Opinion Magazine
Number of visits: 9524648
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંગીતમાં રાગ અને રસ

અારાધના ભટ્ટ|Opinion - Opinion|6 May 2013

'રસ' શબ્દની સામાન્ય વ્યાખ્યા પ્રમાણે, જેનો આસ્વાદ કરી શકાય તે 'રસ'.  'आस्वाद्यते इति रसः'. રસ શબ્દમાં મુખ્ય ત્રણ ભાવો નિહિત છે : રસ એ અનુભવનો વિષય છે, રસ એ અર્ક કે સત્વ છે, અને રસ અસ્થાઈ, ગતિશીલ છે. ભરતમુનિના પ્રબંધ-ગ્રંથ 'નાટ્યશાસ્ત્ર'માં રસનિષ્પત્તિ, 'વિભાવ’(ઉદ્દીપક પરિસ્થિતિ), 'અનુભાવ’ (ભૌતિક પરિણામ કે અભિવ્યક્તિ – જેમ કે અભિનય)' અને 'વ્યભિચારી’(અશાશ્વત મનોભાવ) એ ત્રણ પરિબળોને આધારે હોવાનું જણાવાયું છે. આ ત્રણેનો સમન્વય થતાં જે અનુભૂતિ થાય છે તે 'આસ્વાદનીય' છે. ભરતમુનિના 'નાટ્યશાસ્ત્ર' વિષયક ભાષ્ય 'અભિનવભારતી'ના સર્જક, સંગીતશાસ્ત્રજ્ઞ અને સૌન્દર્યશાસ્ત્રજ્ઞ અભિનવગુપ્તના મતાનુસાર રસ, શ્રોતા કે રસિકના મનમાં સ્થિત હોય છે. કળાકાર દ્વારા રજૂ થતી કળા, એ રસને માટે ઉદ્દીપક બને છે. એટલેકે સંગીતમાંથી કે અન્ય કોઈ પણ કળામાંથી આનંદ મેળવવો એ સંસ્કારગત બાબત છે.

તૈતરીય ઉપનિષદકાર રસાનુબોધ કરાવતાં કહે છે : रसो वै सः , બ્રહ્મ એ જ રસ છે. પછી એ કહે છે रसं हि एव अयं  लब्ध्वा आनंदी भवति. જ્યારે માનવીને આનંદની પ્રાપ્તિ થાય ત્યારે જાણવું કે એને રસની પ્રાપ્તિ થઈ છે. જેમ બ્રહ્મ એ જ રસ છે તેમ આનંદ એ જ બ્રહ્મ છે. બ્રહ્મ આનંદસ્વરૂપ છે, સત, ચિત અને આનંદ એ બ્રહ્મનાં લક્ષણો છે . તૈતરીય ઉપનિષદ એમ પણ કહે છે 'यदि आकाशे आनंदों न स्यात, कः प्राण्यात कः अन्यात. ' જો આકાશમાં (એટલે કે જગતમાં) આનંદ ન હોત તો કોઈ મનુષ્ય કે પ્રાણી કઈ રીતે જીવિત રહી શકે? આમ રસનો સંબંધ માત્ર કલાઓ કે સૌંદર્યશાસ્ત્ર પૂરતો સીમિત નથી, પણ આપણાં શાસ્ત્રોએ એને ‘બ્રહ્મ’નું ઉચ્ચતમ સ્થાન આપ્યું છે.

રસ એ વ્યક્તિના અંતઃકરણની સમૃદ્ધિ છે. માનવીનું મન એના ઇન્દ્રિયબોધ અનુસાર સુખ-દુ:ખ અનુભવે છે. ઇન્દ્રિયોની સહાયથી મન નિરંતર આનંદની શોધ કરતું હોય છે. માનવીના અંતઃકરણની વિશિષ્ટ ભાવનાઓના ઉત્કર્ષને શાસ્ત્રોમાં 'રસ' કહેવાય છે. બીજી રીતે કહીએ તો કોઈક સાધારણ ઘટના,અનુભવ કે વસ્તુ, મનમાં અસાધારણ નવીનતા ઉત્પન્ન કરે ત્યારે એને 'રસ' કહે છે. મનુષ્ય-હૃદયમાં  સ્થાયીભાવો સદા વિદ્યમાન છે. એ ભાવોના ઉદ્દીપનથી રસ ઉત્પન્ન થાય છે અને રસમાંથી કળાજન્ય સૌન્દર્યની ઉત્પત્તિ થાય છે. આને જ સૌન્દર્યશાસ્ત્ર કે એસ્થેટિક્સ કહે છે. જીવનને સ-રસ કે નિ-રસ બનાવવામાં ભાવકનું ભાવવિશ્વ અધિકાંશ ભાગ ભજવે છે.

સાહિત્યના સંદર્ભે રસ-શાસ્ત્રમાં નવ રસ ગણાવાયા છે. ભારતના નાટ્યશાસ્ત્રમાં આઠ રસોનો ઉલ્લેખ છે અને પછી અભિનવગુપ્તએ નવમા રસ તરીકે શાંત રસનો ઉમેરો કર્યો.
श्रुंगारहास्य करुणरौद्र वीर भयानका:I
बिभत्सोद्भुत इत्यष्टौ रस शांतस्तथा मत: II
શ્રુંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્દભુત, અને શાંત આ નવ રસ ઉપરાંત મનુષ્ય ભાવજગતમાં તેત્રીસ ‘વ્યભિચારી ભાવો’ છે, જે મૂળ નવ રસમાંથી ઉદ્દભવે છે. જેમ એક રંગની અનેક અાભાઓ અને છાયાઓ હોય તેમ એક જ રસમાં અનેક ભાવો સમાયેલા છે. ઉદાહરણાર્થે શૃંગાર રસ લઈએ તો એમાં હર્ષ, આનંદ, ઉન્માદ, વિસ્મય, મોહ, ઈરોટીસીઝમ – લૈંગિકતા, સ્વાર્પણ, આરાધના, વગેરે ભાવો નિહિત છે.

પરંતુ સંગીતમાં, શૃંગાર, હાસ્ય, કરુણ, અને શાંત – એ ચાર રસોમાં નવેનવ રસ હોવાનું મનાય છે. આપણું શાસ્ત્રીય સંગીત રસલક્ષી છે. મતંગની બૃહદ્દેશીમાં રાગ-વિમર્શ કરતાં રાગની વ્યાખ્યા આ પ્રમાણે અપાઈ છે:  ‘योयं ध्वनी विशेषस्तु स्वर-वर्ण विभूषित:, रंजको जनचित्तानाम स रागः कथितो बुधै:’ સ્વરોનો એવો સૌંદર્યસભર સમૂહ જે રંજક હોય (અને અન્ય કેટલાક શાસ્ત્રીય નિયમોને અનુસરે) તેને રાગ કહે છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ પણ 'અભિનવ રાગમંજરી'માં રાગની વ્યાખ્યા કરતાં રંજકતાને રાગનો ગુણધર્મ ગણાવ્યો છે. રંજકતા એ મનનો વિષય છે, તેથી એ સામાન્યજનોના ઉપયોગનું સાધન છે. પરંતુ સ્થૂળ રંજકતાથી ઉપર ઊઠીને સૂક્ષમમાં પ્રવેશ કરતાં રસનો સંચાર થાય છે, મનને ચિત્તનું પદ પ્રાપ્ત થાય છે. ખરેખર તો આ યોગનો વિષય છે અને યોગિઓ આવી ચિરંતન સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જનસામાન્ય માટે સંગીત અથવા અન્ય ઉત્તમ કલાઓ એને આવી ઊર્ધ્વ અનુભૂતિ કરાવી શકે. સ્થળ, કાળ, સંબંધ, સ્થિતિ બધું ભૂલીને વ્યક્તિ જ્યારે અનિર્વચનીયના પ્રદેશમાં પ્રવેશે ત્યારે એના હૃદયમાં જે આનંદનો અવિર્ભાવ થાય છે એને રસાનુભૂતિ કહે છે. સૌન્દર્યબોધ અથવા રસાનુભૂતિ માટે શ્રોતા કે ભાવક સંગીતના મર્મજ્ઞ હોવા જરૂરી નથી. માત્ર સહૃદય વ્યક્તિને જ આ અનુભવ થઈ શકે છે, કારણ કે સંગીત એ  સમજવાનો  નહીં પરંતુ અનુભવનો વિષય છે. શબ્દ સમજવાનો હોય છે, પણ સ્વર અનુભવવાનો હોય છે.

આપણી સંગીત પરંપરામાં રાગોની પ્રકૃતિ હોવાનું આપણે માનીએ છીએ. કેટલાક રાગો ચંચળ પ્રકૃતિના છે તો કેટલાક ગંભીર. રાગોની પ્રકૃતિના આ વિશાળ વર્ગીકરણને આગળ લઈ જતાં રાગોને જુદા જુદા રસો નિષ્પન્ન કરનાર તરીકે વર્ગીકૃત થાય છે. રાગોનું વર્ગીકરણ એના સ્વરોની સંખ્યા પ્રમાણે, એમાં આવતા સ્વરોના પ્રકાર (શુદ્ધ, કોમળ કે તીવ્ર)ના આધારે જુદી જુદી રીતે થાય છે. રાગોની પ્રકૃતિ પ્રમાણે એમના ગાયન કે વાદનનો સમય પણ શાસ્ત્રોમાં જણાવાયો છે. પંડિત ભાતખંડે લિખિત 'હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ'માં તેમણે રસ પ્રમાણે રાગોને ત્રણ વિભાગમાં વહેંચ્યા છે : ધ (ધૈવત) કોમળવાળા સંધિપ્રકાશના રાગો શાંત અને કરુણ રસના, ધ શુદ્ધવાળા રાગો શૃંગાર રસના, અને ગ (ગાંધાર) તથા નિ (નિષાદ)કોમળવાળા રાગો વીર રસના સંવાહક છે એવું તેમણે દર્શાવ્યું છે.

જેમ રાગોને રસ સાથે જોડવામાં આવ્યા છે, તેમ આપણા પ્રાચીન ગ્રંથકારોએ સ્વરને પણ રસ સાથે જોડ્યા છે. ૧૩મી સદીના સંગીતશાસ્ત્રી શારંગદેવે સંગીતશાસ્ત્રની તેમની મહાન કૃતિ – ‘મેગ્નમ ઓપાસ’ – 'સંગીત રત્નાકર'માં જુદાજુદા સ્વરોને વિવિધ રસો સાથે પ્રથમ વાર સાંકળી લીધા. સા અને રે, વીર, રૌદ્ર અને અદ્દભુત રસોના, ધ બિભત્સ અને ભયાનકનો, ગ અને નિ કરુણ રસના, અને મ તથા પ હાસ્ય અને શૃંગાર રસના પોષક છે. જો કે દરેક સ્વરને કોઈ એક રસસૃષ્ટિ સાથે જોડી શકાય એવું વાસ્તવમાં લાગતું નથી. રસનિષ્પત્તિ એ સ્વર-સમૂહો અને તેમાં સ્વરોનું પ્રયોજન, સ્વરોની ચાલ, અને સંગીતકારની પોતાની રસાનુભૂતિ અને સજ્જતા વગેરે અનેક પરિબળોનું સામુહિક પરિણામ જ હોઈ શકે. ૨૦મી સદીના સંગીતજ્ઞ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ મત જાહેર કર્યો કે કોઈ એક રાગને એક રસ સાથે જોડી શકાય નહીં, માનવમનની અને સંગીત કળાની સૂક્ષ્મતાને જોવાની એ બહુ પ્રાથમિક દૃષ્ટિ છે. તેમણે સંગીતના સૂરોને જ નહીં, પણ એમાં લય, તાલ વગેરે અનેક પાસાઓને રસનિષ્પત્તિ સાથે સાંકળી લીધા.

રસ નિષ્પત્તિ સાથે સંકળાયેલું સંગીતનું એક મહત્ત્વનું અંગ તે રાગોનું સમયચક્ર. દિવસના અને રાત્રિના પ્રહારોમાં ગવાતા રાગોની વર્ગીકરણ પદ્ધતિ આપણી પરંપરામાં સ્વીકૃત છે. રાગોમાં પ્રયોજતા સ્વરોમાંથી ખડા થતા વાતાવરણને અને દિવસ-રાત્રિના સમયચક્રના કોઈક અકળ સંબંધ સાથે રસ-સિદ્ધાંતને સંબંધ છે. તે જ રીતે  હિન્દુસ્તાની સંગીતમાં ઋતુઓના રાગો ગવાય છે. વસંત, બહાર, મલ્હાર જેવા રાગો વસંતઋતુ અને વર્ષાઋતુના રાગો છે. શાસ્ત્રીય સ્વરાયોજન અનુસાર કોઈ એક ઋતુના યોગ્ય વાતાવરણમાં, શ્રોતાઓની માનોભાવનાઓને સમજીને, કોઈ રાગ છેડવામાં આવે, તો રસની ઉત્પત્તિ જરૂર થાય છે. તાનસેન, બૈજુ બાવરા, અને તાનારીરીની રાગ દીપક અને મલ્હારવાળી કથા સર્વવિદિત છે. જ્યારે રાગો કોઈ વાદ્ય ઉપર વગાડવામાં આવે ત્યારે, એમાં શબ્દો ન પ્રયોજાતા હોવા છતાં, માત્ર સ્વરો પણ રસોત્પત્તિ કરવાની ક્ષમતા ધરાવે છે.

કલાકારનું લક્ષ્ય શ્રોતાના સ્થાયીભાવોને જગાડી એને રસમાં તન્મય કરવાનું હોય છે અને એ જ કલાકારની નિપુણતાનું દ્યોતક છે. સંગીતકાર એની સૌંદર્યસાધના, સ્વર, તાલ, લય અને કાકુભેદ દ્વારા કરવા પ્રયત્ન કરે છે. સ્વરોના વિશિષ્ટ લગાવને ‘કાકુ’ કહે છે, જેમાં સ્વરોની ગતિ એનું ઊંચા-નીચાપણું વગેરે કલાકૌશલનાં વિવિધ પાસાંઓનો સમાવેશ થાય છે. એટલે, એક ઉદાહરણરૂપે, પ્રાતઃકાલીન રાગ લલિતમાં ગવાતી બંદિશ 'રૈન કા સપના ..' એ શબ્દસમૂહને જુદાજુદા સ્વરો લઈને ગાવાથી ગાયક કલાકાર શ્રોતાના ચિત્તને રસાન્વિત કરવામાં સફળ થાય છે. સંગીતમાં થતી રસનિષ્પત્તિમાં ગાયન-વાદનની શૈલીઓ એટલે કે પરંપરાગત ઘરાનાઓ પણ કેટલેક અંશે ભાગ ભજવે છે. કેટલાક પ્રકારનું સંગીત સામાન્યજનને વધુ 'ભાવવાહી' લાગે છે. કેટલાક ગાયકો કે વાદકોની શૈલી વધુ ભાવવાહી હોવાનું સંગીત સમીક્ષકો માને છે. અથવા તો કોઈ જ બુદ્ધિગમ્ય કારણ વિના કોઈ સંગીત વધુ સ્પર્શી જાય એવું લાગતું હોય છે. કોઈક ગીત કે રાગ સાંભળીને કોઈ ભાવક પોતાના રૂવાં ખડાં થઈ ગયાંનું વર્ણન કરે તો કોઈ આશ્રુની ધારા વહેવાની વાત કરે. 'ભાવ'નો આ સ્પર્શ તે કદાચ 'રસ' નું પ્રાથમિક સ્વરૂપ.

સંગીત એ રંગમંચની કળા છે. તેથી રસનિષ્પત્તિના શાસ્ત્રોક્ત વિમર્શ કરતાં વ્યવહારમાં સંગીતકાર  રસનિષ્પત્તિનું પોતાનું ધ્યેય કઈ રીતે સિદ્ધ કરે છે એ મહત્ત્વનું છે. સંગીતકાર પોતે, જે તે રસને  તીવ્રપણે  અનુભવે, કહો કે, એ રસમાં પોતે ખૂંપી જાય તો જ એના સ્વરો એ રસના વાહક બની એના ભાવકોને સ્પર્શશે. આપણા સંગીતનો વારસો સદીઓથી ગુરુ-શિષ્ય પરંપરાની તાલીમ દ્વારા જળવાયો છે. બધી જ શાસ્ત્રીય નિપુણતા પ્રાપ્ત કરીને સાધનારત શિષ્ય જ્યારે ગુરુના આશિષ મેળવે, ત્યારે સાચા અર્થમાં ગુરુનું જ્ઞાન સંપાદન કરવાનો એ અધિકારી બને છે અને ત્યારે એ સંગીતની દિવ્ય અનુભૂતિ કરી શકે છે. સંગીતકારને રસની આવી તીવ્ર અનુભૂતિ માટે ગુરુના આશીર્વાદ, કલાની સાધના, અને અખૂટ શ્રદ્ધા જરૂરી છે. જ્યારે પોતાનો અંતર્ગત  રસ એ એના ભાવકો સુધી પહોંચાડી શકે અને બધા એ  રસમાં તરબોળ  થયાનો  અનુભવ  કરે  ત્યારે રસ-શાસ્ત્રમાં એને રસનું 'સાધારણીકરણ' કહે છે. રસાનુભૂતિ માટે શ્રોતા કે ભાવકની સહૃદયતા અનિવાર્ય ગણાઈ હોય અને બુદ્ધિ કે સંગીતના જ્ઞાનને ભલે ગૌણ ગણાયું હોય, સંગીતની રજૂઆત કરનાર કલાકાર પોતાની તાલીમ અને શાસ્ત્રીય નિયમોને આધીન રહીને સંગીતની રજૂઆત કરતો હોય છે. એની રજૂઆતમાં ચમત્કારિતા માટે એ વૈચિત્રીકરણ, ગણિત વગેરે સાધનોનો વિચારપૂર્વક વિનિયોગ કરે છે. સૌન્દર્યની ચરમ સીમાના આકાશને આંબવા મથતા કલાકારે સતત શાસ્ત્રોક્ત નિયમ અને તાલીમની ધરતી ઉપર સ્થિર રહેવાનું છે.

ગાનસરસ્વતિ કિશોરી આમોણકર કહે છે કે તેઓ જ્યારે કાર્યક્રમ આપવા કાર્યક્રમના સ્થળે જઈ રહ્યાં હોય છે ત્યારે અંદર એક વાતાવરણ હોય છે. અંતરતમની એ ખૂબ નાજુક સ્થિતિ છે, અંદરના એ વાતાવરણને તેઓ ખૂબ જતનથી સાચવીને રાખે છે. ઈશ્વર જાણે કે સ્વરોના સ્વરૂપે અવતરવા તૈયાર થઈ રહ્યા હોય એવી એ અનુભૂતિ હોય છે. જુદાજુદા સંગીતકારો આ અનુભૂતિને પોતપોતાની રીતે વર્ણવે છે. કેટલાક સંગીતકારો પોતાના કાર્યક્રમો પૂર્વે મૌન રાખે છે, એનો હેતુ પણ કદાચ અંતરમનમાં આકાર લઈ રહેલી રસોર્મિઓનું સંવનન કરાવાનો હશે.  

સંગીતનું રસ-સૌન્દર્ય બુદ્ધિથી પર છે. બધી કળાઓ પૈકી ફક્ત સંગીત એક એવી કળા છે જેનું સ્વરૂપ ચોક્કસ નાદબિંદુઓ (સ્વરો) ઉપર આધારિત છે. એટલે એ રીતે જોઈએ તો સંગીતનું સૌન્દર્ય સ્વયંસ્ફુિરત છે, કારણ કે જગત આખું નાદાધીન છે. રસનું ઉદ્દીપન કરનાર તત્ત્વ અશાશ્વત હોય પણ રસાનુભૂતિ જેને આનંદભાવ પણ કહેવામાં આવે છે તે ભાવકના ચિત્ત ઉપર ચિરંતનકાળ સુધી અંકિત થઈ એને પરમની પાસે લઈ જાય છે. ઓગણીસમી સદીના અંગ્રેજી ‘રોમેન્ટિક’ કવિ શેલીની પંક્તિઓ આપણા સંગીત અને રસ-શાસ્ત્ર માટે પણ એટલી જ પ્રસ્તુત છે : Music, when soft voices die, vibrates in the memory. 



e.mail : aradhanabhatt@yahoo.com.au

Loading

Ode to Indian Dukawala – a review

Ramnik Shah|Diaspora - Reviews|6 May 2013

I am privileged to be one of the only two recipients of the hard copy of this work that we have become so familiar with now.  It is a magnificent print edition,  though the pages, alas, are not numbered. Kersi wrote about the practical aspects of producing it in his Msg # 52787 of 21 April 2013 and followed it up by another posting, Msg # 52866 of 28 April 2013, in which he provided the link to its online version at Ode to Indian Dukawala March 2013 THE final revision with graphics& Appendix.docx

So first of all congratulations to Kersi for recording and telling this tale, which forms the backbone really of our collective history.  It is a form of poetry in kaleidoscopic motion, as it were. His starting point is the building of the Mombasa-Kisumu railway (though of course there was already a significant Indian settlement in Zanzibar and the coastal parts of East Africa before that).  While most of the workers who had come to work on the construction project left to return to India when it was completed, others saw an opportunity to open up the interior and so ventured out there, “(b)raving malaria black water sleeping sickness” and “many and unknown ills”, fevers and diseases, “(u)ndeterred by lions leopards and snakes … hyenas owls bats and other nightly beasts”.  And so they spread far and wide into the wildest and deepest corners of the region, through hostile territory and facing umpteen dangers, to set up a string of shops (`dukas`, which as we know was a coarsened abbreviation of `dukaan`) here and there: “A small mabati duka a shop in the front, (w)ith a couple of tiny rooms in the back” which became their “wilderness abode”!

And so continues Kersi, with his highly imaginative depiction of the arrival of the shopkeeper as a specie, and how he negotiated all the odds stacked against him to serve a need, to create a trading environment, to survive and to prosper.  The book as well as its online version is full of graphics and catching pictorial images which illustrate the progress and salient features of the duka phenomenon: the rural setting, the minutiae of the various mundane merchandise and other products sold, the natives toiling the soil and performing other routine tasks, their colourful costumes and the sight of many everyday objects – the panga and the birkia, the kerosene lamp, the three star match box, the bottle of the Amrutanjan balm (with whose suppliers in South India my father`s family had a close business connection and who looked after us there on our first visit to India in 1968!), the `lorry` or truck traversing the rough landscape, stretching into the modern era of the ubiquitous `Tusker` beer and its skyscraper home – all so familiar to most of us who come from there. 

The dukawalas did not just sell things to the consuming public, for “from the locals … Many needy things he required …Milk honey skins and hides”, and “he regularly acquired .. Makka the charcoal to cook with, Mswaki the acacia tooth brush stick” and “Many other local produce and products”.  Also “In his duka too the locals he employed Sukuma sukuma push push, Haraka haraka hurry hurry, His employees to work he spurred on”!  His was a two-way trade that benefited the locals as much as himself.  This however did not endear him to everyone as the following extracts from the text testify :

“Not long after the mzungu P C and the D C …. rolled in, Indian contractors built their bomas offices, And bungalows …. Followed by the farmers and settlers white … Their early farmhouses and homes, Farm sheds and barns they all also built”;

“But the wazungu white farmers, Their families and friends, As well as their bibis the wives, And all the bwanas and the officers, Of government the serikali and the white businessmen, For reasons not very sure, but known to them only, Disliked derided and mistreated, The dukawala most unfairly” even though of course they all depended on the generous credit and other largesse of the dukawala!

There is lots more in Kersi`s narrative which lends credibility and weight to any number of academic studies and other literature on the subject of East African Asians who are now belatedly, at times even grudgingly, recognised as having played a pivotal role in the development of the region as a whole.  It captures their transformation from pioneering first generation migrants at the beginning of the 20th century to their 21st century successful descendants superbly in this extraordinary publication.

So our plaudits and grateful thanks to Kersi for his dogged effort and perseverance.

RAMNIK SHAH
(c) 2013
Surrey, England

Loading

ખર્ચો અને જીવન – એક કળા

વિમેશ પંડ્યા|Opinion - Opinion|2 May 2013

થોડાક દિવસો પહેલાં, મારે સરકારી નોકરીમાંથી સેવા નિવૃત્ત એક જૂથ સાથે બેસવાનું થયું. થોડીવાર સુધી, વરસાદ, રાજકારણ, ચૂંટણી, સમાજ, બજાર એવી બધી વાતો ચાલ્યા પછી, અચાનક જ પેન્શનની વાત ચાલુ થઈ. થોડાક બળાપા સાથે લગભગ બધાયના કપાળ પર ચિત્ર વિચિત્ર રેખાઓ ઉપસવા લાગી. ક્યાંક પોતાના ફુલ એન્ડ ફાઈનલના આવેલા પૈસાનું સેફ ઈન્વેસ્ટમેન્ટ જાણી, ખુશીની રેખાઓ હતી, તો ક્યાંક દીકરા માટે લીધેલી લોન પર વધતા જતા વ્યાજ દરની ચિંતા. આ બધા ય વચ્ચે એક રસિક ચર્ચા છેડાઈ.

‘કાંતિભાઈ, માળું, આ પેન્શન ટાઈમ પર મળી તો જાય છે, પણ મોંઘવારીનું તો જુવો … !!! … એક રૂપિયો બચતો નથી ..’

‘શું વાત કરે છે ? તને કેટલું મળે છે ?’

‘બધું કપાયા પછી નવ આઠસો ..’

‘સાલું, વાત તો સાચી … શું બચે એટલામાં .. (!!!)’

વાત આટલા એકના બળાપા અને બીજાના સમર્થનથી અટકી જવાની જગ્યાએ, વિષય વગરની પરિષદમાં, દાવાનળની જેમ ફેલાવા લાગી. મારે ય વાંધા છે, ને મારે ય તકલીફ પડે છે. આ દરમ્યાન હું એક મૂક શ્રોતા હતો. આમે ય આટલા બધા વડીલો, જેમાં લગભગ બધા ય કોઈક ને કોઈક સરકારી નોકરીમાંથી, કોઈક ને કોઈક હોદ્દાના, જીવનભરના અનુભવોનો ખજાનો લઈને બેઠેલા હોય, અને આપણે માત્ર સરકારી ઓફિસોમાં કોઈક દિવસ કોઈક નાના કાગળ માટે ભાંજગડ કરવા જવાનું હોય, ત્યાં એમની વાત સાંભળવી એ જ એક રસ્તો હતો. વળી, વડીલોની વાત ક્યારે કયા પાટે જાય, એ કળવું લગભગ મુશ્કેલ હોય છે. એ દરેક વાતને એક સમજણપૂર્વક રજૂ કરે ખરા, પણ એમની વાતની ગાડી એક સાથે બે ટ્રેક પર દોડી શકતી હોય છે. અને આપણે ક્યાંક ગોથું ખાઈ જઈએ, તો મગજમાં બેન્ડ વાગે, એના કરતાં એ વાત વચ્ચે હુંકારો ભરવા બોલાવે નહીં ત્યાં સુધી બોલવું ન જોઈએ. બસ એવું જ કાંઈક થયું મારી સાથે. આ ખર્ચા-રામાયણ વચ્ચે બે-ત્રણ વખત મને પણ ‘હેં ને ભાઈ .. !!!’ કહીને ચર્ચામાં જોડાવા ખુલ્લું નિમંત્રણ આપવામાં આવ્યું. થોડીક વાર તો હું મુંઝાયો, પણ છેવટે મેં દીર્ઘ શ્વાસ ફેફસાંમાં ભરીને તમામનાં મોઢાં સિવાઈ જાય એવું કડવું કડવું ઉચ્ચારણ શરૂ કર્યું.

‘પૈસાની જરૂર તો કોને નથી, પણ જો તમે તમારા પોતાના માટે વાત કરતા હો, તો પેન્શનમાંથી પૈસા વધવા જોઈએ. નવ-દસ હજાર ઓછા નથી ..’

સામે પક્ષેથી આખા જૂથમાં એકાદ મિનિટ માટે સોપો પડી ગયો ને જાણે ખુલ્લો બળવો પોકારવા માટેના હથિયાર સમા પ્રશ્નો દરેક નિવૃત્ત મનમાં તૈયાર થવા લાગ્યા. સાથે સાથે પોતાની ઠેકડી ઉડાડવાની આ છોકરાની હિંમત કઈ રીતે થઈ, એવો ભાવ પણ કોઈ કોઈના ચહેરા પર સ્પષ્ટ થવા લાગ્યો. એકાદ થોડા વિચક્ષણ બુધ્ધિમાન જાપાની જેવી ઝીણી આંખો કરી ને મારી આગળની વાત સાંભળવાનો અથવા તો મારા મગજમાં બંધાઈ રહેલા ‘યુધ્ધ પહેલાંના’ શસ્ત્રાગાર જેવા જવાબો, શું હોઈ શકે એ ઉકેલવાનો પ્રયત્ન કરતા હોય એમ લાગ્યું.

‘ઘર તમારું પોતાનું છે. વર્ષે દહાડે બે સિઝનનું મળીને, ઘરે ખાવા માટે પૂરું થાય એટલું મુખ્ય ધાન (ઘઉં, મકાઈ, થોડી તુવર અને અથવા અન્ય) પોતાના ખેતરમાં પાકે છે. એક સાથે આખા વરસ માટે મરચું, હળદળ, જીરૂ, મેંથી, રાઈ, મગ અને અન્ય જરૂરી કરિયાણું એક સાથે એની સિઝનમાં ભરી લેવામાં આવે છે. ઢોર હવે કોઈએ રાખ્યા નથી, એટલે ખેતરમાં થતા પાક દરમ્યાન પેદા થતો ઘાસચારો લગભગ અડધા વરસના દૂધનો ખર્ચો કાઢી આપે છે. (ત્રણથી ચાર કિલોનો ઘાસનો એક પૂળો સરેરાશ આઠથી બાર રૂપિયે વેચાય છે.) હવે બચે છે એ બધું ય ગણીએ તો આખો મહિનો મોજથી કાઢવા માટે ત્રણથી સાડા ત્રણ હજાર પૂરતા થઈ પડે. અને જો એથી વધારે થાય તો એની ગણતરી કરવી જોઈએ. આખા ય વર્ષમાં ઘરે આવતા પ્રસંગ, શ્રાવણ માસ અને દિવાળીના મહિના છોડીને આ ગણતરી યોગ્ય છે. હવે તમે જે માનો એ …’

‘એક જ માણસ માટે ને?’

‘ના, અંકલ, એક નિવૃત્ત દંપતી માટે. ગામડા ગામમાં રુટીન લાઈફ બસર કરવા માટે સાડા ત્રણ હજાર પૂરતા હોવા છતાં બસ્સો પાંચસો આમ તેમ થાય ત્યાં સુધી ઠીક છે, પણ જો છેક સાડા નવ હજાર ઓછા પડી જાય એમ લાગતું હોય તો એ વિચારવા જેવી વાત છે, અને એ પણ તમારે પોતે.’

‘અલ્યા, આ કાલનો છોકરો આપણને શું કરવું એ શિખવાડે છે, તને ખબર છે મારે દિવસની દસ સિગારેટ જોઈએ છે. મહિનાનું અંદાજે ગણે તો ય પંદરસો એમ જ થઈ જાય.’

‘બેશક, એ વાત સાચી છે કે પંદરસો થઈ જાય પણ એ જરૂરિયાત નથી, રુટીન નથી અને જો આપણે સામાન્ય સંજોગોની વાત કરીએ તો બધા જ લોકોને મહિને પંદરસો રૂપિયાની સિગારેટ નથી જોઈતી, અને એ માટે તમે તમારા જ ઘરમાં તમારા પત્નીનું ઉદાહરણ લઈ શકો છો … !!!’

હજી સુધી પોતાને ચોક્કસ ડિફેન્સીવ મુદ્રામાં અનુભવી રહેતા તમામ ચહેરાઓ પોતાની વાત ઉપર ગ્લાનિ અનુભવવા લાગ્યા. મારો આશય એમાંથી એકેયનું અપમાન કરવાનો નહોતો પણ આખી જીંદગીનું અનુભવોનું ભાથું ભેગું કરીને જ્યારે કોઈકને પ્રેરણા આપવાની ઉંમરે પહોંચેલા આપણા વડીલો જો ખરેખર યુવાનોને જીવન જીવવાના સરળ નુસખા સમજાવવાની હાલતમાં ના હોય ત્યારે દુઃખ થાય. જીવન અને ખર્ચો એક બીજાની સાપેક્ષ બાજુઓ છે જેમાં કહી શકાય કે જીવન જીવવું હોય તો ખર્ચો કરવો પડે અને ખર્ચો કરીએ તો જ જીવન જીવાય. પણ બંને સરળ કઈ રીતે બનાવી શકાય એ જોવું અને જાણવું મહત્વનું છે. પચ્ચીસ વર્ષની વયે પિતાની પદવી મેળવી લેનાર યુવાન વિચારે છે કે એણે જે તકલીફો વેઠી છે એ એના બાળકને ના વેઠવી પડે. પણ એ વખતે એણે આર્થિક, સામાજીક અને માનસિક આપદા વખતે એના કઈ રીતે ઉકેલ મેળવ્યા હતા એ શીખવાડવાનું ભુલી જાય છે અને એની કહાની એનું બાળક જ્યારે પિતા બને છે ત્યારે ફરીથી ભજવવા લાગે છે. એય એના પિતાની જેમ વિચારે છે અને ફરીથી એજ સાયકલનું પૈડું ચાલું.

જીવનમાં સમજદારીભર્યા ખર્ચ અંગે કેટલીક વાતો, અથવા ટીપ્સ તરફ નજર કરીએ, તો સવારે બ્રશ કરતી વખતે બ્રશના બધા જ દાંતિયા ઉપર પેસ્ટ દબાવીને ચોપડવા કરતાં જરૂર પૂરતી પેસ્ટ કાઢીને બ્રશ ઉપર હાથેથી ફેલાવીએ, તો પેસ્ટ લગભગ એક અઠવાડિયું વધારે ચાલે છે. ન્હાવા માટે ગીઝર શરૂ કર્યા પછી, તમારા જોઈતા ટેમ્પરેચરનું પાણી ગરમ થઈ જાય, એના ટાઈમનું એક બે દિવસ ધ્યાન રાખો અને એને રોજ એકાદ મિનિટ ઘટાડતા જાઅો, જે લગભગ ત્રણ મિનિટ સુધી ઓછો કરી નાખો, જે તમારા મહિનાના લાઈટ બિલમાં ઓછામાં ઓછી પચાસ રૂપિયા સુધીની બચત કરાવશે. ઘરનો દરેક સભ્ય ન્હાયા પછી, સાબુ ફરીથી એના પ્લાસ્ટીક બકેટમાં મૂકે તો ઓછો ઓગળે છે, અને રોજ એવું કરવાથી સાબુ ઓછામાં ઓછા બે દિવસ વધારે ચાલે છે. સામાન્ય રીતે કામના સમયે પહેરવાનાં કપડાં, આપણે સારી બ્રાન્ડનાં અથવા વિષય પ્રમાણે કહીએ તો બીજાં કપડાંના પ્રમાણમાં, વધારે મોંઘાં હોય છે, તો જ્યારે આપણે કામથી પરત આવી જઈએ તરત એને બદલી ઘરે પહેરવાનાં સાદાં અને કંફર્ટેબલ કપડાં પહેરવાથી એમનુંયે આયુષ્ય વધશે. એ જ રીતે શૂઝને કાઢી તરત એના ઉપર સાદાં કપડાંથી ફટકો મારી દેવામાં આવે, તો એક દિવસ પોલીશ ઓછી કરવી અથવા કરાવવી પડે છે.

ઓહ …. !!! કેટલા બધા નુસખા. નાની નાની વાતો જેને તમારા મિત્રો કંજૂસાઈનું નામ આપી શકે છે, પણ દોસ્ત, આ હકીકતે જીવન જીવવાની કળા છે. ઉપરના ઉદાહરણને જમાના સાથે સરખાવું, તો એક સરકારી નિવૃત્ત અધિકારીને કશું કામ કર્યા વગર, મહિને સાડા નવ હજારથી લઈને સાડા ચૌદ હજાર જેટલી માતબર રકમ મળે છે, જે માત્ર એ વડીલને એમની અને એમની પત્ની પાછળ જ ખર્ચ કરવાની હોવા છતાં ઓછી પડે છે, જ્યારે એક યુવાન પોતાના ઘરથી પાંચસો, હજાર કે બે હજાર કિલોમિટર દૂર રહે છે. આખો દિવસ કામ, ધંધો અને મજૂરી કરે છે અને મહિને સાડા પાંચથી છ હજાર જેટલું કમાઈ લે છે. અને એમાંથી પોતાનું, પત્ની અને બે બાળકોનું ગુજરાન ચલાવ્યા પછી પણ, ગામડે મા-બાપને ગુજારા માટે કાંઈક મોકલે છે!!!! એ પણ ભાડાના ઘરમાં રહીને … !!!

સાચે જ કરકસર, કંજૂસાઈ અને આવડતની વચ્ચે ખૂબ જ પાતળી ભેદ રેખા હોવા છતાં, આપણે ક્યારે ય શું કરવું એ વિચારીને કશું કરતા નથી. કશુંક કરીને પછી હવે શું કરશું એવું વિચારીએ છીએ.

વિષયથી વેગળું :

ચિંતન શિબિર ભાજપની અને ચિંતા કોંગ્રેસની … !!!

e.mail : vimeshpandya@gmail.com

Loading

...102030...4,0714,0724,0734,074...4,0804,0904,100...

Search by

Opinion

  • પ્રજાએ હવે અસહમતિ અને વિરોધ વચ્ચેની ભેદરેખા પારખવી પડશે
  • ભારતમાં અઢળક રાજકીય પક્ષો સામે રાષ્ટ્રીય પક્ષો છ જ છે !
  • ચલા મુરારી હીરો બનને : ‘કોમેડિયન’ની ‘હીરો’ બનવાના સંઘર્ષની કહાની
  • ‘15, પાર્ક એવન્યુ’: ખોવાયેલા આશ્રયની શાશ્વત શોધ 
  • ચલ મન મુંબઈ નગરી —315

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved