Opinion Magazine
Number of visits: 9697202
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શબ્દોને ‘અંક’માં ફેરવવાનો પુરુષાર્થ : રતિલાલ ચંદરયા

બીરેન કોઠારી|Profile|15 October 2013

પાંત્રીસ લાખ જેટલા ગુજરાતી શબ્દોને કમ્પ્યૂટર થકી વિશ્વવ્યાપી બનાવનાર ઉદ્યોગપતિના વિરાટ કાર્યની ઝલક

‘ગુજરાતી ભાષા જીવશે કે નહીં?’, ‘વિદેશમાં તો ઠીક; આપણા દેશમાં ય તેનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે.’ આવી ચિંતા, આશંકા અને ભીતિ છેલ્લા થોડા સમયથી અનેક લોકો દ્વારા સેવાઈ રહી છે.

પણ તેરમી જાન્યુઆરી, 2006ના રોજ મુંબઇમાં, અને ત્યાર પછી નવમી  જુલાઈ, 2006ના રોજ, યુનાઇટેડ કિંગ્ડમના વેમ્બલી ખાતે, બે અભૂતપૂર્વ સમારંભો યોજાઈ ગયા, જેમાં આવી તમામ આશંકાઓનો સમૂળો છેદ ઊડી ગયો. આ સમારંભમાં ગુજરાતીની સૌ પ્રથમ ડિજીટલ ડિક્શનેરી ‘ગુજરાતી લૅક્સિકોન ડૉટ કૉમ’ની વેબસાઈટનું લોકાર્પણ થયું અને આ અનોખા પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા રતિલાલ ચંદરયાનું અભિવાદન પણ કરવામાં આવ્યું. રતિલાલ ચંદરયા એટલે સાચા અર્થમાં વિશ્વવ્યાપી એવા ચંદરયા પરિવારના મોભી. ચંદરયા પરિવારના ઉદ્યોગો પાંસઠેક દેશોમાં ફેલાયેલા છે અને એલ્યુિમનિયમ, સ્ટીલ, પ્લાસ્ટિક, ઇલેકટ્રોનિક્સ જેવા બહુવિધ ક્ષેત્રોમાં તેમનો વ્યાપ છે. આજે સત્યાંશી વટાવી ચૂકેલા રતિલાલ ચંદરયાની, માતૃભાષા માટે આવું અનોખું કામ પાર પાડવા સુધીની સફરની વાતો પણ; એમની જીવનસફર જેવી જ રસપ્રદ છે. પણ પોતાના વિશે નહીં જ લખવા માટેનો તેમનો આગ્રહ એટલો પ્રબળ કે અનેક વાતો તેમણે ખુલ્લા દિલે કરી હોવા છતાં; અહીં તેનો ઉલ્લેખ માત્ર કરીને, લૅક્સિકોનના સંદર્ભે જ તેમની વાત લખવાનો ઉપક્રમ રાખ્યો છે. તેમના આ આગ્રહમાં જ તેમના ઉમદા અને કર્મઠ વ્યક્તિત્વનો અંદાજ આવી શકે એમ છે. એક કામ લીધા પછી તે સંપન્ન ન થાય ત્યાં સુધી મચ્યા રહેવું એ ચંદરયા પરિવારનો મંત્ર છે.

પ્રેમચંદ પોપટ ચંદરયા જામનગર નજીક ખેતીનું કૌટુંબિક કામ સંભાળતા હતા. એ સમયે વેપાર માટે સૌરાષ્ટ્રમાંથી ઘણા લોકો વહાણવટું ખેડતા અને મુખ્યત્વે મોમ્બાસા, ઝાંઝીબાર, માજુંગા જેવા બંદરો સાથે વહેવાર રાખતા. ખોજા, મેમણ, લોહાણા જેવી જ્ઞાતિઓના ઘણા લોકો વેપાર અર્થે આ સ્થળોએ સ્થાયી પણ થયા હતા. પ્રેમચંદભાઈ પણ 1916માં ઊપડ્યા નાઇરોબી. ત્યાં જઈને તેમણે થોડો સમય નોકરી કરી અને છએક મહિનામાં જ પોતાનો છૂટક વેચાણનો વ્યવસાય શરૂ કર્યો. તેઓ નાઇરોબીમાં જ સ્થાયી થઈ ગયા. ધીમે ધીમે તેમણે પત્ની, બાળકો તથા ભાઈ ભાંડુઓને પણ બોલાવી લીધાં અને અહીં જ તેમનો પરિવાર વિસ્તર્યો. પ્રેમચંદ અને પૂંજીબહેનનાં કુલ આઠ સંતાનો – દેવચંદ, રતિલાલ, કેશવલાલ, મણિલાલ, કસ્તૂરબહેન, મંજુબહેન, સુષ્માબહેન તેમ જ રમિલાબહેન, જેમાંના રતિલાલનો જન્મ પણ નાઇરોબીમાં જ 24મી ઓક્ટોબર, 1922ના દિવસે થયો.

રતિલાલનું શાળાકીય શિક્ષણ નાઇરોબી તેમ જ મોમ્બાસાની શાળાઓમાં થયું. ત્યાંની શાળાઓમાં એક ગૌણ વિષય તરીકે ગુજરાતી ભણવા મળ્યું હોય એટલું જ ગુજરાતી તેઓ ભણી શક્યા. પણ માતૃભાષા પ્રત્યેના બેહદ લગાવનાં મૂળિયાં આ ગાળામાં નંખાયાં. આ મૂળિયાં વરસો પછી ક્યાંનાં ક્યાં ફેલાવાનાં હતાં, તેની કલ્પના ખુદ રતિલાલને ય ક્યાંથી હોય ! 


1940માં રતિલાલે જુનિયર કૅમ્બ્રીજની પરીક્ષા પાસ કરીને સિનિયર કૅમ્બ્રીજમાં પ્રવેશ મેળવ્યો, જે મૅટ્રિકની સમકક્ષ ગણાતું. આ અરસામાં જ બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જતાં સૌ કુટુંબકબીલા સહિત જામનગર પાછા આવી ગયા. રતિલાલે ભારત આવ્યા પછી અભ્યાસને મૂક્યો પડતો અને ઝંપલાવ્યું વ્યવસાયમાં. પોતાની સૂઝબૂઝ વડે તેમણે ધારી સફળતા મેળવવા માંડી. ગાંધીનો પ્રભાવ તેમના પર એટલો પડેલો કે 1943માં જામનગરમાં તેમનાં લગ્ન વિજયાલક્ષ્મી સાથે લેવાનું નક્કી થયું ત્યારે તેમણે ભાવિ પત્ની માટે પણ ખાદીની જ સાડી ખરીદી હતી. 


આ અરસામાં જ તેમણે ગુજરાતી ટાઇપ કરી શકાય એવું એક જૂનું રૅમિંગ્ટન ટાઇપરાઇટર ખરીદ્યું અને ટાઇપ શીખવાના પ્રયત્નો આરંભ્યા. દરમ્યાન બીજા વિશ્વયુદ્ધનો ખોફ ઊતરતાં ચંદરયા પરિવાર 1946માં નાઇરોબી પાછો ફર્યો અને પોતાનો મૂળ વ્યવસાય સંભાળી લીધો. થોડા સમયમાં તેમણે ઉદ્યોગોમાં ઝંપલાવ્યું. ચંદરયા પરિવારની ત્યાર પછીની આગેકૂચ વણથંભી હતી. આફ્રિકાના દેશોમાં, ત્યાર પછી યુરોપમાં, અમેરિકામાં, દક્ષિણપૂર્વ એશિયામાં અને એમ વિશ્વભરમાં ચંદરયા પરિવારના ઉદ્યોગો સ્થપાવા માંડ્યા. એ કથા વળી અલાયદું આલેખન માંગી લે એવી દીર્ઘ, રસપ્રદ અને રોમાંચક છે. 


દુનિયાભરમાં વિસ્તરીને પણ પોતાની ઓળખ અકબંધ રાખનાર આ પરિવારના રતિલાલના દિલમાં ગુજરાતી ભાષા એ હદે વસેલી હતી કે તેઓ ગુજરાતી લખાણ શી રીતે સરળતાથી ટાઇપ કરી શકાય તે અંગે સતત કંઈ ને કંઈ વિચાર્યા કરતા. તેમના કુટુંબની બીજી પેઢીએ ધીમે ધીમે વ્યવસાય સંભાળ્યો. દરમ્યાન ઇલેક્ટ્રિક ટાઇપ રાઇટરનો જમાનો આવ્યો એટલે રતિલાલે એવા ટાઇપરાઇટરની શોધ આરંભી કે જેની મદદથી સહેલાઈપૂર્વક ગુજરાતીમાં ટાઇપ કરી શકાય. પણ પરિણામ શૂન્ય. દરમ્યાન કમ્પ્યૂટરનું આગમન થતાં ટાઇપરાઇટર કરતાં અનેકગણી સુવિધા સહેલાઈથી પ્રાપ્ય બની. 


આમ છતાં, તેમાં ફોન્ટના અભાવે ગુજરાતી લેખનની સુવિધા ઉપલબ્ધ નહોતી. આથી રતિલાલે ગુજરાતી ફોન્ટ વિકસાવી આપે એવી કંપનીની શોધ આદરી. તાતા કંપનીએ દેવનાગરીના ફોન્ટ બનાવ્યા હોવાની પણ તેમને જાણ થઈ. જો કે, ક્યાંયથી નક્કર પરિણામ નીપજ્યું નહીં. કેડીઓ અનેક દેખાતી હતી, પણ તે આગળ જઈને માર્ગ બને એવી શક્યતા જણાતી નહોતી. 


દરમ્યાન તેમનો ભત્રીજો રાજ અમેરિકામાં એમ.બી.એ.નો અભ્યાસ પૂરો કરીને લંડન આવ્યો. તેણે રતિલાલને ઍપલનું કમ્પ્યૂટર આપીને તે વાપરતાં શીખવ્યું અને સાઠી વટાવી ચૂકેલા રતિકાકાએ આ નવા સાધનનો પરિચય કેળવવા માંડ્યો. આ કમ્પ્યૂટરમાં પણ તમામ વ્યવહાર અંગ્રેજીમાં હતો, એટલે ફરી એક વાર તપાસ ચાલુ થઈ ગુજરાતી ફોન્ટની. 


દરમ્યાન રતિકાકાને ભારત આવવાનું થતાં ગુલાબદાસ બ્રોકર થકી જાણ થઈ કે અમેરિકામાં મધુ રાય આને લગતું કંઇક કામ કરે છે. મધુ રાય સાથે થોડા સમય પછી મુલાકાત થતાં ખબર પડી કે તેઓ ગુજરાતી ફોન્ટ બનાવવામાં સફળ થયા હતા, એટલું જ નહીં, તેમનું કીબોર્ડ પણ ઉચ્ચાર આધારિત ( ફોનૅટિક ) હોવાથી વાપરવામાં ઘણું સુવિધાયુક્ત હતું. આમ, રતિલાલ ચંદરયાની મહાશોધનો જાણે દાયકાઓ પછી સુખદ અંત આવ્યો. પણ તે પૂર્ણવિરામ નહીં; અલ્પવિરામ હતું. 


ગુજરાતીનું ટાઇપીંગ કમ્પ્યૂટર પર શરૂ તો થયું.  એનાથી મુસીબત અવશ્ય ઘટી; પણ મૂંઝવણ તો અનેકગણી વધી. કેમ કે સાચી જોડણી લખવાની મોટી સમસ્યા હતી. તેમણે અંગ્રેજીના સ્પેિલંગ આપોઆપ સુધારી આપતા સોફ્ટ્વેર ‘સ્પેલચૅકર’નો ઉપયોગ કર્યો ત્યારે થયું કે આ જ રીતે ગુજરાતી સ્પેલચૅકર કેમ ન બની શકે ? તેમણે ઍપલ મેકિન્તોસ અને માઇક્રોસોફ્ટનો સંપર્ક કર્યો, અનેક સામયિકોમાં લેખો પ્રસિદ્ધ કર્યા, હિન્દીમાં રસ ધરાવતા કેટલાક પ્રૉફેસરોનો પણ સંપર્ક કર્યો. અરે ! અરેબીક ભાષા માટે સ્પેલચૅકર બનાવનાર ફ્રેંચ નિષ્ણાતને ય તેઓ મળ્યા. પણ આ બધાનું કશું પરિણામ નીપજ્યું નહીં. 


આ શોધયાત્રા દરમ્યાન તેમને હૃદયની બાયપાસ સર્જરી પણ કરાવવી પડી, પણ તેઓ પાછા પડ્યા નહીં. ગુજરાતી લિપિ કમ્પ્યૂટર પર લખાય એટલું પૂરતું નથી; તેના શબ્દો, સાચી જોડણીઓ, રૂઢિપ્રયોગો જેવી અનેક સામગ્રીઓ પણ કમ્પ્યૂટર પર આસાનીથી ઉપલબ્ધ થાય તો જ ગુજરાતી ભાષાનો વ્યાપ કમ્પ્યૂટર પર વિસ્તરી શકે અને વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ તેનો આસાનીથી ઉપયોગ કરી શકે. સાચી ગુજરાતી લખવાની રતિકાકાની પોતાની મૂંઝવણ તો તેમના પરમ મિત્ર બનેલા સુરતના ઉત્તમ ગજ્જરને કારણે ઊકલી ગઈ, કેમ કે ઉત્તમભાઈ થકી તેમને પરિચય થયો એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ ધરાવતી ઉંઝા જોડણીનો. 


દરમ્યાન પૂનાના બે યુવાનોએ હિન્દી સ્પેલચૅકર બનાવ્યું હોવાની માહિતી મળતાં, તેમણે એ બનાવનાર સ્વામી અસંગ અને તેમના સાથીદારોનો સંપર્ક કર્યો. સ્વામી અસંગ પાસે મુખ્ય સમસ્યા હતી સમયની. તકલીફ ત્યારે (અને આજે ય ) એ હતી કે ગુજરાતીમાં કોઈ સ્ટાન્ડર્ડ કીબોર્ડ વપરાશમાં નહોતું. તેથી રતિકાકાના કીબોર્ડ પર કામ કરવા કોઈ રાજી નહોતું. આ બધી જળોજફા દરમ્યાન ગુજરાતી સાહિત્ય તેમ જ શબ્દકોશ સાથે સંકળાયેલી સંસ્થાઓને મળવાનું અને આ પ્રકારનો, માળખાકીય સવલતો ધરાવતી કોઇ મોટી સંસ્થા જ હાથ ધરી શકે એવો  ગંજાવર પ્રોજેક્ટ ઉપાડી લેવા માટેની સમજાવટ કરવાનું ચાલુ જ હતું; પણ કોઇ સંસ્થા તૈયારી બતાવતી નહોતી. છેવટે ‘કરે એનું કામ’ એ ન્યાયે રતિકાકાએ પોતે જ આ કામ આગળ વધારવાનું નક્કી કરી લીધું.

ઉંમર અને આરોગ્ય ઉપરાંત આ પ્રોજેક્ટનું વિરાટ કદ જોતાં તેમની પરિસ્થિતિ ‘ ઓછી મદિરા અને ગળતા જામ ’ જેવી હતી. આટલું ઓછું હોય એમ તેમના કમ્પ્યૂટરના મધરબોર્ડ પર ગજા ઉપરાંતનો બોજો આવી જતાં તે બળી ગયું ! પણ રતિકાકા હિંમત ન હાર્યા. બલકે પૂરા જોશથી તેઓ મચી પડ્યા. ‘સ્પેલચૅકર’માં જોવા માટે શબ્દો તો જોઈએ ને! એટલે સૌ પ્રથમ તેમણે ગુજરાત વિદ્યાપીઠના ‘ખિસ્સાકોશ’ અને ‘સાર્થ જોડણીકોશ’ના શબ્દોને ડિજીટલાઈઝ્ડ સ્વરૂપે કમ્પ્યૂટરમાં ફેરવ્યા. આ ઉપરાંત કે.કા.શાસ્ત્રીના ‘બૃહદ ગુજરાતી શબ્દકોશ’ ના શબ્દો પણ તેમાં ઉમેર્યા. પૂનાના સ્વામી અસંગને આ કામમાં રસ પડતાં તેમણે થોડી મદદ કરી અને સૂચન પણ કર્યું કે બધો જ ડેટા ‘જાવા’માં અને ‘યુનિકોડ’માં ફેરવી દેવામાં આવે તો કામ સરળ થઈ શકશે. આમ, ‘લોગ આતે ગયે, કારવાં બનતા ગયા’ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા લાગ્યું. એક સમયે જે પ્રોજેક્ટ અસંભવ જણાતો હતો, તે હવે બબ્બે દાયકાની જહેમત પછી નજીકના ભવિષ્યમાં જ સાકાર થાય એમ જણાવા લાગ્યું. રતિકાકાનું પોતાનું કમ્પ્યૂટર વિશેનું તકનિકી જ્ઞાન તો સાવ મર્યાદિત હતું; પણ તે ‘અલ્પજ્ઞાન’ જ આખા કાર્યક્રમનું ચાલકબળ બની રહ્યું અને સ્વામી અસંગ, હિમાંશુ મિસ્ત્રી ( સુરત), અલકા છેડા, માધવી,  અંજલિ(તમામ મુંબઇના), મેહરુ સિધવા (લંડન), વિપુલ મોતીવરસ(મુંબઈ), રોહિત( મેંગ્લોર)  ઉપરાંત ગુજરાતીનો ‘ગ’ પણ ન જાણનાર ત્રિવેન્દ્રમનાં રેવતી શ્રીધરન જેવા સાથીદારોની સહાય મળી રહી. આ સૌના પ્રયાસોથી આગળ જણાવેલાં કોશ–ગ્રંથો ઉપરાંત પાં.ગ. દેશપાંડેના ‘ગુજરાતી-અંગ્રેજી કોશ’ અને ‘અંગ્રેજી-ગુજરાતી કોશ’, નરહરિ કે. ભટ્ટનો ‘ગુજરાતી વિનયનકોશ’, પ્રબોધ પંડિત રચિત ‘ફોનૅટિક એન્ડ મોર્ફેમિક ફ્રિક્વન્સી ઓફ ગુજરાતી લેન્ગ્વેજ’, શાંતિલાલ શાહનો ‘વિરુદ્ધાર્થ કોશ’ તેમ જ ડો. ઇશ્વર દવેનો ‘થિસોરસ’ જેવા કોશ–ગ્રંથોને પણ ડિજીટલાઈઝ સ્વરૂપમાં ફેરવીને ગુજરાતી ભાષાની સૌપ્રથમ ઓનલાઇન ડિક્શનેરી ‘ગુજરાતી લૅક્સીકોન’ ખુલ્લી મૂકવામાં આવી, જેમાં પોણા ત્રણ લાખ કરતાં ય વધુ શબ્દોના અર્થ આપવામાં આવેલા છે.

મુંબઇ પછી તેનું લોકાર્પણ ઇંગ્લેન્ડ, કેનેડા તેમ જ અમેરિકામાં પણ એ જ વરસે કરવામાં આવ્યું. 
આ લખાય છે ત્યાં સુધીમાં આ વેબસાઇટ પર તેત્રીસ લાખ કરતાંય વધુ મુલાકાતીઓ નોંધાયા છે , જે તેની ઉપયોગિતા સૂચવે છે. અત્યંત સરળતાપૂર્વક તેને ઓનલાઇન કે ઓફલાઇન વાપરી શકાય છે. તેને વિના મૂલ્યે http://www.gujaratilexicon.com  પરથી ડાઉનલોડ કરવાની સુવિધા ઉપરાંત તેની સી.ડી.નું પણ વિશ્વ આખામાં ‘ચંદરયા ફાઉન્ડેશન’ દ્વારા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને તે કામ હજી ચાલી રહ્યું છે. રતિલાલ ચંદરયાની આ સંઘર્ષગાથાની ઝલકનો અંદાજ ઉત્તમ ગજ્જર અને બળવંત પટેલ દ્વારા સંપાદિત પુસ્તિકા ‘કમ્પ્યૂટરની ક્લિકે’માંથી મળી રહે છે, જેની આ ત્રણ વરસમાં પંદર હજાર નકલોનું વિતરણ કરવામાં આવ્યું છે. રતિકાકાની પ્રકૃતિ એવી કે પોતે મહામુશ્કેલીએ એવરેસ્ટ પર પહોંચે પછી પહેલું કામ પોતાની આ સિદ્ધિના પુરાવારૂપે તેના પર ફોટો પડાવવાનું નહીં, પણ બીજાઓ માટે વધુ સરળ હોય એવો માર્ગ બનાવવાનું કરે, જેથી એવરેસ્ટ સૌ કોઇની પહોંચમાં આવી શકે. 
આ જ રીતે ગુજરાતી લૅક્સીકોનનું એવરેસ્ટ સર કર્યા પછી તેમનું બીજું લક્ષ હતું ગુજરાતી ભાષાના નવ લાખ શબ્દો, નવ હજાર પાનામાં સમાવતા નવ ભાગના અભૂતપૂર્વ ગ્રંથ ‘ભગવદ્ગોમંડળ’ના ડિજીટલાઇઝેશનનું.

પહેલી નજરે આ કામ અશક્ય લાગે, પણ અશક્ય લાગતા કામને શક્ય બનાવીને સૌ માટે સુલભ કરવું એ જ ચંદરયા પરિવારનો મંત્ર છે. આ કામ હાથ ધરવા માટે અમદાવાદમાં જ નવી ઑફિસ શરૂ કરવામાં આવી. અશોક કરણિયાની રાહબરી હેઠળ, કાર્તિક મિસ્ત્રી, સુમૈયા વોહરા, મૈત્રી શાહ, દેવળ વ્યાસ, પદ્મા જાદવ, શ્રુતિ અમીન માત્ર ટેકનિકલ નિષ્ણાતો જ નહીં, ખંતીલા અને સમર્પિત સાથીદારો બની રહ્યાં, જેમની મદદથી આ આખો પ્રોજેક્ટ ફક્ત સાડા અગિયાર મહિનાના વિક્રમ સમયમાં સંપન્ન થયો. અમદાવાદમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે તમામ અગ્રણી અંગ્રેજી-ગુજરાતી અખબારો-સામયિકોએ આ સીમાસ્તંભ સમી ઘટનાને મથાળે ચમકાવી હતી. લૅક્સિકોન અને ભગવદ્ગોમંડળની સી.ડી.માં બધું મળીને પાંત્રીસેક લાખ શબ્દો ડિજીટલ સ્વરૂપે સમાવાયેલા છે.  


આ પ્રોજેક્ટ અંગે રતિકાકા હળવાશથી કહે છે, “ખરેખર તો આ કામ કોઈ સાહિત્યની સંસ્થાનું, યુનિવર્સિટી કે સરકારનું છે, મને એ હજી નથી સમજાતું કે આમાં રતિલાલ ચંદરયા ક્યાંથી વચ્ચે આવી ગયા !”  


ઉંમરને કારણે શ્રવણશક્તિ તેમ જ દૃષ્ટિ ક્ષીણ થઈ હોવા છતાં, તેમના જુસ્સામાં જરા ય ઓટ આવી નથી. ટેલિફોનને બદલે લેપટૉપના સ્ક્રીન પાસે કાનનું કામ લેવાનું એમને ફાવી ગયું છે. મુંબઇમાં હોય ત્યારે જયેશભાઈ તેમની જરૂરતોનું ધ્યાન રાખે છે. સાદગીના પ્રતીક જેવા રતિકાકા અનેક દેશોમાંના પોતાનાં નિવાસસ્થાનોમાંથી ક્યાં ય પણ રહેતા હોય, આજે પણ પોતાનો મોટા ભાગનો સમય કમ્પ્યૂટર પર ગાળે છે અને ઇ-મેઇલના માધ્યમ થકી પોતાના પરિવારજનોના તેમ જ ઉત્તમ ગજ્જર, તુષાર ભટ્ટ, બળવંત પટેલ, વિપુલ કલ્યાણી, મનસુખલાલ શાહ જેવા અનેક સાથીમિત્રોના જીવંત સંપર્કમાં રહે છે.  


હવે પછીનો તેમનો પ્રકલ્પ છે ‘લોકકોશ’નો, જેનો વિધિવત આરંભ 27 ઓક્ટોબર, 2009ના રોજ કરવામાં આવ્યો. ગુજરાતીમાં વ્યાપક રીતે વપરાતા, પણ કોઈ પણ કોશમાં હજી સ્થાન ન પામેલા અન્ય ભાષાના શબ્દોને લોકસહકારથી વીણી વીણી સમાવવાનો તેનો ઉપક્રમ છે. કોઈ પણ શબ્દપ્રેમી એમાં ભાગ લઈ ફાળો આપી શકશે. નિષ્ણાતોની સમિતિ આ શબ્દોને, તેના અર્થને ચકાસીને  તેમને યોગ્ય લાગશે તો એ શબ્દો મોકલનાર(શબ્દદાતા)ના નામ સાથે ‘લોકકોશ’માં સ્થાન આપશે. આ પ્રોજેક્ટ અંગે આપણે સાશંક થઈને પૂછવા જઈએ તો રતિકાકા તેમના ટ્રેડમાર્ક જેવું મૃદુ હાસ્ય કરતાં તરત કહે છે, “મેં એક જ વાત મનમાં રાખી છે, અને તે એ કે, કોઈ પણ બાબતમાં ‘ના’ સ્વીકારવી નહીં.” તેમના મૃદુ હાસ્ય પછવાડે રહેલી તેમની  ‘ભીષ્મવિચારદૃઢતા’નો ખ્યાલ ત્યારે જ આવે છે !

(માહિતીવિશેષ: ઉત્તમ ગજ્જર, સુરત)

(‘ગુર્જરરત્ન’ સ્થંભ, “અહા ! જીંદગી”, ડિસેમ્બર 2009)

http://birenkothari.blogspot.com

e.mail : bakothari@gmail.com

A/403, Saurabh Park, B/h Samta Flats, Subhanpura, Vadodara-23.(Gujarat) India. 

Loading

‘દર્શક’ની જન્મશતાબ્દી વર્ષના આરંભે સાંભળીએ સુચરિતાની વાત

દીપક મહેતા|Opinion - Literature|14 October 2013

મનુભાઈ પંચોળી ‘દર્શક’નો જન્મ ૧૯૧૪ના ઓક્ટોબરની ૧૫મી તારીખે. આવતી કાલથી (15 અૉક્ટોબર 2013) તેમની જન્મ શતાબ્દીનું વર્ષ શરૂ થશે. મનુભાઈ વિદ્યાપુરુષ હતા, સમાજપુરુષ હતા, પણ સૌથી વધુ તો તેઓ શબ્દપુરુષ હતા. ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ જેવા આપણી ભાષાના તેજસ્વી નવલકથાકારોની હરોળમાં આપકર્મે સ્થાન મેળવનાર નવલકથાકાર હતા. તેમની ‘દીપનિર્વાણ’ નવલકથાને ઉમાશંકર જોશીએ ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’ પછીની એક અગ્રગણ્ય નવલકથા તરીકે ઓળખાવી છે. બે હજાર વર્ષ પહેલાંના ભારતને પશ્ચાદભૂમિ તરીકે રાખીને લેખકે સુચરિતા, સુદત્ત, અને આનંદ વચ્ચેનો પ્રણયત્રિકોણ નાજુકાઈથી આલેખ્યો છે. આજે અહી ‘દીપનિર્વાણ’ની વાત રજૂ કરી છે, તેના મુખ્ય સ્ત્રીપાત્ર સુચરિતાના શબ્દોમાં.

મારું નામ સુચરિતા. મનુદાદાની હું માનસપુત્રી. કોણ મનુદાદા? તમે સૌ તેમને મનુભાઈ પંચોળીના નામથી, ‘દર્શક’ના ઉપનામથી ઓળખો છો. ‘દીપનિર્વાણ’ નામની નવલકથામાં તેમણે મારી વાત લખી છે. પણ આજે હું પોતે તમને મારી વાત કહેવાની છું. તો સાંભળો મારી વાત. ઉતાવળમાં થઇ ગયેલું એકાદ કામ પણ માણસના આખા જીવનમાં કેટકેટલો પલટો લાવી દીએ છે! હું સુદત્તની શિલ્પકલા પર મુગ્ધ હતી. તેની પદ્મપાણીની મૂર્તિ સર્વોત્તમ બને એ જોવાની મને હોંશ હતી. એ હોંશમાં અને મુગ્ધતામાં હું એને વચન આપી બેઠી એટલું જ નહિ, પણ મારી અંગૂઠી પણ મેં તેને આપી. કલાનું સન્માન કરવાને બદલે મેં કલાકારનું સન્માન કરવાનો પ્રયત્ન કર્યો. મેં સુદત્તને વચન આપ્યું ત્યારે એ મારી પાસે શું માગશે એની મને ખબર નહોતી એમ તો કેમ કહેવાય? કદાચ મારા મનમાં પણ ઊંડે ઊંડે એ એ જ માગે તો સારું એમ હશે. કારણ હું તેની કલાથી અંજાઈ ગઈ હતી. કલા અને કલાકાર, બંનેને અહોભાવથી હું જોતી હતી. પણ એ અહોભાવને જ પ્રેમ માની લેવાની મેં ભૂલ કરી.

પ્રેમ એટલે શું એ તો મને આનંદનો મેળાપ થયો તે પછી જ સમજાયું. હું આશ્રમમાં વીણા વગાડતી બેઠી હતી ત્યાં આનંદ આવ્યો, અને મને ‘ભગવતી’ કહી બોલાવી એ ક્ષણથી મારા જીવનના વહેણે દિશા બદલી. જે સ્થાન સુદત્તનું છે એમ મારા મનને મનાવવાનો હું પ્રયત્ન કરતી હતી તે સ્થાન આનંદે આપોઆપ, સહજ રીતે લઇ લીધું. પરીક્ષા વખતે હું પિતાજી મહાકાશ્યપની અને સુદત્તની હાજરીમાં આનંદને પ્રશ્નો પૂછતી હતી. ત્યાં મેં તેમને અચાનક પૂછેલું: “સૂર્યનાં કિરણ કેવાં મનોહર છે?” અને આનંદે કશા સંકોચ વગર જવાબ આપ્યો: “તમારી વેણીના વાળ જેવા.” એ સાંભળીને મારા તો કાન લાલ થઇ ગયેલા, પણ સુદત્તની આંખો લાલ થઇ ગઈ હતી.

અને કેમ ન થાય? એણે માની લીધેલું કે હું તેની જ છું. એ વચનમાં માગશે, અને હું તેની બની જઈશ. પોતાની માનેલી સુચીને આનંદ ઉપાડી જાય એ સુદત્ત કેમ સહન કરી શકે? જો કે મને લાગે છે કે સુદત્ત શિલ્પકલામાં જેટલો મહાન હતો તેટલો જો જીવનકલામાં મહાન હોત તો હું અને આનંદ એકબીજા પ્રત્યે ઢળ્યાં છીએ એ જાણ્યા પછી ઉદારતાપૂર્વક અમારી વચ્ચેથી ખસી ગયો હોત. પણ એ તો ઉલટાનો હઠે ચડ્યો. આનંદને સ્પર્ધામાં હરાવવા માટે તેણે દગો કર્યો. તેમાં ન ફાવતાં આનંદના જન્મ અંગેની ગુપ્ત ઘટના છતી કરીને તેને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. તેમાં ય ન ફાવ્યો ત્યારે મગધરાજ સાથે મળી જઈને મારા પરનું વેર આખા નંદીગ્રામ પર વાળ્યું.

જ્યારે બીજી બાજુ આનંદ? મને હૃદયથી ચાહતા હતા છતાં સુદત્તનો હક પહેલો છે એ વાત સતત સ્વીકારતા હતા. તેમણે સુદત્તને સમજાવવાના પ્રયત્નો પણ કર્યા. એક વર્ષ નંદીગ્રામની બહાર રહેવા પણ તૈયાર થયા. તેમના મનમાં મને ક્યારે ય સુદત્ત માટે દ્વેષની લાગણી જોવા મળી નથી. કારણ પિતાજીએ એક વાર કહેલા શબ્દો સુદત્તના મનમાં જડાઈ ગયા હતા: “લોકોત્તર પ્રેમ કદી ખેંચતાણ કરતો નથી. જે પોતીકું છે તે યુગયુગાંતરોના વિયોગ પછી પણ પોતીકું મટતું નથી. ને જે પારકું છે તેને ગમે તેટલું નિકટ ખેંચો તોય પોતીકું થવાનું નથી.” હું જેમ જેમ આનંદને ઓળખતી ગઈ તેમ તેમ મને સમજાતું ગયું કે સુદત્ત પથ્થરની મૂર્તિનો વિધાયક ભલે બની શકે, મારા જેવી જીવતી જાગતી સ્ત્રીના જીવનનો વિધાયક તે બની શકે તેમ નથી. એ વિધાયક તો આનંદ જ બની શકે, અને તેથી જ મેં મનોમન નક્કી કર્યું: “સુદત્તને જણાવી દઈશ કે એની કલાને હું અભિનંદુ છું, પણ એને ચાહી શકતી નથી, ચાહી શકવાની પણ નથી, કારણ કે સુચરિતા આનંદની થઇ ગઈ છે.” પણ એ વખતે સુદત્ત એ વાત સ્વીકારી ન શક્યો. એ બોલ્યો ખરો કે ‘આનંદ, સુચરિતા તારી હં – તારી.’ પણ અરે! એ તે ક્યારે? ત્યારે નંદીગ્રામ ભસ્મીભૂત થઇ ચૂક્યું હતું. પિતાજીએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. હજારો સૈનિકોએ જાન ખોયા હતા. અરે! સુદત્તના જીવનની પણ એ છેલ્લી ઘડી હતી. હું તો ત્યારે તેને વારવા ગઈ હતી. તે મારા પરના રોષને લઈને આખું નંદીગ્રામ છિન્નભિન્ન કરી રહ્યો હતો. તેથી તે માગે તો મારુંયે મોત તેને ચરણે ધરવા ગઈ હતી. પણ ત્યારે જ તેના કહેવાથી મને ખબર પડી કે સાધ્વીની નહિ, પણ મને વિહારીણીની દીક્ષા આપવામાં આવી છે. ત્યાં સુધી હું તો એમ જ માનતી હતી કે મને સાધ્વીની દીક્ષા અપાઈ છે અને તેથી હવે આ ભવે તો હું ક્યારે ય આનંદની થઇ શકીશ નહિ. જો કે મેં દીક્ષા લીધી ત્યારે પિતાજીએ જે આશીર્વાદ આપ્યા તે સાંભળીને મને અચંબો થયેલો. તેમણે કહેલું: ‘ચિરસૌભાગ્યવતી થા, બહેન.’ તેમના એ શબ્દો પાછળ રહેલું રહસ્ય તો મને સુદત્તે કહેલી વાત પછી જ સમજાયું. અને ખરેખર, એ આશીર્વાદ છેવટે સાચા પડયા. હું આ જ જન્મમાં સદેહે આનંદની બની શકી. હા, તમે કદાચ મને પૂછશો: “સુચરિતા! બીજું બધું તો ઠીક, પણ તેં તારી જાતને અને તારી દીક્ષાને છેતરી નથી? ભલે તને દીક્ષા વિહારીણીની અપાઈ હોય, તેં તો એમ જ માનેલું ને કે તું સાધ્વી બની રહી છે. તે અષ્ટાંદશ વ્રતો પણ લીધેલાં. દીક્ષાથી નહિ, તોય મનથી સાધ્વી બન્યા પછી તું ફરી સંસારી બની તે યોગ્ય કહેવાય? તેં ન તો સુદત્તને આપેલું વચન પાળ્યું, ન તો ધર્મને આપેલું વચન પાળ્યું.”

સાચી વાત કહું? મેં ઉતાવળમાં સુદત્તને વચન આપી દીધું એ મારી ભૂલ હતી. પણ જીવનમાં એકાદ ભૂલ પણ ન કરી હોય એવો કોઈ કાળા માથાનો માનવી છે ખરો? હું જેને ચાહતી હતી તે આનંદની પત્ની બની શકું એમ નહોતું, અને જેને ચાહતી નહોતી તે સુદત્તની પત્ની હું બનવા માગતી નહોતી. ત્યારે પણ આનંદ સાથે લગ્ન થઇ શકે તેમ હોત તો મેં એ રસ્તો જ લીધો હોત. પણ પિતાજીનો અભિપ્રાય હતો કે સુદત્તને આપેલું વચન મારે પાળવું જ જોઈએ, અને મને પણ તે સાચો લાગેલો. મેં દીક્ષા લીધી તે મનમાં જાગેલા વૈરાગ્યને કારણે નહિ, પણ વિકટ સાંસારિક પરિસ્થિતિમાંથી બચવા. એટલે છેવટે જો સુદત્ત મને વચનમાંથી મુક્ત કરતો હોય એટલું જ નહિ, હું આનંદની બનું એમ સાચા હૃદયથી ઇચ્છતો હોય, અને આનંદ પણ મને સ્વીકારવા તૈયાર હોય, ધર્મના આચારનો પણ કશો બાધ નડતો ન હોય, અને આત્રેયદાદા અને ગુરુ શીલભદ્ર જેવા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ વડીલોના આશીર્વાદ મને મળતા હોય, તો હું વિહારીણી મટી ફરી સંસારિણી બનું એમાં ખોટું શું છે? મેં સુદત્તને વચન આપ્યું એ ભૂલની પૂરતી શિક્ષા શું મેં ભોગવી નથી? જે વૈરાગ્ય મનથી સ્વીકાર્યો નહોતો તેને શા માટે વળગી રહું? હું આનંદની બનું તો અમે બંને સાથે મળીને સમાજનું વધારે કલ્યાણ ન કરી શકીએ? માણસના આચરણને, તેના ચરિતને સારું અને ખરાબ એવાં બે ખાનાંમાં વહેંચી શકાતું નથી, હંમેશાં. સંજોગો તેને સારું કે ખરાબ ઠેરવે છે. મેં જે સંજોગોમાં દીક્ષા ત્યાગી અને ગૃહસ્થ જીવન સ્વીકાર્યું તે સંજોગો શું મને દુચરિતા ઠરાવે એવા હતા? શું હું મારા નામ પ્રમાણે સુચરિતા નથી? 

(સૌજન્ય : ‘અક્ષરની અારાધના’, “ગુજરાત મિત્ર”, 14 અૉક્ટોબર 2013)

e.mail : deepakbmehta@gmail.com

Loading

અાર્થિક નહીં, બૌદ્ધિકવારસો જ અપનાવો

ભીખુ પારેખ|Gandhiana|13 October 2013

ગાંધીજી જેવી સેન્સ અોફ થિયેટર અાજના રાજકારણીઅોમાં જોવા મળતી નથી

પ્રચલિત અર્થો અને ધારણાઓથી જુદો જ ગાંધી વિચારનો એક અર્થ હું લઉં છું. હું માનું છું કે સંતાને માતા-પિતાનો આર્થિ‌ક વારસો માત્ર પ્રતીકરૂપે જ લેવો જોઇએ અને બાકીની વારસાઇ સંપત્તિ સમાજ ઉપયોગી કામમાં વહેંચી દેવી જોઇએ.

માતા-પિતા આમ પણ સંતાનોના ઉછેર અને ભણતર પાછળ ઘણી સંપત્તિ ખર્ચે છે. એમને લાયક બનાવે છે. સંતાનો મા-બાપનો બૌદ્ધિક વારસો જ લે તે વધુ ઉચિત છે. આ એક પ્રકારે ગાંધીજીના ટ્રસ્ટીશિપની ભાવના સાથે સુસંગત છે. આ વિચારને મેં અપનાવ્યો છે અને પિતાની સંપત્તિમાંથી માત્ર પ્રતીકરૂપ જ લીધું છે અને સંતાનોને માત્ર પ્રતીકરૂપ આપીને બાકીનું સમાજને આપવાની ઇચ્છા છે. મારા માટે 'આર્થિ‌ક વારસો કયારે ય નહીં, બૌદ્ધિક વારસો જ હંમેશાં’ એ સિદ્ધાંત ગાંધીવિચારનું જ અર્થઘટન છે.

આપણા જીવનમાં સારે-માઠે પ્રસંગે મિત્રો જ હંમેશાં સાથે હોય છે. પ્રતીકાત્મકરૂપે મિત્રોને પણ વારસામાંથી કંઇક આપવું જોઇએ. આ મારી દૃષ્ટિએ ગાંધીજીએ અપનાવેલા 'ત્યેન ત્યકતેન ભુંજીથા’ ઉપનિષદ પ્રેરિત વિચારનું મૂર્તરૂપ છે. વિચાર, આચાર અને જીવન એમ ત્રણ સ્તરે, ત્રિપરિમાણીય રીતે ગાંધીજી આજે પણ પ્રસ્તુત છે. ગાંધીજીએ કયારે ય કોઇ પણ વિચારને જેમનો તેમ સ્વીકાર્યો નથી. હંમેશાં જુદાજુદા ફિલ્ટર વડે ગાળીને તેને બને તેટલો શુદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે અનુકરણીય રીતે દર્શાવ્યું છે કે માણસ ઝનૂની બન્યા વિના ધાર્મિ‌ક હોઈ શકે છે. ગાંધીજી માનતા હતા કે દરેક ધર્મમાંથી કંઇક ને કંઇક સારું ગ્રહણ કરવા યોગ્ય છે. તેઓ ધાર્મિ‌ક હતા પરંતુ એમના આશ્રમમાં કોઇ મૂર્તિ‌ઓ નહોતી. ગાંધીજીના આ ઉદાર ધાર્મિ‌કવાદના કારણે ભારતમાં તાલિબાન જેવો ઉગ્ર અને આત્યંતિક ધાર્મિ‌કવાદ આવી શક્યો નથી.

સત્યાગ્રહનાં મૂળિયાં જોઇએ તો તેમણે હિ‌ન્દુઓની અહિંસાને ખ્રિસ્તી ધર્મના 'એક્ટિવ લવ અને 'સર્વિ‌સ’ના સિદ્ધાંત સાથે સાંકળી છે અને એને હિ‌ન્દુઓના અનાસક્તિના ખ્યાલમાંથી પસાર કરીને સત્યાગ્રહીને મૃત્યુનો પણ ડર નહીં રાખવાની અભયતા આપી છે. આ સંયોજન દ્વારા તેમણે સત્યાગ્રહને એક અમોઘ શસ્ત્રમાં ફેરવી દીધું હતું. એમણે ઉપવાસ માટે એવો ખ્યાલ કર્યો હતો કે, તમે જે ખોટું કર્યું છે એના માટે હું મારી જાતને પીડા આપું છું અને પીડા દ્વારા તમારા હૃદય પરિવર્તનનો પ્રયાસ કરું છું. ઉપવાસના પ્રચલિત ધાર્મિ‌ક અર્થથી એમણે જુદો જ અર્થ કર્યો હતો અને ઉપવાસનો ઉપયોગ પણ જુદો જ કર્યો હતો.ગાંધીજીએ સતત આત્મનિરીક્ષણ કરવાની ટેવ પાડેલી. તેઓ માનતા હતા કે અંગ્રેજ સામ્રાજ્યવાદીઓએ ભારતને પડાવી લીધું નથી. બલકે, આપણે એમને ધરી દીધું છે અને કોઇપણ વિચારને કે આચારને તેઓ સતત આત્મનિરીક્ષણ અને આત્મખોજની ગળણીમાંથી પસાર કરતા હતા. બાબરી મસ્જિદ વિવાદ વખતે ગાંધીજી હોત તો તેમણે એક સાવ જુદો જ ઉકેલ આપ્યો હોત.

તે જ રીતે હાલમાં ગ્લોબલાઇઝેશન અને પ‌શ્ચિ‌મીકરણનો જે રીતે વિરોધ થાય છે તે ગાંધીજી હોત તો એ ન કરત. આ બંનેમાંથી તેમણે સારું ગ્રહણ કર્યું હોત.

ગાંધીજી સાચા અર્થમાં વિશ્વમાનવ હતા. તેમણે જુદીજુદી સંસ્કૃિતમાંથી જે શ્રેષ્ઠ હતું, સારું હતું તેને ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ જોતાં મહાત્મા ગાંધીને યુરોપમાં શરૂ થયેલા મલ્ટિકલ્ચરિઝમના 'પેટ્રન સેઇન્ટ’ કહી શકાય એમ છે. હા, એક વાત ચોક્કસ છે. ગાંધીજીના બ્રહ્મચર્ય અને એલોપેથી વિશેના વિચારો સાથે હું સંમત થઇ શકતો નથી. એમના આવા કેટલા વિચારો આજે સુસંગત નથી. આવા વિચારો સાથે સમંત થવું જોઇએ એમ હું માનતો નથી. બીજી તરફ ગાંધીજીના સંખ્યાબંધ વિચારો આજે પણ અનુકરણીય છે અને એમનું જીવન પણ અનુકરણીય છે. એમની હિંમત કાબિલેતારીફ હતી.

એમનો એક પ્રસંગ યાદ આવે છે. ૧૯૪૬માં ગાંધીજીને મેલેરિયાનો અટેક આવ્યો ત્યારે ગોડસે ચપ્પુ લઇને તેમને મારવા ગયો.

આસપાસના લોકોએ તેને વાર્યો અને પકડી લીધો. ગાંધીજીએ તેને કહ્યું હતું કે તું મારી સાથે એક અઠવાડિયું રહે, હું તને સમજાવીશ. ગોડસે તેમની સાથે એક અઠવાડિયું રહેવા તૈયાર ન થયો. ગાંધીજીએ અનુયાયીઓને કહ્યું કે એને જવા દો, ત્યારે એમના અનુયાયીઓએ કહ્યું કે એ પાછો આવશે. ગાંધીજીએ કહ્યું પાછો આવશે ત્યારે જોઇ લઇશું. એમનામાં જીવન પ્રત્યેની એક અનાસક્તિ હતી અને એ અનાસક્તિમાંથી તેમની હિંમત આવતી હતી. ગાંધીજી માનતા હતા કે જ્યાં શોષણ છે, જુલમ છે, ત્યાં કોઇ નિર્દોષ નથી. જે સહન કરે છે તે પણ દોષિત છે, અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે તે હંમેશાં તૈયાર રહે છે.

ગાંધીજી જેવી સેન્સ ઓફ થિયેટર આજે ક્યાં છે? આજના રાજકારણીઓ પાસે મુદ્દાઓ તો છે પણ ગાંધીજી પાસે હતી એવી 'સેન્સ ઓફ થિયેટર’ − મુદ્દાઓની પ્રસ્તુતીકરણની સૂઝનો અભાવ છે. જેને કારણે રાજકારણ ફિક્કું પડી રહ્યું છે. જો ગાંધીજી આજે હોત તો તેમણે ભ્રષ્ટાચારને ગંભીર મુદ્દો બનાવ્યો હોત અને લાંચ આપનારને લાંચ લેનાર જેટલો જ જવાબદાર ઠરાવી આવી વ્યક્તિઓ સામે અંતરાત્માનો અવાજ ઉઠાવવાની હાકલ કરી ઘેર ઘેર બળવો કરાવ્યો હોત.

તેમણે નોઆખલીમાં હિંસાની સામે જ્યારે મોરચો માંડયો હતો ત્યારે આ જ પદ્ધતિ અપનાવી હતી અને હિંસા કરનારાઓમાં સેન્સ ઓફ ગિલ્ટ ઊભું કર્યુ હતું અને અંતે નોઆખલીમાં શાંતિ સ્થપાઇ હતી. ગાંધીજીની દરેક વાતમાં એક અદ્દભુત પ્રસ્તુતીકરણની કળા રહેતી માત્ર પહેરવેશની વાત લઇએ તો ગાંધીજીએ તેમના જીવનમાં પહેરવેશમાં સાત વખત ફેરફાર કર્યા હતા. એ સાતેય ફેરફારો પાછળ ચોક્કસ હેતુ હતા અને એ ફેરફારો જનમાનસ પર ધારી અસર ઊભી કરવામાં કામિયાબ રહ્યા હતા. માત્ર પહેરવેશ અને વર્તનથીગાંધીજી સામેની વ્યક્તિ સુધી ધારી વાત પહોંચાડી શકતા હતા. એમના માટે એમ કહી શકાય કે એક શબ્દ પણ ઉચ્ચાર્યા વિના ઘણું કહી દેવાની અદ્દભુત શક્તિ એમનામાં હતી.

(પ્રણવ ગોળવેલકર સાથેની વાતચીતના આધારે )


(મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્ચેલર અને ગાંધી ફિલસૂફીના અભ્યાસુ)

[સોજન્ય : “દિવ્ય ભાસ્કર”, 02 અૉક્ટોબર 2013)

Loading

...102030...4,0774,0784,0794,080...4,0904,1004,110...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved