Opinion Magazine
Number of visits: 9697128
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘લીસેસ્ટરમાંનું જૈન દેવસ્થાન’ − પત્રાચાર

મનસુખ શાહ અને વિપુલ કલ્યાણી|Opinion - Opinion|18 January 2014

 

 

ડૉ. રસેશભાઈ જમીનદાર નામે ઇતિહાસકારનો અા લઘુલેખ "કુમાર", જુલાઈ 2013ના અંકમાં પ્રસિદ્ધ થયો હતો. તેમાં ઠીક ઠીક હકીકતદોષો છે. અાપણા વિદ્વાન લેખકો, ભલા, કેમ અભ્યાસ અાધારે, સંશોધનમંડિત લેખ નહીં કરતા હોય ? − અાઘાતકારી બાબત છે. … ખેર ! − જૈન વિગતોના અભ્યાસી અને જાણકાર મનસુખભાઈ શાહ સંગાથે અા નીચે અાપ્યો કાગળ અૉગસ્ટ 2013 દરમિયાન "કુમાર"ને વીજળિક સંદેશાથી મોકલી અાપેલો. ફરીથી નવેમ્બર 2013 દરમિયાન અાંગળિયાત વાટે મોકલાયો અને, છેવટે, છેલ્લે અાપ્યો છે તેમ તે વિગત કાગળરૂપે "કુમાર"ના ડિસેમ્બર 2013ના અંકમાં પ્રગટ થયો છે. અા બધી વિધિને સારુ અશોકભાઈ કરણિયા, પંચમભાઈ શુક્લ તેમ જ વલ્લભભાઈ નાંઢાની સહૃદય સહાય સાંપડી છે. અમે દરેકના અાભારી છીએ.

 

07 અૉગસ્ટ 2013

ડૉ. ધીરુભાઈ પરીખ
તંત્રીશ્રી
“કુમાર”
કુમાર ટૃસ્ટ
1454, રાયપુર ચકલા,
પોલિસ ચોકીની પાછળ, બઉવાની પોળ સામે,
અમદાવાદ – 380 001
e.mail : kumartrust@gmail.com

 

અાદરણીય ધીરુભાઈ

“કુમાર”નો જુલાઈ 2013નો અંક મળ્યો. જોયો, વાંચ્યો. અાનંદ. અા અંકને 21મે પાને ડૉ. રસેશભાઈ જમીનદારનો લેખ લેવાયો છે તે વિશે અમારે કેટલીક નુક્તેચીની કરવી છે. ‘લીસેસ્ટરમાંનું જૈન દેવસ્થાન’ નામક અા લેખમાં સારા એવા હકીકતદોષો છે, જે “કુમાર”ની પ્રતિષ્ઠાને હચમચાવે છે.

અા શહેરને ‘લેસ્ટર’ કહેવામાં અાવે છે, ‘લીસેસ્ટર’ નહીં. ગુજરાતમાંથી અાટઅાટલી અાવનજાવન અા મુલકમાં થતી અાવી છે, ત્યારે અા ઉચ્ચારદોષ શોભાસ્પદ નથી. રૉમન સંસ્કૃિતની અસર ધરાવતું અા શહેર કોઈ પણ ઇતિહાસકારને માટે સવિશેષ વિદિત હોય, ત્યારે અા મુદ્દો તેવી સમજણને સખેદ ખોટી પાડી જાય છે.

લેખનું છેવટનું વાક્ય છે : ‘વિદેશમાં જૈનધર્મનું અા એકમાત્ર તીર્થસ્થાન છે.’ અાપણા અા વિદ્વાન ઇતિહાસવેત્તા અાવું અાઘાતકારી વિધાન કેમ કરી શકે ? અાજની ઘડીએ, માત્ર વિલાયતમાં જ, બૃહદ્દ લંડનના પરિસરમાં, એક બીજું જૈન ધર્મનું તીર્થસ્થાન છે. પોટર્સબાર વિસ્તારમાં અાવેલા અા દેરાસરની રચના, જામનગર જિલ્લામાંથી દાયકાઅો પહેલાં પરદેશ ગયેલી અોસવાળ સમાજની સંસ્થા હેઠળ, કરવામાં અાવી છે. શીખરબંધી અા જિનાલય દાયકા ઉપરાંતથી અસ્તિત્વમાં છે.

અાટલું અોછું હોય તેમ, પૂર્વ અાફ્રિકાના પૂર્વ કાઠે અાવેલા ઝાંઝીબાર ટાપુ પર, અંદાજે 1886માં, શીખરબંધી જૈન દેવસ્થાન રચાયેલું. બની શકે કે ભારત બહાર અા પહેલવહેલું જૈન ધર્મસ્થળ હોવાનું. પૂર્વ અાફ્રિકાના કેન્યા મુલકના બંદરી નગર મોમ્બાસામાં, કહે છે કે, સન 1936માં, વિશાળ જૈન દેરાસર બાંધવામાં અાવ્યું હતું. પૂર્વ અાફ્રિકાના બીજા મુલક ટાન્ઝાનિયાના તે વેળાના પાટનગર દારેસલ્લામમાં, ગઈ સદીના પાંચમા દાયકામાં, એક ભવ્ય જિનાલય બાંધવામાં અાવ્યું હતું. તદુપરાંત, કેન્યાના પાટનગર નૈરોબીમાંના તેમ થીકા નગર સહિતનાં જૈન દેવસ્થાનોની વાત નોંધ્યા વગર કેમ ચાલશે ?

અમેિરકામાં શિકાગો, લૉસ એન્જલસ, ટોરોન્ટો જેવા નગરોમાં જૈન દેવસ્થાનો છે જ છે. 1970ના અરસાથી, અમેિરકાના ન્યુ જર્સી રાજ્યમાં સિદ્ધાચલમ નામક જૈન ધર્મસ્થાન શોભાયમાન છે.

અા દરેક ધર્મસ્થાનક ભારતીય જૈન પરંપરા અનુસાર, શીખરબંધી સરસ કોતરણીથી, બાંધવામાં અાવ્યાં છે અને તે અનેક અનુયાયીઅો માટે યાત્રાનાં મથકો તો છે, પણ અનેક સહેલાણીઅો માટે જોવા લાયક મથકો હોવાનું પણ પૂરવાર થયું છે.

અારંભે, રસેશભાઈએ નોંધ્યું છે, ‘… પણ એશિયાખંડને અોળંગીને વિશ્વસ્તરે તો હિન્દુદેવસ્થાનનાં નિર્માણ એ તો હમણાંની ઘટના છે. સમકાલીન ઇતિહાસ છે. …’ સમકાલીન ઇતિહાસ પેટે ય અા સાચી હકીકત નથી જ નથી. મોઝામ્બિક, દક્ષિણ અાફ્રિકા, પૂર્વ અાફ્રિકાના જંગબાર ટાપુ સમેતાના વિસ્તારોમાં 19 અને 20મી સદીમાં કેટકેટલાં ભવ્ય મંદિરો બાંધવામાં અાવ્યાં છે, તે બધી જાણકારીથી લેખક અજાણ છે તે જાણીને અાઘાત લાગે છે. વળી, ટૃીનિદાદમાં જે અનેક મંદિરો બંધાયા છે તેને તમે ધ્યાન બહાર લઈ શકવાના જ નથી. અા મંદિરોનો ભવ્ય ઇતિહાસ છે.

અા વિષય પરત્વે ગુજરાતની કોઇક યુનિવર્સીટીના ઇતિહાસ વિભાગમાં જરૂરી સંશોધન કામ કરી, કરાવી નિબંધ / મહાનિબંધ લખી, લખાવી શકાય. અાશા રાખીએ કે ડાયસ્પોરાના અા ઇતિહાસ અંગે પંડિતો ઉદાસી અને ઉપેક્ષા નહીં સેવે !

અા લેખમાં બ્રિટિશ પૂર્વ વડા પ્રધાન જ્હોન મેજરની મુલાકાતનો હવાલો છે. કેમ એકનું જ નામ ? વિશ્વભરના દેવસ્થાનોમાં નાનામોટા રાજકારણીઅો તેમ જ શાસકો લોકમત મેળવવાને સારુ અાંટોફેરો કરતા અાવ્યા છે અને કરતા રહેવાના છે. તેવું તેવું અમારા મુલકમાં અત્રતત્ર થયા જ કરે છે. અાથી, રસેશભાઈ જમીનદાર સરીખા વિદ્વાન અા ઉલ્લેખને અહીં ટાળી શક્યા  હોત. … ખેર !

− મનસુખ શાહ
− વિપુલ કલ્યાણી

Loading

કોમી એખલાસ માટે જગલો, ભગલો કે રૂપલો — કોણ જવાબદાર ?

અાશા બૂચ|Samantar Gujarat - Samantar|15 January 2014

૨૦૧૪ની શરૂઆત થતાં જ ભારતમાં સામાન્ય ચૂંટણીનાં નગારાં વાગવાં માંડ્યાં છે, અને સહેજે નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સ્થાન ન મળે તે માટે તેમની વિરુદ્ધ ૨૦૦૨ના કોમી રમખાણો દરમ્યાનની તેમની બેજવાબદાર નીતિને આગળ ધરવામાં આવે છે, અને એ યોગ્ય જ છે. તે વિશેના આક્ષેપો-પ્રત્યાક્ષેપ સાંભળતા સહેજે વિચાર આવે કે સ્વતંત્રતા મળ્યાને ૬૫ વર્ષ થયાં, તો પણ હજુ કોમી એખલાસનો સૂરજ કાં ક્ષિતિજમાં ય ડોકાતો નથી ?

એક માન્યતા એવી છે કે પહેલાં હિન્દુ-મુસ્લિમ કોમ તો સંપીને રહેતી હતી, અંગ્રેજ શાસકોએ ‘ડીવાઈડ એન્ડ રૂલ’ની નીતિથી હિંદુ-મુસ્લિમોને અળગા પાડ્યા. એટલે જ તો જુઓને ૧૮૫૭માં કેવા ભેળા મળીને લડેલા ?

બીજી માન્યતા ધરાવનારની દલીલ એ છે કે નારે ના, અંગ્રેજો આવ્યા તે પહેલાંના, ૨૦૦ વર્ષના મુસ્લિમોનાં શાસન દરમ્યાન હિંદુઓ કેવા પ્રગતિ કરતા રહ્યા અને મુસલમાનો ક્યાં ય પછવાડે રહી ગયા તે અમથું બન્યું હશે ? આ બે કોમ વચ્ચેનું વૈમનસ્ય જોઈને જ અંગ્રેજોને પોતાના શાસનની લાકડીથી આ બે પાણીને જુદા કરવાની મજ્જો આવી ગઈ. એમાં અંગ્રેજોનો વાંક નથી.

એક મિનીટ, જરા થોભો અને મુસ્લિમ અને અંગ્રેજ શાસન દરમ્યાન શા માટે મુસ્લિમ પ્રજા જ બૌદ્ધિક અને આર્થિક ક્ષેત્રે પછાત રહી એ તો પૂછો. કદાચ ભારતમાં વસતા મોટા ભાગના મુસ્લિમો હિંદુ સમાજના ઉપેક્ષિત અને અવગણના પામેલ વંચિતો જ ધર્મ પરિવર્તન કરેલ હતા એટલે બંને ધર્મ તરફથી એમની ઘોર અવજ્ઞા થઈ હોય એવું તો નહીં બન્યું હોય ? કહેવાનો મતલબ એ છે કે સ્વતંત્રતા મેળવ્યા બાદ પણ બંને ધર્મનાં માળખાંમાં પોત પોતાના દેશમાં આર્થિક અને સામાજિક રીતે પ્રગતિની જાળમાંથી અવગતિની ઊંડી ગર્તામાં પડી ગયેલાને ઉઠાવવાની કોઈ જોગવાઈ નથી, નહીં તો હિંદુ બહુમતી ધરાવતા ભારત દેશમાં દલિતો તથા આદિવાસીઓ (જેનો ધર્મ હિંદુ છે છતાં) અને મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં ગરીબોનો (જેઓ ઇસ્લામ ધર્મ પાળે છે છતાં) ઉધ્ધાર છ છ દાયકાઓના સ્વ શાસન છતાં કેમ થયો નથી? એની પાછળ જે તે ધર્મની પોતાના જ અનુયાયીઓ પ્રત્યે અનુકંપાનો અભાવ કારણભૂત છે કે બંને દેશની અસમાન અર્થ વ્યવસ્થા, લાંચ-રૂશ્વતથી ખરડાયેલી રાજ્ય વ્યવસ્થા અને કહેવાતા ધર્મ અને આધુનિકતાના કોહવાટ વચ્ચે સડતી સમાજ વ્યવસ્થા જવાબદાર છે ?

ગુજરાતીના મૂર્ધન્ય સાહિત્યકાર, ઇતિહાસવિદ્દ અને અત્યંત સ્વચ્છ રાજનીતિજ્ઞ સ્વ. મનુભાઈ પંચોળીએ (દર્શક) કહેલું કે ઇતિહાસકારના બે મુખ્ય કર્તવ્ય છે, એક તો હકીકતોનું નિરૂપણ કરવું અને બીજું તેનું અર્થઘટન કરવું. મોગલ સામ્રાજ્ય દરમ્યાન હિંદુ-મુસ્લિમ કોમ વચ્ચે કેવો મનમેળ કે મનભેદ હતો અને બ્રિટિશ સામ્રાજ્ય દરમ્યાન એ બંનેમાં શાનો કેટલો વધારો-ઘટાડો થયો એ હકીકતનું ઐતિહાસિક સંશોધન થાય અને તેનું તટસ્થ રીતે વ્યાપક શિક્ષણ અપાય તો ભાગલા પહેલાં અને પછીની બે કોમ વચ્ચેના સંબંધો, ભાગલાના કારણો, વિભાજન કેવી રીતે કરવામાં આવ્યું તથા તેની રાજકીય અને સામાજિક અસરો વગેરે વિષે સ્પષ્ટ જ્ઞાન મળી શકે.

૨૦૦૨નાં ગુજરાતના કોમી રમખાણોથી હચમચી જઈને ગુજરાતની એક પનોતી પુત્રી અને સિદ્ધહસ્ત લેખિકા શરીફા વીજળીવાળાએ અખંડ હિન્દુસ્તાનના ભાગલા પાછળનાં કારણો અને ત્યારની પરિસ્થિતિ તથા તેની માત્ર રાજકીય જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃિતક ક્ષેત્રે થયેલી માઠી અસરો વિષે ખરું ચિત્ર ઉપસાવવા, આઠ વર્ષ સુધી ઐતિહાસિક પુરાવાઓનો અભ્યાસ કર્યો અને તેની સાથે સાથે મૌખિક ઇતિહાસ અને તે વખતે બનેલ ઘટનાઓ પરથી લખાયેલ કાલ્પનિક સાહિત્યનો પણ અભ્યાસ કર્યો, જેનું તારણ શરીફા વીજળીવાળાનાં જ શબ્દોમાં તાજેતરમાં “ભૂમિપુત્ર”ના અંકોમાં વાંચવા મળ્યું. થોડા વખતમાં વિભાજન વિષયક વાર્તાઓના અનુવાદો, તેના ઉપરથી લખાયેલ નવલકથાઓ અને ફિલ્મો વિશેના લેખો અને ભાગલાનો ભોગ બનેલા હિંદુ-મુસ્લિમ બંને કોમના લોકો વિષે વિચારનારા-લખનારા લોકોની મુલાકાતો વિશેનું પુસ્તક પ્રકાશિત થવામાં છે જેનું વાંચન રસપ્રદ થશે અને સરહદની આ પાર અને પેલી પારની આમ જનતાના ઘણા ખોટા ખ્યાલોનું નિરસન થશે તે નિ:શંક છે. એ અભ્યાસનો સારાંશ માત્ર વાંચવાથી સવાલ ઊઠ્યો કે ખરેખર અખંડ હિન્દુસ્તાનના ભાગલા પાછળ હિંદુ-મુસ્લિમ વચ્ચેનું સદીઓ જૂનું વૈમનસ્ય કારણભૂત હતું અને તેનો લાભ અંગ્રેજોએ ‘ભાગલા કરો અને રાજ કરો’ એ નીતિ અપનાવીને લીધો હોય એ હકીકત સાચી હોય તો પણ હવે તો એ વાતને પણ છ છ દાયકાઓના વહાણા વાઈ ગયાં.

રૂપલાએ તો આંખે પાટા બાંધીને જગલાના ઘરમાંથી જમીન, પર્વત, નદી-નાળાં, જંગલો, અરે ખેતર અને વ્યક્તિગત જાયદાદના આડેધડ ભાગલા કરી ભગલાને આપીને પાટલૂનનો પટ્ટો છૂટી જાય તે પહેલાં આબરૂ બચાવવા ચાલતી પકડી એ સમજ્યા. પણ બાપ અન્યાય કરીને પોતાના બે છોકરાને ધોલ-ધપાટ કરીને છુટ્ટા પાડે તો પછી એ બે ભાઈઓ સમજીને સમાધાન કરી એક થઈ જાય એમાં જ બંનેનું હિત છે ને? આમ ક્યાં સુધી જગલો અને ભગલો રૂપલાને હિંદુ-મુસ્લિમ વચ્ચેની તિરાડ માટે જવાબદાર ઠેરવ્યા કરીને પોતે એ માટેનો શાંતિમય ઉપાય શોધવાની જવાબદારીમાંથી છટકી જશે? હજુ કેટલી પેઢીઓને હિંદુ-મુસ્લિમ રમખાણોની પીડા ભોગવવાની રહેશે? વાચકો કદાચ જાણતા હશે કે પાકિસ્તાનમાં હિંદુ-મુસ્લિમ રમખાણોની સંખ્યા નહીંવત છે એટલે ખરું પૂછો તો ભારતે જ આ બાબતને પ્રાથમિકતા આપવાની રહે છે.

જે કોઈ પક્ષ આ પ્રશ્નનો શાંતિપૂર્ણ ન્યાયી ઉકેલ બે વર્ષમાં આપવાનું વચન આપે તેને ચૂંટવો અને જો એ વચનભંગ કરે તો તરત બીજાને ગાદીએ બેસાડવો એ જ ખરો રસ્તો દેખાય છે. હવે રૂપલો (બ્રિટન) જગલાને (ભારતને) ભગલાએ (પાકિસ્તાને) પચાવી પાડેલ કાશ્મીરનો ભાગ જતો કરી, શાંતિ કરારો કરીને પાળવા માટે સમજાવવા નહીં આવે, એ કામ આ બે દેશના વડાઓએ જ કરવાનું છે. એનાથી પણ મોટી વાતતો દેશની અંદર બે કોમ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો વિકસે એ મોટું કામ કરવાનું છે.

બોલો, એને માટે કોંગ્રેસ તૈયાર છે કે બી.જે.પી?

e.mail : 71abuch@gmail.com

Loading

એ તો એમ જ ચાલે !

હરનિશ જાની|Opinion - Opinion|15 January 2014

અમેરિકામાં મોટર કાર જમણી બાજુ દોડે છે. ભારતમાં બધી બાજુ દોડે છે. ડાબી બાજુ દોડતાં વાહનોની સામે પણ ટ્રાફિક આવતો હોય છે. જેની કોઈને નવાઈ નથી. કાયદેસર દોડતાં વાહનોને સામેનાં વાહનોની કાયમ અપેક્ષા હોય છે. ઈન્ડિયામાં બધે – બધાં જ ક્ષેત્રોમાં – આમ જ બનતું હોય છે. ફોરેનરને હંમેશાં આપણે ત્યાં દોડતાં વાહનોને જોઈને અચરજ થાય છે કે બે વાહનો અથડાતાં કેમ નથી? મને કહેતા ગૌરવ થાય છે કે મારી પચાસ દિવસની મુસાફરીમાં મેં પાંચ શહેરનો ટ્રાફિક જોયો છે. દરરોજ કારમાં બેઠો છું. પરંતુ મોટો અકસ્માત એકે જોયો નથી. એકવાર મારા મિત્રની કાર બીજાની કાર સાથે હુંસાતુંસીમાં ઘસડાઈ હતી. બન્નેમાંથી કોઈ ઊભું રહ્યું નહોતું. કારણ કે બન્ને કાર ચાલી શકતી હતી. અને બન્ને પાસે વાદ વિવાદનો સમય નહોતો. અને મોટો અકસ્માત થાય તો ય શું ? જો  આપણે જીવતા હોઇએ તો ભૂલ કબૂલવાની નહીં. ભૂલ હંમેશાં સામાવાળાની જ હોય છે. અને એ વાતની બન્ને ડ્રાયવરોને ખબર હોય છે. અને પોલિસને પણ ખબર હોય છે.

આપણે ધ્યાનથી જોઇએ તો આ ટ્રાફિક આખા દેશનું નાનું મોડેલ છે. જો ઈન્ડિયાનું રાજતંત્ર સમજવું હોય તો ટ્રાફિકને બરાબર સમજવાનો. દેશના બધાં જ ક્ષેત્રમાં બને છે તેમ. એકાદ ગાંધી ભક્ત કાયદાનું પાલન કરવા જાય તો તે આખી સિસ્ટમને અપસેટ કરી નાખે છે. અને એક્સિડન્ટ ઊભો કરે છે. તેમ અહીં જો એક્સિડન્ટ કરવો હોય તો જ બીજાનો વિચાર કરી કાયદેસર કાર ચલાવવી. આગલી સીટ પર બેસીને મેં જે જોયું છે, તે એ કે સરસ અને સરળ રીતે કાર કે મોટર સાયકલ ચલાવવી હોય તો બીજાની ચિંતા છોડી દેવાની. આપણે કાંઈ આદર્શ નાગરિક બનવા નથી નીકળ્યા. ખાલી જગ્યા દેખાતી હોય ત્યાં ઘુસી જવાનું અને તમારાથી નબળાને દબાવવાનો. નબળાનો અર્થ તમારાથી નાનું વાહન. અને મોટું વાહન હોય છતાં સ્પીડમાં ન જતું હોય તે. જો સર્કલ પર હો તો – જો ડર ગયા વોહ મર ગયા–ના નિયમ મુજબ આગળ વધ્યે જાવ. બાજુમાંથી ભલેને મોટું વાહન આવતું હોય. એને કયાંક જલદી જવાની ઉતાવળ છે ? એટલે એને તમારા વાહન જોડે અથડાવાનું ન પોષાય. એટલે એ વાહન ઊભું રહેશે અને તમને જવા દેશે. જો તમે સ્કુટર પર હો તો એક પગ ઘસડતાં ઘસડતાં જતા રહેવાનું. આપણે એટલું જ યાદ રાખવાનું કે આપણે આગળ વધીએ છીએ કે નહીં !

લાકડી લઈને પોલિસ ઊભો હોય ને લાકડી ઊંચી રાખી હોય તો તેના હાથ નીચેથી નીકળી જવાનું. એ આપણને મારવા માટે નથી રાખી, પરંતુ જો ગાયો એ સર્કલમાં આવી જાય તો પ્રેમથી એને રસ્તાની કોરે મુકી દેવા માટે છે. પોલિસની બીજી જવાબદારી છે, આપણી કોર્ટોનો બોજો હલકો કરવાનો. ટ્રાફિક વાયોલેશનના કેસોનો ત્યાં જ ફેંસલો આપી દેવાનો. પેલા વાહન ચાલકને કાયદા ભંગ માટે ત્યાંને ત્યાં દંડ કરવાનો અને દંડ વસૂલ કરી લેવાનો. આપણી કોર્ટોમાં પંદર પંદર –વીસ વીસ વરસના કેસ પડ્યા છે. આ ટ્રાફિકના મામૂલી કેસનો તેમાં ઉમેરો કરીને દેશના ન્યાયતંત્રનો બોજો નહીં વધારવાનો. આપણા ટ્રાફિકમાં ડાર્વિનનો નિયમ લાગુ પડે છે, –  ‘સરવાયવલ ઓફ ધ ફિટેસ્ટ.’ મોટું પ્રાણી નાનાં પ્રાણીને ખાઈ જાય. એકદમ જમણી લેઈનમાં બસ કે ટ્રક, હોન્ડા કે ટોયોટાને અથવા તો મોટર સાયકલ પરના જહોન અબ્રાહમને જવા દેવાના. તેઓ આલ્ટો, નેનોની દરકાર પણ નહીં કરે. દ્વિચક્રી વાહનોએ ચતુર્ચક્રીથી દૂર રહેવામાં જ માલ છે. પછીની ઊતરતી કક્ષામાં પોતાની સીટ પર બેઠા બેઠા પગથી સિગ્નલ કરતા ઓટો રિક્સાવાળાઓ આવે અને છેલ્લે માથા પર ઓઢણી લપેટેલી સ્કુટર સવાર કોલેજ કન્યાઓ.

આપણે જો ધ્યાનથી જોઇએ તો આ કન્યાઓની ઓઢણીની જુદી જુદી ફેશન ચાલુ થઈ છે. મને ચોક્કસ ખાતરી છે કે છોકરીઓ પોલિસને એ દુપટ્ટા માથાની હેલમેટમાં ખપાવતી હશે. અને પોલિસ એનો વાંધો ન લેતી હોય કારણ કે એક્સિડન્ટ ટાણે માથે પાટો બાંધવામાં એ દુપટ્ટો કામ લાગે. મને વિચાર આવે છે કે જો કોઈ છોકરો આવો દુપટ્ટો વીંટે તો પોલિસ એને રોકે કે ના રોકે?  આપણો ટ્રાફિક તો જાણે યુદ્ધમાં આગળ વધતી સેના. જમણી બાજુ ઐરાવત, પછી અશ્વો, પછી પાયદળ. આ સ્કુટરવાળી કન્યાઓ તે પાયદળ. ટોયોટા, હોન્ડા બધા રથ. આ લશ્કરની ખૂબી એ છે કે તેમણે અંદરો અંદર લઢવાનું હોય છે.

હવે દેશમાં આ જ ટ્રાફિકના નિયમો બધે લાગુ પડે છે. સ્કૂલ– કોલેજમાં એડમિશન લેવું છે. માર્કસ ઓછા છે. તો ગભરાવાનું નહીં. કોઈ સત્તાધારીની ઓથે ભરાવાનું. નહીં તો ડોનેશન કરો. એ જ આદર્શ વસ્તુ છે. તમારે ગેરકાયદેસર રાઈટ ટર્ન મારવો છે. તો મોટા વાહનની ઓથે ભરાઈ જાવ. જોઇએ તો પોલિસને માગે તેનાથી અડધું ડોનેશન આપી દેવાનું. પરદેશની જેમ જો આપણે રેડ લાઈટને માન આપીએ તો ટ્રાફિક કેટલો વધી જાય? પછી આપણા ટૃાફિક પોલિસોની નોકરીનું શું?  તમારે મકાન બનાવવું છે. બનાવી દો. મરજી પ્રમાણે માળ બનાવો. જેટલી જમીન દબાવવી હોય તેટલી દબાવો. ત્યાં પણ ટ્રાફિક પોલિસો જેવા સરકારી કર્મચારીઓ છે. અને એમને પણ ખબર છે કે ડોનેશન કેવી રીતે લેવાનું. આમ કોઈ બનેલું બિલ્ડીંગ તોડે ખરું? એ તો એમ જ ચાલે ! ભારતમાં કેટલી ય ગેરકાયદેસર કાર્ય પધ્ધતિઓ છે કે જે વરસોથી ચાલી આવી છે. તમારે મકાન ખરીદવું છે. તો બ્લેકના પૈસા આપો. હવે આ સત્ય દેશનો દરેક નાગરિક અને સરકારી કર્મચારી જાણે છે. મોટર બાઈક પર વગર હેલમેટે છ જણથી ન બેસાય એ પણ બધા જાણે છે. એટલે મઝા એ છે કે હવે આપણને શું કાયદેસર અને શું ગેરકાયદેસર એનું જ્ઞાન જ નથી. આપણે ત્યાં  ગેરકાયદેસર રીતો જ કાયદેસર બની ગઈ છે. એ તો એમ જ ચાલે !

તમને કાર આવડે કે ન આવડે લાયસન્સ મળી જાય. જો તમને એરોપ્લેનમાં બેસતાં ચક્કર ન ચઢતા હોય તો પછી પાયલોટનું લાયસન્સ જ કઢાવી લેવાનું. થોડું ડોનેશન કરવું પડે મારા ભાઈ ! પછી દુનિયા કી સેર કર લો. તમારે આઈસ્ક્રીમ ખાવો છે. બીજાની ચિંતા કર્યા સિવાય કાર આઈસ્ક્રીમ પાર્લર પાસે ઊભી કરી દો. બીજા વાહનો તમારી આજુબાજુથી જશે. અને હોર્ન શેને માટે આપ્યા છે? એ લોકો હોર્ન વગાડશે. આમ તો તેઓને હોર્નની ટેવ હોય છે જ. હું માનું છું કે હોર્ન તો વગાડવા જ  જોઇએ. એથી ડ્રાયવરનો સ્ટ્રેસ દૂર થાય છે. જો હોર્ન ન હોય તો બધાએ ગાળાગાળી કરવી પડે અને એ પછી મારામારીનું સ્વરૂપ પકડે. તો પછી ટ્રાફિક પોલિસનું કામ વધી જાય. યુરોપ અને અમેરિકામાં કોઈ હોર્ન નથી વગાડતું. મને લાગે છે કે આથી અમેરિકાના મોટા શહેરોમાં ડ્રાયવરો વચ્ચે ગોળીબારના બનાવો બને છે. જયારે આપણે ત્યાં હોર્ન વગાડવાના કારણે કોઈ મર્યું નથી. મને તો લાગતું કે ડ્રાયવરો આ હોર્ન દ્વારા એક મેક સાથે વાતો કરે છે. ‘એય જલદી ચલાવ.’ ‘પેલો તારો કાકો હટે તો ને!’ ‘એ ઓટો, અહીં કયાં ભરાય છે?’ ‘સાલો અભણ દેશ છે. આ મોટરબાઈકવાળો એના બાપનો રસ્તો સમજે છે.’ ‘મારી બાઈક આ બે કાર વચ્ચેથી લઈ લઉં. સાલી લેડિઝ ડ્રાયવરો ‘. ‘આ બાયલો ધીમો ધીમો કેમ જાય છે?’ ‘ઓ ભાઈ. હું નવો ડ્રાયવર છું. મારાથી બચો.’ હવે આવી વાતો એકમેક જોડે કરવી પડે તો ? આપણે ત્યાં પણ ધારિયાં ઊછળે ! એના કરતાં હોર્ન વગાડવા સારા.

કોણ કહે છે કે આપણે ગાંધી બાપુને ભૂલી ગયા છીએ. તેમની જેમ આપણે પણ કાયદા ભંગમાં માનીએ છીએ. આ ટ્રાફિકના કેટ કેટલાય કાયદા બન્યા હશે. જમણી બાજુ વાહન નહીં ચલાવવાનું, કાયદાનો ભંગ કરો. ‘એ તો ચાલે’. સીટ બેલ્ટ બાંધવો જોઇએ ‘કાયદા કી એસી તેસી.’ ‘એ તો ચાલે.’ તમે રેલવે ફાટક પરનો ટ્રાફિક તો જોયો જ હશે. કોઈ ફોરેનર જુએ તો એને ચિંતા થાય કે ફાટક ખૂલશે તો બન્ને બાજુ પર સૈન્યો સામ સામે આવી ગયા છે. તો ટ્રાફિક કેવી રીતે આગળ વધશે? કોણ પકડવાનું છે.? અને આ વાત બધા જ ક્ષેત્રમાં છે. અને એક રીતે જોઇએ તો તેમ ચાલે પણ છે.

સદીઓથી ગુલામ રહેલી પ્રજાને ખબર જ નથી કે આઝાદીનો અર્થ જવાબદારી છે. આમાં હોસ્પિટલો, સ્કૂલો, અરે, આર્મી સુધ્ધાં આ ગેરકાયદેસર–કાયદેસર વાતોમાં ફસાયું છે. વીસ ત્રીસ વરસથી જાત જાતના આર્મીના કૌભાંડો બહાર આવે છે. એ દેશ માટે અશુભ છે. તકલાદી શસ્ત્રોથી આપણું સૈન્ય સજ્જ છે. હવે આ વાત મારા જેવા ડોબાને ખબર છે. તો તમે માનો છો કે ચીનને ખબર નહીં હોય ?

(April 15th, 2012)

4, Pleasant Drive, Yardville. NJ 08620, U.S.A.

email –harnishjani5@gmail.co

ચિત્રાંકન સૌજન્ય : મહેન્દ્ર શાહ

Loading

...102030...4,0454,0464,0474,048...4,0604,0704,080...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved