ નૈતિક ફરજ બની રહે છે. તેમના મતે ન્યાયી કાયદાઓના મૂળ કુદરતના નિયમો અને નીતિમત્તાના ધોરણોમાં હોવાથી એ દરેક વ્યક્તિના માનવીય પાસાને ઉજાગર કરે છે, જયારે કોઈ એક વ્યક્તિ કે સમુદાયની માનહાનિ કરે તે કાયદો અન્યાયી ગણાય. ઉપર કહેલા દેશોની આમપ્રજાને બેકારી અને ભૂખમરો વેઠવાનું દુ:ખ હવે અસહ્ય બની રહ્યું છે. એ અને બીજા લોકશાહી શાસન હોવાનો દાવો કરનારા દેશોમાં શાસક વર્ગ સિવાયના લોકો જાણે એક ‘વસ્તુ’નું પામર પદ પામીને કચડાઈ મરે છે. આ ભેદભાવ હવે માત્ર રાજકીય, આર્થિક કે સામજિક મુદ્દો ન રહેતાં અનૈતિક અને અભદ્ર લાગવાથી શાસીતોએ માથું ઊંચક્યું છે.

આજે વિરોધ, દેખાવો અને સશસ્ત્ર લડાઈઓ ચાલી રહી છે તે દેશોમાં સરમુખત્યારી કે લશ્કરી સત્તાએ પોતાના હિત પોષાય એવા કાયદાઓ બનાવ્યા, પણ પોતાની જાતને તેના પાલનમાંથી બાકાત રાખ્યા અને વધારામાં આવો ભેદભાવ કાયદેસર ગણાયો. તેનું પરિણામ આંતર વિગ્રહ અને એક જ ધર્મના બે વાડાઓના અનુયાયીઓ વચ્ચેના સંહારમાં આવ્યું અને આ સળગતી પરિસ્થિતિની બહાર ઉભેલા દેશો પોતાની તેની ઝાળ ન લાગી જાય એટલે અસહાય બનીને મૂંગા દર્શક બની રહ્યા છે.

વ્યક્તિગત કે પ્રજાકીય કાનૂન ભંગ એ નવી ઘટના નથી. રોમન સામ્રાજ્યના દમનના કોરડા સહન કરવાને બદલે ભૂખ્યા સિંહના મોઢામાં માથું ધરવાનું ખ્રિસ્તી લોકોએ પસંદ કરેલું, સોક્રેટીસે ઝેર ઘોળીને પીધેલું, હિટલરના મનાઈ હુકમ છતાં અનેક બહાદુર લોકોએ અસંખ્ય જુઇશ લોકોના જાન બચાવેલા, મોહનદાસ ગાંધીની આગેવાની નીચે દક્ષિણ આફ્રિકા અને ભારતના અન્યાયી કાયદાઓ સામે સત્યાગ્રહો થયા; આ અને આવાં અનેક ઉદાહરણો આપણી સામે છે.

અત્યાર સુધી અનુશાસનને કારણે તંગદીલીના અભાવને ‘શાંતિમય પરિસ્થિતિ’ ગણાવાતી હતી તેને ઠેકાણે ન્યાયપૂર્ણ શાંતિમય સ્થિતિનું નિર્માણ કરવા લોકશક્તિ જાગૃત થઈ છે. જેમના માનવીય મૂળભૂત અધિકારો ઝૂંટવાઈ ગયા છે તેમનું રક્ષણ થવું જોઈએ અને એ લૂંટનારાઓને સજા થવી જોઇએ. અત્યાચાર આચરનારી સરકારો અને શાસકોના દુષ્કૃત્યોને તો તત્કાલ ડામવા રહ્યા, પરંતુ સદ્દભાવ ધરાવતા લોકોનાં મૌનને પણ તોડવું રહ્યું કેમ કે તેઓ પણ એ પાપમાં આડકતરી રીતે ભાગીદાર બને છે. ઇતિહાસે પુરવાર કર્યું છે કે દમિત-પીડિત લોકો કાયમ માટે દબાયેલા નથી રહેતા, તેમનો આત્મા સળવળે ત્યારે ન્યાય મેળવીને રહેશે. સવાલ છે સાધનનો. હિંસાથી મેળવેલ સ્વતંત્રતા બીજા આતતાયીને જન્મ આપશે એ ઇજિપ્તના લોકોએ અનુભવી જાણ્યું. ભૂમધ્ય પ્રદેશના મોટા ભાગના દેશોની જનતાનો અસંતોષ, આક્રોશ ચરમ સીમાએ પહોંચ્યો છે અને એ સમજાય તેવું છે, પણ તેને અહિંસક અને રચનાત્મક દિશાએ વાળવો રહ્યો. અંતિમવાદી પગલાં ભરવા જ હોય તો જીસસનો પ્રેમ માટેનો અંતિમવાદ (‘Love your enemies, bless them that curse you, do good to them that hate you, and pray for them which despitefully use you, and persecute you.’), આમોસનો ન્યાય માટેનો અંતિમવાદ (‘Let justice roll down like waters and righteousness like an ever-flowing stream.’), અબ્રાહમ લિંકનનો સમાનતા માટેનો અંતિમવાદ (‘This nation cannot survive half slave and half free.’) અને થોમસ જેફરસનનો માનવીય સમાનતાનો અંતિમવાદ (‘We hold these truths to be self-evident, that all men are created equal …’) આપણા માટે દૃષ્ટાંતરૂપ છે. ન્યાય અને સમાનાધિકારની માગણી કરનાર પ્રજાએ વિચારવાનું રહે છે કે તેઓ ધિક્કાર માટે અંતિમવાદી થવા માંગે છે કે પ્રેમ માટે ? આ મહાનુભાવોએ શીખવ્યું છે કે ન્યાયનું રક્ષણ પ્રેમથી થાય અને અન્યાય હિંસક આચરણથી જન્મે.

માર્ટિન લ્યુથર કિંગને પણ મહાત્મા ગાંધી અને તેમના પુરોગામીઓની જેમ પ્રતીતિ થયેલી કે અહિંસક લડાઈની માગ છે કે ધ્યેય પ્રાપ્ત કરવા માટેના સાધનો પણ તેના જેટલાં જ શુદ્ધ હોવા ઘટે. એ વિશ્વ વિભૂતિઓએ સ્વતંત્રતા અને ન્યાયની લડતમાં તેમની સાથે જોડાયેલા સૈનિકોને નૈતિક ધ્યેય સુધી પહોંચવા અનૈતિક માર્ગે ચાલીને અશુદ્ધ સાધનોનો ઉપયોગ સર્વથા અયોગ્ય છે એ સિધ્ધાંત સમજાવીને તેનો અમલ પોતે કરી, બીજા કરે તેની ખાતરી કરીને સત્ય-અહિંસાને માર્ગે અશક્ય લાગતી એવી સ્વતંત્રતા અને ન્યાય મેળવેલા. આજની વિનાશક લડાઈઓ અને સંઘર્ષોના પરિણામો જોતાં પ્રતીતિ થયા વિના નથી રહેતી કે લોકશાહી શાસન પદ્ધતિની માગ હોય કે નાગરિક અધિકારોની ચળવળ હોય, પ્રજા અને સરકાર બંને માટે અહિંસાનું હથિયાર આજે પણ એટલું જ પ્રસ્તુત છે જેટલું ઓગણીસમી અને વીસમી સદીમાં હતું. જરૂર છે માત્ર એ હકીકતનો અહેસાસ કરાવનાર નેતાની અને એ હકીકતમાં શ્રદ્ધા ધરાવનાર પ્રજાજનોની.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...4,1034,1044,1054,106...4,1104,1204,130...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved