Opinion Magazine
Number of visits: 9696445
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુકુલ સિંહાની વિદાય : સંઘર્ષના સાથી ગયા, સવાયા ગુજરાતી ગયા

જિજ્ઞેશ મેવાણી|Samantar Gujarat - Samantar|12 July 2014


અખિલ જિંદગી જેણે પીડ પરાઈ જાણી હોય એવા ભેખધારી ગાંધીવાદી વૈષ્ણવજનો, દલિતોની કલેજા ચીરતી ભયકથાઓ ટાણે અડીખમ ઊભેલા આંબેડકરવાદીઓ અને જેનું જીવનલક્ષ્ય 'દુનિયા કે મજદૂર એક હો'ના નારાને બુલંદ કરવામાં વીત્યું એવા ડાબેરી સંઘર્ષવીરો – આવા અનેક કર્મશીલો દેશ આઝાદ થયાના છ દાયકા દરમિયાન ગુજરાતને મળ્યા અને પોતપોતાની વિચારધારા મુજબ લડયા. પણ, આઝાદીના આ અધૂરા જંગમાં, જેણે પોતાની કર્મશીલતા થકી પોતાને માટે એવું જોખમ ઊભું કર્યું હોય કે ગુજરાતની રાજસત્તા ગમે ત્યારે જાનથી મારી શકે અને એ જોખમની વચ્ચે પણ એ વ્યક્તિ અણનમ માથું બનીને સતત લડતી રહી હોય તો કદાચ એ એક જ 'જન સંઘર્ષ મંચ'ના જોરાવર કર્મશીલ ડો. મુકુલ સિંહા. નરેન્દ્ર મોદી સામે લડનારો સૌથી મહત્ત્વનો યોદ્ધો. ફેફસાંના કેન્સરની બીમારી સામે ઝઝૂમીને ૧૨ મે ૨૦૧૪ના રોજ આપણા આ બાહોશ સાથીનું અવસાન થયું. રાજસત્તાને હચમચાવી નાખવાનું ગજુ ધરાવતો આ માણસ મૂળ છત્તીસગઢના બિલાસપુરનો, પણ જીવ્યો સવાયો ગુજરાતી બનીને. જિંદગીના ૩૦ વરસ સુધી ડો. મુકુલ સિંહાએ જે રીતે ગુજરાતનાં વંચિતો, શોષિતો, પીડિતો માટે અવિરત સંઘર્ષ કર્યો, તેનો જોટો જડવો મુશ્કેલ છે.

ટાંટિયા ઊંચા હોય અને મોં સંડાસના મરઘામાં હોય એવી મુદ્રામાં નિર્દોષ મુસ્લિમ યુવકોને બર્બર રીતે મારનારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના કોઈ હિન્દુ પોલીસ અધિકારીએ એન્કાઉન્ટરની લપેટથી બચવા દરગાહ પર જઈ દુઆ કરવાનો વારો આવે એવી સ્થિતિનું નિર્માણ કરવું એ મુકુલ સિંહાનું યોગદાન. મુકુલભાઈ અને 'જન સંઘર્ષ મંચ' ૨૦૦૨થી ૨૦૧૪માં આવો જડબેસલાક ફેર પાડી શક્યા છે. નરોડા પાટિયા હત્યાકાંડ, નરોડા ગામ હત્યાકાંડ, નાણાવટી કમિશનમાં મોદીની ઉલટતપાસની માગણી, પોટાના કેસો, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર, તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર, ઈશરત જહાં એન્કાઉન્ટર, સાદિક જમાલ એન્કાઉન્ટર – આ તમામ લડતોના કેન્દ્રમાં અને ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી અમિત શાહે ત્રણ મહિના જેલમાં કાઢવા પડયા એના મૂળમાં પણ ક્યાંક ને ક્યાંક 'જન સંઘર્ષ મંચ' અને મુકુલ સિંહા છે.

કાનપુર આઈ.આઈ.ટી.માંથી ૧૯૭૧માં ગોલ્ડમેડલ જીતી, ગ્રેજ્યુએટ થયેલ મુકુલ સિન્હા ૧૯૭૩માં અમદાવાદની પી.આર.એલ.(ફિઝિકલ રિચર્સ લેબોરેટરી)માં ભૌતિકશાસ્ત્રી તરીકે જોડાયા અને પ્લાઝ્મા ફિઝિક્સ પર ડોક્ટરેટ કર્યું. એ ભૌતિકશાસ્ત્રીમાંથી એક્ટિવિસ્ટ અને પછીથી એડવોકેટ બન્યા, એના મૂળમાં પી.આર.એલ.ના સિક્યુરિટી ગાર્ડની રોજીરોટીનો સવાલ. પી.આર.એલ.ના સિક્યુરિટી ગાર્ડે પોતાના અધિકારો માટે યુનિયન બનાવ્યું એ જોઈને સંસ્થાએ તમામ કર્મચારીઓ પાસેથી એવું લેખિત લેવાનું ચાલુ કર્યું કે તેઓ ક્યારે ય યુનિયનમાં નહીં જોડાય. મુકુલભાઈએ ધરાર કહી દીધું, યુનિયનમાં નહીં જ જોડાઉં એવી બાંહેધરી ના આપું. પરિણામસ્વરૂપ પી.આર.એલ.માંથી એમને પાણીચું પકડાવી દેવામાં આવ્યું. બસ એ જ ક્ષણથી કર્મચારીઓ-કામદારોના યુનિયન એ એમની જિંદગીનું અભિન્ન અંગ બની ગયા. પી.આર.એલ.માં વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓનું યુનિયન બનાવી એમણે ટ્રેડ યુનિયનિસ્ટ તરીકે પદાર્પણ કર્યું અને બીજી તરફ કોર્ટમાં પોતાનો કેસ દાખલ કર્યોં. ધારાશાસ્ત્રી ગિરીશ પટેલ મુકુલભાઈનો કેસ લડે. ૯ વરસ સુધી કેસ ચાલ્યો. સુપ્રીમ કોર્ટ સુધી મેટર ગઈ. સુપ્રીમના જજે મુકુલભાઈને પૂછેલું – વોટ અ સાયન્ટિસ્ટ હેઝ ટૂ ડૂ વીથ લેબર યુનિયન (વિજ્ઞાનીને લેબર યુનિયન સાથે શું લેવા દેવા). મુકુલભાઈ ઘણીવાર અમને કહેતા કે પી.આર.એલ.નો કોઈ સાયન્ટિસ્ટ ઈન્કલાબ ઝિંદાબાદ કે લાલ સલામ બોલે એ વાત જ પેલા જજને હજમ થતી નહોતી … એ પછી મુકુલભાઈ પોતે વકીલ બની ગયા. એ વાતને આજે અઢી દાયકા થયા. આ અઢી દાયકા દરમિયાન મુકુલભાઈએ ઘણી કંપનીઓ, સંસ્થાઓ, મિલો-કારખાનાઓના માલિકો સામે યુનિયન બનાવીને લડત આપી. હજ્જારો ઝૂંપડાવાસીઓ માટે ઝઝૂમ્યા. માનવાધિકાર ભંગના સેંકડો કેસો ઉપાડયા. અનેક જાહેર હિતની અરજીઓ કરી.

પ્રત્યેક કેસમાં સેંકડોથી લઈને હજ્જારો શ્રમજીવીઓ અને સામાન્ય માણસના અસ્તિત્ત્વ અને રોજી-રોટીનો સવાલ જોડાયેલો હોય. પણ, એક ટ્રેડ યુનિયનિસ્ટ અને સિવિલ રાઈટ્સ એક્ટિવિસ્ટ તરીકેની અઢી દાયકાની આટલી સજ્જડ કર્મશીલતા પછી પણ એમના વિરોધીઓ એમને 'મિંયાઓના વકીલ' તરીકે ઓળખાવે છે, એના પરથી જ સમજી શકાય કે ૨૦૦૨થી ૨૦૧૪ દરમિયાન નરેન્દ્ર મોદીની કોમવાદી રાજનીતિ સામે એમણે કેવી જડબેસલાક ફાઈટ આપી છે.  

૨૦૦૨ના મુદ્દે, મુકુલભાઈના કામની શરૂઆત આ રીતે થઈ ઃ કેટલાંક વરસ પહેલાં, મુકુલભાઈ “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” એમ્પ્લોઈઝ યુનિયનનો કેસ લડતા. આ યુનિયનના એક મેમ્બર – સલીમભાઈએ ૨૮ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ મુકુલભાઈને ફોન પર જાણ કરી કે, બાપુનગરમાં લોકોના જાનને ખતરો છે. વી.એચ.પી. જ્યારે જ્યારે બંધ કોલ આપે ત્યારે કંઈક ધમાલ તો થતી જ હોય – એ અનુભવને લીધે મુકુલભાઈનાં પત્ની  અને જન સંઘર્ષ મંચના કર્મશીલ નિર્ઝરીબહેને તાબડતોબ સલીમભાઈ જોડે અમદાવાદના પોલીસ કમિશનર પર મેઈલ કરાવ્યો. સલીમભાઈને મેઈલ કરતાં આવડે નહીં, તો મુકુલભાઈ અને નિર્ઝરીબહેને ટેલિફોન પર મેઈલ કરતાં શીખવાડયું અને એ રીતે અમદાવાદ પોલીસ કમિશનરને વાતની જાણ કરી, જેમાં બાપુનગરમાં ઊભી થઈ રહેલી ભયજનક સ્થિતિની વાત હતી. જાહેરજીવનમાં  સક્રિય લોકો શહેરમાં આકાર લઈ રહેલી પરિસ્થિતિથી વાકેફ થાય એ માટે જન સંઘર્ષ મંચ દ્વારા આ ઈ-મેઈલ બધે સરક્યુલેટ કરવામાં આવ્યો. અસરગ્રસ્ત વિસ્તારના કોઈ વ્યક્તિ દ્વારા સરક્યુલેટ થયેલો એ પ્રથમ ઈમેઈલ હતો. મુકુલભાઈના કામની શરૂઆત અહીંથી જ થઈ – રાઈટ ફ્રોમ ધી ડે વન. ૨૮ ફેબ્રુઆરીના રોજ ગોમતીપુર વિસ્તારના સલાટ નગરની ઝૂંપડપટ્ટીમાંથી મુકુલભાઈ પર ફોન ઉપર ફોન આવવા માંડયા, ત્યાંના મુસ્લિમોના જાનને ખતરો હતો. એ દિવસોમાં જન સંઘર્ષ મંચ સલાટનગરની ઝૂંપડપટ્ટી ન તૂટે એ માટે લડત આપી રહ્યું હતું. માહોલ ભયંકર હતો. વી.એચ.પી.ના કેટલાક કાર્યકરો પોલીસની ગાડીમાંથી પેટ્રોલ કાઢી, તમામ ઝૂંપડા ફૂંકી મારવાની તૈયારીમાં હતા. આ યોજનાની જાણ થઈ કે તરત જન સંઘર્ષ મંચના મોહન બુંદેલા અને સાયરાબહેન નામનાં બે કાર્યકરોને મુકુલભાઈએ ત્યાં મોકલ્યા અને એમણે તાબડતોબ આખી વસ્તી ખાલી કરાવી બધાને રેલ્વેલાઈન ફરતે દોડાવી મૂક્યા. આખી વસ્તી જીવ બચાવીને નાઠી અને રેલવે લાઈનની પેરેલલ દોડતાં રહીને કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચી, ત્યાં રાત કાઢી. ઝૂંપડપટ્ટીના રહીશો રેલવે સ્ટેશન પર ભાગી ગયા બાદ, ભગવાબ્રિગેડે સલાટનગરની આખી ઝૂંપડપટ્ટીને આગ ચાંપી દીધેલી. જો, જન સંઘર્ષ મંચના કાર્યકરો દોડીને ન ગયા હોત તો કદાચ નરોડા પાટિયા જેવી મોટી હોનારત બની ગઈ હોત.

મુકુલભાઈ કહેતા – આમ પહેલા બે-ત્રણ દિવસ તો ફાયર-બ્રિગેડની જેમ જ કામ કર્યું, જ્યાં જેના ફોન આવ્યા ત્યાં દોડયા. પણ આ બધાની વચ્ચે મુખ્યમંત્રીનું પેલું નિવેદન – એકશનનું રિએક્શન તો આવે જ ને – અમારા મનમાં ચાલ્યા કરતું હતું. મોદીએ જેવું કીધું કે આ તો એક કોમ દ્વારા બીજી કોમ પર એક પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપ થયેલો આતંકવાદી હુમલો છે, આ તો એક્શનનું રિએક્શન છે – ત્યારથી જ અમને મોદીની રાજનીતિ સમજાવા માંડી હતી. અમને સમજાયું કે બે કોમ વચ્ચે ઊભા થઈ રહેલા આ વિભાજનના મૂળમાં જે રાજનીતિ છે, એની સામે તો લડી જ લેવું પડે.

સૌથી પહેલાં જરૂર હતી ગોધરાની ઘટના કેમ બની એ જાણવાની. ફેક્ટ-ફાઈન્ડીંગ માટે જન સંઘર્ષ મંચના ચાર સભ્યો – મુકુલ સિંહા, નિર્ઝરી સિંહા, અમરીષ પટેલ અને વિષ્ણુભાઈ કદમે એપ્રિલમાં ગોધરાની મુલાકાત લીધી. એટલે ગોધરા પહોંચી તેમણે એસ-૬ કોચ જોયો, આખું ઘટનાસ્થળ જોયું, સિગ્નલ ફળિયા અને આસપાસના વિસ્તારના સ્થાનિક લોકોને મળ્યા, કેટલાક એક્ટિવિસ્ટોને મળ્યા અને ખાસ તો મૌલવી ઉમરજી – જેમને મુખ્ય સૂત્રધાર ઘોષિત કરી જેલમાં નાખી દેવામાં આવેલા – એમના પરિવારની મુલાકાત લીધી. ત્યાં સુધીમાં નાણાવટી-શાહ કમિશનની રચના થઈ ચૂકી હતી. એટલે મુકુલભાઈએ નક્કી કર્યું કે જન સંઘર્ષ મંચ એમાં હાજર થશે. એ વખતે એન.જી.ઓ.ના કેટલાક લોકો એમને સમજાવવા ગયેલા કે તમે તો જાણો જ છો કે આવા કમિશનોની રચના કેમ થતી હોય છે, તો પછી શું કામ એમાં હાજર થવાનું વિચારો છો, તમે એમાં ભાગ ન લેતા .. પણ મુકુલભાઈ કહેતા  – હું બહુ ક્લિઅર હતો કે આ બુઠ્ઠી ડેમોક્રેસીમાં જે કોઈ માધ્યમ મળે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી ગોધરાનું સત્ય બહાર લાવવું જોઈએ અને એમાં રાજ્ય સરકારની શી ભૂમિકા હતી એનો શક્ય એટલો પર્દાફાશ કરવો જોઈએ. એટલે, જન સંઘર્ષ મંચના એડવોકેટ અમરીષ પટેલ દ્વારા નાણાવટી-શાહ કમિશનમાં ગુજરાતમાં સર્વપ્રથમ સોગંદનામુ કરવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું કે ઉપલબ્ધ રેકોર્ડ, નોંધાયેલા તમામ નિવેદનો અને પ્રાથમિક પોલીસ-તપાસમાં ક્યાં ય એવું જણાતું નથી કે આ ઘટના કોઈ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપ બની છે, અને એટલે જ આ ઘટનાનું સંપૂર્ણ સત્ય બહાર આવવું જોઈએ. ત્યારથી લઈને આજ દિન સુધીમાં નાણાવટી કમિશનમાં એક પછી એક હકીકતો રેકોર્ડ પર લાવી, કમિશનના તારણોને પડકારી, સાક્ષીઓ અને આરોપીઓનું ક્રોસ એક્ઝામિનેશન કરી મુકુલભાઈ દ્વારા આખી ઘટનામાં મુખ્યમંત્રી અને એમના સાગરિતોની શી ભૂમિકા હતી તે, અને ગોધરાની ટ્રેન કોઈ ર્પૂ્વ આયોજિત આતંકવાદી કાવતરાના ભાગરૂપ નથી સળગાવવામાં આવી એનું એક કોમ્પ્રિહેન્સિવ (વ્યાપક) ચિત્ર બહાર લાવવામાં આવ્યું છે. મુકુલભાઈ દ્વારા 'જન સંઘર્ષ મંચ'વતી નાણાવટી -કમિશનમાં ભાગ લેવામાં આવ્યો ન હોત, તો રાજ્ય સરકારની આ ભૂમિકા આ હદે બેનકાબ ક્યારે ય ન થઈ શકી હોત.

મુકુલભાઈ મુસ્લિમ સમાજનો ખૂબ પ્રેમ જીતી શક્યા એના મૂળમાં રમખાણો અને એન્કાઉન્ટરના કેસો ઉપરાંત પોટાના કાળા કાયદા સામે તેમણે આપેલી લડતનો પણ ખૂબ મોટો ફાળો છે. લાશોની રાજનીતિ રમીને સત્તા પર આવેલા મુખ્યમંત્રીએ ૨૦૦૩ની આસપાસ પોતાની વિકૃત રાજનીતિને આગળ ધપાવવા એક તરફ વિકાસના ગુબ્બારા છોડવાનું ચાલુ કર્યું અને બીજી તરફ પોટાના કાળા કાયદાનો ઉપયોગ કરી હિન્દુ અને મુસ્લિમ બંને સમાજમાં દહેશતનો માહોલ ફેલાવવાનું ચાલુ કર્યું. મુસ્લિમ મહોલ્લામાં ઠેરઠેર આતંકવાદીઓ છે અને જ્યાં સુધી હું હિન્દુ હૃદય સમ્રાટ સત્તા પર છું ત્યાં સુધી જ તમે સુરક્ષિત છો – એવી રાજનીતિના ભાગરૂપ નિર્દોષ મુસ્લિમ યુવકોને પકડી પકડીને પોટાના કાયદા નીચે જેલમાં નાખી દેવાનું ચાલુ થયું. મોદીના ઈશારે કામ કરતાં દાઢીમાં હાથ નાખવાનો શોખ ધરાવતા પોલીસવાળાઓની એક સિન્ડીકેટ દ્વારા નાનામોટા ગુનાઓમાં સંડોવાયેલા અને ક્યારેક તો સદંતર નિર્દોષ હોય એવા મુસ્લિમોને પોટાના કાળા કાયદા નીચે અંદર કરી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં એમની ખાલ ઉધેડી, એમની પાસેથી કન્ફેશનલ સ્ટેટમેન્ટ લેવાનું ચાલુ થયું, જેમાં એમણે થર્ડ ડિગ્રી ટોર્ચરમાં કબૂલાત કરી હોય કે – હા, હું આતંકવાદી છું. કાલુપુરમાં પટ્ટા વેચતા કોઈ મુસ્લિમ છોકરાને અચાનક એક દિવસ ક્રાઈમ બ્રાન્ચવાળા ઊંચકીને લઈ જાય અને અઠવાડિયા પછી જાહેર કરવામાં આવે કે ફલાણી જગ્યાએથી આતંકવાદી પકડાયો. ક્રાઈમ બ્રાન્ચે પાળેલા બાતમીદારોની એક આખી ફોજ પોટામાં પકડાયેલા મુસ્લિમોના પરિવારજનો પર વોચ રાખતી. એ દિવસોમાં મુસ્લિમ સમાજમાં એટલો ખૌફ હતો કે કાલુપુર-દરિયાપુરમાંથી જેને ઉઠાવી ગયા હોય એવા મુસ્લિમ યુવાનનું ઘર બતાવવા એના આડોશી-પાડોશી પણ તૈયાર નહોતા થતા. રાતના અઢી વાગ્યે જઈને પોલીસવાળા ઘરની સાંકડો ખખડાવીને બૂમ મારતા – એ મિંયાઓ ઘરમાં કોઈ આતંકવાદી તો નથી ને. હાથ-પગના આંગળા છૂંદવા, નખ ઉખાડી નાખવાનો પ્રયત્ન કરવો, નગ્ન કરીને મારવા, ઈલેક્ટ્રીક શોક આપવા, ગુપ્તાંગો પર લાતો મારવી, સંડાસના મરઘામાં મોં ઘાલીને ફટકારવા – આવી વૈવિધ્યપૂર્ણ બર્બર-કલાઓ અજમાવવામાં આવતી. આતંકના આ દોરમાં જન સંઘર્ષ મંચ અને મુકુલભાઈ એમની પડખે અડીખમ રહ્યાં. અમદાવાદના મુસ્લિમ સમાજને એ દિવસોમાં એટલી તો ખબર હતી કે ક્રાઈમ બ્રાન્ચવાળા ઘરમાંથી કોઈને લઈ જાય તો વી.એસ. હોસ્પિટલ જોડે ૧૦૪-મહારાણા કોમ્પલેક્ષ પહોંચી જવું, ત્યાં મુકુલ સિંહા નામનો એક માણસ છે, એ અને એમની ટીમ તમારા માટે લડશે.

૨૦૦૭-૦૮માં હું પહેલવહેલા મુકુલભાઈના સંપર્કમાં આવ્યો અને 'જન સંઘર્ષ મંચ'ની અમારી ઓફિસની મુલાકાત લીધી ત્યારે કરીમીચાચા અને બીજા પોટાના પીડિત પરિવારોની જે કથની સાંભળેલી એ દ્રશ્ય આજે ય મને ભૂલાતું નથી, તમને કાફ્કાસ ચેમ્બર(કાફ્કાની કોટડી)માંથી બહાર આવ્યા હોય એવી ધોંસ અનુભવાતી .. જેની પોટામાં ધરપકડ થઈ હોય એનું ઘર બતાવવા પાડોશી પણ તૈયાર નહોતા એવી સ્થિતિમાં જન સંઘર્ષ મંચના કાર્યકર અને રિલાયન્સના કામદારોના યુનિયન લીડર  ભરતસિંહ ઝાલાએ છાતી દેખાડી. આ લખનારે પોટાના એ પીડિત પરિવારોને એમ કહેતા સાંભળ્યા છે કે ભરતસિંહ ઝાલા સિવાય કોઈના બાપમાં તાકાત નહોતી કે એ દિવસોમાં અમારી જોડે ખભેથી ખભો મિલાવીને લડે, અમારાં નજીકનાં સગાં પણ અમારા મહોલ્લામાં આવતાં ફફડતાં હતાં. જન સંઘર્ષ મંચે એમની લડત ઉપાડી. કાયદાકીય મદદ કરવાથી લઈને ભા.જ.પ. અને કોંગ્રેસ બંને સામે રેલીઓ અને ધરણાં કરવા સુધી, જેના પગલે પોટા રિવ્યુ કમિટિની રચના કરવામાં આવી અને આગળ જતાં આ કાળો કાયદો રદ કરવામાં આવ્યો. સ્ટેટ- સ્પોન્સર્ડ ટેરરીઝમ (રાજ્યપ્રેરિત આતંકવાદ ) ટાણે સ્ટેટ સામે એના જ કાયદાથી લડવું એટલે શું એનો વાસ્તવિક ખ્યાલ ત્યારે જ આવે જ્યારે જન સંઘર્ષ મંચ, ભરતસિંહ ઝાલા અને મુકુલ સિંહાના સહકાર વિશે પોટાના પીડિત-પરિવારો પાસેથી એમની આપવીતી સાંભળી હોય. માણસના મેટલની કસોટી આવા વખતે જ થતી હોય છે. આવી કસોટીઓમાં જન સંઘર્ષ મંચની ટીમ પાર ઊતરી છે, થેંક્સ ટૂ મુકુલ સિંહા ..

આવા ભરતસિંહ ઝાલાઓ તૈયાર કર્યા એ મુકુલ સિંહાનું યોગદાન. ભરતભાઈ કહે છે – મુકુલભાઈ ના હોત તો હું કાં રિલાયન્સના કોઈક મેનેજરને ચપ્પુ મારીને જેલમાં ગયો હોત કાં રિલાયન્સમાં મજૂરી કરતો હોત … આ જ રીતે ૧૯૯૮માં પૂર્વ અમદાવાદના મેમ્કો વિસ્તારમાં આવેલી લુબિ ઈલેકટ્રિકલ કંપનીમાં લઘુતમ વેતનની માગણીને લઈને પડેલી હડતાલમાં કામદારો પર ફેક્ટરીના મેનેજર અને તેના સાગરિતો દ્વારા ફાઈરીંગ કરવામાં આવ્યું, જેમાં રસ્તે જનારા એક રાહદારીનું મોત થયું. પણ આ સંઘર્ષમાંથી રમેશ શ્રીવાસ્તવ નામનો કર્મશીલ નીકળ્યો .. લુબિના મજૂરિયામાંથી રમેશ શ્રીવાસ્તવનું એક કર્મશીલ તરીકે એટલું ઘડતર થયું છે કે રમેશભાઈએ ઈંટભઠ્ઠાના ઓછામાં ઓછા એકાદ લાખ મજૂરોને લઘુતમ વેતન અપાવ્યું હશે … આવા રમેશ શ્રીવાસ્તવો તૈયાર કર્યાં એ મુકુલ સિંહાનું યોગદાન .. ગ્રોફેટ કંપનીની લડાઈમાંથી મળ્યા એડવોકેટ રાજેશ માંકડ અને ગુજરાત સ્ટીલ ટયૂબની લડાઈમાંથી મળ્યા વિષ્ણુ કદમ .. પણ મુકુલભાઈએ તૈયાર કરેલો સૌથી મજબૂત સાથી એટલે અમરિષ પટેલ. ગુજરાતમાં મજદૂરોનો એમના જેવો કાબેલ વકીલ આજની તારીખે મળે એમ નથી. મુકુલભાઈ નથી, પણ જન સંઘર્ષ મંચ નામની વિરાસત મૂકતા ગયા છે, લડતનો સ્પિરિટ મૂકતા ગયા છે એ પણ એક મોટું આશ્વાસન છે.  

દેશમાં મુકુલભાઈ કરતાં પણ વધારે હોનહાર વકીલો હશે, પણ એવું કયું પરિબળ છે કે સરકાર જ્યારે રાહુલ શર્મા અને રજનીશ રાયની બોચી પકડે છે ત્યારે તેઓ પણ પોતાનો કેસ લઈને કોઈ જેઠમલાણીને બદલે મુકુલ સિન્હા પાસે જાય છે. આ પરિબળ છે – જે પણ મુદ્દો હાથ પર લઈએ એને એના તાર્કિક અંજામ સુધી લઈ જવાની નેમ અને  એ માટે ક્યારે ય માલિકવર્ગ કે રાજસત્તા સાથે સમાધાન નહીં કરવાની અડીખમ ઈન્ટેગ્રીટી અને જવલ્લે જ જોવા મળે એવો ફાઈટીંગ સ્પિરિટ. આજે જન સંઘર્ષ મંચનું જે ઘડતર થયું છે, એનો શ્રેય મુકુલભાઈએ આપેલી આ વેલ્યુને જાય છે. 

૨૦૦૨માં છાપાના જે પત્રકારો મોદીને બુચર ઓફ ગુજરાત કહેતા હતા એમાંથી કેટલાક આજે મોદીને ફ્યુચર ઓફ ગુજરાત કહેતા થયા છે, કોંગ્રેસે અસંખ્ય વખત ભા.જ.પ. સાથે મિલીભગતો કરી છે, સી.બી.આઈ.એ સેટીંગો પાડયા છે, સરકારી બાબુઓ મૌન રહ્યા છે, સિવિલ સોસાયટી અનેક વેળા સુષુપ્ત રહી છે, પણ આ બધાની વચ્ચે મુકુલભાઈનો ફાઈટીંગ સ્પિરિટ અકબંધ રહેલો .. આ ફાઈટીંગ સ્પિરિટ ને લીધે જ, તમામ જગ્યાએ ધમપછાડા માર્યા પછી પણ જો વાત ન બનતી હોય ત્યારે ગુજરાતના ખૂણેખાંચરેથી લોકો મુકુલભાઈ પાસે આવતા .. બધાને એવું હતું કે આ એક માણસ છે, જે મોદી સામેની ગમે તેવી મેટર હશે, એમાં પડશે અને છેક સુધી લડશે … આ જ વિશ્વાસને કારણે પાલનપુરના સાથી ઈશાક મરડિયા પુરુષોત્તમ સોલંકીના ૪૦૦ કરોડના ફીશરીઝ સ્કેમનો કેસ લઈને મુકુલભાઈ પાસે આવેલા .. આ કેસમાં પણ મુકુલભાઈ પુરુષોત્તમ સોલંકીના માથે લટકતી તલવાર મૂકતા ગયા છે. 

રમખાણો અને એન્કાઉન્ટરોના કેસોની અદાલતી લડાઈ ઉપરાંત, ૨૦૦૨ના દિવસોમાં ભા.જ.પ.ના ગઢ સમા મહેસાણામાં મુસ્લિમો અને પટેલોની એક જાહેરસભા યોજવી, હમ સબ એક હૈ – આ નારા સાથે ૨૦૦૨માં મે-દિવસ નિમિત્તે બંને કોમના શ્રમજીવીઓની એક જંગી રેલી કાઢવી, નેશનલ કોન્ફરન્સ અગેઈન્સ્ટ ફાસિઝમનું આયોજન કરવું, દેશના જુદા જુદા રાજ્યોમાં કોમવાદ અને ફાસીવાદ સામે થયેલા કાર્યક્રમો અને કોન્ફરન્સિસમાં ભાગ લેવો, ૨૦૦૨ની ઘટનાના પાંચ વરસ નિમિત્તે પાંચ હજાર માણસની એક જંગી રેલી કાઢવી, હિન્દુ-મુસ્લિમ એકતાના સંનિષ્ઠ પ્રયત્નો કરવા, અમેરિકાની મેસોચ્યૂટ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના આમંત્રણને પગલે ગ્રુપ વાયોલન્સ, ટેરરીઝમ એન્ડ ઈમ્પ્યુનિટી ઃ ચેલેન્જીસ ટૂ સેક્યુલરિઝમ એન્ડ રુલ ઓફ લો – આ  વિષય પર પેપર રજૂ કરવું, મોદીની સદ્દભાવના – નૌટંકી સામે રમખાણ પીડિતોની એક સાચી સદ્દભાવના સભા યોજવી, સંગઠનની ધાક વાપરી ક્રાઈમ બ્રાન્ચમાં ખોટી રીતે ઊઠાવી ગયેલા કોઈ મુસ્લિમ યુવકને છોડાવી લાવવો એવી અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. પરંતુ આ જ મુસ્લિમ સમાજે ચૂંટણીના રાજકારણમાં મુકુલભાઈને જાકારો આપ્યો એ બાદ પણ એમના સ્પિરિટને જરીકે અસર થઈ નહોતી. મુકુલભાઈએ એન.એન. પટેલ અને પોતાના સાથીઓ સાથે મળીને ઊભી કરેલી 'ન્યૂ સોશ્યિાલિસ્ટ મૂવમેન્ટ' (નવી સમાજવાદી ચળવળ) પાર્ટી તરફથી ૨૦૦૪ની વિધાનસભા ચૂંટણીમાં શાહપુરમાંથી ઝંપલાવ્યું અને તેમને અઢીસો વોટ મળ્યા તો પણ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં સાબરમતી મતક્ષેત્રમાંથી લડતા તેમને જરીકે સંકોચ થતો નહોતો.

તેમની ફિલસૂફી સાફ હતી – આપણે તો વિચારધારાની વાત કરવા ચૂંટણી લડીએ છીએ, વોટની પરવા શું લેવા કરવી .. મરતે મરતે ગુજરાત મેં લેફ્ટ આઈડીયોલોજિ કા એક પૌંધા તો લગાતા જાઉં – આ વાક્ય તેઓ ઘણીવાર કહેતા. તેઓ કહેતા – ફાસીવાદી તાકતો કે ખિલાફ યદી સચ મુચ કોઈ લડ શકતા હૈ તો વહ હૈ સર્વહારા, મજદૂર વર્ગ. આજના વૈશ્વિકીકરણના દોરમાં જ્યારે મજદૂર યુનિયન પ્રવત્તિ સૌથી તેજ થવી જોઈતી હતી તેના બદલે સાવ મૃતપ્રાય અવસ્થામાં પહોંચી છે ત્યારે મુકુલભાઈએ સાથી એન.એન. પટેલ સાથે મળીને ઊભા કરેલા 'ગુજરાત મજદૂર સભા' અને 'ગુજરાત ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયન્સ' એક ખૂણો પકડીને પ્રતિબદ્ધતા સાથે મજદૂર વર્ગ માટે લડતા રહ્યા છે એ નાનીસૂની વાત નથી. એક પણ વરસની ગાપચી માર્યા વગર, છેક ૧૯૮૧થી ૨૦૧૪ સુધી, આ ટ્રેડ યુનિયનો દ્વારા મે દિવસની રેલીઓ કાઢવામાં આવી છે અને સર્વહારા ઝિંદાબાદના નારાને બુલંદ રાખવામાં આવ્યો છે. અમદાવાદના નરોડા, ઓઢવ, વટવા કે બાવળાના ચાંગોદર જી.આઈ.ડી.સી. યુનિટ્સમાં મુકુલ સિંહાનું નામ સાંભળ્યું હોય એવા કામદારો નીકળે, નીકળે ને નીકળે જ .. એકવાર મારા ઘરે કન્સ્ટ્રક્શનનું નાનુ મોટું કામ ચાલતું હતું. એક મજૂર સળિયા વાળતો બેઠો હતો. મેં એનું બેકગ્રાઉન્ડ પૂછયું તેણે જણાવ્યું કે એક કંપનીમાં કામ કરતો હતો, યુનિયન બનાવેલું પછી માલિકે કાઢી મૂક્યા, હજુ કોરટ-કચેરીમાં કેસ ચાલે છે. મેં કહ્યું વકીલની જરૂર હોય તો કહેજો, અમે લોકો પણ યુનિયન ચલાવીએ છીએ .. તેણે કહ્યું – અમારે વકીલની કોઈ જરૂર નથી, અમારી જોડે મુકુલ સિંહા નામના એક જોરદાર વકીલ છે … હું હસી પડયો .. લુબી કંપનીનો એ કામદાર હતો..

કેન્સરનું નિદાન થયું એ પૂર્વે તેમણે જે ખૂબ મોટું કામ કર્યું તે એ કે મણિપુરમાં આફસ્પા (આર્મ્ડ ફોર્સિસ સ્પેિશયલ પાવર્સ એક્ટ) નામના કાળા કાયદા હેઠળ જે નિર્દોષોને બનાવટી એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવેલા તેમની વિધવા પત્નીઓના એસોસિયેશન વતી મુકુલભાઈ મણિપુરની કોર્ટમાં જઈને એક અઠવાડિયું બરાબરની ઊલટ તપાસ કરી આવેલા, જેના પરિણામે મિલીટરીના કર્નલ કક્ષાના ડઝનબંધ અધિકારીઓ બનાવટી એન્કાઉન્ટરના મામલામાં જેલ ભેગા થવાના છે. મુકુલભાઈએ પણ કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ થઈ અને કોર્ટમાં જવાનું બંધ થયું ત્યારથી છેલ્લો શ્વાસ લીધો ત્યાં સુધી વાઈબ્રન્ટ ગુજરાતની કોમવાદી-ફાસીવાદી રાજનીતિ અને વિકાસના પોકળ દાવાઓનો પર્દાફાશ કરતી 'ટ્રૂથ ઓફ ગુજરાત' નામની વેબસાઈટ માટે દોઢસો આર્ટિકલ લખ્યા .. એક બાજુ કેમોથેરાપિની ડ્રગ્સ બોડીમાં જતી હોય અને બીજી બાજુ છાતી પર લેપટોપ મૂકીને મુકુલભાઈ લખ્યે જતા હોય, આ સિલસિલો લગભગ આખરી દિવસો સુધી ચાલ્યો.

ચારેક વરસના મારા સંપર્ક દરમિયાન અનેક રેલીઓ, ધરણામાં અમે જોડે ભાગ લીધો, એના આયોજનો કર્યાં, સાથે સંબોધનો કર્યાં, પણ એમના હાથની મચ્છી ખાવાની રહી ગઈ. ઉત્તમ કક્ષાની ચા અને મચ્છી એ મોદી સામે લડવા જેટલા જ એમના રસના વિષય હતા. રાત્રે કોઈકવાર મોડા સુધી એમના ઘરે રોકાયા હોઈએ તો ઉઘાડી છાતી અને નીચે લૂંગી વિંટાળી આપણને ચા બનાવી પીવડાવે … મેં એકવાર પૂછયું કે – કાકા, લેનિનને ક્યા કહા થા ….. તેમણે પોતાના મજાકિયા સ્વભાવ મુજબ કહ્યું – સબસે ઈમ્પોર્ટન્ટ બાદ જો લેનિનને કહી વો યે કી ધેર કાન્ટ બી રેવોલ્યુશન વિધાઉટ વોડકા … વોડકા દારુ પીધા વગર ક્રાંતિ ન થઈ શકે. બોલ ક્યા ખયાલ હૈ ..

જૂનાં ગીતોના શોખીન હતા એટલું જ નહીં, પોતે ક્યારેક કવિતાઓ પણ લખી નાખતા .. ૧૯૯૩માં વિનય-ચારુલ સાથે મળીને તેમણે લખેલું ગીત – ચાહે ગીતા કહો, ચાહે કહ લો કુરાન, અપના જીવન સંભાલ, અપના દુ:ખ પહચાન – અનેક કાર્યક્રમોમાં ગવાતું રહ્યું છે … "શ્રમની કૂખે જનમ લીધો છે મજદૂર છે એનું નામ, શોષણની બેડીને તોડી રહ્યો છે મજદૂર છે એનું નામ" એ પણ મુકુલભાઈ લખેલું સુંદર કાવ્ય છે .. મૂળ અંગ્રેજીમાં આ કવિતા લખ્યા બાદ પત્ની નિર્ઝરીબહેનને ભર ઊંઘમાંથી અડધી રાતે ઊઠાડી એનો ગુજરાતી અનુવાદ કરાવેલો એવું નિર્ઝરીબહેન મુકુલભાઈની શ્રદ્ધાંજલિ સભાના આયોજન માટે અમારો જન સંઘર્ષ મંચનો પરિવાર મળેલો ત્યારે અમને કહેલું. મજદૂર વર્ગ માટેનાં બે ગીતો – 'એક ઓર જહાં મુમકિન હૈ' અને પાકિસ્તાની સીંગરનું – 'મેં ભી એક ઈન્સાન હૂં' એમના પ્રિય ગીતો હતાં. અમરિષભાઈ કહે છે – અવસાનના ચાર દિવસ પહેલાં મુકુલભાઈ, હું, નિર્ઝરી કાકી અને (મુકુલભાઈનો પુત્ર) પ્રતિક – 'જીવન સે ભરી તેરી આંખે, મદહોશ કરે જીને કે લિએ …' સાથે ગાતાં હતાં .. છેલ્લા ૨ દિવસ મુકુલભાઈ વેન્ટિલેટર પર હતા, પણ ૧૨મી બપોરે ૨ વાગે તેમણે અમરિષભાઈને નજીક બોલાવીને કહી દીધું કે વેન્ટિલેટર હટાવી લો … આખરે ૪-૩૦ વાગ્યે કોમરેડે વિદાય લીધી. અગાઉથી નક્કી કર્યાં મુજબ મુકુલભાઈએ ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટને પોતાનું શરીર દાન કર્યું ..

કર્મશીલ મુકુલભાઈ સિંહા, લેખક જિજ્ઞેશ મેવાણી અને સાથીદારો

મારા કેટલાક મિત્રો મને ઘણીવાર કહેતા હોય છે  ઃ તું તો મુકુલ સિંહાનો માણસ છે .. આ ટેગ મારા માટે ગૌરવનો વિષય છે. મને લડતા તો આ માણસે જ શીખવ્યું.. મંચ પર બોલતા આ માણસે જ કર્યો.. રાજનૈતિક કાર્યકર તો આ માણસે જ બનાવ્યો.. મારો દાવો છે કે ગુજરાતમાં મારી ઉંમરનો બીજો એકપણ યુવાન નથી જેણે મોદીને એના નામ સાથે ખુલેઆમ મારા જેટલી ગાળો ખાનપુરના ભા.જ.પ. કાર્યાલયની બહાર ઊભા રહીને અને બીજે અનેક ઠેકાણે જાહેરમંચ પરથી, રેલીઓમાં, ધરણાંઓમાં આપી હોય, એના અનેક વિડીયો રેકોર્ડિગ્સ પોલીસ પાસે ઉપલબ્ધ છે … હું આ ડેરીંગ કરી શકતો એના મૂળમાં ક્યાંક એવો અડીખમ વિશ્વાસ હતો કે કંઈક થશે, તો મુકુલકાકા ફોડી લેશે .. મારી જવાનીનો શ્રેષ્ઠ સમય મુકુલભાઈ સાથે મળીને રાજસત્તા સામે જનહિતમાં સંઘર્ષ કરવામાં વીત્યો એ મારી જિંદગીની મોંઘેરી મૂડી છે. ગૌરવ છે એ વાતનું કે મોદી સામે મુકુલભાઈએ છેડેલા સંઘર્ષમાં તણખલા જેવી તો તણખલા જેવી પણ આપણી બી ભૂમિકા રહી .. ૧૨મીની સવારે હું અરવિંદ કેજરીવાલનો પ્રચાર સમેટી વારાસણીથી અમદાવાદ આવી રહ્યો હતો, ત્યારે આગ્રાથી ભરત ઝાલા જોડે મુકુલભાઈની તબિયતની વાત થઈ રહી હતી. હું એમને કહી રહ્યો હતો કે કાકાએ આપણને કેવા તૈયાર કર્યાં છે, નહીં ?આજે ગુજરાતના મોડલ વિશે અને ગુજરાતની કોમવાદી રાજનીતિ વિશે આપણે અધિકારપૂર્વક દેશના કોઈપણ ખૂણે જઈને અડધો કલાક ભાષણ આપી શકીએ એ કેળવણી તો મુકુલ કાકાએ જ આપીને … ? આ વાત પતી અને માંડ પાંચ-છ કલાક થયા હશે અને સમાચાર મળ્યા કે કોમરેડ આપણી વચ્ચે નથી રહ્યા .. મુકુલ સિંહા સિવાયની ગુજરાતની રાજનીતિની કલ્પના, મુકુલ સિંહા સિવાયના સંઘર્ષની કલ્પના, અમારા માટે વ્યક્તિગત રીતે પણ બહુ પીડાદાયક છે …. મુકુલભાઈના અંતિમ દર્શન પણ ન કરી શક્યો. મુકુલ સિંહાને છેલ્લે છેલ્લે લાલ સલામ પણ ન કહી શક્યો .. ચૂંટણી પહેલાં ખાનપુર, જે.પી. ચોકમાં બૂમો પાડી પાડીને મેં ભાષણ કરેલું ત્યારે મુકુલભાઈએ ખુરશીમાં બેઠા બેઠા મને ઇશારો કરીને પોતાના અંદાઝમાં લાલ સલામ પાઠવેલી .. આજે હું કહું છું – જહાંપનાહ તુ સી ગ્રેટ થે, લાલ-સલામ કુબૂલ કરો …

ક્રાંતિકારી શિવવર્મા પોતાના સાથી ભગતસિંહને યાદ કરતાં ત્યારે એક શેર એમના ગળામાં રુંધાઈ જતો, એ શેર અત્યારે આ લખી રહ્યો છું ત્યારે યાદ આવે છે ઃ

વો સુરતે ઈલાહી કિસ દેશ બસતીયાં હૈ,
દેખને કો જિન્હે આંખે તરસતીયાં હૈ

મુકુલભાઈને નજદીકથી ઓળખનારા સાથીઓની લાગણી મુજબ કહું તો વાઘ જેવો માણસ જતો રહ્યો …. મોદીના ગળાનો ગાળિયો તૈયાર કરનારો ગયો. ફાસીવાદી-કોમવાદી પરિબળો આ દેશમાં ફરી એકવાર સત્તાસ્થાને આવી ચડયા છે ત્યારે મુકુલભાઈનો પ્રિય નારો અચૂક યાદ આવે છે – કાલે બાદલ છાયે હૈ, સંઘર્ષ કે દિન આયે હૈ …. અનેક મિત્રોની લાગણી છે કે બહુ ખોટા સમયે આ માણસ જતો રહ્યો, મુકુલભાઈની ખોટ નહીં પૂરાય .. અવસાનના ચાર દિવસ પહેલાં પણ અમિત શાહને ઈશરત એન્કાઉન્ટરમાં સી.બી.આઈ.એ જે ક્લિન ચીટ આપી, તેની સામે સી.બી.આઈ. કોર્ટમાં કેસ દાખલ કરવાની ચર્ચાઓ કરતા … મોદી જેલમાં જાય અને ભા.જ.પ.ની કોમવાદી રાજનીતિનો અંત આવે અને આ દેશમાં વર્ગ સંઘર્ષ તેજ થાય, નવો સેક્યુલર, સમતાવાદી સમાજ રચાય,  એ જ એમનો જીવનરસ રહ્યો, આખરી શ્વાસ સુધી.

આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના …

મરીઝનો આ શેર મુકુલભાઈના જીવનકર્મને કેટલો બંધ બેસે છે !

11 July 2014 at 15:28

https://www.facebook.com/notes/mehul-mangubahen/મુકુલ-સિંહાની-વિદાય-સંઘર્ષના-સાથી-ગયા-સવાયા-ગુજરાતી-ગયા_-જિજ્ઞેશ-મેવાણી/10152358382569902

Loading

અંદાઝે બયાં અૌર — 6 અને 7

દીપક બારડોલીકર|Opinion - Literature|11 July 2014

અંદાઝે બયાં અૌર — 6  

કહે છે ને કે તલવારના ધણી જીવે છે, સદા જીવે છે ! − એ જ પ્રમાણે કલમના ધણી પણ જીવે છે અને એવી શાનથી જીવે છે કે એમની સામે તલવારના ધણી ઝાંખા પડી જાય છે. હિન્દુસ્તાનના અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ – ઝફર એક અચ્છા શાયર હતા અને સાચું પૂછો તો તેમની શાયરી સામે બાદશાહતની કોઈ હેસિયત ન હતી. બાદશાહની હેસિયતે તે વિસરાયા, પણ કવિ તરીકે આજે ય મોજૂદ છે. લોકોનાં દિલો પર રાજ કરે છે.

બહાર આઈ હય ભર દે
               બાદએ ગુલગૂં સે પયમાના
રહે લાખોં બરસ સાકી,
              તેરા આબાદ મયખાના

બહાર યાને વસંત આવી છે, ગુલાબ-શા સુર્ખ શરાબથી જામ ભરી દે, ઓ સાકી ! ભરી દે જામ, તારા આ મયખાનાને ખુદા લાખો વરસ આબાદ રાખે !

1857ની બગાવત પૂર્વે બહાદુર શાહના રાજઅમલ દરમિયાન દિલ્હીમાં શેર-શાયરીની વસંત બેઠી હતી. શેરી – શેરી અને ડેરા – દેવડીમાં ગઝલના જામ છલકતા હતા. એ છાલકની તાસીર આજપર્યંત ચાલુ છે. આવતી કાલે ય ચાલુ રહેશે. એ ગઝલજામની છાલકની તાસીર છે !

આ શાયરના ઉસ્તાદ કવિ ઝૌક હતા. અને કહે છે કે તેમણે શિષ્ય શાહ ઝફરને ગઝલની રચનાકળામાં ખાસા પ્રવીણ બનાવી દીધા હતા. અને ઝૌક સાહેબના અવસાન પછી મિર્ઝા ગાલિબની વિદ્વતાનો પણ લાભ તેમને મળ્યો હતો. તેમની ભાષા સાફસૂથરી અને મનોભાવ સ્વચ્છ હતા. તેમના જીવનનો વિવેક પણ તેમના અશઆરમાં ઝલકતો નજરે પડે છે.

મુહબ્બત કે યહ મઅની હંય કે મૈંને
વુહી ચાહા કે જો કુછ તૂને ચાહા

આ હતો કવિનો વિવેક. પ્રિયતમાની ઇચ્છાનો, પસંદગીનો ખયાલ રાખ્યો અને તેણે જે કંઈ ઇચ્છ્યું તે જ પ્રેમીએ ઇચ્છ્યું. આ હતો તેમની દ્ૃષ્ટિએ, મહોબતનો અર્થ. એનાથી વિપરીત એવું કશું ચાલી શકે નહીં. પ્રિયતમાની ઇચ્છા સામે આપણી ઇચ્છાની કોઈ વિસાત હોતી નથી.

પ્રેમમાં, પ્રેમી અંજામની પરવા કરતો નથી. આ પાર કે તે પાર ! ગુલાબોની પથારી મળે કે શૂળીએ ચઢવું પડે એની દરકાર પ્રેમી કરતો નથી. એનો તો ઉદ્દેશ હોય છે પ્રિયતમાનું સાંનિધ્ય.

જો કુછ હોતા સો હોતા, તૂને તકદીર
વહાં તક મુઝ કો પહુંચાયા તો હોતા

ઓ ભાગ્ય, મને ત્યાં સુધી યાને પ્રિયતમા સુધી તો પહોંચાડવો જોઈતો હતો ! તારાથી આટલુંયે ના થયું ! − મારું જે થવાનું હોત તે થાત, એની ચિંતા તારે શું કામ કરવી જોઈતી હતી !

વાત માત્ર આટલી હતી કે પ્રિયતમાના પડખે પહોંચવું એ આપણા ભાગ્યમાં ન હતું. કવિએ એને કલાનો સ્પર્શ આપી એ સામાન્ય વાતને સુંદર – અસામાન્ય બનાવી દીધી છે.

કેટલીક વાર એવું બને છે કે પ્રેમી પ્રિયતમાની મહેફિલમાં જાય છે, પણ વાતાવરણ કંઈક એવું હોય છે કે મનની વાત કહી શકતો નથી. યા ક્યારેક પ્રિયતમાની નારાજગી એવો માહોલ સર્જે છે કે પ્રેમી કશું બોલી શકતો નથી. ઝફર સાહેબ આ પરિસ્થિતિનું આબેહૂબ ચિતરણ કરતાં કહે છે :

બાત કરની મુઝે મુશ્કિલ
            કભી ઐસી તો ન થી
જૈસી અબ હય તેરી મહેફિલ
            કભી ઐસી તો ન થી

અને ક્યારેક હૃદયનું સુખચેન એવું લૂટાઈ જાય છે અને એવી તીવ્ર વ્યાકુળતા, બેકરારી, બેચેનીનો જુવાળ ઊમટે છે કે માણસ હાંફળો ફાંફળો ને ગભરાટમાં ગાંડા જેવો થઈ જાય છે ! આવી દુ:ખદ, પીડાજનક પરિસ્થિતિમાં શાયર ઝફર પોતાના હૃદય સાથે જે ગપસપ કરે છે તે ખરેખર માણવા જેવી છે :

લે ગયા છીન કે કૌન
            આજ તેરા સબ્રો-કરાર
બેકરારી તુઝે અય દિલ,
           કભી ઐસી તો ન થી !

અરે ભઈ તું આટલો બધો બેકરાર ! તારી આવી બેકરારી, બેચેની તો અગાઉ ક્યારે ય જોઈ ન હતી ! તારી ધીરજ ક્યાં ગઈ ?તારી શાંતિ ક્યાં ચાલી ગઈ ? એ કોણ આંચકી ગયું છે ?

પરંતુ સ્થિતિ સારી હોય છે. હૈયે સુખચેન હોય ને ઉમંગના ફૂવારા ઊઠી રહ્યા હોય છે એવે સમયે પૂનમના ચંદ્રમાને જોતાં કવિમન શું વિચારતું હશે ?! પ્રિયતમા જ સાંભરે ! તેનું સૌંદર્ય, તેના નાજૂક હાવભાવ આંખોમાં આવીને બેસી જાય ! ઝફર સાહેબ આવી અનુભૂતિ અભિવ્યક્ત કરતાં કહે છે :

અક્સે રૂખસાર ને કિસ કે
                  હૈ તુઝે ચમકાયા
તાબ તુઝ મેં મહે કામિલ,
                 કભી ઐસી તો નથી.

ઓ ચંદ્રમા, આવી ચમકદમક અગાઉ તો તારામાં ન હતી. આ નૂર આવ્યું ક્યાંથી ? કોઈક રૂપાળવીનાં ગુલાબી વદનની છાયાનું આ નૂર હોય, તને ચકચકિત કર્યો હોય એમ લાગે છે !

આ કવિ ઝફર, હિન્દુસ્તાનના મુગલ બાદશાહ હતા, પણ શાહી સત્તાની શાન કે શાહી સર્વોપરિતા ને એશઆરામ તેમના જીવનમાં ન હતાં. એનાં કારણો ઘણાં હતાં. વારસાગત મળેલી રાજકીય નબળાઈઓ પણ હતી અને કદાચ શાયરીનો વધુ પડતો – રાજવહીવટથી વિશેષ – ચસકો પણ ખરો. એમના અંતિમ દિવસો અત્યંત કરુણ દશામાં વીત્યા. મુગલ સામ્રાજ્યનો ખાતમો સગી આંખે દીઠો, 1857ની બગાવત સંદર્ભે બ્રિટિશરોએ દેશનિકાલ કરી યાંગૂ (રંગૂન) મોકલી આપ્યા, જ્યાં 07 નવેમ્બર 1862ના તેમનું અવસાન થયું હતું.

યાંગૂ(રંગૂન)ના એક કબ્રસ્તાનમાં આ શાયર ઝફરનો મઝાર છે. સામાન્ય મઝાર. પીરોના મઝારથીયે ઊતરતી કક્ષાનો. જોતાં આઘાત લાગે એવો. ક્યાં એમના વડવાઓના શાનદાર મકબરા અને ક્યાં અા શાહ – શાયરનો મઝાર ! ઘણું કરીને 2001માં મને મ્યાંમાર (બર્મા) જવાનો પ્રસંગ આવ્યો હતો. એ સમયે કેટલાક મિત્રો ભેગો હું એ મઝાર પર ગયેલો. —- ઘણું દુ:ખ થયું હતું ! આંખોમાં અશ્રુ આવી ગયાં હતાં ! અને ઓષ્ઠ પર અા શેર :

કિતના હૈ બદનસીબ ‘ઝફર’
                        દફન કે લીયે
દો ગઝ ઝમીન ભી ન
                       મિલી કુએ યાર મેં ! 

https://www.youtube.com/watch?v=ha3V_87LvR0

હું એમ માનું છું કે જે પ્રજા તેના વિદ્વાનો, સાહિત્યકારો, કળાકારો અને તેજસ્વી આગેવાનોને વિસરાવી દેછે તે પ્રજાને ઇતિહાસ પણ યાદ રાખતો નથી. તે વેરવીખેર થઈ જાય છે.

શાહ ઝફરના થોડા અન્ય અશઆર જોઈએ, જે વાંચવા, રટવા અને માણવા યોગ્ય છે :

યા મુઝે અફસરે શાહાના બનાયા હોતા
યા મેરા તાજ ગદાયાના બનાયા હોતા

ઓ ખુદા, મને આવી દશામાં શા માટે રાખ્યો ? બનાવવો હતો તો મને એક દમામદાર, પ્રતાપી શાહ બનાવ્યો હોત ! અગર એમ નહીં તો પછી મારા માથે કોઈ ફકીરની ટોપી મૂકી દીધી હોત ! − હું તારાથી કોઈ ફરિયાદ ન કરત ! પણ આ દશા તો અત્યંત કારમી છે. શાહ છું પણ, અને નથી પણ !

ખાકસારી કે લિયે ગર ચે
                      બનાયા થા મુઝે
કાશ ! ખાકે દરે જાનાના
                      બનાયા હોતા

હું જાણું છું કે તેમને ખાકસારી માટે, ચરણરજ સમાન બનાવ્યો છે, પણ એમ જ હતું તો, ઓ ભલા માલિક કાશ મને પ્રિયતમાના આંગણની રાખ બનાવી દીધો હોત તો મજા આવી જાત !

અને અંતે આ શેર :

પસે મર્ગ મેરે મઝાર પર
             જો દિયા કિસી ને જલા દિયા
કિસે આહ દામને બાદ ને
             સરે શામ હી સે બુઝા દિયા

આ કમનસીબી કે મારી મઝાર પર દીવો બળતો નથી. આમ છતાં અગર કોઈ ભલા આદમીએ કદી દીવો બાળ્યોયે છે તો હવાના પાલવે તેને સમીસાંજના જ હોલવી નાખ્યો છે !

આ શાયર બહાદુર શાહ ઝફરના ચાર દીવાન 1857 પૂર્વે પ્રગટ થયા હતા.

°°°°°°°°°°°°

અંદાઝે બયાં અૌર — 7

આપણે આ પહેલાં કવિ ઝૌક વિશે વાંચી ગયા છીએ. તેઓ એક ઉસ્તાદ કવિ હતા. તેમના એકાધિક શિષ્યોમાંના એક દાગ દહેલ્વી એક પ્રતિષ્ઠ શાયર અને પોતાના ઉસ્તાદથી એક મૂઠ ઊંચા ઉસ્તાદ હતા. અલ્લામા મુહમ્મદ ઇકબાલ અને જિગર મુરાદાબાદી જેવા ઉચ્ચ શ્રેણીના શાયરો અને અન્ય અનેક તેમના શિષ્યો હતા. તેમની શૈલી ખાસી અાકર્ષક હતી. અશઆરમાં નાવીન્ય લાવવા, રિવાયતો તોડવા ને નવા વિચારો – નવા વિષયો આમેજ કરવા પ્રતિ તેમનું લક્ષ હતું.

મહિલાઓના ઓષ્ઠ ખૂબસૂરત હોય છે − ઘાટદાર ! અને ઘણી વાર તો તે પ્રવાલ જેવા ખાસા ગુલાબી. લિપસ્ટીકથી શૃંગારિત નહીં, કુદરતી ગુલાબી. એવા અાકર્ષક અધર દેખીને કવિતા ન સ્ફૂરે તો તે કવિ નહીં. દાગ સાહેબ એવા અધરની પ્રશંસા કરતાં કહે છે :

ગુલશન મેં તેરે લબોં ને, ગોયા
રસ ચૂસ લિયા કલી – કલી કા

અને એવી કોઈ રૂપાળવી જે દિશામાં પગલાં પાડે છે ત્યાં દિલવાળાઓનો એ શોર ઊઠે છે કે :

વહ જિધર કો ગયે ઊઠા યે શોર
વહ કયામત ઊઠાયે જાતા હય

કયામત એટલે સૃષ્ટિનો અંતિમ દિવસ. મહાભૂકંપ સર્જાશે અને ચારે દિશામાં વિનાશ સિવાય કશું હોય નહીં. સર્વ કંઈ ધરાશાયી અને ધરતીના ય ફાડચાં. પહાડો ય રૂ માફક ઊડશે ! અને માણસો અન્ય પ્રાણીઓ બેબાકળા ! − દાગ સાહેબ કહે છે કે એ રૂપાળવી જ્યાં પગલાં પાડે ત્યાં શોર ઊઠે છે કે –  આ તો કયામત સર્જાવે છે ! હૈયાં ઊથલપાથલ!

દાગ સાહેબનો જન્મ 1831માં દિલ્હીમાં થયેલો. કિલ્લા – મુઅલ્લા નામે એક વિસ્તાર છે, જ્યાં ઉસ્તાદ ઝૌકનો નિવાસ હતો ત્યાં દાગ સાહેબનો ઉછેર થયેલો. ઘોડેસવારી અને તીરંદાજીનો ઘણો શોખ હતો. ઘોડાની ચાલની સારી જાણકારી ધરાવતા હતા. 1857માં દિલ્હીથી રાજપુર ચાલ્યા ગયેલા. અહીં નવાબના દરબારમાં થોડો સમય વીતાવ્યો. મજા આવી નહીં. અને હયદ્રાબાદ ચાલ્યા ગયા.

કહે છે કે હયદ્રાબાદમાં તેમની સારી આઓભગત થઈ હતી. નવાબના દરબારમાં માનભર્યું સ્થાન મળ્યું હતું ને માસિક 450 રૂપિયાનો દરમાયો નક્કી થયો હતો. બાદમાં માસિક એક હજાર રૂપિયા કરી દેવાયા હતા. વળી નવાબના ઉસ્તાદ, પછી પૂછવું શું ! જિંદગી એશઆરામમાં વીતી. 1905માં અવસાન થયું.

મૃદુતા, રવાની, વ્યંગ એ તેમના કલામની વિશિષ્ટતા ગણાય છે. ચંદ શબ્દોમાં મોટી વાત કહેવાની કળામાં પ્રવીણ હતા. −−− કહે છે કે આરંભ સારો તેનો અંત સારો. મને આ કથન અર્ધ સાચું લાગે છે. કોઈ કાર્યની શરૂઆત અને તેના અંત વિશે એ સાચું ઠરે તે શક્ય છે. પણ દરેક બાબતમાં એમ થાતું નથી. વળી સામાન્ય રીતે લોકો અંતને ફલશ્રુતિને, અંજામને જોતા હોય છે અને તેના આધારે જ માણસની કદર થાય છે. આ વિચાર સંદર્ભે દાગ સાહેબ કહે છે કે :

અગાઝ કો કૌન પૂછતા હૈ
અંજામ અચ્છા હો આદમી કા

માણસનો અંજામ, તેના જીવનનો અંત સારો, શાનદાર હોવો જોઈએ. એને જ લોકો દેખે છે, યાદ રાખે છે અને એને આધારે મરનારની કદર થાય છે. આરંભમાં એ શું હતો, કેવો હતો તેને કોઈ જોતું નથી. − અસલ વસ્તુ અંજામ છે, ફલશ્રુતિ છે.

જિંદગી તો બધા જીવે છે. પણ સત્ય, પ્રમાણિકતા, સદાચાર, સંસ્કારિતા, અનુકંપા, જેવા ઉમદા ગુણોથી ઓપતા જીવનને સૌ કોઈ માનની નજરે જુએ છે. એવા પ્રમાણિક માણસો જૂઠું બોલતા નથી કે જૂઠી કસમ ખાતા નથી. એવી કસમ ઈમાનનો છેદ ઊડાવી દે છે :

ખાતિર સે યા તિહાઝ સે
                      મૈં માન તો ગયા
ઝૂટી કસમ સે આપ કા
                     ઈમાન તો ગયા

હું તો ખેર, તમારા આદરની ખાતર તમારી વાત માની ગયો છું. પણ જૂઠા સોગંદ ખાધા છે એના કારણે તમારું ઈમાન, તમારી શ્રદ્ધાનો, સચ્ચાઈનો નાશ થઈ ગયો છે. મોટું નુકસાન થયું છે ! પણ શું થઈ શકે ? એનો કોઈ ઉપાય નથી. તમે કોઈનું કહ્યું માનો એવા છો જ ક્યાં ?

ઈતની હી તો બસ કસર હૈ તુમ મેં
કહના નહીં માનતે કિસી કા

કહ્યું ન માને તો ય છે વહાલું. એ વહાલાની યાદ, તેનો ખયાલ પણ વહાલો. અને એ ખયાલ આવે છે તો તેના આગમનમાં ય પ્રેમીને ખૂબી દ્ૃષ્ટિગોચર થાય છે :

કિતના બા-વઝઅ હૈ ખયાલ ઉસ કા
બેકસી મેં ભી આયે જાતા હૈ

સારી સ્થિતિમાં તો પારકા ય સગાંસ્નેહી બની જતાં હોય છે. અને દુર્દશામાં પોતાનો પડછાયો પણ સાથ આપતો નથી. પણ પ્રિયતમાના ખયાલનો આ વિવેક આ ઉમદા રીતભાત તો જુઅો, કે હું સાવ માઠી દશામાં આવી ગયો છું તો પણ એ મારો સાથ છોડતો નથી!

દિલને ગમતું માણસ, પછી તે ગમે તે હોય, ગમે એવું હોય, તે પઢાવે તે પાઠ પ્રેમીનું હૃદય પઢી લે છે. અને ત્યાર પછી તે કોઈનું કહ્યું માનતું નથી. −

સબક ઐસા પઢા દિયા તૂને
દિલ સે સબ કુછ ભૂલા દિયા તૂને

આ પૂર્વે હૃદય જે કંઈ જાણતું હતું, જે જ્ઞાનની થાપણ તેની કને હતી તે સૌ તે વિસરાવી બેઠું છે. − આ કેવો પાઠ તેં ભણાવ્યો છે ? − મને તારી વાતો સિવાય કંઈ જ સમજાતું નથી. તારા સિવાય કશું દેખાતું નથી. − ગમે એમ પણ હકીકત આ છે કે મેં એવી કશી સોગાતની તલબ કરી ન હતી. કોઈ ઇચ્છા, કોઈ માંગણી કરી ન હતી :

બેતલબ જો મિલા, મિલા મુઝ કો
બેગરઝ જો દિયા, દિયા તૂને

દાગ સાહેબની એક ગઝલ ખાસી લોકપ્રિય છે, જેના ત્રણ અશઆર :

સાઝ યે કિનાસાઝ ક્યા જાને
નાઝ વાલે નિયાઝ ક્યા જાને

જે, અંતરમાં દ્વેષ, તિરસ્કાર જેવાં સાપોલિયાં પાળતાં હોય તેઓ મેળમિલાપ, ભાઈબંધી કે પરસ્પરના સંબંધને શું જાણે. એ માટે તો વિશાળ અને ખુલ્લું નિષ્કપટ હૃદય જોઈએ. − જે હંમેશાં નાઝ-નખરામાં, પોતાની વડાઈમાં મસ્ત રહે છે તે શું જાણે કે મેળમોહબત, વિનમ્રતા, સહાનુભૂતિ શું છે ? એવા કઠોર માણસો પર દયા આવે છે ! તેઓ જીવન બગાડે છે !

પરંતુ પ્રેમના આસવમાં મસ્ત રહેનારાઓને ત્યાં એવું બનતું નથી. બલકે એનાથી ઊલટ, તેમનું જીવન સંવરી જાય છે. પ્રેમના આ આસવની સુરાની લિજ્જત પણ એક અનોખી ચીજ છે. અને એ લિજ્જતની મોજ-મસ્તી તો જેણે એ આસવ ચાખ્યો હોય તે જાણે :

પૂછિયે મયકશ સે લુત્ફે શરાબ
યે મઝા પાકબાઝ ક્યા જાને

પવિત્રાઈની વાતો કરનારા આ સંતમહંત કે મુલ્લાને શું પૂછો છો. એ બિચારા શું જાણે ? − આસવની લિજ્જત કોઈ મયકશને − શરાબીને પૂછો. તે તમને કહેશે કે આસવ શી ચીજ છે !

અને પ્રેમની દશાને કોઈ શું જાણે. ‘ઘાયલ કી ગત ઘાયલ જાને, અૌર ન જાને કોઈ !’

જો ગુઝરતે હૈં ‘દાગ’ પર સદમે
આપ બંદાનવાઝ ક્યા જાને !

તમો તો મોટા માણસ. બંદાનવાઝ – બંદાપરસ્ત. તમોને ‘દાગ’ પર જે વીતી રહી છે એની શી ખબર ? તમે દેખો તો સમજાય શું ? એ તો દાગ જાણે, દાગનું દિલ જાણે ! − મતલબ કે દશા ગંભીર છે. અને એવી સ્થિતિમાં ભાનશાન પણ રહેતું નથી. બુદ્ધિ બહેર મારી જાય છે. અને દેહમાંના ચેતન કે ઉષ્માના અંશો તેમના મુકામ પર રહેતા નથી. ચલિત થઈ જાય છે. − આવી દશાનો ઉલ્લેખ કરતાં ‘દાગ’ સાહેબ કહે છે :

હોશો – હવાસો, તાબો – તવાં
                          ‘દાગ’ જા ચૂકે
અબ હમ ભી જાનેવાલે હૈં
                          સામાન તો ગયા

માણસ પ્રવાસે જાય તો ભેગો તેનો સામાન પણ જાય. કપડાંલતાં, પેટી, થેલાથેલી વગેરે. આ વાસ્તવિક્તાને જીવનની અંતિમ સફર સાથે સાંકળતાં કવિ કહે છે કે સાનભાન, ઉષ્મા, ચેતના જેવો જીવનનો જરૂરી સામાન તો જઈ ચૂક્યો છે અને હવે અમે પણ જાનાર છીએ. આ સૃષ્ટિને અંતિમ સલામ કરનાર છીએ.

દાગ સાહેબની એક મસ્નવી ‘ફરિયાદે દાગ’ મશહૂર છે. એ સિવાય ગઝલોના ચાર દીવાન પ્રગટ થયા છે : ગુલઝારે દાગ, અાફતાબે દાગ, માહતાબે દાગ ને યાદગારે દાગ.

[136 Stamford Street, Old Trafford, MANCHESTER M16 9LR. U.K.]

Loading

‘અાવ વરસાદ, ભાગ વરસાદ

'ભભાઈ' ભરત પાઠક|Opinion - User Feedback|10 July 2014

‘અાવ વરસાદ, ભાગ વરસાદ’ સરસ અભ્યાસ પૂર્ણ લેખ. લેખકનો અવાજ પણ એક સ્વસ્થ વિચારકનો છે, કોઈ પણ જાતના ઉશ્કેરાટ વગર – અને ઉશ્કેર્યા વગર – એ બોલે છે. આવો સુંદર લેખ આપવા બદલ દીપક મહેતાને, તથા આપને પણ, વંદન.

— 'ભભાઈ' ભરત પાઠક

‘ફેઇસબુક’ પરેથી, 09 જુલાઈ 2014

Loading

...102030...3,9783,9793,9803,981...3,9904,0004,010...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved