ગયા સોમવારે એટલે કે પહેલી સપ્ટેમ્બરના રોજ ભારતને બે ક્ષેત્રોમાંથી સોનેરી સમાચાર સાંપડયા. એક તો, ભારતના મંગળયાને અંતરીક્ષમાં ૩૦૦ દિવસ પૂરા કર્યા અને બીજી તરફ, ભારતની વિશ્વવિખ્યાત નાલંદા યુનિર્વિસટીમાં ૮૦૦ વર્ષ કરતાં પણ લાંબા અંતરાલ પછી શૈક્ષણિક કાર્યનો પુનઃપ્રારંભ થયો.
નાલંદા મહાવિહાર તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત શૈક્ષણિક પરિસરની સ્થાપના પાંચમી સદીમાં થઈ હોવાનું કહેવાય છે. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ તો ઠીક પણ યુરોપની જૂનામાં જૂની બોલોગ્ના યુનિવર્સિટી પણ સ્થપાઈ નહોતી ત્યારે નાલંદામાં વિદ્યા-જ્ઞાાનનો યજ્ઞ ઝળહળતો હતો. એક જમાનામાં અહીં ૧૦,૦૦૦ કરતાં વધારે અભ્યાસીઓ શિક્ષણ મેળવતા હતા. વાદળો સાથે વાતો કરતા નવ માળના તેના પુસ્તકાલયની ભવ્યતાનાં વર્ણનો આપણે વાંચેલાં છે. મૂળે તો બૌદ્ધધર્મીઓ દ્વારા સ્થાપવામાં આવેલી આ શિક્ષણ સંસ્થાએ એટલી ઊંચાઈ અને વ્યાપકતા પ્રાપ્ત કરી હતી કે તેમાં ધર્મ કે દેશના વાડાઓ અપ્રસ્તુત બની ગયા હતા. બૌદ્ધ શિક્ષણ સંસ્થા હોવા છતાં ગુપ્ત વંશ સહિતના હિંદુ રાજાઓએ તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સહાય કરી હતી. જો કે, સન ૧૧૯૩માં ઇસ્લામી આક્રમણખોર બખ્તિયાર ખિલજી દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો અને એક જીવંત શિક્ષણ સંકુલ ખંડેરોમાં ફેરવાઈ ગયું. આજે આઠ સદી પછી અહીં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે, એ ભારત જ નહીં સમગ્ર એશિયા માટે આનંદના સમાચાર છે.
એકવીસમી સદી એશિયાની હોવાનું ગાઈવગાડીને કહેવાય છે. આ માટે ચીન, ભારત અને જાપાન જેવા એશિયાના દેશોનાં વિશાળ અર્થતંત્રો અને સૈન્યશક્તિનો મોટો ફાળો છે. જો કે, એશિયા પાસે આર્થિક અને લશ્કરી ઉપરાંત જ્ઞાન-વિદ્વત્તાની દૃષ્ટિએ સુપર પાવર થવાની તક પણ છે અને આ તક એક જમાનાની વિશ્વવિખ્યાત નાલંદા યુનિવર્સિટીને ફરી ધબકતી કરીને ઝડપી શકાય, એવો વિચાર રજૂ થયો અને સાકાર થવા જઈ રહ્યો છે. વર્ષ ૨૦૦૬માં અબ્દુલ કલામે ભારતના રાષ્ટ્રપતિ પદેથી નાલંદા યુનિર્વિસટીને ફરી કાર્યરત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેના માટે પ્રયાસો આદર્યા હતા. નાલંદાની જ્ઞાનોજહાલી પાછી લાવવાના પ્રયાસોમાં એશિયાના અન્ય દેશોએ રસ દાખવ્યો હતો. ૨૦૦૬માં ચીન, જાપાન, સિંગાપોર, થાઈલેન્ડ અને ભારત સહિત બાર દેશોએ નાલંદાના નવસર્જન માટે એક કરાર પણ કર્યો હતો. નાલંદાના નવસર્જનના આઇડિયાને દક્ષિણ પૂર્વ એશિયાના ઓસ્ટ્રેલિયા, ન્યૂિઝલેન્ડ ઉપરાંત રશિયા અને અમેરિકાએ પણ સમર્થન કર્યું હતું. જાપાને તો નાલંદાને ફરી બેઠી કરવાનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી અન્ય દેશો પણ આર્થિક સહયોગ કરવા માટે રાજી હતા. જો કે, ૨૦૦૮ની મંદીને કારણે આ પ્રોજેક્ટને મોટો ધક્કો વાગ્યો હતો. વળી, એશિયાના દેશોની આંતરિક ખટપટોને કારણે આ મુદ્દો હાંસિયા પર ધકેલાતો ગયો. અત્યાર સુધીમાં ચીન અને થાઇલેન્ડ તરફથી આર્થિક મદદ મળી છે, પણ ૫૦ કરોડ અમેરિકન ડોલરની જરૂરિયાત સામે આ રકમ ચણા-મમરા સમાન છે. મોટા ઉપાડે મદદનાં વચનો આપનાર જાપાને એક યેન પણ ચૂકવ્યો નથી અને અન્ય દેશોનો રસ પણ જાણે સુકાઈ ગયો છે. અલબત્ત, ભારત સરકાર અને બિહારની રાજ્ય સરકાર આ માટે પ્રતિબદ્ધ છે. નવેમ્બર-૨૦૧૧માં નાલંદા યુનિવર્સિટી એક્ટને સંસદમાંથી પસાર કરાવીને તેને ૪૫૫ એકર જમીન ફાળવી દેવામાં આવી હતી. અમર્ત્ય સેન જેવા વિદ્વાનોના પ્રયાસોને કારણે આ પ્રોજેક્ટ ધીમી છતાં મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે.
નાલંદાના મૂળ સંકુલથી થોડે દૂર રાજગીર ખાતે શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. એક હજાર કરતાં વધારે અરજીઓમાંથી ૧૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, જેમાં વિદેશના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. દેશી-વિદેશી ૧૧ પ્રોફેસર્સ હાલમાં બે વિષયો – પર્યાવરણ અને ઇતિહાસ ભણાવી રહ્યા છે. નાલંદા યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર ડો. ગોપા સભરવાલ એક વર્ષની અંદર બીજા પાંચ વિષયોનો અભ્યાસ શરૂ કરવા પ્રતિબદ્ધ છે.
આગામી ૧૪ સપ્ટેમ્બરના રોજ નાલંદા યુનિવર્સિટીનું વિધિવત્ ઉદ્દઘાટન ભારતનાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજના હસ્તે થવાનું છે. આ તબક્કે આંતરરાષ્ટ્રીય શિક્ષણ જગતમાં ચર્ચાનો મુદ્દો એ છે કે નાલંદા ફરી પહેલાં જેવી સિદ્ધિ અને ખ્યાતિ પ્રાપ્ત કરી શકશે કે નહીં? કેટલાક વિદ્વાનો સવાલ ઉઠાવે છે કે વિશ્વશ્રેષ્ઠ વિદ્વાનો અને મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ નાલંદા જેવા ગ્રામીણ વિસ્તારમાં જઈને અભ્યાસકાર્ય કરશે? આ પ્રશ્નોના જવાબ આવનાર સમય જ જણાવશે. અલબત્ત, આપણો સમાજ અને સરકાર ધારે તો નાલંદા ભારતની વધતી જ્ઞાન-શક્તિનું તેમ જ એશિયાની એકતાનું પ્રતીક જરૂર બની શકે છે. છેલ્લે, ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે અમદાવાદની વાસ્તુ શિલ્પ ફાઉન્ડેશન નામની સંસ્થા નાલંદા યુનિવર્સિટીની ઇમારતોનું ડિઝાઇનિંગ કરવાની છે!
e.mail : divyeshvyas.amd @gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 07 સપ્ટેમ્બર 2014
![]()


વતન છોડીને દેશાંતર કરવાની પ્રક્રિયા જ્યારે આટલી સહજ અને સરળ નહોતી ત્યારે, એટલે કે આજથી ત્રણ-ચાર દાયકા ઉપર મુંબઈથી વિલાયત જવું, અને તે પણ પોતે ગર્ભવતી હોય એ સ્થિતિમાં ! આવી સ્થિતિમાં જ્યારે નવા વાતાવરણમાં સાવ એકલપંડે જઈને ઠરીઠામ થવાનું આવે, ત્યારે કોઈ પણ સ્ત્રીની મનઃસ્થિતિ કેટલી દ્વિધાઓથી યુકત અને સંદિગ્ધ હશે એની કલ્પના કરવી અશક્ય નથી. લંડનમાં રહીને ડાયસ્પોરા ગુજરાતી સાહિત્યક્ષેત્રે શાંત સૂરે પોતાનું આગવું પ્રદાન કરી રહેલા કર્મશીલ વિપુલ કલ્યાણીનાં પત્ની તે કુંજ કલ્યાણી. ભાતીગળ રંગોથી ભર્યોભર્યો એમનો જીવનપ્રવાહ એમના જેવી અસંખ્ય ગુજરાતી પ્રવાસિનીઓની સમાયોજનશક્તિનું જીવંત દૃષ્ટાંત છે. અલ્પભાષી અને મૃદુભાષી કુંજ કલ્યાણીની આ સહજ વાતોમાં અનુભવજન્ય આત્મવિશ્વાસ અને સમજણનો રણકો સંભળાશે. તેમનો પૂર્ણ પરિચય આ મુલાકાત જ આપશે. …
જવાબ : વિપુલ અને હું કોલેજમાં સાથે હતાં અને ત્યાં અમે મળ્યાં. અને ૧૯૬૮માં અમારાં લગ્ન થયાં. વિપુલ પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. અને લગ્ન પછી મારો પણ પાસપોર્ટ થયો અને એ એક કારણ થયું કે હું પણ પરદેશ જાઉં. ભારતમાં તો ઘણું ફરી હતી કારણ કે નોકરી કરતી હતી. બ્રિટનમાં ૧૯૭૨માં પહેલીવાર આવી ત્યારે મને સાત મહિનાનો ગર્ભ હતો.
જવાબ : હા, કારકિર્દી ઘણી બદલાઈ ગઈ. મુંબઈ યુનિવર્સિટીમાં મેં સમાજશાસ્ત્રમાં બી.એ.ની અૉનર્સ ડિગ્રી લીધી હતી. એ ડિગ્રીએ મને અહીં કંઈ જ કામ ન આપ્યું, સિવાય કે લોકો સાથેના વાતચીત-વ્યવહારમાં મને આત્મવિશ્વાસ મળ્યો. પણ એને લીધે મને એવું લાગ્યું કે હું કંઈ પણ કરતી એમાં મને આગળ બઢતી મળતી. મેં અહીં લાઈફ ઇન્શ્યોરન્સમાં કામ, કર્યું, રિટેઈલ દુકાનમાં કામ કર્યું, મેં ફ્યુનરલ ડાયરેકટરમાં પણ કામ કર્યું. એમાં જે મડદાંઓ હોય એને નવડાવીને-ધોઈને તૈયાર કરવાના, એમને સજાવીને એમનો મેઇક-અપ પણ કરવાનો થતો. એટલે એવું અસામાન્ય કહેવાય એવું કામ પણ મેં કર્યું છે. અને પછી તો મેં લોકલ અૉથોરિટીમાં – એટલે કે મ્યુિનસિપાલિટીમાં સત્તર-અઢાર વર્ષ કામ કર્યું. અને હવે છેલ્લાં અગિયાર-બાર વર્ષથી સિવિલ સર્વિસમાં કામ કરું છું. પણ એક વસ્તુ છે કે આ દેશમાં આવી છું ત્યારથી મેં સતત નોકરી કરી છે. મારી કરિયરમાં મેં ઘણું બધું જોયું અને દરેકમાંથી બહુ શીખી છું. મને એને માટે કોઈ અસંતોષ કે પશ્ચાતાપ નથી કે હું આવું ભણી અને મારે આવું કામ કરવું પડે છે. એ દરમ્યાન હું રેડિયોમાં બ્રોડકાસ્ટર તરીકે પણ કામ કરતી, હું ગુજરાતી પ્રોગ્રામ કરતી. અહીં બે ગુજરાતી કાર્યક્રમ ચાલતા હતા. મેં બ્રોડકાસ્ટિંગનો કોર્સ કર્યો. ઘરે બધી તૈયારી કરીને, લખીને પછી ત્યાં જવાનું. હું કાર્યક્રમ પ્રસ્તુત કરતી, વોઈસ-અોવર કરતી, સ્ક્રીપ્ટ લખતી. એટલે મેં જાતજાતનાં કામો કર્યાં. હું અહીં આવી ત્યારથી દુભાષિયાનું કામ કરું છું અને એ કામ મને બહુ જ સંતોષ આપે છે. હું હાઇકોર્ટ સુધીનું ઇન્ટરપ્રીટિંગ કરું છું, મોટે ભાગે વકીલો માટે અને એવી કંપનીઓ માટે. આ કામમાં મને સંતોષ મળે છે કારણ કે એમાં આપણા લોકોને કંઈક મદદ કરી શકું છું. અને અહીં મેં એનો ડિપ્લોમા પણ કરી લીધો હતો એટલે મને એમાં ખૂબ મજા આવે છે.