Opinion Magazine
Number of visits: 9695811
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાલંદાનું નવસર્જન

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|8 September 2014

ગયા સોમવારે એટલે કે પહેલી સપ્ટેમ્બરના રોજ ભારતને બે ક્ષેત્રોમાંથી સોનેરી સમાચાર સાંપડયા. એક તો, ભારતના મંગળયાને અંતરીક્ષમાં ૩૦૦ દિવસ પૂરા કર્યા અને બીજી તરફ, ભારતની વિશ્વવિખ્યાત નાલંદા યુનિર્વિસટીમાં ૮૦૦ વર્ષ કરતાં પણ લાંબા અંતરાલ પછી શૈક્ષણિક કાર્યનો પુનઃપ્રારંભ થયો.

નાલંદા મહાવિહાર તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત શૈક્ષણિક પરિસરની સ્થાપના પાંચમી સદીમાં થઈ હોવાનું કહેવાય છે. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ તો ઠીક પણ યુરોપની જૂનામાં જૂની બોલોગ્ના યુનિવર્સિટી પણ સ્થપાઈ નહોતી ત્યારે નાલંદામાં વિદ્યા-જ્ઞાાનનો યજ્ઞ ઝળહળતો હતો. એક જમાનામાં અહીં ૧૦,૦૦૦ કરતાં વધારે અભ્યાસીઓ શિક્ષણ મેળવતા હતા. વાદળો સાથે વાતો કરતા નવ માળના તેના પુસ્તકાલયની ભવ્યતાનાં વર્ણનો આપણે વાંચેલાં છે. મૂળે તો બૌદ્ધધર્મીઓ દ્વારા સ્થાપવામાં આવેલી આ શિક્ષણ સંસ્થાએ એટલી ઊંચાઈ અને વ્યાપકતા પ્રાપ્ત કરી હતી કે તેમાં ધર્મ કે દેશના વાડાઓ અપ્રસ્તુત બની ગયા હતા. બૌદ્ધ શિક્ષણ સંસ્થા હોવા છતાં ગુપ્ત વંશ સહિતના હિંદુ રાજાઓએ તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સહાય કરી હતી. જો કે, સન ૧૧૯૩માં ઇસ્લામી આક્રમણખોર બખ્તિયાર ખિલજી દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો અને એક જીવંત શિક્ષણ સંકુલ ખંડેરોમાં ફેરવાઈ ગયું. આજે આઠ સદી પછી અહીં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે, એ ભારત જ નહીં સમગ્ર એશિયા માટે આનંદના સમાચાર છે.

એકવીસમી સદી એશિયાની હોવાનું ગાઈવગાડીને કહેવાય છે. આ માટે ચીન, ભારત અને જાપાન જેવા એશિયાના દેશોનાં વિશાળ અર્થતંત્રો અને સૈન્યશક્તિનો મોટો ફાળો છે. જો કે, એશિયા પાસે આર્થિક અને લશ્કરી ઉપરાંત જ્ઞાન-વિદ્વત્તાની દૃષ્ટિએ સુપર પાવર થવાની તક પણ છે અને આ તક એક જમાનાની વિશ્વવિખ્યાત નાલંદા યુનિવર્સિટીને ફરી ધબકતી કરીને ઝડપી શકાય, એવો વિચાર રજૂ થયો અને સાકાર થવા જઈ રહ્યો છે. વર્ષ ૨૦૦૬માં અબ્દુલ કલામે ભારતના રાષ્ટ્રપતિ પદેથી નાલંદા યુનિર્વિસટીને ફરી કાર્યરત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેના માટે પ્રયાસો આદર્યા હતા. નાલંદાની જ્ઞાનોજહાલી પાછી લાવવાના પ્રયાસોમાં એશિયાના અન્ય દેશોએ રસ દાખવ્યો હતો. ૨૦૦૬માં ચીન, જાપાન, સિંગાપોર, થાઈલેન્ડ અને ભારત સહિત બાર દેશોએ નાલંદાના નવસર્જન માટે એક કરાર પણ કર્યો હતો. નાલંદાના નવસર્જનના આઇડિયાને દક્ષિણ પૂર્વ એશિયાના ઓસ્ટ્રેલિયા, ન્યૂિઝલેન્ડ ઉપરાંત રશિયા અને અમેરિકાએ પણ સમર્થન કર્યું હતું. જાપાને તો નાલંદાને ફરી બેઠી કરવાનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી અન્ય દેશો પણ આર્થિક સહયોગ કરવા માટે રાજી હતા. જો કે, ૨૦૦૮ની મંદીને કારણે આ પ્રોજેક્ટને મોટો ધક્કો વાગ્યો હતો. વળી, એશિયાના દેશોની આંતરિક ખટપટોને કારણે આ મુદ્દો હાંસિયા પર ધકેલાતો ગયો. અત્યાર સુધીમાં ચીન અને થાઇલેન્ડ તરફથી આર્થિક મદદ મળી છે, પણ ૫૦ કરોડ અમેરિકન ડોલરની જરૂરિયાત સામે આ રકમ ચણા-મમરા સમાન છે. મોટા ઉપાડે મદદનાં વચનો આપનાર જાપાને એક યેન પણ ચૂકવ્યો નથી અને અન્ય દેશોનો રસ પણ જાણે સુકાઈ ગયો છે. અલબત્ત, ભારત સરકાર અને બિહારની રાજ્ય સરકાર આ માટે પ્રતિબદ્ધ છે. નવેમ્બર-૨૦૧૧માં નાલંદા યુનિવર્સિટી એક્ટને સંસદમાંથી પસાર કરાવીને તેને ૪૫૫ એકર જમીન ફાળવી દેવામાં આવી હતી. અમર્ત્ય સેન જેવા વિદ્વાનોના પ્રયાસોને કારણે આ પ્રોજેક્ટ ધીમી છતાં મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે.

નાલંદાના મૂળ સંકુલથી થોડે દૂર રાજગીર ખાતે શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. એક હજાર કરતાં વધારે અરજીઓમાંથી ૧૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, જેમાં વિદેશના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. દેશી-વિદેશી ૧૧ પ્રોફેસર્સ હાલમાં બે વિષયો – પર્યાવરણ અને ઇતિહાસ ભણાવી રહ્યા છે. નાલંદા યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર ડો. ગોપા સભરવાલ એક વર્ષની અંદર બીજા પાંચ વિષયોનો અભ્યાસ શરૂ કરવા પ્રતિબદ્ધ છે.

આગામી ૧૪ સપ્ટેમ્બરના રોજ નાલંદા યુનિવર્સિટીનું વિધિવત્ ઉદ્દઘાટન ભારતનાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજના હસ્તે થવાનું છે. આ તબક્કે આંતરરાષ્ટ્રીય શિક્ષણ જગતમાં ચર્ચાનો મુદ્દો એ છે કે નાલંદા ફરી પહેલાં જેવી સિદ્ધિ અને ખ્યાતિ પ્રાપ્ત કરી શકશે કે નહીં? કેટલાક વિદ્વાનો સવાલ ઉઠાવે છે કે વિશ્વશ્રેષ્ઠ વિદ્વાનો અને મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ નાલંદા જેવા ગ્રામીણ વિસ્તારમાં જઈને અભ્યાસકાર્ય કરશે? આ પ્રશ્નોના જવાબ આવનાર સમય જ જણાવશે. અલબત્ત, આપણો સમાજ અને સરકાર ધારે તો નાલંદા ભારતની વધતી જ્ઞાન-શક્તિનું તેમ જ એશિયાની એકતાનું પ્રતીક જરૂર બની શકે છે. છેલ્લે, ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે અમદાવાદની વાસ્તુ શિલ્પ ફાઉન્ડેશન નામની સંસ્થા નાલંદા યુનિવર્સિટીની ઇમારતોનું ડિઝાઇનિંગ કરવાની છે!        

e.mail : divyeshvyas.amd @gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 07 સપ્ટેમ્બર 2014

Loading

વાત, આપણા પક્ષોની ને ઢોલનગારાની !

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|7 September 2014

અલ કાયદા : બાંગ્લાદેશ, આસામ, ગુજરાત, કાશ્મીર … અને મુસ્લિમ બ્રધરહૂડ સ્ટેટ ('ઉમા’)

કબૂલ કે એ ઉદ્દગારોમાં એક તરેહનું સ્માર્ટિંગ છે. કંઈક ચાતુરી તો તત્કાળ ચમત્કૃિત પણ છે. 'દેશ જ્યારે ભડકે બળતો હતો, મોદી ત્યારે ઢોલ પીટતા હતા,’ અમેઠીની પુશ્તૈની બેઠકની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું છે. ૨૦૧૪ના સપ્ટેમ્બર મહિ‌નામાં આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે રાહુલ ગાંધીના ખયાલમાં એટલી એક સાદી વિગત તો કમ સે કમ હોવી જોઈએ કે હજુ મે ૨૦૧૪ લગી એટલે કે પૂરા એક દાયકા લગી તો રાષ્ટ્રીય સ્તરે યુ.પી.એ.નું જ શાસન હતું. દેશમાં બધું ઠીકઠાક ન લાગતું હોય તો એનો સઘળો યશ કંઈ પહેલાં સો દિવસને જ ખતવી શકાતો નથી.

જો કે, ઉલટ પક્ષે, પહેલા સો દિવસમાં જ 'અચ્છે દિન’નાં વધામણાં રૂપે વૃિદ્ધ દરનો હવાલો અપાય છે ત્યારે એક સાદી વિગત ખયાલમાં રહેતી નથી કે આ વધારો વસ્તુત: જતી સરકારે લીધેલા અને અમલમાં મૂકવા માંડેલા કેટલાક નિર્ણયોને આભારી છે. જે ગાળાને આધારે વૃિદ્ધનો હવાલો અપાય છે તેનો ઠીક ઠીક હિ‌સ્સો યુ.પી.એ.ના ખાતામાં જાય છે. આબાદ વિગત તો ઘરઆંગણે ગુજરાતની છે. 'વાઈબ્રન્ટ’ ઈવેન્ટ આગમચ પડદા ઉઠાવ ઉર્ફે કર્ટન રેઝર જેવું જે બધું સાહિ‌ત્ય હાલ ફરી રહ્યું છે એમાં રાષ્ટ્રીય ચિત્ર જરી હુલાવીફુલાવીને રજૂ કર્યું છે. કદાચ, ગુજરાતમાં અને કેન્દ્રમાં આજકાલ એક જ પક્ષની સરકાર છે એનો આ જોસ્સો હશે. ભાઈ, કેન્દ્રના આ આંકડા તમે જે કાળે એનાં પર માછલાં ધોતાં હતાં તે કાળના જ છે એટલું તો વિચારો જરી.

મતલબ, વિચારધારાકીય ભેદમાં ન જઈએ તો રાષ્ટ્રીય સ્તરે તેમ રાજ્ય સ્તરે કેટલુંક સાતત્ય રહેલું છે. જે સવાલ છે એ ખરેખર તો બંને મુખ્ય પક્ષોએ નવી સ્થિતિને એટલે કે પરાજય અને વિજયને પચાવી જાણવાનો છે, અને પ્રાપ્ત નવી ભૂમિકાને અનુરૂપ પોતાને તૈયાર કરવાનો છે. આરંભે રાહુલ ગાંધીના જે ઉદ્દગારો સંભાર્યા એમાં પરાજયને પગલે પક્ષમાં પોતાને અંગે પણ જે પ્રશ્નો ઊઠયા છે એની ભીંસ સાફ દેખાય છે. એથી પણ વિશેષ તો, કોંગ્રેસ પક્ષે પોતાને વિપક્ષરૂપે સત્તાવાર સ્વીકૃતિ મળે તે માટે જે અરજઘોંઘાટ કર્યાં એ પણ ધ્યાન ખેંચે છે. પૂર્વે કોંગ્રેસ સત્તાપક્ષ હોય અને સામે પક્ષે પૂરતી સંખ્યા ન હોય ત્યારે સરકાર તરીકે પોતે જે તૈયારી દાખવી નહોતી તેની આશા હવે રાખી શકાય? અલબત્ત, ભાજપે સમુદાર ધોરણે નવો દાખલો બેસાડયો હોત તો ખોટું નહોતું. પણ એ અળગતની વાત છે.

બંને મુખ્ય પક્ષ પોતપોતાની નવભૂમિકામાં ગોઠાવાવા અંગે કાચીપાકી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે દેશનું બાકી ચિત્ર ખરે જ કેટલાક એવા મુદ્દા ઊભા કરે છે જેમાં ભારે મોટી જવાબદારી રહેલી છે. અલ કાયદાનો જે તાજો વીડિયો બહાર આવ્યો છે એ આવો જ એક મુદ્દો છે. બને કે અલ કાયદા પોતે અત્યારે એક ઓસરતી આણનો અનુભવ કરી રહ્યું હોય અને પ‌શ્ચિ‌મ એશિયાને બદલે દક્ષિણ એશિયામાં નવું પ્રભાવક્ષેત્ર જમાવવાનો એનો વ્યૂહ હોય. પણ એ જો દક્ષિણ એશિયામાં ગુજરાત સહિ‌તના વિસ્તારોમાં 'ઉમા’ કહેતાં મુસ્લિમ બ્રધરહુડ સ્ટેટને ધોરણે હિંસ્ત્ર હવા પ્રેરવા માગતું હોય તો એ એક મોટો પડકાર તો છે જ.

ધર્મ આધારિત રાષ્ટ્ર-રાજ્યનો ખયાલ પાકિસ્તાન અને બાંગલાદેશ પરસ્પર છૂટાં પડયાં તે સાથે બેશક ભોંઠો પડેલો છે. પણ ભારતમાં જેઓ ઝીણાના હિંદુ અડધિયા તરીકેની રાજનીતિ ખેલે છે એમને વિશે શું કહેવું? આ રાજનીતિ 'ઉમા’ અભિગમને ટક્કર કેવી રીતે આપી શકે? ઊલટું, એ તો દેશને હિંદુ અને મુસ્લિમમાં વહેંચવાને ધોરણે એને મદદરૂપ જ બની રહે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલીસ મુશવરતે અલ કાયદાને સમયસરની સલાહ આપી છે કે આ મુલકમાં તમારી ડખલની જરૂર નથી. તમે અમને (મુસ્લિમોને) ઊલટાનું નુકસાન પહોંચાડશો.

વળી આપણા પક્ષોની વાત કરીએ. 'લવ જેહાદ’નું જે રાજકારણ ચગાવાયું છે અને મુઝફફરનગર કાંડને વરસ વીત્યે પણ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને ભાજપ જે રીતે કોમી તનાવ મતદાનીય ધ્રુવીકરણની આશાએ ચાલુ રાખી રહ્યા છે એમાં ઘોર બેજવાબદારી નથી તો કશું નથી. તમે 'અલ કાયદા’ના પડકારને આ રીતે ન જ ઝીલી શકો. રાહુલ ગાંધી અને કોંગ્રેસકારણના બીજા આંતરિક મામલાઓમાં આ ક્ષણે ધારો કે ન જઈએ અને રાહુલ ગાંધીને કેમિયો અભિગમની કળ વળે એટલો એક આશાવાદ પ્રગટ કરીને અટકી જઈએ. પણ જાહેર જીવનમાં પોતાની નવભૂમિકા બાબતે તેઓ જો ખરેખર જ સભાન અને કૃતસંકલ્પ હોય તો એમણે સત્તાવાર વિપક્ષ તરીકે માન્યતા મળ્યા ન મળ્યાની ફરિયાદથી હટીને લોકોનાં વાસ્તવિક સુખદુ:ખના પ્રશ્નો જોડે સક્રિયપણે સંકળાવું જોઈએ. ઉપર 'વિકાસ-વિકાસ’નું એર કવરેજ અને નીચે કોમી ધ્રુવીકરણની રાજનીતિ ખેલતું પાયદળ, એ જે હાલની અનવસ્થા છે એનો કદાચ આ જ એક ઉગાર છે. જે સલાહ કોંગ્રેસને, તે જ બિહારમાં લાલુ-નીતીશ જોડાણને પણ આપવી રહે છે.

પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 05 સપ્ટેમ્બર 2014

Loading

પ્રવાસિની : કુંજ કલ્યાણી

આરાધના ભટ્ટ|Opinion - Interview|7 September 2014

વતન છોડીને દેશાંતર કરવાની પ્રક્રિયા જ્યારે આટલી સહજ અને સરળ નહોતી ત્યારે, એટલે કે આજથી ત્રણ-ચાર દાયકા ઉપર મુંબઈથી વિલાયત જવું, અને તે પણ પોતે ગર્ભવતી હોય એ સ્થિતિમાં ! આવી સ્થિતિમાં જ્યારે નવા વાતાવરણમાં સાવ એકલપંડે જઈને ઠરીઠામ થવાનું આવે, ત્યારે કોઈ પણ સ્ત્રીની મનઃસ્થિતિ કેટલી દ્વિધાઓથી યુકત અને સંદિગ્ધ હશે એની કલ્પના કરવી અશક્ય નથી. લંડનમાં રહીને ડાયસ્પોરા ગુજરાતી સાહિત્યક્ષેત્રે શાંત સૂરે પોતાનું આગવું પ્રદાન કરી રહેલા કર્મશીલ વિપુલ કલ્યાણીનાં પત્ની તે કુંજ કલ્યાણી. ભાતીગળ રંગોથી ભર્યોભર્યો એમનો જીવનપ્રવાહ એમના જેવી અસંખ્ય ગુજરાતી પ્રવાસિનીઓની સમાયોજનશક્તિનું જીવંત દૃષ્ટાંત છે. અલ્પભાષી અને મૃદુભાષી કુંજ કલ્યાણીની આ સહજ વાતોમાં અનુભવજન્ય આત્મવિશ્વાસ અને સમજણનો રણકો સંભળાશે. તેમનો પૂર્ણ પરિચય આ મુલાકાત જ આપશે. …

પ્રશ્ન : કુંજબહેન, વતન મુંબઈને છોડીને વિલાયત કયા સંજોગોમાં જવાનું થયું ?

જવાબ : વિપુલ અને હું કોલેજમાં સાથે હતાં અને ત્યાં અમે મળ્યાં. અને ૧૯૬૮માં અમારાં લગ્ન થયાં. વિપુલ પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. અને લગ્ન પછી મારો પણ પાસપોર્ટ થયો અને એ એક કારણ થયું કે હું પણ પરદેશ જાઉં. ભારતમાં તો ઘણું ફરી હતી કારણ કે નોકરી કરતી હતી. બ્રિટનમાં ૧૯૭૨માં પહેલીવાર આવી ત્યારે મને સાત મહિનાનો ગર્ભ હતો.

પ્રશ્ન : વિદેશ જતાં ઉખડ્યાની લાગણી થયેલી ?

જવાબ : ના, કારણ કે એ એક સમજણપૂર્વકનો નિર્ણય હતો. પરદેશ જવું છે એ નિર્ણય જાતે કરેલો એટલે એવું નહોતું લાગતું, પણ હા, એકલતા ખૂબ સાલતી હતી. પણ પછી ધીમેધીમે એની પણ ટેવ પડતી ગઈ. બહુ શરૂઆતમાં એવું લાગતું હતું કારણ કે એક તો પ્રેગ્નન્ટ હતી, પહેલું બાળક હતું અને અહીંની જે ઠંડી હતી, કારણ કે હું ડિસેમ્બરમાં આવી. બરફ જોવાનું ગમતું હતું ખૂબ, પણ એનાથી એક થડકો લાગ્યો કે હું મુંબઈની ગરમી મૂકીને અહીં, આટલે દૂર, આટલી ઠંડીમાં આવી ગઈ. હું સૌ પ્રથમ હિથ્રો એરપોર્ટ પર ઊતરી અને સીધી લેસ્ટર ગઈ હતી. પછી જ્યારે લંડન ગઈ ત્યારે ત્યાંના અમુક રસ્તાઓ, અમુક મકાનો બધું જોઈને મુંબઈ ખૂબ યાદ આવેલું. મુંબઈનો કોલાબા, ફ્લોરા ફાઉન્ટન, બેલાર્ડ પિયર, એ વિસ્તારમાં જ્યાં હું પહેલાં કામ કરતી હતી એ બધી જગ્યાઓ સાથે લંડનનાં અમુક મકાનો જોઈને હું જોડાણ અનુભવતી હતી. પહેલા દિવસે હું એરપોર્ટ પર ઊતરી અને ઈમિગ્રેશન ઓફિસરે અંગ્રેજીમાં સવાલ પૂછ્યો. એણે પૂછ્યું કે તમને દુભાષિયાની જરૂર છે ? મેં કહ્યું કે હું અંગ્રેજી બોલું છું ત્યારે એને ખૂબ નવાઈ લાગી કે એક સાડી પહેરેલી ગુજરાતી મહિલા આ રીતે ખંચકાયા વિના સ્પષ્ટ અંગ્રેજી બોલી શકે છે. એ વખતે એમના મનમાં એવું ખરું કે ભારતથી આવતા લોકોને બરાબર અંગ્રેજી બોલતાં નથી આવડતું. એ જરાક ખૂંચ્યું હતું.

પ્રશ્ન : શરૂઆતના દિવસો કેવા હતા ? સંઘર્ષો પણ આવ્યા હશે.

જવાબ : સંઘર્ષો તો, આરાધનાબહેન, દરેકના જીવનમાં આવવાના જ, પછી એ લંડનમાં હોય એક મુંબઈમાં. સંઘર્ષ મને એટલા માટે લાગ્યો કે મારી પહેલી સુવાવડ મારાં નણંદનાં ઘરમાં થયેલી. એમનું સયુંકત કુટુંબ, ઘરમાં પંદરેક માણસ, અને એમાં હું આવી. એ બંને જણ ફૂલ-ટાઈમ કામ કરે. મેં સુવાવડ પછી કામ શરૂ કર્યું અને એ પણ સાંજે પાચથી દસ. મારાં નણંદ કામ પરથી ઘરે આવે, કુન્તલને સંભાળે અને હું પાંચથી દસ વાગ્યા સુધી એક વૃદ્ધાશ્રમમાં વાસણ ધોવાનું કામ કરતી. ત્યાં એ લોકો શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનું ખાવાનું પીરસતાં, એનાં વાસણો ધોવા પડતાં. રડવું આવતું. થતું કે મુંબઈ હતી અને નોકરી કરતી ત્યારે મારી નીચે કેટલા બધા માણસો કામ કરતાં અને અહીં મારે આવું કામ કરવું પડે છે. પણ મેં પહેલાં કહ્યું એમ કે એ મારો સ્વેચ્છાએ લીધેલો નિર્ણય હતો. બાળઉછેરનો મને કોઈ અનુભવ નહોતો અને નણંદનું સયુંકત કુટુંબ, પણ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત. એટલે મને જેમ સમજણ પડે એમ હું કુન્તલને ઉછેરતી ગઈ અને અનુભવ મેળવતી ગઈ. મારું અને વિપુલનું પ્રેમલગ્ન હતું અને પાછું આંતરજ્ઞાતીય – હું જૈન અને વિપુલ બ્રાહ્મણ. અમારાં લગ્ન કાકા કાલેલકરે રજિસ્ટર પદ્ધતિથી કરાવેલાં. અમે ફેરા નહોતા ફર્યાં. લંડન આવીને ઘરઝૂરાપો લાગતો, પણ મેં વિપુલને અને મારા ઘરે પત્રલેખન કરવાનું રાખેલું. એ દિવસોમાં એર-લેટર લખતી કારણ કે કવર લખવાનું પોષાય નહીં, એટલે એર-લેટરમાં જેટલું લખાય એટલું ખીચોખીચ લખીને મોકલતી. અને ત્રણ-ચાર મહિને એક ફોન ત્રણ મિનિટ માટે કરવા મળે એમાં તો ‘કેમ છો, કેમ નહીં’ એટલું કહેવામાં જ સમય પસાર થઈ જતો. પછી થયું કે આમાં સંતોષ નથી થતો એટલે હું ઓડિયો કેસેટમાં રેકોર્ડીંગ કરતી. નેવું મિનિટની કેસેટ ભરીને ખૂબ બધું બોલતી અને કોઈ જતું-આવતું હોય એની સાથે મોકલી આપતી. પણ આ દરમ્યાન એ ઝૂરાપાને લીધે મારા પત્રો બહુ સારા લખાયા. હવે તો પત્રો લખવાના રહ્યા જ નથી. એ દિવસોમાં જે મનમાં આવતું, જે સ્ફૂરતું એ સુંદર રીતે વ્યક્ત કરી શકતી.

પ્રશ્ન : કુન્તલનો ઉછેર કરતાં કરતાં એક મા તરીકે શું અનુભવ્યું ?

જવાબ : મને મુશ્કેલી તો પડતી જ હતી. કોઈ અનુભવ નહોતો, કોઈ સપોર્ટ નહોતો. કુંતલના જન્મ પછી હું મુંબઈ ચાલી ગઈ હતી. હું ત્યાં કોમર્શિયલ બેન્કમાં નોકરી કરતી હતી. અને વિપુલ યુ.કે. આવી ન શકે એટલે હું પાછી મુંબઈ ગઈ હતી. અને પાછી ૧૯૭૫ના મે મહિનામાં કાયમી રીતે યુ.કે.માં વસવાટ કરવા આવી. ત્યારે પહેલાં એક મિત્રને ત્યાં અને પછી એક રૂમ ભાડે રાખીને અમે રહ્યાં. ત્યારે એક જ રૂમમાં અમે ત્રણ જણ અને અમારી સાથે બીજાં ત્રણ કુટુંબો રહેતાં. ખૂબ મુશ્કેલી પડતી કારણ કે કોઈ નાનું બાળક જોઈને રૂમ ભાડે આપે નહીં. પહેલાં કહે કે રૂમ ખાલી છે અને પછી નાનું બાળક જુવે એટલે કહે કે હમણાં જ ડિપોઝિટ લેવાઈ ગઈ છે, એવું આપણા લોકો પણ કરે. આ બધી મુશ્કેલીમાંથી આગળ વધ્યાં, અને એક શીખ કુટુંબે સાથ આપ્યો. ધીરેધીરે આગળ વધતાં ગયાં. એક રૂમમાંથી બીજી રૂમમાં, એમાંથી કાઉન્સિલના ફ્લેટમાં, પછી પોતાના ફ્લેટમાં, એમ પગથિયા ધીમે ધીમે ચડ્યાં. વિપુલે નોકરી કરવાની, હું પણ પાર્ટ-ટાઈમ નોકરી કરું, એટલે માતૃત્વ બહુ જ અઘરું તો લાગ્યું હતું. પણ સંઘર્ષ આપણને ઘણું શીખવે છે. હું કેરિયરમાં માનતી નહોતી એટલે જયારે કુન્તલ સ્કૂલે જાય ત્યારે હું થોડુંઘણું કામ કરી લેતી.

પ્રશ્ન : એટલે ત્યાં જઈને તમારે કારકિર્દીમાં ઘણી સમજૂતી કરવી પડી. જીવનની દિશા બદલાઈ ગઈ ?

જવાબ : હા, કારકિર્દી ઘણી બદલાઈ ગઈ. મુંબઈ યુનિવર્સિટીમાં મેં સમાજશાસ્ત્રમાં બી.એ.ની અૉનર્સ ડિગ્રી લીધી હતી. એ ડિગ્રીએ મને અહીં કંઈ જ કામ ન આપ્યું, સિવાય કે લોકો સાથેના વાતચીત-વ્યવહારમાં મને આત્મવિશ્વાસ મળ્યો. પણ એને લીધે મને એવું લાગ્યું કે હું કંઈ પણ કરતી એમાં મને આગળ બઢતી મળતી. મેં અહીં લાઈફ ઇન્શ્યોરન્સમાં કામ, કર્યું, રિટેઈલ દુકાનમાં કામ કર્યું, મેં ફ્યુનરલ ડાયરેકટરમાં પણ કામ કર્યું. એમાં જે મડદાંઓ હોય એને નવડાવીને-ધોઈને તૈયાર કરવાના, એમને સજાવીને એમનો મેઇક-અપ પણ કરવાનો થતો. એટલે એવું અસામાન્ય કહેવાય એવું કામ પણ મેં કર્યું છે. અને પછી તો મેં લોકલ અૉથોરિટીમાં – એટલે કે મ્યુિનસિપાલિટીમાં સત્તર-અઢાર વર્ષ કામ કર્યું. અને હવે છેલ્લાં અગિયાર-બાર વર્ષથી સિવિલ સર્વિસમાં કામ કરું છું. પણ એક વસ્તુ છે કે આ દેશમાં આવી છું ત્યારથી મેં સતત નોકરી કરી છે. મારી કરિયરમાં મેં ઘણું બધું જોયું અને દરેકમાંથી બહુ શીખી છું. મને એને માટે કોઈ અસંતોષ કે પશ્ચાતાપ નથી કે હું આવું ભણી અને મારે આવું કામ કરવું પડે છે. એ દરમ્યાન હું રેડિયોમાં બ્રોડકાસ્ટર તરીકે પણ કામ કરતી, હું ગુજરાતી પ્રોગ્રામ કરતી. અહીં બે ગુજરાતી કાર્યક્રમ ચાલતા હતા. મેં બ્રોડકાસ્ટિંગનો કોર્સ કર્યો. ઘરે બધી તૈયારી કરીને, લખીને પછી ત્યાં જવાનું. હું કાર્યક્રમ પ્રસ્તુત કરતી, વોઈસ-અોવર કરતી, સ્ક્રીપ્ટ લખતી. એટલે મેં જાતજાતનાં કામો કર્યાં. હું અહીં આવી ત્યારથી દુભાષિયાનું કામ કરું છું અને એ કામ મને બહુ જ સંતોષ આપે છે. હું હાઇકોર્ટ સુધીનું ઇન્ટરપ્રીટિંગ કરું છું, મોટે ભાગે વકીલો માટે અને એવી કંપનીઓ માટે. આ કામમાં મને સંતોષ મળે છે કારણ કે એમાં આપણા લોકોને કંઈક મદદ કરી શકું છું. અને અહીં મેં એનો ડિપ્લોમા પણ કરી લીધો હતો એટલે મને એમાં ખૂબ મજા આવે છે.

પ્રશ્ન : ભાષા – વાંચન-લેખનને લગતા અનેક ઉલ્લેખો તમે કર્યા. તમારો ભાષા-પ્રેમ ક્યાંથી વિકસ્યો ? લગ્ન પહેલાંથી એ હતો કે લગ્ન પછી એ વાતાવરણમાં આવ્યાં તેથી એ કેળવાયો ?

જવાબ : મુંબઈ, પિયરમાં હતી ત્યારે પણ વાંચવાનું તો હતું. મુંબઈમાં ગુજરાતી છાપાં અને સામયિકો વાંચતી. અહીં આવ્યા પછી પણ, એકે છાપું એવું નહીં હોય જે અહીં નહીં આવતું હોય. એ ઉપરાંત ઘણાં સામયિકો – કુમાર, અખંડ આનંદ, નવનીત-સમર્પણ, ભૂમિપુત્ર, એ બધું વાંચીને વાંચનશોખ સચવાઈ જાય છે. મને હળવું વાંચન ગમે છે, બહુ ઇન્ટેન્સ કે ગંભીર વાંચન હું બહુ નથી કરતી. સામાજિક મુદ્દાઓને આવરી લેતું વાંચન મને વધુ ગમે છે. અંગ્રેજી છાપાંઓ પણ વાંચું છું. એમાં સાંપ્રત વિષયો, આર્થિક-સામાજિક વિષયો મને વધુ ગમે છે. રાજકારણ ઓછું ગમે છે, પણ જ્યાં રાજકીય મુદ્દાઓની અસર સામાજિક જીવન પર પડતી હોય તે જોઈ લઉં છું, સમજવા પ્રયત્ન કરું છું.

પ્રશ્ન : સ્ત્રી અને પુરુષની દેશાંતર પ્રતિની પ્રતિક્રિયાઓમાં તમને કોઈ ફરક જણાયો છે ?

જવાબ : જરૂર ફેર છે. આપણે પુરુષની જે માલિકીની ભાવના કહીએ એ તો રહ્યું જ છે, આરાધનાબહેન. ખૂબ સૂક્ષ્મ રીતે તો ક્યારેક દેખીતી રીતે. પણ એ પુરુષપ્રધાન સમાજનું વલણ એ ભારતમાં કે કોઈ પણ દેશમાં રહ્યું જ છે. એને કારણે બહેનોએ હંમેશાં વધારે જતું કરવું પડ્યું છે. સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ એકથી વધારે કામો એકી સાથે કરી શકે છે, એને માટે એ બધું બહુ સહજ છે. સ્ત્રી એકી સાથે અનેક જવાબદારીઓ નિભાવી શકે છે – બાળઉછેર, ઘરનાં કામો, બહારનું કામ, સામાજિક સંબંધો અને વ્યવહાર સાચવવાના. એટલે એનું એ ‘જગલિંગ’ હંમેશાં ચાલતું જ હોય છે. અહીં આવીને એ બધું કરવાની આપ મેળે આવડત આવી ગઈ છે. અહીં આવીને શિસ્ત, વ્યવસ્થાશક્તિ એ બધું વધ્યું. દેશાંતરમાં પુરુષો અમુક રીતે બદલાયા છે, બાકી મોટે ભાગે નથી જ બદલાયા. અને બદલાયા હોય તો મોટેમોટેથી બાંગ પોકારે છે કે હું તો આમ કરું છું. એટલે પુરુષોનો જે અહં છે તે સહજપણે ક્યાંક તો બહાર આવી જ જાય છે. અને ક્યારેક બે અહં ટકરાતા હોય છે. હું જોઉં છું કે અહીંની ઘણી બહેનો હજુ પણ પુરુષો પર ઘણો આધાર રાખે છે. તે જ રીતે પુરુષ પણ દરેક બાબતે સ્ત્રી ઉપર વધારે આધાર રાખે છે, એટલે સ્ત્રીને ખીલવાનો અને ખૂલવાનો અવકાશ નથી રહેતો. સ્ત્રીઓમાં શક્યતાઓ જરૂર છે પણ ખૂલી શકતી નથી કારણ કે એના પર જાતજાતનાં બંધનો આવી જાય છે. એ બધામાંથી એ બહાર નીકળી નથી શકતી, અને જ્યારે એ નીકળે છે ત્યારે પુરુષ માટે એ જીરવવું મુશ્કેલ થઈ જાય છે. અહીં ભારતથી ભારતીયો આવ્યા છે, આફ્રિકાથી પણ ઘણા આવ્યા છે અને એ બધાનો ઉછેર જુદોજુદો છે. પણ બધાનું પુરુષપ્રધાન વલણ રહ્યું છે.

પ્રશ્ન : આટલા દાયકાઓ દરમ્યાન તમે ભારત સાથેનો સંબંધ કેવી રીતે નિભાવતાં આવ્યાં છો ?

જવાબ : સાડત્રીસ-આડત્રીસ વર્ષથી અહીં છું પણ લગભગ દર વર્ષે હું મુંબઈ જવાનું રાખું છું. ત્યાં મારું કુટુંબ છે અને મારે માટે ભારત એટલે મુંબઈ છે. ભારત ખૂબ બદલાયેલું લાગે છે પણ એને માટેનો લગાવ ઓછો થતો નથી. કયા કારણસર, તે ખબર નથી, પણ ભારત જવાનું મન થાય તો ખરું જ. એ એક ન સમજાવી શકાય એવો લગાવ છે. જ્યારે મુંબઈ ઊતરું ત્યારે એમ થાય કે હું રડી પડીશ. જયારે એરપોર્ટ પર વિમાન ટચ-ડાઉન થાય ત્યારે એવી ભાવના થાય છે. દરેકને વતનઝૂરાપો હોય જ છે તેમ એ મારી વતનઝૂરાપાની લાગણી હશે.

પ્રશ્ન : ક્યારેક ‘નહીં ઘરના અને નહીં ઘાટના’ જેવો ભાવ જાગ્યો છે ?

જવાબ : ના ક્યારે ય નહીં. કારણ કે અહીં આવવાનો નિર્ણય બહુ સમજપૂર્વક લીધેલો. મને તો અહીં આવીને મારી અમુક ટેલેન્ટ ખીલવવાનો અવકાશ મળ્યો, જે કોઈક કારણસર મુંબઈમાં નહોતો મળી શક્યો. અહીં આવ્યા પછી પણ મને સાસરા પક્ષમાંથી પૂરતી મોકળાશ મળી, એટલે એ રીતે હું ખૂબ નસીબદાર છું એમ કહી શકું. હા, અમુક એવી પ્રવૃત્તિ છે જે મારે કરવી હતી અને અહીં આવવાથી હું ન કરી શકી. દાખલા તરીકે મારે નાટકમાં કામ કરવું હતું, તે અહીં આવીને ન થઈ શક્યું. પણ હું રવિવારે અંધ લોકો માટે વાંચન કરું છું. અમે એને ટોકિંગ ન્યુઝપેપર – બોલતું છાપું, કહીએ છીએ. એ કામ હું છેક ૧૯૮૫થી નિયમિત કરતી આવી છું. દર ત્રીજા રવિવારે સ્ટુડિયોમાં જવાનું, રેકોર્ડિંગ કરવાનું, એમાં સમાચાર હોય, કોઈ સુંદર વાર્તા કે લેખ હોય. અહીં બ્રિટનમાં જે અંધ લોકો છે એમને એ રેકોર્ડિંગની નકલ મોકલવામાં આવે. તેવી જ રીતે હું જુદીજુદી સામાજિક સંસ્થાઓમાં સ્વયંસેવક તરીકે કામ કરું છું, ઓક્સ્ફેમ, કેન્સર રિસર્ચ , વગેરેમાં હું મદદ કરું છું.

પ્રશ્ન : ભારત અને વિલાયતના સંબંધો ઐતિહાસિક છે. અને એ રીતે ભારતની પ્રજા અંગ્રેજોને અમુક રીતે જુવે છે. તમારા એ પ્રજાના અવલોકનો અને અનુભવો કેવા છે ?

જવાબ : હું અહીં આવી ત્યારથી મને એક વાત ખૂંચતી હતી કે તમે કોઈ પણ એશિયનને મળો તો તમને પહેલો પ્રશ્ન પૂછે કે તમે કયાંના. જે પ્રશ્ન મને કોઈએ મુંબઈમાં કર્યો નહોતો, એ પ્રશ્ન મને અહીં આપણા જ લોકો દ્વારા વારંવાર પૂછાયો. જયારે અંગ્રેજ લોકોમાં મને એવું બધું દેખાતું નથી. એ લોકો પોતપોતાનામાં મસ્ત હોય છે. પણ દેશ તરીકે મને અહીંની અમુક વસ્તુ બહુ ગમે છે. એક તો અહીંની કન્ટ્રી-સાઈડ અને બીજું અહીંના લોકોનો ઝુંબેશ ચલાવવાનો સ્પિરિટ. કોઈ ઘટનાનો વિરોધ કરવા કે એને માટે જાગૃતિ કેળવવા આ લોકો જે રીતે સંગઠન કેળવીને અવાજ ઉઠાવે છે એ ખૂબ જ સુંદર છે. આપણા સમાજમાં એ આવતું જાય છે પણ જરા જુદી રીતે. આ લોકો પ્રશ્નને લઈને પદ્ધતિસર અને યોજનાપૂર્વક એને ઝુંબેશના રૂપમાં ફેરવે છે એ મને ખૂબ ગમે છે. અહીં કોઈ કુદરતી આપત્તિ આવી પડે કે કોઈક અકસ્માત થાય તો બધા ભેગાં મળીને સહાય કરે, પછી એ સ્વયંસેવકોને જે સન્માન મળે છે એ હજી આપણે ત્યાં વોલન્ટરી સેક્ટરમાં આવ્યું નથી.

પ્રશ્ન : તમે જે અનેક પ્રકારનાં કામો કર્યાં તેમાં એક ફ્યુનરલ ડાયરેક્ટરનું પણ હતું. આવું કામ કરતાં કરતાં જીવન જોવાની દૃષ્ટિ કેળવાઈ હશે.

જવાબ : હું ફ્યુનરલ ડાયરેક્ટરમાં કામ કરવા ગઈ તે પહેલાં હું એચ.આઈ.વી., એઈડ્ઝ પોઝિટિવના દર્દીઓને કાઉન્સેિલંગનું કામ પણ કરતી હતી અને એ પણ ગુજરાતી સમાજ માટે. ત્યારે લોકોને નવાઈ પણ લાગતી કે આપણા લોકોમાં એઈડ્ઝ ? હું કેટલીક સંસ્થાઓમાં જઈને વાર્તાલાપો આપતી કે આ પ્રશ્ન છે અને એને આપણે સ્વીકારવો જોઈએ. દર્દીઓના નંબર મને એજન્સી આપતી, એટલે કોઈ દર્દીઓનાં નામ-ઠામ જાણ્યા વિના મારે એમની સાથે વાત કરવાની થતી. અને મોટે ભાગે એમાં દર્દી જ બોલતો હોય છે કારણ કે સમાજમાં આવા લોકોની વાત કોઈ સાંભળતું નથી. જેમ પહેલાં રક્તપિત્તિયા જીવતા તેમ આ લોકો જીવતા હોય છે. એટલે મારે માટે એ એક રૂપરેખા બંધાઈ હતી કે આ લોકો ધીરે ધીરે મૃત્યુ તરફ જઈ રહ્યા છે. ત્યાર પછી ફ્યુનરલ ડાયરેક્ટરનું કામ આવ્યું. પચાસ વર્ષની ઉંમરે મને નોકરીમાંથી રિડન્ડન્સી મળી ત્યારે મને બહુ આંચકો લાગેલો. ત્યારે આ કામ મારા હાથમાં આવ્યું. એ કામ પડકાર જેવું લાગેલું પણ મને એમાં પણ આનંદ આવ્યો. થોડો મનમાં એ બાબતે વિરોધ હતો કે મડદાં ધોવાનાં ? પણ એ મેં શરૂ કર્યું. અને એમાંથી મને એમ થયું કે જીવતાં માણસો સાથે કામ કરવામાં તો એ માણસો આપણને કોઈકને કોઈક જાતની મુશ્કેલી ઊભી કરી શકે, પણ મડદાં તો શું કરી શકવાનાં ? એ કામ કરતાં કરતાં મારામાં જીવન-મૃત્યુનો ડર નીકળી ગયો. મને ઘણા પૂછતાં કે ડર નથી લાગતો ? પણ ના, મને કદી ડર નથી લાગ્યો.

પ્રશ્ન : આજકાલ અસંખ્ય યુવાનો-યુવતીઓ દેશાંતર કરીને વિદેશ જાય છે. તમારા પ્રલંબ અનુભવોના આધારે એમને શું કહેશો ?

જવાબ : હું એ લોકોને એટલું જ કહીશ કે તમે બધાં અલગ અલગ કારણોસર વિદેશોમાં આવ્યાં છો, અને જરૂર આવો. પણ આ દેશમાં અહીંના થઈને રહો. ત્યાંની જે ખરાબ ટેવો છે તે અહીં ન લાવો. મોટેથી બોલવાની, ગમે ત્યાં થૂંકવાની, ગમે તે રીતે ખાવાની, ગમે ત્યાં કચરો ફેંકવાની, એ બધી કુટેવો અહીં ન લાવો કારણ કે એને લીધે અહીંનો સમાજ આપણી સામે ખરાબ રીતે જુવે છે. અને એમાં જાતીય તણાવ વધતો જાય છે. હું જોઉં છું કે અત્યારે જે વર્ગ ભારતથી આવે છે તે એટલો બધો બિન્દાસ્ત વર્ગ છે કે ન પૂછો વાત. અત્યારે લંડનની ઘણી જગ્યાએ ફૂટપાથ ઉપર ‘પાન ન થૂંકશો’ એવાં પાટિયાં જોવા મળે છે. બસ-સ્ટોપ આગળ અને એવી જગ્યાએ એવાં મોટાં હોર્ડિંગ છે. આવાં પાટિયાં હિન્દી અને ગુજરાતીમાં છે. આવું હું મુંબઈમાં વાંચતી. આપણા લોકો મોબાઈલ ઉપર મોટેમોટેથી વાત કરતાં આજુબાજુનાનો ખ્યાલ કર્યા વિના ચાલ્યા જાય છે. આ બધું બહુ ખૂંચે છે.

e.mail : aradhanabhatt@yahoo.com.au

(પ્રગટ : “નવનીત સમર્પણ”, મે 2014; પૃ. 115 – 121)

Loading

...102030...3,9403,9413,9423,943...3,9503,9603,970...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved