Opinion Magazine
Number of visits: 9772709
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નરેન્દ્ર મોદી ઃ એક મૂલ્યાંકન

જયંતી પટેલ|Samantar Gujarat - Samantar|22 October 2014

‘નરેન્દ્ર આપખુદશાહી વ્યક્તિત્વ અને તે સાથે સંલગ્ન ભયોન્માદ (Paranoia)નું લક્ષણ ધરાવે છે. તે સતત વિરોધીઓ અને હરીફોથી ભય અનુભવે છે. પરિણામે તેમની સર્વોચ્ચા તેને પડકારે તેવા કોઈને સાંખી લેતા નથી. તેમની સુરક્ષા માટે લેવાતી ઝીણવટભરી કાળજી તથા અનેક અંગરક્ષકો(કમાન્ડો)ની ફોજ તેની સાક્ષીરૂપ છે. આ પ્રકારનું માનસ ધરાવતી વ્યક્તિ કટોકટીભર્યા સંજોગોમાં અસમતોલ પ્રતિભાવ આપે તેવો સંભવ રહે છે.’

આરંભ

નરેન્દ્ર મોદી કિશોરવયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારો અને પ્રવૃત્તિથી આકર્ષાયા હતા. કુટુંબ, પત્નીને ત્યજી સંઘના કાર્યને સમર્પિત થયા. સમય જતાં સંઘના કાર્યકરો અને યુવકોમાં તેમણે પોતાનું સ્થાન જમાવ્યું. પોતાની શૈક્ષણિક લાયકાતો સુધારવા તેમણે અનુસ્નાતક અભ્યાસ આરંભ્યો. ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં હું શિક્ષક હોવાથી તેઓ મારા સંપર્કમાં આવ્યા.નવનિર્માણ આંદોલન, તથા દસાડાની બેઠક પરથી ચૂંટણી લડતા જનતા મોરચાના ઉમેદવાર ભીમાભાઈની ચૂંટણીનું સંચાલન હું કરતો હતો, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોને તેમાં મદદરૂપ થવા તેમણે પોતાની વગનો ઉપયોગ કર્યો હતો. ઈન્દિરાઈ કટોકટી દરમિયાન શરૂઆતમાં તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. દાઢી વધારી સરદારજી જેવો દેખાવ બનાવ્યો. આ દરમિયાન ક્યારેક તેઓ મારા ઘેર પણ આવતા.

વૈચારિક ભૂમિકા

નરેન્દ્ર, તેમનો પક્ષ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાઝીવાદી/ફાસીવાદી વિચારધારાનો વારસો ધરાવે છે. હિંદુવાદી આક્રમક રાષ્ટ્રવાદ તેમનો પાયો છે. આ પ્રકારની વિચારધારા માનવીય મૂલ્યો કરતાં સત્તા અને આધિપત્ય ઉપર વિશેષ ભાર મૂકે છે. તેઓ પ્રજાની લાગણીઓ ઉપર સવાર થઈ સત્તા ભોગવવા મથે છે. કોમવાદી લાગણીઓને ઉશ્કેરી ઝનૂની સમર્થન મેળવે છે. માનવીય, રેશનલ કે વૈજ્ઞાનિક અભિગમને તેઓ નકારે છે. વિશેષમાં, તેઓ કોઈ પુરાતન સુવર્ણયુગની ભ્રામક કલ્પનાનો હવાલો આપી, તે તરફ પાછા ફરવાની હિમાયત કરે છે. તે વફાદારી ઉપર ભાર મુકતા અને વિચારધારામાં પલોટાયેલા પ્રતિબદ્ધ યુવાનોનું મજબૂત સંગઠન ઊભું કરે છે, જે, જરૂર પડે, શેરીઓમાં ઊતરી આવી ભયનું વાતાવરણ સર્જી શકે છે. તેઓ મતભેદ કે વિરોધને સાંખી લેતા નથી.

સત્તાલાલસા

સત્તાલાલસા ગજબનું પ્રેરકબળ છે. સત્તા હસ્તગત કરવાની નેમ ધરાવતી વ્યક્તિ કોઈ બંધનો સ્વીકારતી નથી. તે પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે, કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, ધારાધોરણો, મૂલ્યો વગેરેનો, જરૂર હોય ત્યાં સુધી સાથ લે છે, ઉપયોગ કરે છે. પણ તે નડતરરૂપ કે બીનજરૂરી લાગે તો તેને ગાજરની પીપૂડી માફક, હટાવવામાં કે ફગાવી દેવામાં સહેજ પણ સંકોચ કે હિચકિચાટ અનુભવતી નથી. તેનું એક માત્ર લક્ષ્ય ને મૂલ્ય છે સત્તા. નરેન્દ્રમાં સત્તાની આવી એકલક્ષી સાધના દેખાય છે. યેનકેન પ્રકારે – સામ, દામ, ભેદ, દંડ અજમાવી – તે સત્તા હસ્તગત કરવા મથે છે.

કંટકશોધન

પ્રારંભમાં, નરેન્દ્રએ સંઘમાં પોતાના સ્થાનનો લાભ લઈને ગુજરાતમાં પગદંડો જમાવવા તથા કેશુભાઈની સરકારમાં પોતાનો પ્રભાવ સ્થાપવા કોશિશ કરી. તેમની પ્રવૃત્તિથી ચોંકેલા પક્ષે તેમને ગુજરાત બહાર મોકલી દીધા. દિલ્હીમાં તેમણે ગુજરાતના એક મોભાદાર વ્યક્તિની સહાયથી અડવાણી સાથે સંબંધો કેળવ્યા અને ગુજરાતમાં પાછા ફરવાની પરવાનગી મેળવી. (કેશુભાઈ જણાવે છે કે નરેન્દ્રએ અડવાણીને અનશનની ધમકી આપી હતી.) ગુજરાતમાં પ્રવેશ મળતાં જ તેમણે પોતાની રમત શરૂ કરી દીધી. પોતાના સમર્થકોનું જૂથ જમાવવા માંડ્યું. પોતાની યોજનામાં સહાયરૂપ ના હોય, અવરોધક જણાય, તેવા અગ્રણીઓને હાંસિયામાં ધકેલવા માંડ્યા. કેશુભાઈ, સુરેશ મહેતા, વગેરેને દૂર કરી તેમણે પોતાનો માર્ગ મોકળો કર્યો. બીજી બાજુ, તેઓએ અડવાણીના વફાદાર સમર્થક છે તેવું ઠસાવવા, અડવાણીની ચૂંટણી, રથયાત્રા વગેરેને સફળ બનાવવા મહેનત કરી. આમ, શરૂમાં નરેન્દ્ર અડવાણીના ખોળે બેઠા પણ હવે, લાગે છે કે, તેમણે અડવાણીને ખોળે લીધા હોય તેવું વર્તન શરૂ કર્યું છે. એટલું જ નહીં પણ પોતાના, દેશના વડાપ્રધાન બનવાના સ્વપ્ન આડેની આ આડખીલીનું કદ વેતરવાની પેરવી શરૂ કરી છે.

રાજરમત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-જનસંઘ-ભા.જ.પ.ના જૂના જોગીઓને સ્થાનભ્રષ્ટ કરી સિંહાસનારૂઢ થતાં તેમને માટે બારે દરવાજા ખૂલી ગયા. સાથેસાથે, તેમના વિકાસમાં સહાય કે ટેકો આપનારા અદના કાર્યકરોને તે ટાળવા લાગ્યા. તેમને હવે, જૂના નરેન્દ્રને યાદ રાખી અંજાય નહીં તેવી વ્યક્તિઓની નહીં પણ, સત્તાધીશ નેતાની ચમચાગીરી કરે, તેનો પડ્યો બોલ ઝીલી લે, તેમની ઇચ્છા સમજીને કામ કરે, તેમને માટે પડકારરૂપ ના બને, તેવા વામનોની જરૂર હતી. અને, એવા લોકો તો ટકાના ત્રણ શેરના ભાવે ઉપલબ્ધ હોય છે જ.

‘ખાઈશ નહીં, ખાવા દઈશ નહીં’

સત્તાધીશ બનતાં તેમણે જાહેર કરેલું કે ‘ખાઈશ નહીં, ખાવા દઈશ નહીં’. આ વખતે ઉપવાસ કરવા કરાવવાની નોબત આવી ન હતી. આ તો લાંચ લેવા કે લેવાદેવા બાબતનું વચન હતું. મુખ્ય પ્રધાન બનતાં તેમના હાથમાં વહીવટીતંત્ર, પોલીસતંત્ર અને અમલદારો ઉપર કાબૂ જમાવવાની તક આવી. પોતાની સત્તાઓનો ઉપયોગ કરી, પોતાને લાભકર્તા તથા પક્ષને, સાથીઓને તથા મળતિયાઓને લાભ આપી શકાય કે તેમનો લાભ લઈ શકાય, તેવા નિર્ણયો લેવાની સત્તા તેમના હાથમાં આવી. તેમના કેટલાક પ્રધાનો તથા અમલદારો દ્વારા ‘ખંડણી’ એકત્ર કરવાનું વ્યવસ્થિત તંત્ર ચાલતું હોય તેવું વિવિધ તપાસોમાં બહાર આવ્યું છે. અલબત્ત, વહીવટીતંત્ર અને પોલીસમાં અનેક એવા પણ અધિકારીઓ હોય છે જેઓ પોતાની હિતસાધના માટે સત્તાધીશોને ખુશ રાખવા માંગતા હોય છે. ઉપરાંત, એવી પણ વ્યક્તિઓ હોય છે જે સત્તાધીશોની વિચારધારાના – આ સંજોગોમાં કોમવાદના – સમર્થક હોય.

શરૂઆતમાં નરેન્દ્રએ સાદાઈ અને પ્રામાણિકતાની છાપ ઉપસાવી. પરંતુ આજે, તેમની રહેણીકરણી, પોષાક વગેરે, જૂના નરેન્દ્રની યાદ આપે તેવાં નથી. ઉપરાંત, તેમના કેટલાક પ્રધાનો, અમલદારો, પોલીસ અફસરો સામે તથા તેમણે પોતે અનેક ઉદ્યોગગૃહોને આપેલા લાભોને કારણે તેમની સામે આંગળી ચીંધામણ થઈ રહ્યું છે. આમ, તેમની પ્રામાણિકતાની છાપ ખરડાઈ છે.

વાકપટુતાનો દુરુપયોગ

નરેન્દ્ર સારા વક્તા છે. તેમનામાં શબ્દોને રમાડવાની, તેનો અસરકારક ઉપયોગ કરવાની આવડત છે, વાકપટુતા દ્વારા લોકરંજક ભાષણો આપવાની ફાવટ છે. લોકોમાં પ્રવર્તતા દ્વેષ, પૂર્વગ્રહો અને અસ્મિતાના ખ્યાલને બહેકાવવાની કુશળતા તેઓ ધરાવે છે. આ દ્વારા તેઓ અણગમતા સવાલો કે સમસ્યોને ચાતરી જવાની તથા લોકોનું ધ્યાન અન્યત્ર દોરી જવાની રમત ખેલી શકે છે. વધુમાં, સત્તાધીશ બનતાં, તેમને સરકારી પ્રચારતંત્રનો મનગમતો ઉપયોગ કરવાની તથા પોતાનો કરીશ્મા સર્જવાની તક પણ સાંપડી છે. ઉપરાંત, જાસૂસી વિભાગનો ઉપયોગ કરી પોતાના સાથીઓ તથા વિરોધીઓ ઉપર લગામ રાખવાની મોકળાશ પણ તેમણે મેળવી છે.

આ ક્ષમતાઓનો ઉપયોગ કરી તેઓ, કોમી એકતાની હિમાયત કરનારા, બૌદ્ધિકો, સેક્યુલરીસ્ટો, ઉદારવાદીઓ વગેરેને બદનામ કરી, તેમને ગુજરાતદ્રોહી, હિંદુ વિરોધી અને તુષ્ટીકરણના હિમાયતીઓ ઠરાવી, તેમની વિશ્વીસનિયતા ખતમ કરવાની ચાલ અજમાવી શક્યા છે. પરંતુ, આ ચાલબાજીના પરિણામે, ગુજરાતમાં પાંગરતાં ઉદારવાદી, બુદ્ધિવાદી, રાષ્ટ્રઘડતર માટે આવશ્યક કોમી ઐક્યનાં પ્રેરક તથા સેક્યુલર આંદોલન જેવાં આધુનિકતાનાં પરિબળોને પીછેહટ સાંપડી છે. ગુજરાતને પાછું સત્તરમી સદીમાં ધકેલવાની કોશિશ થઈ રહી છે.

ભયનું સામ્રાજ્ય

હીટલરે યહૂદીઓને ખલનાયકો ઠરાવી જર્મન પ્રજાને એક ચૂસણી -ધાવણી પકડાવી દીધી હતી. નરેન્દ્રએ મુસ્લિમોને ખલનાયક ચીતરી ગુજરાતીઓને આવી ચૂસણી આપી છે. ગોધરામાં કારસેવકોના ડબ્બાને આગ ચાંપવાની ઘટનાએ તેમને મુસ્લિમો પ્રત્યે ધીક્કારનું વાતાવરણ સર્જવાની અને, 2002નાં રમખાણોમાં તેમના હત્યાકાંડને છૂટોદોર આપવાની, તક પ્રાપ્ત થઈ. તે જ રીતે મુસ્લિમો કે અન્ય અડચણરૂપ વ્યક્તિઓને આતંકવાદી ગણાવી, એન્કાઉન્ટરના નામે, હત્યાઓનો સિલસિલો આચરવાની પદ્ધતિ અજમાવાઈ હોવાનો આરોપ પણ તેમની સામે છે. તેમના જ એક સાથી અને હરીફ ગણાતા હરેન પંડ્યાની હત્યા બાબત પણ, પંડ્યાના પિતા તેમને દોષિત ગણતા હતા. તદુપરાંત, કેટલાક પ્રધાનોની ગેરકાયદે પ્રવૃત્તિ સામે માહિતી અધિકાર કે જાહેર હિતની અરજી દ્વારા ઝુંબેશ ચલાવનારાઓની હત્યાઓના અનેક કિસ્સા પ્રગટ થતા રહે છે. ભય તથા આતંક ફેલાવીને તેઓ વિરોધીઓને ચૂપ કરવાની ચાલ અજમાવી રહ્યા છે. એટલું જ નહીં પણ, રેશનલ અને વૈજ્ઞાનિક વિચારોનો પ્રસાર કરનારા, ચમત્કારો કે અંધશ્રદ્ધા સામે ઝુંબેશ ચલાવનારાઓને પણ તેમના પરિવારનાં હિંદુવાદી સંગઠનો દ્વારા, ભારતીય સંસ્કૃિતની રક્ષાના બહાને, ડામવાના પ્રયાસોને ઉત્તેજન સાંપડે છે.

ટૂંકમાં, ગુજરાતમાં તેમણે ભયનું સામ્રાજ્ય પ્રસરાવવાની કોશિશ કરી છે. એટલું સારું છે કેન્દ્રમાં તેમની સત્તા નથી અને સૈન્ય ઉપર તેમનો કાબૂ નથી. તેમ જ, ગુજરાતમાં હજી ખુમારી ધરાવતી વ્ચક્તિઓ અને સ્વૈચ્છિક સંગઠનો છે, અખબારી સ્વાતંત્ર્ય છે, નિર્ભીત અધિકારીઓ છે, સ્વાધીન ન્યાયતંત્ર છે જે લોકશાહી અને સ્વતંત્રતાનાં મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે.

કલ્પન

નરેન્દ્રએ પોતાના વિષે સાચી – ખોટી, સારી – નરસી છાપ કે કલ્પન (ઈમેજ), પોતાના પક્ષમાં તથા અન્ય પક્ષોમાં તેમ જ પ્રજામાં, ઊભાં કરવામાં પણ કુશળતા હાંસલ કરી છે. તેમના વિષેની આ છાપ કે કલ્પન સમજવાં જેવાં છે:~

1) તેઓ ચૂંટણી જીતવામાં મદદરૂપ થાય તેવા સારા વક્તા અને સંયોજક છે. વાસ્તવમાં, કેટલાક વિસ્તારોમાં તેની પ્રચારયાત્રા નિષ્ફળ રહી હતી તથા તેમના સંયુક્ત મોરચાના એક નેતા, બિહારના નીતીશકુમારે તો તેમને બિહારમાં ચૂંટણી પ્રચાર માટે મોકલવા સામે વાંધો દર્શાવ્યો હતો.

2) કાર્યક્ષમ વહીવટકર્તાનું પ્રમાણપત્ર આપતાં પહેલાં અ સવાલનો જવાબ આપવાનો રહે છે કે આ કાર્યક્ષમતા કોના લાભમાં યોજાય છે – પ્રજાના કે તેમના પોતાના, તેમના પક્ષના, તેમના મળતિયાઓના અને મુઠ્ઠીભર ધનકુબેરોના હિતમાં?     

3) તેઓ પ્રજાની નાડ પારખવામાં કુશળ છે. વાસ્તવમાં કોઈ પણ લોકરંજક નેતામાં આ કૌશલ્ય હોય છે. પ્રજાને કોઈ નક્કર લાભ આપ્યા વિના, તેમને ગલગલિયાં થાય, તેમની લાગણીઓ ઉશ્કેરાય, તેમનું અભિમાન સંતોષાય તેવાં વિધાનો કરવાની તેમનામાં ફાવટ હોય છે. તેઓ પ્રજાને પ્રગત્તિના પંથે દોરવા માટે, આવશ્યક હોય તો, કડવી ગોળી આપવાનું ટાળે છે. વાસ્તવમાં, તેઓ પ્રજાના ઉત્થાન કરતાં તેમની લાગણીઓનો લાભ લેવાની વૃત્તિ ધરાવતા હોય છે.

4) હિંદુ બહુમતીને આકર્ષવા તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વારસાને વફાદાર રહી તેઓ આક્રમક હિંદુવાદનો પુરસ્કાર કરે છે. મુસ્લિમોને બીજી કક્ષાના નાગરિકો તથા ભારત વિરોધી, આતંકવાદી અને હિંસાખોર ગણવાની શૈલીના તેઓ સમર્થક છે. પરંતુ હવે, રાષ્ટ્રીય કક્ષાના નેતા તરીકેનું ગજું કાઢવા તથા મુસ્લિમ મતોની જરૂર જણાતાં, તેઓ મુસ્લિમોને મનાવી લેવાની ચાલ અજમાવી રહ્યા છે. સદ્દભાવના મિશનના નામે આચરવામાં આવેલા સપ્તતારક ઉપવાસ તેનું ઉદાહરણ છે. વધુમાં, હવે તેઓ પાંચ-છ કરોડ ગુજરાતીઓના નામે નહીં પણ અબજ ઉપરાંત હિંદુસ્તાનીઓ (ભારતીય નહીં) વતી હાકલો કરવા લાગ્યા છે. આ દર્શાવે છે કે, પોતાના લક્ષ્યને હાંસલ કરવા માટે, રાજકારણના કુશળ ખેલાડી તરીકે તે પવન જોઈને દિશા બદલી શકે છે અથવા દિશા બદલતા હોવાનો દંભ કરી શકે છે, ભ્રમ પેદા કરી શકે છે. વધુમાં, આ ઉપવાસ માટે પ્રચારતંત્રનો બહોળો ઉપયોગ કરવા સાથે તેમણે એક એવી હવા પેદા કરવાની કોશિશ કરી કે તેઓ ભારતના આગામી વડાપ્રધાન છે. પરંતુ આમાં કાચું કપાયું. રથયાત્રા નિષ્ણાત અડવાણી સહિતના અન્ય દાવેદારો આથી ખફા થયા તથા અનેક ખુલાસાઓ કરવા પડ્યા.

5) નરેન્દ્ર એક એવી છાપ ઊભી કરવા મથે છે કે ગુજરાતમાં તથા દેશભરમાં આતંકવાદ સામેના તેઓ સક્ષમ લડવૈયા છે. મુંબઈના હુમલા વખતે ત્યાં દોડી જવું, માર્યા ગયેલા પોલીસકર્મીઓ માટે સખાવત જાહેર કરવી – જે નકારવામાં આવી, ગુજરાતમાં એન્કાઉન્ટરો દ્વારા હત્યાઓને ઉત્તેજન આપવું, પાકિસ્તાન સામે તથા કાશ્મીર બાબતમાં છાશવારે નિવેદનો કરવાં વગેરે આ દિશાનાં પગલાં ગણાવી શકાય.

6) તેને પડકારે તેવા કોઈને સાંખી લેતા નથી. તેમની સુરક્ષા માટે લેવાતી ઝીણવટભરી કાળજી તથા અનેક અંગરક્ષકો(કમાન્ડો)ની ફોજ તેની સાક્ષીરૂપ છે. આ પ્રકારનું માનસ ધરાવતી વ્યક્તિ કટોકટીભર્યા સંજોગોમાં અસમતોલ પ્રતિભાવ આપે તેવો સંભવ રહે છે. (દા.ત. ગોધરાકાંડ અને પછીના પ્રતિભાવો). આ પ્રકારના મનોરોગથી પીડાતી વ્યક્તિ, તેના પોતાના તથા અન્યના હિતમાં, પોતાના રોગની સારવાર માટે મનોચિકિત્સકની સહાય લે તે સલાહભર્યું છે.

7) કોમવાદ, રમખાણો અને ધિક્કારનાં રાજકારણ દ્વારા વિશ્વસનીય પ્રાદેશીક કે રાષ્ટ્રીય નેતા નહીં બની શકાય તે નરેન્દ્રને સમજાયું હશે. પરિણામે, તેમણે ગુજરાતના વિકાસના પ્રણેતા તથા શિલ્પી તરીકેની છાપ ઉપસાવવા મથામણ કરી છે. નર્મદા યોજના, ગુજરાતનું ઔદ્યોગીકરણ – અનેક ઉદ્યોગોની સ્થાપના – વગેરે તેમના પ્રયાસોનું જ ફળ છે તેવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે. પ્રથમ તો, કોઈ પણ મોટી યોજના કે ઔદ્યોગિક વિકાસ પાંચ-દસ વર્ષમાં થતો નથી. નર્મદા યોજનાનું કામ તો છેલ્લાં વીસ વર્ષથી ચાલે છે. અને, હજી ગુજરાતનાં અનેક ગામડાં પાણી માટે વલખાં મારે છે.

ઔદ્યોગિક વિકાસ માટે નિમ્નતંત્ર ઊભું કરવું પડે છે તે કામ પાછળ આખી સદીના ખાનગી અને જાહેર સાહસોનો ફાળો રહેલો છે. તે માટેનું ગૌરવ કે માન કોઈ એકાદ નેતા કે પક્ષ લઈ શકે નહીં.

નરેન્દ્રએ મેળાઓ, સમારંભો યોજીને ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા અંગે મેળવેલાં વચનોમાંથી માંડ દસ ટકા પણ આકાર પામ્યાં નથી. બીજી બાજુ, અનેક મનગમતા ઉદ્યોગપતિઓને પાણીનાં મૂલે લાખો હેકટર જમીનની લહાણી કરવામાં આવી છે. તેમના મળતિયાઓ દ્વારા બેફામપણે ખનિજો કાઢવામાં આવી રહ્યાં છે. ખેતીની જમીન, ભૂગર્ભ સંપત્તિ, પર્યાવરણ વગેરેના ભોગે થોડીક વ્યક્તિઓ ધનકુબેર બની ગઈ છે.

આ વિકાસ નથી. તેમના જ પક્ષના ડો. કલસારિયા દ્વારા ચલાવવામાં આવી રહેલું આંદોલન તેનું જીવંત ઉદાહરણ છે. વિકાસ તેમનો, તેમના થોડાક મળતિયાઓનો, બે-પાંચ ધનીકોને કે આમ પ્રજાનો? ખેતીની ઉપજાઉ જમીનો અને પર્યાવરણના ભોગે, આગામી પેઢીઓને બાનમાં લઈને કેટલીક ખાસ વ્યક્તિઓ આજે ગુલછર્રા ઉડાવે તેને વિકાસ કહી શકાય? વાસ્તવમાં, આ પ્રગત્તિકારક વિકાસ નહીં પણ મૂડીવાદી શોષણનું વરવું સ્વરૂપ છે.

જાગતા રહેજો

લોકશાહી વ્યવસ્થા અને મૂલ્યો સામે નરેન્દ્ર મોદી કેટલો ભયંકર ખતરો સર્જી રહ્યા છે તે આ વિવેચનમાંથી જોઈ શકાય છે. વાસ્તવમાં, તેમની શૈલી જર્મની અને વિશ્વમાં એક દુઃસ્વપ્નના ઓથાર બની ચુકેલા હીટલરની યાદ અપાવે છે. હીટલર જેવી સાદાઈ, સત્તાલાલસા, રાજરમત, વાકપટુતા, લોકરંજક શૈલી, યહૂદી વિરોધી વંશીય (અહીં મુસ્લિમ વિરોધી કોમવાદી) ઉશ્કેરણી, ભ્રમજાળ ફેલાવતું પ્રચારતંત્ર, વિરોધીઓને નાબૂદ કરવાની રીતરસમ, ખાસ નાઝી સ્વયંસેવક દળ દ્વારા વિરોધીઓ તથા લોકોને ભયાક્રાંત કરવા, આક્રમક રાષ્ટ્રવાદ જેવાં તત્ત્વો નરેન્દ્રમાં પણ પ્રતિબિંબિત થાય છે. આ પ્રકારનું માનસિક વલણ ધરાવતી વ્યક્તિ સમાનતાવાદી સામાજિક કે આર્થિક વ્યવસ્થા કે પ્રગતિશીલ, સેક્યુલર, રેશનલ કે વૈજ્ઞાનિક વલણો કે અભિગમને પોષક નથી.

(આ અગાઉ, “નયા માર્ગ”, 16 ડિસેમ્બર 2011માં, તેમ જ “વૈશ્વીક માનવવાદ”, માર્ચ-એપ્રિલ, 2012માં આ લેખ પ્રગટ થઈ ચુક્યો છે)

************

e.mail : jaykepatel@gmail.com

Loading

સ્થાપત્ય અને સંસ્કૃિત : અદ્દભુત સ્વામીનારાયણ મંદિર

કનુ સૂચક|Opinion - Opinion|22 October 2014

અર્ધ વર્તુળાકાર ક્ષેત્રમાં, ઘટ્ટ વૃક્ષોથી ભરપૂર, લીલીછમ પ્રકૃતિની વચ્ચે ન્યુજર્સીના રોબીન્સવિલે ગામના છેવાડે, બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા, વિશ્વના સૌથી વિશાળ મંદિરની રચના થઈ રહી છે. ૨૦૦૯માં મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, અને આયોજન મુજબ, ૨૦૧૭-૨૦૨૦માં તે પૂરી રીતે પૂર્ણ થઈ જવાની આયોજકોને અપેક્ષા છે. ઓગસ્ટ ૨૦૧૪માં સંસ્થાના જ્યોતિર્ધર અને પ્રમુખ સંત પ્રમુખસ્વામીના હસ્તે મુખ્ય મંદિરનું ઉદ્દઘાટન થયું. આ પ્રસંગે અનુપમ મંદિર જોવાની ઉત્કંઠા અને સંપ્રદાયના પ્રમુખ પ્રમુખસ્વામીની ઉપસ્થિતિને લીધે સ્વામીનારાયણ સંપ્રદાયના હજારો અનુયાયીઓ અને હિંદુ ભાવકોનો જાણે પારાવાર હેલે ચઢ્યો.

નિરાંતે મંદિર જોઈ શકાય તે માટે ૧૧.૦૯.૨૦૧૪ના દિવસે અમે આ ૧૬૨ એકરના વિશાળ પરિસરમાં પ્રવેશ કર્યો, ત્યારે તેના પ્રવેશદ્વારથી જ ઉત્તમ વ્યવસ્થાના દર્શન થયાં. પાનખરનાં પગરણ પડી ચૂક્યાં છે. પરિસરને ઘેરતાં લીલાછમ વૃક્ષોની વચ્ચે પીળચટ્ટા પર્ણો પહેરી ઊભેલાં વૃક્ષો પર, સૂર્યના કોકરવર્ણ કિરણો નયનરમ્ય રંગોળી રચતાં હતાં. મુખ્ય મંદિરના પ્રવેશદ્વારની સામે મનુષ્ય રચિત નાનકડાં સરોવરમાં કૃત્રિમ કમલદલમાં નાનકડી દેવડી અને તેની બન્ને બાજુએ અભિષેક કરતાં ફુવારાઓ મન પ્રસન્ન કરી દે છે. હજુ નિર્માણનું કામ ચાલુ જ છે. માણસો ઠેર ઠેર કામ કરતાં દેખાય છે. ભારતથી આવેલાં કારીગરો સાથે સેવા આપતાં સ્વયંસેવકો સર્વત્ર દેખાય છે. આધુનિક મશીનોની હારો પણ દેખાય છે.

મંદિરમાં પ્રવેશ સમયે કર્ણને ગમે તેવાં મંજુલ સ્વર કોઈ ખૂણેથી વહેતાં હતાં. થયું કે આયોજકોએ તેવી વ્યવસ્થા ગોઠવી હશે. સ્થિર ઊભાં રહી શબ્દો પકડવા કોશિષ કરી. ‘મારી નાડ તમારે હાથ હરિ! સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુપદ આપજો રે.’ હાથમાં હથિયાર સાથે આરસ કંડારતા કારીગરના ગળામાંથી એ સૂરો આવતાં હતાં. શબ્દો કદાચ જુદા હશે પણ ભાવ સમર્પણનો જ સૂરમાં વહેતો હતો. સમર્પણમાં સોંપી દેવાની નીડરતા છે અને તેમાંથી નિષ્પન્ન શ્રદ્ધા શ્રદ્ધાળુઓ માટે સંકટ સમયની સાંકળ છે. આ મંદિરો એટલે શ્રદ્ધાસ્થાનકો. અને આ શ્રદ્ધાસ્થાનકો આપણી સંસ્કૃિતને સાચવતા સેતુઓ છે.

આ જ સંસ્થા દ્વારા સ્થાપિત દિલ્હી અને ગાંધીનગરનાં અક્ષરધામ મંદિરો જોયાં છે. યુ.કે. લંડનમાં નીસડન ગામનું મંદિર પણ જોયું છે. સ્થાપત્યોની દૃષ્ટિએ તે બધાં જ ઉત્તમ સ્થાપત્યો છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર તેમની રચના થઈ છે. નીસડન મંદિરમાં પણ ઇટાલી વગેરે દેશોમાંથી આરસની નિકાસ ભારતમાં કરી અને તેમાં ગુજરાત-રાજસ્થાનના શ્રેષ્ઠ સલાટો પાસે મૂર્તિવિધાન તેમ જ અન્ય કોતરણી કરાવી તે સામગ્રી લંડન મોકલવામાં આવી. નકશાઓ મુજબ મંદિર રચના માટે જરૂરી ગોઠવણી માટે દરેક શિલ્પને અનુક્રમના આંકડાઓ આપવામાં આવેલાં. આ મંદિરોના સ્થળના વાતાવરણને પણ ગણતરીમાં લેવામાં આવ્યાં છે અને તે મુજબ શિલ્પોની સામગ્રીની કસોટી કરવામાં આવી છે. નીસડન મંદિરમાં થયેલ યોગ્ય પ્રકારના, ઋતુઓને અનુરૂપ લાકડા અને તેની કોતરણી વગેરેમાં યોગ્ય કારીગરોના ઉપયોગને લીધે સંપૂર્ણ મંદિર સંસ્કૃિતની ઓળખ બની ગયું છે. સ્તંભોની રચના માટે મૂકેલાં શિલ્પો તેની કોતરણીના કસબથી મનોહારી છે. વિશેષતા એ છે કે એ શિલ્પોની રચના એટલી કાળજીપૂર્વક થઈ છે કે તેને એક ઉપર એક ગોઠવતાં વચ્ચે સાંધામાં જવલ્લે જ સિમેન્ટનું પુરાણ કરવું પડ્યું છે.   

ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી થયેલા સર્વેક્ષણ મુજબ આપણા જૂનામાં જૂનાં મંદિર-સ્થાપત્યોની આયુ વધુમાં વધુ ૨૦૦૦ વર્ષની છે. આધાર વિહિન લોકવાયકાઓમાં ઘણી વખત અતિશયોક્તિ થતી રહી છે અને અમુક મંદિરોની આયુ વધુ હોવાની હોડ થતી હોય છે. સ્થાપત્યોના વિકાસક્રમમાં મધ્યકાલીન યુગ, ભારત સહિત, સમગ્ર વિશ્વમાં સુવર્ણયુગ ગણી શકાય. આ સમયમાં નવી રચનારીતિ અને તેમાં ઉન્મેષ જોવા મળે છે. આ મંદિરમાં એ સુવર્ણકાળ અને પછીના સમયના ઉન્મેષનો પણ સમન્વય દેખાય છે. પ્રાકૃતિક તત્ત્વો અને માનવીય અભિગમ બન્નેનો સુમેળ તે શિલ્પશાસ્ત્રો. અગ્નિ, જળ, વાયુ, ભૂમિ અને આકાશ તે પાંચ પ્રાકૃતિક તત્ત્વો સ્થાપત્યો-બાંધકામ માટે મહત્ત્વના અને આધારરૂપ તત્ત્વો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તે જીવનઘડતરનાં આધાર તત્ત્વો છે અને મંદિર સ્થાપત્યોની રચના માટેના તે મૂલાધાર તત્ત્વો છે. વાસ્તુિવદ્યા માટે જેને એક પ્રમાણગ્રંથ ગણવામાં આવે છે તે પ્રાચીનગ્રંથ ‘માનસાર’ની વ્યાખ્યા મુજબ “જ્યાં દેવ, મનુષ્ય, પશુ અને પંખી વસે છે તે સંબંધિત શાસ્ત્ર તે વાસ્તુશાસ્ત્ર.” આ શાસ્ત્રો અંગે વિસ્તૃત ચર્ચા અહીં અપ્રસ્તુત છે, પરંતુ તેમાં વપરાતાં થોડાં શબ્દો જોઈએ.

વાસ્તુ : ઘર, જમીન, વસવાટ માટે આ શબ્દનો પ્રયોગ થાય છે. પ્રચલિત રીતે આપણે ગૃહપ્રવેશ કે ઘરના પાયા નાખવા માટેની પ્રક્રિયા માટે આ શબ્દ વાપરીએ છીએ.

સ્થપિત : એટલે કે જે સ્થાયી છે તે –જમીન, જગ્યા, ઘર, મકાન, સ્થળ, બાંધકામ વગેરે માટે વપરાય છે.

સ્થાપત્ય : રચના, કૌશલ, યોજના પુર:સર બાંધકામ, કસબ, કારીગીરી, નિર્માણ વગેરે માટે વપરાય છે.   

સ્થપતિ :  મુખ્ય વડો, મુખ્ય કારીગર, નિર્માણ નિયામક વગેરે અને પ્રચલિત રૂપે આપણે અંગ્રેજી શબ્દ ‘આર્કિટેક્ટ’નો પ્રયોગ કરીએ છીએ. 

શિલ્પ :  ઘાટ, આકાર વગેરે. આ શબ્દ પથ્થર, માટી કે ધાતુઓમાં ઘાટ કે કોતરણી કરવામાં આવે તે સઘળાને શિલ્પ  કહેવામાં આવે છે.

સ્થાપત્ય સમજવા કર્મ, પ્રજ્ઞા, શીલ અને શૈલીની સંયુક્ત પ્રક્રિયા જાણવી જોઈએ. આમ કરવાથી સ્થાપત્યનું યોગ્ય મૂલ્યાંકન શક્ય બને.

સ્થાપત્ય નિર્માણની પ્રક્રિયામાં સ્થપતિ અને તેની સાથે કામ કરનારનું વિશેષ મહત્ત્વ છે. તે વાસ્તુકલાનો મુખ્ય પુરુષ અથવા સ્થાનાધિપતિ ગણાય છે. જે વેદવિદ્દ્, શાસ્ત્રપારંગત અને વાસ્તુક્લાનો જાણકાર હોવો જોઈએ. અન્ય મહત્ત્વના ત્રણ શિલ્પીઓ સ્થપતિની આજ્ઞા અને માર્ગદર્શન મુજબ કાર્ય કરે છે. ૧.  સૂત્રજ્ઞ અથવા સૂત્રગ્રાહી : જે  વાસ્તુિવદ્યાનો સંપૂર્ણ જાણકાર તેમ જ રેખાજ્ઞ-નકશા દોરી જાણનાર હોવો જોઈએ. ૨. વર્ધકી-માનકર્મજ્ઞ : એટલે માપ-પરિમાણનો જાણકાર, વિવેકમતિ-એટલે કે સારાસારનો વિચાર કરી નિર્ણય લે અને ચિત્રકર્મજ્ઞ-ચિત્રકલાનો જાણકાર હોવો જોઈએ; અને ૩. તક્ષક :  આ કારીગર-સલાટ-સુથારનો વિભાગ સંભાળે છે. તે પણ શિલ્પ અને તેને લગતા શાસ્ત્રોમાં નિપુણ હોવો જોઈએ.

ન્યુજર્સીના મંદિર નિર્માણમાં પુરાતન અને આધુનિક શિલ્પશાસ્ત્રનો સમન્વય થયો છે. આ નિર્માણ માટે જે લોકોએ કામ કર્યું છે તેઓનાં નામ અને કામના ક્ષેત્ર અંગે માહિતી પૂછતાં જાણવા મળ્યું કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થામાં વિજ્ઞાનથી માંડી કલાના ક્ષેત્રમાં જાણકારી ધરાવતાં અને તેમાં નિષ્ણાત અનુયાયીઓની જાણે કે એક સેના છે. સંસ્થાની સેવા માટે તત્પર આ સેવકસેનાની નિષ્ઠા અદ્દભુત છે. અહીં રોબીન્સવિલે સ્વામીનારાયણ મંદિરના બાંધકામ અને શિલ્પનિર્માણ કાર્ય માટે આવાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ સેવા આપી છે. લંડન-નીસડનમાં આજ સંસ્થાના મંદિર માટે અનેક પેઢીઓથી મંદિર નિર્માણના કાર્યમાં વ્યસ્ત સોમપુરા પરિવારના એક સ્થપતિ ચંદ્રકાંત સોમપુરાએ સેવા આપેલી.

અમેરિકાના સતત પરિવર્તિત હવામાનને લક્ષ્યમાં રાખી રોબીન્સવિલેના મુખ્ય મંદિરને ચારે તરફથી અને શિખરની ઉપરથી ઈંટ-સિમેન્ટની ઊંચી દિવાલો અને છતથી રક્ષિત કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ પ્રકારના હવામાનની અસર અંદરના મંદિર પર પડે નહીં. નિર્માણકર્તાઓનો દાવો છે કે આનાથી આવતાં હજાર વર્ષથી વધુ આ મંદિર અખંડિત ટકી રહેશે. મુખ્ય મંદિરની બહારની દિવાલ અને તેને રક્ષણ આપતી દિવાલો વચ્ચે પ્રદક્ષિણા પથની રચના થયેલી છે. બહારની દિવાલોની બહારના ભાગને પણ રક્ષણ મળે અને સાથે સાથે સુંદર દર્શન મળે તે માટે નવગ્રહ દેવડીઓની રચના કરી છે. સાથે સાથે ઉપયોગ અને સુવિધા માટે અન્ય સભાગૃહો, સાંસ્કૃિતક કાર્યો માટેના તેમ જ શૈક્ષણિક પ્રવૃત્તિ માટેના વિશાળ ઓરડાઓ વગેરેની ખૂબ જ વિચારપૂર્વક રચના કરવામાં આવી છે. નિર્માણકર્તાઓ આને માત્ર ધર્મ નહીં પરંતુ ભારતીય સંસ્કૃિતના વાહક સાધન તરીકેની પરિકલ્પના કહે છે તે સાર્થક લાગે.

બહારની સંરક્ષક દિવાલોમાં બનેલું ભવ્ય પ્રવેશદ્વાર, તેમાં સુંદર સ્થાપત્યના નમૂના સમા સ્તંભો, તેમાં કોરેલાં શિલ્પો અને ભવ્ય તોરણ દ્વારા ભાવકોને આવકારે છે અને મુખ્ય મંદિરના વિશાળ સભાગૃહમાં લઈ જાય છે. આ સુંદર સભાગૃહના સૌન્દર્યનું નિરીક્ષણ કરવા ભાવકની આંખો રોકાય તે પહેલાં જ મુખ્ય મંદિરનું અનુપમ પ્રવેશદ્વાર અને તેમાંથી થતું ધવલ સૌન્દર્યથી નીતરતું સ્થાપત્ય દર્શન. ભાવકો અને સ્થાપત્ય દર્શનની ભાવના લઈ આવેલાં દરેક માટે એક અનોખો અનુભવ. મન અને વાણી ઘડીભર માટે વિભોર થઈ જાય. આંખો અજબ બની સ્થિર થઈ જાય. પલકારો મારવાની નાનકડી ક્ષણ પણ અકારી લાગે તેવું આ અદ્દભુત દર્શન. અમાપ માનવશક્તિનું આ ઉત્તમ ઉદાહરણ છે. મંદિરના ગૃહમંડપથી ગર્ભમંડપ સુધીની યાત્રા એટલે આનંદ સમાધિની અનુભૂતિ. મંદિર નિર્માણ માટે વાસ્તુશાસ્ત્રનો આ જ ઉદ્દેશ હતો. ચાર ધર્મો અને પાંચ મહાભૂત તત્ત્વો સાથે જીવનનું અનુસંધાન પામતી પ્રક્રિયા.

આખું મંદિર ઈટાલિયન આરસથી બાંધવામાં આવ્યું છે. આ આરસને ભારતના સલાટો અને કારીગરોએ કોતર્યાં છે. ૧૩૪ ફૂટ લાંબા અને ૮૭ ફૂટ પહોળા મંદિરમાં ૧૦૮ સ્તંભોની રચના કરવામાં આવી છે. ૧૦૦૦ જેટલાં ભાવકો દર્શનનો લાભ લઈ શકે તેવાં વિશાળ સભાગૃહમાં અનુકુળ પ્રકાશ અને વાતાયનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સામે શિખરબંધી ત્રણ ગર્ભગૃહની રચના કરવામાં આવી છે તેમાં ભક્તો ભાવની અનુભૂતિ કરે તેવી અત્યંત સુંદર દેવ પ્રતિમાઓનું પ્રતિષ્ઠાન થયું છે. ભૂતળ(ફ્લોર)માં રંગબેરંગી આરસને નયનરમ્ય ગોઠવણીપૂર્વક જડવામાં આવ્યાં છે. સ્તંભોના કણકણ પર અનેકવિધ પ્રતિમાઓ કોતરવામાં આવી છે. છત (શિલિંગ) અને શિખરો પર થયેલું કોતરકામ આંખોના નેજવે થાક લાગે પરંતુ જોયા જ કરવાનું મન થાય તેવું સુંદર છે. ગુરુપ્રતિમા અને સાત્ત્વિક ભાવના પ્રતીક સમા કમળ અને કમળદળની રચના જોઈ ભારતના કળાકર્મીઓને નમન કરવાનું મન થાય. ગર્ભગૃહની દિવાલો અને પ્રદક્ષિણાપથ પર હાથી અને આપણા રાષ્ટ્રીય પક્ષી મોરના શિલ્પોનું વૈવિધ્ય વર્ણનાતીત છે તે માટે એટલું જ કહી શકાય કે તે તો માત્ર ‘જોવું અને માણવું.’ મંદિરની વિશેષતા જ એ છે કે તે ભવ્ય છે પરંતુ તેમાંથી નીતરતી સાત્ત્વિકતા આંખને ઠારે છે, અજાયબ થવાય છે તે મનને શાંતિપ્રદેશમાં લઈ જાય છે. અહીં ભાવકને ભક્તિનો અને સ્થાપત્ય દર્શને આવેલને નમ્રતાનો અનુભવ થાય છે. માનવને મળેલી શક્તિ અહીં પ્રભુતા પામે છે. આ મંદિરના નિર્માણનું કાર્ય પૂરું થયું નથી. મંદિર નિર્માણ માટે રાજસ્થાન-ગુજરાતના ૨૦૦૦થી વધુ સલાટો અને કારીગરોએ કામ કર્યું છે. ૨૦૨૦ની આજુબાજુ જયારે તે પૂર્ણ થશે ત્યારે કદાચ તે વિશ્વની એક વધુ અજાયબીમાં સ્થાન પામે તેવી શક્યતા વિચારી શકાય.  

આ સંસ્થાના પૂજનીય પ્રમુખસ્વામી મહારાજે ૧૯૪૦થી આ સંસ્થાનો પદભાર સંભાળ્યો છે ત્યારથી આજ સુધીના પોતાના કાર્યકાળ દરમિયાન ૭૧૩થી પણ વધુ મંદિરોના નિર્માણ માટે પ્રેરણા આપી છે. વિશ્વના મોટામાં મોટાં મંદિરો બનાવવાનો અને લોકોને તે અર્પણ કરવાનો કીર્તિમાન-વિક્રમ સ્થાપેલ છે તેની નોંધ ‘ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ‘માં લેવાણી છે. ભૌતિક નિર્માણથી આધિભૌતિક ભાવ તરફની આ ગતિની નોંધ માત્ર ઇતિહાસની આંકણીમાં સમાપ્ત નહીં રહે, પરંતુ તેની દૂરગામી અસર સંપૂર્ણ માનવસમાજના માનસ ઘડતરમાં આવનારી સદીઓ સુધી પ્રસરતી રહેશે અને ભારતીય સંસ્કૃિત ઉત્તમ વારસાનું પ્રતીક બની રહેશે તેવું સંસ્થાનું માનવું છે. અબાલવૃદ્ધ દરેકના વિકાસ માટે આ સંસ્થાની પ્રવૃત્તિઓ માત્ર એક સંપ્રદાયથી વિશેષ માનવીય મૂલ્યોનાં વિકાસનું મહત્ત્વનું કારણ બની રહેશે.  

૩ વિવેક, વિદ્યા વિનય વિવેક સોસાયટી, ૧૮૫ એસ.વી.રોડ, વિલેપાર્લે (પશ્ચિમ) મુંબઈ-૪૦૦ ૦૫૬

e.mail : kanubhai.suchak@gmail.com

Loading

આજ દિવાળી, કાલ દિવાળી

દીપક મહેતા|Opinion - Opinion|21 October 2014

દિવાળીના દીવા પ્રગટ્યા છે. શેરીમાં, ઘેર ઘેર, ગોખલે, ટોડલે, એટલે કે છજાની કે વરન્ડીની કિનારે કોડિયાં ઝગમગે છે. નાના છોકરાઓની ટોળી ઊંચા રાખેલા હાથમાં જ્યોત ટમટમતા મેરાયા લઈને ઘર ઘર ઘૂમવા નીકળે છે. લલકારતી જાય છે :

આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુંવાળી,
મેઘ મે…ઘ રાજા, દિવાળીના બાજરા…તાજા

સવારે કુંભારને ત્યાંથી મેરાયું લાવી, કપાસિયા ભરી, વાટ ગોઠવી, તેલ પૂરીને સૌએ તૈયાર રાખ્યું હોય. દિવાળીની બધી ધામધૂમ, ઝાકઝમાળ ને રીતરસમોની વચ્ચે આ હતો માત્ર નાના છોકરાઓનો પોતાનો જ નાનકડો ઉત્સવ. ધનતેરસ (કે ધણતેરશ)ના બમ્બૂડા ફેરવવામાં તો મોટા છોકરા પણ ભળે. શેરીના દરેક ઘરે મેરાયું પૂરાવવા જવાનું. આશીર્વાદ પણ શરતી આપવાનો :

ઘી પૂરે એને ઘેટ્…ટા, તેલ પૂરે એને ટેટ્…ટા

મેરાયામાં ઘી પૂરનારાને ત્યાં બેટો ને તેલ પૂરનારાને ત્યાં બેટી આવવાનું આ વરદાન!

નવા વરસને – બેસતા વરસને મળસ્કે બોદા માટલાના ઠબઠબાટ ને થાળીના ધણધણાટ પથારીમાં પડ્યા પડ્યા ઉપરાઉપરી સાંભળ્યા કરવાની અમને કેટલી ઉત્સુકતા રહેતી! ઘરનું દળદાર કાઢવાના ને લખમીજીને નોતરવાના લોકવિધિથી નવા વરસના શ્રીગણેશ થતા. એ વિધિ માટે રાખી મૂકેલું ખોખરું હાંડલું કે એવું કોઈ ભંગાર વાસણ વેલણથી ઠપકારતી ગૃહિણીઓ એક પછી એક ઘરમાંથી નીકળે. ટાઢનો ચમકારો, ક્યાંક ટમટમતાં કોડિયાંનો આછો ઉજાસ. શેરીના ચોકમાં જઈને ઠોબરું ફોડે. ઘરે પાછી વળતાં એ ઠમ ઠમ થાળી વગાડતી આવે. જતી વેળા ગણગણતી જાય :

અડઘો ફોડું, દડઘો ફોડું, કુંવારો ઘર છે એને માથે ફોડું.

બિચારો કુંવારો! પરણી ન શક્યો, ને ઘરઘી પણ ન શકે! ને વળતી વેળાએ જપતી આવે :

અળશ જાય, લખમી આવે, અળશ જાય, લખમી આવે.

− હરિવલ્લભ ભાયાણી

(જન્મ : 26 મે 1917 − અવસાન : 25 માર્ચ 2006)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 20 અૉક્ટોબર 2014

Loading

...102030...3,9413,9423,9433,944...3,9503,9603,970...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved