Opinion Magazine
Number of visits: 9696885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બચપણ

ચન્દ્રેશ ઠાકોર|Poetry|28 November 2013

 

અાવ ભેરુ અાવ
મારા બચપણને પાછું તું લાવ
દોડતું ને કૂદતું ને ભોળું એ બચપણ ખિસ્સે ભરીને તું અાવ
વીતેલાં વર્ષોના લાગેલા થાકને ઉતારવાનો એ જ છે પડાવ
મારા બચપણને પાછું લઈ અાવ …

અાંબલીની ડાળીએથી કૂદકા ને હિંચકા એમાં થપ્પાના સંતાયા દાવ
માવડી બિચારી તો લગીરે ટેવાઈ નહીં જોઈ કોણી ને ઘૂંટણના ઘાવ
બાળેલું રૂ અને વહાલસોયો હાથ એ ખોવાયો કિંમતી સરપાવ
મારા બચપણને પાછું લઈ અાવ …

મબલખ કોઈ પાકની પરવા નો’તી જ્યાં મળતું એક છબછબ ખાબોચિયું
વીજળીનો વેગ જાણે પગમાં ઊભરતો જેવું તૂટતું’તું પેલું સાતોડિયું*
રમતી ગઈકાલ પર લાગેલી ધૂળને મારી તું ફૂંક એક હટાવ
મારા બચપણને પાછું તું લઈ અાવ …

રંગીન લખોટીઅો ને કોડીઅો ખખડતી સાંજ પડે વિસરાતા દાવ
મીઠ્ઠા એ ઝઘડા અને ઈટ્ટા-કિટ્ટાનો કોઈ કાયમનો નો’તો ઠરાવ
અાંટી અને ઘૂંટીમાં ડૂબ્યા અા જીવને અાટા અને પાટા સમજાવ
મારા બચપણને પાછું લઈ અાવ …

દોડતું ને કૂદતું ને ભોળું એ બચપણ ખિસ્સે ભરીને તું અાવ
અાવ ભેરુ અાવ
મારા બચપણને પાછું તું લઈ અાવ …

* નળિયાના સાત ટુકડાની ઢગલીને બૉલથી તોડવાની અને ફરીથી ગોઠવવાની રમત

(કવિનો તાજાતર કાવ્યસંગ્રહ : ‘મોસમનો મોડો વરસાદ’, પૃ. 127)

Loading

એક શાંતિ પ્રેમીની અલગારી રખડપટ્ટી

અાશા બૂચ|Opinion - Opinion|28 November 2013

૨૦અને ૨૧મી સપ્ટેમ્બરના, માન્ચેસ્ટરને આંગણે, શાંતિમય માર્ગે સંઘર્ષોનો નિકાલ લાવવામાં શ્રદ્ધા  ધરાવનારાં સજ્જનો-સન્નારીઓનું મિલન ગોઠવાયેલું. પહેલા દિવસની બપોરે લગભગ ત્રીસેક જિજ્ઞાસુઓએ સ્ટીવ રોમનની આગેવાની નીચે ઔદ્યોગિક ક્રાંતિના શ્રીગણેશ કરનાર આ શહેરની રાજકીય પ્રવૃત્તિઓ અને શાંતિ તથા સામાજિક ન્યાય ક્ષેત્રે થયેલી ચળવળોનો ઇતિહાસ સંગ્રહી બેઠેલાં પૂતળાં, મકાનો અને ગિરિજાઘરો જોવામાં વિતાવી. એમાંના કેટલાંક સ્થળોની માહિતી રસપ્રદ થઈ પડશે એમ માનું છું.

અમારી અલગારી રખડપટ્ટીની શરૂઆત UMISTને નામે ઓળખાતા વિસ્તારથી થઈ. માન્ચેસ્ટરમાં ઇ.સ.1824માં વિજ્ઞાન અને ટેકનોલોજીના નિષ્ણાતો દ્વારા શરૂ થયેલ મિકેનીક્સ ઇન્સ્ટિટ્યુટનો હેતુ કામદાર વર્ગના લોકોને મિકેનીક્સ અને રસાયણશાસ્ત્ર શીખવવાનો હતો. એ જ મકાનમાં 1868માં ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના થઈ જેનાથી મજૂર પક્ષના પાયા નખાયા. આજે તે Manchester University’s Institute of Science and Technology તરીકે જાણીતી છે.

બ્રિટનનો અને પશ્ચિમના દેશોનો ઇતિહાસ જાણનારાઓ 1930ની મંદીથી પરિચિત હશે. તે વખતની સરકારે ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ટેકો આપ્યો (આજે પણ એમ જ બને છે ને?) જેને કારણે લગભગ અઢી મીલિયન લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા, જેના વિરોધમાં લોકોએ સરઘસ કાઢ્યું તેને પોલિસે લાઠીમાર અને ફાયર હોઝથી કાબૂમાં લીધા હતા .. પ્રજા પરના આવા દમનનું સ્મૃિત ચિહ્ન પિકાડિલી ટ્રેઈન સ્ટેશન પાસે જોવા મળશે. એ હતો અમારો બીજો પડાવ. ઇ.સ.1930ની મંદીમાંથી બહાર આવવા માટે માન્ચેસ્ટરના તે સમયના મેયર સર જોહન પોટરે એક ગોળાકાર પુસ્તકાલય બંધાવ્યું, જે તમામ નાગરિકોને નિ:શુલ્ક સેવા આપનાર પ્રથમ પુસ્તકાલય હતું. આ કેન્દ્રીય પુસ્તકાલય યુનાઇટેડ કિંગ્ડમના મોટામાં મોટાં પુસ્તકાલયોમાંનું એક છે, જ્યાં થિયેટર કંપની પણ અદ્દભુત શો કરે છે. આ ઈમારત અને તેની અંદરનાં પુસ્તકોનો વૈભવ અચૂક જોવાલાયક છે.

૧૯મી સદીનાં મંડાણ થયાં તેવામાં, બ્રિટન અને આયર્લેન્ડના જમીનદારોને થતા નફાને રક્ષવા વિદેશથી આયાત થતી મકાઈ પર ભારે આયકર લાદવામાં આવ્યો, જેને પરિણામે લોકો અતિશય મોંઘી બ્રેડ ખરીદી ન શકતા અને ભૂખમરો વેઠતા થયા. આ કાયદાના વિરોધ માટેની ચળવળ ચલાવનારાઓ Free Trade Hallમાં એકઠા મળતા, તેથી એ ઈમારત પણ દર્શનીય ખરી કેમ કે ત્યાં ચાર્લ ડિકન્સ, ઓસ્કર વાઈલ્ડ અને બોબ દીલન જેવા માંધાતાઓની પધરામણી થયેલી. જો કે હવે ત્યાં એક ભવ્ય હોટેલ જોવા મળશે જેના પ્રવેશ દ્વાર પાસે માત્ર Free Trade Hallની ટૂંકી માહિતી આપી છે.

આ સ્થળ હજુ એક બીજી ઘટના માટે પણ મહત્ત્વનું છે. ઇંગ્લેન્ડની પ્રજાની યાતનાઓનો અંત હજુ નહોતો આવ્યો. નેપોલિયનની લડાઈ બાદ આ દેશમાં માત્ર ૨% લોકોને જ મતાધિકાર હતો જેનો શાંતિપૂર્ણ વિરોધ દર્શાવવા એકઠા મળેલા 60,000 જેટલાં નિ:શસ્ત્ર સ્ત્રી-પુરુષ-બાળકો પર લાઠી, તલવાર અને પિસ્તોલનો મારો ચલાવી, અઢારનાં જાન લીધા અને સેંકડોને ઘાયલ કરીને ક્રૂર રીતે વિખેર્યાં એ Peterloo Massacre’ તરીકે કુખ્યાત થયેલ સ્થળ Free Trade Hallથી બે ડગલાં જ દૂર છે.

આ ભ્રમણને અર્ધે રસ્તે અમારી સવારી એક બીજા યાદગાર સ્થળે આવી પહોંચી. ધ સોસાઇટી ઓફ ફ્રેન્ડસ અથવા કવેકર તરીકે જાણીતા થયેલ સંગઠન માટે ઇ.સ. 1828માં બંધાયેલ આ મકાનમાં બોઅરની લડાઈ વખતે દુનિયાના સૌ પ્રથમ કોન્સનટ્રેશન કેમ્પ વિષે ચર્ચા કરવા મિટીંગ મળેલી, જેના પ્રકાશન પછી યુદ્ધ દરમ્યાન ઊભા કરાતા કેમ્પની સ્થિતિમાં સુધારા દાખલ કરવામાં આવ્યા. માન્ચેસ્ટરમાં થયેલ પીટરલૂ હત્યાકાંડ સમયે ઘવાયેલાઓ અને જીવ બચાવવા નાસતા લોકો માટે, આ સ્થળ સલામતી આપનારું આશ્રય સ્થાન પુરવાર થયેલું. લગભગ બે સદીના ગાળા દરમ્યાન આ ઇમારત શાંતિ અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપતાં અનેક ભાષણો અને ચળવળોનું સાક્ષી રહ્યું છે.

નાગરિકોનાં વ્યક્તિ સ્વાતંત્ર્યની રક્ષા કરનાર અને લોકશાહીને વરેલ આ દેશમાં એકદા સરકાર અને ધાર્મિક વાડાઓએ અહીંના સામાન્ય પ્રજાજનોની જિંદગી દુ:ખદ બનાવેલી, એ માનવું મુશ્કેલ લાગે તેવું છે. આજે માન્ચેસ્ટરમાં સિનેગોગ, ગુરુદ્વારા, મંદિર, મસ્જિદ અને ચર્ચ આરામથી સહઅસ્તિત્વ ધરાવે છે. જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ 1829 પહેલાં રોમન કેથાલિક્સને ચર્ચ બાંધવાનો અધિકાર નહોતો અને છૂપા સ્થળે પ્રાર્થના કરવા ફરજ પડતી, તેવે સમયે શહેરના પછાત ગણાતા વિસ્તારમાં આરસની મૂર્તિઓ અને રંગીન કાચના સુશોભનવાળું સેન્ટ મેરી ચર્ચ (Hidden Gem) બંધાયું, જ્યાં રોમન કેથલિક્સને પ્રાર્થના કરવાની સુવિધા મળી, જે તે વખતના સમાજની સહિષ્ણુતાનું પ્રદર્શન કરે છે, તે ય જોયું.

આજે સ્ત્રીઓને લગભગ દરેક ક્ષેત્રમાં સમાનાધિકાર મળે છે એટલે તે વિનાનું જીવન કેવું હશે તે કલ્પવું મુશ્કેલ છે. 1870માં એલિયટ હાઉસ નામના મકાનમાં બેસતા સ્કૂલ બોર્ડની સૌ પ્રથમ મહિલા સભ્ય લીડિયા બેકરે સ્ત્રીઓના મતાધિકાર માટે પુષ્કળ કામ કરેલું જે છેક 1918માં સફળ થયું. એ જગ્યાએ આ ક્રાંતિકારી મહિલાને અને તેના અનુગામી ભગિની બેલડી સિલ્વિયા અને ક્રીસ્ટાબેલ પેંકહર્સ્ટ કે જેમણે સ્ત્રીઓના મતાધિકાર માટે અગ્ર ભાગ ભજવેલો, તેમને મૂક સલામ કરી આગળ વધ્યાં. 

કવેકરની માફક યુનીટેરિયન ચર્ચના અનુયાયીઓ ધાર્મિક અને સામાજિક સહિષ્ણુતા, શાંતિ અને ન્યાયના ચાહકો હતા. માન્ચેસ્ટરના તદ્દન મધ્યમાં 1694માં બંધાયેલ યુનીટેરિયન ચર્ચ આવેલું છે. ત્યાંના મીનીસ્ટરનાં પત્ની એલિઝાબેથ ગાસ્કલ ઔદ્યોગિક ક્રાંતિના સામાજિક અને આર્થિક પરિણામો આધારિત નવલિકાઓ લખવા માટે જાણીતાં છે. એમના લખાણની અસર ચાર્લ્સ ડાર્વિનના લખાણ જેટલી થયેલી એમ મનાય છે.

વાચકો કદાચ એમ વિચારી શકે કે ઉપર ઉલ્લેખ કર્યો છે એ કર્મશીલો, સંગઠનો અને ચળવળોને શાંતિ સાથે શો સીધો સંબંધ છે? તો હું એટલું જ કહીશ કે તેમાંના એક એક વ્યક્તિ અને સંગઠનોના કાર્યના દૂરગામી પરિણામો આજે આપણે ભોગવીએ છીએ. વાચક વર્ગમાંથી કોઈને ય માન્ચેસ્ટર આવવાનું થાય, તો આ સ્થળોની મુલાકાત લેવાનું મારું હાર્દિક આમંત્રણ છે.

e.mail : 71abuch@gmail.com

Loading

પવનકુમાર જૈન : ગતિ અને વિગતિનો કવિ

કનુ સૂચક|Opinion - Literature|27 November 2013

પવનકુમાર જૈનનું નામ સાંભળ્યું છે ? એ પ્રશ્નનો જવાબ ‘હા’ આપે તેવા થોડા માણસો જ મળે અને ક્યાંક ક્યાંક જ મળે. સાહિત્યમાં ક્યાંક ક્યાંક જેવા આ જણે તેણે ખેડેલા ક્ષેત્રોમાં પાડેલાં પગલાંએ કદાચ કેડી નથી બનાવી, પરંતુ પવનકુમારનાં એ પગલાંઓએ કોઈ ભૂંસી ન શકે તેવી અલગ છાપ પાડી છે. આ બેપરવા પગલાંઓ મરજી પ્રમાણે મસ્તીથી ચાલ્યાં છે. વામન લાગતાં એ પગલાં જોતજોતામાં અર્થના આકાશને અકળ શક્તિથી વાંભી લે છે. અજાયબી આનંદ બની આપણા સકળ માનસ અસ્તિત્વને આવરી લે છે. મુઠ્ઠી જેવી કંતાયેલી, કૌવત વગરની પવનની એકવડી કાયા જગતના બધાને જગ્યા આપવા સંકોચાતી રહી. પરંતુ તેના નામ પ્રમાણે કોઈ એક વિચારધારાની મુઠ્ઠીમાં જે ક્યારે પણ સપડાયો નહીં એવા પ્રવાહી પારા સમાન પવનકુમારને ઓળખના દાયરામાં મૂકવાનો આ ઉપક્રમ છે.

એ મિત્ર હતો ? પવન કોઈને મિત્ર કહે પહેલાં તે શબ્દની પરિભાષાના અંગોપાંગનું વિશ્લેષણ તેના મનમાં ચાલતું હશે જેથી તે કોઈની પણ સાથે અતિ નિકટ તો થઈ જ ન શકે. તેના વિષે લખતાં વાસ્તવની નજીક પહોંચવાનો પ્રયાસ જ કરી શકાય, સફળ થવાની આશા વગર જ. તેના જ શબ્દોમાં ‘મેં મૈત્રીને એના ઉત્તમોત્તમ કાળમાં જ અટકાવી દેવાનો પ્રયત્ન કર્યો.’  પવનને જેટલો જોયો છે, જાણ્યો છે અને અનુભવ્યો છે તે અંગે પૂર્ણ પ્રમાણિકતાથી પ્રયાસ કરું છું. તેમાં તેના અંગત જીવનના પાસાને પણ તેણે જે અમારી વચ્ચેની સાથે વાતચીતમાં જે કહેવાયું હોય તેને જ સ્પર્શ કરીશ. તેના સર્જનાત્મક પાસા તરફ નજર નાખતાં પણ પવનની દિશા પ્રાપ્ત થાય તે શંકાનો જ વિષય છે. આવા એક અનોખા વ્યક્તિત્વને ન સમજાય તેવું કહીને ગર્તામાં મૂકી ન દેવાય. પામવાની પ્રક્રિયામાં એવી અનુભૂતિ થાય કે ‘પવન સાચે જ આવો અનોખો હતો !’ તો પણ સંતોષ થશે.

પવન સાથે પરિચયની શરૂઆત ૧૯૯૩-૯૪માં કવિ લેખક સુધીરભાઈ દેસાઈએ કરાવ્યો. પવનનું નિવાસસ્થાન મારા નિવાસસ્થાનથી માત્ર પાંચ મિનિટમાં ચાલતાં પહોંચી જવાય એટલું જ. ‘સમય હોય તો થોડી વાર આવું ?’ કહી આવે અને કલાકો સુધી તેની સાથે વાતો થાય. વ્યાવહારિક જ્ઞાનમાં તેની અપરિપક્વ સમજ. સાહિત્યની સમજ ઘણી, પરંતુ તે સમજમાં અન્ય સમજ સાથે સમાધાનની તૈયારી બિલકુલ નહીં. આસવપ્રીતિ છોડ્યા પછીના તેના અનુભવની ગાથા રસપૂર્વક કહે અને તેમાં આ ગંભીર પ્રકૃતિના માણસની હાસ્યવૃત્તિ અદ્દભુત ખીલે. તમાકુની લત છૂટતાં વાર લાગી. એ આદત તો મને પણ હતી. ૨૦૦૨માં એક દિવસ નક્કી કરી મેં તે છોડ્યું. પછી સંત કબીરની જેમ ‘આદત આપણને નહીં પરંતુ આદતને આપણે ચોંટી રહીએ છીએ.’ તે કહેવાનો હક મળી ગયો. ઝડપથી નહીં પરંતુ ધીમે ધીમે તેણે પણ એક વધુ લતથી છુટકારો મેળવ્યો. મોડે  મોડે સિગારેટ પણ છોડી. ૯૩-૯૪માં પ્રખ્યાત નિર્ણાયકોની સેવાઓ લઈ કાવ્ય, વાર્તા, નિબંધ, બાળસાહિત્ય, નવલકથા વિગેરે સાહિત્ય પ્રકારોમાં છેલ્લાં ત્રણ વર્ષમાં અને પ્રથમ વખત પ્રગટ થયેલ પુસ્તકો માટે સ્પર્ધાનું આયોજન કર્યું. નિયમ મુજબ તો પ્રકાશિત થયેલ પુસ્તકોમાં જ પારિતોષિક માટે સ્વીકારી શકાય પરંતુ પવનકુમાર જૈને તેમની અપ્રકાશિત વાર્તાઓનો હસ્તલિખિત સંગ્રહ મોકલ્યો. સ્પર્ધાનો હેતુ તો પ્રથમ વખતના સાહિત્યકારોને પ્રોત્સાહન આપવાનો જ હતો એટલે તેમનો એ સંગ્રહ સ્પર્ધા માટે સ્વીકાર્યો. વાર્તાઓ વાંચી અને નિર્ણય સારો લીધો છે તેવું લાગ્યું. નિર્ણાયકોએ પણ તેને દ્વિતીય પારિતોષિક આપી પુષ્ટિ કરી. આ પછી એ વાર્તા સંગ્રહ છપાયો કે નહિ તે ખબર નથી.

આ સંગ્રહની એક વાર્તા ‘પીઠ્ઠું.’ સાહિત્ય સંસદની બેઠકમાં તેમણે વાંચી હતી. કવિતાઓ પણ તેમણે વાંચી હતી. ‘પીઠ્ઠું’ શીર્ષક જ વાર્તા વિષયને સ્પષ્ટ કરતું અને વિશિષ્ટ હતું. વાર્તાનો નાયક રાતની અંધારી એકલતા ચીરતો અંધારિયા પીઠ્ઠામાં પહોંચે છે. ત્યાં એક ટેબલ પાસે ખુરશી નાખી પીઠ્ઠાની માલિક સ્ત્રી અલિપ્ત એકલી, માત્ર નાના દીવાના અજવાળે દેખાતી છાયા જેવી, પાછળ જ તેનું નિવાસસ્થાન અને તેનો બંધ ઓરડો, વાર્તાનાયક જાણે છે કે ત્યાં મૃતજનની યાદમાં એક મીણબત્તી અરવ સળગ્યા કરે છે, જુદે જુદે ખૂણે દારૂ પીતા બેઠેલાં માણસો, માલકણ બાઈ પાસેથી બોટલ લઈ માણસોથી દૂર ખૂણો શોધી બેસી જતો વાર્તા નાયક મોડી રાતે ખાલી પીઠ્ઠાને છોડી અંધકારમાં ઓગળી જતી કથા છે.

લેખક ક્યારે પણ શબ્દ વેડફતો નથી. શબ્દ પણ દારૂમાં ઝબોળાઈ અંધારી એકલતામાં વાર્તાનાયકની જેમ જ ઓગળી જાય છે. સૂનમુન કરી મૂકે તેવી આ વાર્તાની કૃતિ, કર્તા તરફ ગતિ કરાવે પરંતુ માત્ર અનુભૂતિના સ્તર સુધી જ, સ્પર્શ તો ન જ કરી શકો ત્યાં પામવાની તો વાત જ કેવી ! અને હા, પવન જેવું જ અસ્તિત્વ પવનકુમાર જૈનનું છે. પવનનું  જે સર્જનાત્મક પ્રદાન તેનાં કાવ્યો અને વાર્તાઓમાં પ્રગટ થયું છે તે પ્રકાશિત થવા ખાતર નથી થયું. અનુભૂતિની તીવ્રતાએ તેને વિવશ કરેલ હશે. મારે પણ કંઈક કહેવું છે તેમ નહીં પણ જે વાસ્તવ છે તેની વાત સંકોચ વગર તીવ્રતાથી કહે છે. તે ભાષા અને અર્થનો વિનિયોગ અત્યંત કાળજીપૂર્વક કરે છે. અર્થવ્યંજનાનો બોધ કરવા પ્રતીકોના અને કલ્પનોના ઉપયોગમાં એની એ કાળજી વિશેષ દેખાઈ આવે છે. તેના સર્જનમાં પ્રગટ થતી વ્યંજના અનુભવના સહજમાંથી આવતી હોવાથી તેના પ્રતીકો દ્વિઅર્થી શબ્દોના પ્રયોગથી દૂર રહીને પણ તે સાધી શકે છે. અભિવ્યક્તિમાં પણ અતિરેક કે ડંખ વગર સત્ય તરફનો અભિગમ છે.

તેની કવિતામાં અંગત છે. સાહિત્ય તરફની સમજ છે. સામાજિક આક્રોશ છે. પર્યાવરણની ખેવના છે. વિલક્ષણ ભાવ છે. ભાવને વ્યક્ત કરવા વિચક્ષણ શબ્દ પ્રાયોજના છે. ગતિ પણ છે અને અટકાવની વિગતિ પણ છે. દુ:ખ છે. શમણાં જુએ છે અને તેનાથી ડરે પણ છે. મન દુભાયેલું છે પણ તેની જવાબદારી કોઈ પર ઢોળતો નથી. વિષમતાઓ તો પળેપળની અને ઉકેલ અધૂરાં તે તેનાં સર્જનનાં પાસાંઓ છે, જે જરા પણ પાસેદાર નથી. તેની થોડી કવિતાઓ અહીં મૂકીને તે સ્પષ્ટ કરીએ.

દારૂનો પ્યાલો

મુશ્કેલીઓનાં ધાડાં આવતાં જોઈ

હું કાચીંડાની જેમ રંગ નથી બદલી 

શકતો.

કાચબાની જેમ ઢાલ નીચે 

ડોક નથી છુપાવી શકતો,

(અને તેથી) દારૂના પ્યાલામાં 

ડૂબી મરું છું. 

આ ૧૯૭૫માં લખાયેલી કૃતિને અને અન્ય કોઈ પણ કૃતિને સર્જકના અંગત જીવન સાથે જોડવાનો ઉપક્રમ ન કરીએ તે જ યોગ્ય ગણાશે કારણ કે વ્યક્તિમાંથી સમષ્ટિમાં રચાતો સહૃદય સંસ્પર્શ જ સર્જનનો અંતિમ પડાવ હોય છે.

બીજી એક કૃતિ : 

શરમ-ભરમ

નભની ઝીણી ચાદર નીચે
સૂર્ય, ચંદ્રને ને નક્ષત્રો નાગાં,
નદી, ઝરણ ને દરિયો નાગાં,
પહાડ, કરાડ ને કોતર નાગાં,
હાથી, હરણ ને સસલાં નાગાં,
કાબર, કોયલ ને પારેવાં નાગાં,
કુત્તા, બિલ્લી, બંદર નાગાં,
સાપ, છછુંદર, વીંછી નાગાં,
મીન, મકર ને મેંઢક નાગાં,
જૂઈ, મોગરા, ગલગોટા નાગાં,
નારંગી, ટેટી ને તડબૂચ નાગાં,
ગાજર, મૂળા, રીંગણ નાગાં,
નજર કરો ત્યાં સહુએ નાગાં.
શરમ-ભરમ બસ
માનવમનમાં,
તેથી, એવો એ
પહેરે વાઘા.

આ કૃતિના લય આંદોલન અને આવર્તનથી મદારી ડુગડુગી વગાડતો વગાડતો ગાતો જતો હોય અને અંતમાં ચોટ આપતી અને અર્થબોધની પંક્તિઓથી સમાપન કરે છે. અભિધાથી વ્યંજના તરફની ગતિનું આ સરસ ઉદાહરણ છે.

પવનકુમારની કૃતિઓ અનેક સામયિકો પ્રગટ કરતાં રહેતાં. તે કૃતિઓ વિવેચકોનું ધ્યાન આકર્ષતી અને તે કૃતિ અને કવિને બિરદાવતી વિવેચના પણ થતી. તેમ છતાં વર્ષો પછી તેનો  ‘૬૫ કાવ્યો’નો સંગ્રહ લઈ ઘેર આવ્યો ત્યારે તે અત્યંત ખુશ હતો. તે પ્રગટ થયા પહેલાંની મથામણોની વિગતવાર વાત કરી કલાકો સુધી ગોષ્ઠી કરી. તેઓ જ્યાં ‘ગોવિંદ નિવાસ’ વિલેપાર્લેમાં રહેતા, તે ઘર તોડી નવું બનાવવાની વાત ચાલતી હતી. એટલે અવારનવાર તે અંગે સલાહ લેવા તે આવતો. અમે અમેરિકા જતાં હતાં ત્યારે પણ તે અંગે તે સલાહ લઈ ગયો. અમે પરત આવ્યાં તે પહેલાં જ તે મકાન અને પછી, દેહ છોડી, એ દોસ્ત ચાલી નીકળ્યો.

તેને મકાન કરતાં વધુ જે ચિંતા કોરતી રહી તે તેની વહાલી નાની બહેન લવલીના. તે માનસિક વિકલાંગ છે.  ‘૬૫ કાવ્યો’ના  સંગ્રહની ‘ચોપડી’  તેણે તેને જ અર્પણ કરી છે. સંગ્રહના ૧લા કાવ્યમાં પવન પોતાની વિકલાંગ નાની બહેનનાં હેતની વાત કરે છે અને પોતાના હેતને વાચા આપે છે.

‘વા’લીબેનનું હેત.’

પોતાનો ઘસાઈને ફાટી ગયેલો
ટુવાલ મને ભેટ આપતાં
મારી ભોળી બહેન પૂછે છે:
આ તમને હાથ-પગ લૂછવા
કામ લાગશે ને ?

અકિંચન શબરીના
એંઠા બોરની મીઠાશ
ઠેર ઠેર વેરાયેલી પડી છે.
જરા માણી જુઓ.
રામ બની જશો.

છેલ્લી ત્રણ પંક્તિઓમાં વાપરેલા વિરામચિહ્નોથી કૃતિને વિરામ મળ્યો છે તે પવનના ટૂંકા કાવ્યોની વિલક્ષણતા ઠેર ઠેર માણવા મળે છે. ‘કૂકડો ન બોલે તો પણ સવાર તો પડે જ પરંતુ સૂનુંસૂનું તો લાગશે ને!’ 

૨૪ જાન્યુઆરી ૧૯૪૭માં મુંબઈમાં જ જન્મ અને ૧૨ નવેમ્બર ૨૦૧૩માં મુંબઈમાં જ વિદાય લેનાર ભાઈ  પવનકુમાર જૈન તારા વગર સૂનું તો લાગે જ છે.

e.mail : kanubhai.suchak@gmail.com

Loading

...102030...4,0604,0614,0624,063...4,0704,0804,090...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved