Opinion Magazine
Number of visits: 9562243
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વર્કિંગ ફૉર ધ ફ્યુ, પૉલિટિકલ કૅપ્ચર ઍન્ડ ઇકૉનૉમિક ઇનઇક્વલિટી

રમેશ અોઝા|Opinion - Opinion|30 April 2014

ક્રોની કૅપિટલિસ્ટોને એક એવો પસંદગીનો માણસ જોઈએ છે જે સત્તાતુર હોય અને ઇતિહાસ તેમ જ રાજકીય પ્રવાહોની બાબતમાં અભણ હોય. ભારતમાં મોદી તેમને મળી ગયા છે

જેઓ સેક્યુલરિઝમમાં, કોમી એખલાસમાં, લોકતંત્રમાં અને વંચિતોને મળવા જોઈતા ન્યાયમાં માને છે તેઓ નરેન્દ્ર મોદીના ઉદયથી અને તેમની સત્તામાં આવવાની સંભાવનાથી ભયભીત છે. ભય ત્રણ વાતનો છે. એક ભય એ વાતનો કે નરેન્દ્ર મોદી ફાસીવાદી વિચારધારામાંથી આવે છે અને એમાં પણ તેઓ સવાયા આક્રમક ફાસિસ્ટ છે અને ઇન્દિરા ગાંધી કરતાં પણ વધુ આપખુદશાહી મનોવૃત્તિ ધરાવે છે. બીજો ભય એ વાતનો કે નરેન્દ્ર મોદી પોતાના પ્રેમમાં પડેલા આત્મમુગ્ધ માણસ છે અને સત્તાવાસના ધરાવતા આત્મમુગ્ધ લોકો કલ્પના બહારનું સાહસ કરી શકે છે અને કલ્પના બહારનું નુકસાન પહોંચાડી શકે છે. ત્રીજો ભય એ વાતનો કે નરેન્દ્ર મોદી સમગ્ર રાજ્યને હાઇજૅક કરીને દેશને લૂંટવા માગતા ક્રોની કૅપિટલિસ્ટો (શાસકો સાથે ભાગીદારી કરીને પૈસા બનાવનારા આંગળિયાત ઉદ્યોગપતિઓ)ના પસંદગીના ઉમેદવાર છે. મૂડીવાદીઓએ પસંદગીના મહત્ત્વાકાંક્ષી માણસને આગળ કરીને રાજ્યને કબજે કર્યું હોય એવું જગતમાં આ પહેલાં બીજા દેશોમાં પણ બન્યું છે.



આ લખનારને આમાંથી પહેલી સંભાવનાની ખાસ ચિંતા નથી, કારણ કે ઇન્દિરા ગાંધીએ બંધારણ અને ન્યાયતંત્ર સાથે ચેડાં કર્યા હતાં જેમાં છેવટે બંધારણ અને ન્યાયતંત્ર વિજયી થયાં છે. અત્યારે ભારતીય લોકતંત્રના મૂળભૂત માળખાને તોડી પાડવું શક્ય નથી. આત્મમુગ્ધતા એક બીમારી છે અને એવો માણસ જો સાથે સત્તાવાસના ધરાવતો હોય તો એ વધારે જોખમી છે. આ ચિંતાનો વિષય જરૂર છે, પણ એનું વિવેચન જરૂરી નથી; કારણ કે માનવીનું વર્તન સંયોગો પર આધારિત હોય છે અને ક્યારે કેવા સંજોગો પેદા થશે એની કલ્પના કરવાનો અર્થ નથી. ત્રીજો ભય નક્કર છે અને આ લખનારને ત્રીજો ભય આજે સૌથી વધુ સતાવી રહ્યો છે. 



હજી પાંચ વર્ષ પહેલાંની જ વાત છે. યાદ કરી જુઓ. આ જ મધ્યમવર્ગ અને મૂડીવાદીઓ ડૉ. મનમોહન સિંહ પર ફિદા હતા. આજે જેમ નરેન્દ્ર મોદી તેમને તારણહાર લાગી રહ્યા છે એમ ત્યારે ડૉ. મનમોહન સિંહ તેમને તારણહાર લાગતા હતા. ૨૦૦૮ પછી પરિસ્થિતિએ અચાનક પલટો લીધો અને જગતના વિકસિત અને વિકાસશીલ દેશો મુશ્કેલીમાં આવી ગયા. ખનિજ તેલના ભાવ વધવા માંડ્યા જેને કારણે ફુગાવો હાથ બહાર જતો રહ્યો. બીજી બાજુ મંદીને કારણે વિકાસનો રથ થંભી ગયો. જગત આખામાં, ખાસ કરીને લોકશાહી દેશોમાં નિરાશા ઘેરી વળી. ઓછામાં પૂરું, ગેરલોકતાંત્રિક ચીનનો ઝડપભેર ઉદય થયો. આજે લોકશાહી દેશોમાં લોકતંત્ર પરની શ્રદ્ધા ઘટી રહી છે અને ચીન જેવી ગેરલોકતાંત્રિક આક્રમકતાનો મહિમા થઈ રહ્યો છે. આ ઉપરાંત એક નવી સ્થિતિ પેદા થઈ. ૧૯૮૦ પછીથી વિશ્વ-દેશોએ સરકારી નિયંત્રણો ઘટાડ્યાં હતાં અને મૂડીવાદીઓને મોકળાશ કરી આપી હતી એને કારણે સંપત્તિના કેન્દ્રીકરણની નવી સ્થિતિ પેદા થઈ. જો સંપત્તિની ન્યાયી વહેંચણી ન થાય અને થોડા હાથોમાં એ જમા થાય તો સ્વાભાવિક રીતે ટૂંકા ગાળામાં પ્રચંડ સંપત્તિ અર્જિત કરનારાઓની રાજ્ય પર ભીંસ આવે. આમ આવી સાગમટે પેદા થયેલી પરિસ્થિતિના ડૉ. મનમોહન સિંહ શિકાર થઈ ગયા.



ડૉ. મનમોહન સિંહની બીજી ઇનિંગ્સ અસમંજાવસ્થાની છે. એક બાજુ ટૂંકા ગાળામાં પ્રચંડ સંપત્તિ અર્જિત કરનારા ક્રોની કૅપિટલિસ્ટોની ભીંસ વધવા માંડી અને બીજી બાજુ વિકાસથી વંચિત રહેલી ૯૦ ટકા પ્રજાને રાહત કઈ રીતે આપવી એની ચિંતા હતી. તેમની પાસે સબસિડી અને એન્ટાઇટલમેન્ટ્સના નામે રાહતનાં પૅકેજિસ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આને કારણે અર્થતંત્ર વધારે ખાડે ગયું હતું. આ ઉપરાંત વિકાસના નામે કુદરતી સંપદાની ચાલી રહેલી લૂંટ અટકાવીને પર્યાવરણ બચાવવાનો પણ પ્રશ્ન હતો. આ સ્થિતિમાં એક સમયના લાભાર્થીઓના ડાર્લિંગ ગણાતા ડૉ. મનમોહન સિંહ વિલન બની ગયા. લાભાર્થીઓએ નરેન્દ્ર મોદી નામના નવા ડાર્લિંગ શોધી લીધા છે અને પૂરી તાકાત લગાવીને તેમને સત્તામાં પહોંચાડવાના કામે લાગી ગયા છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અનેક કિસ્સાઓમાં મફત અને બીજા કેટલાક કિસ્સાઓમાં પાણીના ભાવે ક્રોની કૅપિટલિસ્ટોને સવલતો પૂરી પાડીને પોતાની લાયકાત સિદ્ધ કરી આપી છે. ટૂંકમાં, ક્રોની કૅપિટલિસ્ટો નરેન્દ્ર મોદીને આગળ કરીને રાજ્યને હાઇજૅક કરી જવા માગે છે. આ અર્થમાં નરેન્દ્ર મોદી ક્રોની કૅપિટલિસ્ટોના પસંદગીના ઉમેદવાર છે. ડૉ. મનમોહન સિંહની સરકારમાં તેમને જે તક જોઈએ એટલા પ્રમાણમાં નહોતી મળી એ તક તેઓ નરેન્દ્ર મોદી દ્વારા ઝડપવા માગે છે.



ક્રોની કૅપિટલિસ્ટો એવી વ્યક્તિ પર પસંદગીનો કળશ ઢોળે છે જે આત્મમુગ્ધ હોય, સત્તાની પ્રચંડ વાસના ધરાવતી હોય અને રાજકીય રીતે અભણ હોય. ૧૯૭૦ના દશકના અંતિમ ભાગમાં બ્રિટન અને અમેરિકામાં આમ બન્યું હતું; જ્યારે ખનિજ તેલના ભાવ આસમાને ગયા હતા, ફુગાવો વધ્યો હતો. અત્યારે ચીન છે એમ ત્યારે સામ્યવાદી રશિયા રાજકીય રીતે આક્રમક હતું, રશિયા અફઘાનિસ્તાનને ગળી ગયું હતું, મૂળભૂતવાદી ઇસ્લામનો ઉદય થયો હતો અને ઈરાનમાં ઇસ્લામિક ક્રાન્તિ કરનારાઓએ ઈરાનમાં રહેતા અમેરિકનોને બાન પકડ્યા હતા. આજના જેવી જ નિરાશાની સ્થિતિ ત્યારે હતી અને એમાંથી બ્રિટનમાં માર્ગરેટ થૅચરનો અને અમેરિકામાં રોનાલ્ડ રેગનનો ઉદય થયો હતો. મૂડીવાદીઓએ ત્યારે તેમને એવી અને એટલી મદદ કરી હતી જેવી આજે તેઓ નરેન્દ્ર મોદીને કરી રહ્યા છે. રોનાલ્ડ રેગનના પુરોગામી જિમી કાર્ટર ડૉ. મનમોહન સિંહ જેટલા જ ભલા અને સોજ્જા માણસ હતા, પરંતુ તેમને નબળા ગણાવીને પરાજિત કરવામાં આવ્યા હતા. મૂડીવાદીઓએ ત્યારે પ્રચંડ લોકમત થૅચર અને રેગનની તરફેણમાં પેદા કર્યો હતો. મૂડીવાદીઓ ત્યારે થૅચર અને રેગન દ્વારા રાજ્યને હાઇજૅક કરી ગયા હતા અને અર્થતંત્ર પરનાં રાજ્યનાં નિયંત્રણો ઘટાડવાની શરૂઆત ત્યારે થઈ હતી. નિયંત્રણો હળવાં કરાયાં એને કારણે સત્તાધીશો સાથેની ભાગીદારીમાં મૂડીવાદીઓની નવી પેઢી પેદા થઈ જે આજે ક્રોની કૅપિટલિસ્ટ તરીકે ઓળખાય છે. આ લોકો રાજ્યને હાઇજૅક કરવા વધારે આક્રમક બન્યા છે અને નરેન્દ્ર મોદીઓ તેમનું હાથવગું રમકડું છે. 



આ વાત જો ગળે ન ઊતરતી હોય તો હું બે પ્રમાણ રજૂ કરી શકું એમ છું. પહેલું પ્રમાણ અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ ગયા ડિસેમ્બરમાં સેન્ટર ફૉર અમેરિકન પ્રોગ્રેસ નામની સંસ્થાના વિદ્વાનો સમક્ષ આપેલું પ્રવચન છે જેમાં તેમણે વધતી અસમાનતા અને રાજ્ય પરની ક્રોની કૅપિટલિસ્ટોની ભીંસ વિશે ચિંતા વ્યક્ત કરી છે. એ ઐતિહાસિક પ્રવચનની વિગતો ૫ જાન્યુઆરીએ આ કૉલમમાં હું લખી ચૂક્યો છું એટલે એની વિગતમાં જવાની જરૂર નથી. એ પ્રવચન ઑનલાઇન ઉપલબ્ધ છે. બીજું પ્રમાણ ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સ્થાપેલી અને દાયકાઓથી ન્યાયી સમાજની રચના માટે કામ કરતી ઑક્સફામ નામની સંસ્થાએ વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ માટે તૈયાર કરેલો અહેવાલ છે. ‘વર્કિંગ ફૉર ધ ફ્યુ : પૉલિટિકલ કૅપ્ચર ઍન્ડ ઇકૉનૉમિક ઇનઇક્વલિટી’ નામનો અહેવાલ વાંચો તો સંવેદનશીલ માણસના શરીરમાં અક્ષરશ: લખલખું પસાર થઈ જાય. એ અહેવાલનાં તારણો આવાં છે:



જગતની અડધોઅડધ સંપત્તિ પર સૌથી શ્રીમંત એક ટકો પ્રજા માલિકી ધરાવે છે, જ્યારે ૯૯ ટકા પ્રજાએ બાકીની અડધી સંપત્તિ વહેંચવી પડે છે.



સંપત્તિની દ્રષ્ટિએ વિશ્વ-પ્રજાને બે હિસ્સામાં વહેંચો તો નીચેના હિસ્સાની ૫૦ ટકા પ્રજા જેટલી સંપત્તિ ધરાવે છે એટલી સંપત્તિ વિશ્વના એકલા ૮૫ શ્રીમંતો ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ત્રણ અબજ માણસો જેટલી સંપત્તિ ધરાવે છે એટલી સંપત્તિ ૮૫ જણ ધરાવે છે. 



આર્થિક મંદી પછી એટલે કે ૨૦૦૯થી અત્યાર સુધીમાં અમેરિકાએ જેટલી સંપત્તિ પેદા કરી છે એમાંનો ૯૫ ટકા હિસ્સો ત્યાંના એક ટકો શ્રીમંતોના ખિસ્સામાં ગયો છે અને બાકીનો પાંચ ટકા હિસ્સો ૯૯ ટકા અમેરિકન પ્રજાને મળ્યો છે. 



રાજ્ય પર કબજો જમાવીને ૨૦૧૩ની સાલમાં નવા ૨૧૦ જણ વિશ્વના અબજોપતિઓ (ડૉલર્સમાં)ની ક્લબમાં જોડાયા હતા. અત્યારે એક અબજ કરતાં વધુ સંપત્તિ ધરાવનારા લોકોની ક્લબમાં ૧૪૨૬ સભ્યો છે અને તેમની કુલ સંપત્તિ ૫૪૦૦ અબજ ડૉલર્સ છે.



છેલ્લા બે દાયકામાં સ્પેન, બ્રાઝિલ, ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રિટન અને અમેરિકામાં મૂડીવાદીઓને અનુકૂળ આવે એ રીતે સરકારી નિયંત્રણો ઘટાડવા કાયદાઓ સુધારવામાં આવ્યા છે.



વિશ્વનાં શૅરબજારો એક ટકો અતિ શ્રીમંતો ચલાવે છે. બરાક ઓબામાએ અમેરિકન શૅરબજારના કાયદા સુધારવાનો પ્રયાસ કર્યો ત્યારે અમેરિકાના સૌથી શ્રીમંત પાંચ રોકાણકારોએ ૪૦૬ લૉબિસ્ટોને સુધારો અટકાવવા રોક્યા હતા. એ ખરડામાં સૂચવેલા ૩૯૮ સુધારાઓમાંથી ૧૪૮ સુધારાઓ જ પસાર થઈ શક્યા છે.



ભારતમાં દાયકા પહેલાં છ અબજોપતિ (ડૉલર્સમાં) હતા જે આજે ૬૧ છે અને તેમની કુલ સંપત્તિ ૨૫૦ અબજ ડૉલર્સની છે જે ભારતની કુલ સંપત્તિમાં ૨૬ ટકાનો હિસ્સો ધરાવે છે. બીજા શબ્દોમાં ૬૧ જણ દેશની ચોથા ભાગની સંપત્તિ ધરાવે છે.



ઑક્સફામના અહેવાલ મુજબ ૬૧ અબજોપતિઓમાંના અડધા કુદરતી ગૅસ, ખાણ, ટેલિકૉમ જેવાં સરકારી મહેરબાનીવાળાં ક્ષેત્રોમાં ધંધો કરનારા ક્રોની કૅપિટલિસ્ટ છે.



આ હાઇલાઇટ્સ વાંચ્યા પછી ખ્યાલ આવ્યો હશે કે ક્રોની કૅપિટલિસ્ટો કેટલા શક્તિશાળી થઈ ગયા છે અને વહીવટી તંત્રને હાઇજૅક કરવા કેટલા આક્રમક છે. તેમને એક એવો પસંદગીનો માણસ જોઈએ છે જે સત્તાતુર હોય અને ઇતિહાસ તેમ જ રાજકીય પ્રવાહોની બાબતમાં અભણ હોય. ભારતમાં નરેન્દ્ર મોદી તેમને મળી ગયા છે. દુર્ભાગ્ય એ છે કે આપણી મોટા ભાગની થિન્ક ટૅન્ક સંસ્થાઓ પણ ક્રોની કૅપિટલિસ્ટોની માલિકીની છે જેના માટે અર્થશાસ્ત્રીઓ અને રાજકીય વિચારકો કામ કરે છે. મીડિયા પણ તેમની માલિકીનાં છે જે તેમના હિતમાં અને તેમના ઇશારે પ્રચાર કરવાનું કામ કરે છે. સોશ્યલ મીડિયા પર પણ તેમના લૉબિસ્ટોએ કબજો જમાવ્યો છે. 



એકંદરે સ્થિતિ ભયજનક છે. આ લખવાનો હેતુ એટલો જ કાલે એવું કહેવાનો પ્રસંગ ન આવે કે કોઈએ અમને ચેતવ્યા નહોતા.

સૌજન્ય : લેખકની ‘નો નૉન્સેન્સ’ નામે કટાર, “ગુજરાતી મિડ-ડે”, 27 અૅપ્રિલ 2014

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-27042014-2

Loading

કૂતરાનું ગૂમડું

અાનંદરાવ લિંગાયત|Opinion - Short Stories|30 April 2014

અમારા ગામની ભાગોળે અાવેલા બસ સ્ટેન્ડ ઉપર જે જોયેલું અને અનુભવેલું એની અા વાત છે. ગામડેથી શહેરમાં જવા માટે આ સ્ટેન્ડ ઉપરથી બસો મળતી. ધૂળના ગોટા ઉડાડતી બસ આવે એટલે અંદર ઘૂસવા પડાપડી થતી. ક્યારેક અંદર ઘૂસવા મળતું. નહીંતર કંડકટરની કૃપાથી સળિયો પકડીને બહારના પગથિયા ઉપર ઊભા ઊભા જ મુસાફરી કરવાની.

હાઇસ્કૂલ પાસ થયા પછી નોકરી મેળવવા માટે હું આકાશ પાતાળ એક કરતો હતો. ક્યાં ય કશો પત્તો લાગતો જ નહોતો. હાઇ સ્કૂલના શિક્ષણની કોઈ કિમ્મત જ નથી એ સત્ય ત્યારે જ સમજાયેલું. રોજી-રોટી કમાવાની મારી આ શરૂઆત હતી. સરકારી ખાતામાં નોકરી મેળવવા માટે કેવી કેવી ઓળખાણ અને લાગવગ જોઇએ તે પણ સમજાવા માંડ્યું હતું. ખાનગી વેપારીઓની દુકાનોમાં તો એમનાં સગાં સંબંધીઓ જ ભરાઈ ગયેલાં હોય. નોકરી માટેનાં બધાં બારણાં ખખડાવીને રોજ સાંજે ઘરે આવું ત્યારે માબાપ રાહ જોઈને બેઠાં હોય કે દીકરો પાંચ પૈસા કમાય એવી કોઈ નોકરીના સારા સમાચાર લાવ્યો છે કે ? પણ હું તો ભયાનક નિરાશા લઈને જ ઘરે આવતો. માએ પીરસેલી એ થાળીમાંથી શાક રોટલો ખાવાનું મન પણ ના થાય.

એ દિવસો પણ વીતી ગયા.

મને શહેરની એક ખાનગી શાળામાં નોકરી મળી ગઈ. ચાર ધોરણ સુધીની શાળા હતી. મને પગાર રોકડા રૂપિયામાં અપાતો પણ કાગળ ઉપર મારે ત્રણ ગણા પગાર ઉપર સહી કરી અાપવી પડતી. હું બહુ ખુશીથી સહી કરી અાપતો. … એમ જ ચાલે.

પેન્ટ, બુશશર્ટ, ચંપલ તથા ખિસ્સામાં રૂમાલ. આ મારો વટવાળો પોષાક. એ શર્ટને ‘બુશ-શર્ટ’ કેમ કહેતા હશે તે મને હજી પણ ખબર નથી. બસની રાહ જોતાં ક્યારેક કોઈક બાંકડા ઉપર બેસવાનું થાય તો રૂમાલ પાથરીને બેસતો. પછી જરૂર પડ્યે એ જ રૂમાલથી મોં અને ગરદન ઉપરનો પસીનો લૂછતો. આરોગ્યશાસ્ત્રનું કંઈ ખાસ ભાન નહોતું.

એક દિવસ હું એકાદ કલાક વહેલો બસ સ્ટેન્ડ ઉપર આવી ગયો. મારે થોડું કામ હતું. ચંપલ નવાં લીધેલાં હતાં. એની નીચે તળિયામાં ટાયરનાં સોલ નંખાવવાં હતાં. શહેરના ડામરના રસ્તા ઉપર તળિયાં વધારે ઘસાય. આ ટાયરનાં સોલ નંખાવવાથી ચંપલનું અાયુષ્ય લાંબું થતું.

બસ સ્ટેન્ડ પાસે બહુ મોટો, જૂનો લીમડો હતો. એના થડ સાથે કંતાનનો ટૂકડો બાંધી એના છાંયડામાં એક મોચી બેસતો. કામ ધંધો ના હોય એવા બીજા બેત્રણ માણસો પણ ત્યાં બેસીને મોચી સાથે ગામ ગપાટા કરતા હોય. ચાની એક લારી પણ હતી. એક લારી ઉપર પરચૂરણ વસ્તુઓ લઈને એક બાઈ બેસતી. સૌનું ગૂજરાન ચાલતું.

મોચી પાસે સૌથી વધારે કામ રહેતું. એની બાજુમાં બેચાર જૂનાં બૂટ ચંપલની જોડી પડી રહેતી. જુદી જુદી સાઈઝના ટાયરના ટૂકડા રાખતો. જોડાં પલાળીને પોચાં કરવા માટે પાણીની ડોલ પણ બાજુમાં પડી રહેતી. અને સાથે એનાં ઓજારો હોય. મારાં ચંપલ નીચે સોલ નાખવાના ભાવતાલ નક્કી થઈ ગયા. બન્ને ચંપલ એને સોંપીને હું ત્યાં છાંયડે ઊભો રહ્યો.

એટલામાં ત્યાંથી એક કૂતરું પસાર થયું. મોચીની નજર એના ઉપર પડી. બાજુમાં નવરા બેઠેલા એના મિત્રોને એણે કહ્યું : ‘અલ્યા, હાહરુ અા કૂતરું બે તૈણ મહિનાથી રિબાય છે. એના કાન પાછળનાં ગૂમડામાં જીવડાં પડી ગયાં છે. એને પકડીને એનો કંઈક ઇલાજ કરીએ. જાવ, એને પટાઈ ફોસલાઈને અહીં લઈ આવો.’

પેલા મિત્રોએ રોટલાના બેચાર ટૂકડા હાથમાં લીધા અને કૂતરા પાસે ગયા. એક ટૂકડો નાખ્યો. પછી બીજો જરા દૂર નાખ્યો. એમ નાખતા નાખતા એને છેક લીમડા પાસે લાવ્યા. ધીમે રહી મોચીએ કહ્યું : ‘હવે એ ભડકીને ભાગી ના જાય એ રીતે એકદમ ઝડપથી એના અાગલા અને પાછલા ટાંટિયા પકડીને નીચે પાડી બરાબર દાબી રાખો.’

તરત જ પેલા બન્ને જણાએ કૂતરાના પગ પકડીને નીચે પાડ્યું અને બરાબર દાબી રાખ્યું. કૂતરું બરાબરની રાડો પાડતું હતું. મોચીએ બાજુમાં પડેલા ટીનના ડબલામાંથી ઘાસતેલ લઈ એક ગાભો પલાળ્યો અને પેલા કીડા ઉપર ધીમે ધીમે એ ઘાસતેલ નીચોવ્યું. કીડા મરવા લાગ્યા. લીમડાની સૂકી સળી લઈને ધીમે ધીમે મોચીએ એ બધા કીડા નીચે ખેરવવા માંડ્યા. કીડા નીકળી ગયા પછી ફરી થોડું ઘાસતેલ ઘા ઉપર રેડ્યું અને એક મોટો ગાભો લઈ એ ઘા ફરતે પાટો બાંધી દીધો. હવે ઘા ઉપર માખીઅો પણ નહીં બણબણે. કૂતરાને જાણે હાશ થઈ. એની રાડારાડ ઓછી થઈ. એના પગ છોડ્યા એટલે તરત બેઠું થઈ ગયું. મોચીએ પોતાના ડબ્બામાંથી એને રોટલાનો મોટો ટૂકડો આપ્યો અને વહાલથી પંપાળ્યું. મોચીનો આભાર માનતો હોય એમ કૂતરાની પૂંછડી પટપટી.

મનમાં મને દયા અાવતી − ‘બીચારું કૂતરું’ અને નાકે રૂમાલ દાબીને અા બધું જોતો ઊભો હતો.

પછી તરત મોચીએ મારાં સોલ નાખી આપ્યાં. પૈસા ચૂકવી હું ચાલતો થયો.

બીજા દિવસે બસ પકડવા હું આવ્યો ત્યારે પેલું કૂતરું ત્યાં જ મોચી પાસે બેઠું હતું.

નોંધ :

Sympathy અને Empathy − અા બે શબ્દો વચ્ચેનો વિસ્તૃત તફાવત સમજાવતો, યેલ યુનિવર્સિટીમાં પી.એચડી. કરી રહેલા લેસલી જેમિસનનો અભ્યાસુ નિબંધસંગ્રહ બહાર પડ્યો છે. એના ઉપરથી મને મારી યુવાન વયમાં અનુભવેલો અા કૂતરાનો પ્રસંગ યાદ અાવી ગયો. (મોચીની સક્રિય ‘એમ્પથી’; મારી નિષ્ક્રિય ‘સિમ્પથી’ !) − અાનંદ રાવ

e.mail : gunjan_gujarati@yahoo.com

Loading

સમાજ સુધારક, પત્રકાર, કવિ મલબારી

દીપક મહેતા|Opinion - Opinion|29 April 2014

ત્રણ ત્રણ વખત મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થનાર વ્યક્તિનું જ્યારે અવસાન થાય ત્યારે બ્રિટિશ સામ્રાજ્યના નામદાર શહેનશાહ પાંચમા જ્યોર્જ અને રાણી ભારત ખાતેના વાઈસરોયને દિલસોજીનો તાર મોકલે અને તે તારમાં પેલી વ્યક્તિને ‘અમારા જૂના મિત્ર’ તરીકે ઓળખાવે અને તેમના મૃત્યુથી આખા હિન્દુસ્તાનને ખોટ પડી છે એમ જણાવે એવું બને ખરું? બને નહીં, હકીકતમાં બન્યું હતું.

એ વ્યક્તિ તે બેહેરામજી મેહેરવાનજી મલબારી, ૧૯મી સદીના એક અગ્રણી સમાજ સુધારક, પત્રકાર અને કવિ. ૧૮૫૩માં મે મહિનાની ૧૮મી તારીખે એમનો જન્મ. પિતાનું નામ ધનજીભાઈ મહેતા. ગાયકવાડ સરકારમાં સાધારણ કલાર્ક તરીકે નોકરી કરતા. બેહેરામજી માંડ પાંચ વર્ષના થયા ત્યાં તો પિતા બેહસ્તનશીન થયા. માતા ભીખીબાઈ અને બેહેરામજી અનાથ થઈ ગયાં. હવે વડોદરામાં રહેવું અશક્ય હતું. અનેક વિટંબણાઓ વેઠીને વડોદરાથી ચાલતાં ચાલતાં વીસ દિવસે દીકરાને લઈને ભીખીબાઈ સુરત પહોંચ્યાં, પિતાને ઘરે. કોઈ વાહનમાં મુસાફરી કરી શકાય એટલા પૈસાય ગાંઠે નહીં એટલે પગપાળા પ્રવાસ. પિતાએ વિધવા દીકરીને અને તેના પોરિયાને પ્રેમથી આવકાર્યાં.

આશરો મળતાં મા-દીકરાને ‘હાશ’ થઈ. પણ એ હાશકારો પૂરા ચોવીસ કલાક પણ ન ટક્યો. તેઓ સુરત પહોંચ્યાં તે રાતે જ પિતાનું ઘર, તેમની બધી મિલકત, આગમાં બળીને ખાખ થઈ ગયાં. છતાં પિતાએ આશરો તો આપ્યો જ. પણ ભીખીબાઈને થયું કે પિતાને માથે હવે ભારરૂપ ન થવાય. બાળક બેહેરામજીનો ઉછેર સારી રીતે કરવાનો હેતુ પણ ખરો. એટલે થોડા વખત પછી ભીખીબાઈએ મેહેરવાનજી નાનાભાઈ મલબારી સાથે બીજાં લગ્ન કરી લીધાં અને એટલે બેહેરામજી ધનજીભાઈ મહેતા મટી બેહેરામજી મેહેરવાનજી મલબારી બન્યા.

પણ ઓરમાન પિતાને આંગળિયાત બેહેરામજી માટે કશી મમતા નહીં. દુકાનમાં નોકરની જેમ કામ કરાવે. સુરતમાં મલબારીના ઘર પાછળ જ નરભેરામ મહેતાજીની ધૂડી નિશાળ હતી તેમાં બેહેરામજીએ ભણતર શરૂ કર્યું. પછી પારસી પંચાયતની સ્કૂલમાં દાખલ થયાં. પછી સર જમશેદજી એંગ્લો-વર્નાક્યુલર સ્કૂલ. ભણવાનું તો ઠીક પણ બેહેરામજીને સંગીતનો જબરો શોખ. જાણીતા ઉસ્તાદ બહાદુરસિંહના એક ચેલા પાસેથી બે હજાર જેટલાં ખ્યાલ, ગઝલ, ટપ્પા, ઠુમરી વગેરે શીખ્યા. પણ અણધારી રીતે કોલેરામાં માતાનું અવસાન થતાં બેહેરામજીના જીવનમાંનું સંગીત સુકાઈ ગયું. ખાનગી ટ્યૂશનો આપી થોડી કમાણી કરવા લાગ્યા, ભણવાની સાથોસાથ. પછી રાતે મોડે સુધી જાગી અંગ્રેજી કે ગુજરાતી કવિઓની કવિતા વાંચતા. પછી જાતે ગુજરાતીમાં કવિતા લખવા લાગ્યા.

એ વખતે મેટ્રિકની પરીક્ષા માત્ર મુંબઈમાં જ લેવાતી. પારસી જિવાજી કસાઈ પાસેથી વીસ રૂપિયા ઊછીના લઈને બેહેરામજી મુંબઈ પહોંચ્યા. મુસાફરીનું ભાડું દસ રૂપિયા ને પરીક્ષાની ફી દસ રૂપિયા. પરીક્ષામાં નાપાસ. સુરત પાછા જવાના ફદિયાં મલે ની. માતાની બહેનપણીના દીકરા ડોક્ટર રુસ્તમજી બહાદુરજીની ભલામણથી પારસી પ્રોપ્રાયટરી સ્કૂલમાં વીસ રૂપિયાના પગારે નોકરી મળી. બીજી બે વાર મેટ્રિકની પરીક્ષા આપી, પણ પરિણામ એનું એ, નાપાસ! પણ હાર્યા નહીં. ચોથી ટ્રાયલે પાસ થયા, ૧૮૭૧માં. એ વખતે લેખિત ઉપરાંત મૌખિક પરીક્ષા પણ લેવાતી. બેહેરામજીની મૌખિક પરીક્ષાના એક પરીક્ષક હતા રેવરંડ જોસેફ વાનસામરન ટેલર, ગુજરાતી વ્યાકરણના લેખક. સુરતમાં લખેલાં કાવ્યો બીતાંબીતાં બેહેરામજીએ રેવરંડ ટેલરને બતાવ્યાં. પ્રભાવિત થઈને તેમણે રેવરંડ ડોક્ટર જ્હોન વિલ્સન સાથે ઓળખાણ કરાવી. વિલ્સને કાવ્યો વાંચી તે પુસ્તક રૂપે પ્રગટ કરવા જણાવ્યું અને કાવ્ય સંગ્રહનું નામ પણ પાડી આપ્યું, ‘નીતિવિનોદ.’ ૧૮૭૫માં એ સંગ્રહ પ્રગટ થયો. એ વખતે બેહેરામજીની ઉમ્મર ફકત બાવીસ વર્ષ. કાવ્યો પારસી ગુજરાતમાં નહીં, ‘શુદ્ધ’ ગુજરાતીમાં લખાયેલાં અને તેના વિષયો હતા હિન્દુઓના જીવનને લગતા.

‘નીતિવિનોદ’થી મલબારી ગુજરાતમાં જાણીતા થયા તો ૧૮૭૬માં પ્રગટ થયેલ અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘ધ ઈન્ડિયન મ્યૂઝ ઈન ઇંગ્લિશ ગાર્બ’ને કારણે ઇંગ્લેન્ડ અને બીજા દેશોમાં જાણીતા થયા. રાણી વિકટોરિયા, કવિ ટેનિસન અને પંડિત મેક્સમૂલરે પ્રશંસાના પત્રો લખ્યા. પછી મલબારી મુંબઈના “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા”માં સામાજિક, રાજકીય, શૈક્ષણિક સ્થિતિ વિષે લેખો લખતા થયા. આ ઉપરાંત ‘ધ ઈન્ડિયન સ્પેક્ટેટર’ અને ‘ધ બોમ્બે રિવ્યૂ’માં પણ લખતા. ‘ગુજરાત એન્ડ ગુજરાતીઝ’ પુસ્તક પણ પરદેશોમાં જાણીતું થયું. ૧૮૮૦માં મલબારીએ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ખરીદી લીધું. લગભગ દરેક અંક આખો જાતે જ લખતા.

મલબારીનું વલણ સમાજ સુધારાવાદી હતું. જો કે હિન્દુઓનો વિરોધ તેમને સહન કરવો પડ્યો કારણ એક પારસીને અમારા ધરમકરમમાં દખલ કરવાનો શો હક્ક, એમ રૂઢિવાદીઓ માનતા. મલબારીના અથાક પ્રયત્નોને પરિણામે સરકારે ‘સંમતિવયનો કાયદો’ છેવટે પસાર કર્યો. મલબારીએ ઇંગ્લેન્ડના પ્રવાસો કર્યાં. ખુદ શહેનશાહ સાથે સંબંધ બંધાયો. પણ ૧૮૯૮માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ ‘સંસારિકા’ પર રાજદ્રોહનો આરોપ મૂકાયો પણ છેવટે સરકારે તેમને નિર્દોષ જાહેર કર્યો.

૧૯૧૨ના જુલાઈમાં મિત્રોના આગ્રહથી મલબારી આરામ કરવા શીમલા ગયા. ૧૧મી જુલાઈએ વાઈસ રોય લોર્ડ હાર્ડિજ અને બીજાઓની મુલાકાત લીધી. રાતે સાડા નવે મિત્ર જોગિન્દરસિંહ સાથે ટેલિફોન પર વાતો કરતાં મલબારી એકાએક બેભાન થઈ ગયા અને થોડીવારમાં જ આ ફાની દુનિયાને છોડી ચાલતા થયા. સીમલામાં આવેલી પારસી આરામગાહમાં મલબારીના નશ્વર દેહને દફનાવવામાં આવ્યો.

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, પ્રોફાઇલ : “ગુજરાતમિત્ર”, 28 અૅપ્રિલ 2014 

Loading

...102030...3,9623,9633,9643,965...3,9703,9803,990...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved